Saturday, November 14, 2009

"રેડ ઓવર રેડ! રિપીટ, રેડ ઓવર રેડ"

એક વાર સૈનિક યાદોના કુંજવનમાં પ્રવેશ કરે તો તેમાં તે ખોવાતો જ જાય છે. આ ડાયરીમાં અન્ય સ્થળે વર્ણવેલી બુર્જની લડાઇ, ખોવાયેલા સૈનિકોની શોધમાં ગયેલો જીપ્સી, યુદ્ધ દરમિયાન તેને મળેલા પ્રચંડ વીરતા અને ધૈર્ય ધરાવતા નમ્ર અને નિરભિમાની યોદ્ધાઓ - આ બધાની તેને હંમેશા યાદ આવે છે.
આજની વાત એવા અફસરો અને જવાનોની છે જે સમયના પુસ્તકના પાનાંઓમાં ખોવાઇ ગયા છે. દુશ્મન સામે બહાદુરીથી જંગ જીતનારા રણમેદાનમાં મૃત્યુ પામેલા કે જીવિત રહેનારા સૈનિકોને પ્રજાસત્તાાક દિવસની ઉજવણી સમયે અપાયેલા બહાદુરીના ચંદ્રકોના લિસ્ટમાં તેમનાં નામ છાપાંઓમાં છપાય છે. અખબારમાં "સ્થળના અભાવે" જીવનની અંતિમ પળ સુધી લડનારા અને પોતાની રક્ષાપંક્તિ ન છોડનારા યોદ્ધાઓએ પોતાની ફરજ કેવી રીતે નિભાવી હતી તેની પૂરી વાત ભાગ્યે જ છપાતી હોય છે. આવા રણબંકાઓને આપણે જાણતા નથી.
જીપ્સી એ નથી કહેવા માગતો કે જે શહીદ થયા છે એમની કુરબાનીને યાદ કરી દરરોજ આંસુ વહાવતા રહીએ. વર્ષમાં એક વાર શ્રાદ્ધપક્ષમાં પૂર્વજોને યાદ કરી તેમને અંજલિ આપીએ, તેમ આપણાં સૈનિકોને એકા’દ વાર યાદ કરી તેમના પ્રત્યે ઋણ અથવા ગૌરવની ભાવના આપણા અને આપણા વારસોના મનમાં જન્માવી શકીએ તો આપણા સૈનિકોનું મનોબળ જરૂર વધી જશે.
‘જીપ્સીની ડાયરી’માં આપે બુર્જની લડાઇ, ખોવાયેલા સૈનિકોની શોધમાં ગયેલા જીપ્સીની વાતનો અનુભવ કર્યો હતો. બુર્જ પરથી દુશ્મનની ૪૩મી બલૂચ રેજીમેન્ટને આપણી સેનાએ ૬ ડીસેમ્બર ૧૯૭૧ના ભારતભુમિ પરથી તગેડી મૂક્યા હતા. આ કારમી હાર તેઓ ભુલી શક્યા નહોતા. તેમનું લક્ષ્ય હતું અમૃતસર. તેઓ અમૃતસર જતી પાકી સડક પર કબજો કરવાનો પ્રયત્ન કરશે તેની સંભાવના ઓછી થઇ નહોતી. આપણી બુર્જ ચોકીની સામે પાકિસ્તાનની ફતેહપુર નામની ચોકી ધુસ્સી બંધને લગભગ અડીને જ બંધાઇ હતી. દુશ્મનની આ ચોકી ભારતની મુખ્ય ભુમિ -mainland સાથે જોડાયેલી હતી. રાવિ નદીનો વળાંક પાકિસ્તાનમાં ઉંડે સુધી ગયો હતો તેથી તેમની સેના અને જરૂર પડે તો ટૅંક્સને પાર કરવા કોઇ અટકાવી શકે તેમ નહોતું. વળી રાવિના કિનારા પર સરકંડા (elephant grass)ના ૮થી ૧૦ ફીટ ઉંચા ઘાસના જંગલમાં તેમની હિલચાલ જોઇ શકાતી નહોતી. બુર્જમાં હાર પામ્યા બાદ દસ દિવસ સુધી તેમના તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો નહોતો, તેનો અર્થ એવો નહોતો કે આપણી સેના આરામ કરવા લાગી હતી. યુદ્ધનું મુખ્ય અંગ હોય છે patrolling. આ અભિયાનમાં આપણી ટુકડીઓ કોઇ કોઇ વાર દુશ્મનના પ્રદેશમાં પણ જઇને તપાસ કરતી હોય છે કે તેમની સેના કોઇ હિલચાલ કરી રહી છે કે કેમ. આ અત્યંત ખતરનાક અભિયાન હોય છે, જેમાં આપણી આખી ટુકડી દુશ્મને લગાવેલ માઇનફીલ્ડમાં કે તેમના સાણસા વ્યૂહની ઘાતમાં સપડાઇને કતલ થઇ શકે છે. કારગિલમાં કૅપ્ટન સૌરભ કાલીઆની પૅટ્રોલ પાકિસ્તાનીઓના વ્યૂહમાં સપડાઇ ગઇ હતી અને તેમની તથા તેમના બધા સૈનિકોની દુશ્મને ક્રૂર અને ઘાતકી રીતે રીબાવીને હત્યા કરી હતી.

બુર્જની લડાઇ બાદ કરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન આપણી ટુકડીએ જોયું કે પાકિસ્તાનની એક બટાલિયન તેમની ફતેહપુર ચોકી પર જમા થઇ રહી હતી. આનો નિષ્કર્ષ સ્પષ્ટ હતો. તેઓ ફતેહપુરને Firm Base (લૉચીંગ પૅડ) બનાવી ત્યાંથી ભારત પર હુમલો કરવા માગતું હતું. ત્યાંથી અમૃતસર જતી પાકી સડક કેવળ ૧૦ કિલોમીટર દૂર હતી. આવી હાલતમાં દુશ્મન કોઇ કાર્યવાહી કરે તે પહેલાં અાપણે જ તેમના પર હુમલો કરી તેમને ફતેહપુર પરથી મારી હઠાવવા એવો બ્રિગેડ કમાંડરે નિર્ણય લીધો.
સમય સાવ ઓછો હતો. તે સમયે રિઝર્વમાં સિખ લાઇટ ઇન્ફન્ટ્રીની ૮મી બટાલિયન (8 Sikh LI) હતી. બ્રિગેડ કમાન્ડરે તેના કમાન્ડીંગ અૉફિસર (CO) કર્નલ પાઠકને ફતેહપુર ચોકીને સર કરવાની જવાબદારી સોંપી.
સામાન્ય રીતે લક્ષ્યના સ્થાનપર દુશ્મન જેટલી સંખ્યામાં હોય તેના કરતાં હુમલો કરનારની સંખ્યા ત્રણ ગણી હોવી જોઇએ. સંરક્ષણ પંક્તિમાં બેઠેલા સૈનિકો મજબૂત મોરચામાં લગભગ સુરક્ષીત સ્થિતિમાં હોય છે, જ્યારે હુમલો કરનાર સેના ખુલ્લા આકાશ નીચે, કોઇ પણ જાતના બખ્તરબંધ કવચ વગર ધસી જતા હોય છે. તેમની સામેનું સ્થાન તોપખાનાએ નોંધેલું હોય છે, તે ઉપરાંત સામે માઇન્સ પણ બીછાવેલી હોય છે. આપ કદાચ જાણતા હશો કે માઇન્સ બે પ્રકારની હોય છે: Anti-personnel તથા Anti-tank. પહેલી માઇન પર વીસ રતલ વજન - એટલે કોઇનો પગ પડે તો આખો પગ ઉડી જાય. અૅન્ટી ટૅંક માઇન પર ૨૦૦ રતલ વજન પડે તો તેનો સ્ફોટ થાય. આમ તેના પર કોઇ વાહનનું પૈડું કે ટૅંકનો પાટો પડે તો તે ઉધ્વસ્ત થાય. ટૅંક અટકી પડે અને અૅન્ટી ટૅંક રૉકેટનો ભોગ બને. આવી હાલતમાં હુમલો કરવા ધસી જનાર સૈનિકો સૌ પ્રથમ માઇનફીલ્ડમાંની માઇન્સથી, દુશ્મનની મશીનગન દ્વારા થતી ગોળીઓની વર્ષામાં તથા તોપમાંથી પડતા ગોળાઓનો ભોગ થઇ શહીદ થતા હોય છે કે મરણતોલ ઘાયલ થતા હોય છે. આવી કાતિલ હાલતમાં 8 Sikh LIએ હુમલો કરવાનો હતો.

ફતેહપુર ચોકીની રચના એવી હતી કે તેની ઉલટા U આકારમાં ત્રણ તરફ ૧૨ ફીટ ઉંચી પાળ જેવી દિવાલ હતી. તેની સામે એક ચોક સમાન ખુલ્લું મેદાન હતું. 'દિવાલ'ની ત્રણે પાળ પર તેમના સૈનિકોએ કિલ્લેબંધી જેવા સુરક્ષીત મોરચા બનાવ્યા હતા. એક તરફથી તેમના મનમાં ધરપત હતી કે ભારતીય સેના આવા ‘કિલ્લા’ પર હુમલો કરી નહિ શકે, કારણ કે અહીં તો સામી છાતીએ, frontal attack કરવો પડે. આવો હુમલો કરનાર સૈનિકોમાંથી ૩૫-૪૦% જેટલા casualty થાય.આટલા ભારે પ્રમાણમાં થનારી કૅઝ્યુઆલ્ટી કોઇ પણ કમાન્ડર સ્વીકાર કરવા તૈયાર ન થાય.
૧૭મી ડીસેમ્બરની રાતે કર્નલ પાઠક તથા તેમના કંપની કમાન્ડરોએ કરેલા નિરીક્ષણમાં એવું તારણ નીકળ્યું કે દુશ્મનને પરાસ્ત કરવા માટે ‘frontal attack’ વગર બીજો કોઇ પર્યાય નહોતો. હુમલાની ગુપ્તતા રાખવા તેમણે હુમલો મધરાત અને પરઢિયાની વચ્ચેના સમયમાં કરવાનું નક્કી કર્યું. દુશ્મનની સંખ્યા જોતાં અહીં આખી બટાલિયને હુમલો કરવો આવશ્યક હતો.
૧૮મીની રાતે 8 Sikh LIની ત્રણ કંપનીઓને COએ ત્રિશૂળના પાંખીયાની જેમ દિશા આપી. કર્નલ પાઠક પોતે મુખ્ય, સામેના લક્ષ્ય પર જતી કંપની સાથે રહ્યા. 'ચાર્જ અૉફ ધ લાઇટ બ્રિગેડ' જેવો હુમલો કરવા સિખ લાઇટ ઇન્ફન્ટ્રીના જવાન તેમના પંજાબની રક્ષા કરવા તત્પર હતા. સ્મશાનવત્ શાંત મેદાનમાં બટાલિયન પહોંચી ગઇ અને કર્નલ પાઠકના નિનાદ “બોલે સો નિહાલ”નો આખી બટાલિયને “સત્ શ્રી અકાલ”ની આવેશપૂર્ણ ત્રાડમાં જવાબ આપ્યો અને હુમલો શરૂ થયો.
ફતેહપુર પોસ્ટ પર દુશ્મન પણ તૈયાર બેઠો હતો. તેમણે ગોળીઓની રમઝટ બોલાવી. તેમની મૉર્ટર્સ સિખ સૈનિકો પર ગોળા વરસાવવા લાગી. સુરક્ષા માટે પાથરેલી માઇન્સ પર સિખો રાઇફલ પર બેયૉનેટ ચડાવી દુશ્મન પર હુમલો કરવા દોડી રહ્યા હતા. અૅન્ટીપર્સનેલ માઇન્સના ધડાકામાં ઘવાયેલા સૈનિકોના કપાયેલા પગ ઉંચે ઉડતા હતા. આખા મેદાનમાં દુશ્મનની બંદુક અને મશીનગન્સમાંથી નીકળતા લાલ રંગના ટ્રેસર રાઉન્ડથી મેદાનમાં મોતની રેખાઓ ખેંચાતી જતી હતી. અહીં આપણે કર્નલ એચ.સી. પાઠકના શબ્દોમાં વાત સાંભળીએ:
“ગોળીઓના મારામાં જમીન પર પડતા મારા જવાનો કણસવાને બદલે કહેતા હતા, ‘સાઢી પરવા ન કરના, કર્નૈલ સાબ. બસ, ઇન્હાંનૂં છડના નહિ.‘ (અમારી પરવા ના કરશો, કર્નલ સાહેબ. બસ, આ લોકોને છોડતા નહિ!) કેટલીક વાર તો મારી સામે ઢળી પડેલા જવાન પરથી કૂદીને આગળ વધવાનું હતું. મારા સુબેદાર મેજરને ગોળી વાગી અને જમીન પર પડતાં પહેલાં તેમણે મને કહ્યું, ‘સાબ’જી, ઓબ્જેક્ટીવ આ ગયા. મેરી પરવા મત કરના.’ આ એવો સમય હતો કે જખમી થયેલા સૈનિકોને સહાનુભૂતિના બે શબ્દ કહેવા પણ રોકાઇ શકાય તેવું નહોતું. ગોળીઓના વરસાદમાં અમારે કેવળ ત્વરીત રીતે લક્ષ્ય પર પહોંચી દુશ્મનને ખતમ કરવાનો હતો. અંતે અમે દસ ફીટ ઉંચા બંધ પર પહોંચી ગયા. બેયૉનેટ લગાવેલી રાઇફલ વડે દુશ્મન સાથે હાથોહાથની લડાઇ થઇ. સિખ સૈનિકોના ઝનૂન સામે દુશ્મનને તેમનું સ્થાન છોડવું પડ્યું. ફતેહપુર સર થયું. મારા લગભગ ૩૨૫ જવાનો અને અફસરો ઘાયલ થયા. કેટલાય જવાનો શહીદ થયા.

“હુમલો અહીં પૂરો નહોતો થયો. દુશ્મન પાસેથી જીતેલી જગ્યાથી થોડે આગળ અમે નવા મોરચા બાંધ્યા. અમને ખબર હતી કે દુશ્મન counter attack કરશે જ. મેં મારી રિઝર્વ કંપની કમાન્ડર મેજર સાધુસિંહને જવાબદારી સોંપી, તેમને યોગ્ય આદેશ આપ્યો અને તેમણે મોરચાબંધી કરી. અમને આપણા તોપખાનાનો સપોર્ટ હતો તેથી સાધુસિંહે નક્કી કરેલ સ્થાનોનો ગ્રીડ રેફરન્સ તેમણે નોંધ્યો અને બધી તોપોને તે પ્રમાણે align કરી. આમાંનું અંતિમ લક્ષ્ય-સ્થાન હતું - તેમની પોતાની ટુકડીના મોરચા. જ્યારે દુશ્મન મરણીયો થઇને હુમલો કરતાં કરતાં મેજર સાધુસિંહની ટ્રેન્ચ સુધી પહોંચે, તો તેને ત્યાં રોકવા માટે આખી રેજીમેન્ટની બધી તોપ તેમણે પોતાની ખાઇ સમેત નિર્ધારીત કરેલા બધા વિસ્તારમાં ગોળાઓ વરસાવે. આનો વાયરલેસનો આદેશ હોય છે, ‘રેડ ઓવર રેડ.’ આ આદેશ બે વાર આપવાનો હોય છે.

“ધાર્યા પ્રમાણે દુશ્મને જબરજસ્ત કાઉન્ટર-અૅટેક કર્યો. મેજર સાધુસિંહની કંપની આખરી જવાન, આખરી ગોળી સુધી લડતી હતી. હું કૂમક મોકલવાનો હુકમ આપતો હતો ત્યાં તોપખાનાના વાયરલેસ પર મેજર સાધુસિંહનો આદેશ સંભળાયો.

“રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ.”

“આપણા તોપખાનાએ હુકમ પાળ્યો. બૉમ્બ વર્ષા પૂરી થઇ અને સાધુસિંહની કૂમક માટે કંપની ત્યાં પહોંચી. તેમની સાથે હું પણ ગયો હતો. મોરચા પરની અમારી ખાઇઓ પર અને સામે દુશ્મનના અનેક સૈનિકોના શબ પડ્યા હતા. મારા પોતાના કેટલાય સૈનિકો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ અવસ્થામાં હતા. મેજર સાધુસિંહના શબ પાસે જખમી અવસ્થામાં તેમના સેકન્ડ-ઇન કમાન્ડ અને કંપની સાર્જન્ટ મેજર બેઠા હતા. કોઇએ પોતાનું સ્થાન છોડ્યું નહોતું.”

ફતેહપુર સર કર્યાના બીજા દિવસે - ૧૯મી ડીસેમ્બરની સવારે કર્નલ પાઠકને અભિનંદન તથા સહાનુભૂતિ આપવા મારા કમાન્ડન્ટ ગુરઇકબાલસિંહ સાથે ગયેલા જીપ્સીને કર્નલ પાઠકે અમને આ વાત કહી. તે સમયે મિલીટરીની અૅમ્બ્યુલન્સ અમારી નજર સામે તેમના ઘાયલ સૈનિકોને લઇ જતી હતી. રણભુમિ હજી પણ રક્તરંજિત હતી.

* * * * * * * * *

‘જીપ્સીની ડાયરી’ની શરૂઆતમાં અમદાવાદના મેજર દારા મિસ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો તે આપને યાદ છે?
૧૯૪૮માં કાશ્મિરના પૂંચ વિસ્તારમાં હુમલો કરી રહેલા પાકિસ્તાની સેનાના અફસરોની આગેવાની નીચેના કબાઇલીઓ સામે લડતાં દારાશા મિસ્ત્રી શહીદ થયા હતા. તેમના વિશે સંશોધન કરતાં જાણવા મળ્યું કે તેઓ તોપખાનાના Forward Observation Officer હતા અને સૌથી મોખરાની ટુકડીઓ સાથે તેમની ખાઇમાં બેસી તોપખાનાને ગોળા દુશ્મન પર વરસાવવા માટે વાયરલેસથી દિશા સૂચન કરતા હતા. જ્યારે દુશ્મન તેમની ખાઇ સુધી પહોંચ્યા, તેમના કમાન્ડરે તેમને પોતાની જગ્યા છોડી પાછળ આવવાનો હુકમ કર્યો. દારા મિસ્ત્રીએ જોયું કે દુશ્મનની સંખ્યા ઓછી થઇ હતી અને તેમના પર રેજીમેન્ટની બધી તોપ ગોળા વરસાવે તો તેઓ તેમના સ્થાન પર કબજો કરી શકે તેમ નહોતા. તેમણે પોતાની ખાઇ છોડવાનો ઇન્કાર કર્યો અને હુકમ આપ્યો:

“રેડ ઓવર રેડ... રિપીટ. રેડ ઓવર રેડ.”

પરિણામ એ આવ્યું કે દુશ્મન પૂંચ પર કબજો કરી ન શક્યા. ત્યાં મેજર દારા મિસ્ત્રીની બહાદુરીએ અને તેમના આત્મસમર્પણે સંરક્ષણની અભેદ્ય દિવાલ ઉભી કરી હતી.

કર્નલ પાઠકને ફતેહપુરની લડાઇમાં મહાવીર ચક્ર, મેજર સાધુસિંહને મરણોપરાન્ત વીર ચક્ર તથા'આપરા' દારાશા મિસ્ત્રીને ૧૯૪૮માં મહાવીર ચક્ર એનાયત થયું હતું. અખબારમાં શું આવ્યું?

આવા યોદ્ધાઓનાં નામ તથા બહાદુર સિખોના આત્મસમર્પણની વાત કહેવાને બદલે કેટલીક 'માસ મેઇલ'માં આવે છે 'સરદારજી જોક્સ'! ગુજરાતના એક દાક્તરસાહેબને આવી જોક્સ ન કરવા વિશે જીપ્સીએ વિનંતી કરી તો તેઓ છંછેડાઇ ગયા. 'અમે ગુજ્જુુઓની પણ જોક્સ કહીએ છીએ, તો સિખોની જોક કરવાનો અમને અધિકાર છે,' કહી તેમણે મારું નામ તેમના મેઇલીંગ લિસ્ટમાંથી કાઢી નાખ્યું!

ડીસેમ્બર મહિનો આવી રહ્યો છે. આ વખતે ૧૯૭૧ના ડીસેમ્બરમાં મેળવેલી જીતને ૩૮ વર્ષ પૂરા થશે. આપ સૌને યાદ આવશે આપણા સૈનિકોના રણ નિનાદ:
“આયો ગોરખાલી!”
“બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ!”
“છત્રપતિ શિવાજી મહારાજકી જય! હર હર મહાદેવ!”
“ભારત માતાકી જય!”
"જાટ બલવાન, જય ભગવાન!"
"નારા એ હૈદરી, યા અલી, યા અલી!"
અને સદીમાં એકા'દ-બે વાર વાયરલેસના સ્ટૅટીક વચ્ચેથી આછો પણ મક્કમ સંદેશ:

“રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ.”

ત્યાર પછી ફેલાશે શાંતિ.

Thursday, October 22, 2009

મીસ્ટર જી (શેષ)

