Wednesday, August 21, 2013

બ્રિટનની વર્ણ વ્યવસ્થામાં જાગૃતિ


૧૯૮૧ના વર્ષમાં જિપ્સી લંડનમાં હતો તે સમયે ત્યાંના બ્રિક્સટન વિસ્તારમાં વર્ણીય તોફાન ફાટી નીકળ્યા. આ વિસ્તારમાં આફ્રિકન-કૅરીબીયન, જેમને આપણા લોકો તે સમયે ‘જમાઇકન’ નામે ઓળખતા. ખરેખર તો આ પ્રજામાં કેવળ જમેકાના જ નહી, કૅરીબિયન સમુદ્રના જમેકા ઉપરાંત બાર્બેડોઝ, ટ્રિનીડૅડ, ડોમીનીકા, ગયાના વિ. જેવા લગભગ દરેક દેશમાંથી આવીને વસેલા લોકો હતા. લૅમ્બથ કાઉન્સીલના બ્રિકસ્ટન વિભાગમાં કૅરીબીયન પ્રજા ભારે સંખ્યામાં રહેતી હતી. કાઉન્સીલના મકાનોની ફાળવણીમાં, નોકરી, શિક્ષણ - આમ દરેક જગ્યાએ તેમના પર અત્યંત વર્ણભેદ દાખવવામાં આવતો હતો. ગરીબી ચારે તરફ ફેલાઇ હતી અને જ્યાં ગરીબી હોય ત્યાં ગુનાઓ વધે જ એવું સમીકરણ જ બની ગયેલું હોવાથી અહીંના કોઇ પણ અશ્વેત યુવાનને દિવસના કોઇ પણ સમયે પોલીસ મન ફાવે ત્યારે રોકે અને તેમની ઝડતી લે. આ અપમાનાસ્પદ વર્તાવ હદ બહાર કરવામાં આવતો હતો. આખા દેશના તો શું, લંડનના અન્ય વિભાગોના પ્રમાણમાં બ્રિક્સટનમાં stop and searchનું પ્રમાણ અનેકગણું હતું. 

૧૧મી એપ્રીલ ૧૯૮૧ના દિવસે પોલીસ અને એક યુવાન અશ્વેત યુવાન વચ્ચે આવો જ એક પ્રસંગ બની ગયો અને પોલીસ અને બ્રિક્સ્ટનની અશ્વેત પ્રજા વચ્ચે લગભગ યુદ્ધ ફાટી નીકળ્યું. અનેક મકાનો, દુકાનો અને વાહનો આગમાં તારાજ થઇ ગયા. પોલીસે દમનની માઝા મૂકી હતી. આખા દેશમાં હાહાકાર મચી ગયો. 



તે સમયની કૉન્ઝર્વેટીવ સરકારે લૉર્ડ જસ્ટીસ સ્કાર્મનને Brixton Riotsની તપાસ માટે પંચ તરીકે નીમ્યા. તેમના રિપોર્ટમાં લૉર્ડ સ્કાર્મને સ્પષ્ટ રીતે જણાવ્યું કે બિનશ્વેત પ્રજા, ખાસ કરીને આફ્રીકન-કૅરીબીયન પ્રજા પ્રત્યે દરેક બાબતમાં ભારે ભેદભાવ થાય છે. પોલીસ તેમની કાર્યવાહીમાં આ પ્રજાને નિશાન બનાવી હેરાન તો કરે જ છે, પણ ઘણી વાર અમાનુષ વર્તન પર સુદ્ધાં ઉતરી આવે છે. આ પ્રજામાં અસંતોષનો અગ્નિ વધવાનું કારણ રાજ્યની વેલ્ફેર વ્યવસ્થા દ્વારા વર્ણીય દ્વેષને કારણે થતો ભેદભાવ - જે લગભગ તેમને આ લાભમાંથી વંચિત રાખવામાં આવ્યા હતા. Institutionalized Racismનો આ નમૂનો હતો. આ કારણસર બિનશ્વેત પ્રજા ગરીબી, બેકારી અને અભાવથી પીડાતી હતી. લૉર્ડ સ્કાર્મને આ બાબતમાં પૂરી તપાસ તથા અનેક વ્યક્તિઓ તથા સંસ્થાઓની વાત સાંભળ્યા બાદ પૂરાવા એકઠા કર્યા. તેમના રિપોર્ટમાં લૉર્ડ સ્કાર્મને અનેક  ભલામણો કરી, જેમાં પોલીસની કાર્યવાહી સામે તપાસ કરવામાં નિષ્પક્ષ પંચ (Police Enquiries Commission) નીમવામાં આવે. કેવળ બ્રિક્સટનમાં જ નહી, દેશભરમાં ભારતીય સમેત બધી બિનગૌર પ્રજા પ્રત્યે સરકારની બેદરકારીને કારણે થયેલ અધોગતિને રોકવા સક્રિય પગલાં લેવામાં આવે. સરકારે તેમની ભલામણો સ્વીકારી.

