Tuesday, June 30, 2009

૧૩૦૦૦ ફીની ઉંચાઇએ પણ બલા પીછો છોડતી નથી!

આટલી ઉંચાઇએ પણ બલા પીછો છોડતી નથી!!!

રોજ રાતે સૂતાં પહેલાં જવાનો અને તેમના નૉન કમીશન્ડ અૉફિસર બુખારી ફરતા બેસી સુખદુ:ખની વાતો કરે. અફસરો માટે જુદું બંકર. મારા તાબાની એક પ્લૅટુન પોસ્ટના કમાંડર તેજ ક્રિશન ભટ્ટ નામના એક કાશ્મિરી પંડીત હતા. એક રાતે તેઓ આવી જ રીતે જવાનો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. અચાનક તેમની નજર બંકરના પ્રવેશદ્વાર પર સ્થિર થઇ. ધીરે ધીરે જાણે આંખો કાચની હોય તેમ તેમાંથી નૂર ગયું. યાંત્રિક પુતળાની જેમ તેઓ ઉભા થયા અને સીધી લાઇનમાં ચાલવા માટે ડગલું ભર્યું. સામે જ ધગધગતી બુખારી હતી. તેમણે બન્ને હાથ વડે બુખારીને ઉંચકવાનો પ્રયત્ન કર્યો. હાથમાં ઉનના ગ્લવ પહેર્યા હતા, તે સળગી ઉઠ્યા. હથેળી પરની ચામડી બળી ગઇ, પણ ભટ્ટને તેની પરવા નહોતી, કે ન તો તેમને તેની કોઇ અસર થતી જણાઇ. જવાનો એક સેકંડ માટે તો વિમાસણમાં પડી ગયા, પણ બીજી જ ક્ષણે ત્રણ-ચાર જવાનોએ તેમને પકડીને પાછા ખેંચ્યા. પાટલી પર જબરજસ્તીથી સુવાડી તેમના પર સ્લીપીંગ બૅગ તથા કામળાઓ નાખી ઢાંકી દીધા. પ્લૅટુનમાં ફર્સ્ટ્ એડનો સામાન હતો તેમાંથી બર્નૉલ કાઢી તેમની હથેળી પર લેપ કર્યો. ભટ્ટની આંખો હજી બંકરના દરવાજા તરફ તાકી રહી હતી, પણ બળી ગયેલા હાથમાં થતી પીડાની તેમના પર કોઇ અસર વર્તાતી નહોતી. થોડી વારે તેઓ ભાનમાં આવ્યા અને તેમણે જે વાત કહી તેથી સહુ આશ્ચર્યચકિત થઇ ગયા. આ વાતની મને જાણ કરવામાં આવી, પણ મધરાત વિતી ગઇ હોવાથી હું બીજે દિવસે સવારે ભટ્ટની ચોકી પર ગયો. તેમની બન્ને હથેળીઓ જોઇ મને પણ નવાઇ લગી. આટલી હદ સુધી બળેલી હથેળી મેં કદી પણ જોઇ નહોતી. તેજ ક્રિશન એક જવાબદાર અફસર હતા અને ફોજમાં કોઇ અફસર પોતાના સિનીયર અફસર આગળ કદી મિથ્યા ભાષા બોલે નહિ. વળી જાણી જોઇને કોઇ પોતાના હાથ શા માટે બાળે? ભટ્ટે મને જે વાત કહી તે આ પ્રમાણે હતી.
“આવી ઉંચાઇ પર બલા (યક્ષીણી) રહેતી હોય છે એવી અમારા કાશ્મિરમાં માન્યતા છે. એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે જેમાં તેમનો ભોગ બનનાર માણસ જીવતો રહી શકતો નથી. આ એવી શરીરધારી ‘રુહ’ - આત્મા - હોય છે, જે ધારે ત્યારે માનવી રુપ ધારણ કરી શકે છે. જેને તે પસંદ કરે એ જ વ્યકતિ તેને જોઇ શકે એવી તેમની શક્તિ હોય છે.
“હું જવાનો સાથે વાત કરતો હતો ત્યાં બે સ્ત્રીઓ આવીને બંકરના દરવાજા પાસે ઉભી રહી. રુપનો અંબાર અને યૌવનથી થનગનતું શરીર જોઇ હું ચકિત થઇ ગયો. આગળ ઉભેલી સ્ત્રીએ મારી તરફ લોભાયમાન સ્મિત કર્યું અને મારી તરફ તેણે પોતાના બન્ને હાથ લંબાવ્યા, જાણે કહેતી હતી, ‘મારો સ્વીકાર કરો!’ મારી આંખ તેની આંખ સાથે મળતાં જ હું ભાન ગુમાવવા લાગ્યો. એક યાંત્રિક પુતળાની જેમ હું ઉભો થવા લાગ્યો અને બસ, હું બેભાન થઇ ગયો. શું કરી રહ્યો હતો તેની મને કશી જાણ ન રહી. જ્યારે પ્લૅટુનના જવાનોએ મારા મોઢા પર પાણી છાંટ્યું અને મને ભાન આવ્યું ત્યારે જ મને હાથમાં થતી અસહ્ય પીડાનો અનુભવ થવા લાગ્યો.”
આ વાત સાંભળી અમારા કાશ્મિરી સિવિલિયન ‘ગાઇડ-કમ્-પોર્ટરે’ કહ્યું, “સાહેબ, આ ચોકી પર બે બલાઓ રહે છે તેવી દંતકથા શાકા વૅલીના અમારા ગામમાં વર્ષોથી ચાલે છે. સાધના પાસ પાસેની ઝર્લાની ખીણમાં બલાઓ રહે છે તેવી જ બલાઓનો અહીં વાસ છે. ભટ્ટ સાહેબ નેક આદમી છે તેથી બચી ગયા. નહિ તો બલાની નજર સાથે એક વાર નજર મળી જાય તો તે માણસ જાનથી જાય.”
ભટ્ટે - કે અમારામાંથી કોઇએ શાકા વૅલીની બલાઓની દંતકથા સાંભળી નહોતી. આજે મને તેજક્રિશન ભટ્ટની વાત યાદ આવે છે ત્યારે તેમની બળેલી હથળીઓ મારી નજર સામે તાદૃશ્ય થાય છે. તે વખતે મનમાં આવેલ વિચાર ફરી તાજો થાય છે: દંતકથાઓ અને માન્યતાઓની પાછળ કોઇ સત્ય છુપાયું હશે? સત્ય અને માન્યતા વચ્ચે સંધ્યા સમયનો કોઇ પડદો છે? તેજક્રિશન ભટ્ટની સાથે થયેલ ઘટનાનું રહસ્ય શું હતું? Rarified atmosphereનો આ પ્રતાપ હતો? દિવાસ્વપ્ન? અસહ્ય ઠંડીમાં એકલતાને કારણે થતો ચિત્તભ્રમ - સ્કિત્ઝોફ્રેનિયા જેવો કોઇ પ્રકાર? ભટ્ટને કોઇ માનસિક બિમારી નહોતી. પોતાની ધગશ, બુદ્ધિમતા અને બહાદુરીને કારણે આગળ જતાં ભટ્ટ ડેપ્યુટી કમાન્ડન્ટના પદે પહોંચી ગયા હતા. તેમણે કહેલી વાત કપોલકલ્પિત હતી કે કેમ તે હું કહી શકું તેમ નથી. પરંતુ મારા જવાનોએ જે જોયું અને તેનું વર્ણન કર્યું તેને હું ગપગોળો નહિ કહી શકું. બીજી વાત: ભટ્ટના દાઝી ગયેલા હાથ મેં જાતે જોયા હતા. સામાન્ય બુદ્ધીને માન્ય ન થાય તેવી વાતને શું કહેવું, તે પણ સમજાતું નથી.
મારી પોતાની વાત કરૂં તો વિમલા પોસ્ટમાં હું કદી સરખી રીતે સૂઇ શક્યો નહોતો. બુખારી હોવા છતાં કદી ન સમજાય તેવી ભયાનક ઠંડી, મારા બંકરમાં કોઇનો પગરવ થયાનો આભાસ, બંકરની ભીંતમાંના છિદ્રોમાંથી આવતા પવનના સૂસવાટમાં નિદ્રા ક્યાંથી આવે? આખી રાત પુસ્તક વાંચવામાં જતી. ક્યારે નિદ્રા આવતી તેનો ખ્યાલ આવે તે પહેલાં મારો સાથી તોતારામ ‘બેડ-ટી’ લાવી જગાડે. હું તૈયાર થઉં ત્યાં મારા સાર્જન્ટ મેજર આવી રાત દરમિયાન થયેલી કોઇ માહિતીનો રિપોર્ટ લાવે. કંપની ક્લાર્ક બલબીર ચંદ ‘સિટ-રેપ’ (situation report) લખાવવા આવે. સામાન્ય રીતે અમારા સિટરેપમાં NTR (Nothing To Report) જ હોય. તેથી બલબીરચંદે સિટરેપનું નામ NTR પાડ્યું હતું. “સર, NTR લખાવવા અાવ્યો છું!” જો કે સિટરેપમાં અમારે હવામાનના સમાચાર આપવાના રહેતા તેથી દિવસ-રાતમાં મહત્તમ અને લઘુતમ ટેમ્પરેચર કેટલું હતું, વાતાવરણ ‘સાફ’ હતું કે તોફાન વાળું, એ લખવું પડતું. શૂન્યની નીચે બે આંકડામાં જતું તાપમાન આ કારણે જ યાદ રહી ગયું હતું.
આવતા અંકમાં જીપ્સીની supporting lifelineની વાત કરીશ.

પર્વતરાયની શરણમાં (૨)

શાકા વૅલીની આજુબાજુ સેંકડો ચોરસ કિલોમિટરના વિસ્તારમાં સરુ, દેવદાર અને પાઇન વૃક્ષોનાં ગીચ જંગલ છે. ત્યાંથી થોડી વધુ ઉંચાઇ પર ખાસ પ્રકારના પૉપ્લર ઉગે છે. તેના થડની છાલ નોટબૂક જેવા પાતળા કાગળની થોકડી જેવી. આના પર તમે પત્ર પણ લખી શકો! મોંઘી કિંમત પર મળતા ખાસ પ્રકારના મશરૂમ અહીંના જંગલમાં ચારે તરફ ઉગતા હોય છે, પણ રીંછ અને ચિત્તાના ભયને કારણે ગ્રામવાસીઓ અહીં આવતા નથી. દસ - અગિયાર હજાર ફીટની ઉંચાઇએ ‘tree line’ સમાપ્ત થાય.(ટ્રીલાઇન કેવી હોય છે જોવા અહીં ક્લીક કરશો. ટ્રીલાઇન બાદ ચઢાણ કેવા હોય છે તેનો અંદાજ અહીં આવશે!). ટ્રીલાઇન બાદ અહીંના પહાડ પર ઝાડ કે પાન ઉગતા નથી. અૉક્સીજનનું પ્રમાણ ઘટી જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય. વળી અહીંથી છેલ્લી ત્રણ હજાર ફીટની ઉંચાઇ અતિ કષ્ટદાયક અને સીધાં ચઢાણની. દર ત્રણ-ચાર પગલાંએ શ્વાસ લેવા-છોડવા પડે. નાજુક ફેફસાંવાળા અહીં ટકી ન શકે. અમે માર્ચીંગ કરી રહ્યા હતા ત્યાં નીચેના જંગલમાંથી વિકરાળ ત્રાડ સાંભળી.અમે થંભી ગયા. અમારા ગાઇડ ગુલામ હૈદર માટે જાણે આ સામાન્ય ઘટના હોય તેમ તેણે કહ્યું, “શાબ જી, યે બનબૂઢેકી આવાજ હૈ. ઇસ મૌસમમેં સાથી કો ઢુંઢને કે લિયે ઐસી હી પુકાર દેતા હૈ. ઇસ મૌસમમેં લકડી કાટને હમારી અૌરતેં જંગલમેં નહિ જાતીં.” આ બાબતમાં મેં તેને અનેક સવાલ પૂછ્યા. શાકામાં પણ આ બનબૂઢા પાછલા કેટલાક વર્ષોમાં આવ્યા હતા, અને તેને તે પ્રસંગો બરાબર યાદ હતા. હા, વળી આ જંગલમાં ‘કસ્તુરા’ (કસ્તુરી મૃગ), રીંછ અને ચિત્તાઓનો પણ નિવાસ છે, તેવું તેણે જણાવ્યું. કસ્તુરાનો શિકાર કરવાની મારી ઇચ્છા હોય તો તે મને લઇ જવા તૈયાર હતો! મેં તેને નમ્રતાપૂર્વક ના કહી, સૈનિકો પણ conservationists હોઇ શકે છે!
ચઢાઇના છેલ્લા પાંચસો ફીટ બાદ િશખર પર plateau હતો અને ત્યાં અમારી ચોકી. આ ઢાળ અત્યંત સિધો - એવો કે તેની ટોચ પર આવેલા કોઇ બંકર દેખાય નહિ. અમારે ત્યાં એવો શિરસ્તો હતો કે દૂરથી નિરીક્ષણ કરી રહેલ સંત્રીને શિખર તરફ આવતી આપણી ટુકડી દેખાય કે પોસ્ટ કમાન્ડર ચ્હાના થર્મૉસ, સૂકો મેવો વિ. લઇને તેમનું સ્વાગત કરવા નીચે આવે.
અસહ્ય ઠંડી વાળા આટલી ઉંચાઇ પર આવેલા શીત પ્રદેશમાં રહેવા સૈનિકો માટે કોઇ બૅરેક નથી હોતી. પહાડમાંથી ભેગા કરેલા પત્થરની ભિંત બનાવીને તૈયાર કરેલા બંકરમાં રહેવું પડે. બંકરની છત પર વળીઓ, તેના પર ટિનનાં પતરાંના છાપરાં. આ છાપરા પર માટીનો થર ચઢાવેલો હોય. બંકરની અંદર ગરમાવા માટે ‘બુખારી’ નામનું ટિનનું બંબા જેવું એક સાધન મૂકવામાં આવે. તેમાં બર્નર હોય છે. બર્નરમાં નળી દ્વારા કેરોસીનનાં ટીપાં પડે જેથી બુખારી આખી રાત બળતી રહી શકે. જો કે અમે તેવું કરી શકતા નહોતા. કેરોસીન બળે ત્યારે અતિશય ઠંડીને કારણે તેની ધુમ્રસેરનું ટાલ્કમ પાવડર જેવી ઝીણી મેશમાં રુપાંતર થતું. અમારા શ્વાસમાં આ મેશની રજકણ જવાથી ગળામાં અને નાકમાં તે ચોંટી જતી. માણસ થુંકે અથવા તેની ખાંસીમાંથી બલગમ નીકળે તો તે કાળા રંગનાં હોય. આથી રાતના સમયે થોડી હૂંફ આવે કે બુખારી ઓલવી, અમે લાકડાની પાટલીઓ પર મૂકેલી સ્લીપીંગ બૅગમાં પેસી જઇએ. સૂતી વખતે પણ બધા સ્નો બૂટ પહેરીને સ્લીપીંગ બૅગમાં જઇએ, કારણ બંકરની આાસપાસની જમીન પર બુખારીની ગરમીને કારણે બરફ પીગળીને અને જમીનના તળીયામાંથી પાણી બંકરમાં આવે. બુખારી ઓલવ્યા બાદ પણ જમીન પર પાણી તો રહે જ અને સવાર સુધીમાં તે જામીને બરફ થઇ જાય. ભુલથી પણ ઉઘાડો પગ આ પાણીમાં પડે તો વિંછીના ડંખ જેવું દર્દ થાય! એટલું જ નહિ, તેનાથી frost bite થવાની સંભાવના હોય છે. ફ્રૉસ્ટ-બાઇટનો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો તેનું gangreneમાં રુપાંતર થતાં વાર ન લાગે.
અસહ્ય ઠંડી તથા હવામાં અૉક્સીજનની કમીને કારણે રાતે ઉંઘ પણ ન આવે.. આટલી ઊંચાઇ પર હવાનું દબાણ ઓછું હોવાથી રસોઇ ચઢવામાં લાંબો સમય લાગતો હોય છે, તેથી દાળ -ભાત લાંબો સમય રાંધવા છતાં થોડા કાચા રહી જાય. આટલી ઉંચાઇએ આવેલ ચોકીમાં શિયાળાના દિવસોમાં એક સ્વચ્છ જગ્યાની આસપાસ લાલ દોરડાથી ‘માર્કિંગ’ કરવામાં આવે. આ અમારો જલ-સ્રોત! આ જગ્યામાં જામેલો બરફ ચૂલા પર રાખેલ ખાસ પ્રકારની ડોલમાં મૂકી ગરમ કરીને પાણી થાય ત્યારે તેનો ચ્હા-પાણી અને રસોઇ માટે ઉપયોગ કરવાનો!
સાંભળ્યું હતું કે આપણા ઋષીઓ તથા સંતો આવી જગ્યાએ રહીને તપ-સાધના કરતા. તેમનો વિચાર કરૂં છું ત્યારે મસ્તક શ્રદ્ધાથી નમી જાય છે.

Monday, June 29, 2009

પર્વતરાયની શરણમાં...

આજે નગાધિરાજના શરણમાં રહેતા જવાનોની વાત કરીશું.