સાર્જન્ટે વધુ વિગત આપતાં કહ્યું, “મીસ્ટર જીના ઘરમાં આગ લાગી ત્યારે મીસેસ જી ઘરમાં એકલા હતાં. ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઇ તેમનાં પાડોશીએ ફાયર બ્રિગેડ બોલાવી. અમને પણ આની સૂચના મળી. અફસોસ છે કે મીસેસ જીનું હૉસ્પીટલ પહોંચતા પહેલાં જ અવસાન થયું. મીસ્ટર જી મસ્જીદમાં હતા, તેમને અમે હૉસ્પીટલ પહોંચાડ્યા છે, પણ તેઓ અમારી વાત સમજી શકતા નથી અને અમે તેમની વાત. અમારે તેમને રાબેતા મુજબના સવાલ પૂછી અમારો રિપોર્ટ તૈયાર કરવાનો છે. તમે અમારી મદદ કરી શકશો? મીસ્ટર જીને હજી ખબર નથી કે તેમનાં પત્નિનું અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર પણ તમારે તેમને આપવાના છે. મને આશા છે કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી શકશો.” સાર્જન્ટે કહ્યું.
પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પીટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખુણામાં જી સાહેબ બેઠા હતા. અમને જોઇ તે ઉભા થયા. છ ફીટ ઉંચા, સફેદ દાઢી-મૂછ, માથા પર કાશ્મીરી ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની લકીર સ્પષ્ટ દેખાતી હતી. મેં તેમને અસ્સલામુ-આલેઇકૂમ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને મારો પરિચય આપ્યો. તેમણે વાલેઇકૂમ અસ્સલામ કહી મને સવાલ પૂછ્યા ત્યારે હું ચકરાઇ ગયો: તેઓ મીરપુરીમાં વાત કરતા હતા. વચ્ચે એકાદ'બે શબ્દ ઉર્દુ-પંજાબીના વાપરતા હતા. કાશ્મીરમાં નોકરી કરી હોવાથી હું ગુજ્જર જાતિની ખાનાબદોશ ભરવાડ કોમના સમ્પર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજ્જરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે તેઓ મારી વાત સમજી શકતા હતા અને મુશ્કેલીથી તેમની વાત પણ સમજવા લાગ્યો. પ્રથમ તો પોલિસની કારવાઇ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મીસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા વિલય પામ્યા. બચી ગયા હતા કેવળ માનવ. તેઓ મારા ખભા પર માથું મૂકી રડી પડ્યા. હું તેમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. પોલિસ સાર્જન્ટને દયા આવી. તેઓ જલદીથી જઇ પાણીનો ગ્લાસ લઇ આવ્યા. થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી જી સાહેબે મને કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. માનો એ બહુ વહાલો દિકરો હતો.”
બ્રિટનમાં સ્ટીરીયોટાઇપ અત્યંત સામાન્ય હકીકત છે. આપણા લોકો પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતી માણસ પટેલ જ હોવો જોઇએ. પટેલ નહિ તો શાહ! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ જ ધારે. મીસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પીટલના સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઇ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી અક્રમખાન મલીક આવી પહોંચ્યા. અક્રમખાનની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઇ તરત જણાઇ આવ્યું કે તેમને ભારતીય લોકો પ્રત્યે વિશેષ પ્રેમભાવ નહોતો. “તમે ઇન્ડીયનો અમારા માટે કશું કરી શકવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે.....”
મેં તેમની વાત ત્યાં જ કાપી અને તેમને કહ્યું, “એક્સક્યુઝ મી, પણ મારે મીસ્ટર જીને રહેવા માટે કાઉન્સીલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત કરવા જવાનું છે. ફ્યુનરલની વ્યવસ્થા કાલે પોસ્ટ મોર્ટમ બાદ કરીશું. કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સીલની હોય છે તેથી મારે હમણાં જ નીકળવું જોઇશે."
અક્રમ મલીક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઇ ગયા. જુઓ, અહેમદજીને તેમનો મોટો દીકરો વાજીદ થોડા દિવસ માટે લઇ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલની વાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે. બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો. અને યાદ રાખજો. તમારો એરીયા મેનેજર મારો દોસ્ત છે.” આ કહેવાનો મતલબ હતો, 'તમારા કામમાં કોઇ ખામી રહી જાય તો ‘ઠેઠ ઉપર સુધી’ વાત જશે.' Colonial મનોવૃત્તિનો આ સારો નમૂનો હતો!
સોશિયલ સર્વીસીઝમાં જોડાતાં પહેલાં હું કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર હતો. મારા કામ માટે સમાજ કલ્યાણ વિષયક કાયદાઓનો મેં ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. હાઉસીંગ, ક્રૉનિકલી સિક અૅન્ડ ડીસેબલ્ડ પર્સન્સ અૅકટ જેવા કાયદાઓ દ્વારા સમાજ માટે જે જોગવાઇ કરવામાં આવી છે તેના આધારે મારૂં કામ ઝડપથી પૂરૂં થયું. અહેમદજીને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. રાશન,ગૅસ, વિજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઇ ગઇ. ત્રણે’ક મહિનામાં કાઉન્સીલે તેમનો મૂળ ફ્લૅટ રિપૅર કરી આપ્યો. અમે તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો મેળવી આપ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે મેં તેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. જો કે તેઓ મને અવારનવાર મળવા આવતા રહ્યા.
એક દિવસ અૉફિસમાં મીસ્ટર જી આવ્યા. મને કહે, “પટેલ સા’બ, સજ્જાદ અઢાર વર્ષનો થયો છે. તેણે હવે લગ્ન કરી લેવા જોઇએ એવું મારૂં માનવું છે. મીરપુરમાં મારા નાના ભાઇની દિકરી સાથે તેના લગ્નની વાત થઇ ગઇ છે. જો લગ્ન થઇ જાય તો આ ડોસાની સેવા થશે અને સાથે સાથે અમને સૌને ત્રણ વખતનું ભોજન પણ નિયમીતરીતે મળશે. એક મિત્ર તરીકે તમારો અભિપ્રાય માગું છું.”
“જુઓ ચાચા, સજ્જાદ મારો દિકરો હોય તો હું તેના લગ્ન આટલી નાની ઉમરમાં ન કરૂં. તેને સારી નોકરી મળે, સ્થિર-સ્થાવર થાય, પોતાની જવાબદારી સમજે ત્યારે તેના લગ્નનો વિચાર કરવો સારો.”
અહેમદજી થોડા વિચારમાં પડી ગયા. અંતે મને ‘ખુદા હાફીઝ” કહી ઘેર ગયા. ત્યાર બાદ છ-સાત મહિના તેમની સાથે સમ્પર્ક ન રહ્યો.
મારૂં કામ એવું હતું કે મને મળવા આવનાર ક્લાયન્ટને પહેલેથી અૅપોઇન્ટમેન્ટ લેવી પડે. ફક્ત બુધવારે ‘ઓપન હાઉસ’ જેવી વ્યવસ્થા રાખી હતી. તે દિવસે મને મળવા આવનાર વ્યક્તિ રિસેપ્શનમાં બેસી નંબર વાર આવીને મને મળે. આવા એક બુધવારે આઝાદ કાશ્મીર એસોસીએશનના અક્રમ મલીક મને મળવા આવ્યા. આ વખતે તેઓ અમારા વૉર્ડમાંથી કાઉન્સીલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
“તમે અમારી કોમ માટે સારૂં કામ કરો છો એવા મને રીપોર્ટ મળ્યા છે. તમારા ડીપાર્ટમેન્ટની સોશિયલ સર્વિસીઝ કમીટીનો હું મેમ્બર છું. ખેર. પેલા અહેમદજી તમને હજી મળે છે કે? તમને ખબર છે કે તેમની બીબી શાહિનબેગમે ખુદકુશી કરી હતી?”
આ વાતની મને તે સમયે જ જાણ થઇ હતી, પણ client confidentialityના નિયમને કારણે મેં તેનો જવાબ ન આપ્યો.
“શાહિન બેગમ બહુ ફેશનવાળી હતી. સિનેમા જોવાનું, શૉપીંગ, સારા પોશાક પહેરી, મેક-અપ કરી બહાર જવાનું તેને બહુ ગમતું....”
“મીસ્ટર મલીક, આય અૅમ સૉરી, પણ આ બાબતમાં મારાથી કશું કહી કે સાંભળી ન શકાય. આ નિયમ બહારની વાત છે...”
“ઓ.કે. જો કે અમારા કલ્ચર વિશે તમારે જાણવું જોઇએ એટલે આ વાત છેડી. અમારી કોમના ક્લાયન્ટ આવે અને અમારી લાઇફ-સ્ટાઇલ જાણો તો આઝાદ કાશ્મીરના લોકોની ફૅમિલી ડાયનેમિક્સનો તમને ખ્યાલ આવે.
“મિસ્ટર જી ઘણા ધાર્મિક વૃત્તિના હતા. પાંચ વારની નમાઝ, સાદગી - તેમાં પત્નીની આવી ફૅશન-પરસ્તી તેમને ગમતી નહોતી. રોજ ઝઘડા થતા અંતે....” કહી કાઉન્સીલર સાહેબ ઘડીયાળ સામે જોઇ ઉભા થયા અને અગત્યની મીટીંગમાં જવાનું છે કહી ચાલ્યા ગયા.
આ વાતને ચાર-પાંચ મહિના થઇ ગયા. એક દિવસ ક્લાયન્ટને મળવા હું બહાર નીકળતો હતો ત્યાં મેં સજ્જાદને રીસેપ્શનમા જોયો.
“નરેન્દ્ર, આય અૅમ સૉરી કે એપૉઇન્ટમેન્ટ વગર તમને મળવા આવ્યો છું. આ તમારા માટે લાવ્યો છું, “ કહી તેણે મને ચૉકલેટનો ડબ્બો આપ્યો. “મારા લગ્ન થઇ ગયા છે. એક તકલીફ છે. તમને કહું કે નહિ એવી ગડમથલમાં છું.” સજ્જાદ અસ્ખલિત અંગ્રેજી બોલતો હતો.
ચૉકલેટનો ડબ્બો મેં અમારી રિસેપ્શનીસ્ટને આપ્યો. અમારી અૉફિસમાં મદદ માટે આવતી બહેનોનાં બાળકોને આવી ‘ગીફ્ટ’ વહેંચાતી. હું સજ્જાદને ઇન્ટરવ્યૂ રૂમમાં લઇ ગયો.
“શાદી મુબારક, સજ્જાદ. કહે તો, શું વાત છે?”
“મારી પત્ની પરવીન હાઇસ્કૂલ સુધી ભણી છે. તેની મોટી બહેન પણ અહીં જ લંડનમાં છે. તેની દેખાદેખી પરવીન પણ તેની ફૅશન વિગેરેની નકલ કરે છે. આધુનિક યુવતિ છે ને! પણ ડૅડીને આ ગમતું નથી. એમને મારી મમી સાથે પણ આ જ પ્રૉબ્લેમ હતો. રોજ ઝઘડા થાય છે. શું કરવું તે મને સમજાતું નથી. ડેડીને પરવીનના વર્તનમાં મારાં મમી દેખાય છે અને તેઓ અત્યંત દુ:ખી છે. પરવીન પણ ખુશ નથી.”
“તારા ડૅડી બે-ત્રણ મહિના તારા મોટા ભાઇ વાજીદને ઘેર અને ત્રણે’ક મહિના તારે ત્યાં વારાફરતી રહે તો કોઇ ફેર પડે ખરો?”
“વાજીદ મારો ભાઇ નથી. એ તો અમારા ગામના મુખીનો નાનો દિકરો છે. અહીં આવવા માટે ડૅડીએ મુખી પાસેથી કરજ લીધું હતું. બદલામાં તેણે શરત કરી હતી કે વાજીદને પોતાના મોટા દીકરા તરીકે નોંધાવી અહીં બોલાવી લેવો. અંતે થયું પણ એવું જ. નામ સિવાય અમારો તેની સાથે કોઇ સંબંધ નથી”
૧૯૭૦ના દાયકામાં ખાસ કરીને મીરપુરી પરિવારોમાં આવી બાબતો સામાન્ય હતી.
“સજ્જાદ, હું તારા ડૅડી સાથે આ બાબતમાં જરૂર વાત કરીશ. જોઇશું કોઇ હલ નીકળે છે કે કેમ..” સજ્જાદ વિલા મોઢે ત્યાંથી નીકળી તો ગયો, પણ આ બાબતમાં કશું થશે તેની તેને ખાતરી નહોતી થઇ.
બીજા કે ત્રીજા બુધવારે મારા ઓપન હાઉસમાં અહેમદજી આવ્યા. મેં આ વિષયમાં વાત છેડી.
“ક્યા કરૂં પટેલ સા’બ? છોકરીની ચાલઢાલ જોઇને હું બહુ પરેશાન છું. એના બનેવીનો લંડનમાં બિઝનેસ છે. પરવીનની બહેન મોંઘી કાર ફેરવે છે અને લાહોરથી મંગાવેલા સલવાર-કમીઝ પહેરે છે. મારી ન્હૂ (વહુ)ને પણ એવા જ ઘરેણાં અને કપડાં, સિનેમા, રૂઝ-લિપસ્ટીક જોઇએ. મારાથી આ જોવાતું નથી. હું વતન પાછો જઉં છું. જીંદગીના છેલ્લા દિવસ મારા ગામ ટોપા મુર્તુઝામાં શાંતિથી ગુજારવાનો નિર્ણય કર્યો છે.”
ટોપા મુર્તુઝા! તાતાપાની!
મારા મગજમાં ‘બ્લીપ્’ થઇ. મારા અંતર્મનના એક પડમાં છુપાયેલી યાદ અચાનક બહાર આવી ગઇ. વર્ષો પહેલાં કાશ્મીરમાં લાઇન અૉફ કન્ટ્રોલ પર બજાવેલી ડ્યુટીના દિવસ યાદ આવી ગયા. નજર સામે આવી પેલી રાત, જ્યાં સીમા પાર થતી શાદીની દાવતની રોશનાઇ જોઇ હતી, અને મીરપુરી ગીતોની રેકૉર્ડનાં આછા સૂર હવામાં તરીને અમારી ચોકી સુધી આવતાં સાંભળ્યા હતા.
“ચચાજાન, તમારાં મર્હુમ બેગમ તાતા પાની ગામનાં તો નહોતાં?”
આશ્ચર્યની નજરે મારી તરફ જોઇ તેમણે મને પુછ્યું, “તમને કેવી રીતે ખબર પડી? શું સજ્જાદે તમને આ વાત કરી હતી? કે પછી મેં જ કો’ક દિવસે તમને કહ્યું હતું?”
ના, મિસ્ટર જી, આ વાત ન તો મને સજ્જાદે કહી હતી ના તો અહેમદ મલીક - ઉર્ફ મિસ્ટર જીએ. વર્ષો પહેલાં વાત કહેનાર હતો મારી બડા ચિનાર ચોકી પાસેના ગામનો મુખી ગુલામ હૈદર. કલ્પના કરતાં સત્ય કેટલું અદ્ભૂત હોય છે!
(નોંધ: જીપ્સીના જીવનની આ પ્રસંગકથા ૧૯૯૦માં અખંડ આનંદમાં પ્રસિદ્ધ થઇ હતી. તેનું આ સંક્ષીપ્તીકરણ છે. અહીં વ્યક્તિઓનાં અને કેટલાક સ્થળોનાં નામ બદલવામાં આવ્યા છે જેથી વ્યક્તિગત ગૌપ્યતા જળવાઇ રહે.)

Wednesday, October 21, 2009

મીસ્ટર જી... (૧)

“જીપ્સી”એ ભારતને અલ-વિદા કર્યા બાદ પણ હિમાલયમાં વિતાવેલા દિવસોની યાદ પુસ્તકમાં રાખેલા સ્મૃતીના સુગંધી પુષ્પ જેવી તાજી જ રહી. સમયનું પુસ્તક ખોલતાં આ ગુલાબની પાંખડીઓમાં રહેલી યાદગિરીની મહેક ફરીથી તેને લઇ જાય છે સ્મૃતીવનમાં...
આવી જ એક પાંખડીમાંથી પમરાતી ખુશ્બુ મને લઇ ગઇ રજૌરીના મારા સેક્ટર હેડક્વાર્ટરની એક ચોકી - ‘બડા ચિનાર’ પર. (ચોકીનું ખરૂં નામ જુદું છે, પણ તેની ગૌપ્યતા જાળવવા અહીં તેને નવા નામનું આવરણ ચડાવ્યું છે.) બડા ચિનાર અને સામા વાળાની ચોકી વચ્ચેનું અંતર કેવળ ૨૦૦ ગજનું. બન્ને ચોકીઓની વચ્ચે એક નાનકડો ચશ્મો (વહેળો) હતો. અને ત્યાં જ હતી ‘ચૂના પટ્ટી’ - LOC - લાઇન અૉફ અૅક્ચ્યુઅલ કન્ટ્રોલ. ૧૯૭૧ની લડાઇ બાદ બન્ને દેશો વચ્ચે જે LOC નક્કી કરવામાં આવી હતી ત્યાં પ્રથમ ચૂનાની લાઇન - ‘ચૂના પટ્ટી’ બનાવી નકશામાં તેને નોંધવામાં આવી. બન્ને દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં આ થયું અને તેના પર સહિ-સીક્કા થયા. જમીન પર જઇને જોઇએ તો કોઇને ખબર ન પડે કે LOC ક્યાં છે. તેના માટે તો નકશા તથા હોકાયંત્ર જ જોઇએ.
અમારી ચોકીની અૉબ્ઝર્વેશન પોસ્ટથી પાકિસ્તાનના કબજાના કાશ્મીરના મીરપુર જીલ્લાના ગામ નજર આવે.
એક વાર સામા કાંઠાના એક ગામમાં અનેક પેટ્રોમૅક્સ બત્તીઓનો ઝગમગાટ જોવામાં આવ્યો અને સાથે સાથે લાઉડસ્પીકરમાંથી મીરપુરી -પોથવારી બોલીના ગીતો સંભળાવા લાગ્યા. આખી રાત મહેફીલ ચાલી. બીજા દિવસે અમારી ચોકીની નજીકના સરપંચને અમે બોલાવ્યો અને સીમા પારના ગામમાં શું થતું હતું તે પૂછ્યું.
“અરે સાહેબ, પેલા ગામના રહેવાસી મલીક સાહેબ જે કેટલાક વર્ષથી વિલાયતમાં રહે છે તે રજા પર આવ્યા છે. તેમણે આજુબાજુના બધા ગામવાસીઓને દાવત માટે બોલાવ્યા હતા.”
“એમ કે? શાની દાવત હતી?”
“મલીક સાહેબે સામેની તહેસીલના કોટલી શહેરની બાજુના તાતાપાની ગામમાં બીજી શાદી કરી. પોતે તો જુના વિચારના છે, દાઢી-બાઢી રાખે છે, પણ પત્ની તો ખુબસુરત જોઇએ! અને જુઓ તો, એવી બૈરી એને મળી પણ ગઇ! એનાથી વીસ વર્ષ નાની. પરદેશ જવા માટે લોકો કંઇ પણ કરશે . શું જમાનો આવ્યો છે!” કહી તેણે આકાશ ભણી બન્ને હાથ ઉંચા કર્યા અને જતો રહ્યો.
મને નવાઇ લાગી હોય તો એ વાતની કે નદી પારના પરાયા મુલકમાં જે કાંઇ થતું હોય છે, તેની રજેરજની માહિતી તરત જ અહીં પહોંચી જતી હોય છે. બીજી વાત: દુનિયાના છેડા જેવા આ દુર્ગમ વસ્તીના લોકો ઠેઠ વિલાયત કેવી રીતે પહોંચી ગયા? આપણા દેશના બુદ્ધીશાળી, સુશિક્ષીત લોકો અનેક પ્રયત્નો કરવા છતાં બ્રિટનનો વિઝા મેળવી શકતા નથી, ત્યાં આ લોકોનો નંબર કેવી રીતે લાગ્યો? મને ઘણા સમય બાદ જાણવા મળ્યું કે ૧૯૫૦-૬૦ના દાયકામાં યૉર્કશાયર-લૅંકેશાયરની મિલોમાં તથા ફાઉન્ડ્રીઓમાં કામ કરવા પાકિસ્તાનના ઘણા લોકો ત્યાં પહોંચી ગયા હતા.
રજૌરીમાં કેટલાક મહિના ગાળ્યા બાદ મારી કમ્પની ૧૪૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલ ફૉર્વર્ડ ડીફન્ડેડ લોકૅલીટીમાં ગઇ. નવી જગ્યા નવો દાવ, નવા અનુભવ અને હાડ ગાળી નાખે એવી ભુમિમાં અનંત કાળ જેવા બે વર્ષ રહ્યો. ત્યાર પછી સમય તેજ ગતિથી વહેવા લાગ્યો અને ‘જીપ્સી’ તેમાં તણાઇ ગયો. ફોજ છોડી લંડન ગયો જ્યાં મારા પ્રિયજનો છેલ્લા ચાર વર્ષથી મારી રાહ જોઇ રહ્યા હતા.

* * * * * * * * *
પરદેશ કામધંધો શોધવા જનાર ભારતીયોને અનેક પ્રકારની સારી-નરસી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. ‘જીપ્સી’ તેમાં અપવાદ નહોતો. પ્રથમ બેકારી, ત્યાર બાદ એક ગુજરાતી સમાચાર પત્રિકાના ‘Subby’ (સબ-એડીટર), સિવિલ સર્વિસમાં અૅડમિન અૉફિસર, નૉટ ફૉર પ્રૉફીટ સંસ્થામાં કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર જેવા કામ કર્યા બાદ મને સ્થાનિક કાઉન્સિલના સમાજસેવા વિભાગમાં સ્પેશીયાલિસ્ટ સોશિયલવર્કરનું કામ મળ્યું.
મારી સોશિયલ સર્વિસીઝ ટીમ ‘ઇનર-સિટી’ (અમેરીકામાં જેને ‘ડાઉન-ટાઉન’ કહેવાય છે, તેમાં) કાર્યરત હતી. આ ગીચ વસ્તીના વિસ્તારમાં અત્યંત ગરીબ, વંચિત તથા ઉપેક્ષીત ગણાતા વર્ગના લોકો રહે. બેકારીમાં સપડાયેલા કામદાર વર્ગના આયરીશ, અંગ્રેજ તથા વેસ્ટ ઇન્ડીઝથી આવેલા લોકોનો આ વિસ્તાર. પતિ-પુરુષ મિત્રથી તરછોડાયેલી કે તેમને છોડી આવેલી બહેનો પોતાના બાળકો સાથે ત્યાં રહેતી હતી. બેઘર વ્યક્તિઓને રહેઠાણ આપવાની જવાબદારી કાઇન્સીલની હોય છે. સમાજના આ વર્ગને રહેવા માટે કાઉન્સીલે બહુમાળી મકાન બાંધ્યા. જેઓ સોશિયલ સિક્યોરિટીની આવક પર હોય તેમનું ઘરભાડું પણ કાઉન્સિલ ભરે. પૂર્વ આફ્રિકા અને ભારત-પાકિસ્તાન આવેલા આપણા લોકો - એશિયનો - પણ અહીં સારી એવી સંખ્યામાં રહે. આ બહુમાળી આવાસ “હાઇ-રાઇઝ કાઉન્સીલ એસ્ટેટ”-ને બ્રિટનના લોકો તુચ્છતાભરી નજરથી જુએ. અહીં ગુનાનું પ્રમાણ પણ સૌથી વધુ.
સમાજસેવા વિભાગમાં કામ પર હાજર થયો ત્યારે મને આપવામાં આવેલ case-loadમાં દસ પાકિસ્તાની પરિવાર હતા. કેસ ફાઇલ્સ જોઇ રહ્યો હતો ત્યાં મારાં ટીમલીડર લિઝ વેબ મારી પાસે આવ્યા અને કહ્યું, “Naren, may I have a word with you?” હું તેમની અૉફિસમાં ગયો.
“તમે મિસ્ટર જીની ફાઇલ જોઇ? મિસ્ટર જીના ઘરમાં ફાયર અૅક્સીડન્ટ થયો છે અને મિસેસ જીની હાલત ગંભીર છે એવો મને હમણાં પોલીસનો ફોન આવ્યો. મિસ્ટર જી અંગ્રેજી નથી જાણતા. અા crisis interventionનો કેસ છે. સૉરી, કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું. ત્યાં જઇને બને એટલી મદદ કરશો. કોઇ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે હું ક્રિસ્ટીનને મોકલીશ.” ક્રિસ્ટીન અનુભવી સોશિયલ વર્કર હતી.
સવારના જ મેં મિસ્ટર જીની ફાઇલ ઉતાવળમાં જોઇ હતી. તેમની જરૂરિયાતોનું એસેસમેન્ટ કરવા તેમને મળવા જવાનો વિચાર કરતો જ હતો. ટૂંકમાં કહીએ તો તેમની ઉમર ૭૫; આખું નામ “ મિસ્ટર એમ.(મોહમ્મદ) અહેમદજી”. પરિવારમાં પત્નિ અને ૧૬ વર્ષનો પુત્ર. અમારી ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઇલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’. મને લાગ્યું કાકા ગુજરાતના હશે. કામ થોડું આસાન થશે!
મિસ્ટર જી કાઉન્સીલના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યાં જઇને જોયું તો તેમના ઘરની બહાર પોલીસની રોવર અને ફાયર બ્રિગેડનો બંબો હતો. પોલિસના એક સાર્જન્ટ અને એક કૉન્સ્ટેબલ બહાર ઉભા હતા.
(વધુ આવતા અંકમાં.)

Sunday, September 20, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" - શેષ

એક જ યુદ્ધમાં સુરસા રાક્ષસીની જેમ મૃત્યુ બે વાર મ્હોં ખોલીને ઉભું હતું તેનો સામનો કરી પોતાને સોંપાયેલી કામગિરી પૂરી કરવા માટે ભારત સરકારે મેજર ભટ્ટને વીરતા માટે સેના મેડલ એનાયત કર્યો.
5/9 ગોરખા રાઇફલ્સના કમાન્ડીંગ અફસરનો ભાર તેમને સોંપવામાં આવ્યો તે પહેલાં અનેક કારણોસર આ બટાલિયનની હાલત અને જવાનોનું મનોબળ નષ્ટપ્રાય: થઇ ગયા હતા. બટાલિયનનો ચાર્જ લેતાં પહેલાં તેઓ બ્રિગેડ કમાન્ડરને મળ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હાલત એટલી ગંભીર હતી કે બટાલિયનને વિખેરી નાખવાનો - disband કરવાનો- નિર્ણય લેવામાં આવ્યો હતો. બટાલિયન - તથા કર્નલ ભટ્ટ માટે આ છેલ્લી તક હતી કે બટાલિયનનું આમુલાગ્ર પરિવર્તન કરી તેને યુદ્ધ માટે સક્ષમ (battle-worthy) બનાવવામાં આવે.
આપણી સેનામાં કહેવત છે: There are good officers and bad officers, but never a bad soldier. કર્નલ ભટ્ટે ચાર્જ લીધાને એક મહિનો પણ નહોતો થયો કે તેમના ડીવીઝનલ કમાન્ડર બટાલિયનનું ઇન્સ્પેક્શન કરવા આવ્યા. પહેલા જ દિવસે જનરલ સાહેબે હુકમ સંભળાવ્યો: ૬૦ દિવસમાં બટાલિયન યુદ્ધ માટે સક્ષમ પુરવાર ન થાય તો તેમાંના એકેએક જવાનને ઘર ભેગા કરી દેવામાં આવશે અને 5/9 GRનું નામોનિશાન નહિ રહે.
સંરક્ષણની દૃષ્ટીએ ભારત માટે સમગ્ર કાશ્મીરનો પ્રદેશ સંવેદનશીલ છે. તેમાંના પૂંચ-રજૌરી, ઉરી, તંગધાર, કારગિલ અને બાંદીપોરા જેવા વિસ્તાર અત્યંત ભયાનક ગણાય છે. (આમાંના બે વિસ્તાર - રજૌરી અને તંગધારમાં ‘જીપ્સી’ સેક્ટર કમાંડર હતો અને લગભગ દરરોજ પાડોશીઓની ગોળીઓનો અનુભવ કર્યો હોવાથી આ વિસ્તારોની ભયાનકતા વિશેની બાહેંધરી આપી શકું છું!)
કર્નલ ભટ્ટની બટાલિયન ઉરીમાં ફરજ બજાવી રહી હતી. ત્રાસવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે પાકિસ્તાનનું સૈન્ય તેમની સંરક્ષણપંક્તિઓ પર વારંવાર ગોળીબાર કરે. ગોળીઓના વરસાદની આડમાં ગીચ જંગલમાં બનાવેલી કેડીઓ દ્વારા છૂપા રસ્તે ત્રાસવાદીઓને તેમની સેના આપણા પ્રદેશમાં ઘૂસાડવાનો તે વખતે - અને હજી પણ પ્રયત્ન કરે છે. તેમને ઝબ્બે કરવા ગોરખાઓની પેટ્રોલીંગ પાર્ટીઓને ૨૪ કલાક પેટ્રોલીંગ કરવું પડે. આવી કપરી હાલતમાં કામ કરી રહેલી બટાલિયનનું મનોબળ, કાર્યકુશળતા અને યુદ્ધકૌશલ્યમાં શ્રેષ્ઠ પુરવાર કરવા ઉપરાંત તેમના શસ્ત્ર-સરંજામને ચળકતી અને નવા જેવી હાલતમાં કરવાનું કામ કર્નલ ભટ્ટ માટે અસ્ત્રાની ધાર પર ચાલવા જેવું હતું - તે પણ ફક્ત ૬૦ દિવસમાં. ૧૯૬૫ના યુદ્ધમાં તેમણે આ જ બટાલિયનના જવાનોની સાથે રહી જે કામગિરી કરી હતી તેની યાદ જવાનોમાં હજી તાજી હતી. હવે તેમની આગેવાનીએ જવાનોમાં વિજળીક ગતિએ ઉત્સાહ વધાર્યો અને તેમના નેતૃત્વે 5/9 ગોરખા રાઇફલ્સને અગ્નિપરીક્ષામાં સફળતા અપાવી. તેમણે બટાલિયનને disband થવાની નામોશીમાંથી બચાવી એટલું જ નહિ, ઉરીમાં તેમના જવાનોની ઉત્કૃષ્ટ કામગિરી જોઇ ભારત સરકારે કર્નલ ભટ્ટની બટાલિયનને યુનાઇટેડ નેશન્સની શાંતિ સ્થાપક સેના તરીકે લેબનૉનમાં મોકલી.
મહેનત અને કાર્યમાં સંપૂર્ણ સમર્પણ હોય તો માણસ ઘણી ઉંચાઇઓ સર કરી શકે. હવે કર્નલ ભટ્ટને માઉન્ટન બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડરનું પ્રમોશન આપી તેમને અરૂણાચલ પ્રદેશમાં ચીનની સીમા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇ પર મોકલવામાં આવ્યા. આ એવો વિકટ પ્રદેશ છે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એક તો ત્યાં એટલી અસહ્ય ઠંડી પડે છે કે શરીરની સંભાળ લેવામાં જરા પણ શરતચૂક થાય તો હાથ કે પગમાં frost bight થઇને ત્યાં ગૅંગ્રીન (માંસમાં સડો) થઇ જાય, અને જે હાથ કે પગમાં તેની અસર થઇ હોય તે કાપી નાખવો પડે. રસ્તા પણ એવા દુર્ગમ કે 4 x 4 પાવરના ત્રણ ટન વજન ઉંચકી શકે તેવા ટ્રક એક જ ટન વજન લઇ ૨૫ કિલોમીટરનું અંતર ચાર કલાકમાં પૂરૂં કરી શકતા. એટલું જ નહિ, આવી એક જ ખેપ કર્યા બાદ વાહનને સમારકામ કે મેન્ટેનન્સ માટે ફીલ્ડ વર્કશૉપમાં મોકલવું પડે. અધુરામાં પૂરૂં તેમના બ્રિગેડ કમાન્ડર માંદા પડી ગયા અને તેમને બ્રિગેડ કમાન્ડરનો ચાર્જ લેવો પડ્યો. તેમને સોંપવામાં આવેલ કપરી કામગિરી નિયત સમય કરતાં વહેલી પૂરી કરી. આ કાર્ય માટે ભારત સરકારે તેમને વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કર્યો.
ત્યાર બાદ તેમની પદવૃદ્ધિ થતી ગઇ અને મેજર જનરલના પદ પર તેમને આસામમાં આવેલી માઉન્ટન ડિવિઝનના કમાન્ડર તરીકે ૨૦૦૦૦ સૈનિકોની વિશાળ સેનાનો કમાન્ડ આપવામાં આવ્યો. અહીં તેમને ULFA તથા બોડો ત્રાસવાદીઓ સામે અભિયાન ચલાવવાનું હતું. આસામમાં આવેલી પેટ્રોલિયમ રિફાઇનરીની પાઇપલાઇન ઉડાવી મૂકનારા ULFA ત્રાસવાદીઓ તથા બોડોલૅન્ડની માગણી માટે આસામના ચ્હાના બગીચામાં કામ કરનાર મજુરોની નિર્ઘૃણ હત્યા કરનાર ત્રાસવાદીઓ સામે તેમણે આક્રમક પેટ્રોલીંગ, સંરક્ષણ અને ઉગ્રવાદીઓના કૅમ્પ નષ્ટ કરી દેશદ્રોહીઓની પ્રવૃત્તિ પર નિયંત્રણ કર્યું.
મેજર જનરલ પીયૂષ ભટ્ટ, SM, VSM (Retd) હાલમાં અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
મારી નજર સામે હજી પણ પાકિસ્તાનના મહારાજકે ગામમાં આવેલી જમરૂખની વાડીમાં પ્રથમ વાર મળેલા હેલ્મેટ,ખુખરી અને રાઇફલધારી કૅપ્ટન મારી સાથે હસ્તધુનન કરી પરિચય આપે છે, “I am Capt. Bhatt..”