બ્રિક્સટનનાં હુલ્લડ તથા લૉર્ડ સ્કાર્મનના રિપોર્ટે આખા દેશને તેમની વર્ણભેદ અંગેની નીતિ અંગે જાગૃતી આણી. દરેક કાઉન્સીલમાં Race Awareness Trainingની શરૂઆત કરવામાં આવી. બ્રિટનના શિક્ષીત અને સજાગ ઉદારમતવાદીઓએ આ અભિગમને અમલમાં આણી તેને ગતિશીલ બનાવ્યો. કેવળ અમુક વિભાગોમાં - જ્યાં બ્રિટીશ નૅશનાલિસ્ટ પાર્ટી જેવી વર્ણવિરોધી સંસ્થાઓનું જોર હતું તે છોડીને બધા વિભાગોમાં રહેતા લોકોમાં એક પ્રકારની સહિષ્ણુતા આવી. 


Race  Awarenessના પ્રશિક્ષણમાં સરકારી તથા સ્થાનિક સરકારના કર્મચારરીઓ માટે વર્ગોયોજવામાં આવ્યા. જુદા જુદા અશ્વેત વર્ણોની સાંસ્કૃતીક વિશેષતા, તેમના આચાર વિચાર, તેમની સામાજીક રુઢીઓ તથા પરસ્પર વહેવારની આમ જનતાને માહિતી આપી તેમના પ્રત્યે લોકોના મનમાં જે ખોટા ખ્યાલ હતા તે દૂર કરવા માટે આ ખાસ પ્રશિક્ષણ વર્ગો ઘણા ઉપયોગી નિવડ્યા. આમ મહદ્અંશે લોકોની વૃત્તીમાં ફેરફાર આવવા લાગ્યો. પણ સંસ્થાકીય વર્ણભેદ (Institutionalized Racism)માં અમુક અંશે ભેદભાવ ચાલુ જ રહ્યો.
નાની કક્ષાની સફેદ કૉલરની નોકરી (સરકારી કારકૂન વિ.)માં આપણા લોકોની ભરતી પર ભાર અપાયો, પણ જ્યાં પ્રમોશનની વાત આવે, ગોરાઓને અગ્રતા અપાતી. આવા સ્થાન પર આપણા લોકોને ગોરાઓ કરતાં બમણી યોગ્યતા - શિક્ષણ, કાબેલિયત, જ્ઞાન એવા દરેક વિભાગમાં હોય તો અમુક અંશે સફળતા મળે! પણ મોટ પદમાં ભાગ્યે જ કોઇ બિનગૌર વ્યક્તિ જોવા મળે!

બ્રિક્સ્ટન બાદ ખાસ કરીને સ્થાનિક કાઉન્સીલોના સમાજ સેવા વિભાગોમાં ભારે બદલાવ આવ્યો. તેમણે ‘એશિયન સ્પેશીયાલિસ્ટ’ અને ‘વેસ્ટ ઇન્ડીયન સ્પેશીયાલિસ્ટ’ સોશિયલ વર્કર્સની જગ્યાઓ ઉભી કરી. ભારતીય ઉપખંડની તથા કૅરીબિયન ટાપુઓની પ્રજાને સોશિયલ સર્વિસીઝ તરફથી ક્યા ક્યા લાભ મળી શકે છે તેની માહિતી આપી તે તેમને મેળવી આપવા માટે unqualified social workers નીમ્યા. એક વર્ષની નોકરી બાદ તેમને પૂરા સમયનું પ્રશિક્ષણ પૂરા પગાર સાથે મળે તેવી વ્યવસ્થા કરી. તેમને એક વધારાનું કામ એ પણ સોંપાયું કે તેમના ખાતામાં કામ કરનારા અન્ય સોશિયલ વર્કર્સ, અૉક્યુપેશનલ થેરાપિસ્ટ, વૃદ્ધ અને અશક્ત નાગરિકોને ઘરકામમાં મદદ કરવા અંગેના ખાસ અધિકારીઓને આપણા સમાજની સાંસ્કૃતીક જરૂરિયાતો સમજાવવી. વળી ખાતામાં ખાલી જગ્યામાં કોઇની નીમણૂંક કરવાની હોય તો આપણા પ્રતિનિધિ તરીકે આ સોશિયલ વર્કર સિલેક્શન પૅનલમાં બેસે અને ખાતરી કરે કે આપણા અરજદાર પ્રત્યે કોઇ ભેદભાવ નથી થયો. બ્રિટનની લગભગ બધી સિટી કાઉન્સીલોમાં આ યોજના અમલમાં આવી. આ ઉપરાંત દરેક કાઉન્સીલમાં ‘Race Relations Section’ની સ્થાપના થઇ અને તેમને વિશેષ અધિકાર આપવામાં આવ્યા. 

