Saturday, June 3, 2017

"આયો (ગુજરાતી) ગોરખાલી" - ભાગ ૨

બારામુલ્લા (કાશ્મીર) ૧૯૭૯.

સમયનું વહેણ નદીની ધારા જેવું છે. તેમાં પૂર આવતાં રહે છે અને આપણે તેમાં તણાતા જઇએ છીએ. ક્યારે ક્યાં ફંગોળાઇ જઇશું, કયા કાંઠા પર પડીશું તેનો અંદાજ કોઇને આવી શકતો નથી. ૧૯૬૫ની લડાઈ બાદ ૧૪ વર્ષ વિતી ગયા. આર્મર્ડ ડિવિઝન, ગોરખા પલ્ટન, મહારાજકે અને કલ્લેવાલી સમયના વહેણમાં ખોવાઇ ગયા. અત્યારે જીપ્સી બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં ડેપ્યુટી કમાન્ડન્ટના (મેજરના સમકક્ષ) હોદ્દા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇએ ફરજ બજાવી રહ્યો હતો. એક દિવસ હુકમ આવ્યો કે બારામુલ્લા ખાતે ડિવિઝનના અફસરોનો મેળાવડો યોજવામાં આવ્યો છે, અને તેમાં મારે હાજર રહેવાનું છે.

તે રાતે સખત ટાઢ પડી હતી. હું મારા સાથીઓ સાથે તાપણાં પાસે રમનો ગ્લાસ લઇને ઉભો હતો ત્યાં અચાનક મારી પાસે પીયૂષ ભટ્ટ આવ્યા. તેમણે મને દૂરથી જોયો અને સામે ચાલીને મળવા આવ્યા! હું તો અત્યંત ખુશ થઇ ગયો. મારા સાથીને તેમનો પરિચય કરાવતાં કહ્યું, “આ મારા ઘણા જુના મિત્ર મેજર ભટ્ટ છે. ૧૯૬૫ની લડાઇમાં અમે સાથે હતા...” અને મારૂં ધ્યાન તેમના પર્કા -કોટ પર કર્નલની રૅંકના ચિહ્નો તરફ ગયું. “સર, માફ કરશો. મને આપની રૅંકનો ખ્યાલ ન રહ્યો.”
કર્નલ ભટ્ટ હસી પડ્યા. “ અરે દોસ્ત, એવી ચિંતા નથી કરવાની. આટલા વર્ષે મળ્યા એનો આનંદ એટલો છે કે બીજી બધી વાતો અનાવશ્યક બની જાય છે.”
“આપ કર્નલ ક્યારે થયા?” મેં પૂછ્યું.
“થોડો જ સમય થયો. આમ તો મારૂં પ્રમોશન એક વર્ષ પહેલાં થયું હતું અને મને અન્ય બટાલિયનનો કમાન્ડ લેવાની અૉફર આવી. મને મારી પહેલવહેલી બટાલિયન 5/9 ગોરખા રાઇફલ્સનો કમાન્ડ જોઇતો હતો, તેથી એક વર્ષ રાહ જોવી પડી.”

મિલિટરીમાં અફસર તરીકે ભરતી થનાર દરેક અફસરની મહેચ્છા હોય છે કે જે બટાલિયનમાં તેમની પ્રથમ નીમણૂંક થાય તેના કમાન્ડીંગ અૉફિસર બનવાનું સદ્ભાગ્ય તેમને મળે. કર્નલ ભટ્ટનો એક વર્ષ સુધી પ્રમોશન મોકૂફ રાખવાનો નિર્ણય તેમની પ્રતિભાને અનુરૂપ હતો.
"૧૯૭૧ની લડાઇમાં અાપ ક્યાં હતા?" મેં પૂછ્યું.
“૧૯૬૫ની જેમ ૧૯૭૧ની લડાઇમાં પણ મજાની વાત થઇ ગઇ..” કર્નલ ભટ્ટે વાત શરૂ કરી.

***
૧૯૭૦ના અંતમાં તેમની બદલી મેજરના હોદ્દા પર ભુતાનમાં થઇ હતી ત્યારે તેમણે સ્ટાફ કૉલેજની એન્ટ્રન્સ પરીક્ષા આપી અને પાસ થયા. આ પરીક્ષા અત્યંત કડક હોય છે: આ પરીક્ષામાં બેસનારા અફસરોમાંથી કેવળ ૩ કે ૪ ટકા પાસ થતા હોય છે. ૧૯૭૧માં વેલીંગ્ટનમાં આ કોર્સ શરૂ થવાને થોડી વાર હતી તેવામાં યુદ્ધનાં વાદળો છવાયા. કોર્સ મુલત્વી રખાયો અને અફસરોને તેમના યુનિટમાં જવાનો હુકમ અપાયો. મેજર ભટ્ટને ડેરા બાબા નાનક ખાતે આવેલી વિશ્વવિખ્યાત 1/9 ગોરખા રાઇફલ્સમાં રિપોર્ટ કરવાનો હુકમ અપાયો.
મેજર ભટ્ટ ડેરા બાબા નાનક પહોંચ્યા અને પોતાની નવી કંપનીના જવાનોને મળે - ઓળખે તે પહેલાં લડાઇ શરૂ થઇ. આપણા સૈન્યમાં અફસર અને તેમના જવાનો વચ્ચે અદૃશ્ય પણ અતૂટ સંબંધ હોય છે. તેનો પાયો હોય છે પરસ્પર વિશ્વાસ, ભાવૈક્ય અને અફસરની નેતૃત્વ શક્તિ. આ ત્રણે વાતોનો સમન્વય ફળીભૂત થતાં મહિનાઓ-વર્ષો લાગી જતા હોય છે, કારણ કે આ સમયમાં તેઓ એક પરિવારની જેમ રણભુમિ જેવી સ્થિતિમાં સાથે રહીને યુદ્ધનો અભ્યાસ કરતા હોય છે. આ ખડતલ અભ્યાસ દરમિયાન જવાનોને ખ્યાલ આવે છે કે તેમના નેતાના ખભા પર પોતાના પ્રાણની રક્ષાનો ભાર મૂકી શકાય કે નહિ. બાકી ખરી પરીક્ષા તો યુદ્ધમાં ગોળીઓના વરસાદમાં નેતા કેવી રીતે તેમને વિજયના પથ પર દોરી જાય છે ત્યારે થાય. શાંતિના સમય દરમિયાન કંપની કમાન્ડર દરેક જવાનના ગામ, પરિવાર, તેની કૌટુમ્બીક પરિસ્થિતિ વિશે માહિતગાર થઇ તેમના પરિવારના સદસ્ય જેવા બની જાય છે. અહીં મેજર ભટ્ટ તેમના જવાનોને મળે, ઓળખે તે પહેલાં યુદ્ધ શરૂ થયું. આગળની વાત તેમના જ શબ્દોમાં:
“1/9 GRની ‘બ્રૅવો’ કમ્પનીનો કમાન્ડ લઇને ત્રણ દિવસ પણ નહોતા થયા અને મને હુમલો કરી રાવી નદીના પટમાં આવેલી ચોકીઓ પર અૅટેક કરી કબજે કરવાનો હુકમ મળ્યો. આ ચોકીઓનું સામરિક મહત્વ અગત્યનું હતું. યુદ્ધની પહેલી રાતે જ પાકિસ્તાનીઓએ આ ચોકીઓ કબજે કરી હતી. અહીંથી તેમની સેના આપણી મુખ્ય ધરા પર કૂચ કરી શકે તેવું હતું. કંપનીમાં આવ્યાના આ ત્રણ દિવસમાં હું ફક્ત મારી કમ્પનીના પ્લૅટૂન કમાન્ડર્સ તથા કમ્પની સાર્જન્ટ મેજરને ઓળખવા લાગ્યો હતો. તેવામાં  ૧૨૦ સૈનિકો - જેઓ મને ઓળખતા નહોતા તેમની આગેવાની થઇ મારે દુશ્મન પર હુમલો કરવાનો હતો.
પંજાબમાં રાવી નદીના પૂર ખાળવા માટે ધુસ્સી બંધ બાંધવામાં આવ્યો છે. ડેરા બાબા નાનક નજીક પૂરનું જોર ભારે હોવાથી ત્યાં ધુસ્સી બંધની ત્રણ ગોળાકાર હરોળ બાંધવામાં આવી. આ ‘રીંગ બંધ’ના નામથી ઓળખાય છે. દુશ્મને આ ત્રણે હરોળ પર કબજો કર્યો હતો. અમને તેના પર હુમલો કરી, રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને ઉખેડી આ ચોકીઓ પાછી મેળવવાનો હુકમ મળ્યો. મેં જગ્યાનું છુપી રીતે નિરીક્ષણ કર્યું અને હુમલાની યોજના બનાવી. રીંગ બંધની દરેક હરોળ પર એક પછી એક પ્લૅટૂન દ્વારા હુમલો કરી કબજે કરવાનો નિશ્ચય કર્યો. જવાનો મને ઓળખતા નહોતા તેથી આ વખતે દરેક પ્લૅટૂનની આગેવાની લેવાનું મેં નક્કી કર્યું. પહેલી હરોળ કબજે કરી જીતની નિશાની અાપતાં બીજી પ્લૅટૂન મારી પાસે આવી પહોંચે, અને તેને લઇ બીજી હરોળ પર ખાબકવાનું! આમ ત્રણે હરોળ પરના હુમલામાં મારા જવાનોને કહ્યું કે હું તમારૂં નેતૃત્વ કરીશ એવું જણાવતાં જવાનોનો ઉત્સાહ વધી ગયો.

દુશ્મનની કિલ્લેબંધી પર હુમલો કરતા ગોરખા રાઈફલ્સના જવાન.આક્રમક પંક્તિના મધ્યમાં કંપની કમાંડર હોય છે. જે કામ આવા હુમલામાં મેજર ભટ્ટે સંભાળ્યું હતું. જ્યારે ગોરખા સૈનિકો દુશ્મનની હરોળથી પંદર વીસ ગજ પહોંચે ત્યારે ખુખરીઓ વિંઝી "આયો ગોરખાલી"ના રણનિનાદથી હુમલો કરતા હોય છે.

“દુશ્મનને લાગ્યું હતું કે અમે સામેથી હુમલો કરીશું. અમે ચૂપકીદીથી અૅડવાન્સ કરી દુશ્મનની હરોળથી ૧૦૦ મીટર સુધી પહોંચી ગયા, અને મારી નિશાની પર “આયો ગોરખાલી”ની ત્રાડ પાડી અમે ધારદાર ખુલ્લી ખુખરી વિંઝતા જઇ દુશ્મન પર તેમની ડાબી પાંખ (flank) પર હુમલો કર્યો. અમારો રણનિનાદ સાંભળતાં દુશ્મને અમારા પર મશીનગન તથા રાઇફલ જેવા અૉટોમેટિક હથિયારોથી કારમો ગોળીબાર શરુ કર્યો. આવા સમયે અમારો ઉદ્દેશ દુશ્મનની હરોળ પર પહોંચી જઈ તેનો વધ કરવાનો હોય છે. ગોરખાઓની ખુખરીઓથી તો બીજા વિશ્વયુદ્ધમાં જર્મનો પણ હત:પ્રભ થઈ ગયા હતા! ડાબી પાંખના હુમલાની મારી યોજના સફળ થઇ. ઝડપથી અમે એક પછી એક રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને મારી હઠાવ્યો."
***
કલ્પના કરી જુઓ: એક ગુજરાતી અફસર તેના ગોરખા સૈનિકો સાથે હાથમાં ભયાનક ખુખરી વિંઝતા દુશ્મન પર “આયો ગોરખાલી”ના યુદ્ધ-નિનાદથી દોડી જતો જોવાનું દૃશ્ય કેવું અદ્ભૂત અને રોમાંચકારક હશે!

***
કર્નલ ભટ્ટે કહ્યું, “મારી કામગિરી આટલેથી અટકી નહોતી. અમને માહિતી મળી કે રાવી નદીના કિનારા પર આપણી રક્ષાપંક્તિમાં ખામી રહી ગઇ હતી. અમારી બ્રિગેડ તથા અમારા ડાબા પડખા પર આવેલી બ્રિગેડ વચ્ચેના વિસ્તારમાં કેટલાક કિલોમીટરનો gap હતો, જેમાં કમાંડરોની શરતચૂકને કારણે આપણી સેનાને મૂકવામાં આવી નહોતી. દુશ્મનને તેની જાણ થતાં તે રાવિ નદી પાર કરી ઠેઠ અમૃતસર તરફ કૂચ કરી શકે તેમ હતું. આવું થાય તો આખા અમૃતસર સેક્ટર તથા ગુરદાસપુર - પઠાણકોટનો ધોરી માર્ગ તેમના હાથમાં પડી જાય તેવી સ્થિતિ હતી. તેથી રાતોરાત મારી જવાબદારીના સેક્ટરમાં આવેલી જગ્યામાં મારી કંપનીને માઇન્સની જાળ બીછાવવાનો હુકમ મળ્યો.
(નોંધ: અહીં વાચકોને કદાચ યાદ હશે કે "ખોવાયેલા સૈનિકોની શોધમાં"ના શિર્ષક હેઠળ જીપ્સીની ડાયરીમાં વર્ણન કર્યું હતું કે ડેરા બાબા નાનકના છ-સાત કિલોમીટરના વિસ્તારમાં જીપ્સીએ આપણી રક્ષાપંક્તિ-વિહીન સ્થાન જોયું હતું અને તેનો રિપોર્ટ બ્રિગેડ કમાન્ડરને આપ્યો હતો. આ માહિતીના પરિણામે તે જગ્યાએ માઇન્સ બીછાવવા ભટ્ટસાહેબની કંપની ગઇ હતી.)
“મારી કંપનીને જ્યાં માઇન્સ બીછાવવાની હતી ત્યાંથી આપણી હિલચાલ પર નજર રાખવા માટે દુશ્મને ખડી કરેલ ‘અૉબ્ઝર્વેશન પોસ્ટ' કેવળ સો મીટર દૂર હતી. માઇનને જમીનમાં પૂર્યા પછી તેને ‘આર્મ’ - એટલે સેફટી પિન કાઢી તેને જીવંત કરવામાં જરા જેટલી ભૂલ થાય તો માઇન ફાટે અને તે બીછાવનાર જવાનના ફૂરચેફુરચા ઉડી જાય. રાતના અંધકારમાં અમારૂં કામ પૂરૂં થવા આવ્યું ત્યાં પરોઢના ભળભાંખડામાં દુશ્મનનો નિરીક્ષક અમને જોઇ ગયો. તેણે તરત જ અમારા પર તોપખાનાના ગોળા વરસાવવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે તોપના ગોળાનાે ફ્યૂઝ તેની ટોચ પર હોય છે, જેથી ગોળો જમીન પર પડે કે તે ફાટે. કેટલાક ફ્યૂઝમાં timer હોય છે જેથી ગોળા હવામાં જ ફાટે અને તેની જીવલેણ કરચ વરસાદની જેમ સૈનિકો પર પડે. દુશ્મને અમારા પર આ પ્રકારના ગોળા છોડવાનું શરૂ કર્યું. આકાશમાં બૉમ્બ ફૂટતાં ઉપરથી ધારિયા જેવી કિલો-બે કિલો વજનની ઘાતક shrapnel વરસાદની જેમ અમારા પર પડવા લાગી. મારા કેટલાય સૈનિકો ઘાયલ થયા અને ઘણા જવાનોએ પ્રાણની આહુતિ આપી. આવી ભારે કરચ મારા કાન પાસેથી સૂસવાટા કરતી વિંઝાઈને જતી હતી. તમે પોતે ૧૯૬૫માં આનો અનુભવ કર્યો છે તેથી તેની ભયાનકતા તમે જાણો છે. આ વખતે પરમાત્માએ મને કદાચ એટલા માટે જીવનદાન આપ્યું કે એક દિવસ કદાચ હું તમને મારી વાત કહી શકું.”