Friday, September 18, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" ભાગ ૩

બારામુલ્લા (કાશ્મીર) ૧૯૭૯.

સમયનું વહેણ નદીની ધારા જેવું છે. તેમાં પૂર આવતાં રહે છે અને આપણે તેમાં તણાતા જઇએ છીએ. ક્યારે ક્યાં ફંગોળાઇ જઇશું, ક્યા કાંઠા પર પડીશું તેનો અંદાજ કોઇને આવી શકતો નથી. ૧૪ વર્ષ વિતી ગયા. આર્મર્ડ ડિવિઝન, ગોરખા પલ્ટન, મહારાજકે અને કલ્લેવાલી સમયના વહેણમાં ખોવાઇ ગયા. અત્યારે જીપ્સી બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં ડેપ્યુટી કમાન્ડન્ટના (મેજરના સમકક્ષ) હોદ્દા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇએ ફરજ બજાવી રહ્યો હતો. એક દિવસ હુકમ આવ્યો કે બારામુલ્લા ખાતે ડિવિઝનના અફસરોનો મેળાવડો યોજવામાં આવ્યો છે, અને તેમાં મારે હાજર રહેવાનું છે.
તે રાતે સખત ટાઢ પડી હતી. હું મારા સાથીઓ સાથે તાપણાં પાસે રમનો ગ્લાસ લઇને ઉભો હતો ત્યાં અચાનક મારી પાસે પીયૂષ ભટ્ટ આવ્યા. તેમણે મને દૂરથી જોયો અને સામે ચાલીને મળવા આવ્યા. હું તો અત્યંત ખુશ થઇ ગયો. મારા સાથીને તેમનો પરિચય કરાવતાં કહ્યું, “આ મારા ઘણા જુના મિત્ર મેજર ભટ્ટ છે. ૧૯૬૫ની લડાઇમાં અમે સાથે હતા...” અને મારૂં ધ્યાન તેમના પર્કા પર કર્નલની રૅંકના ચિહ્નો તરફ ગયું. “સર, માફ કરશો. મને આપની રૅંકનો ખ્યાલ ન રહ્યો.”
કર્નલ ભટ્ટ હસી પડ્યા. “ અરે દોસ્ત, એવી ચિંતા નથી કરવાની. આટલા વર્ષે મળ્યા એનો આનંદ એટલો છે કે બીજી બધી વાતો અનાવશ્યક બની જાય છે.”
“આપ કર્નલ ક્યારે થયા?” મેં પૂછ્યું.
“થોડો જ સમય થયો. આમ તો મારૂં પ્રમોશન એક વર્ષ પહેલાં થયું હતું અને મને અન્ય બટાલિયનનો કમાન્ડ લેવાની અૉફર આવી. મને મારી પહેલવહેલી બટાલિયન 5/9 ગોરખા રાઇફલ્સનો કમાન્ડ જોઇતો હતો, તેથી એક વર્ષ રાહ જોવી પડી.”
મિલીટરીમાં અફસર તરીકે ભરતી થનાર દરેક અફસરની મહેચ્છા હોય છે કે જે બટાલિયનમાં તેમની પ્રથમ નીમણૂંક થાય તેના કમાન્ડીંગ અૉફિસર બનવાનું સદ્ભાગ્ય તેમને મળે. કર્નલ ભટ્ટનો એક વર્ષ સુધી પ્રમોશન મોકૂફ રાખવાનો નિર્ણય તેમની પ્રતિભાને અનુરૂપ હતો.
"૧૯૭૧ની લડાઇમાં અાપ ક્યાં હતા?" મેં પૂછ્યું.
“૧૯૬૫ની જેમ ૧૯૭૧ની લડાઇમાં પણ મજાની વાત થઇ ગઇ..”
૧૯૭૦ના અંતમાં તેમની બદલી મેજરના હોદ્દા પર ભુતાનમાં થઇ હતી ત્યારે તેમણે સ્ટાફ કૉલેજની એન્ટ્રન્સ પરીક્ષા આપી અને પાસ થયા. આ પરીક્ષા અત્યંત કડક હોય છે: તેમાં બેસનારા અફસરોમાંથી કેવળ ૩ કે ૪ ટકા પાસ થતા હોય છે. ૧૯૭૧માં વેલીંગ્ટનમાં આ કોર્સ શરૂ થવાને થોડી વાર હતી તેવામાં યુદ્ધનાં વાદળો છવાયા. કોર્સને મુલત્વી રખાયો અને અફસરોને તેમના યુનિટમાં જવાનો હુકમ અપાયો. મેજર ભટ્ટને ડેરા બાબા નાનક ખાતે આવેલી વિશ્વવિખ્યાત 1/9 ગોરખા રાઇફલ્સમાં રિપોર્ટ કરવાનો હુકમ અપાયો.
મેજર ભટ્ટ ડેરા બાબા નાનક પહોંચ્યા અને પોતાની નવી કંપનીના જવાનોને મળે તે પહેલાં લડાઇ શરૂ થઇ. આપણા સૈન્યમાં અફસર અને તેમના જવાનો વચ્ચે અદૃશ્ય પણ અતૂટ સંબંધ હોય છે. તેનો પાયો હોય છે પરસ્પર વિશ્વાસ, ભાવૈક્ય અને અફસરની નેતૃત્વ શક્તિ. આ ત્રણે વાતોનો સમન્વય થવા માટે મહિનાઓ-વર્ષો લાગી જતા હોય છે, કારણ કે આ સમયમાં તેઓ એક પરિવારની જેમ રણભુમિ જેવી સ્થિતિમાં સાથે રહી, યુદ્ધનો અભ્યાસ કરતા હોય છે. તેમાં જવાનોને ખ્યાલ આવે છે કે તેમના નેતાના ખભા પર પોતાના પ્રાણની રક્ષાનો ભાર મૂકી શકાય કે નહિ. બાકી ખરી પરીક્ષા તો યુદ્ધમાં ગોળીઓના વરસાદમાં નેતા કેવી રીતે તેમને વિજયના પથ પર દોરી જાય છે. શાંતિના સમય દરમિયાન કંપની કમાન્ડર દરેક જવાનના ગામ, પરિવાર, તેની કૌટુમ્બીક પરિસ્થિતિ વિશે માહિતગાર થઇ તેમના પરિવારના સદસ્ય જેવા બની જાય છે. અહીં મેજર ભટ્ટ તેમના જવાનોને મળે, ઓળખે તે પહેલાં યુદ્ધ શરૂ થયું. આગળની વાત તેમના જ શબ્દોમાં:
“1/9 GRની ‘બ્રૅવો’ કમ્પનીનો કમાન્ડ લઇને ત્રણ દિવસ પણ નહોતા થયા અને મને અૅટેક કરવાનો હુકમ મળ્યો. આ ત્રણ દિવસમાં હું ફક્ત મારી કમ્પનીના પ્લૅટૂન કમાન્ડર્સ તથા કમ્પની સાર્જન્ટ મેજરને ઓળખવા લાગ્યો હતો અને ૧૨૦ સૈનિકો - જેઓ મને ઓળખતા નહોતા તેમની આગેવાની થઇ મારે દુશ્મન પર હુમલો કરવાનો હતો.
પંજાબમાં રાવિ નદીના પૂર ખાળવા માટે ધુસ્સી બંધ બાંધવામાં આવ્યો છે. ડેરા બાબા નાનક નજીક પૂરનું જોર ભારે હોવાથી ત્યાં ધુસ્સી બંધની ત્રણ ગોળાકાર હરોળ બાંધવામાં આવી. આ ‘રીંગ બંધ’ના નામથી ઓળખાય છે. દુશ્મને આ ત્રણે હરોળ પર કબજો કર્યો હતો. અમને તેના પર હુમલો કરી, રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને ઉખેડી તેને પાછી મેળવવાનો હુકમ મળ્યો. મેં જગ્યાનું છુપી રીતે નિરીક્ષણ કર્યું અને હુમલાની યોજના બનાવી. રીંગ બંધની દરેક હરોળ પર એક પછી એક પ્લૅટૂન દ્વારા હુમલો કરી કબજે કરવાનો નિશ્ચય કર્યો. આ વખતે દરેક પ્લૅટૂનની આગેવાની લેવાનું મેં નક્કી કર્યું. પહેલી હરોળ કબજે કરી જીતની નિશાની અાપતાં બીજી પ્લૅટૂન મારી પાસે આવી પહોંચે, અને તેને લઇ બીજી હરોળ પર ખાબકવાનું! આમ ત્રણે હરોળ પરના હુમલામાં મારા જવાનો સાથે હું રહીશ એવું જણાવતાં જવાનોનો ઉત્સાહ વધી ગયો.
“દુશ્મનને લાગ્યું હતું કે અમે સામેથી હુમલો કરીશું. મેં તેમની ડાબી પાંખ (flank) પર હુમલો કર્યો. અમે ચૂપકીદીથી અૅડવાન્સ કરી દુશ્મનની હરોળથી ૧૦૦ મીટર સુધી પહોંચી ગયા, અને મારી નિશાની પર “આયો ગોરખાલી”ની ત્રાડ પાડી અમે ધારદાર ખુલ્લી ખુખરી વિંઝતા જઇ દુશ્મન પર હુમલો કર્યો. પરમાત્માની કૃપાથી મારી યોજના સફળ થઇ. ઝડપથી અમે રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને હઠાવ્યો."
કલ્પના કરી જુઓ: એક ગુજરાતી અફસર ગોરખાઓ સાથે હાથમાં ભયાનક ખુખરી વિંઝતા દુશ્મન પર “આયો ગોરખાલી”ના યુદ્ધ-નિનાદથી દોડી જતો જોવાનું દૃશ્ય કેવું અદ્ભૂત અને રોમાંચકારક હશે!
કર્નલ ભટ્ટે કહ્યું, “મારી કામગિરી આટલેથી અટકી નહોતી. અમને માહિતી મળી કે રાવિ નદીના કિનારા પર આપણી રક્ષાપંક્તિમાં ખામી રહી ગઇ હતી. અમારી બ્રિગેડ તથા અમારા ડાબા પડખા પર આવેલી બ્રિગેડ વચ્ચેના વિસ્તારમાં gap હતો. દુશ્મનને તેની જાણ થતાં તે રાવિ નદી પાર કરી ઠેઠ અમૃતસર તરફ કૂચ કરી શકે તેમ હતું. આવું થાય તો આખા અમૃતસર સેક્ટર તથા ગુરદાસપુર - પઠાણકોટનો ધોરી માર્ગ તેમના હાથમાં પડી જાય તેવી સ્થિતિ હતી. તેથી રાતોરાત મારી જવાબદારીના સેક્ટરમાં આવેલી જગ્યાએ મારી કંપનીને માઇન્સની જાળ બીછાવવાનો હુકમ મળ્યો.
(નોંધ: અહીં વાચકોને કદાચ યાદ હશે કે "ખોવાયેલા સૈનિકોની શોધમાં"ના શિર્ષક હેઠળ જીપ્સીની ડાયરીમાં વર્ણન કર્યું હતું કે ડેરા બાબા નાનકના છ-સાત કિલોમીટરના વિસ્તારમાં જીપ્સીએ આપણી રક્ષાપંક્તિ-વિહીન સ્થાન જોયું હતું અને તેનો રિપોર્ટ બ્રિગેડ કમાન્ડરને આપ્યો હતો. આ માહિતીના પરિણામે તે જગ્યાએ માઇન્સ બીછાવવા ભટ્ટસાહેબની કંપની ગઇ હતી.)
“મારી કંપનીને જ્યાં માઇન્સ બીછાવવાની હતી ત્યાંથી આપણી હિલચાલ પર નજર રાખવા માટે દુશ્મને ખડી કરેલ ‘અૉબ્ઝર્વેશન પોસ્ટ' કેવળ સો મીટર દૂર હતી. માઇનને જમીનમાં પૂર્યા પછી તેને ‘આર્મ’ કરવામાં જરા જેટલી ભૂલ થાય તો માઇન બીછાવનાર જવાનના ફૂરચેફુરચા ઉડી જાય. રાતના અંધકારમાં અમારૂં કામ પૂરૂં થવા આવ્યૂં ત્યાં પરોઢના ભળભાંખડામાં દુશ્મનનો નિરીક્ષક અમને જોઇ ગયો. તેણે તરત જ અમારા પર તોપખાનાના ગોળા વરસાવવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે તોપના ગોળાના ફ્યૂઝ તેની ટોચ પર હોય છે, જેથી ગોળો જમીન પર પડે કે તે ફાટે. કેટલાક ફ્યૂઝમાં timer હોય છે જેથી ગોળા હવામાં જ ફાટે અને તેની જીવલેણ કરચ વરસાદની જેમ સૈનિકો પર પડે. દુશ્મને અમારા પર આ પ્રકારના ગોળા છોડવાનું શરૂ કર્યું. આકાશમાં બૉમ્બ ફૂટતાં ઉપરથી ધારિયા જેવી કિલો-બે કિલો વજનની ઘાતક shrapnel વરસાદની જેમ અમારા પર પડવા લાગી. મારા કેટલાય સૈનિકો ઘાયલ થયા અને ઘણા જવાનોએ પ્રાણની આહુતિ આપી. આવી ભારે કરચ સનનન કરતી આવીને મારા શરીરથી બે-ત્રણ ઇંચ નજીક વરસતી હતી. તમે પોતે ૧૯૬૫માં આનો અનુભવ કર્યો છે તેથી તેની ભયાનકતા તમે જાણો છે. આ વખતે પરમાત્માએ મને કદાચ એટલા માટે જીવનદાન આપ્યું કે એક દિવસ કદાચ હું તમને મારી વાત કહી શકું.”
(વધુ આવતા અંકમાં...)

Thursday, September 17, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" ભાગ ૨

કેપ્ટન ભટ્ટ અને લેફ્ટનન્ટ નરેન્દ્ર: એક જ શહેરના રહેવાસી, પણ એકબીજા વિશે અમને ખબર નહોતી. ઝાંસીની આસપાસના જંગલોમાં આ અગાઉ થયેલી એક્સરસાઇઝમાં પણ અમે મળ્યા નહોતા. મળ્યા તો પાકિસ્તાનના ચરવાહ પાસેના મહારાજકે ગામની જમરૂખની વાડીમાં! જ્યાં અમારા પર શત્રુની બૉમ્બવર્ષા ગમે ત્યારે તૂટી પડતી હતી.
ત્યાર બાદ લડાઇએ એવું તે જોર પકડ્યું કે ન પૂછો વાત.
ફિલ્લોરાના યુદ્ધમાં ગોરખા રાઇફલ્સની ફતેહ એક ઐતિહાસીક બનાવ હતો. તેનું વર્ણન 'જીપ્સીની ડાયરી'ના માર્ચ મહિનાના અંકોમાં લખવામાં આવી છે તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. કેવળ કૅપ્ટન ભટ્ટની કામગિરીની વાત કહીશ.
ફિલ્લોરા પરના વિજય બાદ અમારી રક્ષાપંક્તિ પર દુશ્મનની ટૅંક્સ ગોળા વરસાવી રહી હતી. તેમાંની એક ટૅંક અમારી નજીકના ‘No man’s land’માં હતી. શેરડીના ખેતરમાં તેમણે એવી રીતે સંતાડી હતી કે તેને શોધવી મુશ્કેલ હતી. કૅપ્ટન ભટ્ટને આ ટૅંક શોધી તેને ઉડાવી દેવાનું કામ સોંપવામાં આવ્યું. વાઘનો શિકાર કરવા પગપાળા જવા સમાન આ ખતરનાક કામ હતું. સ્વાભાવિક છે કે આ કામ પર જનાર ટુકડીને ‘ટૅંક હન્ટીંગ પાર્ટી’ કહેવામાં આવે છે.
રાતના અંધારામાં કૅપ્ટન ભટ્ટની આગેવાની નીચે તેમના જુનિયર કૅપ્ટન ગાંગુલી અને છ સૈનિકોની ટુકડી નીકળી. અવાજ કર્યા વગર તેઓ શેરડીના ખેતરમાં ઉતરી દુશ્મનની મોરચાબંધીમાં ગયા. ઇન્ફન્ટ્રીની ટુકડીનું આ કામ સહેલું નથી હોતું. બે દિવસ ઉપર છઠી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ મનોહર આ કામ પર ગયા હતા અને શહીદ થયા હતા. તે સમયે પાકિસ્તાનની ટૅંક્સ પાસે ઇન્ફ્રારેડ દૂરબીન હતી તેથી તેઓ રાતના અંધકારમાં પણ જોઇ શકતા હતા. કૅપ્ટન ભટ્ટ, ગાંગુલી અને તેમના સૈનિકો ચિત્તાની જેમ ચપળતાથી જમીન પર સરકતા ટૅંકની નજીક પહોંચ્યા અને ટૅંક પર ચઢી, તેનું હૅચ ખોલી તેમાં ગ્રેનેડ નાખીને ત્યાંથી દૂર નીકળી ગયા. ગ્રેનેડના ધડાકાથી ટૅંકની અંદરના દારૂગોળાનો વિસ્ફોટ થયો અને ટૅંક ઉદ્ધ્વસ્ત થઇ. સફળતાપૂર્વક કાર્ય પૂરૂં કરી કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો સહિસલામત પાછા આવ્યા.
ફિલ્લોરાની સફળતા બાદ એક દિવસનો આરામ મળ્યો અને અમને બીજી કામગિરી મળી: કલ્લેવાલી નામના ગામની નજીક દુશ્મનની મોરચાબંધી પર હુમલો કરી તેના પર કબજો કરવાનું. કલ્લેવાલીમાં ફર્મ બેઝ (સુરક્ષાપટ) બનાવ્યા બાદ ત્યાં આવનારી બટાલિયનને આગળ આક્રમક કારવાઇ કરવાની હતી. તેમના પર બૉમ્બવર્ષા ન થાય તે માટે દુશ્મનનું ધ્યાન બીજે દોરવાનું કામ કૅપ્ટન ભટ્ટને સોંપાયું. આ માટે તેમણે કુનેહપૂર્વક યોજના કરી. તેમની થ્રી-ઇન્ચ મૉર્ટર પ્લૅટૂનને લઇ તેઓ ફર્મ બેઝની પૂર્વ દિશામાં ૭૦૦-૮૦૦ ગજ દૂર ગયા. ત્યાં મૉર્ટર્સ ગોઠવી દુશ્મનની હરોળ પર તેજ ગતિથી ગોલંદાજી કરી, તરત જ મૉર્ટર્સ ઉંચકી મૂળ સ્થાનની વિરૂદ્ધ દિશામાં દોડી ગયા. આનું કારણ એ હતું કે દુશ્મન પાસે એવા ઉપકરણ હતા જેની મદદ વડે જ્યાં આપણી તોપનો ગોળો પડે તેનો reverse angle કાઢી આપણી તોપ/મૉર્ટરનું સ્થાન શોધી શકતા હતા અને થોડી મિનીટોમાં જ આપણી પોઝીશન પર ગોળા વરસાવતા હતા. દુશ્મન આ કાર્યવાહી કરે તે પહેલાં કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો બીજા સ્થાન પર પહોંચી જતા, અને ત્યાં પહોંચીને અગાઉની જેમ મૉર્ટરનું શેલીંગ કરી સ્થાન બદલતા રહ્યા. આ કારણે તેઓ પોતે દુશ્મનની તોપથી બચતા ગયા,અને ફર્મ બેઝ પરથી દુશ્મનનું ધ્યાન બીજે દોરતા રહ્યા. આ કામ સહેલું નહોતું: એક એક મૉર્ટરનું વજન ૫૦ કિલોગ્રામ હોય છે, અને તેના એક એક ગોળાનું વજન ૭-૮ કિલોનું હોય છે. આવી ત્રણ મૉર્ટર્સ અને ૩૦ ગોળાઓ ઉંચકીને કૅપ્ટન ભટ્ટ અને તેમના જવાનો પાકિસ્તાનની આપણા માટે સાવ અજાણી એવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને જતા હતા. આનું પરિણામ એ આવ્યું કે દુશ્મન કૅપ્ટન ભટ્ટે ખાલી કરેલી જગ્યા પર ગોળા વરસાવતા રહ્યા અને જ્યાં આપણી સેનાએ 'ફર્મ બેઝ' બનાવ્યો હતો તે સુરક્ષીત રહ્યો.
આપણી સેના અલ્હર સ્ટેશન સુધી પહોંચી હતી અને સિયાલકોટ તરફ આગળ વધીએ તે પહેલાં તાશ્કંદમાં રશિયાની મધ્યસ્થીમાં યુદ્ધવિરામ થયો. આપણી સેનાને શાંતિના સ્થળે જવાના હુકમ અપાયા. મારી બટાલિયન અંબાલા ગઇ અને કૅપ્ટન પીયૂષ ભટ્ટ તથા તેમની ગોરખા પલ્ટન બીજા શહેરમાં ગયા. સમ્પર્ક ન રહ્યો, પણ સ્મૃતી તાજી રહી. વળી વાત અહીં પૂરી નહોતી થઇ.
આગળની રસપ્રદ વાત આવતા અંકમાં!

