Sunday, March 27, 2011

પરિક્રમા: પૂર્ણ વર્તુળ

એપીલોગ
બ્રિટીશ સોશિયલ વર્કરની ડાયરીમાંથી...
નિવૃત્તિના જીવનનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે માણસ પાસે પુષ્કળ ફાજલ સમય હોય છે. આ અમૂલ્ય ધનનો અભાવ તેની કિશોરાવસ્થાની અને ગૃહસ્થાશ્રમની જવાબદારી નિભાવવાતી વખતે તેને વિશેષ રૂપથી ભાસ્યો હશે. તેના વ્યક્તિગત શોખ અને વિવિધ કલાવૃત્તિને વિકસાવવાનો તેની પાસે સમય ન હોય તેવું ઘણી વ્યક્તિઓના જીવનમાં બન્યું હશે. મારી પોતાની વાત કહું તો તે સો ટકા સાચી હતી. મેં મારા પ્રિય વિષય ભારતના પ્રાચિન ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. ડિસેમ્બરના એક રવિવારની સાંજે ઘેર આરામથી બેઠો હતો ત્યાં ટેલીફોન રણક્યો.
“Hi, ભૂતકાળના પડછાયામાંથી આવતો અવાજ ઓળખી શકો છો?” સામે છેડેથી કોઇ અમેરીકન મહિલાનો અવાજ આવ્યો.
“માફ કરશો, હું આપને ઓળખી ન શક્યો,” મેં કહ્યું.
“હું સુઝન, સુઝન પરસૉદ બોલું છું. ક્ષમા તો અમારે માગવાની કે એક વર્ષ પહેલાં તમને બાય-બાય કહીને અમે જે ગયા, ત્યાર પછી તમારો સંપર્ક સાધી ન શક્યા.”
“તમે કયાંથી બોલો છો?”
“અમે લંડનમાં જ છીએ. અમારે તમને ખુશ ખબર આપવાની છે. તમે કહો તો અમે તમારા ઘેર આવીએ, જો કે તમે અમારી હોટેલ પર આવી શકશો તો તમારા ઋણી થઇશું. અમારી સાથે કોઇક છે, તેની તમારી સાથે મુલાકાત કરાવવી છે. તે જેટ લૅગથી થાકી ગયો છે અને ઉંઘે છે તેથી અમને આવવામાં મુશ્કેલી પડશે. અમે રાત પૂરતો હૉલ્ટ લીધો છે અને કાલે બપોરની ફ્લાઇટથી અમે લૉસ અૅન્જેલીસ જઇએ છીએ.”
હૉટેલ પહોંચીને લૉબી પરથી મેં તેને ફોન કર્યો. શૉન તરત નીચે આવ્યો અને અમે તેમના સ્વીટમાં ગયા. ત્યાં નાની સરખી લાઉન્જમાં સુઝન હતી અને તેની સાથે દસ-અગિયાર વર્ષનો બાળક હતો. એક વિશીષ્ટ પ્રકારના આનંદનું અજવાળું આ બાળકના ચહેરા પર દમકતું હતું.
“આ અમારો પુત્ર કિશોર છે,” સુઝને કહ્યું.
કિશોરે મારી તરફ શરમાળ નજરે જોયું અને સ્મિત કરીને કહ્યું,“નમસ્તે!”
*********
લંડનથી તેઓ ગયા ત્યાર બાદ તેમને થયેલા બધા અનુભવો તેમણે કહ્યા.
“શૉનને મળીને રૂપવતીનાં આંસુ રોકાતાં નહોતાં. તેના અંતરના જખમ ફરી તાજા થયા હતા. શૉન તથા મારા માટે આ સાવ નવો અનુભવ હતો,” સુઝને કહ્યું. “ભારતનાં ગામડાંના લોકોનાં મન કેટલા સરળ હોય છે, તેમની ભાવનાની નિર્બંધ અભિવ્યક્તિ જોઇ અમે ચકિત થઇ ગયા. શૉનનો પીંડ આખરે ભારતીય જ હતો. અભાવિત રીતે જ તે રૂપવતીની નજીક ગયો અને તેના મસ્તક પર હાથ રાખી “It’s OK, sister. I am indeed your brother,” કહી તેને સાંત્વન આપવા લાગ્યો. હું પણ તેની નજીક ગઇ અને તેને બાથમાં લીધી. થોડી વારે તે સ્વસ્થ થઇ અને મોટી દિકરીને તેના ડૅડીને બોલાવવા દોડાવી. થોડી વારે તે આવ્યા. અમને કર્નલ તથા મિસેસ ચંદ્રાએ ઘણી મદદ કરી. તેમના વગર આ મુલાકાત અને તેમની સાથે વાતચીત શક્ય જ નહોતી. આ મુલાકાતમાં જ અમને જણાઇ આવ્યું કે અમારી શોધ અહીં પૂરી થાય છે. હવે રૂપવતી તથા તેના પતિ સાથે આ વિષયમાં વાત કેવી રીતે કરવી એ અમારા માટે સમસ્યા હતી.”
“મારા મનમાં એક સવાલ ઉભો થાય છે. તમે કેવી રીતે માની લીધું કે આ પરિવાર જ્યોતિ પ્રતાપના વંશજ છે? શૉન અને રામેશ્વરના ચહેરાની સામ્યતા ઉપરાંત બીજા કોઇ પુરાવા જરૂર જોયા હશે?”
“અલબત્! અમારી સામે સૌથી મહત્વની ત્રણ વાતો આવી. કર્નલ ચંદ્રાએ રૂપવતીને તેના પિતાને મળેલા વીર ચક્ર વિશે પૂછ્યું ત્યારે તે તેમના જુના કાગળપત્ર અને મેડલનો બૉક્સ લઇ આવી. તેમાં તેમની સર્વિસબુક, મેડલ્સ અને જુના કાગળપત્ર હતા. તેમાંના ત્રણ પત્રો ઘણા જ જુના, એટલે પાંચમા જ્યૉર્જની પોસ્ટેજ સ્ટૅમ્પના કવર સાથેના પત્ર હતા.
“રૂપવતીએ કહ્યું કે તેને ખબર નહોતી તેના પિતાજીએ આ જુના કાગળ કેમ સાચવી રાખ્યા હતા. હા, એક વાર તેમણે તેને કહ્યું હતું કે આ તેમના દાદાજી રામ નરેશના વખતના પત્ર છે, મુંઘેરના કોઇ પાંડેસાહેબના છે કહી, તેને સાચવી રાખવાનું કહ્યું હતું,” રૂપવતીએ કહ્યું.
“કર્નલે તેમને કહ્યું કે તેઓ પત્રમાં જણાવેલા મુંઘેરના પાંડે છે, અને તેઓ તથા સુબેદાર સાહેબ એક જ રેજીમેન્ટમાં હતા. તેમને વાંધો ન હોય તો પત્રનો મજમૂન તેમને જણાવી શકશે કે કેમ.
“તેણે પત્ર વાંચ્યો. આ પત્ર કર્નલના દાદાજીએ રામ નરેશને લખ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે તેમને જાણીને ખુશી થઇ કે તેમના દાદાના પગલે રામનરેશનો પૌત્ર ફૌજમાં ભરતી થાય છે. મોકલનાર કર્નલના દાદા જ હતા. તેના પરનું સરનામું તેમના પૈતૃક ગામનું હતું. આ અમે પાછળથી follow up કર્યું. કડીઓ મળતી ગઇ. જો કે સૌથી મહત્વની કડી હતી DNA ટેસ્ટની. આનાથી અમારૂં કામ બધી બાજુએથી સરળ થઇ ગયું. દત્તક માટેની કાયદેસર વિધિમાં આની અમને ઘણી મદદ મળી.”
“તમે કહ્યું હતું કે રૂપવતીનો કિશોર પર અપાર સ્નેહ હતો. તેના ભાઇની ‘અમાનત’ હતી. તે કેવી રીતે તેને છોડવા તૈયાર થઇ?”
“આ વિષય એવો હતો કે તેને ઘણી સંવેદનશીલતાથી છેડવાની આવશ્યકતા હતી. તે દિવસે અમે આ બાબતમાં વાત ન કરી. બીજા દિવસે અમે તેમને અમારી હૉટેલમાં લઇ ગયા. અમે અમારા પરિવારના ફોટોગ્રાફ બતાવ્યા અને કહ્યું કે આ સહુ તેમના જ આપ્તજન હતા. આ વખતે વિનય તથા તેની પત્નિએ અમારી ઘણી મદદ કરી.
“મિસેસ ઝાએ જ્યારે તેને અમારી વિનંતિ તેની આગળ રજુ કરી, એ સાંભળતાં જ તે રડી પડી! એ તો ઠીક, તેની દિકરી સરિતા અને નીતા પણ રડવા લાગ્યા! તેમના ‘ભૈયા’ને ક્યાંય જવા નહિ દઇએ કહી આંસુ ઢાળતી રહી. વિનયે અમને ઘણી મદદ કરી. તેણે જ રૂપવતી અને રામ અભિલાષને સમજાવ્યા કે જો તેમને શૉનમાં તેના દિવંગત ભાઇના દર્શન થયા હોય તેને ભાઇ તરીકે સ્વીકારી લેવો જોઇએ અને સૌના ભલા માટે કિશોરને દત્તક આપવામાં વાંધો ન આવવો જોઇએ. અંતે તેમણે વિચાર કર્યો કે કિશોરના ભવિષ્યનો વિચાર કરતાં શૉનની વિનંતિને માન આપવું જોઇએ. તેમણે તેમની વાત કબુલી.” સુઝને કહ્યું.
“અમે કોર્ટમાં અરજી કરી ત્યારે જજ પાસે અમે કરેલી રજુઆતથી તેમને પણ ઘણું આશ્ચર્ય થયું. અમે બધા પુરાવા રજુ કર્યા અને તેમણે અમારી અરજી માન્ય કરી,” સુઝને કહ્યું.
“આ કાર્યવાહીમાં અમારો ઘણો સમય નીકળી ગયો. આખું વર્ષ દોડધામમાં વિતી ગયું. કહેવાય છે ને, કે All’s well that ends well!”
“તમે અમને જે અમૂલ્ય મદદ કરી તેનો આભાર કેવી રીતે માનવો તે સમજાતું નથી. તમે અમને રાજીવ પ્રસાદનો સંપર્ક કરાવ્યો ન હોત તો આજે અમારી સાથે અમારો પુત્ર ન હોત!”
“હું તો કેવળ નિમીત્ત માત્ર હતો. નિષ્ઠાપૂર્વક પ્રયત્ન તો તમે બન્નેએ કર્યો. તમારી ભાવના નેક હતી તેથી તમને તેમાં સફળતા મળી છે. હું તો એવું પણ માનું છું કે જગતપ્રતાપ અને શરનના દિવ્યાત્માઓનો હાથ તમારા મસ્તક પર હતો તેથી તમારા ઉદ્દૈશ્યની સફળ પૂર્તિ થઇ .
___________

વાચકોના મનમાં કદાચ પ્રશ્ન ઉભા થયા હશે: જગતપ્રતાપે જ્યોતિના વારસ માટે રાખેલી તેની માતાની સુવર્ણમુદ્રાનું શું થયું?
શૉને અમને કિશોરના જન્મદિવસ પર તેમના ઘેર કૅલીફૉર્નિયા બોલાવ્યા. અમેરીકાનો મોટો તહેવાર Thanksgiving પણ તે સમયે આવતો હતો. અમે-એટલે હું તથા મારાં પત્નિ ત્યાં ગયા હતા ત્યારે તેણે આ વાત કહી.
તેમણે તેમના વકીલ દ્વારા તપાસ કરાવી કે શાહજહાંનો સિકકો પુરાતત્વ વિશેના કાયદામાં આવે કે કેમ, અને તેવું હોય તો તેને ભારત લઇ જવા માટેની કાયદેસરની વિધિ કરવાની સૂચના આપી. વકીલે તેમના ભારતમાંના એસોસિએટ પાસે તપાસ કર્યા બાદ જણાવ્યું કે આ સિક્કો ક્રિસ્ટી અથવા સોધબી જેવી પ્રતિષ્ઠિત પેઢી પાસે તેનું મૂલ્યાંકન કરી એટલી રકમ રૂપવતિના પરિવારને મોકલવાથી તેમને ઘણી કામ આવી શકશે. ભારતમાં તેની એટલી સારી કિંમત નહિ ઉપજે. શૉને તેનો નિર્ણય રૂપવતી પર છોડવાનું નક્કી કર્યું.
રૂપવતીએ એક પણ પૈસો લેવાનો ઇન્કાર કર્યો. તેને આ સિક્કો પણ નહોતો જોઇતો. “મને મારો ભાઇ મળ્યો અને કિશોરને તેના પિતા. આથી વધુ અમને શું જોઇએ?” તેણે કહ્યું હતું.
“પછી તમે શું કર્યું?”
“અમે સોધબી પાસે તેનું વૅલ્યુએશન કરાવ્યું. તેમણે તેની કિંમત પાંચ આંકડામાં આંકી. અમે તેમાં એટલી જ રકમ ઉમેરી રૂપવતીના નામે ટ્રસ્ટ ફંડ બનાવ્યું અને તેને તેની ટ્રસ્ટી બનાવી.
“આ કામ પતી ગયા પછી જ્યારે અમે અૅડોપ્શનની છેલ્લી સુનાવણી માટે ભારત ગયા ત્યારે અમે આ ટ્રસ્ટના દસ્તાવેજ સાથે લઇ ગયા. ભારત છોડતાં પહેલાં અમે રૂપવતીને આ દસ્તાવેજ આપવાનું નક્કી કર્યું હતું. હું આ બાબતમાં રૂપવતી સાથે વાત કરૂં તે પહેલાં તેણે મને કહ્યું, ‘હું ભુલી જઉં તે પહેલાં એક જવાબદારીમાંથી મુક્ત થવા દે!’ કહી તે અંદરના ઓરડામાં ગઇ અને એક કોતરકામ કરેલો લાકડાનો ડબો લઇ આવી. તેમાંથી તેણે એક સોનાની ચેન, કાનની બૂટીઓ, નોઝ રીંગ અને ચાંદીના ઝાંઝર કાઢ્યા અને હસીને કહ્યું, ‘મારા કિશોરનાં લગ્ન થાય ત્યારે તેની વહુને આ પહેરાવજે. આ તેની માની નિશાની છે.’ આ વાત મારા હૃદયને એવી રીતે સ્પર્શી ગઇ, હું કશું બોલી ન શકી. અમે તેના માટે ટ્રસ્ટ ફંડ બનાવ્યું હતું તેના કરતાં આ વધુ મૌલ્યવાન ભેટ હતી એવું મને લાગ્યા વગર ન રહ્યું,” સુઝને કહ્યું.
*********
અમે લંડન પાછા જવા નીકળ્યા ત્યારે લગભગ આખા પ્રવાસમાં હું આ અદ્ભૂત પરિવારની બિહારમાં શરૂ થયેલી અને ત્યાં જ પૂરી થયેલી પરિક્રમાનો વિચાર કરતો રહ્યો.

Friday, March 25, 2011

પરિક્રમા: સાગરના સંગમ પર...

“સુબેદાર રામ પ્રતાપ સિંહા? કયા ગામના હતા તે યાદ છે?”
“આ વાતને બે-ત્રણ વર્ષ થઇ ગયા તેથી યાદ નથી. જો કે હું તેમની વિગતો મેળવી શકું તેમ છું. ભારતની આર્ટીલરીનું મુખ્ય કેન્દ્ર તથા રેકૉર્ડ ઓફિસ મહારાષ્ટ્રના નાસિક નજીક દેવલાલી કૅમ્પમાં છે. ત્યાંના રેકૉર્ડઝ અૉફિસર મેજર નાયર મારા ક્વાર્ટરમાસ્ટર હતા. તેઓ મને આ માહિતી આપી શકશે. અત્યારે બપોરના ત્રણ થયા છે. તે હજી અૉફિસમાં જ હશે. હું તેમને ફોન કરી જોઉં,” કહી તેઓ ફોન કરવા તેમની લાઉન્જમાં ગયા. થોડી વારે બહાર આવીને તેમણે કહ્યું, “નાયર એકાદ કલાકમાં ફોન કરશે.”
કલાક વિતતાં પહેલાં મેજર નાયરનો ફોન આવ્યો. કર્નલ ચંદ્રાએ તેમની સાથે વાત કરી અને નોંધ કરેલો એક કાગળ લઇને બહાર આવ્યા.
“I have some good news and bad news. ખરાબ સમાચાર એ છે કે સુબેદાર રામ પ્રતાપ સિંહા બે વર્ષ પહેલાં અવસાન પામ્યા.”
“Oh God! After all the effort!!” વિનય બોલ્યો.”હવે સારા સમાચાર કહો તો!
“સારા સમાચાર એ છે કે તેમની એક માત્ર વારસ - નેક્સ્ટ અૉફ કિન તેમની દિકરી છે અને તે પટના રહે છે. તેનું નામ,” કર્નલે કાગળ તપાસીને કહ્યું, “હા, તેનું નામ શ્રીમતિ રૂપવતીદેવી વાઇફ અૉફ રામ અભિલાષ છે. પટનાની નજીક કોઇ નયી કૉલોની વિસ્તારમાં રહે છે.”
“મને ખબર છે આ નયી કૉલોની ક્યાં આવી. પટના-આરા રોડ પર બાટા શૂ ફૅક્ટરીની નજીક છે. It is more or less a slum,” વિનય ઝાએ કહ્યું.
“આપણે કાલે જ તેમને મળીશું. What do you say, Sean?” સુઝને કહ્યું.
“કાલે ક્રિસમસ છે! આથી વધુ સારો દિવસ ક્યો હોઇ શકે?” શૉને કહ્યું. એક બે મિનિટ વિચાર કરી તેણે કર્નલ ચંદ્રાને કહ્યું, “આપને તથા મિસેસ ચંદ્રાને વાંધો ન હોય તો કાલે અમારા મહેમાન થશો તો અમે આભારી થઇશું. કાલે “મૌર્ય”માં મોટી પાર્ટી છે. વિનય, તમે અને તમારા પત્નિ પણ જરૂર આવશો. આપણે એવું કરીએ તો? આપણે બધા અહીંથી સાથે નીકળીએ. હું “મૌર્ય”માં ફોન કરી આપના માટે રૂમ્સ બૂક કરાવી દઉં. સુબેદાર સાહેબની દિકરીને મળવા જઇશું ત્યારે આપ સાથે આવશો તો એક ઉત્સવ જેવું થશે.”
“મને શંકા ફક્ત એક વાતની છે, મોહન ભાઇસાહબ, આટલી માહિતી પરથી એમ કેમ કહી શકાય કે રામ પ્રતાપ સિંહા ઠાકુર જગતપ્રતાપના વંશજ છે?”
“અમુક અંશ સુધી પ્રાસંગીક પુરાવાનો આધાર લઇએ તો આનો જવાબ મારા દાદાજીના સાચવેલા આ પત્રમાંથી મળશે. અમે તામ્રપત્ર સાથે સંકળાયેલા જગતપ્રતાપસિંહના વારસોના જે ખાસ પત્રો આવ્યા, તે અમે સાચવી રાખ્યા હતા. આ પ્રથા શરૂથી જ અમલમાં મૂકાઇ હતી.
“નાયરના ફોન બાદ મેં સંદૂકમાંથી જુના પત્ર કાઢ્યા તેમાંથી રામનરેશ સિંહાએ દાદાજીને લખેલા પત્રમાં ઉલ્લેખ છે. તેમણે લખ્યું હતું કે તેમનો સોળ વર્ષનો પૌત્ર રામ પ્રતાપ તેના વડદાદાની જેમ મિલીટરીમાં જોડાયો છે, તેને તોપખાનામાં ભરતી કરી મોકલવામાં આવ્યો છે,” કહી એક જુનું આઠમા એડવર્ડના સ્ટૅમ્પવાળું પોસ્ટકાર્ડ વિનયને આપ્યું. “શૉન, આ હિંદીમાં છે. વિનય તેનું ભાષાંતર કરી આપશે.”
“તો પછી તમે શું નક્કી કર્યું? તમે બધા આવશો તો અમને ઘણી ખુશી થશે,” સુઝને કહ્યું.
“અમે તમારા આતિથ્ય પર impose નથી....”
“ના રે! અમને તો ખુશી થશે.”
અંતે તેઓ પટના જવા તૈયાર થયા. પટના જવાનું થાય ત્યારે કર્નલ તથા તેમનાં પત્નિ વિનયકાંતને ઘેર જ ઉતરતા. તેમણે નક્કી કર્યું કે સવારે તેઓ “મૌર્ય”માં શૉનને મળશે. પહેલી વાર રૂપવતીને મળવાનું હોવાથી ઔપચારીકતા જાળવવા તેમણે તેના માટે મોંઘી સાડી અને તેના પતિ માટે ઘડીયાળ ખરીદવી. રૂપવતીને કેટલા બાળક હતા તેની જાણ ન હોવાથી તેમના માટે મિઠાઇઓ લેવાનો વિચાર કર્યો.
સવારે સુઝને હોટેલના કૉન્સીએર્જને તપાસ કરવા કહ્યું કે રામ અભિલાષને ફોન જોડી આપે. તેને જણાવવું જરૂરી હતું કે છ-સાત વ્યક્તિઓ તેમને મળવા સવારે આવવાના છે. કૉન્સીએર્જ ભલો માણસ હતો. તેણે તપાસ કરીને કહ્યું, “મૅડમ, આ નામ પર કોઇ કનેક્શન નથી. સાચું કહું તો નયી કૉલોનીમાં કોઇને ત્યાં ટેલીફોન નથી. ત્યાં એક કૉલબૂથ છે. ત્યાં તપાસ કરી જોઉં.” તપાસ કરતાં બૂથના માલિકે કહ્યું કે હા, કૉલોનીમાં રામ અભિલાષ રહે છે પણ તેને બોલાવી શકાય તેમ નથી. અંતે તેમણે ત્યાં ખબર કર્યા વગર જવાનું નક્કી કર્યું. આ વાતો ચાલતી હતી તેવામાં ઝા અને ચંદ્રા દંપતિ ત્યાં આવી પહોંચ્યા. તેમની પાસે તેમની પોતાની કાર હતી, પણ સુઝને હોટેલ દ્વારા બે મોટરકારની વ્યવસ્થા કરી. પહેલાં તેમણે ખરીદી કરી અને નયી કૉલોની જવા નીકળ્યા.
આરા રોડ પર બાટા ફૅક્ટરીથી આગળ ગયા ત્યાં રસ્તાની બન્ને બાજુએ દુકાનો જોઇ. પહેલી મોટરમાં કર્નલ, વિનય અને શૉન હતા. તેમની પાછળ સ્ત્રીઓ. શૉફર આ રસ્તાથી પરિચિત હતો, જો કે અંદરની ગલીઓથી સાવ અણજાણ. તેણે એક ચ્હાની દુકાન પાસે મોટર રોકી પુછ્યું, “ભૈયા, રામ અભિલાષ ક્યાં રહે છે?”
“રામ અભિલાષ? પેલો બાટા શૂ ફૅક્ટરીમાં બાબુ છે એ તો નહિ?”
“ભાઇ એ તો અમે નથી જાણતા, પણ તેમની પત્નિનું નામ રૂપવતી છે.”
“અરે ભૈયા, એવું બોલોને! એ તો અમારા કિશોરની બુઆ છે. એવું કરો, આ... ડાબી બાજુની ગલીમાં વળી જાવ અને..”એટલામાં ત્યાં એક ટોળું ભેગું થઇ ગયું. તેમાંનો એક યુવાન સાઇકલ સાથે હતો, તેણે કહ્યું, “ડરાઇવરસા’બ, મારી પાછળ આવો. હું તમને રુબ્બતીચાચીને ઘેર પહોંચાડીશ. મારી પાછળ તમારી મોટરને રેસ મારો!” કહી મોટરની આગળ થઇ ગયો અને ઝડપથી સાઇકલ મારી મૂકી. જતાં જતાં તે મોટેથી જાહેરાત કરતો હતો, “સાંભળો, રુબ્બતીકાકીને મળવા ગોરી મેમસાબ અને બડા સાબલોગ આવ્યા છે, બાજુ ખસો!”
રસ્તા સાંકડા હતા તૈથી મોટર જરા ધીમે ધીમે જવા લાગી. મહોલ્લાના લોકો કુતૂહલથી મોંઘી મોટર અને તેમાં બેસેલા પૅસેન્જરોને જોવા રસ્તાની બન્ને બાજુએ લાઇનબંધ થઇ ગયા.
“અરે જમની, જસોદા, આમાંની પેલી મેમ જોઇ? કેટલી રૂપાળી છે!”
અંતે સાઇકલવાળો રૂપવતીના બેઠા ઘાટના કમ્પાઉન્ડવાળા મકાન પાસે ઉભો રહ્યો. ડેલીનો દરવાજો અર્ધો ખુલ્લો હતો તેને ધકેલી મોટેથી બુમ પાડી, “રૂબ્બતી કાકી હમ રવિશંકર હૈં. તમારે ઘેર મહેમાન આવ્યા છે. બહુ મોટા માણસો છે. તેમની સાથે એક ગોરી મેમસાબ પણ છે.”
કર્નલે શૉન અને સુઝનને આગળ કર્યા, અને તેમનો પરિવાર તેમની પાછળ ઉભા રહ્યા.
એટલામાં મકાનની અંદરથી રણકતો અવાજ આવ્યો, “કૌન હૈ ભૈયા? હમરા કોનુ મહિમાન નાહિ...” અને આખું બારણું ખોલ્યું. તેની સામે શૉન ઉભો હતો. તેને જોઇ તે હેબતાઇ ગઇ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. શૉન પરથી તેની નજર હઠતી નહોતી. અચાનક તેનો હાથ તેની છાતી પર ગયો અને અસ્ફૂટ સ્વરે બોલી ઉઠી, “હાય રામ! ભૈયાજી આપ?” અને તેના હોશ ઉડી ગયા. સુઝન નજીક હતી તેણે તરત આગળ વધી તેને સંભાળી લીધી. “ભૈયાજી તો...”
હવે કર્નલ આગળ આવ્યા. તેમણે કહ્યું, “બહેનજી, તમે શું કહો છો તે અમે કોઇ સમજી શકતા નથી. તમારા મહેમાન અમેરીકાથી આવ્યા છે. અમે અંદર આવીએ? તમને બધી વાત સમજાવીશું.”
રૂપવતીએ પોતાની જાતને સંભાળી લીધી અને સહુને ડેલીની અંદર આવવાનું કહ્યું. તેની પાછળ બે છોકરીઓ હતી. તેઓ કમ્પાઉન્ડમાં આવ્યા. મહેમાનોને જોઇ તે અંદર દોડી ગઇ અને મહેમાનોને બેસવા માટે મુંઢાની તિપાઇ ગોઠવવા લાગી. એટલામાં બહારથી એક છોકરો દોડતો આવ્યો. હાંફતા અવાજે તે બોલ્યો, “બુઆ, મેં સાંભળ્યું કે કોઇ મહેમાન આવ્યા....” અને શૉનને જોઇ તે સ્તબ્ધ થઇ ગયો. તેની વાચા બંધ થઇ ગઇ. “બાબુજી, આપ?” તે માંડ માંડ બોલ્યો. બે-એક સેકંડ બાદ તેનો ચહેરો ખુશીના હાસ્યથી છલકાઇ ગયો. “તો સાન્ટા આખરે તમને લઇ આવ્યો!”
શૉન અને સુઝન આ જોઇને અવાચક થઇ ગયા.કોઇ અદ્ભૂત, ન સમજાય તેવો અલૌકિક બનાવ બની રહ્યો હોય તેવું તેમને લાગ્યું. તેમણે કર્નલ તરફ જોયું. કર્નલે માથું હલાવ્યું, જાણે કહેતા હોય કે હું પણ તમારી જેમ દિઁગમૂઢ થયો છું.”
અહીં રૂપવતીની દિકરીઓએ એક ચારપાઇ બીછાવી અને ચાર મૂંઢા ગોઠવ્યા. મહેમાનો બેઠા અને મિસેસ ચંદ્રાએ વાતનો દોર પકડ્યો.
“રૂપવતી બહેન, તમે જે કહ્યું અને આ બાળકે જે વાત કરી તે અમને સમજાવશો? તમારા મહેમાન પહેલી વખત ભારત આવ્યા છે. કદાચ તમારા દૂરના સગા વહાલા હોય એવી ધારણા છે તેમની.”
“શું કહું બહેનજી! મારા ભાઇ બે વર્ષ પહેલાં ગુજરી ગયા. ડાકુઓની ગોળીથી મારાં ભાભી અને ભાઇ રામેશ્વર બન્નેનું અવસાન થયું હતું. આ સાહેબ આવ્યા છે તે આબેહુબ મારા ભાઇ જેવા દેખાય છે. એ જ કાઠી, એવી જ ઉંચાઇ, એ જ ચહેરો અને ટટ્ટાર ઉભા રહેવાની લઢણ પણ એ જ. તેમને જોઇ હું ચકરાઇ ગઇ. જેમનું અંત્યદર્શન કર્યું હોય તે અચાનક સામે આવે તો તમને પણ કેવું લાગે? આ સાહેબમાં ભાઇમાં એક જ ફેર છે. ભૈયાજી મૂછ રાખતા હતા. આ સાહેબને નથી.”
કર્નલે બાળકને બોલાવ્યો. “અહીં આવ બેટા. હમણાં તેં શું કહ્યું તે અમને સમજાવ તો! સાન્ટા વિશે તું શું કહેતો હતો?”
“ગયા વરસની કિસમીસમાં મેં સાન્ટાને ખાસ કહ્યું હતું. તું બધા બાળકોને તેમની મનગમતી ચીજ ભેટમાં આપે છે. મને મારા બાબુજી જોઇએ. આવતી કિસમીસમાં મારા બાબુજીને લાવી આપ. મેં બજરંગ બલીને પણ વિનંતિ કરી હતી. સાન્ટા બહુ દૂર - ઉત્તર ધ્રુવથી આવે છે. અહીંની ગલીઓમાં ખોવાઇ ન જાય તેથી તમે તેને રસ્તો બતાવજો. આજે બન્ને જણાએ મારી માગણી પૂરી કરી!”
કર્નલે આ વાત શૉન અને સુઝનને કરી. તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો.
“આવો coincidence થઇ શકે છે?” મિસેસ ચંદ્રાએ પૂછ્યું.
“હા. મેન્ડેલ નામના નૃવંશ શાસ્ત્રીએ ઉંડા અભ્યાસ બાદ તારવ્યું હતું કે સામાન્ય રીતે એક વ્યક્તિના અમુક કે ખાસ કેસીસમાં બધા શારીરિક લક્ષણો તેની ત્રીજી કે ત્યાર પછીની પેઢીના સંતાનમાં હૂબહુ જોવા મળે તે બનવા જોગ છે. આ એક અજબ કોઇન્સીડન્સ છે.”
બુઆ તથા મહેમાનો વાત કરતા હતા તેવામાં કિશોર એક મિનીટ માટે ત્યાંથી છટકી ગયો. તેને જોવું હતું કે સાન્ટાનો રથ કે હનુમાનજીની કોઇ નિશાની તો ત્યાં નહોતી?
બહાર ફક્ત ચળકતી બે મોટર હતી. મોટર પર કંપનીનું નામ હિંદી અને અંગ્રેજીમાં સોનેરી અક્ષરોમાં લખાયું હતું. “સન્તા સિંઘ અૅન્ડ કંપની.” તે આ વાંચતો હતો ત્યાં ગાડીનો ચાલક આવ્યો અને હસીને પૂછ્યું, “બચ્ચા, તારે બેસવું છે ગાડીમાં?”
કિશોરે માથું હલાવીને ના કહી. અચાનક તેની નજર શૉફરના લાલ રંગના યુનિફૉર્મના ખિસ્સાની ઉપરની બાજુએ ચળકતી તેની નેમ-પ્લેટ પર પડી. તેમાં હિંદી અને અંગ્રેજીમાં ડ્રાઇવરનું નામ લખ્યું હતું.
“અંજનિ કુમાર સિંહ”

