Monday, April 27, 2009

૧૯૬૯ - જૉઇન્ટ અૉપરેશનલ કન્ટ્રોલ રૂમ

આગલા દિવસે જ્યારે હું ડ્યુટી પર ગયો ત્યારે પહેરેલે કપડે ગયો હતો. રાતભરની ડ્યુટી બાદ મને ઘેર જઇ ટૂથબ્રશ, દાઢીનો સામાન, બદલવાના કપડાં વિગેરે લાવવા ઘેર જવું પડશે એવું મેં અમારા આસી. ડાયરેક્ટર (AD)ને કહ્યું. હિંદના દાદાનું નામ ધરાવતા આ સાહેબે કહ્યું, “તું હાલ સીપી અૉફિસ પહોંચી જા. આપરે બીજી વાત બપોર પછી કરીશું.”

૧૯૬૯માં દેશમાં તથા ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અસાધારણ કહી શકાય તેવી હતી. કેન્દ્રમાં શ્રીમતિ ઇંદીરા ગાંધી વડા પ્રધાન હતા, પણ કૉંગ્રેસ પાર્ટીમાં ભંગાણ પડ્યું હતું. ગુજરાતમાં સ્વ. શ્રી. હિતુભાઇ દેસાઇની કૉંગ્રેસ (અૉર્ગેનાઇઝેશલ) સરકાર હતી, જે શ્રીમતિ ગાંધીની કૉંગ્રેસથી વિખુટી પડેલી સરકાર હતી. (આ માહિતીની યાદી આપવા માટે હું શ્રી. તુષારભાઇભટ્ટનો આભાર માનું છું.)

પોલીસ કમીશ્નરની અૉિફસમાં જામનગરની બ્રિગેડના વડા સ્ટાફ અૉફીસર મેજર ટેલરની અધ્યક્ષતા હેઠળ JOC -જૉઇન્ટ અૉપરેશનલ કન્ટ્રોલ સેન્ટર સ્થપાયું હતું. શહેરમાં ત્રણ વિભિન્ન દળો હોવાથી દરેક દળમાંથી એક LO - લિયેઇઝૉં અૉફિસરને આ JOCમાં રહીને કામ કરવાનું હતું.

શાંતિ સ્થાપવાના અૉપરેશન્સ માટે મેજર ટેલરે અમદાવાદને પાંચ ‘ભૌગોલિક’ સેક્ટર્સમાં વહેંચ્યું હતું. શહેરનો સૌથી હિંસાગ્રસ્ત વિસ્તાર કોટની રાંગની અંદરનો ભાગ હતો, જેમાં દરિયાપુર, કાળુપુર, શાહપુર, ખાનપુર, જમાલપુર, રાયપુર, ખાડિયા વિ.આવી જતા હતા. અહીં BSFની બટાલિયનોની ડ્યુટી હતી. કોટની રાંગ બહારના વિસ્તારમાં તથા સાબરમતી નદીની પાર મિલીટરીની બટાલિયનો તથા બે CRP - સેન્ટ્રલ રીઝર્વ પોલિસની બટાલિયનો ફરજ પર હતી.

મેજર ટેલર એક કાબેલ અફસર હતા. તેમણે JOCનું આયોજન અત્યંત કુશળતાપૂર્વક કર્યું હતું. એક ભીંત પર અમદાવાદ શહેરનો ૧ઇંચ બરાબર ૧ માઇલના સ્કેલનો નકશો લગાડી, તેના પર પારદર્શક પ્લાસ્ટીકનું કવર મઢ્યું હતું. શહેરના પાંચે વિભાગોને નકશામાં લાલ ચાઇનાગ્રાફ પેન્સીલથી સીમાબદ્ધ કરવામાં આવ્યા હતા. ત્રણ વિભાગની જવાબદારી બ્રિગેડની ચાર બટાલિયનો પાસે તથા કોટના વિશાળ ક્ષેત્રમાં બીએસએફની બટાલિયનોને સોંપવામાં આવી હતી. મિલીટરીના વિસ્તાર માટે તેમના ત્રણ અફસરો તથા ચાર નૉનકમીશન્ડ અૉફિસર્સ, CRPના બે અને BSFનો - એક માત્ર LO જીપ્સી હતો.

JOCની કાર્યપદ્ધતિ મેજર ટેલરે સરળ બનાવી હતી. કમીશ્નર અૉફિસના નીચેના હૉલમાં પોલીસ ખાતાનો કંટ્રોલરૂમ પ્રવૃત્તીથી ધમધમતો હતો. શહેરના કોઇ પણ વિસ્તારમાં હિંસક બનાવ બને તેની માહિતી સંબંધિત પોલીસ ચોકી દ્વારા બે-ત્રણ મિનીટમાં પોલીસ કંટ્રોલરૂમમાં પહોંચી જતી. ત્યાંથી તરત ‘incident report’ની બે નકલ મેજર ટેલર પાસે આવે. ક્યા સેક્ટરમાં આ બનાવ બન્યો છે તે નકશામાં જોઇ તેઓ JOCમાં કાર્યરત સંબંધિત સેક્ટરના LO તેની એક નકલ અાપતા. દરેક વિભાગના કમાંડરનો સંપર્ક સાધી શકાય તે માટે દરેક LOની સેક્ટર કમાન્ડર સાથે સીધી ટેલીફોન લાઇન હતી, અને JOCમાં જે સેક્ટર કમાંડરના નામનો ફોન હતો તે ઉપાડતાં જ તે કમાંડરના ટેલીફોનની ઘંટડી વાગે. ઘંટડી વાગતાં વેંત ત્યાંનો ડ્યુટી અફસર ફોન ઉપાડે અને તેને આપવામાં આવેલ માહિતી પર તે તરત કાર્યવાહી કરે. મેં એક વધારાની લાઇન માગી. આ લાઇન પોલીસ એક્સ્ચેન્જની હતી તે દ્વારા હું મારા સબ-સેક્ટર કમાન્ડર સાથે સીધો સંપર્ક કરી શકું.

બીએસએફના કોટ વિસ્તારમાં ચાર બટાલિયનો નિયુક્ત થઇ હતી. અમારી જવાબદારીના વિસ્તારમાં આવેલી કોઇ પણ જગ્યાએ હિંસક બનાવ બને તો ત્યાંના સેક્ટર કમાંડરને તરત જાણ કરવાનું કામ મારૂં હતું. તે સ્થળ પર કામગિરી થઇ છે કે કે કેમ તેને મૉનીટર કરી, તે પૂરી થતાં તેનો રીપોર્ટ મારે મેજર ટેલરને આપવાનો રહેતો.

હું અમદાવાદનો ભોમિયો હતો તેથી અમારા વિસ્તારમાં કોઇ પણ બનાવ બને તેની માહિતી એક પણ મિનીટનો વ્યય કર્યા વગર અમારા સેક્ટર કમાંડરને અને સ્થાનિક કમાંડરને “Conference Call” દ્વારા તે જ વખતે આપતો. ૧૯૬૯માં ટેલીફોનની પુરાતન પદ્ધતિ હતી તેથી કૉન્ફરન્સ કૉલ માટે બે ટેલીફોન પર એક સાથે વાત કરવી પડતી (જુઓ ફોટો!) પરિણામે બનાવના સ્થળે પાંચ મિનીટમાં જ અમારા સૈનિકો પહોંચી જતા અને હાલત પર કાબુ મેળવી લેતા.


(JOCમાં "કૉન્ફરન્સ કૉલ" (!) કરી રહેલ 'જીપ્સી' તથા અન્ય લિયેઇઝૉં અૉફિસર્સ)

પૂરી થયેલી કાર્યવાહીનો રીપોર્ટ મેજર ટેલરને આપતાં તેઓ ચકિત થઇ જતા. “આટલી જલદી તમે કેવી રીતે જવાબી કારવાઇ કરી શકો છો?” મેં જવાબ આપ્યો ત્યારે તેઓ ખુશ થઇ ગયા. આનું પરિણામ એ આવ્યું કે મિલીટરીની જવાબદારીના વિસ્તારમાં પણ કોઇ બનાવ બને, તો મેજર ટેલર મને તરત પૂછતા, “ભૈરવનાથ ક્યા સેક્ટરમાં છે?” હું તેમને સેક્ટર નંબર અને સેક્ટર હેડક્વાર્ટર (જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સ્થાપવામાં આવ્યું હતું) તે જણાવતો. શરૂઆતમાં હું તેમને નકશામાં પોલીસ સ્ટેશન તથા ઘટનાનું સ્થાન બતાવતો, પણ જે ઝડપથી હું તેમને માહિતી આપતો તે જોઇ તેઓ મારી પાસેથી માહિતી મેળવી નકશામાં જોયા વગર સીધા સેક્ટર કમાંડરનો સંપર્ક સાધવા લાગ્યા. હવે અમદાવાદમાં સેના અને બીએસએફ ખરેખર ‘રૅપીડ અૅક્શન’ કરતા થયા. તોફાની ટોળાંઓને જાણ થઇ ગઇ કે તેઓ ક્યાંય અડપલું કરવા જશે તો પાંચ-છ મિનીટમાં બીએસએફ કે મિલીટરી ત્યાં પહોંચી જશે. આમ છતાં આખું શહેર ભડકે બળી રહ્યું હતું. શહેરમાં દર મિનીટે પાંચથી છ બનાવોમાં ખુન, આગ, કતલના સમાચાર આવી રહ્યા હતા. અમારામાંથી કોઇને એક મિનીટ શ્વાસ લેવાની પણ ફુરસદ નહોતી.

મારી ડ્યુટીના પહેલા દિવસે બપોરના ચાર વાગી ગયા પણ મને પાણીના ગ્લાસ સિવાય બીજું કશું મળ્યું નહોતું. અમારા એડી સાહેબ તો મને સાવ ભુલી ગયા હતા! હું નહાયો પણ નહોતો, અને દાઢી પણ કરી નહોતી! જમાલપુર, કાળુપુર, દરિયાપુર, બાપુનગર, સરસપુર, શાહપુર અને ખાનપુરમાં દર બે-ત્રણ મિનીટે હિંસાના પ્રસંગો બની રહ્યા હતા. હું ફીલ્ડ કમાન્ડરોને બનાવની ખબર આપી કાર્યવાહી કરવાની સૂચના આપતો હતો અને તેમણે લીધેલ પગલાંનો રીપોર્ટ મેળવતો હતો. સબ-સેક્ટર કમાન્ડર દ્વારા અપાતા વિગતવાર રીપોર્ટ સંાભળીને પણ કમકમાં ઉપજે. આખી રાતના ઉજાગરા બાદ બીજા દિવસે પરોઢિયે ચાર વાગે હું બાથરૂમમાં ગયો, અને ત્યાં અરીસા નજીક પડેલી ટૂથપેસ્ટ આંગળી પર લગાડી દાંત સાફ કર્યા. ભૂખથી હું બેહાલ થઇ ગયો હતો! અહીં ટેલીફોનની ઘંટડી એક ક્ષણ પણ શાંત નહોતી રહેતી.

આમ ને આમ બીજો દિવસ અને રાત વિતી ગયા. JOCમાં મિલીટરીના ચાર અફસરો હતા, અને તેઓ એકબીજાને દર ચાર-ચાર કલાકે રીલીવ કરતા હતા. તેમનો સ્ટાફ તેમને ચ્હા અને નાસ્તો લાવી આપતા હતા, પણ તેમણે મને પુછ્યું પણ નહિ કે ભાઇ તમે ચ્હા લેશો કે કેમ! હું ગુજરાતમાં હતો, પણ આપણા લોકો સાથે નહોતો. કિશોરાવસ્થામાં ૧૩-૧૪ વર્ષની વયે વૅકેશનમાં હું અમદાવાદથી ભાવનગર બા પાસે જતો ત્યારે ટ્રેનના પ્રવાસીઓ ભોજનના સમયે ડબા ખોલી એકબીજા સાથે ભાથું વહેંચીને જમતા. અહીં તો વાત જ જુદી હતી.

અહીં મને મિલીટરી દ્વારા બીએસએફ પ્રત્યેના દ્વેષભાવનો અનુભવ થયો. શા માટે આ દ્વેષ હતો તેની વાત આગળ જતાં કરીશ.

ˇtatto media
tatto media

Friday, April 24, 2009

પ્રથમ આંચ...

તે દિવસે હું નાગપુરની સિવિલ ડીફેન્સ કૉલેજમાં ટ્રેનિંગ પૂરી કરીને અમદાવાદ પાછો આવ્યો હતો. રાત્રે શહેરમાં તોફાન ફાટી નીકળ્યા. ૧૯૬૭ બાદ અમદાવાદમાં મોટા પાયા પર જ્યારે પણ અશાંતિ થતી ત્યારે બીએસએફને બોલાવવામાં આવે. સવારે રેડિયો પર સમાચાર સાંભળી ખ્યાલ આવ્યો કે આ વખતે તોફાને માઝા મૂકી હતી. ન્યુ મેન્ટલ પાસે આવેલા અમારા હેડક્વાર્ટરને ફોન કર્યો તો જાણવા મળ્યું કે મારી બટાલિયન આગલી રાતે જ કાળુપુર-દરિયાપુર વિસ્તારમાં ફરજ પર લાગી ગઇ હતી. શહેરમાં તોફાન ચાલી રહ્યા હતા. અમારા વાહનો અને બધા 'રીસોર્સીઝ' ડ્યુટી પર પરોવાયા હતા. આસિસ્ટન્ટ ડાયરેક્ટરે મને હુકમ આપ્યો કે તેઓ મારા માટે ગાડી કે ‘એસ્કૉર્ટ’ મોકલી શકશે નહિ, અને મારે કોઇ પણ હિસાબે કાળુપુરમાં આવેલા સંવેદનશીલ વિસ્તારમાં ફરજ બજાવી રહેલ અમારી ટુકડીમાં પહોંચી જવાનું છે!

મીઠાખળીમાં રીક્ષા કે ટૅક્સી નજરે પડતી નહોતી. હું મીઠાખળી છ રસ્તા તથા નવરંગપુરા તરફ જવાનો વિચાર કરતો હતો ત્યાં અમારા પાડોશી મારી પાસે આવ્યા.

“સાહેબ, તમે બીએસએફના અફસર છો તે જાણીને વિનંતી કરવા આવ્યો છું. અમારા ભાઇનો પરિવાર કાળુપુરના ઝનુની ગણાતા વિસ્તારને અડીને આવેલ પોળમાં રહે છે. અમને તેમની ચિંતા છે. તેમને ત્યાંથી બહાર લાવી, નજીકની જ સલામત ગણાતી ટંકશાળની પોળમાં ખસેડવાના છે. તમે અમને મદદ કરી શકો? તેમના ઘર સુધી લઇ જવા મોટરની વ્યવસ્થા હું કરીશ. તમે યુનિફૉર્મ પહેરેલો હશે તો તમને કોઇ નહિ રોકે.”