એક જ યુદ્ધમાં સુરસા રાક્ષસીની જેમ મૃત્યુ બે વાર મ્હોં ખોલીને ઉભું હતું તેનો સામનો કરી પોતાને સોંપાયેલી કામગિરી પૂરી કરવા માટે ભારત સરકારે મેજર ભટ્ટને વીરતા માટે સેના મેડલ એનાયત કર્યો. ત્યાર બાદ કર્નલના પદ પર અને બ્રિગેડિયર તરીકે હિમાલયના વિષમ વિસ્તારમાં પદોન્નતિ થઈ, જ્યાં તેમને ઉત્કૃષ્ટ સેવા બજાવવા બદ્દલ વિશિષ્ટ સેવા મેડલ એનાયત થયો. છેલ્લે ૨૦,૦૦૦થી વધુ સૈનિકોની સેનાના જનરલ અૉફિસર કમાંડીંગ તરીકે મેજર જનરલના હોદ્દા પર તેઓ નિવૃત્ત થયા. હાલ મેજર જનરલ પીયૂષ ભટ્ટ, SM, VSM (Retired) અમદાવાદમાં વસે છે.

જુની મૈત્રીનો આદર કરી આ પ્રસ્તૂતકર્તાના પુસ્તક 'જિપ્સીની ડાયરી'માં જનરલ ભટ્ટે પ્રસ્તાવના લખી છે. 

Tuesday, May 30, 2017

ભારતીય સેના અને ગુજરાત: "આયો ગુજરાતી ગોરખાલી" - ગોરખા બટાલિયનના ગુજરાતી અૉફિસરની અજાણી ગાથા

કૅપ્ટન પીયૂષ: ૬ સપ્ટેમ્બર ૧૯૬૫

મિલિટરીમાં સૈનિકો અને અફસરો બે વસ્તુઓની ચાતકની જેમ રાહ જોતા હોય છે: એક તો ઘેરથી આવતા પત્રની અને વર્ષમાં મળતી બે મહિનાની ‘અૅન્યુઅલ લીવ’ની. ઘણી વાર તો અફસરોને પૂરી રજા માણવાની તક ન મળે, કેમ કે પાડોશી દેશના કોઇ ને કોઇ ઉપદ્રવને કારણે સૈનિકોને રજા પરથી પાછા બોલાવવામાં આવે છે.

આવી જ રીતે બે મહિનાની રજા પર ગોરખા રેજીમેન્ટના યુવાન કૅપ્ટન પીયૂષ અમદાવાદ આવ્યા હતા. થોડા દિવસ સગાવહાલાંઓને મળવામાં ગાળ્યા અને એક દિવસ મિત્રની સાથે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સવારે શહેરમાં જઇ અૅડવાન્સ બુકિંગ કર્યું અને બપોરનું ભોજન કરવા બેઠા. સાથે રેડીયો અૉન કરી વિવિધ ભારતીમાં સુંદર ગીત સાંભળતા હતા ત્યાં અધવચ્ચે ગીત બંધ થયું અને આકાશવાણીના અૅનાઉન્સરના ગંભીર શબ્દો સંભળાયા:
“એક અગત્યની સૂચના. રજા પર ઘેર ગયેલા બધા સૈનિકો તથા અફસરોને જણાવવામાં આવે છે કે તેમની રજા રદ કરવામાં આવી છે. તેમણે તરત જ પોતાના યુનિટમાં પાછા પહોંચી જવું. આ અંગેના લેખિત હુકમ દરેક સૈનિકને મળી જશે. સૂચના સમાપ્ત થઇ.”


લેખિત હુકમની રાહ જુએ તેવા આ અફસર નહોતા. ભોજન પતાવીને તેમણે સામાન પૅક કર્યો અને સીધા કાળુપુર સ્ટેશન પર પહોંચી ગયા. ત્યાં સેવારત મિલિટરી મૂવમેન્ટ કન્ટ્રોલ અૉફિસરને મળી પોતાના યૂનિટનું ‘NRS’ - Nearest Railway Station  પૂછ્યું.

5/9 ગોરખા રાઈફલ્સનો કૅપ બૅજ
“તમારૂં યુનિટ 5/9 GR છે? એક મિનીટ, સર..... તેનું NRS પઠાણકોટ છે.”

નવમી ગોરખા રાઇફલ્સ રેજીમેન્ટની પાંચમી બટાલિયનના આ સંજ્ઞાત્મક અક્ષરો 5/9 GR થી ઓળખાય છે.

લગભગ ચોવીસ કલાકના પ્રવાસ બાદ કૅપ્ટન પઠાણકોટ પહોંચી ગયા. આમ તો તેમને રસ્તામાં જ ખબર પડી ગઇ હતી કે પાડોશી દેશ સાથે લડાઇ શરૂ થઇ ગઇ હતી. પઠાણકોટ સ્ટેશન પર મુવમેન્ટ કન્ટ્રોલે તેમને જણાવ્યું કે તેમનું યુનિટ પાકિસ્તાનમાં કોઇ unknown locationમાં છે. “તમારી બટાલિયનના ‘બી-એશલૉન’ (રણભુમિમાં યુદ્ધ કરી રહેલા સૈનિકો માટે ભોજન, દારૂગોળો, રોજની ટપાલ વિ. તૈયાર કરી આગળ પહોંચાડવા માટેની નિર્ધારીત જગ્યા) સુધી પહોંચાડવાની અમે વ્યવસ્થા કરીશું. ત્યાંથી આગળ યુદ્ધભુમિ સુધી પહોંચાડવાનો બંદોબસ્ત તમારા ક્વાર્ટરમાસ્ટર કરી આપશે,” મુવમેન્ટ કન્ટ્રોલરે તેમને જણાવ્યું.

કૅપ્ટન પિયૂષ સાંબા જીલ્લામાં પાકિસ્તાનની સીમા પર આવેલ રામગઢ નામના નાનકડા ગામના પાદર પર આવેલ તેમના યુનિટના બી-અૅશલૉનમાં પહોંચી ગયા. લડાઇ પૂર જોશમાં ચાલી રહી હતી. યુદ્ધ ક્ષેત્રમાં જરા પણ આપણી સૈનિક કાર્યવાહી દેખાય કે દુશ્મન તરત તોપમારો શરૂ કરતો હતો. તેમના તોપખાનાના FOO (ફૉર્વર્ડ અૉબ્ઝર્વેશન અૉફિસર્સ) તેમના પ્રદેશમાં સંતાઈને વાયરલેસ પર તેના તોપખાનાના કમાન્ડરને માહિતી આપી આપણાં વાહનો પર અચૂક મારો કરાવતો હતો. ક્વાર્ટરમાસ્ટરે તેમની બટાલિયન ક્યાં છે તે તો જણાવ્યું, પણ ત્યાં સુધી તેમને લઇ જવા માટે અશક્તિ દર્શાવી. “છેલ્લા ચાર દિવસથી આપણી રાશનની ગાડીઓ બહાર નીકળે કે દુશ્મન તોપમારો કરે છે. તું આવ્યો તે પહેલાં જ તેમના F86 વિમાનોએ ‘સ્ટ્રેફીંગ’ કરી આપણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આજે રાતે મોરચા પર પહોંચવાનો ફરીથી પ્રયત્ન કરીશું. અંધારૂં થાય ત્યાં સુધી અહીં રોકાઇ જા.”

“બસંતસિંહ, હું રાત સુધી રોકાવા તૈયાર નથી. મારે પલ્ટનમાં તરત પહોંચવું છે. દિવસના અજવાળામાં ચાલી નીકળીશ તો સાંજ સુધીમાં પહોંચી જઇશ.”

કૅપ્ટન બસંતસિંહ આ સુકલકડી પણ ટટ્ટાર બાંધાના પોતાના સાથી અફસર તરફ જોઇ રહ્યો. પીયૂષે સવારમાં મળેલ સિચ્યુએશન રીપોર્ટમાં જોયું કે તેમની બટાલિયન ક્યા સ્થાન પર છે. One-inch-to a-mile ના સ્કેલના નકશામાં જોઇ તેમણે ગ્રીડ રેફરન્સ કાઢ્યો અને નીકળવાની તૈયારી કરી. કૂચ કરવા માટે ૧૭ કિલો વજનની ઇક્વીપમેન્ટ પીઠ પર ચડાવી, ખભા પર રાઇફલ ટાંગી તેમણે કમર પર ખુખરી બાંધી. કમર પર રાઈફલની ૫૦ ગોળીઓ, ગ્રેનેડ્ઝ અને સાઈડ પૅકમાં બે દિવસનું એમર્જન્સી રાશન, પાણીની બાટલી, નકશો અને પ્રીઝ્મેટીક કમ્પાસ (હોકાયંત્ર) લઇ ભર બપોરના એકલાજ પાકિસ્તાનના સિયાલકોટ જીલ્લાના પ્રદેશમાં નીકળી પડ્યા. રસ્તામાં પડતા ગામડાંઓમાંથી છુપાઈને ગોળીબાર કરતા પરદેશી સિપાઈઓ, FOO દ્વારા કરાવાતી બૉમ્બવર્ષા થતાં ખેતરની પાળ આડે પોઝીશન લઈ, વાતાાવરણ શાંત પડતાં તેમની આગેકૂચ શરૂ થતી. વચ્ચે જ રોકાઇને હોકાયંત્ર તથા નકશામાં અંશ-કોણ તપાસી યોગ્ય દિશામાં જઇ રહ્યા છે કે નહિ જોઇ તેઓ કૂચ કરતા રહ્યા. રાતના સમયે તેઓ પાકિસ્તાનના મહારાજકે ગામની સીમમાં સંરક્ષણાત્મક પોઝીશનમાં બેઠેલી બટાલિયનના હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે કમાન્ડીંગ અૉફિસર કર્નલ ગરેવાલ ચકિત થઇ ગયા. ૩૬ કલાક અગાઉ મોકલાવેલા તારના જવાબમાં કેવળ સો-બસો કિલોમીટરના અંતરે રહેતા અફસર હજી બટાલિયનમાં પહોંચ્યા નહોતા. અહીં તો લગભગ હજાર કિલોમીટરથી પણ વધુ દૂર રહેતા કૅપ્ટન પીયૂષ પાકિસ્તાનમાં અજાણી જગ્યાએ સતત ટ્રેન, ટ્રક અને પગપાળા નકશા-હોકાયંત્રની મદદ વડે પહોંચી ગયા હતા.

જિપ્સીની વાત:

(માર્ચ ૨૦૦૯ના “જીપ્સીની ડાયરી”ના અંકોમાં યુદ્ધ શરુ થતાં પહેલાંનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તેથી આપને સીધા યુદ્ધભૂમિ પર લઇ જઇશ.)

સ્થળ: પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લાના મહારાજકે નામના ગામની સીમમાં આવેલી જમરૂખની વાડી.

તારિખ: ૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની સવાર.

 રોજ સવારે અફસરોને દિવસના હુકમ તથા યુદ્ધની સ્થિતિની માહિતી મેળવવા માટે અમે 5/9 GRના સીઓ કર્નલ ગ્રેવાલના બંકરમાં જઈએ. તે દિવસના ‘બ્રીફીંગ’માં મેં એક નવા અફસરને જોયા. મીટીંગ પતી ગયા બાદ હું તેમને મળ્યો અને મારો પરિચય આપ્યો.

“આય અૅમ કૅપ્ટન ભટ્ટ,” તેમણે પોતાનું નામ કહ્યું.
“ભટ્ટ એટલે ગઢવાલના કે કુમાયૂંના?” મેં પૂછ્યું.
ભટ્ટ હસી પડ્યા. “બેમાંથી એકેયનો નહિ. હું ગુજરાતનો છું.”

કેપ્ટન ભટ્ટ અને લેફ્ટનન્ટ નરેન્દ્ર: બન્ને એક જ શહેરના રહેવાસી, પણ એકબીજા વિશે અમને ખબર નહોતી! ઝાંસીની આસપાસના જંગલોમાં ત્રણ મહિના પહેલાં થયેલી યુ્દ્ધકળાના અભ્યાસની એક્સરસાઇઝમાં પણ અમે મળ્યા નહોતા. મળ્યા તો પાકિસ્તાનના ચરવાહ પાસેના મહારાજકે ગામની જમરૂખની વાડીમાં! જ્યાં અમારા પર શત્રુની બૉમ્બવર્ષા ગમે ત્યારે તૂટી પડતી હતી.

આ મુલાકાત બાદ પાકિસ્તાનના ફિલ્લોરા ગામ પાસે ઘમસાણ યુદ્ધ થયું. તેમાં આપણી સેનાએ મેળવેલ ફતેહ એક ઐતિહાસીક બનાવ હતો. તેનું વર્ણન 'જીપ્સીની ડાયરી'ના જુના અંકોમાં લખવામાં આવી છે તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. કેવળ કૅપ્ટન ભટ્ટની કામગિરીની વાત કહીશ.

ફિલ્લોરા પરના વિજય બાદ પીછેહઠ કરી ગયેલી પાકિસ્તાનની સેનાની એક ટૅંક તેમણે અમારી નજીકના ‘No man’s land’માં આવેલા શેરડીના ખેતરમાં તેમણે તેને એવી રીતે સંતાડી હતી કે તેને શોધવી મુશ્કેલ હતી. તેના ચાલાક અને બહાદુર સૈનિકો અમારા પર ગોલંદાજી કરીને જગ્યા બદલતા રહેતા હતા. કર્નલે કૅપ્ટન ભટ્ટને આ ટૅંક શોધી તેને ઉડાવી દેવાનું કામ સોંપ્યું. વાઘનો શિકાર કરવા પગપાળા જવા સમાન આ ખતરનાક કામ હતું. સ્વાભાવિક છે કે આ કામ પર જનાર ટુકડીને ‘ટૅંક હન્ટીંગ પાર્ટી’ કહેવામાં આવે છે.
રાતના અંધારામાં કૅપ્ટન ભટ્ટ પોતાની આગેવાની નીચે છ સૈનિકોની ટુકડીને લઈ બહાર પડ્યા. અવાજ કર્યા વગર તેઓ શેરડીના ખેતરમાં ઉતરી દુશ્મનની મોરચાબંધીમાં ગયા. આ કામ સહેલું નથી હોતું. બે દિવસ ઉપર મધરાતના સમયે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ મનોહર આ કામ પર ગયા હતા. તેમના કમભાગ્યે દુશ્મન પોતાની ટૅંક્સ પર ફિટ કરેલી રાતના સમયે જોઈ શકાય તેવી ઇન્ફ્રા-રેડ કિરણની  દૂરબીનથી તેમને જોઈ ગયા હતા. તેમના પર છોડાયેલ મશીનગનના મારામાં કર્નલ મનોહર તથા તેમના દસ સિપાહીઓ શહીદ થયા હતા.