સૈન્યની દરેક રક્ષાપંક્તિના સ્થળને નામ આપવામાં આવે છે - જેમકે 'પૉઇન્ટ ૬૩૫', 'પડા ચિનાર', 'લોન ટ્રી', અથવા પ્રથમ ચોકી સ્થાપનાર મિલીટરી કમાન્ડરની પ્રિય વ્યક્તિનું નામ. અમારા સેક્ટરની સૌથી દુષ્કર, ભવ્યાતિભવ્ય અને ગગનચુંબી પોસ્ટનું નામ હતું “વિમલા” - મારી માતાનું નામ! કર્મધર્મ સંયોગે છ મહિના બાદ મારી નીમણૂંક વિમલા પોસ્ટના સેક્ટર કમાંડર તરીકે થઇ.
વિમલા ક્ષેત્રની જમીનનાં દર્શન વર્ષના ફક્ત ચાર થી પાંચ મહિના થાય. તે વખતે અહીંનું દૃશ્ય નયનરમ્ય હોય છે. અહીં અદ્ભૂત અૌષધીગુણ ધરાવતા બનફશાહ નામના ઝીણાં નીલા રંગના ફૂલ ઉગે. તળેટીમાં રહેતા લોકો બનફશાહનાં ફૂલ - કિલોના બે-ત્રણ હજાર રૂપિયા મળે એવા મૂલ્યવાન ફૂલ ચૂંટવા અહીં આવે. લાલ, લીલી ઝાંયવાળા હેધર (heather)નાં shrub અને નાનાં નાનાં છોડ. બાકીના સાત મહિના બરફથી ઢંકાય. ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન એટલો બરફ પડે કે ચોકીના અમુક સ્થળોએ ૫૦ ફીટ બરફ જામેલો રહે. રાતે ઉષ્ણતામાન માઇનસ ૩૦થી ૪૦ ડીગ્રી હોય અને હવામાન કોઇ પણ પ્રકારની ‘ચેતવણી’ આપ્યા વગર બદલાય - એટલે બગડે. આવું થાય ત્યારે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી સૂસવાટા કરતો બરફથી સભર પવન - blizzard - ફૂંકાય. કોઇ ઉભું હોય ત્યાંથી એક મીટર દૂરની વસ્તુ ન દેખાય. સારું હવામાન હોય ત્યારે પેટ્રોલીંગ પર ગયેલી ટુકડી અચાનક વાતાવરણમાં ફેરફાર થવાથી બરફના તોફાનમાં સપડાય તો તેમને શોધવા અને રાહત આપવા અમારે જવું પડે. તેમની - અને અમારી સલામતીની જવાબદારી કેવળ પરમાત્માની. આવી ખરાબ મોસમી હાલતમાં ઘણી વાર વાયરલેસ સેટ પણ કામ ન કરે. કેટલીક વાર એવા પણ પ્રસંગ બને કે તળેટીમાં - એટલે કર્ણામાં ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે “વિમલા” અને મારી બીજી ચોકીઓ પર સૂર્યનો કોમળ, સોનેરી કળશ અમારા પર સુવર્ણરજ સમી રોશની વેરી રહ્યો હોય! કેટલીક વાર તો વિમલાના શિખર પર બેસીને અમે પચાસ ફીટ નીચે ઘટ્ટ જામેલાં વાદળાં જોઇ શકીએ. એવું લાગે જાણે પહાડ પરથી અમે અમારી નીચે ઘૂઘવતો સાગર જોઇ રહ્યા છીએ!
મે મહિનાથી જુલાઇ-અૉગસ્ટ સુધી વિમલા સેક્ટરમાં દસે’ક મહિનાની રસદ - કેરોસીન, ટીનમાં પૅક કરેલ શાક-ભાજી, દાળ, ઘઉંનો લોટ, ચોખા, કન્ડેન્સ્ડ મિલ્કના ડબા, સૂકો મેવો, ચ્હા, ખાંડ અને મસાલા જેવી સામગ્રી સ્થાનિક ટટ્ટુઓની વણઝાર પર લાદીને ‘ઉપર’ પહોંચાડવામાં આવે. મોસમનો પહેલો બરફ પડે એટલે ‘વિમલા’ સેકટરની પગદંડી પર ટટ્ટુઓની વણઝાર મોકલવું અત્યંત જોખમભર્યું થાય તેથી ચોકીઓ પર માલ સામાન મોકલવાનું બંધ! હવામાન સારું હોય તો હવાઇદળનું હેલિકૉપ્ટર અઠવાડિયામાં એક વાર જવાનોની ટપાલ લઇને આવે અને તેમણે લખેલા પત્રો લઇ જાય. ચોકી પર કોઇ સખત બિમાર પડે તો તેને હૉસ્પિટલ લઇ જવા માટે પણ હેલિકૉપ્ટર આવે. ભારતીય ટેલીવિઝન પર સંરક્ષણ બાબતોના નિષ્ણાત ગણાતા જનરલ અફસર કરીમ તે સમયે અમારા બ્રિગેડ કમાંડર હતા. તેઓ અંગત રીતે જવાનોની સંભાળ રાખતા, અને વિમલા ચોકી પર રહેતા સૈનિકો પર તેમનું ખાસ ધ્યાન રહેતું.
મારી કંપની અૅન શિયાળામાં “વિમલા” સેક્ટરમાં ગઇ. ત્યાં જવા બે દિવસ લાગે. સવારના દસે’ક વાગે ત્યાં જવા નીકળીએ અને ૭૫૦૦ ફીટની ઉંચાઇ વાળી ધારને ઓળંગી સામે પાર આવેલી ખીણ - શાકા વૅલી-માં સાંજના સાતે’ક વાગે પહોંચીએ. શાકા વૅલી સમુદ્રતટથી ૬૦૦૦ ફીટની ઉંચાઇ પર આવેલી નયનરમ્ય ખીણ છે. પુરાણોમાં વર્ણવેલ ગંધર્વ લોક કદાચ આ જ હશે! અહીંના જેવી સૌંદર્યશાળી બહેનો અને એટલો જ રૂપાળો પ્રદેશ મેં બીજે ક્યાંય જોયા નથી. શાકા વૅલીમાં જોયેલા સુંદર પતંગિયા સુદ્ધાં મને બીજે ક્યાંય જોવા મળ્યા નથી.
હું જ્યારે ‘વિમલા’ જવા નીકળ્યો ત્યારે મારી ટુકડીમાં કંપની સાર્જન્ટ મેજર ગુરબચન સિંહ, સિપાહી તોતારામ, કંપની ક્લર્ક બલબીર ચંદ અને ચાર પોર્ટર્સ હતા. તેમાંનો એક ગુલામ હૈદર સૌથી જુનો - અને વૃદ્ધ. સવારે દસ વાગે જમીને અમે નીકળ્યા. સાડા સાત હજાર ફીટની ઉંચાઇની ધાર પાર કરીને શાકા પહોંચ્યા ત્યારે રાતના આઠ વાગી ગયા હતા. શાકામાં રાત વાસો કરી અમે વહેલી સવારે ચાર વાગે ફરી પર્વત પર ચઢવાનું શરુ કર્યું. આ પર્વતરાજિમાં કેટલીક જગ્યાએ પહાડની કંદરાના કિનારા કોતરીને બનાવેલ પગદંડી ફક્ત પોણો-એક મીટર પહોળી છે. પગદંડીની કિનારની નીચેની ખીણ ૧૫૦૦ ફીટ ઉંડી છે. એક કિલોમીટર લાંબી આ પગદંડીને સવારના આઠ વાગ્યા પહેલાં પાર કરવી પડે કારણ કે આ સ્થળે હિમપ્રપાત - avalanche- હંમેશા આઠ વાગ્યા પછી ધસી આવતા હોય છે તેથી અમારે શાકામાંથી ચાર વાગે પ્રયાણ શરુ કરવું પડ્યું હતું. આ પહેલાં વખતસર આ જગ્યા પાર ન કરી શકવાને કારણે પૂરની જેમ ધસમસતા હિમપ્રપાતમાં તણાઇને કેટલાક જવાનો આ ઉંડી ખીણમાં પડી મૃત્યુ પામ્યા હતા. છ’એક મહિના બાદ બરફ પીગળે ત્યારે તેમનાં શબને શોધવા આ ઉંડી ખીણમાં ખાસ ‘સર્ચ પાર્ટી’ મોકલવી પડતી. આવી જ રીતે મારા તાબાની ચોકીઓ વચ્ચેની પગદંડી વીસ-પચીસ ફીટ બરફમાં દટાઇને અદૃશ્ય થઇ જતી, તેથી ત્યાં લાંબા વાંસડાઓ કતારબંધ ખોસી, વાંસના સૌથી ઉંચા છેડા પર લાલ રંગની રસ્સી બાંધી બીજા વાંસ સુધી લંબાવવામાં આવે. વાંસ પર કપડાં સુકાવવા માટે બાંધેલ દોરી જેવા લાગતા આ માનચિહ્ન સૈનિકો માટે જીવા દોરી સમાન હોય છે. આ દોરડાની નીચે ચાલીને જ બીજી ચોકીએ જવા બરફમાં ‘પદયાત્રા’ કરવી જરુરી હોય છે. મેં જ્યારે આ સેક્ટરનો ચાર્જ લીધો ત્યારે મને એવી બે જગ્યાઓ બતાવવામાં આવી, જે અત્યંત ઘાતક હતી. અહીં બરફ પડે ત્યારે બે િશખર વચ્ચે પૂલની જેમ બરફની કમાન થતી હોય છે. આને અંગ્રેજીમાં cornice કહેવાય છે(કૉર્નિસ કેવી હોય છે તે જોવા અહીં ક્લીક કરશો તેમાંનુ છેલ્લું ચિત્ર અમારે ત્યાંની કૉર્નિસને હૂબહૂ મળતું આવે છે). પ્રથમ દૃષ્ટિએ સખત રસ્તા વાળા પૂલ જેવી લાગતી આ કોર્નિસ પરથી સહેલાઇથી જઇ, બે-અઢી કલાકની કૂચમાંથી બચી જવાય એવું લાગે. બે વર્ષ પહેલાં દક્ષીણ ભારતના સાત જવાનો રજા પર જવા માટે અહીંથી નીકળ્યા હતા. ઉતાવળમાં તેમણે સૂચનાની અવગણના કરી અને કોર્નિસ પાર કરવાનો પ્રયત્ન કર્યો.
છ મહિના બાદ તેમનાં શબ હાથ લાગ્યા હતા.

Friday, June 26, 2009

નગાધિરાજના દરબારમાં

રજૌરીમાં શાંતીપૂર્વક (!) સમય ગાળ્યા બાદ અમારી બટાલિયનને ૧૩૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલા તંગધાર વિસ્તારમાં જવાનો હુકમ મળ્યો. મને બટાલિયનની અૅડવાન્સ પાર્ટીના કમાન્ડર તરિકે ત્યાંની ચોકીઓનો ચાર્જ લેવા માટે મોકલવામાં આવ્યો. સંધ્યાના યોગ-ક્ષેત્રની વાતો રજૌરીથી અમારી બટાલિયન આ ‘high altitude’ માં આવેલ વિકટ વિસ્તારમાં જવા નીકળી ત્યારથી શરુ થઇ.
બટાલિયનના સો’એક જેટલા જવાનો તથા જરુરી શસ્ત્ર-સામગ્રી લઇ દસ ટ્રક સાથે અમે સુંદરબની, ખુની નાલા અખનૂર અને જમ્મુ થઇ ઉધમપુર પહોંચ્યા. અહીં રાત રોકાઇ, કાશ્મિરના ખતરનાક રસ્તા પર સોપોર, બારામુલ્લા, કુપવાડા થઇ, અગિયાર હજાર ફીટની ઉંચાઇએ આવેલ ભયાનક એવા નસ્તાચુન પાસ પર પહોંચ્યા. નસ્તાચુન પાસ એટલે માણસના ધૈર્ય, હિંમત અને આત્મબળની કસોટી. ઉનાળામાં સૌંદર્યની ખાણ સમાન નસ્તાચુન શિયાળામાં વિકરાળ પહાડનું સ્વરુપ ધારણ કરી લે છે. તે વખતે ત્યાંથી કોઇ ગાડી - 4x4 જીપ પણ પાર જઇ શકતી નથી. આવા ભયાનક ઘાટને પાર કરી અમે ઝર્લા નામની ખીણમાં ઉતર્યા અને ત્યાંથી આગળ અમે કર્ણા નામના નાનકડા કસ્બામાં અમારું નવું બટાલિયન હેડક્વાર્ટર હતું ત્યાં પહોંચ્યા.
નસ્તાચુન પાસને એક રંગીન મિજાજના બ્રિગેડ કમાન્ડરે તે સમયની લોકપ્રિય અભિનેત્રીનું નામ ‘સાધના’ (જુઓ ચિત્ર)આપ્યું હતું. અહીં બતાવેલ ચિત્ર સાધનાથી લગભગ ૨૦૦૦ ફીટ નીચે છે. ઉપર કેવા હાલ હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. શિયાળામાં નસ્તાચુન પાસને પસાર કરવામાં અગાઉ ઘણા જવાનો અને અફસરોએ જાન ગુમાવ્યા હતા. સામાન્ય લોકોના મનમાંથી નસ્તાચુનનો ડર નીકળી જાય એટલા માટે તેનું આકર્ષક નામાભિધાન કરવામાં આવ્યું. નસ્તાચુનની ટોચ પર અફસરો, જ્યુનિયર કમીશન્ડ અફસર તેમજ જવાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિયાળામાં સાધના પાસ પર વાહન વ્યવહાર બંધ પડી જાય છે. બરફનાં તોફાન તથા હિમવર્ષાનું પ્રમાણ બેહદ હોય છે, તેથી રજા પર જતા કે રજા પરથી પાછા આવતા જવાનોને પગપાળા સાધના પસાર કરવો પડે છે. બરફ પડ્યા બાદ તેની ટોચથી કર્ણા સુધી વળીઓ રોપી, તેના પર લાલ રંગનાં દોરડાં બાંધવામાં આવે છે. આ દોરડાના સહારે સુરક્ષીત માર્ગ શોધવો સહેલું થાય છે.
નસ્તાચુન પાર કરતી વખતે અમારા સિવિલિયન પોર્ટરે મને કહ્યું, “સર, ‘સાધના’થી નીચે ઉતરો ત્યારે ઝર્લાની ખીણમાં સાવચેત રહેવું. આ ખીણમાં એક બલા વસે છે. અત્યંત રુપવતિ યુવતિ બની તમારી સામે આવશે અને તમને મંત્રમુગ્ધ કરી સહવાસ માટે પ્રેરશે. તમે તેની સાથે વાત કરો તો પણ તે તમારી રુહને ગુલામ બનાવી દેશે. કર્ણામાં તમને એવા કેટલાક માણસ દેખાડીશ જેમના રુહને ઝર્લાની બલા ભરખી ગઇ છે. આ માણસો પ્રેતની માફક રઝળતા દેખાશે”. એકાદ મહિના બાદ તેણે આવા બે-ત્રણ માણસો બતાવ્યા, પણ અમારી પાસે તેની ચોકસાઇ કરવાનો સમય કે જરૂરીયાત નહોતી. ગાઇડની વાતમાં એક જ સાચી વાત દેખાઇ: ઝર્લાની ખીણ કોઇ સ્વરૂપવાન સુંદરી કરતાં ઓછી સુંદર નહોતી. જો કે સૌંદર્યથી સભર ખીણમાં એક પ્રકારની ભયાનકતા હતી. અહીં ઘણા જવાનોએ હિમપ્રપાતમાં પ્રાણ ખોયા હતા.
કર્ણા કૅમ્પમાં અમારી બટાલિયન તેમજ બ્રિગેડનું હેડક્વાર્ટર હતું. સમુદ્રની સપાટીથી કર્ણા ૬૦૦૦ ફીટની ઉંચાઇ પર. સાધના પાસથી અહીં ઉતર્યા બાદ અમારી બટાલિયનની જવાબદારી હેઠળ આવતી બધી ચોકીઓનો ચાર્જ મારે લેવાનો હતો. સૌ પ્રથમ હું કર્ણાના તંગધારની આસપાસનો વિસ્તાર જોવા ગયો. મારી સાથે ગામના તહેસીલદાર (આપણા મામલતદારના સમકક્ષ) હતા. તેઓ મને પહાડમાંથી ખળખળ કરી ઉતરતા એક ઝરણાની પાસે લઇ ગયા. ઝરણાની પાછળ ઘેરું જંગલ હતું. “આ જંગલમાં બન બુઢો રહે છે. તેના આખા શરીર પર લાંબા લાંબા વાળ હોય છે. સફેદ વાળને કારણે અહીંના લોકો તેને જંગલમાં રહેનારો બુઢ્ઢો - બન બુઢો કહે છે. સાત-આઠ ફીટ લાંબો આ બન બુઢો અહીંની સ્ત્રીઓને ઉપાડી જવા કોઇ વાર આવતો હોય છે.” ઝરણાની નજીક એક મકાન હતું. આ મકાન બતાવીને તહેસીલદારે કહ્યું, “આ મકાનમાં રહેતા પરિવારની યુવાન સ્ત્રીને એક બન બુઢો ચારે’ક વર્ષ પહેલાં ઉપાડી ગયો હતો. ગામના લોકો બંદુક લઇને તેની પાછળ દોડી ગયા અને મહા મુશ્કેલીએ તેને છોડાવી આવ્યા. બન બુઢાને બે નાળી બંદુકના છરા વાગ્યા તેથી તે પેલી સ્ત્રીને મૂકીને નાસી ગયો. પેલી સ્ત્રી એટલી ગભરાઇ ગઇ હતી કે ડરના માર્યા તેણે ખાવા પીવાનું છોડી દીધું હતી અને થોડા દિવસ બાદ તે મરી ગઇ.” હું વિચારમાં પડી ગયો. જે રીતે તહેસીલદારે બન બુઢાનું વર્ણન કર્યું તેના પરથી તો એવું લાગ્યું કે તે યેતિ - હિમ માનવની વાત કરી રહ્યો હતો. આપણને પરિકથા લાગે તેવી બન બૂઢાની વાત કર્ણામાં અત્યંત સામાન્ય અને પ્રચલિત વાયકા છે.
બીજા દિવસે હું મારા સહકારીઓ સાથે ચોકીઓનો ચાર્જ લેવા નીકળ્યો. હું જ્યારે પહેલી ચોકીની તળેટીએ પહોંચ્યો ત્યારે ત્યાંના પહાડ જોઇ મારું હૈયું બેસી ગયું. હિમાલય વિશાળ છે એ તો બધા જાણે છે, પણ તેની વિશાળતાનું પરિમાણ આટલી નિકટતાથી જોયું નહોતું. તળેટીથી પહાડની ઉંચાઇ આવડી હશે તેની મેં સ્વપ્નમાં પણ કલ્પના કરી નહોતી. પહાડના શિખર પર અમારી ચોકી હતી અને મસ્તક ઉંચું કરી ત્યાં નજર કરી તો મારી હૅટ પીઠની પાછળ પડી ગઇ! લગભગ ૫૦-૬૦ અંશના ઢાળના સીધા અને ૧૧૦૦૦ ફીટ ઉંચા પહાડ પર મારે ચઢવાનું હતું. આવા પંદર સ્થળોનો ચાર્જ લેવા મારે જવાનું હતું. બધા જ સ્થળો લગભગ આવી જ ઉંચાઇએ આવેલા. તળેટીએ હોય તેવી એક જ ચોકી હતી, અને ત્યાંથી પ્રખ્યાત એવી કૃષ્ણગંગા (ફોટો) નદી સાવ નજીક હતી. ત્યાં જઇને નહાયો તો નહિ, પણ હાથ, પગ અને મ્હોં ધોયા, તેનાં નીર માથા પર ચઢાવી શક્યો!
અમારા બટાલિયન સેક્ટરની બધી ચોકીઓ પર જવામાં કેવી તકલીફ નડી તેની વિગત નહિ આપું. કેવળ સૌથી વધુ મુશ્કેલ સ્થળ - જે ૧૩૨૦૦ ફીટની ઉંચાઇ પર હતું - નસ્તાચુનથી ૨૦૦૦ ફીટ વધુ ઉંચું સ્થાન - તેની વાત કરીશ.

Thursday, June 25, 2009

રજૌરી ... (૨)

SSGની ટુકડીને કામયાબી અપાવવા દુશ્મનની મશીનગનનું મારા જવાનો પર અવિરત ફાયરીંગ ચાલુ હતું તેને ચૂપ કરવાનો મેં નિર્ણય લીધો.
રાતના સમયે કોઇ હથિયારમાંથી અૉટોમેટીક ફાયરીંગ કરવાનું હોય તો તેમાં ‘ટ્રેસર’ ગોળીઓ મૂકવામાં આવે છે. રાતાચોળ તણખા જેવી આ ગોળીઓ ક્યાંથી નીકળી ક્યાં જઇને આઘાત કરે છે તે સ્પષ્ટ જોઇ શકાય છે. અમે જોઇ શક્યા કે દુશ્મનની કઇ ખાઇમાંથી તેમની મશીનગન ફાયરીંગ કરી રહી હતી. મેં નિર્ણય લીધો અને પાંચ સેકંડ માટે અમારા ભારે હથિયારમાંથી દુશ્મનની ટ્રેંચ પર એક જબરજસ્ત ‘બર્સ્ટ’ માર્યો. એક સેકંડમાં દસ ગોળીઓ છૂટે એવા અમારા હથિયારના ધડાકા અને તેના પડઘા આખી ખીણમાં ધરતીકંપની જેમ ગાજી ઉઠ્યા. આ પાંચ સેકંડની કાર્યવાહી બાદ પહાડોમાં ભયંકર શાંતિ ફેલાઇ ગઇ. દુશ્મનના હથિયારો થીજી ગયા. રાતના ત્રણ વાગ્યા હતા. અમારી જે પોસ્ટ પર ગોળીબાર ચાલી રહ્યો હતો તેના જવાનોને નૈતીક આધાર અને હિંમત આપવા તેમની પાસે જવા નીકળતો હતો ત્યાં અમારા ફીલ્ડ ટેલીફોન અને વાયરલેસમાં જાણે ભૂત ભરાયું હોય તેમ ધણધણવા લાગ્યા. બ્રિગેડથી માંડી અમાર બધા ઉપરી અધિકારીઓ પૂછવા લાગ્યા કે ભારે હથિયારનો ઊપયોગ કોણે અને શા માટે કર્યો. મેં તેમને સત્ય પરિસ્થિતિ જણાવી. મને આદેશ મળ્યો કે મારા તરફથી થયેલા ‘અનધિકૃત ફાયરીંગ’ની તપાસ કરવા અમારા ‘થિયેટર કમાંડર’ બ્રિગેડીયર સમશેરસિંહ જાતે આવી રહ્યા છે, અને મારે તેમનું મારા સેક્ટર હેડક્વાર્ટરમાં સ્વાગત કરવાનું છે. (થિયેટર એટલે સિનેમા નહિ - થિયેટર અૉફ વૉર હોય છે.)
મારા માટે આ ગંભીર બાબત હતી. નિર્ણય લેવામાં મારી ભૂલ જણાઇ આવે તો મારી કારકિર્દી પર આંચ આવે તેમ હતું. આ માટે જ ઊંચા હોદ્દાના અફસર જાતે તપાસ કરવા આવી રહ્યા હતા.
બૉર્ડર પર યુદ્ધની સ્થિતિ હોય તો તે માટે પણ અમારો ‘ડ્રેસ કોડ’ હોય છે, જેમાં કોઇએ મેડલની રિબન કે અમારા હોદ્દા દર્શક ચિહ્ન પહેરવાના ન હોય. તે દિવસે મેં dress codeનો ભંગ કરી બીજો અપરાધ કર્યો. બે યુદ્ધ તથા અન્ય ફીલ્ડ પોસ્ટીંગમાં કરેલી સેવાના મને કૂલ આઠ મેડલ મળ્યા હતા. દરેક મેડલને અગ્રક્રમ હોય છે. ઘેરા નીલા અને સફેદ રંગની વચ્ચે લાલ દોરાની મારી પહેલી મેડલ-રિબન હતી ૧૯૭૧માં મળેલ રાષ્ટ્રપતિના વીરતા માટેના પોલીસ ચંદ્રકની. બ્રિગેડિયર સમશેરસિંહ ડોગરા રાજપુત હતા. મેં તેમને સૅલ્યૂટ કરી સ્વાગત કર્યું ત્યારે તેમણે મને પ્રથમ સવાલ કર્યો, “મેજર, આ પહેલો મેડલ શાનો છે? મેં આ અગાઉ આ રિબન જોઇ નથી.”
મેં તેમને જવાબ આપ્યો અને તેઓ થોડા ‘ઇમ્પ્રેસ’ થયા. ત્યાર બાદ જ્યાંથી મેં મારૂં હથિયાર વાપર્યું હતું ત્યાં અને જે પોસ્ટ પર SSGએ હુમલો કર્યો હતો તે સ્થાને તેમને લઇ જવાનો હુકમ આપ્યો. બ્રિગેડિયરની સાથે અમારો ‘અૉપરેશનલ કમાંડર’ ઇન્ફન્ટ્રીનો કમાંડીંગ અફસર હતો. બ્રિગેડિયર સાહેબે તેમની ‘પાટલૂન ઉતારી હતી’ એ તેમના મોઢા પરથી જણાઇ આવતું હતું. બ્રિગેડિયર ન જુએ તે રીતે તેઓ હોઠ ફફડાવીને મને ગાળો આપી રહ્યા હતા, કારણ કે મેં જે કાર્યવાહી કરી હતી તે વિશે ન તો મેં તેમની રજા લીધી હતી, ન તો તેનો રીપોર્ટ આપ્યો હતો. મારા અૉપરેશનલ કમાંડર તરીકે તેમણે કદી મારા સેક્ટરની મુલાકાત નહોતી લીધી, કદી પણ મને તેમની ‘અૉપરેશનલ મીટીંગ’માં બોલાવ્યો હતો અને કદી કોઇ સંપર્ક નહોતો રાખ્યો. આ બધું કરવાની તેમની જવાબદારી હતી, જેની તેમણે કદી દરકાર નહોતી કરી. આથી મારી બધી ગતિવિધીઓનો રિપોર્ટ હું મારા કમાન્ડન્ટને જ અાપતો. બ્રિગેડિયરે નિયમ પ્રમાણે આ પ્રસંગ માટે મારા ‘અૉપરેશનલ કમાંડર’ને જવાબદાર ઠરાવ્યા હતા. આ બાબતમાં તેમની પાસે કોઇ જવાબ નહોતો તેથી સમશેરસિંહ તેમના પર બરાબર ‘વરસ્યા’ હતા, તેથી ઇન્ફ્ન્ટ્રી કમાંડર મારા પર પ્રસન્ન નહોતા!
બ્રિગેડિયર સમશેરસિંહે મને સૂચના આપી કે તપાસ દરમિયાન મારે એક અક્ષર પણ ન બોલવો. તેઓ પોતે અંગત રીતે સમગ્ર બનાવની માહિતી મેળવશે. બે કલાકની પદયાત્રા બાદ અમે બનાવના સ્થળે પહોંચ્યા અને તેમણે તપાસ આદરી. દરેક જવાનને બારીકાઇથી પ્રશ્નો પૂછ્યા. દુશ્મનોએ જ્યાં LMG ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો તે ટ્રેન્ચની આગળ જઇ દુશ્મન સૈનિકના બૂટનાં નિશાન જોયા. મને મારા કામ પર અને લીધેલા નિર્ણય પર પૂરો વિશ્વાસ હતો, તેથી મેં આ તપાસના પરિણામની ચિંતા છોડી હતી. બીજા બે કલાકની પદયાત્રા અને તપાસ બાદ અમે પાછા મારા હેડક્વાર્ટરમાં પહોંચ્યા. મિલીટરીના મસ મોટા સફેદ અૅનેમલના ટમલરમાં પીરસેલી ચ્હા પીને બ્રિગેડિયર ત્યાંથી રવાના થયા. જતાં પહેલાં તેમણે મને કશું કહ્યું નહિ.
પંદર દિવસ બાદ બ્રિગેડના અફસરોની મિટીંગ થઇ. મીટીંગના અંતે બ્રિગેડિયર સમશેરસિંહે મારા સેક્ટરમાં થયેલ બનાવ વિશે વિસ્તારથી વાત કરી. તેમણે એક ઇન્ફન્ટ્રીના મેજરને પૂછ્યું, આ બાબતમાં તેણે શું કરવું જોઇએ.
“સર, ચાલુ હુકમ પ્રમાણે વળતી કાર્યવાહી માટે હું બ્રિગેડની રજા માગીશ. જો મને ફાયરીંગ કરવાનો હુકમ મળે તો હું અસરકારક જવાબી ફાયરીંગ કરીશ.”
“સ્ટૅંડીંગ અૉર્ડર પ્રમાણે officer on the spotને પ્રસંગની ગંભીરતાને જોઇ યોગ્ય કારવાઇ કરવાનો અધિકાર છે, તે જાણો છો? આ હુકમમાં સ્પષ્ટ આદેશ છે કે સામાવાળા તરફથી serious provocation થાય તો તમને કોઇની રજા વગર તાત્કાલિક અને યોગ્ય લાગે તેવા પગલાં લેવાનો અધિકાર છે. કાર્યવાહી કર્યા બાદ તમારે મને જાણ કરવાની હોય છે. આવું કરો તો હું તમને ૧૦૦ ટકા સપોર્ટ કરીશ. મોકા પર હાજર તમે છો, હું નહિ. સ્થાનિક સેનાનાયક તરીકે પ્રસંગનું assessment કરી શકો તેવી તમને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમ છતાં તમે રજા માગતા રહેશો?"
મારી તરફ અંગુલીનિર્દેશ કરી તેમણે કહ્યું, “બીએસએફના આ અફસરે યોગ્ય કારવાઇ કરી હતી તેના માટે હું તેને અભિનંદન આપું છું.” આમ કહી તેમણે એક પ્રસંગનો દાખલો આપ્યો.
"આ જ જગ્યા - 'બડા ચિનાર’ પર બીએસએફની ટુકડીઓ મોકલવામાં આવી, તે પહેલાં ત્યાં મિલીટરીની બટાલિયન અહીં તહેનાત હતી. આપણા લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને આપણી પ્રતિકાર કરવાની કહેવાતી અશક્તિની મજાક ઉડાવવા પાકિસ્તાની ચોકીના જવાનોએ તેમના ધાર્મિક દિનની ઉજવણી માટે આપણી ચોકીની સામે - ૧૦૦ ગજ પર આવેલી LC પર એક વાછરડું ખેંચી લાવ્યા અને તેને આપણા કંપની કમાન્ડર અને જવાનોની નજર સામે હલાલ કર્યું. આ જાણે ઓછું હોય, તેમણે તેના માંસના ટુકડા ભારતની સરહદમાં વસતા કાશ્મિરીઓને વહેંચવાની શરૂઆત કરી. આપણા આ “ભારતીય” કાશ્મિરીઓ ખુશીથી ત્યાં જઇને તેમની ‘મહેરબાની’ લઇ આવતા હતા. આપણી ચોકીના કૅપ્ટને આ રોકવા માટે ફાયરીંગ કરવા માટે બ્રિગેડની રજા માગી. કમાંડરે તેને ‘સ્થળ પરના કમાંડર તરીકે યોગ્ય અૅક્શન’ લેવા જણાવ્યું. કૅપ્ટનને જવાબદારી લેવી નહોતી તેથી તેણે કાંઇ કર્યું નહિ. મારી દૃષ્ટીએ આ ગંભીર પ્રોવોકેશન હતું. ઇન્ફન્ત્ટ્રીના કૅપ્ટને આક્રમક કાર્યવાહી કરી હોત તો બ્રિગેડે તેને ટેકો આપ્યો જ હોત."
મને બીજી વાર ચંદ્રક મળ્યા જેટલો આનંદ થયો.

