Friday, January 29, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૯


સવારના દસ વાગ્યા હશે. રામરતનની ઘોડાગાડી બંગલાના ફાટક પાસે ઊભી હતી. જામુની અને મિથ્લા શેતૂરના ઝાડ નીચે શેખરની રાહ જોતી ઊભી હતી. જાનકીબાઈ રસોડામાં રોટલી વણી રહ્યાં હતાં ત્યાં શેખર રસોડામાં આવી પાટલા પર બેઠો.

“બા, મારા માટે સાઈકલ લેવા સારુ બાબા સાથે તેં વાત કરી?” ફૂલકીનો કકડો દાળમાં બોળીને મ્હોંમાં મૂકતાં શેખર બોલ્યો.

“એમની તબિયત સારી નથી ત્યાં સાઈકલની વાત કેવી રીતે કરું?” રોટલી વણી રહેલાં જાનકીબાઈએ ગરદન ઉંચી કર્યા વગર જ કહ્યું.

“બાબાની તબિયતનો સાઈકલ સાથે શો સંબંધ?”

“તું એમના સ્વભાવથી ક્યાં વાકેફ નથી? તારા માટે સાઈકલ લીધી કે તરત એમની ચિંતા વધી જ સમજ,” ફૂલકીને અંગારા પર ફૂલાવતાં જાનકીબાઈ બોલ્યાં. “દીકરો હેમખેમ નિશાળે પહોંચ્યો કે નહિ? સાઈકલ પર જતાં તેને તડકો તો નહિ ને નડ્યો હોય? પડશે - આખડશે તો? આમ એક ચિંતા થોડી છે?”

“આ ઘરમાં અમારા મનને ગમે એવી વાત કદી નહિ થાય. અમારા નસીબ જ બેકાર છે,” હતાશ થઈને શેખર બોલ્યો.

“આ તારું મૅટ્રિકનું વર્ષ છે. વાત વાતમાં એ કેવી રીતે પૂરું થઈ જશે, તને ખબર પણ નહિ પડે. તું કૉલેજમાં જઈશ ત્યારે જોઈશું. હાલ નહિ.”

“જીજીસાહેબ ક્યાં છે?”

“ચંદા ગામમાં ગઈ છે. આજે મંજુલાના દીકરાનો નામકરણ વિધિ છે. તેણે ચંદા માટે બગ્ગી મોકલી’તી. એક ફૂલકી પીરસું?”

“ના,” તેણે કહ્યું, પણ મંજુલાના દીકરાની વાત સાંભળતાં તેના કાનની બૂટીઓ લાલ થઈ ગઈ. ચહેરો તમતમી ગયો અને અવાજ ઘોઘરો થઈ ગયો. થરથરતા હોઠથી સ્વગત બોલતો હોય તેમ તે મોટેથી બબડ્યો. “બેનપણીઓને છોકરાં થઈ ગયાં, પણ આમનાં લગનનાં ઠેકાણાં નથી.”

“સમય આવતાં તેનાં પણ લગ્ન થઈ જશે.”

“કોણ જાણે ક્યારે તેમનો ‘સમય’ આવશે. આ ચાર વર્ષમાં ત્રણ વાર મુંબઈ જઈ આવ્યાં, પણ એકે’ય છોકરો તેમને પસંદ પડ્યો? દિનકરકાકા શું ખોટા હતા? તેમનાં પણ લગ્ન એક રૂપાળી છોકરી સાથે થઈ ગયા.”

“પણ તેને દિનકરરાવ પસંદ હોત તો ને?”

“બા, કાલથી હું પગપાળો નિશાળે જવાનો છું. જામુની - મિથ્લાને જવા દે આપણી ઘોડાગાડીમાં.”

“આવું કેમ, મારા દીકરા?”

“એક ઘોડાગાડીમાં આ છોકરીઓ વચ્ચે બેસીને જવું મને નથી ગમતું.”

“આગળ બેસવા માટે જામુની ઝઘડો કરે છે કે શું?”

“છટ્, એની સાથે વાત પણ કોણ કરે?”

“તો પછી?”

“નિશાળના છોકરા મારી મજાક ઉડાવે છે.”

“એમાં મજાક જેવું શું છે? એમને કહી દે કે આ મારી બહેનો જેવી છે.”

“બહેનો કેવી? જીજી જેવી?”

“એટલે? તારા કહેવાનો અર્થ ન સમજી.”

“પહેલો નંબર ન આવે તો બાબાની તબિયત બગડે એ બીકથી હું તો ચૂપચાપ મારું લેસન કરતો હોઉં છું. જીજીનું લફરું થયું ત્યારથી તો બાબાની તબિયત બગડી છે.”

“ચંદાનું લફરું? એ શું વળી?”

“પેલા વિશ્વાસ પવાર સાથેનું. તમને બધાને લાગતું હતું કે શેખર નાનો છે. એને શી ખબર પડે? પણ બહાર રમતી વખતે સિકત્તર અને રામરતન વચ્ચે થતી સઘળી વાતો મને 
સંભળાતી હતી. બધ્ધું સમજાતું હતું.”

“રામ જાણે તું શું જોતો’તો અને શું સમજાતું’તું!”

“પહેલાં તો બાબા જીજીને જોતાં જ ‘બેટા, બેટા’ કરતા’તા. પણ આ વાત થયા પછી કેટલા’ય દિવસ તેમણે જીજી સાથે વાત ન કરી.”

“હા, ભાઈ હા! બહુ સમજણો થયો છે. તું કહે એ જ સાચું, બસ?”

“બા, ખાલી ઢાંક-પિછોડા કર મા. અહીં તું બાબાને ખુશ રાખવા પ્રયત્ન કરે છે અને જીજીની પણ ખુશામત કર્યા કરે છે. મને તો તારી જ દયા આવતી હતી. સૌની સેવા - ચાકરી કરવામાં તારી પોતાની તબિયતનો સત્યાનાશ વળી ગયો તેનું શું?”

“સ્ત્રી જાતને કાયમ તલવારની ધાર પર ચાલવું પડે છે, ભાઈલા!” નિસાસો નાખી જાનકીબાઈ બોલ્યાં.

“બે વર્ષ પહેલાં વિશ્વાસે ઈંગ્લંડમાં ધોળી મડ્ડમ સાથે લગ્ન કર્યાના સમાચાર સાંભળતાં વેંત જીજીએ પોતાને પોતાની રુમમાં પૂરી લીધી હતી, અને તું તેના દરવાજા બહાર જમવાની થાળી લઈને વિનવણી કરતી ઊભી રહી હતી. બધી ખબર છે મને.”

“બહુ થયું હવે, ચાલ, જમી લે, જોઉં!”

“અહીં જામુની - મિથ્લા બંગલામાં મન ફાવે તેમ ફરતી હોય છે. ખાસ કરીને જામુની તો આ બંગલો તેની માલિકીનો ન હોય, તેવું માનવા લાગી છે. જીજીએ તેને એટલી છૂટ આપી રાખી છે, ન પૂછો વાત. હવે તો તે આપણા સીલાઈ મશીન પર પોતાનાં કપડાં સીવતી હોય છે, ગ્રામોફોન વગાડતી હોય છે, અને -  અને - મને આ નથી ગમતું. કહી દીધું તને. મારા અભ્યાસના ટેબલ સામેની ખુરશીમાં બેસીને કંઈક ને કંઈક કરતી હોય છે. મને પૂછ્યા વગર મારી ચોપડીઓ વાંચતી હોય છે. તને ખબર છે? મારી વાર્તાની ચોપડીઓમાંથી રંગીન ચિત્રો પણ ફાડી લે છે.”

“તને આ નથી ગમતું તો તારી જીજીને કહી દે ને?”

“જામુની વિશે જીજીને કશું કહેવા તો બાપુ આપણી હિંમત નથી ચાલતી. મારો દોસ્ત લલિત તિવારી મને હંમેશા ચિઢવતો હોય છે. કહે છે, ‘ક્યા યે જામુની તુમ્હારે બંગલેકી માલકિન બનનેવાલી હૈ?’ બોલ, તો બા!”

“જામુની વળી આ બંગલાની માલકિન કેવી રીતે બની શકે? આપણી જ્ઞાતિમાં છોકરીઓની કાંઈ ખોટ છે? લોકો બકવાસ કરે છે.”

આ વાત થતી હતી ત્યાં બહારથી મિથ્લાનો અવાજ સંભળાયો. “સેખરભૈયા, ચલો, હમેં દેરી હો રહી હૈ.”

ઊતાવળે જ કોગળા કરી, ખભા પર દફતર લટકાવી શેખર ઝડપથી બંગલાના પગથિયાં ઉતરી ગયો.

જમણા હાથમાંનું વેલણ પાટલી પર ઊભું રાખી, ઘૂંટણ પર ચિબૂક ટેકવી  જાનકીબાઈ રસોડાની પાછળના બગીચા તરફ શૂન્યમનસ્ક દૃષ્ટિએ લાંબો વખત જોતાં રહ્યાં.
***
આજે ગુડી પડવો છે.

આગલા દિવસે બપોરે ચંદ્રાવતીએ જામુની અને મિથ્લાની મદદથી આંબા અને લીમડાની ડાળીઓ, ગલગોટાનાં ફૂલ અને ઘઉંના ઝવેરા પરોવીને બનાવેલા તોરણ બંગલાના દરવાજા અને બારીઓ પર લટકાવ્યાં હતા. 

શેખરની મૅટ્રિકની પરીક્ષા પંદર દિવસ પર આવી પહોંચી હતી. તેની રુમમાં બેસી તે અભ્યાસમાં મગ્ન હતો. 

જાનકીબાઈ પૂજાની તૈયારી કરી રહ્યાં હતાં. ગ્વાલિયરના મોટા ડૉક્ટરની સલાહ મુજબ ડૉક્ટરસાહેબ એક મહિનાની રજા પર હતા. પથારીમાં પડ્યાં પડ્યાં કંટાળો આવે તો બહાર વરંડામાં આવીને બેસતા અને અખબાર પર નજર ફેરવી લેતા.

નિત્ય નિયમ પ્રમાણે બડેબાબુજી ડૉક્ટરસાહેબને ઈન્જેક્શન અને હૉસ્પિટલનો રિપોર્ટ આપવા આવ્યા. તેમને બહાર બેસેલા જોઈ તેમણે ચિંતાના સ્વરમાં કહ્યું, “સા’બ, યહ ક્યા કર રહેં હૈં આપ? બડે ડાક્ટરસા’બને આપકો ચલને ફિરનેકા મના કિયા હૈ ના?”

“અંદર જી નહિ લગતા, બાબુજી. ચિંતા કે મારે નિંદ ભી નહિ આતી,” ડૉક્ટરસાહેબ કહ્યું.

“કિસ બાતકી ચિંતા કર રહે હૈં? ચિંતા કરનેવાલા ઊપર બૈઠા હૈ. આપ સિર્ફ અપની સેહત કા ખ્યાલ રખેં.”

“સો તો ઠીક હૈ, બાબુજી. પર લડકેકી પઢાઈ અભી પૂરી નહિ હુઈ. લડકીકી શાદીકા અભી ઠિકાના નહિ…”

“સબ ઠિકાને લગ જાયેગા…”

વરંડાના પગથિયાં પર લીંપેલા ચોક પર ચૈત્રની રંગોળી પૂરી કરી ચંદ્રાવતી બીલીપત્રના થડા ફરતી રંગોળી દોરી રહી હતી. તેને જોઈ ડૉક્ટરસાહેબ બોલ્યા, “દીકરી વીસ વર્ષની થઈ પણ જુઓ, હજી સુધી કશું થાળે નથી પડ્યું. ઘરેણાં તો મૂકો, સરખા કપડાં પણ નથી પહેરતી. ઝાંસીથી ખાદીની સાડીઓ મંગાવીને પહેરે છે. સારું છે કે આપની જામુની અને મિથ્લાનો મારી હઠીલી દીકરીને સંગાથ છે. નહિ તો આ જંગલમાં આ છોકરી શું કરત?”

ડૉક્ટરસાહેબને ઈન્જેક્શન આપી બડે બાબુજી હૉસ્પિટલ ગયા. 

