Monday, October 31, 2011

જિપ્સીનો વિસામો: 'આજ જાનેકી ઝીદ ના કરો'!

તારીખ ૩૦ જુન ૨૦૧૦. સ્થળ કામાણી અૉડીટોરીયમ, દિલ્હી. હૉલના દરવાજા પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું હતું તેમ છતાં સેંકડો સંગીતપ્રેમીઓ કાર્યક્રમના સંયોજકોને વિનંતિ કરી રહ્યા હતા. “અમને અંદર આવવા દો. એક ખુણામાં ઉભા રહીને, શાંતિથી કાર્યક્રમ સાંભળીશું.” જવાબ હતો, “માફ કરશો, અંદર તો ઉભા રહેવાની પણ જગ્યા નથી. અરે, ચાલવાની કૉરીડોરમાં પણ લોકો બેઠા છે!”

કાર્યક્રમ હતો ફરીદા ખાનુમનો.

આપણા દેશની પ્રજાએ કલાની કદર કરવામાં કદી પણ ભેદ ન રાખ્યો કે કલાકાર ક્યા દેશનો વતની છે. આપણે તો મુક્ત હૃદયે તેમના પર બધું ન્યોચ્છાવર કર્યુ: માન, ધન, મહેમાન-નવાઝી, કશામાં કમી ન રાખી. ફરીદા ખાનુમ પર ભારતે વિશેષ સ્નેહ દર્શાવ્યો. અને કેમ નહિ? તેમનો જન્મ ભારતમાં-કોલકાતામાં થયો હતો ને! અખબારી મુલાકાતમાં તેમણે પોતે કહ્યું હતું કે તેઓ પિયરની મુલાકાતે આવ્યા હતા! અને તેમનો આનંદ વ્યક્ત થતો હતો તેમણે ભારતમાં પેશ કરેલા દરેક કાર્યક્રમમાં.

ફરીદા ખાનુમના અવાજનું માધુર્ય સૌથી પહેલાં ઓળખ્યું હોય તો તેમનાં મોટા બહેન મુખ્તાર બેગમે. મુખ્તાર બેગમ પોતે જ લોકપ્રિય ગાયિકા હતા અને ‘બુલબુલે-પંજાબ’નું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેમણે નાની બહેનને પાસે બેસાડી સંગીતની તાલિમ આપી. તેમનો potential જોઇ તેમના અમૃતસરના વાસ્તવ્ય દરમિયાન પટિયાલા ઘરાણાંના ઉસ્તાદ આશિક અલી ખાં, ખાંસાહેબ બડે ગુલામ અલીખાં સાહેબ તથા તેમના નાના ભાઇ બરકત અલીખાં પાસે સંગીતની તાલિમ મેળવી. દેશના ભાગલા થયા અને પરિવાર સાથે તેઓ પાકિસ્તાન ગયા, પણ તેઓ કદી કોલકાતા, બનારસ અને અમૃતસરને કદી ભૂલ્યા નહિ. ન ભૂલ્યા ભારતીય સાડીને! જાહેરમાં કોઇ પણ કાર્યક્રમ હોય, તેમણે હંમેશા સાડી પરિધાન કરી અને સંગીતને વધારાનો ઓપ ચઢાવ્યો.

જિપ્સીની પંજાબમાં બદલી થઇ ત્યારે પાકિસ્તાન ટેલીવિઝનના પ્રસારીત થતા ખાસ કાર્યક્રમોમાં મેહદી હસન સાહેબના કાર્યક્રમ બાદ થયેલા એક કાર્યક્રમમાં ફરીદા ખાનુમનો કાર્યક્રમ આવ્યો ત્યારે પહેલી વાર તેમને સાંભળ્યા. જ્યારે તેમણે ‘આજ જાનેકી ઝીદ ના કરો‘ ગાયું, તેમના ચાહકોના લિસ્ટમાં એક વધારે નામ નોંધાઇ ગયું! ત્યાર પછી તેમણે ‘વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા’ ગાયું અને બસ, અૉફિસર્સ મેસમાં બેઠેલા પલ્ટનના અફસરો મંત્રમુગ્ધ થઇ સાંભળતા જ ગયા.

ફરીદા ખાનુમનું ‘આજ જાનેકી ઝીદ ના કરો’ તેમના ગળાના હારની જેમ કાયમ માટે આરોપાઇ ગયું. દુનિયાના કોઇ પણ દેશમાં તેમનો કાર્યક્રમ થાય, આ ગઝલ વગર કાર્યક્રમ અધુરો જ ગણાતો. મજાની વાત એ હતી કે આ ખાનદાની મહિલાને જ્યારે પણ દાદ મળતી, એટલા આભારવિવશ થઇ, ગૌરવથી આદાબ કરવા હાથ ઉંચો કરતાં તે જોવું પણ એક લહાવો બની ગયું.

અહીં એક મજાની વાત કહીશ. ફરીદા ખાનુમનો મુંબઇમાં કાર્યક્રમ થયો ત્યારે તેમનો પરિચય આપવાનું કામ કોઇને નહિ અને શત્રુઘ્ન સિન્હાને સોંપાયું. આપને સૌને યાદ હશે કે યુવાનીના જોશમાં શત્રુઘ્ન પોતાને 'શૉટગન સિન્હા' તરીકે ઓળખાવવા લાગ્યા હતા. એક ફિલ્મ વિવેચકને આ ઉપનામનું મહત્વ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, "સરળ શબ્દોમાં કહીએ તો big bore and loud noise, તેથી!" શૉટગનની નળીનો પરીઘ એક ઇંચનો (બંદૂકમાં સૌથી મોટો બોર) હોય છે, અને તેમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે તેનો ધડાકો કાનના પડદા ફાડી નાખે તેવો. શૉટગન સિન્હાએ ફરીદા ખાનુમનો પરિચય આપવાને બદલે પોતાની મહત્તા બતાવવાનું શરૂ કર્યું. અધવચ્ચે ગૅલેરીમાંથી તાળીઓ શરૂ થઇ - 'બંધ કરો તમારો બકવાદ. અમે ફરીદા ખાનુમને સાંભળવા આવ્યા છીએ.' મહાશય મોઢું બંધ કરવાને બદલે ઉશ્કેરાઇ ગયા, ત્યારે આખો હૉલ તાળીઓથી છવાઇ ગયો અને લોકોએ બૂમાબૂમ શરૂ કરી. અંતે કાર્યક્રમના આયોજકોને સ્ટેજ પર જઇ તેમને વિંગમાં લઇ જવા પડ્યા!

જ્યારે ફરીદા ખાનુમે સ્ટેજ પર આવીને સૂર પકડ્યો, હૉલ ફરી એક વાર તાળીઓના ગડગડાટથી ગર્જી ઉઠ્યો. આપ જાણી ગયા હશો કે કઇ ગઝલનો આ સૂર હશે!'આજ જાનેકી ઝીદ ના કરો!'

ત્યાર પછી તેમણે ગાયેલી ગઝલ 'વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા'ને લોકોએ એટલા જ ઉત્સાહથી વધાવી લીધી.

રાબેતા મુજબ આજે તેમના જીવનચરિત્રની તારીખો કહેવાને બદલે તેમને સાંભળવાનો લહાવો લઇશું. અહીં ઉતારેલી ગઝલ - મેરે હમનફસ, મેરે હમનવા - આપે ગયા અંકમાં બેગમ અખ્તરને આપેલી અંજલિમાં સાંભળી હશે. શકીલ બદાયુંની આ ગઝલ અહીં ઉતારવા પાછળનો આશય સરખામણી કરવાનો નથી; કેવળ ફરીદા ખાનુમે કરેલા તેના interpretationનો આનંદ માણવા માટે છે. વળી તેમણે પોતે જ કહ્યું હતું કે બેગમ સાહિબાએ ગાયેલી આ ગઝલ તેમની પ્રિય ચીજોમાંની એક છે.

ફરીદા ખાનુમ તેમની ઉમરના ૭મા દશકમાં અને લોકપ્રિયતાના સાતમા આસમાનમાં બિરાજી રહ્યા છે. પાકિસ્તાનની સરકારે તેમને રાષ્ટ્રીય સન્માનના બીજા નંબરનો ઇલ્કાબ આપ્યો. ભારત તથા પાકિસ્તાનના સંગીતપ્રેમીઓએ તેમને પોતાનાં હૃદયોમાં પ્રથમ સ્થાન આપ્યું છે.

ભારતની વિદાય લેતાં પહેલાં ફરીદા ખાનુમે એક ઇચ્છા વ્યક્ત કરી હતી: લતા મંગેશકર સાથે ગીત ગાવાની. તે પૂરી થશે કે નહિ એ તો પરમાત્મા જાણે, પણ તેમની મુલાકાત જરૂર થઇ!

(છબી: સૌજન્ય ટાઇમ્સ અૉફ ઇન્ડીયા)

Thursday, October 27, 2011

જિપ્સીનો વિસામો: 'અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા'...

તારાશંકર બંદ્યોપાધ્યાયની નવલિકા પર સત્યજીત રાય 'જલસાઘર' નામનું (મૂળ નવલિકાના નામનું જ ચિત્રપટ) બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. આપ તો જાણો છો કે સત્યજીત રાય સંવેદનશીલ નિર્માતા-દિગ્દર્શક હતા. મૂળ લેખકે તેની કથામાં સર્જેલા પાત્રો રંગભુમિ પર જીવંત થઇ ઊઠે તે માટે તેઓ એવા કલાકારોને શોધી તેમના કસબનું એવું ચિત્રીકરણ કરતા, જાણે આ પાત્રો અાપણા સૌના જીવનમાં આવી ગયા હોય, અથવા આપણે તેમને નજીકથી ઓળખતા હોઇએ તેવું લાગે.

‘જલસાઘર’ના મુખ્ય પાત્ર જમીનદાર બિશમ્બર રાયે તેમના મહેલના સંગીતકક્ષ - જલસાઘરમાં જીવનનો છેલ્લો કાર્યક્રમ તેમાં હાજરી આપનારાઓના જીવનનો અવિસ્મરણીય બનાવ બની રહે તે માટે તેમણે તેમના જમાનાનાં ઉત્તમોત્તમ ગાયક-ગાયિકાઓને બોલાવ્યા. આજની વાત ‘જલસાઘર’ની નથી: મૂળ કથાના મૂખ્ય પાત્રને જીવંત કરવા તેમણે રાયમોશાયની ભુમિકામાં બંગાળની રંગભુમિના સર્વશ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા છબી બિશ્વાસને ઉતાર્યા. તેમના જીવનની છેલ્લી ઠુમરી 'ભર ભર આયી મોરી અંખીયા'ને યાદગાર બનાવવી હતી તે માટે તેમણે કોને પસંદ કર્યા હશે? એવી કલાકૃતિ જે શ્રોતાઓના જીવનમાં યાદગાર બની જાય?