પરિક્રમા: પગરવનો અસ્પષ્ટ ધ્વનિ

વિનયે વાત ચાલુ રાખી.
“આ સમગ્ર વાત પંડિતજીએ રૂપક તરીકે લખી. હું તેનું વિશદ વર્ણન નહિ કરૂં. કેવળ મુદ્દા કહીશ,” કહી તેણે બ્રીફકેસમાંથી બે જુના બાઇંડર કાઢ્યા. તેમાં કેટલાક ‘બુકમાર્ક્સ’ રાખ્યા હતા.
“પ્રાસ્તાવિક બાદ તેમણે જગતપ્રતાપસિંહ સાથેની પ્રથમ મુલાકાતની વાત લખી. જગતપ્રતાપે તેમને નાનાજીના સંદેશની સાથે તેમણે બિહારના સૈનિકોના વિદ્રોહની હકીકત જણાવી અને કહ્યું કે કંપની સરકારના પ્રતિશોધમાં જનતા ઘણું વેઠશે.
“પંડિતજીને જાણ નહોતી કે ઠેઠ દાનાપુર સુધી બળવો પહોંચી ગયો છે. આરા પર ગોળીબાર કરનારા વિદ્રોહીઓ હતા તે સાંભળી તેઓ તરત સમજી ગયા કે તેનો દાહ આમ જનતા સુધી પહોંચે તે પહેલાં તેમણે સરકારી નોકરીનો સ્વીકાર કરવો સારો. આરાનો ઘેરો ઉઠાવી વિદ્રોહીઓ નીકળી ગયા બાદ તેમણે સ્થાનિક કમાંડરનો સંપર્ક સાધ્યો. તેમને કલકત્તાથી પંડિતજીની સહાયતા કરવા અંગેનો પત્ર મળી ગયો હતો તેથી તેમને કલકત્તા જવામાં અનુકૂળતા થઇ.
“ત્યાર પછી ૧૮૬૦ની ૨૦મી ફેબ્રુઆરી ૧૮૬૦ની વાત તેમણે વિસ્તારથી લખી. તે દિવસે તેમની કચેરીના ચપરાસીએ કહ્યું કે તેમને મળવા સલીઆધારથી રામપ્રસાદ આવ્યા છે, તેઓ તરત જાણી ગયા કે જગત તેમને મળવા આવ્યા હતા.”
“વચ્ચે બોલવા બદ્દલ ક્ષમા માગું છું,” સુઝને કહ્યું. “ સલીઆધાર શબ્દનું મહત્વ શું છે?”
“આ નૌનદી પાસેનું સ્થળ છે જ્યાં થયેલા યુદ્ધમાં અમરસિંહને બચાવવા બ્રીજનારાયણજીએ ભાલાનો ઘા ઝીલ્યો હતો. આ વાત ઠાકુર જગતપ્રતાપ અને રાજા અમરસિંહ સિવાય બીજું કોઇ જાણતું નહોતું. નાનાજીના અવશેષ વિસર્જન બાદ ઠાકુરે આ શબ્દ પંડિતજીને તથા કૃષ્ણનારાયણજીને ‘પાસ વર્ડ’ તરીકે નોંધવા કહ્યું હતું,” કર્નલે કહ્યું.
વિનયે શરૂ કર્યું, “તે દિવસે કલકત્તામાં ‘રામપ્રસાદ’ તેમને ખાસ કહેવા ગયા હતા કે તે તેમની પત્નિ અને ઉદય - જેનું નામ તેમણે બદલીને નારાયણ રાખ્યું હતું, તેમને લઇ બીજા દિવસે પરોઢિયે ગયાના જઇ રહ્યા હતા. તેમણે પંડિતજીને જણાવ્યું કે પોલિસ તેમનો સગડ લઇને મુંઘેર સુધી પહોંચી ગઇ હતી તેથી તેમને જ્યોતિ પ્રકાશને છોડી જવો પડ્યો હતો. તેમણે પંડિતજીને વિનંતિ કરી કે તેમની અનુકૂળતા મુજબ જ્યોતિના મામા રામ અવધનો સંપર્ક સાધી તેને જણાવે કે વહેલામાં વહેલી તકે જગતપ્રતાપ જ્યોતિને બ્રિટીશ ગયાના બોલાવી લેશે.
“ ૧૮૬૦ના અંતમાં દેશમાં શાંતિ સ્થપાઇ અને મહારાણી વિક્ટોરિયાની અૅમ્નેસ્ટીનો અમલ થવા લાગ્યો, પંડિતજી ખુદ ભાગલપુર ગયા. ત્યાં તેમને જાણવા મળ્યું કે રામ અવધ તેના પરિવાર સાથે અચાનક ગુમ થઇ ગયો હતો.
“એક વાત કહેવાની રહી ગઇ! જગત અને શરનરાનીનાં લગ્ન તથા તેમના પુત્રોના જન્મ બાદ તેઓ રિસાલદારસાહેબના ભાઇને મળવા જતા. બે ત્રણ વાર તેઓ રામ અવધને પણ સાથે લઇ ગયા હતા અને પંડિતજી સાથે ઓળખાણ કરાવી હતી. ત્યાર પછી જ્યારે પણ રામ અવધને આરા કે મુંઘેર જવાનું થતું, શિરસ્તા પ્રમાણે મોટેરાંઓને રામરામ કરવા પાંડે પરિવાર કે પંડિતજીને મળવા જતા. આમ તેમની વચ્ચે સંબંધ અને સંપર્ક હતો.
“પંડિતજીને કૃષ્ણનારાયણજીએ પત્ર લખીને જણાવ્યું હતું કે ભાગલપુર છોડતાં પહેલાં રામ અવધે તેમને જણાવ્યું હતું કે જગતની શોધમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી હતી. તેના - અને શરનરાનીના પિતા રામ દયાલને આ વતનો એવો આઘાત લાગ્યો, તેઓ મૃત્યુ પામ્યા. અહીં રામ અવધને ડર હતો કે પોલિસ તેને, તેના પરિવારને તથા જ્યોતિને ગિરફતાર કરીને ક્યાંક કાળાપાણી ન મોકલી દે. તેના દૂરના સગા ભાગલપુરના સરકારી મહેકમામાં કામ કરતા હતા. તેમને ખબર મળી કે રામ અવધને પૂછપરછ માટે પકડવા માટેના આદેશ પટનાથી આવ્યા હતા. તે પોલિસ ખાતાને પહોંચે તે પહેલાં રામ અવધ બિહાર છોડીને જતો રહ્યો.”
“આ કેવી રીતે થયું?” શૉને પૂછ્યું.
“જેમ બિહારમાંથી વેસ્ટ ઇંડીઝ, ફિજી, મૉરીશસ માટે ગિરમીટીયાની ભરતી થતી હતી, આસામના ચ્હાના બગીચા માટે પણ મોટા પ્રમાણમાં ભરતી થતી હતી. આ માટે કાગળ પત્રની જરૂર નહોતી, તેથી રામ અવધ આસામની એક ટી એસ્ટેટમાં ચાલ્યો ગયો. દસ કે બાર વર્ષે તેને સમાચાર મળ્યા કે જગતને ગદરમાં મરી ગયેલો સમજી તેની સામેનાં વૉરંટ રદ થયા હતા. રામ અવધ પાછો ભાગલપુર ગયો. આસામથી તે પહેલાં કલકત્તા આવ્યો અને પંડિતજીને મળ્યો. તે સમયે જ્યોતિ સોળ વર્ષનો યુવાન હતો. પંડિતજી તેમને ઘેર લઇ ગયા અને જ્યોતિની મુલાકાત પાર્વતિદાદી સાથે કરાવી. ત્યારથી તે તેમને ‘બુઆજી’ કહીને બોલાવતો થયો.
“પંડિતજીએ તરત જગત-રામપ્રસાદને પત્ર લખ્યો કે જ્યોતિ મળી ગયો છે, પણ દસેક મહિના બાદ પત્ર પાછો આવ્યો. ત્યાં રામ પ્રસાદ નામનો કોઇ કુલી નહોતો.”
“હા, તે સમયે અમારા દાદાજી ગયાના છોડી ટ્રિનીડૅડ ચાલ્યા ગયા હતા,” શૉને કહ્યું.
“ખેર, જ્યોતિએ પાંડે તથા ઝા પરિવાર સાથે થોડો સમય સંપર્ક ચાલુ રાખ્યો. પંડિતજી રિટાયર થયા બાદ પટનામાં સ્થાયી થયા. જ્યોતિ તેના કામમાં વ્યસ્ત થયો અને સંપર્ક ઓછો થતો ગયો. એક દિવસ છઠ પૂજાના તહેવારમાં અચાનક જ્યોતિ તેમને મળવા આવ્યો. આ વખતે કૃષ્ણનારાયણ, તેમનો મોટો પુત્ર અને પરિવાર આ તહેવાર માટે પટનામાં ભેગા થયા હતા. જ્યોતિ સાથે તેની પત્નિ અને ત્રણ વર્ષનો પુત્ર હતો, રામ નરેશ. આ વખતે બન્ને પરિવારોએ જ્યોતિનું સરનામું લખી લીધું. અમારે ત્યાં લગ્ન પ્રસંગ અને અન્ય મહત્વના પ્રસંગોમાં જેમની હાજરી અનિવાર્ય ગણાય છે, તેમની ખાસ જુદી સૂચિ રાખવામાં આવે છે. તેમાં જ્યોતિ અને રામ નરેશનાં નામ - સરનામાં લખવામાં આવ્યા. ત્યાર પછી દિવાળી, છઠ પૂજા, લગ્ન પ્રસંગે જ્યોતિ પ્રકાશ સિંહાનો પરિવાર અમારા બન્ને પરિવારોમાં આવતા રહ્યા. રામ નરેશ યુવાન વયનો થયો ત્યાં સુધી અમારે ત્યાં આવતો રહ્યો. ત્યાર પછી કેવળ પત્ર દ્વારા અમારા સંપર્કમાં રહ્યો,” વિનય ઝાએ કહ્યું.
હવે કર્નલ મોહન ચંદ્ર વાતમાં જોડાયા.
“અહીં એક અજબ સંયોગની વાત કરીશ. ભારતીય સેનામાં ઘણી જુની પ્રથા છે, જેમાં અફસરો અને જવાનો ખાસ પ્રસંગે સમૂહ ભોજનમાં ભાગ લેતા હોય છે. આને અમારી ફૌજી ભાષામાં ‘બડા ખાના’ કહેવાય છે. મારી રેજીમેન્ટના સુબેદાર રિટાયર થયા હતા અને તેમના માનમાં બડા ખાનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા પ્રસંગે નિવૃત્ત થનાર સુબેદાર કે નાયબ સુબેદાર કમાંડીંગ અફસરની જમણી બાજુએ, માનના સ્થાન પર બેસે. ભોજન બાદ અપાતા વિદાય સંદેશ બાદ સુબેદારે તેમના વક્તવ્યમાં કહ્યુ કે તેમના માટે ફક્રની વાત હતી કે તેમના એક પૂર્વજે અમારા પૂર્વજના હાથ નીચે ૧૮૫૭ના ગદર વખતે કૅવેલ્રી રેજીમેન્ટમાં નોકરી બજાવી હતી અને તેમને ખુદને મારા કમાંડ હેઠળ સેવા બજાવવાનો મોકો મળ્યો હતો.
“આ વાત તેમણે મારા કમાંડ દરમિયાન મારી સાથે કદી કરી નહોતી. બીજા દિવસે રેજીમેન્ટ છોડતી વખતે તે મને આખરી સલામ કરવા મારી અૉફિસમાં આવ્યા ત્યારે મેં કુતૂહલવશ તેમને પૂછ્યું. સુબેદાર સાહેબ જુની પરંપરાના સિપાહી હતા. અમારી રેજીમેન્ટના અફસરો સાથે તેમણે હંમેશા અદબ અને અંતર જાળવી રાખ્યું હતું. અફસરો પણ તેમને ઘણું માન આપતા કારણ કે તેમણે ૧૯૬૫ની લડાઇમાં અમારી રેજીમેન્ટ માટે પહેલું વીર ચક્ર જીત્યું હતું. તેમણે એટલું જ કહ્યું. ‘સાહેબ, વધુ તો હું કશું જાણતો નથી. સોળ વર્ષની વયે હું ફોજમાં ભરતી થયો ત્યારે મારા દાદાએ મને કહ્યું કે આપણા ‘પૂરખા’ બાદ ફોજમાં ભરતી થનાર હું પહેલો યુવાન થયો તેનું તેમને અભિમાન છે. અમારા પૂર્વજને મુંઘેરના જમીનદાર પાંડે સાહેબે ભરતી કર્યા હતા અને અમારો પરિવાર તેમનો ઘણો અહેસાનમંદ છે. આથી વધુ હું કશું જાણતો નથી.’
“સુબેદાર સાહેબની ટ્રેનનો સમય થયો હતો તેથી તે મને સૅલ્યૂટ કરી નીકળી ગયા. સમય જતાં વાત ભુલાઇ ગઇ.”
“તમને આ સુબાહડારનું નામ યાદ છે?” શૉને પૂછ્યું.
“હા. તેમનું નામ સુબેદાર રામ પ્રતાપ સિંહા હતું.”