થોડી વાર બાદ ડૉક્ટરસાહેબ મહા મુશ્કેલીથી આરામ ખુરશીમાંથી ઊઠવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં જામુની -  મિથ્લા દોરીથી ગૂંથેલા મોટા રુમાલથી ઢાંકેલા થાળ માથા પર મૂકી બંગલાના પગથિયાં ચઢવા લાગી. બન્નેનાં હાથ - પગ પર મેંદીનો લાલચટક રંગ હતો. તેમણે જરી - ગોટા મઢેલા ચણિયા - ચોળી પરિધાન કર્યાં હતાં. શરીર પર ચાંદીનાં ઘરેણાં ચળકતા હતા અને પગમાં ઝાંઝર છમ છમ અવાજ કરતા હતા. તેમને જોઈ ડૉક્ટરસાહેબ ફરી ખુરશીમાં બેસી ગયા.

“અરે ચંદા, અંદરથી મારું પૈસાનું પાકિટ લઈ આવ તો! આ ભવાનીઓ પડવાની સોગાદ લઈને આવી છે.”

છોકરીઓ સામે સ્મિત કરી ચંદ્રાવતી અંદર ગઈ અને પૈસાનું પાકિટ લાવી ડૉક્ટરસાહેબને આપ્યું. માથા પરના થાળ ઉતારી અતિ નમ્રતાથી તેમણે તે ડૉક્ટરસાહેબ સામે ધર્યા.
“જોતજોતામાં છોકરીઓ કેટલી મોટી થઈ ગઈ!” થાળને સ્પર્શ કરી ડૉક્ટરસાહેબ બોલ્યા. બન્ને બાળાઓના હાથમાં પૈસા મૂકી તેઓ અંદર ગયા.

ગયા વર્ષ સુધી ડૉક્ટરસાહેબ પાસેથી મળેલા પૈસા બધાંની સામે ગણી, એકાદ રુપિયો વધતો - ઓછો મળ્યો હોય તો આપસમાં લડાઈ કરનારી આ બહેનો આજે શાંતિથી એક હાથમાં થાળ અને બીજા હાથમાં પૈસા લઈ પૂજાઘરમાં ગઈ. તેમણે બન્ને થાળ જાનકીબાઈ સામે મૂક્યા, જાનકીબાઈ પિત્તળના નાનકડા ખાંડણિયામાં કેસર અને એલચી ખાંડી રહ્યાં હતાં. હાથમાંનું કામ બાજુએ મૂકી તેમણે બન્ને થાળ પરનાં રુમાલ બાજુએ સરકાવ્યા. એક થાળમાં સત્વંતકાકીનાં હાથના બનાવેલા માલપૂવા હતા અને બીજામાં ચાર પંખા હતા. બંગલામાં રહેનાર ચાર જણા માટે પીળી - જર્દ સળીઓ એકબીજા સાથે જોડીને બનાવેલા આ સુંદર પંખાઓને લાલ
અને લીલા રંગની ઝાલર લગાડવામાં આવી હતી. રેશમી ભરતકામ કરેલા આ પંખાઓ પર પોપટ, મોર, કેરી અને તુલસીનાં છોડની કશિદાકારી કરવામાં આવી હતી.

“ચલો, પંખા મળી ગયા! અમારા માટે હવે ગરમીમાં શીતળતા આવી ગઈ! આટલા બધા પંખા બનાવવાની તમારી માને ફૂરસદ ક્યારે મળી?” જાનકીબાઈ બોલ્યાં.

“જામુનીજીજીને બનાયે!” મિથ્લાએ કહ્યું. અહીં જામુનીએ મિથ્લા સામે જોઈ આંખો કાઢી!

“રેશમની ડોર વડે પંખા પર કોનું નામ ગુંથ્યૂં છે?” એક પંખો ઉપાડી ઝીણી નજરે નિરીક્ષણ કરતાં જાનકીબાઈએ પૂછ્યું.

“સેખરભૈયા કા!” અતિ ઉત્સાહથી મિથ્લા બોલી. અહીં જામુનીના હોશકોશ ઉડી ગયા. જાનકીબાઈ જામુની તરફ જોવા લાગ્યાં.

“શેખર, એ’ય શેખર! અહીં આવ તો! આ જામુની - મિથ્લા પંખા લઈ આવ્યાં છે તે જોવા આવ. એક પંખા પર તો તારું નામ પણ ગુંથ્યૂં છે!” ચંદ્રાવતીએ શેખરને સાદ પાડ્યો.

“જીજી, હમણાં હું વાંચવા બેઠો છું, પછી જોઈશ.” શેખરે અંદરથી જવાબ આપ્યો.

જામુનીએ અર્થપૂર્ણ નજરથી ચંદ્રાવતી તરફ જોયું.

“આવું કેમ કરે છે, મારા ભાઈ? બિચારી તારા માટે ખાસ પંખા લઈને આવી છે. જરા આવીને જોવામાં તારું શું જાય છે?”

“ચંદા, દર વર્ષે આવે છે તેવા આ પંખા છે. તેમાં જોવા જેવું શું બળ્યું છે? આપણા ઘરમાં તો હવે વીજળીના પંખા આવ્યા છે, ત્યાં હાથેથી પંખાની હવા લેવા કોને ફૂરસદ છે?” જાનકીબાઈએ ટાપસી પૂરી.

“તું પણ ખરી છો, બા. આ છોકરીઓ આપણા માટે ખાસ ચીજ બનાવે તેની તને કિંમત નથી. જો, આ બન્નેને હું આપણે ત્યાં જમવા રોકવાની છું.”

“આજે નહિ. તહેવારના દિવસે તેમણે પોતાના ઘરે જમવું સારું. વળી શેખરને નહિ ગમે…” હળવા અવાજે જાનકીબાઈ બોલ્યાં.

“શેખરને ન ગમે એટલે? આ ઘરમાં મને કશો અધિકાર નથી? શેખર દીકરો છે એટલે તેની હકૂમત બધે ચાલવી જોઈએ?” કહી તેણે બે વાટકીઓમાં શિખંડ કાઢી જામુની - મિથ્લાને આપ્યો અને તેમને તેની રુમમાં જવા કહ્યું.

“તારી સાથે બાઈ, કોણ વિવાદ કરવા બેસે? આજે સપરમા દહાડે મને ઘરમાં કચકચ નથી જોઈતી. આમ પણ ‘એમની’ તબિયત સારી નથી.”

“આ તારી કાયમની દલીલ છે,” કહી ચંદ્રાવતી ગુસ્સામાં પોતાની રુમમાં ગઈ. ત્યાં જઈને જોયું તો શિખંડની વાટકીઓ સીવવાના સંચા પર રાખી જાનુમી - મિથ્લા બારી પાસે ઊભી હતી.

“ચલો, ખાવાનું શરુ કરો જોઉં.”

“અમને ભૂખ નથી, જીજી. અમે નાસ્તો કરીને આવ્યાં છીએ,” જામુનીએ કહ્યું.

“તમારે ખાવું જ પડશે. મારા સમ.”

બન્ને બહેનોએ વારાફરતી એકબીજા તરફ જોયું અને શિખંડ ખાવાનું શરુ કર્યું. વાટકીઓ ખાલી થતાં જામુનીએ બહેનને કહ્યું, “જા મિથ્લા, રસોઈમેં જા કે કટોરિયાં ધો ડાલ ઔર ઘર જા, મૈં પાંચ મિનટમેં આતી હું.”

જબરી નાખુશીથી મિથ્લા કમરામાંથી નીકળી.

બારી બહાર અપલક નજરે જોઈ રહેલી જામુનીની આંખોમાં અશ્રુ ભરાઈ આવ્યા. તેની ઘેરી પાંપણોમાંથી હીરાનાં લોલકની જેમ આંસુ લટકી રહ્યા હતા.

“શું થયું, જામુની?” તેની નજીક જઈ ચંદ્રાવતીએ પૂછ્યું.

“કંઈ નહિ.”

“કોઈ વાત જરુર થઈ છે. મનમાં કશું ન રાખીશ. બોલ, શું થયું?”

“પંખા જોવા પણ ‘તે’ ન આવ્યા.”

“અરે, જોઈ લેશે. તું ચિંતા ન કરતી.”

“કોઈ કોઈ વાર તેમના મનમાં મારા વિશે શું ચાલે છે તેની ખબર નથી પડતી. કોઈ વાર સારી રીતે હસીને વાત કરતા હોય છે, તો કોઈ વાર મને જોઈ મોઢું ફેરવીને જતા રહે છે. હું બંગલામાં આવતાં જ તે બહાર જતા રહે છે. મેં તેમનું શું બગાડ્યું છે?”

“હાલની વાત છોડ. જ્યારે તું તારા મામાને ઘેર ગઈ હતી ત્યારે તારા વિશે મને પૂછતો હતો.”

જામુનીનો ઉત્સુકતાપૂર્ણ ચહેરો જોઈ ચંદ્રાવતીએ કહ્યું, “હા! એ પૂછતો હતો, ‘આજકાલ જામુની કેમ દેખાતી નથી?’ મેં કહ્યું, કેમ એ નથી તો તું કેમ બેચેન થઈ ગયો છે? તેની સાથે લડાઈ - ઝઘડો કર્યા વગર તને ચેન નથી પડતું કે શું?’ તો તે હસી પડ્યો હતો.”

જામુનીના ચહેરા પર ખુશીનો પ્રકાશ ફેલાઈ ગયો અને તે ઘેર ગઈ.

બપોરે સૌનું જમણ પતી ગયા બાદ ત્રણેક વાગે જામુની ફરી બંગલે આવી.  ચંદ્રાવતીએ તેનો સખત બાંધેલો ચોટલો છોડી તેના વાળ ઓળ્યાં અને ઢીલો શહેરી ઢબનો ચોટલો ગૂંથ્યો. કપાળ પરનાં વાળ વર્તૂળાકારમાં ગોઠવી, ચહેરા પર પાઉડર - કંકુ લગાડ્યાં અને કબાટમાંથી મુલાયમ પ્રિન્ટેડ સાડી કાઢી તેને પહેરાવી. છેલ્લે તેના કાનમાં પોતાનાં મોતીનાં લટકણિયાં ચઢાવી આપ્યા.

અરીસામાં  પોતાનું બદલાયેલું સ્વરુપ છાની રીતે જોઈ તેણે કહ્યું, “જીજી, આ વખતે મુંબઈ જાવ તો મારા માટે ફૂલવાળી સાડી લઈ આવજો.”

“જરુર. સાડી અને સારા પુસ્તક પણ.”

“પણ ત્યાં સુધી મારે શું વાંચવું?”

“નિશાળનાં પાઠ્ય પુસ્તક, બીજું શું?”

“અમારું નિશાળમાં જવાનું બંધ થઈ ગયું છે. અમે ભણીએ તે દદ્દાને ગમતું નથી.”

“એમને જવા દે. તને હું ભણાવીશ. એક્ટર્નલ વિદ્યાર્થિનિ તરીકે મૅટ્રિકની તૈયારી કરાવીશ. પણ હું અહીં હવે કેટલા દિવસ રહીશ કોણ જાણે!”

“કેમ? તમે કાયમ માટે મુંબઈ જતા રહેવાના છો?” જામુનીએ ચિંતાના સ્વરમાં કહ્યું.

“તો શું હું આખી જિંદગી કુંવારી મા-બાપના ઘરે પડી રહીશ? ભગવાને મારા માટે પણ કોઈક શોધી રાખ્યો હશે કે નહિ? જે હોય તે, પણ તારે મુંબઈ આવવું પડશે.”

“આટલે બધે દૂર હું કેવી રીતે આવી શકીશ?”

“કેમ વળી? મારો ભાઈ તને મારે ઘેર નહિ લઈ આવે?”


“ચલો હટો, જીજી! આપ પણ…” કહી જામુની શરમાઈ ગઈ. તેનો ગૌર ચહેરો લાલ ચટક થઈ ગયો.

Wednesday, January 27, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૮

સત્વંતકાકીને ઘેર જન્માષ્ટમીનો ઉત્સવ પૂરો થતાં જાનકીબાઈ અને ચંદ્રાવતી સિકત્તરની સાથે બંગલે પાછા આવ્યા ત્યારે રાતનો એક વાગી ગયો હતો. ડાઈનિંગ-રુમમાં દીવો બળતો હતો. ટેબલ પર એક ઊંધા ગ્લાસની નીચે ખુલ્લું તારનું પીળું કવર હતું. પ્રસાદીનો દડિયો ટેબલ પર મૂકી ચંદ્રાવતીએ તાર વાંચવા લીધો.