કૅપ્ટન ભટ્ટ આ વાત જાણતા હતા તેથી તેઓ તથા તેમની આગેવાની નીચેના સૈનિકો ચિત્તાની જેમ ચપળતાથી જમીન પર સરકતા ટૅંકની નજીક પહોંચ્યા. કૅપ્ટન ભટ્ટે ટૅંક પર ચઢી, તેનું હૅચ (ઢાંકણા જેવી બારી) ખોલી તેમાં ગ્રેનેડ નાખીને ત્યાંથી દૂર નીકળી ગયા. ગ્રેનેડના ધડાકાથી ટૅંકની અંદરના દારૂગોળાનો વિસ્ફોટ થયો અને ટૅંક ઉદ્ધ્વસ્ત થઇ. સફળતાપૂર્વક કાર્ય પૂરૂં કરી કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો સહિસલામત પાછા આવ્યા.

ખુખરી સાથે હુમલો કરતા ગોરખા સૈનિક. તેમનો યુદ્ધનો લલકાર છે
"જય મહાકાલી, આયો ગોરખાલી"
બે દિવસ બાદ અમારી બટાલિયનને બીજી કામગિરી મળી: પાકિસ્તાનના જ કલ્લેવાલી નામના ગામની નજીક દુશ્મનની મોરચાબંધી પર હુમલો કરી તેના પર કબજો કરવાનું. અહીં આવી પહોંચનારી કૂમક આગળ આક્રમક કારવાઇ કરવાની હતી. આમ કલ્લેવાલીમાં રાતના સમયે બે બટાલિયનોના આ બેઝ પર દુશ્મન બૉમ્બવર્ષા ન કરે તે માટે દુશ્મનનું ધ્યાન બીજે દોરવાનું કામ કૅપ્ટન ભટ્ટને સોંપાયું. આ માટે તેમણે કુનેહપૂર્વક યોજના કરી. તેઓ તેમની થ્રી-ઇન્ચ મૉર્ટર (ઇન્ફન્ટ્રીના ‘મિનિ તોપખાના)ની પ્લૅટૂનને લઇ તેઓ બેઝની પૂર્વ દિશામાં ૭૦૦-૮૦૦ ગજ દૂર ગયા. ત્યાં મૉર્ટર્સ ગોઠવી દુશ્મનની હરોળ પર તેજ ગતિથી ગોલંદાજી કરી, તરત જ મૉર્ટર્સ ઉંચકી મૂળ સ્થાનની વિરૂદ્ધ દિશામાં દોડી ગયા અને ત્યાં પહોંચી મૉર્ટર્સ ગોઠવી. આનું કારણ એ હતું કે દુશ્મન પાસે એવા ઉપકરણ હતા જેની મદદ વડે જ્યાં આપણી તોપનો ગોળો પડે તેનો પ્રતિકોણ (reverse angle) કાઢી આપણી તોપ/મૉર્ટરનું સ્થાન શોધી શકતા હતા અને થોડી મિનીટોમાં જ આપણી પોઝીશન પર ગોળા વરસાવતા હતા. દુશ્મન આ કાર્યવાહી કરે તે પહેલાં કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો બીજા સ્થાન પર પહોંચી જતા, અને ત્યાં પહોંચીને અગાઉની જેમ મૉર્ટરના ગોળા છોડી સ્થાન બદલતા રહ્યા. આ કારણે તેઓ પોતે અને તેમના સૈનિકો દુશ્મનની ગોલંદાજીથી બચતા ગયા,અને ફર્મ બેઝ પરથી દુશ્મનનું ધ્યાન બીજે દોરતા રહ્યા. આ કામ સહેલું નહોતું: એક એક મૉર્ટરનું વજન ૫૦ કિલોગ્રામ હોય છે, અને તેના એક એક ગોળાનું વજન ૭-૮ કિલોનું હોય છે. આવી ત્રણ મૉર્ટર્સ અને ૩૦ ગોળાઓ ઉંચકીને કૅપ્ટન ભટ્ટ અને તેમના પચાસ જવાનો પાકિસ્તાનની આપણા માટે સાવ અજાણી એવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને જતા હતા. આનું પરિણામ એ આવ્યું કે દુશ્મન કૅપ્ટન ભટ્ટે ખાલી કરેલી જગ્યા પર ગોળા વરસાવતા રહ્યા અને જ્યાં આપણી સેનાએ 'ફર્મ બેઝ' બનાવ્યો હતો તે સુરક્ષીત રહ્યો.

આપણી સેના સિયાલકોટ શહેરથી કેવળ છ કિલોમિટર સુધી પહોંચી હતી. તેના પર હુમલો કરી શહેર કબજે કરાય તે પહેલાં તાશ્કંદમાં રશિયાની મધ્યસ્થીમાં યુદ્ધવિરામ થયો. આપણી સેનાને શાંતિના સ્થળે જવાના હુકમ અપાયા. મારી બટાલિયન અંબાલા ગઇ અને કૅપ્ટન પીયૂષ ભટ્ટ તથા તેમની ગોરખા પલ્ટન બીજા શહેરમાં ગઇ. સમ્પર્ક ન રહ્યો, પણ સ્મૃતી તાજી રહી. 


જો કે વાત અહીં પૂરી નહોતી થઇ. કૅપ્ટન પીયૂષ ભટ્ટની હજી ઘણી વાતો કહેવાની બાકી છે - જે આવતા અંકમાં કહીશું. 

Thursday, May 25, 2017

“ધેર આાર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી”


૧૯૬૩ની વાત છે. ચીન સામે કારમી હાર અનુભવ્યા બાદ અમદાવાદના અમે કેટલાક મિત્રોએ નક્કી કર્યું કે દેશની સાચી સેવા કરવી હોય તો આપણે મિલિટરીમાં જોડાઈ મોરચા પર લડવા જવું. અમદાવાદના કૅમ્પ વિસ્તારમાં આવેલી મિલિટરીની ભરતી કચેરીમાં અમે તપાસ કરી, જરૂરી ફૉર્મ મેળવ્યા અને જતાં પહેલાં ત્યાંના શીખ રિક્રુટિંગ અૉફિસરને પૂછ્યું, “ભારતીય સેનામાં ગુજરાત રેજિમેન્ટ છે? હોય તો અમારે તેમાં ભરતી થવું છે.”

“ધેર આર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી,” કૅપ્ટન સાહેબ હસીને બોલ્યા. તેમના હાસ્યમાં રમૂજ કરતાં તિરસ્કારની ઝાંય વધુ દેખાતી હતી. 

જિપ્સી ભલે સૌરાષ્ટ્રના ‘Backwoods'માંથી આવ્યો હોય, પણ થોડો ઘણો અભ્યાસ હતો તેથી ચહેરા પર બનાવટી નિર્દોષતા આણી તેણે કૅપ્ટનસાહેબને પૂછ્યું, “સાહેબ, જનરલ મહારાજ રાજેન્દ્રસિંહજી ક્યાંના હતા?”

“જનરલ રાજિંદરસીંઘ? અમારા ભૂતપૂર્વ આર્મી ચીફ વિશે પૂછો છો? અરે, એ તો પંજાબ અથવા રાજસ્થાનના જ હોય. તમે શા માટે પૂછો છો?”

અમે જવાબમાં સ્મિત આપ્યું અને ત્યાંથી નીકળી ગયા. રિક્રુટિંગ અૉફિસર વિમાસણમાં દાઢી પર હાથ ફેરવતા રહ્યા.

***


આ પ્રસંગ લખવાનો એક માત્ર ઉદ્દેશ એ છે કે કેવળ મિલિટરીમાં જ નહિ, આખા દેશમાં - આપણા ગુજરાતમાં સુદ્ધાં એક સ્ટિરિઓટાઈપ થયેલી માન્યતા છે કે ગુજરાતીઓ કેવળ વ્યાપારમાં પાવરધા છે. ભારતમાં  સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાત છે અને તે આપણી વ્યાપારી અને વ્યાવહારિક કુનેહને લીધે છે. આ પ્રતિષ્ઠા પાછળ આપણી સૈનિક પરંપરા ઢંકાઈ ગઈ છે. ગુજરાતના સૈનિકો તથા સેનાપતિઓએ હંમેશા પોતાની ભારતીયતા જાહેર કરી. તેમના અંગત જીવનની, તેમના ઉછેર, સંસ્કાર તથા તેમની પ્રાદેશિક પાર્શ્વભૂમિ વિશે બહુ ઓછા ભારતીયો જાણતા થયા. તેમાં સૌથી વધુ પ્રખ્યાત પણ ગુજરાતી હોવાની પહેચાન ન ધરાવતા સેનાપતિ હતા જનરલ મહારાજશ્રી રાજેન્દ્રસિંહજી. 

***
જનરલ રાજેન્દ્રસિંહજીનો જન્મ જામનગરના રાજપરિવારમાં સન ૧૮૯૯ની ૧૫મી જુને સડોદર ગામે થયો હતો. તેમના પિતરાઈ નવાનગરના જામસાહેબ રણજીતસિંહ - જેઓ પ્રિન્સ રણજીના નામે ક્રિકેટમાં વિશ્વવિખ્યાત થયા હતા, તેમણે રાજેન્દ્રસિંહજીની રાજકુમાર કૉલેજમાં થયેલી સ્પર્ધામાં બૅટિંગનું કૌશલ્ય જોઈ તેમને ઇંગ્લૅન્ડની ખાનગી શાળા માલ્વર્ન કૉલેજમાં ભણવા મોકલ્યા. તેમની ઇચ્છા રાજેન્દ્રસિંહજી પણ તેમની જેમ ઇંગ્લૅન્ડની રાષ્ટ્રિય ટીમમાં સ્થાન મેળવે.

રાજેન્દ્રસિંહજીનો શોખ જુદો જ હતો. બચપણથી તેમને ઘોડેસ્વારી તથા શિકારમાં રસ હતો. પોલોની રમતમાં તથા નિશાનબાજીમાં તેઓ પાવરધા હતા. તેમને ક્રિકેટને કારકિર્દી બનાવવા કરતાં સૈન્યમાં જોડાવાનું વધુ ગમ્યું. તેમની ઇચ્છા બ્રિટિશ સેનામાં અશ્વદળની સેંકડો વર્ષ જુની રેજીમેન્ટમાં અફસર થવાની હતી. આ માટે તેમણે Surrey કાઉન્ટીમાં આવેલ સુપ્રસિદ્ધ સૅન્ડહર્સ્ટની રૉયલ મિલિટરી અૅકેડેમીમાં સ્થાન મેળવ્યું. ૧૯૨૧માં કેવળ ૨૨ વર્ષની વયે શાહી જીવનશૈલી છોડી સૈનિકનું ખડતલ જીવન પસંદ કર્યું. તે જમાનામાં લશ્કરી તાલિમ મેળવવા સૅન્ડહર્સ્ટમાં ભાગ્યેજ કોઇ ભારતીય જતા. આનાં મુખ્ય કારણ જોવા જઇએ તો જણાશે કે શિયાળાની કારમી હિમપ્રપાત વાળી ઠંડીમાં  વેલ્સના કપરા સ્નોડનના પહાડ તથા યૉર્કશાયરની ભેજભરી bogs અને moors ના નામથી કુખ્યાત એવી ભેંકાર ધરતીમાં પ્રશિક્ષણ લેવું પડતું. સૂવા માટે બરછટ કામળા, વરસાદ અને બરફના તોફાનમાં સતત ૫૦-૬૦ માઈલની કૂચ કરી attack, defence જેવી લશ્કરી કવાયતોનું શિક્ષણ મેળવવા માટે કેવળ પડછંદ શરીર નહીં, પણ તેથી વધુ મજબૂત મનોબળ જોઈએ. આ તાલિમ કેટલી સખત હોય છે તેનો ખ્યાલ આપવા એટલું જણાવીશ કે બ્રિટનનાં રાણી એલિઝાબેથ (બીજા)નાં સૌથી નાના પુત્ર પ્રિન્સ એડવર્ડ સૅન્ડહર્સ્ટમાં અફસર થવા ગયા હતા અને ખડતલ મહેનત કરવા અસમર્થ હોવાથી ફક્ત બે મહિનામાં જ તેઓ મહેલમાં રહેવા પાછા ફર્યા!

બે વર્ષની આ સખત તાલિમ બાદ રાજેન્દ્રસિંહજી પ્રથમ કક્ષામાં ઉત્તિર્ણ થયા અને ભારતની બસો વર્ષની ઝળહળતી પરંપરા ધરાવતી રૉયલ સેકન્ડ લાન્સર્સ - જે ગાર્ડનર્સ હૉર્સ તરીકે પણ ઓળખાય છે, તેમાં સેકન્ડ લેફ્ટેનન્ટના હોદ્દા પર નિમણૂંક થઈ. તે સમયે આ રેજિમેન્ટ - જેના સ્વાર વંશપરંપરાથી દેશી સૈનિકો હતા, તેમાં રાજેન્દ્રસિંહજી એક માત્ર ભારતીય અફસર હતા. આવા ઐતિહાસીક રિસાલા તેમજ રાજપુતાના રાઈફલ્સ (જેમાં ગુજરાતી સૈનિકોની કંપનીઓ સેવારત છે), શીખ, મરાઠા લાઈટ ઇન્ફન્ટ્રી, મદ્રાસ અને ગુરખા રેજિમેન્ટમાં ફક્ત એવા અંગ્રેજ યુવાનોને અફસર થવા મોકલવામાં આવતા જેમના પરિવાર આવી રેજિમેન્ટ સાથે જુના કાળથી સંકળાયા હતા, અથવા તેમની પ્રશિક્ષણ દરમિયાનની કારકિર્દી અભૂતપૂર્વ હતી. આવી રેજિમેન્ટોએ મેળવેલી ગૌરવપૂર્ણ પરંપરા જાળવવા માટે તેમાં નિમણૂંક મેળવનાર અફસરોમાં આ વારસો ટકાવી રાખવાની લાયકાત હોય તેવા યુવાનોને પસંદ કરવામાં આવતા. હજી પણ ભારતીય સેનાના રિસાલાઓ - જેમકે સેકન્ડ લાન્સર્સ, સિંધ હૉર્સ, ફર્સ્ટ હૉર્સ (સ્કિનર્સ), પૂના હૉર્સ તથા ઉપર જણાવેલી ઇન્ફન્ટ્રીની ખાસ પલટનોમાં ત્રણ - ચાર પેઢીઓથી સેવા બજાવી ચૂકેલા પરિવારોમાંથી આવતા યુવાનોને ચકાસી અને પરખીને ભરતી કરવામાં આવે છે. તેમાં પણ ખાસ પસંદગી શીખ, જાટ, ગુજરાતના મોલેસલામ રાજપુત મુસ્લિમ જેવા રાજસ્થાનના કાયમખાની મુસ્લિમ અને રાજપુત યુવાનોમાંથી કરવામાં આવે છે, જેમના બાપ-દાદાઓએ આ રિસાલા કે પલ્ટનમાં સેવા બજાવી હોય.  