Wednesday, March 23, 2011

પરિક્રમા: નવી પેઢી સાથે મુલાકાત

રાજીવ પ્રસાદ તરફથી ખબર મળે ત્યાં સુધી શૉન તથા સુઝને પોતાની રીતે શોધ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ મુંઘેરની ટેલીફોન ડીરેક્ટરીમાં જેટલા પાંડે હતા તેમને ફોન કર્યો. નેવું ટકાથી વધુ લોકો પાસે નાની-મોટી મિલ્કતો હતી. સો એકર જેવી જમીનોના માલિક કોઇ નહોતા. વળી તેમાંથી કોઇના પૂર્વજ કૃષ્ણનારાયણ કે બ્રીજનારાયણ નહોતા. તેમનું હૈયું બેસી ગયું. શશી રંજન પોસ્ટ-ગ્રૅજ્યુએટ વિદ્યાર્થી હતો અને ઘણી વાતોથી વાકેફ હતો. તેણે કહ્યું કે મુંઘેરના મતદાર રજીસ્ટરમાં તપાસ કરવાથી કદાચ મદદ મળે, પણ તેમાં એટલા પાંડે મતદારો હશે કે દરેકને મળી તપાસ કરવામાં મહિનાઓ નીકળી જાય. એવું જ ઝા પરિવારો માટે હતું. ફક્ત એક શક્યતા એવી હતી કે મુંઘેરના પાંડે અને આરાના ઝા પરિવારોના એક્સ-ડાયરેક્ટરી ટેલીફોન નંબર હતા, તેથી તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો. મતલબ સાફ હતો: આ બન્ને પરિવારો મુંઘેર અને આરામાં મોજુદ હોવાની શક્યતા છે.
ભારત આવતાં પહેલાં તેમણે તેમને મળેલા સુવર્ણના સિક્કા અને બાબુ કુંવરસિંહના ખંજરની પોલરોઇડ છબીઓ લીધી હતી. આ લઇ તેઓ પટના મ્યુઝીયમ ગયા. ત્યાંના ક્યુરેટર છબીઓ જોઇને આશ્ચર્ય પામ્યા. આવા જ સિક્કા તેમના સંગ્રહસ્થાનમાં હતા, અને તે તેમણે બતાવ્યા પણ ખરા. મોગલકાલિન સિક્કાની છબીઓ તથા તેના પર કોતરેલા ફારસી શબ્દ અને અન્ય ચિહ્નો જોઇ કહ્યું કે તેમની દૃષ્ટીએ તે અસલ હોવા જોઇએ. જો કે જાતે તપાસ્યા વગર તેની તસદીક કરવી મુશ્કેલ છે. આર્કીયોલૉજીકલ સર્વે અૉફ ઇન્ડીયાની અૉફિસ નજીક જ હતી. ત્યાંના ડાયરેક્ટરે એવો જ અભિપ્રાય આપ્યો. કુંવરસિંહના ખંજર વિશે તેમણે કહ્યું કે જગદીશપુરમાં તેમની યાદગિરીનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે. ત્યાંથી જરૂરી માહિતી મળી શકશે.
બીજા દિવસે તેઓ જગદીશપુર અને આારા જઇ આવ્યા. જગદીશપુરના સંગ્રહસ્થાનમાં બાબુ કુંવરસિંહની વસ્તુઓ પર એવું જ રાજચિહ્ન હતું જે જગતસિંહને અપાયેલા ખંજર પર હતું.
મોડી સાંજે તેઓ પાછા આવ્યા ત્યારે તેમના માટે રાજીવ પ્રસાદનો સંદેશ હતો.
“તમારા માટે બે સકારાત્મક સંકેત મળ્યા છે. તમે મને કાલે સાંજે મળવા આવી શકો?”
*********
રાજીવને પ્રથમ સફળતા મળી તે ગયામાં.
પંડિત વિદ્યાપતિ તેમના જમાનામાં આરાના પ્રખર વિદ્વાન ગણાતા. ગયાના ગયાવળ બ્રાહ્મણ સમાજના હાલના અધિષ્ઠાતાના પૂર્વજોનો ઝા પરિવાર સાથે સારો સંબંધ હતો. રિસાલદાર પાંડેના વિસર્જનનો વિધિ પંડાજીના પરિવારે કરેલો. ત્યાર પછીના પારિવારીક સંસ્કાર માટે પેઢી દર પેઢી તેમને ત્યાંજ જતા હોવાથી તેની પાસે બન્ને પરિવારો - ઝા તેમજ પાંડે-ની વંશાવળી તેમની પાસેથી મળી. છેલ્લી કેટલીક પેઢીઓથી ઝા પરિવાર આરા છોડી પટના આવી વસ્યો. તેમના વંશના સૌથી મોટા સદસ્ય વિનયકાંત ઝા પટનાની આર્ટસ્ કૉલેજના પ્રિન્સીપલ હતા. તેમના અન્ય ભાઇઓ દિલ્લી, કલકત્તા જેવા શહેરોમાં વસ્યા હતા.
પાંડે પરિવાર સાથેનો સંપર્ક વિચિત્ર સંજોગોમાં થયો.
મુંગેરના ડીએમ અજીત ચક્રવર્તિ ત્યાંના સ્થાનિક ક્લબમાં નિયમિત જતા. ત્યાં તેમના બ્રિજના પાર્ટનર આર્ટીલરી રેજીમેન્ટના રિટાયર્ડ કર્નલ મોહન ચંદ્રા હતા. રાજીવ પ્રસાદ સાથે અજીત ચક્રવર્તિની વાત થયા બાદ તે સાંજે તેમણે કર્નલ ચંદ્રાને પૂછ્યું, “તમે અહીંના મોટા જમીનદાર છો. તમારા જમીનદારોના નેટવર્કમાં કોઇ પાંડે પરિવાર છે?”
“કેમ? કોઇ ખાસ વાત?”
“ખાસ કહેવાય તેવી છે. એક અમેરીકન એનઆરઅાઇ તેના પૂર્વજોની શોધમાં આવ્યો છે અને અમારા બૉસનો ખાસ સંબંધી છે. તે કોઇ બ્રિજ નારાયણ અને તેમના નાનાભાઇ કૃષ્ણનારાયણ પાંડેના વંશજોને શોધે છે. આ જુનું ખાનદાન ફૅમિલી છે અને બ્રિજ નારાયણ પાંડે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇન્ડીયન અૉફિસર હતા.”
“તમારા બૉસના સંબંધીનું શું નામ છે?”
“ડૉ. શૉન પરસૉદ. તેમના કહેવા મુજબ તેમના વડવા રામ પરસૉદ ફિફ્થ ઇરેગ્યુલર કૅવલ્રીમાં રિસાલદાર બ્રિજ નારાયણના હાથ નીચે નૉન કમીશન્ડ અૉફિસર હતા.”
“Let me see!” કર્નલ વિચારમાં પડી ગયા. “હું તપાસ કરીને તમને કાલે કહી શકીશ.”
બીજા દિવસે બપોરે કર્નલ ચંદ્રાએ ચક્રવર્તિને ફોન કરીને કહ્યું, “You are in luck. તમારા બૉસને કહો તેમના મહેમાનની મુલાકાત હું કૃષ્ણનારાયણના ચોથી પેઢીના વંશજ સાથે કરાવી શકીશ. કાલે શનિવારે તેઓ અમારે ઘેર આવી શકશે? તેમને કહેજો લંચ અમારે ત્યાં જ કરે. પાંડે પરિવારના નુમાઇંદા અમારે ત્યાં આવી જશે. તમે પણ અમારે ત્યાં આવી શકો છો.”
“માફ કરશો, કાલે અમારો ઘણો વ્યસ્ત દિવસ છે. આખો દિવસ એક પછી એક મિટીંગ છે.”
“ડૉ. પરસોદને મારો ટેલીફોન નંબર આપી કન્ફર્મ કરવાનું કહેશો, પ્લીઝ? હું તેમને ડાયરેક્શન્સ આપીશ.”
તે સાંજે શૉને કર્નલ સાથે ટેલીફોન પર વાતચીત કરી અને મુલાકાત નક્કી કરી. “કર્નલ, આપ જાણતા હશો કે મારાં પત્નિ મારી સાથે છે. એક વિનંતિ કરવાની. મારી સાથે એક મહેમાન આવે તો ચાલશે? તેમનું નામ પ્રૉફેસર ઝા છે અને આપને ઓળખે છે.”
“હા, ગઇ કાલે જ તેમનો મને ફોન આવ્યો હતો. તેમને ઘણા દિવસે મળવાનું થશે તેથી તેઓ આવશે તો અમને ખુશી થશે.”
શૉને તેની હૉટેલ દ્વારા દસ દિવસ માટે એક કાર ભાડે કરાવી હતી. તેમનો યુવાન શૉફર કુશળ ડ્રાઇવર હતો. બીજા દિવસે વહેલી સવારે તેમને અને વિનયકાંત ઝાને લઇ, પાંચ કલાકના મોટર પ્રવાસ બાદ પરસૉદ પરિવાર તથા વિનય અને તેની પત્નિ કર્નલના બંગલા પર પહોંચ્યા. ડિસેમ્બરનો મહિનો હતો અને સૂર્યના કોમળ તડકામાં લૉન પર ઓરિસ્સાની ભરતકામ કરેલી એક મોટી છત્રી ખોડેલી હતી અને તેની નીચે આઠે’ક મુંઢાની ખુરશીઓ સાઇડ ટેબલની સાથે ગોઠવી હતી. બાજુમાં એક ફોલ્ડીંગ ટેબલ પર સ્વચ્છ સફેદ ટેબલક્લૉથ હતું અને તેના પર જાતજાતનાં પીણાં રાખ્યા હતા. કર્નલના બે વૃદ્ધ પણ સ્માર્ટ પોશાકમાં સજ્જ કામદાર ઘણું કરીને રિટાયર્ડ ફૌજી હતા. ખુરશીમાં બે પ્રૌઢ વ્યક્તિઓ, કર્નલનાં પત્નિ બેઠાં હતા. કર્નલ તેમનું સ્વાગત કરવા ગયા ત્યારે વિનય અને તેનાં પત્નિએ તેમને ઝુકીને પ્રણામ કર્યા તેથી શૉનને નવાઇ લાગી. બિહારની આ સામાન્ય પ્રથા હતી એવું તેમને લાગ્યું. સુઝન બૌદ્ધ હતી તેથી તે ‘નમસ્તે’થી વાકેફ હતી.
કર્નલે તેમનો પરિચય હાજર વ્યક્તિઓ સાથે કરાવ્યો, અને શૉનને પાંડે પરિવારને મળવા આવવાનું ખાસ પ્રયોજન પૂછ્યું.
શૉન તથા સુઝને તેમને પૂરી વાત કહી અને પૂછ્યું, “પાંડે પરિવારના હાલના મુખ્ય સદ્ગૃહસ્થ ક્યારે આવશે?”
કર્નલે સ્મિત સાથે કહ્યું, “એ વ્યક્તિ હું જ છું. મારૂં પૂરૂં નામ મોહન ચંદ્ર પાંડે છે.”

પરિક્રમા: વિલક્ષણ ઓળખપત્ર.

“અમારા મોટા બાપુજી કૃષ્ણનારાયણજીએ અમારા માટે જે જવાબદારી મૂકી છે તેનું પાલન કરવા માટે અમારે પૂરી ચોકસાઇ રાખવી જરૂરી હતી. ઠાકુર જગતપ્રતાપસિંહ સાથે અમારા જે સંબંધ હતા તેને અમે પવિત્ર ગણી વંશપરંપરાથી સંવેદનશીલતાપૂર્વક જાળવી રાખ્યા છે. આથી આપને પ્રત્યક્ષ મળ્યા બાદ, આપની પૂરી વાત સાંભળ્યા બાદ અમે અમારી જવાબદારી નિભાવવા માગતા હતા. તેથી જ્યારે વિનયનો મને ફોન આવ્યો, મેં તેને સૂચના આપી હતી કે તેની પાસે જે માહિતી છે, તે અહીં આવ્યા બાદ અમે બધા મળીને તમારી સાથે share કરીશું. અહીં જે હાજર છે તે મારા પરિવારના જ સદસ્યો છે. આમાંના એક મારા નાના ભાઇ કેશવ ચંદ્ર છે અને બીજા મારા પિત્રાઇ ભાઇ હરિશંકર પાંડે છે. વિનય અમારી ફોઇ પાર્વતિદેવી અને પંડિત વિદ્યાપતિ ઝાનો વંશજ છે.
“હવે ફક્ત બે વાતો તપાસવાની છે. તમારી પાસે કોઇ એવી વસ્તુ છે જે ઠાકુરસાહેબને અમારા તરફથી આપવામાં આવી હતી?”
જવાબમાં સુઝને તેની પર્સમાંથી બબલ-રૅપવાળું પાકીટ કાઢ્યું અને તેમાંથી ટિશ્યુપેપરમાં લપેટેલું તામ્રપત્ર કર્નલને આપ્યું. તેમણે તે જોયું અને વિનયને આપ્યું.
“Goodness god! અા હજી અસ્તિત્વમાં છે એવું અમે ધાર્યું નહોતું. જુઓને સદી વિતી ગઇ અને હજી સુધી તે અમારી પાસે ન આવ્યું તેથી અમને લાગ્યું હતું કે સમયના વહેણમાં તે ખોવાઇ ગયું છે. અમારા પૂર્વજોએ આપેલું વચન અધુરૂં રહી જશે કે શું એવી ધારણા ખરે જ ભયપ્રદ હતી. અમે આને Debt of Honor માનતા આવ્યા છીએ.
“Excuse me for a minute,” કહી તેઓ ઘરમાં ગયા અને થોડી વારે એક ચંદનની નાનકડી સંદુકડી લઇ આવ્યા. તેમાંથી તેમણે રેશમી રૂમાલમાં લપેટેલ તામ્રપત્ર કાઢ્યું અને શૉને આણેલ તામ્રપત્ર સાથે સરખાવ્યું. અંતે મૅગ્નીફાયીંગ ગ્લાસ વડે શૉનના તામ્રપત્રની જમણી કિનારી પર નિરીક્ષણ કર્યું અને કહ્યું, “આ અૉથેન્ટીક છે.”
“હું સમજી નહિ,” સુઝને કહ્યું.
“દરેક તામ્રપત્રની જમણી કિનારી પર નરી આંખે ન દેખાય તેવા અતિ બારીક અક્ષરથી શબ્દ કોરવામાં આવ્યો છે. આપની પાસે છે તેના પર ‘પ્રથમ’ અને અમારી પાસેના પત્ર પર ‘દ્વિતીય’ લખ્યું છે. આની જાણ ઠાકુરસાહેબને કરવામાં આવી નહોતી. આ તેના અસલપણાની નિશાની છે. હવે છેલ્લો પ્રશ્ન: આપની પાસે કોઇ એવી પહેચાન છે જે કેવળ અમારી તથા ઠાકુરસાહેબને કે તેમના પ્રતિનિધીની જાણમાં હોય? કોઇ દસ્તાવેજ? ચિહ્ન? કોઇ શબ્દ?”
“હા. એક શબ્દ છે: સલિયાધાર.”
હવે કર્નલ ઉભા થયા, શૉનના બન્ને હાથ ઝાલી કહ્યું, “બોલો ડૉક્ટર પરસૉદ...”
“મને શૉન અને મારી પત્નિને સુઝન કહીને બોલાવશો, પ્લીઝ..”
“OK શૉન, સુઝન, અમે આપની શી સેવા કરી શકીએ? કોઇ પણ જાતનો સંકોચ ન કરશો. હું, મારો પરિવાર, અમારી મિલ્કત-અસક્યામત બધું આપની મદદ માટે હાજર છે. અા અમારા મોટા બાપુજીનો આદેશ છે અને છેલ્લી કેટલીક પેઢીઓથી આપના પૂર્વજ કે તેમના વંશજની અમે રાહ જોઇ રહ્યા હતા. આજે અમારા આંગણે આવીને આપે અમારા પરથી મોટો બોજ હલકો કર્યો છે. Anything, anything at all we can do for you, just ask!” કર્નલ બોલ્યા.
શૉન તથા સુઝન પણ ઉભા થયા હતા. આ એવી ક્ષણ હતી કે કોઇ કશું કહેવાની સ્થિતિમાં નહોતું.
“અમે બન્ને આપના ઋણી છીએ, કર્નલ. અમે પપા રામ પરસૉદ અને ગ્રૅન સાન્ડ્રા - તેમનાં ખરાં નામ જગતપ્રતાપ અને શરનરાનીની આખરી ઇચ્છા પૂરી કરવા આવ્યા છીએ.”
“અમે સમજ્યા નહિ,” વિનય બોલ્યો.
“આ પત્ર બધી વાત સમજાવશે,” કહી સુઝને જગતનો છેલ્લો પત્ર વાંચી સંભળાવ્યો.
પત્ર પૂરો થતાં એક અપૂર્વ શાંતિ ફેલાઇ ગઇ. કોઇ કશું બોલવાની સ્થિતિમાં નહોતું.
એટલામાં કર્નલનો નોકર આવ્યો અને ભોજન તૈયાર છે તેવું જણાવ્યું.
ભોજન બાદ હૉલમાં બેસતાં વિનય ઝાએ કહ્યું, “સુઝન તમે જે વાંચી સંભળાવ્યું તેના અનુસંધાનમાં અમારા પિતામહની ડાયરીના અંશનું અંગ્રેજી ભાષાંતર કહીશ. તેનાથી તમને જ્યોતિ પ્રતાપના સમાચાર મળશે.”
“મારા પિતામહે કેટલાક પત્રો સાચવી રાખ્યા હતા, જેમાંથી તમને ચોક્કસ પથદર્શન મળી જશે,” કર્નલે કહ્યું. “પહેલાં વિનયની વાત સાંભળીએ.”
“અમારા વડવા સંસ્કૃતના વિદ્વાન હતા. તે સમય એટલો નાજુક હતો, કે તેમણે કરેલી નોંધ કોઇના હાથમાં પડે તો સહુને ઘણું નુકસાન થાય તેવું હતું. તેમણે જે નોંધ કરી તે બધી સંસ્કૃતમાં છે.
"ત્રણેક વર્ષ પહેલાં અમારા જુના ગ્રંથભંડારની સૂચિ બનાવતી વખતે મને આ હાથ લાગી. ૧૮૫૭થી માંડીને લાંબા સમય સુધીની ઘણી મૂલ્યવાન નોંધો આ ડાયરીઓમાં હતી. મને શૉનનો ફોન આવ્યો ત્યારે મેં કર્નલ સાથે વાત કરી અને નક્કી કર્યું કે શૉન પાસેથી બધી કડીઓ મળે અને ખાતરી થાય કે તમારી સાથે પૂરી વાત કરી શકાય તેવું છે, આ ડાયરીઓ તમારી સાથે share કરીશ.
“ડાયરીની શરૂઆત આરા શહેરના ઘેરાથી થાય છે.”

Monday, March 21, 2011

પરિક્રમા: પટના બિહાર - ૧૯૯૭

લંડનમાં કરેલા તેમના રીસર્ચ દરમિયાન સુઝને ઘણી ઝીણવટથી નોંધ કરી હતી. જ્યારે શૉન પુસ્તકો અને રાઇટર્સ બિલ્ડીંગના દસ્તાવેજ તપાસતો હતો, તેણે બ્રિટીશ લાયબ્રરીના નકશા વિભાગમાંથી ૧૮૫૦-૬૦ના દશક દરમિયાન બનાવેલા નકશા મેળવ્યા અને જગતસિંહે લખેલા તથા કમલાદાદીએ તેમની યાદદાસ્ત મુજબ કહેલા સ્થળોનું રેખા ચિત્ર બનાવ્યું. ત્યાર પછી બન્નેએ મળીને પ્રવાસનો કાર્યક્રમ બનાવ્યો. પ્રવાસનો મૂળ ઉદ્દેશ જ્યોતિપ્રકાશના વારસોને શોધવાનો હતો તેથી સૌ પ્રથમ તેમણે પટનાને કેન્દ્રસ્થાન બનાવવાનું નક્કી કર્યું. લંડનના તેમના અલ્પ વાસ્તવ્યમાં તેમને મળેલા ‘પ્રવાસી ભારતીય’ના કહેવા પ્રમાણે હિંદીના જ્ઞાન વગર બિહારમાં તેમને ઘણી મુશ્કેલી નડશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બોલાતી હિંદી સમજવી ઘણી મુશ્કેલ હોય છે.
પટનામાં તેઓ હૉટેલ મૌર્યમાં ઉતર્યા. બીજા દિવસે તેમણે રાજીવ પ્રસાદને ફોન કરી તેમની અૅપોઇન્ટમેન્ટ લીધી અને તેમને મળવા ગયા.
“તમને વાંધો ન હોય તો મારા સ્ટેનોગ્રાફરને બોલાવું? તમે અાપશો તે માહિતીના મુખ્ય મુદ્દા તે નોંધી લેશે. તે વાંચી તમને તે બરાબર લાગે, તે પ્રમાણે મારા સાથીઓને તે બાબતમાં તપાસ કરી તમને મદદ કરવાનું કહી શકું.”
“જરૂર. અમને વાંધો શાનો હોય? અમે તો તમારી મદદની હૃદયપૂર્વક કદર કરીએ છીએ.”
તેમણે રાજીવને પાંડે, ઝા, ઉદયપ્રતાપસિંહ અને રામ અવધ માથુરના પરિવાર અને તેમના રઘુરાજપુર, આરા, મુંઘેર તથા ભાગલપુરના વાસ્તવ્ય વિશે વાત કહી.
“મને લાગે છે આપણું ધ્યાન મુંઘેરના પાંડે પરિવાર તરફ કેન્દ્રીત કરીએ તો ઘણી વાતોનો ઉકેલ મળશે. Any way, મુંઘેરના ડીસ્ટ્ર્ીકટ મૅજીસ્ટ્રેટ મારા ખાસ મિત્ર છે તેમને વિનંતિ કરીશ. મને આશા છે કે તમને ત્યાં સફળતા મળશે. રામ અવધ માથુરના પરિવાર વિશે હું જરા સાશંક છું. એક તો તે ભાગલપુરમાંથી એવી રીતે ગુમ થઇ ગયા હતા, કોઇ નિશાની પાછળ નહોતી મૂકી ગયા. જગતના પાંડે પરિવારની સાથેના ઘનીષ્ઠ સંબંધ જોતાં તેણે કદાચ તેમનો ક્યારેક સંપર્ક કર્યો હોય તે બનવા જોગ છે. આપણે મુંઘેર પર વધુ ધ્યાન આપીશું.
“તમે ઝા પરિવાર વિશે જે કહ્યું તેના પરથી મને લાગે છે તેમને આપણે જુદી રીતે શોધીશું. તમને ખબર નહિ હોય, પણ અમારા ગયા ક્ષેત્રના ગયાવળ બ્રાહ્મણો પાસે ભારતના અનેક લોકોના પૂર્વજોની નોંધ હોય છે. આ એક એવું સ્થાન છે, જ્યાં ભારતના દરેક હિંદુ પોતાના માતા-પિતા અને પૂર્વજોના શ્રાદ્ધ કરવા અહીં આવે છે અથવા આવવાની ઇચ્છા રાખે છે. ઝા પરિવાર આરાના પંડિતો હતા. તેમની માહિતી ગયાના કોઇ પ્રખ્યાત પંડા પાસે હોવી જોઇએ. આપણે તે પણ જોઇશું.”
થોડા સમય બાદ સ્ટેનોગ્રાફર તો પૂરી મિનિટ્સ લીધી હોય તેમ ટાઇપ કરેલ માહિતી લઇ આવ્યો. પરસૉદ દંપતિએ તે જોઇ અને હકારમાં માથું હલાવ્યું.
“હું સંબંધીત અફસરો સાથે વાત કરીશ. મને આશા છે કે એકાદ અઠવાડીયામાં કોઇક સમાચાર તો મળશે.”
“એક વિનંતિ છે, મિસ્ટર પ્રસાદ. અમે કેટલાક સ્થળોની મુલાકાત લેવા માગીએ છીએ, અને બને તો ત્યાંના લોકો સાથે વાત કરવી છે. આપ કોઇ દુભાષિયાની વ્યવસ્થા ન કરાવી શકો?”
રાજીવે થોડો વિચાર કર્યો અને ફોન ઉપાડ્યો. કોઇકની સાથે વાત કરીને તેણે કહ્યું, મારા ભત્રીજાને કૉલેજમાં રજા છે. તે તમારી સાથે આવવા તૈયાર છે.”
*********
રાજીવના ભત્રીજા શશી રંજન સાથે તેઓ પહેલાં રઘુરાજપુર ગયા. એક જમાનામાં સમૃદ્ધ હોય તેવું આ ગામ અત્યારે બિસ્માર હાલતમાં હતું. ત્યાંનો દરબારગઢ ઉજ્જડ થયો હતો. તેની આસપાસની જમીનોમાં ઘાસ ઉગી નીકળ્યું હતું. ભીંતો ભાંગી પડવાની અણી પર હતી. નજીકમાં થોડાં ઘર હતા તેમાંથી બે ત્રણ બાળકો અને સ્ત્રીપુરૂષો મોટી મોટર જોઇને બહાર આવ્યા. એક ગોરી સ્ત્રીને બહાર નીકળતી જોઇ થોડા વધુ લોકો તેને જોવા આવ્યા.
“આ કોઠીના માલિક ક્યાં છે?”
“કોઇક ઠાકુર છે. અમે તો તેમને લાંબા સમયથી જોયા નથી. અમે સાંભળ્યું છે કે તેમના એક બે સગાં વહાલાં ગામમાં રહે છે અને બાકીના પટના. અમારા દાદાજી કદાચ જાણતા હશે. થોડા ખમી જાવ, તેમને બોલાવીએ.”
થોડી વારે એક વૃદ્ધ પુરૂષ લાકડીના સહારે બહાર આવ્યા. તેમણે જાડી લેન્સના ચશ્મા પહેર્યા હતા અને હાથવણાટના કપડાં. શૉને પૂછેલા અને શશી રંજને ભાષાંતર કરેલા સવાલના જવાબમાં બાબાએ કહ્યું કે તે થોડું ઘણું જાણે છે અને મોટા ભાગની વાતો તેણે સાંભળી હતી.
તેમના કહેવા પ્રમાણે એક જમાનામાં આ સમૃદ્ધ ગામ હતું. ગદર બાદ તેની પડતી દશા આવી. અંગ્રેજોએ આ નાનકડી રિયાસત ખાલસા કરી હતી. રાજાસાહેબે સરકારના હુકમ સામે કેસ કર્યો અને ઠેઠ મોટી અદાલત સુધી ગયા. અંતે તે જીત્યા તો ખરા, પણ એટલું કરજ થઇ ગયું કે તેમને મોટા ભાગની જમીનો વેચવી પડી. તેમનો વારસ ગદરમાં ગુમ થઇ ગયો હતો તેથી બાકી બચેલી તેમની અસક્યામત તેમની દિકરીને મળી, પણ હવે પિત્રાઇઓએ તેના પર દાવો કર્યો. દિકરીના ભાગે ખાસ કંઇ ન આવ્યું. જો કે તે પહેલાં તેના લગ્ન થઇ ગયા હતા મધ્યપ્રદેશના કોઇ નાનકડા સંસ્થાનમાં. તેના સાસરિયા શ્રીમંત હતા અને તેમને તેના ભાગે આવેલી પચાસ-સો એકર જમીનમાં રસ નહોતો. મુખ્ય તો તેને અહીંની કરૂણ યાદોથી છૂટકારો જોઇતો હતો. કોરટ-કચેરીનાં લફરાંમાંથી છૂટવા તે કદી પાછી ન આવી અને જમીનો દુષ્ટ પિત્રાઇઓને મળી. વૃદ્ધ બાબાના પૂર્વજ જુના ઠાકુરના ખેડૂત હતા. “ઘણા ભલા રાજા હતા. કિસ્મત ખરાબ હોય ત્યાં માણસ શું કરે?”
શૉન અને સુઝનને અત્યંત દુ:ખ થયું. તેમણે દરબારગઢમાં જવાનો પ્રયત્ન કર્યો પણ તેને જૂનાં કટાઇ ગયેલા તાળાં હતા. બહારથી મસ મોટી પોર્ચ જોઇતે તે પાછા વળ્યા. તેમને જગતસિંહના પિત્રાઇઓના વંશજોને મળવામાં રસ નહોતો. જે ગિધની જેમ આ મહામૂલી જમીન પર તૂટી પડ્યા હતા તેમને મળીને શો ફાયદો?
મોડી સાંજે તેઓ પાછા પટના ફર્યા.