મારે એ જ વિસ્તારમાં જવાનું હતું તેથી હું તરત તૈયાર થઇ ગયો. યુનિફૉર્મ તો પહેર્યો હતો, પણ મારી પાસે મારી ૯ મિલીમીટર કૅલીબરની સર્વિસ પિસ્તોલ નહોતી. નાગપુરના કોર્સ માટે હથિયાર જરૂરી નહોતાં તેથી હું નિ:શસ્ત્ર હતો. મને થયું, યુનિફૉર્મ પહેરેલા અફસરને કોણ રોકશે?

અમે તેમની ફિયૅટ કારમાં નીકળ્યા. સરદાર બ્રીજ પાર કરી દિલ્લી દરવાજેથી થોડા આગળ પહોંચ્યા કે ડાબી બાજુએ આવેલી એક ચાલીમાંથી ધારિયાં લઇને મોટું ટોળું ધસી અાવ્યું. મેં ડ્રાઇવરને ગાડી રોકવાનું કહ્યું. મારો યુનિફૉર્મ જોઇને તથા મારી વાત સાંભળીને તેઓ અમારા પ્રવાસમાં અડચણ ઉભી નહિ કરે એવી મને ખાતરી હતી. મેં બારણાંનો કાચ નીચે કર્યો, પણ ડ્રાઇવરે ગાડી પૂર ઝડપે મારી મૂકી. ટોળાંના માણસોએ ધારિયાનાં ઘા માર્યા તે ફિયેટના બૉનેટ, છાપરા પર અને મારી સીટના બારણા પર પડ્યા. મારો હાથ સહેજમાં બચી ગયો.

મને ડ્રાઇવર પર ગુસ્સો આવ્યો. મેં કહ્યું, “તમે ગાડી રોકી હોત તો આવું ન થાત. હું સંભાળી લેત.”

“અરે સાહેબ, આવા ગાંડાતુર ટોળા પર કદી વિશ્વાસ રખાય? એ તો પહેલાં કતલ કરે, અને ત્યાર પછી તપાસ કરે કે ગાડીમાં કોણ હતું.”

તેમની વાત સાચી હતી. ગાડી પર પડેલા ધારિયાનાં ઊંડા ઘા પરથી તેમના ઝનુનનો ખ્યાલ આવી ગયો. બીજી વાત એ પણ હતી કે આવા રમખાણોમાં જનતા પોલીસ પર સૌથી પહેલો હુમલો કરતી હોય છે. મારો યુનિફૉર્મ ખાખી રંગનો હતો. ટોળાંને પોલીસ અને બીએસએફ વચ્ચેના તફાવતની નથી પડી હોતી.

જીવન-મૃત્યુ વચ્ચેની પાતળી રેખા પાર કરી અમે કાળુપુર પહોંચ્યા. ત્યાં અમારી બટાલિયનની કંપનીને જોઇ હું ખુશ થયો. અમારા પાડોશીનું કામ કરી મેં તેમનો આભાર માન્યો અને તેમને સલામત વિસ્તારમાં મૂકી આવ્યો.

તે રાતે હું એક સેક્શન (દસ જવાન) લઇ અસારવા વિસ્તારમાં પેટ્રોલીંગ પર ગયો. કર્ફય્ુ હોવાથી રસ્તાઓ સામસુમ હતા. ટાંકણી પડે તો પણ સંભળાય એવી ભયાનક શાંતિ. રસ્તામાં લગભગ કાટખુણા જેવો વળાંક આવ્યો અને અમે ત્યાં જેવા વળ્યા, વીસે’ક મીટર પર ચાર-પાંચ માણસ હોળી સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું જણાયું. અમે તેમને પડકારતાં જ તેઓ નાસી ગયા. અમે ‘હોળી’ પાસે પહોંચ્યા અને જોયું તો લાકડાના ઢગલામાં માણસનો પગ દેખાયો. જવાનોએ ઝડપથી લાકડાં હઠાવ્યા તો અંદર લોહીથી લથપથ બે લાશો હતી. અમે વાયરલેસથી અૅમ્બ્યુલન્સ બોલાવી. અમને shoot at sightના હુકમ મળ્યા હતા, તેથી સ્થળ પર ત્રણ જવાનોને ચોકી માટે રાખ્યા અને હુકમ આપ્યો કે અૅમ્બ્યુલન્સ આવે તે પહેલાં કોઇ પણ માણસ અહીં ‘હોળી’ પેટવવા આવે તો ગોળીએ દેવા. આ હુકમ સાંભળી બે લાશોમાંની એક ઉભી થઇ! આ ૨૦-૨૨ વર્ષનો ઘાયલ યુવાન હતો. તેને મરેલો ધારી તેને તથા તેના સાથીને ગુંડાઓનું ટોળું બાળી નાખવા માગતું હતું. સશસ્ત્ર સૈનિકો નાગરિકોની રક્ષા કરવા આવી ગયા છે તેવી ખાતરી થતાં આ ઘાયલ યુવાન ઉઠ્યો અને ઉપકારવશ અમારા પગ પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અમે તેને પાણી પાયું અને તેને હૈયાધારણ આપી. થોડી વારે અૅમ્બ્યુલન્સ આવી પહોંચી અને અમે તેને તથા તેના મૃત્યુ પામેલ સાથીને સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યા.

આખી રાત પેટ્રોલીંગ કરી સવારના પહોરમાં મુખ્ય મથક પર અમે પહોંચ્યા ત્યાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરે મને હુકમ આપ્યો, “હુલ્લડ બેકાબુ થયા છે. હવે ‘એઇડ ટૂ સિવિલ પાવર’ માટે બીએસએફની સાથે જામનગરથી આર્મીની બ્રિગેડ તથા નીમચથી સીઆરપીને બોલાવવામાં આવેલ છે. તોફાનોને coordinated response આપી પરિસ્થિતિ પર કાબુ કરવા માટે જામનગર બ્રિગેડ મેજરની આગેવાની નીચે શાહીબાગમાં પોલિસ કમીશ્નરની કચેરીમાં જોઇન્ટ અૉપરેશનલ કન્ટ્રોલ રૂમ’ (JOC) સ્થાપવામાં આવી છે. બીએસએફના પ્રતિનિધિ તરીકે તને મોકલું છું. તારે હમણાં જ નીકળી જવાનું છે.”

tatto media
tatto media

Thursday, April 23, 2009

દાવાનળનું પૂર્વસૂચન

બૉર્ડર સિક્યોરિટી ફોર્સ - BSF - ભારત સરકારની સશસ્ત્ર સેનાનું અંગ - Armed Force of the Nation છે. ૧૯૬૫ના યુદ્ધ બાદ કરવામાં આવેલી તેની રચના પાછળ બે ઉદ્દેશ હતા: દેશની આંતરરાષ્ટ્રીય સીમા પર ફરજ બજાવતી સેનાનું સ્થાન લઇ સીમા પરની તંગદીલી ઘટાડવી. આ કાર્ય માટે BSFના સૈનિકોને પ્રશિક્ષણ તથા શસ્ત્રો ભારતીય સેનાના સમકક્ષ દરજ્જાના આપવામાં આવ્યા જેથી આ નુતન સુરક્ષાદળ સીમા પારથી થતી ઘૂસણખોરીને રોકે તથા દુશ્મને કરેલ અચાનક એવા પ્રથમ હુમલા (preemptive strikes)ને ભારતીય સેના આવે ત્યાં સુધી તેને ખાળી શકે. આ અગાઉ દેશમાં કાયદો અને શાસકીય વ્યવસ્થા શાંતિ સ્થાપવામાં રાજ્ય સરકારનું પોલીસખાતું નબળું પડે ત્યારે તેમને મિલીટરી બોલાવવી પડતી. મિલીટરી સખત હાથે કામ કરે તો દેશની જનતા આગળ તેની છબી નબળી પડે તેથી સૈન્યના સ્થાને આંતરીક સુરક્ષા (Internal Security) માટે એવા “paramilitary” દળને મોકલવું જે નિપુણતાથી સૈન્ય જેવું કામ કરી શકે. BSFને આ કામ માટે તૈયાર કરવા આવવામાં આવ્યું. આ હતો BSFના નિર્માણ પાછળનો બીજો ઉદ્દેશ. આમ ગૃહખાતાના સુરક્ષા દળને મિલીટરી જેવું જ કામ કરવા માટે તૈયાર કરવામાં આવેલ BSFની બટાલિનોના મોટા ભાગના કમાન્ડીંગ અૉફિસરોની નીમણૂંક માટે ભારતીય સેનાના કર્નલોની માગણી કરવામાં આવી. કમનસીબે કર્નલના પદથી આગળ વધી ન શકે તેવા તથા કેવળ પોતાના મૂળ પગારથી પચાસ ટકા વધુ મળતા ‘ડેપ્યુટેશન અલાવન્સ’ મેળવવા માટે ઘણા અફસરો BSFમાં આવ્યા.

જીવનમાં સારા, નરસા અને દુષ્ટજનોનો સંપર્ક દરેકને થતો હોય છે, પણ અમારા નવા CO કર્નલ શહાણે જેવો માણસ જીંદગીમાં ક્યાંય જોવા મળ્યો નહોતો. જેટલી તેમની ભાષા અશીષ્ટ અને અશ્લીલ, એટલું જ ખરાબ તેમનું વર્તન. તેમની વક્રતા શબ્દો પૂરતી સીમિત નહોતી. ડ્યુટી કે ટ્રેનીંગના બહાના હેઠળ કડક શિક્ષા પણ ઠોકતા. સશસ્ત્ર સેનામાં અફસરોનાં પ્રમોશનનો ૯૦% આધાર કમાન્ડીંગ અૉફીસરે આપેલા ‘અૅન્યુઅલ કોન્ફીડેન્શીયલ રીપોર્ટ’ પર રહેતો હોવાથી અફસરોને ચૂપચાપ આવા અત્યાચાર સહન કરવા પડતા.

સરબજીત સિંઘ ઢિલ્લૉં અમારી બટાલિયનના સૌથી લોકપ્રિય અફસર હતા. પંજાબ રાજ્ય તરફથી રાષ્ટ્ીય ચૅમ્પિયનશીપમાં તેઓ હૉકી ખેલી ચૂક્યા હતા. અભ્યાસમાં પણ એટલાજ હોંશિયાર. બી.એસસી.માં પ્રથમ વર્ગ મેળવ્યા બાદ તેમને અમેરીકાની સર્વોચ્ચ ગણાતી MIT (મૅસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ અૉફ ટેક્નોલૉજી)માં ‘માસ્ટર્સ’ માટે અૅડમિશન મળ્યું હતું, પણ દેશપ્રેમને પ્રાથમિકતા આપી ૧૯૬૨ની લડાઇ બાદ સેનામાં જોડાઇ ગયા હતા. જવાનો અને અફસરોના પ્રિય એવા સરબજીત એક મહિનાની રજા પર ગયા. પરિવારના દબાણને કારણે તે દરમિયાન તેમને લગ્ન કરવા પડ્યા, અને રજા પરથી યુનિટમાં પાછા આવતી વખતે પત્નિને સાથે લઇ આવ્યા. ટ્રેન મોડી સાંજે પાલનપુર પહોંચી અને દાંતિવાડા આવતાં રાતના આઠ વાગી ગયા હતા. અમે તેમને રાતના ભોજન માટે બોલાવ્યા. જમણ પૂરૂં પણ નહોતું થયું કે શહાણે સાહેબનો ગોરખા
અૉર્ડર્લી પ્રેમ બહાદુર અમારે ઘેર આવ્યો. “સીઓ શાબને શરબજીત શાબ કે લિયે ખત ભેજા હૈ.”

સરબજીતે પત્ર ખોલ્યો અને તેનો ચહેરો પડી ગયો.

શહાણે સાહેબે તેને પરોઢિયે પાંચ વાગે બટાલિયન છોડી, રણના ખારાપાટની વચ્ચે આવેલી અમારી સૌથી આગળની ચોકી બોરિયાબેટ જવાનો હુકમ કર્યો હતો!

એક નવપરિણીત અફસર અને તેની નવવધુને આવી શિક્ષા આપવાનું કારણ કોઇની સમજમાં આવ્યું નહિ. પતિયાળાથી પાલનપુર સુધીના લાંબા પ્રવાસ બાદ તેમણે હજી સામાન પણ ખોલ્યો નહોતો કે તેને બૉર્ડર પર જવાની તૈયારી કરવી પડી. અમારા અંદાજ પ્રમાણે સરબજીતે પત્નિને સાથે લાવવા માટે શહાણે સાહેબની રજા માગી નહોતી! આવી જ રીતે બટાલીયનના ત્રણ અન્ય અફસરોને તેમણે આવી જ અકારણ સજા આપી હતી.

કર્નલ શહાણે (આ તેમનું સાચું નામ નથી) તીવ્ર માનસિકતાથી પીડાતા હતા એ સ્પષ્ટ હતું. તેમના હાથ નીચે કામ કર્યા બાદ તમને હૉલીવૂડનું બીજા વિશ્વયુદ્ધ પર આધારીત “ડર્ટી ડઝન” નામનું ચિત્રપટ યાદ આવશે. તેમાં ટેલી સૅવાલાસ નામના અભિનેતાએ એક sadist ખુનીની ભુમિકા ભજવી હતી. શહાણે ખુની નહોતા, પણ સેડીસ્ટ જરૂર હતા! તેમના આ સ્વભાવ - કે માનસિક રોગનું કારણ જાણવા જેટલા અમે તજ્ઞ નહોતા, પણ તેમની અને કેટલીક વાર તેમનાં પત્નિની વાતોમાંથી લપસતી ફ્રૉઇડીયન સ્લિપમાંથી થોડો અંદાજ આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં તેમને ભારતની વિશ્વવિખ્યાત ગણાતી લાઇટ ઇન્ફન્ટ્રીમાં કમીશન મળ્યું હતું. રેજીમેન્ટનો ખુબસુરત યુનિફૉર્મ જોઇ પુનાની વાડિયા કૉલેજની બ્યુટી ક્વીન તેમના પર મોહી પડી અને ગ્રૅજ્યુએશનના છેલ્લા વર્ષની પરીક્ષા આપ્યા વગર લગ્ન કરી બેઠી. બે બાળકોના જન્મ બાદ પતિના કપરા સ્વભાવથી કંટાળી તેમની સાથે રહેવા કરતાં તેમનાથી દૂર રહેવાનું તેમણે વધુ પસંદ કર્યું. જ્યારે બનાસકાંઠામાં આવે અને અૉફિસર્સ મેસમાં થતી પાર્ટીમાં કોઇ અફસરને કર્નલ શહાણે તેમની પત્ની સાથે વાત કરતાં જુએ તો તેની આવી બની સમજો: આ અફસરને કૂડા-બેલા, બોરીયાબેટ અથવા રાઘાજીના નેસડા જેવી ચોકીમાં રાતોરાત મોકલવામાં આવે!