અલબત્, મલિકા-એ-ગઝલ બેગમ અખ્તર સિવાય બીજું કોણ હોય? અને બેગસસાહિબાએ તેમાં પ્રાણ સિંચીને ગાયું. અહીં જોઇશું ‘જલસાઘર’ની ભવ્યતા, ખાનદાની રસીક-રઇસ રાય મહાશય, જાજ્વલ્યમાન અને કલાની અમીરીના ખુમારથી દમકતી ગાયીકા તથા તેમને સાથ આપનારા વાદક કલાકારો! વાહ! શું એ જમાનો હતો! કેવા તો ગાયકો હતા અને કેવી તો એ ગાયકી હતી! આજના ભજનસમ્રાટો અને સેકન્ડહૅન્ડ ગીત-ગઝલ ગાનારા ટિનપાટીયા 'કલાકારો'(!)ને સાંભળી, TV પર જોઇ ખરા દર્દીઓ 'ते हि नो दिवसा गता:' કહી માથું હલાવે તે બનવા જોગ છે.

આ પહેલાં જિપ્સીએ રત્ન તથા તેને ઊઠાવ આપવા માટેના જરૂરી ગણાતા કિમતી ધાતુઓનાં ઘરેણાંની વાત કરી હતી-કોહિનૂર જેવા હિરાને રાજમુકૂટ જોઇએ-જેવી. પણ આ તો બેગમ અખ્તર હતા! તેમને ચંદ્રની જેમ કોઇના ઉછીના તેજની જરૂર નહોતી. તેઓ પોતે જ સ્વયં પ્રકાશિત હતા. તેમનું જીવન, તેમનો હસમુખો ચહેરો તથા ગાવાનો અંદાજ એવો મીઠો અને અવાજ એવો પ્રવાહી હતો, જાણે ભગવાનને અર્પણ કરવા માટે તેમના પરમ ભક્તે સુવર્ણના ઘડામાં પંચામૃત ન બનાવ્યું હોય! અને તેમને સાંભળનારાઓ માટે તો પરમાત્માએ ખુદ તેનો સ્વીકાર કરી નાદબ્રહ્મમાં રત થયેલા ભક્તોને આ પંચતત્વની પ્રસાદીનો આસ્વાદ કરાવ્યો હોય તેવું લાગે!

બેગમ અખ્તરના જીવન પર ઇન્ટરનેટ પર તથા પુસ્તક જગતમાં ગણી ન શકાય એટલા પાનાંઓ અને પુસ્તકો મળી આવશે. તેથી તેમાં એક વધારાનું પાનું ઉમેરવાની ધૃષ્ટતા ન કરતાં આપના શ્રવણ આનંદ માટે અહીં તેમના કેટલાક ચૂંટેલા નગીનાઓનો આપણે મળીને રસાસ્વાદ કરીશું.

અમારા સૈનિક જગતમાં પ્રભાતનાં કિરણોની અને સુપ્રભાતને આગાહ કરવા બ્યુગ્લર reveille વગાડતો હોય છે. બ્યુગલના આહ્લાદક ધ્વનિમાં સૂરજ ઉગે તેમ કોલકાતાની સુવર્ણભુમિમાં બેગમ અખ્તરની પ્રતિભાનો સૂર્યોદય થયો. તેમની કારકિર્દીની શરૂઆતની ગાયકી જોઇએ તો તે ટાન્ઝાનાઇટ જેવા અણમોલ રત્નના સ્ફટિક જેવી લાગશે. જેમ જેમ તેમાં પાસા પડતા ગયા, અદ્ભૂત રોશનીનાં કિરણો પરિવર્તીત થવા લાગ્યા. ટાન્ઝાનાઇટ એટલા માટે કે તેના આછા નીલા પ્રકાશમાંથી જાણે આહ્લાદકતા ઉછળીને બહાર પડતી હોય તેવું લાગે. બીજા અલંકારમાં કહીએ તો જાણે પારિજાતની કળીઓ ખિલવા લાગે અને તેનું મંદ હાસ્ય - જેને ઉર્દૂ કવિઓ તબસ્સુમ કહે છે - તેમ નિખરતું જાય. બેગમ અખ્તરનો પારિજાત એટલો વિશાળ હતો, સવારના પહોરમાં તેનાં ફૂલ તથા તેની ખૂશબૂ આખા વિશ્વ પર વર્ષા કરવા લાગી!

સુંદર અને સુગંધી ફૂલનું સ્થાન ફૂલદાનીમાં નથી એ ફૂલ સિવાય બીજું કોઇ જાણતું હોય તો તેના ચાહકો. ખુલા ઉદ્યાનમાં તેની મહેક તથા તેની સુંદરતાનો લાભ લેવા લાખોની સંખ્યામાં જતા ચાહકો માટે બેગમ અખ્તરે પોતાની હવેલીની ફૂલદાની છોડી અને સૂરબહારનો સૌરભ પ્રસરાવવા બહાર નીકળ્યા. ત્યાર પછી જે થયું એ તો ઇતિહાસ છે!

આજે આપણે કેવળ બેગમ અખ્તરની કલાનો રસાસ્વાદ કરીશું.

તે સમયે બેગમ અખ્તરે કેવળ 'અખ્તરીબાઇ ફૈઝાબાદી'ના નામે સંગીત જગતમાં પ્રવેશ કર્યો. અને શરૂઅાતની પ્રસ્તુતી કંઇક આવી હતી:

આપે તેમની "અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા' તો સાંભળી જ હશે! જાણે શહેનાઇમાંથી શબ્દો બહાર પડતા હોય!

આપે શકીલ બદાયૂંનીએ રચેલી ગઝલ આપે સાંભળવી જ જોઇશે! ફરીદા ખાનુમ જેવી મહાન ગાયિકાએ સુદ્ધાં કહ્યું હતું કે બેગમ અખ્તરે આ ગઝલ એટલી ખુબસુરતીથી ગાઇ છે, વાહ! આફ્રિન! ગઝલ છે, 'મેરે હમ-સફર, મેરે હમ-નવા..' શબ્દો હૃદય સુધી પહોંચે, પણ બેગમ સાહિબાએ ગાઇને હૃદયના તાર એવા છેડ્યા, તેનો ઝંકાર હજી પણ અનુભવાય!

ગુજરાત માટે બેગમ સાહિબાની મુલાકાત આનંદ અને શોકના અગમ્ય સંગમ જેવી નીકળી. ગુજરાતની રંગભુમિનાં જાણીતા પુરસ્કર્તા નીલમબહેન ગામડીયાના આમંત્રણથી બેગમ અખ્તર અમદાવાદ આવ્યા હતા. આ મુલાકાત તેમનાં જીવનની ભૈરવી બની, અને...

એક દીપનું નિર્વાણ થયું અને યુગ વિતી ગયો. અલ્ વિદા બેગમ સાહિબા, આપની રૂહને ખુદા બક્ષે!

Saturday, October 22, 2011

જિપ્સીનો વિસામો: ગુલોંમેં રંગ ભરે (શેષ)

મેહદી હસન સાહેબનો પરિવાર રાજસ્થાની પરંપરાનો. તેમનો પરિવાર મૂળ રાજસ્થાનના લૂણા ગામનો રહેવાસી હતો અને ઘણી પેઢીઓથી તેમને રાજ્યાશ્રય મળ્યો હતો. ભારતીય શાસ્ત્રીય સંગીતના સાધક એવા આ પરિવારે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. દેશના ભાગલા થયા અને કઇ આશા આકાંક્ષા સાથે મેહદી હસનના વાલિદસાહેબ તથા તેમના અન્ય બુઝુર્ગોએ પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો, એ તો તેમને જ ખબર. પણ આ નિર્ણયને કારણે તેમને તથા તેમના પરિવારને શરૂઆતમાં ઘણી મુસીબતો ઉઠાવવી પડી. ખુદ મેહદી હસનને દહાડીયા તરીકે મજુરીથી માંડી સાઇકલ રિપૅરીંગનું કામ કરવા જેવી મહેનત કરવી પડી. રોજ વાલીદ સાહેબ પાસે રિયાઝ અને બાકીનો સમય પરિવાર માટે આજીવિકા કમાવવા બહાર જવું. આ મહેનતે તેમના સ્વભાવમાં કડવાશને બદલે નમ્રતા તથા લોકોની મુસીબત સમજવાની શક્તિ આવી. નિરભિમાન તેમના ચારિત્ર્યનું અંગ બની ગયું. જિપ્સીનું માનવું છે કે આ કારણે તેઓ અમીરથી વધુ અમીર અને ગરીબથી ગરીબ ચાહક પ્રત્યે સમાનત્વ બક્ષતા રહ્યા. આનું ઉદાહરણ અહીં જોઇએ.

ભારતીય સિને જગતના બીજી કક્ષાના એક પ્લેબૅક ગાયિકાએ કોણ જાણે કેવી રીતે મેહદી હસન સાહેબને કરારબદ્ધ કરી ભારત બોલાવ્યા અને મોટા શહેરોમાં કાર્યક્રમો યોજયા. ટિકીટના દર એવા રાખ્યા, જે સામાન્ય રસિકને ન પોષાય. અમદાવાદમાં તેમનો કાર્યક્રમ શાહીબાગના પોલિસ સ્ટેડીયમમાં રખાયો હતો. મેહદી હસન સાહેબની નજીક, તેમની સમક્ષ બેસી આનંદ માણનારા શ્રોતાઓ માટે તે સમયની માતબર ગણાતી રકમ ૧૦૦૦ રૂપિયાની ટિકીટ રાખી. તે વખતે સરકારી ક્લાર્કનો પગાર કેવળ ૧૦૦ રુપિયાનો હતો! નિમ્ન કક્ષાની, પોડીયમથી બસો ગજ દૂર સ્ટેડીયમના પગથિયા પર બેસી સાંભળનારાઓ માટે ટિકીટનો દર ૧૦૦ રૂપિયા - આમ આદમીની એક મહિનાની કમાઇ જેટલો રાખ્યો. તેમ છતાં ત્રણસો-એક ચાહકો ‘પગથિયાં’ની ટિકીટ લઇ કાર્યકમ સાંભળવા ગયા. હજાર રુપિયાની ટિકીટ વાળા કેવળ ૨૫-૩૦ લોકો હતા. કાર્યક્રમ શરૂ થયો. મેહદી હસન સાહેબે જોયું કે મોટા ભાગના શ્રોતાઓ દૂર હતા, તેમણે બધા ‘પ્રોટોકોલ’ છોડી જાહેર કર્યું, “દૂર બેસેલા મારા અઝીઝ હાઝરીન, આપ મારી નજીક આવીને બેસો. સંગીતના દરબારમાં કોઇ મોટું નથી, નાનું નથી.” અને બધા શ્રોતાઓને તેમના સાન્નિધ્યમાં બેસી તેમનું સંગીત માણવાનો મોકો મળ્યો. આવા હતા મેહદી હસન સાહેબ. જિપ્સી આ વાતનો સાક્ષી છે.