Wednesday, June 24, 2009

રજૌરી: શાંતિથી રહેવા દો ને બાપલા!

અમારી એક ચોકીનું નામ હતું “બડા ચિનાર” (ચોકીનું નામ બદલવામાં આવ્યું છે). તેના કમાંડર ઇન્ફન્ટ્રીની રેજીમેન્ટમાંથી મારા સેક્ટરમાં ડેપ્યુટેશન પર આવેલા કૅપ્ટન ક્રિશન વાસુદેવ હતા. સેક્ટરનો ચાર્જ લઇને મને એક દિવસ પણ નહોતો થયો અને વહેલી સવારે લાઇટ મશીનગન (LMG)ના ફાયરીંગ નો અવાજ આખી ખીણમાં ધમધમી ઉઠ્યો. મેં ફીલ્ડ ટેલીફોન પર વાસુદેવને પૂછ્યું તો જાણવા મળ્યું કે બડા ચિનાર પર ફાયરીંગ થઇ રહ્યું હતું. બે કલાકની પદયાત્રા બાદ ત્યાં પહોંચ્યો ત્યારે પણ થોડી મિનીટોના અંતરે ફાયરીંગ ચાલુ જ હતું. વાસુદેવ તથા જવાનો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેમની સામેની પાકિસ્તાની પોસ્ટ કેવળ ૧૫૦-૨૦૦ મીટર પર હતી ત્યાંથી ગોળીબાર થતો હતો. બિગ ટ્રી અને તેમની વચ્ચે LC હતી. જમીન પર આ લાઇન ખેંચાઇ નહોતી તેથી પાકિસ્તાનને તે મંજુર નહોતી!
અમારી કંપનીઓ જે વિસ્તારમાં મોરચા ખોદીને બેઠી હતી ત્યાં ઝાઝી વસ્તી નહોતી, તેથી જમ્મુ-કાશ્મિરની સરકારે પાણીની કોઇ વ્યવસ્થા કરી નહોતી. અમારા રોજિંદા ઉપયોગ માટે નજીકના પહાડી ઝરણાં - જેને કાશ્મિરમાં ચશ્મા કહે છે ત્યાંથી પાણી લાવીએ. એક દિવસ અમારા લંગર (રસોડા)માં કામ કરનાર સૈનિકો ચશ્મા પર પાણી લેવા ગયા, પાકિસ્તાની સેનાએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો. અમે ફ્લૅગ મીટીંગ કરી તો તેમણે કહ્યું, “આ ચશ્મો અમારા વિસ્તારમાં છે. એક પણ ડગલું મૂકશો તો જાન ગુમાવી બેસશો.” યુનાઇટેડ નેશન્સના નિરીક્ષકે કહ્યું, “આ disputed territory છે તેથી અમે કંઇ પણ કરવા અશક્તિમાન છીએ!”
સામાવાળાઓની ધોંસ એટલી વધી ગઇ હતી કે તેમના કોઇ સૈનિકને કંટાળો આવે તો અમને બે-ચાર ગાળો અાપી, રાયફલ કાઢી અમારી ચોકી તરફ દસ-બાર ગોળીઓ છોડી દે. આ સત્ય હકીજત છે, અને હું તેનો સાક્ષી છું.
આમ અમારા દિવસ વીતતા હતા. એક દિવસ અમને બધા ‘ફીલ્ડ કમાંડરો’ને હેડક્વાર્ટરમાં ખાસ મીટીંગ માટે બોલાવવામાં આવ્યા. પાકિસ્તાની સેનામાં ખાસ કમાંડો રેજીમેન્ટ - સ્પેશીયલ સર્વિસ ગ્રૂપ -SSG- છે, જેને પાકિસ્તાનની ‘શાન’ ગણવામાં આવે છે. તેમની ફોજમાં જ પૂરવાર થયેલા શ્રેષ્ઠ નિશાનબાજ તથા શારીરિક અને માનસિક દૃઢતાની પરમોચ્ચ કસોટીમાં સફળ થનાર કમાન્ડો અફસર અને જવાનોને તેમાં લેવાય છે. આપને ખ્યાલ હશે કે જનરલ મુશર્રફ SSGના અફસર હતા. બીજી રસપ્રદ વાત: પાકિસ્તાનનું સર્જન થયા બાદ ભારતીય સેનાના અફસરોને જે દેશનીસેનામાં જવું હોય ત્યાં જવાની છૂટ આપવામાં આવી હતી. મુંબઇના ગુજરાતી મેમણ પરિવારના અગ્રણી સર ઇસ્માઇલ મીઠા મેમણના પુત્ર પાકિસ્તાનની સેનામાં ગયા અને જનરલ મીઠાના નામે પ્રસિદ્ધ થયા. જનરલ મીઠા SSGના સ્થાપક હતા!
SSGના કૅડેટ્સની ટ્રેનિંગ પૂરી થતાં તેમને કાશ્મિરમાં આપણી સેનાની ચોકી પર ‘raid’ કરવાનું ખાસ ‘મિશન’ આપવામાં આવે છે. મીટીંગમાં અમને જણાવવામાં આવ્યું કે આપણા ગુપ્તચરો ખબર લાવ્યા હતા કે SSGની ટ્રેનીંગ લેનાર એક ટુકડીને મારા સેક્ટર પર દરોડો પાડી બને તો એક-બે જવાનોને તેમના હથિયાર સાથે કેદી બનાવી પાકિસ્તાન લઇ જવાનો ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો.
બ્રીફીંગ બાદ હું તરત મારા સેક્ટરમાં પહોંચી ગયો. ત્રણ કલાકના માર્ચ બાદ રાતે હું મારી ટીમ સાથે મારા સેક્ટરની ફૉર્વર્ડ લોકેલીટીમાં ગયો. ચોકીઓમાં બે દિવસ અને બે રાત રહી, ત્યાંના દરેક સૈનિકની ટ્રેન્ચમાં ‘પોઝીશન’ લઇ બેઠેલા જવાનો સાથે સમય ગાળ્યો. તેમની જવાબદારીના વિસ્તારમાં દુશ્મનની હિલચાલ દેખાય તો તેમણે શી કાર્યવાહી કરવાની છે તે સમજાવ્યું. દરેક જવાનને તેનો 'ટાસ્ક' યાદ છે કે નહિ તેની ચોકસાઇ કરી. અમારા જવાનો ભારતના બધા રાજ્યોમાંથી આવ્યા હતા. પોતાની જવાબદારી ઉપરાંત તેમની દેશપ્રેમની ભાવના મજબૂત હતી. મને હૈયાધારણ થઇ કે SSGની કોઇ યુક્તિ અમારા સૈનિકોની સામે ચાલી નહિ શકે. ખાસ તો મેં તેમને એ હુકમ આપ્યો કે જો દુશ્મન તેમની સંરક્ષક ખાઇ સુધી આવેલો દેખાય તો મારા હુકમની રાહ જોયા વગર તેમણે ગોળી ચલાવવી. આનું જે કાંઇ પરિણામ આવે તો તેની હું અંગત જવાબદારી લઇશ એવું જણાવ્યું.
પાંચમા દિવસની રાતે હું માર સેક્ટર હેડક્વાર્ટરની સૌથી આગળની ખાઇમાં હતો ત્યારે રાતના બે-અઢી વાગે લાઇટ મશીનગનમાંથી નીકળતી ગોળીઓની ધણધણાટી સાંભળી. પાંચ સેકંડનો સમય નહિ વિત્યો હોય ત્યાં પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારી FDLs પર ભારે ગોળીબાર શરૂ કર્યો. એક ‘મિનિ-યુદ્ધ’ શરૂ થઇ ગયું હતું. ફીલ્ડ ટેલીફોન પર ચોકીઓના કમાંડરો સાથે વાત કરતાં જણાયું કે અમારી એક FDLમાં લાઇટ મશીનગન પોસ્ટ પર પાકિસ્તાનના SSG કમાંડોની ટુકડી પહોંચી હતી. દુશ્મનને લાગ્યું કે તે સમયે અાપણા સંતરી ગાફેલ હશે, તેથી ‘ફિક્સ્ડ લાઇન’ પર ગોઠવેલી LMGને ખેંચીને લઇ જવાના ઇરાદાથી તેઓ આપણી ખાઇ સુધી પહોંચી ગયા. ભારતનો બહાદુર સંતરી સિખ લાન્સ-નાયક તૈયાર બેઠો હતો. તેણે દુશ્મનને જોતાં વેંત ૨૮ ગોળીઓની મૅગેઝીન ચલાવી. દુશ્મન અમારા ગોળીબારમાં સપડાઇ ગયો હતો. ત્યાંથી તેમને કાઢવા માટે પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારા પર ગોળીબાર શરૂ કર્યો. આમાંનો સૌથી મોટો માર મારી કમાંડ પોસ્ટની સામે આવેલી ચોકીમાંની મશીનગનમાંથી આવી રહ્યો હતો. તેમનો ગોળીબાર રોકવા મારી બટાલિયન કે આર્મીના અૉપરેશનલ કમાંડરની “પ્રૉપર ચૅનલ”થી રજા લેવા જઉં તો તે આવતાં સુધીમાં કેટલો સમય નીકળી જાય તે કહેવું મુશ્કેલ હતું. તે દરમિયાન આપણા જવાનોની સલામતિ જોખમમાં મૂકાતી હતી. મેં પોસ્ટના લાન્સનાયક સાથે વાત કરી અને તેના પ્લૅટૂન કમાંડર પાસેથી રિપોર્ટ મેળવ્યો. જીપ્સીએ શો નિર્ણય લેવો જોઇએ?
તેની જગ્યાએ આપે શું કર્યું હોત?

Tuesday, June 23, 2009

૧૯૭૬-૧૯૮૦: ગુજરાતથી રજૌરી અને તંગધાર (કાશ્મિર)

