Monday, December 16, 2013

બ્રિટન - જ્યારે ભારતની સ્ત્રી શક્તી જાગે છે...


કર્મ, સંજોગ, ઇત્તેફાક આ શબ્દો આપણા જીવનમાં અભિન્ન રીતે ગુંથાયા છે. ક્યાં અને ક્યારે કોની સાથે મુલાકાત થશે, કેટલા સમય પુરતો તેમનો સંગાથ રહેશે, તે કોઇ જાણી શકતું નથી. કેટલીક વાર એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થતી હોય છે, ભલે તે ક્ષણીક કેમ ન હોય, અવિસ્મરણીય બની જતી હોય છે. તેમણે કહેલા વાક્યો, તેમણે કરેલ કામ જે આપણે દૂરથી જોયું હોય છતાં આપણાં હૃદયોમાં, સ્મૃતીમાં કાયમ માટે અંકાઇ જતા હોય છે. આવું જ કંઇ થતું હોય છે આપણે કશું’ક વાંચ્યું હોય તે બાબતમાં. પુસ્તક કે લેખકનું નામ સુદ્ધાં ઘણી વાર યાદ નથી રહેતું, પણ તેમણે લખેલા વાક્યો આપણા અંતરાકાશમાં તેજસ્વી તારાની જેમ હંમેશા ચમકતા રહે છે અને સ્વર બનીને ગુંજતા રહે છે

મહાન વિચારકો, ઋષી-સંતોએ જેને પોતાની કર્મ ભુમિ માની છે અને ત્યાં રહીને જનસેવા કરી છે, ત્યાં આપણે પગ મૂકીએ ત્યારે એક પ્રકારની દિવ્ય અનુભૂતિ થયા વગર રહેતી નથી. એક એવી વિચાર શક્તિ અને પ્રેરણા આપણા શરીર અને મનને આવરી લેતી હોય છે જેની અસર લાંબા સમય સુધી આપણો સાથ દેતી હોય છે. તીર્થયાત્રાના સ્થળોની મુલાકાત લેતી વખતે આવો અનુભવ સૌને આવી શકે છે.  અહીં ‘તીર્થ’ એટલે કેવળ ધાર્મીક સ્થળ નહી, પણ મહાપુરુષોનાં જન્મસ્થળ, તેમની કર્મભુમિ, જે સ્થળે તેમણે થોડો સમય પસાર કર્યો હોય ત્યાંની જમીન તથા આબોહવામાં એક પ્રકારની અદૃશ્ય જ્યોતિ હંમેશા પ્રકાશ પાથરતી રહે છે. આનો પ્રસાદ સૌને મળી શકે છે. ફક્ત તેને અનુભવી, તેને સ્વીકારવાની શક્તિ આપણામાં હોવી જોઇએ, એવું જાણકાર લોકો કહે છે.

લંડનની કેટલીક જાણીતી, અજ્ઞાત, શિક્ષીત, અશિક્ષીત બહેનોએ સ્ત્રીઓના મતાધિકાર માટે ચલાવેલી લડાઇ એક યજ્ઞ સમાન હતી. સમગ્ર દેશની બહેનોને તેમણે સ્ત્રી-શક્તિમાં વિશ્વાસ અને ગૌરવની ભાવના અાપી હતી. અહીં આપને નેવિલ શૂટ (Neville Shute)ની બીજા વિશ્વયુદ્ધના પ્રસંગો પર આધારીત નવલકથા ‘A Town Called Alice’ પર નિર્મીત ચિત્રપટ સોરીયલ યાદ આવશે. મલાયા (આજના મલેશિયા)માં યુદ્ધબંદી થયેલી અંગ્રેજ બહેનોમાં આત્મગૌરવની ખુમારી હતી તેને જાપાનીઝ અધિકારીઓએ અહંકાર સમજી તેમના પર અનેક અત્યાચાર ગુજાર્યા હતા. ગુલામોની જેમ મજુરી કરાવી તેમના ખમીરને ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં તેમણે હાર માન્યા વગર આ બહેનો શાંતીપૂર્વક તેનો સામનો કરતી રહી અને અંતે વિજયી થઇ હતી. Suffregettesની લડાયક ભાવના બ્રિટનમાં ગયેલી ભારતીય બહેનોમાં ક્યારે અને કેવી રીતે આવી એ વિચારવા લાયક વિષય હતો. 

ભારતવર્ષના ઇતિહાસમાં તેમજ આધુનિક કાળમાં એકલ-માતાઓએ (single parent mothers) આજના સમય, પુરુષપ્રધાન સમાજ તથા સંજોગો સામે લડીને પોતાનાં બાળકોને સ્વમાનભર્યું જીવન જીવવાની શક્તી આપતી રહી છે. અન્યાયી અને જુલમ ગુજારતી વિદેશી સત્તાઓને યુદ્ધનો પડકાર આપ્યો છે, જે કાંઇ બહારથી આવેલી વાત નથી. આ તો તેમના અંતરમાં રહેલી જન્મજાત દુર્ગાની શક્તિનો સાક્ષાત્કાર છે. બ્લૉગરના એક અનુવાદિત પુસ્તક "બાઇ"માં આ વાત જરૂર જોવા મળશે.

લંડનમાં સોશિયલ સ્ટડીઝમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરતી વખતે અમૃત વિલ્સન, યાસ્મીન અલીભાઇ જેવી લેખિકાઓ તથા જયાબહેન દેસાઇએ સમગ્ર બ્રિટનમાં દેશવ્યાપી હડતાલ ચલાવી હતી તેનો અભ્યાસ કરતી વેળાએ લેખકના મનમાં બે વાતો ધ્યાનમાં આવી:

એક તો સ્વમાન, આત્મગૌરવ અને સંઘર્ષની શક્તિ પરમાત્માએ ભારતીય સ્ત્રીઓમાં ભરપૂર પ્રમાણમાં બક્ષી છે. પ્રગટ કે અપ્રગટ રીતે પ્રજ્વલિત રહેલી આ શક્તિને ભારતના પુરુષ-પ્રધાન દેશમાં સ્ત્રીઓને આર્થીક રીતે પુરુષ પર આધાર રાખતી કરી દેવામાં આવી છે. બીજી વાત: સદીઓથી આ થતું આવ્યું હોવા છતાં ભુમિગત સરસ્વતિની જેમ આત્મનિર્ભરતાનો પ્રવાહ આપણી મહિલાઓમાં સતત જીવંત રહ્યો છે. બ્રિટનની સોશિયલ સિક્યોરિટી પદ્ધતિ તથા ત્યાંની ઉદારમતવાદી (liberal) વિચારસરણીએ એકલજીવી બહેનોને સ્વમાન તથા આર્થિક સ્વાતંત્ર્યનું શસ્ત્ર આપીને તેમને સમાજમાં વિશિષ્ટ સ્થાન આપ્યું, જેનું મહત્વ આપણી બહેનોએ જાણ્યું. આ જાણે એક catalyst થયું અને તે દ્વારા બહેનોને પોતાની આંતરીક શક્તિને મૂર્ત સ્વરૂપ આપવા મળ્યું. 

આજના અંકમાં આપને બ્રિટનમાં એક સમયમાં વિશ્વવિખ્યાત બનેલા અને હાલ સમયના પડદા પાછળ રહેલી એક મંદ જ્યોતિ સમાન જ્વલંત એવા સ્વ. જયાબહેન દેસાઇનો પરિચય આપીશું. આ લેખ અમદાવાદથી પ્રસિદ્ધ થતા ‘સાર્થક જલસો’ના દિવાળી અંકમાં પ્રસિદ્ધ થયો હતો. તેનું સંક્ષિપ્ત સંસ્કરણ ‘સાર્થક જલસો’ના સંપાદક મંડળના સૌજન્યથી અહીં આપ્યું છે. 
***

૧૯૭૦ના દાયકામાં બ્રિટન આર્થિક મંદીમાં સપડાયું હતું. બેકારી ચારે તરફ વર્તાઇ રહી હતી. એવામાં પૂર્વ આફ્રિકાથી મોટી સંખ્યામાં નિર્વાસીત થયેલા ભારતીય ઉગમના લોકો બ્રિટનમાં આવી પહોંચ્યા હતા. વર્ણદ્વેષની નિમ્નકક્ષાએ પહોંચેલા બ્રિટીશ સમાજમાં પૂર્વ આફ્રિકાથી ગયેલા નિર્વાસીતોની હાલત વર્ણવી શકાય તેમ નથી. સુખવસ્તુ પરિવારની બહેનોને લંડનની કારમી બેકારીમાં પતિ-સમોવડી બનવા નોકરી કરવાનો વારો આવ્યો. ગ્રૅજ્યુએટ થયેલી અને પૂર્વ આફ્રિકામાં અંગ્રેજ કંપનીઓમાં કામ કરી ચૂકેલી આપણી બહેનોને સરકારમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (જે તે સમયે અૅડમીન અાસીસ્ટન્ટ કહેવાતા)ની પણ નોકરી ન મળે. પચાસ-સો માણસને કામે રાખનાર કંપનીના મૅનેજર, જેમને આફ્રિકા છોડીને બ્રિટન જવું પડ્યું હતું તેમને unskilled મજુરોનું કામ કરવાની ફરજ પડી. મોટા ભાગની શિક્ષીત બહેનોને ફૅક્ટરીઓની અૅસેમ્બ્લી લાઇનમાં કામ કરવાનો વારો આવ્યો. ટાંઝાનિયાથી લંડન આવેલ ટાયર ફૅક્ટરીના મૅનેજર સૂર્યકાંત દેસાઇ તથા સુખવસ્તુ પરિવારનાં જન્મેલા તેમનાં પત્નિ જયાબેન પણ તેમાંથી બાકાત ન રહ્યા. સૌને ફૅક્ટરી, કપડાં સીવવાની sweatshops અને સુપરસ્ટોરની અભરાઇઓમાં માલ ભરવાનું કામ કરવું પડ્યું.

આવી એક ફૅક્ટરી હતી ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસીંગ લેબોરેટરીઝ. લંડનના વિલ્સડન વિસ્તારમાં આવેલી આ કંપનીનો એક પ્લાન્ટ ડૉલીસ હિલ ટ્યુબ સ્ટેશન પાસે આવેલા ચાર્ટર રોડ તથા નજીકના કોબોલ્ડ રોડ પર આવ્યો હતો. Mail Orderથી આવેલી કૅમેરાની ફિલ્મને ધોવાનું તથા તેની પ્રિન્ટ્સ બનાવી ટપાલથી ગ્રાહકોને પાછી મોકલવાનો તેમનો વ્યાપાર બ્રિટનના ફોટો પ્રિન્ટના ક્ષેત્રમાં સૌથી મોટો  ગણાતો. આખા દેશમાંથી દરરોજ હજારોની સંખ્યામાં તેમની પાસે ટપાલ દ્વારા િફલ્મ આવે અને કંપની તેને ડેવેલપ કરી, તેની પ્રિન્ટસ્ ગ્રાહકોને એક અઠવાડિયામાં પાછી મોકલે. કંપનીના માલિક રૂઢીચુસ્ત Conservative Partyના અગ્રગણ્ય  સભ્ય હતા. આ પક્ષ કામદાર સંઘોની સાવ વિરુદ્ધ હતો. પક્ષની નીતિને અમલમાં આણવા આ માલિકે તેમની કંપનીમાં હુકમ કરીને કર્મચારીઓને યુનિયનના સભ્ય થવા પર પ્રતિબંધ મૂક્યો. નિયમનું ઉલ્લંઘન કરનારને તરત જ નોકરી પરથી કાઢી મૂકવામાં આવે. કમરતોડ ગરીબી અને બેકારીને કારણે કોઇ કામદાર આ નિયમનો ભંગ કરવાની સ્થિતિમાં નહોતા.

આપણા લોકોની ગરજ જોઇને ગ્રુનવિકે તેમને અઠવાડિયાના કેવળ ૨૮ પાઉન્ડનું વેતન આપવાનું શરૂ કર્યું. તે સમયે બ્રિટનમાં અઠવાડિયાના ૪૦ કલાક કામનો સરેરાશ દર ૭૨ પાઉન્ડ હતો. તે સમયે સ્ત્રીઓને અસમાન પગાર અપાતો હોવાથી તેમને લગભગ અઠવાડીયાના ૪૪ પાઉન્ડ અપાતા. આફ્રિકા તથા વેસ્ટ ઇન્ડીઝથી ગયેલા લોકો તો અસહ્ય બેકારીના સમયમાં કોઇ પણ કામ મળે, ગમે એટલો ઓછો પગાર મળે, કામ લઇ લેતા. ગ્રુનવિકમાં કામ કરનારા લગભગ ૪૦૦ કામદારોમાંથી લગભગ ૩૫૦ કામદાર ભારતીય મૂળના, ત્રીસે’ક વેસ્ટ ઇન્ડીઝના અને બાકીના હતા તે ગોરા સુપરવાઇઝર અને મૅનેજર. આપણા લોકોની “આજ્ઞાંકિત” વૃત્તિ, ચૂપચાપ જુલમ સહેવાની ટેવને જોઇ છેલ્લે છેલ્લે તો કંપનીએ બિન-એશિયન અરજદારોને કામે રાખવાનું બંધ કરી નાખ્યું.

૧૯૭૬ના વર્ષનો ઉનાળો બ્રિટનમાં સૌથી વધુ ઉષ્ણ હતો. કારખાનાંઓમાં અૅર કન્ડીશનીંગ અથવા પંખા હોવા જ જોઇએ એવા ઇન્વારયર્નમેન્ટ ખાતાના નિયમો હતા. જ્યાં સુધી તેની વ્યવસ્થા ન થાય, કર્મચારીઓ પાસેથી તેમને સોંપાયેલા કામના ક્વોટામાં યોગ્ય ઘટાડો કરવો એવો નિયમ હતો. ગ્રુનવિકમાં અૅર કન્ડીશનીંગ બંધ પડી ગયું હતું. કંપનીએ ખર્ચમાં બચત કરવા તેની અવેજીમાં પંખા મૂકવા - કે અૅર કન્ડીશનરને રિપૅર કરવા કોઇ પગલાં ન લીધા. આની અસર ઉત્પાદન પર થઇ, પણ કંપનીએ કામદારોના ક્વોટામાં કોઇ બાંધ છોડ ન કરી. ૨૦ અૉગસ્ટ ૧૯૭૬ના રોજ દેવશી ભુડિયા નામના કર્મચારીને ગોરા સુપરવાઇઝરે “તું કામમાં ઢીલાશ કરે છે,” કહી તેમનું અપમાન કરી તેમને કામ પરથી કાઢી નાખ્યા. આ અન્યાય અને અપમાનાસ્પદ  વર્તન જોઇ તેમના ત્રણ સાથીઓ મૅનેજરના અસભ્ય વર્તનના વિરોધમાં તેમની સાથે કામ છોડી બહાર નીકળી ગયા. 

કામ પૂરૂં કરવાનો સમય સાંજના પાંચનો હતો તેમ છતાં જયાબેન લગભગ સાત વાગે ઘેર જવા માટે કોટ પહેરવા ગયા, ત્યારે મૅનેજરે તેમની કેબીનમાં બોલાવ્યા. ખુરશી પરથી ઉભા થઇ ગુસ્સે થઇને બરાડ્યા, “અમારી રજા વગર તારૂં કામ પૂરૂં થયું એમ કેમ માની લીધું? તને પણ આ ફૅક્ટરીમાંથી બરતરફ કરવામાં આવે છે.”

ગુસ્સાથી તમતમતા, છ ફીટ ઉંચા,  અલમસ્ત શરીરવાળા મૅનેજર માલ્કમ અૉલ્ડનની સામે ઉભા રહી ૪ ફીટ દસ ઇંચની ઉંચાઇ વાળા ઢીંગલી જેવા જયાબહેને શાંત પણ મક્કમ સ્વરે કહ્યું, “મિસ્ટર મૅનેજર! તમે ચલાવો છો તે ફૅક્ટરી નથી, આ તો પશુ સંગ્રહાલય છે! તમને ખબર હશે કે પ્રાણીસંગ્રહાલયમાં અનેક જાતના જાનવર હોય છે. કેટલાક તમારી આંગળીના ઇશારે નાચતા વાંદરા હોય છે. અમે સિંહ છીએ! ગમે ત્યારે તમને ચાવી જઇશું,” કહી તેમણે પણ વૉક આઉટ કર્યો. જયાબેનની સાથે તેમનો પુત્ર સુનીલ પણ વૉકઆઉટ કરી ગયો.

જયાબેનના આ વાક્યો બ્રિટનના લગભગ દરેક અખબારમાં, રેડીયો પર અને ટેલીવિઝનના સમાચારોમાં અનેક વાર લખાયા, વંચાયા અને કહેવાયા! આજે પણ ઇન્ટરનેટ બ્રાઉઝર પર ‘જયાબેન દેસાઇ’ પર ક્લિક કરશો તો તેમની માહિતીમાં આ વાક્યો જરૂર જોવા મળશે! 

બીજા દિવસે આ છ જણા ફૅક્ટરીની બહાર પિકેટ લગાવીને ખડા થઇ ગયા. સૌથી આગળ હતા જયાબેન. 

બ્રિટનમાં એક તરફ વર્ણદ્વેષી લોકોની બહુમતિ પ્રવર્તતી હતી તો બીજી તરફ ત્યાંની પ્રજામાં સહિષ્ણુ વૃત્તિના ઉદારમતવાદી લોકોનો વર્ગ શાંત પણ સક્રિય છે. ઘણા સમયથી બ્રિટનમાં બિન સરકારી ક્ષેત્રમાં Citizens’ Advice Bureau જનતા માટે વિનામૂલ્ય સલાહકેન્દ્ર ચલાવે. વિલ્સડન હાઇ રોડ પર તેમની એક શાખા હતી તેમાં કામ કરનાર એક મહિલાએ જયાબેનને યુનિયનના સભ્ય થવાની સલાહ આપી. જયાબેન અને તેમના સાથીઓ કામદાર સંઘમાં જોડાયા અને કંપનીની બહાર પિકેટીંગ ચાલુ રાખ્યું. જોતજોતામાં ગ્રુનવિકમાં કામ કરનારી ૧૩૬ બહેનો આ હડતાલમાં જોડાઇ અને પિકેટીંગ કરવા લાગી. રોજ સવારે છ વાગે બહેનો આવે અને ફૅક્ટરીની સામે ખડી થઇ જાય. જયાબેન નજીકના લંડન અંડરગ્રાઉન્ડના ટ્યુબ સ્ટેશનોની બહાર ઉભા રહી પ્રવાસીઓને તેમની હડતાલ વિશે ચોપાનિયાં વહેંચવા લાગ્યા. રાષ્ટ્રીય કક્ષાના અખબારોને નવાઇ લાગી. એક શાંત, સહનશીલ સમાજની સ્ત્રીઓ તરીકે જેમની ખ્યાતિ હતી તેમને આમ અન્યાય સામે અવાજ ઉઠાવતી જોઇ દેશના અખબારોએ “Strikers in Saris”ને વધાવી લીધી. તેમની છબીઓ છપાવા લાગી. 