મેહદી હસન જ્યારે મિકેનીકનું કામ કરતા હતા, ત્યારે તેમના કાકા કરાંચી છોડી લાહોરના ગયા અને સંગીત નિર્દેશક તરીકે નામ કમાવ્યું. તેમણે મેહદી હસનને ફિલ્મોમાં ગાવાનો મોકો આપ્યો. શરૂઆતની અસફળતા બાદ ‘ગુલોમેં રંગ ભરે’એ તેમને એકાએક મોટા ફલક પર લાવ્યા. બસ, ત્યાર પછી તેમણે પાછા વળીને જોયું નહિ. એક પછી એક ગઝલ, નઝમ, ગીત, લોક ગીત લોકોનાં હૃદયમાં વસી ગયા.

તેમણે ગાયેલી ગઝલોની શી વાત કરીએ! તેમણે ‘રંજીશ હી સહી’ ગાઇને ફરી એક વાર ઝંઝાવાત ઉભો કર્યો. તેની મિઠાશ, પ્રિયતમાને ફરી એક વાર પાછા આવવા માટે વિવિધ પ્રકારે કરેલી ઇલ્તજા ખરેખર માણવા જેવી છે. લગ્નોમાં, જન્મોત્સવમાં કે પછી કોઇ પણ પારિવારીક કે સાર્વજનીક કાર્યક્રમમાં જતા ગાયકોને લોકો આ ગઝલની ફરમાયેશ અને વારંવાર ઇર્શાદ આપવા લાગ્યા. એટલી હદ સુધી કે રૂણા લૈલા, અનુરાધા પૌડવાલ અને તલત અઝીઝ જેવા ગાયકો પોતાના કાર્યક્રમમાં ‘સ્ટાર આઇટમ’ તરીકે આ ગઝલ પેશ કરવા લાગ્યા!

આપે તેમની ‘રંજીશ હી સહી’ સાંભળી જ હશે. લંડનમાં થયેલ એક કાર્યક્રમમાં તેમણે આ ગઝલની નજાકત સમજાવીને ગઝલ પેશ કરી હતી તે ખરેખર આશ્ચર્યકારક હતી. અહીં આ ગઝલના શબ્દો, તેનો અર્થ અને ગઝલ રજુ કરીએ છીએ. અલબત્, આજે પણ આ કામમાં અસગરભાઇનો ફાળો જરૂર જોવા મળશે.

“રંજીશ હી સહી, દિલ કો દુખાને કે લિયે આ!
આ ફ઼િર સે મુઝે છોડ કે જાને કે લિયે આ!”

મારા પ્રત્યે તમને રંજ છે તેથી તમે મને છોડીને ચાલ્યા ગયા છો તે હું જાણું છું. તમારી રંજીશને હું તમારી ઇનાયત સમજીને તમને બોલાવું છું. જેથી તમે ફરી એક વાર છોડી જવા માટે મારી પાસે આવો!

પહેલે-સે મરાસીમ ના સહી ફિરભી કભી તો
રસ્મ-ઓ-રહે દુનિયા હિ નિભાને કે લિયે આ!

મરાસીમ એટલે સંબંધ. પહેલે-સે એટલે પહેલાં જેવા. આપણી વચ્ચે પહેલાં જેવા (પ્રેમાળ) સંબંધ ભલે ન હોય, પણ દુનિયાને તો આપણાં જુના સંબંધ યાદ છે. દુનિયાની રસમ એવી છે કે મિત્રો ફરી મળે. આ રસમ નિભાવવા માટે તો આવ!
 
કિસ કિસ કો બતાયેંગે જુદાઇકા સબબ હમ?
તુ મુઝ સે ખ઼ફા હૈ તો ઝમાને કે લિયે આ!

આ ઉપરના શે’રને સહેજ જુદી રીતે, પણ સહેજ સરળ ઉર્દુમાં પેશ કર્યો છે.

કુછ તો મેરી પિંદારે મોહબ્બત કા ભરમ રખ
તુ ભી તો કભી મુઝ કો મનાને લે લિયે આ!

પિંદાર એટલે માન/ ઇજ્જત. મતલબ છે, મારો તમારા પ્રત્યેનો પ્રણય ઉત્કટ છે એવો મને ભલે ભ્રમ હોય, તેમ છતાં મારા પ્રેમની કદર કરવા માટે તો તમે આવો!

એક ઉમ્ર સે હું લઝ્ઝત-એ-ગિર્યા સે ભી મેહરૂમ
અય રાહતે જાં, મુઝ કો રુલાને કે લિયે આ!

જીંદગીભર તમારી ઝંખના કરવા છતાં હું તમારા સંગની ખુશીથી હું વંચિત રહ્યો છું. હું જાણું છું કે તમે મારા પર ખુશ નથી, પણ મારા જીવને રાહત આપનાર આપના સંગનો લાભ આપીને જતા રહો તો મને રડવું તો જરૂર આવશે. આ રૂદન મને માન્ય છે તેથી મને ફરી રડાવવા માટે કેમ ન હોય, પણ આવશો જરૂર.

અબ તક દિલે ખ઼ૂશફ઼હેમ કો તુઝ઼ સે હે ઉમ્મીદેં
યે આખરી શમ્મેં ભી બુઝાને કે લિયે આ!

હજી સુધી તો મારૂં હૃદય તમારી વ્યર્થ આશા રાખીને દુ:ખીત રહ્યું છે
પણ મારી આશાના દિપકની જ્યોતને બુઝાવવા માટે તો આવો!)

હવે 'રંજીશ હી સહી’ મેહદી હસન સાહેબના સ્વરમાં સાંભળીએ:
*
મેહદી હસન સાહેબનું કલેવર ભલે પાકિસ્તાનમાં હોય, પણ તેમની રૂહ રાજસ્થાની હતી. કોઇ પણ કાર્યક્રમ પહેલાં પરિચયમાં તેઓ હંમેશા તેમના પરિવારના રાજસ્થાનમાંના સાડાત્રણસો વર્ષનો ઇતિહાસ જરૂર કહેતા. દેશના ભાગલા બાદ તેઓ મરૂભૂમિથી દૂર રહ્યા, પણ ‘કેસરીયા બાલમા, પધારો મ્હારે દેશ’ તો તેમના હૃદયની સિતારમાં હંમેશા બજતો રહ્યો. અને તેમણે ‘કેસરીયા’ ગાયો સુદ્ધાં. સાંભળો તેમનો અણીશુદ્ધ રાજસ્થાની માંડ!
+

શરૂઆતમાં પોતાની આવડત, પ્રતિભાની ઝલકથી લોકોમાં આશા જન્માવતા કલાકારો પૈસાની આંધળી દોટમાં તેમની પ્રતિભાને geniusમાં પરિવર્તીત નથી થવા દેતા. આનું કારણ હોય છે તેઓ અંગ્રેજીમાં કહેવાય છે તે પ્રમાણે તેઓ ‘Playing for the Gallery’ કરવા લાગે છે. આ જુનો શબ્દપ્રયોગ છે. જુના જમાનામાં “pit class’ના લોકો - જેમને કલાની જરા જેટલી પરખ ન હોય પણ તેમને titillate કરે તેવા ગીતો ગાઇ, તેમને ખુશ કરી ગૅલેરીમાંથી નાણાંનો વરસાદ થવા માટે ગાવા પાછળ આખી જીંદગી ગાળી પ્રતિભાનું બલિદાન આપતા હોય છે. આવા લોકો ઘોડદોડના મેદાનમાં કદી અવ્વલ સ્થાન ન પામનારા ‘Also ran‘ અશ્વની જેમ રહીને ભુલાઇ જાય છે. Playing for the Gallery કરનારા ગાયકોના અનેક ઉદાહરણ જોવા મળશે. એક વાર ઉત્તમ ગઝલ ગાયક કે અદ્વિતિય સંગીતકાર થવાની ક્ષમતા ધરાવનાર ગાયક તરીકે આશા જન્માવનાર કેવળ “ભજન સમ્રાટ‘ બનીને રહી જાય એવું પણ જોવામાં આવ્યું છે.

લોકભોગ્ય સંગીતની બાબતમાં પોતાની કલાનો ઉત્તમ દરજ્જો જાળવવામાં મેહદી હસન સાહેબનું ઉદાહરણ અનોખું છે. આપે ‘રાફતા રાફતા વોહ મેરી...’ સાંભળ્યું છે?

જિપ્સીને આશ્ચર્ય ત્યારે થયું કે પંજાબની સરહદે તેનાં જવાન આ ગઝલની પંક્તિઓ “પહલે જાઁ, ફિર જાન-એ-જાઁ...‘ આરામથી ગાતાં! આવી હતી તેમની આમ જનતામાં appeal! ગીતની શરૂઆત કરતાં જ લોકોમાં તાળીઓનો ગડગડાટ શરૂ થઇ જતો.

*
મેહદી સાહેબ ગંભીર માંદગીમાં કરાંચીમાં દિવસો ગાળે છે. ભારત સરકારે તેમને ખાસ આમંત્રણ આપ્યું: ‘પધારો મ્હારે દેશ..” અમે તમારી સારવારનો પૂરો ખર્ચ ઉપાડીશું.

આમાં મહત્તા ફક્ત બે વાતોની છે: મેહદી સાહેબની કલાની અને બીજી તેમની કલાની કદર કરનારાઓની. કલા કદી સીમાની મોહતાજ નથી. નથી મોહતાજ તે હકૂમતની. હકૂમત તો આવા કલાકારોની કાયમ માટે ચાલતી રહી છે - જનતાના હૃદય પર!

આજનો પ્રયાસ કેવળ એક મહાન કલાકારને અંજલિ અાપવાનો છે. મેહદી હસનસાહેબનો પરિચય કરવાની કોશિશ એટલે સૂર્યના પ્રકાશનું વર્ણન કરવા જેવું છે!

Thursday, October 20, 2011

જિપ્સીનો વિસામો: ગુલોંમેં રંગ ભરે...


ગુલોંમેં રંગ ભરે...

“નવ વસંતની શીતળ લહેર રંગહિન પુષ્પોમાં રંગ ભરીને નીકળી પડે છે, તેમ તમે પણ અમારા વેરાન ઉદ્યાનમાં આવીને તેને પ્રફુલ્લીત કરો’, જેવા શબ્દોમાં ફૈઝ સાહેબે પોતાની ગઝલની શરૂઆત કરી, પૂરી કરી અને તેમાં કોઇએ ખરેખર રંગ પૂર્યા હોય તો તેને તરન્નૂમમાં રજુ કરી મેહદી હસન સાહેબે! વાહ એ ગઝલના રચયિતા અને વાહ તેના ગાયક!