“કોનો તાર છે?” જાનકીબાઈએ પૂછ્યું.

“શાંતાફોઈનો. કાલે અહીં આવી પહોંચે છે.”

“આવીશ, આવીશ કહેતાં હવે ત્રણ વર્ષે અમારાં નણદલબા આવી રહ્યા છે,” જાનકીબાઈના શબ્દેશબ્દમાં ઉત્સાહ વરતાતો હતો. “ફોઈ તો આવે છે ને! તારાં  મોટાં કાકીને તો અહીં આવવા જેવું લાગતું નથી.”

“તું વળી ક્યાં તેમને ખાસ કરીને મળવા ઈંદોર ગઈ છો? બાબા પણ ત્યાં જતા નથી.”

“એવું ન સમજતી કે તેઓ ઈંદોર નથી જતા તેથી પૂર્વજોની હવેલી પ્રત્યે એમને પ્રેમ નથી!”

“તો પછી હવેલી છોડીને તમે ત્યાંથી શા માટે ચાલી નીકળ્યા હતા?”

“શું કહું, ચંદા! એ સમય જ એવો હતો…”

“તારે જે કહેવું હોય તે કહે, બા, પણ જ્યારે જ્યારે કાકા અને કાકી અમને મળે છે, અમારા ખૂબ લાડ લડાવતા હોય છે.”

“બાઈ રે બાઈ! હું શું લેવા કંઈ કહું? એક તરફ છોકરાંઓનાં લાડ લડાવવાનાં, પણ તેમની મા સાથે કશી લેવા દેવા ન હોય એવી રીતે વર્તવાનું! આ રીત છે તારાં કાકીની!”

“પણ તમે હવેલી છોડીને અહીં સારંગપુર આવ્યા જ શા માટે? બંગલો ઈંદોરમાં નહોતાં બંધાવી શકતા?”

“હશે! મરદ લોકોની વચ્ચે કંઈક થયું હશે. બૈરાંઓએ પુરુષોની લડાઈમાં પડવું ન જોઈએ.”

“તો પછી આપણે કેમ ઈંદોર નથી જતાં? ત્યાં કોઈના લગ્ન કે જનોઈ જેવો પ્રસંગ હોય તો જ આપણે ત્યાં જઈએ છીએ, અને પ્રસંગ પતે કે તરત બીજા દિવસે પાછા આવતાં રહીએ છીએ.”

“તમારા મોટાં કાકી આપણી સાથે સરખી રીતે વર્તે કે વાત કરે તો ને? પુરુષો ભલે આપસમાં એકબીજાનાં માથાં ભાંગે, પણ પરિવારને એકત્ર કરી રાખવાનું કામ તો સ્ત્રીઓએ જ કરવાનું હોય છે, તે આ ‘મોટી બા’ને ક્યાં સમજાય છે?”

“શાંતા ફોઈ કેટલું રોકાવાની છે?”

“કેમ પૂછે છે’લી?”

“અમસ્થું જ,” 

“રહેશે ચારે’ક દિવસ. પહેલાં તો દર રાખી પૂર્ણિમાએ અહીં આવતાં. હવે સરખાઈ નહિ આવતી હોય. તેમનોે પણ પરિવાર વધતો જાય છે… જો, તેમને લેવા સ્ટેશન પર તારે જવાનું છે. બાલકદાસને કહે જે રામરતનને વરધી આપે. કહેજે, ઘોડાગાડી લઈને સ્ટેશન પર જવાનું છે.”

“મારે નથી જવું સ્ટેશન પર. શેખરને મોકલજે.”

“એ કેવી રીતે જાય? એને નિશાળ, હોમ વર્ક નથી?”

“એની નિશાળ અગિયાર વાગે શરુ થાય છે અને ટ્રેન સવારના નવ વાગે આવે છે.”

“તું સમજતી કેમ નથી? એને કેટલું બધું લેસન હોય છે?”
“સાતમા ધોરણમાં તે વળી કેટલું લેસન હોય છે તે જાણે અમે નથી જાણતા! કરો લાડ…બગાડો તેને..” ચંદ્રાવતી બબડતી તેના કમરામાં ગઈ. તેનું મન ફરી વિચારોના ચકડોળે ચઢ્યું. 
‘તમારું મન ગમે એટલું વ્યાકુળ હોય, માનસિકરીતે તમે ભાંગી પડવાની અણી પર આવ્યા હો તો પણ રોજનાં નિતનેમ, વાર - તહેવાર, સમારંભ, મહેમાનગતિ - આ બધું સુસંગતરીતે પાર પડવું જ જોઈએ! આ ક્યાંનો ન્યાય છે? મનમાં વાવંટોળ ઊઠતા હોય, વિચારો ઉત્પાત મચાવતા હોય તો પણ ચહેરા પર ખોટા આનંદનો લેપ ચઢાવી, ખુશીનો ઢોંગ કરીને નાચવું જ પડે! હું કહું છું, બીજા કોઈને આ વાત ભલે ન સમજાય, પણ ખુદ પોતાની જન્મદાત્રી માએ દીકરીની અંતર્વેદના સમજવી જોઈએ કે નહિ? ‘છોકરીની જાત અને નકામી ચર્ચા ના જોઈએ’નો એકતારો વગાડીને અમારાં માતુશ્રી છૂટી પડતાં હોય છે…’     
***
સવારની ચ્હા પીતાં પીતાં ડૉક્ટરસાહેબે પત્ની તરફ જોઈને કહ્યું, “શાંતા માટે ગામમાં જઈ સારી મજાની સાડી લઈ આવજો.”

“હવે સાડી - બાડીની શી જરુર છે?” શાંતા ફોઈ બોલ્યાં. “દર વર્ષે તું ભાઈબીજના પૈસા મોકલે છે એ કાંઈ ઓછું છે?”
“તમે પિયર આવ્યાં છો! સાડી નથી જોઈતી એવું ન કહેવાય!” જાનકીબાઈ નારાજીભર્યા સ્વરમાં બોલ્યાં.

“એકા’દ વરસ દિવાળીમાં ઈંદોર આવતાં શું થાય છે? એકની એક બહેન છું. ભાઈ નથી આવતો એનું અમને નહિ લાગી આવતું હોય?”

“તું જ કહે, શાંતા, દિવાળીમાં હું ઈંદોર કેવી રીતે આવી શકું? આ  દિવસોમાં મહારાજસાહેબની સાથે આસપાસનાં રજવાડાંઓમાં જવું પડતું હોય છે. ઈંદોર આવવાનું થાય તો તને મળવા નથી આવતો કે?”

“હા, આવે તો છે, પણ મહારાજસાહેબની સાથે મોટ્ટી હૉટેલમાં ઉતરતો હોય છે! બસ, ઊભાં ઊભાં મોઢું બતાડવા હવેલીએ જાય છે અને પાંચે’ક મિનિટ માટે મારે ઘેર પણ આવતો હોય છે. બહુ થયો આ દેખાવ!”

“આવું તો ચાલ્યા જ કરે છે. રજવાડાની નોકરી એટલે આખી જિંદગીની તાબેદારી. તેમ છતાં ગમે તેમ કરીને, સમય કાઢીને તમારે ઘેર આવું છું તે તમે લોકો ભુલી જાવ છો,” કહી ડૉક્ટરસાહેબ ઊઠ્યા. હૅટ સ્ટૅન્ડ પર લટકાવેલી હૅટ અને ચાંદીની મૂઠની સીસમની લાકડી લઈ તેઓ ધીરી ચાલથી બહાર ફરવા નીકળ્યા. શેખર નિશાળે જવાની તૈયારી કરી રહ્યો હતો. જામુની - મિથ્લા દફતર લઈને બંગલાના પગથિયાં પાસે રાહ જોઈને બેઠાં હતાં.

“કહે છે, ‘તમે લોકો!’ જાણે અમે પારકા છીએ,” રકાબીમાં ચ્હા રેડતાં શાંતાફોઈ બોલ્યાં.

“આવડી અમથી વાતનું તમે શા માટે ખોટું લગાડી રહ્યા છો, નણંદજી? આજકાલ એમનો સ્વભાવ થોડો’ક ચીઢકણો થયો છે.”

“એનો સ્વભાવ પહેલેથી જ એવો છે. હવે તો એની તબિયત પણ બરાબર દેખાતી નથી. તેનું વર્તન પણ જરા અલિપ્ત થઈ ગયું છે.”

“કામના બોજાને કારણે આવું થયું લાગે છે. રાજપરિવારના અંગત ડૉક્ટર તરીકે નીમણૂંક થયા પછી તો હવે પૂછવા જેવું રહ્યું જ નથી. ત્યાં દૂર ઓરછા શહેરમાં કમલારાજેના દીકરાને છીંક  આવે તો બોલાવો ડૉક્ટરસાહેબને!” સમજાવટના સૂરમાં જાનકીબાઈ બોલ્યાં.

“દોઢ વરસ પહેલાં મોટાભાઈની સુમીના લગ્નમાં તમે આવ્યા, અને મંગળફેરામાં ચોખાના ચાર દાણાં સુમીના માથા પર નાખીને જતા રહ્યા હતા. ભાઈ તો આશિર્વાદ આપવા પણ ના આવ્યો.”

“હું એ જ તો કહી રહી છું ને! એમની પાસે વખત ક્યાં છે? મારી વાત કરવાની થઈ તો હું સ્પષ્ટ કહીશ કે એમને એકલા મૂકીને હું ક્યાં’ય ન રહી શકું.”

“એટલે જ તો બધાં વાત કરે છે, ‘આ’ બંગલાવાળાંઓને જુની હવેલીમાં ક્યાંથી ચેન પડે? હેં? મારા કાન પર આ બધી વાતો આવે છે. નથી કહેવાતું કે નથી સહેવાતું. મને તો ચારે બાજુથી મોત આવે છે.”    

“હેં ફોઈ, આટલી વાર મોત આવ્યા પછી આ તારો કેટલામો પુનર્જન્મ છે?” ચંદ્રાવતીએ હસીને ટાપસી પૂરી.

“ઈંદોર આવ  એટલે તને બતાવીશ આ મારો કેટલામો પુનર્જન્મ છે!” ખુરશી પરથી ઊભાં થતાં ખોટો ગુસ્સો બતાવતાં શાંતાફોઈ બોલ્યાં. ત્યાર પછી જાનકીબાઈ તરફ વળીને કહ્યું, “ભાભી, ચંદાને ઈંદોર ક્યારે મોકલો છો? મોટાભાઈ અને મોટાં ભાભી તેને જોઈને ઘણાં રાજી થશે.”

“લઈ જાવ ને! તમે જાણો અને તમારી ભત્રીજી જાણે!”

“ભાભીએ તો રજા આપી. હવે ચાલ ચંદા, મારી સાથે ઈંદોર જવાની તૈયારી કર,” શાંતાફોઈએ ચંદાની પાછળ પાછળ તેની રુમમાં જતાં કહ્યું.

“હમણાં નહિ, ફોઈ. દિવાળીમાં આવીશ. સાચે જ!”

“મને ખબર હતી કે તું ના પાડવાની છો. એટલે તો લોકો કહે છે આ બંગલાવાળાઓને…”

“કહેવા દો, એમને. આવા લોકોની કોણ પરવા કરે?”

“શોભે છે ખરી મારા ભાઈની દીકરી!”

“કેવી રીતે?”

“કેવી રીતે એટલે એના જેવી તીખા મિજાજની.”

“બાબાએ વળી શું તીખાપણું બતાવ્યું?”

“કંઈ નહિ…”

“ફોઈ, મને નહિ કહે? આવું કેમ કરે છે?”

“મોટાભાઈ કંઈક બોલ્યા હશે કે તારી દાક્તરીના ભણતર પાછળ આટલો બધો ખર્ચ થયો છે તેથી તને પારિવારીક મિલ્કતમાંથી સોનું - ઘરેણું કે રોકડ નહિ મળે.”

“પછી?”