વિલ્સડનની નજીક જ આવેલી ક્રિકલવૂડની ટપાલખાતાની સૉર્ટીંગ અૉફીસ, જે પોસ્ટ અૉફીસ વર્કર્સ યુનિયનનું સભ્યપદ ધરાવતી હતી, તેના બધા અંગ્રેજ કર્મચારીઓએ તથા એક વેસ્ટ ઇન્ડીયન સભ્યે  જયાબેનનો પક્ષ લીધો. તેમણે જયાબેનની પિકેટ લાઇનને ઓળંગી ગ્રુનવિકની ટપાલની ડિલીવરી કરવાનો ઇન્કાર કર્યો. ગ્રુનવિકનો ધંધો mail orderનો હતો. સૉર્ટીંગ અૉફિસના કર્મચારીઓએ ગ્રુનવિકના હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની સહાનુભુતિમાં આગળ જતાં ગ્રુનવિકની ટપાલ - જેમાં કંપનીના ઘરાકના તૈયાર થયેલા ફોટોગ્રાફ્સ હતા, તે પૅકેટ્સ પણ લઇ જવાનો ઇન્કાર કર્યો. હવે તો ધંધામાં ખોટ આવવાની શરૂઆત થઇ. કામદારોને નજીવો પગાર આપીને ૩૦%થી વધુ નફો કમાવનાર કંપની આ કેવી રીતે સાંખી લે? 

હવે ગ્રુનવિકના હડતાલ પર ઉતરેલા સભ્યોએ તેમની હડતાળને રાષ્ટ્રવ્યાપી બનાવવા સંઘર્ષ સમિતી સ્થાપી. હવે તો આખા દેશના અન્ય યુનિયનોના સભ્યો ગ્રુનવિકની હડતાલને સમર્થન આપવા દૂર દૂરથી તેમના સભ્યોને ખાસ બસો ભરી ભરીને લાવવા લાગ્યા. જયાબેન  તેમની આવડે તેવી - પણ જોરદાર અંગ્રેજીમાં ભાષણ આપવા લાગ્યા. “અમારી લડત વધુ વેતન માટે નથી. અમારી માગણી કામદારોના સ્વમાન તથા આત્મગૌરવ માટેની છે,” તેઓ કહેતા.

જયાબેનની હડતાલ તોડવા કંપનીએ ભારે પગારે ગોરા કામદારોને બોલાવ્યા, પણ તેમને ડર લાગ્યો કે પિકેટીંગ કરનાર ‘સાડીધારી હડતાલીયા’ તેમને સ્ટેશન પર જ રોકે તો શું કરવું? ગ્રુનવિકે દરેક ‘નવા’ કામદારોના ઘેર બસ મોકલી. તેમને લઇ ચૅપ્ટર રોડ પર જ્યારે બસ પહોંચી, પિકેટીંગ કરનાર બહેનોએ “SCAB!”નાં પાટિયાં લઇ બસને ઘેરી લીધી. ‘સ્કૅબ’ એટલે હડતાલ પર ઉતરેલા કામદારોનો હક્ક છિનવી તેમનું કામ લઇ લેનાર હલકી કક્ષાના ગદ્દાર! એક પણ નવો કામદાર બસમાંથી નીચે ન ઉતરી શક્યો. બસ પાછી ગઇ. જયાબેનની આ સૌથી મોટી સિદ્ધી હતી, કારણ આ કામદારોને મદદ કરવા છ ફીટથી પણ લાંબા ખાસ પોલીસમેન તેમને ઘેરીને ફૅક્ટરીની અંદર લઇ જવા નીકળ્યા, પણ તે સફળ ન થયા.

અંતે કંપની સમાધાન માટે તૈયાર થઇ: એક શરત પર. કર્મચારીઓ યુનિયનમાં જોડાય નહી. આ શરત કામદારોના મૂળભૂત અધિકારની વિરુદ્ધનો માની સંઘર્ષ સમિતિએ સમાધાન નકાર્યું. ગ્રુનવિકની હડતાલ સમિતિ બ્રિટનની લવાદી સંસ્થા ACAS  પાસે ગઇ. તે સમયે મજુર પક્ષના શ્રી. જેમ્સ કૅલાહાનની સરકાર હતી. તેમણે લૉર્ડ સ્કાર્મનની અધ્યક્ષતા નીચે આ દેશવ્યાપી હડતાળનું સમાધાન કરવા કોર્ટ અૉફ ઇન્કવાયરી નીમી. તપાસ વખતે  જ્યારે ગ્રુનવિકના મૅનેજર જૉન અૉલ્ડનને લૉર્ડ સ્કાર્મને પૂછ્યું કે જયાબેન અને તેમની સાથી બહેનોએ શા માટે ’વૉક આઉટ’ કર્યો, તેઓ જવાબ ન આપી શક્યા. આખરે લૉર્ડ સ્કાર્મને ફરી એક વાર પૂછ્યું, અૉલ્ડને કહ્યું, “કોણ જાણે. પણ અચાનક તે (જયાબેન) ભડકી ઉઠ્યા અને બોલ્યા, “ I want my freedom.” તેમનું આ વાક્ય મારા અંતરમાં કોરાઇ ગયું છે.” 

***


જયાબેને શરૂ કરેલી હડતાલ, ગામે ગામ જઇને તેમણે ભરેલી સભાઓ તથા અખબારો સાથેની મુલાકાતોને પરિણામે યૉર્કશાયરના ખાણમજુરોના પ્રભાવશાળી નેતા આર્થર સ્કારગીલ આ સંઘર્ષમાં જોડાયા અને તેમના યુનિયનના હજારો સભ્યોને લઇ વિલ્સડન પહોંચ્યા. મેટ્રોપોલિટન લંડનના મૂખ્યાલયે નિમ-લશ્કરી સેનાની સ્થાપના કરી અને તેમના સશસ્ત્ર દળોને ગ્રુનવિકની ફૅક્ટરી સામે પિકેટીંગ કરતી બહેનોને રોકવા મોકલ્યા. તેઓ બહેનોનાં વાળ પકડી પોલીસવાન તરફ ઘસડી ગયા. દેશમાં હાહાકાર થયો, પણ કશું વળ્યું નહી. ન તો બહેનોએ પીછેહઠ કરી, ન કંપનીએ નમતું જોખ્યું.

જયાબેન તથા તેમની ‘Strikers in Saris’ ૬૯૦ દિવસ સુધી હડતાલ અને પિકેટીંગ કરતી રહી. રાજકીય પક્ષો દ્વારા ચલાવાતા મજુર મંડળોનો ઉદ્દેશ પોતાનું અસ્તીત્વ ટકાવીને રાજકીય ફાયદો ખાટવાનો હતો. બેઉ શક્યતાઓ નાબૂદ થતાં બ્રિટનના મજુર-મહામંડળ TUCએ જયાબેનનો સાથ છોડ્યો. લગભગ બે વર્ષ સુધી લાંબી લડત બાદ ગ્રુનવિકની હડતાલ પાછી ખેંચાઇ. 

આખી લડતમાં બે વાતો બહાર આવી. 

સ્ત્રી શક્તિ જ્યારે જાગે, તે દુર્ગાનો અવતાર બને છે. તે માટે ભારત દેશમાં જ તેણે અવતરવું જોઇએ એવો નિયમ નથી!

બીજી વાત: જ્યારે જનતાની સ્વપ્રેરિત લડતમાં રાજકારણી ચૌદશિયા જોડાય તો તેનો અંજામ કટુ જ નિવડે. સંઘર્ષમાં જીત થાય તો તેનો યશ આ રાજકીય પક્ષો લઇ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. લડતમાં કદાચ હાર થાય તો તે હાર લડત શરૂ કરનાર યોદ્ધાઓની છે એવું કહી હઠી જતા હોય છે. બન્ને બાજુએ ફાયદો આ પક્ષોને જ થતો હોય છે. જયાબેન દેસાઇની લડતમાં આવું જ થયું. બ્રિટનના વામપંથી અને કમ્યુનીસ્ટ રાજકારણીઓ આ સંગ્રામમાં જોડાયા. તેમણે મોટેથી શોર-શરાબો કર્યો જ્યારે તેમણે જોયું કે આખા દેશનું વલણ માર્ગરેટ થૅચરના નેતૃત્વ નીચે કૉન્ઝરવેટીવ પક્ષ તરફ છે, અને મજુર પક્ષ ખરાબ રીતે હારવાનો છે, તેઓ જયાબેનની લડતમાંથી હઠી ગયા. 

ગ્રુનવિકની લગભગ બે વર્ષની લડતમાં ટાઢ, તડકો, વરસાદ - કશાની પરવા કર્યા વગર જયાબેન દેસાઇ તથા તેમની સાથે લડતમાં ભાગ લેનારી ૪૦૦ જેટલી બહેનોએ સતત ભાગ લીધો. અંતે આ અનિર્ણીત લડત પાછી ખેંચાઇ. આ લડતમાં હાર જયાબેન કે તેમની સાથે લડાઇમાં જોડાયેલી બહેનોની નહોતી. તેમણે તો એક અપૂર્વ જીત હાંસલ કરી હતી. ભારતીય સ્ત્રી એટલે ગરીબડી ગાય, જ્યાં દોરાય ત્યાં જાય, ગમે તેવો સીતમ સહે, એવી બ્રિટનમાં પણ ફેલાયેલી છાપને તેમણે સદંતર દૂર કરી. એક પ્રબળ સત્તા સામે ભારતીય સ્ત્રીઓ પણ ટક્કર લઇ શકે છે તે સાબિત કર્યું. દેશભરમાં ભારતીય-બ્રિટીશ મહિલાઓની અભૂતપૂર્વ પહેચાન કરાવનાર વ્યક્તિના કાર્યને કોઇ હાર કેવી રીતે કહી શકે? અહીં જો કોઇની હાર થઇ હોય તો તે હતી એક વર્ણદ્વેષી સમાજ પદ્ધતિની. તેમની કહેવાતી  બ્રિટનના નિષ્પક્ષ ન્યાયતંત્રની પોકળતાની. 

જયાબેન દેસાઇનું અવસાન ૭૭ વર્ષની વયે ૨૩ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ થયું. સમગ્ર બ્રિટનમાંથી તેમને ભારોભાર અંજલિ અપાઇ. 

એક કટાર લેખિકા લિંડસી જર્મને લખ્યું, “On September 2, 1976 these workers, who became known as "the strikers in saris", were dismissed...A thousand workplaces across Britain embraced their cause. By July 11, 1977, 20,000 unionists marched on the (Grunwick) factory.”

બ્રિટનના અગ્રગણ્ય સમાજશાસ્ત્રના લેખિકા યાસ્મિન અલીભાઇ-બ્રાઉને પ્રસિદ્ધ અખબાર ધ ઇન્ડીપેન્ડન્ટમાં લખ્યું, “...Mrs Desai... was tiny, not quite 5ft tall and almost always in a sari and cardigan, carrying a plastic handbag and a coat that couldn't possibly have kept her warm. Her hair was tied in a plait or a bun and between her brows was her tikka, a dot worn by Hindu women. I interviewed her several times – she reminded me of my mum, short too, who wore saris with cardis. Both taught themselves functional English and then used the language, freely and imaginatively, like a rebellious artist does his colour palette.... Like other exiles, they had to do stuff they had never done before, adjust to life in a cold climate and the poverty faced by involuntary migrants. They had to toughen up.”

છેલ્લે જયાબેને તેમના મૅનેજરને કહેલ બીજું વાક્ય યાદ આવે છે: "A person like me, I am never scared of anybody." 


લેખક જ્યારે ૧૯૮૧માં લંડન કાયમી વસવાટ માટે ગયો ત્યારે તેનું કાર્યક્ષેત્ર આ જ વિલ્સડન વિસ્તારમાં હતું. ચૅપ્ટર રોડ અવાવરૂ થઇ ગયો હતો. ડૉલીસ હિલ ટ્યુબ સ્ટેશન વસૂકી ગયેલી ગરીબડી ગાય જેવું બેઠું છે અને સ્ટેશનના દરવાજામાં ચોપાનિયાં વહેંચતા જયાબેનની યાદને જાણે વાગોળતું હોય તેવું લાગે. કોબોલ્ડ રોડ ઉધઇથી ખવાઇ ગયો હોય તેવો લાગે છે. નથી તેમાં લંડનનું એક પરું હોવાનું નૂર કે નથી તેમાં કોઇ રોનક. આ રોનક તો જયાબેન દેસાઇ, તેમની સાથીદાર બહેનો અને ભાઇઓની રવાનગીની સાથે નષ્ટ થઇ ગઇ.

આ વર્ષનો આ છેલ્લો અંક છે. આપ સૌને નાતાલ, નવા વર્ષની શુભેચ્છા. નુતન વર્ષ આપ સૌને સુખદ, સબળ અને સમૃદ્ધ નિવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના. નવા વર્ષમાં ફરી મળીશું! 

Sunday, December 1, 2013

લંડનની સોશિયલ સર્વિસીઝના અનુભવો

ભારતીય ઉપખંડમાંથી આવેલા સિનિયર સિટીઝન્સની સંસ્થામાં લગભગ બે વર્ષ કાર્ય કર્યા બાદ જિપ્સીને લંડનના પછાત ગણાતા વિસ્તારમાં આવેલી કાઉન્સીલની સોશિયલ સર્વીસીઝ ડિપાર્ટમેન્ટની કચેરીમાં અંગ્રેજ અને ભારતીય ઉપખંડમાંથી આવેલા નાગરિકો સાથે કામ કરવાની તક મળી. તેના caseloadમાં અરધો-અરધ પાકિસ્તાનના મીરપુર જીલ્લામાંથી આવેલા લોકો હતા. ભારત કરતાં પૂર્વ આફ્રિકામાંથી આવેલા લોકોના કેસ વધુ પ્રમાણમાં હતા. અહીં તેને ઘણા રસપ્રદ અનુભવ આવ્યા. 

સોશિયલ સર્વિસીઝમાં જે Professional Qualification લઇને આવેલા ભાઇ બહેનોમાં વર્ણીય સમાનતા વિશે જે સહિષ્ણુતા જોવા મળી તે ખરે જ આશ્ચર્યકારક હતી. સોશિયલ વર્કર્સ, અૉક્યુપેશનલ થેરાપિસ્ટ જેવા કાર્યકરો આપણાં લોકોની સાંસ્કૃતીક બાબતો જાણવા ખાસ પ્રયત્ન કરતા. કોઇ પણ ક્લાયન્ટની મુલાકાત લેતાં પહેલાં આ બાબતમાં બને એટલી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા. 

પાછલા અંકમાં એક વાચકે બ્રિટનમાં વસતા ભારતીય ઉગમની વ્યક્તિઓ તથા પાકિસ્તાનથી ગયેલા નાગરિકો વચ્ચેના સંબંધો વિશે પૃચ્છા કરી હતી. આ અનુસંધાનમાં અહીં એક case study રજુ કરીશું. આ વાત ‘ડાયરી’ના ત્રણે’ક વર્ષ જુના અંકમાં રજુ કરી હતી તે વાચકોને કદાચ યાદ હશે, પણ નવા સાથીઓની જાણ તેની સંક્ષિપ્ત વિગત નીચે આપી છે. ક્લાયન્ટના નામ તથા સ્થાનમાં ફેરફાર કર્યા છે જેથી તેમની ગુપ્તતા જળવાઇ રહે. 

***


૧૯૮૫નું વર્ષ હતું. નોકરી પર હાજર થયો ત્યારે ટીમ ક્લાર્કે પેન્ડીંગ કેસ ફાઇલ્સનો ગઠ્ઠો ટેબલ પર મૂક્યો અને કહ્યું, “છ મહિનાથી આ કેસ-વર્કની ફાઇલો પડી રહી છે. આપણા આ ‘ક્લાયન્ટ્સ’ને અંગ્રેજી આવડતું નથી તેથી ડ્યુટી સોશિયલ વર્કર્સ તેમના માટે સરખી રીતે કામ કરી શક્યા નથી. તમને સમય મળે તે પ્રમાણે બધી જોઇ જજો.”

જિપ્સીએ એક એક કરીને કેસ ફાઇલ જોવાની શરૂઆત કરી. કામની પદ્ધતિ મુજબ પહેલા પાના પર ‘મિનીટ શીટ’ હતું તેમાં ક્લાયન્ટની મૂળભૂત માહિતી અને ત્યાં સુધીમાં તેમના માટે જે કામ કરવામાં આવ્યું હતું તેની ટૂંકી નોંધ હતી. જિપ્સી તેનો અભ્યાસ કરતો હતો તેવામાં તેનાં ટીમ લીડર તેની પાસે આવ્યા અને કહ્યું, “એક મિનીટ મારી અૉફિસમાં આવશો? " 

તેમની રૂમમાં ગયો ત્યારે બારણું બંધ કરી તેમણે પૂછ્યું, "તમને મિસ્ટર જીની ફાઇલ જોવાનો મોકો કદાચ નહી મળ્યો હોય, પણ તેમના ઘરમાં ફાયર અૅક્સીડન્ટ થયો છે. મિસેસ જીની હાલત ગંભીર છે એવું પોલીસે જણાવ્યું છે. ક્લાયન્ટને પૂરતું અંગ્રેજી નથી આવડતું. કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું તેનું મને દુ:ખ છે. તમે ત્યાં જઇને મિસ્ટર જીને બને એટલી મદદ કરશો. કોઇ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે એક અનુભવી સોશિયલ વર્કરને મોકલીશ.

જિપ્સીએ ઉતાવળે જ મિસ્ટર જીની ફાઇલ જોઇ. તેમની ટૂંકમાં વિગત આ પ્રમાણે હતી: ઉમર ૭૫; આખું નામ “ મિસ્ટર અહેમદજી”. પરિવારમાં પત્નિ અને ૧૬ વર્ષનો પુત્ર. ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઇલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’. 

મિસ્ટર જીના ઘેર જતાં જોયું તો તેમના ઘરની બહાર પોલીસની રોવર અને ફાયર બ્રિગેડનો બંબો હતો. પોલિસના એક સાર્જન્ટ અને એક કૉન્સ્ટેબલ બહાર ઉભા હતા. 