૧૯૭૧માં પંજાબમાં બદલી થઇને જિપ્સી ગયો ત્યારે તેણે પહેલી વાર પાકિસ્તાનના લાહોર ટેલીવિઝન પર આ ગઝલની ‘ક્લિપ’ સાંભળી. સામાન્ય રીતે કોઇ અસાધારણ ચીજ સાંભળવા મળે તો મુખમાંથી શબ્દો નીકળે, “વાહ, ક્યા બાત હૈ!” તે દિવસે આ ગઝલ સાંભળીને કોઇ શબ્દ ન નીકળ્યા. આભો થઇને તે કેવળ જોતો જ રહ્યો, સાંભળતો જ રહ્યો. ગઝલ પૂરી થયા બાદ બીજું કોઇ ગીત કે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં તેણે મેસમાંનો ટેલીવીઝન off કર્યો. જેમ દાર્જીલીંગ ચ્હાનો પહેલો ઘૂંટડો લીધા બાદ કે દસ વર્ષ જુની શાર્ડોનેના ‘બૂકે’ની ખુશ્બૂ માણી તેનો પહેલો ‘સિપ્’ મમળાવ્યો હોય ત્યાર પછી બીજું કશું ચાખવાની ઇચ્છા ન થયા તેવી ભાવના થઇ આવી. થોડી વારે અમારા સી.ઓ. આવ્યા તેમને જિપ્સીએ આ ગઝલ અને તેના ગાયક વિશે પૂછ્યું.

‘અરે, આ તો મેહદી હસને ગાયેલી ગઝલ છે. ફૈઝ અહેમદ ફૈઝની આ ગઝલ તેમણે પાકિસ્તાનની ફિલ્મમાં ગાઇ હતી.”
જિપ્સી માટે શરમની વાત તો એ હતી કે તે પહેલાં તેણે મેહદી હસનનું નામ પણ નહોતું સાંભળ્યું! સૈનિકોને અબૂધ અને ‘અજ્જડ’ અમસ્તાં નથી કહ્યા!

ગઝલ હતી: ગુલોંમેં રંગ ભરે બાદ-એ નૌબહાર ચલે
ચલે ભી આઓ કી ગુલશન કા કારોબાર ચલે
*

આજની વાત શરૂ કરી મેહદી હસન સાહેબ માટે અને આવી ગયો ફૈઝ અહેમદ ‘ફૈઝ’ સાહેબ પર! બન્નેની એ જ તો ખુબી છે! રત્નને શોભાયમાન કરવા માટે કોઇ આભુષણ જોઇએ. જો રત્ન કોહિનૂર કે કુલીનાન જેવું હોય તો તેના માટે તો રાજમુકૂટ જ જોઇએ. ફૈઝની કલમ રત્નની ખાણ સમાન હતી. તેમાંથી નીકળેલ અણમોલ રતન ‘તુમસે પહેલીસી મુહબ્બત’ મૅડમ નૂરજહાંએ ગાઇ ત્યારે ફૈઝ સાહેબે આ ગઝલ નૂરજહાંને નજર કરી! ગઝલકાર અને ગાયીકા, બન્ને જનતા માટે નજરાણાં સમાન બની ગયા. એવી જ રીતે ફૈઝ સાહેબની ખાણમાંથી ઝળહળતા લાલ (Ruby) સમાન ‘ગુલોંમે રંગ ભરે..’ જેવું નીકળ્યું, અને મેહદી હસનના કંઠમાંથી જડાઇને બહાર પડ્યું, ગઝલ અને ગાયકીના સંસારમાં ખળભળાટ મચી ગયો! મેહદી હસન પ્રખ્યાત થઇ ગયા! ‘ગુલોંમેં રંગ ભરે’ સંગીતપ્રેમી જનતા અને જનમાનસમાં છવાઇ ગયું.

ફૈઝ સાહેબે આ ગઝલ મેહદી હસનને નઝર કરી કે નહિ તે જિપ્સી જાણતો નથી. એ તો એટલું જ જાણે છે કે જ્યારે પણ આ ગઝલ રેડીયો કે ટીવી પર જોવાય કે સંભળાય, તેને મેહદી હસન સાહેબના નામે જ કરી દેવાય છે, એટલી સુંદર રીતે તેમણે ગાઇ. અને મેહદી હસનસાહેબ ગમે ત્યાં કાર્યક્રમ થાય, આ ગઝલ તેઓ જરૂર પેશ કરતા રહ્યા અને ફૈઝસાહેબને અદબપૂર્વક અર્પણ કરતા ગયા.

આમ જોવા જઇએ તો સંગીતની મહેફીલમાં મેહદી હસન, ફૈઝ સાહેબ અને મિર્ઝા ગાલિબની ત્રિમૂર્તી અભિન્ન સ્વરૂપે પ્રકટતી. શાયરની રૂહનો આશિર્વાદ ગાયક પર હોય તો તેમનો કલામ જીવંત થઇ ઉઠે. મેહદી હસન પર આ બે મહાન શાયરોની અસીમ કૃપા હતી, તેવી જ કૃપા મેહદી હસનની અન્ય શાયરો પર રહી. તેમનો અવાજ, તેમની ગાયકી, તેમની ગઝલના આત્માની પહેચાન એટલી ઊંડી હતી કે તેમના સ્વરમાં શાયર પોતે આવી જતા, અને મેહદી હસનના મુલાયમ અવાજમાંથી નીકળતી તાનની હલક અને તલફ્ફૂઝની નજાકત શ્રોતાઓનાં તન અને મન પર છવાઇ જતી.

મેહદી હસન જ્યારે ફૈઝ સાહેબનો કલામ ગાતાં, તેઓ શાયરનાં શબ્દોના માધુર્યને એવી રીતે પેશ કરતા કે તે જનતાના હૃદય પર છવાઇ જતું. આપ તો જાણો છો કે ફૈઝ સાહેબ ક્રાન્તિકારી હતા. તેમનો આત્મા સૈનિક શાસકોના બૂટની નાળ નીચે રગદોળાતી જનતાને જોઇ શાંત ન રહ્યો. પાકિસ્તાનનો અવામ એક વિશાળ પાંજરામાં બંદી હતો. જમીનદારો - વડેરાઓ - તથા ઉંચા હોદ્દા ધરાવતા મિલિટરીના અફસરોની ધાક નીચે ખેડૂતો ગુલામોની જેમ જીવી રહ્યા હતા. ન તેમને કોઇ રાહત મળતી હતી, ન ચાહત. ફૈઝ સાહેબના કલામ સત્તાધારીઓને રાસ ન આવ્યા અને તેમને લાંબા ગાળાના કારાવાસમાં મોકલ્યા. તેમણે દ્વિઅર્થી કલામ લખ્યા: જેમને સમજવું હતું તે સમજી ગયા. અવામ તેને સમજવા જેટલી ક્ષમતા કેળવે ત્યાં સુધી તેમનો કલામ તેમને હોઠે ચઢી જાય તેવી તેમને ખ્વાહેશ હતી. તેમની આ ખ્વાહેશને જનતા સુધી પહોંચાડવાનું કામ મેહદી હસને કર્યું. તેમનું ‘ગુલોમેં રંગ ભરે’ લોક હૈયે બેસી ગયું.

આજે આપની સમક્ષ અમે મેહદી હસને ગાયેલી ફૈઝ સાહેબની ગઝલ પેશ કરીએ છીએ. મેહદી હસન જ્યારે પણ ગાવા બેસે, તેમનો આગ્રહ રહેતો કે તેમના ચાહકો તેમની નજીક બેસે, અને તેઓ જે ગઝલ કે નજમ પેશ કરે, તેના મર્મને જાણી શાયરની રચનાને બિરદાવે. ઘણી વાર તેઓ પોતે ગીતની ખાસ પંક્તિ શરૂ કરતાં પહેલાં જે શે’ર ગાવાના હોય તેનો અર્થ, તેના ખાસ શબ્દનું ઊંડાણ સમજાવ્યા બાદ શે’ર અને ગઝલ પૂરી કરતા. તેથી હવે રજુ કરેલી ફૈઝસાહેબની ગઝલના શબ્દો તથા તેના અર્થની ગહેરાઇને અહીં ઉતાર્યા બાદ તેને અમે મેહદી હસન સાહેબનાં કંઠમાં સંભળાવીશુ.

અહીં જિપ્સીએ ‘અમે’ શબ્દબહુવચન એટલા માટે વાપર્યો છે કે તેનું ઉર્દુનું જ્ઞાન નહિવત્ છે. તેણે નેટ જગતના ઉર્દુ અને ફારસીના વિદ્વાન અસગરભાઇ વાસણવાળાની મદદ માગી. અસગરભાઇએ અહીં ગુજરાતીમાં ઉતારવામાં આવનાર ગઝલના એક એક શબ્દની શુદ્ધતા ચકાસી, તેનો અર્થ લખી મોકલ્યો છે, જે અહીં રજુ કરવામાં આવ્યો છે, જેથી આપ ગઝલની મધુરતા તથા તેના શબ્દમાધુર્યનો રસાસ્વાદ એક સાથે કરી શકશો. અસગરભાઇએ આપણા માટે જે જહેમત કરી છે તે માટે જિપ્સી તેમનો હાર્દીક આભાર માને છે, અને નીચે ગઝલ તથા તેનો અસગરભાઇએ લખી આપેલ સાર આપ્યો છે.

*

ગુલોં મે રંગ ભરે, બાદ-એ-નૌબહાર ચલે

ચલે ભી આઓ કિ ગુલશન કા કારોબાર ચલે

“નવ વસંતના પવનની મંદ લહેર આવીને પુષ્પોમાં રંગ પૂરે, અને રંગ બેરંગી ફૂલોથી સજાયેલ બાગ લોકોને આનંદ આપવાનું કામ કરે, તે માટે તો આપ પધારો! (જાણે નિસર્ગે આપની ગેરહાજરીને કારણે પોતાનું કર્તવ્ય કરવાનું છોડી દીધું છે!) “ શેરનો સામાન્ય અર્થ થાય છે: પ્રિયતમા, તમારી હાજરીથી ફૂલોમાં રંગ પૂરાય છે. તમે નથી તો કુદરતે તેનું કામ કરવાનું મૂકી દીધું છે!)

ક઼ફ઼સ ઉદાસ હૈ યારો સબા સે કુછ તો કહો

કહીં તો બહેરે ખુદા આજ ઝિક્રે યાર ચલે

"દોસ્તો, પિંજરામાં ગમગિની છવાઇ છે! મિત્રો, ખુદાને ખાતર પવનની લહેરને કંઇક તો કહો જેથી ક્યાંક તો પ્રિયતમા વિશે વાત થાય અને તે સાંભળે!” કફસ એટલે પાંજરૂં. કવિ કહે છે જે પિંજરામાં તે ફસાયા છે, તેનો આખો માહોલ ઉદાસ છે. એવી જગ્યાએથી શીતળ પવન આવે જે તેમના સમાચાર લાવે! (ફૈઝ સાહેબને ફૌજી હકૂમતે વર્ષો સુધી જેલમાં રાખ્યા હતા. અહીં જાણે તેઓ તેમના સાથી કેદીઓને કહી રહ્યા હોય તેવું લાગે!)