ભુજ પાછો ફર્યો અને બે માસમાં અમદાવાદમાં આવેલ અમારા ડીઆઇજી હેડક્વાર્ટરમાં મારી નીમણૂંક જૉઇન્ટ આસિસ્ટંટ ડાયરેક્ટરના પદ પર થઇ. નવી ઘોડી નવો દાવ શરૂ થયો. (અહીં કહેવાનું રહી ગયું કે અમે ભુજ હતા ત્યારે કેટલાક પ્રસંગો ઝપાટાબંધ થઇ ગયા. અનુરાધા અને બાળકોને કાયમી વસવાટ માટે લંડન મોકલ્યા. મારૂં જવાનું ચાર વર્ષ માટે મોકુફ રહ્યું. આની વાત ફરી ક્યારે'ક કરીશ. અત્યારે તો 'યુદ્ધસ્ય રમ્યા: કથા:'!)
અમદાવાદમાં મને સાબરમતીના કાંઠે કૅમ્પ વિસ્તારમાં આવેલ વિશાળ સરકારી આવાસમાં રહેવા મળ્યું. આ એવું પોસ્ટીંગ હતું જેનું મેં કદી સ્વપ્ન સેવ્યું હતું. વતનમાં - મારા પોતાના શહેરમાં અનુરાધા અને અમારા બાળકો સાથે એકા’દ બે વર્ષ રહેવા મળે તેવી અમારી ઇચ્છા હતી. સ્વપ્ન સાકાર થયું, પણ તે અધુરું હતું. અમદાવાદનું મારૂં વાસ્તવ્ય એક વર્ષનું રહ્યું.
બીએસએફના જવાનોની જીંદાદિલીની મને મારી નોકરીની શરૂઆતથી જ ખાતરી થઇ હતી. પરંતુ તેમની સહિષ્ણુતા અસિમીત હતી તેનો અનુભવ મને અમદાવાદમાં આવ્યો. મારી બહેન મીનાના સૌથી નાના પુત્ર રજનીશની spleenમાં એવી બિમારી થઇ હતી કે તેને અૉપરેશન દ્વારા કાઢી નાખવાની જરૂર પડી. પૅથોલૉજીકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના રક્તનું ગ્રુપ અસામાન્ય - ‘બી નેગેટીવ’ હતું. વાડીલાલ સારાભાઇ હૉસ્પીટલની રક્ત બૅંકમાં આ વર્ગનું લોહી નહોતું. જ્યાં સુધી ત્રણ બાટલા બી નેગેટીવની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેનું અૉપરેશન થઇ શકે તેમ નહોતું.
હું અૉિફસમાં બેસીને ગંભીર વિચાર કરી રહ્યો હતો ત્યાં મારા પર્સનલ આસિસ્ટંટ સબ-ઇન્સ્પેક્ટર રવીંદ્રન્ નાયર આવ્યા. તેમણે મને ચિંતાનું કારણ પૂછ્યું. તેમને મેં વાત કરી. એક કલાક બાદ તેઓ મારી પાસે આવ્યા. તેમણે ડ્યુટી પ્લૅટૂનના જવાનો સાથે વાત કરી હતી જેના પરિણામે ૫૪ જવાનો રક્તદાન કરવા તૈયાર થયા. અમે તેમને હૉસ્પીટલમાં લઇ ગયા અને તેમાંના ત્રણ જવાનોનું લોહી બી નેગેટીવ નીકળ્યું. આ ત્રણ જવાનોમાં રવીંદ્રન પણ હતા. રજનીશનું સફળ અૉપરેશન થયું.
બીએસએફ જેવી સેનામાં જોડાયાનું મને અભિમાન અને ગૌરવ છે અને તે મને હંમેશા યાદ રહેશે.
અમદાવાદમાં એક વર્ષ સેવા બજાવ્યા બાદ મારી બદલી કાશ્મિરમાં પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મિરની સરહદ પર આવેલ પૂંચ-રજૌરી સેકટરમાં થઇ. મારા જીવનમાં થયેલા અનેક coincidencesમાં એકનો વધારો થયો.મારી બદલી રજૌરીમાં આવેલ બટાલિયનમાં થઇ. આ મારી ૧૯૭૧ના યુદ્ધ સમયની જુની ૨૩મી બીએસએફ બટાલિયન હતી! બટાલિયનમાં હું સાંજે પહોંચ્યો. બીજા દિવસે કમાન્ડન્ટ દ્વારા આયોજીત “સૈનિક સમ્મેલન” હતું, જેમાં બૉર્ડર પર ગયેલી કંપનીઓને બાદ કરતાં બાકીની બધી કંપનીઓ હાજર હતી. મારા આશ્ચર્ય વચ્ચે જ્યારે હું ત્યાં પહોંચ્યો, હાજર રહેલા ૮૦૦ સૈનિકોએ તાળીઓના ગડગડાટથી મારૂં સ્વાગત કર્યું! બાકીના અફસરોને જાણ નહોતી કે આ મારી જુની બટાલિયન હતી. મારા નવા સીઓએ સુબેદાર મેજરને પૂછ્યું, “યે તાલીયાં કિસ ખુશીમેં બજ રહીં હૈં?”
“અપને પુરાને અફસરકો દેખ કર જવાન અપની ખુશીકા ઇઝહાર કર રહે હૈં.” બધા અફસર મારી તરફ જોવા લાગ્યા. બટાલિયનમાં આવું પહેલાં કદી થયું નહોતું!
સમ્મેલન બાદ કમાન્ડન્ટ સાથે મારો ઇંટરવ્યૂ થયો. તેમને જાણ થઇ કે મારો પરિવાર લંડનમાં હતો તેથી હું ‘અધિકૃત’ રીતે ‘સિંગલ અૉફિસર’ હતો. તે સમયે બટાલિયનના લગભગ બધા યુવાન અફસરો પોતાની નવપરિણીત પત્ની સાથે હેડક્વાર્ટરમાં રહેતા હોવાથી તેમને રાહત આપવા LC - એટલે લાઇન ઓફ કન્ટ્રોલ પર આવેલ ચોકીઓમાં લિખીતંગને જવાનું થયું. ડેપ્યુટી કમાંડંટ તરીકે મારી નીમણૂંક બે કંપનીઓના સેકટર કમાંડર તરીકે કરવામાં આવી. જે કંપનીમાં મારૂં કમાન્ડ હેડક્વાર્ટર હતું તે હતી મારી જુની ‘એફ’ - ફૉક્સ-ટ્રૉટ કંપની હતી!
રજૌરી ઐતિહાસીક સ્થળ છે. હિમાલયની પીર પંજાલ પર્વતમાળાની તળેટીએ આવેલ અમારા હેડક્વાર્ટરની નજીક એક પ્રખ્યાત મજાર છે: પંજ પીર. અહીંની મુસ્લિમ પ્રજા આ પાંચ પીરના સ્થાનક પર ધુપ બત્તી કરે. નામ ભલે ‘પંજ પીર’ હોય, પણ ત્યાં છ કબર છે. પાંચ પવિત્ર ભાઇઓ અને છઠી કબર તેમની બહેનની છે એવું ત્યાંના મુજાવરનું કહેવું છે. રજૌરીના હિંદુઓ આને પાંચ પાંડવ અને પાંચાલીનું સમાધિ સ્થાન માને છે. શિયાળામાં સંપૂર્ણ પણે હિમાચ્છાદિત થઇ જતા ‘પીર પંજાલ’ (photo) વિશે અહીંના હિંદુઓની આસ્થા છે કે જ્યારે પાંડવો ‘હેમાળે હાડ ગાળવા’ નીકળ્યા, ત્યારે તેમણે પીર પંજાલની પૂર્વ દિશામાં હિમાલય પર આરોહણ કર્યું. પીર પંજાલની કપરી ધાર પાર કરતી વખતે તેઓ એક પછી એક મૃત્યુ પામ્યા હતા. તેમનાં શરીર રજૌરીની તળેટીએ લાવી તેમની સમાધિ બાંધવામાં આવી. પંજાલ એ ‘પાંચાલ’ શબ્દનો અપભ્રંશ છે એવું અહીંના હિંદુઓનું માનવું છે. આ માન્યતા કાશ્મીરની મોટા ભાગની પ્રજાએ ધર્માન્તરણ કર્યું તે પહેલાંથી ચાલતી આવી છે. પતિવ્રતા પાંચાલીના નામને અમર કરવા પહાડોનું નામ પીર પંજાલ રાખવામાં આવ્યું એવું કેટલાક લોકો માને છે. આની પાછળ જે સત્ય હોય તે શોધવાનું કામ પુરાતત્વવિદ્ જ કરી શકે!
રજૌરીની બીજી હકીકત: મોગલ બાદશાહ જહાંગીર જ્યારે કાશ્મિરથી દિલ્લી પાછો જઇ રહ્યો હતો ત્યારે રજૌરીની સીમમાં તેનું મૃત્યુ થયું. અફીણ અને શરાબમાં હંમેશા ડુબેલા બાદશાહના રાજ્યની સત્તાનો દોર નૂરજહાંના હાથમાં હતો. તેના મરણના સમાચાર સાંભળી દિલ્લીમાં સત્તા માટેની પડાપડીમાં નૂરજહાંના હાથમાંની સત્તા જતી ન રહે તે માટે જહાંગીરના મરણના સમાચાર તેણે ગુપ્ત રાખ્યા. રજૌરીમાં જ રાતો રાત બાદશાહના મૃત શરીરમાંથી vital organs કાઢી નાખવામાં આવ્યા. શરીરમાં મસાલા ભરી, તેના શબને હાથીની અંબાડીમાં આરામ કરે છે તેવી સ્થિતિમાં રખાયું અને પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો. જહાંગીરના શરીરમાંથી કઢાયેલા આંતરડા વિ. રજૌરીની નજીક તેના અંતિમ આરામગાહની નજીક દફનાવવામાં આવ્યા એવી આખ્યાયિકા છે..
રજૌરીમાં મારો સમય અનેક રોમહર્ષક ઘટનાઓમાં વીત્યો. મારૂં પોતાનું સેક્ટર હેડક્વાર્ટર ૭૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલ શિખર હતું. અમારી દરેક પોસ્ટની સામે પાકિસ્તાની સેનાના ડીફેન્સનાં થાણાં હતા. અહીંની ભૌગોલિક રચના રસપ્રદ હતી. પાકિસ્તાનની લગભગ બધી ચોકીઓ અમારી બધી ચોકીઓ કરતાં થોડી ઊંચેની પહાડી પર હતી, તેથી તેઓ અમારી પોઝીશન પર ફાયર કરે તો ઘણો અસરકારક નીવડે. અમારા માટે અહીં વધારાની ‘અગવડ’ હતી સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષકોની નીતિ (અમે તેને અ-નીતિ કહેતા!). બહુધા પાકિસ્તાન તરફથી તેમની ખાતરબરદાસ્ત સારી થતી હોય કે પછી અમેરીકાની સાથે પાકિસ્તાનની ‘પાક્કી’ દોસ્તી જગ જાહેર હોવાને કારણે જ્યારે પણ પાકિસ્તાની સૈનિકો તરફથી ‘સીઝ ફાયર અૅગ્રીમેન્ટ’નો ભંગ થાય તો પણ તેઓ આપણી વાત માનવાને બદલે ‘સામાવાળા’ની વાત પર વધુ વિશ્વાસ રાખતા. પાકિસ્તાની સૈનિકો વિના કારણ આપણી ચોકીઓ પર ગોળીબાર કરતા અને ભારત પર ખોટો આક્ષેપ લાગતો કે આપણે પહેલ કરી હતી જેથી તેઓ “સ્વબચાવ” માટે જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. પરિણામે અમારા GOC (ડિવીઝન કમાંડર)નો હુકમ હતો કે આપણા તરફથી પાકિસ્તાનની ચોકીઓ પર ‘small arms’થી ફાયરીંગ કરવું હોય તો બટાલિયન કમાંડરની, અૉટોમેટીક હથિયાર માટે બ્રિગેડ કમાંડરની અને ભારે હથિયાર (મિડિયમ મશીનગન વિ.) થી જવાબી કાર્યવાહી કરવી હોય તો ડિવિઝનમાંથી રજા લેવી જરૂરી હતી. આમાં એક જ અપવાદ હતો કે પાકિસ્તાન તરફથી અસહ્ય અતિક્રમણ કે આક્રમણ થાય તો ઊપરી અધિકારીઓની રજા લીધા વગર સ્થાનિક કમાન્ડરને યોગ્ય પગલાં લેવાનો અધિકાર હતો.
પાકિસ્તાનના સૈનિકો વિના કોઇ ઉશ્કેરણીથી આપણા સૈનિકો પર ગોળીબાર કરતા હતા તેવું હું કહું તો મારી વાત પ્રચારાત્મક લાગે તે સ્વાભાવિક છે. પાકિસ્તાની ‘ધોંસ’નો મને પોતાને અનુભવ ન આવ્યો હોત તો હું પણ એવું કહેત કે તાળી હંમેશા બે હાથે વાગે છે.

આખ્યાયિકાઓ (4)

આખ્યાયિકાઓ કહો કે દંતકથા, તે ઇતિહાસનો અંશ હોય છે. ઇતિહાસનો અંશ એટલા માટે કે જુના જમાનાથી કહેવામાં આવતી, વણ-લખાયેલી, દસ્તાવેજી પુરાવા વગરની આ વાતો હોય છે, પણ તેની પાછળ સત્યનો અંશ હોય છે. રાણકદેવીનું અપહરણ કરીને રાજા સિદ્ધરાજ જયસિંહ તેમને પાટણ લઇ જઇ રહ્યા હતા તે સમયથી ગિરનારમાં એક મોટો ખડક એવો છે જે પડતાં પડતાં રોકાઇ ગયો હોય તેવું લાગે. આખ્યાયિકા તો સૌ જાણે છે કે સતીમાતાએ તેમની પાછળ શોકથી તુટી પડતા ગિરનારને “મા પડ, મારા આધાર, ચોસલાં કોણ ચઢાવશે/ગયા ચઢાવણહાર, જીવતાં જાતર આવશે...” ગાયું હતું. પહાડ પરથી પડતા ખડકની થઇ આખ્યાયિકા, રાણકદે ઐતિહાસીક પાત્ર અને વંદનીય સતી હતા. તેમની ખાંભી સુરેન્દ્રનગર પાસે હજી ઉભી છે.
કચ્છની આખ્યાયિકાઓ એવી જ છે - સત્યના અંશ સમાન.
ભુજની પાસે આવેલ માધાપર ગામ પાસેનું જખનું મંદિર સુપ્રસિદ્ધ છે. અહીંની આખ્યાયીકા છે કે હજારો વર્ષ પહેલાં અહીંની ધનિક અને શાંત પ્રજા પર દુશ્મનોએ હુમલો કર્યો હતો ત્યારે તેમની સહાયતા માટે ગોરા વાનના ‘તેજસ્વી’ યક્ષ ઘોડા પર બેસીને ત્યાં આવ્યા અને દુશ્મનોને મારી હઠાવ્યા. લડાઇમાં કેટલાક ‘યક્ષ’ મૃત્યુ પામ્યા અને સ્થાનિક પ્રજાએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા ટેકરી પર ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ રચી. ત્યાં મંદીર થયું અને દર વર્ષે ત્યાં મેળો ભરાય છે. ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ આપણને હજી જોવા મળશે. ઇતિહાસવિદોની માન્યતા છે કે આ યક્ષો આકાશમાંથી ઉતરી આવ્યા નહોતા. તેઓ એલૅક્ઝાન્ડર-ધ-ગ્રેટના ગ્રીક સૈનિકો હતા, અને કચ્છના બંદરેથી પોતાને વતન જવા નીકળ્યા હતા. ગામલોકોની ચીસો સાંભળી તેઓ તેમની મદદે ધસી ગયા હતા.
આવી જ વહેમભરી આખ્યાયિકા હતી સિંધમાં. એક ઉંચા, વિશાળ ટેકરામાં ભૂતોનો વાસ છે એમ મનાતું. સાંજ પછી ત્યાં કોઇ જતું નહિ. આ ટેકરાનું નામ જ પડી ગયું- મરેલાઓનો અડ્ડો. સિંધી ભાષામાં લોકો તેને “મૂંએજો-ડેરો” કહેતા. અંગ્રેજોએ તેનો જેવો ઉચ્ચાર કર્યો તેવી જ જોડણી કરી: Mohen-jo-daro. આપણા ઇતિહાસકારોએ તેનું ભારતીય-કરણ કર્યું, “મોહન જો દરો”. પુરાતત્વવિદ્ વિદ્વાનો દ્વારા ત્યાં ખોદકામ થયું અને આખ્યાયિકા ઇતિહાસ સાબિત થઇ. સિંધુ-સરસ્વતિની ભારતીય સંસ્કૃતીની પ્રાચિનતાનો નક્કર પુરાવો મળ્યો. કચ્છના રણ પ્રદેશની આખ્યાયિકાઓ પાછળ ઇતિહાસ છે. ખારાપાટની નજીક અકાળે મૃત્યુ પામેલા યુવાન હવાલદારની દેરી છે; પાણી વગર ટળવળીને મરી ગયેલ બાંગ્લાદેશી સ્ત્રી-પુરુષ-બાળકોની કરૂણ ઘટના રણમાં થઇ. આ ઇતિહાસ પાછળ અને તેની આસપાસ વણાઇ છે દંતકથાઓ. અરવિંદ વૈષ્ણવનો અનુભવ કહો કે જીપ્સીને નાડાબેટની સામેના રણમાં થયેલ અનુભુતિ કહો. તેને માન્યતા કે વહેમનું નામ આપો. પરંતુ સત્ય તો એ વાતમાં છે કે અમારા સમયમાં નાડાબેટમાં માતાજીની 4x4 મીટરની દેરી હતી તેનું આજે મોટા મંદિરમાં પરિવર્તન થયું છે. દૂર દૂરથી હજારો પ્રવાસીઓ ત્યાં દર્શન કરવા તથા બાધા ઉતારવા જાય છે. શ્રદ્ધા, સંજોગ, અજાણ્યા સ્થળે અને રહસ્યમય રીતે મળતી અનપેક્ષીત સહાય - આ બધી વાતોનો વૈજ્ઞાનિક ખુલાસો ન મળે તો સામાન્ય લોકો તેને ચમત્કાર કહેશે. અંતે તારતમ્ય તો એ નીકળે છે કે માનવતાનું દિવ્ય અમૃત મૂર્ત અને અમૂર્ત સ્વરૂપે વહેતું જ રહે છે. અચાનક તેનાં થોડાં અમીછાંટણાંનો પ્રસાદ કોઇને મળે તો તેની ધન્યતામાં ચમત્કારની ચમક રહેલી છે એવું જીપ્સીનું માનવું છે.
અહીં જીપ્સીને નાડાબેટમાં થયેલા અનુભવનો ઉલ્લેખ કર્યો છે તો તેની સંક્ષીપ્ત વાત કહીશ.
બનાસકાંઠા- થર પારકરની સીમા પર આવેલ મારી કંપનીમાં ફરજ બજાવતી વખતે મારે ઘણી વાર નાડાબેટ જવાનું થાય. રસ્તામાં આવતા પાડણ નામના ગામમાં સોલંકી રાજા મૂળરાજે બંધાવેલ ભવ્ય શિવમંદીર છે. અજાણી વેરાન જગ્યાએ આવું સુંદર દેવાલય જોઇ અમે હંમેશા દર્શન કરવા રોકાઇએ.
એક વાર મહાદેવનાં દર્શન કરીને બહાર નીકળ્યો. અહીંથી નાડાબેટ સ્પષ્ટ નજર આવે. આ વખતે મેં ત્યાં નજર કરી અને વિચારમાં પડી ગયો. વાયા સુઇગામ જઇએ તો ચાલીસ-પચાસ કિલોમીટર થાય. ઓર્ડનાન્સના નકશા પ્રમાણે પાડણના મંદીરેથી રણમાં ઉતરી સીધી લાઇનમાં નાડાબેટ જઇએ તો કેવળ ત્રણ-ચાર કિલોમીટરનું અંતર હતું. સ્થાયી હુકમ મુજબ ખારાપાટમાં વાહન લઇ જવાની અમને સખ્ત મનાઇ હતી. મેં મારા ડ્રાઇવરને કહ્યું, ‘ચાલ, હિંમત કરીએ અને ખારાપાટમાંથી જીપ લઇ જઇએ.’ ડ્રાઇવર તો ચિઠ્ઠીનો ચાકર! તેણે રણમાં જીપ ઉતારી.
અમે પચીસે’ક મીટર ગયા હઇશું ત્યાં આગલા પૈડાંની નીચેથી સફેદ મીઠાના બદલે કાળો કાદવ દેખાયો. ડ્રાઇવરને ગાડી રોકવાની સૂચના આપું તે પહેલાં જીપ ખારાપાટમાં ખૂંપવા લાગી. તેણે 4x4નો ગીઅર ચડાવ્યો પણ જીપના ટાયર વધુ ખૂંચી ગયા. પૈડાં skid થવા લાગ્યા અને વ્હીલની નીચેથી ભીનો, કાળો કાદવ ઉડવા લાગ્યો. પોણા ભાગની આગલી એક્સલ કાદવમાં ખૂંપી ગઇ. ડ્રાઇવરે જીપ રીવર્સ કરી, તો પાછળનાં પૈડાં પણ સ્કીડ થયા અને એક જ જગ્યાએ ઘૂમતા રહ્યા. મીઠાના થરને દૂર કરી વ્હીલ તથા પાછલી એક્સલ પણ કાદવમાં ખૂંપી ગઇ.
હું જબરી વિમાસણમાં પડી ગયો. એક તો મેં સ્થાયી હુકમનો ભંગ કર્યો હતો, અને હવે જીપ ખારાપાટમાં અટવાઇ ગઇ. અહીં મીઠાના થરની નીચે કળણ હતું. હવે તો હેડક્વાર્ટર તરફથી કોર્ટ અૉફ ઇન્ક્વાયરી થાય અને મારી સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવે. શું કરવું તે સમજાતું નહોતું. ડ્રાઇવરે મદદ માટે બૂમો પાડી, પણ શિવ મંદીરમાં તે સમયે કોઇ નહોતું. આસપાસ કોઇ મકાન પણ નહોતાં. તેવામાં ફરી એક વાર અમારી નજર દૂર ક્ષિતીજ પર દેખાતા નાડાબેટ પર પડી. મૃગજળને કારણે લીલો છમ જણાતો બેટ જમીનની ઉપર જાણે હવામાં તરી રહ્યો હતો. અમને નાડાબેટનાં માતાજીની આખ્યાયિકાઓ યાદ આવી. છેલ્લી આશા હવે માતાજીની કૃપાની હતી. અમે બન્નેએ પ્રાર્થના કરી. માતાજી પાસે મદદની યાચના કરી. ડ્રાઇવરે થોડી વારે ફરી જીપનું એન્જીન સ્ટાર્ટ કર્યું અને રીવર્સમાં ગિયર લગાવ્યો. ભાસ કહો, આભાસ કહો, વહેમ કહો કે પરમ શક્તિની કૃપા કહો, મને અહેસાસ થયો કે જીપને એક અદૃષ્ટ બળ પાછળથી ઉંચકીને ખેંચી રહ્યું હતું. પાછળના બન્ને પૈડાં જાણે પાણીમાં તરતા હોય તેમ થોડા ઉપર આવ્યા અને ધીમે ધીમે જીપ પાછળ સરકવા લાગી. તેવી જ રીતે આગળનાં પૈડાં થોડા ઉંચકાયા અને પહેલાં જે જગ્યાએ ટાયર લપસી રહ્યા હતા ત્યાં તેમને જાણે નવી પકડ મળી. દસ પંદર મિનીટમાં અમે ખારાપાટની બહાર મંદિરના કિનારે પાછા આવી ગયા.
હું કશું કહું તે પહેલાં મારા ડ્રાઇવરે ધ્રુજતા અવાજે કહ્યું, “હુકમ, આપને મહેસૂસ કિયો જો મૈંને કિયો? ઐસો લાગો જૈસો ગાડીકો કિસીને પીછેસે ઉઠાયો અૌર ખિંચ કે અઠે રણ-રે કિનારે લાયો!”
આ શું હતું? ચમત્કાર? આભાસ?
કોઇ કહેશે તમારી જીપ 4x4 હતી તેથી તે પોતાના મોટિવ ફોર્સથી ચાલી ગઇ. પહેલાં અમે જીપને 4 x 4 માં જ ચલાવી હતી ત્યારે જીપનાં આગળ અને પાછળના બન્ને એક્સલ ખારાપાટના કાદવમાં ખૂંપી ગયા હતા. આ બાબતમાં હું તો એટલું જ કહીશ: આનું રહસ્ય મારા માટે અગમ્ય છે.
રાજસ્થાનના ચુરૂ જીલ્લાના નાનકડા ગામમાંથી આવનાર અમારા ડ્રાઇવર માટે આ માતાજીનો ચમત્કાર અને પ્રાર્થનાની પ્રસાદી હતી.
તે સમયે હું તેની વાતથી અસંમત ન થઇ શક્યો!