Wednesday, September 16, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" ભાગ ૧

કૅપ્ટન પીયૂષ: ૬ સપ્ટેમ્બર ૧૯૬૫

મિલીટરીમાં સૈનિકો અને અફસરો બે વસ્તુઓની ચાતકની જેમ રાહ જોતા હોય છે: એક તો ઘેરથી આવતા પત્રની અને વર્ષમાં મળતી બે મહિનાની ‘અૅન્યુઅલ લીવ’ની. આ રજામાંનો એક એક દિવસ પોતાના સ્વજન-પરિવારની સાથે ગાળી તેની યાદને વર્ષના બાકીના દિવસોમાં માતાએ બનાવેલ અથાણાંની જેમ ચલાવવી પડે. કોણ જાણે ફરી ક્યારે રજા મળે!
આવી જ રીતે બે મહિનાની રજા પર ગોરખા રેજીમેન્ટના યુવાન કૅપ્ટન પીયૂષ અમદાવાદ આવ્યા હતા. થોડા દિવસ સગાવહાલાંઓને મળવામાં ગાળ્યા અને એક દિવસ મિત્રની સાથે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સવારે શહેરમાં જઇ ટિકીટનું અૅડવાન્સ બુકિંગ કર્યું અને બપોરનું ભોજન કરવા બેઠા. સાથે રેડીયો અૉન કરી વિવિધ ભારતીમાં સુંદર ગીત સાંભળતા હતા ત્યાં અધવચ્ચે ગીત બંધ થયું અને આકાશવાણીના અૅનાઉન્સરના ગંભીર શબ્દો સંભળાયા:
“એક અગત્યની સૂચના. રજા પર ઘેર ગયેલા બધા સૈનિકો તથા અફસરોને સૂચના આપવામાં આવે છે કે તેમની રજા રદ કરવામાં આવી છે. તેમણે તરત જ પોતાના યુનિટમાં પાછા પહોંચી જવું. આ અંગેના લેખિત હુકમ દરેક સૈનિકને મળી જશે. સૂચના સમાપ્ત થઇ.”
લેખિત હુકમની રાહ જુએ તેવા આ અફસર નહોતા. ભોજન પતાવીને તેમણે સામાન પૅક કર્યો અને સીધા કાળુપુર સ્ટેશન પર પહોંચી ગયા. મિલીટરીના મૂવમેન્ટ કન્ટ્રોલ અૉફિસરને મળી પોતાના યૂનિટનું ‘NRS’ - નીયરેસ્ટ રેલ્વે સ્ટેશન ક્યાં છે તે પૂછ્યું.
“5/9 GR? એક મિનીટ, સર..... તેનું NRS પઠાણકોટ છે.”
નવમી ગોરખા રાઇફલ્સ રેજીમેન્ટની પાંચમી બટાલિયનના આ સંજ્ઞાત્મક અક્ષરો 5/9 GR થી ઓળખાય છે.
લગભગ ચોવીસ કલાકના પ્રવાસ બાદ કૅપ્ટન પઠાણકોટ પહોંચી ગયા. આમ તો તેમને રસ્તામાં જ ખબર પડી ગઇ હતી કે પાડોશી દેશ સાથે લડાઇ શરૂ થઇ ગઇ હતી. સ્ટેશન પર પહોંચતા તેમને કહેવામાં આવ્યું કે તેમનું યુનિટ પાકિસ્તાનમાં કોઇ unknown locationમાં છે. તમારા યુનિટના ‘બી-એશલૉન’ (રણભુમિમાં યુદ્ધ કરી રહેલા સૈનિકો માટે ભોજન, દારૂગોળો, રોજની ટપાલ વિ. તૈયાર કરી આગળ પહોંચાડવા માટેની નિર્ધારીત જગ્યા) સુધી પહોંચાડવાની અમે વ્યવસ્થા કરીશું. ત્યાંથી આગળ યુદ્ધભુમિ સુધી પહોંચાડવાનો બંદોબસ્ત તમારા ક્વાર્ટરમાસ્ટર કરી આપશે.”
કૅપ્ટન પિયૂષ સાંબા જીલ્લામાં પાકિસ્તાનની સીમા પર આવેલ એક ગામના પાદર પર આવેલ તેમના યુનિટના બી-અૅશલૉનમાં પહોંચી ગયા. લડાઇ પૂર જોશમાં ચાલી રહી હતી. યુદ્ધ ક્ષેત્રમાં જરા પણ આપણી સૈનિક કાર્યવાહી દેખાય કે દુશ્મન તરત તોપમારો શરૂ કરતો હતો. તેમના તોપખાનાનો FOO (ફૉર્વર્ડ અૉબ્ઝર્વેશન અૉફિસર) ક્યાંક સંતાયો હતો અને વાયરલેસ પર બૅટરી કમાન્ડરને માહિતી આપી આપણાં વાહનો પર અચૂક મારો કરવાતો હતો. ક્વાર્ટરમાસ્ટરે તેમની બટાલિયન ક્યાં છે તે તો જણાવ્યું, પણ ત્યાં સુધી તેમને લઇ જવા માટે અશક્તિ દર્શાવી. “છેલ્લા ચાર દિવસથી આપણી રાશનની ગાડીઓ બહાર નીકળે કે દુશ્મન તોપમારો કરે છે. તું આવ્યો તે પહેલાં જ તેમના વિમાનોએ ‘સ્ટ્રેફીંગ’ કરી આપણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આજે રાતે મોરચા પર જવાનો ફરીથી પ્રયત્ન કરીશું. તું રોકાઇ જા.”
“બસંતસિંહ, હું રાત સુધી રોકાવા તૈયાર નથી. મારે પલ્ટનમાં તરત પહોંચવું છે. દિવસના અજવાળામાં ચાલી નીકળીશ તો સાંજ સુધીમાં પહોંચી જઇશ.”
બસંતસિંહ આ સુકલકડી પણ ટટ્ટાર બાંધાના પોતાના સાથી અફસર તરફ જોઇ રહ્યો. પીયૂષે સવારમાં મળેલ સિચ્યુએશન રીપોર્ટમાં જોયું કે તેમની બટાલિયન ક્યા સ્થાન પર છે. નકશો જોઇ તેમણે ગ્રીડ રેફરન્સ કાઢ્યો અને નીકળવાની તૈયારી કરી. કૂચ કરવા માટે ૧૭ કિલો વજનની ઇક્વીપમેન્ટ પીઠ પર ચડાવી, રાઇફલ ખભે ટાંગી અને કમર પર ખુખરી બાંધી. બે દિવસનું એમર્જન્સી રાશન, પાણીની બાટલી, નકશો અને પ્રીઝ્મેટીક કમ્પાસ લઇ ભર બપોરના એકલાજ નીકળી પડ્યા. રસ્તામાં બૉમ્બવર્ષા થાય તો ખેતરની પાળ આડે પોઝીશન લે, અને વાતાાવરણ શાંત પડે કે તરત આગેકૂચ શરૂ. વચ્ચે જ રોકાઇને હોકાયંત્રમાં અંશ-કોણ તપાસી યોગ્ય દિશામાં જઇ રહ્યા છે કે નહિ જોઇ તેઓ કૂચ કરતા રહ્યા. રાતના સમયે તેઓ પાકિસ્તાનના મહારાજકે ગામની સીમમાં ખાઇઓમાં ડીફેન્સીવ પોઝીશનમાં બેઠેલી બટાલિયનના હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે કમાન્ડીંગ અૉફિસર કર્નલ ગરેવાલ ચકિત થઇ ગયા. ૩૬ કલાક અગાઉ મોકલાવેલા તારના જવાબમાં કેવળ સો-બસો કિલોમીટરના અંતરે રહેતા અફસર હજી બટાલિયનમાં પહોંચ્યા નહોતા. અહીં તો લગભગ હજાર કિલોમીટરથી પણ વધુ દૂર રહેતા કૅપ્ટન પીયૂષ પાકિસ્તાનમાં અજાણી જગ્યાએ સતત ટ્રેન, ટ્રક અને પગપાળા નકશા-હોકાયંત્રની મદદ વડે પહોંચી ગયા હતા.

જીપ્સીની વાત:

સપ્ટેમ્બરની ૨જી તારીખની રાત હું કદી ભૂલી નહિ શકું. અૉફિસર્સ મેસમાં જમીને મારો સાથી લેફ્ટનન્ટ સમદ્દર (સૅમી) અને હું અમારા તંબુની બહાર બેસી વાતો કરી રહ્યા હતા. અચાનક અમારી બટાલિયન તથા આજુબાજુના યુનિટ્સની વચ્ચે આવેલા મોટા ચોગાનમાં ૪૦-૫૦ કૂતરાં ભેગા થયા. બે કૂતરા ભેગા થાય તો સીધા લડવા લાગે. અહીં તો તેમની જાણે એક કંપની પરેડ ગ્રાઉન્ડ પર આવી ગઇ હોય તેમ શિસ્તબદ્ધ થઇને મોટા કુંડાળામાં બેસી ગયા અને સામુહિક રૂદન શરૂ કર્યું. બચપણમાં મને આવા મૃત્યુપૂર્વે જ ગવાતા હોય તેવા મરસિયા જેવા શ્વાનરૂદનનો દુ:ખદ અનુભવ હતો. મારાથી બોલાઇ જવાયું “Sammy, this is ominous. I think it’s war.”
છેલ્લા છ’એક મહિનાઓથી અમે યુદ્ધ માટે પંજાબમાં તૈયાર હાલતમાં બેઠા હતા, પણ બ્યુગલો વાગતા નહોતા. સૅમીને કહેલા શબ્દો હવામાં વેરાય તે પહેલાં અમારા કમાન્ડીંગ અૉફિસરનો ‘રનર’ (સંદેશ વાહક) ખરેખર દોડતો આવ્યો. તેણે કહ્યું, “જયહિંદ, સર. સીઓ સાહેબે આપને યાદ કર્યા છે.” અમે દોડતા જ હેડક્વાર્ટર્સમાં પહોંચ્યા.
અમારા સી.ઓ. કર્નલ રેજીનૉલ્ડ ગૉન (Gaughan) આયરીશ-ભારતીય હતા. તેમણે અમને ટૂંકા મૌખીક હુકમ આપ્યા. “આર્મર્ડ ડિવિઝન અૅસેમ્બ્લી એરીયા તરફ જવા માર્ચીંગ કરશે. NMB 0500 hours. વિગતવાર હુકમ તમારા કમ્પની કમાન્ડર આપશે.” NMB 0500 hours એટલે ‘નો મૂવ બીફોર ફાઇવ એ.એમ.’
બ્યુગલ વાગ્યું!
(માર્ચ ૨૦૦૯ના “જીપ્સીની ડાયરી”ના અંકોમાં આ વાતનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તેથી આપને સીધા પાકિસ્તાનના મહારાજકે ગામમાં આવેલી જમરૂખની વાડીમાં લઇ જઇશ.)
પાકિસ્તાનનું મહારાજકે ગામ. ૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની સવારે 5/9 GRના સીઓ કર્નલ ગ્રેવાલના બ્રીફીંગમાં મેં એક નવા અફસરને જોયા. મીટીંગ પતી ગયા બાદ હું તેમને મળ્યો અને મારો પરિચય આપ્યો.
“આય અૅમ કૅપ્ટન ભટ્ટ,” સ્મિત સાથે તેમણે પોતાનું નામ કહ્યું
“ભટ્ટ એટલે ગઢવાલના કે કુમાયૂંના?” મેં પૂછ્યું.
ભટ્ટ હસી પડ્યા. “બેમાંથી એકેયનો નહિ. હું ગુજરાતનો છું.”

(વધુ આવતા અંકમાં!)

Thursday, July 2, 2009

કભી અલવિદા ના કહેના...

કાશ્મિરના સંવેદનશીલ એવા પૂંચ-રજૌરી અને તંગધારના ‘high altitude’ વિસ્તારમાં લગભગ ત્રણ વર્ષ સેવા બજાવી અને બદલીનો સમય આવ્યો. સશસ્ત્ર સેનાઓમાં સામાન્ય શિરસ્તો છે કે અતિ પરીશ્રમભર્યા અને દુર્ગમ વિસ્તારમાં એક tenure પૂરો કરનાર અફસરોને પરિવાર સાથે રહી શકાય તેવા શાંત વિસ્તારમાં બદલી અપાતી હોય છે. ગુજરાતમાં મારું બે વાર પોસ્ટીંગ થયું હતું તેથી ત્રીજી વાર ત્યાં બદલી થાય તે અશક્ય હતું. મેં અમારા ડાયરેક્ટર જનરલને વિનંતી કરી કે મને જમ્મુ શહેરમાં પોસ્ટીંગ મળે. જનરલે મને જણાવ્યું કે જમ્મુનાં પોસ્ટીંગ થઇ ચૂક્યા હતા. હું ગુજરાતનો હતો તેની તેમને જાણ હતી તેથી તેમણે જ મને સૂચવ્યું કે જો મને ભુજ જવામાં કોઇ વાંધો ન હોય તો તેઓ તેની વ્યવસ્થા આસાનીથી કરી શકશે. મારા માટે આનાથી વધુ સારો મોકો કયો હોઇ શકે?
એક મહિના બાદ મારી ટ્રાન્સ્ફરનો અૉર્ડર આવ્યો.
ભુજમાં આવીને છ-સાત મહિના વિત્યા અને મને બ્રિટીશ હાઇકમીશનનો વિઝા માટેના ઇન્ટરવ્યૂનો પત્ર મળ્યો. મારી બે મહિનાની રજા બાકી હતી તેથી હું રજા પર ઊતરી ગયો. ત્યાર પછી તો ફાસ્ટ ફૉર્વર્ડ થતા વિડીયોની જેમ લંડન જવાનો દિવસ પણ અચાનક આવી પહોંચ્યો.
હિથરો અૅરપોર્ટ પર ઇમિગ્રેશન બૅરિયરની બહાર મને લેવા અનુરાધા, કાશ્મિરા અને રાજેન આવ્યા હતા. ચાર વર્ષ પહેલાં આ જ જગ્યાએ તેઓ મને મૂકવા આવ્યા હતા. આજે ઇમિગ્રેશન ચેકપૉઇન્ટથી અનુરાધા સુધી ચાલેલા ચાર પગલાંમાં ચાર વર્ષ વિતી ગયા હોય તેવું લાગ્યું. આ ચાર વર્ષની ખડતલ જીંદગી દરમિયાન રણના ખારાપાટ તથા હિમાચ્છાદિત પહાડો ખુંદી વળતા જીપ્સી તથા તેના સાથી સાર્જન્ટમેજર ગુરબચન સિંહ, બલબીરચંદ, ડૉક્ટર મોહાન્તી, અજીતપાલ, રવીન્દ્રન નાયર, ગજેન્દ્રસિંહ જામવાલ, કરમચંદ, દર્શન સિંહ, અજીતસિંહ, તોતારામ... બધાંની યાદોના ઓળા મારી આસપાસ જીવી રહ્યા હતા. સરકંડાના જંગલમાં કાળા તેતરનો અવાજ “સુભાન તેરી કુદરત”, રાતના અંધારામાં મારી તરફ તણાયેલી લાઇટ મશીનગનનો કૉક થવાનો અવાજ... કડક સ્વરે ‘હૉલ્ટ હુકમદાર’નો પડકાર...તંગધારના હિમાચ્છાદિત શિખર અને મારી નજર સામે થયેલો હિમપ્રપાત - આ બધા પ્રસંગો મને આખરી વિદાય આપી રહ્યા હતા. સાથે એક સંદેશ પણ અાપતા ગયા: Farewell My Friend!
ઇંગ્લન્ડ મારા માટે એક નવા અવતાર સમો દેશ નીવડ્યો. અહીં હું કેવળ નામધારી જીવ હતો. એક અનામી નાગરિક - A Man in a Grey Flannel Suit. લંડનની ટ્યુબ ટ્રેનમાં રાખોડી રંગના સૂટમાં પ્રવાસ કરતા હજારો વ્યક્તિઓમાંની એક. અહીં મારા ખભા પર મારી રૅન્કનું - અશોક-સ્થંભનું રાજચિહ્ન નહોતું. મારી ડીગ્રીની અહીં કોઇ કિંમત નહોતી. ઉમરના ૪૯મા વર્ષે મારે નવેસરથી જીવન શરૂ કરવાનું હતું. નવી જીંદગી અને અનિશ્ચિતતાની મોટી ખાઇ મારી સામે નવા પડકાર લઇને ઊભી હતી. હું તૈયાર હતો. ભારતીય સેનાએ, મારી બીએસએફની કારકિર્દીએ મને જીવનના કોઇ પણ પડકારને ઝીલવા માટે તૈયાર કર્યો હતો. એક લક્ષ્ય આપ્યું હતું. અહીં મારા બાળકોએ તેમના પિતા પરના હક્કના ખોયેલા ચાર વર્ષને અમારે સાથે મળીને શોધવાના હતા. મારા જીવનમાંથી ગુમ થયેલા તેમના હાસ્યનો રણકાર, તેમના બાલ્યજીવનના તોફાન અને આનંદની પળોને પાછા મેળવવાનો મુશ્કેલ પ્રયત્ન કરવાનો હતો. હિમાલયના પહાડોમાં બાળકોના સાન્નિધ્ય માટે તલસતા જીપ્સીને પોતાના કૌટુમ્બીક જીવનના ખોવાયેલા અમૂલ્ય દિવસો શોધવાના હતા.
હીથરો અૅરપોર્ટની બહાર અનુરાધા, કાશ્મિરા, રાજેન અને હું નીકળ્યા અને જોયું તો વાદળાં હઠી ગયા હતા. સૂર્ય ઝળહળી રહ્યો હતો.
અહીં જીપ્સીનું ભારત જીવન પૂરૂં થાય છે. આગળની જીંદગી એટલી રસપ્રદ નથી કે આપનો સમય બગાડીને મારૂં અપ્રેક્ષણીય જીવન ઉલેચવા લાગું. હા, મારા જીવનમાં કેટલાક પુણ્યાત્મા આવ્યા અને કેટલાક એવા મહાનુભાવ આવી ગયા જેમણે મારા જીવન પર ઘેરી અસર કરી. જીવન એક વધુ તક આપશે તો તેમની વાત ફરી કદી કહીશ. અત્યારે તો જીપ્સીના ‘ઝાઝા કરીને જુહાર વાંચશો અને રામે રામ’ કહી કૃતજ્ઞતાના કેટલાક શબ્દો કહી આપની રજા લઇશ.
હું એક average કહેવાય તેવો સામાન્ય માણસ છું. તમારી પાડોશમાં રહેતા, તમારા સુખ દુ:ખમાં સહભાગી થઇ તમારી ભાવનાઓને સમજી શકે તેવો માનવ. જીવનમાં થતી કોઇ વાત મને કષ્ટ પહોંચાડી શકે છે, તે અન્ય વ્યક્તિઓને એટલું જ દુ:ખ પહોંચાડી શકે છે, આ વાત હું જાણું છું. આ કારણે મેં હંમેશા પ્રયત્ન કર્યો છે કે મારા કોઇ વ્યવહારથી સામી વ્યક્તિને દુ:ખ ન પહોંચે. તેમ છતાં એક સનાતન સત્ય એ પણ છે કે માણસ ભુલ ન કરે તો તે દૈવી હસ્તી કહેવાય. હું સામાન્ય માણસ છું. અનેક વાર અજાણતાં કોઇને દુ:ખ પહોંચાડ્યું હશે. જ્યારે મારી ભુલનો મને અહેસાસ થયો ત્યારે મેં વ્યથિત વ્યક્તિની ક્ષમાયાચના કરી છે. મારા વડીલ સમાન ડૉક્ટર સાહેબે મને એક વાર કહ્યું હતું, “નરેન, ભુલ થઇ હોય તો માફી માગવામાં કદી પણ શરમ ન અનુભવવી. ક્ષમા માગવામાં આપણી માનવતા અને સંસ્કાર વ્યક્ત થાય છે. બીજી વાત: કોઇએ ક્ષમાયાચના કરી હોય તો તેનો સ્વીકાર કરવા માટે પણ એટલી જ ઉમદા grace અને humility હોવી જોઇએ. તેમાં જ માણસના અભિજાત સંસ્કાર અને અૌદાર્ય રહેલાં છે.”
સંવેદનશીલતા અને સહનશીલતાના સંસ્કાર મારામાં કોઇએ ઢાળ્યા હોય તો મારાં બાએ.
બાને અમે “બાઇ” કહીને બોલાવતા. જેવો મીઠો તેનો સ્વભાવ, એવો જ મધુર તેમનો અવાજ હતો. સુંદર અવાજે તેઓ પોતે જ લખેલા હાલરડાં ગાતા. અમારા સગા-સંબંધીઓને ત્યાં સંતાન જન્મે તો તેઓ બાને હાલરડું લખવા અને તેને સૂર આપવાનું કહેતા.
બાની મહત્તા વિશે લખવાની મારી પાસે શક્તિ નથી. એક દિવ્ય જ્યોતિને તથા તેના પ્રકાશને કેવી રીતે વર્ણવી શકાય?
બાએ પોતાની આત્મકથા લખી. પંજાબથી અમદાવાદ ગયા બાદ તેઓ સાવ એકલા પડી ગયા હતા. એકલતાના સમયમાં બાએ નોટબુકના પહેલા પાના પર શિર્ષક લખ્યું: “મારી જીવનકથા”
પોતાના હૃદયના અંતરંગની વાત કહેવા માટે તેમણે એક પાકા પૂંઠાની નોટબુકમાં “મારી જીવનકથા” લખી. તેમની શાંત મૂર્તિમાં કરૂણા અને ધૈર્યનો સાગર સમાયો હતો તે અમે કોઇ જોઇ ન શક્યા. ભલા, એક માછલું કેવી રીતે જાણે કે જે સાગરમાં તે રહ્યું, ઉછર્યું અને વિકાસ પામ્યું તે સાગર પર કેટકેટલાં તોફાનો અને સુનામીઓ આવી ગઇ? તેનું ઊંડાણ નાનકડાં માાછલાં કેવી રીતે માપી શકે? સાગરના ઉદરમાં અમે તો સુરક્ષીત રહ્યા. અમારો આશ્રયદાતા સાગર તો અનંતના મહાસાગરમાં વિલીન થઇ ગયો. માછલાં તરફડ્યા, પણ જીવી ગયા. તેમનો પણ અંત તો આવવાનો જ છે, પણ ઋણસ્વીકાર કર્યા વગર કેવી રીતે જવાય?
બાએ અમારા પર કરેલા અનંત ઉપકારોનું આભારદર્શન કરવા એક નાનકડું કામ અમારા હાથે થયું: બાની આત્મકથા - "બાઇ"ને પુસ્તકાકારે પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયું. વાચકો તથા સમીક્ષકોએ "બાઇ"ને વધાવી લીધું. ગુજરાતના સાહિત્યપ્રેમે એક અજાણી, અનામી મહિલાને પોતાના હૃદયમાં અનન્ય સ્થાન આપ્યું, તેમાં જેટલી મહત્તા બાઇની છે એટલી જ ગુજરાતના સાહિત્યપ્રેમી વાચકોની છે.
અહીં સૌ પ્રથમ તેમને અંજલી આપી તેમના અનંત સ્નેહ-ઋણનો સ્વીકાર કરૂં છું. કોઇ આત્માને માતા મળે, અને તેમની કૂંખમાંથી જીવ તરીકે જન્મ પામે, તો જ તેને માનવજીવનની ધન્યતા પ્રાપ્ત કરવાની તક મળે. બાએ મને જીવન આપ્યું, જીવન જીવતાં શીખવ્યું અને જે મૂલ્યો આપ્યા, તેનો વારસો ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો. જો કે મોટા ભાગે તેમાં હું નિષ્ફળ થયો, પણ તેમણે આપેલા મૂલ્યોના થોડા ઘણા અંશને ફળીભૂત કરી શક્યો હઇશ તો પણ તેમના પુત્ર તરીકે મારૂં જીવન ધન્ય થયું ગણીશ.
મિત્રો, આવજો ત્યારે. આજે એક સૈનિક Last Post નહિ વગાડે. હજી શ્વાસ બાકી છે અને 'મોડેસ્ટાઇન' (મારી ફાઉન્ટનપેન) હજી મારો ભાર ઉપાડી શકે તેવી સ્થિતિમાં છે. બનશે તો સાહિત્યના અન્ય કોઇ ઓવારા પર મળીશું.

Tuesday, June 30, 2009

૧૩૦૦૦ ફીની ઉંચાઇએ પણ બલા પીછો છોડતી નથી!

આટલી ઉંચાઇએ પણ બલા પીછો છોડતી નથી!!!