એક વાત સાચી કે શહાણે સાહેબની આ વાત છોડીએ તો તેમણે અમને તથા અમારા સૈનિકોને અમારી ડ્યુટી માટે પલોટવામાં પૂરી રીતે ‘પ્રોફેશનાલીઝમ’ દાખવી હતી. આ એક જ વાત માટે અમે તેમના ઋણનો કાયમ માટે સ્વીકાર કર્યો. તેમની સખત - અને ઘણી વાર અસહ્ય નીતિને કારણે ઇન્ફન્ટ્રીની મૂળભૂત ફરજ ઉપરાંત દેશમાં આંતરીક સુરક્ષા માટે જવાની અમારી જવાબદારી પૂરી કરવા અમારે જે કાર્યવાહી કરવી પડે તેનો અમે ઊંડાણથી અભ્યાસ કરી શક્યા. ખાસ કરીને અાંતરીક સુરક્ષા માટે અમે જે તૈયારી કરી તેમાં આગામી તોફાનની આગાહી હતી તેનો અમને કોઇને અંદાજ નહોતો.

તે વર્ષ હતું ૧૯૬૯.

આ વર્ષમાં અમદાવાદના ૫૫૦ વર્ષના ઇતિહાસમાં કદી ન બન્યા હોય તેવા કોમી રમખાણ થયા. આ હુલ્લડ નહોતું, એક પ્રલય હતો. તેની આંચ જીપ્સીના જીગરને એવી લાગી, તેની યાદ આવતાં આત્મા કંપી જાય છે. કદી કોઇને ન કહેલી વાત હવે કહ્યા વગર રહી શકતો નથી. આ જીપ્સીની વાત નથી, અગ્નિના તાંડવમાંથી બહાર નીકળી આવેલા એક Firefighterની વાત છે - તમારી અને મારી વાત. તમે સાંભળી હશે અને અનુભવી પણ હશે.

આગળ જતાં તમે વાંચશો આ દાવાનળને ઠારવા ગયેલા અગ્નિશામકદળના એક સૈનિકની વાત....

tatto media
tatto media

Tuesday, April 21, 2009

૧૯૬૮: નવજીવન અને નવી સીમાઓ

ગઇ પોસ્ટમાં "દુકાન બંધ" કરવાનું પાટિયું મૂક્યું અને ઘણા મિત્રો નારાજ થયા. આપણાં ગામડાંઓમાં ચ્હાની રેંકડી હોય છે તેમ 'જીપ્સી'ની આ દુકાનમાં રોજ આવનાર પાંચ -દસ 'ઘરાકો' માટેનું આ મિલનસ્થાન હતું. તેમને નારાજ કરવાની શક્તિ ન હોવાથી "ભગતની ચા" જેવી આ દુકાન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.

જીવનના વ્યવહારમાં પણ નફો-નુકસાન તો થતા જ હોય છે. કોઇકને થતું નુકસાન બીજા માટે લાભકારક ઉદ્ભવી શકે છે.

૧૯૬૫ના યુદ્ધ સમયે જનરલ ચૌધરી ભારતીય સેનાના ચીફ અૉફ આર્મી સ્ટાફ હતા. લડાઇ બાદ તેઓ રીટાયર થયા અને તેમના સ્થાને જનરલ કુમારમંગલમ્ આવ્યા. તેમના મનમાં ખ્યાલ આવ્યો કે એમર્જન્સી કમીશન્ડ અૉફિસર્સને અપાયેલ ટ્રેનિંગ અપૂરતી હતી અને ભરતી માટેની લાયકાતમાં થોડી છૂટ આપવામાં આવી હોવાથી ઘણા ‘સબ-સ્ટાન્ડર્ડ’ ઉમેદવારોને કમીશન મળી ગયું હતું. અમુક અંશે તેમની માન્યતા સાચી હતી. તેમણે રાબેતા મુજબ એમર્જન્સી કમીશન્ડ અૉફીસર્સને કાયમી કમીશન આપવા માટે સર્વિસીઝ સીલેક્શન બોર્ડની રચના કરી. અન્ય વાતો ઉપરાંત સીલેક્શન માટે COના 'રેકમન્ડેશન' પર મોટો ભાર આપવામાં આવ્યો હતો. પરીણામે સી.ઓ.ના પ્રિય-પાત્ર એવા કેટલાક અફસરોને પર્મેનન્ટ રેગ્યુલર કમીશન મળી ગયું.

બીજી તરફ ૧૯૬૫ની લડાઇ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે જે સંધિ થઇ, તે અનુસાર આંતરરાષ્ટ્રીય સીમા પરથી બન્ને દેશોના સૈન્યો હઠાવી તેમની જગ્યાએ અર્ધલશ્કરી સશસ્ત્ર દળો મૂકવાનો કરાર થયો. આ માટે પાકિસ્તાન તરફથી ‘રેન્જર્સ’ અને ભારત સરકારના ગૃહખાતા હેઠળ બીએસએફ મૂકવાનું નક્કી થયું. આ પ્રમાણે ચીનની સરહદ પર ઇંડો-તિબેટન બૉર્ડર પોલિસ તથા અન્ય સ્થળોએ સીઆરપી માટે અફસરોની પૂર ઝડપે ભરતી થઇ રહી હતી. તેમના માટે સેનામાંથી ‘રીલીઝ’ થનારા એમર્જન્સી કમીશન્ડ અૉફિસર્સ જેવા યુદ્ધમાં પલોટાયેલા અને અનુભવી અફસરો મળવાના હતા. આવા અફસરોને તેમણે સેનામાં ગાળેલા વર્ષોની સિનિયોરીટી આપીને લેવાનું નક્કી કર્યું.

ભારત સરકારે બીએસએફના ડાયરેક્ટર જનરલ શ્રી.કે.એફ. રુસ્તમજી અને ગુજરાતના પોલિસ વડા રહી ચૂકેલા સીઆરપીના ડાયરેકટર જનરલ વી.જી. કાનેટકરની આગેવાની હેઠળ જૉઇન્ટ સિલેક્શન બોર્ડ સ્થાપ્યું. શ્રી.રૂસ્તમજી કાબેલ અને દીર્ઘદૃષ્ટિ ધરાવતા અફસર હતા. તેઓ જાણતા હતા કે લશ્કરી અફસરના કૌશલ્યની ખરી પરીક્ષા યુદ્ધ હોય છે. સીલેક્શનના વિધીમાં ભારતીય સેનાએ સારા અફસરો ગુમાવ્યા હતા તેમને બીએસએફ તથા સીઆરપીમાં સમાવી લેવાનું તેમણે અને શ્રી. કાનેટકરે નક્કી કર્યું. અફસરોની પસંદગી માટે તેમણે બે મુખ્ય વાતો પર ધ્યાન આપ્યું: અફસરોની યુદ્ધકાળની કામગિરી અને તે વર્ષનો તેમનો ખાનગી રિપોર્ટ - જેમાં તેમણે જોયું કે લડાઇના સંજોગોમાં આ અફસરોએ તેમના સૈનિકો તથા કમાંડરોનો પોતાની બહાદુરી તથા નેતૃત્વના જાતે દાખલો આપીને તેમનો વિશ્વાસ સંપાદન કર્યો હતો કે નહિ. બીજી વાત: બોર્ડના સામે થનારા ઇન્ટરવ્યૂમાં આ અફસર પોતાની પ્રતિભાની છાપ પાડી શકે છે કે નહિ.

શ્રી. રુસ્તમજીએ મારો રેકૉર્ડ જોઇ લડાઇ વિષયક ઘણી વાતો પૂછી. કયા ફોર્સમાં જવા ઇચ્છું છું એવું પૂછવામાં આવતાં મેં બીએસએફની પસંદગી દર્શાવી. શ્રી. રૂસ્તમજીએ મને તે જ ઘડીએ હું સીલેક્ટ થયો છું કહી અભિનંદન આપ્યા. થોડા દિવસ બાદ મને બનાસકાંઠાના દાંતિવાડા ડૅમ પાસેના કૅમ્પમાં આવેલી સેકન્ડ બીએસએફ બટાલિયનમાં હાજર થવાનો હુકમ મળ્યો.

જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો. અનુરાધા, અમારી નવજાત પુત્રી કાશ્મિરા અને હું દાંતિવાડા પહોંચ્યા.

ગુજરાતની માટીમાં એવો તે શો જાદુ છે, બીજા પ્રાંતમાંથી આવતા લોકો ગુજરાતની ધરતી અને ગુજરાતની પ્રજાના પ્રેમમાં રંગાઇ જાય છે. મારી દાંતિવાડા/સુઇગામમાં સેકન્ડ બીએસએફ બટાલિયનમાં નીમણૂંક થઇ તે સમયે ગુજરાતમાં બીએસએફની બે બટાલિયનો હતી. ફર્સટ્ બટાલિયન કચ્છ-ભુજમાં હતી. બન્ને બટાલિયનના અફસરો પોતાને “ગુજરાત અૉફિસર્સ” કહેવડાવવામાં ગૌરવ અનુભવતા હતા. સેના છોડ્યા બાદ ‘બ્રધર અૉફિસર’ની ભાવના મને અહીં તેના સુંદર અને ઘનીષ્ટ રૂપમાં જોવા મળી. અનુરાધા તથા કાશ્મિરાને લઇ હું દાંતિવાડા પહોંચ્યો ત્યારથી એક અઠવાડિયું અમને રસોઇ કરવી પડી નહોતી. બન્ને વખતના ભોજન માટે કોઇ ને કોઇ અફસર પરિવાર તરફથી અમને નિમંત્રણ મળતું. આ અહીંનો શિરસ્તો હતો. નવા આવેલા અફસરોને સ્થિર થવામાં ચાર-પાંચ દિવસ તો લાગી જતા હોય છે, તેનો બધાને અનુભવ હતો, તેથી અમારે ત્યાં આ પ્રથા શરૂ થઇ હતી. ગુજરાતની બટાલઇયનોની જવાબદારીનો વિસ્તાર હતો - કચ્છનું મોટું રણ.

કચ્છના રણ તરીકે ઓળખાતી ધરાનો વિસ્તાર વિશાળ છે. અહિંયા તમને મળશે ખારો પાટ - એટલે જમીન પર પંદરથી વીસ સેન્ટીમીટર જાડો અને સેંકડો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો મીઠાનો થર. હજારો વર્ષ પહેલાં અહીં સમુદ્ર હતો. દરિયો ખસતો ગયો અને તેના તળીયાની છિદ્રાળુ અને ભેજ-સભર જમીનમાં તેના ક્ષારના ભંડાર રહી ગયા. અતિ ઉષ્ણતાને કારણે પાણીની બાષ્પ થઇ અને પાણીમાં ઓગળેલા ક્ષારના થર થઇ ગયા.

કચ્છનું રણમાં વરસાદ નહિવત પડે છે. પાણીની સદા અછત. સૈનિકો માટે પચાસ-સાઠ કિલોમીટર દૂરથી આવતું પીવાનું પાણી પણ ખારું. આ ઉપરાંત રણમાં અનેક વિવિધતાઓ જોવા મળે. જંગલી ગધેડા - જે કલાકના ૪૦ કિલોમીટરની ગતિએ દોડી શકે છે, અને તેમને પાળવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા છે, તે અહીં જોવા મળશે. નાનપણમાં આપણે જોડકણા સાંભળતા, તેમાં “રાતા બગલા રણે ચડ્યા, પાણી દેખી પાછા ફર્યા” સાંભળી નવાઇ લાગતી. બગલા રાતા હોતા હશે? પણ આ રાતા બગલા - ફ્લેમિંગો અમને કચ્છના રણમાં જ જોવા મળ્યા! આ પરદેશી મહેમાનો રણમાં છીછરા પાણી હોય ત્યાં શિયાળામાં ચાતુર્માસ માટે આવતા હોય છે! ત્યાં લાખોની સંખ્યામાં ઉપજતા નાનકડા જીંગા જેવા જીવડાંનો આહાર કરી, ઇંડાં મૂકી, પાછા ફરતી વખતે બચ્ચાંઓને લઇ પોતાના મલકમાં પાછા જતા હોય છે. ભુજના વિખ્યાર છબીકાર શ્રી. પોમલના Flamingo Cityનાં ચિત્રો જોયાં હશે. અહીં ક્લીક કરવાથી તમને આપણા રણપ્રદેશનો આછો ખ્યાલ આવશે.

રણમાં જ્યાં ખારો પાટ ન હોય ત્યાં જમીન સખત, લીસી અને ટેનિસ કોર્ટ, ક્રિકેટ કે હૉકીના મેદાન જેવી સમતળ હોય છે. પણ ખારો પાટ એટલે ખતરાનો પાટલો! ઉપરથી સખત લાગતા દૂધ જેવા સફેદ મીઠાના થરની નીચે કાળો કાદવ, અને ક્યાંક ક્યાંક કળણ - quicksand - જેનાં ઉંડાણ માપવા મુશ્કેલ છે. ઉપરથી સખત લાગતી જગ્યાઓ એવી ખતરનાક હોય છે કે તેમાં ભુલેચૂકે પ્રવેશ કરનાર માણસ તેમાં ગરક થઇ જાય તો તેમની કોઇ નિશાની જોવા ન મળે. રણના રેતીલા ભાગમાં આકડાના તથા કેરડાના બેસુમાર વૃક્ષો, અને હરણાંઓના ઝુંડ મળી આવે. આવી જમીનમાં રૂંછાદાર પૂંછડી વાળા ઉંદર, અને તેમનો આહાર કરી જીવતા અતિ વિષૈલ નાગ તથા ‘બાંડી’ નામથી ઓળખાતા અઢી-ત્રણ ફૂટ લાંબા sidewinder સાપ. નાગની જેમ ‘બાંડી’ ડંખ મારે અને તાત્કાલિક સારવાર ન મળે તો મૃત્યુ અટળ સમજવું! દરરોજ સવારે અને સાંજે કરવી પડતી કવાયતમાં અમારે જમીનમાં ખોદેલા મોરચા (trench)માં ઉતરતાં પહેલાં બૅટરીના પ્રકાશમાં જોવું પડતું કે તેમાં બાંડી તો પડી નથીને! દર ત્રીજે ચોથે દિવસે દરેક ચોકીની એકાદ ટ્રેન્ચમાં તો આ સર્પ દેવતા અચૂક પડેલા હોય.

સુઇગામ સેક્ટરમાં આવેલ એક ચોકી નાડાબેટમાં માતાજીનું સ્થાનક છે. હાજરાહજુર ગણાતા માતાજીએ સૈનિકો તથા ત્યાંના વતનીઓની રક્ષા કરી તેમણે પરમ માતૃત્વ શક્તિના અનેક પરચા આપ્યાની અનેક દંતકથાઓ ત્યાં પ્રવર્તે છે. રણમાં રાતે તરલ હોકાયંત્ર (liquid prismatic compass) સાથે નીકળીએ તો પણ ચોકીમાં પાછા પહોંચવાની આશા ન રખાય. હોકાયંત્ર જે અંશ બતાવે તેની સીધી લીટીમાં પણ ન જવાય. કઇ જગ્યાએ કળણ (quicksand) છે તે નકશા દેખાડતા નથી. કળણમાં ફસાયેલ માણસ તો ઠીક, ઊંટ પણ આખે આખો ગરક થઇ જાય તો પણ તેનું ચિહ્ન દેખાય નહિ.