“પછી શું? એણે તો ટ્રંકમાંથી લગ્નમાં ભાભીને અપાયેલો ચંદ્રહાર, સોનાનાં કડાં - બધા ઘરેણાં કાઢી પૂજાઘરમાં કુલસ્વામિનીની સામે મૂક્યાં અને ઈંદોર છોડી દીધું -  કાયમ માટે. તારો જનમ નહોતો થયો ત્યારની વાત છે. હોલકર મહારાજા તેને સારી નોકરી આપતા હતા, તે ન લીધી અને અહીં, આટલે દૂર નોકરી કરવા આવ્યો.”

“તો એમાં કોનું શું બગડ્યું?”

“શું બગડવાનું હતું? અહીં મોટો બંગલો બાંધ્યો, ભાભીને ગૌરીની જેમ ઘરેણાંથી સજાવી પણ પરિવાર સાથેનાં સંબંધ તોડ્યાં.”

“કોણ કહે છે સંબંધ તોડ્યાં?”

“અલી, તોડ્યા એટલે એની મેળે તૂટી ગયા. તમે ઈંદોર આવતા - જતા હો તો…”

“તો શું?”

“તો અત્યાર સુધીમાં તારાં પણ લગ્ન થઈ ગયા હોત. મોટા ભાઈની સુમીનાં થઈ ગયાં ને? સુમીથી તું ફક્ત બે મહિને નાની, પણ છો વધુ રૂપાળી!”

“અહીં કોને લગ્ન કરવા છે?”

“તો શું બેગમ થઈને રહેવાની છો કે શું?”

“શાંતા ફોઈ, બધાએ લગ્ન કરવા જોઈએ એવો કોઈ કાયદો છે?”

“અલી, ભાઈની તબિયતનો તો વિચાર કર! પહેલાં કેવો ગાજર જેવો લાલ-ચટક હતો…હવે તો સફેદ પૂણી જેવો થઈ ગયો છે.”

“હવે ઢળતી ઉમરમાં બાબા પહેલાં જેવા કેવી રીતે દેખાય?”

“કેમ ન દેખાય? ગયા વરસ કરતાં ઓણ તો એ ઘણો લેવાઈ ગયેલો દેખાય છે. કોણ જાણે તેના મનમાં શાની રટ લાગી છે! થાય છે, એને પૂછું, ભાઈલા, મને વાત તો કર! બોલ તારા મનમાં કોઈ વાતનું દુ:ખ છે? પણ એને કશું પૂછવાની મારી તો બાઈ, હિંમત નથી ચાલતી. ભાભીને પૂછ્યું તો તે પણ કોઈ વાતની ખબર પડવા દેતાં નથી. એટલી જાણ થઈ છે કે તારા લગનને લઈને જ એનો જીવ મુંઝાય છે.”

ચંદ્રાવતી ચિંતામાં પડી. તો શું શાંતા ફોઈના કાન સુધી પણ મારી વાત પહોંચી? 

ચહેરા પર પરાણે શાંત ભાવ લાવીને તેણે કહ્યું, “ફોઈ, સાચે જ, લગ્ન કરવાની મને ઈચ્છા થતી નથી.”

“અભદ્ર, મૂઈ! તો રહે આખી જિંદગી બાવી થઈને. માડી રે! સારું થયું તે ચોખવટ કરી, નહિ તો તારાં લગ્નની વાતમાં અમે મધ્યસ્થ થયા હોત તો અમારી આબરુના કાંકરા જ થયા હોત ને!”

“એમ કેમ?”

“ઈંદોરના દીવાનસાહેબ તેમના દીકરા માટે ‘એમની’ પાસે તારા વિશે પૃચ્છા કરતા હતા. બી.એ. પાસ છે તેમનો દીકરો. તેમને તું બહુ ગમી ગઈ હતી,” શાંતાફોઈ ઉત્સાહમાં આવીને બોલ્યાં.

“કોણ, હું?”

“ના! હું ગમી ગઈ હતી, ચાંપલી ક્યાંની! પણ મેં ‘એમને’ કહી દીધું કે દીવાનસાહેબને કહો, તેઓ પોતે મોટા હોદ્દેદાર છે અને તમે લોકો છો મોટા બંગલાવાળા. બન્ને પક્ષ આપસમાં ફોડી લેશે. તમે વચ્ચે ના પડશો.”

“સારું કર્યું. ગમે તે હોય, આખરે મારી ફોઈ છે તો બુદ્ધિમાન!”

“ભગવાન આપે છે ચાર હાથે, પણ તે લેવામાં કરમ આડે આવે, એવી વાત થઈ. બીજું શું?”

“આ કહેવત મને બરાબર લાગુ પડી, હોં કે!” આંસુભરી આંખે ચંદ્રાવતી કૃત્રિમ હાસ્ય કરીને બોલી.

“તે આમ દાંત શા સારુ કાઢે છે?”

“મારી ફોઈ રિસાઈ ગઈ!”

“હું વળી રિસાનારી કોણ? તારા પર મારો એટલો જીવ છે શું કહું? એટલે જ તને કહું છું. અલી, રસ્તા પર ચાલનારા કોઈ પણ માણસ ઉપાડીને લઈ જાય એવું રુપ છે તારું. ઉપરથી બાપ પાસે આટલી ધન દોલત!”

“ખરી વાત છે, તારી. રસ્તા પરનો ‘માણસ’ ખરેખર મને ઉંચકીને ન લઈ ગયો…” કરુણ સ્મિત સાથે ચંદ્રાવતીએ કહ્યું.

“આ ખાદીની જાડી, ખરબચડી સાડી શું પહેરી રાખી છે, ને કેવા દેદાર કરી બેઠી છો! તારા મા બાપને તો આ બધું ચાલે. આમાં વચ્ચે બોલીને ચિબાવલા થનારા અમે વળી કોણ?” શાંતાફોઈની આંખો ભરાઈ આવી. ચંદ્રાવતી તેની ફોઈને વિંટળાઈ ગઈ. બન્ને યુવતીઓની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી.

થોડી વારે સ્વસ્થ થતાં ફોઈએ કહ્યું, “મને કહે જોઉં, આ સ્વદેશીનું પાગલપણ તારા મગજમાંથી ક્યારે નીકળવાનું છે? ઘરમાં આટલી મીઠાઈ અને પકવાન રંધાય છે પણ તેં પરદેશથી અાવે છે તેથી ખાંડ ખાવાનું બંધ કર્યું. શું તમારા ગાંધીબાબા એવું કહે છે કે તમે ખાદી પહેરો, ખાંડ છોડો અને જનમભર કુંવારા રહો?”

“ઊઠો હવે વહાલાં ફોઈ મા! નાહી ધોઈને તૈયાર થઈ જાવ. આપણે ગામમાં જવાનું છે. ચંદેરીવાળા પાસેથી તારા માટે જરી - બૂટાની સુંદર સાડી લઈશું. કોકમના રંગની સાડી તને ખૂબ શોભશે. તું આવવાની હતી તેથી તારા માટે મેં પહેલેથી આ સાડી જોઈ રાખી છે.”

“હોંશિયાર બાપની હોંશિયાર દીકરી! મુદ્દાની વાત કરતી નથી. સાડી પર વાત ટાળી નાખી!”

“ઊઠો હવે, મારી મા!”
***
 

   

Friday, January 22, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૭

“જીજી, ચલો, તુમ્હેં મા બુલાવૈ હૈ,” સાંજના પાંચ - સાડા પાંચના સુમારે ચંદ્રાવતીના બારણાની બહાર થંભીને જામુનીએ કહ્યું. તેની પાછળ પાછળ મિથ્લા પણ આવી પહોંચી. બન્નેનાં ચહેરા વિનવણીભર્યા હતા.

“શું કામ છે?” પુસ્તકમાંથી માથું ઊંચું કર્યા વગર ચંદ્રાવતીએ પૂછ્યું.

“કન્હૈયા - આઠે લિખની હૈ.”  કન્હૈયા આઠે એટલે જન્માષ્ટમીના ઉત્સવની ઉજવણીમાં બુંદેલખંડમાં ખાસ છાણ - માટીથી કરવામાં આવતું ચિત્રકામ અને તેના પર ફૂલોનો શણગાર કરવાનું કામ.

“મારું માથું દુ:ખે છે. હું નહિ આવી શકું.”

કરમાયેલા ફૂલ જેવાં મ્હોં કરી બેઉ બહેનો ત્યાંથી ચાલી ગઈ.

“અલી ચંદા, છોકરીઓ તને ખાસ તેડવા આવી છે તો જા ને તેમના ઘેર!” દીકરીની રુમમાં ડોકિયું કરી જાનકીબાઈ બાોલ્યાં. “વાર તહેવારમાં કરવાની સેવાને ના ન કહેવાય.”

“મારે નથી જવું.”

“તને કંઈ કરવાનું મન નથી થતું?”

“હા એવું જ સમજ”

“એમ તે કેમ ચાલે. દીકરી? તે દિવસે નાગપંચમીના દિવસે મહેલમાં ન આવી તે ન જ આવી. કેટલું કહ્યું, સારી સાડી પહેર, ઘરેણાં ચડાવ -  મારી એકે વાત તેં ન સાંભળી. રાણી સરકાર તારા વિશે પૂછતાં હતાં. મારે કહેવું પડ્યું, તાવ આવ્યો છે તેથી નથી આવી. ખોટી ચર્ચા ન કરવી પડે એટલા માટે તને કહ્યું હતું કે મારી સાથે ચાલ. તે દિવસે રાણી સરકારની ચારેકોર સરદારોની પત્નીઓનું ધાડું બેઠું હતું. ચર્ચા તો થઈ જ હશે ને?”

‘ચર્ચા’ શબ્દ સાંભળી ચંદ્રાવતીના મનમાં મોટું પ્રશ્નચિહ્ન ઊભું થયું. આ લોકોની ચર્ચા એટલે કૂથલી.

“હવે પછી તારી સાથે મહેલમાં જવાનો આગ્રહ કરીશ મા.”

“કેમ વળી?”

“ત્યાં જવું મને નથી ગમતું.”

“અલી, પાણીમાં રહીને મગર સાથે વેર કરીને કેમ ચાલે? ચાલ, ઊઠ, સત્વંતીને ઘેર જઈ આવ. આજે જન્માષ્ટમી છે. સારી એવી સાડી પહેર, વાળ ઓળી લે. મનમાં કશ્શું આણીશ મા. પવન તો અહીંથી આવીને ત્યાં જતો રહે છે. એ શા માટે આપણો સગલો કે વહાલો થવાનો હતો?” જાનકીબાઈએ જરા ઠસ્સાથી જ કહ્યું.

ચંદ્રાવતી ચમકી ગઈ. બાને નક્કી બધી ખબર પડી ગઈ લાગે છે! હે ભગવાન!

“સાંભળ, મારી મા! મારે નકામી ચર્ચા નથી જો’તી, એટલે કહું છું, જા. નહિ તો પેલી સત્વંતી સત્તર સવાલ પૂછશે મને. ભૌંચક - ભવાની છે એ,” જાનકીબાઈએ ફરી એક વાર આગ્રહપૂર્વક કહ્યું.

"ભલે," કહી ચંદ્રાવતી ચૂપચાપ ઊઠી. પુસ્તકના પાના પર નિશાની મૂકી તેને ટેબલ પર મૂક્યું. વાળ સરખા કરી ચોટલો પીઠ પર છોડ્યો. સાડી બદલી, ચહેરા પર પાઉડર - કંકુ લગાડ્યાં અને સત્વંતીકાકીના ઘર તરફ જતી પગદંડી પર ચાલવા લાગી.

‘પવન તો  અહીંથી આવીને ત્યાં જતો રહ્યો…ગયો જ ને? એ તો આપણો સગલો થયો જ નહિ…મારી કાયરતા મને નડી…’ તે મનમાં જ બબડી
***

સત્વંતકાકીના આંગણાને ઓળંગી ચંદ્રાવતી તેમના ઘરના લંબચોરસ આકારના મોટા ઓરડાની નજીક ગઈ અને એકદમ થીજી ગઈ. આખો ખંડ માણસોથી ઉભરાઈ ગયો હતો.