૧૯૪૦માં સેકન્ડ લાન્સર્સમાં અશ્વોને સ્થાને ટૅંક્સ આવી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે મેજર રાજેન્દ્રસિંહજી  સેકન્ડ લાન્સર્સના સેકન્ડ-ઇન-કમાન્ડનો હોદ્દો મેળવી ચૂક્યા હતા. તેમની રેજિમેન્ટને 3rd Motorized Brigadeના અંગ તરીકે લિબિયાના મોરચે મોકલવામાં આવી. તે સમયે જર્મન સેનાના ફિલ્ડમાર્શલ રોમેલ પૂર જોશમાં હતા અને અજેય સેનાપતિ તરીકે પ્રખ્યાત થયા હતા. યુરોપમાં તેમની ટૅંક ડિવિઝનોએ ફ્રાન્સ પર કબજો મેળવ્યા બાદ રોમેલને લિબિયાના મોરચે મોકલવામાં આવ્યા. તેમનો ઉદ્દેશ ઉત્તર આફ્રિકામાં મોરચો બાંધી રહેલી મિત્રરાજ્યોની આઠમી સેના (Eighth Army) પર વિજય મેળવી સુએઝ કૅનાલ પર કબજો કરવાનો હતો. રોમેલના હુમલા સામે આઠમી સેનાની અગ્રિમ કોર, જેમાં લગભગ ૪૦,૦૦૦ સૈનિકો હતા ટકી શકી નહીં. સેનાપતિ જનરલ ગૅમ્બિયર-પેરીએ તેમના હેડક્વાર્ટર્સમાં રહેલા ૧૪૦૦ સૈનિકોને જર્મનોને શરણે જવાનો હુકમ કર્યો. 

3rd Motorized Brigadeને એવો હુકમ હતો કે જો રોમેલની સામે ટકી શકાય તેવું ન હોય તો તેમને શરણે જવા કરતાં તેમના સઘળા સૈનિકોએ આઠમી સેનાના હેડક્વાર્ટર્સમાં પહોંચી જવું અને ત્યાં જીવસટોસટનો મોરચો બાંધવો. જનરલ ગૅમ્બિયર-પેરીનો હુકમ મળ્યો તે સમયે રાજેન્દ્રસિંહજીની રેજીમેન્ટ પાસેની ૩૨માંની ચોવિસ ટૅંક્સ જર્મનોએ નષ્ટ કરી હતી અને રેજીમેન્ટની હેડક્વાર્ટર સ્ક્વોડ્રનમાં  રાજેન્દ્રસિંહજીના આધિપત્ય નીચે આઠ ટૅંક્સ બચી હતી. તેમણે જર્મનોનો ઘેરો તોડી તેમને શરુઆતમાં મળેલા હુકમ મુજબ હેડક્વાર્ટર પહોંચી જવાનું નક્કી કર્યું. તેમણે તેમના સૈનિકોને ઉર્દુમાં હુકમ આપ્યો કે હુમલો કરવાનો લલકાર ‘ચાર્જ’ મળતાં સૌએ તેમની ટૅંક પાછળ કૂચ કરવી અને સામે આવનાર દુશ્મન પર ટૅંકના છેલ્લા ગોળા અને રાઇફલની છેલ્લી ગોળી સુધી લડી લેવું પણ શરણે ન જવું. 

યુદ્ધ શરૂ થતાં પહેલાં રાજેન્દ્રસિંહજીએ કાબેલ સેનાની તરીકે તેમના સમગ્ર વિસ્તારનું જાતે નિરિક્ષણ (Reconnaissance) કર્યું હતું. સહારાના રણ વિસ્તારમાં ક્યા સ્થળો એવા હતા જ્યાં કામચલાઉ મોરચાબંધી કરી, રાતના સમયે કયા માર્ગેથી સેનાના મુખ્ય મથકે પહોંચવું તે તેઓ જાણતા હતા. રાજેન્દ્રસિંહજીની યોજનામાં તેમની સાથે સંપર્કમાં રહેલા તેમની બ્રિગેડના અૉસ્ટ્રેલિયન તથા અંગ્રેજ અફસરોએ તેમની ૩૦૦ સૈનિકોની ટુકડીઓ સાથે તેમના નેતૃત્વ નીચે લડી લેવા માટે હામી ભરી. 

રાજેન્દ્રસિંહજીએ આપેલા હુકમ પ્રમાણે સઘળા સૈનિકોએ તેમના વાહનો પર મશીનગનો ચઢાવી. ટૅંકના બ્રીચમાં તેમના સવારોએ વિસ્ફોટક ગોળા ભર્યા. અન્ય સૈનિકોએ તેમના વ્યક્તિગત હથિયારો સજ્જ કર્યા. “સ્ટાર્ટ એન્જિન્સ”નો હુકમ સાંભળી આ નાનકડી સેનાએ તેમના ટૅંક્સ સમેત સઘળા વાહનો ચાલુ કર્યા. “ચાર્જ”નો હુકમ સાંળતાં સૌએ રાજેન્દ્રસિંહજીની ટૅંક પાછળ પોતાના વાહનોને વ્યૂહાત્મકરીતે દોડાવ્યા. આ શું થઈ રહ્યું છે તેનું જર્મન અફસરોને ભાન થાય તે પહેલાં ગોળા વરસાવતી સેકન્ડ લાન્સર્સની ટૅંક્સ તથા અન્ય વાહનોએ ઘેરો તોડ્યો અને ધખધખતા રણમાં રવાના થયા. અનેક જર્મન સૈનિકો ખુવાર થયા. રોમેલની સેના તેમનો પીછો કરે તે પહેલાં રાજેન્દ્રસિંહજી તેમની ટુકડીઓ સાથે નક્કી કરેલા ગુપ્ત સ્થાન પર પહોંચી ગયા. બીજા દિવસે તેમની શોધમાં નીકળેલી દુશ્મનની ૬૦ સૈનિકોના જથ્થાને ambushમાં કેદ કરી, ૯ દિવસના પ્રવાસ બાદ તેઓ ઇજિપ્તમાં કેરો શહેરની નજીક આવેલા આઠમી સેનાના હેડક્વાર્ટરમાં પહોંચ્યા. ત્યાં સૌ માની બેઠા હતા કે રાજેન્દ્રસિંહજી પણ તેમના જનરલ સાથે કેદ થયા હતા, પણ અહીં જુદી જ હેરતભરી ઘટના થઈ હતી. આ ગુજરાતી અફસર પોતે કેદ થવાને બદલે  જર્મન સૈનિકોને કેદ કરી સાથે લઈ આવ્યા હતા! સરકારે તેમને તે જ ક્ષણે Distinguished Service Order નામનો બહાદુરીનો ચંદ્રક એનાયત કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં આ ચંદ્રક મેળવનાર તેઓ પહેલા ભારતીય અફસર હતા. થોડા દિવસ બાદ સેકન્ડ લાન્સર્સની પુનર્રચના કરવામાં આવી. તેમને નવી ટૅંક્સ તથા સાધન-સામગ્રી આપી રેજીમેન્ટની કમાન રાજેન્દ્રસિંહજીને આપવામાં આવી. રૉયલ સેકન્ડ લાન્સર્સના તેઓ પ્રથમ ભારતીય કમાંડીંગ અફસર - લેફ્ટેનન્ટ કર્નલ મહારાજ રાજેન્દ્રસિંહજી - થયા.

***


વિશ્વયુદ્ધ પૂરૂં થયું. દેશ સ્વતંત્ર થયો. જ્યારે ભારતીય સેનાના કમાંડર-ઇન-ચીફ જનરલ સર રૉય બૂચર બ્રિટન જવા નીકળ્યા ત્યારે દેશમાં વિચિત્ર સ્થિતિ ઉભી થઈ હતી. ભારતીય સૈન્યના ઇતિહાસકાર વિંગ કમાંડર રવીંદ્ર પારસનીસના લખણ મુજબ નહેરૂને કરિઅપ્પા પ્રત્યે અણગમો હતો. તેમણે રાજેન્દ્રસિંહજીને બોલાવીને કહ્યું. “તમે ભારતના પ્રથમ C-in-C થાવ એવી મારી ઇચ્છા છે.”  એક ખાનદાન અફસરની જેમ તેમણે પં. નહેરૂના પ્રસ્તાવને નમ્રતાપૂર્વક નકાર્યો અને કહ્યું, “ભારતીય સેનાની પરંપરા મુજબ જનરલ કરિઅપ્પા મારા સિનિયર છે. મારાથી તેમના હક્કનું સ્થાન કદી ન લઈ શકાય.” 

જનરલ કરિઅપ્પા ભારતના C-in-C થયા. રાજેન્દ્રસિંહજી દક્ષિણ ભારતની સેના Southern Commandના સેનાપતિ થયા.
***

૧૯૪૭માં દેશમાં અત્યંત વિકટ પરિસ્થિતિ હતી. હૈદરાબાદના નિઝામને કૅનેડાની જેમ સ્વતંત્ર ‘ડોમિનિયન’ અથવા પાકિસ્તાન સાથે જોડાણ જોઈતું હતું. જુનાગઢના નવાબે પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું. કાશ્મિરમાં કબાઇલીઓએ આતંક મચાવ્યો હતો અને શ્રીનગર નજીક પહોંચી ગયા હતા.. હૈદરાબાદમાં કાસિમ રિઝવીની આગેવાની હેઠળ રઝાકારોની બે લાખની ફોજ ખડી થઈ હતી.  તેમણે ન કેવળ હૈદરાબાદમાં, પણ તેની સીમા પર આવેલા ભારતીય પ્રદેશોમાં દહેશત ફેલાવવા લૂંટફાટ, સ્ત્રીઓના અપહરણ અને ખૂનામરકી શરૂ કરી હતી. નહેરૂની આનાકાની લાંબો વખત ચાલે તો કાશ્મિર અને હૈદરાબાદ હાથમાંથી જાય તેવી વકી હતી. સરદાર પટેલે કાશ્મિરમાં સૈન્ય મોકલવા માટે જે આગેવાની લીધી હતી, જેનું અગાઉ પ્રસિદ્ધ થયેલ ‘સૅમ બહાદુર” નામના લેખમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તે વિશે આપણા દેશવાસીઓ જાણે છે. હૈદરાબાદ માટે સરદારે અસાધારણ કુનેહ દાખવી. દેશમાં Law and Order situation કથળે ત્યારે સ્થાનિક સરકાર મધ્યસ્થ સરકારને મદદ માટે વિનંતી કરે અને તે માટે સરકારે યોગ્ય બળ - મિલિટરી કે પોલિસ પૂરું પાડવું જોઈએ. સરદારે રાજેન્દ્રસિંહજીને ખાસ ટેલિફોન કરી ગુજરાતીમાં સૂચના આપી કે હૈદરાબાદ પર સૈનિક આક્રમણની તૈયારી કરવી. બીજી તરફ કાયદા-કાનૂનની વ્યવસ્થા પર કાબુ આણવા મુંબઈ સ્થિત સરકારને સૂચના આપી કે હૈદરાબાદની સીમા પર યોગ્ય બંદોબસ્ત કરવા કેન્દ્રીય સરકારની સહાયતા જોઈએ તેવું જાહેર કરે.

રાજેન્દ્રસિંહજીએ ‘અૉપરેશન પોલો’ નામથી પ્રખ્યાત આક્રમણનો વ્યૂહ રચ્યો. હૈદરાબાદની પશ્ચિમમાંથી ભારતની 1 Armoured Divisionના કમાંડર મેજર જનરલ ચૌધરીને તથા દક્ષિણમાંથી મેજર જનરલ રૂદ્રની ૧૦મી ઇન્ફન્ટ્રી ડિવિઝનને હૈદરાબાદની સીમા તરફ કૂચ કરવા આદેશ આપ્યો. સરદાર પટેલે Aid to Civil Powerના ઓથા હેઠળ સેનાની મદદ માગતો હુકમ રાજેન્દ્રસિંહજીને મોકલ્યો. તેમણે ઘડેલ ‘અૉપરેશન પોલો’ની વ્યૂહરચના અને planning એવા તો અણિશુદ્ધ હતા કે પાંચ જ દિવસમાં યુદ્ધ પૂરું થયું.

નિઝામના અરબ સેનાપતિ જનરલ એલ અેદ્રૂસની સેના પણ ઉચ્ચ સ્તરની કેળવણી પામેલી હતી. પાંચ દિવસના - પણ અત્યંત ભયાનક અને ઘમસાણ યુદ્ધમાં ભારતના ૬૬ અફસર-સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી. ૯૭ સૈનિકો ઘાયલ થયા. આ સામે નિઝામના ૪૯૦ સિપાઇઓએ યુદ્ધમાં માર્યા ગયા અને ૧૨૨ જખમી થયા. નિઝામે શરણાગતિ માગી અને હૈદરાબાદ ભારતમાં વિલિન થયું. 

અૉપરેશન પોલોની સફળતા બાદ જનરલ રાજેન્દ્રસિંહજી (ડાબે) મેજર જનરલ ચૌધરી અને નિઝામ સાથે.
જનરલ કરિઅપ્પા રિટાયર થયા બાદ રાજેન્દ્રસિંહજી ભારતના બીજા C-in-C થયા. રાષ્ટ્રપતિએ જ્યારે Supreme Commander of Armed Forces હોદ્દો ધારણ કર્યો ત્યારે ભારતની સ્થળસેનાના પ્રથમ સેનાપતિના સ્થાન પર રાજેન્દ્રસિંહજીની નિમણૂંક થઈ.

જિપ્સીની આ વાત પેલા શીખ રિક્રુટિંગ અફસર સુધી પહોંચી શકી નથી! ભારતની પ્રજા હવે જાણવા લાગી છે કે હિંમત અને બહાદુરી કોઈ વ્યક્તિ કે પ્રદેશની જાગિર નથી રહી. વળી આ ગુણ કેવળ યુદ્ધક્ષેત્રમાં જ બતાવી શકાય એવું પણ નથી. દેશ માટે અપાતું બલિદાન - પછી તે કોઈ પણ પ્રકારનું કેમ ન હોય, તેનું મૂલ્ય જીવનના બલિદાન જેટલું જ મહત્વનું હોય છે. તેથી જ તો આજે મહારાણા પ્રતાપની સાથે સાથે જીવનભરની કમાઇનું દ્રવ્ય અર્પણ કરનાર શાહસોદાગર ભામાશાનું નામ એટલા જ ભક્તિભાવથી લેવાય છે. 

ગુજરાતની સૈનિક ગૌરવગાથા ઘણી પુરાણી છે. આપ કદીક વેરાવળથી સોમનાથના દર્શને જશો તો સોમનાથ પાટણના સિમાડા પર મહંમદ ગઝનવીના સૈનિકોની સેંકડો કબરો જોવા મળશે. કેટલીક કબર પર જિપ્સીએ ઘોડાની આકૃતિના tomb stone જોયા હતા. ત્યાંના ભોમિયાએ કહ્યું હતું કે આ પાળીયા ગઝનવીના માર્યા ગયેલા સેનાપતિઓના હતા. તેમની સામે યુદ્ધ કરનારા બીજા કોઈ નહિ, ગુજરાતી સૈનિકો હતા.

આવતા કેટલાક અંકોમાં ગુજરાતની સૈનિક પરંપરાની વાતો રજુ કરવાનો પ્રયત્ન કરીશું.


(નોંધ : અખંડ આનંદના માર્ચ ૨૦૦૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ જિપ્સીના લેખનું આ સંક્ષિપ્ત સ્વરુપ છે. અગિયાર જેટલા આધારભૂત ગ્રંથ તથા લેખના સંશોધન બાદ આ માહિતી આપી શકાઈ છે.)