રણની આખ્યાયિકાઓ જેટલી બેસુમાર છે, તે પ્રમાણે માતાજીએ સૈનિકોને બચાવ્યાના દૃષ્ટાંત પણ એટલા જ વિવિધ. વર્ષો પહેલાં રાત્રીના સમયે રણમાં ભુલી પડેલી સીઆરપીની ટુકડી અથડાતી, કૂટાતી ભટકી રહી હતી. એક તરફ ઘનઘોર અંધારું અને તેમની વૉટર બૉટલમાં પાણીનું ટીપું પણ બચ્યું નહોતું. થાકીને તેઓ બેસી ગયા. અચાનક તેમના સેક્શન કમાંડરને કોઇએ નાડાબેટનાં માતાજી વિશે વાત કરી હતી તે યાદ આવી. તેણે જવાનોને આની વાત કરીને સામુહિક પ્રાર્થના કરી. થોડી વારે તેમને નજીકથી ચાલી રહેલી લોબડી પરિધાન કરેલી વૃદ્ધા જોવામાં આવી. માજી તેમની પાસે રોકાયાં અને અર્ધી ગુજરાતી, અર્ધી હિંદીમાં તેમણે જવાનોને પુછયું, “બેટા, અટાણે ક્યાં જવા નીકળ્યા છો?”
“માઇ, હમે નાડા બેટ જાના હૈ, મગર રાહસે ભટક ગયે હૈં.”
“મારી ભેગા ચાલો. હું ત્યાંજ જાઉં છું,” કહી ડોશીમા તેમને માતાની દેરી સુધી લઇ ગયા. સીઆરપીનો નાયક તેમનો આભાર માને તે પહેલાં ડોશીમા અંતર્ધ્યાન! સીઆરપીની ટુકડીના આ હેડકૉન્સ્ટેબલ પાસેથી તેની ચોકીનો ચાર્જ લેનાર ગુજરાત એસઆરપીના અફસર શ્રી. રેડકરે આ વાત મને કહી હતી.

બુદ્ધીવાદીઓ આ વાત સાંભળીને જવાનોને અંધશ્રદ્ધામાં માનનાર વ્યક્તિ કહેશે. તેમને એક જ વિનંતી: રણમાં ફક્ત એક અઠવાડીયું રહી આવજો. રાતના સમયે જે જોવા મળશે, સાંભળવા મળશે તેનો અનુભવ લીધા પછી શું માનવું, શું ન માનવું તે નક્કી કરજો!

રણની આખ્યાયિકાઓની વધુ વાત હવે પછી કહીશ.

tatto media
tatto media

Monday, April 20, 2009

૧૯૬૮: LAST POST

કર્મનકી ગતિ ન્યારી.....
જ્યોતિષશાસ્ત્રીઓ કહે છે કે ગ્રહોની કળા, કક્ષા અને ભ્રમણની એક એક પળની અસર માનવી જીવો પર થતી રહે છે. હૅમ્લેટમાં ક્લૉડીયસ કહે છે તેમ "When Sorrows come, they come no single spy.... they come in battalions" જ્યારે દુ:ખ આવે છે ત્યારે તે એકલ-દોકલ નથી આવતું; આવે છે ત્યારે પૂરી બટાલિયનની સંખ્યામાં, અને એટલા જ ઝનુનથી આવતી હોય છે. સંસ્કૃતમાં પણ કહેવત છે: छिद्रेषू अनर्था बहुली भवन्ति। ૧૯૬૬ થી ૧૯૬૮ના વર્ષો દરમિયાન મારી બાબતમાં જે થયું તેમાં આ બધી વાતોનો સમન્વય આવી ગયો હતો. આ સમય બધા એમર્જન્સી કમીશન્ડ અૉફિસરો માટે કસોટીનો હતો કારણ કે ભારતીય સેનામાં તેમને કાયમ કરવા માટે - પર્મેનન્ટ રેગ્યુલર કમીશન આપવું કે નહિ તેનો નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. સર્વિસીઝ સિલેક્શન બોર્ડમાં તો સૌને જવાનું હતું, પણ આખરી નિર્ણય COના આ સંદર્ભમાં આપેલા confidential report પર હતો. કર્નલ ચૌધરીના આગમન બાદ મારા જીવનમાં જબરૂં પરિવર્તન આવી ગયું.

એક તો મને ભારતીય સેનામાં પર્મેનન્ટ કમીશન ન મળ્યું. ઇન્ડીયન આર્મીમાં મારી સેવાનો અંતિમ દિન નક્કી થયો: ૧૫-૭-૬૮.

એ જ વર્ષમાં બાનું અવસાન થયું.

થોડા સમય માટે રહેવા આવેલા એક સજ્જને અમને વચન આપ્યું હતું કે અમને જરૂર પડતાં તેઓ મકાન ખાલી કરશે. સમય આવતાં તેઓ ફરી ગયા.

અહીં મને સંસ્કૃતની કહેવત યાદ આવે છે: यत्ने कृते न सिद्धयन्ति कार्याणी, को अत्र दोष:? અનેક પ્રયત્નો બાદ પણ કાર્ય સફળ ન થાય ત્યાં કોઇને દોષ ન આપી શકાય. નિયતી અને નિમીત્ત વચ્ચે ઘેરો સંબંધ છે, પરંતુ અહીં મહતિ પ્રયત્નની હોય છે. હાર ન માનતાં છેલ્લે સુધી યત્ન કરતા રહેવું, જે પરિણામ આવે તેને નવી ચૅલેન્જ તરીકે સ્વીકારી ત્યાં પોતાનું અસ્તિત્વ ટકાવવામાં જ પુરુષાર્થ છે. આ પ્રયત્નમાં જ મારા જીવનનો બીજો અધ્યાય પૂરો થયો.

યુદ્ધનો રેકૉર્ડ જોઇ મારી બૉર્ડર સીક્યોરિટી ફોર્સમાં આસીસ્ટન્ટ કમાન્ડન્ટના હોદ્દા પર ૧૯૬૮માં નીમણૂંક થઇ. ત્યાર પછી શ્રેણીબદ્ધ એવા પ્રસંગો બનતા ગયા જેમાં કોઇને રસ નહિ પડે. કચ્છના મોટા રણમાં રહેનાર જીપ્સી તથા તેના જવાનોની વાતો, ૧૯૬૯માં અમદાવાદમાં તથા ૧૯૭૦ના ભિવંડીમાં થયેલ ભયાનક હુલ્લડમાં બજાવેલી ફરજ, પંજાબના મોરચે ખેલાયેલી ૧૯૭૧ની લડાઇ - આ તો સૈનિકના જીવનનો સામાન્ય routine હોય છે. તેમાં કોઇ નવી વાત નથી.

જીપ્સીની વાત અહીં પૂરી થાય છે.

અત્યાર સુધી આપ સૌએ ‘ડાયરી’માં લખેલી વાતો વાંચીને પ્રતિભાવ આપ્યો તે માટે ‘જીપ્સી’ આપનો હાર્દિક આભાર માને છે. ભલે તે વિશાળ વાચક વર્ગ ન કેળવી શક્યો, પણ બ્લૉગના મંચ પર તેને સહૃદયી મિત્રો મળ્યા. તેમણે તેને એટલો સ્નેહ આપ્યો કે તેના બાકીના પ્રવાસનું ભાથું બંધાઇ ગયું.

મારી છેલ્લી પોસ્ટનું શિર્ષક સીધું સાદું છે. દેશનું રક્ષણ કરતાં રણભુમિમાં વીરગતિ પામેલા સૈનિકને આખરી વિદાય આપવા કે ભૂતકાળમાં દેશને સેવા આપનાર સૈનિકોની યાદમાં Memorial Day જેવા પ્રસંગે બ્યુગલના જે સૂર વગાડવામાં આવે છે તેને Last Post કહેવામાં આવે છે. જીપ્સીની ડાયરીના અંતમાં લાસ્ટ પોસ્ટ સાંભળવા આપણે અહીં ક્લીક કરશો.

તુષારભાઇ, જીપ્સીનાં મૂળ ગુજરાતમાં મક્કમ પણે દૃઢ છે. પરદેશમાં રહીને પણ તે જનની, જન્મભુમિ અને માતૃભાષાને ભુલ્યો નથી. રહી વાત તેના પ્રવાસની. તેનો સિગરામ ક્યારનો’ય એકલો ચાલતો રહ્યો હતો, અને ચાલતો રહેશે. તેની નજર હજી સપ્તર્ષી તરફ મંડાયેલી છે. તેના પ્રશ્નો સમજવામાં અનંત કાળ વહી જશે, અને જીપ્સી તેના માટે જન્મજન્માંતરનો પ્રવાસ કરતો રહેશે.

આવજો ત્યારે. હવે મળીશું નવા અવતારમાં, નવા જન્મમાં.

POST SCRIPT:

ગયા અંકમાં જીપ્સીએ કવીવર રવીન્દ્રનાથ ટાગોરના કાવ્ય Farewell My Friendનો ઉલ્લેખ કર્યો હતો. આપને વચન પણ આપ્યું હતું કે ક્યારેક આખું કાવ્ય રજુ કરીશ. આજથી વધુ સારો સમય કયો હોઇ શકે?

I have got my leave. Bid me farewell, my brothers!
I bow to you all and take my departure.

Here I give back the keys of my door
---and I give up all claims to my house.
I only ask for last kind words from you.

We were neighbors for long,
but I received more than I could give.
Now the day has dawned
and the lamp that lit my dark corner is out.
A summons has come and I am ready for my journey.


tatto media
tatto media

Thursday, April 16, 2009

૧૯૬૫ અૉક્ટોબર - નવેમ્બર: યુદ્ધ પશ્ચાત....

લડાઇ દરમિયાન બન્ને પક્ષે તોપનો ઉપયોગ ભારે માત્રામાં થયો હતો. પાકિસ્તાનમાં પ્રવેશ કરતાં જ અમારા પર બૉમ્બ વર્ષા થઇ, અને આપણી તોપોએ પાકિસ્તાનના સૈનિકોએ પોતાનાં ગામડાંઓની નજીક ખોદેલા મોરચાઓને ઉદ્ધ્વસ્ત કરવા ગોળા વરસાવ્યા હતા. પાકિસ્તાનના ગામડાંઓની રચના આપણા ગ્રામ્યવિસ્તાર જેવી છે, ફેરફાર માત્ર નાની વિગતનો છે: દરેક ગામમાં મંદીરના સ્થાને મસ્જીદ અથવા ઇદગાહ છે, અને સ્મશાનને બદલે કબ્રસ્તાન. બૉમ્બવર્ષામાં કેટલીક મસ્જીદોને નુકસાન થયું હતું. ‘હિંદુ સૈનિકોએ અમારી મસ્જીદો તોડી અને ઉધ્વસ્ત કરી’ એવો જુઠો પ્રચાર પાકિસ્તાન ન કરે એટલા માટે આ મસ્જીદોના સમારકામની અને ચૂનાથી ધોળાવવાની જવાબદારી મને મળી. મારા મતે યુદ્ધમાં મને મળેલી જવાબદારીમાં આ સૌથી મહત્વની કામગિરી હતી. મારા જવાનોને લઇ હું આ કામ કરાવતો. જવાનો કામ કરે ત્યારે હું કબ્રસ્તાનની મુલાકાત લેતો. ઘણી વાર મને કબ્રસ્તાનમાં વેરવિખેર પડેલ કુરાનનાં પાનાં મળતાં, જે હું ભેગા કરી, સરખી રીતે ગોઠવી સુરક્ષીત સ્થાને મૂકતો. અહીં સુતેલા આત્માઓ માટે પ્રાર્થના કરી લેતો કે જ્યારે તેમનો ક્યામતનો દિવસ આવે, પરમાત્મા તેમને ચિરશાંતી બક્ષે. મારી સાથે આપણી આર્ટીલરીના જવાનો પણ હતા. તેમાંના એક સિખ સાર્જન્ટ ઉર્દુ સાહિત્યનો વિદ્યાર્થી હતો. અમે ધોળાવેલી મસ્જીદોની દિવાલ પર સુંદર નીલા અક્ષરે પંજાબી મુસ્લીમ સંત બુલ્લેશાહ - જેમણે પોતાના નામની સાથે તેમના વ્યાપારી હિંદુ ભક્તની અટક ‘શાહ’ જોડી તેનું પણ નામ અમર કર્યું હતું, તેમની સર્વ ધર્મ સમભાવ તથા પરસ્પર પ્રેમની વાણી લખી.

પાકિસ્તાનના ગામડાંઓમાં લોકોનાં રહેઠાણ જોઇ હું અત્યંત પ્રભાવિત થયો. ગારાથી સુંદર લીંપેલા, બેઠા ઘાટના ધાબાવાળા મકાનોની અંદર રસોડાનાં ચૂલાઓની આજુબાજુ સુશોભન કરવામાં આવેલું જોયું. રસોડાં પણ એકદમ સ્વચ્છ, છાણ-ગારાથી લીંપેલા! જે રીતે આપણી બા-બહેનો ગામડાંઓમાં આપણાં મકાનો સજાવે તેવા જ! અભરાઇઓ પર આપણાં ઘરોની જેમ ચકચકતા પિત્તળના વાસણો ગોઠવેલા જોયા. રસોડાની અંદર જ ઇંટ-ગારાની ભીંતમાં ચણેલી કોઠીઓ હતી, જેમાં ઘઉં ભરેલા હતા. દરેક રસોડામાં ખનીજ મીઠાના નારિયેળ જેવડા મોટા સ્ફટીક (rock salt) હોય જ! કેટલાક ગામોમાં તો ચૂલા પર પિત્તળની હાંડીમાં બળેલા ભાત અને દાળ જોવા મળ્યા. રસોઇ કરતી ત્યાંની બહેનોને પાકિસ્તાની સત્તાવાળાઓએ ખબર પણ નહોતી કરી કે યુદ્ધ શરુ થયું છે. ત્યાંના ગ્રામવાસીઓએ જ્યારે આપણી ટૅંકોનો અવાજ સાંભળ્યો અને બન્ને સેનાઓ તરફથી એકબીજા પર ગોલંદાજી શરૂ થઇ ત્યારે તેઓ ઉતાવળે રસોઇ અર્ધી મૂકી, ઘર છોડી નાસી ગયા હતા. કેટલાક ગ્રામવાસીઓ પોતાના ગામમાં છુપાઇ રહ્યા હતા, જેમને અમે નિર્વાસિત કૅમ્પમાં મોકલ્યા
એક દિવસ અમારી બટાલિયનમાં અમારા Corps Commander જનરલ પૅટ્રીક ડનના સ્ટાફ અફસર કર્નલ મોહમ્મદ ગુફ્રાન આવ્યા. ૧૯૪૮માં કાશ્મિરમાં કબાઇલીઓ સામે લડતાં શહીદ થયેલ બ્રિગેડિયર ઉસ્માનના તેઓ નાના ભાઇ. તેમણે અમને કહેલી એક વાત મારા મનમાં કાયમ માટે વસી ગઇ: “ જેન્ટલમન, માનવીના આચરણમાં પ્રામાણિકતા અને અપ્રામાણિકતા ઉત્તર અને દક્ષીણ ધ્રુવ સમાન હોય છે. આ બે સત્યોની વચ્ચે ત્રીજું કોઇ પરિમાણ નથી. કાં તો તમે પ્રામાણિક હશો અથવા અપ્રમાણીક. તમે કદી પણ એવું નહિ કહી શકો કે સામાન્યત: હું પ્રામાણિક છું. કોઇક જ વાર મારા હાથે અપ્રમાણીક કામ થઇ જાય છે. જ્યારે કદી તમારી સામે પ્રામાણીકતા તથા અપ્રમાણીકતાનો દ્વંદ્વ ઉભો થાય ત્યારે તમારો આત્મા જ તમને કહેશે કે તમારે શું કરવું જોઇએ. એક Officer and gentlemen તરીકે તમારે શું કરવું, તે તમે જ નક્કી કરજો. સાચા માર્ગનું અવલંબન integrity છે.”