Sunday, March 20, 2011

પરિક્રમા: બ્રિટીશ લાયબ્રરી લંડન - એક અણધારી મુલાકાત (૨)

સાંજે ઘેર જતાં પહેલાં શૉને મને પૂછ્યું, “કાલે રવિવાર છે અને તમારી પાસે સમય હોય તો લંચ માટે તમે અમારી હોટેલ પર આવી શકશો? અગિયાર વાગે?”
“અમારા સંશોધન વિષયક કેટલીક વાતો સંવેદનશીલ છે, તેથી અહીં જાહેર સ્થળે તે વિશે વાત કરી શકતા નથી,” સુઝને કહ્યું
“જરૂર.”
તેમણે મને સ્ટ્રૅન્ડમાં ઇંડીયા હાઉસની સામે આવેલી તેમની હૉટેલનું નામ અને રૂમ નંબર જણાવ્યા.
હું જ્યારે તેમને તેમના કમરામાં મળ્યો, તેમણે મને કહી શકાય એટલી ટૂંકાણમાં તેમની ‘ખોજ’ વિશે વાત કહી તથા તેમના પૂર્વજે આપેલી પુરાતન વસ્તુઓના પોલરોઇડ ફોટોગ્રાફ બતાવ્યા. મને એક પછી એક વિસ્મયના આંચકા લાગતા હતા. કમાલ છે આ ડૉક્ટર દંપતિ, કમાલ છે તેમનો પરિવાર અને પરિકથા જેવી તેમની ગાથા પણ અભૂતપૂર્વ હતી.
“અમને મુંઘેરના પાંડે કુટુમ્બની શોધ છે. રાણી વિક્ટોરીયાની અૅમ્નેસ્ટીમાંથી બાકાત રખાયેલા જે બળવાખોર હતા, તેમાં એક રિસાલદાર પાંડે હતા. અમને કહેવામાં આવ્યું હતું કે બળવાને લગતા મોટા ભાગના દસ્તાવેજોનો સંગ્રહ વુલીચના રૉયલ આર્ટીલરી સેન્ટરમાં છે. અમને આશા છે કે રિસાલદાર પાંડેના ગામનું નામ કદાચ ત્યાં મળી આવે તો અમારૂં કામ સરળ થાય. એકાદ અઠવાડીયું ત્યાં સંશોધન કર્યા પછી અમે ભારત જઇશું. નવી દિલ્લીમાં એકા’દ દિવસ રહી પટના જઇશું. બને તો કોઇ ખાનગી ઇન્વેસ્ટીગેટર રોકીશું.
“સાચું કહું તો આ કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે, તેમ છતાં અમારી ઉમેદ કાયમ છે. અમે જે પરિવારને શોધીએ છીએ તે અમારી છેલ્લી આશા છે. કેવળ તેમના થકી અમે અમારા વડદાદાજીના ભારતમાં રહેલા વંશજોને શોધી શકીશું.”
સામાન્ય રીતે એક કે બે વાર મળેલી વ્યક્તિને તેના અંતરંગની વાત કહેતાં મેં કદી સાંભળી ન હતી. આ યુગલને કોણ જાણે કેમ મારા પર આટલો બધો વિશ્વાસ બેસી ગયો. એક તો તેઓ બન્ને સરળ મનના સહૃદયી સજ્જન હતા. મેં તેમને કરેલી નાની સરખી મદદ તેમના હૃદયની નિખાલસતાને સ્પર્શી હતી.
લંચ પર શાર્ડોનેની પ્યાલી લેતાં મને મારા જુના મિલીટરીના દિવસો યાદ આવ્યા. મારી બટાલિયનમાં એક કમાંડો અૉફિસર હતો, લેફ્ટનન્ટ સુધીર ગૌરિહર. તે પટનાનો હતો અને તેના કાકા બિહાર સરકારમાં IAS અફસર હતા. શૉનને બિહારના એક ઉંચો હોદ્દો ધરાવતા અફસરની મદદ મળે તો તેમનું કામ આસાન થઇ જાય. વર્ષો વિતી ગયા હતા તો પણ સુધીર સાથે મારો સંપર્ક ચાલુ જ હતો.
મેં શૉનને પૂછ્યું કે તેને અને સુઝનને વાંધો ન હોય તો હું સુધીર સાથે વાત કરૂં.
“Any help is welcome,” સુઝને કહ્યું.
ઘેર ગયા પછી મેં સુધીરને ફોન કર્યો.
“અરે સર, બાય અૉલ મીન્સ. મારા કાકા હવે બિહાર સરકારમાં રેવેન્યૂ સેક્રેટરી છે. બિહારના બધા કલેક્ટર સાથે તેમનો સિધો સંપર્ક હોય છે. મને ખાતરી છે કે તમારા મિત્રનું કામ થઇ જશે. હું તેમને અત્યારે જ ફોન કરૂં છું અને તેમનો જવાબ તમને જણાવીશ.”
બીજા દિવસે સુધીરનો મને ફોન આવ્યો. શૉન અને સુઝન શ્રી. રાજીવ પ્રસાદને જઇને મળશે તો તેઓ તેમને મદદ કરવામાં ખુશી અનુભવશે. તેણે તેમનાં ઘરના અને અૉફિસના સરનામાં આપ્યા.
એક અઠવાડિયા બાદ તેઓ હીથરો ટર્મિનલ ૩ પરથી દિલ્લી જવા નીકળ્યા.

પરિક્રમા: બ્રિટીશ લાયબ્રરી લંડન - એક અણધારી મુલાકાત

એક બ્રિટીશ રીસર્ચરની નોંધપોથીમાંથી......
નવેમ્બર ૧૯૯૭ ગ્રેટર લંડનના એક બરોના સમાજ સેવા ખાતામાંથી હાલમાં જ નિવૃત્ત થયો હતો. ફાજલ ટાઇમનો સદુપયોગ કરવા એક વિષયમાં સંશોધન કરવા યુસ્ટન ખાતે આવેલી બ્રિટીશ લાયબ્રરીના ઇંડીયા અૉફિસ લાયબ્રરી વિભાગમાં લગભગ નિયમીત જતો હતો. અહીંના રેકૉર્ડઝ્ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયો હતો.
બ્રિટીશ લાયબ્રરી, યુસ્ટન:



કંપની સરકારના સમયમાં - જ્યારથી કલકત્તામાં તેમની કચેરી સ્થપાઇ, તેમણે અનેક કારકૂનોને લંડનમાં ભરતી કરીને ભારત મોકલ્યા હતા. કારકૂનોને ‘રાઇટર્સ’ની ઉપાધિ અપાઇ હતી. આપને યાદ હશે કે રૉબર્ટ ક્લાઇવ 'રાઇટર' તરીકે ભરતી થઇને ભારત આવ્યો હતો. આ કારકુનોનું કામ તેમના હોદ્દા પ્રમાણે, લખવાનું હતું. તે સમયે ભારતની સરકારના કામકાજની રાજભાષા ફારસી હતી. ભારતના દરેક દેશી રાજ્યમાં રહેતા બ્રિટીશ રેસીડેન્ટ્સ ત્યાંના દરબારમાં થતી વાતો, ત્યાંના ફારસી ભાષામાં લખાયેલા દસ્તાવેજ કલકત્તા મોકલતા. ભાષાંતરકારો તેનો અંગ્રેજી અનુવાદ કરી આ રાઇટર્સને આપતા. રાઇટર્સ તેની બે નકલ કરતા. એક કલકત્તામાં તેમની મુખ્ય કચેરીમાં રહેતી અને એક લંડન જતી. સમય જતાં કલકત્તામાં સેંકડો ‘રાઇટર્સ’ થયા અને તેમના માટે બાંધવામાં આવેલ ભવ્ય ઇમારતનું નામ પણ ‘રાઇટર્સ બિલ્ડીંગ’ પડ્યું. આજે તે પશ્ચિમ બંગાળનું સેક્રેટરીએટ છે.
હું વડોદરા રાજ્યના દફતર તપાસતો હતો. બે ફીટ ઉંચા, દોઢ ફૂટ પહોળા અને છ ઇઁચ જાડા બાઇન્ડરમાંના દસ્તાવેજમાં લખાયેલી માહિતી એટલી વિગતવાર હતી, હું નવાઇ પામી ગયો. એટલામાં મારી બાજુના ટેબલ પર એક યુગલ આવીને બેઠું. પુરૂષ ભારતીય લાગતો હતો. સ્ત્રી યુરોપીયન. અમારી નજર મળી અને પુરૂષે મારી સામે જોઇ સ્મિત કર્યું. તેને જોઇ સ્ત્રીએ પણ. બન્નેના ચહેરા પર સૌજન્ય દેખાતું હતું. બસ, સ્મિતની આપ-લે કર્યા બાદ તે તેમના અને હું મારા કામે વળગ્યા. બપોરના બારે’ક વાગ્યા હતા. ભોજનનો સમય થયો હતો તેથી મેં મારા ચોપડા સમેટવા માંડ્યા. જ્યાં સુધી અાપણા કામના રેકૉર્ડઝ કાઉન્ટર પાછા ન આપીએ, ત્યાંનો સ્ટાફ તેને લઇ ન જાય. મને ઉભો થતો જોઇ, પેલી સ્ત્રીએ મને પૂછ્યું, “ એક્સક્યુઝ મી સર, અહીં કોઇ કૅફેટેરીયા છે?” ઉચ્ચાર પરથી જાણી ગયો કે આ અમેરીકન યુગલ છે.
“હા, મૅ’મ, નીચેના માળ પર સારૂં રેસ્તૉરાંત્ છે. હું ત્યાં જ જઉં છું. આપ મારી સાથે આવી શકો છો.”
અમે સાથે નીકળ્યા. એલીવેટર પાસે તેમણે મારી સાથે હાથ મીલાવી પરિચય આપ્યો.
“હું શૉન પરસૉદ, અને આ મારાં પત્નિ સુઝન. અમે કૅલિફૉર્નિયાથી આવ્યા છીએ,” કહી તેમણે તેમનાં કાર્ડ આપ્યા. ડૉ. શૉન પરસૉદ, MD તથા ડૉ. સુઝન ગુન્નરસન-પરસૉદ, MD.
મેં મારો પરિચય આપ્યો, અને અમે ભોજનગૃહમાં ગયા. તે દિવસની ખાસ વાનગી હતી લેમન સોલ. મેં તેમને કહ્યું, “આ ખાસ પરંપરાગત બ્રિટીશ વાનગી છે.”
“માફ કરશો, હું શાકાહારી છું, જો કે શૉનને તે ભાવશે!” સુઝને સ્મિત સાથે કહ્યું, સાંભળી મને નવાઇ લાગી.
ભોજનની ટ્રે લઇ અમે એક ખૂણા પરના ટેબલ પર ગયા અને અમારા સંશોધન વિષયક વાત કરવા લાગ્યા. તેઓ શૉનના પૂર્વજોના ઇતિહાસની શોધમાં અમેરીકાથી બ્રિટન, અને અહીંથી ભારત જવાના હતા. વાત વાતમાં શૉને બાબુ કુંવરસિંહની વાત કરી. તેના પૂર્વજનો સંબંધ હુંવરસિંહ અને તેમના ભાઇ અમરસિંહ સાથે હતો સાંભળી મને સાચે જ રોમાંચ થઇ આવ્યો. એક તો હું મિલિટરી હિસ્ટરીનો અભ્યાસુ હતો. અને બાબુ કુંવરસિંહે ૧૮૫૭માં યોજેલી વ્યૂહરચના, યુરોપમાં યુદ્ધનો અનુભવ લઇ ચૂકેલા સેનાપતિઓને કારમો પરાજય આપી એવો ઇતિહાસ રચ્યો હતો, જે વાંચી હું કુંવરસિંહનો ‘ભક્ત’ હતો!
“ડૉક્ટર...”
“મને શૉન કહીને બોલાવશો તો ચાલશે.”
“મને સુઝન..”
“હા, શૉન, હું કહેવા જતો હતો કે મારી પાસે બાબુ કુંવરસિંહને લગતા બે પુસ્તકો છે. એક અંગ્રેજીમાં તેમનું જીવનચરિત્ર છે જે ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હાએ લખ્યું છે. જનરલ સિન્હા આસામ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોના ગવર્નરપદે પણ રહી ચૂક્યા છે. તેમાં તમને ઘણી માહિતી મળી જશે. બીજું પુસ્તક મારી માતૃભાષા ગુજરાતીમાં છે. તેમાં કુંવરસિંહનું ખાસ જુદું પ્રકરણ છે. તમને કામ લાગે તેમ હોય તો જનરલ સિન્હાનું પુસ્તક અને ગુજરાતી પુસ્તકના પ્રકરણનું ભાષાંતર કરીને આપી શકીશ.”
“We would certainly appreciate it if you could do that for us.”

*********
તે દિવસે મોડી રાત સુધી બેસીને મેં પંડિત સુંદરલાલના ‘ભારતમાં અંગ્રેજી રાજ્ય’ના બીજા ભાગમાં અપાયેલ કુંવરસિંહના પ્રકરણનું ભાષાંતર કર્યું, અને બીજા દિવસે શૉનને આપ્યું. પહેલાં તેણે મેં આપેલ ભાષાંતરનો પ્રિન્ટઆઉટ વાંચવા લીધો.
હું મારૂં કામ કરતો હતો ત્યાં મેં અચાનક શૉનને “I can’t believe this!” કહેતાં સાંભળ્યો. મારૂં ધ્યાન તેની તરફ જતાં તેણે કાગળની ચબરખી પર લખ્યું, “માન્યામાં ન આવે તેવી વાત છે. કૅફેટરીઆમાં વાત કરીશ,” અને મને આપી. અર્ધા કલાક બાદ અમે નીચે ગયા ત્યારે તેણે કહ્યું, “નૌનદીના યુદ્ધની જે વિગતો પંડિત સુંદરલાલે લખી છે, તે અક્ષરશ: અમારી દાદી-ફોઇએ વર્ણવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે દાદી કદી વેસ્ટ ઇન્ડીઝની બહાર ગયા નથી. તેમને હિંદી વાંચતા’યે આવડતું નથી.”
શૉન શું કહેતો હતો તે મારી સમજ બહારની વાત હતી. તે ક્યા પૅરેગ્રાફની વાત કરતો હતો તે પૂછતાં તેણે મારા પ્રિન્ટઆઉટના હાંસિયામાં કરેલી નિશાની કરેલો ભાગ બતાવ્યો. તેની છેલ્લી કેટલીક પંક્તિઓ નીચે ઉદ્ધૃત કરી છે:

“નૌનદીનો સંગ્રામ

કંપનીની સેનાએ અમરસિંહનો પીછો લીધો. (૧૮૫૮ની) ૧૯મી અૉક્ટોબરે નૌનદી નામના ગામમાં આ સેનાએ અમરસિંહને ઘેરી લીધો. અમરસિંહની સાથેકેવળ ચારસો માણસો હતા. આ ચારસોમાંથી ત્રણસો નૌનદીના સંગ્રામમાં જ કપાઇ મૂઆ. બાકીના સો જણાએ એક વાર કંપનીની સેનાને પાછી હઠાવી, એટલામાં અંગ્રેજોની મદદે વધારાની નવી સેના આવી પહોંચી. અરસિંહના સો માણસોએ માથું હાથમાં લઇને યુદ્ધ કર્યું. આખરે અમરસિંહ તથા તેના બે સાથીઓ મેદાનમાંથી નાસી ગયા. બાકીના સત્તાણું જણા ત્યાં જ કપાઇ મૂઆ.....”
(“ભારતમાં અંગ્રેજી રાજ્ય” ભાગ ૨, પાનાં નં. ૧૧૦૬- પં. સુંદરલાલ)


“અમરસિંહની સાથે જે બે સ્વાર નૌનદીના યુદ્ધમાંથી બચીને નીકળ્યા, તેમાંના એક મારા પૂર્વજ હતા.”
હવે I can’t believe this કહેવાનો વારો મારો હતો.

Saturday, March 19, 2011

પરિક્રમા: બીજું ચરણ - લંડનની તૈયારી

બીજા દિવસે કમલાદાદીએ ક્રિસ અને મહેશને બોલાવ્યા અને જગતપ્રતાપસિંહનો અંતિમ ઇચ્છા-પત્ર વાંચી સંભળાવ્યો. તેમને કોઇને સ્વપ્ને પણ કલ્પના નહોતી કે તેમના પૂર્વજ કેવી પશ્ચાદ્ભૂમાંથી આવ્યા હતા. તેમના જીવનના સંઘર્ષની વાત સાંભળી તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે સૌએ તેમની અંતિમ ઇચ્છાનો નમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો. સૌને ખુશી એ વાતની હતી કે તેઓ ઉચ્ચ પરંપરાના સંતાન હતા અને તેમના પૂર્વજની જેમ મહેનત કરી આપબળે આગળ આવ્યા હતા.
શૉન અને સુઝને હવે આગળના કાર્યની યોજના હાથ ધરી. તેમની પાસે હવે કેટલાક નક્કર નામ હતા. રઘુરાજપુરના રાજા ઉદયપ્રતાપ સિંહ, જગદીશપુરના બાબુ કુંવરસિંહ, તેમના ભાઇ અમરસિંહ, રિસાલદાર બ્રિજ નારાયણ અને કૃષ્ણનારાયણ પાંડે તથા તેમનું મુંઘેર નજીક આવેલ ગામ અને પંડિત વિદ્યાપતિ ઝા; તેમની પાસે રામ અવધલાલનું કેવળ નામ હતું, બસ. તેમના બીજા કોઇ સગડ નહોતા.
ગામની વાત કરીએ તો તેમાં સૌથી અગત્યના ત્રણ નામ હતા: કલકત્તા, મુંઘેર તથા રઘુરાજપુર. રામ અવધ તથા દદ્દાના પુત્ર જ્યોતિને શોધવાનો વિચાર કર્યો તો મદદ માટે સૌથી મોટી શક્યતા કૃષ્ણનારાયણ પાંડેના પરિવારની હતી. રામપ્રસાદદાદા તેમની પાસે લાંબો સમય રહ્યા હતા. કદાચ તે શરનરાનીના પરિવારના સંપર્કમાં હોઇ શકે. મુંઘેર અને ભાગલપુર ગંગા કાંઠે છે અને બન્ને વચ્ચે અંતર ચાલીસેક માઇલનું હતું. કદાચ બિહાર છોડી જતાં પહેલાં રામઅવધ તેમની પાસે કોઇ સમાચાર મૂકી ગયા હોય?
તેણે નક્કી કર્યું કે તેમણે શરૂઆત બ્રીજ નારાયણ પાંડેનું સરનામું શોધવાથી કરવી જોઇએ. તેણે સાંભળ્યું હતું કે વૉરન હેસ્ટીંગ્ઝના સમયથી લઇને ભારતમાં અંગ્રેજ સરકારના છેલ્લા દિવસ સુધીના બધા રૅકર્ડઝ બ્રિટીશ લાયબ્રરી, લંડનમાં મોજુદ છે. તેણે બ્રિટીશ કૉન્સ્યુલેટમાં ૧૮૫૭ના વિપ્લવના રેકૉર્ડ ક્યાં મળી શકે તેની તપાસ કરી. તેને જાણવા મળ્યું કે દક્ષીણ લંડનના વુલીચમાં વિપ્લવ વિષયક મોટા ભાગના દફતર છે. બ્રિટીશ અફસરોના પત્રવ્યવહાર તથા ‘રાઇટર્સ બિલ્ડીંગ’થી મોકલવામાં આવેલા બધા કાગળ પત્રો યુસ્ટનમાં આવેલી બ્રિટીશ લાયબ્રરીમાં મળશે. પાંચમા રિસાલાના દેશી અને અંગ્રેજ અફસરોનાં Nominal Rolls અને સરનામાં વુલીચમાં મળી શકશે. તેણે લંડન જવાનું નક્કી કર્યું.
મહેશે આગ્રહ કર્યો કે ક્રિસ અને ગ્રેસ પોર્ટ અૉફ સ્પેનમાં રહે. શૉન તથા સુઝને લંડન જવાની તૈયારી કરી.
*********
નીચે કેટલાક જુના ફોટોગ્રાફ્સ તથા ચિત્રોની પ્રતિકૃતિ મૂકી છે, જેના પરથી ખ્યાલ આવશે કે આ કથાના પાત્રો કેવા દેખાતા હશે! ડાબેથી જમણે:
દિલ્લીના કુખ્યાત કૅપ્ટન હડસન; પાંચમા રિસાલાનો સ્વાર ટેન્ટપેગીંગ સ્પર્ધામાં; પાંચમા રિસાલાના દેશી અફસર. પાંડે કદાચ આવા દેખાતા હશે.











પરિક્રમા: ગયાનાથી ટ્રિનીડૅડ

“મને નવાઇ તો એ વાતની લાગે છે કે ગ્રૅન્ડપાએ કોઇ વાત કલ્પના પર ન છોડી. તેમણે કહેલી લગભગ બધી વાતોના પુરાવા તમારી પાસે મૂકી ગયા!” શીલાએ કહ્યું.
“કમલા ગ્રૅન, ગ્રૅન્ડપા ગયાનાથી અહીં ટ્રિનિડૅડ કેવી રીતે આવ્યા? મેં સાંભળ્યું હતું કે ઇન્ડેન્ચર્ડ મજુરો પાંચ વર્ષના કરાર પર હતા, અને તેમના માલિક તેમને આસાનીથી જવા નહોતા દેતા.”
“આની વાત પણ જાણવા જેવી છે.
“ગયાના પહોંચ્યાને એક વર્ષ થયું હશે. તેમના પ્લાન્ટેશનનો માલિક ટિમથી મૅકએલીસ્ટર ઘોડેસ્વારીનો શોખીન હતો. તેના તબેલામાં ઉંચી જાતના ઘોડા હતા. એસ્ટેટનું નિરીક્ષણ કરવા હંમેશા ઘોડા પર બેસીને જતો. એક દિવસ તે તેના પંદર-સોળ વર્ષના પુત્ર સાથે દદ્દા એસ્ટેટના જે ભાગમાં કામ કરતા હતા ત્યાં ગયો. બન્નેએ તેમના ઘોડા એક ઝાડની નીચે બાંધ્યા અને તેમના ઓવરસીયર સાથે વાત કરવા લાગ્યા. ઘોડા તરફ કોઇનું ધ્યાન નહોતું. ઘોડેસ્વારી દદ્દાના જહેનમાં ભારોભાર ભરી હતી, તેથી જ્યારે પણ કોઇ જાતિવંત ઘોડો નજરે પડે, તેમનું ધ્યાન તરત તેની તરફ જતું.
તે દિવસે તેમણે જોયું તો માલિકનો ઘોડો અસ્વસ્થ લાગ્યો. તેની આંખોમાં ગભરાટ હતો. અચાનક તે પગ પછાડવા લાગ્યો અને જ્યાં હતો ત્યાં જ ગોળ ગોળફરવા લાગ્યો. દદ્દા પોતાનું કામ મૂકી માલિક પાસે ગયા ત્યાં તેમનો ઓવરસીયર બે પગલાં આગળ ધસીને બોલ્યો, “કામ કર, કામ કર, કુલી.” દદ્દાએ તેની દરકાર ન કરતાં ઘોડા તરફ અંાગળી દર્શાવી માલિકને એક જ શબ્દ કહ્યો અને પોતાના સ્થાન પર ગયા.
“માલિક થીજી ગયો. આ ઘોડો તેમણે ભારે ખર્ચે ઇંગ્લંડથી મંગાવ્યો હતો.
“શબ્દ હતો Colic. ઘોડાની આ સૌથી વધુ ઘાતક બિમારી હતી. માલિકે ઘોડા તરફ જોયું, પણ તેમને ખાસ કોઇ ફરક ન જણાયો. તેમણે દદ્દાને બોલાવ્યા અને પૂછ્યું, ‘આ શબ્દનો અર્થ શું છે, તેનું તને ભાન છે, બ્લ.. કુલી?’
“દદ્દાએ તેને કહ્યું, આ શરૂઆતનાં ચિહ્ન છે. હવે તે પોતાની flank કરડવાનો પ્રયત્ન કરશે. તમે તાત્કાલિક વેટને બોલાવો, નહિ તો તમારો આરબ ગયો સમજી લેશો, કહી કામે વળગ્યા.
“માલિકને સૌ પ્રથમ તો ‘કુલી’ના અંગ્રેજીના તથા તેના અશ્વજ્ઞાનની નવાઇ લાગી. ઘોડા તરફ જોઇને જે કઇ નસલનો છે કહેનાર આ માણસ ખરે જ વિલક્ષણ હતો. બીજી ક્ષણે તેણે ઘોડા તરફ જોયું અને સાચે જ તે પોતાનું પડખું કરડવાનો પ્રયત્ન કરતો હતો. માલિક ભયગ્રસ્ત થઇ ગયો. તેણે ઓવરસીયરને નજીકના વેટેરીનરી સ્ટેશન તરફ દોડાવ્યો અને દદ્દાને બોલાવ્યા. ‘હું ક્ષમા ચાહું છું. તું કંઇ કરી શકે છે?’
“દદ્દાએ કહ્યું, પ્રયત્ન કરી શકીશ, પણ તે માટે મારે ઘેર જઇ દવા લાવવી પડશે. માલિકે તેના દિકરાનો ઘોડો લઇ જવાનો આદેશ આપ્યો. દદ્દાએ ઘોડો દોડાવ્યો. વીસેક મિનીટમાં તે એક જાતના બીજ અને પાલો લઇ આવ્યા. બિમાર ઘોડા સાથે જાણે કોઇ વાત કરતા હોય તેવું લાગ્યું અને તેના મસ્તક પર હાથ રાખ્યો. તે થોડો શાંત થયો અને દદ્દાએ તેને બીજ તથા પાલો પોતાના હાથે ખવડાવ્યા. થોડી વારે તેને ફરીથી બીજ ખવડાવ્યા. દસ પંદર મિનીટમાં તે સ્વસ્થ થયો અને માથું હલાવી દદ્દા પાસે ગયો અને તેમની ગરદનને snuggle કરતો હોય તેવું લાગ્યું. એવામાં વેટ આવી પહોંચ્યો. સદ્ભાગ્યે તે બાજુની એસ્ટેટમાં હતો. તેણે ઘોડાને તપાસ્યો, તેના માલિકની વાત સાંભળી અને કહ્યું,”ટિમ, તું ભારે નસીબદાર છે. કૉલીક પર કોઇ દવા કે ઇલાજ નથી. તારો ઘોડો કેવી રીતે જીવી ગયો એ મારા માટે આશ્ચર્યની વાત છે.
“માલિકે પૂરી વાત કહી. ડૉક્ટરે દદ્દાને બોલાવ્યા અને દવા વિશે પૂછ્યું.”
“Really? આ ચમત્કારી દવા કઇ હતી?” સુઝને પૂછ્યું.
“આ psilliumના બી હતા. ભારતમાં તેને Horse carraway (ઘોડા જીરૂં) કહે છે. પાલો ક્યો હતો તે હું ભુલી ગઇ. કલકત્તા છોડતાં પહેલાં તેમણે લીધેલી વસ્તુઓમાં આ વસ્તુઓ લીધી હતી. ગ્રૅન્ડમા સાન્ડ્રાએ તેમના ક્વાર્ટરની પાછળ નાનકડા વાડામાં શાકભાજીની સાથે આ પાલો વાવ્યો હતો.
“માલિકે તરત દદ્દાની બદલી અસ્તબલમાં કરી. તેમના બાળકોને ઘોડેસ્વારી શીખવવા માટે તેમની બમણા પગારે નીમણૂંક કરી. ખેતરની કાળી મજુરીમાંથી તે બચી ગયા.
“ગ્રૅનના અવસાન બાદ તેમને ગયાનામાં રહેવું અકારૂં લાગ્યું. તેમના નાનકડા ઘરની દરેક ચીજ વસ્તુ પર તેમની યાદી ભરી હતી. સદ઼ભાગ્યે તે સમયે કાયદો બદલાયો. ગિરમીટનો કરાર પાંચને બદલે ત્રણ વર્ષનો થયો. તેમણે મિ. મૅકએલીસ્ટરને કામ પરથી છૂટા કરવાની વિનંતિ કરી. તેઓ દદ્દાને છોડવા રાજી નહોતા. તેમની સ્થિતિ જોઇ તેમણે દદ્દાની વિનંતિને માન આપ્યું. છૂટા થઇ તેઓ ટ્રિનીડૅડ જવા નીકળ્યા ત્યારે તેમના માલિકે ટ્રિનિડૅડમાં રહેતા મિત્રને ત્યાં દદ્દાની નોકરી માટે ભલામણ પત્ર લખી આપ્યો.”
“અને રઇસખાનના પરિવારનું શું થયું?”
ગ્રૅની અને દદ્દાએ તેમને સાચવ્યા. ગ્રૅનના અવસાનના કેટલાક દિવસ પહેલાં ઝુબૈદાખાતુનની મોટી દિકરીના તેમણે લગ્ન કરાવી આપ્યા. કોઇ શમ્સ-ઉદ્-દીન નામના સુખવસ્તુ પરિવારનો દિકરો હતો. લગ્ન બાદ તે આસીયા તથા ઝુબૈદાને તેની સાથે લઇ ગયો.
આમ ગયાનાનો તેમનો રહેવાસ પૂરો થયો. જીવનનો નવો પ્રવાસ શરૂ થયો. આગળની વાત તો તમે બધા જાણતા જ હશો.”