Monday, June 22, 2009

આખ્યાયિકાઓ (૩)

ઇન્સ્પેક્શન બાદ બટાલિયનના કમાન્ડન્ટનો ચાર્જ અરવિંદ વૈષ્ણવ પાસે આવ્યો. તેમના અૉપરેશન્સ અૉફિસર તરીકે મારે બૉર્ડર પર અવારનવાર જવું પડતું. ચોકીઓ પર જવા માટે પહેલાં ખાવડા જવું પડે. ત્યાંથી થોડા આગળ જઇએ તો ખારા પાણીની ખાડીને પાર કરતાં શરુ થાય ખારો પાટ અને 'રણ'. આ રણભુમિ પણ વિચીત્ર છે. થરના રણમાં ડુંગરા જેવા રેતીના ઢુવા અહીં ન મળે. અહીં તો માઇલો સુધી સપાટ જમીન છે. જે ભાગ સૂર્યની ગરમીથી તપીને કઠણ બન્યો છે, તે શિયાળા અને ઉનાળા દરમિયાન ક્રિકેટના મેદાન જેવો સખત લાગે. એક વરસાદ પડે કે માટીના ઘડા બનાવવાની માટી જેવો નરમ થઇ જાય. જ્યાં 'બેટ' છે તે જમીન ગામતળ જેવી હોય છે. કુલપતિ મુન્શીએ ‘ગુજરાતનો નાથ’માં અમર કરેલ કચ્છના રણનું વર્ણન, સજ્જન તથા તેની સાંઢણી ‘પદમડી વહુ’ને થયેલા રેતીના તોફાનના અનુભવનું વર્ણન અહીં પ્રત્યક્ષ થાય! ગુજરાતના ઇતિહાસનો સાક્ષાત્કાર થશે તેની અપેક્ષાથી મન ઉત્સુકતાથી તરબોળ થઇ ગયું હતું. મુન્શીજી તો કદી રણમાં નહોતા ગયા, પણ તેમણે સાંઢણીસ્વાર સજ્જનના અનુભવનું જે વર્ણન કર્યું હતું તે મેં અક્ષરશ: જાતે અનુભવ્યું અને કુલપતિ પ્રત્યે આદરથી મસ્તક નમી ગયું. રણ વિસ્તારમાં બદલી થઇ ત્યારે મુન્શીજીએ જે જે સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો તે જોઇને મન પ્રસન્ન થઇ ગયું. વિગો કોટ જોઇને હું આશ્ચર્યચકિત થઇ ગયો.
આ કોઇ સામાન્ય જગ્યા નહોતી. પ્રથમ દર્શનમાં જ ખ્યાલ આવી ગયો કે અહીં મહંમદ ગઝનીના જમાનાના કે તેથી પણ જુની - ૪૦૦૦ વર્ષ પુરાણી સિંધુ ખીણની સંસ્કૃિતના હરપ્પા - મોહન જો ડેરોના સમકાલિન નાનકડા ગામના અવશેષ હતા. આખી ચોકી રાતી ઇંટના ભુક્કા પર ખડી કરવામાં આવી હતી! સ્કૉટીશ ઇજનેરોએ હરપ્પાના અવશેષોની ઇંટોનો રેલ્વે લાઇન બાંધવામાં ઉપયોગ કર્યો હતો; સૈનિકોએ અજાણતાં રેતીની નીચે દબાયેલા આ ગામની ઇંટો પર ચોકી બાંધી હતી.
ભૌગોલિક દૃષ્ટીએ વિગો કોટ એક જમાનામાં બેટ હતો એ તો સત્ય હકીકત છે. મારા માનવા પ્રમાણે ત્યાં હરપ્પાનું સકમાલિન ગામ હતું. સિંધુ-સરસ્વતિ સંસ્કૃતી માં maritime નગર-રાજ્ય હતા. મહાનદીઓના સંગમમાં આવેલો વિગોકોટનો ટાપુ કદાચ તે સમયના વ્યાપારીઓની વખાર કે રહેઠાણ માટે વપરાતો હશે. સિંધુના શહેરો તથા ગામડાં અજાણ્યા કારણોને લઇ ખાલી થયા. કચ્છની વાત કરીએ તો સમયના વહેણમાં દરિયો પશ્ચિમ તરફ ખસતો ગયો તથા અનેક સદીઓના વંટોળીયામાં ઉડી આવેલી ધુળની નીચે આ ગામ પણ દટાઇ ગયું હતું. આંતરરાષ્ટ્રીય સીમાની નજીક આ જગ્યા વ્યુહાત્મક છે. અહીંથી માઇલો દૂર સુધી નિરીક્ષણ કરવા ઉપરાંત સીમા પારથી આવતા જતા અવૈધ માનવ સંચાર પર કાબુ કરી શકાય તેવું આ સ્થાન છે. છાડ બેટને પાકિસ્તાનને હવાલે કરવાના ભારત સરકારના નિર્ણય બાદ આ સ્થળનું મહત્વ એકદમ વધી ગયું હતું. આ પુરાતન સ્થાનની નીચે શું છે તેનો કોઇને ખ્યાલ નહોતો. પુરાતત્વવિદ્ અહીં સુધી પહોંચી શક્યા નહોતા. રણની સમતળ જમીનની વચ્ચે આવેલી આ ઉંચી જમીનમાં બંકર અને મોરચાઓ ખોદવા ઉપરાંત જવાનોને રહેવા માટે બૅરૅક પણ બાંધી શકાય તેવી આ જમીન હોવાથી ૧૯૪૮માં સેન્ટ્રલ રીઝર્વ પોલીસે અહીં ચોકી સ્થાપી હતી. ત્યાર પછી તેનો હવાલો ગુજરાતની એસ.આર.પી.પાસે ગયો અને ૧૯૬૫ બાદ બીએસએફને તેનો ‘કબજો’ મળ્યો.
હું ચોકી પર ગયો ત્યારે ચોકીની ચારે તરફ તાંબાના સિક્કાના અવશેષ જેવી કાટ ચડેલી લીલા રંગની પથરી વેરાયેલી હતી. આજુબાજુ સફેદ કરચ વિખરાયેલી જોવા મળી. અમારા સૈનિકોના માનવા પ્રમાણે આ અનેક વર્ષ પહેલાં રણમાં મરેલા પ્રાણીઓનાં હાડકાંની કરચ હતી.
ચોકીમાં પ્રવેશ કરતાં ત્યાંના વાતાવરણમાં મને એક વિચિત્ર અનુભુતિ થઇ. જાણે અહીં એક અદૃશ્ય વસતિ હાજર હતી! મેં પુરાતત્વ-શાસ્ત્રનો અભ્યાસ કર્યો નહોતો, પરંતુ ઇતિહાસનો વિદ્યાર્થી હતો. મહંમદ ગઝનવીની સોમનાથ પરની ૧૭ ચઢાઇઓમાં રણના આ માર્ગનો તેણે સુદ્ધાં ઉપયોગ કર્યો હતો. ગમે તે હોય, પણ આ કોઇ અતિ પુરાણી જગ્યાના અવશેષ છે એમાં કોઇ શંકા નહોતી.
૧૯૬૮માં બનાસકાંઠામાં મારી પ્રથમ બદલી થઇ હતી ત્યારે કચ્છ વિસ્તારની બીએસએફ બટાલિયનના અફસરો સાથે અમારી મુલાકાત હંમેશા થયા કરતી. તેમાંના એક હતા પુષ્કર-રાજસ્થાનના મધુસુદન પુરોહિત. ૧૯૬૯માં થયેલી એક મુલાકાતમાં તેમણે મને જે વાત કહી હતી તે હું ભુલ્યો નહોતો. મધુભાઇ જ્યારે આ ચોકીના કંપની કમાન્ડર હતા ત્યારે તેમના પિતાજી તેમની સાથે અહીં કેટલોક વખત રોકાયા હતા. સિનિયર પુરોહિત અત્યંત ધાર્મિક પ્રકૃતિના સ્પિરીચ્યુઆિલસ્ટ હતા. તેમણે મધુભાઇને કહ્યું,"અહીં સદીઓ જુના અનેક આત્માઓનો નિવાસ છે. હું તેમને પ્રત્યક્ષ જોઇ શકું છું. તેમની મુક્તિ માટે તમારે કંઇક કરવું જોઇશે. બને તો અહીં એકાદ યજ્ઞ કરાવજો.”
આ વાતને હું ભુલ્યો નહોતો. કદાચ આ કારણે મને પેલી ‘વિચીત્ર’ અનુભુતિ થઇ આવી હતી.
હું વિગો કોટ ગયો ત્યારે ચોકીના કંપની કમાન્ડર રજા પર હતા. તેમનો ચાર્જ ભારદ્વાજ નામના સબ-ઇન્સ્પેક્ટર પાસે હતો. ભારદ્વાજ લખનૌ યુનિવર્સિટીના ઇતિહાસના વિષય સાથે સ્નાતક હતા. તેમની સાથે બે દિવસ રોકાયા બાદ હેડક્વાર્ટર ભુજ પાછા ફરતાં પહેલાં મેં તેમને આ ચોકી વિશેની મારી ધારણાની બાબતમાં વાત કરી અને ચોકીના એક ખુણામાં ખોદકામ કરવાની સૂચના આપી. ખોદકામમાંથી જે પુરાતન અવશેષ મળે તો મને ખબર કરવાનું જણાવ્યું.
બીજા દિવસની મધરાતના સમયે મને ભારદ્વાજનો ટેલીફોન આવ્યો.
“સર, કસમયે ફોન કરું છું તો માફ કરશો. આજ સાંજે અાપના હુકમ મુજબ ખોદકામ કરાવ્યું હતું, પણ થોડી વાર પહેલાં ચોકીમાં થોડી ગરબડ થઇ ગઇ, તેનો રિપોર્ટ આપું છું. ચિંતા કરવા જેવું નથી, કારણ કે હવે બધું થાળે પડી ગયું છે.”
મધરાત બાદ ચોકીમાં ‘ગરબડ’ થયાની વાત સાંભળી હું ચોંકી ગયો. ચોકીમાં કોઇ અકસ્માત અથવા સીમા પર કોઇ બનાવ થયા વગર આટલી રાત્રે ભારદ્વાજ ફોન ન કરે. ફોન પર તેમણે મને જે વિગત આપી તેને આ યુગમાં માની ન શકાય, પણ અહીં તો મને જે ‘રીપોર્ટ’ મળ્યો તેની ટૂંક નોંધ આપું છું.
ભારદ્વાજે ખોદકામનું કામ હવાલદાર પાંડેની નિગરાણી નીચે ચાર જવાનોને સોંપ્યું હતું. ટુકડીને સૂચના આપવામાં આવી હતી કે તેમણે દોઢ મીટર પહોળો, બે મીટર લાંબો અને એટલો જ ઉંડો ટ્રેન્ચના આકારનો ખાડો ખોદવો. બે મીટરની ઉંડાઇ પર તેમને પ્રાણીના આકારનું માટીનું (terra cotta) રમકડું મળ્યું. હરપ્પાના અવશેષોની છબીઓને મળતું આ રમકડું હતું. સાથે થોડા માટીના વાસણના ટુકડા જેવી વસ્તુઓ પણ મળી. થોડું વધુ ખોદકામ કરતાં તેમને જર્જરીત થયેલા બે માનવ અસ્થિ-કંકાલના અવશેષ મળ્યા. પાંડેએ તરત કામ રોકાવ્યું અને ભારદ્વાજને ખબર કરી. ભારદ્વાજે ત્યાં જઇને આ કબર/ખાડો પૂરાવી દીધો.
ચોકીમાં જવાનો ડ્યુટીના સમય બાદ નિયત સ્થળે આરામ કરે. મધરાતે પાન્ડેની ટુકડીના જવાનોએ પગ પછડાવાનો અને કણસવાનો અવાજ સાંભળ્યો અને તેઓ સફાળા જાગી ગયા. ફાનસની વાટ ઉંચી કરતાં જણાયું કે પાન્ડે ફાટી આંખે છત તરફ તાકી રહ્યા હતા. તેમના ગળામાંથી અસ્ફૂટ અને ઘોઘરા અવાજે કણસવાનો અવાજ આવતો હતો. બન્ને હાથ પોતાના ગળા પાસે - જાણે તેમનું ગળું દબાવતા કોઇ અદૃશ્ય હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા હોય. બેહોશીમાં તેમના પગ જમીન પર પછાડતા હતા. આ જોઇ જવાનોએ ભારદ્વાજને બોલાવ્યા.
મિલીટરીના દરેક થાણામાં એક પ્રાર્થનાસ્થાન હોય છે. ત્યાં પૂજા કરવા માટે સાત્વિક પ્રકૃતિના એક જવાનની ડ્યુટી લગાવવામાં આવે છે. આ ચોકીમાં પણ એક જવાનને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ જવાન પાન્ડેની નજીક ગયો, અગરબત્તી સળગાવી અને પ્રાર્થના શરુ કરી. બીજા જવાનો પણ તેની સાથે જોડાયા. થોડી વારે પાન્ડે ભાનમાં આવ્યા. ગભરાટને કારણે તેમનું શરીર ધ્રુજતું હતું.
“શું વાત કરું, સાહેબ? વહેલી સવારની સેન્ટ્રી ડ્યુટી હતી તેથી જમીને વહેલો સૂઇ ગયો. ઘેરી નિંદરમાં હતો પણ અચાનક ઉંઘ ઉડી ગઇ. મારી પાસે બે સ્ત્રીઓ આવી - એક વૃદ્ધ અને એક યુવાન. યુવાન સ્ત્રી અત્યંત ગુસ્સામાં હતી. મારો ઉધડો લેતી હોય તેમ ઉંચા અવાજે બોલવા લાગી અને મને મારી છાતી પર ચઢી બેઠી. તે મારું ગળું દબાવતી ગઇ અને વિચીત્ર ભાષામાં કંઇક કહેતી હતી. તેની પાછળ વૃદ્ધા શાંતિથી ઉભી હતી. હું તો કંઇ પણ કરવા કે બોલવાની શક્તિ ખોઇ બેઠો હતો. પુજારી આવ્યો, તેણે ધુપસળી પેટાવી અને પ્રાર્થના કરી ત્યારે તેઓ અહીંથી ગઇ. સાહેબ, આ જગ્યામાં ‘રૂહ’નો (આત્માઓનો) વાસ છે. મહેરબાની કરી મને બીજી ચોકી પર મોકલી આપો.”
ત્રણેક દિવસે અમારૂં ટૅંકર વિગોકોટને પાણી દઇ પાછો ફર્યો ત્યારે તેમાં બેસી હવાલદાર પાંડે કબરમાંથી મળેલી વસ્તુઓ લઇ ભુજ આવ્યા. તેમનો ડર હજી સુધી તેમના ચહેરા પર દેખાતો હતો. તેમણે આણેલ માટીનું રમકડું બટાલિયનના ક્વાર્ટરમાસ્ટર (મિલીટરીના ભંડારના સ્ટોરકીપર અધિકારી)ને સોંપી વસ્તુઓ ભુજના મ્યુિઝયમમાં મોકલવાનો હુકમ કર્યો.
તે વખતે મને લાગ્યું ખોદકામ કરતી વખતે નીકળેલા હાડપીંજર જોઇ પાન્ડે કદાચ વિકલ થઇ ગયા હતા. તેમને થયેલો અનુભવ દુ:સ્વપ્ન સિવાય બીજું શું હોઇ શકે? પણ ચાર વર્ષ બાદ મને થયેલા અનુભવની વાત કરીશ તો આપને પણ કદાચ નવાઇ લાગશે.

Saturday, June 20, 2009

આખ્યાયિકાઓ (૨)

અહીં એક દંતકથા જ બની ગઇ. કહેવાતું હતું કે જે લોકો દેરી પાસે રોકાયા નહોતા, તેમને નાના-મોટા અકસ્માત નડ્યા હતા. ત્યાર બાદ કોઇએ આ સ્થાનની અવહેલના કરવાની હિંમત નહોતી કરી. વર્ષો વિતતા ગયા, લોકો હવે ડરને બદલે શ્રદ્ધાને કારણે ત્યાં રોકાવા લાગ્યા હતા.
૧૯૭૫ની વાત છે - દેરી બંધાયાના બરાબર ૧૨ વર્ષ બાદની.
ભુજમાં આવેલી બટાલિયનમાં જીપ્સીની ડેપ્યુટી કમાન્ડન્ટના પદ પર બદલી થઇ. દર વર્ષે અમારી બટાલિયનનું ઇન્સ્પેક્શન થાય. મિલીટરીના ઇન્સ્પેક્શન એટલી ઝીણવટથી થતા હોય છે, કે નાની સરખી ઉણપ નીકળે તો તેની નોંધ જવાબદાર અફસરના કૉન્ફીડેન્શિયલ રેકૉર્ડમાં નોંધાય. આથી દિવસ-રાત મહેનત કરી જવાનોનાં રહેઠાણ હૉસ્પિટલના વૉર્ડની જેમ સ્વચ્છ અને ‘ચકચકીત’ રાખવા પડે. જવાનોના યુનિફૉર્મ, તેમની ડ્રીલ, કંપની કમાન્ડરોનું તેમની જવાબદારીના વિસ્તારનું જ્ઞાન- બધું જોવા માટે સિનિયર અફસરોને ઘણી મહેનત કરવી પડે.
તે સમયે અમારી બટાલિયનનો ચાર્જ મારા સાથી શ્રી. અરવિંદ વૈષ્ણવ પાસે હતો. ઇન્સ્પેક્શન કરનારા બ્રિગેડીયર ઇરાની ઘણા કડક અફસર હતા, તેથી અરવિંદે આગળની ચોકીઓ તેમના ઇન્સ્પેક્શન માટે તૈયાર છે કે નહિ તે જાતે જોવા ગયા. હું બટાલિયન હેડક્વાર્ટરમાં બાકીની તૈયારી માટે રહ્યો.
મોડી રાતે અરવિંદ પાછા આવ્યા ત્યારે હું ઓફિસમાં જ હતો. તેમણે જે વાત કહી તે સાંભળી હું ચકિત થયો.
એક દિવસમાં ચાર ચોકીઓનું નિરીક્ષણ કરવાનું હતું તેથી અરવિંદ સવારના ચાર વાગ્યે ભુજથી નીકળી ગયા હતા. અગ્રિમ ચોકીના રસ્તે આવેલી હવાલદારની દેરી પર પાછા વળતાં રોકાઇશું એવી ધારણા કરી તે રોકાયા નહિ. ચોકીનું નિરીક્ષણ કરીને તેઓ પૂર્વ દિશામાં આવેલ ચોકી પર જવા નીકળ્યા, અને ઉતાવળમાં તેમને યાદ ન રહ્યું કે દેરીએ રોકાવાનું રહી ગયું હતું.
કચ્છના મોટા રણમાં જ્યાં ખારો પાટ કે બેટ નથી ત્યાં જમીન સાવ સપાટ - આસ્ફાલ્ટની સડક જેવી લીસ્સી હોય છે. અરવિંદ પોતે પૂરપાટ જીપ ચલાવી રહ્યા હતા - લગભગ ૬૦ કિલોમીટરની ઝડપે. અચાનક શું થયું, તેમની જીપ બે-ત્રણ ગલોટીયાં ખાઇને ઉંધી પડી ગઇ. ચારે પૈડાં આકાશ તરફ હતાં અને હવામાં ફરી રહ્યા હતા. હેબતાઇ ગયેલા અરવિંદે સૌ પ્રથમ જોયું કે પોતાના અને સાથી સૈનિકોના હાથ-પગ સાબૂત હતા. ગાડીની ચાવી ફેરવી એંજીન બંધ કર્યું અને ઘસડાઇને બહાર નીકળ્યા. જીપમાં પ્રવાસ કરનારાઓને સામાન્ય ઇજા થઇ હતી. મહા મહેનતે બધાએ મળી જીપ સવળી કરી. રસ્તામાં કશો અવરોધ છે કે કેમ તે જોવા અરવિંદે તપાસ કરતાં જણાયું કે જમીન સમતળ જ હતી. ચીલા પર કોઇ પ્રકારનો અવરોધ નહોતો. બપોરનો ધોમ ધખતો હતો. આવામાં મૃગજળની અસર તીવ્રતાથી વર્તાતી હતી. દૂરથી જીપ મોટા ટ્રક જેવી ભાસે, અને હરણ ઊંટ જેવડા દેખાય. અરવિંદે દક્ષિણ દિશામાં જોયું તો હવાલદારની દેરી ઉંચા દેવાલય જેવી દેખાતી હતી - જાણે તેમને આહ્વાન આપી રહી હતી.
“નરેન, આને અંધ:શ્રદ્ધા, વહેમ જે કહેવું હોય તે કહો પણ મને જે અનુભવ આવ્યો તેને હું કોઇ પ્રકારે સમજી શક્યો નથી. હું પોતે એવા પરિવારમાં જન્મ્યો છું જેમાં અંધશ્રદ્ધાને સ્થાન નહોતું. હું બચપણથી મારા કાકા - જેઓ દિલ્લીના વિખ્યાત ન્યુરોસર્જન છે, તેમને ત્યાં મોટો થયો. મેં દિલ્લી યુનિવર્સિટીમાં વિજ્ઞાનની ડીગ્રી મેળવી છે. ફોજની સેવા દરમિયાન દુર્ગમ પ્રદેશમાં પણ રહી આવ્યો છું, પણ આવો અનુભવ કદી નથી આવ્યો. તમે આને શું માનશો? ચમત્કાર? રૂઢ થયેલી માન્યતાનો પરચો? કે કેવળ અકસ્માત? જ્યાં આ બનાવ બન્યો, તેનું મેં નિરીક્ષણ કર્યું હતું. ત્યાં કોઇ ખાડા ટેકરા નથી. જે ચીલા પર હું જીપ ચલાવી રહ્યો હતો તે સખત અને સપાટ હતો. તેમાં મારી જીપને ઉંધી થઇ જવાનું શું કારણ હોઇ શકે?”
હું અરવિંદની સાથે નહોતો તેમ છતાં તેમની વાત પર અવિશ્વાસ કરવા જેવું કોઇ કારણ મારી પાસે નહોતું. અરવિંદ વૈષ્ણવ આગળ જતાં બ્રિગેડિયરના હોદ્દા પર પહોંચીને નિવૃત્ત થયા અને હાલ દિલ્લીમાં રહે છે.
આવતા અંકમાં જીપ્સીને થયેલા પારલૌકીક અનુભવ વાંચશો.