Friday, May 12, 2017

ભારતીય સેના અને ગુજરાત

ગુજરાતની અસ્મિતા એટલે ગુર્જર દેશના રહેવાસીઓ, તેમણે ઘડેલી સંસ્કૃતિ, પરંપરાઓ અને સદીઓથી તેમના વારસોને આપી રહેલા સંસ્કારોની સમૃદ્ધિ. ભારતના અન્ય પ્રદેશોએ કેવળ ગુજરાતની સમૃદ્ધિ અને વ્યાપારી ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધીઓ જોઈ છે. ઘણી વાર એવું પણ બને છે કે સર્વાંગીણ વિકાસ સાધવામાં નિષ્ફળ ગયેલા પ્રાંતો અને રાજ્યોને ગુજરાતનો વિકાસ જોઈ જે ઈર્ષ્યા થઈ તેનું બાલીશ પ્રદર્શન “તમે ભલે પૈસાદાર છો, પણ રણભૂમિમાં અમારા જેવી મર્દાનગી તમે ક્યાં દાખવી છે?” એવું વારંવાર ઉચ્ચારી ગુજરાતને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતા દેખાયા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ગુજરાતી મુત્સદ્દીઓને હાથે પરાજય પામેલા ત્યાંના સ્થાનિક નેતાઓેએ  બેહુદી વાત કરી : 'ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ યુદ્ધના મેદાનમાં શહીદ નથી થયો;' એક જણે તો કહ્યું, ‘ગુજરાતીઓ તો કેવળ હિરા ઘસવાનું કામ કરે છે!’  

હિંદીમાં કહેવત છે, “ખિસિયાની બિલ્લી ખંભા નોચે’ - ખસીયાણી થયેલી બિલાડી થાંભલા સાથે નખ ભેરવે - જેવો આ પ્રકાર થયેલો ગણાય.

આ અઠવાડિયાની બીજી વાત છે, અંગ્રેજીના વેબ સામયિક Quora.com માં કોઈએ પૂછેલા પ્રશ્ન વિશે. સવાલ હતો, ભારતીય સેનામાં ગુજરાતીઓ કેમ નથી જતા? આનો જિપ્સીએ ટૂંકો જવાબ આપ્યો જેને લગભગ પાંચ હજાર વાચકોએ વાંચ્યો.

આજના અંકમાં ફક્ત જિપ્સીએ ઉપર જણાવેલ પ્રશ્નના જવાબનું ભાષાંતર રજુ કરીશું. 

"ભારતીય સેનામાં ગુજરાતીઓ કેમ દેખાતા નથી જેવો પ્રશ્ન પૂછનાર લોકો ગુજરાતીઓ પ્રત્યેનો પોતાનો પૂર્વગ્રહ દૂર કરીને તથ્ય જાણવાનો પ્રયત્ન કરશે તો તેમને જણાશે કે :


પ્રથમ વિશ્વયુદ્ધ (First World War - 1914-18)માં ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલા રજવાડાંઓના અશ્વદળોને એકત્ર કરી એક કૅવેલ્રી રેજિમેન્ટ ઉભી કરી તેને ઈજિપ્ત તથા પૅલેસ્ટાઈનની રણભૂમિ પર ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી - જોરૂભાની સરદારી નીચે યુદ્ધ ખેલ્યું હતું. તેમને તથા તેમના રિસાલદારને રણ મોરચે બહાદુરી દાખવવા માટે મિલિટરી ક્રૉસ એનાયત થયા હતા.


 ભારત સ્વતંત્ર થયા બાદ ભારતીય સેનાના બીજા કમાન્ડર-ઈન-ચીફ (પહેલા C-in-C  જનરલ કરીઅપ્પા હતા) અને C-in-Cનો હોદ્દો રાષ્ટ્રપતિને અપાયા બાદ સૈન્યના પ્રથમ ચીફ અૉફ આર્મી સ્ટાફ જનરલ મહારાજશ્રી રાજેન્દ્રસિંહજી, DSO જામનગરના હતા.  જનરલ રાજેન્દ્રસિંહજી પ્રખ્યાત ક્રિકેટર નવાનગરના જામ રણજીના પિત્રાઈ હતા.  અહીં કહેવું જોઈશે કે બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી માટેનો DSO (Distinguished Service Order) મેળવનાર તેઓ પ્રથમ ભારતીય અફસર હતા. જે જમાનામાં રિસાલા (Royal Cavalry Regiment)માં કેવળ અને કેવળ અંગ્રેજોને જ કમાન્ડીંગ અફસરનો હોદ્દો અપાતો, તેવી રૉયલ સેકન્ડ લાન્સર્સના પ્રથમ ભારતીય કમાંડીંગ અફસર થવાનું માન રાજેન્દ્રસિંહજીને તેમની અસામાન્ય વીરતા અને કાબેલિયતને કારણે અપાયું હતું. 

૧૯૪૭માં હૈદરાબાદના નિઝામે જ્યારે પાકિસ્તાન સાથે જોડાવાનું વિચાર્યું ત્યારે તે વખતની પરિસ્થિતિ (જેનું વર્ણન આવતા અંકમાં કરીશું) જોતાં સરદાર પટેલે જોયું કે લેફ્ટેનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજી દક્ષિણ ભારતની સેનાના સેનાપતિ (GOC-in-C, Southern Command) હતા અને હૈદરાબાદ પર આક્રમણ કરી તે કબજે કરવા માટે સક્ષમ અને કાબેલ હતા. સરદારે તેમને આદેશ આપ્યો. રાજેન્દ્રસિંહજીએ યુદ્ધ માટે ‘અૉપરેશન પોલો’નું નિયોજન કરી ફક્ત પાંચ દિવસના ઘોડાપૂર સમા હુમલામાં હૈદરાબાદ કબજે કર્યું. આ ઉપરાંત જામનગરના જ લેફ્ટેનન્ટ જનરલ હિંમતસિંહજી જે આગળ જતાં હિમાચલના ગવર્નર થયા. ભારતીય સેનાની રાજપુતાના રાઈફલ્સના ગુજરાતી અફસર લેફ્ટેનન્ટ જનરલ મહિપતસિંહજી ભારતીય સેનાના  વાઈસ-ચીફ  અૉફ આર્મી સ્ટાફ થયા.  ૧૯૬૫ તથા ૧૯૭૧ના યુદ્ધમાં જિપ્સી સાથે યુદ્ધમાં ભાગ લેનારા બે અફસરો મેજર જનરલના હોદ્દા પર નિવૃત્ત થયા (ગોરખા રાઈફલ્સના મેજર જનરલ પીયૂષ ભટ્ટ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ તથા પંજાબ રેજિમેન્ટના મેજર જનરલ કાન્તિ ટેલર 

 
જેમણે ૨૦ - ૨૦ હજાર સૈનિકોની સેનાના સેનાપતિ તરીકે સેવા બજાવી હતી).  

બીજા વિશ્વયુદ્ધના સમયથી ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત રેજિમેન્ટસ્ - રાજપુતાના રાઈફલ્સ (જે Raj Rif ના નામે પ્રખ્યાત છે), ગ્રેનેડિયર્સ અને મહાર રેજિમેન્ટસની ખાસ ટુકડીઓ કેવળ ગુજરાતી સૈનિકોની છે.

ઘણી વાર એક સવાલ પૂછવામાં આવ્યો છે કે ભારતીય સેનામાં ‘ગુજરાત રેજિમેન્ટ’ની રચના શા માટે કરવામાં આવી નથી? આનો સીધો અને સરળ જવાબ છે, દેશ સ્વતંત્ર થયા બાદ સરકારે જાતિ-આધારિત (જેમકે શીખ, મરાઠા, ગઢવાલી, જાટ) કે પ્રાન્ત પર રચાયેલી પંજાબ, મદ્રાસ અને   બિહાર જેવી નવી રેજિમેન્ટ ન બનાવવાનો સરકારે નિર્ણય લીધો હતો. આ કારણે ગુજરાત રેજીમેન્ટની સ્થાપના ન  થઈ અને તેની અવેજીમાં સરકારે ભારતના સઘળા રાજ્યોમાંથી આવતા રિક્રૂટોની બ્રિગેડ અૉફ ગાર્ડઝની રચના કરી. આ ઉપરાંત કુમાયૂઁ તથા મહાર રેજિમેન્ટ જેવી  મહત્વની પલ્ટનોને composite બટાલિયન બનાવી તેમાં ભારતના વિવિધ પ્રદેશમાંથી અાવતા સૈનિકોની કંપનીઓ ભેળવી. આમ તો ગ્રેનેડિયર્સ તથા રાજપુતાના રાઈફલ્સ જેવી સો વર્ષ જુની બટાલિયનોમાં ગુજરાતના સૈનિકોની વિશિષ્ટ કંપનીઓ પહેલેથી અસ્તીત્વમાં છે અને હવે મહાર રેજિમેન્ટમાં પણ ગુજરાતી સૈનિકો જોડાય છે. આ ઉપરાંત કોર અૉફ  એન્જિનિયર્સ, આર્મી સર્વિસ કોર, સિગ્નલ્સમાં ગુજરાતી સૈનિકોની હાજરી અવશ્ય જોવા મળશે.


  
(ઉપર અનુક્રમે મહાર રેજિમેન્ટ, રાજપુતાના રાઈફલ્સ તથા ગ્રેનિડિયર્સના કૅપ બૅજ રજુ કર્યા છે.)

છેલ્લે : ગુજરાતી કોને કહેવાય? જે ગુજરાતી બોલે, ગુજરાતી આચાર - વિચારનું પાલન કરે તે જ ને? આ હિસાબે ભારતના પારસીઓ ગુજરાતી છે, અને ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉ,

 
અૅર ચીફ માર્શલ એન્જિનિયર જેવા અનેક પારસીઓએ જનરલના હોદ્દા પર સેવા બજાવી છે. 

Quoraના સહુ વાચકોને મારી વિનંતી છે કે ભારતીય સેનાનો ગણવેશ ધારણ કરનારા સઘળા સૈનિકોને માન આપો. યુનિફૉર્મ પહેરનાર કોઈ સિપાહી  શીખ, ગઢવાલી, મરાઠા, કુમાંયૂની, જાટ, ગુરખા કે ગુજરાતી નથી. તે કેવળ ભારતીય સેનાનો જવાન છે. આ ગણવેશ પહેરનાર દરેક સૈનિક પોતાને ભારતીય સેનાનો અદનો સિપાહી તેમાં ગૌરવ અનુભવે છે." 

જિપ્સીના લેખના જવાબમાં એક વાચકે આંકડા આપ્યા : ગુજરાતમાં હાલ ૨૩,૫૨૧ ભારતીય સેનામાં પૂરી સેવા બજાવ્યા બાદ રિટાયર થઈને આવેલા ભૂતપૂર્વ સૈનિકો છે.  તેમાંના ૧૯૦૭૨ ઈન્ફન્ટ્રીના સૈનિકો છે. શહિદ થયેલા ગુજરાતી સૈનિકો કુપવાડા, સિયાચિન અને પૂંચ ક્ષેત્રમાં ઘૂસણખોરો સામે લડ્યા હતા, અને તેમને મોતને ઘાટ ઉતાર્યા બાદ જ પ્રાણ ત્યાગ્યા હતા. 

***

આજનો અંક અહીં સમાપ્ત થાય છે. આવતા અંકમાં જિપ્સીએ ‘અખંડ આનંદ’ના માર્ચ ૨૦૦૪ના અંકમાં લખેલ લેખ “ધેર આર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી!”નું સંક્ષિપ્ત સ્વરુપ રજુ કરીશું.



Friday, January 20, 2017

આસપાસ ચોપાસ : ફિક્કી દાળ, બળેલી રોટલી... અંતિમ ભાગ.

ફિક્કી દાળનો વિવાદ શરૂ થયો તે BSFના કૉન્સ્ટેબલ તેજ બહાદુર યાદવના વિડિયો પરથી. તેણે ફેસબુક પર મૂકેલ વિડિયો દેશ - પરદેશમાં લગભગ એક કરોડ વાર જોવાયો. છાપાંવાળાંઓએ એટલા જ શબ્દોમાં તેની ચર્ચા કરી. યાદવની દેખાદેખી ભારતીય સેનાના લાન્સ નાયક યજ્ઞપ્રતાપ સિંહે પણ ફરિયાદ કરી, જો કે તેની શિકાયત અફસરના સહાયક તરીકે સેવા બજાવવા વિશે કરી હતી. આપણે યાદવના વિડિયોની વાત કરીશું.

BSFના જવાનોની ફરજ ભારતીય સેનાના જવાનો કરતાં પણ અત્યંત સખત હોય છે. સૈન્યમાં દરેક બટાલિયનને સીમા પર (જેને અૉપરેશનલ એરિયા કહેવાય છે) બે વર્ષ માટે તહેનાત કરવામાં આવે છે. આમ તેમનો બે વર્ષનો અવધિ પૂરો થાય ત્યારે આખી બટાલિયનને Peace Stationમાં, એટલે શહેરોમાં આવેલા કેન્ટોનમેન્ટમાં બે વર્ષ માટે મૂકવામાં આવે છે. ત્યાં જવાનો માટે ફૅમિલી ક્વાર્ટર્સ હોય છે. તેમના રહેઠાણમાં પાણી, વિજળી, જરૂરી મરામત વિગેરે પૂરી પાડવા MES - મિલિટરી એન્જિનિયરીંગ સર્વિસ હોય છે.  મિલિટરીની જે બટાલિયને અતિ સખત વિસ્તારમાં સેવા બજાવી હોય તેને સારામાં સારા ‘પીસ સ્ટેશન’ પર મોકલવામાં આવે છે. તંગધારમાં અમારી બટાલિયનની જોડે જે ગુરખા બટાલિયન હતી, તેના બે વર્ષ પૂરાં થતાં તેમને પુનાના કેન્ટોનમેન્ટમાં મોકલવામાં આવી હતી. ત્યાં બે વર્ષ માટે તેઓ ફક્ત ટ્રેનિંગ અને કઠણ હાલતમાં સેવા બજાવ્યા બાદ થાક ખાવા માટે રોકાયા હતા. અમારી બટાલિયનને તંગધારમાં ત્રણ વર્ષ સેવા બજાવ્યા બાદ બાંગલાદેશની સરહદ પર મોકલવામાં આવી હતી. BSF માટે કદી ‘પીસ સ્ટેશન’ હોતું નથી. 

***
BSFની ચોકીઓમાં રોજિંદી ડ્યુટી નીચે પ્રમાણે હોય છે.

ચોકીમાંના મોટા ભાગના સૈનિકોને રોજ રાતે સીમા પર આવેલા બાઉન્ડરી પિલરના વિસ્તારમાં આતંકવાદીઓ અને દાણચોરોને રોકવા અને પકડવા નાકાબંધી માટે જવું પડે છે. કઈ જગ્યાએ નાકાબંધી કરવાની છે તેની જાણ છેલ્લી ઘડી સુધી તેમને આપવામાં આવતી નથી. 
કચ્છના રણમાં બાઉન્ડરી પિલર નજીક પેટ્રોલિંગ કરતી BSFની ટુકડી

ગુજરાત -  રાજસ્થાનના થારના રણ વિસ્તારમાં BSFની બે ચોકીઓ વચ્ચેનું અંતર પંદરથી વીસ કિલોમિટર હોય છે, જ્યારે પંજાબમાં પાંચથી છ કિલોમિટર. હથિયાર, રાતે અંધકારમાં જોઈ શકાય તેવા ઇન્ફ્રારેડ કિરણના ચશ્મા તથા અન્ય સામગ્રી લઈ સજ્જ થયેલા સૈનિકોને સૂર્યના અસ્ત થતા છેલ્લા કિરણના સમયે તેમને હેડક્વાર્ટર નક્કી કરેલા આંતરરાષ્ટ્રિય સીમા પર આવેલા સ્થળ પર જવાનો હુકમ આપવામાં આવે છે. આ સ્થળ પર ટૅક્્ટીકલ મોરચા બાંધી સૈનિકો આખી રાત ફરજ બજાવે. વહેલી સવારે આ સૈનિકો પાછા ફરે ત્યારે ચોકીની અંદર આખી રાત પહેરો ભરનાર સૈનિકો સીમા પર ‘પગ માર્ક’ (એટલે રાતના સમયે નાકા બંધી કરેલ જગ્યાઓ વચ્ચેના ખાલી ભાગમાંથી કોઈ આતંકવાદી, દાણચોર કે ઘૂસપેઠિયાઓએ આપણી સીમા પાર કરી હોય તો તેમનાં પગલાં તપાસવા અને) નિરિક્ષણ કરવા જતા હોય છે.