કભી તો સુબ્હ તેરે કુન્જે લબ સે હો આગ઼ાઝ઼

કભી તો શબ, સરે કાકુલ સે મુશ્કબાર ચલે

"કોઇક વાર તો તમારા હોઠના નાજુક ખૂણામાંથી (નીકળતા સ્મિતમાંથી) ઉષાનાં કિરણો નીકળે અને તમારા કાળા, વાંકડીયા કેશની લટમાંથી રાત્રી ખુશ્બૂદાર બની જાય!

બડ઼ા હૈ દર્દ કા રિશ્તા, યે દિલ ગ઼રીબ સહી

તુમ્હારે નામ પે આએંગે ગ઼મગુસાર ચલે

"દર્દની (હૃદય સાથેની) સગાઇ ઘણી ઊંડી છે. આ હૃદય ભલે દીન છે, તમારૂં નામ સાંભળીને મારી લાગણી કરનારાઓ ટોળેબંધ દોડી આવશે.

જો હમ પે ગુઝ઼રી સો ગુઝ઼રી, મગર શબે હિજરાં

હમારે અશ્ક, તેરી આક઼ેબત સંવાર ચલે

શાયર વિયોગની રાત પર કટાક્ષ કરે છે. અહીં ભાર અપાયો છે ‘શબે હિજરાં’ - “વિયોગની રાત્રી” પર. (વિયોગની રાત મા)મારા પર જે વિતી તે વિતી પણ રાતમાં રડેલા મારા આંસુઓ તથા એ વિયોગની રાત, તારો ભવ(આકેબત) સુધારી ગયા.

હુઝ઼ૂરે યાર હુઈ દફ઼તરે જૂનૂં કી તલબ

ગિરહ મે લેકે ગરેબાં કે તાર-તાર ચલે

"પ્રિયા-નામદાર”ના દરબારમાં મારી તેમના પ્રત્યેની ઘેલછાની ખાતા-વહી તલબ કરવામા આવી. જ્વાબ રુપે હું મારા (તેની પાછળ કરેલા ગાંડપણમાં પિંખી નાખેલા) ગિરેબાન (પહેરણ અથવા ઇજ્જતના) તાર-તાર થયેલા તાંતણાઓને બાંધી લઇ હાજર થયો.

મક઼ામ કોઈ ફૈઝ઼ રાહ મે જચા હી નહી

જો કૂ-એ-યાર સે નિકલે તો સૂ-એ-દાર ચલે

શે’રનો સાદો અર્થ છે, ‘જ્યારે મારે મારી પ્રિયતમાના ઘરની રાહ છોડવી પડી, હું સીધો ફાંસીના માંચડા તરફ ગયો. મારા માટે બીજો કોઇ વિકલ્પ નથી. વાસ્તવમાં ફૈઝસાહેબના આ શબ્દો પાકિસ્તાન માટે છે: આઝાદી યા મૌત!

હવે ગઝલ ‘ગુલોંમેં રંગ ભરે’ મેહદી હસન સાહેબના સ્વરમાં સાંભળીએ.

કહો તો, તાજ ખુબસુરત છે કે તેમાં જડાયેલું રત્ન? જિપ્સી માટે આ કઠણ પ્રશ્ન છે. અાપ કદાચ સંમત થશો કે બન્ને મૌલ્યવાન છે અને એકબીજામાં ભળી તે અણમોલ બની ગયા!

(વધુ આવતા અંકમાં

Friday, October 14, 2011

જિપ્સીનો વિસામો: 'દિયા જલાકર...' (શેષ)


આપે હાલ પાકિસ્તાનમાં આવેલ કસૂર શહેરનું નામ જરૂર સાંભળ્યું હશે. હા, આ એ જ શહેર છે જેને ભારત/પાકિસ્તાનની (અને યુરોપ અમેરિકામાં વસતી આપણી) ગૃહિણીઓ ત્યાંની પ્રખ્યાત કસૂરી મેથીને કારણે જાણે છે. પંજાબની વૃદ્ધ માતાઓ ત્યાંની પ્રસિદ્ધ મોજડી (‘જૂતી કસૂરી’ ગીત સાંભળ્યું છે?)ને હજી યાદ કરે છે. સંગીતના જાણકારો કસૂરને ખાનસાહેબ બડે ગુલામ અલીખાંસાહેબના વતન તરીકે જાણે છે. અા કસૂર શહેરમાં જ નૂરજહાંનો જન્મ થયો હતો. મજાની વાત છે, તેમનું જન્મનામ જુદું હતું: અલ્લાહ વસઇ! નૂરજહાં તેમનું ફિલ્મી નામ હતું. તેમનાં માતાપિતા બન્ને ખાનદાની ગાયક હતા અને તેમની વિનંતિથી બડે ગુલામ અલીખાંસાહેબે નૂરજહાંને પતિયાલા ઘરાણાનું સંગીત શીખવ્યું. મૂળભૂત પાયો એટલો મજબૂત થયો કે કોઇ પણ ગીતની ગમે તેવી મુશ્કેલ તાન હોય, નૂરજહાં જાણે સ્મિત કરતા હોય તેવી સહજતાથી ગાઇને ગીતને ચાર ચાંદ લગાવી દેતાં.

આજની વાત તેમના જીવન ચરિત્ર વિશે નથી. નથી તેમની સિનેસૃષ્ટીમાં થયેલા પ્રવાસની કથા. કેવળ તેમની કલાનો આપની સાથે મળીને રસાસ્વાદ કરવાનો આશય છે.

નુરજહાંનું જીવન બે ભાગમાં વહેંચાયું. પહેલું ભારતમાં, જ્યાં તેમની કલા સાચા અર્થમાં ઓળખાઇ. અહીં તેમના ગાનકૌશલ્યની કલા શાસ્ત્રીય અંગના ગીતો તથા પંજાબી લોકગીત ટપ્પાના ‘ઠેકા’ પર આધારીત સંગીતમાંની તેમની માહેરીયત પ્રકાશમાં આવી. એક તરફ દત્તા કોરગાંવકર જેવા સંગીતકારના દિગ્દર્શન નીચે ગાયેલા ગીતો અને ત્યાર બાદ ગુલામ હૈદર જેવા પંજાબી સંગીતકારોના સર્જનમાં રચાયેલા ગીતોના પ્રસ્તુકરણમાં. બન્નેમાંનો ફરક આપ જોઇ શકશો:

દત્તા કોરગાંવકરનું ગીત: ‘એક અનોખા ગમ એક અનોખી મુસીબત હો ગયી’ જે સાંભળી આપણા ગુજરાતના જ પણ વિશ્વમાં પ્રસિદ્ધ થઇ ગયેલા (‘મધર ઇન્ડીયા’) મહેબુબખાન દત્તાને ખાસ મળવા ગયા અને કહયું, “ભાઇ દત્તા, યહ ગાના તો આપને ખુદાકે દરબારમેં બૈઠે હુએ બનાયા લગ રહા હૈ!” (આ વાત સ્વ. કોરગાંવકરે એક પત્રકારને કહી હતી.)

હવે સાંભળીએ ગુલામ હૈદરનું ‘ગાંવકી ગોરી’નું ગીત: ‘બૈઠી હું તેરી યાદમેં ...” તથા અન્ય ગીત, "ઉમંગે દિલકી મચલી.."

બન્ને ગીતો ભારતમાં ફિલ્માયા-ગવાયા હતા. તેમની ખુબસુરતી અને મધુરતા વિશે કોઇ બે મત નથી. હવે સાંભળીએ પાકિસ્તાન ગયા બાદ થતા ગયા પરિવર્તનમાં. પહેલાં સાંભળીએ શરૂઆતની ફિલ્મ 'ગાલીબ'નું 'યહ ન થી હમારી કિસ્મત', અને ઢળતી ઋતુમાં જનતાને ગમતું રૉક-સ્ટાઇલ નું પંજાબી લોકગીત "સાનું ન્હેરવાળે પૂલ-તે બુલાકે" (અમને નહેર ઉપરના પુલ પર બોલાવીને વ્હાલમ તમે ક્યાં રહી ગયા!) સાંભળીએ. આપને તેમાં બદલાયેલા નૂરજહાં નજર આવશે. ગમે તે હોય, તેમની છટા (style)માં જે ફેર છે તે જરૂર જણાશે. પરંતુ જે લગનથી, પ્રસંગની નજાકતને સમજી નૂરજહાંએ આ ગીતો ગાયા, શ્રોતાઓની સ્મૃતીમાં હંમેશ માટે અંકાઇ ગયા. જો કે આજે નુરજહાંનું નામ નીકળે તો તેમના ચાહકો તરત બોલી ઉઠશે, “ઓહ નૂરજહાં? વાહ, તેમનું ‘આવાઝ દે કહાં હૈ’ હજી પણ હૃદયમાં કંપન ઉત્પન્ન કરે છે.”

અને કેમ નહિ? તેમના પ્રખ્યાતી આજે પણ આ ગીત સાથે સંકળાઇ છે. કદાચ તેઓ તેમના ચાહકોને આ ગીતથી સાદ પાડી રહયા હતા: ક્યાં છો તમે મારા ચાહકો? એક આવાઝ તો દો! ત્યાર પછી તો ભારતના ભાગલા પડી ગયા અને કોણ જાણે કોના કમભાગ્યે નૂરજહાંએ પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો. તેઓ તો ગયા, પણ ગીતનો પ્રતિધ્વની પાછળ છોડતા ગયા.

તેમના પાકિસ્તાન જવાના નિર્ણયનાં પરિણામ અનેક રીતે અનુભવાયા. નૂરજહાં શું ગયા, સંગીતકાર કે. દત્તાનાં સૂર ખોવાઇ ગયા. જાણે પરમાત્માએ નૂરજહાં માટે જ સંગીત સર્જવા તેમને પૃથ્વી પર મોકલ્યા હતા. થોડા જ વર્ષોમાં તેમનું અવસાન થયું. ‘નાદાન’ અને ‘બડીમા’ જેવું સંગીત તેઓ ફરી આપી ન શક્યા.

પાકિસ્તાન ગયા બાદ નૂરજહાંને શરૂઆતમાં જે મળી તે ફિલ્મમાં કામ કરવું પડ્યું. તે સમયે (અને હજી સુદ્ધાં) પાકિસ્તાનના સ્ટુડીઓઝમાં આધુનિક યંત્રો નહોતાં, અને જે ફિલ્મોનું નિર્માણ થયું તેમાં ટેક્નીકલ ક્ષતિઓ હતી. તેમ છતાં તેમની પહેલી િફલ્મ ‘ચન્ન વે’ થોડી ચાલી, પણ ત્યાર બાદની ‘દુપટ્ટા’ સુપર હિટ થઇ ગઇ. બાકીની ફિલ્મો (અનારકલી, પાટેખાં વ.) ચાલી, પણ તેનું કારણ એક જ હતું. પાકિસ્તાનમાં કોઇ અન્ય નાયિકાઓ કે ગાયીકાઓ નહોતી. જો કે આ ફિલ્મોની કક્ષા નિમ્ન પ્રકારની હતી. શરૂઆતી ફિલ્મોમાં જે પ્રકારના નૃત્યો નૂરજહાંને કરવા પડ્યા તેવા તેમને ભારતની કોઇ ફિલ્મમાં કરવા પડ્યા નહોતા. એક વાત જે ત્યાંની જનતાના માનસ પર છવાઇ ગઇ તે હતી તેમની સંગીત પ્રતિભાની. તેમણે ઘણાં ગીતો, લોકગીતો, ગઝલ, નાટ ગાયા અને યાદગાર બની ગયા. તેમણે એક લોરી પણ ગાઇ છે! સાંભળી છે આપે? 'ચંદાકી નગરીસે આજા રે નિંદીયા'....