કર્નલ ગુફ્રાને અમારી ડિવિઝનના એક ઉંચા અફસરના સંદર્ભમાં આ વાત કરી હતી તે મને બાદમાં જાણવા મળ્યું. લડાઇ બાદ તરત જ તેમને રીટાયર કરવામાં આવ્યા હતા તેથી તેમણે આચરેલી વાતોને મહત્વ નથી રહ્યું. હા, એટલું જરૂર કહીશ કે રીટાયર થયા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો, પંજાબના ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ઘણા સ-ફળ થયા હતા. ભારતના રાજકારણમાં સફળ થવા માટે પ્રામાણિકતા બાધક હોય છે તે સૌ જાણે છે. લાલ બહાદુર શાસ્ત્રી કે આપણા પોતાના ઇંદુલાલ યાજ્ઞિક જેવા પ્રામાણીક રાજપુરુષો આવ્યા અને ભુલાઇ ગયા. બાકીના લોકો રાજકીય નેતૃત્વને પોતાની વંશપરંપરાગત જાગીર બનાવી વિમાનઘર, રાષ્ટ્રીય સન્માનના ચંદ્રક, રસ્તાઓ - બધાની સાથે પોતાના વંશનું નામ જોડી અમર થવાનો પ્રયત્ન કરતા રહે છે. ફ્રાન્સની ભુખથી ટળવળતી જનતા શા માટે રમખાણ કરે છે તેના જવાબમાં મહારાણી મૅરી એન્ટોઇનેટને કહેવામાં આવ્યું કે તેમને રોટી નથી મળતી.. સાંભળી તેણે કહ્યું, “તેમને રોટી નથી મળતી તો તેના બદલે તેઓ કેક શા માટે નથી ખાઇ લેતા?” તથા “Every man has his price” કહેનારા ઇંગ્લંડના વડાપ્રધાન વૉલ્પોલ- જેવાનાં નામ પણ અમર થયા છે, પણ કયા સંદર્ભમાં એ તો કેવળ ઇતિહાસના અભ્યાસુઓ જ જાણે છે....
લડાઇ બાદ મારા CO કર્નલ રેજી ગૉનની પ્રમોશન પર બદલી થઇ. તેમની જગ્યાએ કર્નલ ચૌધરી (આ તેમનું સાચું નામ નથી) નામના અફસર આવે છે તેવું જાણવા મળ્યું.

કહેવાય છે કે માણસની ખ્યાતિ તેના આગમન પહેલાં જ પહોંચી જતી હોય છે.

tatto media
tatto media


tatto media

Tuesday, April 14, 2009

ફૅરવેલ, માય ફ્રેન્ડ હરીશ...

૨૭મી તારીખે મારા પોતાના CO કર્નલ રેજી ગૉન ગોરખા બટાલિયનમાં આવ્યા અને કર્નલ ગરેવાલને મારા જવાનોની અને મારી કામગિરી વિશે રીપોર્ટ માગ્યો. કર્નલ ગરેવાલે અમને - તેમના ‘પોતાના ટ્રુપ કૅરીયર્સ’ને ખુબ બિરદાવ્યા અને ખાસ કરીને મને બહાદુરી માટે સેના મેડલની શિફારસ કરવાનું કહ્યું. મેં મારા ત્રણ જવાનોને વીરતા પદક મળે તેવી શિફારસ કરી. કર્નલ ગૉને હેડક્વાર્ટરમાં જઇ મેજર લાલને મારા જવાનોનું અને મારું citation લખવાનો આદેશ આપ્યો. મેજર લાલ પાસે અમારી આલ્ફા કંપની કમાન્ડર નો ચાર્જ હોવા ઉપરાંત બટાલિયનના સેકન્ડ-ઇન કમાન્ડનો ચાર્જ હોવાથી તેઓ ડિવિઝનના અૅડમિનિસ્ટ્રેશન એરીયામાં હતા. આથી મારી પ્લૅટૂનની કામગિરીનો અહેવાલ મારી પાસેથી લઇને મારા જવાનોનું અને મારૂં 'સાઇટેશન' મોકલવાનું નક્કી કર્યું. યુદ્ધવિરામ બાદ મને બટાલિયન હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યો ત્યાં સુધીમાં સાઇટેશન મોકલવાની તારીખ વિતી ગઇ. મારા કોઇ જવાનને ૧૯૬૫ની લડાઇની કામગિરી માટે ગૅલન્ટ્રી એવૉર્ડ ન મળ્યો.

અૉક્ટોબરની બે તારીખના રોજ ‘battle fatigue’ - "યુદ્ધનો થાક" ઉતારવા મને બટાલિયન હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યો. સાંજે બટાલિયન હેડક્વાર્ટર પહોંચ્યો અને મને માઠા સમાચાર મળ્યા. મારા મિત્ર કૅપ્ટન હરીશ શર્માના.

આ એ જ કૅપ્ટન હરીશ શર્મા હતા જેમણે ઝાંસી છોડતી વખતે પોતાનાં પત્નિની સાથે અનુરાધાની તેમના ઘેર રહેવાની સગવડ કરી હતી. અનુરાધાને તેમનાં પત્નીએ ઘણો સ્નેહ આપ્યો હતો, કોઇ વાતની ચિંતા ન કરવાની હિંમત આપી હતી. મને, એક નવપરિણીત અફસરને હરીશે ઘણી હિંમત આપી હતી. કહેતા હતા, 'યુદ્ધનાં વાદળ તો ઘેરાતા હોય છે, પણ ક્વચિત જ વરસતા હોય છે. આ સમય પણ વરસાદ વગર વિતી જશે."

આ વખતે વાદળ વરસ્યા. યુદ્ધ શરૂ થયું અને જ્યારે આ દાવાનળે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે હરીશ શર્માની ડ્યુટી હતી આગળ લડતી સેનાને દારુગોળો અને અન્ય સામગ્રી પહોંચાડવાની. આ માટે તેઓ ફ્રન્ટ પર ગયા હતા. તેઓ તેમના ‘અૅમ્યુનીશન પૉઇન્ટ’ પર ગયેલી દારૂગોળાની રસદ લેવા રિસાલા તથા ઇન્ફન્ટ્રીની ટુકડીઓને સામગ્રી આપતા હતા ત્યાં પાકિસ્તાનના સ્ટારફાઇટર જેટ્સ આવ્યા. રૉકેટ્સ અને મશીનગનથી ‘strafing’ કર્યા બાદ તેમણે નેપામ બૉમ્બ વરસાવ્યા. સામાન્ય રીતે દુશ્મનના વિમાનો દેખાય ત્યારે આપણા OP (અૉબ્ઝર્વેશન પોસ્ટ) ચેતવણી આપવા 'મેટ્રોપોલીટન વ્હીસલ'થી ખાસ ભયસૂચક ધ્વનિ વગાડતા હોય છે. આમ થાય ત્યારે બધા સૈનિકોએ સપ્લાય પૉઇન્ટની આજુબાજુ ખોદેલી ખાઇઓમાં 'પોઝીશન' લેવાનો હુકમ હોય છે. હરીશની ટુકડીનો એક સૈનિક પોતાની ખાઇ સુધી પહોંચે, તેને ગોળી વાગી અને તે પડી ગયો. હરીશ તેને બચાવવા પોતાની ખાઇમાંથી બહાર નીકળી તેની નજીક ગયા અને પોતાની ખાઇ સુધી તેને ખેંચે તેવામાં એક નેપામ બૉમ્બ તેમના પર જ પડ્યો. હરીશના આખા શરીર પર આગની લપેટ ફેલાઇ ગઇ. હવાઇ હુમલો પતી ગયા બાદ તેમને હેડક્વાર્ટર પહોંચાડ્યા, અને ત્યાંથી મિલીટરી હૉસ્પીટલ. દસ દિવસ હૉસ્પીટલમાં રહ્યા બાદ તેમનું અવસાન થયું.

આ શોકજનક સમાચાર સાંભળી મને પારાવાર દુ:ખ ઉપજ્યું. વિચાર આવ્યો, પરમાત્માએ હરીશ શર્માને શા કારણસર પસંદ કર્યા હશે?

દુનિયામાં મહાન લોકોની કમી નથી, કમી તો સારા માનવોની હોય છે. હરીશ સજ્જન, સુચરીત અને પરગજુ યુવાન હતા. તેમનો શાંત, હસમુખ ચહેરો હજી પણ મારી આંખ સામે તરવરે છે. તેમનાં પત્ની તથા બાળકોની છબી મારી આંખ સામે તાદૃશ છે. ઝાંસીમાં અમારા બંગલાની સામે જ તેમનો બંગલો હતો. તેમની છ વર્ષની દીકરી અને ચાર વર્ષનો પુત્ર અમારે ત્યાં ઘણી વાર આવતા. બાળકોનો વિચાર આવતાં મન ઉદ્વિગ્ન થયું. હૈયું ફાટી ગયું. અમને કોઇને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હરીશ શર્મા જેવા મૃદુભાષી અને સુસ્વભાવી યુવાન શહીદ થશે. મનોમન તેને “ફૅરવેલ માય ફ્રેન્ડ. રામ રામ. બનશે તો ઉપર ક્યાંક અને ક્યારેક જરૂર મળીશું ત્યારે સુખ દુ:ખની વાત કરીશું,” કહી તેને બે આંસુની અંજલી આપી શક્યો.

બીજી વાત: અમારી બટાલિયનના ફક્ત એક અૉફિસરને વીરતા પુરસ્કાર મળ્યો. મારી કંપનીના મારા સાથી સૅમીને! તે પણ હેડક્વાર્ટર્સની સુરક્ષીત કિલ્લેબંધીની બહાર ગયા વગર! અમારા કંપની કમાંડર મેજર લાલે તેને ‘દુશ્મનના હવાઇદળના પ્રત્યક્ષ આક્રમણ સામે પોતાના જીવની પરવા કર્યા વગર બહાદુરી દર્શાવવા’ માટે સેના મેડલની શિફારસ મોકલી હતી. સેના મેડલના બદલે તેમને ‘મેન્શન્ડ-ઇન-ડીસ્પૅચીસ’ એનાયત થયો. જે હોય તે, અંતે તો એ વીરતા પુરસ્કાર હતો! બટાલિયનના અૉફિસરો કહેતા હતા, મેજર લાલે તેના માટે ‘વિશીષ્ટ સેવા મેડલ’ ની શિફારસ કરવી જોઇતી હતી કારણ કે લડાઇ ચાલતી હતી ત્યારે તેણે બહાદુરીપૂર્વક મેજર લાલની ઉત્તમ સેવા કરી હતી.

યુદ્ધ શરૂ થતાં પહેલાં મને ગુજરાતનો અફસર કહી આપણી કહેવાતી ‘યુદ્ધ-વિરહીત પરંપરા’ની મજાક ઉડાવનાર ‘લડાયક કોમ’ના એક મેજરસાહેબ લડાઇના મેદાનથી પચાસ માઇલ પાછળ હતા, તેમ છતાં ટૉઇલેટ જવા માટે દસ સૈનિકોના ગાર્ડની ટુકડીને સાથે લઇ જતા! શાળામાં સંસ્કૃત શીખવતા અમારા શાસ્ત્રી સાહેબે એક શ્લોક શીખવ્યો હતો: દૈવાયત્તમ્ કૂલે જન્મમ્, મદાયત્તમ્ તુ પૌરૂષમ્ - ક્યા કૂળમાં જન્મ આપવો એ તો દૈવને આધિન છે, પણ પુરુષાર્થ તો મારે પોતાને આધિન છે, મહાભારતમાં આમ કહી ગયા હતા દાનવીર કર્ણ. કોઇ કોમને stereotype કરી તેની મજાક ઉડાવવી યોગ્ય નથી, તે પેલા મેજરસાહેબને કોણ કહે?

લડાઇ પૂરી થઇ. અમે પાકિસ્તાનમાં કબજે કરેલી જગ્યા છોડી સરહદ પર સાંબા તહેસીલના રામગઢ પાસે પડાવ નાખ્યો. ફરી એક વાર જીપ્સી સાંજના સમયે તેના બંકરની બહાર બેસીને વિચાર કરતો, યુદ્ધનો, યુદ્ધમાં શહીદ થનારા સૈનિકોનો, અમારા અને તેમના શહીદોના પરિવારોનો... આપણા અને પાકિસ્તાનના ગામોમાં રહેનારા નિર્દોષ લોકોનો - જેમને રાજકારણ સાથે કોઇ લેવાદેવા નહોતી, પણ તેમને પોતાનાં ઘરબાર છોડીને જવું પડે છે. યુદ્ધવિરામ બાદ તેઓ પોતાનાં ભાંગી પડેલા ઘર તો સમારી શકશે, પણ ભગ્ન થયેલા હૃદય?

અને વિચાર આવતો મારા મિત્ર હરીશનો અને તેના પરિવારનો....

tatto media
tatto media

Friday, April 10, 2009

યુદ્ધવિરામ!

ચવીંડા એવું મહત્વનું સ્થાન હતું જ્યાંથી સિયાલકોટની ધોરી સડક પર કબજો કરી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બે કકડા કરી શકાય. ૧૭-૧૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની રાતે આપણી લૉરીડ બ્રિગેડ તથા ૬ઠી માઉન્ટન ડિવીઝનની ૯૯મી બ્રિગેડે ચવીંડા પર જબરો હુમલો કર્યો. જીવ સટોસટની અને હાથોહાથની લડાઇ થઇ. દુશ્મને આપણી સેનાને રોકવાનો મરણીયો પ્રયત્ન કર્યો. દુશ્મનની ખાઇઓમાંથી મશિનગનની ધણધણાટી ચાલી રહી હતી. રાઇફલ પર બૅયોનેટ ચડાવી આપણા જવાનો દુશ્મન પર તુટી પડ્યા. હાથોહાથની લડાઇ એટલે દુશ્મનનાહાથમાં તેમનું હથિયાર અને તેના ગોળીબારની પરવા કર્યા વગર રાજપુતાના રાઇફલ્સના સૈનિકો તેમની રાઇફલ પર'ફિક્સ' કરેલા લાંબા છરા જેવા બૅયોનેટતો વાર કરવા દોડીને યુદ્ધ-નિનાદ કરી રહ્યા હતા "રાજા રામચન્દ્રકી જય", ગોરખાઓ "આયો ગોરખાલી"...