Friday, March 18, 2011

પરિક્રમા: જગતસિંહનો વારસો

“જગતપ્રતાપસિંહની અંતિમ ઇચ્છા અને એકરારનામું.”
સુઝન શરૂ કરે તે પહેલાં શૉને કમલાદાદીને પૂછ્યું, “ગ્રૅન, આ દાદાજીનું વિલ છે. આને તો પૂરા પરિવારની હાજરીમાં વાંચવું જોઇએ.”
“અત્યારે નહિ. તેનું એક કારણ છે. આજે તમે વાંચો. પરિવારમાંથી અહીં, પોર્ટ અૉફ સ્પેનમાં જે હાજર છે તેમને કાલે ભેગા કરી હું ફરી વાંચીશ અને તેમને સમજાવીશ. સૂ, તું વાંચવાનું શરૂ કર.”
સુઝને વાંચવાનું શરૂ કર્યું.
“મારૂં નામ જગતપ્રતાપસિંહ, વલ્દ ઠાકુર ઉદયપ્રતાપસિંહ છે. મારા વાલિદ બિહાર પ્રાંતના શહાબાદ જીલ્લાના રઘુરાજપુરના તાલુકદાર છે. આ એકરારનામા દ્વારા હું જાહેર કરૂં છું કે મારા પરમ પૂજ્ય પિતાએ મને મારા જીવનની સૌથી મૂલ્યવાન ભેટ, શરનરાની આપી છે. જીવનમાં આથી વધુ કાંઇ મેળવવાની મારી કોઇ ખ્વાહિશ ન રહેવાથી હું મારા પિતાની સ્થાયી અને જંગમ મિલ્કત પરના મારા સઘળા અધિકારનો હું ત્યાગ કરૂં છું. હવેથી મારા કોઇ વારસ કે વંશજને રઘુરાજપુર રાજ્યની સંપત્તિ પર કોઇ અધિકાર નહિ રહે.
“હું ૧૮૫૨માં પાંચમા રિસાલા - ફિફ્થ ઇરેગ્યુલર કૅવલ્રીમાં સવાર તરીકે જોડાયો. મારા સદ્ભાગ્યે મને પ્રેમાળ માતા પિતા મળ્યા. તેમણે મને સંસ્કાર, શિક્ષણ અને જીવનનાં મૂલ્યો શીખવ્યા. તેમનાં બાદ મને મારા પિતાસમાન ગુરૂ રિસાલદાર બ્રિજનારાણ પાંડેનું માર્ગદર્શન મળ્યું. એક ઉત્તમ સૈનિકે જે જાણવું જોઇએ, કરવું જોઇએ અને ફરજ નિભાવવામાં ભક્તિ, કર્મ અને જ્ઞાનનો સંયુક્ત ઉપયોગ, જેને તેઓ યોગ કહેતા, તે કેવી રીતે કરી છુટવું તે શીખવ્યું. હું તેમના માર્ગદર્શનનો ઉપયોગ કરતો રહ્યો, પણ ઉત્તમ સૈનિક બની શક્યો કે નહિ તે તેમની પાસેથી સાંભળું તે પહેલાં તેઓ મને છોડી ગયા.
“હું જેટલો શુક્રગુઝાર પાંડેસાહેબનો છું એટલો જ તેમના નાનાભાઇ કૃષ્ણનારાયણ પાંડેનો છું. કંપની સરકારે રિસાલો બરખાસ્ત કર્યા બાદ અમારા કપરા સમયમાં બે વર્ષ સુધી તેમણે અમને સૌને સંભાળ્યા. ખેતીવાડી અને શેરડીની ખેતી બાબતમાં મુંઘેરના તેમના ફાર્મમાં તેમણે મને જે શીખવ્યું તે મને ગયાનામાં ઘણું કામ આવ્યું. અને હું બાબુ કુંવરસિંહને કેવી રીતે ભુલી શકું? તેમના જેવા મહાન યોદ્ધાના દર્શનથી મનુષ્યનો ઉદ્ધાર થાય. તેમની સહૃદયતા, ઉદારતા અને અણીના સમયે મારા જેવા સાદા સિપાહીને આરા શહેરનો ઘેરો યોજી મારા કામમાં સહાયતા કરી, તેનો ઉપકાર સદા યાદ રહેશે.
“એક વાત ખાસ નમૂદ કરવા ચાહીશ. પાંચમા રિસલાના કમાંડીંગ અૉફિસર તથા અૅજુટન્ટની હત્યા માટે ન રિસાલદાર પાંડે જવાબદાર હતા, ન હું. તેમના પર ગોળી ચલાવનારા સવાર નંબર વન ટ્રુપના બે સ્વાર હતા. બન્ને સગા ભાઇ હતા અને તેમના પિતા, જે દાનાપુરની ૮મી કાળી પલ્ટનમાં હવાલદાર હતા, તેમની ૧૦મી ધોળી પલ્ટનના સિપાહીઓએ કતલ કરી હતી. અમારા સીઓ સાહેબે તેમના પિતા તથા તેમની સાથેના સિપાહીઓને નિમકહરામ અને ગદ્દાર જેવી ગાળો આપી ન હોત તો તેમણે આ પગલું ન લીધું હોત.
“અમારા રિસાલા પર ધોળી પલ્ટને ગોળીઓ ચલાવી જે કહેર કર્યો તેનું હું વર્ણન ન કરી શકું. મારી નજર સામે તેમના પર ગોળીઓ વરસતી હતી. ઘાયલ સ્વાર જમીન પર તરફડતા હતા. મરનારાઓને પાણી પણ નસીબ ન થયું. આ જાણે ઓછું હોય, અમારા પર બેયોનેટ-ચાર્જ કરવામાં આવ્યો. રિસાલદાર પાંડે ઘાયલ થઇ જમીન પર પડ્યા હતા. તેમના પર બૅયોનેટથી હુમલો કરવા એક સૈનિક આવતો હતો. મેં યોગ્ય કારવાઇ કરી, પાંડે સાહેબને લઇ નાસી ગયો. તેમનો પ્રાણ બચાવવા મારી પાસે બીજો કોઇ માર્ગ નહોતો. રેજીમેન્ટમાંથી નાસી જવાનો મેં ગુનો કર્યો હતો અને તેની સજા મેં આખી જીંદગી ભોગવી. મને કોઇ પ્રત્યે કોઇ શિકાયત નથી.
“રિસાલદારસાહેબે બાબુ કુંવરસિંહને વચન આપ્યું હતું કે તેઓ તેમના મૃત્યુ બાદ તેમના નાના ભાઇ રાજા અમરસિંહના અંગરક્ષક બની સેવા કરશે. ૨૪મી નવેમ્બર ૧૮૫૮ના રોજ નૌનદીના યુદ્ધમાં સાચા સિપાહીની જેમ વચન નિભાવ્યું. રાજા અમરસિંહ પર ભાલો ભોંકવા આવેલ અંગ્રેજ સૈનિકના ભાલાનો પ્રહાર તેમણે પોતે ઝીલ્યો અને રાજાની સેવામાં પ્રાણ ત્યાગ્યા. તે સમયે હું તેમની સાથે હતો. તેમના મૃત્યુ બાદ તેમનું વચન પૂરૂં કરવા અમરસિંહને તેમની ઇચ્છા મુજબના સુરક્ષિત સ્થળ સુધી પહોંચાડ્યા.
“ઋણસ્વીકાર કરતી વખતે હું મારા ઘોડેસ્વારીના ગુરુ વિજયસિંહકાકા પરિહારનો ખાસ આભાર માનીશ. તેઓ પિતાજીના અસ્તબલના મુખ્ય સંચાલક હતા. હું ચાર વર્ષનો હતો ત્યારથી તેમણે મને કેવળ સવારી નહિ, અશ્વવિદ્યાના બધા અંગ શીખવ્યા. એટલે સુધી કે તેમની સાથે વાત કરવી, તેમના રોગ, દુ:ખદર્દ સમજવા અને દવા દારૂ કરવા સુધીની બધી જ વાતો શીખવી. આનો મને ઠેઠ ગયાનામાં સુદ્ધાં ઉપયોગ થયો.
“પાંડે સાહેબની દિકરી પાર્વતિદેવીએ મને ભાઇ માન્યો. તેમના પતિ પંડિત વિદ્યાપતિ ઝા આગળ જતાં કલકત્તાની સંસ્કૃત કૉલેજમાં પ્રાધ્યાપક થયા. અમારૂં જહાજ કલકત્તાથી ઉપડવાનું હતું તેના આગલા દિવસે હું સામાન લેવાના બહાને શહેરમાં ગયો અને તેમને મળ્યો. તે સમયે તેમણે મને એક તામ્રપત્ર આપ્યું. આ રિસાલદારસાહેબના ભાઇ કૃષ્ણનારાયણે તૈયાર કરાવ્યું હતું અને પંડિતજીને આપ્યું હતું. મેં તેમને ખબર કરી હતી કે હું ગિરમીટ લઇ પરદેશ જવાનો છું. તેઓ જાણતા હતા કે એક ખાનદાની પરંપરા જાળવવા જતાં પહેલાં હું તેમને જરૂર મળીશ. આ તામ્રપત્રમાં વચન છે કે ક્યારે પણ મને કે મારા વંશજોને કોઇ પણ પ્રકારની મદદ જોઇએ તો પાંડે પરિવાર અને તેમના વંશજો કોઇ પણ સવાલ પૂછ્યા વિના તેમના સંપૂર્ણ આર્થિક અને ભાવનાત્મક સામર્થ્ય સાથે મદદ કરશે. તામ્રપત્રની એક નકલ પાંડે પરિવાર પાસે છે. ન કરે નારાયણ અને આવી જરૂરત આવી પડે તો પાંડે પરિવારના મુરબ્બી પાસે જઇ આ તામ્રપત્ર બતાવવું. તેઓ એક ગુપ્ત સંકેત શબ્દ પૂછશે. તેના સિવાય આ તામ્રપત્રનું વચન પાળવામાં નહિ આવે. અમારા પરિવારો વચ્ચેના દિવ્ય સંબંધોની રક્ષા માટે, અને તેનો કોઇ દુરુપયોગ ન કરે તે માટે આ યોજવામાં આવ્યું છે.
“પાંડે પરિવારે આ પત્રમાં નમૂદ નથી કર્યું, પણ હું આદેશ આપું છું કે જે રીતે તેમણે વચન આપ્યું છે, તેવું વચન હું આપું છૂં, જે તમારે પાળવાનું રહેશે. પાંડે પરિવારને આપણી મદદની આવશ્યકતા પડે તો આપણે તે જ રીતે તેમને સહાયતા કરવાની છે. મારો બીજો આદેશ છે કે મારા પરિવારમાંથી કોઇ પણ તેમની પાસેથી આર્થિક સહાયતા ન માગે. મારા તેમના સાથેના સંબંધની પવિત્રતા જળવાય તેવી મારી અપેક્ષા છે.
“કમલા કે તેના વારસ તમને સંાકેતીક શબ્દ કહેશે. વળી આ પત્રમાં મેં જે જે વિગતો લખી છે, તે તમારી શોધમાં ઉપયોગી નિવડશે.
“જ્યોતિ પ્રકાશ શરનરાનીનો વહાલો પુત્ર હતો. એવું નથી કે મોટા પર તેનો સ્નેહ જરા પણ કમ હતો. જ્યોતિનો કોઠો શરૂથી નાજુક હતો તેથી તેની ચિંતા તેને હંમેશા રહી. તમે તેને કે તેના વારસને શોધવાનું અભિયાન શરૂ કર્યું છે તે જાણી મારો આત્મા ઘણી શાતા અનુભવશે. મારા આશિર્વાદ છે તમે આ કાર્યમાં સફળ થશો.
“મારૂં કાર્ય તમે ઉપાડી લીધું છે તેની ખુશીમાં હું તમારા માટે નાનકડી ભેટ મૂકતો જઉં છું. કમલાને મેં એક કાળી માટીની મૂર્તિ સોંપી છે. કૃષ્ણ ભગવાન અમારા કુળદેવ છે, તેમની આ મૂર્તિ છે. ભગવાનના હાથમાં બંસી છે. બંસીનો છેડો પેડેસ્ટલની જે દિશામાં નિર્દેશ કરે છે, ત્યાં તમને કાપો જણાશે. મૂર્તિને મજબૂત પકડી, આ કાપમાં છરી ભેરવી જમણી તરફ હળવે હળવે ખસેડશો. પેડેસ્ટલનો અર્ધો ભાગ બહાર નીકળશે. તેમાં મને બાબુ કુંવરસિંહે આપેલ ખંજર છે. મૂર્તિના પોલાણમાં મારી માતાનો હાર છે, જે તેણે શરનને આપ્યો હતો. મરતાં પહેલા શરને મને કહ્યું હતું કે અમારા પુત્રોમાંથી જે જ્યોતિને કે તેનાં સંતાનોને શોધશે, તેની પત્નિને આ હાર તેની કૃતજ્ઞતા દર્શાવવા ભેટ આપવો. મારી માતા જ્યોતિદેવીએ જે સુવર્ણના સિક્કા નારાયણ તથા જ્યોતિને આપ્યા હતા, તે મૂર્તિમાં રાખ્યા છે. આ અમારા પૂર્વજને શહેનશાહ શાહજહાંએ આપ્યા હતા. તેમાંનો એક જ્યોતિના વારસ માટે અને એક મારી વહાલી પૌત્રી કમલા માટે છે. રિસાલદાર સાહેબે મને જે સુવર્ણના સિક્કા આપ્યા હતા તે પણ મૂર્તિમાં છે, જે મારા બધા વારસોને સરખી રીતે વહેંચશો.
“અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે મેં મારા જીવન દરમિયાન કોઇ એવું કામ નથી કર્યું જેનાથી મારા પૂર્વજોને કે વારસોને શરમાવું પડે. મારા સંતાનોએ આ દેશમાં માન અને ઇમાનથી જીવન જીવ્યું છે અને પ્રામાણીકનો માર્ગ કદી છોડ્યો નથી. મને તેનો સંતોષ છે અને આનંદથી જગત છોડી શકીશ.
“પરમાત્મા તમને યશસ્વી કરે.”
સુઝને પત્ર પૂરો કર્યો અને નમ આંખે કમલાદાદી સામે જોયું.
તેમણે સાંકેતીક શબ્દ ઉચ્ચાર્યો. સૌને બે-ત્રણ વાર બોલવાનું કહ્યુ, જેથી તેઓ ભુલે નહિ.
તેમણે વસ્તુઓ જોઇ. આ એ જ હાર હતો જે જ્યોતિદેવીએ તેમની છબીમાં પહેર્યો હતો.
“આ તારો છે, સુઝન,” કહી કમલાદાદીએ તેને હાર પહેરાવ્યો.

Thursday, March 17, 2011

પરિક્રમા: રામ પરસૉદનો અંતિમ પત્ર

શૉન પત્ર ખોલે તે પહેલાં કમાલાદાદીએ કહ્યું, “દિકરા, તેં સાચે જ ભારત જઇ દદ્દાના ખોવાયેલા પુત્રના પરિવારને શોધવાનો નિર્ધાર કર્યો છે?”
“હા,ગ્રૅન. તમને મળવા આવવાનું એક માત્ર કારણ આ જ હતું. સૂ તથા મેં નક્કી કર્યું કે ભારતમાંના આપણા પરિવારને શોધીશું અને તકદીર સાથ આપે અને તેમાંથી કોઇ બાળક મળી આવે તો તેને દત્તક લઇશું. આ માટે અમે લાંબી રજા લીધી છે.”
“તમે વાત કર્યા પછી અમારો મનસૂબો પાકો થયો છે. અમે કોઇ પણ હિસાબે જ્યોતિપ્રસાદના પરિવારને શોધી કાઢીશું,” સુઝને કહ્યું.
“બસ, મારે આ જ સાંભળવું હતું. હવે તું પત્ર વાંચ.”
શૉને લિફાફામાંથી પત્ર કાઢ્યો અને વાંચવાની શરૂઆત કરી.
“મારા પ્રિયજન,
“મારૂં અધુરૂં રહેલું કાર્ય પૂરૂં કરવા માટે તમે પહેલું પગલું લીધું છે તે જોઇ હું ખુશી અનુભવું છું. કમલાને કે તેણે નીમેલ વ્યક્તિને તમારા નિર્ણય વિશે ખાતરી ન હોત તો આ પત્ર તમારા હાથમાં ન હોત.
“આ પત્ર સુધી તમે પહોંચ્યા અને તે તમે વાંચવા લીધો છે તે બતાવી આપે છે કે તમે મારા જ્યોતિના પરિવારને શોધવા જવાનો નિશ્ચય કર્યો છે.
“હું જાણું છું કે આ કામ મુશ્કેલ જ નહિ, લગભગ અશક્ય છે. મારા પુત્ર જ્યોતિને મારા જીવનકાળમાં શોધી ન શક્યો તેનો મને અફસોસ છે. જે યુગમાં કે જે સમયે તમને આ પત્ર મળશે ત્યારે આ કામ અશક્યતાની ચરમતાએ પહોંચી ગયું હશે. તમે મારી માન્યતા સાથે સહમત હશો તો આ પત્ર આગળ ન વાંચતાં જેમણે તમને આપ્યો છે, તેમને પાછો આપી દેશો. મને દુ:ખ નહિ થાય. મારા ખુદના અનુભવથી હું જાણું છું આ કાર્ય કેટલું કઠિન છે.
“આ દેશમાંના મારા લાંબા જીવનમાં મેં કેવળ મારી ત્રણ પેઢીઓને જ નહિ, મારા દેશવાસીઓને કાળી મજુરી કરતા જોયા છે. જીવનમાં સંઘર્ષ કરવા પાછળ સૌનો એક જ ઉદ્દેશ હતો. તેમનાં બાળકો અને પરિવારજનોનું ભવિષ્ય ઉજ્જવળ કરવું. તેના માટે ઘણા લોકો પ્લાન્ટેશનમાં જ ખપી ગયા. જીવનમાંથી સંઘર્ષ કદી નહિ ઘટે. આથી જ હું જ્યાં સુધી જીવ્યો, કોઇને મારી અંતિમ ઇચ્છા, જે જ્યોતિને શોધી તેના ખુદના પરિવાર સાથે તેનો મેળાપ કરી આપવાની હતી તે ન કહી.
“જ્યોતિ તેની મા પાસેથી કેવળ ચાર વર્ષની વયે વિખુટો પડી ગયો. તેને શોધવા હું જાતે હિંદુસ્તાન ન જઇ શક્યો. તેની માતા તેના વિરહમાં પ્રભુને વહાલી થઇ. તેની એક ખુશી હું પૂરી ન કરી શક્યો તેનો મને બેહદ અફસોસ છે. મારી પશ્ચાત મારાં સંતાનોને મારા કાર્ય પાછળની મારી ભાવના તથા તે પ્રાપ્ત ન કરી શકવાનું દુ:ખ ન થાય તેથી મેં કોઇને તે વિશે વાત ન કરી. છતાં મારા મનના ઊંડા ખૂણામાં એક આશા હતી કે મારા વારસમાંથી કોઇને ક્યારેક એવી જરૂરત ભાસશે, અને જ્યોતિ નહિ તો તેના વારસને શોધી તેમના માટે કંઇક કરી શકશે.
“કમલા મારી વહાલી પૌત્રી હતી. જ્યારે મારા અન્ય પૌત્ર-પૌત્રીઓ રમવા કે તેમનાં મિત્ર-સખીઓમાં મગ્ન હતા, તે મારી પાસે બેસતી. મારી પ્રિય પત્નિ શરનરાની વિશે જાણવા અનેક સવાલ પૂછતી, હું કેવી રીતે તેને મળ્યો, કેવી રીતે આ દેશમાં આવ્યો - કોઇ વાત તેણે જાણ્યા વગર મારો પીછો ન છોડ્યો. તેણે જ આગ્રહ કર્યો કે હું એવા કોઇ સગડ મૂકી જઉં કે ભવિષ્યમાં કોઇ તેનો ઉપયોગ કરી મારી હિંદુસ્તાનમાંની સંતતિને શોધે, મળે અને પ્રત્યક્ષ જુએ કે તે સુખી છે કે નહિ. તેમને કોઇ ચીજની જરૂર હોય તો ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપી તેમના માટે રાખેલ મારો વારસો આપે. આ પત્ર તમને કમલાએ સોંપ્યો તે દર્શાવે છે તેને તમારા પર કેટલો વિશ્વાસ છે.
“મારી તમને ઇલ્તજા છે. આ કામ તમારાથી ન થઇ શકે તો આ પત્ર કમલા કે તેના જે વારસે તમને આ પત્ર આપ્યો છે, તેને પાછો આપશો. આની સાથેનું મારૂં ઇચ્છાપત્ર છે, તે વાંચ્યા વગર તેમને પાછું આપશો. હું તમારી મજબુરી સમજી શકું છું.
“પરમાત્મા સદા તમારી સાથે રહે અને તમારૂં કલ્યાણ કરે.”
(સહિ) રામ પ્રસાદ, પોર્ટ અૉફ સ્પેન. તા. ૨૫ ડિસેમ્બર ૧૯૨૧.
*********
“ગ્રેટ-વનની તે છેલ્લી નાતાલ હતી. અને શીલા, તું ખાસ સાંભળ. દદ્દાએ મારા જે વારસની વાત કરી હતી, તેની નિયુકતી હું આ વર્ષે કરવાની હતી. આ બધા કાગળ-પત્ર, પેલો મોટો ફોટો બધું તને સોંપવાની હતી. આજે સારો મોકો છે. હું શૉન તથા સુઝનની હાજરીમાં તને નિયુક્ત કરૂં છું.
“શૉન, સુઝન, તમારી પાસે હજી સમય છે. તમે અહીં, અત્યારે ના કહી પાછા કૅલીફૉર્નિયા જઇ શકો છો. મને જરા પણ દુ:ખ નહિ થાય. મને તો ખુશી થઇ કે આપણા બહાદુર પૂર્વજોની વાત સાંભળવા તમે ત્રણ તૈયાર હતા અને હું વાત કહી શકી.
“તમારા પર કોઇ દબાણ નથી. તમે એક વાર મને તમારો નિર્ણય કહો તો મને શાંતિ થાય.”
સુઝન ખુરશી પરથી ઉઠી, કમલાદાદી પાસે ઘૂંટણભેર બેસીને તેમનો જમણો હાથ ઝાલ્યો. “ગ્રૅની, શૉન અને હું આ કામ પૂરૂં કરીશું. આ અમારૂં તમને વચન છે.”
“હા ગ્રૅન. અમે ભારત જવાની તૈયારી કરીને જ આવ્યા છીએ. જ્યોતિદાદાના વંશજોને શોધ્યા સિવાય અમે પાછા નહિ આવીએ.”
કમલાદાદીએ હવે બીજું પરબીડીયું કાઢ્યું. પ્રથમ તેણે એક પીળો પડી ગયેલો. જ્યોર્જટાઉનમાં લીધેલો જુનો ફોટો આપ્યો. એક ઉંચો, ખુબસુરત પ્રભાવશાળી પુરૂષ, તેની સાથે ખુરશીમાં બેઠેલી નાજુક, સૌંદર્યવતિ સ્ત્રી અને આઠ-દસ વર્ષનો કિશોર હતો. “આ છે તારા દદ્દા, ગ્રૅન શરન ઉર્ફે સાન્ડ્રા ડેબી અને નેરાઇન પ્રસાદ.”
“What a strikingly beautiful lady!” સુઝન બોલી ઉઠી.
“હવે મને સમજાય છે નાનાજીએ શા માટે રાજપાટ છોડ્યા!” શીલાએ કહ્યું. “અને શૉન, જરા ધ્યાનથી જોઇશ તો તેમના ચહેરા સાથે તારૂં કેટલું સામ્ય છે!”
“એટલે જ તો હું તેને હંમેશા ‘મારા ગ્રેટ-વન’ના look alike કહીને બોલાવતી હતી!” કમલાદાદી બોલ્યા. “હવે આગળનો પત્ર વાંચ” કહી મોટા લિફાફામાંથી પાંચ-છ હસ્તલિખીત કાગળ આપ્યા. શૉને સુઝનને તે વાંચવા કહ્યું.
પહેલા કાગળ પર શિર્ષક હતું:
“જગતપ્રતાપસિંહની અંતિમ ઇચ્છા અને એકરારનામું."