રોજ રાતે સૂતાં પહેલાં જવાનો અને તેમના નૉન કમીશન્ડ અૉફિસર બુખારી ફરતા બેસી સુખદુ:ખની વાતો કરે. અફસરો માટે જુદું બંકર. મારા તાબાની એક પ્લૅટુન પોસ્ટના કમાંડર તેજ ક્રિશન ભટ્ટ નામના એક કાશ્મિરી પંડીત હતા. એક રાતે તેઓ આવી જ રીતે જવાનો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. અચાનક તેમની નજર બંકરના પ્રવેશદ્વાર પર સ્થિર થઇ. ધીરે ધીરે જાણે આંખો કાચની હોય તેમ તેમાંથી નૂર ગયું. યાંત્રિક પુતળાની જેમ તેઓ ઉભા થયા અને સીધી લાઇનમાં ચાલવા માટે ડગલું ભર્યું. સામે જ ધગધગતી બુખારી હતી. તેમણે બન્ને હાથ વડે બુખારીને ઉંચકવાનો પ્રયત્ન કર્યો. હાથમાં ઉનના ગ્લવ પહેર્યા હતા, તે સળગી ઉઠ્યા. હથેળી પરની ચામડી બળી ગઇ, પણ ભટ્ટને તેની પરવા નહોતી, કે ન તો તેમને તેની કોઇ અસર થતી જણાઇ. જવાનો એક સેકંડ માટે તો વિમાસણમાં પડી ગયા, પણ બીજી જ ક્ષણે ત્રણ-ચાર જવાનોએ તેમને પકડીને પાછા ખેંચ્યા. પાટલી પર જબરજસ્તીથી સુવાડી તેમના પર સ્લીપીંગ બૅગ તથા કામળાઓ નાખી ઢાંકી દીધા. પ્લૅટુનમાં ફર્સ્ટ્ એડનો સામાન હતો તેમાંથી બર્નૉલ કાઢી તેમની હથેળી પર લેપ કર્યો. ભટ્ટની આંખો હજી બંકરના દરવાજા તરફ તાકી રહી હતી, પણ બળી ગયેલા હાથમાં થતી પીડાની તેમના પર કોઇ અસર વર્તાતી નહોતી. થોડી વારે તેઓ ભાનમાં આવ્યા અને તેમણે જે વાત કહી તેથી સહુ આશ્ચર્યચકિત થઇ ગયા. આ વાતની મને જાણ કરવામાં આવી, પણ મધરાત વિતી ગઇ હોવાથી હું બીજે દિવસે સવારે ભટ્ટની ચોકી પર ગયો. તેમની બન્ને હથેળીઓ જોઇ મને પણ નવાઇ લગી. આટલી હદ સુધી બળેલી હથેળી મેં કદી પણ જોઇ નહોતી. તેજ ક્રિશન એક જવાબદાર અફસર હતા અને ફોજમાં કોઇ અફસર પોતાના સિનીયર અફસર આગળ કદી મિથ્યા ભાષા બોલે નહિ. વળી જાણી જોઇને કોઇ પોતાના હાથ શા માટે બાળે? ભટ્ટે મને જે વાત કહી તે આ પ્રમાણે હતી.
“આવી ઉંચાઇ પર બલા (યક્ષીણી) રહેતી હોય છે એવી અમારા કાશ્મિરમાં માન્યતા છે. એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે જેમાં તેમનો ભોગ બનનાર માણસ જીવતો રહી શકતો નથી. આ એવી શરીરધારી ‘રુહ’ - આત્મા - હોય છે, જે ધારે ત્યારે માનવી રુપ ધારણ કરી શકે છે. જેને તે પસંદ કરે એ જ વ્યકતિ તેને જોઇ શકે એવી તેમની શક્તિ હોય છે.
“હું જવાનો સાથે વાત કરતો હતો ત્યાં બે સ્ત્રીઓ આવીને બંકરના દરવાજા પાસે ઉભી રહી. રુપનો અંબાર અને યૌવનથી થનગનતું શરીર જોઇ હું ચકિત થઇ ગયો. આગળ ઉભેલી સ્ત્રીએ મારી તરફ લોભાયમાન સ્મિત કર્યું અને મારી તરફ તેણે પોતાના બન્ને હાથ લંબાવ્યા, જાણે કહેતી હતી, ‘મારો સ્વીકાર કરો!’ મારી આંખ તેની આંખ સાથે મળતાં જ હું ભાન ગુમાવવા લાગ્યો. એક યાંત્રિક પુતળાની જેમ હું ઉભો થવા લાગ્યો અને બસ, હું બેભાન થઇ ગયો. શું કરી રહ્યો હતો તેની મને કશી જાણ ન રહી. જ્યારે પ્લૅટુનના જવાનોએ મારા મોઢા પર પાણી છાંટ્યું અને મને ભાન આવ્યું ત્યારે જ મને હાથમાં થતી અસહ્ય પીડાનો અનુભવ થવા લાગ્યો.”
આ વાત સાંભળી અમારા કાશ્મિરી સિવિલિયન ‘ગાઇડ-કમ્-પોર્ટરે’ કહ્યું, “સાહેબ, આ ચોકી પર બે બલાઓ રહે છે તેવી દંતકથા શાકા વૅલીના અમારા ગામમાં વર્ષોથી ચાલે છે. સાધના પાસ પાસેની ઝર્લાની ખીણમાં બલાઓ રહે છે તેવી જ બલાઓનો અહીં વાસ છે. ભટ્ટ સાહેબ નેક આદમી છે તેથી બચી ગયા. નહિ તો બલાની નજર સાથે એક વાર નજર મળી જાય તો તે માણસ જાનથી જાય.”
ભટ્ટે - કે અમારામાંથી કોઇએ શાકા વૅલીની બલાઓની દંતકથા સાંભળી નહોતી. આજે મને તેજક્રિશન ભટ્ટની વાત યાદ આવે છે ત્યારે તેમની બળેલી હથળીઓ મારી નજર સામે તાદૃશ્ય થાય છે. તે વખતે મનમાં આવેલ વિચાર ફરી તાજો થાય છે: દંતકથાઓ અને માન્યતાઓની પાછળ કોઇ સત્ય છુપાયું હશે? સત્ય અને માન્યતા વચ્ચે સંધ્યા સમયનો કોઇ પડદો છે? તેજક્રિશન ભટ્ટની સાથે થયેલ ઘટનાનું રહસ્ય શું હતું? Rarified atmosphereનો આ પ્રતાપ હતો? દિવાસ્વપ્ન? અસહ્ય ઠંડીમાં એકલતાને કારણે થતો ચિત્તભ્રમ - સ્કિત્ઝોફ્રેનિયા જેવો કોઇ પ્રકાર? ભટ્ટને કોઇ માનસિક બિમારી નહોતી. પોતાની ધગશ, બુદ્ધિમતા અને બહાદુરીને કારણે આગળ જતાં ભટ્ટ ડેપ્યુટી કમાન્ડન્ટના પદે પહોંચી ગયા હતા. તેમણે કહેલી વાત કપોલકલ્પિત હતી કે કેમ તે હું કહી શકું તેમ નથી. પરંતુ મારા જવાનોએ જે જોયું અને તેનું વર્ણન કર્યું તેને હું ગપગોળો નહિ કહી શકું. બીજી વાત: ભટ્ટના દાઝી ગયેલા હાથ મેં જાતે જોયા હતા. સામાન્ય બુદ્ધીને માન્ય ન થાય તેવી વાતને શું કહેવું, તે પણ સમજાતું નથી.
મારી પોતાની વાત કરૂં તો વિમલા પોસ્ટમાં હું કદી સરખી રીતે સૂઇ શક્યો નહોતો. બુખારી હોવા છતાં કદી ન સમજાય તેવી ભયાનક ઠંડી, મારા બંકરમાં કોઇનો પગરવ થયાનો આભાસ, બંકરની ભીંતમાંના છિદ્રોમાંથી આવતા પવનના સૂસવાટમાં નિદ્રા ક્યાંથી આવે? આખી રાત પુસ્તક વાંચવામાં જતી. ક્યારે નિદ્રા આવતી તેનો ખ્યાલ આવે તે પહેલાં મારો સાથી તોતારામ ‘બેડ-ટી’ લાવી જગાડે. હું તૈયાર થઉં ત્યાં મારા સાર્જન્ટ મેજર આવી રાત દરમિયાન થયેલી કોઇ માહિતીનો રિપોર્ટ લાવે. કંપની ક્લાર્ક બલબીર ચંદ ‘સિટ-રેપ’ (situation report) લખાવવા આવે. સામાન્ય રીતે અમારા સિટરેપમાં NTR (Nothing To Report) જ હોય. તેથી બલબીરચંદે સિટરેપનું નામ NTR પાડ્યું હતું. “સર, NTR લખાવવા અાવ્યો છું!” જો કે સિટરેપમાં અમારે હવામાનના સમાચાર આપવાના રહેતા તેથી દિવસ-રાતમાં મહત્તમ અને લઘુતમ ટેમ્પરેચર કેટલું હતું, વાતાવરણ ‘સાફ’ હતું કે તોફાન વાળું, એ લખવું પડતું. શૂન્યની નીચે બે આંકડામાં જતું તાપમાન આ કારણે જ યાદ રહી ગયું હતું.
આવતા અંકમાં જીપ્સીની supporting lifelineની વાત કરીશ.

પર્વતરાયની શરણમાં (૨)

શાકા વૅલીની આજુબાજુ સેંકડો ચોરસ કિલોમિટરના વિસ્તારમાં સરુ, દેવદાર અને પાઇન વૃક્ષોનાં ગીચ જંગલ છે. ત્યાંથી થોડી વધુ ઉંચાઇ પર ખાસ પ્રકારના પૉપ્લર ઉગે છે. તેના થડની છાલ નોટબૂક જેવા પાતળા કાગળની થોકડી જેવી. આના પર તમે પત્ર પણ લખી શકો! મોંઘી કિંમત પર મળતા ખાસ પ્રકારના મશરૂમ અહીંના જંગલમાં ચારે તરફ ઉગતા હોય છે, પણ રીંછ અને ચિત્તાના ભયને કારણે ગ્રામવાસીઓ અહીં આવતા નથી. દસ - અગિયાર હજાર ફીટની ઉંચાઇએ ‘tree line’ સમાપ્ત થાય.(ટ્રીલાઇન કેવી હોય છે જોવા અહીં ક્લીક કરશો. ટ્રીલાઇન બાદ ચઢાણ કેવા હોય છે તેનો અંદાજ અહીં આવશે!). ટ્રીલાઇન બાદ અહીંના પહાડ પર ઝાડ કે પાન ઉગતા નથી. અૉક્સીજનનું પ્રમાણ ઘટી જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય. વળી અહીંથી છેલ્લી ત્રણ હજાર ફીટની ઉંચાઇ અતિ કષ્ટદાયક અને સીધાં ચઢાણની. દર ત્રણ-ચાર પગલાંએ શ્વાસ લેવા-છોડવા પડે. નાજુક ફેફસાંવાળા અહીં ટકી ન શકે. અમે માર્ચીંગ કરી રહ્યા હતા ત્યાં નીચેના જંગલમાંથી વિકરાળ ત્રાડ સાંભળી.અમે થંભી ગયા. અમારા ગાઇડ ગુલામ હૈદર માટે જાણે આ સામાન્ય ઘટના હોય તેમ તેણે કહ્યું, “શાબ જી, યે બનબૂઢેકી આવાજ હૈ. ઇસ મૌસમમેં સાથી કો ઢુંઢને કે લિયે ઐસી હી પુકાર દેતા હૈ. ઇસ મૌસમમેં લકડી કાટને હમારી અૌરતેં જંગલમેં નહિ જાતીં.” આ બાબતમાં મેં તેને અનેક સવાલ પૂછ્યા. શાકામાં પણ આ બનબૂઢા પાછલા કેટલાક વર્ષોમાં આવ્યા હતા, અને તેને તે પ્રસંગો બરાબર યાદ હતા. હા, વળી આ જંગલમાં ‘કસ્તુરા’ (કસ્તુરી મૃગ), રીંછ અને ચિત્તાઓનો પણ નિવાસ છે, તેવું તેણે જણાવ્યું. કસ્તુરાનો શિકાર કરવાની મારી ઇચ્છા હોય તો તે મને લઇ જવા તૈયાર હતો! મેં તેને નમ્રતાપૂર્વક ના કહી, સૈનિકો પણ conservationists હોઇ શકે છે!
ચઢાઇના છેલ્લા પાંચસો ફીટ બાદ િશખર પર plateau હતો અને ત્યાં અમારી ચોકી. આ ઢાળ અત્યંત સિધો - એવો કે તેની ટોચ પર આવેલા કોઇ બંકર દેખાય નહિ. અમારે ત્યાં એવો શિરસ્તો હતો કે દૂરથી નિરીક્ષણ કરી રહેલ સંત્રીને શિખર તરફ આવતી આપણી ટુકડી દેખાય કે પોસ્ટ કમાન્ડર ચ્હાના થર્મૉસ, સૂકો મેવો વિ. લઇને તેમનું સ્વાગત કરવા નીચે આવે.
અસહ્ય ઠંડી વાળા આટલી ઉંચાઇ પર આવેલા શીત પ્રદેશમાં રહેવા સૈનિકો માટે કોઇ બૅરેક નથી હોતી. પહાડમાંથી ભેગા કરેલા પત્થરની ભિંત બનાવીને તૈયાર કરેલા બંકરમાં રહેવું પડે. બંકરની છત પર વળીઓ, તેના પર ટિનનાં પતરાંના છાપરાં. આ છાપરા પર માટીનો થર ચઢાવેલો હોય. બંકરની અંદર ગરમાવા માટે ‘બુખારી’ નામનું ટિનનું બંબા જેવું એક સાધન મૂકવામાં આવે. તેમાં બર્નર હોય છે. બર્નરમાં નળી દ્વારા કેરોસીનનાં ટીપાં પડે જેથી બુખારી આખી રાત બળતી રહી શકે. જો કે અમે તેવું કરી શકતા નહોતા. કેરોસીન બળે ત્યારે અતિશય ઠંડીને કારણે તેની ધુમ્રસેરનું ટાલ્કમ પાવડર જેવી ઝીણી મેશમાં રુપાંતર થતું. અમારા શ્વાસમાં આ મેશની રજકણ જવાથી ગળામાં અને નાકમાં તે ચોંટી જતી. માણસ થુંકે અથવા તેની ખાંસીમાંથી બલગમ નીકળે તો તે કાળા રંગનાં હોય. આથી રાતના સમયે થોડી હૂંફ આવે કે બુખારી ઓલવી, અમે લાકડાની પાટલીઓ પર મૂકેલી સ્લીપીંગ બૅગમાં પેસી જઇએ. સૂતી વખતે પણ બધા સ્નો બૂટ પહેરીને સ્લીપીંગ બૅગમાં જઇએ, કારણ બંકરની આાસપાસની જમીન પર બુખારીની ગરમીને કારણે બરફ પીગળીને અને જમીનના તળીયામાંથી પાણી બંકરમાં આવે. બુખારી ઓલવ્યા બાદ પણ જમીન પર પાણી તો રહે જ અને સવાર સુધીમાં તે જામીને બરફ થઇ જાય. ભુલથી પણ ઉઘાડો પગ આ પાણીમાં પડે તો વિંછીના ડંખ જેવું દર્દ થાય! એટલું જ નહિ, તેનાથી frost bite થવાની સંભાવના હોય છે. ફ્રૉસ્ટ-બાઇટનો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો તેનું gangreneમાં રુપાંતર થતાં વાર ન લાગે.
અસહ્ય ઠંડી તથા હવામાં અૉક્સીજનની કમીને કારણે રાતે ઉંઘ પણ ન આવે.. આટલી ઊંચાઇ પર હવાનું દબાણ ઓછું હોવાથી રસોઇ ચઢવામાં લાંબો સમય લાગતો હોય છે, તેથી દાળ -ભાત લાંબો સમય રાંધવા છતાં થોડા કાચા રહી જાય. આટલી ઉંચાઇએ આવેલ ચોકીમાં શિયાળાના દિવસોમાં એક સ્વચ્છ જગ્યાની આસપાસ લાલ દોરડાથી ‘માર્કિંગ’ કરવામાં આવે. આ અમારો જલ-સ્રોત! આ જગ્યામાં જામેલો બરફ ચૂલા પર રાખેલ ખાસ પ્રકારની ડોલમાં મૂકી ગરમ કરીને પાણી થાય ત્યારે તેનો ચ્હા-પાણી અને રસોઇ માટે ઉપયોગ કરવાનો!
સાંભળ્યું હતું કે આપણા ઋષીઓ તથા સંતો આવી જગ્યાએ રહીને તપ-સાધના કરતા. તેમનો વિચાર કરૂં છું ત્યારે મસ્તક શ્રદ્ધાથી નમી જાય છે.

Monday, June 29, 2009

પર્વતરાયની શરણમાં...

આજે નગાધિરાજના શરણમાં રહેતા જવાનોની વાત કરીશું.

સૈન્યની દરેક રક્ષાપંક્તિના સ્થળને નામ આપવામાં આવે છે - જેમકે 'પૉઇન્ટ ૬૩૫', 'પડા ચિનાર', 'લોન ટ્રી', અથવા પ્રથમ ચોકી સ્થાપનાર મિલીટરી કમાન્ડરની પ્રિય વ્યક્તિનું નામ. અમારા સેક્ટરની સૌથી દુષ્કર, ભવ્યાતિભવ્ય અને ગગનચુંબી પોસ્ટનું નામ હતું “વિમલા” - મારી માતાનું નામ! કર્મધર્મ સંયોગે છ મહિના બાદ મારી નીમણૂંક વિમલા પોસ્ટના સેક્ટર કમાંડર તરીકે થઇ.
વિમલા ક્ષેત્રની જમીનનાં દર્શન વર્ષના ફક્ત ચાર થી પાંચ મહિના થાય. તે વખતે અહીંનું દૃશ્ય નયનરમ્ય હોય છે. અહીં અદ્ભૂત અૌષધીગુણ ધરાવતા બનફશાહ નામના ઝીણાં નીલા રંગના ફૂલ ઉગે. તળેટીમાં રહેતા લોકો બનફશાહનાં ફૂલ - કિલોના બે-ત્રણ હજાર રૂપિયા મળે એવા મૂલ્યવાન ફૂલ ચૂંટવા અહીં આવે. લાલ, લીલી ઝાંયવાળા હેધર (heather)નાં shrub અને નાનાં નાનાં છોડ. બાકીના સાત મહિના બરફથી ઢંકાય. ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન એટલો બરફ પડે કે ચોકીના અમુક સ્થળોએ ૫૦ ફીટ બરફ જામેલો રહે. રાતે ઉષ્ણતામાન માઇનસ ૩૦થી ૪૦ ડીગ્રી હોય અને હવામાન કોઇ પણ પ્રકારની ‘ચેતવણી’ આપ્યા વગર બદલાય - એટલે બગડે. આવું થાય ત્યારે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી સૂસવાટા કરતો બરફથી સભર પવન - blizzard - ફૂંકાય. કોઇ ઉભું હોય ત્યાંથી એક મીટર દૂરની વસ્તુ ન દેખાય. સારું હવામાન હોય ત્યારે પેટ્રોલીંગ પર ગયેલી ટુકડી અચાનક વાતાવરણમાં ફેરફાર થવાથી બરફના તોફાનમાં સપડાય તો તેમને શોધવા અને રાહત આપવા અમારે જવું પડે. તેમની - અને અમારી સલામતીની જવાબદારી કેવળ પરમાત્માની. આવી ખરાબ મોસમી હાલતમાં ઘણી વાર વાયરલેસ સેટ પણ કામ ન કરે. કેટલીક વાર એવા પણ પ્રસંગ બને કે તળેટીમાં - એટલે કર્ણામાં ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે “વિમલા” અને મારી બીજી ચોકીઓ પર સૂર્યનો કોમળ, સોનેરી કળશ અમારા પર સુવર્ણરજ સમી રોશની વેરી રહ્યો હોય! કેટલીક વાર તો વિમલાના શિખર પર બેસીને અમે પચાસ ફીટ નીચે ઘટ્ટ જામેલાં વાદળાં જોઇ શકીએ. એવું લાગે જાણે પહાડ પરથી અમે અમારી નીચે ઘૂઘવતો સાગર જોઇ રહ્યા છીએ!
મે મહિનાથી જુલાઇ-અૉગસ્ટ સુધી વિમલા સેક્ટરમાં દસે’ક મહિનાની રસદ - કેરોસીન, ટીનમાં પૅક કરેલ શાક-ભાજી, દાળ, ઘઉંનો લોટ, ચોખા, કન્ડેન્સ્ડ મિલ્કના ડબા, સૂકો મેવો, ચ્હા, ખાંડ અને મસાલા જેવી સામગ્રી સ્થાનિક ટટ્ટુઓની વણઝાર પર લાદીને ‘ઉપર’ પહોંચાડવામાં આવે. મોસમનો પહેલો બરફ પડે એટલે ‘વિમલા’ સેકટરની પગદંડી પર ટટ્ટુઓની વણઝાર મોકલવું અત્યંત જોખમભર્યું થાય તેથી ચોકીઓ પર માલ સામાન મોકલવાનું બંધ! હવામાન સારું હોય તો હવાઇદળનું હેલિકૉપ્ટર અઠવાડિયામાં એક વાર જવાનોની ટપાલ લઇને આવે અને તેમણે લખેલા પત્રો લઇ જાય. ચોકી પર કોઇ સખત બિમાર પડે તો તેને હૉસ્પિટલ લઇ જવા માટે પણ હેલિકૉપ્ટર આવે. ભારતીય ટેલીવિઝન પર સંરક્ષણ બાબતોના નિષ્ણાત ગણાતા જનરલ અફસર કરીમ તે સમયે અમારા બ્રિગેડ કમાંડર હતા. તેઓ અંગત રીતે જવાનોની સંભાળ રાખતા, અને વિમલા ચોકી પર રહેતા સૈનિકો પર તેમનું ખાસ ધ્યાન રહેતું.
મારી કંપની અૅન શિયાળામાં “વિમલા” સેક્ટરમાં ગઇ. ત્યાં જવા બે દિવસ લાગે. સવારના દસે’ક વાગે ત્યાં જવા નીકળીએ અને ૭૫૦૦ ફીટની ઉંચાઇ વાળી ધારને ઓળંગી સામે પાર આવેલી ખીણ - શાકા વૅલી-માં સાંજના સાતે’ક વાગે પહોંચીએ. શાકા વૅલી સમુદ્રતટથી ૬૦૦૦ ફીટની ઉંચાઇ પર આવેલી નયનરમ્ય ખીણ છે. પુરાણોમાં વર્ણવેલ ગંધર્વ લોક કદાચ આ જ હશે! અહીંના જેવી સૌંદર્યશાળી બહેનો અને એટલો જ રૂપાળો પ્રદેશ મેં બીજે ક્યાંય જોયા નથી. શાકા વૅલીમાં જોયેલા સુંદર પતંગિયા સુદ્ધાં મને બીજે ક્યાંય જોવા મળ્યા નથી.
હું જ્યારે ‘વિમલા’ જવા નીકળ્યો ત્યારે મારી ટુકડીમાં કંપની સાર્જન્ટ મેજર ગુરબચન સિંહ, સિપાહી તોતારામ, કંપની ક્લર્ક બલબીર ચંદ અને ચાર પોર્ટર્સ હતા. તેમાંનો એક ગુલામ હૈદર સૌથી જુનો - અને વૃદ્ધ. સવારે દસ વાગે જમીને અમે નીકળ્યા. સાડા સાત હજાર ફીટની ઉંચાઇની ધાર પાર કરીને શાકા પહોંચ્યા ત્યારે રાતના આઠ વાગી ગયા હતા. શાકામાં રાત વાસો કરી અમે વહેલી સવારે ચાર વાગે ફરી પર્વત પર ચઢવાનું શરુ કર્યું. આ પર્વતરાજિમાં કેટલીક જગ્યાએ પહાડની કંદરાના કિનારા કોતરીને બનાવેલ પગદંડી ફક્ત પોણો-એક મીટર પહોળી છે. પગદંડીની કિનારની નીચેની ખીણ ૧૫૦૦ ફીટ ઉંડી છે. એક કિલોમીટર લાંબી આ પગદંડીને સવારના આઠ વાગ્યા પહેલાં પાર કરવી પડે કારણ કે આ સ્થળે હિમપ્રપાત - avalanche- હંમેશા આઠ વાગ્યા પછી ધસી આવતા હોય છે તેથી અમારે શાકામાંથી ચાર વાગે પ્રયાણ શરુ કરવું પડ્યું હતું. આ પહેલાં વખતસર આ જગ્યા પાર ન કરી શકવાને કારણે પૂરની જેમ ધસમસતા હિમપ્રપાતમાં તણાઇને કેટલાક જવાનો આ ઉંડી ખીણમાં પડી મૃત્યુ પામ્યા હતા. છ’એક મહિના બાદ બરફ પીગળે ત્યારે તેમનાં શબને શોધવા આ ઉંડી ખીણમાં ખાસ ‘સર્ચ પાર્ટી’ મોકલવી પડતી. આવી જ રીતે મારા તાબાની ચોકીઓ વચ્ચેની પગદંડી વીસ-પચીસ ફીટ બરફમાં દટાઇને અદૃશ્ય થઇ જતી, તેથી ત્યાં લાંબા વાંસડાઓ કતારબંધ ખોસી, વાંસના સૌથી ઉંચા છેડા પર લાલ રંગની રસ્સી બાંધી બીજા વાંસ સુધી લંબાવવામાં આવે. વાંસ પર કપડાં સુકાવવા માટે બાંધેલ દોરી જેવા લાગતા આ માનચિહ્ન સૈનિકો માટે જીવા દોરી સમાન હોય છે. આ દોરડાની નીચે ચાલીને જ બીજી ચોકીએ જવા બરફમાં ‘પદયાત્રા’ કરવી જરુરી હોય છે. મેં જ્યારે આ સેક્ટરનો ચાર્જ લીધો ત્યારે મને એવી બે જગ્યાઓ બતાવવામાં આવી, જે અત્યંત ઘાતક હતી. અહીં બરફ પડે ત્યારે બે િશખર વચ્ચે પૂલની જેમ બરફની કમાન થતી હોય છે. આને અંગ્રેજીમાં cornice કહેવાય છે(કૉર્નિસ કેવી હોય છે તે જોવા અહીં ક્લીક કરશો તેમાંનુ છેલ્લું ચિત્ર અમારે ત્યાંની કૉર્નિસને હૂબહૂ મળતું આવે છે). પ્રથમ દૃષ્ટિએ સખત રસ્તા વાળા પૂલ જેવી લાગતી આ કોર્નિસ પરથી સહેલાઇથી જઇ, બે-અઢી કલાકની કૂચમાંથી બચી જવાય એવું લાગે. બે વર્ષ પહેલાં દક્ષીણ ભારતના સાત જવાનો રજા પર જવા માટે અહીંથી નીકળ્યા હતા. ઉતાવળમાં તેમણે સૂચનાની અવગણના કરી અને કોર્નિસ પાર કરવાનો પ્રયત્ન કર્યો.
છ મહિના બાદ તેમનાં શબ હાથ લાગ્યા હતા.