નૂરજહાંનું સાચું નૂર તેમના અવાજમાં હતું. ઉચ્ચ ‘સોસાયટી’માં, પાકિસ્તાનના સત્તાકેન્દ્ર એવા સૈનિક શાસકો - ખાસ કરીને જનરલ યાહ્યા ખાન - દ્વારા યોજાતા ખાસ કાર્યક્રમોમાં તેમને આમંત્રવામાં તેમનું ગૌરવ થતું. તેમણે ગાયેલી ગઝલ, પંજાબી અને ઉર્દુમાં ગાયેલા ગીતોને દેશ પરદેશમાં વસતા પાકિસ્તાની અવામે વધાવી લીધા. લંડનમાં BBC એ ખાસ કાર્યક્રમો રાખ્યા. તેમની કલાએ તેમને એટલી શોહરત અપાવી તેઓ નૂરજહાં મટીને મલિકા-એ-તરન્નૂમ બની ગયા. લોકો તેમને મૅડમ નૂરજહાં કહીને બોલાવવા લાગ્યા. તેમના એક એક સ્વરને, સૂરને તેઓ ખોબે ખોબે વધાવવા લાગ્યા. આટલી ખ્યાતિ મળ્યા બાદ પણ તેમની નમ્રતામાં એક અણુમાત્રનો ફેર ન પડ્યો. કોઇએ તેમને લતા મંગેશકરની ગાયનકલા વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમનો જવાબ હતો, “ભાઇ લતા તો લતા હૈ! વહ બેમિસાલ હૈ.” એવીજ રીતે લતાદીદીએ નૂરજહાં વિશે કહ્યું, “ઉનકે ગલેમેં તો ભગવાન રહતે હૈં!”

ભારતીય ફિલ્મ ઉદ્યોગની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ભારત સરકાર તથા િફલ્મ ઉદ્યોગે તેમને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું. મૅડમ નૂરજહાં ભારત આવ્યા અને આખા દેશે, દેશના તમામ અખબારોએ જાણે તેમના પગની સામે લાલ મખમલનો ગાલીચો બિછાવી દીધો હોય તેવું સ્વાગત કર્યું. નૂરજહાંના જીવનનો તે યાદગાર પ્રસંગ બની ગયો.

ગઝલની વાત નીકળી તો અહીં ફૈઝ અહમદ ફૈઝની કૃતિ અહીં રજુ કરીશું. ‘ફૈઝ’ની અપ્રતિમ કૃતિના શબ્દોને આપણા જાણીતા બ્લૉગર પ્રજ્ઞાબહેન વ્યાસે તેમના બ્લૉગમાં આપ્યા છે. આપણે સાંભળીએ મલિકા-એ-તરન્નૂમના અવાજમાં ગઝલ ‘મુઝસે પહલીસી મુહબ્બત મેરે મહેબૂબ ન માંગ..’ ફૈઝસાહેબની ગઝલ તેમણે ભારતમાં 'live' પેશ કરી હતી.

નૂરજહાં ૨૩ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ જન્નતનશીન થયા. તેઓ ગયા, પણ આસમંતમાં હજી તેમના શબ્દો સંભળાય છે, ‘આવાઝ દે કહાં હૈ...’

Tuesday, October 11, 2011

વિસામો: દિયા જલા કર આપ બુઝાયા (૧)

સંગીતકારે એવી તર્જ બનાવી, જે તેના જહેનમાં ઘણા દિવસોથી ઘુમી રહી હતી. આ એવું રત્ન હતું જે તેને પરખનાર અને ‘પહેરનાર’ના કંઠે શોભી રહે. ફક્ત જેના માટે સંગીત યોજ્યું હતું તેને ગમવું જોઇએ.
કેટલાય દિવસથી આ ગીતમાં ઢાળવામાં આવનાર રાગ અને લય તેના મનમાં વાગી રહ્યા હતા. ધૈવત અને પંચમમાં કેવો આવિષ્કાર કરવો જે ગીતનો આત્મા બની રહે, તેનો વિચાર કરી રહ્યો હતો. અચાનક એ તર્જ વિજળીની જેમ ઝબકી ગઇ અને તેણે એવી કૃતિનું સર્જન કર્યું હતું જેને ઘડીને તે કૃતાર્થ થઇ ગયો. હવે પરીક્ષાની ઘડી આવી હતી. ગીતની ગાયિકાને તે ગમ્યું કે નહિ તેની પરીક્ષા તેને તે ગાવામાં કેટલા ‘ટેક’ લેવા પડે છે. શું તે ગીતના સંગીતની રૂહને પહેચાની શકશે? જો તે ઓળખે તો બસ....

સંગીતકાર સ્ટુડીઓમાં સૌથી પહેલાં પહોંચી ગયા. ગાયિકાના પ્રિય અત્તરની ખુશ્બૂ લાવીને સ્ટુડીઓમાં તેનો છંટકાવ કર્યો. સુગંધ પમરાવી. આખરે ગાયીકા પણ સંગીતની મહારાણી હતી ને!

ગીત સાંભળી ગાયીકા પ્રસન્ન થઇ ગઇ. “વાહ! ક્યા બાત હૈ દાદા! ઇસ કા અતિકોમલ ગાનેકી રૂહ બન જાયેગા!”

એક પ્રૅક્ટીસ અને એક ‘ટેક’માં ગીત રેકૉર્ડ થઇ ગયું અને ચાહકોના મનમાં અંકાઇ ગયું. ગાયીકા હતા નૂર જહાઁ. સંગીતકાર કે. દત્તા ઉર્ફે દત્તા કોરગાંવકર.

રેકર્ડ બહાર પડી અને આ ગીતના તીવ્ર, કોમલ, અતિ કોમલ ગાંધાર અને ધૈવતમાં ઢાળવામાં આવેલ અને નૂરજહાઁના સ્વરમાં માં ગવાયેલ ગીત સાંભળીને શ્યામ સુંદર દત્તા સાહેબને ઘેર મારતી ગાડીએ પહોંચી ગયા અને આ ‘અદ્ભૂત’ કૉમ્પોઝીશન માટે અભિનંદન આપ્યા!

ગીત હતું, 'દિયા જલા કર આપ બુઝાયા, છોડ કે જાને વાલે, દિલ તોડ કે જાને વાલે!” અહીં સાંભળજો. તેમાંના શબ્દો ‘આપ બુઝાયા’ માં તેની subtlety ઓળખી જશો.

તે સમયે નૂરજહાઁ ‘મલીકા-એ-તરન્નૂમ’ નહોતાં થયા. એ સમય જ એવો હતો કે ગાયકો અને ગાયીકાઓ એકબીજાનો કલાકાર તરીકે આદર કરતા હતા. નહોતી તેમની વચ્ચે કોઇ સ્પર્ધા કે ઇર્ષ્યા. તેઓ કેવળ તેમની કળાના આધારે જનતાના માનીતા હતા. તે સમયે નૂરજહાઁ અને કે. દત્તાની જુગલબંધી એવી હતી કે દત્તાની સંગીત રચનાના હાર્દને કેવળ નૂરજહાઁએ પહેચાની તેમનાં સૂરોને એવી વાચા આપી કે તેમણે ગાયેલા કે. દત્તાનાં દરેક ગીત સુપર હીટ થઇ ગયા. આપે ‘કિસી તરહસે મુહબ્બતતમેં ચૈન પા ન સકે’ સાંભળ્યું છે? તેમાંનાં શબ્દો ‘પા ન સકે’ સાંભળશો તો આપ કેવળ ‘વાહ!’ કહેશો! કેવી નજાકતથી તેમણે તે ગાયા તે વિચારીને હેરત પામશો. આવા જ બીજા ગીતો:

આ ઇંતઝાર હૈ તેરા, દિલ બેકરાર હૈ મેરા...’


એક એક ગીત અવિસ્મરણીય બની ગયું. કે. દત્તાના સંગીતમાં નૂરજહાઁએ ફક્ત દસેક ગીતો ગાયા અને જાણકારો તેને સાંભળીને કે યાદ કરીને ‘વાહ! ક્યા બાત હૈ ઔર કયા ઝમાના થા!’ કહે છે.

ત્યાર પછી તો નૂરજહાઁના ગીતોની હારમાળા શરૂ થઇ ગઇ. એક પછી એક ગીત ‘હિટ’ થતું ગયું! ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ જેવા સંગીતકારોના દિગ્દર્શન નીચે તેમણે જે ગીતો ગાયા તે યાદગાર બની ગયા. આજે બસ આટલું જ. આવતા અંકમાં તેમનાં ગીતોની વાત, તેમની પોતાની વાત લઇને ફરી હાજર થઇશ.
(વધુ આવતા અંકમાં)

Tuesday, October 4, 2011

જિપ્સીનો વિસામો: યુઁ ન રહ રહ કર હમેં તરસાઇયે!

કલ્પના કરીએ: આકાશમાં વિજળી ઝબૂકે અને તેની ચમકમાંથી ગર્જનાને બદલે દિવ્ય ગીત સંભળાય તો તેનો પ્રતિભાવ કેવો હોય? અચરજથી આકાશ તરફ નજર ન જાય? અને આ ગીતની બીજી પંક્તિ પૃથ્વી પરથી આવતી જણાય અને નજર કરીએ અને સામે સાતે’ક વર્ષના બાળકના ગળામાંથી સૂરબદ્ધ, શાસ્ત્રશુદ્ધ તાન નીકળતી સંભળાય તો બસ, આંખ બંધ કરીને તેને સાંભળતા જ રહીએ એવું લાગે. અને જે ગીત આપણે સાંભળીએ તેના શબ્દો હોય: "હૈરતસે તક રહા હૈ જહાને વફા મુઝે!"

કેટલા યથાર્થ છે આ ગઝલનાં અલ્ફાઝ! જી હા! ત્યારે અને અત્યારે (જેમને સાંભરે છે તેમને) તેમના ચાહકોના મુખમાંથી ‘ઇરશાદ’ની સાથે ભાવના વ્યક્ત થાય છે, હા, અમે હજી આશ્ચર્યથી તમને તાકીને જોઇ રહ્યા છીએ,સાંભળી રહ્યા છીએ િકશોરાવસ્થાથી સંાભળેલી આ ગઝલ! મિલિટરી ટ્રેનીંગ દરમિયાન મળેલી એક રજાના દિવસે િમત્ર રવિંદર કોહલીને માસ્ટર મદનની એક ચીજ ગણગણતાં સાંભળી જિપ્સીએ પૂછ્યું, “અરે, તને ગાવાનો શોખ છે એ તો આજે જાણ્યું!”