પરિક્રમા: રહસ્ય-સ્ફોટ

“દદ્દાનું ખરું નામ જગતપ્રતાપસિંહ હતું.”
શૉન, સુઝન અને શીલા જાણે પત્થરમાં કંડારેલી મૂર્તિ હોય તેમ સ્તબ્ધ થઇ ગયા.
“તેમનું બીજું નામ કૉર્પોરલ જગતસિંહ હતું, બૅંગાલ નેટીવ આર્મીની ફિફ્થ ઇરેગ્યુલર કૅવલ્રીના નૉન કમીશન્ડ અૉફિસર. ૧૮૫૭ના ગદરમાં કતલ થયેલી ફિફ્થ રેજીમેન્ટમાંથી જીવતા બચેલા છેલ્લા trooper.” તેમણે જગતની છેલ્લી લડાઇનું વિસ્તારથી વર્ણન કર્યું - અમરસિંહનો ટોપ પહેરી તેમને બચાવ્યા ત્યાં સુધીની દરેક વિગત કહી.
“નૌનદીના યુદ્ધમાં રાજા અમરસિંહની સાથે બચી નીકળેલા બે ઘોડેસ્વારમાં એક દાદાજી હતા અને બીજા તેમના ઘાયલ થયેલા રિસાલદાર બ્રીજ નારાયણ પાંડે હતા.”
“My goodness!” સુઝન બોલી
કમલાની પૌત્રી શીલા અત્યાર સુધી શાંત હતી તે બોલી ઉઠી, “નાની, બચપણથી હું તમારા ગ્રેટ-ગ્રૅન્ડપાનો આ ફોટો જોતી આવી છું. તેની ‘પાછળ’ ફૅમિલી સિક્રેટ્સ સંતાયા છે તે તમે કદી જાણવા ન દીધું! તમારી હૅટમાં હજી કેટલાં સસલાં બાકી છે?” તેણ હળવાશ લાવવા કહ્યું.
“કોઇ સીક્રેટ નથી. કર્તવ્ય નિભાવવામાં તેમના પર જે સંકટ આવ્યા, જે મુશ્કેલીઓ સામે આવી તે દૂર કરવામાં જે કરવું પડ્યું, તેમણે તે જાહેર થવા દીધું નહિ. આ જ વાતો રહસ્ય બની ગઇ.”
“મને એક વાત ન સમજાઇ. તેમને એવી કઇ મજબુરી આવી પડી જેથી તેમના નાના દિકરાને દેશમાં છોડીને જવું પડ્યું? ૧૮૬૦માં અને ત્યાર પછી કેટલા’ય વર્ષો સુધી ભારતના કામદારો વેસ્ટ ઇંડીઝમાં આવતા રહ્યા. તેઓ ‘ગૉસ્પોર્ટ’ પછીનું જહાજ પણ લઇ શક્યા હોત.”
“શક્ય હોત તો તેમણે એ જરૂર કર્યું હોત. મુંઘેરમાં શેરડીના ખેતરમાં ઓવરસીયરનું કામ કરતા હતા ત્યારે તેમની પાછળ પોલીસ તપાસ શરૂ થઇ હતી, તેથી તેમને પૂરા પરિવાર સાથે ત્યાંથી નીકળી જવું પડ્યું. “
“કેમ?”
“મહારાણી વિક્ટોરીયાએ અૅમ્નેસ્ટી જાહેર કરી તેમાં ‘ગ્રેટ વન’નું નામ નહોતું. તેમના પર આરોપ હતો કે તેમણે તેમના કમાંડીંગ અૉફિસર પર ગોળી ચલાવી હતી અને એક અફસરની હત્યા કરી હતી. ખરી વાત તો એ હતી કે આ હત્યાઓ થઇ ત્યારે તે અન્ય જગ્યાએ હતા.
“અા અક્ષમ્ય ગુનો ગણી પોલીસ તેમની ઘનીષ્ઠ રીતે શોધ કરી રહી હતી. દાદાજીએ ઘણી વાર નામ અને સ્થાન બદલ્યાં. ૧૮૫૯ના શિયાળામાં નાનો જ્યોતિ ગંભીર બિમારીમાં સપડાઇ થયો. તેને તેના નાના પાસે ભાગલપુર મૂકવો પડ્યો.
“આમ દાદાજી એક દિવસ ડુમરાઁવ પહોંચ્યા. ત્યાંના જમીનદારના પુત્ર રઇસખાન દાનાપુરની નેટીવ ઇન્ફન્ટ્રીમાં કૉર્પોરલ હતા. મિલીટરીમાં જતાં પહેલાં તે દાદાજીના ‘જમીનદાર નેટવર્ક’ના મિત્ર હતા. ખાનને ખબર મળી હતી કે ગિરમીટ માટે ભરતી કરનાર આરકટીયા તેમના ગામમાં આવી રહ્યા હતા. રઇસખાન ખુદ જવાની તૈયારીમાં હતો. તેણે દાદાજી અને તેમના કુટુમ્બ માટે કાગળીયા તૈયાર કરાવ્યા - એક નવા નામ સાથે.
તેઓ મુંઘેર ફોર્ટના ડેપોમાં હતા, અને જ્યોતિની તપાસ માટે શહેરમાં પહોંચ્યો છે, ત્યારે તેને જાણવા મળ્યું કે સ્થાનિક પોલીસ ગિરમીટીયાઓની યાદી તપાસી રહ્યા હતા. તેઓ દાદીને સાગરિત - accessory to sheltering a traitor તરીકે પકડવા માગતા હતા. જો તે પુત્ર માટે પાછળ રહી ગયા હોત તો તેની શી દશા થઇ હોત તે કલ્પી ન શકાય.”
“નાની, મને એક વાત કહો તો! હું તમારી વહાલી પૌત્રી છું, તો પણ તમે આટલાં વર્ષ સુધી મને તે વિશે કેમ ન કહ્યું?”
“સ્વીટહાર્ટ, દાદાજીએ કઠણ શરતો મૂકીને મને લાચાર કરી હતી. આપણા પરિવારની આટલી મહત્વની વાત છેલ્લા સિત્તેર વર્ષથી મારા મનમાં દફનાવી રાખી છે. મને ડર હતો કે તે મારી સાથે મારા કૉફિનમાં જશે.”
“ગ્રૅની, તમે કહ્યું હતું કે દાદાજીએ તપાસ કરાવી ત્યારે જ્યોતિને લઇ તેમના મામા રામ અવધ લાલ ક્યાંક જતા રહ્યા હતા. કોઇને ખબર નહોતી કે ત્યાં ગયા હતા?”
“તમને મેં કહ્યું હતું ને, કે આ સમાચાર દાદાજીનો મિત્ર રામઔતાર લાવ્યો હતો? રામ ઔતાર પર દાદાજીના અહેસાન હતા. તેણે ઠેઠ સુધી તપાસ કરી. પોલીસ દાદાજી-દાદીને પકડી ન શક્યા તેથી તેઓ દાદીના ભાઇની પાછળ પડી ગયા. તેમના નજીકનાં સગા સરકારમાં અધિકારી હતા, તેમણે તેમને સૂચના આપી કે બને એટલા જલદી શહેર છોડી જાય. આ સાંભળી તેમના વૃદ્ધ પિતા રામદયાલને આઘાત લાગ્યો અને તે અવસાન પામ્યા. રામ અવધલાલ ક્યાં જતા રહ્યા, કોઇને ખબર ન પડી.
“રામઔતાર આ ખબર લાવ્યો તો દાદીનું હૃદય વિદીર્ણ થઇ ગયું. બસ, કેટલાક મહિના બાદ...”
બધાં ફરી એક વાર શાંત થઇ ગયા.
શૉન ઉંડા વિચારમાં પડી ગયો.
ભારતમાંથી પરદેશ ગયેલ દરેક ગિરમીટીયો ખરેખર વીરપુરૂષ કે વીર સ્ત્રી હતી. ભારત છોડતાં પહેલાં અકાલ, જમીનદારો અને લેણદેણનો ધંધો કરનાર મહાજનો દ્વારા થતું શોષણ, સામાજીક અવહેલના અને દ્વેષ સહન કર્યા. પરદેશ જતી વખતે જહાજમાં અમાનુષી પરિસ્થિતિનો સામનો કર્યો અને ગયાના જેવા દેશમાં આવીને બેવડો વર્ણદ્વેષ સહન કર્યો: પહેલાં તેમના શ્વેત માલિકો અને તેમના ઓવરસીયર તરફથી અને તે ઉપરાંત આઝાદ કરાયેલ આફ્રીકન ગુલામો તરફથી. ગયાનાનો ઇતિહાસ તો આવા પ્રસંગોથી પૂરો છવાયો છે: ભારતીય કામદારોની બેકાબુ આફ્રીકન ટોળાંઓ દ્વારા કતલ, સ્ત્રીઓનાં અપહરણ, તેમનાં મકાનોને આગ લગાડવી - આ બધા સામે ટકી રહ્યા. બહુ ઓછા લોકોને ખબર છે કે કેટલાક ભારતીયોએ તેમનો સશસ્ત્ર સામનો કર્યો હતો અને તેમને મારી હઠાવ્યા હતા. એવું પણ કહેવાયું હતું કે તેમના નેતાઓ ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય જંગમાંથી ગયાના છટકી આવેલા સેનાનીઓ હતા.
આ એ જ અનામી વીર સ્ત્રી-પુરૂષ હતા જેમણે સદીઓથી પરદેશી આક્રમણકાર તથા સામ્રાજ્યવાદીઓનો ત્રાસ જીરવ્યો. જરૂર પડી ત્યારે આ જ શોષીત વર્ગ - જેને શરદબાબુએ ‘સર્વહારા’ કહ્યા હતા, તેમણે પોતાનું બધું હારીને સુદ્ધાં ગાંધીજી, જયપ્રકાશ, માંડેલા અને માર્ટિન લ્યુથર કિંગની સાથે રહીને લડ્યા, જીત્યા અને વિજય પ્રાપ્ત કર્યા બાદ ફરી અનામી સર્વહારા થઇ ગયા. સ્ત્રીઓ સાન્ડ્રા ડેબીની જેમ જીવી, લડી અને પુત્રવિરહમાં મરી ગઇ. તેમના જેવી એવી કેટલી બહેનો હતી, જેમણે અનેક માનસીક યાતનાઓ ભોગવી અને સમયના વહેણમાં ઓગળી ગઇ, જેમના વિશે કોઇ જાણતું નથી?
તેનું મન ફરીથી કમલાદાદીએ કહેલી વાત પર ગયું. વિજ્ઞાનના પાયા પર રચાયેલ તેની વિચાર શક્તિએ તેને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.
કમલાદાદીએ કહેલ વાતોના ઐતિહાસીક કે દસ્તાવેજી પુરાવા ન હોય તો તેને કેવળ દંતકથા કહી શકાય. કોઇ વાર સત્ય ઘટના પુરાવાના અભાવે દંતકથા બની જાય છે અને લોકો તેને myth કહી ઉડાવી દેતા હોય છે. તેમણે કહેલ વાતોનો પુરાવો મળે તો તેની શોધ આગળ વધી શકે. દાદી પાસે કોઇ મટેરીયલ પુરાવા કે દસ્તાવેજ હશે?
“શું વિચાર કરે છે, શૉન?” કમલાદાદી જાણે તેના વિચાર વાંચી ગયા હતા. તેણે પોતાની શંકા જાહેર કરી.
“કદાચ તને આ પત્રમાં તેનો જવાબ મળે,” કહી લિફાફામાંથી પારદર્શક પ્લાસ્ટીકના કવરમાં મૂકેલ પત્ર આપ્યો. “આ મોટેથી વાંચ. આપણે સહુ સાંભળીશું.”

Wednesday, March 16, 2011

પરિક્રમા: પ્રવાસનો પહેલો પડાવ.

“શૉન, સૂ, આ છે આપણા ‘ગ્રેટ-વન’ની કહાણી,” કમલા દાદી બોલ્યા

શૉન અને સૂ કમલાદાદીની વાત સાંભળી વિચારમાં પડી ગયા. તેમની વાત કહેવાની રીત એવી હતી, જાણે આખું દૃશ્ય તેમની નજર સામે ઉભું થયું હતું.
આમ તો કમલાદાદીએ ઘણી વાતો કહી, તેમ છતાં તેને કેમ એવું લાગ્યું કે દાદી પૂરી વાત નહોતાં કહેતાં? તે કોઇ વાત તો નહોતા છુપાવતા?
દાદીએ પહેલાં કહ્યું હતું કે દદ્દા - રામપ્રસાદને તેમણે આ નામથી ઘણી વાર ઉદ્દેશ્યા હતા - પટનાથી તેમની પ્રિયાને લઇ કલકત્તા નાસી ગયા હતા. ત્યાર પછી વાત નીકળી તેમના નાના દિકરાની, જેને ભારત મૂકીને તેમને ગયાના જવું પડ્યું હતું. વળી કઇ મા પોતાના પુત્રને મૂકીને જતી રહે, જ્યારે તેને ખબર હતી કે તેના બાપુજી અને ભાઇ તેના બાળકને લઇને મુંઘેર આવવાના હતા? મૂળભૂત વાત તો એ હતી કે કોઇ માબાપ પોતાના પુત્રને મૂકી વતન છોડીને ન જાય. એવું તે શું હતું કે રામ પરસૉદને પોતાના પુત્રને છોડી જવું પડ્યું?
સર્ટિફિકેટ અૉફ ઇન્ડેન્ચરમેન્ટમાં ગામનું નામ ડુમરાઁવ લખ્યું છે, નેક્સ્ટ અૉફ કિનમાં રામ દયાલ સિંહા લખ્યું છે, પિતાનું કેમ નહિ? દાદી આ વાત જાણતા હોવા જોઇએ તેમ છતાં ન કહી. તે ભૂલી ગયા હતા? અને રઇસખાન તેમના જ ગામના હતા એ તો દાદીએ કહ્યું, પણ ગામ વિશે, કે ગામમાં રહેનારા તેમના પરિવાર વિશે બીજી માહિતી કેમ નથી આપી?
તેમના પૂર્વજ રામપ્રસાદ વિશે એવી કઇ વાત હતી કે દાદી તેને છુપાવવા માગતા હતા? શા માટે?
તેણે સીધો પ્રશ્ન પૂછ્યો. “કમલા ગ્રૅન, સૂ અને મારા માટે દદ્દાના ભારતના પરિવાર વિશે જાણવું અત્યંત જરૂરી છે,” કહી તેણે પૂરી વાત કરી: સૂના અૉપરેશનની, ભારતમાંથી મળે તો દદ્દાના પરિવારમાંથી બાળક ખોળે લેવાની, તે માટે તેઓ ભારત જઇ ઉંડાણથી તપાસ કરવા તૈયાર છે, તે તેણે કહ્યું.
“ગ્રૅન, પ્લીઝ, અમને તમારી મદદની જરૂરત છે. ‘ગ્રેટ વન’ વિશે તમને જેટલી ખબર છે એટલી બીજા કોઇને નથી,” સુઝને કહ્યું.
કમલાદાદીએ ઉંડો શ્વાસ લીધો.
“મારાં બચ્ચાંઓ, અત્યારે હું થાકી ગઇ છું. તમે બન્ને કાલે સવારે અગિયાર વાગે આવી શકશો? મારી યાદદાસ્ત કદાચ પાછી આવે! અને હા, મારી અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ જડી આવે તેનો તમને ઉપયોગ થાય,” કહી તેઓ ખંધું હસ્યા.
*********
બીજા દિવસે તેઓ નક્કી કરેલા સમયે તેઓ કમલાદાદી પાસે પહોંચ્યા, ત્યારે તેમની પાસે શીલા પણ બેઠી હતી. તેણે કૉફી તૈયાર કરી રાખી હતી.
કૉફી પૂરી થતાં દાદીએ શૉનને કહ્યું, “દિકરા, સામેની ભીંત પર દદ્દાનો મોટો પોર્ટ્રેટ છે, તે લાવ તો, જરી?”
“ગ્રૅન, આવો ફોટો ગ્રૅન્ડપાને ત્યાં છે. મેં તે ઘણી વાર જોયો છે. તેમના ૭૫મા જન્મદિવસે ફોટો પડાવ્યો હતો એવુ દાદાજી કહેતા હતા.”
“થોડી ધીરજ રાખ.”
ભારે ફ્રેમની ભારેખમ તસ્વીર લઇને શૉન અવ્યો.
“ફ્રેમ પાછળની ક્લિપ્સ ખોલ. ફોટોના બૅકીંંગ બોર્ડની પાછળના કંઇક છે તે મને આપ.”
શૉને દાદીની સૂચના પ્રમાણે પુંઠાનું બૅકીંગ કાઢ્યું અને નવાઇ પામી ગયો. અંદર એક મોટું કવર હતું. તેણે તે કમલાદાદીને આપ્યું.
કમલાદાદીએ કવરમાંથી એક અતિ જુની, સહેજ ઝાંખી પડેલી તસ્વીર કાઢી અને શૉનને આપી. શૉન-સુઝન છબી જોવા લાગ્યા. આ એક ભવ્ય લાગતા યુગલનો તેમનાં બાળકો સાથેનો સ્ટુડીઓ ફોટોગ્રાફ હતો. પતિએ રેશમનું જરીકામ કરેલ અચકન પહેર્યું હતું. માથા પર સાફો અને મંદીલ. રાણી જેવી લાગતી સ્ત્રીએ ભારે બનારસી સાડી પહેરી હતી અને માથા પર પાલવ લીધો હતો. ગળામાં સુંદર હાર હતો, અને ફોટોગ્રાફરે તેમના ચહેરા પર પ્રકાશ પાડવા અરીસાનો ઉપયોગ કર્યો હતો, તેનું એક કિરણ હારમાંના રત્ન પર પડ્યું હતું અને ચળકી ઉઠ્યું હતું. તેમની સામે છ-સાત વર્ષનું બાળક હતું. મખમલનો જરીકામ કરેલ પોશાક, નાનકડો સાફો, તેના પર પીંછાવાળું મંદીલ અને હાથમાં નાનકડી તલવાર હતી. બાળકની આંખો અને સ્મિતમાં કોઇ પરિચિત વ્યક્તિનો ભાસ થયો.
“ગુડનેસ, નાની! આ તો કોઇ રાજ પરિવાર લાગે છે. કોણ છે તેઓ?”
“જે રાજા-રાણી છે, તેમનાં નામ ઉદયપ્રતાપસિંહ અને જ્યોતિદેવી છે. જ્યોતિદેવીના ખોળામાં તેમની દિકરી પ્રકાશિની છે.”
“અને આ રૂપાળો છોકરો...”
“તેમનો દિકરો છે.”
“આ રાજપરિવારનો દદ્દા સાથે શો સંબંધ હતો? તેમના કોઇ...”
“આ બાળક તે આપણા દદ્દા રામ પરસૉદ હતા. તેમના પિતા ઉદયપ્રતાપ રઘુરાજપુરની નાનકડી રિયાસતના રાજા હતા. સાથે તેમનાં પત્નિ જ્યોતિદેવી અને તેમના ખોળામાં છે તે દદ્દાની બહેન પ્રકાશિની,” કમલાદાદીએ શાંતિથી કહ્યું.
“What?” રૂમમાં બેસેલી ત્રણ વ્યક્તિઓ એક સાથે બોલી ઉઠી.

પરિક્રમા: સમુદ્રમાં પ્રયાણ (૨)