Friday, June 26, 2009

નગાધિરાજના દરબારમાં

રજૌરીમાં શાંતીપૂર્વક (!) સમય ગાળ્યા બાદ અમારી બટાલિયનને ૧૩૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલા તંગધાર વિસ્તારમાં જવાનો હુકમ મળ્યો. મને બટાલિયનની અૅડવાન્સ પાર્ટીના કમાન્ડર તરિકે ત્યાંની ચોકીઓનો ચાર્જ લેવા માટે મોકલવામાં આવ્યો. સંધ્યાના યોગ-ક્ષેત્રની વાતો રજૌરીથી અમારી બટાલિયન આ ‘high altitude’ માં આવેલ વિકટ વિસ્તારમાં જવા નીકળી ત્યારથી શરુ થઇ.
બટાલિયનના સો’એક જેટલા જવાનો તથા જરુરી શસ્ત્ર-સામગ્રી લઇ દસ ટ્રક સાથે અમે સુંદરબની, ખુની નાલા અખનૂર અને જમ્મુ થઇ ઉધમપુર પહોંચ્યા. અહીં રાત રોકાઇ, કાશ્મિરના ખતરનાક રસ્તા પર સોપોર, બારામુલ્લા, કુપવાડા થઇ, અગિયાર હજાર ફીટની ઉંચાઇએ આવેલ ભયાનક એવા નસ્તાચુન પાસ પર પહોંચ્યા. નસ્તાચુન પાસ એટલે માણસના ધૈર્ય, હિંમત અને આત્મબળની કસોટી. ઉનાળામાં સૌંદર્યની ખાણ સમાન નસ્તાચુન શિયાળામાં વિકરાળ પહાડનું સ્વરુપ ધારણ કરી લે છે. તે વખતે ત્યાંથી કોઇ ગાડી - 4x4 જીપ પણ પાર જઇ શકતી નથી. આવા ભયાનક ઘાટને પાર કરી અમે ઝર્લા નામની ખીણમાં ઉતર્યા અને ત્યાંથી આગળ અમે કર્ણા નામના નાનકડા કસ્બામાં અમારું નવું બટાલિયન હેડક્વાર્ટર હતું ત્યાં પહોંચ્યા.
નસ્તાચુન પાસને એક રંગીન મિજાજના બ્રિગેડ કમાન્ડરે તે સમયની લોકપ્રિય અભિનેત્રીનું નામ ‘સાધના’ (જુઓ ચિત્ર)આપ્યું હતું. અહીં બતાવેલ ચિત્ર સાધનાથી લગભગ ૨૦૦૦ ફીટ નીચે છે. ઉપર કેવા હાલ હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. શિયાળામાં નસ્તાચુન પાસને પસાર કરવામાં અગાઉ ઘણા જવાનો અને અફસરોએ જાન ગુમાવ્યા હતા. સામાન્ય લોકોના મનમાંથી નસ્તાચુનનો ડર નીકળી જાય એટલા માટે તેનું આકર્ષક નામાભિધાન કરવામાં આવ્યું. નસ્તાચુનની ટોચ પર અફસરો, જ્યુનિયર કમીશન્ડ અફસર તેમજ જવાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિયાળામાં સાધના પાસ પર વાહન વ્યવહાર બંધ પડી જાય છે. બરફનાં તોફાન તથા હિમવર્ષાનું પ્રમાણ બેહદ હોય છે, તેથી રજા પર જતા કે રજા પરથી પાછા આવતા જવાનોને પગપાળા સાધના પસાર કરવો પડે છે. બરફ પડ્યા બાદ તેની ટોચથી કર્ણા સુધી વળીઓ રોપી, તેના પર લાલ રંગનાં દોરડાં બાંધવામાં આવે છે. આ દોરડાના સહારે સુરક્ષીત માર્ગ શોધવો સહેલું થાય છે.
નસ્તાચુન પાર કરતી વખતે અમારા સિવિલિયન પોર્ટરે મને કહ્યું, “સર, ‘સાધના’થી નીચે ઉતરો ત્યારે ઝર્લાની ખીણમાં સાવચેત રહેવું. આ ખીણમાં એક બલા વસે છે. અત્યંત રુપવતિ યુવતિ બની તમારી સામે આવશે અને તમને મંત્રમુગ્ધ કરી સહવાસ માટે પ્રેરશે. તમે તેની સાથે વાત કરો તો પણ તે તમારી રુહને ગુલામ બનાવી દેશે. કર્ણામાં તમને એવા કેટલાક માણસ દેખાડીશ જેમના રુહને ઝર્લાની બલા ભરખી ગઇ છે. આ માણસો પ્રેતની માફક રઝળતા દેખાશે”. એકાદ મહિના બાદ તેણે આવા બે-ત્રણ માણસો બતાવ્યા, પણ અમારી પાસે તેની ચોકસાઇ કરવાનો સમય કે જરૂરીયાત નહોતી. ગાઇડની વાતમાં એક જ સાચી વાત દેખાઇ: ઝર્લાની ખીણ કોઇ સ્વરૂપવાન સુંદરી કરતાં ઓછી સુંદર નહોતી. જો કે સૌંદર્યથી સભર ખીણમાં એક પ્રકારની ભયાનકતા હતી. અહીં ઘણા જવાનોએ હિમપ્રપાતમાં પ્રાણ ખોયા હતા.
કર્ણા કૅમ્પમાં અમારી બટાલિયન તેમજ બ્રિગેડનું હેડક્વાર્ટર હતું. સમુદ્રની સપાટીથી કર્ણા ૬૦૦૦ ફીટની ઉંચાઇ પર. સાધના પાસથી અહીં ઉતર્યા બાદ અમારી બટાલિયનની જવાબદારી હેઠળ આવતી બધી ચોકીઓનો ચાર્જ મારે લેવાનો હતો. સૌ પ્રથમ હું કર્ણાના તંગધારની આસપાસનો વિસ્તાર જોવા ગયો. મારી સાથે ગામના તહેસીલદાર (આપણા મામલતદારના સમકક્ષ) હતા. તેઓ મને પહાડમાંથી ખળખળ કરી ઉતરતા એક ઝરણાની પાસે લઇ ગયા. ઝરણાની પાછળ ઘેરું જંગલ હતું. “આ જંગલમાં બન બુઢો રહે છે. તેના આખા શરીર પર લાંબા લાંબા વાળ હોય છે. સફેદ વાળને કારણે અહીંના લોકો તેને જંગલમાં રહેનારો બુઢ્ઢો - બન બુઢો કહે છે. સાત-આઠ ફીટ લાંબો આ બન બુઢો અહીંની સ્ત્રીઓને ઉપાડી જવા કોઇ વાર આવતો હોય છે.” ઝરણાની નજીક એક મકાન હતું. આ મકાન બતાવીને તહેસીલદારે કહ્યું, “આ મકાનમાં રહેતા પરિવારની યુવાન સ્ત્રીને એક બન બુઢો ચારે’ક વર્ષ પહેલાં ઉપાડી ગયો હતો. ગામના લોકો બંદુક લઇને તેની પાછળ દોડી ગયા અને મહા મુશ્કેલીએ તેને છોડાવી આવ્યા. બન બુઢાને બે નાળી બંદુકના છરા વાગ્યા તેથી તે પેલી સ્ત્રીને મૂકીને નાસી ગયો. પેલી સ્ત્રી એટલી ગભરાઇ ગઇ હતી કે ડરના માર્યા તેણે ખાવા પીવાનું છોડી દીધું હતી અને થોડા દિવસ બાદ તે મરી ગઇ.” હું વિચારમાં પડી ગયો. જે રીતે તહેસીલદારે બન બુઢાનું વર્ણન કર્યું તેના પરથી તો એવું લાગ્યું કે તે યેતિ - હિમ માનવની વાત કરી રહ્યો હતો. આપણને પરિકથા લાગે તેવી બન બૂઢાની વાત કર્ણામાં અત્યંત સામાન્ય અને પ્રચલિત વાયકા છે.
બીજા દિવસે હું મારા સહકારીઓ સાથે ચોકીઓનો ચાર્જ લેવા નીકળ્યો. હું જ્યારે પહેલી ચોકીની તળેટીએ પહોંચ્યો ત્યારે ત્યાંના પહાડ જોઇ મારું હૈયું બેસી ગયું. હિમાલય વિશાળ છે એ તો બધા જાણે છે, પણ તેની વિશાળતાનું પરિમાણ આટલી નિકટતાથી જોયું નહોતું. તળેટીથી પહાડની ઉંચાઇ આવડી હશે તેની મેં સ્વપ્નમાં પણ કલ્પના કરી નહોતી. પહાડના શિખર પર અમારી ચોકી હતી અને મસ્તક ઉંચું કરી ત્યાં નજર કરી તો મારી હૅટ પીઠની પાછળ પડી ગઇ! લગભગ ૫૦-૬૦ અંશના ઢાળના સીધા અને ૧૧૦૦૦ ફીટ ઉંચા પહાડ પર મારે ચઢવાનું હતું. આવા પંદર સ્થળોનો ચાર્જ લેવા મારે જવાનું હતું. બધા જ સ્થળો લગભગ આવી જ ઉંચાઇએ આવેલા. તળેટીએ હોય તેવી એક જ ચોકી હતી, અને ત્યાંથી પ્રખ્યાત એવી કૃષ્ણગંગા (ફોટો) નદી સાવ નજીક હતી. ત્યાં જઇને નહાયો તો નહિ, પણ હાથ, પગ અને મ્હોં ધોયા, તેનાં નીર માથા પર ચઢાવી શક્યો!
અમારા બટાલિયન સેક્ટરની બધી ચોકીઓ પર જવામાં કેવી તકલીફ નડી તેની વિગત નહિ આપું. કેવળ સૌથી વધુ મુશ્કેલ સ્થળ - જે ૧૩૨૦૦ ફીટની ઉંચાઇ પર હતું - નસ્તાચુનથી ૨૦૦૦ ફીટ વધુ ઉંચું સ્થાન - તેની વાત કરીશ.

Thursday, June 25, 2009

રજૌરી ... (૨)

SSGની ટુકડીને કામયાબી અપાવવા દુશ્મનની મશીનગનનું મારા જવાનો પર અવિરત ફાયરીંગ ચાલુ હતું તેને ચૂપ કરવાનો મેં નિર્ણય લીધો.
રાતના સમયે કોઇ હથિયારમાંથી અૉટોમેટીક ફાયરીંગ કરવાનું હોય તો તેમાં ‘ટ્રેસર’ ગોળીઓ મૂકવામાં આવે છે. રાતાચોળ તણખા જેવી આ ગોળીઓ ક્યાંથી નીકળી ક્યાં જઇને આઘાત કરે છે તે સ્પષ્ટ જોઇ શકાય છે. અમે જોઇ શક્યા કે દુશ્મનની કઇ ખાઇમાંથી તેમની મશીનગન ફાયરીંગ કરી રહી હતી. મેં નિર્ણય લીધો અને પાંચ સેકંડ માટે અમારા ભારે હથિયારમાંથી દુશ્મનની ટ્રેંચ પર એક જબરજસ્ત ‘બર્સ્ટ’ માર્યો. એક સેકંડમાં દસ ગોળીઓ છૂટે એવા અમારા હથિયારના ધડાકા અને તેના પડઘા આખી ખીણમાં ધરતીકંપની જેમ ગાજી ઉઠ્યા. આ પાંચ સેકંડની કાર્યવાહી બાદ પહાડોમાં ભયંકર શાંતિ ફેલાઇ ગઇ. દુશ્મનના હથિયારો થીજી ગયા. રાતના ત્રણ વાગ્યા હતા. અમારી જે પોસ્ટ પર ગોળીબાર ચાલી રહ્યો હતો તેના જવાનોને નૈતીક આધાર અને હિંમત આપવા તેમની પાસે જવા નીકળતો હતો ત્યાં અમારા ફીલ્ડ ટેલીફોન અને વાયરલેસમાં જાણે ભૂત ભરાયું હોય તેમ ધણધણવા લાગ્યા. બ્રિગેડથી માંડી અમાર બધા ઉપરી અધિકારીઓ પૂછવા લાગ્યા કે ભારે હથિયારનો ઊપયોગ કોણે અને શા માટે કર્યો. મેં તેમને સત્ય પરિસ્થિતિ જણાવી. મને આદેશ મળ્યો કે મારા તરફથી થયેલા ‘અનધિકૃત ફાયરીંગ’ની તપાસ કરવા અમારા ‘થિયેટર કમાંડર’ બ્રિગેડીયર સમશેરસિંહ જાતે આવી રહ્યા છે, અને મારે તેમનું મારા સેક્ટર હેડક્વાર્ટરમાં સ્વાગત કરવાનું છે. (થિયેટર એટલે સિનેમા નહિ - થિયેટર અૉફ વૉર હોય છે.)
મારા માટે આ ગંભીર બાબત હતી. નિર્ણય લેવામાં મારી ભૂલ જણાઇ આવે તો મારી કારકિર્દી પર આંચ આવે તેમ હતું. આ માટે જ ઊંચા હોદ્દાના અફસર જાતે તપાસ કરવા આવી રહ્યા હતા.
બૉર્ડર પર યુદ્ધની સ્થિતિ હોય તો તે માટે પણ અમારો ‘ડ્રેસ કોડ’ હોય છે, જેમાં કોઇએ મેડલની રિબન કે અમારા હોદ્દા દર્શક ચિહ્ન પહેરવાના ન હોય. તે દિવસે મેં dress codeનો ભંગ કરી બીજો અપરાધ કર્યો. બે યુદ્ધ તથા અન્ય ફીલ્ડ પોસ્ટીંગમાં કરેલી સેવાના મને કૂલ આઠ મેડલ મળ્યા હતા. દરેક મેડલને અગ્રક્રમ હોય છે. ઘેરા નીલા અને સફેદ રંગની વચ્ચે લાલ દોરાની મારી પહેલી મેડલ-રિબન હતી ૧૯૭૧માં મળેલ રાષ્ટ્રપતિના વીરતા માટેના પોલીસ ચંદ્રકની. બ્રિગેડિયર સમશેરસિંહ ડોગરા રાજપુત હતા. મેં તેમને સૅલ્યૂટ કરી સ્વાગત કર્યું ત્યારે તેમણે મને પ્રથમ સવાલ કર્યો, “મેજર, આ પહેલો મેડલ શાનો છે? મેં આ અગાઉ આ રિબન જોઇ નથી.”
મેં તેમને જવાબ આપ્યો અને તેઓ થોડા ‘ઇમ્પ્રેસ’ થયા. ત્યાર બાદ જ્યાંથી મેં મારૂં હથિયાર વાપર્યું હતું ત્યાં અને જે પોસ્ટ પર SSGએ હુમલો કર્યો હતો તે સ્થાને તેમને લઇ જવાનો હુકમ આપ્યો. બ્રિગેડિયરની સાથે અમારો ‘અૉપરેશનલ કમાંડર’ ઇન્ફન્ટ્રીનો કમાંડીંગ અફસર હતો. બ્રિગેડિયર સાહેબે તેમની ‘પાટલૂન ઉતારી હતી’ એ તેમના મોઢા પરથી જણાઇ આવતું હતું. બ્રિગેડિયર ન જુએ તે રીતે તેઓ હોઠ ફફડાવીને મને ગાળો આપી રહ્યા હતા, કારણ કે મેં જે કાર્યવાહી કરી હતી તે વિશે ન તો મેં તેમની રજા લીધી હતી, ન તો તેનો રીપોર્ટ આપ્યો હતો. મારા અૉપરેશનલ કમાંડર તરીકે તેમણે કદી મારા સેક્ટરની મુલાકાત નહોતી લીધી, કદી પણ મને તેમની ‘અૉપરેશનલ મીટીંગ’માં બોલાવ્યો હતો અને કદી કોઇ સંપર્ક નહોતો રાખ્યો. આ બધું કરવાની તેમની જવાબદારી હતી, જેની તેમણે કદી દરકાર નહોતી કરી. આથી મારી બધી ગતિવિધીઓનો રિપોર્ટ હું મારા કમાન્ડન્ટને જ અાપતો. બ્રિગેડિયરે નિયમ પ્રમાણે આ પ્રસંગ માટે મારા ‘અૉપરેશનલ કમાંડર’ને જવાબદાર ઠરાવ્યા હતા. આ બાબતમાં તેમની પાસે કોઇ જવાબ નહોતો તેથી સમશેરસિંહ તેમના પર બરાબર ‘વરસ્યા’ હતા, તેથી ઇન્ફ્ન્ટ્રી કમાંડર મારા પર પ્રસન્ન નહોતા!
બ્રિગેડિયર સમશેરસિંહે મને સૂચના આપી કે તપાસ દરમિયાન મારે એક અક્ષર પણ ન બોલવો. તેઓ પોતે અંગત રીતે સમગ્ર બનાવની માહિતી મેળવશે. બે કલાકની પદયાત્રા બાદ અમે બનાવના સ્થળે પહોંચ્યા અને તેમણે તપાસ આદરી. દરેક જવાનને બારીકાઇથી પ્રશ્નો પૂછ્યા. દુશ્મનોએ જ્યાં LMG ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો તે ટ્રેન્ચની આગળ જઇ દુશ્મન સૈનિકના બૂટનાં નિશાન જોયા. મને મારા કામ પર અને લીધેલા નિર્ણય પર પૂરો વિશ્વાસ હતો, તેથી મેં આ તપાસના પરિણામની ચિંતા છોડી હતી. બીજા બે કલાકની પદયાત્રા અને તપાસ બાદ અમે પાછા મારા હેડક્વાર્ટરમાં પહોંચ્યા. મિલીટરીના મસ મોટા સફેદ અૅનેમલના ટમલરમાં પીરસેલી ચ્હા પીને બ્રિગેડિયર ત્યાંથી રવાના થયા. જતાં પહેલાં તેમણે મને કશું કહ્યું નહિ.
પંદર દિવસ બાદ બ્રિગેડના અફસરોની મિટીંગ થઇ. મીટીંગના અંતે બ્રિગેડિયર સમશેરસિંહે મારા સેક્ટરમાં થયેલ બનાવ વિશે વિસ્તારથી વાત કરી. તેમણે એક ઇન્ફન્ટ્રીના મેજરને પૂછ્યું, આ બાબતમાં તેણે શું કરવું જોઇએ.
“સર, ચાલુ હુકમ પ્રમાણે વળતી કાર્યવાહી માટે હું બ્રિગેડની રજા માગીશ. જો મને ફાયરીંગ કરવાનો હુકમ મળે તો હું અસરકારક જવાબી ફાયરીંગ કરીશ.”
“સ્ટૅંડીંગ અૉર્ડર પ્રમાણે officer on the spotને પ્રસંગની ગંભીરતાને જોઇ યોગ્ય કારવાઇ કરવાનો અધિકાર છે, તે જાણો છો? આ હુકમમાં સ્પષ્ટ આદેશ છે કે સામાવાળા તરફથી serious provocation થાય તો તમને કોઇની રજા વગર તાત્કાલિક અને યોગ્ય લાગે તેવા પગલાં લેવાનો અધિકાર છે. કાર્યવાહી કર્યા બાદ તમારે મને જાણ કરવાની હોય છે. આવું કરો તો હું તમને ૧૦૦ ટકા સપોર્ટ કરીશ. મોકા પર હાજર તમે છો, હું નહિ. સ્થાનિક સેનાનાયક તરીકે પ્રસંગનું assessment કરી શકો તેવી તમને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમ છતાં તમે રજા માગતા રહેશો?"
મારી તરફ અંગુલીનિર્દેશ કરી તેમણે કહ્યું, “બીએસએફના આ અફસરે યોગ્ય કારવાઇ કરી હતી તેના માટે હું તેને અભિનંદન આપું છું.” આમ કહી તેમણે એક પ્રસંગનો દાખલો આપ્યો.
"આ જ જગ્યા - 'બડા ચિનાર’ પર બીએસએફની ટુકડીઓ મોકલવામાં આવી, તે પહેલાં ત્યાં મિલીટરીની બટાલિયન અહીં તહેનાત હતી. આપણા લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને આપણી પ્રતિકાર કરવાની કહેવાતી અશક્તિની મજાક ઉડાવવા પાકિસ્તાની ચોકીના જવાનોએ તેમના ધાર્મિક દિનની ઉજવણી માટે આપણી ચોકીની સામે - ૧૦૦ ગજ પર આવેલી LC પર એક વાછરડું ખેંચી લાવ્યા અને તેને આપણા કંપની કમાન્ડર અને જવાનોની નજર સામે હલાલ કર્યું. આ જાણે ઓછું હોય, તેમણે તેના માંસના ટુકડા ભારતની સરહદમાં વસતા કાશ્મિરીઓને વહેંચવાની શરૂઆત કરી. આપણા આ “ભારતીય” કાશ્મિરીઓ ખુશીથી ત્યાં જઇને તેમની ‘મહેરબાની’ લઇ આવતા હતા. આપણી ચોકીના કૅપ્ટને આ રોકવા માટે ફાયરીંગ કરવા માટે બ્રિગેડની રજા માગી. કમાંડરે તેને ‘સ્થળ પરના કમાંડર તરીકે યોગ્ય અૅક્શન’ લેવા જણાવ્યું. કૅપ્ટનને જવાબદારી લેવી નહોતી તેથી તેણે કાંઇ કર્યું નહિ. મારી દૃષ્ટીએ આ ગંભીર પ્રોવોકેશન હતું. ઇન્ફન્ત્ટ્રીના કૅપ્ટને આક્રમક કાર્યવાહી કરી હોત તો બ્રિગેડે તેને ટેકો આપ્યો જ હોત."
મને બીજી વાર ચંદ્રક મળ્યા જેટલો આનંદ થયો.

Wednesday, June 24, 2009

રજૌરી: શાંતિથી રહેવા દો ને બાપલા!

અમારી એક ચોકીનું નામ હતું “બડા ચિનાર” (ચોકીનું નામ બદલવામાં આવ્યું છે). તેના કમાંડર ઇન્ફન્ટ્રીની રેજીમેન્ટમાંથી મારા સેક્ટરમાં ડેપ્યુટેશન પર આવેલા કૅપ્ટન ક્રિશન વાસુદેવ હતા. સેક્ટરનો ચાર્જ લઇને મને એક દિવસ પણ નહોતો થયો અને વહેલી સવારે લાઇટ મશીનગન (LMG)ના ફાયરીંગ નો અવાજ આખી ખીણમાં ધમધમી ઉઠ્યો. મેં ફીલ્ડ ટેલીફોન પર વાસુદેવને પૂછ્યું તો જાણવા મળ્યું કે બડા ચિનાર પર ફાયરીંગ થઇ રહ્યું હતું. બે કલાકની પદયાત્રા બાદ ત્યાં પહોંચ્યો ત્યારે પણ થોડી મિનીટોના અંતરે ફાયરીંગ ચાલુ જ હતું. વાસુદેવ તથા જવાનો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેમની સામેની પાકિસ્તાની પોસ્ટ કેવળ ૧૫૦-૨૦૦ મીટર પર હતી ત્યાંથી ગોળીબાર થતો હતો. બિગ ટ્રી અને તેમની વચ્ચે LC હતી. જમીન પર આ લાઇન ખેંચાઇ નહોતી તેથી પાકિસ્તાનને તે મંજુર નહોતી!
અમારી કંપનીઓ જે વિસ્તારમાં મોરચા ખોદીને બેઠી હતી ત્યાં ઝાઝી વસ્તી નહોતી, તેથી જમ્મુ-કાશ્મિરની સરકારે પાણીની કોઇ વ્યવસ્થા કરી નહોતી. અમારા રોજિંદા ઉપયોગ માટે નજીકના પહાડી ઝરણાં - જેને કાશ્મિરમાં ચશ્મા કહે છે ત્યાંથી પાણી લાવીએ. એક દિવસ અમારા લંગર (રસોડા)માં કામ કરનાર સૈનિકો ચશ્મા પર પાણી લેવા ગયા, પાકિસ્તાની સેનાએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો. અમે ફ્લૅગ મીટીંગ કરી તો તેમણે કહ્યું, “આ ચશ્મો અમારા વિસ્તારમાં છે. એક પણ ડગલું મૂકશો તો જાન ગુમાવી બેસશો.” યુનાઇટેડ નેશન્સના નિરીક્ષકે કહ્યું, “આ disputed territory છે તેથી અમે કંઇ પણ કરવા અશક્તિમાન છીએ!”
સામાવાળાઓની ધોંસ એટલી વધી ગઇ હતી કે તેમના કોઇ સૈનિકને કંટાળો આવે તો અમને બે-ચાર ગાળો અાપી, રાયફલ કાઢી અમારી ચોકી તરફ દસ-બાર ગોળીઓ છોડી દે. આ સત્ય હકીજત છે, અને હું તેનો સાક્ષી છું.
આમ અમારા દિવસ વીતતા હતા. એક દિવસ અમને બધા ‘ફીલ્ડ કમાંડરો’ને હેડક્વાર્ટરમાં ખાસ મીટીંગ માટે બોલાવવામાં આવ્યા. પાકિસ્તાની સેનામાં ખાસ કમાંડો રેજીમેન્ટ - સ્પેશીયલ સર્વિસ ગ્રૂપ -SSG- છે, જેને પાકિસ્તાનની ‘શાન’ ગણવામાં આવે છે. તેમની ફોજમાં જ પૂરવાર થયેલા શ્રેષ્ઠ નિશાનબાજ તથા શારીરિક અને માનસિક દૃઢતાની પરમોચ્ચ કસોટીમાં સફળ થનાર કમાન્ડો અફસર અને જવાનોને તેમાં લેવાય છે. આપને ખ્યાલ હશે કે જનરલ મુશર્રફ SSGના અફસર હતા. બીજી રસપ્રદ વાત: પાકિસ્તાનનું સર્જન થયા બાદ ભારતીય સેનાના અફસરોને જે દેશનીસેનામાં જવું હોય ત્યાં જવાની છૂટ આપવામાં આવી હતી. મુંબઇના ગુજરાતી મેમણ પરિવારના અગ્રણી સર ઇસ્માઇલ મીઠા મેમણના પુત્ર પાકિસ્તાનની સેનામાં ગયા અને જનરલ મીઠાના નામે પ્રસિદ્ધ થયા. જનરલ મીઠા SSGના સ્થાપક હતા!
SSGના કૅડેટ્સની ટ્રેનિંગ પૂરી થતાં તેમને કાશ્મિરમાં આપણી સેનાની ચોકી પર ‘raid’ કરવાનું ખાસ ‘મિશન’ આપવામાં આવે છે. મીટીંગમાં અમને જણાવવામાં આવ્યું કે આપણા ગુપ્તચરો ખબર લાવ્યા હતા કે SSGની ટ્રેનીંગ લેનાર એક ટુકડીને મારા સેક્ટર પર દરોડો પાડી બને તો એક-બે જવાનોને તેમના હથિયાર સાથે કેદી બનાવી પાકિસ્તાન લઇ જવાનો ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો.
બ્રીફીંગ બાદ હું તરત મારા સેક્ટરમાં પહોંચી ગયો. ત્રણ કલાકના માર્ચ બાદ રાતે હું મારી ટીમ સાથે મારા સેક્ટરની ફૉર્વર્ડ લોકેલીટીમાં ગયો. ચોકીઓમાં બે દિવસ અને બે રાત રહી, ત્યાંના દરેક સૈનિકની ટ્રેન્ચમાં ‘પોઝીશન’ લઇ બેઠેલા જવાનો સાથે સમય ગાળ્યો. તેમની જવાબદારીના વિસ્તારમાં દુશ્મનની હિલચાલ દેખાય તો તેમણે શી કાર્યવાહી કરવાની છે તે સમજાવ્યું. દરેક જવાનને તેનો 'ટાસ્ક' યાદ છે કે નહિ તેની ચોકસાઇ કરી. અમારા જવાનો ભારતના બધા રાજ્યોમાંથી આવ્યા હતા. પોતાની જવાબદારી ઉપરાંત તેમની દેશપ્રેમની ભાવના મજબૂત હતી. મને હૈયાધારણ થઇ કે SSGની કોઇ યુક્તિ અમારા સૈનિકોની સામે ચાલી નહિ શકે. ખાસ તો મેં તેમને એ હુકમ આપ્યો કે જો દુશ્મન તેમની સંરક્ષક ખાઇ સુધી આવેલો દેખાય તો મારા હુકમની રાહ જોયા વગર તેમણે ગોળી ચલાવવી. આનું જે કાંઇ પરિણામ આવે તો તેની હું અંગત જવાબદારી લઇશ એવું જણાવ્યું.
પાંચમા દિવસની રાતે હું માર સેક્ટર હેડક્વાર્ટરની સૌથી આગળની ખાઇમાં હતો ત્યારે રાતના બે-અઢી વાગે લાઇટ મશીનગનમાંથી નીકળતી ગોળીઓની ધણધણાટી સાંભળી. પાંચ સેકંડનો સમય નહિ વિત્યો હોય ત્યાં પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારી FDLs પર ભારે ગોળીબાર શરૂ કર્યો. એક ‘મિનિ-યુદ્ધ’ શરૂ થઇ ગયું હતું. ફીલ્ડ ટેલીફોન પર ચોકીઓના કમાંડરો સાથે વાત કરતાં જણાયું કે અમારી એક FDLમાં લાઇટ મશીનગન પોસ્ટ પર પાકિસ્તાનના SSG કમાંડોની ટુકડી પહોંચી હતી. દુશ્મનને લાગ્યું કે તે સમયે અાપણા સંતરી ગાફેલ હશે, તેથી ‘ફિક્સ્ડ લાઇન’ પર ગોઠવેલી LMGને ખેંચીને લઇ જવાના ઇરાદાથી તેઓ આપણી ખાઇ સુધી પહોંચી ગયા. ભારતનો બહાદુર સંતરી સિખ લાન્સ-નાયક તૈયાર બેઠો હતો. તેણે દુશ્મનને જોતાં વેંત ૨૮ ગોળીઓની મૅગેઝીન ચલાવી. દુશ્મન અમારા ગોળીબારમાં સપડાઇ ગયો હતો. ત્યાંથી તેમને કાઢવા માટે પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારા પર ગોળીબાર શરૂ કર્યો. આમાંનો સૌથી મોટો માર મારી કમાંડ પોસ્ટની સામે આવેલી ચોકીમાંની મશીનગનમાંથી આવી રહ્યો હતો. તેમનો ગોળીબાર રોકવા મારી બટાલિયન કે આર્મીના અૉપરેશનલ કમાંડરની “પ્રૉપર ચૅનલ”થી રજા લેવા જઉં તો તે આવતાં સુધીમાં કેટલો સમય નીકળી જાય તે કહેવું મુશ્કેલ હતું. તે દરમિયાન આપણા જવાનોની સલામતિ જોખમમાં મૂકાતી હતી. મેં પોસ્ટના લાન્સનાયક સાથે વાત કરી અને તેના પ્લૅટૂન કમાંડર પાસેથી રિપોર્ટ મેળવ્યો. જીપ્સીએ શો નિર્ણય લેવો જોઇએ?
તેની જગ્યાએ આપે શું કર્યું હોત?