સીમા પર નાકાબંધી કરીને પાછા ફરેલ સૈનિકોને સવારની ચ્હા અને શિરામણ આપવામાં આવે છે. બે - ત્રણ કલાકના આરામના સમયમાં તેઓ નાહી-ધોઈ, તાજો યુનિફૉર્મ પહેરી પરેડ પર લાગી જતા હોય છે જેમાં હથિયાર સફાઈથી માંડી અન્ય  કવાયત,  સરહદ પર ફરીથી પેટ્રોલિંગ કરવા જાય કે ચોકીમાં બાંધવામાં આવેલ watch towerમાંથી ચારે તરફ નિરિક્ષણ કરે. સૈનિકો બપોરના ભોજન વારા ફરતી ઊંઘ પૂરી કરવાનો પ્રયત્ન કર્યા બાદ રાતની ડ્યુટી માટે તૈયારી કરે. સાંજ પડતાં ફરી નાકા બંધી, ગિસ્ત, પહેરો શરૂ થઈ જાય.

દરેક ચોકીમાં જવાનો માટે ભોજન રાંધવા એક રસોઈયો અને તેને મદદ કરવા બે જવાનોને ફરજ સોંપવામાં આવે છે. ત્રણ જણાની આ ‘ટીમ’ પરોઢિયે ચાર વાગ્યાથી કામ પર લાગી જાય. સૌ પ્રથમ ચોકીમાં આખી રાતનો ઉજાગરો કરી ચોકી કરનાર સૈનિકોને ચા, ત્યાર બાદ સીમા પરથી આવેલા સૈનિકો સમેત સઘળા સૈનિકો માટે શિરામણ રાંધવાનું. આ કામ પૂરું થતાં વાસણ ધોઈ તરત બપોરનું ભોજન રાંધવાની શરુઆત થઈ જાય. છેલ્લો સૈનિક બપોરનું ભોજન પતાવે ત્યાં બપોરની ચાનો સમય થાય અને રાતનું ભોજન રાંધવાની શરુઆત. આપે યાદવની ‘ક્લિપ’ જોઈ તેમાં રોટલી શેકનાર સિપાઈ પ્રશિક્ષિત રસોઈયો નથી, પણ રસોઈયાને મદદ કરનાર યોદ્ધા છે. જે રીતે તે રોટલી શેકે છે, તેના પરથી આપને ખ્યાલ આવ્યો હશે. જ્યારે રસોઈયો તેના હક્કની વાર્ષિક રજા પર જાય ત્યારે તેની અવેજીમાં કામ કરવા એક યોદ્ધાને મૂકવામાં આવે છે. સ્વાભાવિક છે કે ઘણી વાર બોર્ડર પર સેવા બજાવનાર સૈનિકો માટે તૈયાર થતું ભોજન રસોઈયાને બદલે સામાન્ય સૈનિક રાંધતા હોય છે. ઉપરની ક્લિપમાં જોયું હશે કે કિચનમાં રંધાયેલી દાળ રંગહિન, સ્વાદહિન દેખાતી હતી, પણ શાકના રંગ અને તેના પરના વઘાર પરથી ખ્યાલ આવ્યો હશે કે તે સૈનિકોથી બને એટલી આવડત અને કુશળતાથી બનાવી છે. 

અહીં એક તથ્ય બહાર આવે છે કે જવાનોના ભોજન રાંધવા માટેની વ્યવસ્થામાં ઘણો સુધારો આણવાની જરૂર છે.

હવે જોઈશું BSFના જવાનોના રાશનની વ્યવસ્થા.

જ્યારે BSFને મિલિટરીના અૉપરેશનલ કન્ટ્રોલ નીચે મૂકવામાં આવે ત્યારે તેમને મિલિટરી તરફથી તેમના સ્કેલ પ્રમાણે રાશન આપવામાં આવે છે. અન્ય સ્થળોએ  - એટલે જમ્મુ-કાશ્મિર સિવાય અન્ય જગ્યાએ સેવા બજાવતી BSFની ૭૦થી ૮૦ ટકા બટાલિયનોમાં વ્યવસ્થા જુદી હોય છે. આ યુનિટોને સૈન્યનું રાશન આપવામાં આવતું નથી. જવાનોને દર મહિને ભોજન અેલાવન્સ અપાય છે, જેમાંથી રાશન ખરીદવાની જવાબદારી કંપની કમાંડરની હોય છે. આ કામ કરવા ચારથી પાંચ સભ્યોની મેસ કમિટી ચૂંટાય છે, જે જવાનોએ નક્કી કરેલા menu મુજબ બજારમાંથી મહિનાનું રાશન ખરીદીને લઈ આવે છે. આ રાશન જવાનોને મળતા ભોજન માટેના એલાવન્સમાંથી લેવાતું હોવાથી (જુના જમાનામાં) પોષક તત્વોને સ્ટાન્ડર્ડ ગણવા કરતાં સ્થાનિક બજારમાં મળતી મૂળભૂત વસ્તુઓ પર વધુ ધ્યાન આપવામાં આવતું. તેમાં આવી જાય દાળ, રોટી, શાકભાજી કઠોળ, ચ્હા, ખાંડ અને મસાલા. આમ દર મહિને ખરીદીને લાવવામાં આવતું રાશન દરેક ચોકીમાં મોકલવામાં આવે છે. ગુજરાત - રાજસ્થાનમાં હાલત સૌથી ખરાબ હોય છે. રણમાં આવેલી ચોકીઓમાં તાજાં શાકભાજી મોકલવા મુશ્કેલ છે કેમ કે નજીકથી નજીકનું બજારહાટવાળું ગામ ચોકીથી ૪૦ - ૫૦ કિલોમિટરના અંતરે હોય છે જ્યાં બજેટને કારણે અઠવાડિયામાં એક વાર પણ વાહન મોકલી શકાતું નથી. તાજા દૂધને બદલે મિલ્ક પાવડર કામ ચલાવવું પડે. આનું મુખ્ય કારણ એ છે કે BSFમાં મિલિટરી જેવું infrastructure કે supply chain હોતી નથી.


***

આપે જોયેલી ક્લિપમાં BSFના જવાને એક ગંભીર આરોપ કર્યો હતો કે મિલિટરીના કંટ્રોલ નીચે કામ કરી રહેલ બટાલિયનોમાં રાશન તો સરખી રીતે પહોંચી જાય છે, પણ “ઉપરી” અધિકારીઓ તે બારોબાર વેચી નાખતા હોવાથી તે મને તેમના હકનું રાશન મળતું નથી. અહીં ફક્ત એક વાત કહેવી યોગ્ય ગણાશે કે આક્ષેપ અને આરોપ જ્યાં સુધી પૂરવાર ન થાય ત્યાં સુધી તેના પર વિશ્વાસ ન કરાય. બીજી વાત : આજકાલ સૈન્યમાં ભરતી થનારા અદના સૈનિકો બારમી કે તેથી આગળનો અભ્યાસ કરી ચૂકેલા હોય છે. તેમનામાં પોતાના હક્ક વિશે એટલી જાગૃતિ આવી છે, તે અન્ય કોઈ નહિ તો રાશનની બાબતમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર સાંખી લેતા નથી. વળી અફસરો પોતે જાણતા હોય છે કે સૈનિકોનું મનોબળ જાળવી રાખવા માટે નીચે જણાવેલી ત્રણ બાબતો પર કોઈ જાતની બાંધછોડ કરી જ ન શકાય : ત્રણ વખતનું તેને મળતા રાશન મુજબનું ભોજન, દર મહિનાની પહેલી તારિખે પગાર અને જરૂરિયાત પ્રમાણે જવાનને તેના હક્કની વાર્ષિક રજા મળવા જ જોઈએ. આવું ન થાય તો સૈનિકોના મનોબળ પર પ્રતિકૂળ અસર પડતી હોય છે અને તેનાં પરિણામ ગંભીર સ્વરુપના હોઈ શકે છે. 

ભારતીય સેનામાં જુના સમયથી એક વાત કહેવાતી આવી છે : There are good officers and bad officers, but never a bad soldier. જવાનોના માનસમાં શિસ્ત અને જીવના જોખમે પણ ઉપરી અધિકારીના હુકમનું પાલન કરવાની વૃત્તિ હોય છે અને તે નિયમિત રીતે કેળવવામાં આવે છે. અંગ્રેજોના સમયના ભારતની સેનાના કમાંડર ઇન ચીફ ફિલ્ડ માર્શલ સર ફિલિપ ચૅટવૂડે ભારતીય સેનામાં અફસરોને કેળવણી આપવા માટે સ્થપાયેલી સૅન્ડહર્સ્ટ જેવી ઈન્ડિયન મિલિટરી અેકેડેમીને ધ્યેયસૂત્ર આપ્યું, જે હજી પણ ટ્રેનિંગ બાદ અફસર બનેલા કૅડેટ શપથ તરીકે સ્વીકારે છે:
The safety, honor and welfare of your country come first always and every time.

The honor, welfare and comfort of the men you command come next.

Your own ease, comfort and safety come last, always and every time.

આ mottoનાં મહત્ત્વ પર ભારત સરકારના ગૃહખાતા નીચે આવતા દળોમાં કેટલી હદ સુધી ભાર અપાય છે તે જાણવું અશક્ય છે. જો હોત તો BSFના જવાનની ફરિયાદ જગજાહેર ન થાત. 

આ લેખમાળામાં પહેલાં જણાવ્યા પ્રમાણે દેશની રક્ષા કરનાર જવાનો અને જુજ કિસ્સાઓમાં જુનિયર અફસરો પર થતા અન્યાય કે તેમના અધિકારોની અવગણના પાછળ human element જવાબદાર હોય છે.

મૅનેજમેન્ટ શાસ્ત્રના જાણકારો હંમેશા કહેતા આવ્યા છે કે કોઈ પણ સંસ્થામાં તેના ઉચ્ચ સ્તર પર લેવાતા નિર્ણયો તથા નીતિઓના પાલનમાાં First Line Managers અતિ મહત્વની કડી સમાન હોય છે. તેમના થકી Human Resource Managementની મૂળભૂત નીતિઓ અમલમાં મૂકાતી હોય છે. આનું પાલન થાય છે કે નહિ તે તપાસવા monitoringની વ્યવસ્થા કરવામાં આવે છે. 

આ વાતને સૈન્યના સંબંધમાં જોઈએ તો તેમાં કંપની કમાંડર ફર્સ્ટ લાઈન મૅનેજર હોય છે. જવાનોને પોષક અને સ્વાદિષ્ટ ભોજન મળે છે કે નહિ તે તપાસવાની કંપની કમાંડરની અંગત જવાબદારી હોય છે. આ કામ તેઓ જાતે અથવા તેમના તાબા હેઠળના અધિકારી (પ્લૅટુન કમાંડર) દ્વારા ચકાસતા હોય છે. જો આ અધિકારીઓ તેમની ફરજમાં ચૂકી જાય અને જવાનોમાં અસંતોષ ફેલાય તેનું નિવારણ કરવા અન્ય યંત્રણા હોય છે. બટાલિયનના સેકન્ડ-ઈન-કમાંડ (2IC)ને યુનિટના વેલફેર અૉફિસરની જવાબદારી સોંપાતી હોય છે અને તેમણે આ બાબતમાં થતી ફરિયાદ પર સીધો હસ્તક્ષેપ કરવો જોઈએ.  સિપાઈ તેજ બહાદુર યાદવની બાબતમાં આખી system જ બેદરકારીમાં ડૂબી હતી. કોઈએ તેમની જવાબદારી નિભાવી નહિ. આ વાત સરકારના ધ્યાનમાં આવતાં જ ગઈ કાલના જ - એટલે ૧૯ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ભારત સરકારના ગૃહખાતાએ યાદવની બટાલિયનના સીઓ (કમાંડીંગ અૉફિસર) અને 2ICની તાત્કાલિક બદલી ત્રિપૂરામાં કરી અને ઉચ્ચ કક્ષાની ઈન્ક્વાયરી શરૂ કરી છે. 

***

વિશ્વના સઘળા સૈન્યોમાં નિષ્ઠા અને પ્રામાણિકતા પર અફસરો તથા સૈનિકોના પાયાના શિક્ષણથી જ ભાર અપાય છે. તેમ છતાં સૈન્યમાં ભ્રષ્ટાચાર થવાની વાતો બહાર આવતી રહે છે.  ભારતીય સેનાની વાત કરીએ તો છાપાંઓમાં સુખના જમીન (Sukhna Land Scam), મુંબઈના આદર્શ ફ્લૅટ્સમાં ખુદ સેનાધ્યક્ષની સંડોવણી, શ્રીલંકામાં ભારતીય સેનાને મોકલવામાં આવી હતી ત્યારે તેમને પહોંંચાડવામાં આવનારી રસદની ખરીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હતો . આ બાબતોમાં થયેલી તપાસ અને કોર્ટ માર્શલમાં આ દુરાચાર માટેના જવાબદાર લેફ્ટેનન્ટ જનરલ અને મેજર જનરલનો હોદ્દો ધરાવનાર અફસરોને સખત સજા કરવામાં આવી હતી. હાલમાં જ અૉગસ્ટા  વેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટરના કૌભાંડમાં ભારતીય વાયુસેનાના અૅર ચીફ માર્શલ ત્યાગીની ધરપકડ કરવામાં આવી જે સૌ જાણે છે. 

નીચલા એટલે બટાલિયન લેવલ પર, જ્યાં કમાંડીંગ અફસરથી માંડી અદના સિપાઈઓને ખભા સાથે ખભો મેળવી દુશ્મન પર ધસી જવાનું હોય ત્યાં આવો ભ્રષ્ટાચાર શક્ય નથી. એક તો અધિકારીઓ પાસે નાણંાકિય સાધન કે મિલ્કતની જવાબદારી હોતાં નથી. જવાનોનું રાશન સીધું તેમના હેડક્વાર્ટરમાં પહોંચે તેથી તે બજારમાં વેચાય તે શક્ય નથી. જો એવું હોત તો ભારતીય સેનામાં અનેક વાર બળવો  થઈ ચૂક્યો હોત. આવો ભ્રષ્ટાચાર કદી થયો નથી. કારગિલ જેવા દુર્ગમ ક્ષેત્રમાં સૈનિકોએ તેમના અફસરો સાથે ધસી જઈ, પ્રાણની આહૂતિ આપી દુશ્મનને પરાસ્ત કર્યો તે આ વાતની સાક્ષી પૂરે છે કે ભારતીય સેનાના અફસરો તેમના જવાનોની સુખાકારી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી શકે છે. 