“મિસ્ટર જીના ઘરમાં આગ લાગી ત્યારે મિસેસ જી ઘરમાં એકલા હતાં. ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઇ તેમનાં પાડોશીએ ફાયર બ્રિગેડ બોલાવી. અમને આની તરત સૂચના મળી. અમને અફસોસ છે કે મિસેસ જીનું હૉસ્પીટલ પહોંચતા પહેલાં જ અવસાન થયું. મિસ્ટર જી મસ્જીદમાં હતા અને અમે તેમને હૉસ્પીટલ પહોંચાડ્યા છે. મુશ્કેલી એ છે કે તેઓ અમારી વાત સમજી શકતા નથી અને અમે તેમની વાત. તમે અમારી મદદ કરી શકશો? મિસ્ટર જીને હજી ખબર નથી કે તેમનાં પત્નિનું અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર પણ તમારે તેમને આપવાના છે. મને આશા છે કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી શકશો.” સાર્જન્ટે કહ્યું.

પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પીટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખુણામાં મિસ્ટર જી બેઠા હતા. અમને જોઇ તે ઉભા થયા. છ ફીટ ઉંચા, સફેદ દાઢી-મૂછ, માથા પર નમાઝ પઢતી વખતે પહેરાતી ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની લકીર સ્પષ્ટ દેખાતી હતી. જિપ્સીએ તેમને સલામ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને પરિચય આપ્યો કે તે વિસ્તારના ભારતીય ઉપખંડના નાગરિકોને સહાયતા આપવા માટે તેની નિયુક્તિ થઇ છે. તેમણે સલામનો પ્રત્યુત્તર આપી બનાવ વિશે સવાલ કર્યા ત્યારે જીપ્સી ચકરાઇ ગયો: તેઓ મીરપુરી ભાષામાં વાત કરતા હતા!  જો કે કાશ્મીરમાં નોકરી કરી હોવાથી જિપ્સી ગુજ્જર જાતિની ખાનાબદોશ ભરવાડ કોમના સમ્પર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે મુશ્કેલીથી કેમ ન હોય, પણ તેઓ વાત સમજી શકતા હતા.આમ સૌ પ્રથમ તો પોલિસની કારવાઇ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મિસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા - બધું જ વિલય પામ્યું. બચી ગયા હતા કેવળ બે માનવ. મિસ્ટર જી જિપ્સીના ખભા પર માથું મૂકી રડી પડ્યા અને સોશિયલ વર્કર તેમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. અંગ્રેજ પોલિસ સાર્જન્ટથી રહેવાયું નહિ. તેઓ જલદીથી જઇ પાણીનો ગ્લાસ લઇ આવ્યા. થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી તેમણે કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. માનો એ બહુ વહાલો દિકરો હતો.”

બ્રિટનમાં સ્ટીરીયોટાઇપ અત્યંત સામાન્ય હકીકત છે. ભારતીય ઉપખંડના લોકો પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતી માણસ પટેલ જ હોય! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ જ ધારે. મિસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પીટલના સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઇ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી મિસ્ટર અક્રમ મલીક આવી પહોંચ્યા. અક્રમ મલીકની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઇ તરત જણાઇ આવ્યું કે તેમને ભારતીય લોકો પ્રત્યે ખાસ પ્રેમ નથી. “તમે ઇન્ડીયનો અમારા માટે કશું કરી શકવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે.....”

જિપ્સીએ તેમની વાત ત્યાં જ કાપી અને કહ્યું, “જુઓ, હું આપણી એશીયન કોમ માટેનો સોશિયલ વર્કર છું. હું કાઉન્સીલની સોશિયલ સર્વીસીઝનો પ્રતિનિધિ છું, અને મિસ્ટર જી મારા માન્યવર બુઝર્ગ છે.  અત્યારે મિસ્ટર જીને રહેઠાણની જરૂર છે, અને તે પૂરી કરવા મારે કાઉન્સીલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત કરવા જવું પડશે. બાકી ફ્યુનરલ વિગેરેની વ્યવસ્થા કાલે કરીશ, કારણ કે પોસ્ટ મોર્ટમ કાલે થવાનું છે.” કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સીલની હોય છે તે હું જાણતો હતો. અહેમદજીનું ઘર આગને કારણે રહેવા લાયક રહ્યું નહોતું.

મિસ્ટર મલીક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઇ ગયા. જુઓ, અહેમદજીનો મોટો દીકરો વાજીદ તેમનાથી જુદો રહે છે. તે તેમને થોડા દિવસ માટે લઇ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલની વાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે. બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો."

સમાજ કલ્યાણ વિષયક કાયદાઓથી જિપ્સી જ્ઞાત હતો તેથી અહેમદજીનું કામ ઝડપથી પૂરૂં થયું. તેમને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. ડિપાર્ટમેન્ટ પાસે નાગરિકોની કટોકટી પરિસ્થિતિને પહોંચી વળવા ખાસ રકમ હતી તેમાંથી તેમના રાશન,ગૅસ, વિજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઇ ગઇ. ત્રણે’ક મહિનામાં કાઉન્સીલે તેમનો ફ્લૅટ રિપૅર કરી આપ્યો. સોશિયલ સર્વિસીઝ તરફથી તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો આપવામાં આવ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે જિપ્સીએ તેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. 

આ હતો જિપ્સીના પહેલા દિવસની ડ્યુટીનો પહેલો કેસ! 

મિસ્ટર જીની વાત અહીં પૂરી નથી થતી. 

એક દિવસ અૉફિસમાં તેઓ આવ્યા.

 “પટેલ સા’બ, સજ્જાદ અઢાર વર્ષનો થયો છે. તેણે હવે લગ્ન કરી લેવા જોઇએ એવું મારૂં માનવું છે. મીરપુરમાં મારા નાના ભાઇની દિકરી સાથે તેના લગ્નની વાત થઇ ગઇ છે. જો લગ્ન થઇ જાય તો આ ડોસાની સેવા થશે અને સાથે સાથે અમને સૌને ત્રણ વખતનું ભોજન પણ નિયમીત મળશે. એક મિત્ર તરીકે તમારો અભિપ્રાય માગું છું.”
“જુઓ ચાચા, સજ્જાદ મારો દિકરો હોય તો હું તેનાં લગ્ન આટલી નાની ઉમરમાં ન કરૂં. તેને સારી નોકરી મળે, સ્થિર-સ્થાવર થાય, પોતાની જવાબદારી સમજે ત્યારે તેના લગ્નનો વિચાર કરવો સારો.” સજ્જાદનો શાળાનો અભ્યાસ પૂરો થયો હતો અને તેના દૂરના સગાની દુકાનમાં જુજ પગારે નોકરી કરતો હતો.

અહેમદજી થોડા વિચારમાં પડી ગયા. અંતે મને ‘ખુદા હાફીઝ” કહી ઘેર ગયા. ત્યાર બાદ છ-સાત મહિના તેમની સાથે સમ્પર્ક ન રહ્યો.
એક દિવસ આઝાદ કાશ્મીર એસોસીએશનના મિસ્ટર મલીક જિપ્સીને મળવા આવ્યા. આ વખતે તેઓ અમારા વૉર્ડમાંથી કાઉન્સીલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
“તમે અમારી કોમ માટે સારૂં કામ કરો છો એવા મને રિપોર્ટ મળ્યા છે. તમારા ડીપાર્ટમેન્ટની સોશિયલ સર્વિસીઝ કમીટીનો હું મેમ્બર છું. ખેર. પેલા અહેમદજી તમને હજી મળે છે કે? તમને ખબર છે કે તેમની બીબી શાહિનબેગમે ખુદકુશી કરી હતી?”
આ વાતની મને તે સમયે જ જાણ થઇ હતી, પણ મેં તેમને જવાબ ન આપ્યો.
“શાહિન બેગમ બહુ ફેશનવાળી હતી. સિનેમા જોવાનું, શૉપીંગ, સારા પોશાક પહેરી, મેક-અપ કરી બહાર જવાનું તેને બહુ ગમતું....”
“મિસ્ટર મલીક, આ બાબતમાં મારાથી કશું કહી કે સાંભળી ન શકાય. આ નિયમ બહારની વાત છે, તેથી માફ કરશો.....”
“ઓ.કે. પણ અમારા કલ્ચર વિશે તમારે જાણવું જોઇએ એટલે આ વાત છેડી. અમારી કોમના ક્લાયન્ટ આવે અને અમારી રીતભાત જાણો તો આઝાદ કાશ્મીરના લોકોની ફૅમિલી ડાયનેમિક્સનો ખ્યાલ આવે.
“મિસ્ટર જી ઘણા ધાર્મિક વૃત્તિના હતા. દરરોજ પાંચ વારની નમાઝ પઢે. જીવનમાં સાદગી હોવી જોઇએ એવી માન્યતા હતી તેથી પત્નીની આવી ફૅશન-પરસ્તી તેમને ગમતી નહોતી. રોજ ઝઘડા થતા અંતે....” કહી મલીક સાહેબ ઘડીયાળ સામે જોઇ ઉભા થયા અને અગત્યની મીટીંગમાં જવાનું છે કહી ચાલ્યા ગયા.

આ વાતને ચાર-પાંચ મહિના થઇ ગયા. એક દિવસ ક્લાયન્ટને મળવા જિપ્સી બહાર નીકળતો હતો ત્યારે તેણે સજ્જાદને રીસેપ્શનમા જોયો. 
“સૉરી એપૉઇન્ટમેન્ટ વગર તમને મળવા આવ્યો છું. તમારા માટે ગિફ્ટ લાવ્યો છું, “ કહી તેણે ચૉકલેટનો ડબ્બો આપ્યો. “મારાં લગ્ન થઇ ગયા છે. એક તકલીફ છે. તમને કહું કે નહિ એવી ગડમથલમાં છું.”
ચૉકલેટનો ડબ્બો મેં અમારી રિસેપ્શનીસ્ટને આપ્યો. અમને મળતી આવી ગિફ્ટ અમે અમારી અૉફિસમાં કામ માટે આવતી બહેનોનાં બાળકોને અાપતા. જિપ્સી  સજ્જાદને ઇન્ટરવ્યૂ રૂમમાં લઇ ગયો.
“શાદી મુબારક, સજ્જાદ. કહે તો, શું વાત છે?”
“મારી પત્ની પરવીન હાઇસ્કૂલ-પાસ છે. તેની મોટી બહેન પણ અહીં જ લંડનમાં છે. તેની દેખાદેખી પરવીન પણ તેની ફૅશન વિગેરેની નકલ કરે છે. આધુનિક યુવતિ છે ને! મને તો તે ગમે છે, પણ ડૅડીને આ ગમતું નથી. એમને મારી મમી સાથે પણ આ જ પ્રૉબ્લેમ હતો. રોજ ઝઘડા થાય છે. શું કરવું તે મને સમજાતું નથી. તેઓ અત્યંત દુ:ખી છે.”
“તારા ડૅડી વારાફરતી તારા મોટા ભાઇ વાજીદ અને તારે ઘેર રહે તો કોઇ ફેર પડે ખરો?”
“વાજીદ મારો ભાઇ નથી. એ તો અમારા ગામના મુખીનો દિકરો છે. અહીં આવવા માટે ડૅડીએ મુખી પાસેથી કરજ લીધું હતું. બદલામાં તેણે શરત કરી હતી કે વાજીદને પોતાના મોટા દીકરા તરીકે નોંધાવી અહીં બોલાવી લેવો. અંતે થયું પણ એવું જ. નામ સિવાય અમારો તેની સાથે કોઇ સંબંધ નથી” 
૧૯૭૦ના દાયકામાં ખાસ કરીને પાકિસ્તાની પરિવારોમાં આવી અનેક બાબતો થઇ હતી. 
“સજ્જાદ, હું તારા ડૅડી સાથે આ બાબતમાં જરૂર વાત કરીશ. જોઇશું કોઇ હલ નીકળે છે કે કેમ..” સજ્જાદ વિલા મોઢે ત્યાંથી નીકળી તો ગયો, પણ આ બાબતમાં કશું થશે તેની તેને ખાતરી નહોતી થઇ. 
બીજા કે ત્રીજા બુધવારે અહેમદજી મળવા આવ્યા. મેં આ વિષયમાં વાત છેડી.
“ક્યા કરૂં પટેલ સા’બ? છોકરી બહુ હેરાન કરે છે. એના બનેવીનો અહીં ખાનગી ટૅક્સીનો બિઝનેસ છે. પરવીનની બહેન મોંઘી કાર ફેરવે છે અને લાહોરથી મંગાવેલા ડિઝાઇનર સલવાર-કમીઝ પહેરે છે. મારી ન્હૂ (વહુ)ને પણ એવા જ ઘરેણાં અને કપડાં, સિનેમા, રૂઝ-લિપસ્ટીક જોઇએ. સજ્જાદ સુપર માર્કેટમાં કૅશિયર છે. એના ટૂંકા પગારમાંથી પરવીનના શોખ કેવી રીતે પૂરા કરૂં? આ ક્લેશ મારાથી જોવાતો નથી. હું વતન પાછો જઉં છું. જીંદગીના છેલ્લા દિવસ મારા ગામ ટોપા મુર્તુઝામાં શાંતિથી ગુજારવાનો નિર્ણય કર્યો છે.”
ટોપા મુર્તુઝા!

***
મારા મગજમાં ‘બ્લીપ્’ થઇ. મારા અંતર્મનની પરતમાં સંગ્રહાયેલી એક યાદ અચાનક બહાર આવી ગઇ. વર્ષો પહેલાં કાશ્મીરમાં લાઇન અૉફ કન્ટ્રોલ પર બજાવેલી ડ્યુટીના દિવસ યાદ આવી ગયા. નજર સામે આવી પેલી રાત, જ્યાં સીમા પાર થતી શાદીની દાવતની રોશનાઇ જોઇ હતી, અને મીરપુરી ગીતોની રેકૉર્ડનાં આછા સૂર હવામાં તરીને અમારી ચોકી સુધી આવતાં સાંભળ્યા હતા. 
“ચચાજાન, તમારાં મર્હુમ બેગમ તાતા પાની ગામનાં તો નહોતાં?”
આશ્ચર્યની નજરે મારી તરફ જોઇ તેમણે મને પુછ્યું, “તમને કેવી રીતે ખબર પડી? શું સજ્જાદે તમને આ વાત કરી હતી? કે પછી મેં જ કો’ક દિવસે તમને કહ્યું હતું?”
ના, મિસ્ટર જી, આ વાત ન તો મને સજ્જાદે નહોતી કહી. વાત કહેનાર હતો મારી આઉટપોસ્ટ બડા ચિનારની નજીકના ગામનો મુખી ગુલામ હૈદર. લગભગ સત્તર-અઢાર વર્ષ પહેલાં. 
“સરહદ પારના તાતા પાની ગામના મુખીની દિકરીનાં લગન ટોપા મર્તુઝાના અહેમદ મલીક સાથે થયેલા લગ્નનો ભોજન સમારંભ હતો. મલીક સાહેબ લંડનમાં રહે છે અને....”

(નોંધ: જીપ્સીના જીવનની આ પ્રસંગકથા અગાઉ અખંડ આનંદમાં પ્રસિદ્ધ થઇ હતી. તેનું આ સંક્ષીપ્તીકરણ છે.) 

Saturday, October 26, 2013

બ્રિટન - ભારતીય અાગંતુક અને નોકરીની સમસ્યા: ૧૯૮૦-૯૦

પુખ્ત વયના લોકો જ્યારે ભારતથી પરદેશ કાયમી વસવાટ માટે જાય ત્યારે તેમની પરિસ્થિતિ વિચીત્ર હોય છે. દેશમાં તેમનો હોદ્દો, હોદ્દાનું માન તથા તેમના હાથ નીચે કામ કરનાર લોકોની સંખ્યા સારી એવી હોય છે. આવી હાલતમાં બ્રિટન જવું કે નહી તેવી દ્વિધા તેમના મનમાં થાય તે સ્વાભાવીક છે. બ્રિટનમાં પ્રવર્તતી વર્ણદ્વેષી પરિસ્થિતિ તથા ત્યાંની બેકારીને કારણે તેમને તેમના શિક્ષણ કે હોદ્દાને અનુરૂપ નોકરી મળવાની શક્યતા નહીવત્ હોવા છતાં તેમને દેશ છોડીને બ્રિટન જવાનો તેમનો નિર્ણય કેવળ પારિવારીક સૌખ્ય માટે હોવાથી તેમને જવું પડે તે સ્વાભાવિક છે. 

જિપ્સીને પોતાને તો આવી ઘણી વિટંબણાઓમાંથી પસાર થવું પડ્યું હતું, પણ તેને મળેલા એક સદ્ગૃહસ્થ - શ્રી. દવે (આ તેમનું સાચું નામ નથી)ની વાત સાંભળીને તેને પારાવાર દુ:ખ થયું.

શ્રી. દવે ભારતમાં બ્રિટનના ડેપ્યુટી હાઇકમીશ્નરની અૉફિસમાં આસીસ્ટન્ટ ઇમીગ્રેશન અૉફિસર હતા. તેમની પ્રામાણીકતા અને કર્તવ્યપરાયણતા માટે ઘણા જાણીતા હતા. મુંબઇની અૉફિસમાં મિસ્ટર XX જેવા અંગ્રેજ અફસર તો વર્ણદ્વેષી હતા, પણ તેમનાથી વધુ દ્વેષીલી રિસેપ્શનીસ્ટનું કામ કરનારી કેટલીક પારસી બહેનો હતી. અંગ્રેજો કરતાં વધુ તોછડી અને ઉદ્ધત એવી આ સ્ત્રીઓ પ્રત્યે આપણા લોકોમાં ઉહાપોહ હતો, પણ તેમના અંગ્રેજ સાહેબો ઘણા ખુશ હતા. તેમનું મોટા ભાગનું 'કામ' આ સ્ત્રીઓ જ કરી લેતી હતી. હાઇકમીશનના રિસેપ્શન હૉલમાં બેસેલા ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી કાયદેસર વસાહતીઓ વિઝાની અરજી કરવા જતા, અને તેમને પૂરતું અંગ્રેજીનું જ્ઞાન ન હોય તેવા ભાઇબહેનો ન તો તેમનો વિરોધ કરી શકતા, ન કોઇ ફરિયાદ. આવામાં આ મૃદુભાષી શ્રી. દવેનો સ્મિતપૂર્ણ ચહેરો જોઇ આપણા લોકોમાં એક ભાવના થતી કે કોઇ તો સજ્જન અહીં છે, જે તેમની સાથે માનપૂર્ણ વર્તન દાખવે છે. જિપ્સીની તેમની સાથેની પહેલી મુલાકાત મુંબઇમાં જ થઇ હતી. લગભગ ૨૫ વર્ષની ગૌરવપૂર્ણ સેવા બાદ અંગ્રેજ સરકારે તેમને પેન્શનની સાથે બ્રિટનનું નાગરિકત્વ આપ્યું અને શ્રી. દવે લંડનના એક પરામાં આવીને વસ્યા.