Friday, June 19, 2009

રણની આખ્યાયિકાઓ (૧)

છાડબેટ પાકિસ્તનાને સોંપ્યા બાદ આપણી ચોકીઓને નવેસરથી અાઉટપોસ્ટ સ્થાપવી પડી. અગાઉ જ્યાં CRPF અને ગુજરાત રાજ્યની SRP (સ્ટેટ રીઝર્વ પોલીસ) હતી તેમની જગ્યાએ બીએસએફના સૈનિકોને રણમાં મોકલવામાં આવ્યા. તેઓ પોતાની ફરજના નવા સ્થાને જાય તે પહેલાં તેમને રેતીના તોફાનમાં સ્વરક્ષણ, શસ્ત્રાસ્ત્રની જાળવણી, રણમાં પેટ્રોલીંગ કરવું વિગેરેનું ખાસ પ્રશિક્ષણ આપવામાં આવ્યું. રાતના સમયે રણમાં જનાર વ્યક્તિ સહેલાઇથી ભુલી પડી શકે છે, અને તેમને શોધવું લગભગ અશક્ય હોય છે. આથી રણમાં ફરજ બજાવનાર સૈનિકોને કેટલાક સ્થાયી હુકમ - standing orders અાપવામાં આવ્યા, જેમાં મુખ્ય હુકમ હતા: રાતના સમયે વાહનમાં પ્રવાસ કરવાનો પ્રસંગ આવે અને યાંત્રિક ક્ષતિને કારણે વાહન અટકી પડે તો તેનો ડ્રાઇવર તથા તેની સાથે પ્રવાસ કરનારા જવાનોએ ત્યાં જ રોકાઇ જવું. જવાનોની ટુકડી એક ચોકીમાંથી બીજી ચોકી તરફ જવા નીકળે કે તરત તેની ખબર બીજી ચોકીને આપવામાં આવે. આ રીતે નીકળેલી ટુકડી ચોક્કસ સમયમાં નિયત સ્થાન પર ન પહોંચે તો વહેલી સવારે બન્ને ચોકીમાંથી search party તેમને શોધવા નીકળે. છેલ્લે, દિવસના કે રાતના સમયે ફરજ પર બહાર નીકળનાર દરેક જવાન પોતાના સરંજામમાં પાણીની એક બાટલીને બદલે બે ભરેલી બાટલીઓ લઇને નીકળે.
૧૯૬૭ના ઉનાળાની વાત છે. વિગો કોટના એક હવાલદાર અને ચાર જવાનોની એક મહિનાની વાર્ષિક રજા મંજુર થઇ. એક સાંજે તેઓ ટ્રકમાં હેડક્વાર્ટર જવા નીકળ્યા. રજા પર જઇ રહેલ ટુકડીના આ નાયકે સ્થાયી હુકમના પાલનને મહત્વ ન આપ્યું. ખાવડા થઇને ટ્રક તો જલદી ભુજ સુધી પહોંચી જશે, તેવી ધારણાથી તેમણે પાણીની બાટલીઓ સુદ્ધાં ન લીધી. કમનસીબે રસ્તામાં ટ્રકના એન્જીનમાં ખરાબી આવી અને ગાડી બંધ પડી ગઇ. રાબેતા મુજબ જવાનોએ ગાડીને ધક્કો મારી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. ટ્રક ચાલુ તો ન થયો, પણ પાંચ-છ કિલોમીટર સુધી ભારે ભરખમ ટ્રકને ધક્કો મારવાના સખત પરિશ્રમને કારણે તેમને ડીહાઇડ્રેશન થયું. રાત પડી ગઇ અને રણમાં દિશા વર્તાતી નહોતી. ડ્રાઇવરે કહ્યું કે રાતે ત્યાં જ રોકાઇ જઇએ. સ્ટૅન્ડીંગ અૉર્ડર પ્રમાણે વહેલી સવારે રાહત આવી પહોંચશે તેની તેને ખાતરી હતી. હવાલદારે કહ્યું કે તે રસ્તો જાણે છે, તેથી તેની સાથે બધાએ માર્ચીંગ કરવું. જવાનોએ તેમની વાત ન માની. હુકમ પ્રમાણે તેમણે ગાડીની પાસે જ રાત ગાળવાનું નક્કી કર્યું. હવાલદાર એકલા જ નીકળી પડ્યા. જવાનોએ તેમને વારી જોયા, પણ તેમણે કોઇની વાત માની નહિ.
રણમાં કોઇ વાર નકશા અને હોકાયંત્ર પણ કામ નથી આવતા. સર્વે કરાયેલ ક્ષેત્રમાં ગામ, મકાન, ટેકરી, મંદિર અથવા અતિ પુરાણા વૃક્ષ, જેને ‘સર્વે ટ્રી’ કહેવામાં આવે છે - તેના જેવી સ્થાયી વસ્તુ જમીન પર હોય, તે લશ્કરમાં વપરાતા અૉર્ડનાન્સ સર્વેના large scale નકશામાં સહેલાઇથી ઓળખી શકાય છે. આવા સ્થળ-ચિહ્નોની એંધાણી અને હોકાયંત્રની સહાયતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકાય. રણમાં આવા કોઇ સ્થળ-ચિહ્ન (landmarks) નથી હોતાં તેથી રણમાં દિવસના સમયમાં પણ પગપાળા પ્રવાસ કરવામાં અત્યંત મુશ્કેલી નડે. રાત્રે તો આ કામ અસંભવ કહી શકાય. તેમ છતાં ખાસ કેળવણી અને ઊંડા અનુભવથી દોરાયેલા ‘રૂટ ચાર્ટ’, નકશા અને તરલ હોકાયંત્ર (liquid prismatic compass)ની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે જઇ શકાય. આ કળાને map reading અથવા orienteering કહેવામાં આવે છે. કચ્છના રણમાં સૌથી મુશ્કેલ વાત તો એ છે કે ઘણી વાર જમીન પર કે નકશામાં કઇ જગ્યાએ કળણ - quicksand હોય છે તે દર્શાવી શકાયું નથી. તેથી જો ચાલુ ચીલાને મૂકી કોઇ આડ રસ્તો લેવાનો પ્રયત્ન કરે અને અજાણતાં જ ખારાપાટમાં અથવા રેતીમાં આવેલ quicksandમાં ગરક થઇ જાય તો તે વ્યક્તિના અવશેષ પણ કદી હાથ ન આવે. તેથી રાતના સમયમાં રણમાં જવું જોખમકારક હોય છે.
હવાલદારે શા માટે આવી ગંભીર પરિસ્થિતિમાં એકલા ચાલી નીકળવાનો નિર્ણય લીધો તે કહેવું મુશ્કેલ છે. શક્ય છે કે ઘરમાં કોઇ આપત્તિ આવી પડી હતી જેને કારણે આટલી ઉતાવળે તેઓ એકલા ચાલી નીકળ્યા. અંતે થવા કાળ હતું તે જ થયું. તેઓ ભૂલા પડી ગયા, છતાં તેમણે ચાલવાનું બંધ ન કર્યું. તેમની પાસે પાણી નહોતું. તરસથી રીબાઇને મરવાના ડરથી તેઓ ડઘાઇ ગયા અને વિચારશક્તિ ગુમાવી બેઠા. તેમની પાસે રાયફલ અને નિયત સંખ્યામાં ગોળીઓ હતી. તેમને થયું કે હવામાં ગોળીબાર કરવાથી નજીકની ચોકીના જવાનો ગોળીઓનો અવાજ સાંભળીને તેમને શોધવા આવશે. એક કલાક સુધી થોડી થોડી મિનીટને અંતરે તેમણે ગોળીઓ છોડી, પણ કોઇ આવ્યું નહિ. અંતે છેલ્લી ગોળી વડે તેમણે પોતાના પ્રાણ લીધા.
રાત્રી દરમિયાન તેમણે કરેલ ગોળીબારનો અસ્પષ્ટ અવાજ પાછળ રહેલી ગાડીના જવાનોએ સાંભળ્યો, પણ તેઓ કશું કરવા અસમર્થ હતા. તેમની પાસે પાણી નહોતું, અને તેઓ પોતે જ ગાડીને ધક્કા મારીને થાકી ગયા હતા. પાણી વગર તેમના શરીરમાં શુષ્કતા આવી ગઇ હતી. તે સમયે રાતના સમયે રણમાં કોઇને શોધવા નીકળવું અશક્ય હતું. હવે તો GPS - ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમના યંત્રો આવ્યા છે. અમારા સમયમાં.... ખેર!
વિગોકોટથી જવાનોની ટુકડી ખાવડા જવા નીકળી ત્યારે તેની ખબર રસ્તામાં આવતી ચોકીઓને વાયરલેસથી આપવામાં આવી હતી. જવાનો આગલી ચોકીએ પણ પહોંચ્યા નહોતા તેથી બીજા દિવસની વહેલી પરોઢે બેઝ કૅમ્પથી એક ટ્રક રવાના કરવામાં આવ્યો. વિગો કોટ ચોકીએ તેમના માટે પાણી તથા શિરામણ સાથે દોડાવેલા ઊંટ સવારો ક્ષતિગ્રસ્ત થયેલા ટ્રકની પાસે પહેલાં પહોંચ્યા અને જોયું તો તેમાં રહેલા જવાનો ભય અને dehydrationના કારણે અર્ધબેભાનાવસ્થામાં હતા. તેમને ભોજન-પાણી આપી ઊંટસ્વાર હવાલદારનું પગેરું લઇ તેમને શોધવા નીકળ્યા. દસ િકલોમીટરના અંતરે ચક્રવ્યુહ જેવા ચકરાવામાં ગોળ ગોળ ફરી એક ઠેકાણે પડેલું તેમનું અપાર્થિવ શરીર મળી આવ્યું.
સદ્ગત હવાલદારને અંજલી આપવા માટે જે સ્થળે તેમણે પ્રાણ ત્યજ્યા, ત્યાં એક નાનકડી દેરી બનાવવામાં આવી. તેની પાળ પર પાણીના માટલાં મૂકવામાં આવ્યા છે. ચોકીઓ પર પાણી પહોંચાડવા જનારા ટ્રક તેમાં પાણી ભરીને જ આગળ જતા હોય છે. આગળની ચોકી પર આવનારા અને જનારા બધા સૈનિકો અંજલી આપવા અહીં રોકાય છે. દેરીમાં સાકરિયા ચણા અને પતાસાંનો પ્રસાદ ધરાવે છે, અને માટલાંનું પાણી પીને જ ત્યાંથી આગળ જતા હોય છે.
અહીં એક માન્યતા પણ છે.
આ સ્થળનો અનાદર કરી કોઇ અહીં ન રોકાય, અને પ્રસાદ તરીકે પાણી પીધા વગર જાય તેના પર મુસીબત આવ્યા વગર નથી રહેતી. આથી સીમા પર નિરીક્ષણ માટે જનારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ અહીં રોકાતા હોય છે. પાણી અને પ્રસાદ લીધા વગર કોઇ આગળ જતું નથી.
હવે તો આધુનિક સાધનસામગ્રી આવી ગઇ છે. સૈનિકો માટે સુવિધાઓ વધારવામાં આવી છે. રણમાં સેવા બજાવતા સૈનિકોની નિયમીત સમય પર બદલી કરવામાં આવે છે. વાત રહી પરંપરાની અને આખ્યાયિકાઓની - જે હજી સુધી બદલાઇ નથી.

કચ્છનું મોટું રણ, સત્ય અને..આખ્યાયિકાઓ!

પંજાબમાં ત્રણ વર્ષ પૂરા થયા અને જીપ્સીની બદલી ભુજ થઇ. આ અગાઉ હું બનાસકાંઠા-રાજસ્થાન-પાકિસ્તાનની સીમા પર હતો. હવે તો કચ્છના ‘મોટા રણ’ને બદલે સાચા અર્થમાં “વિશાળ રણ”માં જવાનું થયું.
આપણા સૈનિકોનું રોજીંદું જીવન ‘લેફ્ટ-રાઇટ, લેફ્ટ-રાઇટ’ની પરેડ, હથિયાર સફાઇ અને ખેલકૂદ કરવામાં વ્યતીત થાય છે એવું આપણા દેશના નાગરિકોને લાગે તો તેમાં તેમનો દોષ નથી. જાણકારોના મતે આનાથી વધુ કોઇ કામ સૈનિકો કરતા હોય તો હુલ્લડના સમયે સ્થાનિક સરકારને શાંતિ સ્થાપવા માટે બોલાવવામાં આવે તો તેઓ આવીને પોતાનું કામ કરે. જો કે વાસ્તવિકતા સહેજ (!) જુદી છે.
સીમા પર અમારી નીમણુંક થાય તો પણ રોજની પરેડની સાથે સાથે સવાર-બપોર-સાંજ-રાત શસ્ત્ર સજ્જ રહી, સીટી વાગતાં જ ટ્રેન્ચમાં જઇ યુદ્ધ માટે તૈયાર રહેવાનું હોય છે. આ ઉપરાંત સીમા પર નાકા બંધી (ambush) અને પેટ્રોલીંગ કરવા જવું એ સામાન્ય વાત છે. આમ જનતાથી દૂર, રણમાં કે જંગલમાં, હિમાચ્છાદિત પહાડોમાં કે રાવિ, સતલજ કે કૃષ્ણગંગા નદીના કિનારે એકલતામાં વિહરતા સૈનિકો માટે સીમાક્ષેત્રના વિસ્તારમાં સત્ય તથા રહસ્ય જમીન અને િક્ષતીજની જેમ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. પૃથ્વી સત્ય છે, ક્ષિતીજ રહસ્ય!
ગુજરાતના રણ વિસ્તાર સાથે જોડાયેલી સરહદ ઈશ્વરની અદ્ભુત રચના છે. રેતીના કે ખારાપાટના અમાપ વિસ્તારમાં બપોરના સમયે ઘૂઘવતા સમુદ્રનાં દર્શન કરાવતું મૃગજળ, દૂરથી ઊંટ જેટલા મોટા દેખાતાં હરણાં અને અદ્ધર આકાશમાં તરતા હોય તેવા બેટ જોઇ અચરજનો પાર ન આવે. કચ્છના નાના રણમાં જંગલી ગધેડાનાં ટોળાં વસે છે. કલાકના ૪૫-૫૦ કિલોમીટરની ગતિથી દોડી શકતા આ પ્રાણીને પાળવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે.
ચોમાસું આવે કે રણની હાલત સાવ ખરાબ થતી હોય છે. વરસાદનું પહેલું ઝાપટું પડી જાય ત્યાર બાદ રણમાં ટ્રક ચાલી ન શકે. પાણી ભરાઇ જવાને કારણે રણનો કાચો રસ્તો પણ ન દેખાય. બેટ સાચા અર્થમાં ટાપુ બની જતા હોય છે. આથી જુન મહિનામાં ચાર માસનું અનાજ અને અન્ય સામગ્રી તથા ઊંટ માટેનો ચારો ત્યાં પહોંચાડવામાં આવે છે. બહારના વિશ્વ સાથેનો સંપર્ક કેવળ રેડીયો દ્વારા. જવાનોને તેમની ટપાલ નિયમીત મળે તે માટે તેમજ કોઇ જવાનને ગંભીર માંદગી આવી પડે તો તેવા આપત્તિના કાળમાં હેલીકૉપ્ટરનો ઊપયોગ કરવામાં આવે.
કચ્છનું રણ વિશાળ છે. એક વાર તેમાં રાહ ભૂલેલા માણસનું જીવીત રહેવું અશક્ય હોય છે. અનેક માણસો અહીં અટવાઇને મરી ગયાના દાખલા છે. કરાંચીમાં બાંગ્લાદેશીઓની મોટી વસ્તી છે. વતનમાં રહેતા માતા-પિતા, પત્નિ અને બાળકોને કરાંચી લાવવા તેઓ ગેરકાનુની રીતે રણનો રસ્તો અખત્યાર કરતા હોય છે. ભારત-બાંગ્લાદેશના કેટલાક લોકોએ પૈસાના લોભમાં આવી એક ટોળી બનાવી હતી જેઓ આવા પરિવારોને બંગાળની સરહદ પાર કરાવી ભૂજ સુધી પહોંચાડે. અહીં તેમના મળતીયા તેમને ટ્રકમાં બેસાડી ખાવડાની નજીક કાળા ડુંગર સુધી લઇ જતા, અને ત્યાંથી પગપાળા પાકિસ્તાન. મારા સમયકાળમાં એવા ત્રણેક કિસ્સા બન્યા હતા જેમાં રણના ‘ભોમિયા’ઓએ અમાનુષી કૃત્ય કર્યું હતું. દરેક વખતે તેઓ વીસથી ત્રીસ બાંગ્લાદેશી સ્ત્રી-પુરુષોના જુથને રાતના સમયે રણમાં છોડીને નાસી ગયા. વિશાળ રણની શુષ્ક, જળહિન, વૃક્ષહિન ધરામાં દિવસો સુધી ભટકતા લોકોનાં મૃત શરીર અમારી પેટ્રોલ પાર્ટીને મળી આવ્યા હતા. ચારે’ક જણા મૃત:પ્રાય હતા, જેમને ભુજ મોકલવામાં આવ્યા. પરંતુ જવાનોને મળી આવેલા માનવ અવશેષ પોલીસને હવાલે કરવાના હોઇ, પોલીસ પાર્ટી આવીને પંચનામું કરી તેમને લઇ જાય ત્યાં સુધી તેમની નિકટ રહી ગીધ અને શિયાળથી તેમને બચાવવા ચોકી કરવી પડે. જવાનો આખરે તો માનવ હૃદય જ ધરાવતા હોય છે.તરસથી વ્યાકુળ થઇ મૃત્યુ પામેલા નિષ્પાપ સ્ત્રી-બાળકો તથા તેમનાં પરિવારોનાં ચહેરા જોઇ જવાનોને કેટલો આઘાત પહોંચતો હશે તેનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. તેમના મન પર પડેલા ઘેરા આઘાતનું સ્વરૂપ ઘણી વાર ગંભીર બની જાય છે.
ધુમકેતુનું “બારણે ટકોરા”માં મૃત પતિના અવાજને તથા તેમણે બારણાં પર પાડેલા ટકોરાને પ્રત્યક્ષ સાંભળતી સ્ત્રી માટે જે સત્ય હતું તે માનસશાસ્ત્રીઓ માટે સ્કિત્ઝોફ્રેનીયાનું નિદાન બની જાય છે. રણમાં વસતા લોકોને શિયાળના રુદનમાં કે હવા અને રેતીના તોફાનમાંથી ઉમટતા તીણા અવાજમાં ખારાપાટમાં ભટકીને મૃત્યુ પામેલા લોકોનાં નિ:શ્વાસ અને પાણી માટેની પોકારનો ભાસ થાય તે સમજી શકાય તેવી વાત છે. અમે સીધા સાદા સૈનિકો છીએ. અમને માનસશાસ્ત્રનું જ્ઞાન નથી અને જે વાત અમારા મન તથા મગજને આઘાત પહોંચાડે, તેનું clinical analysis કરવા માટે અમારી પાસે સાધન કે સમય નથી હોતા.
એકલતા અને સ્મશાન, એકલતા અને સેંકડો માનવોના જીવન બલિદાનની ભુમિ, શૂન્યતા અને જીવનના સંચાર વિરહીત રણ પ્રદેશમાં અમારા જેવા સીમા-પ્રહરી રહે છે. આ એવું સ્થળ છે જ્યાં અનેક લોકોનાં અકુદરતી મોત થયા છે. અહીં અમને ન સમજી શકાય તેવા - અમારી દૃષ્ટીએ પારલૌકિક અનુભવ કે આભાસ થાય તો રૅશનાલિસ્ટ અમને અજ્ઞાની, અંધ:શ્રદ્ધા કે વહેમના શિકાર કહે તે બનવા જોગ છે. શરદબાબુએ “શ્રીકાંત”માં પોતાને થયેલ અમાવાસ્યાની રાતે સ્મશાનમાં ગાળેલી રાતનો જે અનુભવ વર્ણવ્યો છે તેનું તેમણે પોતે જ એક ‘રૅશનાલિસ્ટ’ તરીકે વિષ્લેષણ કર્યું છે. જેમણે શ્રીકાંતની વાત સાંભળી તેમનો જે અભિપ્રાય હતો, તે મારી દૃષ્ટીએ સામાન્ય માનવીનો ગણી શકાય. આમાં સત્ય કરતાં કલ્પના વધુ વજનદાર નીવડી શકે છે. આવા અનેક પ્રસંગો રણમાં બની ગયા છે. તેમાંના કેટલાક બનાવોની અનુભૂતિ મને તથા ત્યાં રહી ચૂકેલા જવાનો અને અફસરોને થઇ હતી. વાચક ગમે તે કહે, પણ સાચી વાત તો એ છે કે આપણા ગુર્જરદેશની તથા ભારત દેશની સરહદ રોમાંચક અને રહસ્યમય છે. અહીં અનેક કથાઓ અને દંતકથાઓ જીવંત થતી લાગે.
બીએસએફમાં મારી નીમણૂંક થયા બાદ અનુરાધાએ નારાજીના શબ્દોમાં લગભગ ફરિયાદ જ કરી હતી. “નરેન, ‘બૉર્ડર સિક્યોરીટી ફોર્સ’ના પહેલા શબ્દ "બૉર્ડર"માં અનેક પુસ્તકો સમાયા છે, તેનો તમે વિચાર કેમ ન કર્યો? કમસે કમ એટલું તો વિચારવું હતું કે તમે આખી જીંદગી બૉર્ડર પર ગાળશો, અને તમારાં પત્નિ અને બાળકો? વર્ષમાં ફક્ત બે મહિનાની રજા પૂરતાં આપણે સાથે રહેવાનું.....” (વધુ માટે જુઓ www.captnarendra.blogspot.com ના જુન ૨૦૦૯માં પ્રસિદ્ધ થયેલી 'રણની આખ્યાયિકાઓ (૧) તથા આગળની ત્રણ કડીઓ.

Thursday, June 18, 2009

ઝાંઝર વજદી સૂણ મૂંડીયે!