‘આટલા બધા લોક આવ્યા છે પણ તેમનાં બૂટ - ચંપલ આંગણામાં કેમ દેખાયા નહિ? બુંદેલા રાજપુતો મુખી કે રાજાને મળવા તેમના દરબારમાં જોડાં પહેરીને ન જાય તે ચંદ્રાવતી જાણતી હતી.  દદ્દા ક્યારે આવ્યા તેની તેને જાણ નહોતી. જામુની - મિથ્લાએ પણ તેમનો ઉલ્લેખ નહોતો કર્યો.

ઓરડાની ભીંતને અઢેલીને બીછાવેલા સિંહાસન સરખા બાજોઠ પર દદ્દા કોઈ બાદશાહની જેમ બિરાજમાન થયા હતા. તેમની સામેની શેતરંજી પર અનેક લોકો બેઠા હતા. જેમને બેસવાની જગ્યા નહોતી મળી તેઓ દીવાલને અઢેલીને ઊભા હતા. દરેક વ્યક્તિના ચહેરા પર લાચારી ઉભરાતી હતી અને અવાજમાં આજીજી.

“માફ કિજિયે અન્નદાતા! ગલતિ હુઈ સરકાર! હુજુર, આપકા હુકમ…”

ચંદ્રાવતી આવી તેવી જ પાછી વળીને તેમના ઘરની પછીતમાં આવેલી ગમાણમાં થઈને ફળિયામાં પહોંચી. ગમાણમાં ગાયની આંખો પર માખીઓ બણબણતી હતી અને તેમને ઉડાડવા ગાયની પૂંછડી અને કાન વચ્ચે જુગલબંધી ચાલી રહી હતી. જમીન પર પડેલ છાણ અને ગૌમૂત્રની ગંધ ચોમેર ફેલાઈ રહી હતી. ગમાણની ભીંત પર જાડા રોટલા જેવા ગોળ છાણાં થાપ્યાં હતા અને વાડાના છાપરા પર કારેલાનો લીલોછમ વેલો ફેલાયો હતો.

ગમાણમાંથી ફળિયામાં તે પહોંચી અને જોયું તો સત્વંતકાકી ઘઉં દળવા બેઠાં હતાં.
“આ જા બિટિયા!” દળવાનું બંધ કરી, પાલવના છેડાથી કપાળ પરનો પરસેવો લૂછતાં સત્વંતકાકીએ ઊંડો શ્વાસ લીધો. “આજ જનમ આઠે! મેં ઠાકુરઘર લિંપી લીધું છે. તને કન્હૈયા-આઠે લખવા બોલાવી છે. જો ને, દદ્દા આવ્યા છે અને આટલા બધા લોકો માટે રાંધવાનું છે.” બેઉ હાથ પસારી સત્વંતકાકી ફરિયાદ કરવા લાગ્યાં.

“મને માફ કરજો, કાકી. કન્હૈયા આઠે છે તે હું સાવ ભુલી ગઈ હતી.”

“માફી -બાફીની શું કામ વાત કરે છે?” અવાજમાં બને એટલી મૃદુતા લાવી સત્વંતકાકી બોલ્યાં, “ચંદર, મારી દીકરી, કેવી વિખરાઈને વહી ગઈ છે તું!” કહી તેમણે ચંદ્રાવતી તરફ સ્નેહભરી દૃષ્ટિથી જોયું.

હે ભગવાન! સત્વંતકાકીને પણ મારા રહસ્યની જાણ થઈ લાગે છે. નહિ તો કદી નહિ ને આજે જ તેમના હૃદયમાં પ્રેમનાં આટલા બધા પૂર કેમ કરીને આવ્યાં?

“કશું થયું નથી કાકી. જુઓ, સાજી સમી તો છું. હું કન્હૈયા-આઠે લખીશ, પણ ભુલચૂક થાય તો સુધારી લેજો,” જરા સ્વસ્થ થઈને ચંદ્રાવતી બોલી. "જામુની - મિથ્લા ક્યાં છે?”

“બેઉ જણી જંગલમાં ફૂલ તોડવા ગઈ છે.”

ચંદ્રાવતી પૂજાની ઓરડીમાં ગઈ. ઠાકુરઘરની જમીન અને ચારે ભીંતો લીલાછમ છાણથી અર્ધ-વર્તૂળાકાર આકૃતિઓમાં વ્યવસ્થિત રીતે લીંપવામાં આવી હતી. નીચે જમીન પર તગારામાં ગાયનું લીલુંછમ છાણ ઘોળી - મસળીને તૈયાર રાખવામાં આવ્યું હતું. છાણના તગારામાં હાથ નાખતાં તેને સૂગ ઉપજી, પણ દર ચૈત્ર મહિનામાં ચૈત્રાંગણ લીંપવા માટે તેને છાણમાં હાથ નાખવો જ પડતો હતો. તેમાં આનાકાની ચાલે જ નહિ! “બાઈ માણસના હાથ છાણ-માટીમાં અને ઘી-દૂધમાં એક સરખી મમતાથી ફરવા જોઈએ…" એવા ઊપદેશના અમૃતનો ડોઝ પાવાનો એક પણ મોકો બા જવા દે ખરી?

ચંદ્રાવતીએ  કમને છાણના તગારામાં હાથ નાખ્યો. સૌ પ્રથમ છાણ વતી ભીંત પર ચોરસ રેખાઓ આંકી પોતાની અણિદાર, સુંદર આગળીઓ વતી તેમાં ચંદ્ર, સૂર્ય દોર્યા. વચ્ચે એક ચોરસ છોડી તેની એક બાજુએ ગાય અને બીજી બાજુએ વસુદેવ - દેવકી દોર્યાં. ચોરસની નીચે ખળખળ કરતી યમુના  અને બાજુમાં ફેણ કાઢેલો કાળીયો નાગ. એક તરફ તેણે મોર દોર્યો અને વચ્ચેના ચોકમાં બંસરી પકડીને ઊભેલા  મુરલીધર શ્યામ ચિતર્યા. એટલામાં જામુની - મિથ્લા એકબીજા સાથે હરિફાઈ કરતી હોય તેમ ઠાકુરઘરમાં દોડતી આવી. તેમણે જંગલમાંથી આણેલા જાંબલી રંગના ફૂલથી યમુનાનાં નીર ભર્યાં. 
મુરલીધરની બાહ્ય રેખા પર ગુલાબની પાંખડીઓ જડ્યા બાદ તેમાં નીલા રંગનાં ફૂલ ચોંટાડ્યા. બન્ને છોકરીઓને બહાર ભગાવી ચંદ્રાવતીએ મુરલીધરની છબિ ચિતરવા પર મન એકાગ્ર કર્યું. ભગવાનના ગળામાં મોતીની માળા, હાથમાં કંગન અને પગના તોડા તેણે સફેદ અને ગુલાબી ફૂલોથી મઢાવીને સાકાર કર્યા. રંગબેરંગી ફૂલોનો મુકુટ તૈયાર થતો હતો ત્યાં જામુની હળવેથી ઠાકુરઘરમાં પ્રવેશી. ડાબા હાથમાંનું પુસ્તક પીઠ પાછળ સંતાડી તેણે મુરલીધરના મુકુટ પર કામ કરતી ચંદ્રાવતીનો પાલવ હળવેથી ખેંચ્યો, અને કહ્યું, “જીજી, દેખો મૈં ક્યા લાઈ હૂં!”

“ક્યા હૈ?” જરા ત્રાસેલા અવાજમાં જ ચંદ્રાવતી બોલી.

જામુનીએ પુસ્તકમાંથી મોરનું પીંછુ કાઢીને ચંદ્રાવતી સામે ધર્યું. “મુરલીવાલે કે મુકુટમેં લગાને કે લિયે!”

“અરે, ઘેલી! આ કેવી રીતે લગાડું? તે કંઈ ભીંત પર નહિ ચોંટે. રહેવા દે.”

“લગા દો ના, જીજી! અચ્છા દીખેગા!” જામુનીનાં આજીજીભર્યા શબ્દો સાંભળી ચંદ્રાવતીએ મોરપીછ મુકુટમાં ખોસ્યું.

સંધ્યાટાણું થવા આવ્યું હતું. ઠંડા પવનની લહેર વહેવી શરુ થઈ હતી. પશ્ચિમ દિશાની બારીમાંથી ડોકિયું કરતો પ્રકાશ મુરલીધરના મુકુટ પર લહેરાવા લાગ્યો. કન્હૈયા આઠે પૂરા થયા. મુકુટ પર શોભતા મોરપીચ્છ પર ચંદ્રાવતીની નજર જડાઈ હતી.

“શાબાશ બિટિયા, શાબાશ! તૂ તો કન્હૈયા આઠે લિખનેમેં હમ બુંદેલખંડિયોંસે ભી બઢ કર નીકલી!”

સ્વપ્નમાંથી જાગી હોય તેમ ચંદ્રાવતીએ ઝબકીને પાછળ જોયું.

શુભ્ર, મુલાયમ ઝભ્ભા અને ઘૂંટણ સુધીનું ધોતિયું પહેરેલા, કસાયેલી ઊંચી શરીરયષ્ટિવાળા પ્રભાવશાળી દદ્દા ચંદ્રાવતીએ દોરેલા ચિત્રને અચરજભરી નજરે જોઈ રહ્યા હતા. “જાતકી દખની હૈ, વર્ના ઈ કે બાપસે ઈ કો માંગ લેતા. એક સે એક બહુતેરે મોડે હેંગે અપને પાસ! લછમીજીસે ઈ કે પાંવ ધૂલવાતા…જાત કી દખની ના હોતી તો,” કહી તેઓ આગળ વધ્યા અને ચંદ્રાવતીના પગને બન્ને હાથે સ્પર્શ કર્યો.

“દદ્દા, આપ આ શું કરી રહ્યા છો? આપ તો અમારા વડિલ…”

“અરી બિટિયા, હમરે બુંદેલખંડમેં હર મોડી દેઈજી હોત હૈ. ઔર ફિર તુને તો કન્હૈયા આઠે લીખ ડાલી. તોરે ચરન તો છૂના હી પરત!”

દદ્દાને નમસ્કાર કરી, સત્વંતકાકીની રજા લેવા ચંદ્રાવતી તેમની પાસે ગઈ.

“રાતે બાર વાગ્યા પહેલાં આવી જજે. સાથે બડી બાઈજીને પણ લાવજે,” સત્વંતકાકીએ કહ્યું.

આકાશ ઘનઘોર મેઘથી આચ્છાદિત થયું હતું. સાંજ ઢળી હતી. વરસાદનાં ટીપાં ક્યારે પડવા લાગશે તેનો ભરોસો નહોતો. આછા પ્રકાશમાં ચંદ્રાવતી પગદંડી પર આવી. તેનાં પગલાંનો ધ્વનિ સાંભળતાં જ સામેના લીલાછમ, મૃદુ ઘાસ પર બેઠેલું પોપટનું ઝૂંડ ફર્ર દઈને ઊડી ગયું.

***

Thursday, January 21, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૬


હરિયાલી તીજ (હરિતાલિકા વ્રત)નો દિવસ ઉગ્યો. જાંબુડીના ઝાડ પર ચઢી સિકત્તર અને રામરતને એક મજબૂત ડાળ પર હિંડોળાની રસ્સી બાંધી. રંધો મારી મારીને લિસી - લસ્સ કરેલી સાગની પાટલીમાં દોરડું પરોવવામાં આવ્યું હતું.
સત્વંતકાકીએ જામુની - મિથ્લાને નવડાવીને બપોરના જ બંગલે મોકલી હતી. અહીં શેખરને તલ અને ખસખસના ઉબટનથી વિધિવત્ નવડાવવામાં આવ્યો હતો. આસપાસની વસ્તીમાં જે મળે તેને હરિયાલી તીજના ઝૂલા - બંધનનું આમંત્રણ આપી આપીને સિકત્તર થાકી ગયો હતો.

સાંજ પડવા લાગી. આકાશ કિરમજી રંગનું થયું. હિંડોળાના પાટિયા નીચે રંગોળી કાઢી રહેલી ચંદ્રાવતીની નજર વારંવાર ઠંડી સડક પર ભટકતી હતી. હવાની એક લહેર આવી અને તેની રંગોળી વિખરાઈ ગઈ. 