દવે સાહેબને લંડનમાં યોગ્ય નોકરી ન મળી. અંતે ત્યાંની એક મૂળ ગુજરાતના લોકો દ્વારા સ્થપાયેલી એક નૉન-ગવર્મેન્ટ સંસ્થાએ તેમના ઇમીગ્રેશનના અનુભવને ધ્યાનમાં લઇ સલાહકારની નોકરી આપી. પગાર અલ્પ જ હતો, પણ થોડું ઘણું પેન્શન હતું તેથી તેમનું કામ ચાલવા લાગ્યું.

એક દિવસ તેઓ જિપ્સીને અચાનક એક શૉપીંગ મૉલમાં મળ્યા. ખબરઅંતર પૂછતાં તેમની આંખમાં આંસુ આવ્યા. “ગમે તે થાય, અાપણા લોકોની નોકરી કદી કરશો મા. બ્રિટનનો વિઝા લઇને આવવા માગતા આપણા લોકોમાં હું જાણીતો માણસ હતો તેથી મારા અનુભવને કારણે મને ત્યાં નોકરી મળી ગઇ. થોડા દિવસ બાદ મારી સંસ્થાની મૅનેજમેન્ટ કમિટીના સભ્યોનું મારા પ્રત્યેનું વલણ બદલાઇ ગયું. તેઓ મારી સાથે તેમની દુકાનના નોકર તરીકે પિયૂન અને ગુમાસ્તાની જેમ અપમાનાસ્પદ વર્તણુંક કરવા લાગ્યા. તેમના કોઇ સગાં સલાહ માટે આવે તો તેમની તેમને મારી પાસે મોકલવાને બદલે મને હાક મારીને બોલાવે છે. એક વાર તો બૂમ પાડીને મને કહ્યું, “એ ય દવે, અહીંયા આવો. આ મારા સગા છે તેમને સલાહ આપો અને જોઇતા ફૉર્મ ભરી આપો!” મેં તેમને કહ્યું, 'ફૉર્મ મારી અૉફિસમાં છે અને તે ભરવા માટે જરૂરી સવાલ પૂછવા પડશે. ભાઇને મારી સાથે મોકલો તો બધું કામ થઇ જશે.”

“આ તમારી બ્રિટીશ હાઇકમીશનની અૉફિસ નથી, સમજ્યા? તમે  ફૉર્મ લઇ આવો અને અમારી સામે જ ભરો. તમને પગાર શાનો મળે છે? આ આવ્યા છે તે અમારા વેવાઇ છે, તમારા નોકર નથી! ચાલો જલદી જઇને ફૉર્મ લઇ આવો. અમારા મે’માન પાસે ટાઇમ નથી.' હું હેબતાઇ ગયો. આવું બે-ત્રણ વાર થયા બાદ મેં નોકરી છોડી દીધી. મુંબઇમાં અંગ્રેજોએ પણ કદી મારી સાથે આવી રીતે વાત કરી નહોતી."

આવી જ વાત ભારતથી બ્રિટન ગયેલ એક આદર્શવાદી વ્યક્તિએ કહી. 

લંડનના ગરીબ અને વંચિત વિસ્તારમાં રહેતા આપણા વડીલો માટે તેમના વિસ્તારની કાઉન્સીલે એક આપણા એક NGOને ગ્રાન્ટ આપીને એક ડે-સેન્ટર સ્થાપ્યું હતું. સિનિયર સિટીઝન્સ માટે સલાહકેન્દ્ર ચલાવવા ઉપરાંત તેમના માટે રોચક પ્રવૃત્તિઓ ચલાવવી, તેમને કાઉન્સીલ તથા સરકાર તરફથી મળતા લાભ પ્રાપ્ત કરાવી દેવા અને ખાસ તો સ્થાનિક લોકો સાથે સમન્વય સાધીને બ્રિટનની પ્રજાના મુખ્ય પ્રવાહમાં ભાગ લેવા પ્રેરવાના ઉદ્દેશથી કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસરની નીમણૂંક માટે પૂરતું અનુદાન આપ્યું.  ગાંધીજીની વિચારધારામાં માનનાર આ ગૃહસ્થને તેમાં નોકરી મળી. ભાઇનું માનવું હતું કે જાહેર સંસ્થાના હિસાબમાં પાઇ-પાઇનો હિસાબ અરીસા જેવો સ્વચ્છ હોવો જોઇએ. તેમને મૅનેજરની જગ્યા મળી હતી તેમ છતાં  સંસ્થાના તમામ વહિવટમાં મૅનેજમેન્ટ કમિટીને empower કરી લોકશાહી પ્રક્રિયાથી તેમના Facilitator કે Enablerનું કામ કરવાની તેમની ધગશ હતી.

સંસ્થાની મૅનેજમેન્ટ કમિટીના પ્રમુખ પણ આદર્શવાદી વડીલ હતા. તેમની સાથે ભાઇને કામ કરવામાં ઘણો આનંદ આવ્યો અને અનેક નવી પ્રવૃત્તિઓ શરૂ કરી. કમભાગ્યે છ મહિના બાદ પ્રમુખશ્રીનું અવસાન થયું અને તેમની જગ્યાએ જે ગુણવાન (!) આવ્યા તે જુની શેઠ-વાણોતરની વૃત્તિના હતા. પ્રમુખપદની ચૂંટણીમાં તેમનો manifesto સાવ સાદો હતો: હું ચૂંટાઇ આવીશ તો સભ્યોને દરરોજ ગાંઠિયા-જલેબી ખવડાવીશ! તેમની સામે એક પ્રતિષ્ઠીત શિક્ષક ઉભા હતા તેથી ગાંઠિયા-જલેબીનો ઢંઢેરો શ્રી. ગુણવાનને કામ લાગે તેવો નહોતો. એક કુશળ-કુટિલ રાજકારણીની જેમ તેમણે બીજી સંસ્થાના મૅનેજર સાથે ‘ગઠબંધન‘ કર્યું.  આ મૅનેજર સાહેબ તેમની પત્નિને તેમની જ સંસ્થામાં આસિસ્ટન્ટ મૅનેજરના પદ પર નીમવા માગતા હતા. “તમે સિલેક્શન કમિટીમાં પ્રમુખ તરીકે આવો અને અમારા મિસીસને અૅપોઇન્ટ કરો તો હું ખાતરીપૂર્વક તમને તમારી સંસ્થામાં પ્રમુખ બનાવીશ." એવું કહ્યું. અને થયું એવું જ. 

ચૂંટણીમાં આ મૅનેજર સાહેબને મૅનેજમેન્ટ કમિટીએ પ્રિસાઇડીંગ અૉફિસર તરીકે બોલાવ્યા. ચૂંટણીના દિવસે તેમણે શિક્ષકશ્રીની ઉમેદવારીને ગેરકાયદેસર ગણી તેમની અરજી રદબાતલ ઠરાવી. નિયમ અનુસાર સંસ્થાનો કોઇ કર્મચારી મૅનેજમેન્ટ કમિટી કે સંસ્થાના કોઇ પદ માટે ચૂંટણી લડી શકે નહી. શિક્ષક બે વર્ષ પહેલાં સંસ્થામાં પગારદાર તરીકે કામ કરી ચૂક્યા હતા, તેથી તેમની ઉમેદવારી કૅન્સલ કરવામાં આવી! કમ્યુનિટી ડેવેલમેન્ટ અૉફિસરે પ્રિસાઇડીંગ અૉફિસરના નિર્ણય સામે વાંધો લીધો અને સભામાં નિયમની સમજુતી આપી કે નોકરીમાં ચાલુ હોય તેવા કર્મચારીને ચૂંટણીમાં ઉભા રહેવા સામે પ્રતિબંધ હતો. ભૂતપૂર્વ કર્મચારી પર આવો કોઇ પ્રતિબંધ નથી. ગાંઠિયા-જલેબીના સમર્થકો ઉભા થઇ ગયા અને હોબાળો કર્યો. “કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર સંસ્થાના કર્મચારી હોવાથી તેમને સભામાં બોલવાનો અધિકાર નથી!” નરમ સ્વભાવના શિક્ષકશ્રી આવા હુમલાથી હેબતાઇ ગયા અને સભામાંથી બહાર નીકળી ગયા. પરિણામ જાણવું છે?

શિક્ષકશ્રીને એટલો આઘાત લાગ્યો કે ઘેર ગયા બાદ તેમના પર પક્ષાઘાતનો હુમલો થયો અને શરીરનો એક ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો. બે વર્ષ બાદ તેમનું અવસાન થયું.

સંસ્થામાં ગાંઠિયા-જલેબીની જ્યાફત શરૂ થઇ ગઇ. કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસરે આ ખર્ચ ગેરકાયદેસર કહી તેની સામે વિરોધ કર્યો ત્યારે નવા પ્રમુખશ્રીએ મૅનેજમેન્ટ કમિટીમાં ઠરાવ પાસ કરી આ ખર્ચ અધિકૃત બનાવ્યો. જોહુકમી વધી ગઇ. અંતે આપણા ભાઇ પણ નોકરી છોડી ચાલ્યા ગયા.

બે વર્ષ બાદ આ સંસ્થા બંધ પડી ગઇ, કારણ કે પ્રમુખશ્રીના વલણથી સભ્યો કંટાળી ગયા અને ત્યાં જવાનું બંધ કરી નાખ્યું. એક જમાનામાં જ્યાં દરરોજ ૪૦-૪૫ વડીલો ભેગા થતા હતા, ત્યાં પ્રમુખશ્રી, તેમનાં પત્નિ (જેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા) અને તેમના દૂરનાં સગા, જે ‘નવા’ અૉફિસર તરીકે નીમાયા હતા, એવા ત્રણ જણ સંસ્થામાં હાજર રહેવા લાગ્યા હતા. કાઉન્સીલે આ જોઇને સંસ્થાની ગ્રાન્ટ બંધ કરી નાખી.

ત્રીજી વાત હતી એક ભારતીય બૅંકના મૅનેજરની. તેમના એક ક્લાયન્ટનો મોટો વ્યવસાય હતો. મૅનેજરની કાબેલિયત જોઇ ‘ક્લાયન્ટે’ તેમને કહ્યું, ‘આ બૅંકની નોકરી છોડી અમારે ત્યાં આવો. આફ્રિકામાં અમે અમારા બાહોશ કર્મચારીને એકા’દ બે વર્ષ બાદ રૂપિયે એક આનીના ભાગીદાર બનાવતા, તેવી સુવિધા તમને પણ આપીશું.”

મૅનેજર સાહેબ પોતાની બૅંકની નોકરી છોડી વ્યાપારીની પેઢીમાં જોડાયા. ત્રણ વર્ષ  વિતી ગયા પછી તેમને ‘એક આની’ તો શું એક પૈસાનો પણ ભાગ ન મળ્યો. સદ્ભાગ્યે તેમને બીજી બૅંકમાં મૅનેજરના પદની અૉફર આવી અને તેઓ નોકરી છોડી ગયા.

આ હતી આપણા જ લોકોની આપણી પ્રજા પ્રત્યેની વૃત્તિ. તેમ છતાં તેઓ સમૃદ્ધ થતા જ ગયા. આનું કારણ પણ એ જ હતું - સ્થાનિક પ્રજાનું વર્ણદ્વેષી વલણ, જેના કારણે આપણા લોકોને નોકરી મળે નહી. ‘દેશી’ પેઢીમાં કામ કરવા જાય તો ત્યાં exploitation તો થાય, પણ બે વખતની રોટલી જેટલો ગુજારો મળે, તેમાં આમ જનતા સંતોષ માનતી. આ વાત જિપ્સીના બ્રિટનના વાસ્તવ્ય દરમિયાનની છે. 

સમય ગયો. આપણાં નવયુવાનો વર્ણભેદ સામે લડીને ઉચ્ચ શિક્ષણ મેળવવા લાગ્યા. પોતાની કાબેલિયત, કેળવણી અને ઉદ્યમથી અંગ્રેજ પેઢીઓમાં જ કામ મેળવતા થયા. ડાયરેક્ટરની જગ્યા સુધી તેઓ પહોંચી ગયા પછી ભલે તેમને મૅનેજીંગ ડાયરેક્ટરનું પદ ન મળે, પણ કાર્યકૂશળતાને કારણે પ્રતિષ્ઠા અને સન્માન મળતાં, વેતન અને અન્ય લાભ ઉત્કૃષ્ટ માત્રામાં મળતાં તે જુદાં.

જિપ્સીને એક ભારતીય સિવિલ સર્વન્ટ સાથે મુલાકાત થઇ. એક્ઝેક્યુટિવ અૉફિસરના પદ પર પહોંચેલા આ સજ્જનને નિવૃત્તિ પહેલાં તેમના અદ્વિતીય કાર્ય માટે સરકારે તેમને MBE - મેમ્બર અૉફ ધ બ્રિટીશ એમ્પાયરની પદવીથી સન્માનીત કર્યા હતા. તેમણે કહેલી વાત હંમેશ માટે યાદ રહી ગઇ.

“હું ભારતના એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું. અભ્યાસમાં અત્યંત હોંશિયાર એવી મારી શાખ હતી અને મારા પરવિારને મારા પર ઘણી આશા હતી, પણ ક્યાંય નોકરી મળતી નહોતી. આફ્રિકાના એક સુખવસ્તુ પરિવારે મને તેમની પુત્રી માટે પસંદ કર્યો અને આફ્રિકા લઇ ગયા. ત્યાંથી અમે લંડન આવ્યા. આમ ત્રણે દેશોના અનુભવ બાદ એટલું જ કહીશ કે ભારતમાં તને તારી લાયકાતને અનુરૂપ નોકરી કે પગાર ત્યાં સુધી નહી મળે જ્યાં સુધી તારી સરકાર દરબારમાં  વગ નથી. આફ્રિકામાં તો ભણેલા માણસોની અછત હતી તેથી અમારી લાયકાત કરતાં પણ વધુ પગારની નોકરીઓ મળી જતી. બ્રિટનની વાત જુદી છે. શરૂઆતમાં નોકરી મેળવવી મુશ્કેલ હોય છે, પણ એક વાર મળ્યા બાદ તારી લાયકાતને અનુરૂપ નોકરી અને પગાર મળતા જ રહેશે. અમુક સ્તર સુધી પદોન્નતિ પણ મળશે. પણ ભૂલે ચૂકે તું એક ભારતીય પેઢીમાં નોકરી કરીશ તો બસ, તને એવું લાગશે કે આના કરતાં દેશમાં રહ્યો હોત તો વધુ સુખી થાત!”


સ્વ. શ્રી. જોષીની વાતને જિપ્સી કદી ભુલી શક્યો નથી. તેમણે કહેલા (આફ્રિકા સિવાયના) બધા અનુભવોમાંથી તે પસાર થઇ આવ્યો. એક કાઉન્ટી કાઉન્સીલમાં સર્વિસ ડાયરેક્ટરના પદ સુધી તો પહોંચ્યો, પણ તેને તેની શાખાના મુખ્ય ડાયરેક્ટરનું પદ વર્ણભેદને કારણે ન મળ્યું. આ જગ્યા માટે તે બધી દૃષ્ટીએ અનુરૂપ હતો જેમ કે આ સ્થાન માટે મૂળભૂત જરૂરિયાત સોશિયલ વર્કની પદવીની જરૂર હતી. તે ન હોવા છતાં એક અંગ્રેજને તે સ્થાન અપાયું. જિપ્સી ઇંડસ્ટ્રીયલ ટ્રાઇબ્યુનલમાં ગયો, પણ સફળતા ન મળી. 

દેશ માટે બે લડાઇઓ લડી ચૂકેલા એક સૈનિકના મતે જીવન પણ એક યુદ્ધ જ છે. તેમાં હારજીત તો થતી જ રહે છે. હારવામાં કોઇ ખોટી વાત નથી. લજ્જા ત્યારે જ મહેસૂસ થાય જ્યારે માણસ વગર લડ્યે હાર માને. આપણા સમાજમાં આવી હજારો લાખો વ્યક્તિઓ છે જેમણે જીવનમાં સંજોગો સામે યુદ્ધો ખેલ્યા છે. કેટલાક જીત્યા છે અને કેટલાકમાં સફળતા મળી નથી. પણ વગર લડાઇએ યુદ્ધમાં હાર કબુલ કરનાર વ્યક્તિ ગુજરાતમાં ભાગ્યે જ મળી આવશે.


Friday, September 13, 2013

રામરાજ્ય અને રામની પ્રજામાં રહેતા કેટલાક અદ્વિતિય પ્રજાજનો!


ગયા એક અંકમાં આપણા એક વડીલના શબ્દો આપને યાદ કરાવું: રામ રાજ્ય સાંભળ્યું હતું, પણ કેવું હતું ઇ આંયા આવીને જોયું. અને તેમના ઉદ્ગાર સાચે જ અહીં લાગુ પડતા હતા. જો કે મારા લંડનમાંના ટ્રિનીડૅડવાસી મિત્ર રૉબર્ટ ગ્લાઉડનના શબ્દો વારે વારે સાંભરે છે: “You cannot get something for nothing!” રામરાજ્યના લાભ મેળવવા તેની જે કિંમત ચૂકવવી પડતી હતી તે ત્યાંના સમાજના કેટલાક ઘટક દ્વારા અજમાવવામાં આવતી વર્ણભેદની પદ્ધતિ હતી. તેમ છતાં પ્રજા સુખી હતી. 
ભારતીય વંશના લોકો માટે અતિ મહત્વની વાત એ હતી કે લોકોને પરાવલંબી થવાની, સગાં સંબંધીઓના ઉપકાર લઇ તેમની લાચારી ભોગવવાની જરૂર નહોતી. પરંપરાગત ભારતીય સમાજમાં સ્ત્રીઓ માટે આ અતિ મહત્વની વાત હતી. સાસરિયામાં ગુજારવામાં આવતો ત્રાસ સહન કરવામાંથી તેમને મુક્તિ મળી હતી અને સ્વમાનભેર જીવન જીવવામાં અહીંની વેલ્ફેર પદ્ધતિ ઘણી ઉપકારી નીવડી.

વેલફેર બેનિફિટના વિતરણમાં સૌથી મહત્વની વાત એ હતી કે કોને ક્યા બેનિફિટ મળી શકે તથા તેની માગણી કરવાની જવાબદારી નાગરિકો પર મૂકવામાં આવી હતી. સરકારે સઘળા બેનિફિટની માહિતી તેમના ચોપાનિયાંઓ દ્વારા બેનિફિટ અૉફીસમાં મૂક્યા હતા, પણ આપણાં ભાઇબહેનોનું અંગ્રેજીનું જ્ઞાન અપૂરતું હોવાથી અનેક લાભથી વંચિત રહેવું પડતું હતું. સરકારે ગ્રાન્ટ આપીને સિટીઝન્સ અૅડવાઇસ બ્યુરો નામની સંસ્થાને દેશભરમાં અૉફીસ ખોલવા ઉત્તેજન આપ્યું હતું. જો કે ત્યાં પણ ભાષાનો પ્રશ્ન ઉભો થતો હતો. 