બટાલિયનની 'F' Companyનું જીવન ઘણી દૃષ્ટીએ રસપ્રદ રહ્યું. ધુસ્સી બંધની પાછળ આવેલ મારૂં કંપની હેડક્વાર્ટર ખસેડીને રાવિ નદીને પાર આવેલી એક પ્લૅટુનમાં હું લઇ ગયો. આનું સાદું કારણ એ હતું કે લડાઇ બાદ પાકિસ્તાન તરફથી અફીણ તથા બ્રાઉન સ્યુગરને પંજાબમાં મોટા પાયા પર ઘુસાડવાનું શરૂ થઇ ગયું હતું. તે રોકવા અમારે ઘનીષ્ઠ પેટ્રોલીંગ તથા રાતના સમયે નદીના કિનારા પર કે બાઉંડરી પિલરની નજીક નાકા લગાડવા પડતા હતા. ક્યાં નાકા લગાવવા તેના હુકમ અમને તે દિવસની સાંજે હેડક્વાર્ટરમાંથી મળતા જેથી અન્ય કોઇને અગાઉથી માહિતી ન મળે કે અમુક દિવસે કે રાતે જવાનો ક્યાં પેટ્રોલીંગ કે નાકાબંધી કરવાના છે. રાતના સમયે નાકાબંધી કરવા મારા ત્રણ પ્લૅટૂન કમાંડરો અને હું વારાફરતી જતા. આમ દર ચોથી રાતે હું રાવિ કાંઠે અથવા બાઉંડરી પિલરની નજીક ‘અૅમ્બુશ પાર્ટી’ લઇને જતો.
શિયાળાની રાતમાં મધ્યરાત્રીની નાકાબંધી રોમાંચકારી હોય છે. ખાસ કરીને નદીના કિનારા પાસે બેસીને પાણીમાંથી ધુમસનું સર્જન થતું જોવાની મઝા અનન્ય હતી. ત્યાર બાદ ઝાકળ પડવાની શરૂઆત થાય. અમે કામળાની સાથે પાતળી રજાઇ પણ લઇ જતા. મધરાત પછી ટાઢ એટલી પડતી કે નદીની સપાટી પર બરફની પાતળી પરત જામી જતી, અને અમારા હાડકાં બરફની જેમ ઠરી જતા. આખી રાત અમારે શાંત રહેવું પડે તેથી રાત વીતતાં વીતે નહિ. આવા સમયે નદી પાર આવેલા ગામડાંઓમાં લગ્ન પ્રસંગે વાગતાં લાઉડ સ્પીકર પરનાં ગીતો સાંભળીએ: “મેરી ઝાંઝર વજદી, સૂણ મૂંડીયે..” (મારી ઝાંઝરનો ઝણકાર તો સાંભળ, છોરા!”) “લઠ્ઠેદી ચાદર, ઉત્થે સલેટી-રંગ માયા/આવો સામણે, ખોલો જી રૂસકે ના લંઘ માહિયા...” (લઠ્ઠાના કાપડની ચાદર પર સ્લેટના રંગનો સ્ટાર્ચ લગાડ્યો છે, ને મેં તેને બિછાના પર પાથરી છે. હવે તો રીસામણાં છોડીને સામે આવોને પ્રિતમ!), જેવા ગીતો આખી રાત ચાલતા. પરોઢિયું થતામાં ગુરૂ ગ્રંથસાહેબમાંની ગુરબાણી અને શબદની શાસ્ત્રીય રાગરાગિણી ગુરબાણીની રેકર્ડ વાગતી. આના સહારે આખી રાત પસાર થતી. બિરબલની ખીચડી આમ જ ચઢતી હશે!
સૂરજ ઉગવા લાગે એટલે અમે અમારા તાલપત્રીના ‘ગ્રાઉંડશીટ’, કામળા અને રજાઇ લપેટી, હથિયાર, દારૂગોળો ચેક કરી બીઓપીમાં પાછા જઇએ. આવી અનેક નાકાબંધી કરી. રોજ રાતે દૂરથી હવામાં તરીને આવતા આ ગ્રામ્યગીતોના સહારે અમે ડ્યુટી બજાવતાં ટાઢ, એકલતાને ભૂલતાં.
અમારી બીઓપીની ચારે બાજુએ ૧૫ ફીટ ઉંચો બંધ હતો અને વચ્ચે સપાટ જમીન. અહીં અમે શાકભાજી, ફુલનાં છોડ વાવીએ. ઉંચા બંધમાં બંકર બાંધેલા હોય. મેદાનમાં વૉલીબૉલનું કોર્ટ, રસોડું વિગેરે. દિવસના સમયે ટ્રેનીંગ કરીએ, અને ત્યાર બાદ જવાનો લુડો, ચેકર્સ જેવી રમત રમે. રાતે ડ્યુટી પર જનારા જવાનોને સૂઇ જવાનો હુકમ અાપીએ તો પણ બપોરના સમયે બહુ ઓછા જવાનો ઊંઘે. મારો સમય પુસ્તકો વાંચવામાં જતો.
પેટ્રોલીંગમાં જવાનું હોય, અને કાયદેસરનો માર્ગ લેવાનો હોય તો દિવસમાં ૧૦-૧૨ કિલોમીટર ચાલવાનું થઇ જાય. કાયદેસર એટલા માટે કે મારી બે ચોકીઓની વચ્ચે પાકિસ્તાનની V આકારની સીમા આવી જતી, અને તેની વચ્ચેથી રાવિ વહેતી. હવે Vની ઉપરના બે પાંખિયા પર અમારી ચોકીઓ આવી હોય તો Vના બન્ને પાંખીયાની પરિક્રમા કરીને જવું પડે એટલું જ નહિ, નદીને બે વાર પાર કરવી પડે,
કોઇ વાર આટલું ચાલવાનું ટાળવા અમે અમારી એક ચોકી પરથી બીજી ચોકીએ જવા સીધી લાઇનમાં - એટલે પાકિસ્તાનના વિસ્તારમાં વગર પાસપોર્ટ -વિઝાએ નીકળી પડતા! એક વાર હું અને મારા ત્રણ સાથી આમ સિધી લાઇનમાં નીકળ્યા હતા. પગદંડીની બન્ને બાજુએ ઉંચા સરકંડાનું જંગલ હતું. એક વળાંક પર અચાનક અમારો ભેટો પાકિસ્તાનના સતલજ રેન્જર્સના એક હવાલદાર અને છ જવાનો સાથે થયો! આ વખતે સૌથી આગળ મારી કંપનીના સાર્જન્ટ મેજર ગુરબચનસિંહ અને હું હતા. રેન્જર્સના હવાલદારે અમને લલકારવાને બદલે અદબપૂર્વક તેણે ખભાપર ‘સ્લીંગ આર્મ’ કરેલી રાઇફલને સ્પર્શ કરી મને સૅલ્યૂટ કરી ‘સલામ આલેઇકુમ’ કહ્યું. મેં તેમને સૅલ્યૂટ કરી, ‘વાલેઇકૂમ અસ્સલામ’ કહી જવાબ આપ્યો. તેઓ અમને કેદ કરવાનો પ્રયત્ન કરી શક્યા હોત. સામ સામા ગોળીબાર થવાની સંભાવના હતી. પણ આ શાંતિનો સમય હતો. થોડા દિવસ પહેલાં જ દશેરાની ઉજવણીમાં અમે તેમની ચોકી પાસે ફ્લૅગ મીટીંગ કરી ત્યાંના જવાનોને ફળનો કરંડિયો આપ્યો હતો અને તેમણે અમને રમઝાન ઇદના પ્રસંગે નારંગી જેવા 'માલ્ટા' નામના ફળ આપ્યા હતા. પરસ્પર સદ્ભાવનાને ધ્યાનમાં રાખી તેમણે અમને કશી તકલીફ ન આપી. ઉલટાનું તેમણે કહ્યું, “જનાબ, હમ આપકે સામનેકી પોસ્ટમેં તૈનાત હૈં. ખીદમત કરનેકા કોઇ મૌકા હો તો હમેં ઝરૂર હુકમ દીજીયે!” અમે ભોંઠા તો પડ્યા, પણ કોઇ આંતરરાષ્ટ્રીય ‘બનાવ’ વગર સહિસલામત અમારી ચોકી પર પહોંચી ગયા તેમાં સંતોષ માન્યો.
એક વાર લાંબું પેટ્રોલીંગ કરી મોડી સાંજે મારા ‘આશ્રમ’માં પહોંચ્યો અને બૂટ ઉતારતો હતો ત્યાં સિગ્નલ્સનો હવાલદાર દોડતો આવ્યો. મને સીઓનો સંદેશ આપ્યો: “તાબડતોડ બટાલિયન હેડક્વાર્ટરમાં હાજર થાવ!”
અરે ભગવાન! What now!?ના ઉદ્ગાર સાથે એક માઇલ ચાલીને હું પાછો રાવિના પત્તન પર ગયો. નાવમાં બેસી પાર પહોંચ્યો તો ત્યાં જર્નેલસિંહ જીપ લઇને મારી રાહ જોઇ રહયો હતો. હેડક્વાર્ટર પહોંચ્યો ત્યારે ફાટક પરના સંત્રીએ કહ્યું, “સર જી, સીઓ સાબને આપકો સીધે મેસ પહુંચને કો કહા હૈ.”
મેસમાં ગયો અને જોયું તો સીઓ, તેમનાં પત્નિ, અન્ય અફસરો તથા તેમની પત્નિઓ અૅન્ટીરૂમમાં બેઠાં હતા. મને જોઇ તરત સહુ બોલી ઉઠ્યા, “હૅપી અૅનીવર્સરી!”
હું ભુલી ગયો હતો કે તે દિવસે અમારા લગ્નની વર્ષગાંઠ હતી.
હેડક્વાર્ટરમાં સામાન્ય રીતે રોજ સાંજે અફસરો તથા તેમની પત્નિઓ બૅડમિન્ટન રમ્યા બાદ મેસમાં જઇ ચ્હા-કૉફી પીએ. અનુરાધાએ તે દિવસે સાંજે મિઠાઇ અને સ્નૅક્સ બનાવી રાખ્યા હતા અને મેસમાં બધા બેઠા ત્યારે આ પીરસાયું. શ્રી. સિંઘે પૃચ્છા કરી ત્યારે મેસ હવાલદારે તેમને જણાવ્યું કે આ ‘મિસેસ નરેંદર તેમની વેડીંગ અૅનિવર્સરીની ઉજવણી માટે પાર્ટી આપી રહ્યા છે.’ તેમણે તરત મને બોલાવવાનો મૅસેજ આપ્યો, અને સાથે સાથે કહ્યું કે મને આ બાબતમાં કશું ન કહેવું. હું પહોંચું ત્યાં સુધી પાર્ટી શરૂ ન કરી.
અમારે ત્યાં પાર્ટી થાય ત્યારે અનુરાધા અને મારે ગીત ગાવાં જ પડે! મારો વારો આવ્યો ત્યારે મેં સ્વ. હેમંત કુમાર મુખર્જીનું “આંચલસે ક્યું બાંધ લિયા, મુજ પરદેસીકા પ્યાર!” ગાયું. આ ગીતના અંતરામાં આવે છે, “કલ સુબહુ હોનેસે પહલે કરૂંગા જાનેકી તૈયારી....” આ સાંભળી સીઓસાહેબનાં પત્નિની આંખમાંથી આંસુ આવ્યા. તેમણે પોતાના પતિને કહ્યું, ‘ઇન્હેં કલ સુબહ તક તો રોક હી લેના! હો સકે તો પરસોં જાનેકી તૈયારી કરનેકો કહેના...”
આનાથી વધુ યાદગાર લગ્નતિથી કઇ હોઇ શકે?

બીજો દિવસ: ‘રાજાકી આયેગી બારાત!’

બીજા દિવસે એક રસપ્રદ બનાવ બની ગયો. તે દિવસે ફાયરીંગ કરવા માટે મારી સાથે અમારી બટાલિયનના રસોઇયા, સેનીટરી સ્ટાફ તથા બાર્બરને મોકલવામાં આવ્યા. પંજાબ-હરિયાણામાં બાર્બરને ‘રાજા’ કહેવાય છે - જેમ બંગાળ અને બિહારમાં તેમને ‘ઠાકુર’ના ઉપનામથી આદર આપવામાં આવે છે. અમારા રાજાને ગ્રેનેડ ફેંકવાનો વારો આવ્યો ત્યારે તેની સાથે હું રહ્યો. મેં તેને ફરીથી સમજાવ્યું કે ગ્રેનેડ તથા તેની લિવરને હથેળીમાં કેવી રીતે પકડવી જોઇએ. ત્યાર બાદ “prepare to throw"નો હુકમ મળે ત્યારે બીજા હાથની તર્જનીમાં સેફટી પિનના loopને ભરાવી ખેંચી કાઢવી. આમ કર્યા બાદ ગ્રેનેડ અત્યંત જોખમ ભર્યું બની જાય, કારણ કે જે હાથમાં આ હાથગોળો હોય છે તે છટકી જાય તો તેની લિવર નીકળી જતી હોય છે, અને ગ્રેનેડ ચાર સેકન્ડમાં ફાટી જાય. આથી જ્યાં સુધી “થ્રો”નો હુકમ ન મળે ત્યાં સુધી ગ્રેનેડને મજબુત રીતે પકડી રાખવો અને જ્યારે “થ્રો”નો હુકમ અપાય ત્યારે ગ્રેનેડને જેટલે દૂર ફેંકી શકાય, ફેંકવો, તે સમજાવ્યું.
રાજાએ “પ્રીપૅર ટુ થ્રો” સુધીનું કામ બરાબર કર્યું અને સેફ્ટી પિન ખેંચી કાઢી, પણ “થ્રો”નો હુકમ આપું તે પહેલાં તે એટલો ગભરાઇ ગયો કે તેણે ગ્રેનેડ મારા હાથમાં મૂકી દીધો અને કહ્યું, “સાબ-જી, હમેં બહુત ડર લગ રહા હૈ. આપ હી ગોલા ફેંકે.” આમ કરવા જતાં ગ્રેનેડની લિવર છટકી ગઇ. હૅન્ડ ગ્રેનેડનો ફ્યુઝ ચાર સેકંડનો હોઇ લગભગ તરત ફાટે.(ચાર સેકન્ડ ગણવા માટે આ ચાર આંકડા બોલશો ત્યાં સુધીમાં ચાર સેકન્ડ થઇ જશે: 1001, 1002, 1003, 1004 - અને “BOOM” -ગ્રેનેડ ફાટ્યો!)
અમે બન્ને ટ્રેન્ચમાં હતા. મારામાં ક્યાંથી સમયસૂચકતા આવી ગઇ, અને આજુબાજુની ટ્રેન્ચમાં ફાયરીંગ માટે તૈયાર રહેલા જવાનોને ખાઇમાં બેસી જવાનો એક શબ્દનો - “ડાઉન”નો હુકમ આપ્યો તથા મારા હાથમાં રાજાએ મૂકેલા ગ્રેનેડને મોરચા બહાર ફેંક્યો. આ બધું એટલી જલદી થયું કે ગ્રેનેડ અમારી ખાઇની નજીક જમીન પર પડતાં પહેલાં ફાટ્યો! તેની કરચ સનનન કરતી અમારા મસ્તક પરથી ઉડી જતી સાંભળી. મેં ‘Cease Fire’નો હુકમ આપતી વ્હીસલ વગાડી. ‘અૉલ ક્લીયર’ની સિટી વગાડતાં બાજુની ટ્રેન્ચમાંથી જવાનો અને મારા પ્લૅટુન કમાંડરો બહાર નીકળ્યા અને મારી ટ્રેન્ચ પાસે આવ્યા. ગ્રેનેડના ધડાકાનો અવાજ સાંભળી તેઓ ચિંતામાં પડી ગયા હતા. શું થયું તેની તેમને જ્યારે જાણ થઇ ત્યારે સૌ રાજા પર ગુસ્સે થઇ ગયા. બધા કહેવા લાગ્યા, “ઇસ રાજેકી બારાત નિકાલ દીજીયે, સર!”
હવે રાજાની કમબખ્તી આવી હતી! તેણે તો ખાઇમાં જ મારા પગ પકડી લીધા અને રડવા લાગ્યો. “સા’બજી, બહુત બડા બલંડર-મિસ્ટીક હો ગયા. (કોણ જાણે તેણે આ અંગ્રેજી શબ્દો blunder અને mistake ક્યાં સાંભળ્યા હતા, તેને પોતાની બિહારી હિંદીમાં ઉચ્ચાર્યા!) જબ તક છમા નહિ કરોગે, હમ આપકે ચરન નહિ છોડુંગા!” વિપરીત સંજોગ હતા છતાં અમે બધા હસી પડ્યા. રેન્જ પર તેને દસ “ફ્રન્ટ રોલ” (ગુલાંટ ખાવા)ની શિક્ષા કરીને છોડી દીધો.
અત્યારે વિચાર કરું છૂં: રાજાજી જ્યારે મારા હાથમાં ગ્રેનેડ મૂકવા જતા હતા, ત્યારે શરતચૂકથી ગ્રેનેડ છટકીને અમે પાંચ ફીટ ઉંડી ખાઇમાં ઉભા હતા, તેમાં પડી ગયો હોત તો?
મેં ગ્રેનેડને ફેંક્યો, તે પહેલાં મારા હાથમાં ફાટ્યો હોત તો રાજાની સાથે મારો પણ ‘વરઘોડો’ નીકળી ગયો હોત!

Tuesday, June 16, 2009

જીવન - મૃત્યુ વચ્ચેનું અંતર: એક સેન્ટીમીટર!