આવતા અંકમાં કેટલાક રસપ્રદ અનુભવો રજુ કરવાનો પ્રયત્ન કરીશું.


(નોંધ: અહીં વર્ણવેલી વાતો જિપ્સીના અંગત અનુભવ, સ્થળ પરના અભ્યાસ અને નિરીક્ષણ (on the spot study and observation)ના આધાર પર જણાવવામાં આવી છે.)

Thursday, August 8, 2013

વૅલ્ફૅર સ્ટેટ - બ્રિટન (૧૯૮૦-૯૦)



બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટનમાં મજુર સરકાર આવી ત્યારે તેમણે સ્કૅન્ડીનેવીયન રાષ્ટ્રોમાં પ્રવર્તી રહેલ વૅલ્ફેર સ્ટેટની પદ્ધતિ અપનાવી. વૅલ્ફેર સ્ટેટની ટૂંકી વ્યાખ્યા એવી થઇ શકે કે જે રાષ્ટ્ર તેના દરેક નાગરિકની તેના જન્મથી લઇ મૃત્યુ સુધીની - cradle to graveની જવાબદારી લેતું હોય તે વૅલ્ફેર સ્ટેટ કહેવાય. આ સિદ્ધાંત અંતર્ગત બાળકના જન્મથી તેના પોષણની, તેના અારોગ્યની, તેને પૂરતાં અન્ન-પાણી, રહેઠાણ, ભણતર, નોકરી, બેકારીમાં ભરણ પોષણ મળતાં રહે, તથા વૃદ્ધાવસ્થામાં લોકોની માવજત અને સાર-સંભાળ લેવાય, અને છેલ્લે, અંત્યેષ્ઠીની પણ જવાબદારી સરકારની રહે. 

બ્રિટનની સરકારે તેના નાગરિકોની આ બધી જવાબદારીઓ સંભાળી લીધી છે. 

વેલ્ફેર સ્ટેટના આ સિદ્ધાંતો બ્રિટનમાં કેવી રીતે કામ કરે છે તેનું વિવરણ અહીં જોઇએ.

અહીં બાળકનો જન્મ થતાં જ તેની માતાને દર અઠવાડીયે Child Benefit નામનું એલાવન્સ મળવા લાગે છે, પછી ભલે તે કરોડપતિ હોય કે અત્યંત ગરીબ અવસ્થામાં. દરેક માતાને તેના દર બાળક દીઠ આ ભથ્થું તેનાં બાળકો અઢાર વર્ષનાં થાય ત્યાં સુધી મળ્યા કરે. આ રકમ બાળકના પોષણ માટે વપરાય તો તેનું આરોગ્ય સારું રહે અને ભવિષ્યનો આ નાગરિક સુદૃઢ અને સશક્ત બને, આ તેનો ઉદ્દેશ. ત્યાર પછી આવે છે તેના ભણતરની વ્યવસ્થા જેમાં તેને હાઇસ્કુલ સુધીનું શિક્ષણ, તેનાં પાઠ્યપુસ્તકો, શાળાનો યુનિફૉર્મ, બૂટ, ગરમ કપડાં, બપોરના ભોજનનો ખર્ચ સરકાર તરફથી કરવામાં આવે છે.  આમાંના કેટલાક લાભ - દા.ત. બપોરનું ભોજન, યુનિફૉર્મના પૈસા - means tested હોય છે; એટલે કે તેનું વિતરણ બાળકના વાલીઓની આવક પર આધાર રાખે છે. ૧૯૮૦ના દાયકા અગાઉ તો વિદ્યાર્થીઓને કૉલેજના શિક્ષણ માટે પણ ગ્રાન્ટ અપાતી. 