આવી જ રીતે સ્થાનિક કાઉન્સીલોએ NGO ક્ષેત્રમાં લોકોપયોગી સેવાઓને મોટા પ્રમાણમાં Grants આપવાનું શરૂ કર્યું. આમાં બહેનોને તેમના પતિ દ્વારા થતી શારીરીક હિંસામાંથી બચાવવા માટે સ્થપાયેલી સંસ્થાઓને સહાયતા આપવાનું શરૂ કર્યું. આપણી બહેનોએ મળીને આવા શહેરમાં કેટલાક મહિલા સુરક્ષાગૃહ સ્થાપ્યા.

જિપ્સીને સોશિયલ સર્વીસીઝ ખાતામાં ‘એશિયન સ્પેશીયાલીસ્ટ’ના સ્થાન પર નોકરી મળી ત્યારે તેના ટીમ લીડર કુ. લિઝ વેબ તરફથી તેને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા નાગરિકો માટે દર બુધવારે સલાહ કેન્દ્ર શરૂ કરવાની રજા મળી. આમાંના કેટલાક અનુભવો અહીં રજુ કરીશ. 

‘રામરાજ્ય’માં લોભી, ક્રોધી અને લેભાગુ લોકો હતા. આવા કેટલાક મહાનુભાવોની વાત કરીશ.

સરકારી લાભ મેળવનારા લોકોને રહેવા માટે કાઉન્સીલ તરફથી પૂરૂં ભાડું ‘હાઉસીંગ બેનિફિટ’ની અૉફિસમાંથી મળે. એક સજ્જન સલાહ કેન્દ્રમાં આવ્યા અને આ લાભ મેળવવાનાં ફૉર્મ ભરવામાં મદદ માગી. ફૉર્મ ભર્યા પછી તેમણે લુખ્ખું હસીને કહ્યું, “આ વાત કોઇને કહેશો નહી. આમ તો હું મારા દિકરાની સાથે જ તેના મકાનમાં રહું છું. પણ દર અઠવાડીયે ચાલીસ પાઉન્ડ મફત મળતા હોય તો તે શા માટે જવા દેવાય? આપણા લોકોમાં ઈર્ષ્યા ઘણી હોય છે તેથી ચાડી ખાતા હોય છે. મારી સામે કોઇ નનામી ફરિયાદ કરે તો માથાકૂટ થાય. જો કે અમે તો એનો પણ બંદોબસ્ત કર્યો છે! એક નાનકડી રૂમમાં જુનું કૂકર અને નાનકડું ફ્રિજ રાખ્યું છે. કાઉન્સીલવાળા આવે તો તેમને બતાવી શકીએ કે હું અહીં મારી રસોઇ કરૂં છું! 

“આ અંગ્રેજોએ આપણા દેશને ખુબ લૂંટ્યો છે. હવે તેમની પાસેથી પૈસા કઢાવવાનો આપણો વારો છે. લોકો ભલે કહે આ ગલત વાત છે. અમે દર વર્ષે મુંબઇના હરે કૃષ્ણ મંદીરમાં બસો-અઢીસો પાઉન્ડ આપીએ છીએ. એટલું જ પૂણ્ય. અને આ તો તરત દાન ને મહા પૂનની વાત જેવું છે. આટલી રકમ આપીએ તો તેમના ગેસ્ટ હાઉસમાં એક અઠવાડીયું-દસ દિવસ મફત રહેવા મળે છે. તમને તો ખ્યાલ હશે કે મુંબઇની હોટેલમાં રોજના કેટલા પૈસા લેવાય છે!” આ ૧૯૮૫ની વાત છે.

આવા અનેક કિસ્સા થયા બાદ કાઉન્સીલે હાઉસીંગ બેનીફીટ આપવાની બાબતમાં એટલી સખત શરતો મૂકી, ઘણા ભાઇઓ તથા ખાસ કરીને બહેનોને ફૉર્મ ભરવા ઉપરાંત જાતજાતના પ્રમાણપત્રો લાવવા પડતા, અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.

***
જે વ્યક્તિઓને વિપરીત શારીરીક હાલતને કારણે ચાલવામાં મુશ્કેલી પડતી હોય તેમને કાઉન્સીલ તરફથી બસ તથા લંડન અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં મફત પ્રવાસ કરવાનો પાસ મળે. આમાંની એક શરત એવી હતી કે અરજદાર કોઇની મદદ વગર ૨૫ ગજથી વધુ ચાલી ન શકે. એક બહેન દર વર્ષે મફત બસ પાસની અરજી કરે અને તે મંજુર ન થાય. કારણ કે તેમની શારીરીક હાલત એવી નહોતી કે તેમને આ લાભ મળી શકે. ત્રીજા વર્ષે તેઓ પતિના ખભા પર હાથ મૂકી, દરેક પગલે કણસતા કણસતા આવ્યા. રો-કકળ કરી, તેમના ઘૂંટણ ‘વા’ના કારણે સાવ ‘નકામા’ થઇ ગયા હતા તે જાહેર કર્યું. જ્યારે તેમને કહ્યું થોડું ચાલી બતાવો ત્યારે ત્રણે’ક પગલાં ચાલીને જમીન પર બેસી ગયા અને રડવા લાગ્યા. મારાં અંગ્રેજ સાથી બહેનને દયા આવી. ‘આ બહેનની હાલત ખરેખર બૂરી છે. આપણે તેમની અરજી મંજુર કરવી જોઇએ.” અમે તેમની અરજી મંજુર કરી.

બીજા અઠવાડીયે મારાં આ જ સાથી બહેને મને કહ્યું, “આજે ચમત્કાર જોયો! આપણે જે બહેનને બસ પાસ આપ્યો તેમને મેં બસ પકડવા દોડીને જતા જોયા! આ પાસનો ચમત્કાર છે કે પછી..?”

આવા અનેક કેસ બાદ કાઉન્સીલે નક્કી કર્યું કે બસ પાસ માટેની લાયકાત પૂરી કરવા હવેથી અરજદારે તેમના ડૉક્ટર પાસેથી સર્ટીફીકેટ લાવવું જોઇશે!

***
આપણે ત્યાં કહેવત છે કે સીધી અાંગળીએ ઘી ન નીકળે તો...

આવું જિપ્સીને એક હાલતમાં કરવું પડ્યું.

ભારતથી તાજા આવેલ એક બહેનને તેમના મૂળ માલાવીના વતની અને ક્વોટા પર આવેલ ભારતીય મૂળના સજ્જન પતિ તરફથી નાની નાની વાત પર માર પડતો. પતિને હાર્ટ-બાય સર્જરી કરવી પડી હતી. બૂટ કાઢવા નમવું પડે તો છાતીમાં કળ આવે એવું કહેતા અને પોતાના બૂટ કાઢવા માટે પત્નિને કે બાળકોને ત્રાડ પાડીને બોલાવે. બાળકો તેમના સ્વભાવથી અને મારની બીકે થરથરે. માતા પર અત્યાચાર થતો જોઇ તેમને આવો ડર લાગે તે સ્વાભવિક હતું.

અમારા સલાહકેન્દ્રની વાત સાંભળી આ બહેન મળવા આવ્યા. “દિકરીને નિશાળે મૂકવાના બહાને આવી છું. આ વાતની કોઇને જાણ ન કરશો. મારી આ હાલતમાં શું કરવું સમજાતું નથી,” કહી તેઓ રડી પડ્યા.

“સલાહ-સમાધાન થાય તેવું નથી. હું ભારત પાછી જતી રહું કે કેમ તેનો વિચાર કરૂં છું. માર્ગ સુઝતો નથી એટલે તમારે ત્યાં આવી છું.”

આમ તો બહેન તેમના હૃદયની વ્યથા ઠાલવવા આવ્યા હતા, પણ તેનાથી તેમની સમસ્યાનો કોઇ ઉકેલ આવવાનો નહોતો. હિંસક પતિ અને માનવ રક્ત ચાખેલ શ્વાપદમાં કોઇ ફેર નથી હોતો. આનો ઉપાય એટલો અસરકારક હોવો જોઇએ કે તેનું પુરાવર્તન ન થાય.

આ પ્રસંગ પછી ફરી એક વાર આ બહેન આવ્યા. તેમની હાલતનું વર્ણન નહી કરૂં. પણ તેમને એક સલાહ આપી. આ સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. બહેન માની ગયા.

અમારા એક ભારતીય મહિલા કાર્યકરની મદદથી એક શુક્રવારની બપોરે અમે આ બહેન તથા તેમનાં બે બાળકોને પીડીત મહિલાઓના સંરક્ષણગૃહમાં મોકલી આપ્યા. અમે તેમના સમ્પર્કમાં સતત રહીશું અને ફક્ત ચાર દિવસમાં તેમની સઘળી સમસ્યાનો ઉકેલ લાવીશું તેની બાહેંધરી આપી. 

સોમવારે તેમના પતિ સવારના સાત વાગ્યાથી અમારી અૉફિસના દરવાજા પર આવીને બેઠા હતા. અમે આઠ વાગે પહોંચ્યા ત્યારે તેઓ મોટેથી રડવા લાગ્યા. “મારી કુસુમ (આ તેમનું સાચું નામ નથી) અમારા બાળકોને લઇ ક્યાંક જતી રહી છે. તમે સોશિયલ સર્વિસવાળા છો તેથી તમારી પાસે પહેલાં આવ્યો છું. પોલીસમાં જઇશ તો સમાજમાં અમારી બદનામી થશે. તમે મદદ કરો ને!”

“ભાઇ અમે અત્યારે તો કશું કરી શકીએ તેમ નથી. તમે સાંજે ચાર વાગે આવો. ત્યાં સુધીમાં તપાસ કરી કંઇક ખબર મળે છે કે કેમ તે જોઇશું.”

તેઓ તો અમારી અૉફિસમાં જ બેસી રહેવા માગતા હતા. અમે તેમને ના કહી અને તેમને ઘેર મોકલી આપ્યા. બપોરે ત્રણ વાગ્યાથી ભાઇ અૉફીસ બહાર આંટા મારવા લાગ્યા અને બરાબર ચારના ટકોરે અૉફિસમાં આવી ગયા.  

અમે તેમની સાથે બેસીને તેમના પારિવારીક જીવન વિશે વાત કરી. પ્રથમ તો તેમણે ઇન્કાર કર્યો કે તેમણે કદી પત્નિ પર હાથ ઉપાડ્યો હતો. ત્યાર બાદ કબુલ થયા અને રડતાં રડતાં કહ્યું કે પવિત્ર પુસ્તક પર હાથ મૂકી શપથ લેશે કે ફરી આવો પ્રસંગ નહી થાય.

આપણે ત્યાં કહેવત છે કે કાયર પતિ બૈરી પર શૂરો. ભાઇને પાઠ મળી ગયો. ત્રણ દિવસ એકલાં રહેવું પડ્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે અહીં સ્ત્રીઓને સરકાર તરફથી સુરક્ષા મળી શકે છે. બાળકો સાથે તે જુદી રહેવા જાય તો તેને મકાનની ફાળવણીમાં  અગ્રતા મળે અને બેનિફિટ પણ ઊંચા દરથી મળે. ભાઇને આ વાતની જાણ હતી, અને તેમને એવું લાગ્યું હતું કે ભારતથી આવેલી અંગ્રેજીના જ્ઞાન વગરની કુસુમ તેમની વર્તણુંક સહન કરી લેશે! તેણે સંરક્ષણગૃહમાં જવાની હિંમત કરી તેથી તેઓ ગભરાઇ ગયા હતા. તેમણે શીખેલો આ પાઠ એવો હતો કે તેમને ખ્યાલ આવી ગયો કે આ ભારત કે માલાવી નથી. બ્રિટનમાં સ્ત્રીઓની સુરક્ષા માટે અનેક વ્યવસ્થાઓ છે. તે સાંજે જ અમારા કાર્યકર્તા બહેને તેમને તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવી આપ્યું.

બે વર્ષ પછી આ બહેન અચાનક મળ્યા ત્યારે તેમના ચહેરા પરની ચમક અનેરી હતી. ‘સર્વત્ર: સુખીનોસન્તુ’ તો થયું જ પણ ચમત્કાર સિવાય આ નમસ્કાર શક્ય નહોતો!

આપને હેમંતી દાસની વાત હશે. તેમની તો આથી વધુ ગંભીર કથની હતી. તેમની વાત જિપ્સીની ડાયરીના જુલાઇ ૨૦, ૨૦૧૧ના અંકમાં પ્રસિદ્ધ થઇ હતી.

આ બ્લૉગના જુનાં અંકોમાં સોશિયલ સર્વિસીઝ વિશે વિસ્તારથી લખ્યું છે. આવતા અંકથી અન્ય વાત!

Wednesday, August 21, 2013

બ્રિટનની વર્ણ વ્યવસ્થામાં જાગૃતિ


૧૯૮૧ના વર્ષમાં જિપ્સી લંડનમાં હતો તે સમયે ત્યાંના બ્રિક્સટન વિસ્તારમાં વર્ણીય તોફાન ફાટી નીકળ્યા. આ વિસ્તારમાં આફ્રિકન-કૅરીબીયન, જેમને આપણા લોકો તે સમયે ‘જમાઇકન’ નામે ઓળખતા. ખરેખર તો આ પ્રજામાં કેવળ જમેકાના જ નહી, કૅરીબિયન સમુદ્રના જમેકા ઉપરાંત બાર્બેડોઝ, ટ્રિનીડૅડ, ડોમીનીકા, ગયાના વિ. જેવા લગભગ દરેક દેશમાંથી આવીને વસેલા લોકો હતા. લૅમ્બથ કાઉન્સીલના બ્રિકસ્ટન વિભાગમાં કૅરીબીયન પ્રજા ભારે સંખ્યામાં રહેતી હતી. કાઉન્સીલના મકાનોની ફાળવણીમાં, નોકરી, શિક્ષણ - આમ દરેક જગ્યાએ તેમના પર અત્યંત વર્ણભેદ દાખવવામાં આવતો હતો. ગરીબી ચારે તરફ ફેલાઇ હતી અને જ્યાં ગરીબી હોય ત્યાં ગુનાઓ વધે જ એવું સમીકરણ જ બની ગયેલું હોવાથી અહીંના કોઇ પણ અશ્વેત યુવાનને દિવસના કોઇ પણ સમયે પોલીસ મન ફાવે ત્યારે રોકે અને તેમની ઝડતી લે. આ અપમાનાસ્પદ વર્તાવ હદ બહાર કરવામાં આવતો હતો. આખા દેશના તો શું, લંડનના અન્ય વિભાગોના પ્રમાણમાં બ્રિક્સટનમાં stop and searchનું પ્રમાણ અનેકગણું હતું. 

૧૧મી એપ્રીલ ૧૯૮૧ના દિવસે પોલીસ અને એક યુવાન અશ્વેત યુવાન વચ્ચે આવો જ એક પ્રસંગ બની ગયો અને પોલીસ અને બ્રિક્સ્ટનની અશ્વેત પ્રજા વચ્ચે લગભગ યુદ્ધ ફાટી નીકળ્યું. અનેક મકાનો, દુકાનો અને વાહનો આગમાં તારાજ થઇ ગયા. પોલીસે દમનની માઝા મૂકી હતી. આખા દેશમાં હાહાકાર મચી ગયો. 



તે સમયની કૉન્ઝર્વેટીવ સરકારે લૉર્ડ જસ્ટીસ સ્કાર્મનને Brixton Riotsની તપાસ માટે પંચ તરીકે નીમ્યા. તેમના રિપોર્ટમાં લૉર્ડ સ્કાર્મને સ્પષ્ટ રીતે જણાવ્યું કે બિનશ્વેત પ્રજા, ખાસ કરીને આફ્રીકન-કૅરીબીયન પ્રજા પ્રત્યે દરેક બાબતમાં ભારે ભેદભાવ થાય છે. પોલીસ તેમની કાર્યવાહીમાં આ પ્રજાને નિશાન બનાવી હેરાન તો કરે જ છે, પણ ઘણી વાર અમાનુષ વર્તન પર સુદ્ધાં ઉતરી આવે છે. આ પ્રજામાં અસંતોષનો અગ્નિ વધવાનું કારણ રાજ્યની વેલ્ફેર વ્યવસ્થા દ્વારા વર્ણીય દ્વેષને કારણે થતો ભેદભાવ - જે લગભગ તેમને આ લાભમાંથી વંચિત રાખવામાં આવ્યા હતા. Institutionalized Racismનો આ નમૂનો હતો. આ કારણસર બિનશ્વેત પ્રજા ગરીબી, બેકારી અને અભાવથી પીડાતી હતી. લૉર્ડ સ્કાર્મને આ બાબતમાં પૂરી તપાસ તથા અનેક વ્યક્તિઓ તથા સંસ્થાઓની વાત સાંભળ્યા બાદ પૂરાવા એકઠા કર્યા. તેમના રિપોર્ટમાં લૉર્ડ સ્કાર્મને અનેક  ભલામણો કરી, જેમાં પોલીસની કાર્યવાહી સામે તપાસ કરવામાં નિષ્પક્ષ પંચ (Police Enquiries Commission) નીમવામાં આવે. કેવળ બ્રિક્સટનમાં જ નહી, દેશભરમાં ભારતીય સમેત બધી બિનગૌર પ્રજા પ્રત્યે સરકારની બેદરકારીને કારણે થયેલ અધોગતિને રોકવા સક્રિય પગલાં લેવામાં આવે. સરકારે તેમની ભલામણો સ્વીકારી.

બ્રિક્સટનનાં હુલ્લડ તથા લૉર્ડ સ્કાર્મનના રિપોર્ટે આખા દેશને તેમની વર્ણભેદ અંગેની નીતિ અંગે જાગૃતી આણી. દરેક કાઉન્સીલમાં Race Awareness Trainingની શરૂઆત કરવામાં આવી. બ્રિટનના શિક્ષીત અને સજાગ ઉદારમતવાદીઓએ આ અભિગમને અમલમાં આણી તેને ગતિશીલ બનાવ્યો. કેવળ અમુક વિભાગોમાં - જ્યાં બ્રિટીશ નૅશનાલિસ્ટ પાર્ટી જેવી વર્ણવિરોધી સંસ્થાઓનું જોર હતું તે છોડીને બધા વિભાગોમાં રહેતા લોકોમાં એક પ્રકારની સહિષ્ણુતા આવી. 