“ગાવાનો નહિ, સાંભળવાનો શોખ છે. આજે માસ્ટર મદનની પૂણ્યતિથી છે તેથી તેમનું ગીત સાંભરી આવ્યું અને જહેનમાંથી નીકળીને બહાર આવ્યું.”

રવિંદર ગાતો હતો “યૂં ન રહ રહ કર હમેં તરસાઇયે!”

માસ્ટર મદન, તરસાવ્યા તો તમે છે, કેવળ અમને નહિ, સમગ્ર ભારતના તમારા કરોડો ચાહકોને! કેવળ સાડા ત્રણ વર્ષની વયે જાહેરમાં સંગીતનો કાર્યક્રમ આપનાર ‘આવાઝકી દુનિયાકે દોસ્તો’ની શ્રેણીમાં આજે માસ્ટર મદનનાં ગીતોની શોધમાં નીકળેલા જીપ્સીને એક અણમોલ રત્ન-સમો બ્લૉગ મળ્યો - સરદારશ્રી સિમરન સિંહ સોહલનો. શ્રી સોહલે ટૂંકમાં પણ એટલા સુંદર શબ્દોમાં માસ્ટર મદનના જીવનનું રેખાચિત્ર તેમના બ્લૉગ http://skinnysim.info/master_madan.html માં આપ્યું છે, જિપ્સીએ તેમની રજાથી તેમના લેખનો ગુજરાતી ભાવાનુવાદ અહીં રજુ કર્યો છે. તેમણે તો તેમના બ્લૉગમાં embed કરેલા ગીત સુદ્ધાં અહીં રજુ કરવાની રજા આપી છે જે માટે જિપ્સી તેમનો હૃદયપૂર્વક આભાર માને છે. આશા છે, આપને તે ગમશે.

બાલ-િવભૂતિ
(Boy Genius)
by
Simran Singh Sohal

માસ્ટર મદનનું નામ સાંભળતાં જ તેમના ચાહકોને ફરીથી યાદ આવશે કે તેમના સ્વર અને સૂરને જાણે માતા સરસ્વતિએ દિવ્યતાનો અંશ બક્ષ્યો છે! તેમનું ગીત સંગીત અદ્ભૂત હોવા છતાં તેમના જન્મસ્થાન જાલંધરમાં કે સિમલામાં, જ્યાં તેમણે તેમના અલ્પ જીવનના વર્ષો ગાળ્યા હતા ત્યાં તેમની સ્મૃતીમાં કોઇ સ્મારક બનાવવામાં આવ્યું નથી! હવે તો ભારતીય સંગીતના ઇતિહાસકારો પણ તેમને ભૂલવા લાગ્યા છે જે એક પ્રકારની એક વિડંબના જ ગણાય. આજ કાલ બાલ સંગીતકારોના કાર્યક્રમના ઝગમગાટભરી TV હરિફાઇમાં મોટા સિને કલાકારો અને ગાયકો ‘કુદરતકી દેન’, ‘દૈવી અંશ’ કહીને વારંવાર બેસૂર થતા નાની વયના બાળકોને ઉપાડીને બકીઓ ભરતા જોયા, પણ કોઇને માસ્ટર મદન યાદ ન આવ્યા કે ન તેમને કોઇએ અંજલી આપી! જિપ્સી અહીં કોઇની સરખામણી નથી કરવા માગતો! તે કેવળ અફસોસ જાહેર કરે છે કે આપણા સંગીતની પરંપરામાં વિશીષ્ટ યોગદાન આપનાર મહાન ગાયકોને કોઇ યાદ નથી કરતું.

માસ્ટર મદનનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૨૭ના દિને જાલંધર નજીકના ખાન-એ-ખાના નામના નાનકડા ગામમાં થયો હતો. તેમના પિતા સરદાર અમરસિંહ જાણીતા હાર્મોનિયમ અને તબલા વાદક હતા. તેમની માતા પૂર્ણદેવી સાત્ત્વિક પ્રકૃતિનાં હતા અને તેમનો પ્રભાવ માસ્ટર મદન પર હંમેશા છવાઇ રહ્યો.

માસ્ટર મદને તેમના જીવનનો પહેલો જાહેર કાર્યક્રમ જુન ૧૯૩૦માં કેવળ સાડા ત્રણ વર્ષની વયે ધરમપુર સેનેટોરીયમમાં અાપ્યો - અને તેમનું ભજન ‘હે શારદા! નમન કરૂં’ સાંભળી જનતા આશ્ચર્યથી અવાક્ થઇ ગઇ. ભજન બાદ તેમણે ધ્રુપદની એવી તો રજુઆત કરી, તેમના સંગીતની વાત દેશભરમાં વ્યાપી ગઇ. અંગ્રેજીમાં કહીએ તો તેઓ એક cult figure બની ગયા અને દેશના લગભગ દરેક સંગીત મહોત્સવમાં તેમને આમંત્રીત કરવામાં આવ્યા. બહારગામના કાર્યક્રમ માટે તે જમાનામાં ‘માતબર’ ગણાતી ૨૫૦ રૂપીયાની રકમ આપવામાં આવતી અને સ્થાનિક માટે રૂ.૮૦! તેમનું વય એટલું નાનું હતું કે પૈસાની તેમને કશી કિમત નહોતી. કેવળ સંગીત પરના પ્રેમ તથા સુજ્ઞ શ્રોતાઓ તરફથી મળતા પ્રતિભાવને કારણે તેઓ કાર્યક્રમોમાં ભાગ લેવા જતા.

આવા જ એક કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ દિલ્હી ગયા અને માંદા પડી ગયા. તેમ છતાં તેમણે અૉલ ઇંડીયા રેડીયો પર કાર્યક્રમો આપ્યા. બિમારી વધતી ગઇ અને દેશી પરદેશી એવા કોઇ ઉપચાર કામ ન આવ્યા. તેમના કપાળ અને શરીરના સાંધામાં એક વિચીત્ર પ્રકારનો ચળકાટ દેખાવા લાગ્યો. જાણકાર વૈદ્યોએ અભિપ્રાય આપ્યો કે તેમના કોઇ હરીફે દૂધમાં પારો ભેળવીને પીવા આપ્યું હતું, જેનું વિષ તેમના શરીરમાં ફેલાઇ ગયું હતું. અંતે ૬ જુન ૧૯૪૨ના રોજ આ અપ્રતિમ પ્રતિભાશાળી સંગીતકારનું કેવળ ચૌદ વર્ષની વયે અવસાન થયું."
- સિમરનસિંહ સોહલ.

માસ્ટર મદનના સંગીત જીવન દરમિયાન કેવળ ૮ ગીતોની ધ્વનિમુદ્રીકા બનાવવામાં આવી. તેમના અવસાનને ૬૮ વર્ષનાં વહાણાં વાયા પણ તેમના સુમધુર, રોમહર્ષક અવાજની કુમાશ, સ્થૈર્ય અને આનંદની ઝલક હજી એવી જ તાજી છે, જેવી તેમણે જીવનકાળ દરમિયાન તેમના રસિકોને પીરસી.
ગંગાસતીએ તેમના ભજનમાં જે તત્ત્વજ્ઞાન કહ્યું તેમ આપણું જીવન વિજળીના ઝબકારાના સમય જેટલું ક્ષણીક છે. આ ઝબકારમાં જેટલાં ‘મોતી’ પરોવી શકાય એટલા પરોવવાનો પ્રયત્ન કરવો. માસ્ટર મદને આઠ મોતી આપણા માટે મૂક્યા છે: જ્યારે નીરખવા - માણવા હોય માણી લઇએ. આપણા જીવનની વિજળીનો ઝબકાર છે ત્યાં સુધી આનો આનંદ લઇએ!

આજે આપની સમક્ષ કેટલાક ગીતો રજુ કર્યા છે. આશા છે આપને તે ગમશે. માસ્ટર મદનનાં બાકીના ગીતો સાંભળવા માટે આપને ઉપર દર્શાવેલ શ્રી સોહલસાહેબની વેબસાઇટની મુલાકાત લેવા વિનંતિ છે.


"મોરી બિનતી સુનો કાન્હા રે!"


"ચેતના હૈ તો ચેત લે!"

આજે આટલું જ! બનશે તો ફરી કોઇની મુલાકાત કે તેમની કલાકૃતિના અભ્યાસ સાથે મળીશું.

Monday, October 3, 2011

વિસામો: મધુવન (૨)

जुथिका रॉय - "एक दफ़े हैदराबाद में मेरी सरोजिनी नायडू के साथ मुलाक़ात हुई। वो आई थीं मेरा गाना सुनने के लिए, मुझे देखने के लिए। और उनको मैं कभी यह नहीं सोचा कि वो मेरे पास आएंगी, हमारे पास आकर बोलीं कि 'दीदी, आप ने महात्मा गांधी को देखा?' मैंने कहा कि नहीं, अभी तक हमारा यह सौभाग्य नहीं हुआ, हम तो बस पेपर में पढ़ते हैं कि वो क्या क्या काम करते हैं हमारे देश के लिए। बोलीं, 'आप जानती हैं आपका गाना कितना पसन्द करते हैं?' मैंने बोला कि नहीं, मुझे मालूम नहीं है, मुझे कैसे मालूम पड़ेगा? बोलीं कि 'उनको आपका गाना बहुत पसन्द है, हर रोज़ वो आपके रेकॉर्ड्स बजाते हैं, और जब प्रार्थना में बैठते हैं तो पहले मीराबाई का यह भजन बजाते हैं, फिर प्रार्थना शुरु करते हैं। तो मेरी एक बहुत इच्छा है कि आप महात्मा जी के साथ ज़रूर दर्शन करना, वो गाना सुनना चाहें तो एकदम सामने से उनको गाना सुनाना, यह मैं आपको बोल रही हूँ।'