પરિક્રમા: કમલાદાદીની વાત

ઘેટાં-બકરાંની જેમ ભરાયેલા કુલીઓની સુખાકારીની પરવા કોને હતી! ખાવા-પીવાની વ્યવસ્થા અયોગ્ય હતી. આરોગ્ય તથા સ્વચ્છતાનો કોઇ ખ્યાલ નહોતો. જહાજીભાઇઓ તથા જહાજીન બહેનો બને એટલો પ્રયત્ન કરતા હતા, તેમ છતાં પ્રવાસીઓ મોતનો શિકાર થવા લાગ્યા. પહેલી વાર જહાજીભાઇઓ મૃત્યુ પામ્યા, તેમને ગૉસ્પોર્ટના કૅપ્ટને રાબેતા મુજબ ‘Burial at Sea’નો વિધિ પતાવી નાખ્યો. મૃતશરીરને સફેદ કપડામાં લપેટી, પૂપ-ડેક પર લઇ જઇ સમુદ્રમાં પધરાવવામાં આવ્યું. કૅપ્ટને બાઇબલમાંથી અંતિમ વિધિના ઉચ્ચારણ કર્યું. મરણ પામેલ વ્યક્તિની વિધવા અને દસ વર્ષનો દિકરો છાતીફાટ રૂદન કરી રહ્યા હતા. બે ગજ જમીન પણ તેના નસીબમાં નહોતી કહી તે રોઇ રહ્યા હતા. જહાજીન બહેનો તેને સાંત્વન આપવાનો પ્રયત્ન કરી રહી હતી.
રામપ્રસાદનો પરમમિત્ર અને જહાજીભાઇ રઇસખાન હતો. કેમ ન હોય? લોકવાયકા હતી કે બન્ને એક ગામ ડુમરાઁવના હતા.
“રઇસભાઇ, આ વાત બરાબર નથી. મરણ અટળ હોય છે, પણ ફાતેહા પઢ્યા વગર આ કામ થયું તે યોગ્ય નથી. જહાજ પર કોઇ મૌલવીસાહેબ પણ નથી. તું અંત્યવિધિ જાણે છે?”
“રામ, કોઇ મુસ્લિમ એવો નથી જે ફાતેહા ન જાણતો હોય. પણ કૅપ્ટનને કોણ કહે?”
બીજા દિવસે કૅપ્ટન જહાજના રાઉન્ડ પર નીકળ્યા ત્યારે રામપ્રસાદ આગળ આવ્યો. જહાજના સેકન્ડ અૉફિસરે તેને ખસવાનું કહ્યું.
“It is a matter of life and death, sir. I must speak to the Captain,” રામ પ્રસાદે કહ્યું.
બધા જહાજીભાઇઓ આશ્ચર્યચકિત થઇને રામપ્રસાદ તરફ જોવા લાગ્યા. કૅપ્ટન પણ નવાઇ પામ્યો.
“તું અંગ્રેજી કેવી રીતે જાણે છે?”
“અંગ્રેજોના ઘરમાં નોકરી કરી છે, સાહેબ. કામ પૂરતું શીખી લીધું,” કહી તેણે તેમની પાસે રજા માગી. સમુદ્રમાં અંતિમ સંસ્કાર કરવાના હોય તો મુસ્લિમો માટે ફાતેહા પઢવાની, હિંદુઓ માટે રામનામના ઉચ્ચારણ સાથે અને ખ્રિસ્તિ માટે કૅપ્ટન પોતે બાઇબલ વાંચે તો મરેલ વ્યક્તિના આત્માને શાંતિ મળે. તેમના પરિવારને અંત્યવિધિ કર્યાનો સંતોષ.
કૅપ્ટને તેની અનુમતિ આપી. તેઓ અનુભવી કૅપ્ટન હતા. વેસ્ટ ઇંડીઝની તેમણે ઘણી ખેપ કરી હતી. દરેક ખેપમાં પાંચથી દસ ટકા મુસાફરો મરણ પામતા હતા. આ એક ‘રાબેતા મુજબ’ની ઘટના હતી, તેમ છતાં તેમને પણ પરિવાર હતો. તેઓ પ્રવાસીઓનું દુ:ખ સમજી શક્યા.
કેપ અૉફ ગુડ હોપના દક્ષીણથી ગૉસ્પોર્ટ નીકળ્યું, હવામાન વધુ બગડ્યું. એક એવું વાવાઝોડું આવ્યું. ઘૂઘવતા સમુદ્રનાં મોજાં ડેક પર પછડાતા હતા. તેમાં વરસાદ પડવા લગ્યો. ડેક પરના પ્રવાસીઓ ફંગોળાવા લાગ્યા. રઇસખાન અને રામપ્રસાદ તેમની મદદે ગયા. અચાનક જહાજ સ્ટારબોર્ડસાઇડ તરફ એટલી હદ સુધી ઝૂકી ગયું, બે પ્રવાસીઓ રેલીંગની પાર ઘસડાઇને સમુદ્રમાં પડ્યા. એક જહાજીભાઇ રેલીંગ તરફ લપસતો હતો. તેને બચાવવા રઇસખાને તેનો હાથ પકડ્યો, પણ તે પોતે લપસી પડ્યો. રામપ્રસાદે એક હાથે દોરડું પકડી, બીજો હાથ તેની તરફ લંબાવીને તેનો હાથ ઝાલ્યો. એટલામાં જહાજ ફરી એક વાર roll થયું, પહેલાં પોર્ટ સાઇડ અને ફરી સ્ટારબોર્ડ. રેલીંગ પાસેનો જહાજીનો હાથ છટકી ગયો અને તે સમુદ્રમાં અદૃશ્ય થઇ ગયો. રઇસખાન બચી ગયો. તેના હાથમાં આવેલ પ્રવાસીનું મૃત્યુથી તેને ભયંકર દુ:ખ થયું. આઠ કલાક ચાલેલા તોફાનમાં તે ભિંજાઇ ગયો હતો. તોફાન શમ્યું પણ રઇસ બિમાર પડી ગયો. ડૉક્ટરે નિદાન કર્યું ન્યુમોનિયા. ત્રણ-ચાર દિવસની બિમારીમાં તેનું અવસાન થયું. મૃત્યુ સમયે રામપ્રસાદ તેની પાસે હતો. રઇસના માથા પર હાથ રાખી તેણે વચન આપ્યું: “ઝુબૈદાખાનુમ મારી બહેન છે. રઝીયા અને આસીયા મારી દિકરીઓ. સુખદુ:ખના મારા સાથી, તું નિશ્ચિંત થઇને માલિક પાસે જા.”
રઇસખાને આખરી વાર ઝુબૈદાખાનુમ અને દિકરીઓ તરફ જોયું. સાન્ડ્રા તેમને સાંત્વન આપી રહી હતી.
રામપ્રસાદે રઇસખાનને સમુદ્રમાં દફનાવવાનો વિધિ કરવાની રજા માગી, અને કૅપ્ટને તે આપી.
૯૪ દિવસે ગૉસ્પોર્ટ ડેમેરારા પહોંચ્યું, ૪૦૮માંથી સો ઉપરાંત જહાજીભાઇઓ મૃત્યુ પામ્યા હતા.
બંદર પર ઉતરતાં ગિરમીટીયાઓને વહેંચી લેવા ગિલૅન્ડર્સનો પર્તિનિધિ તથા પાંચ પ્લૅન્ટેશનના માલિકો આવ્યા હતા. પ્રવાસ દરમિયાન સાન્ડ્રા તથા રામપ્રસાદે આપેલી સેવાઓને જોઇ કૅપ્ટને તેને કહ્યું, “તમારા માટે કંઇ કરી શકું તેમ હોઉં તો મને ખુશી થશે.”
“સાહેબ, જુબૈદાખાનુમ તથા તેની પુત્રીઓને મારા ફૅમિલી યુનિટ તરિકે લખાવશો તો ઘણી મહેરબાની થશે.”
*********
“શૉન, સૂ, આ છે આપણા ‘ગ્રેટ-વન’ની કહાણી,” કમલા દાદી બોલ્યા. તેમણે એક જુનું મોટું આલ્બમ કાઢ્યું અને પ્લાસ્ટીકના કવરમાં મૂકેલું સર્ટિફિકેટ અૉફ ઇન્ડેન્ચરમેન્ટ કાઢી શૉન-સૂને આપ્યુ, જે કંઇક આ પ્રમાણે હતું.


Ship’s Name: GOSPORT

Ship’s No.:471
18657
Guyana Emigration Agency
Calcutta: The Feb 18th 1860
Depot No…………………….. 3287

Name.…………………………. Ram Persaud
Caste………………………….. Kayeth
Father’s Name............... Udai Persaud
Sex………………………………. Male
Age.……………………………… 26
Zillah……………………………..Shahabad
Perganah……………………... Buxar
Village………………………….. Dumraon
Occupation…………………… Laborer
Name of Next of Kin……… Ram Dial Sinha
If married, to whom……… Mrs. Sandra Debbie Persaud
Marks……………………………. 1” scar below left rib cage
_______

Certified that I have examined and passed the above-named as a fit subject for Emigration, and that he is free from all bodily and mental disease. - Having been Vaccinated.

A. Watson Kenneth McLeod
Surgeon Superintendent Depot Surgeon

I hereby certify that the man above described (whom I have engaged as a laborer on the part of the Government of Gyuana where he has expressed a willingness to proceed to work for hire) has appeared before me and that I have explained to all matter concerning his duties as an Emigrant according to the Clause 43 of Act XIII of 1864.

John Smythe James Cochrane
Protector of Emigrants at Calcutta Emigration Agent for Guyana


"આવા સર્ટિફિકેટ સાન્ડ્રા ગ્રૅની તથા ગ્રાન્ડપાના હતા. ક્યાંક મૂકાઇ ગયા છે. પછી ક્યારેક શોધીને તે બતાવીશ. હવે તો રાજી ને?" કમલાદાદી હસીને બોલ્યા.

Tuesday, March 15, 2011

પરિક્રમા: સમુદ્રમાં પ્રયાણ

૨૧મી ફેબ્રુઆરી ૧૮૬૦ની વહેલી સવારની ભરતીમાં ૪૦૮ કુલીઓથી છલોછલ ભરેલું ગૉસ્પોર્ટ કલકત્તાના ડાયમંડ હાર્બરથી નીકળ્યું. ઉપર-નીચેના ડેક પર ‘ભરેલા’ ભારતીયોમાં હવે નાતજાતના વાડા નહોતા રહ્યા. નહોતા રહ્યા હિંદુ મુસલમાન વચ્ચે કોઇ ભેદ. બધાની હવે એક જાતિ હતી. પુરૂષો એકબીજાના ‘જહાજીભાઇ’ થયા અને બહેનો ‘જહાજીન’. એક જહાજમાં પ્રવાસ કરનારાઓ વચ્ચે વધુ ઘનીષ્ઠ સંબંધો થયા.
શરૂઆતના થોડા દિવસો બધા માટે મજાના ગયા, પણ જેવું જહાજ બંગાળના ઉપમહાસાગરમાંથી િંહદી મહાસાગરમાં પ્રવેશ્યું, સાગરની મહાનતા સાથે તેના મોજાંઓની મહાશક્તિ તેમને ભાસવા લાગી. જહાજ એટલા જોરથી pitching અને rolling કરવા લાગ્યું, પ્રવાસીઓના પેટમાં ખાવાનું ટકતું બંધ થઇ ગયું. સ્ત્રીઓ, બાળકો અને પુરૂષો, કોઇ તેમાંથી બચ્યું નહિ. જહાજમાં ડૉક્ટર હતો અને તેમની સાથે બે-ત્રણ પુરૂષ સ્ટાફ. દવાઓના સ્ટૉકમાં તે સમયે ‘સી-સિકનેસ’ માટે તે સમયે કોઇ દવા નહોતી. જહાજીઓને પોતે જ પોતાની આસપાસની જગ્યા સાફ કરવી પડતી હતી. સ્ત્રીઓ તથા બાળકોની સ્થિતિ વધુ ગંભીર હતી. સાન્ડ્રા ડેબી પુત્ર વિયોગનું દુ:ખ બાજુએ મૂકી તેમને મદદ કરવા લાગી ગઇ. પતિને થોડું અંગ્રેજી આવડતું હતું. તેને ડૉક્ટર સાથે વાત કરવાનું કહ્યું. આવા દર્દીઓને કઇ પ્રાથમિક સારવાર આપવી તે જણાવે. અન્ય કોઇ ઇલાજ નહોતો. ફક્ત શરીરમાં પાણીનું પ્રમાણ તથા થોડી ઘણી શક્તિ રહે તે માટે થોડી ખાંડ અને ચપટી મીઠું ભભરાવેલું પાણી પીવા માટે અને સ્વચ્છતા જાળવવા પર ભાર આપવા ડૉક્ટરે જણાવ્યું. સાન્ડ્રાએ કમર કસી અને કેટલીક જહાજીનોને તૈયાર કરી.
સ્ત્રીઓની શારીરિક હાલત કરતાં મનોસ્થિતિ વધુ ખરાબ હતી. લગ્ન કર્યા ત્યારે માબાપનું ઘર છોડતાં જેટલું દુ:ખ થાય તેના કરતાં વધુ યાતના પોતાનું સર્વસ્વ ત્યાગીને જવામાં ભાસતી હતી. સાસરે હોય તો પણ તેમના જેવી પિયર છોડીને આવેલી અન્ય બહેનો સાથે મળીને સાવન ગાતી. માતાપિતાને ઉદ્દેશી આર્જવતાપૂર્વક ગાતી, “આ વર્ષે તો બાપુ, ભાઇલાને મોકલો અને અમને સાવન માટે પિયર બોલાવો!”
જહાજીનો માટે હવે નૈહર, સસુરાલ, સખી તો શું, આખું વતન છૂટી ગયું હતું.
એક દિવસે સાન્ડ્રાએ એક યુવતિને ગાતાં સાંભળી:

“ઐસી બિદાઇ બોલો દેખી કહીં હૈ
મૈયા ના બાબુલ, ભૈયા કૌનો નાહિ હૈં
આંસૂં કે ગહેને અૌર દુખકી હૈ ડોલી
બંદ કિવડીયા મોરે ઘરકી હૈ બોલી,
ઇસ અૌર સપનોંમેં ભી આયા ન કિજો
જો અબ કિયે હૈ દાતા ઐસા ના કિજો
અગલે જનમ મોહે બિટીયા ના કિજો.”

તેનાં અાંસુના દરવાજા ખુલી ગયા. તે પોતે ઢીંગલી જેવી હતી. તેની નાજુક લાગતી કાયા અને તેજસ્વી ચહેરાની પાછળ એક ભારતીય નારીનું હૃદય હતું, પરપીડા જાણનારૂં, હિંમતથી ભરપુર. તેણે નિશ્ચય કર્યો. રામપ્રસાદે કલકત્તામાં તુલસી માનસ રામાયણ ખરીદ્યું હતું. સાન્ડ્રાએ રોજ રાતે બે-ત્રણ જહાજીનોને ભેગી કરી રામાયણ વાંચવાની શરૂઆત કરી. સંખ્યા વધતી ગઇ. પરસ્પર સ્નેહ અને સહાયતાના મૂલ્યો કેળવાયા અને સૌએ પરિસ્થિતિનો મુકાબલો કરવા કમર કસી.
આ તો સફરની શરૂઆત હતી. આગળ શું થવાનું છે તે કોણે જાણ્યું હતું?

પરિક્રમા: ૧૮૬૦ રામપ્રસાદ - ગિરમીટીયો કુલી

કમલાદાદીએ કહેલી વાતોનો અંશ

સારા અને નરસા સમાચાર જંગલની આગ જેમ ફેલાતા હોય છે. આમ તો અવધ અને બિહારમાં ઠેઠ ૧૮૪૦ના દશકથી ‘કાળા પાણી’ માટે મજુરોની ભરતી થતી હતી. ૧૮૫૭ના ગદર દરમિયાન ખેત કામદાર ભુખે મરવા લાગ્યા હતા. કોઇ પણ કામ, ગમે ત્યાં મળે, જમીનવિહોણા ખેતમજુર, વેઠીયાઓ જવા માટે તૈયાર હતા. તેવામાં ગામેગામ આરકટીયા - ગિલૅન્ડર આર્બથનૉટ કંપનીના દલાલ ઉતરી પડ્યા.
“લોકો ભલે તેને કાળા પાણી કહે. સાચી વાત તો એ છે કે પાંચ વરસની ગિરમીટ બાદ કંપની તમને મફત જમીન આપશે. દર મહિને એટલો પગાર આપશે કે પાંચ વર્ષ બાદ તમે હિંદુસ્તાન પાછા આવશો તો વતનમાં જમીન વેચાતી લઇ તમે પોતે જમીનદાર બની જશો. જવા આવવાનો ખર્ચ કંપનીનો.”
દરેક જમીનવિહોણા ખેતમજુર અને વેઠીયા કામદારનું સ્વપ્ન હોય છે કે તેની પોતાની જમીન હોય અને તેના પર તે મહેનત કરે. આ મહેનતમાં એક વધારાનું, પ્રેમનું અદૃશ્ય ખાતર નાખી મબલખ પાક ઉતારે. ગામમાં, કોમમાં તથા સગાંવહાલાંઓમાં પ્રતિષ્ઠા વધારનારી આવી તક કોણ જતી કરે?
આરકટીયાઓ ગામોમાં જઇ પરદેશ જવા માટે તૈયાર હોય તેવા મજુરોને નજીકના શહેરમાં એકઠા કરતા. જ્યારે ૨૫-૫૦ મજુરો ભેગા થાય, તેમને લઇ ફૈઝાબાદ, બક્સર, પટના, મુંઘેર કે ભાગલપુર જેવા શહેરના કોઇ ગોડાઉનમાં કે એવી કોઇ જગ્યાએ જતા. અહીં બસો-ત્રણસો જેટલા મજુરો એકઠા થતાં તેમને ગંગાનદીમાં ચાલતી મોટી નૌકાઓમાં બેસાડી કલકત્તાના મોટા વેરહાઉસ - જેને ‘હોલ્ડીંગ ડેપો’નું પ્રતિષ્ઠીત નામ આપ્યું હતું, ત્યાં લઇ જવામાં આવતા. અહીં દક્ષીણ આફ્રિકા, ફિજી, મૉરીશસ, જમેકા, ટ્રિનિડૅડ, ગયાના રાજ્યોના પ્રતિનિધિઓ તેમની પાસેથી ગિરમીટ - Agreement of Indentureમાં સહિ કરાવી જે તે દેશમાં મોકલતા.
કલકત્તાના ડાયમન્ડ હાર્બરમાં લાંગરેલા જહાજોમાં આ મજુરોને ‘ભરી’ને મોકલવામાં આવતા. હોલ્ડીંગ ડેપોમાં એકઠા થયેલા મજુરોએ કે તેમની પત્નિઓ તથા બાળકોએ જીંદગીમાં કદી સમુદ્ર જોયો નહોતો.
મુંઘેરની નજીકના ગામમાં ભરતી થયેલ એક મજુર, તેની પત્ની તથા તેમનો છ વર્ષનો પુત્ર બસો’એક ગિરમીટીયાઓ સાથે મુંઘેરના કિલ્લામાં બે દિવસથી રાહ જોઇને બેઠા હતા. બીજા બધા મજુર પટનાથી આવનારી રિવરબોટની રાહ જોતા હતા. આપણો મજુર અને તેની પત્નિ ગંગાનદીના ઓતરાદા પ્રવાહ તરફ જોવાને બદલે મુંઘેર શહેર તરફ નજર તાકીને બેઠા હતા.
સાંજના સમયે આ મજુરથી ન રહેવાયું. તે આરકટીયાએ નિયુક્ત કરેલા સરદાર પાસે ગયો. “સાહેબ, મારો નાનો દિકરો હજી સુધી અહીં પહોંચ્યો નથી. મહેરબાની કરી મને ગામમાં જવા દો. કદાચ ધર્મશાળામાં આવ્યા હશે. હું તપાસ કરીને તરત પાછો આવીશ.”
“ના. હવે અહીંથી કોઇને બહાર જવાની રજા નથી.”
મજુરની પત્નિએ સરદારને હાથ જોડીને વિનંતિ કરી, પણ સરદાર ટસનો મસ ન થયો. થોડી વારે મજુરે સરદારના કાનમાં શું કહ્યું કોણ જાણે, પણ તેણે તેને જવા દીધો. એક કલાકમાં પાછા આવવાની શરતે. મજુર ગયો અને એક કલાકમાં પાછો આવ્યો.
તેનો દિકરો હજી પહોંચ્યો નહોતો.
બીજા દિવસની વહેલી સવારે સરદારોએ બધા ગિરમીટીયાઓને સાબદા કર્યા. પટનાથી જહાજ આવી રહ્યું છે. બધાએ પોતપોતાનો સામાન ઉપાડી, લાઇનબંધ થઇ ગંગા કિનારે જહાજ લાંગરવાના ઘાટ તરફ ચાલવા તૈયાર થવાનું છે. પેલા ગિરમીટીયાની પત્નિ રડી પડી. “મારા જીગરના ટુકડાને છોડી હું કેવી રીતે જઉં? સરદાર સાહેબ, તમે જહાજને એક કલાક રોકી રાખો! મારા બિમાર દિકરાને લઇ મારા બાપુ આવતા જ હશે. મહેરબાની કરો!”
સરદારનું હૃદય પિગળ્યું. “બાઇ, તને અને તારા પતિને સૌથી છેલ્લા કાઢીશું. ત્યાં સુધીમાં તારો દિકરો આવે તો ઠીક, નહિ તો તારા અને તારા દિકરાના નસીબ.”
“એવું હશે તો હું નહિ જઉં,” બાઇ બોલી ઉઠી.
“ના, તમે અંગુઠો માર્યો છે. હવે તમે પાછા ફરી ન શકો.”
ગંગા કિનારે નૌકા આવી ચૂકી. પેલી સ્ત્રીનો બાબો આવ્યો નહિ. તે ભાંગી પડી. તેની સ્થિતિ એટલી બુરી હતી કે તેના પતિએ તેને આધાર ન આપ્યો હોત તો તે ઢગલો થઇને પડી ગઇ હોત.
આ નાનકડા પરિવારના સામાનમાં ફક્ત એક મોટું પોટલું હતું, જે મજુરે પોતાની પીઠ પર બાંધ્યું. તેના છ વર્ષના પુત્રનો તેણે હાથ ઝાલ્યો અને બીજો હાથ પત્નિની કમર પર રાખી, તેને આધાર આપી ચાલવા લાગ્યો. તેની પત્નિની આંખમાંથી ચોધાર આંસુ વહેતા હતા. જ્યારે તેઓ જહાજ પર ચઢવા માટેના પાટિયા પાસે આવ્યા, તેમણે ફરી એક વાર પાછા વળીને જોયું અને જહાજ પર ચઢ્યા.
જહાજના કપ્તાને હુકમ આપ્યો: “Weigh anchor!” જહાજ ધીરે ધીરે આગળ વધવા લાગ્યું. કુલીની સ્ત્રી બેહોશ થઇને પડી ગઇ. તેનો પતિ તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
જહાજ નદીના વળાંકમાં ખોવાઇ ગયું.
ગંગા કિનારે પોતાના પુત્ર, ભાઇ, પતિને મૂકવા આવેલા ગ્રામ્યવાસીઓ રડી રહ્યા હતા. આ એવો વિયોગ હતો, જેમાં કોઇને ખબર નહોતી કે જહાજમાં બેસીને જઇ રહેલા તેમનાં આપ્ત કદી પાછા આવશે કે નહિ. આખી રાત નદી કિનારે બેસી રહ્યા બાદ એક કતારમાં જઇ રહેલા તેમના સગાંઓને તેઓ છેલ્લું આલિંગન પણ નહોતા આપી શક્યા. જહાજ નીકળી ગયા બાદ સુદ્ધાં ઘણા વૃદ્ધ પતિ-પત્નિ કિનારા પર બેસી રહ્યા હતા. તેમનામાં ઉઠીને પાછા ઘેર જવા જેટલી શક્તિ નહોતી રહી. એકના એક જુવાનજોધ પુત્રને વિદાય આપ્યા બાદ તેમની શી સ્થિતિ થઇ હશે એ તો પરમાત્મા જાણે.
તેવામાં એક ડોસો અને તેનો યુવાન પુત્ર સિગરામમાંથી ઉતરીને મુંઘેરના ચોક તરફ દોડી રહ્યા હતા. યુવાનના ખભા પર એક ચાર વર્ષનું બાળક હતું. ડોસો હાંફી રહ્યો હતો. ચોકમાં બેસેલા એક માણસને યુવાને પૂછ્યું, “મુંઘેર કિલા તરફ જવાનો રસ્તો બતાવશો?”
“કેમ, કોઇને મૂકવા કે મળવા આવ્યા છો?”
“હા, અમારી બહેન અને બનેવીને...”
“અરે ભૈયા, તમે થોડા મોડા પડ્યા. જહાજ તો નીકળી ગયું લાગે છે. ગિરમીટીયાઓને મૂકવા આવેલા લોકો આ...સામેથી આવી રહ્યા છે.”
ડોસો રસ્તામાં ફસડાઇ પડ્યો. યુવાનની આંખમાંથી અસહાયતાના આંસુ નીકળી આવ્યા.
“મારા બાબુજી અને મા ક્યાં છે, મામા? નાનાજી?” યુવાનના ખભા પર બેસેલા બાળકે પૂછ્યું.
આનો જવાબ કોઇની પાસે નહોતો.
*********
જહાજ હુગલી પહોંચ્યું. ગિરમીટીયાઓને ખિદીરપુરના મોટા વેરહાઉસમાં લઇ જવામાં આવ્યા. આ હતો તેમનો ‘હોલ્ડીંગ ડીપો’.
બીજા દિવસે ‘બડા ડાક્તર સાહેબ’ તથા મોટા સાહેબ આવ્યા.
મોટા સાહેબે ફૉર્મ ભર્યું. આપણા કુલીનો વારો આવ્યો ત્યારે તેના ગામઠી સરદારે સરકારી અફસરને વિગતો લખાવી:
નામ: રામ પરસાદ. કારકૂને લખ્યું, “રામ પરસૉદ”
તેની સ્ત્રીનો વારો આવ્યો ત્યારે નામ લખાવ્યું: સંદ્રા દેબી. અંગ્રેજ કારકૂને લખ્યું, “સાન્દ્રા ડેબી” ખરૂં નામ હતું ચંદ્રા દેવી!
બાળક: નરાયણ પરસાદ: કારકૂને લખ્યું, “નેરાઇન પરસૉદ”.
આ નામ કાયમ માટે લખાઇ ગયા, અપાઇ ગયા. તે દિવસથી તેમનાં નામ જેવા લખાયા, તેવા વંચાયા.
આરકટીયાના સરદારને દર વ્યક્તિ દીઠ દસ શીલીંગ આપવામાં આવ્યા. આરકટીયાની ફી જુદી હતી.
ફૉર્મ ભરાયા બાદ દાક્તરી તપાસ થઇ. દાક્તરે દરેક સ્ત્રી, પુરુષ અને બાળકને તપાસી સર્ટીફીકેટ આપ્યું: તેમણે તપાસેલ વ્યક્તિ શારીરિક તથા માનસિકરીતે પ્લાન્ટેશનમાં જવા અને કામ કરવા સક્ષમ છે. તેમની સાથે ભરતી કરનાર સરકારના પ્રતિનિધિઓએ સહિ કરી.
રામ પરસૉદ, સાન્ડ્રા ડેબી અને નેરાઇન પરસૉદને ગયાના રાજ્ય માટે ફાળવવામાં આવ્યા.
બીજા દિવસે રામપ્રસાદ તેના સરદારને મળ્યો. “અમે ઉતાવળે નીકળ્યા તેથી ઘરવખરીની ચીજો લઇ શક્યા નહોતા. અહીં આવ્યા ત્યારે ખબર પડી કે આ વસ્તુઓ અહીંથી લઇ જવાની છે. મને રજા આપો તો જઇને વસ્તુઓ લઇ આવું.”
આ એ જ સરદાર હતો જેણે રામપ્રસાદને મુંઘેર શહેરમાં જવાની રજા આપી હતી. “સાંભળ, તને મારી જવાબદારી પર જવા દઉં છું. તું પાછો ન આવે તો મારી આવી બને,”
“ભલા માણસ, મારી પત્નિ અને બાળકને અહીં ડેપોમાં છે, તેમને મૂકીને કેવી રીતે જઇ શકું?”
“તારે સામાન લેવા જ જવું હોય તો બડા બઝારમાં જા. ત્યાં બધી વસ્તુઓ મળી જશે. અમે સાધારણ રીતે જોઇતી વસ્તુઓની યાદી બનાવી છે. જોઇએ તો તેની નકલ કરી લે.”
“મારી સ્ત્રીએ મને કહ્યું છે તેને શું જોઇશે.” કહી રામપ્રસાદ ખિદીરપુરથી બડા બઝાર જવા નીકળ્યો. રસ્તામાં કુમારટુલીના માટીકામના કારીગરોને સુંદર મૂર્તિઓ બનાવતા જોઇ તે એક વૃદ્ધ મૂર્તિકાર પાસે ગયો. ભાંગી તુટી બંગાળી-ભોજપુરીમાં તેણે પૂછ્યું કે તે આપે તે માપ પ્રમાણે કૃષ્ણભગવાનની મૂર્તિ બનાવી શકશે કે કેમ. અને તે પણ ચાર કલાકમાં. તે પૈસા પણ બમણા આપશે. ડોસો ખુશ થઇ ગયો. “હા, ચાર કલાકમાં બની જશે.”
“બાબા, હું તો કાળા પણી જઉં છું. આત્માના ઉદ્ધાર માટે સંસ્કૃતના શ્લોકનું પુસ્તક લઇ જવું છે. તમે જાણો છો તે ક્યાં મળશે?”
“ખબર નથી, પણ સાંભળ્યું છે કે સંસ્કૃત કૉલેજમાં આવી ચોપડીઓ મળી જાય છે,” કહી તેનું સરનામું આપ્યું.
પાંચેક કલાક બાદ રામપ્રસાદ એક ફીટનમાં મોટું પોટલું લાદીને કુમારટુલી ગયો. ત્યાંથી કન્હાઇની મૂર્તિ લઇ ડેપોમાં પહોંચી ગયો. ચંદ્રાદેવી - હવે સાન્ડ્રા ડેબીના નામથી ઓળખાતી તેની પત્નિ હજી પણ તેના પુત્રશોકમાં હતી. રામપ્રસાદે તેને હૈયાધારણ આપી. તેમનો પુત્ર સાચે જ ઘણો બિમાર હતો તેથી જ તેને સારવાર માટે તેના નાનાને ત્યાં રાખ્યો હતો. કાળાપાણીનો લાંબો પ્રવાસ તે જીરવી શક્યો ન હોત. દૂર રહીને જીવંત રહેલ બાળક સારૂં કે સતત મૃત્યુના ઓછાયા નીચે તેને પરદેશ લઇ જવું? અને તે પ્રવાસમાં જ...સાન્ડ્રાએ રામપ્રસાદના મ્હોં પર હાથ મૂક્યો અને કહ્યું, “શુભ-શુભ બોલો.”
બીજા દિવસે પરોઢ પહેલાં, ત્રણ વાગે ગયાના જનારા ગિરમીટીયાઓને ગિલૅન્ડર્સ આર્બથનૉટ કંપનીએ ચાર્ટર કરેલ જહાજ ‘ગૉસ્પોર્ટ’ પર ચઢાવવામાં આવ્યા. મજુરોએ ચાર સઢ વાળું આટલું મોટું જહાજ જીંદગીમાં પહેલી વાર જોયું. ફરી એક વાર Weigh Anchorનો હુકમ, કરૂણ-ગંભીર અવાજના હુંકાર જેવા અવાજ સાથે ગૉસ્પોર્ટના ક્લૅક્સનના અવાજ સાથે કલકત્તાના ડાયમન્ડ હાર્બરથી નીકળ્યું.
આપણા લોકો જેને કાળા પાણી કહેતા હતા, તે યુરોપીયનો માટે ‘એલ ડોરાડો’ - સોનાની લંકા હતી. પહેલાં ત્યાંનું પીળું સોનું લૂંટવા કૉંકીસ્તેડોર ગયા હતા. હવે સફેદ સોનું - ખાંડના રૂપમાં મળતી સોનાની મહોર માટે અંગ્રેજ જમીનદારો પહોંચી ગયા હતા. યુરોપમાં સોનું કમાવી, પાર્લમેન્ટના સભ્યોને ખરીદી તેમણે એક નવો ધંધો શરૂ કર્યો હતો. વેસ્ટ ઇંડીઝના ગુલામોને છુટા કરી તેમના સ્થાને ગરીબ ભારતીયોને ઇન્ડેન્ચર્ડ લેબરરના પ્રતિષ્ઠીત નામથી અભિનવ ગુલામી શરૂ કરી હતી.
હિંદુસ્તાન! પહેલાં તેનું સુવર્ણ, હિરા, પન્ના લૂંટવા પરદેશીઓ આવ્યા. ત્યાર પછી બીજા પરદેશી આવ્યા, હિંદુસ્તાનીઓનાં માથાં વાઢી, તેના મિનારા બનાવી ગાઝીનો ખિતાબ જીતવા. તેમની પાછળ પાછળ સામ્રાજ્ય સ્થાપવા તુર્ક, તેજાના ખરીદવાના નામે યુરોપીયનો આવ્યા, રાજ્ય સ્થાપ્યું અને સાથે સાથે ‘અજ્ઞાન’માં ભટકતા મૂર્તિપૂજક ભારતીય ‘જંગલીઓનાં’ આત્માનો ઉદ્ધાર કરવા ધર્મગુરુઓ આવ્યા. હજી જાણે કંઇ બાકી રહ્યું હોય, તેમ ગુલામોની અવેજીમાં ‘કુલી’ઓની જથ્થાબંધ ભરતી થઇ રહી હતી. ત્રીસ-પાંત્રીસ વર્ષમાં ત્રણેક લાખ ભારતીયો ફિજી, દક્ષીણ આફ્રિકા, મૉરીશસ, યુગૅંડા-કેન્યા અને વેસ્ટ ઇન્ડીઝ મોકલાયા.
આ કુલીઓમાં હતા શૉનના પૂર્વજ, રામ પ્રસાદ, સાન્ડ્રા અને ‘નરાઇન પરસૉદ’.