Race  Awarenessના પ્રશિક્ષણમાં સરકારી તથા સ્થાનિક સરકારના કર્મચારરીઓ માટે વર્ગોયોજવામાં આવ્યા. જુદા જુદા અશ્વેત વર્ણોની સાંસ્કૃતીક વિશેષતા, તેમના આચાર વિચાર, તેમની સામાજીક રુઢીઓ તથા પરસ્પર વહેવારની આમ જનતાને માહિતી આપી તેમના પ્રત્યે લોકોના મનમાં જે ખોટા ખ્યાલ હતા તે દૂર કરવા માટે આ ખાસ પ્રશિક્ષણ વર્ગો ઘણા ઉપયોગી નિવડ્યા. આમ મહદ્અંશે લોકોની વૃત્તીમાં ફેરફાર આવવા લાગ્યો. પણ સંસ્થાકીય વર્ણભેદ (Institutionalized Racism)માં અમુક અંશે ભેદભાવ ચાલુ જ રહ્યો.
નાની કક્ષાની સફેદ કૉલરની નોકરી (સરકારી કારકૂન વિ.)માં આપણા લોકોની ભરતી પર ભાર અપાયો, પણ જ્યાં પ્રમોશનની વાત આવે, ગોરાઓને અગ્રતા અપાતી. આવા સ્થાન પર આપણા લોકોને ગોરાઓ કરતાં બમણી યોગ્યતા - શિક્ષણ, કાબેલિયત, જ્ઞાન એવા દરેક વિભાગમાં હોય તો અમુક અંશે સફળતા મળે! પણ મોટ પદમાં ભાગ્યે જ કોઇ બિનગૌર વ્યક્તિ જોવા મળે!

બ્રિક્સ્ટન બાદ ખાસ કરીને સ્થાનિક કાઉન્સીલોના સમાજ સેવા વિભાગોમાં ભારે બદલાવ આવ્યો. તેમણે ‘એશિયન સ્પેશીયાલિસ્ટ’ અને ‘વેસ્ટ ઇન્ડીયન સ્પેશીયાલિસ્ટ’ સોશિયલ વર્કર્સની જગ્યાઓ ઉભી કરી. ભારતીય ઉપખંડની તથા કૅરીબિયન ટાપુઓની પ્રજાને સોશિયલ સર્વિસીઝ તરફથી ક્યા ક્યા લાભ મળી શકે છે તેની માહિતી આપી તે તેમને મેળવી આપવા માટે unqualified social workers નીમ્યા. એક વર્ષની નોકરી બાદ તેમને પૂરા સમયનું પ્રશિક્ષણ પૂરા પગાર સાથે મળે તેવી વ્યવસ્થા કરી. તેમને એક વધારાનું કામ એ પણ સોંપાયું કે તેમના ખાતામાં કામ કરનારા અન્ય સોશિયલ વર્કર્સ, અૉક્યુપેશનલ થેરાપિસ્ટ, વૃદ્ધ અને અશક્ત નાગરિકોને ઘરકામમાં મદદ કરવા અંગેના ખાસ અધિકારીઓને આપણા સમાજની સાંસ્કૃતીક જરૂરિયાતો સમજાવવી. વળી ખાતામાં ખાલી જગ્યામાં કોઇની નીમણૂંક કરવાની હોય તો આપણા પ્રતિનિધિ તરીકે આ સોશિયલ વર્કર સિલેક્શન પૅનલમાં બેસે અને ખાતરી કરે કે આપણા અરજદાર પ્રત્યે કોઇ ભેદભાવ નથી થયો. બ્રિટનની લગભગ બધી સિટી કાઉન્સીલોમાં આ યોજના અમલમાં આવી. આ ઉપરાંત દરેક કાઉન્સીલમાં ‘Race Relations Section’ની સ્થાપના થઇ અને તેમને વિશેષ અધિકાર આપવામાં આવ્યા. 

આવતા અંકમાં કેટલાક રસપ્રદ અનુભવો રજુ કરવાનો પ્રયત્ન કરીશું.


(નોંધ: અહીં વર્ણવેલી વાતો જિપ્સીના અંગત અનુભવ, સ્થળ પરના અભ્યાસ અને નિરીક્ષણ (on the spot study and observation)ના આધાર પર જણાવવામાં આવી છે.)

Thursday, August 8, 2013

વૅલ્ફૅર સ્ટેટ - બ્રિટન (૧૯૮૦-૯૦)



બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટનમાં મજુર સરકાર આવી ત્યારે તેમણે સ્કૅન્ડીનેવીયન રાષ્ટ્રોમાં પ્રવર્તી રહેલ વૅલ્ફેર સ્ટેટની પદ્ધતિ અપનાવી. વૅલ્ફેર સ્ટેટની ટૂંકી વ્યાખ્યા એવી થઇ શકે કે જે રાષ્ટ્ર તેના દરેક નાગરિકની તેના જન્મથી લઇ મૃત્યુ સુધીની - cradle to graveની જવાબદારી લેતું હોય તે વૅલ્ફેર સ્ટેટ કહેવાય. આ સિદ્ધાંત અંતર્ગત બાળકના જન્મથી તેના પોષણની, તેના અારોગ્યની, તેને પૂરતાં અન્ન-પાણી, રહેઠાણ, ભણતર, નોકરી, બેકારીમાં ભરણ પોષણ મળતાં રહે, તથા વૃદ્ધાવસ્થામાં લોકોની માવજત અને સાર-સંભાળ લેવાય, અને છેલ્લે, અંત્યેષ્ઠીની પણ જવાબદારી સરકારની રહે. 

બ્રિટનની સરકારે તેના નાગરિકોની આ બધી જવાબદારીઓ સંભાળી લીધી છે. 

વેલ્ફેર સ્ટેટના આ સિદ્ધાંતો બ્રિટનમાં કેવી રીતે કામ કરે છે તેનું વિવરણ અહીં જોઇએ.

અહીં બાળકનો જન્મ થતાં જ તેની માતાને દર અઠવાડીયે Child Benefit નામનું એલાવન્સ મળવા લાગે છે, પછી ભલે તે કરોડપતિ હોય કે અત્યંત ગરીબ અવસ્થામાં. દરેક માતાને તેના દર બાળક દીઠ આ ભથ્થું તેનાં બાળકો અઢાર વર્ષનાં થાય ત્યાં સુધી મળ્યા કરે. આ રકમ બાળકના પોષણ માટે વપરાય તો તેનું આરોગ્ય સારું રહે અને ભવિષ્યનો આ નાગરિક સુદૃઢ અને સશક્ત બને, આ તેનો ઉદ્દેશ. ત્યાર પછી આવે છે તેના ભણતરની વ્યવસ્થા જેમાં તેને હાઇસ્કુલ સુધીનું શિક્ષણ, તેનાં પાઠ્યપુસ્તકો, શાળાનો યુનિફૉર્મ, બૂટ, ગરમ કપડાં, બપોરના ભોજનનો ખર્ચ સરકાર તરફથી કરવામાં આવે છે.  આમાંના કેટલાક લાભ - દા.ત. બપોરનું ભોજન, યુનિફૉર્મના પૈસા - means tested હોય છે; એટલે કે તેનું વિતરણ બાળકના વાલીઓની આવક પર આધાર રાખે છે. ૧૯૮૦ના દાયકા અગાઉ તો વિદ્યાર્થીઓને કૉલેજના શિક્ષણ માટે પણ ગ્રાન્ટ અપાતી. 

બાળક ૧૮ વર્ષનું થાય અને તેને આગળ અભ્યાસ ન કરવો હોય, કે તેનું શિક્ષણ પૂરૂં થતાં નોકરી મળે ત્યાં સુધી તેને અનએમ્પ્લૉયમેન્ટ બેનીફીટ અથવા ઇન્કમ સપોર્ટ મળવાની શરૂઆત થઇ જાય. નોકરી મળ્યા બાદ તે નિવૃત્ત થાય ત્યારે તેને પેન્શન પણ સરકાર તરફથી મળે. અંતમાં જ્યારે કોઇ વ્યક્તિ મૃત્યુ પામે, અને તેના અંત્યસંસ્કાર કરવા માટે તેના વારસદાર પાસે નાણાં ન હોય તો તેના માટે પણ સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે.

બ્રિટીશ સરકાર શબ્દશ: વેલ્ફૅર સ્ટેટ હતું. જિપ્સીએ માલાવીથી આવેલા આપણા એક વૃદ્ધ સજ્જનને કહેતાં સાંભળ્યા છે: “ભૈ, રામરાજ હંાભળ્યું’તું, પણ આંયા આવ્યા પસેં કેવું હોય સે, ઇ ભાળ્યું!" તેમના વિધાનમાં એક પણ શબ્દનો ફેરફાર કર્યો નથી!

વૅલ્ફેર સ્ટેટની જવાબદારી પૂરી કરવા રાષ્ટ્રીય સરકારને નાણાંની જરૂર પડે તેની તથા આ બધી સગવડો કેવી રીતે પૂરી પાડવી તેનું સંક્ષીપ્ત વર્ણન હવે કરીશું.

બ્રિટન નાનકડો દેશ છે, તેથી તેનું વહીવટી વિભાજન રાજ્યોમાં કરવાને બદલે જીલ્લાઓમાં - ‘કાઉન્ટી’માં થયું. ક્રિકેટના શોખીનોને યાદ હશે કે આપણા દેશમાં જેમ દરેક રાજ્યની ક્રિકેટ ટીમ છે તેમ બ્રિટનમાં દરેક કાઉન્ટીની ટીમ હતી.- જેમકે હૅમ્પશાયર, મિડલસેક્સ, લેસ્ટરશાયર (Leicestershire), વૉરીકશાયર (Warwickshire) વગેરે. આ કાઉન્ટીઓમાં સ્થાનિક સરકાર હતી અને તેમને કાઉન્ટી કાઉન્સીલ કહેવામાં આવતી. બર્મીંગહમ, મૅન્ચેસ્ટર, લીડ્ઝ જેવા શહેરોને સિટી કાઉન્સીલ અને મહાનગર લંડનને ગ્રેટર લંડન મેટ્રોપોલિટન કાઉન્સીલનું સ્થાન અપાયું. લંડનની વસ્તી એક કરોડથી વધુ હોવાથી અને તેનું વિભાજન બાવીસ બરો કાઉન્સીલમાં થયું, જેમાં દોઢથી બે લાખથી વધુ વસ્તીવાળા વિભાગો આવે. આમ ગ્રેટર લંડન કાઉન્સીલમાં બ્રેન્ટ, હૅરો, સધર્ક, લૅમ્બથ, વૉન્ડ્ઝવર્થ વગેરે જેવી કાઉન્સીલો નિર્માણ થઇ. 

બ્રિટનમાં વૅલ્ફેર સ્ટેટની વ્યવસ્થાનો ભાર રાષ્ટ્રીય સરકાર અને સ્થાનિક (કાઉન્ટી કે સિટી) કાઉન્સીલ વચ્ચે વહેંચાયો છે. દેશની આવકના મુખ્ય સ્રોત ક્યા હોય છે એ તો આપ સહુ જાણો છો. કાઉન્ટી તથા શહેરોની કાઉન્સીલોની આવક બે સ્રોતમાં હોય છે: એક તો કાઉન્ટીમાં આવેલા રહેઠાણ તથા વ્યાપારી સંસ્થાઓના મકાનોના માલિકો પાસેથી કર ઉઘરાવીને, જેને ‘રેટ્સ’ કહેવાય છે. (આને ‘પોલ ટૅક્સ’ પણ કહેવાય છે). બીજી આવક છે મધ્યસ્થ સરકાર પાસેથી મળતી રકમ. આ રકમ રાષ્ટ્રીય સરકારને મળતા ઇંકમ ટૅક્સ, VAT (વૅલ્યુ અૅડેડ ટૅક્સ) વિ.માંથી દરેક કાઉન્ટીને વસ્તી પ્રમાણે ફાળવવામાં આવે છે, જેને ‘રેટ સપોર્ટ ગ્રાન્ટ’ કહેવામાં આવે છે. 

આમ બ્રિટનની વૅલ્ફૅર પદ્ધતિનો વહીવટ બે વિભાગમાં વહેંચાયો: રક્ષા, વિદેશ, આારોગ્ય (નૅશનલ હેલ્થ સર્વિસ), સોશિયલ સિક્યોરિટી, ટપાલ વિ.  જેવા ખાતાં  મધ્યસ્થ સરકારે પોતાની પાસે રાખ્યા. જ્યારે સમાજ સેવા (સોશિયલ સર્વીસીઝ), વસવાટ (હાઉસીંગ), પર્યાવરણ તથા જાહેર સુખાકારી, શિક્ષણ વિગેરેની જવાબદારી શહેરી કાઉન્સીલ અને કાઉન્ટી કાઉન્સીલો પાસે. આ કાર્યવાહીમાં મધ્યસ્થ સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, પરંતુ સરકારે નક્કી કરેલ નીતિના માળખામાં રહીને આ વહીવટ કરવાનો હોય છે. જો કે કોઇ પણ સ્થાનિક સરકારમાં બેહદ ગેરરીતી થાય તો મધ્યસ્થ સરકાર તેનો વહીવટ પોતાને હસ્તક લઇ શકે.

આટલી (લાંબી!) પ્રસ્તાવના બાદ બ્રિટનની વેલ્ફૅર પદ્ધતિની વાત કરીએ.

સૌ પ્રથમ મધ્યસ્થ સરકારને આધિન સોશિયલ સિક્યોરિટીની વાત કરીશું. 

બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટનમાં મજુર સરકાર આવી અને તેમણે બે મહત્વના કામ કર્યા. એક તો નૅશનલ હેલ્થ સર્વિસની સ્થાપના કરી. આની અંતર્ગત દેશના દરેક નાગરિકને સંપૂર્ણ રીતે તેને જરૂરી હોય તે આરોગ્ય અને વૈદ્યકીય સેવા મેળવવાનો પૂરો અધિકાર છે. આમાં ટૉન્સીલના અૉપરેશનથી માંડી હાર્ટ-બાયપાસ સુધીની શસ્ત્રક્રિયા મફત મળે. ગમે એટલી મોંઘી દવા હોય તે પણ દર્દીને સરકારે નિયત કરેલી જુજ રકમમાં મળે. દા. ત. કોઇ પણ દવાની કિંમત ૭૫ પાઉન્ડની હોય તો પણ દર્દીને (જિપ્સીના સમયે) ફક્ત સાડાત્રણપાઉન્ડમંા મળતી. બેરોજગાર વ્યક્તિઓ અને પેન્શનરોને પ્રિસ્ક્રીપ્શન્સ મફત મળે છે. દેશની એક પણ વ્યક્તિ આ સેવાથી વંચિત ન રહે તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આનો ખર્ચ ઉપાડવા માટે નૅશનલ ઇન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરી, જેમાં દરેક વ્યક્તિ તેની આવક પ્રમાણે વિમાના પ્રિમિયમની જેમ ફાળો આપે. શરૂઆતમાં આ ‘પ્રિમિયમ’ માટે ટપાલની ટિકીટ જેવી સ્ટૅમ્પ ખરીદવી પડતી તેથી કામદાર વર્ગના લોકો તેને હજી પણ કહે છે, “અમે બધા સ્ટૅમ્પ ભર્યા છે!” ત્યાર બાદ પગારમાંથી જ રકમ કપાવા લાગી. આની સાથે જે સંસ્થામાં લોકો કામ કરતા હોય તેના માલિકોને પણ દરેક કામદાર ભરે તેના પ્રમાણમાં તેનું પોતાનું ‘contribution’ આપવું પડે છે.  આમ એકઠી થતી રકમમાંથી લોકોને universal health careનો લાભ મળવા લાગ્યો. આ પદ્ધતિ અનુસાર માણસને નિવૃત્તિનું પેન્શન સરકાર તરફથી અપાય છે. તેમાં સરકારી નોકરિયાત કે ખાનગી પેઢીમાં કામ કરનાર વ્યક્તિ વચ્ચે કોઇ ભેદ રાખવામાં આવતો નથી.

કોઇ વ્યક્તિએ પૂરતા નૅશનલ ઇન્સ્યોરન્સનાં પ્રિમિયમ ન ભર્યા હોય તેના માટે સરકારે નાણાંકીય સીમા રેખા બનાવી છે. જેને ભારત અને અમેરીકા 'Poverty Line' -‘ગરીબી રેખા’ કહે છે, તેને બ્રિટનમાં પ્રજાનું ગૌરવ સચવાય એટલા માટે તેને ‘subsistence level’ નામ આપીને દેશમાં પ્રવર્તતા બજારભાવના આંક પ્રમાણે તથા દરેક પરિવારમાં કેટલી વ્યક્તિઓ છે તે પ્રમાણે ભત્થું નક્કી કરી દરેક પરિવારને અપાતું. એક સમયે આને Supplementary Benefit કહેવામાં આવતું.  હાલ તેને Income Support કહેવામાં આવે છે. કોઇ બેરોજગાર વ્યક્તિ પોતાના મકાનમાં રહેતી હોય અને તેને મોરગેજનો જેટલો હપ્તો ભરવો પડતો તે પણ તેને સરકાર તરફથી અપાતો. જે પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોય તો તેનું મકાન ભાડું સ્થાનિક સરકાર - એટલે કાઉન્ટી, શહેર અથવા મેટ્રોપોલિટન કાઉન્સીલ તરફથી અપાતું. આ હતો ‘હાઉસીંગ બેનીફીટ’. 

અહીં એક મહત્વની વાત એ હતી કે નાગરિકોના વસવાટની જવાબદારી સ્થાનિક સરકારની હોવાથી કોઇ પણ વ્યક્તિ ઘરબાર વગરની હોય, તો કાઉન્સીલે તેમના માટે રહેઠાણની કરવી જ પડે! કાઉન્સીલ તરફથી બંધાયેલા મકાનમાં તેમને રહેવા જગ્યા મળતી અને તેનું ભાડું તે વ્યક્તિની આવક પ્રમાણે ભરવાનું થતું. બેરોજગાર વ્યક્તિ મફત રહી શકે. જો કાઉન્સીલ પાસે મકાન ન હોય તો બેઘર પરિવારોને કાઉન્સીલના ખર્ચે હૉટેલમાં અથવા બેડ-અૅન્ડ-બ્રેકફાસ્ટ જેવા સ્થળોએ રાખવામાં આવતા. 

મકાનની બાબતમાં સરકારે નિયમ બનાવ્યા હતા. કોઇ પરિવારને બે બાળકો હોય, તો બન્નેની સંયુક્ત ઉમર ૧૩ વર્ષથી વધુ હોય તો તેમને સૂવા માટે જુદા જુદા ઓરડા હોવા જ જોઇએ. આમ મકાનમાં overcrowding ન થાય તે માટે ખાસ જોગવાઇ કરવામાં આવી હતી.  

આ ઉપરાંત દેશનો કોઇ પણ નાગરિક પ્રત્યે નોકરીમાં, મકાનની ફાળવણીમાં કે શિક્ષણમાં વર્ણદ્વેષનો ભોગ ન બને તે માટે સરકારે દરેક કાઉન્સીલમાં Race Relations Officerની નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો હતો. તેમનો સીધો સંપર્ક રાષ્ટ્ર કક્ષાના Commission for Racial Equality સાથે રહેતો. કોઇ પણ વ્યક્તિને લાગે કે તે કાઉન્સીલ દ્વારા થયેલા કોઇ ભેદભાવનો ભોગ બનેલ છે, તે સીધો સંપર્ક રેસ રિલેશન્સ સાથે કરીને અને તેના પર તરત અમલ કરાવી શકતો.