બાળક ૧૮ વર્ષનું થાય અને તેને આગળ અભ્યાસ ન કરવો હોય, કે તેનું શિક્ષણ પૂરૂં થતાં નોકરી મળે ત્યાં સુધી તેને અનએમ્પ્લૉયમેન્ટ બેનીફીટ અથવા ઇન્કમ સપોર્ટ મળવાની શરૂઆત થઇ જાય. નોકરી મળ્યા બાદ તે નિવૃત્ત થાય ત્યારે તેને પેન્શન પણ સરકાર તરફથી મળે. અંતમાં જ્યારે કોઇ વ્યક્તિ મૃત્યુ પામે, અને તેના અંત્યસંસ્કાર કરવા માટે તેના વારસદાર પાસે નાણાં ન હોય તો તેના માટે પણ સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે.

બ્રિટીશ સરકાર શબ્દશ: વેલ્ફૅર સ્ટેટ હતું. જિપ્સીએ માલાવીથી આવેલા આપણા એક વૃદ્ધ સજ્જનને કહેતાં સાંભળ્યા છે: “ભૈ, રામરાજ હંાભળ્યું’તું, પણ આંયા આવ્યા પસેં કેવું હોય સે, ઇ ભાળ્યું!" તેમના વિધાનમાં એક પણ શબ્દનો ફેરફાર કર્યો નથી!

વૅલ્ફેર સ્ટેટની જવાબદારી પૂરી કરવા રાષ્ટ્રીય સરકારને નાણાંની જરૂર પડે તેની તથા આ બધી સગવડો કેવી રીતે પૂરી પાડવી તેનું સંક્ષીપ્ત વર્ણન હવે કરીશું.

બ્રિટન નાનકડો દેશ છે, તેથી તેનું વહીવટી વિભાજન રાજ્યોમાં કરવાને બદલે જીલ્લાઓમાં - ‘કાઉન્ટી’માં થયું. ક્રિકેટના શોખીનોને યાદ હશે કે આપણા દેશમાં જેમ દરેક રાજ્યની ક્રિકેટ ટીમ છે તેમ બ્રિટનમાં દરેક કાઉન્ટીની ટીમ હતી.- જેમકે હૅમ્પશાયર, મિડલસેક્સ, લેસ્ટરશાયર (Leicestershire), વૉરીકશાયર (Warwickshire) વગેરે. આ કાઉન્ટીઓમાં સ્થાનિક સરકાર હતી અને તેમને કાઉન્ટી કાઉન્સીલ કહેવામાં આવતી. બર્મીંગહમ, મૅન્ચેસ્ટર, લીડ્ઝ જેવા શહેરોને સિટી કાઉન્સીલ અને મહાનગર લંડનને ગ્રેટર લંડન મેટ્રોપોલિટન કાઉન્સીલનું સ્થાન અપાયું. લંડનની વસ્તી એક કરોડથી વધુ હોવાથી અને તેનું વિભાજન બાવીસ બરો કાઉન્સીલમાં થયું, જેમાં દોઢથી બે લાખથી વધુ વસ્તીવાળા વિભાગો આવે. આમ ગ્રેટર લંડન કાઉન્સીલમાં બ્રેન્ટ, હૅરો, સધર્ક, લૅમ્બથ, વૉન્ડ્ઝવર્થ વગેરે જેવી કાઉન્સીલો નિર્માણ થઇ. 