હારેલો પ્રદેશ પાછો મેળવવા પાકિસ્તાની સેનાએ ‘કાઉન્ટર અૅટેક’ કર્યો, પણ પાછા હઠે તે ભારતના સૈનિકો નહિ.

૨૨મી સપ્ટેમ્બર ૧૯૬૫ના દિવસે યુદ્ધવિરામ જાહેર થયો ત્યારે અમે - આપણી ફર્સ્ટ આર્મર્ડ ડિવીઝન, છઠી માઉન્ટન ડિવિઝન તથા ૧૪મી ઇન્ફન્ટ્રી ડિવીઝનના સૈનિકો દુશ્મનની ભુમિ પર ખડા હતા. ફિલ્લોરા, મહારાજકે અને અલ્હર રેલ્વે સ્ટેશન પર હજી ભારતનો તીરંગો લહેરાતો હતો. અહીંથી સિયાલકોટનું સ્ટેશન કેવળ દસ કિલોમીટર દૂર હતું.

પાકિસ્તાનના સરમુખત્યાર ફીલ્ડ માર્શલ અયુબ ખાને એવો પ્રચાર કર્યો હતો કે એક પાકિસ્તાની સૈનિક ભારતના દસ સૈનિક બરાબર છે. અાપણી સેનાને તેઓ ‘હિંદુઓંકી ફોજ’, “લાલોંકી ફોજ” (દુકાનદારોની ફોજ) તથા આપણા સૈનિકોને “ધોતી વાલે” અને “બોદી વાલે” - ધોતી અને ચોટલી વાળાઓની ફોજ કહી ઉપહાસ કરતા હતા! પાકિસ્તાનની “લડાયક” પ્રજા 'લાલા' કે ‘ચોટલીવાળા’થી કદી હારી જ ન શકે એવો mass hysteria ઉભો કર્યા બાદ અયુબખાન પોતાની પ્રજાને સત્ય કહી શકવાની સ્થિતિમાં નહોતા. આજે પણ તમે પાકિસ્તાનના કોઇ પણ વતનીને પૂછશો તો તે હજી કહેશે કે ૧૯૬૫ની લડાઇ તેમણે જીતી હતી.

આ વિશે આપણે પશ્ચિમના સ્વતંત્ર વિષ્લેષણકારોનો અભિપ્રાય લઇએ:

US Library of Congress Country Studies- Pakistan (આ પુસ્તક અમેરીકાના દરેક પુસ્તકાલયમાં મળી શકે છે. Country Studyમાં પાકિસ્તાન અને ભારત વિષેનાં પુસ્તકો લાઇબ્રેરીયન પાસે માગવાથી મળી જશે.) આ પુસ્તકમાં લખાયું છે કે:
"The (1965) war was militarily inconclusive; each side held prisoners and some territory belonging to the other. Losses were relatively heavy--on the Pakistani side, twenty aircraft, 200 tanks, and 3,800 troops. Pakistan's army had been able to withstand Indian pressure, but a continuation of the fighting would only have led to further losses and ultimate defeat for Pakistan. Most Pakistanis, schooled in the belief of their own martial prowess, refused to accept the possibility of their country's military defeat by "Hindu India" and were, instead, quick to blame their failure to attain their military aims on what they considered to be the ineptitude of Ayub Khan and his government."

અમેરીકાના TIME મૅગેઝિને લખ્યું, “ India held 690 square miles of Pakistan territory while Pakistan held 250 square miles of Indian territory in Kashmir and Rajasthan (અામાંનો મોટા ભાગનો- ૨૦૦ ચોરસ માઇલનો વિસ્તાર રાજસ્થાનના રણ અને ઢુવાઓનો હતો) , but had lost half its armour. ..... Cut off from U.S. and British arms supplies, denied Russian aid, and severely mauled by the larger Indian armed forces, Pakistan could continue the fight only by teaming up with Red China and turning its back on the U.N. ... India, by contrast, is still the big gainer in the war. Shastri had united the nation as never before....”

દુ:ખની વાત એ છે કે અમેરીકાના દબાણ હેઠળ યુદ્ધવિરામ કરવો પડ્યો. શાસ્ત્રીજી તાશ્કંદ ગયા અને ત્યાં જ તેમનું અવસાન થયું.
આપણા બે બાહોશ કમાંડીંગ અફસર - અદી તારાપોર તથા ૮મી ગઢવાલ રાઇફલ્સના કર્નલ જેરાથ શહીદ થયા. અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત છે આમાંના અદી તારાપોર પારસી હતા અને કર્નલ જેરાથ જ્યુઇશ (યહુદી) હતા. ગોરખા પલ્ટનના સીઓ કર્નલ ગ્રેવાલ સિખ હતા, મારી ટ્રૂપ કૅરીયર બટાલિયનના CO કર્નલ રેજીનૉલ્ડ ચાર્લ્સ્ ગૉન (Gaughan) આયરીશ-ભારતીય ખ્રિસ્તી હતા! આમાંનો દરેક અફસર પ્રથમ ભારતીય હતો, ત્યાર પછી ભારતનો સિપાહી અને તેમનો અંગત ધર્મ - જેની તેમણે કદી જાહેરાત ન કરી, તેમની ખાનગી વાત હતી. આ છે આપણી સેનાની પરંપરા.

યુદ્ધવિરામના દિવસે અમારી રેજીમેન્ટના કૅપ્ટન કૌલને COએ જમ્મુ જરૂરી સમાન લાવા માટે મોકલ્યા. મેં તેમને વિનંતી કરી કે બાને મારા તરફથી એક તાર મોકલે કે હું સાજોસમો છું. તેણે મારૂં કામ કરી આપ્યું. જો કે મારી એ ભુલ હતી. સૈનિકોના પરિવારોને દુ:ખદ સમાચાર તાર દ્વારા જ મોકલવામાં આવતા હતા. બા પાસે અમદાવાદમાં તાર પહોંચ્યો ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. બધાં ગભરાઇ ગયા. તાર ખોલવાની તેમની હિંમત ન થઇ. તેઓ મારા મોટાભાઇ પાસે તાર ખોલાવવા ગયા. તાર ખોલતાં પહેલાં દાદા - મારા મોટાભાઇ - ચિંતાતુર થઇ ગયા. તેમણે કહ્યું, “આપણે પ્રાર્થના કરીએ કે આ નરેનની કૅઝ્યુઆલ્ટીનો તાર નથી.” બા તો અત્યંત મુંઝાઇ ગયા. અનુરાધાને સાતમો મહિનો ચાલતો હતો અને તેની હાલત તો વર્ણવી શકાય તેવી નહોતી. અંતે દાદાએ તાર ખોલીને વાંચ્યો ત્યારે સૌના ચહેરા પર સ્મિત આવ્યા! બીજે દિવસે બાએ અાખા મહોલ્લામાં મિઠાઇ વહેંચી.

આખી લડાઇમાં મારા દરેક જવાને અતુલનીય બહાદુરી દર્શાવી. મારી પ્લૅટુનના એક પણ જવાને પીછેહઠ ન કરી. એટલું જ નહિ, ભયાનક બૉમ્બવર્ષામાં પણ તેઓ ગોરખા જવાનોને આપણી ટૅંકોએ ‘ઓવર-રન’ કરેલ દુશ્મનોના મોરચાઓ સુધી લઇ જઇ ધીખતી ધરા પર કબજો કરીને દુશ્મનોના વળતા હુમલાઓ - counter attacksને પરાસ્ત કરવામાં બહાદુરી કરી રહ્યા હતા.

યુદ્ધવિરામના સમાચાર સાંભળી આપણા જવાન આનંદ પ્રગટ કરતા હતા. હારેલા દુશ્મને યુદ્ધવિરામની ઘોષણા બાદ પણ અમારા પર છેલ્લી વારનું બૉમ્બાર્ડમેન્ટ કરી લીધું.

આમ પૂરૂં થયું કાશ્મીરનું બીજું યુદ્ધ.

tatto media
tatto media

Wednesday, April 8, 2009

આમ પૂરૂં થયું કાશ્મીરનું પ્રથમ યુદ્ધ.....

ચવીંડાની વાત કરતો હતો ત્યાં કાશ્મીરના પ્રથમ યુદ્ધનું ‘બૅકગ્રાઉન્ડ’ અાપ્યું તેથી આપને વિષયાંતર થયેલું લાગશે. પરંતુ વાત અહીં જ રોકી ચવીંડા તરફ જઇશ તો કદાચ કાશ્મીરના પ્રથમ યુદ્ધમાં આપણા અફસરો અને સૈનિકોએ આપેલા બલિદાન પર પડદો નાખ્યા જેવું લાગશે. તેથી આજની ‘પોસ્ટ’માં ૧૯૪૭-૪૮માં થયેલ યુદ્ધની આછી રૂપરેખા આપવાનો પ્રયત્ન કરીશ.

દિલ્લીના સફદરજંગ એરોડ્રોમ પરથી કર્નલ દિવાન રણજીત રાયને તેમની ૧લી સિખ બટાલિયન તથા કુમાઉં રેજીમેન્ટની ડેલ્ટા કંપનીને તેના કંપની કમાન્ડર મેજર સોમનાથ શર્માની આગેવાની નીચે શ્રીનગર મોકલવાનો હુકમ અપાયો.

આના એક અઠવાડિયા અગાઉ મેજર સોમનાથના હાથનું ફ્રૅક્ચર થયું હતું. તેમનો હાથ પ્લાસ્ટરમાં હતો અને ડૉક્ટરે તેમને ડ્યુટી પર જવાની મનાઇ કરી. આવી મહત્વની કામગિરી પર પોતાના જવાનોને અજાણ્યા કંપની કમાન્ડર સાથે મોકલવા મેજર શર્મા તૈયાર નહોતા. તેમણે આગ્રહપૂર્વક વિનંતી કરી કે તેમને કોઇ પણ હિસાબે કાશ્મીર મોકલવામાં આવે. અંતે તેમની વિનંતીને માન આપી તેમને ડેલ્ટા કંપની (D Coy) કમાંડર તરીકે શ્રીનગર મોકલવામાં આવ્યા.

શ્રીનગર અૅરપોર્ટ પર ઉતરતાં તેમને જવાબદારી આપવામાં આવી કે કોઇ પણ હિસાબે શ્રીનગરના અૅરોડ્રોમનો બચાવ કરવો. આના માટે મેજર સોમનાથ શર્માએ અૅરપોર્ટની બે માઇલ આગળ દુશ્મનના માર્ગમાં અવરોધ નાખવા બડગમ ગામ પાસે પોતાની કંપનીની સંરક્ષણ હરોળ બનાવી. તેમને ‘સપોર્ટ’ આપવા માટે આપણી સેના પાસે આર્ટીલરીની તોપ તો શું, મૉર્ટર પણ નહોતી. બપોરે ત્રણ વાગે બડગમના મકાનોમાંથી તેમની કંપની પર ગોળીબાર શરૂ થઇ ગયો. ગામના નાગરિકો જખમી ન થાય તેથી મેજર શર્માએ જવાબી ફાયર ન કર્યો, પણ વાયરલેસ પર પોતાના બ્રિગેડ કમાન્ડર બ્રિગેડીયર એલ.પી.સેનને રીપોર્ટ આપતા રહ્યા. દુશ્મન તરફથી કોઇ હિલચાલ નહોતી તે સાંભળી બ્રિગેડીયર સેન તેમને અૅરપોર્ટ તરફ પાછા આવવાનો હુકમ આપે ત્યાં જ સોમનાથ શર્માએ તેમને જણાવ્યું કે તેમની પશ્ચિમ દિશામાં આવેલા ઢાળ પરથી લગભગ ૧૦૦૦ જેટલા પાકિસ્તાનીઓએ તેમના પર હુમલો કર્યો છે. મેજર સોમનાથની કંપનીમાં કેવળ ૧૦૦ સૈનિકો હતા, તેમના પર મૉર્ટર તથા અૉટોમેટીક હથિયારો વડે દુશ્મને ફાયરીંગ શરૂ કર્યું. સોમનાથ શર્મા અને તેમના સૈનિકો આખી રાત લડત આપતા રહ્યા. પરોઢિયે તેમનો છેલ્લો વાયરલેસ સંદેશ હતો, “દુશ્મન અમારી સંરક્ષણ હરોળ સુધી પહોંચી ગયો છે. અમે છેલ્લા સિપાહી અને છેલ્લી ગોળી સુધી લડતા રહીશું.” ત્યાર બાદ વાયરલેસ પર બ્રિગેડીયર સેને મોટો સ્ફોટ સાંભળ્યો. ત્યાર બાદ ફેલાઇ સ્મશાન શાંતિ.

મેજર સોમનાથ શર્મા તથા તેમના મોટા ભાગના સૈનિકો શહીદ થયા હતા. દુશ્મન હારીને ત્યાંથી હઠી ગયો. બ્રિગેડીયર સેને તેમના પુસ્તક Slender Was the Threadમાં લખ્યું છે કે આ લડાઇમાં પાકિસ્તાની સેનાપતિ ખુરશીદ ઘાયલ થયો હતો અને તેને બચાવી આ કબાઇલીઓ પાછળ હઠી ગયા હતા. તેમને લાગ્યું કે તેમનો સામનો મોટી ફોજ કરી રહી છે, અને કદાચ તેના પર ‘કાઉન્ટર-અૅટેક’ કરે.
જો બ્રિગેડીયર સેને દસ મિનીટ પહેલાં મેજર સોમનાથ શર્માને પાછા વળી અૅરપોર્ટ પર જવાનો હુકમ કર્યો હોત, કે દુશ્મને દસ મિનીટ બાદ હુમલો કર્યો હોત તો દુશ્મન માટે અૅરપોર્ટ સુધીનો માર્ગ મોકળો હતો, અને પરિણામ શું આવત તેનો વિચાર કરતાં પણ કાંપી જવાય .....

મેજર સોમનાથે અને તેમની આગેવાની નીચે તેમના બહાદુર સૈનિકોએ પ્રાણની પરવા કર્યા વગર તેમનાથી દસ ગણી સંખ્યામાં આવેલ કબાઇલીઓનો પ્રતિકાર કર્યો. અક્ષરશ: છેલ્લી ગોળી- છેલ્લા સૈનિક સુધી તેઓ લડતા રહ્યા અને શ્રીનગર અૅરપોર્ટ દુશ્મનના હાથમાં જતાં બચી ગયું. આમ ન થયું હોત તો શ્રીનગરમાં આપણી સેનાને હવાઇમાર્ગે કુમક મોકલવું અશક્ય થઇ ગયું હોત. આખી કાશ્મીર ખીણ દુશ્મનના કબજામાં હોત.