જામુની અને મિથ્લા ત્યાં આવી પહોંચી હતી. તેમની સેંથીમાંથી સરકતી બિંદીને ચંદ્રાવતી ફરી ફરી હૅર પિનથી મૂળ જગ્યાએ બેસાડવાનો પ્રયત્ન કરતી હતી. નવાં સીવેલાં ઘાઘરી - ચોળી બન્ને બહેનોને બરાબર બંધ બેસતા થયા હતા. ચંદ્રાવતીએ તેમનાં ચહેરા પર પાઉડર, આંખોમાં કાજળ અને કપાળ પર વરખનાં ચાંદલિયા લગાડ્યાં હતાં. બે ભમ્મર વચ્ચે ચંદન - કંકુની ટિલીઓ તથા હોઠ તથા ગાલ પર ગુલાબી રંગની સુરખી કરી હતી! 

બંગલામાં શેખર માટે ભરપુર ગળી નાખેલ ટાલ્કમ પાવડરનો લેપ તૈયાર કરી તેના આખા શરીરે ચોપડવામાં આવ્યો અને હવે નીલા રંગના થયેલા શેખરના ખભા પર જાનકીબાઈએ કાળી શાલ પહેરાવી કાલીકમલીવાળો શ્યામ બનાવ્યો હતો. ચંદ્રાવતીના નાનપણમાં બનાવેલાં ઝાંઝર પહેરી શેખર છમ્ છમ્ ડગલાં ભરતો સિકત્તરની સાથે ઝૂલાની નજીક આવ્યો. તેના માથા પરના મુકુટ પર જડેલું મોરપીચ્છ ચમકતું હતું.

આકાશ હવે વાદળાંઓથી ઘેરાઈને ઘનઘોર થયું. પવન ફૂંકાવા લાગ્યો હતો અને ઝાડ પર પાકેલાં જાંબુ ટપોટપ જમીન પર પડતા હતા. વરસાદના મોટાં મોટાં ટીપાં પડવાની શરુઆત થઈ ન થઈ એટલામાં હવા વેગથી ફૂંકાઈ અને વાદળાં વિખરાઈ ગયા. વરસાદ થંભી ગયો. માટીની સુગંધમાં જમીન પર પડેલી કેરી અને પાકી લિંબોળીની મધુર - કટૂ મિશ્ર સુગંધ પમરાતી હતી. દૂર જંગલમાંથી આવતો મોરનો કેકારવ અને આજુબાજુનાં વૃક્ષોમાંથી આવતા કોયલના ટહૂકાર ધારધાર છરીઓની જેમ ચંદ્રાવતીના કાળજાના કટકા કરતા હતા.  ગામમાંથી મંગાવેલ પેટ્રોમૅક્સની બત્તીઓ ઝાડની નીચે આવી પહોંચી હતી.

હૉસ્પિટલની આજુબાજુ રહેતા બાળગોપાળ, ઘરડાં અને જુવાનોનું ટોળું હિંડોળા ફરતું ભેગું થયું હતું. પૂજાઘરમાંથી લાવેલા બાળકૃષ્ણની સ્થાપના હિંડોળા પર કરવામાં આવી અને લોકોએ મૂર્તિ પર ગુલાલ ઉછાળીને કાનજીનું સ્વાગત કર્યું.

પીતાંબર પહેરીને ડૉક્ટરસાહેબ વરંડાનાં પગથિયાં ધીમે ધીમે ઉતર્યા અને હિંડોળા તરફ આવ્યા. ચહેરા પર ઘૂંઘટ ખેંચી સત્વંતકાકી ઝાડની પાછળ જઈને ઉભા રહ્યાં. તેમની પાછળ ખડી હતી ચંદ્રાવતી. ડૉક્ટરસાહેબની પાછળ પાછળ જાનકીબાઈ ઝૂલા પાસે આવ્યા. બન્નેએ મળી પૂજાઘરમાંથી લાવેલા કૃષ્ણની મૂર્તિની પધરામણી હિંચકા પર કરી અને તેમની પૂજા કરીને ડૉક્ટરસાહેબ પાછા બંગલામાં ગયા. ત્યાર બાદ આ મૂર્તિની પધરામણી વાજત ગાજતે પાછી પૂજાઘરમાં થઈ. બંગલાના કમ્પાઉન્ડમાં જાંબુડીની નીચે ભેગા થયેલ બાળકો સિસોટી, પિપૂડી, ડમરુ, થાળ - જે હાથમાં આવ્યું  તે લઈને જોર જોરથી વગડતા હતા.

શ્રીકૃષ્ણની પધરામણી પૂજાઘરમાં થતાં શેખર અને જામુનીને હિંચકા પર બેસાડવામાં આવ્યા. જામુનીની બાજુમાં બેઠી હતી મિથ્લા. નાનકડાં રાધા - કૃષ્ણને ઝૂલાવવા લોકો આગળ આવ્યા. બડેબાબુજી ખૂબ ભક્તિભાવપૂર્વક આરતી ગાવા લાગ્યા : 

“આરતી કુંજબિહારી કી, ગિરિધર ક્રિશન-મુરારી કી
ગલેમેં પહની બૈજન્તીમાલા, બંસી બજાવૈ મુરલીવાલા
પ્રીત હૈ ગોપ કુમારી કી”

જાંબુડીના થડ પાસે ઊભી ચંદ્રાવતીને હસવું આવ્યું. ‘આ છે આપણી સંસ્કૃતી! એક તરફ વાસ્તવિક જગતમાં બે માનવીઓ વચ્ચે જોડાતા મનના ધાગા તો તડાતડ તોડી નાખવામાં આવે છે અને બીજી બાજુ કાલ્પનિક પ્રિતીનાં મધુરાં ગીતો ગવાય છે!’

પાંચ વાટની બનાવેલી આારતીનો થાળ હાથમાં લઈ બડેબાબુજીએ આરતી પૂરી કરી. ‘નિછાવર’ના - રાધાકૃષ્ણને ચઢાવેલા - સિક્કાઓથી થાળ ભરાઈ ગયો. આવતી કાલે આ પૈસાથી ખરીદેલી મિઠાઈ આસપાસના લોકોને ઘેર પહોંચાડવામાં આવશે. 

ભેગાં થયેલા લોકો એક એક કરીને આવતા ગયા અને ‘રાધા - કૃષ્ણ’ના પગ પર મસ્તક ટેકવી નમસ્કાર કરવા લાગ્યા. તેમને આશીર્વાદ આપવા માટે શેખર - જામુનીનાં નાનકડા હાથ ઊંચા થતા હતા. રાધા - કૃષ્ણને પગે લાગવાનો કાર્યક્રમ પાર પડ્યા પછી લીલા - પીળા ઘાઘરા અને ઓઢણી પહેરેલી છોકરીઓ હિંડોળા ફરતાં ચક્કર મારી ગીત ગાવા લાગી :

‘બંસી કાહે કો બજાઈ - ઈત્તી ક્યા પડી થી
અભ્ભી મેરી ગોદમેં ગુડ્ડા -ગુડ્ડી જોડી થી

બંસી કાહે કો બજાઈ - ઈત્તી ક્યા પડી થી
નીમ તલે  મૈં તો મેરે આંગનમેં ખડી થી
બાલી-સી ઉમરિયા, મૈં બારહ-કી મોડી થી
બંસી કાહે કો બજાઈ - ઈત્તી ક્યા પડી થી 

વચ્ચે જ એકાદ સાવન પણ ગવાઈ જાય છે.

ગીતો પૂરા થયા. હવે હિંચકો બાકીના બધા બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો અને તેના પર બેસવા બાળકોનો ધસારો શરુ થઈ ગયો. અહીં ઝૂલા પરથી ઉતરતાં વેંત શેખરે ખભા પરની કામળી અને હાથમાંની વાંસળી જમીન પર ફેંકી. માથા પરનો મુકુટ ખેંચી કાઢ્યો અને બોલ્યો, “હટ્, અગલી સાલ હમ તો ક્રિશન નહિ બનેંગે.”

“કેમ અલ્યા, શા માટે નહિ?” જમીન પરનો મુકુટ ઉપાડતાં ચંદ્રાવતીએ પૂછ્યું.

“તો ફિર રાધારાનીકી ક્યા હાલત હોગી, ક્રિશન ભગવાન?” આસપાસ જાનકીબાઈ નથી તે જોઈને સિકત્તર બોલ્યો.

“ઔર કોઈ ભી બન સકતા હૈ. હમ અબ બડે હો ગયે હૈં. આશીર્વાદ દે -દે કર હાથ ભી દુખને લગા,” શેખર ગુસ્સામાં હતો!

“હવે ઘરમાં આવો. પ્રસાદના દોણાં ભરવાના છે,” જાંબુડીની નીચે હાંફળા થઈને આવેલાં જાનકીબાઈએ ચંદ્રાવતીના ખભાને સ્પર્શ કરીને કહ્યું.

“આ જો, અાવી જ..”


પેટ્રોમૅક્સની બત્તી સમ્ સમ્ કરીને ધગધગતી હતી. જાણે ચંદ્રાવતીના મનમાં ઉઠેલી કળનાં સિસકારાને વાચા આપી રહી હતી.


બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૫

બડે બાબુજી અને ડૉક્ટરસાહેબ હંમેશની જેમ રાજકારણ પર ચર્ચા કરતા હૉસ્પિટલ જઈ રહ્યા હતા.
“કાંગ્રેસ વર્કીંગ કમેટીને બ્રિટેન કો ક્વીટ ઈન્ડિયા કા જવાબ દે દિયા હૈ. ગાંધીજી કહ રહે હૈં કી મેરે જીવનકી યહ અંતિમ લડાઈ હોગી.”
“ઈધર  જીન્નાને ગાંધીજી કો સૂના દિયા હૈ - મુસલમાનોંકો બેવકૂફ બનાને મત જાના. પાકિસ્તાનકો સમ્મતિ દે દો વર્ના હિંદુસ્તાનકો આઝાદી મિલના મુશ્કીલ કર દેંગે. જીન્નાસા’બ હિંદોસ્તાઁ કે ટૂકડે કરને પર તૂલે હુવે હૈં.”
પિતાજીનો અવાજ સાંભળતાં જ ચંદ્રાવતી ઝબકીને જાગી ગઈ અને મશીનની સોય પર તેણે નજર નાખી. તેને યાદ આવ્યું કે સોય પર રાખેલી ચિઠ્ઠી તેણે પરોઢિયે જ ફાડી નાખી હતી. તેનું મન થોડું શાંત થયું. તેણે ઘડિયાળ તરફ જોયું. ‘સાડા આઠ થઈ ગયા તો’ય હું ઊંઘતી જ રહી ગઈ.બા મને હજી સુધી જગાડવા કેમ ન આવી?’ તેણે વિચાર્યું.

બાથરુમમાં જઈ તેણે મ્હોં ધોયું અને રસોડામાં પેસતાં બોલી, “આજે હું કેટલું મોડી ઊઠી છું!  સીલાઈ પતી ગયા પછી હું નવલકથા વાંંચવા લાગી ગઈ…”
“કઈ?” જાનકીબાઈએ પૂછ્યું.
“માડખોલકરની ‘શાપ’..”
“હાય મા! લેખકો પણ કેવા એકેક અભદ્ર નામ આપતા થયા છે તેમની બૂકોને!”
“મને થયું, રજાઓ છે તો સવારે નાહી ધોઈ, તને રસોઈ કરવામાં મદદ કરીશ.”
“અલી, રહેવા દે ને!”
“બા, આજે રોટલી હું બનાવીશ. તું તારાં પોથી - પુરાણ વાંચવા બેસ. હું નાહીને આ આવી…” ચ્હા પીતાં ચંદ્રાવતી બોલી.
“આજે વાળ ધોઈને નહાજે. ગમે તે દિવસે માથા પર ધડાધડ પાણી રેડવું સારું નહિ. સોમવારે  ભાઈની વહાલી બેનડીએ વાળ ધોઈને નહાવાનું ન હોય. શુક્રવારે સચૈલ - માથાબોળ સ્નાન કરવું. આ માતાજીનો વાર હોય છે, તેથી આમ સ્નાન કરવાથી અનિષ્ટ ટળી જતું હોય છે. આજે શુક્રવાર છે.”

ચંદ્રાવતી ચમકી ગઈ. ‘અરિષ્ટ? શાનું અરિષ્ટ? બા દુર્ભાગ્ય ટળી જવાની વાત કરે છે, એટલે શું તે…?'