બ્રિટનમાં વૅલ્ફેર સ્ટેટની વ્યવસ્થાનો ભાર રાષ્ટ્રીય સરકાર અને સ્થાનિક (કાઉન્ટી કે સિટી) કાઉન્સીલ વચ્ચે વહેંચાયો છે. દેશની આવકના મુખ્ય સ્રોત ક્યા હોય છે એ તો આપ સહુ જાણો છો. કાઉન્ટી તથા શહેરોની કાઉન્સીલોની આવક બે સ્રોતમાં હોય છે: એક તો કાઉન્ટીમાં આવેલા રહેઠાણ તથા વ્યાપારી સંસ્થાઓના મકાનોના માલિકો પાસેથી કર ઉઘરાવીને, જેને ‘રેટ્સ’ કહેવાય છે. (આને ‘પોલ ટૅક્સ’ પણ કહેવાય છે). બીજી આવક છે મધ્યસ્થ સરકાર પાસેથી મળતી રકમ. આ રકમ રાષ્ટ્રીય સરકારને મળતા ઇંકમ ટૅક્સ, VAT (વૅલ્યુ અૅડેડ ટૅક્સ) વિ.માંથી દરેક કાઉન્ટીને વસ્તી પ્રમાણે ફાળવવામાં આવે છે, જેને ‘રેટ સપોર્ટ ગ્રાન્ટ’ કહેવામાં આવે છે. 

આમ બ્રિટનની વૅલ્ફૅર પદ્ધતિનો વહીવટ બે વિભાગમાં વહેંચાયો: રક્ષા, વિદેશ, આારોગ્ય (નૅશનલ હેલ્થ સર્વિસ), સોશિયલ સિક્યોરિટી, ટપાલ વિ.  જેવા ખાતાં  મધ્યસ્થ સરકારે પોતાની પાસે રાખ્યા. જ્યારે સમાજ સેવા (સોશિયલ સર્વીસીઝ), વસવાટ (હાઉસીંગ), પર્યાવરણ તથા જાહેર સુખાકારી, શિક્ષણ વિગેરેની જવાબદારી શહેરી કાઉન્સીલ અને કાઉન્ટી કાઉન્સીલો પાસે. આ કાર્યવાહીમાં મધ્યસ્થ સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, પરંતુ સરકારે નક્કી કરેલ નીતિના માળખામાં રહીને આ વહીવટ કરવાનો હોય છે. જો કે કોઇ પણ સ્થાનિક સરકારમાં બેહદ ગેરરીતી થાય તો મધ્યસ્થ સરકાર તેનો વહીવટ પોતાને હસ્તક લઇ શકે.

આટલી (લાંબી!) પ્રસ્તાવના બાદ બ્રિટનની વેલ્ફૅર પદ્ધતિની વાત કરીએ.

સૌ પ્રથમ મધ્યસ્થ સરકારને આધિન સોશિયલ સિક્યોરિટીની વાત કરીશું. 

બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટનમાં મજુર સરકાર આવી અને તેમણે બે મહત્વના કામ કર્યા. એક તો નૅશનલ હેલ્થ સર્વિસની સ્થાપના કરી. આની અંતર્ગત દેશના દરેક નાગરિકને સંપૂર્ણ રીતે તેને જરૂરી હોય તે આરોગ્ય અને વૈદ્યકીય સેવા મેળવવાનો પૂરો અધિકાર છે. આમાં ટૉન્સીલના અૉપરેશનથી માંડી હાર્ટ-બાયપાસ સુધીની શસ્ત્રક્રિયા મફત મળે. ગમે એટલી મોંઘી દવા હોય તે પણ દર્દીને સરકારે નિયત કરેલી જુજ રકમમાં મળે. દા. ત. કોઇ પણ દવાની કિંમત ૭૫ પાઉન્ડની હોય તો પણ દર્દીને (જિપ્સીના સમયે) ફક્ત સાડાત્રણપાઉન્ડમંા મળતી. બેરોજગાર વ્યક્તિઓ અને પેન્શનરોને પ્રિસ્ક્રીપ્શન્સ મફત મળે છે. દેશની એક પણ વ્યક્તિ આ સેવાથી વંચિત ન રહે તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આનો ખર્ચ ઉપાડવા માટે નૅશનલ ઇન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરી, જેમાં દરેક વ્યક્તિ તેની આવક પ્રમાણે વિમાના પ્રિમિયમની જેમ ફાળો આપે. શરૂઆતમાં આ ‘પ્રિમિયમ’ માટે ટપાલની ટિકીટ જેવી સ્ટૅમ્પ ખરીદવી પડતી તેથી કામદાર વર્ગના લોકો તેને હજી પણ કહે છે, “અમે બધા સ્ટૅમ્પ ભર્યા છે!” ત્યાર બાદ પગારમાંથી જ રકમ કપાવા લાગી. આની સાથે જે સંસ્થામાં લોકો કામ કરતા હોય તેના માલિકોને પણ દરેક કામદાર ભરે તેના પ્રમાણમાં તેનું પોતાનું ‘contribution’ આપવું પડે છે.  આમ એકઠી થતી રકમમાંથી લોકોને universal health careનો લાભ મળવા લાગ્યો. આ પદ્ધતિ અનુસાર માણસને નિવૃત્તિનું પેન્શન સરકાર તરફથી અપાય છે. તેમાં સરકારી નોકરિયાત કે ખાનગી પેઢીમાં કામ કરનાર વ્યક્તિ વચ્ચે કોઇ ભેદ રાખવામાં આવતો નથી.