મેજર સોમનાથ શર્મા બડગમમાં અને કર્નલ રણજીત રાય બારામુલ્લાની લડાઇમાં શહીદ થયા.

બીજી તરફ પૂંચ વિસ્તારમાં ઝંગડ નામના મહત્વપૂર્ણ સ્થળને દુશ્મનના હાથમાંથી છોડાવનાર હતા બ્રિગેડીયર મોહમ્મદ ઉસ્માન અને તેમના ‘કમાન્ડ’ નીચેની પહેલી મહાર રેજીમેન્ટ. મોહમ્મદ ઉસ્માન એક outstanding અફસર હતા. મુસ્લીમ હોવાને કારણે પાકિસ્તાને તેમને મેજર જનરલના પદ પર પાકિસ્તાની સેનામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. એક સાચા ભારતીય તરીકે તેમણે આ ‘આમંત્રણ’ ઠુકરાવ્યું હતું અને ભારતીય સેનામાં રહ્યા. દુશ્મને કરલા હુમલાને ભારે હાનિ પહોંચાડી તેમણે પોતાનું યુદ્ધ કૌશલ્ય દાખવ્યું હતું. પાકિસ્તાની સેનાએ તેમની હત્યા માટે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. યુદ્ધમાં અગ્રિમ પંક્તિમાં રહી દુશ્મનનો સામનો કરતી વખતે તેમના પર મૉર્ટરનો બૉમ્બ પડ્યો અને તેમનું અવસાન થયું. તે પહેલાં તેમણે ઝંગડ જીતી લીધું હતું.

મેજર સોમનાથ શર્માને સર્વોચ્ચ સન્માન પરમ વીર ચક્ર અપાયું. બ્રિગેડીયર ઉસ્માન તથા કર્નલ રણજીત રાયને મરણોપરાન્ત મહાવીર ચક્ર એનાયત થયા.

યુદ્ધ ચરમ સીમા પર હતું. શ્રીનગરની હાલત અત્યંત ભયાનક હતી. ત્રણ વરીષ્ઠ અફસર તથા અનેક જવાનો શહીદ થયા હતા, ત્યારે શ્રીનગરની સ્થિતિ જોવા કોણ ગયું હશે?

જવાહરલાલ નહેરૂ?
જી, ના.

ભારતના ઉપ-પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલ પરિસ્થિતીનો અહેવાલ લેવા તાત્કાલીક શ્રીનગર ગયા.

સંરક્ષણ મંત્રી બલદેવસિંહ સાથે સરદાર વિમાન માર્ગે શ્રીનગર ગયા અને બ્રિગેડીયર સેન પાસે તે સમયે થયેલા યુદ્ધનો વિગતવાર રિપોર્ટ માગ્યો. તેમણે જે જે સામગ્રીની જરૂરિયાત હતી તે સરદારે નોંધી અને દિલ્લી જવા નીકળ્યા. નીકળતી વખતે સેન તેમને વિમાન સુધી મૂકવા જતા હતા ત્યાં સરદારે કહ્યું, “તમારે યુદ્ધને લગતા ઘણાં કામ કરવાના છે. અમને મૂકવા આવવાની જરૂર નથી....” અને ત્યાંથી તરત નીકળી ગયા.
બ્રિગેડીયર સેને તોપ, દારૂગોળા - જેની માગણી કરી હતી, તે સરદારે તાત્કાલિક ધોરણે પૂરી રીતે મોકલી આપી.

આપણી સેના બહાદુરી પૂર્વક લડી. આપણે તિથવાલ, ઉરી, ૧૦૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલ નસ્તાચૂન ઘાટ કબજે કરી, તંગધાર જીતીને કૃષ્ણગંગા નદી સુધી પહોંચી ગયા. દુશ્મનને ‘નદી પાર’ કરી નાખ્યો. દુશ્મનનું છેલ્લું મુખ્ય મથક હતું મુઝફ્ફરાબાદ. આપણી સેનાએ તેના પર હુમલો કરવા તૈયારી કરી. આપણા સૈનિકોનો ઉત્સાહ હિમાલયની ઉંચાઇ સુધી પહોંચી ગયો હતો. મુઝફ્ફરાબાદ પર હુમલાની શરૂઆત કરવા માટેની ઘડીઓ ગણાતી હતી ત્યાં....

આપણા “લાડીલા” વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ યૂનાઇટેડ નેશન્સમાં કાશ્મીરનો ‘કેસ’ રજુ કર્યો અને આપણી સેનાને યુદ્ધશાંતિનો હુકમ આપી દીધો. મુઝફ્ફરાબાદ પરનો હુમલો રદ કરાયો. આપણા સૈનિકો અને સેનાપતિ નિરાશ થયા. સેનાને જ્યાં રોકાવું પડ્યું તે થઇ CFL - ‘સીઝ ફાયર લાઇન’. આમ થઇ ગયા કાશ્મીરના બે હિસ્સા. આ એ જ મુઝફ્ફરાબાદ છે, જ્યાં લશ્કરે તૈયબાનું મુખ્ય મથક છે. તેની આજુબાજુના જંગલમાં લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહીદીન વિ.ના આતંકવાદી પ્રશિક્ષણ કેન્દ્રો ચાલી રહ્યા છે. ત્યાંથી હજી પણ આતંકીઓ ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે અને અસંખ્ય નિર્દોષ સ્ત્રી, પુરુષ અને બાળકોની કતલ કરી રહ્યા છે, આપણા સૈનિકોની પીઠ પાછળ ઘા કરી રહ્યા છે.

આ થઇ “પહેલા કાશ્મીરના યુદ્ધ”ની વાત.

આ એ જ કાશ્મીર છે જ્યાં દુશ્મને ૧૯૪૭-૪૮માં કાશ્મીરની જનતા પર અકથ્ય અત્યાચાર ગુજાર્યા હતા. તેમને બચાવવા મેજર સોમનાથ શર્મા, બ્રિગેડીયર મોહમ્મદ ઉસ્માન, લેફ્ટનન્ટ કર્નલ દિવાન રણજીત રાય તથા અનેક બહાદુર સૈનિકોએ પોતાનાં પ્રાણની આહુતિ આપી હતી અને હજી આપી રહ્યા છે. આ એ જ કાશ્મીર છે જ્યાંની જનતા હજી પોતાને ભારતનો ભાગ માનવા તૈયાર નથી. હજી તેઓ પાકિસ્તાનમાં જોડાવા માગે છે. હજી તેઓ પાકિસ્તાનને કોણ જાણે કઇ ‘વાટાઘાટ’માં સામેલ કરી ભારતથી જુદા થવા માગે છે. કાશ્મીરમાંના બૌદ્ધ તથા અન્ય ધર્મના લોકોને સમાન નાગરિક માનવા તૈયાર નથી. ચાર-પાંચ પેઢી પહેલાં ‘કૌલ’ અટક ધરાવતા બ્રાહ્મણના વંશજ ધર્મ બદલીને કાશ્મીરના મુખ્યપ્રધાન બન્યા, શેરે કાસ્મીર કહેવાયા, અને આજે પણ તેમના પૌત્ર - ત્યાંના મુખ્ય પ્રધાન બનેલા જનાબ ઓમર ફારૂખ મુંબઇમાં અને દિલ્લીમાં મિલ્કતો ધરાવે છે, પણ ભારતીયોને યાત્રા માટે કાશ્મીરની જમીનનો એક ચોરસ ગજ પણ આપવા તૈયાર નથી. “જો શહીદ હુવે હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની” ગાતાં તેમને કે આપણા નેતાઓને લજ્જા નથી આવતી. કહેવાય છે કે નહેરૂ લતાજીને કઠે આ ગીત સાંભળીને રોઇ પડયા હતા!!!!

જીપ્સી જ્યારે સ્મૃતી-વનમાં ખોવાઇ જાય છે, તેને યાદ આવે છે અહીં વર્ણવેલા સ્થળો - પૂંચ-રજૌરી, નસ્તાચૂન પાસ, તંગધાર, કૃષ્ણગંગા નદીની - જ્યાં તે પોતે સેવા બજાવી આવ્યો છે. અહીંના દુર્ગમ પહાડો, જેનાં ચઢાણ એટલાં મુશ્કેલ છે, ત્યાં આપણા સૈનિકો દુશ્મનના અંગાર-વર્ષાસમા ગોળીબાર અને મોર્ટરના મારાની પરવા કર્યા વગર, પ્રાણની આહુતિ આપીને દેશને બચાવતા રહ્યા હતા અને હજી બચાવી રહ્યા છે. આ પવિત્ર ભુમિ પર ચાલી ગયેલા આપણા બહાદુર સૈનિકોનાં પગલે પગલે ચાલવાનું મહદ્ભાગ્ય ‘જીપ્સી’ને લાધ્યું તે શહીદોની યાદમાં કોઇક વાર તેની આંખ ભીની થઇ જાય છે.....

હા, એક સૈનિકને પણ ભાવ-વિવશ થવાનો અધિકાર છે!

tatto media
tatto media

Saturday, April 4, 2009

ચવીંડા પહેલાંનું કાશ્મીરનું પહેલું યુદ્ધ!

પશ્ચાદભૂ: ૨૨મી અૉક્ટોબર ૧૯૪૭ના ગોઝારા દિવસે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો. સશસ્ત્ર કબાઇલીઓએ કાશ્મીરની ખીણમાં ઘુસી કત્લેઆમ શરૂ કર્યો.