બ્રિટનની કલ્યાણકારી રાજ્ય વ્યવસ્થા વિષયક વધુ વાત આવતા અંકમાં!

Saturday, July 27, 2013

બ્રિટનમાં વર્ણદ્વેષ


વાત વાતમાં મુખ્ય વાત કહેવાની રહી જ ગઇ! હા, બ્રિટનમાં પ્રવર્તતા વર્ણદ્વેષની!

સમાજ સેવા વિભાગની નાણાંકીય મદદથી સ્થપાયેલી ભારતથી આવેલા પરિવારોનાં સિનિયર નાગરિકોમાટે એક સંસ્થા સ્થપાઇ હતી. સંસ્થા દ્વારા યોજાયેલ નાનકડી ચર્ચા સભામાં વર્ણભેદ અને તેમાંથી ઉદ્ભવેલ વર્ણદ્વેષ અને તેનાં કારણો પર વક્તવ્ય થયા. એક ઉદાર મતવાદી અંગ્રેજ વક્તાના મત અનુસાર પૂર્વગ્રહ (prejudice)ને કારણે વર્ણભેદ નિપજે છે. જ્યારે પૂર્વગ્રહમાં સામર્થ્ય ભળે- પછી ભલે તે શાસન છુપા સમર્થનને કારણે હોય કે સામાજીક પરિબળોને કારણે, તેની નિષ્પત્તી વર્ણદ્વેષમાં થતી હોય છે. બ્રિટનમાં અને અન્ય યુરોપીય દેશોમાં આ મોટા પ્રમાણમાં જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ સમગ્ર યુરોપમાં યહુદીઓ તથા જિપ્સીઓ પ્રત્યે ઉગ્ર પ્રમાણમાં વર્ણદ્વેષ થતો હતો. ઇઝરાએલની સ્થાપના પછી યહુદીઓ પ્રત્યેનું આ પ્રત્યાઘાતી વલણ ઓછું થયું, પણ યુરોપમાં જિપ્સીઓની હાલત હજી પણ એટલી જ ખરાબ છે. તેમની વાત ફરી ક્યારે.

બ્રિટનની વાત કરીએ તો  જ્યાં સુધી અખંડ ભારત પર તેમનું રાજ્ય હતું, ભારતીયો પ્રત્યેની ભાવના રાજાઓને તેમની રૈયત પ્રત્યે હોય તેવી હતી: patronizing. પંજાબમાં દોડતા ટ્રકોની પાછળ મજાનાં વાક્યો લખાય છે તેમાંનું એક ‘પ્યારસે દેખો, મગર દૂર સે!” અહીં લાગુ પડશે. જ્યાં સુધી તમે દૂર છો, અમે પણ તમારી તરફ પ્રેમથી જોઇશું. પણ અમારા દેશમાં, અમારી નજીક ન આવશો!

જિપ્સીના વિષ્લેષણ પ્રમાણે બ્રિટનમાં પ્રવર્તતા વર્ણદ્વેષ પાછળનું કારણ ઐતિહાસીક છે અને તેમાં બ્રિટનના રાજ્યકર્તાઓની કુશાગ્રતા છુપાયેલી છે. બ્રિટન તથા ફ્રાન્સના વર્ગકલહ એક સમાન હતા. બન્ને દેશોમાં ruling class, bourgeoisie અને proletariatની સ્થિતિ એક સરખી હતી. રૈયત ભુખે મરતી હતી. ઇંગ્લંડમાં ભિખારીઓની સંખ્યા વધતી હતી અને ગામલોકો તેમને ગામ બહાર કાઢતા હતા. રોજ સાંજે ભિખારીઓનાં ટોળાં ભીખ માગવા ગામમાં આવતા અને લોકો તેમને કાઢી મૂકવા તૈયારી કરતા. અહીં એક જુની કવિતા યાદ આવે છે: “Hark! Hark! Dogs do bark/Beggars are coming to the town”. ત્યાર બાદ તો Poor Laws થયા - જવા દો. અહીં ઇતિહાસની પુનરાવૃત્તિ નહી કરીએ. મૂળ મુદ્દા પર આવીએ.

ફ્રાન્સમાં ક્રાંતિ થઇ. સમ્રાટ લુઇ, સામ્રાજ્ઞી મૅરી અૅન્ત્વાનેટ તથા તેમના ઉમરાવોનાં મસ્તક ગિલોટીન નીચે કાપી નાખ્યાં.  બ્રિટનમાં આમાંનું કશું થયું નહી. ઇંગ્લંડના રાજા (Kings)ની ઉન્નતિ શહેનશાહમાં (Emperor) થઇ. ઉમરાવોની સંખ્યામાં વધારો થતો ગયો. 

આનું મુખ્ય કારણ એ હતું કે અંગ્રેજ શાસકોએ તેમની પ્રજાને ઉંધા ચશ્માં પહેરાવ્યા હતા. જનતાની નજર પોતાની ગરીબીમાંથી હઠાવી તેમના બ્રિટીશ પ્રજાના સામ્રાજ્ય તરફ દોડાવી. તેમને ભ્રમનો કસુંબો પાયો કે તેઓ એવા જગત પર રાજ્ય કરે છે જ્યાં સૂર્ય કદી અસ્ત પામતો નથી. તેમના સામ્રાજ્યનું સૌથી વધુ પ્રકાશમાન રત્ન ભારત છે - The brightest star in the British Empire! આ હિરો એવો હતો જ્યાંના સેંકડો રાજાઓ અને મહારાજાઓ બ્રિટનના હાકેમ સામે કુર્નીસાત કરતા હતા. સૌ જાણતા હતા કે ભારત મણી-રત્નોની ખાણ છે. અહીંના રેશમ, તેજાના, કિનખાબની બ્રિટનમાં છોળ ઉડતી હતી. આવા ધનાઢ્ય દેશની માલિક બ્રિટીશ પ્રજા કેવી રીતે ગરીબ હોઇ શકે? જનતા આ ભ્રમમાં રાચતી હતી. તેમની પોતાની દયનીય સ્થિતિની પ્રજામાંથી કોઇએ દખલ લીધી નહી કેમ કે તેને કદી પ્રસિદ્ધી અપાઇ નહી. મોટાં શહેરોમાં Work Housesમાં ગોંધી તેમની પાસેથી અઢાર જેટલા કલાક કામ કરાવાતું હતું અને બદલામાં બ્રેડ અને સૂપ જેવો ખોરાક અને અલ્પાતિઅલ્પ મહેનતાણું અપાતું. દેવું ચૂકવી ન શકનાર વ્યક્તીની જેલમાં રવાનગી થતી. ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓમાં આનું તાદૃશ વર્ણન જોવા મળશે. 

લંડનના મિલબૅંક વિસ્તાર 'વર્કહાઉસ'નું ૧૯મી સદીનું ચિત્ર: સાચું જોઇએ તો તે એક જાતની જેલ હતી. અહીં પોલીસ કૉન્સ્ટેબલની હાજરી હંમેશા રહેતી. 
સરકારી જાહેરાતો, સામ્રાજ્યના દિવાસ્વપ્નોએ અંગ્રેજ પ્રજામાં એક પ્રકારની ગુરૂતાગ્રંથિ જન્મી હતી - ખાસ કરીને ભારતીય ઉપખંડની પ્રજા પ્રત્યે. અોગણીસમી સદીના અંતમાં આ જ્ન્મી તે તેમના અંતરમાંથી કદી જ  ગઇ નહી. બ્રિટનમાં ક્રિકેટ રમનારા, ત્યાંની વિશાળ જમીનો તથા country mansionsના માલિક અને લંડનના મેફૅર જેવા અમીર વિસ્તારમાં રહેનારા એવા મહારાજાઓ તથા શરૂઆતમાં ઉચ્ચ અભ્યાસ માટે જનારા ભારતીયો પ્રત્યે “આ પણ અમારા સમ્રાટ/સામ્રાજ્ઞી આગળ સલામી-ગુલામી કરનારી વફાદાર પ્રજા છે એવી ભાવનાથી જોનારા અંગ્રેજોના દેશમાં જ્યારે મોટી સંખ્યામાં ભારતીયો આવ્યા ત્યારે બધું માન ઓગળી ગયું. હવે આપણા લોકો ‘પૅકી’ થયા અને તેમને ઉતરતી કક્ષાના, બીજા વર્ગના નાગરિક (second class citizens) સમજ્યા. જ્યારે દેશના કાયદા પ્રમાણે નુતન ભારતીય ઉપખંડમાંથી આવેલા લોકોને સુવિધાઓ આપવી પડી, સમાજ સુરક્ષાના કાયદા (social security acts) અનુસાર તેમને આવાસ, નાણાંકીય મદદ વિગેરેમાં આપવાની ફરજ પડી ત્યારે તેમને શૂળ ઉપજી.  જોવા જઇએ તો આવી મદદ સરકાર આપણાં લોકોને કોઇ ઉપકાર તરીકે નહોતી આપતી. લોકોને તે મેળવવાનો હક હતો અને તે માટે લોકો કર તથા ‘નૅશનલ ઇન્સ્યોરન્સ’નું પ્રિમિયમ ભરતા હતા. પણ તે સમયે અંગ્રેજોની અલ્પ શિક્ષીત, ‘વર્કીંગ ક્લાસ’ આમ જનતામાં આની સામે જે નરમ વિરોધ હતો તેને વર્ણદ્વેષનું સ્વરૂપ આપી સામાન્ય રોગચાળાની જેમ ફેલાવવા માટે બ્રિટીશ નૅશનાલિસ્ટ પાર્ટી (BNP)એ મહત્વનો ભાગ ભજવ્યો. લંડનના ઇસ્ટ એન્ડમાં BNPના ‘ટેડી બૉય્ઝ’ ઢોર માર મારવા સુધી ઉતરી આવ્યા હતા. તેમણે ભારતીય ઉપખંડના લોકોની વિરૂદ્ધમાં લંડનના અંતરીયાળ વિસ્તારોમાં ઠેર ઠેર વર્ણદ્વેષી પોસ્ટર લગાવ્યા. એક પોસ્ટરમાં તેમણે ભયાનક ચહેરાવાળો, પાઘડી પહેરેલો અને દાઢીમૂછવાળો કદરૂપો માણસ ચિતર્યો, જે જનતા સામે આંગળી બતાવીને કહે છે, “I want your homes! I want your jobs!” 
***

વર્ણદ્વેષ બે રીતે પ્રકટ થાય છે: પ્રકટ અને પરોક્ષ. ઉપર વર્ણવ્યો તે અલબત પ્રકટ હતો. અપ્રકટ કે પરોક્ષ દ્વેષ મુખ્યત્વે બે સ્તર પર જોવા મળે છે. એક તો છે Institutionalized Racism - જ્યાં સરકાર (મધ્યસ્થ સરકાર/જીલ્લા સ્તરીય સ્થાનિક સરકાર - જેમકે કાઉન્ટી, શહેરની મ્યુનીસીપલ કાઉન્સીલ વિ.) કોઇ એક વિશેષ વર્ગ પ્રત્યે પરોક્ષ રીતે ભેદભાવ કરે. જો કે તેમની નીતિની જાહેરાતમાં મોટે મોટેથી નગારાં પીટશે કે ‘અહીં કોઇ પણ પ્રકારનો વર્ણભેદ કે વર્ણદ્વેષ સાંખી લેવામાં નહી આવે”! 
દાખલા તરીકે સરકારી નોકરી માટે કોઇ પણ ભારતીય ઉપખંડની વ્યક્તિ અરજી કરે તો તેમને મુલાકાત માટે અવશ્ય બોલાવવામાં આવશે, મીઠાશથી વાત થશે, પણ નોકરી નહી અપાય. બ્રિટનમાં કોઇ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો હોય અને તેને નોકરી ન અપાય તો તેને તેનું કારણ પૂછી શકાય અને જે તે સંસ્થાએ તેનો જવાબ પણ આપવો પડે. અહીં આવી વાતચીત સાંભળવા મળતી:
“તમારી પાસે જરૂરી અનુભવ નથી”
“મારા દેશમાં તમારી અંગ્રેજ પદ્ધતિની સરકારી નોકરીમાં વીસ વર્ષનો અનુભવ છે.”
‘પણ તે અહીં લાગુ ન પડે, કારણ તમારા દેશમાં સદીઓ જુની પદ્ધતિ હતી. અહીં આધુનિક પદ્ધતિઓ ચાલે છે. તમારી પાસે બ્રિટનમાં કામનો એક વર્ષનો પણ અનુભવ હોત તો અમે તમને જરૂર રાખી લેત, કારણ તમે બીજી બધી રીતે લાયક છો!”
“મને અહીં નોકરી જ ન મળે તો આ દેશનો અનુભવ ક્યાંથી લાવું?”
“માફ કરશો, આ catch 22ની સ્થિતી છે. આ દેશમાં કામ ન કરો તો અનુભવ ન મળે, અને અનુભવ ન હોય તો નોકરી ન મળે. વારૂ, ત્યારે, સાહેબજી! ગુડ લક. આવજો.”
તે અૉફિસમાં કામ કરનાર આપણા કોઇ ઓળખીતા હોય તો તે તમની પાસે તપાસ કરતાં જણાશે તે જગ્યા પર શાળામાંથી મૅટ્રીક (ત્યાંના  GEC Level)ની પરીક્ષા પાસ થયેલ અંગ્રેજ યુવક કે યુવતિને વિના અનુભવે પણ નોકરીએ રખાયા છે. 

બીજું કારણ અગાઉ બતાવ્યા પ્રમાણે ‘તમે over-qualified છો!’

નોકરીમાં તેમજ સરકારી આવાસની ફાળવણીમાં આવો પરોક્ષ ભેદભાવ થતો હતો.  સારા પ્રતિષ્ઠીત વિસ્તારમાં આવેલ સરકારી આવાસ અશ્વેત લોકોને કદી ન મળે. લંડનની જ વાત કરીએ તો ચૉકહિલ, સ્ટોનબ્રીજ, પેકમ (Peckham) જેવી કાઉન્સીલ એસ્ટેટ, જ્યાં  દરરોજ ખૂન, મારામારી, લૂંટ થતા હોય, ત્યાં આપણા લોકોને મકાન અપાતા. ઇલીંગ, હિલીંગ્ડન, રાયસ્લિપ જેવા વિસ્તારોમાં  આવેલ કાઉન્સીલના મકાનોમાં બિનગૌર લોકો ભાગ્યે જ જોવા મળતા.



આવતા અંકમાં બ્રિટનની વેલ્ફેર બેનિફીટ પદ્ધતિની વાત કરીશું.

Sunday, July 21, 2013

જિપ્સીની ડાયરી: બ્રિટનના ભારતીય: સામ સામા કાંઠા પરથી દેખાતી વ્યક્તિઓ

જિપ્સીની ડાયરી: બ્રિટનના ભારતીય: સામ સામા કાંઠા પરથી દેખાતી વ્યક્તિઓ

બ્રિટનના ભારતીય: સામ સામા કાંઠા પરથી દેખાતી વ્યક્તિઓ

ભારતથી બ્રિટન ગયેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યા બાદ તેમણે વ્યક્ત કરેલા વિચાર મુજબ  જિપ્સીને એવું લાગ્યું આધુનિક ભારતથી બ્રિટન ગયેલા લોકો એવું માનતા થયા હતા કે આફ્રિકામાં વસેલા આપણા લોકો એક ‘થીજી ગયેલા સમય’માં જીવી રહ્યા હતા. તેમના કહેવા પ્રમાણે આફ્રિકા ગયેલા ભારતીયો - ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રના લોકો વીસમી સદીની શરૂઆતમાં પૂર્વ આફ્રિકા ગયા હતા. જ્યારે તેઓ ત્યાં ગયા, ત્યારે તેમની સાથે તેમના સમયના જે આચાર, વિચાર, માન્યતા અને સંસ્કાર લઇને ગયા હતા તે તેમણે તેમની આવનારી બધી પેઢીઓમાં સિંચ્યા હતા. ઘણા ભારતીયો એવું માનતા થયા હતા કે પૂર્વ આફ્રિકન ભારતીયોની ઓગણીસમી કે વીસમી સદીની શરૂઆતની જે મૂલ્ય પદ્ધતિ (value system)માં તસુભર ફેર નહોતો પડ્યો. 

એક અન્ય વાત એવી પણ સાંભળવા મળી કે પૂર્વ આફ્રિકન દેશો ભારતની આઝાદી બાદ પણ અનેક વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી હેઠળ રહ્યા હતા. તેથી જુના જમાનાથી ત્યાં વસેલા આપણા લોકોની અંગ્રેજો પ્રત્યેની ભક્તી, તેમને આદર્શ ગણવાની માન્યતા જેવીને તેવી રહી હતી. આ દેશોમાં તે સમયના હાકેમ અંગ્રેજોએ શિક્ષણના ક્ષેત્રમાં કોઇ investment કર્યું નહી. પૂર્વ આફ્રિકાના ત્રણે દેશોમાં કોઇ વિશ્વવિદ્યાલય જ નહોતું. તેથી સામાન્ય વર્ગના ભારતીય યુવાનો-યુવતિઓને ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો નહી. મધ્યમ વર્ગના સુખવસ્તુ ભારતીય માતાપિતા તેમનાં બાળકોને ભણવા ભારત મોકલતા અને ધનાઢ્ય પરિવારો ઇંગ્લંડ. સૌનો આખરી ઉદ્દેશ તો ‘માતૃભુમી’ - ઇંગ્લંડ જવાનો હતો. ભારતને તેમણે નામ પૂરતું ‘વતન’ સમજ્યું, પણ આખરી વિસામા તરીકે ગણ્યો હોય તો ફક્ત એક દેશ: ઇંગ્લંડ. 

આ હતી ભારતથી બ્રિટન ગયેલા લોકોની પૂર્વ આફ્રિકાના ભારતીયો પ્રત્યેની માન્યતા! આના પૂરાવા રૂપે તેમણે એવી દલીલ પેશ કરી કે જ્યારે ઇદી અમીને યુગાન્ડાથી ભારતીયોને બહાર કાઢ્યા ત્યારે લગભગ સોએ સો ટકા ભારતીયો લોકોએ બ્રિટન જવાનું પસંદ કર્યું. ઘણા લોકો કૅનેડા, સ્વીડન, નૉર્વે જેવા દેશોમાં ગયા. મૂળ વતન, ભારત જવા કોઇ તૈયાર થયું નહી. કદાચ આના કારણે લોકોમાં આ માન્યતા વસી ગઇ હશે.