કોઇ વ્યક્તિએ પૂરતા નૅશનલ ઇન્સ્યોરન્સનાં પ્રિમિયમ ન ભર્યા હોય તેના માટે સરકારે નાણાંકીય સીમા રેખા બનાવી છે. જેને ભારત અને અમેરીકા 'Poverty Line' -‘ગરીબી રેખા’ કહે છે, તેને બ્રિટનમાં પ્રજાનું ગૌરવ સચવાય એટલા માટે તેને ‘subsistence level’ નામ આપીને દેશમાં પ્રવર્તતા બજારભાવના આંક પ્રમાણે તથા દરેક પરિવારમાં કેટલી વ્યક્તિઓ છે તે પ્રમાણે ભત્થું નક્કી કરી દરેક પરિવારને અપાતું. એક સમયે આને Supplementary Benefit કહેવામાં આવતું.  હાલ તેને Income Support કહેવામાં આવે છે. કોઇ બેરોજગાર વ્યક્તિ પોતાના મકાનમાં રહેતી હોય અને તેને મોરગેજનો જેટલો હપ્તો ભરવો પડતો તે પણ તેને સરકાર તરફથી અપાતો. જે પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોય તો તેનું મકાન ભાડું સ્થાનિક સરકાર - એટલે કાઉન્ટી, શહેર અથવા મેટ્રોપોલિટન કાઉન્સીલ તરફથી અપાતું. આ હતો ‘હાઉસીંગ બેનીફીટ’. 

અહીં એક મહત્વની વાત એ હતી કે નાગરિકોના વસવાટની જવાબદારી સ્થાનિક સરકારની હોવાથી કોઇ પણ વ્યક્તિ ઘરબાર વગરની હોય, તો કાઉન્સીલે તેમના માટે રહેઠાણની કરવી જ પડે! કાઉન્સીલ તરફથી બંધાયેલા મકાનમાં તેમને રહેવા જગ્યા મળતી અને તેનું ભાડું તે વ્યક્તિની આવક પ્રમાણે ભરવાનું થતું. બેરોજગાર વ્યક્તિ મફત રહી શકે. જો કાઉન્સીલ પાસે મકાન ન હોય તો બેઘર પરિવારોને કાઉન્સીલના ખર્ચે હૉટેલમાં અથવા બેડ-અૅન્ડ-બ્રેકફાસ્ટ જેવા સ્થળોએ રાખવામાં આવતા. 

મકાનની બાબતમાં સરકારે નિયમ બનાવ્યા હતા. કોઇ પરિવારને બે બાળકો હોય, તો બન્નેની સંયુક્ત ઉમર ૧૩ વર્ષથી વધુ હોય તો તેમને સૂવા માટે જુદા જુદા ઓરડા હોવા જ જોઇએ. આમ મકાનમાં overcrowding ન થાય તે માટે ખાસ જોગવાઇ કરવામાં આવી હતી.  

આ ઉપરાંત દેશનો કોઇ પણ નાગરિક પ્રત્યે નોકરીમાં, મકાનની ફાળવણીમાં કે શિક્ષણમાં વર્ણદ્વેષનો ભોગ ન બને તે માટે સરકારે દરેક કાઉન્સીલમાં Race Relations Officerની નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો હતો. તેમનો સીધો સંપર્ક રાષ્ટ્ર કક્ષાના Commission for Racial Equality સાથે રહેતો. કોઇ પણ વ્યક્તિને લાગે કે તે કાઉન્સીલ દ્વારા થયેલા કોઇ ભેદભાવનો ભોગ બનેલ છે, તે સીધો સંપર્ક રેસ રિલેશન્સ સાથે કરીને અને તેના પર તરત અમલ કરાવી શકતો.

બ્રિટનની કલ્યાણકારી રાજ્ય વ્યવસ્થા વિષયક વધુ વાત આવતા અંકમાં!