Tuesday, June 23, 2009

૧૯૭૬-૧૯૮૦: ગુજરાતથી રજૌરી અને તંગધાર (કાશ્મિર)

ભુજ પાછો ફર્યો અને બે માસમાં અમદાવાદમાં આવેલ અમારા ડીઆઇજી હેડક્વાર્ટરમાં મારી નીમણૂંક જૉઇન્ટ આસિસ્ટંટ ડાયરેક્ટરના પદ પર થઇ. નવી ઘોડી નવો દાવ શરૂ થયો. (અહીં કહેવાનું રહી ગયું કે અમે ભુજ હતા ત્યારે કેટલાક પ્રસંગો ઝપાટાબંધ થઇ ગયા. અનુરાધા અને બાળકોને કાયમી વસવાટ માટે લંડન મોકલ્યા. મારૂં જવાનું ચાર વર્ષ માટે મોકુફ રહ્યું. આની વાત ફરી ક્યારે'ક કરીશ. અત્યારે તો 'યુદ્ધસ્ય રમ્યા: કથા:'!)
અમદાવાદમાં મને સાબરમતીના કાંઠે કૅમ્પ વિસ્તારમાં આવેલ વિશાળ સરકારી આવાસમાં રહેવા મળ્યું. આ એવું પોસ્ટીંગ હતું જેનું મેં કદી સ્વપ્ન સેવ્યું હતું. વતનમાં - મારા પોતાના શહેરમાં અનુરાધા અને અમારા બાળકો સાથે એકા’દ બે વર્ષ રહેવા મળે તેવી અમારી ઇચ્છા હતી. સ્વપ્ન સાકાર થયું, પણ તે અધુરું હતું. અમદાવાદનું મારૂં વાસ્તવ્ય એક વર્ષનું રહ્યું.
બીએસએફના જવાનોની જીંદાદિલીની મને મારી નોકરીની શરૂઆતથી જ ખાતરી થઇ હતી. પરંતુ તેમની સહિષ્ણુતા અસિમીત હતી તેનો અનુભવ મને અમદાવાદમાં આવ્યો. મારી બહેન મીનાના સૌથી નાના પુત્ર રજનીશની spleenમાં એવી બિમારી થઇ હતી કે તેને અૉપરેશન દ્વારા કાઢી નાખવાની જરૂર પડી. પૅથોલૉજીકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના રક્તનું ગ્રુપ અસામાન્ય - ‘બી નેગેટીવ’ હતું. વાડીલાલ સારાભાઇ હૉસ્પીટલની રક્ત બૅંકમાં આ વર્ગનું લોહી નહોતું. જ્યાં સુધી ત્રણ બાટલા બી નેગેટીવની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેનું અૉપરેશન થઇ શકે તેમ નહોતું.
હું અૉિફસમાં બેસીને ગંભીર વિચાર કરી રહ્યો હતો ત્યાં મારા પર્સનલ આસિસ્ટંટ સબ-ઇન્સ્પેક્ટર રવીંદ્રન્ નાયર આવ્યા. તેમણે મને ચિંતાનું કારણ પૂછ્યું. તેમને મેં વાત કરી. એક કલાક બાદ તેઓ મારી પાસે આવ્યા. તેમણે ડ્યુટી પ્લૅટૂનના જવાનો સાથે વાત કરી હતી જેના પરિણામે ૫૪ જવાનો રક્તદાન કરવા તૈયાર થયા. અમે તેમને હૉસ્પીટલમાં લઇ ગયા અને તેમાંના ત્રણ જવાનોનું લોહી બી નેગેટીવ નીકળ્યું. આ ત્રણ જવાનોમાં રવીંદ્રન પણ હતા. રજનીશનું સફળ અૉપરેશન થયું.
બીએસએફ જેવી સેનામાં જોડાયાનું મને અભિમાન અને ગૌરવ છે અને તે મને હંમેશા યાદ રહેશે.
અમદાવાદમાં એક વર્ષ સેવા બજાવ્યા બાદ મારી બદલી કાશ્મિરમાં પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મિરની સરહદ પર આવેલ પૂંચ-રજૌરી સેકટરમાં થઇ. મારા જીવનમાં થયેલા અનેક coincidencesમાં એકનો વધારો થયો.મારી બદલી રજૌરીમાં આવેલ બટાલિયનમાં થઇ. આ મારી ૧૯૭૧ના યુદ્ધ સમયની જુની ૨૩મી બીએસએફ બટાલિયન હતી! બટાલિયનમાં હું સાંજે પહોંચ્યો. બીજા દિવસે કમાન્ડન્ટ દ્વારા આયોજીત “સૈનિક સમ્મેલન” હતું, જેમાં બૉર્ડર પર ગયેલી કંપનીઓને બાદ કરતાં બાકીની બધી કંપનીઓ હાજર હતી. મારા આશ્ચર્ય વચ્ચે જ્યારે હું ત્યાં પહોંચ્યો, હાજર રહેલા ૮૦૦ સૈનિકોએ તાળીઓના ગડગડાટથી મારૂં સ્વાગત કર્યું! બાકીના અફસરોને જાણ નહોતી કે આ મારી જુની બટાલિયન હતી. મારા નવા સીઓએ સુબેદાર મેજરને પૂછ્યું, “યે તાલીયાં કિસ ખુશીમેં બજ રહીં હૈં?”
“અપને પુરાને અફસરકો દેખ કર જવાન અપની ખુશીકા ઇઝહાર કર રહે હૈં.” બધા અફસર મારી તરફ જોવા લાગ્યા. બટાલિયનમાં આવું પહેલાં કદી થયું નહોતું!
સમ્મેલન બાદ કમાન્ડન્ટ સાથે મારો ઇંટરવ્યૂ થયો. તેમને જાણ થઇ કે મારો પરિવાર લંડનમાં હતો તેથી હું ‘અધિકૃત’ રીતે ‘સિંગલ અૉફિસર’ હતો. તે સમયે બટાલિયનના લગભગ બધા યુવાન અફસરો પોતાની નવપરિણીત પત્ની સાથે હેડક્વાર્ટરમાં રહેતા હોવાથી તેમને રાહત આપવા LC - એટલે લાઇન ઓફ કન્ટ્રોલ પર આવેલ ચોકીઓમાં લિખીતંગને જવાનું થયું. ડેપ્યુટી કમાંડંટ તરીકે મારી નીમણૂંક બે કંપનીઓના સેકટર કમાંડર તરીકે કરવામાં આવી. જે કંપનીમાં મારૂં કમાન્ડ હેડક્વાર્ટર હતું તે હતી મારી જુની ‘એફ’ - ફૉક્સ-ટ્રૉટ કંપની હતી!
રજૌરી ઐતિહાસીક સ્થળ છે. હિમાલયની પીર પંજાલ પર્વતમાળાની તળેટીએ આવેલ અમારા હેડક્વાર્ટરની નજીક એક પ્રખ્યાત મજાર છે: પંજ પીર. અહીંની મુસ્લિમ પ્રજા આ પાંચ પીરના સ્થાનક પર ધુપ બત્તી કરે. નામ ભલે ‘પંજ પીર’ હોય, પણ ત્યાં છ કબર છે. પાંચ પવિત્ર ભાઇઓ અને છઠી કબર તેમની બહેનની છે એવું ત્યાંના મુજાવરનું કહેવું છે. રજૌરીના હિંદુઓ આને પાંચ પાંડવ અને પાંચાલીનું સમાધિ સ્થાન માને છે. શિયાળામાં સંપૂર્ણ પણે હિમાચ્છાદિત થઇ જતા ‘પીર પંજાલ’ (photo) વિશે અહીંના હિંદુઓની આસ્થા છે કે જ્યારે પાંડવો ‘હેમાળે હાડ ગાળવા’ નીકળ્યા, ત્યારે તેમણે પીર પંજાલની પૂર્વ દિશામાં હિમાલય પર આરોહણ કર્યું. પીર પંજાલની કપરી ધાર પાર કરતી વખતે તેઓ એક પછી એક મૃત્યુ પામ્યા હતા. તેમનાં શરીર રજૌરીની તળેટીએ લાવી તેમની સમાધિ બાંધવામાં આવી. પંજાલ એ ‘પાંચાલ’ શબ્દનો અપભ્રંશ છે એવું અહીંના હિંદુઓનું માનવું છે. આ માન્યતા કાશ્મીરની મોટા ભાગની પ્રજાએ ધર્માન્તરણ કર્યું તે પહેલાંથી ચાલતી આવી છે. પતિવ્રતા પાંચાલીના નામને અમર કરવા પહાડોનું નામ પીર પંજાલ રાખવામાં આવ્યું એવું કેટલાક લોકો માને છે. આની પાછળ જે સત્ય હોય તે શોધવાનું કામ પુરાતત્વવિદ્ જ કરી શકે!
રજૌરીની બીજી હકીકત: મોગલ બાદશાહ જહાંગીર જ્યારે કાશ્મિરથી દિલ્લી પાછો જઇ રહ્યો હતો ત્યારે રજૌરીની સીમમાં તેનું મૃત્યુ થયું. અફીણ અને શરાબમાં હંમેશા ડુબેલા બાદશાહના રાજ્યની સત્તાનો દોર નૂરજહાંના હાથમાં હતો. તેના મરણના સમાચાર સાંભળી દિલ્લીમાં સત્તા માટેની પડાપડીમાં નૂરજહાંના હાથમાંની સત્તા જતી ન રહે તે માટે જહાંગીરના મરણના સમાચાર તેણે ગુપ્ત રાખ્યા. રજૌરીમાં જ રાતો રાત બાદશાહના મૃત શરીરમાંથી vital organs કાઢી નાખવામાં આવ્યા. શરીરમાં મસાલા ભરી, તેના શબને હાથીની અંબાડીમાં આરામ કરે છે તેવી સ્થિતિમાં રખાયું અને પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો. જહાંગીરના શરીરમાંથી કઢાયેલા આંતરડા વિ. રજૌરીની નજીક તેના અંતિમ આરામગાહની નજીક દફનાવવામાં આવ્યા એવી આખ્યાયિકા છે..
રજૌરીમાં મારો સમય અનેક રોમહર્ષક ઘટનાઓમાં વીત્યો. મારૂં પોતાનું સેક્ટર હેડક્વાર્ટર ૭૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલ શિખર હતું. અમારી દરેક પોસ્ટની સામે પાકિસ્તાની સેનાના ડીફેન્સનાં થાણાં હતા. અહીંની ભૌગોલિક રચના રસપ્રદ હતી. પાકિસ્તાનની લગભગ બધી ચોકીઓ અમારી બધી ચોકીઓ કરતાં થોડી ઊંચેની પહાડી પર હતી, તેથી તેઓ અમારી પોઝીશન પર ફાયર કરે તો ઘણો અસરકારક નીવડે. અમારા માટે અહીં વધારાની ‘અગવડ’ હતી સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષકોની નીતિ (અમે તેને અ-નીતિ કહેતા!). બહુધા પાકિસ્તાન તરફથી તેમની ખાતરબરદાસ્ત સારી થતી હોય કે પછી અમેરીકાની સાથે પાકિસ્તાનની ‘પાક્કી’ દોસ્તી જગ જાહેર હોવાને કારણે જ્યારે પણ પાકિસ્તાની સૈનિકો તરફથી ‘સીઝ ફાયર અૅગ્રીમેન્ટ’નો ભંગ થાય તો પણ તેઓ આપણી વાત માનવાને બદલે ‘સામાવાળા’ની વાત પર વધુ વિશ્વાસ રાખતા. પાકિસ્તાની સૈનિકો વિના કારણ આપણી ચોકીઓ પર ગોળીબાર કરતા અને ભારત પર ખોટો આક્ષેપ લાગતો કે આપણે પહેલ કરી હતી જેથી તેઓ “સ્વબચાવ” માટે જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. પરિણામે અમારા GOC (ડિવીઝન કમાંડર)નો હુકમ હતો કે આપણા તરફથી પાકિસ્તાનની ચોકીઓ પર ‘small arms’થી ફાયરીંગ કરવું હોય તો બટાલિયન કમાંડરની, અૉટોમેટીક હથિયાર માટે બ્રિગેડ કમાંડરની અને ભારે હથિયાર (મિડિયમ મશીનગન વિ.) થી જવાબી કાર્યવાહી કરવી હોય તો ડિવિઝનમાંથી રજા લેવી જરૂરી હતી. આમાં એક જ અપવાદ હતો કે પાકિસ્તાન તરફથી અસહ્ય અતિક્રમણ કે આક્રમણ થાય તો ઊપરી અધિકારીઓની રજા લીધા વગર સ્થાનિક કમાન્ડરને યોગ્ય પગલાં લેવાનો અધિકાર હતો.
પાકિસ્તાનના સૈનિકો વિના કોઇ ઉશ્કેરણીથી આપણા સૈનિકો પર ગોળીબાર કરતા હતા તેવું હું કહું તો મારી વાત પ્રચારાત્મક લાગે તે સ્વાભાવિક છે. પાકિસ્તાની ‘ધોંસ’નો મને પોતાને અનુભવ ન આવ્યો હોત તો હું પણ એવું કહેત કે તાળી હંમેશા બે હાથે વાગે છે.

આખ્યાયિકાઓ (4)

આખ્યાયિકાઓ કહો કે દંતકથા, તે ઇતિહાસનો અંશ હોય છે. ઇતિહાસનો અંશ એટલા માટે કે જુના જમાનાથી કહેવામાં આવતી, વણ-લખાયેલી, દસ્તાવેજી પુરાવા વગરની આ વાતો હોય છે, પણ તેની પાછળ સત્યનો અંશ હોય છે. રાણકદેવીનું અપહરણ કરીને રાજા સિદ્ધરાજ જયસિંહ તેમને પાટણ લઇ જઇ રહ્યા હતા તે સમયથી ગિરનારમાં એક મોટો ખડક એવો છે જે પડતાં પડતાં રોકાઇ ગયો હોય તેવું લાગે. આખ્યાયિકા તો સૌ જાણે છે કે સતીમાતાએ તેમની પાછળ શોકથી તુટી પડતા ગિરનારને “મા પડ, મારા આધાર, ચોસલાં કોણ ચઢાવશે/ગયા ચઢાવણહાર, જીવતાં જાતર આવશે...” ગાયું હતું. પહાડ પરથી પડતા ખડકની થઇ આખ્યાયિકા, રાણકદે ઐતિહાસીક પાત્ર અને વંદનીય સતી હતા. તેમની ખાંભી સુરેન્દ્રનગર પાસે હજી ઉભી છે.
કચ્છની આખ્યાયિકાઓ એવી જ છે - સત્યના અંશ સમાન.
ભુજની પાસે આવેલ માધાપર ગામ પાસેનું જખનું મંદિર સુપ્રસિદ્ધ છે. અહીંની આખ્યાયીકા છે કે હજારો વર્ષ પહેલાં અહીંની ધનિક અને શાંત પ્રજા પર દુશ્મનોએ હુમલો કર્યો હતો ત્યારે તેમની સહાયતા માટે ગોરા વાનના ‘તેજસ્વી’ યક્ષ ઘોડા પર બેસીને ત્યાં આવ્યા અને દુશ્મનોને મારી હઠાવ્યા. લડાઇમાં કેટલાક ‘યક્ષ’ મૃત્યુ પામ્યા અને સ્થાનિક પ્રજાએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા ટેકરી પર ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ રચી. ત્યાં મંદીર થયું અને દર વર્ષે ત્યાં મેળો ભરાય છે. ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ આપણને હજી જોવા મળશે. ઇતિહાસવિદોની માન્યતા છે કે આ યક્ષો આકાશમાંથી ઉતરી આવ્યા નહોતા. તેઓ એલૅક્ઝાન્ડર-ધ-ગ્રેટના ગ્રીક સૈનિકો હતા, અને કચ્છના બંદરેથી પોતાને વતન જવા નીકળ્યા હતા. ગામલોકોની ચીસો સાંભળી તેઓ તેમની મદદે ધસી ગયા હતા.
આવી જ વહેમભરી આખ્યાયિકા હતી સિંધમાં. એક ઉંચા, વિશાળ ટેકરામાં ભૂતોનો વાસ છે એમ મનાતું. સાંજ પછી ત્યાં કોઇ જતું નહિ. આ ટેકરાનું નામ જ પડી ગયું- મરેલાઓનો અડ્ડો. સિંધી ભાષામાં લોકો તેને “મૂંએજો-ડેરો” કહેતા. અંગ્રેજોએ તેનો જેવો ઉચ્ચાર કર્યો તેવી જ જોડણી કરી: Mohen-jo-daro. આપણા ઇતિહાસકારોએ તેનું ભારતીય-કરણ કર્યું, “મોહન જો દરો”. પુરાતત્વવિદ્ વિદ્વાનો દ્વારા ત્યાં ખોદકામ થયું અને આખ્યાયિકા ઇતિહાસ સાબિત થઇ. સિંધુ-સરસ્વતિની ભારતીય સંસ્કૃતીની પ્રાચિનતાનો નક્કર પુરાવો મળ્યો. કચ્છના રણ પ્રદેશની આખ્યાયિકાઓ પાછળ ઇતિહાસ છે. ખારાપાટની નજીક અકાળે મૃત્યુ પામેલા યુવાન હવાલદારની દેરી છે; પાણી વગર ટળવળીને મરી ગયેલ બાંગ્લાદેશી સ્ત્રી-પુરુષ-બાળકોની કરૂણ ઘટના રણમાં થઇ. આ ઇતિહાસ પાછળ અને તેની આસપાસ વણાઇ છે દંતકથાઓ. અરવિંદ વૈષ્ણવનો અનુભવ કહો કે જીપ્સીને નાડાબેટની સામેના રણમાં થયેલ અનુભુતિ કહો. તેને માન્યતા કે વહેમનું નામ આપો. પરંતુ સત્ય તો એ વાતમાં છે કે અમારા સમયમાં નાડાબેટમાં માતાજીની 4x4 મીટરની દેરી હતી તેનું આજે મોટા મંદિરમાં પરિવર્તન થયું છે. દૂર દૂરથી હજારો પ્રવાસીઓ ત્યાં દર્શન કરવા તથા બાધા ઉતારવા જાય છે. શ્રદ્ધા, સંજોગ, અજાણ્યા સ્થળે અને રહસ્યમય રીતે મળતી અનપેક્ષીત સહાય - આ બધી વાતોનો વૈજ્ઞાનિક ખુલાસો ન મળે તો સામાન્ય લોકો તેને ચમત્કાર કહેશે. અંતે તારતમ્ય તો એ નીકળે છે કે માનવતાનું દિવ્ય અમૃત મૂર્ત અને અમૂર્ત સ્વરૂપે વહેતું જ રહે છે. અચાનક તેનાં થોડાં અમીછાંટણાંનો પ્રસાદ કોઇને મળે તો તેની ધન્યતામાં ચમત્કારની ચમક રહેલી છે એવું જીપ્સીનું માનવું છે.
અહીં જીપ્સીને નાડાબેટમાં થયેલા અનુભવનો ઉલ્લેખ કર્યો છે તો તેની સંક્ષીપ્ત વાત કહીશ.
બનાસકાંઠા- થર પારકરની સીમા પર આવેલ મારી કંપનીમાં ફરજ બજાવતી વખતે મારે ઘણી વાર નાડાબેટ જવાનું થાય. રસ્તામાં આવતા પાડણ નામના ગામમાં સોલંકી રાજા મૂળરાજે બંધાવેલ ભવ્ય શિવમંદીર છે. અજાણી વેરાન જગ્યાએ આવું સુંદર દેવાલય જોઇ અમે હંમેશા દર્શન કરવા રોકાઇએ.
એક વાર મહાદેવનાં દર્શન કરીને બહાર નીકળ્યો. અહીંથી નાડાબેટ સ્પષ્ટ નજર આવે. આ વખતે મેં ત્યાં નજર કરી અને વિચારમાં પડી ગયો. વાયા સુઇગામ જઇએ તો ચાલીસ-પચાસ કિલોમીટર થાય. ઓર્ડનાન્સના નકશા પ્રમાણે પાડણના મંદીરેથી રણમાં ઉતરી સીધી લાઇનમાં નાડાબેટ જઇએ તો કેવળ ત્રણ-ચાર કિલોમીટરનું અંતર હતું. સ્થાયી હુકમ મુજબ ખારાપાટમાં વાહન લઇ જવાની અમને સખ્ત મનાઇ હતી. મેં મારા ડ્રાઇવરને કહ્યું, ‘ચાલ, હિંમત કરીએ અને ખારાપાટમાંથી જીપ લઇ જઇએ.’ ડ્રાઇવર તો ચિઠ્ઠીનો ચાકર! તેણે રણમાં જીપ ઉતારી.
અમે પચીસે’ક મીટર ગયા હઇશું ત્યાં આગલા પૈડાંની નીચેથી સફેદ મીઠાના બદલે કાળો કાદવ દેખાયો. ડ્રાઇવરને ગાડી રોકવાની સૂચના આપું તે પહેલાં જીપ ખારાપાટમાં ખૂંપવા લાગી. તેણે 4x4નો ગીઅર ચડાવ્યો પણ જીપના ટાયર વધુ ખૂંચી ગયા. પૈડાં skid થવા લાગ્યા અને વ્હીલની નીચેથી ભીનો, કાળો કાદવ ઉડવા લાગ્યો. પોણા ભાગની આગલી એક્સલ કાદવમાં ખૂંપી ગઇ. ડ્રાઇવરે જીપ રીવર્સ કરી, તો પાછળનાં પૈડાં પણ સ્કીડ થયા અને એક જ જગ્યાએ ઘૂમતા રહ્યા. મીઠાના થરને દૂર કરી વ્હીલ તથા પાછલી એક્સલ પણ કાદવમાં ખૂંપી ગઇ.
હું જબરી વિમાસણમાં પડી ગયો. એક તો મેં સ્થાયી હુકમનો ભંગ કર્યો હતો, અને હવે જીપ ખારાપાટમાં અટવાઇ ગઇ. અહીં મીઠાના થરની નીચે કળણ હતું. હવે તો હેડક્વાર્ટર તરફથી કોર્ટ અૉફ ઇન્ક્વાયરી થાય અને મારી સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવે. શું કરવું તે સમજાતું નહોતું. ડ્રાઇવરે મદદ માટે બૂમો પાડી, પણ શિવ મંદીરમાં તે સમયે કોઇ નહોતું. આસપાસ કોઇ મકાન પણ નહોતાં. તેવામાં ફરી એક વાર અમારી નજર દૂર ક્ષિતીજ પર દેખાતા નાડાબેટ પર પડી. મૃગજળને કારણે લીલો છમ જણાતો બેટ જમીનની ઉપર જાણે હવામાં તરી રહ્યો હતો. અમને નાડાબેટનાં માતાજીની આખ્યાયિકાઓ યાદ આવી. છેલ્લી આશા હવે માતાજીની કૃપાની હતી. અમે બન્નેએ પ્રાર્થના કરી. માતાજી પાસે મદદની યાચના કરી. ડ્રાઇવરે થોડી વારે ફરી જીપનું એન્જીન સ્ટાર્ટ કર્યું અને રીવર્સમાં ગિયર લગાવ્યો. ભાસ કહો, આભાસ કહો, વહેમ કહો કે પરમ શક્તિની કૃપા કહો, મને અહેસાસ થયો કે જીપને એક અદૃષ્ટ બળ પાછળથી ઉંચકીને ખેંચી રહ્યું હતું. પાછળના બન્ને પૈડાં જાણે પાણીમાં તરતા હોય તેમ થોડા ઉપર આવ્યા અને ધીમે ધીમે જીપ પાછળ સરકવા લાગી. તેવી જ રીતે આગળનાં પૈડાં થોડા ઉંચકાયા અને પહેલાં જે જગ્યાએ ટાયર લપસી રહ્યા હતા ત્યાં તેમને જાણે નવી પકડ મળી. દસ પંદર મિનીટમાં અમે ખારાપાટની બહાર મંદિરના કિનારે પાછા આવી ગયા.
હું કશું કહું તે પહેલાં મારા ડ્રાઇવરે ધ્રુજતા અવાજે કહ્યું, “હુકમ, આપને મહેસૂસ કિયો જો મૈંને કિયો? ઐસો લાગો જૈસો ગાડીકો કિસીને પીછેસે ઉઠાયો અૌર ખિંચ કે અઠે રણ-રે કિનારે લાયો!”
આ શું હતું? ચમત્કાર? આભાસ?
કોઇ કહેશે તમારી જીપ 4x4 હતી તેથી તે પોતાના મોટિવ ફોર્સથી ચાલી ગઇ. પહેલાં અમે જીપને 4 x 4 માં જ ચલાવી હતી ત્યારે જીપનાં આગળ અને પાછળના બન્ને એક્સલ ખારાપાટના કાદવમાં ખૂંપી ગયા હતા. આ બાબતમાં હું તો એટલું જ કહીશ: આનું રહસ્ય મારા માટે અગમ્ય છે.
રાજસ્થાનના ચુરૂ જીલ્લાના નાનકડા ગામમાંથી આવનાર અમારા ડ્રાઇવર માટે આ માતાજીનો ચમત્કાર અને પ્રાર્થનાની પ્રસાદી હતી.
તે સમયે હું તેની વાતથી અસંમત ન થઇ શક્યો!