ચર્ચાના ઉપસંહારમાં કહી શકાય તેવા કેટલાક કટુ સત્ય છે.

ભારતમાં આપણી રાજ્ય અને શિક્ષણ પદ્ધતિમાં ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ફેલાયો છે કે તેના મારની કળમાંથી આપણો સમાજ હજી બહાર આવી શક્યો નથી. મારી દૃષ્ટિએ ગુજરાત રાજ્ય એક અપવાદ છે જ્યાં ભ્રષ્ટાચાર સામે લડવાની વૃત્તિ વધુ સજાગ છે. 

અન્ય પ્રદેશોમાં - ખાસ કરીને વરીષ્ઠ અધિકારી વર્ગમાં systemનો અનુચિત લાભ લેવાની વૃત્તિ વધી ગયા જેવું લાગે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરીષ્ઠ અને કનિષ્ઠ અફસરોની વાત કરીએ તો Pay Commission દ્વારા અપાતા પગાર વધારાની માત્રા સારી હોવા છતાં કરોડોની અસ્ક્યામતો હાંસલ કરવાની તેમની વૃત્તિ વધતી જ જાય છે. રોજ વાંચવામાં આવે છે કે દેશની પ્રથમ કક્ષાની સેવાઓના અફસરો પાસે કરોડોની દોલત હોવાને કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. સિવિલ ક્ષેત્રમાં આ વ્યાપક જણાતું હોય પણ સશસ્ત્ર દળોમાં અગાઉ જણાવેલા કેટલાક સ્તર સિવાય અન્ય હોદ્દાઓના અફસરોમાં આવા લાભ મેળવવાની શક્યતા હોતી નથી. બટાલિયનના અફસરોના સ્તર સુધી અન્ય પ્રકારનો અનાચાર જોવા મળે છે; જેમ કે અફસરોના તાબા હેઠળના યોદ્ધાઓનો અંગત નોકરની જેમ ઉપયોગ કરવો અને તેનો ઇન્કાર કરનાર સૈનિકોને સજા આપવી. આ બાબત પર જુદો લેખ લખી શકાય. આવી જ બીજી બાબત છે સરકારી ગાડીઓનો અંગત કામ માટે ઉપયોગ વિગેરે. આ બન્ને વિષયો પર ઘણી વિડિયો ક્લિપ આજકાલ ફેસબુક જેવા સોશિયલ માધ્યમોમાં વહેતી થઈ છે.

અંતે તો સઘળી વાત માણસની વૃત્તિ, તેને મળેલા સંસ્કાર અને મૂલ્યો પર આવીને અટકી જાય છે. 

આપણા એક વાચક શ્રી. પીયૂષભાઈના પ્રતિભાવ મુજબ સઘળી વાતોનું મૂળ Human Elementમાં થયેલા સડાને કારણે છે. આ ‘તત્ત્વ’માં યોગ્ય સંસ્કારો તથા માનવી મૂલ્યોનું સિંચન થાય તો તે કેવળ વ્યક્તિને જ નહિ, સમગ્ર રાષ્ટ્રને એક સ્તર પરથી બીજા સ્તર પર લઈ જાય છે.

***

સૈનિકોનો અંગત નોકરની જેમ ઉપયોગ કરવા વિશે એક વિનોદી વાત : 

ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા એક સૈનિકને અફસરના ‘સહાયક’ની ડ્યુટી મળી. અફસર પત્નીએ તેને રસોડામાં કામે લગાડ્યો. કૂકર પર દાળ ચઢાવી મૅડમે સહાયકને કહ્યું, “બે સીટી વાગે એટલે ગૅસ બંધ કરી નાખજે.”

“ઠીક છે, મેમસા’બ. પણ સીટી કોણ તમે વગાડશો કે સાહેબ?”

Sunday, January 15, 2017

આસપાસ ચોપાસ : ફિક્કી દાળ... ભાગ ૨.

હવે આપણે સૈન્યમાં અપાતા રાશન વિશે ટૂંકમાં વાત કરીશું.

આપણે જોયું હતું કે સેનામાં બે મુખ્ય વિભાગ હોય છે : આર્મ અને સર્વિસ. આમાં રાશનની ખરીદીથી માંડી તેનેે ફ્રન્ટ સુધી પહોંચાડવાની જવાબદારી સર્વિસ વિભાગમાં આવતા આર્મી સર્વિસ કોર (ASC)ની હોય છે. સેનાના મુખ્યાલયમાં આવેલ આ વિભાગ રાશનની ગુણવત્તા (standards) અને આંક (specifications) નક્કી કરવા ઉપરાંત મેદાની ઈલાકા (plains)થી માંડી સિયાચીન જેવા વિસ્તારમાં પૌષ્ટીક આહાર આપવા કયા કયા ખાદ્ય પદાર્થ કેટલી માત્રામાં આપવા જોઈએ તેનું ધોરણ નક્કી કરે છે. તે માટે તેના ખોરાકમાં જરૂરી પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ફાઈબર મળી રહે તે માટે દરેક ખાદ્યાન્નની માત્રા (scale) સેનાના ડાયેટિશિયન નક્કી કરે છે. તે પ્રમાણે દરેક જવાનને દરરોજ કેટલો લોટ, ચોખા, દાળ, લીલોતરી, ‘હાર્ડ વેજીટેબલ’ (દુધી, રિંગણાં વિ.), બટેટા, ડુંગળી, માંસ કે માછલી, ચ્હા, દૂધ, ખાંડ, મીઠું, ‘ડાલડા’, ફળ - આવી વસ્તુઓની ઝીણામાં ઝીણી વિગતે માત્રા નક્કી કરવામાં આવે છે. આમાંની કેટલીક - દૂધ જેવી ચીજો ગરમીને કારણે બગડી જતી હોઈ તાજા દૂધને બદલે કન્ડેન્સ્ડ મિલ્કના ડબા અપાય છે. ખોરાક રાંધવા માટે કેરોસિન, લાકડાં વિગેરે પણ તેમાં આવી જાય છે! આમાંની દરેક વસ્તુનું સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે - જેમ કે સફરજનની સાઈઝ કેટલી હોવી જોઈએ, તાજા શાકભાજીની ગુણવત્તા કેવી રીતે ચકાસવી વિ. 

આ માટેના ટેન્ડર જાહેર કરી તેના કૉન્ટ્રાક્ટ અપાય છે અને તે ASCના સપ્લાય ડેપોમાં પહોંચાડવામાં આવે છે. વિભાગીય અફસરો માલ સ્વીકારતાં પહેલાં દરેક વસ્તુ નક્કી થયેલ સ્પેસિફિકેશન પ્રમાણે છે કે નહિ તે તપાસે. ઘણી વાર શાક ભાજી sub-standard હોય તો તેનો અસ્વીકાર કરવામાં આવે છે અને તે દિવસે જવાનો માટે તેની અવેજીમાં નક્કી કરેલ વસ્તુ અથવા ટિનમાં પૅક કરેલાં શાકભાજી અપાય છે. કેન્ટોનમેન્ટમાં આવેલ દરેક ફોજી યુનિટના ક્વાર્ટરમાસ્ટર તેમના ટ્રક લઈ સપ્લાય ડેપોમાંથી સામાન તોલાવીને લઈ જાય છે અને ત્યાં કંપનીમાં હાજર સૈનિકોની સંખ્યા પ્રમાણે રાશનની વહેંચણી કરે છે. 

ખચ્ચર પર લાદીને લઈ જવાતી સામગ્રી
યુદ્ધની સ્થિતિમાં અને આંતરરાષ્ટ્રિય સીમા પર રાશન પહોંચાડવાની અને વહેંચવાની પદ્ધતિમાં ફેર હોય છે. સામરિક ગુપ્તતાને કારણે આ વ્યવસ્થાનું વિસ્તારપૂર્વક વર્ણન કરી શકાય તેવું નથી. ફક્ત એટલું જ કહી શકાય કે પહાડી વિસ્તારમાં, અને ખાસ કરીને બરફ પડતો હોય તેવા વિસ્તારમાં જવાનોનું રાશન અમુક હદ સુધી ટ્રક દ્વારા અને ત્યાર બાદ તેને ખચ્ચર કે ટટ્ટુઓ પર લાદી અગ્રિમ ચોકીઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ કામ મોસમનો
પહેલો બરફ પડે તે પહેલાં પૂરૂં કરવું પડે છે.

જિપ્સી જ્યારે ૧૩૫૦૦ ફિટની ઉંચાઈએ આવેલ ચોકીમાં કાર્યરત હતો ત્યારે આ કામ પ્રત્યક્ષ જોયું છે. માર્ચ કે એપ્રિલ માસમાં બરફ ઓગળે કે અમારી ચોકીઓમાં કેરોસિનની બૅરલ્સ અને રાશનની વણઝાર આવવી શરૂ થઈ જતી. આટલી ઉંચાઈએ હવાનું દબાણ ઓછું હોવાથી દાળ વિ. ચડાવવા પ્રેશર કૂકર આપવામાં આવે, અને એમર્જન્સી રાશનમાં બદામ, સૂકી દ્રાક્ષ જેવી વસ્તુઓ પણ આપવામાં આવતી. ઓક્ટોબર માસ પહેલાં પાંચ - છ મહિનાનું રાશન ઉંચાઈએ આવેલી ચોકીઓમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જે જગ્યાએ ASCની અૅનિમલ ટ્રાન્સપોર્ટની ખચ્ચરોની ટુકડીઓ ન હોય ત્યાં સ્થાનિક પ્રજાના ટટ્ટુઓ તથા પોર્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. 

જિપ્સી જ્યારે ૧૩૫૦૦ ફીટ ઉંચાઈએ આવેલી ચોકીમાં હતો
ત્યારે ત્યાં પહોંચાડવામાં આવેલ કેરોસિનની બૅરલ્સ. અહીં અફસર અને સૈનિકોનું
સહભોજન - 'બડા ખાના'નું દૃશ્ય છે.
આવી ઊંચાઈ પર જ્યારે વાતાવરણ માઈનસ ત્રીસ - ચાલીસ ડિગ્રી થતું ત્યારે રાશન કરતાં વધુ ઊપયોગી કેરોસિનની બૅરલ્સ થતી. અમને ગરમાવો બક્ષવા બુખારી નામનાં સાધન કેવળ કેરોસિન પર ચાલે! અને મગ ભરી ભરીને પીવાતી ગરમ ચા જવાનોનું અમૃત ગણાતું. 
આમ દરેક જવાનને સુરક્ષિત રાખવા અને તેમને સમયસર સંતુલિત આહાર મળે તે માટે સૈન્યનું મુખ્યાલય અત્યંત કાળજીપૂર્વક વ્યવસ્થા કરે છે.

આટલી સુંદર વ્યવસ્થા હોવા છતાં ઘણી વાર સમસ્યાઓ ઉભી થતી હોય છે જેને કારણે રાશન સમયસર અગ્રિમ ચોકીઓ સુધી પહોંચી શકતું નથી. આમાંની મોટા ભાગની સમસ્યાઓ કુદરતે સર્જેલી હોય છે. વરસાદ, જમીન ધસી પડે અથવા વૃક્ષો પડવાથી રસ્તા ધ્વસ્ત થતા હોય ત્યારે તેનું સમારકામ ન થાય ત્યાં સુધી મુશ્કેલીઓ પડવાની. આવી હાલતમાં હેલિકૉપ્ટર દ્વારા સામાન પહોંચાડવામાં આવે. જો કે તે માટે કુદરતની કૃપા હોવી જોઈએ! નિસર્ગ દેવતા હવામાનને અનુકૂળ કરે તો જ હવાઈમાર્ગે આ કામ થઈ શકે.
***
 પશ્ચિમમાં આવેલા આપણા પાડોશી રાષ્ટ્ર સાથેની સીમા બે પ્રકારની છે : વિશ્વમાન્ય આંતરરાષ્ટ્રિય સીમા - ઈન્ટરનેશનલ બૉર્ડર તથા લાઈન અૉફ કન્ટ્રોલ અથવા LOC. તેમાંની જમ્મુ કાશ્મિરમાં આવતી સીમા અને LOC લગભગ ૧૮૦૦ માઈલ (૨૯૦૦ કિલોમિટર) છે, જેમાં LOC ૪૬૦ માઈલ (૭૪૦ કિલોમિટર) છે.  સમગ્ર જમ્મુ કાશ્મિરમાં ભારતીય સેના તથા બૉર્ડર સિક્યોરિટી ફોર્સની બટાલિયનો ફરજ બજાવે છે. અહીં એટલું જ કહીશ કે એક બટાલિયનમાં આશરે ૧૦૦૦ સૈનિકો હોય છે અને તેમનું વિભાજન કંપનીઓમાં કરવામાં આવે છે. એક કંપનીમાં ત્રણ પ્લૅટુન હોય છે. કાશ્મિરમાં BSFની બટાલિયનોને ભારતીય સેના (Indian Army)ના અૉપરેશનલ કન્ટ્રોલ નીચે મૂકવામાં આવી છે. સરળ ભાષામાં કહીએ તો BSFની જે ટુકડીઓને ભારતીય સેના હેઠળ તહેનાત કરવામાં આવે, તેમના રાશનની માત્રા અને વહેંચણીની જવાબદારી ભારતીય સેનાની હોય છે. તેથી BSFને અપાતું રાશન તથા ઈંધણ ભારતીય સેનાના ASC વિભાગ તરફથી પૂરૂં પાડવામાં આવે છે.

અહીં કરાયેલા વર્ણનથી આપને ખ્યાલ આવ્યો હશે કે દુશ્મનની સામે રાત દિવસ રાઇફલ તાણીને સજાગ રહેલા સૈનિક માટે સમયસર અને રુચિકર ભોજન મળે તે કેટલું અગત્યનું છે, અને તે માટે તંત્ર કેવી કેવી વ્યવસ્થા કરે છે. સવાલ ઉઠે છે તો આ વ્યવસ્થાનો ભૂમિ પર અમલ કરનાર વ્યક્તિઓની તેમના કામ પ્રત્યેની નિષ્ઠા અને શ્રદ્ધાનો. 

અહીં આવે છે માનવી તત્વ - human element. 

આપણે સૌએ જોયેલી, સાંભળેલી અને વાંચેલી વાતો અંતે તો માનવીય ક્ષતિ અથવા બેદરકારી પર આવીને અટકી જાય છે.


આ ચર્ચાનું સમાપન આવતા અંકમાં કરીશું.  

Saturday, January 14, 2017

આસપાસ ચોપાસ : ફિક્્કી દાળ, બળેલી રોટલી અને સેનાના જવાન

છેલ્લા કેટલાક દિવસથી સૈન્યના જવાનો દ્વારા સોશિયલ મિડિયામાં જવાનોને મળતી બળેલી રોટલી, ફિક્કી દાળ તથા તેમને થતા અન્યાય વિશે તેમની ફરિયાદ આવવા લાગી છે. 

 સૈનિકોને અપાતા કામ, તેમને મળતી સુવિધાઓનું તંત્ર અને તે અંગેની વ્યવસ્થા વિશે પૂરી માહિતી ન હોવાથી દેશના નાગરિકોને આ વિશે અનેક પ્રકારની ગેરસમજ ઉભી થાય તે સ્વાભાવિક છે.