“જરા થોભી જા. આજે હું જ તને ઉબટન ચોળીને સરસ રીતે નવડાવીશ. મેં આમળા - શિકાકાઈ ભીંજાવી રાખ્યા છે.”

“તું પણ કમાલ કરે છે, બા!”

“દીકરી, કમાલ તો નસીબ કરે છે. આટ-આટલા વર્ષોથી કરેલી ભક્તિ ભગવાન સુધી હજી પહોંચી નથી એવું જ કહેવાય ને?” જાનકીબાઈ સ્વગત બોલ્યાં.

“શું કહ્યું, બા?” ચંદ્રાવતીએ ગભરાઈને પૂછ્યું.

“મેં ક્યાં કશું કહ્યું? ચાલ, પેલી ખીંટી પરની જુની સાડી લપેટ અને વાળ ખોલ જોઉં! કેટલા દિવસથી તારા વાળને મારા હાથ નથી લાગ્યાં.”

ચંદ્રાવતી મૂંગી મંતર થઈને બાની પાછળ પાછળ બાથરુમમાં ગઈ.
***
સવારે અગિયારે’કના સુમારે શીલા ડરતાં ડરતાં બંગલામાં આવી. હૉલની વચ્ચેના ટેબલ પરની ઊંચી ફૂલદાનીમાં હંમેશની જેમ પુષ્પગુચ્છ ઝૂમી રહ્યો હતો તે જોઈને શીલાને થોડી ધીરજ મળ્યા જેવું લાગ્યું. આગળ વધી ત્યાં પૂજાઘરમાંથી ચાંદીની ઘંટડીનો રુમઝુમ અવાજ સંભળાયો અને સાથોસાથ જાનકીબાઈના અવાજમાં આરતીનાં સ્વર સંભળાયાં. વાતાવરણમાં ફેલાયેલા ધૂપ - કપુરની સુગંધ લેતાં લેતાં શીલાએ ઢીલા ઢફ મનથી પૂજાઘરમાં પ્રવેશ કર્યો.

“કેમ કાકી, સરસ પૂજા ચાલી રહી છે ને શું! પણ ચારે બાજુ  સન્નાટો કેમ છાઈ રહ્યો છે? કહું છું, ઘરમાં કોઈ કેમ દેખાતું નથી? ક્યાં ગયા છે બધા?”

પોતાના આસન પરથી પાછા વળી શીલા તરફ ઉનનું બીજું આસનિયું સરકાવી જાનકીબાઈએ આરતી પૂરી કરી. એકાદ ક્ષણ રોકાઈને શીલા બોલી, “કાકી, મંદસોરથી મારાં નાનાં ફોઈ આવ્યાં હતાં. ગઈ કાલે જ તેઓ પાછા ગયાં તેથી થયું, ચાલ, બંગલે થઈ આવું.”

“અલી શીલા, એકાંતરિયે અહીં આવતી જા ને! એટલું જ ચંદાને સારું લાગશે.”

“કાકી, અહીં આવવું હોય તો ઘોડાગાડી કરવી પડે છે.”

“તારી વાત સાચી છે. સારું, એ રહેવા દે. પણ મને કહે,  તારું કેટલે પહોંચ્યું?”

“એટલે? મારું શું કેટલે પહોંચ્યું?”

“અરે, તારા લગનનું, બીજું શાનું?”

“શું કહું? કંઈક ને કંઈક ચાલી રહ્યું છે. આટલામાં બાપુજી  બે વાર ગ્વાલિયર જઈ આવ્યા.”

“પછી?”

“શી ખબર? સાચી વાત કહું તો મને જોવા કોઈક આવવાનું છે એવું કહેવામાં આવે એટલે મારે ચ્હાનો ટ્રે લઈને સૌની સામે જવાનું. આમ ત્રણ - ચાર ટ્રે પાણીમાં ગયા..” કહી શીલાએ મ્લાન સ્મિત કર્યું. “ક્યાં’ક રુપ ઓછું પડ્યું તો ક્યાંક રુપિયા! મરવા જેવું થઈ આવે છે, કાકી, પણ શું કરીએ?”

“કેવું બરાબર બોલી! સ્ત્રી જન્મ છે તો આવું કરવું જ પડે ને? નકામું પાગલપણ કરીને તે કંઈ ચાલતું હશે?”

“કેવું પાગલપણ?” શીલાએ જાણી જોઈને પૂછ્યું.

“એ જ તો! ‘અમે અમારું પ્રદર્શન નહિ કરાવીએ, અમારા મનમાં હશે એવું જ કરીશું - તારી બહેનપણીની જેમ…” જાનકીબાઈ  હળવેથી બોલ્યાં.

પૂજાઘરમાં ટાંગેલી દત્તાત્રેયની છબિના કાચમાં પ્રતિબિંબીત થતી થરથરતી દીપ-જ્યોત તરફ શીલા જોતી રહી.

“એ લોકો મરાઠા અને આપણે પ્રભૂ. કેવી રીતે ફાવે, બોલ જોઉં? એના બાપુજી ગુસ્સામાં છે. દીકરી સાથે બોલવાનું પણ બંધ છે. અગાઉ દીકરી નજર સામે ન હોય તો પેટમાં કોળિયો ન ઉતરે.”

“હવે?” જાનકીબાઈ તરફ પ્રશ્નાર્થક નજરે જોતાં શીલા બોલી.

“અમારા હસતા - ખેલતા ઘરને કોણ જાણે ક્યા પાપિયાની નજર લાગી ગઈ છે! ઘરમાં કોઈ કોઈની સાથે બોલતું નથી. શેખર નાનો છે. એને કશી ખબર નથી પડતી એટલું સારું છે. હવે તે પણ બહાવરા જેવો થઈ ગયો છે…”

“ચંદાના બાપુજીને આ બધું ગમતું હોય એવું લાગતું નથી…” સ્વગત બબડતી હોય તેમ શીલાએ કહ્યું.

“દીકરીને તેઓ એવા તે વઢ્યા છે, શું કહું તને? ઉપરથી મને હુકમ આપે છે, ‘એનું મન સંભાળજો, તેને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખજો…તેની તબિયત સંભાળજો.’ બોલ જોઉં, શીલા, સરકસના ઊંચા તાર પર ઊભા રહીને કરવાની કસરત જેવું આ કામ છે કે નહિ? મુઓ આ સ્ત્રીઓનો જન્મ!”

“સાચે? તો પછી આપણે લગ્ન જ ન કરવા જોઈએ!”

“સાવ ઘેલી છો તું, શીલા. સ્ત્રી જાતને લગ્ન કર્યા વગર તે ચાલતું હશે?”

શીલા મનમાં જ હસી.

“ડૉક્ટરકાકાની વાત સમજી, પણ આ બાબતમાં તમારું શું કહેવું છે?”

“હું વળી શું કહેવાની હતી? તેમનું જે કહેવાનું થાય એ જ મારું કથન. એમણે પોતે જ ના પાડી, ત્યાં મારું શું ચાલે?”

“ખરી વાત છે, કાકી.”

“તારી બહેનપણીના મગજમાંથી આ નકામું ગાંડપણ કાઢી નાખ, શીલા.”

શીલા હવે અધીર થઈ. “ચંદા ક્યાં છે?”

“હમણાં જ તેણે નાહી લીધું છે. હવે પડી છે તેની રુમમાં. આ આઠ - દસ દિવસમાં તેણે પોતાની કેવી દશા કરી લીધી છે. કાળી ઠીકરી જેવી થઈ ગઈ છે. આખો દિવસ આંખો સામે ચોપડી પકડીને પડી રહે છે. સરખું ખાતી નથી કે નથી સરખું પહેરતી.”

“હું ચંદાને જોઈ આવું," કહી શીલા પૂજાઘરમાંથી ઊઠી અને ચંદ્રાવતીની રુમ ભણી ગઈ. ચંદ્રાવતી પલંગને અઢેલી હમણાં જ ધોયેલા વાળ પર કાંસકો ફેરવતી હતી.
“જે જે થયું તે બધું મને વિસ્તારથી કહે જોઉં,’ કહી  શીલા તેની પાસે બેઠી.

“બધું ખતમ થઈ ગયું,” ચંદ્રાવતીએ કહ્યું.

“કેમ?”

“પણ પહેલાં તું મને કહે, શીલા, સવ્વારના પો’રમાં તું આ બાજુ કેમની?”

“વિશ્વાસ સાથે નાસી જવાથી ડૉક્ટરકાકા અને કાકીને ઊંડો આઘાત લાગશે તેથી તેમને આશ્વાસન અને ધીરજ આપવા બંગલે આવવાનું મેં વિશ્વાસને વચન આપ્યું હતું. પણ તું તો અહીંયા બેઠી છો! શું વાત થઈ? મને થયું, અત્યાર સુધીમાં તો તું ઠેઠ…”
છલોછલ અશ્રુ ભરેલા નયનો સાથે, ધ્રુજતા અવાજમાં ચંદ્રાવતીએ પરોઢિયે થયેલા પ્રસંગનો પૂરો વૃત્તાંત શીલાને કહ્યો. “અૅન ઘડીએ મારું ધૈર્ય ખતમ થઈ ગયું. સર્વનાશ થયો મારો. વિશ્વાસની ઊણપ મારા ધ્યાનમાં આવી હતી, તેમ છતાં મને હવે એવું લાગે છે કે મારે તેની સાથે ચાલ્યા જવું જોઈતું હતું."
“સાંભળ, ચંદા. તેની સાથે તું ગઈ હોત તો પણ તને એવું લાગ્યું હોત કે તેની સાથે જઈને તેં ભૂલ કરી હતી ; ઘર નહોતું છોડવું જોઈતું. આપણે જે કરીએ છીએ તેના કરતાં જે નથી કર્યું તેની બેચેની થતી રહે છે. અજબ કિસમની આ દુવિધા હોય છે. હવે એક કામ કર. મુંબઈ જા. બી.એ. કે એમ.એ. કરી લે. આમ પણ તારા મામા તને ક્યારના બોલાવી રહ્યા છે. ત્યાંના વાતાવરણમાં તારું મન લાગશે. એકાદો સારો છોકરો પણ મળી આવશે…”

“છોકરાનું તો નામ પણ ના કાઢીશ. લગનના ફંદામાં બાબા હું ક્યારે’ય નહિ પડું.”

“તો પછી તું શું કરવાની છો?”

“પહેલાં તું કહે ; તું શું કરવાની છો, શીલા?”

“મા બાપે પસંદ કરેલા છોકરાના ગળામાં વરમાળા પહેરાવી તેનો સંસાર કરીશ, બીજું શું. અને તું?“

“આજકાલ વાચન કરું છું,  આસપાસના છોકરાંઓને ભણાવું છું. આગળ એ જ કામ ચાલુ રાખીશ. વખત જતાં નિશાળ ખોલીશ. કોઈ કામમાં મન તો પરોવવું પડશે ને, શીલા? ક્યારે'ક તને વિશ્વાસ મળે તો તેને કહે જે, મારાં આપ્તજનોનાં હૃદય દુભાવવાનું કામ મારાથી થઈ શક્યું નહિ.” ચંદ્રાવતીએ આંખો લૂછતાં કહ્યું.

“વિશ્વાસ અા વાત જાણી ગયો હશે.”

“તને મળવાનો છે?”

“તેને મળવાની શક્યતા હવે સાવ ઓછી છે. પણ ચંદા, ડૉક્ટરકાકા આટલા જુના વિચાર ધરાવતા હશે એવું મેં ધાર્યું નહોતું. તેમના પ્રમાણમાં તારી બા-“

“બાએ તને કંઈ કહ્યું?” ચંદ્રાવતીએ ઉત્કંઠાથી પૂછ્યું.

“ના રે ના! આ તો મારી ધારણા છે. હું આવી ત્યારે તારી બાનાં પૂજા-પાઠ ચાલી રહ્યા હતા. હું સીધી તારી રુમમાં આવી છું.”

“પહેલાં તો કદી નહિ, પણ હવે મને રોજ રાતે કેસર અને જાયફળ નાખીને ઉકાળેલું દૂધ આપે છે. મને સારી ઉંઘ આવે એટલા માટે. મને બાની દયા આવે છે. મારા માટે આટલું બધું કરે છે તેમ છતાં આ બાબતમાં તેની સાથે ખુલીને વાત નથી કરી શકતી.”