ફીલ્ડ માર્શલ માણેકશૉ કહે છે:
“બપોરના લગભગ અઢી વાગે જનરલ સર રૉય બુચર મારી અૉફિસ રૂમમાં આવ્યા અને કહ્યું, ‘તારે વી.પી. મેનન સાથે શ્રીનગર જવાનું છે. વિમાન ચાર વાગે ટેક-અૉફ કરશે.’
“મેં પુછ્યું, “મારૂં ત્યાં શું કામ છે?
“સર રૉયે કહ્યું, ‘ત્યાં મિલીટરી વિષયક પરિસ્થિતિ ચિંતાજનક થઇ છે. વી.પી. મેનન મહારાજા અને મહાજન (કાશ્મીરના મુખ્ય પ્રધાન) પાસેથી વિલીનીકરણને દસ્તાવેજ લેવા જઇ રહ્યા છે.’
“હું તે વખતે ડાયરેક્ટોરેટ અૉફ મિલીટરી અૉપરેશન્સમાં કર્નલના પદ પર હતો અને સમગ્ર ભારત, વેસ્ટર્ન ફ્રન્ટિયર, પંજાબ અને અન્ય સ્થળોમાં ચાલનારા અભિયાનોની જવાબદારી મારી પાસે હતી. કાશ્મીરમાં જે પરિસ્થિતિ હતી તેનાથી હું વાકેફ હતો. હું જાણતો હતો કે શરૂઆતમાં પાકિસ્તાનીઓનો આધાર લઇને કબાઇલીઓ કાશ્મીરમાં ઘુસી આવ્યા હતા. આપણા અને કાશ્મીરના સદ્ભાગ્યે આ કબાઇલીઓનાં આ ટોળાં લશ્કરી કારવાઇ કરવાને બદલે રસ્તામાં પડતા ગામોમાં લૂંટફાટ, સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં મશગુલ હતા. બારામુલ્લા પહોંચીને તેમણે કર્નલ ટૉમ ડાઇક્સને મારી નાખ્યા. ટૉમ અને હું સરખી સિનિયોરીટીના હતા અને અમારા પહેલા વર્ષનું અૅટેચમેન્ટ લાહોરમાં રૉયલ સ્કૉટ્સ રેજીમેન્ટ અમે સાથે કર્યું હતું. ટૉમ અને તેનાં પત્ની બારામુલ્લામાં રજા ગાળી રહ્યા હતા ત્યાં આ ઝનુની ટોળાંએ તેમની બન્નેની હત્યા કરી.
“મહારાજાની સેનામાં તે સમયે ૫૦ ટકા મુસ્લીમ અને ૫૦ ટકા હિંદુ ડોગરા રાજપુત સૈનિકો હતા. આમાંના મુસ્લીમ સૈનિકોએ દેશદ્રોહ કર્યો અને પાકિસ્તાનીઓને જઇ મળ્યા. આ હતી તે સમયની સામરીક પરિસ્થિતિ. અમને મળેલી માહિતી મુજબ પાકિસ્તાનીઓ શ્રીનગરથી ૭ થી ૯ કિલોમીટર દૂર હતા. શ્રીનગર જઇ યુદ્ધની દૃષ્ટીએ સમગ્ર પરિસ્થિતિનું વાસ્તવિક અવલોકન કરી કમાન્ડર ઇન ચીફને તેનો અહેવાલ આપવાની કામગિરી મને સોંપવામાં આવી હતી. આમ તો અમને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે કાશ્મીરમાં અમારે સૈન્ય મોકલવાની જરૂર પડે તો વિમાન માર્ગે જ મોકલવું પડશે. તેથી આની પૂર્વ તૈયારીમાં અમે થોડા દિવસ પહેલાં જ વિમાનો તથા સૈનિકોને તૈયાર કરી રાખ્યા હતા.
“પરંતુ જ્યાં સુધી કાશ્મીર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ ન થાય ત્યાં સુધી આપણી સેનાને કાશ્મીર મોકલી શકાય તેવું નહોતું, તેથી રાજકીય કક્ષા પર સરદાર પટેલ અને વી.પી. મેનન મહાજન તથા મહારાજા સાથે વાતચીત કરી રહ્યા હતા. વી,પી. મેનનને તથા મને શ્રીનગર મોકલવા પાછળ સરદારનો ઉદ્દેશ સાફ હતો. મેનન મહારાજા પાસેથી વિલીનીકરણના દસ્તાવેજ (Instrument of Accession) મેળવે, જ્યારે મારૂં કામ હતું કાશ્મીરમાં પ્રવર્તતી યુદ્ધની હાલતનું સામરીક દૃષ્ટીએ નિરીક્ષણ કરી રણનીતિ તૈયાર કરવાનું. યુદ્ધની સ્થિતીને લગતો અહેવાલ મારે સરકાર પાસે રજુ કરવાનો હતો. બીજી તરફ આપણા સૈનિકો કાશ્મીર જવા દિલ્લીના અૅરપોર્ટ પર તૈયાર હાલતમાં ખડા પગે હતા. અૅર ચીફ માર્શલ એમહર્સ્ટ તે સમયે વાયુસેનાના વડા હતા. તેમણે અૅરફોર્સ તથા ખાનગી કંપનીઓના હવાઇ જહાજ તૈયાર કરી રાખ્યા હતા.
“અંતે વી.પી. મેનન અને હું વિમાનમાર્ગે શ્રીનગર પહોંચ્યા. રાજમહેલમાં પહોંચીને ત્યાં જોયું કે અહીંં જેટલી અવ્યવસ્થતા અને દોડભાગ ફેલાઇ હતી એટલી મેં આ પહેલાં ક્યાંય જોઇ નહોતી! મહારાજા મહેલના એક કક્ષમાંથી બીજા કક્ષમાં દોડી રહ્યા હતા. આ ઓરડાઓમાં જેટલા અલંકારો - મોતીના કંઠા, લાલ રત્ન - મહેલમાં ઠેર ઠેર વેરાયેલા પડ્યા હતા. મારા સમગ્ર જીવનમાં મેં કદી આટલું જરજવાહર જોયું નહોતુ! મહેલના કમ્પાઉન્ડમાં વાહનોનો મોટો કાફલો તૈયાર ઉભો હતો.
“મહારાજા એક રૂમમાંથી નીકળી બીજી રૂમમાં જઇ રહ્યા હતા અને બબડતા હતા, ‘ભલે ત્યારે. જો હિંદુસ્તાન મને મદદ કરવા તૈયાર ન હોય તો હું જાતે જઇને મારા સૈનિકોની સાથે રહી દુશ્મન સાથે લડી લઇશ.’
“મારાથી રહેવાયું નહિ. મેં મહારાજાને કહ્યું, ‘સર, આપની વાત સાચી છે. આપના સૈનિકોના આગેવાન થઇ આપ પોતે લડવા જશો તો આપના સૈનિકોનું મનોબળ જરૂર વધી જશે!’
“અંતે મને સોંપાયેલી કામગિરી મેં પૂરી કરી. મને જણાઇ આવ્યું કે પાકિસ્તાની ટ્રાઇબલ્સ શ્રીનગરના એરોડ્રોમથી કેવળ ૭ થી ૯ કિલોમીટર જ દૂર હતા. અહીં મારી રણસંગ્રામ અંગેની તપાસ ચાલી રહી હતી, તો મહેલમાં મહારાજા અને તેમના પ્રધાન મહાજન વી.પી. મેનન સાથે ચર્ચા કરી રહ્યા હતા. અંતે મહારાજાએ વિલીનીકરણના દસ્તાવેજ પર સહિ કરી અને મોડી રાતે અમે દિલ્લી જવા એરોડ્રોમ પર ગયા. તે જમાનામાં શ્રીનગરના હવાઇઅડ્ડામાં રાતે વિમાનના ઊડ્ડયન કે ઉતરવાની સુવિધા નહોતી. રાતે અમારૂં વિમાન ઊડ્ડયન કરી શકે તે માટે હવાઇ પટ્ટીને પ્રકાશીત કરવા શેખ અબ્દુલ્લા, કાસીમ સાહેબ, સાદીક સાહેબ, બક્ષી ગુલામ મોહમ્મદ (આ બધા આગળ જતાં કાશ્મીરના મુખ્ય મંત્રી થયા હતા), ડી.પી. ધર - બધા હાથમાં જલતી મશાલ લઇને ઉભા રહ્યા. તે સમયે રાતના ૩ કે પરોઢના ૪ વાગ્યા હતા.
“દિલ્લી પહોંચતાં વેંત મેં સર રૉય બુચરને કાશ્મીરની પરિસ્થિતિનો અહેવાલ આપ્યો. તેમણે મને કહ્યું, ‘અલ્યા, સાંભળ! ઘેર જઇ દાઢી-બ્રશ કરી તૈયાર થા. નવ વાગે કૅબીનેટની મીટીંગ છે. હું તને લેવા આવીશ.’
“કૅબીનેટ મીટીંગના અધ્યક્ષ પદે લૉર્ડ માઉન્ટબૅટન હતા. મીટીગમાં જવાહરલા નહેરૂ, સરદાર પટેલ, સરદાર બલદેવસિંહ તથા અન્ય મંત્રીઓ હાજર હતા.
“હું સરદાર બલદેવસિંહને ઓળખતો હતો - તેઓ અમારા રક્ષા મંત્રી હતા. સરદાર પટેલને પણ હું સારી રીતે ઓળખવા લાગ્યો હતો કારણ કે તેમણે હંમેશા આગ્રહ રાખ્યો હતો કે જ્યાં જ્યાં વી.પી. મેનન જાય, મારે તેમની સાથે જવું. એટલું જ નહિ, રોજ સવારે સરદાર પટેલ પોતાના બંગલામાં વી.પી., એચ. એમ. પટેલ તથા મને બોલાવતા. સરદારનાં પુત્રી મણીબેન - જેઓ તેમના સેક્રેટરીનું કામ કરતા - જમીન પર પલાંઠી વાળીને બેસી અમારી ચર્ચાની નોંધ કરતાં!
“કેબીનેટ મીટીંગમાં વી.પી. મેનને વિલીનીકરણનો દસ્તાવેજ રજુ કર્યો. લૉર્ડ માઉન્ટબૅટને પાછા વળીને મને પુછ્યું, ‘બોલ માણેકજી (તેઓ મને માણેકશૉને બદલે માણેકજી કહીને બોલાવતા!), યુદ્ધની દૃષ્ટીએ કાશ્મીરની હાલત કેવી છે?’
“મેં તેમને સમગ્ર હાલતનો ખુલાસો કર્યો અને કહ્યું કે જો આપણે તાત્કાલીક આપણી સેનાને વિમાનમાર્ગે નહિ મોકલીએ તો શ્રીનગર હાથથી ગયું સમજી લેવું. સડકમાર્ગે સેનાને મોકલવામાં એટલો સમય લાગશે કે ત્યાં સુધીમાં કબાઇલીઓ શ્રીનગરના હવાઇ અડ્ડા પર કબજો કરી લેશે. ત્યાર પછી આપણે શ્રીનગરમાં સેનાને ઉતારી નહિ શકીએ.
“આ વાત થતી હતી ત્યાં નહેરૂ યુનાઇટેડ નેશન્સ, રશિયા, આફ્રીકા અને બાપરે બાપ, આખી દુનિયાની વાત કરવા લાગી ગયા. નહેરૂનો બકવાદ સાંભળી સરદાર પટેલ ગુસ્સે થઇ ગયા. તેમણે કહ્યું, ‘જવાહરલાલ, તમને કાશ્મીર જોઇએ છે કે નહિ? કે પછી પાકીસ્તાનને આપી દેવું છે?’
“આ સાંભળી નહેરુ બોલી પડ્યા, ‘અલબત્, મને કાશ્મીર જોઇએ છે.’
“આ સાંભળી સરદારે કહ્યું, ‘તો પછી તે પ્રમાણે હુકમ આપો,’ અને નહેરૂ કંઇ પણ કહે તે પહેલાં સરદારે મને કહ્યું, ‘તમને હુકમ મળી ગયો છે. કારવાઇ શરૂ કરો.’
“હું તરત મીટીંગમાંથી બહાર નીકળી ગયો અને ૧૧ કે ૧૨ વાગે વાગે આપણી સેનાને હવાઇમાર્ગે શ્રીનગર મોકલવાનું શરૂ કર્યું. હું ધારૂં છું કે કર્નલ રણજીત રાયની આગેવાની નીચે તેમની સિખ રેજીમેન્ટને અમે પહેલાં મોકલી.....”
(ઉપર દર્શાવેલ વાતચીત 'રેડીફ'ના સૌજન્યથી આપવામાં આવેલ છે. મૂળ લેખો જોવા માટે પ્રથમ અહીં ક્લીક કરશો અને ત્યાર બાદ ભારત રક્ષકની વેબસાઇટ પર ક્લીક કરશો.)

આમ શરૂ થયું કાશ્મીરનું પહેલું યુદ્ધ! અને કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવનાર કોણ હતું તે આપ જ નક્કી કરશો!

tatto media
tatto media

Friday, April 3, 2009

ચવીંડાનું યુદ્ધ.... અને વિવાદ

ચવીંડાનું યુદ્ધ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાનના ઇતિહાસમાં વિશીષ્ઠ સ્થાન ધરાવે છે. ૧૯૬૫ના યુદ્ધની પરાકાષ્ટા સમાન આ લડાઇને પાકિસ્તાનની સેના તથા જનતા ભારતનો “પરાજય” ગણે છે! બીજી વાત: પાકિસ્તાની જનતા તથા સેનાનાં નિવૃત્ત અફસરોએ લખેલાં પુસ્તક અને લેખોમાં તેમણે ૧૯૬૫ના યુદ્ધને “બીજું જમ્મુ-કાશ્મીર યુદ્ધ” ગણ્યું છે. પ્રથમ યુદ્ધ ૧૯૪૭માં થયું હતું એવું હવે તેઓ કબુલ કરવા લાગ્યા છે. સંદર્ભ જોવા અહીં ક્લીક કરશો:

અહીં ભારત-પાકિસ્તાનના યુદ્ધોના ઇતિહાસમાં ડોકિયું કરવાનું મન થાય છે. જો કે એક વાતનું અહીં સ્પષ્ટીકરણ જરૂર કરીશ કે "જીપ્સી" 'મિલીટરી હિસ્ટોરીયન'નથી. યુદ્ધશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કરેલા અભ્યાસમાં તથ્ય શોધવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. મારો અભ્યાસ પુસ્તકો પુરતો મર્યાદીત નથી. ૧૯૬૫ અને ૧૯૭૧ની લડાઇમાં હું રણમોરચે રહી યુદ્ધ ખેલી આવ્યો છું. ૧૯૭૮થી ૧૯૮૦ના વર્ષોમાં કાશ્મીરમાં પાકિસ્તાની સેનાની સામે રહી તેમના સતત ગોળીબારનો સામનો કરી આવ્યો છું. તેથી મારા અભ્યાસમાં “ફીલ્ડ સ્ટડીઝ”નો અનુભવ પણ સામેલ છે. તેમ છતાં હું વાચકોની શોધક નજરને નિમંત્રણ આપીશ. મને ઉમેદ છે કે તેઓ નીર-ક્ષીર વિવેકબુદ્ધીથી મારી વાત નિહાળશે.

ભારતને સ્વતંત્રતા મળી તે પહેલાં ભારતનો રાજકીય વહીવટ બે ભાગમાં વહેંચાયેલો હતો: બ્રિટીશ ઇંડીયા અને નેટીવ ઇન્ડીયન સ્ટેટ્સ. ૧૯૪૭માં દેશી રાજ્યોને સ્વેચ્છાએ નિર્ણય લેવાનો હતો કે તેમણે ભારત યા પાકિસ્તાનમાં જોડાવું અથવા સ્વતંત્ર રહેવું. દેશી રાજા પર કોઇ દબાણ નહોતું કે તેમણે અમુક જ રાજ્યમાં જોડાવું. હા, આજકાલની ચૂંટણીઓમાં થાય છે તેવું લૉબીઇઁગ બન્ને સરકારો તરફથી કરવામાં આવ્યું હતું. નવાઇની વાત છે કે જામનગરના મહારાજા દિગ્વીજયસિંહજી પાકિસ્તાનમાં જોડાવાનો વિચાર કરતા હતા!

કાશ્મીરમાં મુસ્લીમ બહુમતી હોવા છતાં તે સમયે ત્યાંના લોકનેતા શેખ અબ્દુલ્લાએ તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’માં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે કાશ્મીરની જનતાની સુખાકારી અને કલ્યાણ ભારતમાં જોડાવાથી કાયમ રહેશે. મહંમદ અલી ઝીણાના ‘દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત’ મુજબ ભારતનું વિભાજન ધર્મના આધારે જ થવું જોઇએ, અને તે પ્રમાણે તેમણે કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય તેવો તેમણે આગ્રહ રાખ્યો. આ આગ્રહ તેમણે શબ્દો પુરતો સીમિત ન રાખતાં તેમણે હજારોની સંખ્યામાં NWFPના કબાઇલીઓને પાકિસ્તાની સેનાના શસ્ત્રાગારમાંથી રાઇફલ્સ, લાઇટ મશીનગન્સ અને ભરપુર સંખ્યામાં દારુગોળો આપીને કાશ્મીરની ખીણમાં ઘુસાડ્યા. પશ્ચીમ કાશ્મીર - એટલે પૂંચ-રજૌરી વિસ્તારમાં પણ તેમણે સૈનિકો- કબાઇલીઓને મોકલ્યા અને યુદ્ધ શરૂ કર્યું. આવી રીતે ઝીણાએ શરૂઆતમાં હથિયારબંધ પઠાણ-સ્વાતી કબાઇલીઓને મોકલ્યા. ત્યાર બાદ પાકિસ્તાની સેનાની ટુકડીઓ મોકલીને મહારાજા હરીસિંહ પર લશ્કરી દબાણ આણ્યું. તેમની હથિયારબંધ ટોળીઓ બારામુલ્લા કબજે કરી શ્રીનગરના હવાઇ અડ્ડા નજીક પહોંચી ગઇ હતી.

પરિસ્થિતિ કથળેલી જોઇ મહારાજા હરીસિંહને ખાતરી થઇ કે તેમને જોઇતી ‘સ્વતંત્રતા’ કોઇ પણ હાલતમાં તેમને કે કાશ્મીર રાજ્યને મળી શકે તેમ નહોતી. દુશ્મન દરવાજા સુધી પહોંચી ગયો હતો. જે રીતે તેણે કાશ્મીરની પ્રજા - હિંદુ છે કે મુસલમાન તે જોયા વગર જે રીતે કત્લેઆમ કર્યો તે જોતાં દુશ્મન સૌ પ્રથમ તેમની અને તેમના રાજપરિવારની કતલ કરે તેવું હતું. બીજી તરફ પાકિસ્તાનના ગવર્નર જનરલ ઝીણા કાશ્મીરને યુદ્ધ દ્વારા કબજે કરી તેને ‘જનતાની ક્રાંતિનું’ નામ આપવા માગતા હતા. ઝીણાની ઇચ્છા અધુરી રહી.

અહીં વાચકો માટે જીપ્સી રજુ કરે છે પરદા પાછળની વાત, જે ભારતના જાણીતા પત્રકાર પ્રેમ શંકર ઝાએ ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉ સાથે લીધેલી મુલાકાતમાં ઉભરીને બહાર આવી. આ મુલાકાત શ્રી. ઝાએ લખેલ પુસ્તક “Kashmir 1947, Rival Versions of History”, by Prem Shankar Jha, Oxford University Press, 1996, Rs 275. Readers in the US may secure a copy of the book from Oxford University Press Inc USA, 198, Madison Avenue, New York, New York 10016, USA. Tel: 212-726-6000. Fax: 212-726-6440.

સૅમ માણેકશૉ (સૅમ બહાદુર) તે સમયે કર્નલ હતા અને ભારતના કમાન્ડર-ઇન-ચીફ જનરલ સર રૉય બુચરની નિકટના વિશ્વાસુ અફસર હતા. ભારતીય સેનાના યુદ્ધ વિભાગ - ડાયરેક્ટોરેટ અૉફ મિલીટરી અૉપરેશન્સમાં સૅમ બહાદુર અતિ મહત્વના વિભાગના વડા અફસર હતા. હવે પછીની વાત આવતા અંકમાં સૅમ બહાદુરના શબ્દોમાં જોઇશું....

tatto media
tatto media