Monday, March 14, 2011

પરિક્રમા: પ્રથમ પગલું

બાળક લેવાનો નિર્ણય લીધા બાદ તેમણે તે દિશામાં કામ વિના વિલંબે શરૂ કર્યું. તેમના મિત્રસમૂહમાંથી એક ઇટાલિયન-અમેરિકન યુગલ ચીનથી બાળક દત્તક લઇને આવ્યું હતું. સુઝનના પરિવારની સ્વીડનમાં વસતી એક બહેને શ્રીલંકાનું બાળક ખોળે લીધું હતું. શરૂઆાતમાં શૉને અૉરેન્જવૂડમાંથી જ બાળક લેવાનો વિચાર કર્યો.
“શૉન, મારો વિચાર જુદો છે. તારો પરિવાર મૂળ ભારતથી આવેલ છે. તેમના ભારતના પરિવારમાંથી કોઇ બાળક લઇએ તો કેવું?”
શૉન વિચારમાં પડી ગયો.
ક્વીન્સની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વેળાએ ત્યાંના બાળકોનો પ્રિય પ્રોજેક્ટ હતો Family Tree, પોતપોતાના પરિવારની વંશાવળી બનાવવાનો. શૉને તેમાં ઉંડો રસ લીધો હતો અને તે માટે રજાઓ દરમિયાન પોર્ટ અૉફ સ્પેન પણ જઇ આવ્યો હતો. તેના દાદા શિવનારાયણ તથા તેમની સૌથી મોટી બહેન કમલાઆન્ટીએ તેને ઘણી મદદ કરી હતી.
“અમારા પરિવારના સંસ્થાપક રામ પરસૉદ નામના Indentured laborer ગિરમીટીયા હતા. તેમનાં પત્નિ ખ્રિસ્તી, કદાચ અૅંગ્લોઇન્ડીયન હતા એવું લોકો કહેતા. તેમનું નામ સાન્ડ્રા હતું. પરિવારમાં કમલાદાદી સિવાય કોઇની પાસે વિગતવાર માહિતી નહોતી. કમલાદાદી ઘણા રોમાન્ટીક હતા. તે તેમના વડદાદાની વાત રંગ ચઢાવીને કહેતા: તે જમાનામાં હિંદુ અને ખ્રિસ્તી વચ્ચે લગ્ન અસંભવિત હતા. રામ પરસૉદ અને સાન્ડ્રા પ્રેમમાં પડ્યા અને પટનાથી બોટમાં કલકત્તા નાસી ગયા. ત્યાં જઇને લગ્ન કર્યા. તેમના પરિવારજનોએ તેમનો બહિષ્કાર કર્યો, તેથી તેઓ ગયાના જતા રહ્યા.
“મારા સ્કૂલ પ્રોજેક્ટ માટે આટલું પૂરતું હતું. મેં બનાવેલ ‘ફૅમિલી ટ્રી’ની ફોટોકૉપી કરીને સ્કૅન કરી કમ્પ્યુટરમાં ફાઇલ કરી છે,”કહી તેણે પ્રિન્ટઆઉટ કાઢ્યો. “આમાં બતાવેલી કેટલીક તારીખ અનુમાનથી કાઢી છે.”

રામ પરસૉદ (૧૮૩૪-૧૯૨૪)

પુત્ર: નારાયણ પરસૉદ (૧૮૫૪-૧૯૩૬) -

નારાયણ પરસૉદને એક પુત્ર બલદેવ પરસૉદ (૧૮૭૮-૧૯૪૪), અને પુત્રી સાન્ડ્રા (૧૮૮૦-૮૨)

બલદેવ પરસૉદને પુત્રી: કમલા (૧૯૦૩) અને પુત્ર: રામનારાયણ પરસૉદ(૧૯૦૭)

કમલાની સંતતિ: દિકરી ડેબી (બર્મીંગહમ), પુત્ર રિચર્ડ (ટોરોન્ટો) પુત્ર ઇન્દર પૉલ
ડેબીની દિકરી શીલા (પોર્ટ અૉફ સ્પેન)

રામનારાયણની સંતતિ: સબિતા, ક્રિષ્ણ પરસૉદ, મહેશ પરસૉદ.

કિષ્ણ પરસૉદની સંતતિ: માયા (૧૯૬૩); શૉન (૧૯૬૫)

“આટલી માહિતી પરથી મને નથી લાગતું આપણે ભારતમાં કોઇને શોધી શકીશું.” શૉને કહ્યું.
“મારૂં માનવું છે કે કમલાઆન્ટી ઘણું જાણતા હશે. તેમની જન્મતારીખ અને મિ. રામ પરસૉદની તારીખો જોતાં એવું સ્પષ્ટ જણાય છે કે કમલાઆન્ટીએ તેમની સાથે ઘણો સમય ગાળ્યો હશે. આપણે પોર્ટ અૉફ સ્પેન જઇને તેમને મળીએ તો કેવું? તેમની પાસેથી એકાદ કડી મળે તો પણ આપણે મૂળ સુધી પહોંચી જઇશું. “
“It’s a wild goose chase, Sue. આપણે કોઇ એજન્સીને કામ સોંપીએ.”
“શૉન, આપણે પ્રયત્ન કરી જોવામાં શું જાય છે? એજન્સી તો સહેલામાં સહેલો રસ્તો કાઢી જે પહેલું બાળક તેમના લિસ્ટમાં હશે તે આપશે. મારી અંતરની ઇચ્છા છે કે ભગવાન બુદ્ધનાં પાવન પગલાં પડ્યા છે તે ભુમિના દર્શન કરવા. તારા વંશના સ્થાપક પટનાથી કલકત્તા ગયા હતા. શક્ય છે તે પટનાના જ હતા. જો આપણો પ્રયત્ન સફળ થાય અને આપણે આપણા પરિવારના બાળકને ખોળે લઇ શકીએ તો ઉત્તમ. ન થાય તો તને તારા પૂર્વજોનો દેશ જોવા મળશે, અને મારી મહાબોધિ, સાંચી, રાજગીર અને નાલંદા જવાની ઇચ્છા પૂરી થશે.”
શૉને હવે મનસુબો બનાવી લીધો. તેણે માતા પિતા સાથે વાત કરી. તેઓ લાંબા સમયથી વતન નહોતા ગયા તેથી તેઓ પણ તેમની સાથે જવા તૈયાર થયા.
શૉન તથા સૂએ લાંબી સૅબેટીકલ લીધી. પરસૉદ પરિવાર પોર્ટ અૉફ સ્પેન જવા નીકળ્યો.
*********
“આવ મારા વડદાદાના ‘લૂક-અલાઇક’!” કમલા શૉનને જોઇ ખુશ થઇ ગયા. “તું કેમ છે, સૂ? ઘણા વખતે આવી! તને જોઇને ખુબ રાજી થઉં છું. આવ દિકરી.”
૯૦ વર્ષની વયનાં કમલા આન્ટી તેમની પૌત્રી શીલા સાથે રહેતાં હતાં. તેમનો એક પુત્ર કૅનેડા અને એક દિકરો અને દિકરી બ્રિટનમાં રહેતા હતા. કમલાદાદી લંડનમાં થોડો સમય રહ્યા, પણ ત્યાંની ટાઢ અકારી લાગી અને પાછા આવી ગયા હતા. શીલા ટ્રિનીડૅડમાં ટેલીવીઝન પત્રકાર હતી.
જમેકાની પ્રખ્યાત બ્લુ માઉન્ટન કૉફીનો કપ પૂરો થતાં શૉને વાત શરૂ કરી. તેણે હજી તેની ખોજનો મૂળ ઉદ્દેશ ન કહ્યો.
“તું હજી ફૅમિલી ટ્રીની પાછળ પડ્યો છે? પરંપરાની બાબતમાં તમે અમેરીકનો પણ ખરા છો!” ડોશીમા હસતાં હસતાં બોલ્યા. “મેં ક્યાંક વાંચ્યું હતું કે બૉસ્ટનના પ્લેનેટેરીયમમાં ક્રિસ્ટમસની રજા દરમિયાન એક કાર્યક્રમ યોજાયો: જે મધરાતે ઇશુનો જન્મ થયો ત્યારે આકાશ કેવું હતું? એક જણાએ કાર્યક્રમના આયોજકને પૂછ્યું, “ક્યાં, બેટલેહેમમાં?” તો આયોજકે જવાબ આપ્યો, ‘ના, બૉસ્ટનમાં! આવા છો તમે અમેરિકનો!” કહી પોતાના વિનોદ પર પોતે જ હસી પડ્યા.
શૉને તેમને ખૂબ આગ્રહ કર્યો. “ગ્રૅની, અમારા માટે આ અતિ મહત્વની વાત છે. અમને ભારત જઇ આપણા પરિવારના સભ્યોને શોધવા છે, તેમને મળવું છે.”
“અરે દિકરા! આ ઉમરે મને એ બધું ક્યાંથી યાદ હોય? મારા વડદાદા અને દાદી કલકત્તાથી ‘ગૉસ્પોર્ટ’માં ગયાનાના ડેમેરારા બંદરે ઉતર્યા હતા. ત્યાં વર્ષો રહ્યા અને દાદીના અવસાન પછી ટ્રિનિડૅડ આવ્યા. મારી બેડની નજીકના ટેબલ પર આ મૂર્તિ છે, એ તેમની નિશાની છે. બાકી દેશમાં તેમના સગાં વિશે હું તને શું કહી શકું?”
શૉને આ અગાઉ મૂર્તિ જોઇ હતી. આજે પહેલી વાર તેણે ધ્યાનપૂર્વક જોઇ. દોઢ ફૂટ ઉંચી કાળી માટીની કૃષ્ણની મૂર્તિનું મસ્તક સહેજ જમણી તરફ ઝુકેલું હતું અને વાંસળી મૂર્તિના જાડા બેઝ તરફ. અંગભંગિમા એટલી સુંદર, બસ જોયા જ કરીએ. આવી ભારે, વજનદાર મૂર્તિ ભારતથી કાળજીપૂર્વક લાવી આટલી સંભાળપૂર્વક રાખવી કેટલું મુશ્કેલ હશે, તેનો વિચાર તેને આવ્યો.
“How beautiful!” સુઝન બોલી ઉઠી.
“હા, તો ગ્રૅની, જે યાદ છે એ તો કહો?”
“શૉન, સૂ, બહુ લાંબી વાત છે. એક દિવસમાં પૂરી નહિ થાય. તમે કેટલા દિવસ રોકાવાના છો?
“તમારી વાત પૂરી થાય ત્યાં સુધી!”
“મારા વડદાદાનું નામ રામ પરસૉદ હતું......” કહી કમલાદાદીએ વાત શરૂ કરી.

Sunday, March 13, 2011

કૅલીફોર્નિયા: ૧૯૯૨-૯૬

કહેવાય છે કે માણસે ભૂતકાળમાં વધુ વખત જીવવું ન જોઇએ! વચ્ચે વચ્ચે આજના કાળમાં પણ આપણાં પગ મજબૂત રીતે સ્થિર છે તેની ખાતરી કરી લેવી જોઇએ!
આજે આપણે કૅલીફૉર્નિયાની મુલાકાતે જઇશું અને આપણે જેમને થોડું ઘણું જાણતા હતા તેમને મળીને જોઇશું તેમના જીવનમાં શું થઇ રહ્યું છે.
*********
શૉન અને સુઝનના જીવનમાં એક શોકદાયક ઘટના બની ગઇ.
સુઝનના ગર્ભાશયમાં સીસ્ટ થઇ. કમભાગ્યે તે કર્કરોગયુક્ત જણાઇ અને તેના ઉપાય તરીકે તેની હિસ્ટરેક્ટોમી કરવી પડી હતી.
આખો પરિવાર દુ:ખી થયો. સુઝન તથા તેના પતિએ બે વર્ષ માટે પરિવાર નિયોજન કર્યું હતું. આ અણધારી ઘટનાથી સૌને દુ:ખ થયું. શૉન તથા સુઝન, બન્નેને બાળકો વહાલાં હતા. સુઝને બાલરોગ નિષ્ણાત થવાનું નક્કી કર્યું તેનું આ જ કારણ હતું. બન્ને એવા સેવાભાવી હતા, દર વર્ષે વૅકેશન પર જતાં પહેલાં અગાઉથી વ્યવસ્થા કરી, શૉનના વતન ટ્રિનીડૅડ કે બેલીઝ, ગ્વાતેમાલાના બાળકોનાં હૉસ્પિટલમાં દવાઓ તથા શસ્ત્રક્રિયાના સાધનો લઇ જતા અને બાળકોને વિનામૂલ્યે સેવા આપતા. ટ્રિનીડૅડમાં તેને બેવડો આનંદ મળતો: દાદા-દાદી અને ખાસ કરીને કમલાદાદીને મળવા ઉપરાંત બાળકો સાથે ક્રિકેટ રમવાની મઝા મળતી!
હિસ્ટરેક્ટોમી બાદ સુઝન ભાંગી પડી હતી. શૉન તેનો ભાવનાત્મક આધારસ્તથંભ બની ગયો. ગ્રેસ તથા ક્રિસે તેને સાચવી લીધી. પરિવારના પ્રેમને જોઇ સુઝનને એક વાત સતાવવા લાગી: આવા સ્નેહાળ પરિવારને એક સંતાનની ભેટ પણ તે ન આપી શકી?
શૉન ઘણો સમજદાર હતો. તેણે પત્નિના બાલપ્રેમને લક્ષ્યમાં લઇ પરિવારમાં એક નવો અભિગમ શરૂ કર્યો. દર વર્ષે નજીકના શહેર અૉરેન્જમાં આવેલા કાઉન્ટી સંચાલિત અૉરેન્જવૂડ ચિલ્ડ્રન્સ હોમનાં ચારથી છ વર્ષનાં બાળકોને તેમના ઘરમાં થૅંક્સગિવીંગ અને નાતાલના દિવસ ઉજવવા બોલાવવાનું શરૂ કર્યું. આખો પરિવાર, ખાસ તો સુઝન બાળકો સાથે સમુદ્રકિનારે આખો દિવસ આનંદમાં ગાળી, તેમને તથા તેમના ‘કી-વર્કર્સ’ને ગિફ્ટ્સ આપવા લાગ્યા.
ચાર વર્ષથી ચાલતા આ કાર્યક્રમમાં ક્રિસ તથા ગ્રેસ પણ એટલા જ ઉત્સાહ તેમાં ભાગ લેતા અને બાળકોએ તેમને ‘મિસ્ટર પરસૉદ’ કે ‘મિસેસ પરસૉદ’ કહેવાને બદલે ‘ગ્રૅમ્પૉ-ગ્રૅન’ કહેવાનું શરૂ કર્યું.
એક ક્રિસમસ-ઇવની રાતે જ્યારે બધા મળીને બાળકો માટેની પ્રેઝન્ટ પૅક કરતા હતા, ગ્રેસને વિચાર આવ્યો: પુત્ર-પુત્રવધુનો બાળકો પ્રત્યે આટલો સ્નેહ અને ઉત્સાહ છે, તો તેઓ એક બાળકને દત્તક લે તો કેવું? એક બાળક તેમના જીવનમાં આવે તો તે તેમના સ્નેહનું કેન્દ્ર બનશે અને સતત બાલઉછેરનો, બાળકના વિકાસમાં સહભાગી થવામાં તેમને અનન્ય આનંદ અનુભવવા મળશે. રાત્રે સૂતી વખતે તેણે ક્રિસને વાત કરી. તેમને આ વિચાર ઘણો ગમ્યો.
નાતાલનો દિવસ બાળકોના કિલ્લોલમાં ગાળી રાત્રે તેઓ ફાયરપ્લેસ પાસે બેસી, કૉફી પર વાત કરતા હતા, ત્યારે ગ્રેસે વાત છેડી.
સુઝન થોડી ગંભીર થઇ.
“લૂક, માય ચિલ્ડ્રન,” ક્રિસે કહ્યું, “અમે તમને ફક્ત વિચાર કરવાનું સૂચવીએ છીએ. અમે જાણીએ છીએ કે આ કામ ભારે જવાબદારીભર્યું છે. તમે બન્ને કમીટેડ ડૉક્ટર્સ છો. તમારા વ્યવસાયને ધ્યાનમાં રાખતાં તમારા માટે આ શક્ય થશે કે નહિ, તેનો વિચાર કરી અમારા સૂચન પર ધ્યાન આપવાનું છે.”
“સુઝન, શૉન, આ તો કેવળ અમારો વિચાર છે. તમારે તેને સ્વીકારવો જ એવું કશું નથી. તમારા બન્નેનાં કમીટમેન્ટ્સ, ભવિષ્યની યોજના - આ બધી વાતો ધ્યાનમાં લઇ, તમને શક્ય લાગતું હોય તો જ તેનો વિચાર કરજો. ક્રિસે કહ્યું તેમ તમારો જે નિર્ણય હશે તે અમને માન્ય છે. તમારી ખુશીમાં જ અમારો આનંદ સમાયો છે,” ગ્રેસે કહ્યું.
“હા, અને એક વાત: તમે કોઇ પણ વર્ણનું બાળક - છોકરો હોય કે છોકરી દત્તક લેવાનો નિર્ણય કરશો, અમે તેને હૃદયપૂર્વક મંજુર કરીશું. અમે બાળકનું એવું ધ્યાન રાખીશું કે દિવસ દરમિયાન તમને તમારા કામમાં જરા પણ વ્યત્યય આવવા નહિ દઇએ. અમને તેના દાદા-દાદી બનવાનો લહાવો મળશે.”
વાત એટલી ગંભીર હતી, સુઝન કે શૉન થોડો સમય શાંત બેસી રહ્યા. કૉફી ઠંડી પડી ગઇ. સુઝન કિચનમાં ગઇ અને કૉફીમશીનમાંથી ગરમ કૉફી લઇ આવી. તેની આંખમાં કોણ જાણે કેમ ઔદાસ્ય દેખાતું હતું. ગ્રેસને એકાએક આત્મદોષની લાગણી થઇ આવી. આ વાત છેડીને તેણે સુઝનને દુ:ખ પહોંચાડ્યું હોય તેવું તેને લાગ્યું.
“We did not mean to upset you, sweetheart!” ગ્રેસે આર્જવતાપૂર્વક કહ્યું. “અમે તારા હૃદયમાં બાળકો પ્રત્યેનો નિ:સીમ પ્રેમ જોતાં આવ્યા છીએ. અમારૂં સૂચન...”
“ના, મૉમ, ડૅડ, એવું કશું નથી. હું તમારી ભાવના ક્યાં નથી જાણતી? શૉન અને હું આ વાત પર જરૂર વિચાર કરીશું. કેમ શૉન?”
“હા, મૉમ. આમ અચાનક આ વાત નીકળી તેથી અમે જરા ચકિત થયા હતા, એટલું જ. તમે જરા પણ ક્ષોભ મહેસૂસ ન કરશો.”
ગ્રેસે સુઝન તરફ જોયું. તેણે મૉમ તરફ જોઇ સ્મિત કર્યું.
એક આનંદ સાથે ‘હાશ’ની લાગણીથી ક્રિસ અને ગ્રેસ ઉભા થયા, અને ગુડ નાઇટ કહી બેડરૂમ તરફ ગયા.
સુઝન તથા શૉન ઘણો સમય ઊંડા વિચારમાં ફાયરપ્લેસ પાસે બેસી રહ્યા.
આ વાતને એક અઠવાડીયું વિતી ગયું. એક દિવસે સાંજે અગાસીમાં બેસી િક્રસ અને ગ્રેસ પ્રશાંત મહાસાગરના હીલોળાં જોતાં હતા. હંમેશની જેમ થોડી વારે શૉન અને સુઝન ત્યાં આવ્યા. બન્નેના ચહેરા પર સ્મિત હતું. આજે શૉનના હાથમાં ટ્રે હતી, તેમાં મોએત્ એ શાન્દોંની બાટલી અને ચાર પ્યાલીઓ હતી.
“ડૅડ, મૉમ, અમે બાળક દત્તક લેવાનું નક્કી કર્યું છે!”