Monday, June 22, 2009

આખ્યાયિકાઓ (૩)

ઇન્સ્પેક્શન બાદ બટાલિયનના કમાન્ડન્ટનો ચાર્જ અરવિંદ વૈષ્ણવ પાસે આવ્યો. તેમના અૉપરેશન્સ અૉફિસર તરીકે મારે બૉર્ડર પર અવારનવાર જવું પડતું. ચોકીઓ પર જવા માટે પહેલાં ખાવડા જવું પડે. ત્યાંથી થોડા આગળ જઇએ તો ખારા પાણીની ખાડીને પાર કરતાં શરુ થાય ખારો પાટ અને 'રણ'. આ રણભુમિ પણ વિચીત્ર છે. થરના રણમાં ડુંગરા જેવા રેતીના ઢુવા અહીં ન મળે. અહીં તો માઇલો સુધી સપાટ જમીન છે. જે ભાગ સૂર્યની ગરમીથી તપીને કઠણ બન્યો છે, તે શિયાળા અને ઉનાળા દરમિયાન ક્રિકેટના મેદાન જેવો સખત લાગે. એક વરસાદ પડે કે માટીના ઘડા બનાવવાની માટી જેવો નરમ થઇ જાય. જ્યાં 'બેટ' છે તે જમીન ગામતળ જેવી હોય છે. કુલપતિ મુન્શીએ ‘ગુજરાતનો નાથ’માં અમર કરેલ કચ્છના રણનું વર્ણન, સજ્જન તથા તેની સાંઢણી ‘પદમડી વહુ’ને થયેલા રેતીના તોફાનના અનુભવનું વર્ણન અહીં પ્રત્યક્ષ થાય! ગુજરાતના ઇતિહાસનો સાક્ષાત્કાર થશે તેની અપેક્ષાથી મન ઉત્સુકતાથી તરબોળ થઇ ગયું હતું. મુન્શીજી તો કદી રણમાં નહોતા ગયા, પણ તેમણે સાંઢણીસ્વાર સજ્જનના અનુભવનું જે વર્ણન કર્યું હતું તે મેં અક્ષરશ: જાતે અનુભવ્યું અને કુલપતિ પ્રત્યે આદરથી મસ્તક નમી ગયું. રણ વિસ્તારમાં બદલી થઇ ત્યારે મુન્શીજીએ જે જે સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો તે જોઇને મન પ્રસન્ન થઇ ગયું. વિગો કોટ જોઇને હું આશ્ચર્યચકિત થઇ ગયો.
આ કોઇ સામાન્ય જગ્યા નહોતી. પ્રથમ દર્શનમાં જ ખ્યાલ આવી ગયો કે અહીં મહંમદ ગઝનીના જમાનાના કે તેથી પણ જુની - ૪૦૦૦ વર્ષ પુરાણી સિંધુ ખીણની સંસ્કૃિતના હરપ્પા - મોહન જો ડેરોના સમકાલિન નાનકડા ગામના અવશેષ હતા. આખી ચોકી રાતી ઇંટના ભુક્કા પર ખડી કરવામાં આવી હતી! સ્કૉટીશ ઇજનેરોએ હરપ્પાના અવશેષોની ઇંટોનો રેલ્વે લાઇન બાંધવામાં ઉપયોગ કર્યો હતો; સૈનિકોએ અજાણતાં રેતીની નીચે દબાયેલા આ ગામની ઇંટો પર ચોકી બાંધી હતી.
ભૌગોલિક દૃષ્ટીએ વિગો કોટ એક જમાનામાં બેટ હતો એ તો સત્ય હકીકત છે. મારા માનવા પ્રમાણે ત્યાં હરપ્પાનું સકમાલિન ગામ હતું. સિંધુ-સરસ્વતિ સંસ્કૃતી માં maritime નગર-રાજ્ય હતા. મહાનદીઓના સંગમમાં આવેલો વિગોકોટનો ટાપુ કદાચ તે સમયના વ્યાપારીઓની વખાર કે રહેઠાણ માટે વપરાતો હશે. સિંધુના શહેરો તથા ગામડાં અજાણ્યા કારણોને લઇ ખાલી થયા. કચ્છની વાત કરીએ તો સમયના વહેણમાં દરિયો પશ્ચિમ તરફ ખસતો ગયો તથા અનેક સદીઓના વંટોળીયામાં ઉડી આવેલી ધુળની નીચે આ ગામ પણ દટાઇ ગયું હતું. આંતરરાષ્ટ્રીય સીમાની નજીક આ જગ્યા વ્યુહાત્મક છે. અહીંથી માઇલો દૂર સુધી નિરીક્ષણ કરવા ઉપરાંત સીમા પારથી આવતા જતા અવૈધ માનવ સંચાર પર કાબુ કરી શકાય તેવું આ સ્થાન છે. છાડ બેટને પાકિસ્તાનને હવાલે કરવાના ભારત સરકારના નિર્ણય બાદ આ સ્થળનું મહત્વ એકદમ વધી ગયું હતું. આ પુરાતન સ્થાનની નીચે શું છે તેનો કોઇને ખ્યાલ નહોતો. પુરાતત્વવિદ્ અહીં સુધી પહોંચી શક્યા નહોતા. રણની સમતળ જમીનની વચ્ચે આવેલી આ ઉંચી જમીનમાં બંકર અને મોરચાઓ ખોદવા ઉપરાંત જવાનોને રહેવા માટે બૅરૅક પણ બાંધી શકાય તેવી આ જમીન હોવાથી ૧૯૪૮માં સેન્ટ્રલ રીઝર્વ પોલીસે અહીં ચોકી સ્થાપી હતી. ત્યાર પછી તેનો હવાલો ગુજરાતની એસ.આર.પી.પાસે ગયો અને ૧૯૬૫ બાદ બીએસએફને તેનો ‘કબજો’ મળ્યો.
હું ચોકી પર ગયો ત્યારે ચોકીની ચારે તરફ તાંબાના સિક્કાના અવશેષ જેવી કાટ ચડેલી લીલા રંગની પથરી વેરાયેલી હતી. આજુબાજુ સફેદ કરચ વિખરાયેલી જોવા મળી. અમારા સૈનિકોના માનવા પ્રમાણે આ અનેક વર્ષ પહેલાં રણમાં મરેલા પ્રાણીઓનાં હાડકાંની કરચ હતી.
ચોકીમાં પ્રવેશ કરતાં ત્યાંના વાતાવરણમાં મને એક વિચિત્ર અનુભુતિ થઇ. જાણે અહીં એક અદૃશ્ય વસતિ હાજર હતી! મેં પુરાતત્વ-શાસ્ત્રનો અભ્યાસ કર્યો નહોતો, પરંતુ ઇતિહાસનો વિદ્યાર્થી હતો. મહંમદ ગઝનવીની સોમનાથ પરની ૧૭ ચઢાઇઓમાં રણના આ માર્ગનો તેણે સુદ્ધાં ઉપયોગ કર્યો હતો. ગમે તે હોય, પણ આ કોઇ અતિ પુરાણી જગ્યાના અવશેષ છે એમાં કોઇ શંકા નહોતી.
૧૯૬૮માં બનાસકાંઠામાં મારી પ્રથમ બદલી થઇ હતી ત્યારે કચ્છ વિસ્તારની બીએસએફ બટાલિયનના અફસરો સાથે અમારી મુલાકાત હંમેશા થયા કરતી. તેમાંના એક હતા પુષ્કર-રાજસ્થાનના મધુસુદન પુરોહિત. ૧૯૬૯માં થયેલી એક મુલાકાતમાં તેમણે મને જે વાત કહી હતી તે હું ભુલ્યો નહોતો. મધુભાઇ જ્યારે આ ચોકીના કંપની કમાન્ડર હતા ત્યારે તેમના પિતાજી તેમની સાથે અહીં કેટલોક વખત રોકાયા હતા. સિનિયર પુરોહિત અત્યંત ધાર્મિક પ્રકૃતિના સ્પિરીચ્યુઆિલસ્ટ હતા. તેમણે મધુભાઇને કહ્યું,"અહીં સદીઓ જુના અનેક આત્માઓનો નિવાસ છે. હું તેમને પ્રત્યક્ષ જોઇ શકું છું. તેમની મુક્તિ માટે તમારે કંઇક કરવું જોઇશે. બને તો અહીં એકાદ યજ્ઞ કરાવજો.”
આ વાતને હું ભુલ્યો નહોતો. કદાચ આ કારણે મને પેલી ‘વિચીત્ર’ અનુભુતિ થઇ આવી હતી.
હું વિગો કોટ ગયો ત્યારે ચોકીના કંપની કમાન્ડર રજા પર હતા. તેમનો ચાર્જ ભારદ્વાજ નામના સબ-ઇન્સ્પેક્ટર પાસે હતો. ભારદ્વાજ લખનૌ યુનિવર્સિટીના ઇતિહાસના વિષય સાથે સ્નાતક હતા. તેમની સાથે બે દિવસ રોકાયા બાદ હેડક્વાર્ટર ભુજ પાછા ફરતાં પહેલાં મેં તેમને આ ચોકી વિશેની મારી ધારણાની બાબતમાં વાત કરી અને ચોકીના એક ખુણામાં ખોદકામ કરવાની સૂચના આપી. ખોદકામમાંથી જે પુરાતન અવશેષ મળે તો મને ખબર કરવાનું જણાવ્યું.
બીજા દિવસની મધરાતના સમયે મને ભારદ્વાજનો ટેલીફોન આવ્યો.
“સર, કસમયે ફોન કરું છું તો માફ કરશો. આજ સાંજે અાપના હુકમ મુજબ ખોદકામ કરાવ્યું હતું, પણ થોડી વાર પહેલાં ચોકીમાં થોડી ગરબડ થઇ ગઇ, તેનો રિપોર્ટ આપું છું. ચિંતા કરવા જેવું નથી, કારણ કે હવે બધું થાળે પડી ગયું છે.”
મધરાત બાદ ચોકીમાં ‘ગરબડ’ થયાની વાત સાંભળી હું ચોંકી ગયો. ચોકીમાં કોઇ અકસ્માત અથવા સીમા પર કોઇ બનાવ થયા વગર આટલી રાત્રે ભારદ્વાજ ફોન ન કરે. ફોન પર તેમણે મને જે વિગત આપી તેને આ યુગમાં માની ન શકાય, પણ અહીં તો મને જે ‘રીપોર્ટ’ મળ્યો તેની ટૂંક નોંધ આપું છું.
ભારદ્વાજે ખોદકામનું કામ હવાલદાર પાંડેની નિગરાણી નીચે ચાર જવાનોને સોંપ્યું હતું. ટુકડીને સૂચના આપવામાં આવી હતી કે તેમણે દોઢ મીટર પહોળો, બે મીટર લાંબો અને એટલો જ ઉંડો ટ્રેન્ચના આકારનો ખાડો ખોદવો. બે મીટરની ઉંડાઇ પર તેમને પ્રાણીના આકારનું માટીનું (terra cotta) રમકડું મળ્યું. હરપ્પાના અવશેષોની છબીઓને મળતું આ રમકડું હતું. સાથે થોડા માટીના વાસણના ટુકડા જેવી વસ્તુઓ પણ મળી. થોડું વધુ ખોદકામ કરતાં તેમને જર્જરીત થયેલા બે માનવ અસ્થિ-કંકાલના અવશેષ મળ્યા. પાંડેએ તરત કામ રોકાવ્યું અને ભારદ્વાજને ખબર કરી. ભારદ્વાજે ત્યાં જઇને આ કબર/ખાડો પૂરાવી દીધો.
ચોકીમાં જવાનો ડ્યુટીના સમય બાદ નિયત સ્થળે આરામ કરે. મધરાતે પાન્ડેની ટુકડીના જવાનોએ પગ પછડાવાનો અને કણસવાનો અવાજ સાંભળ્યો અને તેઓ સફાળા જાગી ગયા. ફાનસની વાટ ઉંચી કરતાં જણાયું કે પાન્ડે ફાટી આંખે છત તરફ તાકી રહ્યા હતા. તેમના ગળામાંથી અસ્ફૂટ અને ઘોઘરા અવાજે કણસવાનો અવાજ આવતો હતો. બન્ને હાથ પોતાના ગળા પાસે - જાણે તેમનું ગળું દબાવતા કોઇ અદૃશ્ય હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા હોય. બેહોશીમાં તેમના પગ જમીન પર પછાડતા હતા. આ જોઇ જવાનોએ ભારદ્વાજને બોલાવ્યા.
મિલીટરીના દરેક થાણામાં એક પ્રાર્થનાસ્થાન હોય છે. ત્યાં પૂજા કરવા માટે સાત્વિક પ્રકૃતિના એક જવાનની ડ્યુટી લગાવવામાં આવે છે. આ ચોકીમાં પણ એક જવાનને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ જવાન પાન્ડેની નજીક ગયો, અગરબત્તી સળગાવી અને પ્રાર્થના શરુ કરી. બીજા જવાનો પણ તેની સાથે જોડાયા. થોડી વારે પાન્ડે ભાનમાં આવ્યા. ગભરાટને કારણે તેમનું શરીર ધ્રુજતું હતું.
“શું વાત કરું, સાહેબ? વહેલી સવારની સેન્ટ્રી ડ્યુટી હતી તેથી જમીને વહેલો સૂઇ ગયો. ઘેરી નિંદરમાં હતો પણ અચાનક ઉંઘ ઉડી ગઇ. મારી પાસે બે સ્ત્રીઓ આવી - એક વૃદ્ધ અને એક યુવાન. યુવાન સ્ત્રી અત્યંત ગુસ્સામાં હતી. મારો ઉધડો લેતી હોય તેમ ઉંચા અવાજે બોલવા લાગી અને મને મારી છાતી પર ચઢી બેઠી. તે મારું ગળું દબાવતી ગઇ અને વિચીત્ર ભાષામાં કંઇક કહેતી હતી. તેની પાછળ વૃદ્ધા શાંતિથી ઉભી હતી. હું તો કંઇ પણ કરવા કે બોલવાની શક્તિ ખોઇ બેઠો હતો. પુજારી આવ્યો, તેણે ધુપસળી પેટાવી અને પ્રાર્થના કરી ત્યારે તેઓ અહીંથી ગઇ. સાહેબ, આ જગ્યામાં ‘રૂહ’નો (આત્માઓનો) વાસ છે. મહેરબાની કરી મને બીજી ચોકી પર મોકલી આપો.”
ત્રણેક દિવસે અમારૂં ટૅંકર વિગોકોટને પાણી દઇ પાછો ફર્યો ત્યારે તેમાં બેસી હવાલદાર પાંડે કબરમાંથી મળેલી વસ્તુઓ લઇ ભુજ આવ્યા. તેમનો ડર હજી સુધી તેમના ચહેરા પર દેખાતો હતો. તેમણે આણેલ માટીનું રમકડું બટાલિયનના ક્વાર્ટરમાસ્ટર (મિલીટરીના ભંડારના સ્ટોરકીપર અધિકારી)ને સોંપી વસ્તુઓ ભુજના મ્યુિઝયમમાં મોકલવાનો હુકમ કર્યો.
તે વખતે મને લાગ્યું ખોદકામ કરતી વખતે નીકળેલા હાડપીંજર જોઇ પાન્ડે કદાચ વિકલ થઇ ગયા હતા. તેમને થયેલો અનુભવ દુ:સ્વપ્ન સિવાય બીજું શું હોઇ શકે? પણ ચાર વર્ષ બાદ મને થયેલા અનુભવની વાત કરીશ તો આપને પણ કદાચ નવાઇ લાગશે.

Saturday, June 20, 2009

આખ્યાયિકાઓ (૨)

અહીં એક દંતકથા જ બની ગઇ. કહેવાતું હતું કે જે લોકો દેરી પાસે રોકાયા નહોતા, તેમને નાના-મોટા અકસ્માત નડ્યા હતા. ત્યાર બાદ કોઇએ આ સ્થાનની અવહેલના કરવાની હિંમત નહોતી કરી. વર્ષો વિતતા ગયા, લોકો હવે ડરને બદલે શ્રદ્ધાને કારણે ત્યાં રોકાવા લાગ્યા હતા.
૧૯૭૫ની વાત છે - દેરી બંધાયાના બરાબર ૧૨ વર્ષ બાદની.
ભુજમાં આવેલી બટાલિયનમાં જીપ્સીની ડેપ્યુટી કમાન્ડન્ટના પદ પર બદલી થઇ. દર વર્ષે અમારી બટાલિયનનું ઇન્સ્પેક્શન થાય. મિલીટરીના ઇન્સ્પેક્શન એટલી ઝીણવટથી થતા હોય છે, કે નાની સરખી ઉણપ નીકળે તો તેની નોંધ જવાબદાર અફસરના કૉન્ફીડેન્શિયલ રેકૉર્ડમાં નોંધાય. આથી દિવસ-રાત મહેનત કરી જવાનોનાં રહેઠાણ હૉસ્પિટલના વૉર્ડની જેમ સ્વચ્છ અને ‘ચકચકીત’ રાખવા પડે. જવાનોના યુનિફૉર્મ, તેમની ડ્રીલ, કંપની કમાન્ડરોનું તેમની જવાબદારીના વિસ્તારનું જ્ઞાન- બધું જોવા માટે સિનિયર અફસરોને ઘણી મહેનત કરવી પડે.
તે સમયે અમારી બટાલિયનનો ચાર્જ મારા સાથી શ્રી. અરવિંદ વૈષ્ણવ પાસે હતો. ઇન્સ્પેક્શન કરનારા બ્રિગેડીયર ઇરાની ઘણા કડક અફસર હતા, તેથી અરવિંદે આગળની ચોકીઓ તેમના ઇન્સ્પેક્શન માટે તૈયાર છે કે નહિ તે જાતે જોવા ગયા. હું બટાલિયન હેડક્વાર્ટરમાં બાકીની તૈયારી માટે રહ્યો.
મોડી રાતે અરવિંદ પાછા આવ્યા ત્યારે હું ઓફિસમાં જ હતો. તેમણે જે વાત કહી તે સાંભળી હું ચકિત થયો.
એક દિવસમાં ચાર ચોકીઓનું નિરીક્ષણ કરવાનું હતું તેથી અરવિંદ સવારના ચાર વાગ્યે ભુજથી નીકળી ગયા હતા. અગ્રિમ ચોકીના રસ્તે આવેલી હવાલદારની દેરી પર પાછા વળતાં રોકાઇશું એવી ધારણા કરી તે રોકાયા નહિ. ચોકીનું નિરીક્ષણ કરીને તેઓ પૂર્વ દિશામાં આવેલ ચોકી પર જવા નીકળ્યા, અને ઉતાવળમાં તેમને યાદ ન રહ્યું કે દેરીએ રોકાવાનું રહી ગયું હતું.
કચ્છના મોટા રણમાં જ્યાં ખારો પાટ કે બેટ નથી ત્યાં જમીન સાવ સપાટ - આસ્ફાલ્ટની સડક જેવી લીસ્સી હોય છે. અરવિંદ પોતે પૂરપાટ જીપ ચલાવી રહ્યા હતા - લગભગ ૬૦ કિલોમીટરની ઝડપે. અચાનક શું થયું, તેમની જીપ બે-ત્રણ ગલોટીયાં ખાઇને ઉંધી પડી ગઇ. ચારે પૈડાં આકાશ તરફ હતાં અને હવામાં ફરી રહ્યા હતા. હેબતાઇ ગયેલા અરવિંદે સૌ પ્રથમ જોયું કે પોતાના અને સાથી સૈનિકોના હાથ-પગ સાબૂત હતા. ગાડીની ચાવી ફેરવી એંજીન બંધ કર્યું અને ઘસડાઇને બહાર નીકળ્યા. જીપમાં પ્રવાસ કરનારાઓને સામાન્ય ઇજા થઇ હતી. મહા મહેનતે બધાએ મળી જીપ સવળી કરી. રસ્તામાં કશો અવરોધ છે કે કેમ તે જોવા અરવિંદે તપાસ કરતાં જણાયું કે જમીન સમતળ જ હતી. ચીલા પર કોઇ પ્રકારનો અવરોધ નહોતો. બપોરનો ધોમ ધખતો હતો. આવામાં મૃગજળની અસર તીવ્રતાથી વર્તાતી હતી. દૂરથી જીપ મોટા ટ્રક જેવી ભાસે, અને હરણ ઊંટ જેવડા દેખાય. અરવિંદે દક્ષિણ દિશામાં જોયું તો હવાલદારની દેરી ઉંચા દેવાલય જેવી દેખાતી હતી - જાણે તેમને આહ્વાન આપી રહી હતી.
“નરેન, આને અંધ:શ્રદ્ધા, વહેમ જે કહેવું હોય તે કહો પણ મને જે અનુભવ આવ્યો તેને હું કોઇ પ્રકારે સમજી શક્યો નથી. હું પોતે એવા પરિવારમાં જન્મ્યો છું જેમાં અંધશ્રદ્ધાને સ્થાન નહોતું. હું બચપણથી મારા કાકા - જેઓ દિલ્લીના વિખ્યાત ન્યુરોસર્જન છે, તેમને ત્યાં મોટો થયો. મેં દિલ્લી યુનિવર્સિટીમાં વિજ્ઞાનની ડીગ્રી મેળવી છે. ફોજની સેવા દરમિયાન દુર્ગમ પ્રદેશમાં પણ રહી આવ્યો છું, પણ આવો અનુભવ કદી નથી આવ્યો. તમે આને શું માનશો? ચમત્કાર? રૂઢ થયેલી માન્યતાનો પરચો? કે કેવળ અકસ્માત? જ્યાં આ બનાવ બન્યો, તેનું મેં નિરીક્ષણ કર્યું હતું. ત્યાં કોઇ ખાડા ટેકરા નથી. જે ચીલા પર હું જીપ ચલાવી રહ્યો હતો તે સખત અને સપાટ હતો. તેમાં મારી જીપને ઉંધી થઇ જવાનું શું કારણ હોઇ શકે?”
હું અરવિંદની સાથે નહોતો તેમ છતાં તેમની વાત પર અવિશ્વાસ કરવા જેવું કોઇ કારણ મારી પાસે નહોતું. અરવિંદ વૈષ્ણવ આગળ જતાં બ્રિગેડિયરના હોદ્દા પર પહોંચીને નિવૃત્ત થયા અને હાલ દિલ્લીમાં રહે છે.
આવતા અંકમાં જીપ્સીને થયેલા પારલૌકીક અનુભવ વાંચશો.