मैंने यह खबर तो उनसे सुना, मैं पहले तो नहीं जानती थी, लेकिन मैं बहुत कोशिश करने लगी कि बापू के साथ मुलाकात करूँ, उनके दर्शन करूँ, उनको प्रणाम करूँ, लेकिन वह समय बहुत खराब समय था, स्वाधीनता के लिए बहुत काम थे, इधर उधर घूमते थे, और हमारे कलकत्ते में भी दंगे लग गए, सब जलने लगा चारों तरफ़। उस वक्त १९४६ में दंगे शुरु हो गए। हमने सुना कि बापू कलकता में आए हैं, और बेलेघाटा में, बहुत दूर है हमारे घर से, तो वहाँ पे ३ दिन ठहरेंगे, लेकिन बहुत बिज़ी हैं, किसी के साथ मुलाकात नहीं कर सकते। मैंने, माताजी और पिताजी ने सोचा कि जैसे भी हो हमें उनका दर्शन करना ही पड़ेगा। और उनके सामने नहीं जा सकेंगे, उनको गाना नहीं सुना सकेंगे, उसमें कोई बात नहीं है, लेकिन दूर से उनके हम दर्शन करेंगे सामने से। और एक साथ हम लोग सब भाई बहन, माताजी, पिताजी, काका, बहुत बड़ा एक ग्रूप बनाके, हम लोगों ने देखा कि जैसे वो मॉरनिंग्‍ वाक करते थे, तो हम रस्ते के उपर उनको प्रणाम करेंगे। ऐसे सब बातचीत करके हम निकले। वहाँ पहुंचे तो देखा कि जहाँ पर बापू रहते हैं वह बहुत बड़ा मकान है, उसके सामने एक बहुत बडआ गेट है और गेट के सामने ताला लगा हुआ है। वहाँ एक दरवान बैठा था तो हमने पूछा कि 'क्या हुआ, ताला क्यों लगा है, बापू मॉरनिंग् वाक में गए क्या?' तो बोला कि 'नहीं, उनका मॉरनिंग् वाक हो गया, अभी आराम कर रहे हैं, इसलिए ताला लगा हुआ है'। हमको बहुत बुरा लगा कि टाइम तो निकल गया।

मेरे काकाजी ने गेट-कीपर को कहा कि 'देखो, हम लोग बहुत दूर से आ रहे हैं, गेट को खोल दो, हम थोड़ा हॉल में बैठेंगे'। बोला, 'नहीं नहीं, मुझे हुकुम नहीं है, आप तो नहीं जा सकते, आप इधर ही खड़े रहना'। बहुत कड़ी धूप थी उधर, हम सब धूप में खड़े थे, हमारे पीछे-पीछे और भी बहुत से लोग आ गए। हम सब साथ में खड़े रहे। अचानक ऐसा हुआ कि वह शरत काल था, इसमें ऐसा होता है कि अभी कड़ी धूप है और अभी अचानक बरसात हो जाती है। तो एकदम से काले बादल आके बरसात शुरु हो गई, और हम भीगने लगे। हमारे काकाजी को तो बहुत गुस्सा आ गया। मुझे बहुत प्यार करते हैं, 'रेणु भीग रही है', उन्होंने एकदम से दरवान को जाकर कहा कि 'देखो, बापू को जाकर कहो कि जुथिका रॉय आई है उनके दर्शन के लिए, अन्दर जाओ और उनको यह बता दो'। दरवान तो चला गया, बाद में क्या देखते हैं कि अन्दर से मानव गांधी और दूसरे सब वोलन्टियर्स आ रहे हैं निकल के। छाता लेकर सब दौड़-दौड़ के आ रहे हैं। हम अन्दर गए, हॉल में सब बैठे। टावल लेकर आए क्योंकि हम सब भीग गए थे। थोड़ी देर बाद आभा गांधी, आभा गांधी बंगाली थे, कानू गांधी के साथ उन्होंने शादी की थी, वो आश्रम में रहती थीं। तो आभा आकर मुझको बोली कि 'दीदी, आप और माताजी अन्दर आइए, बापू जी आपको बुलाए हैं, और किसी को नहीं'। बापूजी एक दफ़े उठ कर हॉल में एक चक्कर देके, सबको दर्शन देके अन्दर चले गए और हमको और माताजी को अन्दर ले गए।

बापूजी एक छोटे से आसन पर बैठे हैं, कुछ नहीं पहनते थे एक छोटी धोती के अलावा। और आँखों में बहुत मोटे काँच का चश्मा है। उसमें से उसी तरह हमको देखने लगे और हँसने लगे। आभा जी ने कहा कि 'आज बापू जी का मौन व्रत है और वो आज नहीं बोलेंगे'। तो भी ठीक है, सामने तो आ गए बापू जी के, यही क्या कम थी हमारे लिए! बापू जी को हमने प्रणाम किया, उन्होंने दोनों हाथ मेरे सर पे रख कर बहुत आशीर्वाद दिया। फिर वो लिखने लगे, लिख लिख कर वो आभा को देते थे और वो पढ़ कर हमको बताती थीं। उन्होंने लिखा कि 'हम तो अभी बहुत बिज़ी हैं, हमारे पास तो टाइम नहीं है, हमें टाइम से सब काम करना पड़ता है, हम अभी दूसरे कमरे में जाकर थोड़ा काम करेंगे, आप यहीं से खाली गले से भजन गाइए'। मैं तो चौंक गई, पेटी-वेटी कुछ नहीं लायी, हम तो खाली दर्शन के लिए आ गए थे। तो एक के बाद एक उनके जो फ़ेवरीट भजन थे, वो उन्होंने बोल दिया था, मैं गाती चली गई, जैसे "मैं तो राम नाम की चूड़ियाँ पहनूँ", "घुंघट के पट खोल रे तुझे पिया मिलेंगे", "मैं वारी जाऊँ राम" आदि।

तो उस दिन वहाँ पर आधे घण्टे तक मैं गाई एक एक करके। उसके बाद बापू जी फिर हमारे कमरे में आ गए, फिर गाना बन्द करके उनको प्रणाम किया, तो फिर से हमारे सर पे हाथ रख के बहुत आशीर्वाद दिया, और फिर आभा को लिख कर बताया कि 'आज मेरा मैदान में अनुष्ठान है'। कलकत्ते का मैदान कितना बड़ा है आपको शायद मालूम होगा। तो वो बोले कि 'आज मेरा मैदान में अनुष्ठान है, शान्तिवाणी जो हम प्रचार करेंगे, उधर सब लोग आएंगे, उधर जुथिका भी हमारे साथ जाएंगी। जुथिका गाएगी भजन और मैं शान्तिवाणी दूंगा, और राम धुन होगा और यह होगा, वह होगा'। मेरा जीवन धन्य हो गया। बस वही एक बार १९४६ में वो मुझे मिले, फिर कभी नहीं मिले। उस वक्त मैं यही कुछ २५-२६ वर्ष की थी

Saturday, October 1, 2011

જિપ્સીનો વિસામો: મધુવનમાં કોયલ બોલી!

વર્ષા ઋતુમાં બંગાળની વાત નીકળતી ત્યારે મારા બંગાળી મિત્રો અભિમાનથી શરૂ કરતા, 'આમાર બાંગ્લાદેશે..' અને ખ્યાલ આવતો કે અમે બંગાળી નથી, તેઓ બંગાળી-હિંદીમાં શરૂ કરતા, "હામારા બાંગાલમેં આપ છૉય (૬) રિતૂ અૉનુભોબ કોર સાકતા હૈ". અમે જવાબ આપતા, અમારે ત્યાં ગુજરાતમાં ભલે છએ છ ઋતુઓનો અનુભવ ન થાય, પણ જે છે તેમાં અમને બેવડો આનંદ મળતો હોય છે. વર્ષામાં આષાઢી સાંજમાં અંબર તો ગાજે જ પણ સાથે સાથે મોરનો ટહૂકતો સાદ રણકે અને વરસાદનાં ફોરાં તન અને મન બન્નેને ભીંજવે. વળી વસંત ઋતુનું આગમન પણ બેવડી રાગિણીથી થાય છે. પહેલાં તો અમારી જ્યુથીકા રેનું ગીત સંભળાય, 'બોલ રે, મધુબનમેં કોયલીયા', અને ગીત પૂરૂં થતાં આંબાના વનમાંથી નીકળતો પંચમ સૂરમાં કોયલનો સાદ..."
"કિંતુ જ્યુથિકા રૉય તો હામારે બાંગાલકી હૈ!" બોઝબાબુ બોલી ઉઠતા.
ના, બોઝબાબુ. જ્યુથીકા રે આખા દેશની છે. જો કે હું તો તમને એ કહેતો હતો કે અમારે ત્યાં વસંત ઋતુ આવે ત્યારે કોઇ ગીત મનમાં આવે તો તે છે "બોલ રે મધુબનમેં મુરલીયા...."

*
સોઇલેન્દ્રોનાથ (શૈલેન્દ્રનાથ) બોઝને કેવી રીતે કહું કે અમારે ત્યાં રેડીયો પર ભજન આવે તો જ્યુથીકા રેનાં "ઘુંઘટકા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે' અથવા "આજ મેરે ઘર પ્રીતમ આયે"થી શરૂઆત થાય. બપોરે સુગમ સંગીતની રેકર્ડઝ વાગે તો તેમાં 'મેરી વીણા રો રહી હૈ, સારી દુનિયા સો રહી હૈ...' અચૂક હોય! સાંજે કોઇ વાર'બૈરન હો ગઇ રાત પિયા બિન..." પણ સંભળાય!

ગુજરાતને બંગાળ સાથે ઘણી જુની લેણાદેણી. શ્રી. અરવિંદ પૉંડીચેરી ગયા તે પહેલાં તેમણે વડોદરામાં સમય ગાળ્યો હતો. વિ.સ. ખાંડેકર પછી સૌથી વધુ કોઇના પુસ્તકો વંચાયા હોય તો શરદબાબુનાં. રવિશંકર, નિખીલ બૅનર્જી, પન્નાલાલ ઘોષ, નિખીલ ઘોષ જેવા સંગીતકારોની કારકિર્દીની શરૂઆતમાં તેમને સૌથી વધુ નવાજ્યા હોય તો ગુજરાતે! અરે, એક જમાનામાં અમદાવાદની ૧૦૬માંની કાર્યરત એવી ૮૦ મિલોમાં બંગાળી વિવીંગમાસ્ટર અને શાળ પર કામ કરવામાં અસંખ્ય કામદારો બંગાળના હતા. ન્યુ થિયેટર્સના ચલચિત્રોની ધુમ મચી હતી, આવામાં જ્યુથિકા રે આપણને પોતીકા લાગે તેમાં નવાઇ શી? હાલની જ વાત છે. જ્યુથીકા રે ૯૧ વર્ષનાં થયા. તેમના સત્કારનો મહોત્સવ તાજેતરમાં આપણા મલકમાં થયો. ગુજરાત ગુણીજનોને હજી પૂજે છે.

સમય વીતતો ગયો. મનગમતાં પુષ્પોને યાદગિરીનાં પૃષ્ઠોમાં આપણે સંઘરતા ગયા. કોઇ વાર મનની અભરાઇ પરથી એકાદું પુસ્તક લઇએ અને તેમાંનું એક પાનું ખોલીએ તો તેમાં સુકાયેલું ગુલાબનું ફૂલ જીવીત થઇને હસી પડે છે અને તેની સુગંધની ફોરમ શબ્દ બનીને બહાર પડે છે..

"મેરી વીણા રો રહી હૈ!"

આજે આપને જિપ્સીની વાતમાં રોકાવાને બદલે જ્યુથીકા રેનાં આપને ગમતાં ગીતો તરફ લઇ જઇશું:

બૈરન હો ગઇ રાત પિયા બિન

આજ મેરે ઘર પ્રીતમ આયે

મૈં તો રામરતન ધન પાયો


આજે ફક્ત આટલું જ! આશા છે આજે આપને જ્યુથીકાજીની મુલાકાતથી આનંદ થયો હશે.