ભારતીય સેનામાં તથા બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં જિપ્સીએ અફસર તરીકે વીસ વર્ષ સેવા બજાવી છે, તેથી આ બાબતમાં કેટલીક વાતો કહી આ બાબતનો ખુલાસો કરવાનો પ્રયત્ન કરીશ.

સૌ પ્રથમ ભારતીય સેના વિશે. 

દરેક દેશની સશસ્ત્ર સેનામાં બે મુખ્ય વિભાગ હોય છે. Arm અને Service.  

Armમાં આવે છે ઈન્ફન્ટ્રી (પાયદળ), આર્મર્ડ કોર (ટૅંક્સ), આર્ટિલરી (તોપખાનું) એન્જિનિયર્સ (જેમને અગાઉ Sappers and Miners કહેવામાં આવતા), અને કોર અૉફ સિગ્નલ્સ (સંચાર સેવા). 

બીજો વિભાગ છે Service - જેમાં વાહન, ખાદ્યાન્ન, યુનિફોર્મ, હથિયાર, દારુગોળા જેવી સામગ્રી પૂરી પાડનાર Army Service Corps તથા Army Ordnance Corps જેવા વિભાગ. આ ઉપરાંત સેનામાં આર્મી મેડિકલ કોર, કોર અૉફ ઇલેક્ટ્રીકલ અૅન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ, પાયોનિયર્સ વિગેરે જેવા વિભાગ હોય છે. દરેક વિભાગનું કામ વિશિષ્ટ પ્રકારનું હોઈ તેમાં ભરતી કરવામાં આવનાર યુવાનને ભરતીના સમયે જ કહેવામાં આવે છે કે તેને ક્યા વિભાગમાં અને ક્યા પ્રકારના કામ માટે ભરતી કરવામાં આવે છે. ત્યાર બાદ રિક્રૂટને તેની રેજીમેન્ટના ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવામાં આવે છે. 

મિલિટરીના દરેક વિભાગ (Arm કે Service)ની સંઘટના તેમની કામગિરીને અનુસાર ઘડવામાં આવે છે. આર્મની વાત કરીએ તો ઈન્ફન્ટ્રીમાં બટાલિયનમાં હેડક્વાર્ટર કંપની  ઉપરાંત ત્રણ રાઈફલ કંપની તથા એક સપોર્ટ કંપની હોય છે. દરેક  કંપનીમાં મોટા ભાગના સૈનિકો Combatants (યોદ્ધાઓ) હોય છે અને જૂજ સંખ્યામાં Non-combatants હોય છે, જેમાં નાઈ, ધોબી, રસોઈયા, સુથાર, સફાઈ કામદાર વિ. હોય છે. તેમણે તેમને અપાયેલ ક્ષેત્રમાં રહીને કામ કરવાનું હોય છે. જો કે તેમના ક્ષેત્ર પર હુમલો થાય તો તેઓ તેમનું પોતાનું સંરક્ષણ કરી શકે તે માટે તેમને પણ આમ સૈનિકની જેમ પ્રશિક્ષણ અપાતું હોય છે. બટાલિયન હેડક્વાર્ટરમાં વહીવટી કામ કરવા માટે કારકૂનો, હેડક્લાર્ક વિ. હોય છે. તેઓ કૉમ્બેટન્ટની કક્ષામાં આવે છે અને તેમને દરેકને વ્યક્તિગત હથિયાર તથા દારૂગોળો આપવામાં આવે છે, અને યુદ્ધ ક્ષેત્રમાં તેમણે પોતાના કામની સાથે યુદ્ધ માટે સાબદા રહેવું પડે છે.

સેનાના દરેક વિભાગમાં નિયુક્ત થયેલા અફસર માટે એક ‘સહાયક’ નીમવામાં આવે છે. આ એક સશસ્ત્ર સૈનિક હોય છે. સહાયકોને અગાઉ અૉર્ડર્લી કહેવામાં આવતા. શાંતિના સમયમાં અને યુદ્ધના સમયમાં તેમનું કામ જુદું જુદું હોય છે. યુદ્ધમાં તેમને ‘રનર’ની કામગિરી સોંપાય છે. રનર હંમેશા અફસરની સાથે રહે છે, અને જ્યારે લડી રહેલા સૈનિકોને વાયરલેસને બદલે મૌખિક હુકમ આપવો પડે ત્યારે આ રનર હુકમ લઈ દોડીને અફસરના હાથ નીચે કામ કરી રહેલ અધિકારીઓને હુકમ સંભળાવી પાછો તેના અફસર પાસે પહોંચે. શાંતિના સમયમાં તેનું સહાયક તરીકેનું કામ તેના અફસરનો યુનિફૉર્મ ઈસ્ત્રીબંધ રાખી, મેડલ વિ. સાથે તૈયાર કરી, તેના સરસામાનને પૉલિશ કરી રાખવાનું હોય છે. આ ઉપરાંત સરકારી કામ માટે તેને મોકલવામાં આવે તો તે પણ કરવાનું હોય છે. જો કે શાંતિના સમયમાં સહાયકનો અફસર પરિણિત હોય તો તેમના માટે બજાર-હાટ કરવા ઉપરાંત ઘરકામમાં મદદ કરવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે કપડાં ધોવા માટે કંપનીનો ધોબી, સફાઈ માટે સફાઈ કામદાર આવતા હોય છે. અમુક અપવાદ છોડીએ તો અફસરો તેમના સહાયકોનો ઘરકામ માટે બહુ ઉપયોગ કરતા નથી, પણ જે ‘અપવાદ’રૂપ અફસરો છે, તેઓ તેમના સહાયકોને લગભગ ચોવિસ કલાક on call રાખતા હોય છે અને સેવા પણ લેતા હોય છે. 

સહાયકનું કામ કરવા માટે મોટા ભાગે યોદ્ધાઓ તૈયાર હોતા નથી, પણ અનુશાસનના ડરથી તેમને આ કામ કરવું પડે છે.

***
નેપોલિયને કહ્યું હતું કે સૈન્ય તેના પેટ પર કૂચ કરે છે (Army marches on its stomach). આમાં સૈન્યની સફળતા અને ગૌરવનો સીધો સંબંધ આવે છે. સૈનિકની સખત ડ્યુટી તથા કરવો પડતો શ્રમ (જેમાં દરરોજની કસરત, પાંચ માઈલની દોડ, અઠવાડિયે - દસ દિવસે પચાસેક માઈલની પૂરા ત્રીસે’ક રતલના વજનના હથિયાર અને સામગ્રી સાથે કૂચ કરવાની પ્રવૃત્તિને કારણે તેમને દરરોજ ન્યૂનતમ ત્રણ હજાર કેલરીનું ભોજન અને પહાડી ક્ષેત્રમાં ૩૫૦૦ કૅલરીનો ખોરાક આપવામાં આવે છે. જવાનોને સંતુલિત ભોજન મળે તે માટે ફોજના ડાયેટિશિયનોએ નક્કી કરેલા પ્રમાણમાં તેમને દાળ, રોટી, લીલાં શાકભાજી, બટેટા-દૂધી-કારેલા વિ. અને ફળોનું રાશન આપવામાં આવે છે. માંસાહારી માટે અને શાકાહારી સૈનિકોને તેમની જરુરિયાત પ્રમાણે સામાન તથા મસાલા માટે નિયત કરેલી રોકડી રકમ પણ અપાય છે. આ રાશન બટાલિયનના સ્ટોર્સ અૉફિસર (ક્વાર્ટરમાસ્ટર) સૈન્યના સપ્લાય ડેપોમાંથી લાવી દરેક કંપનીના ક્વાર્ટરમાસ્ટરને વહેંચે. કંપનીના રસોઈયા રાંધીને તૈયાર કરેલું ભોજન (વહેલી સવારે મગ ભરીને ચા, સવારની કસરત કરી આવ્યા બાદ બ્રેકફાસ્ટ, લંચ, બપોરની ચા અને રાતનું ભોજન) સૈનિકોને પીરસે અથવા લડાઈના સમયે તે પૅક કરીને આગળના મોરચા પર મોકલે. 

જવાનોને બરાબર ભોજન મળે છે કે નહિ તે તપાસવા માટે દરરોજ નિયુક્ત કરવામાં આવનાર ડ્યુટી અૉફિસરે બટાલિયનના કિચનની મુલાકાત લઈ, ભોજન ટેસ્ટ કરી તેનો લેખિત રિપોર્ટ તેમના કમાંડીંગ અફસરને આપવો પડે છે. જો કે દરેક કંપનીના કમાંડર અને અન્ય અફસરો હંમેશા જવાનોના લંગરની, તેમના રહેવાસના બૅરેક કે મોરચાનું નિયમીત નિરિક્ષણ કરતા હોય છે, જેથી જવાનોની સુખાકારીની ચોકસાઈ સાધી શકાય. આ સિવાય રેજીમેન્ટના મેડિકલ અૉફિસર રસોડાના સ્ટાફની નિયમિત રીતે શારીરિક તપાસણી કરતા હોય છે, જેમાં રસોઈયાના નખ કપાયેલા અને સાફ છે તથા તેને કોઈ ચામડીનો રોગ નથી તેની નોંધ રાખતા હોય છે. 

કોઈ પણ જવાનને તેને મળતા ભોજન, કપડાં, વાર્ષિક કે આકસ્મિક રજા વિગેરે વિશે કોઈ ફરિયાદ હોય તો તેના નિવારણનો પણ સરળ વિધી નક્કી કરેલો છે. સૌથી પહેલાં સૈનિકે પોતાની ફરિયાદ તેના ઉપરી હવાલદાર દ્વારા પ્લૅટુન કમાંડર પાસે રજુ કરી તેનું નિવારણ કરવા માટે માગણી કરવાની હોય છે. પ્લૅટુન કમાંડર સૈનિકની ફરિયાદ કંપની કમાંડર પાસે રજુ કરી સૈનિકની મુલાકાત માટે વ્યવસ્થા કરે.  આવી મુલાકાતને ‘અૉર્ડર્લી રૂમ’ કહેવામાં આવે છે. ફરિયાદને સંબંધિત રજિસ્ટરમાં નોંધી લેવામાં આવે છે અને તે બાબતમાં અફસરે શો નિર્ણય આપ્યો છે તે પણ નોંધવામાં આવે છે. જો ફરિયાદીને આ નિર્ણયથી સંતોષ ન થાય તો તે બટાલિયન કમાંડરનો ઈન્ટરવ્યૂ માગી શકે છે. 

દર મહિને કમાંડીંગ અફસર બટાલિયનના સઘળા સૈનિકો માટે ‘સૈનિક સમ્મેલન’ યોજે છે, જેમાં કોઈ પણ સૈનિક રેજીમેન્ટને લગતા (ભોજન, સ્વાસ્થ્ય, વાર્ષિક રજા) કે તેની અંગત સમસ્યા વિશે સીઓ પાસે રજુઆત કરી શકે છે અને સીઓ તે અંગે કાર્યવાહી કરતા હોય છે.

ભારતમાં કંપની સરકારના સમયથી અંગ્રેજ અધિકારીઓએ ભારતીય સેનામાં દેશી સૈનિકોની મુશ્કેલીઓ જાણવા અને તે દૂર કરવાએક ખાસ વ્યવસ્થા કરી હતી : તેમણે તેમની બટાલિયન કે રેજિમેન્ટમાં એક વિશિષ્ટ હોદ્દો બનાવ્યો હતો. પાયદળ-તોપખાનામાં સુબેદાર મેજર અને રિસાલાઓમાં રિસાલદાર મેજર. આ હોદ્દા પર સૌથી સિનિયર દેશી અફસરની નીમણૂંક થતી. પલ્ટનના નાનામાં નાના હોદ્દા પરના સૈનિકથી માંડી ઉપર સુધીના દેશી અફસરની મુશ્કેલી, ફરિયાદ કે અસંતોષ વિશે જાણકારી મેળવી કમાંડીંગ અફસર સુધી પહોંચાડે, જેથી પલ્ટનમાં ઉપસ્થિત થનારી કોઈ પણ સમસ્યાનો નિકાલ જડમૂળથી થઈ શકે. આ વ્યવસ્થા હજી પણ  ભારતીય સેનામાં ચાલુ છે. (આ વિશે આપે 'ડાયરી'માં પ્રકાશિત થયેલ નવલકથા 'પરિક્રમા'માં વાંચ્યું હશે.)

ભારતના અર્ધલશ્કરી દળ - BSF, CRPF, SSBનું ગઠન (organization) થોડા ઘણા ફેરફાર સાથે ભારતીય સેનાના ધોરણ જેવું યોજાયું છે. મૂળભૂત ફેર એ છે કે આવા અર્ધલશ્કરી દળોના મોટા ભાગના ડીઆઈજી, ઈન્સ્પેક્ટર જનરલ અને સૌથી વડા ડાયરેક્ટર જનરલના પદ પર IPS અફસરોની ડેપ્યુટેશન પર નીમણૂંક થતી હોય છે, જ્યારે ભારતીય સેનામાં કેવળ અને કેવળ સેનાના અફસરો જ નીમાય છે. પરિણામે જેને સંસ્થા અને તેના સૈનિકો પ્રત્યેની નિષ્ઠા - commitment કહેવાય તે કયા દળમાં પ્રમુખતાથી જોવા મળે છે તેનો અંદાજ સહેલાઈથી આવી શકે. 

પ્રશ્ન થશે, આવી સુંદર વ્યવસ્થા હોવા છતાં સોશિયલ મિડિયામાં બીએસએફના તેજ બહાદુર યાદવ અને ભારતીય સેનાના લાન્સ નાયક યજ્ઞપ્રતાપસિંહ જેવાઓની વિતકનો આટલો મોટા પાયા પર હોબાળો કેવી રીતે થયો? 

***

ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોના કાયદાઓ (Army Act તથા BSF Act and Rules)માં લેખિત આદેશ છે કે કોઈ પણ સેવારત કે નિવૃત્ત સૈનિક કે અફસર જાહેર માધ્યમ કે અખબારોમાં ખાતાની લેખિત મંજુરી સિવાય કોઈ ઈન્ટરવ્યુ ન આપી શકે કે ન કોઈ લેખ પ્રસિદ્ધ કરી શકે. સોશિયલ મિડિયાના પ્રાદુર્ભાવ પછી Orkut, Face Book, Twitter જેવા ફોરમમાં સૈન્યના અફસરો તથા અન્ય હોદ્દાના સભ્યો જોડાયા. આનો ફેલાવો એટલી હદ સુધી થઈ ગયો કે યોગ્ય ખાતાઓ તેની નોંધ લે ત્યાં સુધીમાં ભારે સંખ્યામાં સૈનિકો આવા ગ્રૂપમાં જોડાઈ ગયા. સમય જતાં લગભગ સઘળા સૈનિકોની પાસે સ્માર્ટફોન આવ્યા અને જે તે એકબીજા સાથે સમ્પર્કમાં આવવા લાગ્યા. આની જાહેર મિડિયા પર આવતા સમાચાર, ચર્ચા અને જાહેર જનતામાં સૈન્ય વિશેના કુતૂહલની અસર તથા તેને જાહેર જનતા તરફથી મળતા પ્રતિસાદની શક્તિનો ખ્યાલ સૈનિકોને આવ્યો. તેઓ તેનો ઉપયોગ કરશે તેની શંકા સુદ્ધાં સેના પ્રમુખોને ન આવી. 

આવતા અંકમાં આપણે હાલમાં ચાલી રહેલી ચર્ચાનું વિશ્લેષણ કરીશું.