‘કેમ વળી?”

“બા આ વિશેની વાત કરતી નથી, તો હું તેને કંઈ કહી શકું કે? ઘણી વાર થાય છે કે તેના ખોળામાં માથું મૂકી મોકળા મને રડી લઉં અને બા મારી પીઠ પર હાથ ફેરવીને મને સાંત્વન આપે.” ચંદ્રાવતીની નયનોમાંથી નીરની ધારાઓ છૂટી અને ડૂસકું તેના કંઠ સુધી આવીને અટકી ગયું. “આ જાણે ઓછું છે, બાબાને  હવે દરરોજ ચક્કર આવવા લાગ્યા છે. શેખર વધુને વધુ હઠીલો થવા લાગ્યો છે. બાના લાડકોડથીજ એ બગડી ગયો છે. પણ કહે જોઉં, શીલા, બાએ પણ કેટલા મોરચા સંભાળવા?”

રસોડામાં તળાતાં ભજિયાંની સોડમ ઘરમાં ફેલાઈ રહી હતી. કઢાઈમાં પાપડ, ફરફરનો ચરચરાટ સંભળાવા લાગ્યો. મહેલમાં બાર વાગ્યાની તોપ ફૂટવાનો અવાજ સંાભળીને ચંદ્રાવતીએ આંખો લૂછી. તેણે બારીમાંથી બહાર નજર કરીને કહ્યું, “બાબાનો આવવાનો સમય થઈ ગયો છે. જમવાનું ટેબલ લગાડવું જોઈએ.”

બન્ને બહેનપણીઓ ડાઈનિંગ-રુમમાં ગઈ.

ડૉક્ટરસાહેબ ઘેર આવ્યા, પણ સીધા તેમના શયનકક્ષમાં જતા રહ્યા. જાનકીબાઈ તેમના ભોજનની ટ્રે તેમના શયનકક્ષમાં લઈ ગયાં. 

જમણ પતાવ્યા બાદ વાસણ-કૂસણ ઠેકાણે પાડી બન્ને સખીઓ ચંદ્રાવતીની રુમમાં ગઈ. એટલામાં જામુની - મિથ્લા રસોડાના દરવાજામાંથી તેના કમરામાં પહોંચી.

“આજ છુટ્ટી હૈ જામુની. જાઓ ઘર જા કે પઢો.”

“આ છોકરીઓ કેટલી મોટી દેખાવા લાગી છે, નહિ? અને તે પણ ભગવાને બેઉને એક જ પત્થરમાંથી કોતરી કાઢી હોય તેવી!” શીલા તેમના તરફ વહાલથી જોઈને બોલી.

“ભણવામાં પણ બન્ને સારી છે. તેમને આજકાલ થોડું થોડું અંગ્રેજી શીખવવા લાગી છું. જામુની મરાઠી શીખવવાનું શરુ કરવાની છું.”

“મરાઠી? તે શા માટે?”

“મરાઠી ભાષાનું માધુર્ય તેને સમજાવું જોઈએ કે નહિ? મરાઠીના ઉત્તમ પુસ્તકો તેને વાંચતા આવડવા જોઈએ. અને આપણી સંસ્કૃતિની તેને પહેચાન થવી જોઈએ.”

“તે જવા દે ‘લી. આ બુંદેલા સમાજની કન્યાઓ છે. દીકરીઓ અંગ્રેજી ભણે તે તેમના માબાપ કેવી રીતે ચલાવી લે? ગામડા ગામનાં અણઘડ લોકો છે તેઓ…” શીલાએ જામુની - મિથ્લા તરફ જોઈને કહેતાં તો કહી નાખ્યું, પણ બીજી ક્ષણે જીભ કચડી.

“તેમાં ન ચાલે એવું શું છે? અહીં હનુમાનજીના મંદિરની પાઠશાળામાં કેવું’ક ભણતર ચાલતું હશે તેની કલ્પના કર! ત્યાં જેમ તેમ કરીને ત્રણ - ચાર ચોપડીઓ સુધી ભણાવે છે - તે પણ હિંદીમાં. હવે બન્ને બહેનો અમારી ઘોડાગાડીમાં બેસીને ગામની કન્યાશાળામાં જવા લાગી છે. શેખરને હાઈસ્કૂલમાં મૂકી રામરતન તેમને કન્યાશાળા પહોંચાડી આવે છે. શાળા છૂટ્યા બાદ બધા એક સાથે આપણા ઘેર આવે છે. અનાયાસે તેમને નિશાળે જવા મળે છે અને અહીં ઘેર બેઠાં બન્ને છોકરીઓને મારી પાસે અંગ્રેજી શીખવા મળે છે. થોડા ઘણા અંગ્રેજી શબ્દો આવડે છે તેથી તેમનાં મા બાપ ગૌરવ અનુભવે છે.  હું તેમને અંગ્રેજી શીખવું છું તેથી સત્વંતકાકી પણ મારા પર ખુશ છે. ભૂલેચૂકે પણ હું સૂપડું લઈ ઘઉં વીણવા લાગું તો તેઓ આવીને તરત મારા હાથમાંથી તે ખેંચીને કહે છે, ‘અરી ચંદર, તોહરે હાથન સૂપડા નાહી સોહત. પોથી - પર્ચીહી અચ્છી લાગત. લા ઈત્તૈ, મૈં ફટક દૂઁ ગેહું..’

બન્ને બહેનપણીઓ ખડખડાટ હસી પડી.

“જાનકીકાકીને આ ચાલે છે?”

“એ તો તું પૂછીશ જ મા. એ તો કહે છે, ‘ચંદા, તું શા માટે આ માથાકૂટ કરે છે? આ ગામડિયાઓને તે શું આવડવાનું છે? નિશાળમાંથી આવી પહોંચે છે બંગલામાં તોફાન મસ્તી કરવા!’ આ જાણે ઓછું હોય, તેમની પાછળ સતત માથાકૂટ કરતી ફરે છે ;  કૅરમને હાથ ના લગડશો, ગ્રામોફોનને અડકશો મા…બસ આવું આખો વખત ચાલતું હોય છે. મારે નાની બહેન હોત તો તેને હું અંગ્રેજી શીખવતી હોત કે નહિ? અને આ જામુની જો. એટલી હોંશિયાર છે - શું વાત કરું? હવે તો તે અંગ્રેજી કવિતા પણ બોલવા લાગી છે!” કહી ચંદ્રાવતીએ જામુનીને કહ્યું, “જામુની, એક અંગ્રેજી કવિતા તો સૂના દો!”
જામુની એક હાથ લાંબી જીભ બહાર કાઢી ત્યાંથી દોટ મૂકીને નાસી ગઈ.

શીલા ઘેર જવા નીકળી.

“જરા થોભી જા ને! બેસ પાંચ મિનિટ. જોઉં છું, રામરતન આવ્યો છે કે નહિ. એ તને ઘેર પહોંચાડી દેશે. તું આવી તેથી મારો દિવસ સારો ગયો, નહિ તો…”

“નહિ તો શું, ઘેલી?”

“વિશ્વાસની યાદમાં ડૂબીને આંસુ સારતી બેઠી હોત. સાંજે અંધારું થતાં મારો પ્રાણ વ્યાકુળ થવા લાગે છે. વિશ્વાસ સાથે મારી પહેલી મુલાકાત સાંજના ટાણે જ થઈ હતી.”

“બસ કર હવે ચંદા. જે થયું ..”

“હવે તો બસ, એ જ કહેવાનું બાકી રહ્યું છે. વિશ્વાસે મારા પર મન:પૂર્વક પ્રેમ કર્યો. મને તે ઝીલતાં આવડ્યો નહિ. તે અણઘડ અને થોડો અહંકારી ભલે હોય, મેં જરુર તેની રહેન સહેનમાં વ્યવસ્થિતતા આણી હોત. જે હોય તે, પણ શું તેનો રુવાબ હતો! પ્રેમ મનુષ્યના મનમાં કેટલો પ્રચંડ ખળભળાટ મચાવી દેતો હોય છે તેની તો તને કલ્પના પણ નહિ આવે. આપણાં મનને સાવ વલોવી નાખે…”

“ના રે બાબા! આપણને નથી જોઈતો આવો ખળભળાટ અને વલોપાત!”

“શું કહું તને? આ વલોપાત જેટલો વણજોઈતો લાગતો હોય એટલો જ તે મનને જોઈતો હોય છે. આપણાં મનના ચિત્રપટના આપણે જ પ્રેક્ષક હોઈએ છીએ. ખેર! મારો પ્રેમ તો અસફળ રહી ગયો, પણ મારા માટે છેલ્લા સાડા-ત્રણ મહિનાનો એક એક દિવસ સુગંધિત હતો. આ સાડા-ત્રણ મહિના પર આખી જિંદગી ઓળઘોળ કરી નાખું એવું થાય છે.”

શીલા આશ્ચર્યથી ચંદ્રાવતી તરફ જોતી રહી. તેના ચહેરા પર બહેનપણી પ્રત્યે  ચિંતાની સૂક્ષ્મ રેખા ઊભરી આવી. 

“મારા હાથે પાપ થઈ ગયું તેનું શૂળ આખી જિંદગી ખૂંચ્યા કરશે,” એક ક્ષણ રોકાઈને ચંદ્રાવતી બોલી.

“પાપ?” શીલાએ ચમકીને લગભગ ચિત્કાર કર્યો.

“હા! ગણેશજીની મૂર્તિ પર હાથ મૂકીને લીધેલી સોગંદ તોડ્યાનું પાપ…”

એક છૂપી હાશનો શ્વાસ લઈ શીલાએ કહ્યું, “તું તો સાવ ગાંડી થઈ ગઈ છો!” અને બહેનપણીની પીઠ પર હાથ ફેરવતી રહી. 

જાનકીબાઈ ડાઈનિંગ-રુમમાં ચ્હા લઈ આવ્યાં.

“અલી શીલા, તું ફરી ક્યારે આવવાની છો? ગયા વર્ષે અમારે ત્યાં થયેલા ગણેશોત્સવમાં તું આવી નહિ. માસ્તરસાહેબ એકલા જ આવ્યા હતા. તારી બાને કહે જે કે મેં ખાસ બોલાવ્યાં છે. પાંચ દિવસમાં ગમે ત્યારે આવી જજો,” જાનકીબાઈએ દીકરીની બહેનપણીને આગ્રહભર્યા અવાજમાં કહ્યું.

“હું નીકળું છું, કાકી,” કહી શીલા ઉભી થઈ.

“આવજે. ગણપતિ સ્થાપનાના આગલા દિવસથી બંગલે જ રહેવા આવજે. હરિતાલિકાનો અપવાસ બેઉ બહેનપણીઓ સાથે રાખજો. બન્ને સાથે બેસીને પાર્વતિની પૂજા કરજો. આવતા વર્ષે ભોળા શંકર તમે બેઉ જણીઓ પર એક સાથે પ્રસન્ન થશે,” કહી જાનકીબાઈ વરંડા તરફ ગયા. તેમની પાછળ ઊભેલી ચંદ્રાવતીએ શીલા તરફ જોઈ હોઠ વાંકા કર્યાં.
રામરતને ઘોડાગાડી તૈયાર કરી રાખી હતી. શીલા તેમાં બેઠી અને ચંદ્રાવતીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “મારી સામે જો, ચંદા. બહુ વિચાર ના કરીશ, સમજી? નહિ તો મગજ પર ખરાબ અસર પડશે. અને વધુ પડતી ચોપડીઓ પણ વાંચીશ મા.”   

“શું કરું? બધા અપવાસ, વાર - તહેવારે કરેલા વ્રત, દેવ, ધર્મ -  બધું ચંબલમાં પધરાવી દેવાનું મન થાય છે,” ચંદ્રાવતી બોલી.

“અલી જરા ધીમે બોલ. કાકી સાંભળી જશે તો…”

શીલાને લઈ ઘોડાગાડી ધીમે ધીમે ગામ ભણી ગઈ અને અદૃશ્ય થઈ.

ચંદ્રાવતી ફાટક પાસે જ ઊભી હતી. અમનસ્ક ભાવથી.

સાંજ થવા આવી હતી.