સામ્યવાદી સમાજશાસ્ત્રીઓના દૃષ્ટીકોણથી જોઇએ તો એક જુદું ચિત્ર ઉપસી આવશે. તેમના વિષ્લેષણ પ્રમાણે કોઇ પણ દેશનો શાસક વર્ગ પોતાના હાથમાં સત્તા રાખી પ્રજાનું શોષણ કરતો રહે છે. તેમની સાથે સામેલ હોય છે સરકારની શોષક નીતિનું સમર્થન કરનારા ઉચ્ચ વર્ગના પણ જનતાથી અળગા રહેનારા ઉમરાવ. શાસકોથી ઉતરતી કક્ષા એટલે તેમની નીચે કામ કરનાર મધ્યમ વર્ગ. તેમનું કામ જનતા પાસેથી કર ઉઘરાવવાનું, પ્રજા પર કાયદાનું અનુશાસન (ન્યાય ખાતું, પોલીસ તથા મિલીટરી) અને જનતા સાથે સીધા સમ્પર્કમાં રહી સરકારી વહીવટ કરવો. 

આ ઉપરાંત એ મહત્વનો વર્ગ છે વ્યાપારીઓ. દેશમાં ઉદ્યોગો ન હોવાને કારણે શાસકોના દેશમાં સસ્તો કાચો માલ - કપાસ, તમાકુ વિ. મોકલવો અને તેમનાં કારખાનાંઓમાં તૈયાર થયેલ ઉત્પાદીત માલ-સામાનની આયાત કરી તેને સામાન્ય જનતામાં વેચવો. આના માટે નાના વ્યાપારીઓ નાનાં નાનાં ગામમાં દુકાનો ખોલીને 'કાળા દેશીઓ'ને આયાત કરેલો માલ વેચવા તૈયાર હોય છે. આમ આ વ્યાપારી વર્ગને પણ સામ્યવાદીઓ શોષણકર્તા સમજતા હોય છે. કારણ દેશમાં વાહનવ્યવહારની અછતના કારણે finished product સહેલાઇથી મળતો નથી. આમ તેની ખરી કે કૃત્રીમ કમી હોવાને કારણે આ છૂટક માલ વેચનારા વેપારીઓ ગરીબ પ્રજાને મરજી મુજબની કિંમતે માલ વેચે, ભારે વ્યાજથી ઉધાર આપે અને ઓછી કિંમતે તેમનો કાચો માલ ખરીદી તેના પર ઉંચો નફો કમાવે. મધ્યમ વર્ગ તથા સરકારી નીતિનો ફાયદો ઉઠાવી સરકારને વફાદાર રહેનાર વેપારી વર્ગને સામ્યવાદીઓ 'Agents of the State' કહે છે. 

સમાજમાં છેલ્લે આવે છે શોષીત વર્ગ એટલે ખેત મજુરો અને કામદારો. સામ્યવાદી સમાજશાસ્ત્રીઓ આ ત્રણે વર્ગોને અનુક્રમે નામ આપ્યા છે Ruling Class, Bourgeoisie તથા Proletariat. 

આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને તેમના ‘ઉમરાવ’ - એટલે ઇટન કે હૅરો તથા અૉક્સફર્ડ/કેમ્બ્રીજમાં ભણી આવેલા શ્રીમંતોનાં નબીરાઓ શાસક વર્ગના. જેમના થકી તેઓ દેશમાં શાસન કરતા, કર ઉઘરાવતા અને કાયદાનું પાલન કરવા માટે પોલીસ તથા ન્યાય ખાતાનો ઉપયોગ કરતા તે અમલદારો હતા ‘મધ્યમ વર્ગ‘ના બુર્ઝવાઝી - bourgeoisie. આ સમગ્ર વર્ગ લગભગ ભારતીયોથી બનેલો હતો. તેમને મર્યાદીત સત્તા, અને સારું પગાર ધોરણ આપેલું હોવાથી તેમની વફાદારી બ્રિટીશ હાકેમો તરફ જ હતી. ૮૦-૯૦ ટકા જેટલા વ્યાપારીઓ ભારતીય હતા તેથી તેઓ પણ સરકારના અનુયાયી હતા. 

શોષીત વર્ગમાં હતા સામાન્ય આફ્રિકન નાગરિકો. વર્ણદ્વેષી અંગ્રેજો તો તેમને હીન ભાવથી જોતા. આપણા ભારતીયો તેમનાથી એક ડગલું આગળ ચાલતા.  અહીં જે કહ્યું છે તે જિપ્સીનું કહેવું નથી: તેના સમ્પર્કમાં આવેલા અનેક પૂર્વ આફ્રિકાથી આવેલા ભારતીયોએ આનું વિશદ વર્ણન કર્યું હતું. દાખલા તરીકે તેમના ઘરમાં કામ કરતા નોકરોને ઉદ્દેશી જે શબ્દ વપરાતો તે હતો “બૉયટાઓ”. ‘બૉય’ પણ નહી! 

પૂર્વ આફ્રિકાના ભારતીયોને ભારતના લોકો પ્રત્યે પૂર્વગ્રહ હોવાનું કારણ એક દિવસ અચાનક જાણવા મળ્યું. તેમની દૃષ્ટીએ ભારતના લોકોની નજર હંમેશા તેમના ધનાઢ્ય સગાંવહાલાંઓના ‘ખિસ્સા’ તરફ હોય છે. એક સજ્જને જણાવ્યું કે ૧૯૫૦-૬૦ દરમિયાન તેઓ જેટલી વાર ભારત ગયા, તેમનાં સગાં-સંબંધીઓએ તેમની પાસેથી એક યા બીજા બહાને પૈસા કઢાવવાનો પ્રયત્ન કર્યો હતો અને કાઢ્યા પણ હતા. તે જમાનામાં ‘ચેત મછંદર’ નામનું સામયીક પ્રસિદ્ધ થતું હતું. તેમાંનું એક કાર્ટૂન હજી યાદ છે. આફ્રિકાથી આવેલ એક યુગલ  સ્ટીમર પરથી ઉતરતું હતું ત્યારે તેમની પાસે ભારે ભારે બૅગ્સ હતી અને શરીર ઘરેણાંઓથી સજાયેલ હતા. જતી વખતે એક એક બૅગ અને ઉતરેલાં ચહેરા અને લગભગ ચિંથરેહાલ હાલતમાં પાછા જઇ રહ્યા હતા. તે સમયે ભારતમાં પરદેશથી માલ  મગાવવા પર પ્રતિબંધ હતો તેથી આફ્રિકાથી આવેલા પ્રવાસીઓનાં મોંઘા અને જાપાનની મિલોની સાડીઓ તથા પુરુષોનાં કપડાં સગાંઓએ માગી લીધા હતા. ‘તમે તો ત્યાં જઇને બીજા લઇ શકશો. અમને આવી ચીજો ક્યાં મળવાની હતી?’ 
મહેમાનો જતાં જતાં કહેતા હતા, ‘સગાંઓને મળવા આવ્યા હતા. આ વખતે છેલ્લી વાર!’


આની વિપરીત એક ભારતીય ભાઇની મુલાકાતમાં જે જાણવા મળ્યું તે પણ આશ્ચર્યજનક હતું, જેની વાત આગળ જતાં!

Saturday, July 13, 2013

બ્રિટનની નવી સમાજ વ્યવસ્થા: ૧૯૭૦-૮૦



ગયા અંકમાં આપણે બ્રિટનમાં પ્રવર્તતી સમાજવ્યવસ્થાની એક ઝલક જોઇ. જતાં જતાં ઉલ્લેખ થયો હતો Corner Shop અને Newsagentsની દુકાનોનો.ન્યુઝ એજન્ટનું બીજું નામ છે કન્ફેક્શનર અૅન્ડ ટોબેકોનીસ્ટ.

બ્રિટનના સમાજમાં કેટલાક અવિભાજ્ય અંગ છે. નાનામાં નાનું ગામડું હશે ત્યાં તમને ચાર સંસ્થાઓ અચૂક જોવા મળશે: ગામની સૌથી મહત્વની સંસ્થા હોય છે Pub. આ Public Houseનું સંક્ષીપ્ત નામ છે. ગામમાં ઓછામાં ઓછું એક Pub તો હોય જ. Public House ચલાવનાર વ્યક્તિને landlord કહે છે. આ ‘મહાન’  વ્યક્તિ તેના દરેક ઘરાકને તથા તેના પરિવારને સારી રીતે જાણે. એટલું જ નહી, તે ક્યું પીણું લેશે તે પણ જાણે. તેથી ઘરાક આવે તો ખુદ પૂછશે, “The usual?”  ત્યાર બાદ લૅંડલૉર્ડ તેને મોટા પીપમાં જોડેલી નળી અને હૅન્ડ પમ્પ દ્વારા મોટા પાઇન્ટ કે અર્ધા પાઇન્ટના ગ્લાસમાં કાઢી આપશે અને પરિવારના ખબરઅંતર પૂછશે. અહીંનો વહેવાર રોકડેથી જ ચાલે. સામાન્ય રીતે પબ ચલાવનાર પતિ-પત્ની હોય છે અને ત્યાં પીરસાતું ભોજન ‘Pub food’ તરીકે ઓળખાય. રાંધનાર સામાન્ય રીતે લૅંડલૉર્ડનાં પત્ની! પબનાં નામ પણ વિચીત્ર: The Goose and the Fox, The Drunk Duck, Battle Axes, Colin Campbell, The Plough વગેરે. પબના મકાનની બહાર મોટું બોર્ડ હોય તેમાં તેના નામ પ્રમાણે ચિત્ર પણ હોય!


Pubમાં રોજ બપોરે તથા સાંજે લોકો જરૂર ભેગા થશે. મુખ્યત્વે બીયર - જેના જુદા જુદા પ્રકાર હોય છે: લાગર (Lager), બિટર (Bitter) અને ગિનીસ (Guinness) સામેલ હોય છે. લોકોનાં આ પ્રિય પીણાં. બ્રૅંડી, વિસ્કી, રમ જેવા ‘હાર્ડ ડ્રિંક્સ કોઇ ભાગ્યેજ પીશે. આ પબ ઇંગ્લીશ મધ્યમ વર્ગ અને કામદાર વર્ગનું સામાજીક મિલનસ્થાન ગણાય. અહીં લોકો dartsની રમત રમે અને તેની હરિફાઇ થાય. વીક એન્ડમાં કૅરીઓકી, સ્થાનિક કલાકારોના વાદ્યસમૂહ (Band)નો કાર્યક્રમ યોજાય.

અન્ય ‘સંસ્થા’ઓ છે સ્થાનિક ચર્ચ, ગ્રોસરી સ્ટોર, પોસ્ટ અૉફિસ અને હા, ન્યૂઝ એજન્ટ. નાનકડા ગામોમાં અને શહેરોનાં પરાંઓમાં ગ્રોસરી સ્ટોરના માલિક પોસ્ટ અૉફિસ ચલાવતા હોય છે. ન્યૂઝ એજન્ટની દુકાનમાં રાષ્ટ્રીય અને સ્થાનિક અખબારો, સામયીકો, તમાકુના ઉત્પાદનો (સિગરેટ, સિગાર વગેરે), ચૉકલેટ્સ અને વિવિધ પ્રકારની ઇંગ્લીશ મિઠાઇઓ, બસના પાસ વેચાય. સ્થાનિક દુકાનોના છેવાડે, ખુણામાં આવેલ દુકાનો તે કૉર્નર શૉપ્સ!  આ પણ ન્યુઝ એજન્ટ જેવી દુકાન હોય છે.


ઇસ્ટ આફ્રિકાથી આવેલા હજારો ભારતીયોએ બ્રિટનના શહેરો અને ગામડાંઓમાં આવેલી આ ન્યૂઝ એજન્ટ તથા કૉર્નર શૉપ્સ ખરીદી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં મોટા ભાગની દુકાનો પટેલ ભાઇ-બહેનોએ ખરીદી હોવાથી એક મોટો stereotype થઇ ગયો: ન્યુઝ એજન્ટ ભારતીય જ હોય અને તેની અટક પટેલ હોય! શાળામાં અાપણાં બાળકોને અંગ્રેજ બાળકો પૂછે, તારા બાપુજી ન્યુઝ એજન્ટ છે?  

આપણા લોકોએ આ વ્યવસાય શા માટે સ્વીકાર્યો તેની પાછળ પણ એક મોટું કારણ હતું.

વર્ણભેદ!

***

૧૯૭૦-૮૦ના દશકમાં બ્રિટનમાં મંદીનું મોજું ફેલાયું હતું. સરકારે તો જાહેર કર્યું હતું કે નોકરી, મકાનના અૅલોટમેન્ટ તથા શિક્ષણના ક્ષેત્રોમાં કોઇ પણ જાતનો વર્ણભેદ કરવો ગુનાને પાત્ર છે. આ માટે સરકારે કમીશન ફૉર રેશિયલ ઇક્વૉલીટી CREની સ્થાપના કરી. કોઇ પણ બિનગૌર વ્યક્તિને એવું લાગે કે તેના પ્રત્યે ઉપર જણાવેલી બાબતમાં ભેદભાવ થયો છે, તે સીધો CRE પાસે અરજી કરી ન્યાય માગી શકે. મંદીના કારણે નોકરીઓની અછત હતી. આપણા દેશમાં જેમ રોજગાર ખાતાની કચેરી હોય છે, તેવી આખા બ્રિટનમાં Job Centre નામની કચેરીઓ સ્થાપવામાં આવી હતી. રોજગાર વગરના લોકો અહીં જઇને જુએ કે ત્યાં રાખેલા  ‘જોઇએ છે’ના કાર્ડમાં ક્યાં ક્યાં ખાલી જગ્યાઓ છે. પોતાની કેળવણી અને અનુભવને અનુરૂપ  જે ખાલી જગ્યાની જાહેરાતનું કાર્ડ હોય તેનો રેફરેન્સ નંબર લઇ એમ્પ્લૉયમેન્ટ અૉફિસર પાસે જાય. તેઓ કમ્પ્યુટર પરથી વિગતો મેળવી જાહેરાતકર્તાને ફોન કરે અને ઇન્ટરવ્યૂની અૅપોઇન્ટમેન્ટ મેળવી આપે. 


આવી સવલત અને કાયદો હોવા છતાં આપણાં લોકોને નોકરી મળતી નહોતી. એમ્પ્લૉયમેન્ટ અૉફિસર જાહેરાતકર્તાને ફોન કરે અને તે અરજદારનું નામ સાંભળીને યા તો કહેશે, 'જગ્યા ભરાઇ ગઇ છે. તમને જણાવવામાં મોડું થયું છે તે માટે માફ કરશો.' અથવા અાપણને અૅપોઇન્ટમેન્ટ આપશે, અને ત્યાં ગયા પછી કહેશે, You are over-qualified! સરકારી નોકરી વાળા અફસર કહેશે, “Sorry, you do not have the relevant experience.”

આપણા લોકોને કાઉન્સીલ (એટલે મ્યુનીસીપાલિટી)ની માલિકીના મકાનની ફાળવણી બાબતમાં પણ એવાં બહાનાં અપાતા, કે અાપણને મકાન ન મળે. 

આવી હાલતમાં લાચાર થાય તો તે ગુજરાતી શાનો! ગૌરવથી જીવનારી પ્રજાએ તેમાંથી પણ રસ્તો કાઢ્યો. તેમણે ન્યુઝ એજન્ટની દુકાન, ગ્રોસરી સ્ટોર, કૉર્નર શૉપ્સ ખરીદ કરી, self employed - સ્વ-નિર્ભર થયા. સરકારી આવાસ ન મળે તો મકાનો ખરીદી તેમાં રહેવાનું શરૂ કર્યું. તે સમયે ત્રણ બેડરૂમ, હૉલ, કિચન અને બાથરૂમનું સેમી ડીચૅચ્ડ કે ટૅરેસ્ડ હાઉસ ૫૦૦૦થી ૭૦૦૦ માં મળી જતા. આપણી શાખ પણ મજબૂત હોવાથી બૅંક અને બિલ્ડીંગ સોસાયટીઓએ કરજ આપવામાં પાછી પાની ન કરી, આમ સમગ્ર બ્રિટનમાં એક નવો સ્ટીરીઓટાઇપ ઉભો થયો. અત્યાર સુધી આફ્રિકામાં નોકર-ચાકરથી ભરેલા ઘરમાં આરામનું જીવન જીવનાર બહેનોને મોરગેજનાં હપ્તા ભરવા નોકરી કરવી પડી. બહેનોને તે સમયે ફૅક્ટરીઓમાં નોકરી મળી જતી તેથી ભણેલી અને ઉચ્ચ શિક્ષણ પામેલી બહેનોને પણ ત્યાં કામ કરવું પડ્યું. આ જ બહેનોને અૉફિસોમાં કરનારી યુવતિઓ ‘ફૅક્ટરીની માસીઓ’ કહેતી! આનાથી વધુ કરૂણ વક્રોક્તિ કઇ હોઇ શકે? ફૅક્ટરીમાં કામ કરનાર એક ગુજરાતી બહેન સ્વ. જયાબહેન દેસાઇએ એક શક્તિશાળી ઉદ્યોગ સામે વર્ણભેદ સામે લડત ઉપાડીને તેને દેવાળું ફૂંકવા પરજ પાડી હતી તે અૉફિસમાં કામ કરનારી મોટા ભાગની બહેનોને જાણ નહોતી, નથી તેમને જાણવાની કોશીશ કરી. જયાબહેનની વાત આવતા અંકમાં જરૂર કરીશું. અત્યારે તો પ્રવર્તતા stereotype, વર્ણદ્વેષ અને તેનો પ્રતિકાર કરી, નવા દેશમાં સફળ થવા માટે અાપણા લોકોએ દર્શાવેલ પોતાની આંતરીક શક્તિનું વર્ણન કરવાનો પ્રયત્ન કરીશું.

એશિયન એટલે ન્યુઝ એજન્ટ. તેમની દૃષ્ટીએ અાપણે બધા જ ઘણા શ્રીમંત હતા, કારણ કે મોટા ભાગના લોકોએ ઘર વેચાતું લીધું હતું. 

અહીં વાચકોના મનમાં કદાચ પ્રશ્ન ઉભો થાય: બ્રિટનમાં વર્ણભેદના મૂળ શા માટે ઉંડા થયા હતા? 

તેની પાછળ કોઇ ખાસ કારણો હતા?

બ્રિટનની પ્રજા, ખાસ કરીને મધ્યમ વર્ગનાં લોકોમાં એક પ્રકારની જાગૃતિ હતી, ઉદારમતનું વર્ચસ્વ તેમની વિચારસરણીમાં હતું, તેમ છતાં ત્યાં આવી પરિસ્થિતિ શા માટે અને કેવી રીતે ઉદ્ભવી? 


જિપ્સીને આ વિષયમાં અભ્યાસ કરવાની તક મળી અને તેની ચર્ચા તે આવતા અંકમાં કરશે.