શાંતીના સમયમાં બધા સૈનિકોને વર્ષમાં એક વાર તેમના હોદ્દા મુજબ આપવામાં આવેલા હથિયાર અને ગ્રેનેડનો ઉપયોગ કરવાનો મહાવરો કરવો જરૂરી હોય છે. તેથી રાઇફલ, લાઇટ મશીનગન, સ્ટેનગન, પિસ્તોલ તેમજ ટુ-ઇંચ મોર્ટરના બૉમ્બ અને ગ્રેનેડના ફાયરીંગની પ્રૅક્ટીસ કરવા માટે ‘ફીલ્ડ ફાયરીંગ રેન્જ’માં જવું પડે. દરેક સૈનિકે નિયત કરેલ સંખ્યામાં ગોળીઓ, ગ્રેનેડનું ફાયરીંગ કરવું જરુરી હોય છે. ગુજરાતમાં ધ્રાંગધ્રાની નજીક આવેલા ટીકર પાસેની ‘રેન્જ’માં આવું ફાયરીંગ થાય છે. જીવતા કારતુસ અને બૉમ્બનો ઉપયોગ કરવાનું કામ અત્યંત જોખમભર્યું હોય છે, તેથી જવાનોની તથા રેન્જની આાસપાસ રહેનાર નાગિરક અને તેમના પશુૌની સલામતિની સંપૂર્ણ જવાબદારી એક અૉફિસરને સોંપવામાં આવે છે.
ફાયરીંગ પૂરું થયા બાદ રેન્જમાં ઘણી વાર કેટલાક ગ્રેનેડ કે બે-ઇન્ચ વ્યાસના મોર્ટર બૉમ્બ તેમાં રહેલા ‘ફ્યુઝ’ની ખરાબીને કારણે અથવા કાટ લાગવાથી જામી ગયેલ હૅમરને લીધે ફાટતા નથી. આવા ગ્રેનેડ અને બૉમ્બને ‘બ્લાઇન્ડ’ કહેવામાં આવે છે. રેન્જમાં પડેલા ‘બ્લાઇન્ડ’ને નષ્ટ કરવા જ પડે નહિ તો ફાયરીંગ બાદ ત્યાં જનાર નાગરિકો કે તેમનાં બાળકો તેને અકસ્માતથી ઉપાડે, અથવા કોઇ પણ તેને સ્પર્શ કરે તો તેઓ વિસ્ફોટનો ભોગ બને. ‘બ્લાઇન્ડ’ ને નષ્ટ કરવાની જવાબદારી રેન્જ અધિકારીની હોય છે.
અહીં થોડી ટેક્નીકલ વાત કરવી જરુરી છે - નિરસ લાગે તો ક્ષમા કરશો!
ગ્રેનેડ નાનો બૉમ્બ હોય છે. લગભગ ૩૫૦ ગ્રામ વજનનો ગ્રેનેડ જે જગ્યા પર પડે, તેના ૨.૫ મીટરની ત્રિજ્યામાં જે કોઇ હોય તે મરણતોલ જખમનો ભોગ બને. ગ્રેનેડ ફાટે ત્યારે તેની કાસ્ટ-આયર્નની ધારદાર એવી અનેક કરચો એટલી ગતિથી વછૂટતી હોય છે કે તે શરીરમાં મોટો ઘા કરીને આરપાર પણ નીકળી શકે છે. જે સ્થળે ગ્રેનેડ ફાટે તેની આઠ ગજની ત્રિજ્યામાં રહેલ કોઇ વ્યક્તિ બચી શકે નહિ.
ગ્રેનેડ ફેંકતાં પહેલાં તેને એક હાથમાં મજબૂત પકડી, બીજા હાથ વડે તેની ફાયરીંગ મેકૅનીઝમને રોકતી ‘સેફ્ટી પિન’ ખેંચી કાઢવાની હોય છે. જો તેમ કરતાં ગ્રેનેડનો એક હિસ્સો જેને ‘લીવર’ કહેવામાં આવે છે, તે જો હાથમાંથી છૂટી જાય અને ચાર સેકંડમાં તેને દૂર ફેંકવામાં ન આવે તો ગ્રેનેડ હાથમાં જ ફાટે અને ગ્રેનેડ ફેંકનાર જવાન અને તેની આજુબાજુમાં જે કોઇ હોય તે બચી શકે નહિ. તેથી ગ્રેનેડ ફેંકવાની પ્રૅક્ટીસના સમયે દરેક જવાન સાથે જવાબદાર અફસર, નૉન-કમીશન્ડ અૉફિસર કે સુબેદારની કક્ષાના અધિકારીએ હાજર રહેવું જરુરી હોય છે, જેથી કોઇ અનિચ્છનિય બનાવ ન ઘટે તેની તેઓ તકેદારી રાખી શકે.
જે રીતે ગ્રેનેડને ફેંકીને અથવા ગ્રેનેડ લૉંચર રાઇફલ દ્વારા ‘ફાયર’ કરવામાં આવે છે, તેમ ૨” મોર્ટર બૉમ્બને એક ભૂંગળા જેવા ‘launcher’માં મૂકી, લૉન્ચરની કળ દબાવવાથી તે અમૂક અંતર સુધી ફેંકાય છે અને જમીન પર પડતાંની સાથે જ ફાટતા હોય છે, તેથી તેને ‘ફાયર’ કરનાર જવાન અને અધિકારી સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. ‘બ્લાઇન્ડ’ થયેલા ગ્રેનેડ કે બૉમ્બને નષ્ટ કરવાની રીત સરળ છે. જ્યાં ગ્રેનેડ કે બૉમ્બ પડ્યો હોય, તેની નજીક ડેટોનેટર અને ફ્યુઝ (વાટ) લગાડેલા પ્લાસ્ટીક એક્સ્પ્લોઝીવ (લાપી કે પ્લાસ્ટીસીન જેવો સ્ફોટક પદાર્થ) મૂકી, તેના પર માટીનું tamping કરવામાં આવે છે. ત્યાર બાદ તેમાંથી બહાર કાઢેલી વાટને સળગાવી પચાસે’ક ગજ દૂર આવેલી ખાઇમાં પોઝીશન લેવી પડે. અા કામ અત્યંત સાવધાનીપૂર્વક કરવું પડે, કારણ કે ઘણી વાર ગ્રેનેડ પર માટી ઢાંકતી વખતે ગ્રેનેડને સહેજ ધક્કો લાગી જાય તો તેનો ‘ફ્યુઝ’ અથવા હૅમર activate થઇ શકે છે, અને આવું થાય તો તે ચાર સેકન્ડમાં ફાટી જાય. આવી હાલતમાં ગ્રેનેડને ઉડાવવા માટે જવાબદાર અધિકારીની બચવાની શક્યતા નહિવત્ હોય છે. અખબારોમાં ઘણી વાર “ગ્રેનેડના આકસ્મિક વિસ્ફોટને કારણે સૈન્યના એક મેજરનું અવસાન થયું,” અથવા “ટીકરના મિલીટરીની હદમાં કચરો ઊપાડતી વખતે બૉમ્બ જેવી વસ્તુ ફૂટતાં બે બાળકો મૃત્યુ પામ્યા,” જેવા સમાચાર આવતા જ હોય છે. એક દિવસના ફાયરીંગમાં વીસથી પચીસ ગ્રેનેડ અને બૉમ્બ ‘બ્લાઇન્ડ’ થતા હોય છે, અને તે મુજબ દરેક ‘બ્લાઇન્ડ’ દીઠ એક પ્લાસ્ટીક એક્સ્પ્લોઝીવનું પૅકૅટ, એક મિનીટમાં એક ફૂટ સળગે તેવી વાટ (ફ્યુઝ)ની જરુર પડતી હોય છે.
અમે દારુગોળા લેવા ગયા ત્યારે અમારા સ્ટોરમાં પ્લાસ્ટીક વિસ્ફોટકના ફક્ત દસ પૅકેટ હતા. નિયમ પ્રમાણે મને ઓછામાં ઓછા ત્રીસ જેટલા પૅકેટ મળવા જોઇએ. ફાયરીંગ તો રોકી શકાય નહિ, કારણ કે રેન્જનું બુકીંગ મહિનાઓ પહેલાં કરવું પડતું હોય છે તેથી જેટલી સામગ્રી મળી એટલી લઇને હું ગુરદાસપુર નજીક આવેલ રેન્જ પર ગયો. સાંજે ફાયરીંગ પુરું થયું ત્યારે ૨૦ ગ્રેનેડ અને ચાર ૨” મૉર્ટર બૉમ્બ ફૂટ્યા નહોતા. રેન્જની ચારે બાજુએ આ હાથગોળા અને બૉમ્બ પડ્યા હતા. આવી હાલતમાં રેન્જ અૉફિસર તરીકે મારી પાસે એક જ પર્યાય હતો:
બ્લાઇન્ડ થયેલા ગ્રેનેડને એક એક કરીને ઉપાડી એક ખાડામાં એકઠા કરવા. ત્યાર બાદ પ્લાસ્ટીક વિસ્ફોટક તૈયાર કરી એકી સાથે તેમને ઉડાવવા. આ કામ અત્યંત જોખમભર્યું હતું. ગ્રેનેડ ઉપાડતી વખતે તેને થોડો આંચકો લાગે, અથવા હાથમાંથી ગોળો છટકીને નીચે પડે તો તેની અંદરનો ફ્યુઝ activate થઇને તે ફાટી શકે છે. દરેક ગ્રેનેડને ઉપાડી તેને ૫૦થી ૧૦૦ ગજ દૂર ખોદેલા ખાડા સુધી લઇ જવાનું અત્યંત જોખમભર્યું હોય છે. ચાલતી વખતે કોઇ ગ્રેનેડ કે બૉમ્બ 'અૅક્ટીવેટ' થઇ જાય તો તેની નજીક જે કોઇ હોય તે રામશરણ થઇ જાય! આ જ રેન્જ પર એક વર્ષ પહેલાં એક અફસરે આવી રીતે ઉપાડેલો ગ્રેનેડ તેમના હાથમાં જ ફાટી ગયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા હતા.
ઇષ્ટદેવનું નામ લઇ મેદાનમાં ચારે તરફ પડેલા ૨૪ ખતરનાક ગ્રેનેડ અને બૉમ્બ જીપ્સીએ એક એક કરીને ઉપાડ્યા અને તેમને એક ખાડામાં મૂક્યા. મળેલા દસ પૅકેટ પ્લાસ્ટિક એક્ઝપ્લોઝિવ (વિસ્ફોટક)નો મોટો ગોળો બનાવી, તેમાં ફ્યુઝ લગાડેલો ડેટોનેટર મૂક્યો. તેના પર માટીનો ઢગલો કરી તેમાંથી બહાર કાઢેલા ફ્યુઝને પેટવવાની તૈયારી કરી. મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. આમાંનો એક પણ ગ્રેનેડ અકસ્માત ફાટે તો તેના percussion (ધડાકા)થી તેની બાજુમાં રહેલા બધા જ બૉમ્બ એકી સાથે ફાટે અને આ શરીરના ફુરચે ફુરચા ઉડી જાય. દિવાસળીથી મેં ફ્યુઝ ચેતવ્યો અને ત્યાંથી પચાસ મીટર પર આવેલી સુરક્ષીત ટ્રેન્ચ તરફ દોડવા લાગ્યો. બે-એક મીટરના અંતર બાદ દોડતાં દોડતાં જ પાછા વળીને જોયું કે ફ્યુઝ સળગે છે કે નહિ. આવું કરવા જતાં ઠેસ લાગી અને મોતના ઢગલાથી સાત-આઠ ફીટના અંતર પર જ પડી ગયો. ફ્યુઝ બરાબર સળગી રહ્યો હતો. ત્યાં દૂર ટ્રેન્ચમાં બેઠેલા મારા જવાનો અને નાયબ સુબેદારના ચહેરા ભયથી ફિક્કા પડી ગયા. તેઓ મારી મદદે આવી શકતા નહોતા. મને બચાવવા પચાસ મીટરનું અંતર કાપીને આવતાં આ બધા બૉમ્બ ફૂટે તો તેઓ પણ મૃત્યુ મુખે પડે. હું ઉઠીને નીકળી શકું તેવી સ્થિતીમાં નહોતો, કારણ આ ઢગલામાં મોટા ભાગના ગ્રેનેડઝ્ ચાર સેકન્ડમાં ફાટે તેવા હતા.
મારી પાસે એક જ માર્ગ હતો: જ્યાં પડ્યો હતો તે જ સ્થળે બૉમ્બ ફાટે ત્યાં સુધી ચત્તા પડી રહેવું. સામાન્ય રીતે બૉમ્બની કરચ ૧૦ થી ૧૫ અંશના કોણમાં વછૂટતી હોય છે, તેથી કદાચ હું ઘાયલ તો થઇશ, પણ બચવાની શક્યતા ખરી એવું માની મેં આંખ મીંચી નામ સ્મરણ શરુ કર્યું. મેં જે ફ્યુઝ લગાડ્યો હતો તે બે મિનીટમાં ડેટોનેટર સુધી પહોંચીને વિસ્ફોટ કરે તેવો હતો. હું શાંતિથી ચત્તો પડી રહ્યો. બે ને બદલે પાંચ મિનીટ થઇ ગઇ પણ વિસ્ફોટ થયો નહિ તેથી હું ઉભો થઇ ગયો અને મોતના ઢગલા તરફ ગયો. મારા સાર્જન્ટ મેજર ગુરબચન સિંહ અને વીરચક્ર વિજેતા સબ-ઇન્સ્પેક્ટર અજીતસિંહ પણ ત્યાં આવી ગયા. બૉમ્બના ઢગલા પરના માટીનાં ઢેભાં બાજુએ કરીને જોયું તો સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો.
મેં સળગાવેલો ફ્યુઝ ડેટોનેટરથી કેવળ એક સેન્ટીમીટર પર આવીને ઓલવાઇ ગયો હતો. ગ્રેનેડ્ઝની જેમ ફ્યુઝ પણ 'બ્લાઇન્ડ' નીકળ્યો!
હવે મેં પ્લાસ્ટીક એક્સપ્લોઝીવમાં નવો ડેટોનેટર અને ત્રણ ફૂટ લાંબો ફ્યુઝ લગાડ્યો, અને તે સળગાવીને પચાસ મીટર દૂર આવેલી પાંચ ફીટ ઉંડી ખાઇમાં જઇને બેઠો. ત્રણ મિનીટ બાદ જે ધડાકો થયો તેનાથી ધરતી ધ્રુજી ગઇ. જ્યાં આ ચોવીસ અતિ વિઘાતક એવા બૉમ્બ રાખ્યા હતા, ત્યાં છ ફીટ ઉંડો અને દસ-પંદર ફીટની ત્રિજ્યાનો ખાડો થયો એટલું જ નહિ, વિસ્ફોટકોની પ્રચંડ ઉષ્ણતાને કારણે આજુબાજુની જમીન કાળી પડી ગઇ હતી. ખાડાની કિનાર પર ગ્રેનેડની કેટલીક કરચ ખૂંપી હતી. જે સ્થાને હું ચત્તો પડ્યો હતો, તે આ ખાડાની અંદર આવી ગયું હતું. આ જોઇ હું કાંપી ઉઠ્યો. અજીત સિંહ માથું હલાવીને બોલ્યા, “સાબ જી, વાહે ગુરુને આપકો બચા લીયા. ઉસકે બગૈર આપકે આધે ઇંચ નજદીક આયે હુવે મૌત કો કોઇ નહિ રોક સકતા.”
મૃત્યુને એક સેન્ટીમીટર દૂર રોકીને મને બચાવનાર કોણ હતું?

Saturday, June 13, 2009

૧૯૭૨: "ધ ગ્રેટ થર ડેઝર્ટ"

શહિદો માટેની પરેડ પૂરી થઇ ત્યાં મારા કમાંડંટ મારી પાસે આવ્યા અને મને જણાવ્યું કે મારે તાત્કાલિક જોધપુર જવાનું છે. બે દિવસ બાદ ત્યાંના ટ્રેનિંગ સેન્ટરમાં ‘ડેઝર્ટ વૉરફેર કોર્સ’ શરૂ થવાનો હતો અને અમારા ફ્રંટિયરમાંથી મને પસંદ કરવામાં આવ્યો. હું ઉતાવળે મારી બટાલિયનમાં પહોંચ્યો અને ત્રણ મહિના માટે જોધપુર જવા નીકળ્યો.
થરના રણમાં શરૂ થનારા આ કોર્સમા ત્રણ અન્ય અફસર અને ૨૧ કમાંડો ભાગ લઇ રહ્યા હતા. આપણા રાજ્યના કચ્છના રણ કરતાં રાજસ્થાનનું રણ સાવ જુદું. અહીં ખારો પાટ નથી, પણ મસ મોટા ડુંગરા જેવા રેતીના ઢુવા હજારો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. તેમાં ચાલવું એટલું જ દુષ્કર. કેટલીક જગ્યાએ પીંડી સુધી પગ રેતીમાં ઘુસી જાય. રાજસ્થાનના રણમાં હંમેશા જુના ચીલા પર જ જવું જોઇએ કેમ કે રેતીમાંના કળણ (quick sand) એવા છૂપાયેલા હોય છે કે તેમાં માણસ પૂરે પૂરો ગરક થઇ જાય. મોટર ગાડી તથા ટૅંક તેમાં એવી ફસાઇ જાય કે તેમને બહાર કાઢવું અશક્ય છે. ૧૯૭૧ની લડાઇમાં લોંગેવાલા સેક્ટરમાં આપણા વિમાનો દ્વારા થયેલા હુમલામાંથી બચવા પાકિસ્તાનની ટૅંક્સ ચીલો છોડી જવા લાગી અને રેતીમાં ફસાઇ ગઇ હતી. આપણા વિમાનોએ નષ્ટ કરેલી આ ટૅંક્સ અમે આ કોર્સ વખતે જોઇ શક્યા હતા.
રણમાં આવેલ ટ્રેનીંગ કૅમ્પ જોધપુરથી લગભગ ૬૦ કિલોમીટર દૂર હતો જ્યાં અમારે ઊંટ પર બેસીને જવાનું હતું. પહેલા ચાર અઠવાડીયાની ટ્રેનીંગ ક્લાસરૂમમાં હતી, તેમાં જાણવા મળ્યું કે ઊંટ અત્યંત વિક્ષીપ્ત પ્રાણી છે. તેની બે વાતોથી હંમેશા સાવધ રહેવું જોઇએ. એક તો તેને મારકૂટ જેવી ક્રુર શિક્ષા ન કરવી જોઇએ, કારણ કે તે મારનારને યાદ રાખી, લાગ મળતાં બરાબર વેર લે છે. દાખલા તરીકે તમારૂં ધ્યાન ન હોય ત્યારે દાંત વડે તમારા વાળ ઉખેડી લે! બીજી વાત: શિયાળામાં તેનો સંવનન કાળ હોય છે ત્યારે તેનું વર્તન અનપેક્ષીત હોય છે. રોજ સાંજે અમને ઊંટ પર સવારી કરવાની પ્રૅક્ટીસ કરવાની હતી, પણ આ વાતો સાંભળ્યા બાદ કોણ જાય? અમારામાંથી કેટલાક લોકો એ સવારી કરવાનું ટાળ્યું, જે મહા ભયંકર ભુલ સાબિત થઇ. સવારીના મહાવરા વગર અમને પૂરો ૬૦ કિલોમીટરનો પ્રવાસ અમારે પોતે ઊંટના ચાલક તરીકે કરવો પડ્યો!
ઊંટ પર સવારી કરવી સહેલી નથી! સૌ પ્રથમ તેને જમીન પર બેસાડવો પડે. તેમ કરવા માટે તેની રાશ પકડી, જમીન તરફ હળવેથી ખેંચી “જે!....જે!” બોલવું પડે. તે બેસે એટલે પલાણની પાછળની સીટ પર બેસનાર પ્રવાસીએ પહેલાં બેસવું. પરંતુ આગળના પલાણ પર સ્વાર બેસે કે તરત ઊંટજી બે ઝટકે ઉભા થાય. સાવધાની ન રાખીએ તો સૌથી પહેલાં આપણે પાછળની બાજુએ ‘ઉડીએ’ અને બાદમાં આગળ. બન્ને વખતે પલાણ (જેને ‘કાઠી’ કહેવામાં આવે છે) મક્કમ રીતે પકડી રાખવી જોઇએ. અહીં જરા જેટલી શરતચૂક થાય તો આગળ બેસનાર માણસ ગલોટિયું ખાઇ ઊંટના આગલા પગની આગળ પડી જાય! જોધપુરના તબેલાનો એક ઊંટ ‘નમૂનો’ હતો. તેને બીડીનું બંધાણ હતું! તેનો સ્વાર સવારના પહોરમાં બે-ત્રણ બીડીઓ સામટી સળગાવીને તેનો ધુમાડો આ ઊંટ મહાશયના નાકમાં ન છોડે ત્યાં સુધી તેઓ ઉઠવાનું નામ ન લેતા!
પ્રશિક્ષણક્ષેત્રમાં જતી વખતે બે-ત્રણ કલાકની સવારી બાદ હું એક વાત શીખ્યો કે ઊંટના પલાણમાં આગળ બેસવાથી કમરને આંચકા ઓછા લાગે છે! શરૂઆતની સવારીમાં જ્યારે ઊંટ તેની ગરદન પાછળ ફેરવતો ત્યારે મારા પગ સુધી તેનું મ્હોં પહોંચતું. ક્લાસરૂમમાં શીખેલી વાતો સાંભળ્યા બાદ થોડો ડર લાગે તે સ્વાભાવિક હતું. જેમ જેમ અંતર કપાતું ગયું સવારીમાં આનંદ આવવા લાગ્યો. રણમાં દોડતા ઊંટને અમસ્થું જ ‘રણનું વહાણ’ નથી કહેવાતું! રણની રેતીમાં પૂર ઝડપે દોડતા ઊંટની સવારી કરવાની મજા અૉર હોય છે.
અમારા કોર્સ ઇન્સ્ટ્રક્ટર ઘણા કડક હતા. રણના ઢુવા - જેને રાજસ્થાનમાં ‘ટીલા’ કહે છે, તેમાં અમને યુદ્ધની આક્રમણ, સંરક્ષણ, અૅમ્બુશ વિ. જેવી ક્રિયાઓ કરવા ઉપરાંત પૂરી ઇક્વીપમેન્ટ સાથે રેતીના ડુંગરાઓ પર પચીસ કિલોમીટરનો forced march કરાવ્યો. તે સુદ્ધાં પાણીની એક-એક બાટલી સાથે. તે દિવસે અમને કહેવામાં આવ્યું હતું કે બપોરના ભોજન સુધીમાં કૅમ્પમાં પાછા આવી જઇશું, તેથી અમને ‘પૅક લંચ’ લેવાનો હુકમ નહોતો. બપોરના બે વાગ્યા ત્યારે અમે કૅમ્પથી આઠે’ક કિલોમીટર દૂર હતા. સહુ થાકી ગયા હતા. રસ્તામાં અમે એક ઢાણી પાસે પહોંચ્યા. પંદર-સત્તર ઝુંપડાની આ વસ્તી ‘જાટોંકી ઢાણી’ હતી.પરંપરા મુજબ તેમના મુખી અમારૂં સ્વાગત કરવા આવ્યા.
“પધારો, હુકમ!”
“જૈ માતાજી રી,” કહી અમે જવાબ આપ્યો.
અમારા મુખડાં જોઇને તેમને કદાચ ખ્યાલ આવી ગયો કે અમે ભૂખ્યા છીએ! તેમણે અમને બેસવા કહ્યું. કચ્છના રણ પ્રદેશમાં ભુંગા હોય છે તેવા અહીંના અંદર બહારથી સ્વચ્છ ઝુંપડા, સુંદર ડીઝાઇનોથી લીંપેલી ભિંતો, પ્રવેશદ્વારની આગળ લીંપેલું આંગણું અને બહાર રમતાં બાળકો જોઇ મન પ્રસન્ન થયું. અહીં નહોતાં પાણીનાં નળ, નહોતી વિજળી કે નિશાળ. પાણી લેવા બહેનો ૧૫ કિલોમીટરનું અંતર રોજ ચાલે. બકરીઓ પાળીને ગુજરાન કરતા આ અશિક્ષીત પણ ભોળાં લોકોનાં મન કેટલા વિશાળ હતા તે દસ મિનીટમાં જ જણાઇ આવ્યું. દરેક ઝુંપડામાંથી પિત્તળના કટોરામાં બાજરીના રોટલાના જાડા ભુક્કામાં છાશ ભેળવી, તેના પર ભભરાવેલ મીઠાંનું શીતળ રાબડીનું ભોજન આવ્યું. મને બાળપણમાં વાંચેલી ભાવનગરના મહારાજ ભાવસિંહજી અને સોંડા માળીની વાત યાદ આવી ગઇ. વનમાં શિકાર કરવા નીકળેલ ‘જણ’ કોણ હતો તે જાણ્યા વગર સોંડા માળીએ મહારાજને તથા તેમના સાથીઓને ઝાડ પર ટાંગેલા બોઘરણાંમાં રાખેલ પોતાનો રોંઢો - ‘બોળો’ (જુવાર કે બાજરાના રોટલાના ઝીણાં કકડા છાશમાં ભીંજવી તેને બોઘરણાંમાં મૂકવામાં આવે છે. ખેડૂત આ રોંઢાનું બોઘરણું ઝાડની ડાળી પર લટકાવી રાખે છે અને બપોરે જમે છે) પીરસી દીધો હતો. સેંકડો માઇલ દૂર, વેરાન ધરતીમાં ભારતની ગ્રામ્ય સંસ્કૃતીની જળવાઇ રહેલી પરંપરા જોઇ મન અનેક ભાવનાઓથી તરબોળ થઇ ગયું.
“જીમો, હુકમ,” મુખીએ કહ્યું.
ભોજન સામે આવ્યું હતું. અમે તેમને કેવી રીતે ના કહી શકીએ?
અમને - ૨૬ અતિથીઓને - ભોજન આપનાર અન્નપૂર્ણાઓ દૂર ઉભી અમને જોઇ રહી હતી.
ભોજન પતાવીને અમે ગામના મુખીને પરાણે પૈસા આપવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. રૂપિયાની નોટો જોઇ તેમના ચહેરા પર નારાજી સાફ દેખાઇ. અંતે અમે તેમનો હૃદયપૂર્વકનો આભાર માનીને નીકળી પડ્યા.
‘ડેઝર્ટ વૉરફેર’ના કોર્સમાં અમારા ઇન્સ્ટ્રક્ટરે અમારો સંપૂર્ણ દમ કાઢ્યો. અમારી પાસેથી ૨૫ કિલોમીટરનો ‘ફોર્સ્ડ માર્ચ’ કરાવી તેમણે કોર્સની અને અમારી પૂર્ણાહુતિ કરી નાખી! ત્રણ મહિનાનો કોર્સ પૂરો કર્યા બાદ સૌથી મધુર નીંદર આવી હોય તો ટ્રેનમાં કૂપેની નીચેની બર્થમાં!
ટ્રેનીંગ દરમિયાન મને એક અકસ્માત નડ્યો હતો. રણના માર્ગ તરફ દોડી રહેલા મારા ઊંટના પલાણનો પટ્ટો અચાનક તૂટી ગયો અને હું ઉંચેથી લપસીને ભોંય પર પડ્યો. એક શરીરના અંદરના ભાગમાં એવો જખમ થયો જે આગળ જતાં સેપ્ટીક થયો. અૉપરેશન કરવાની જરૂર પડી.
અમારા નાનકડા ગામમાં અૉપરેશનની સુવિધા નહોતી તેથી મને અમૃતસરના સિવીલ હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટરે સલાહ આપી કે આ અૉપરેશન જનરલ એનેસ્થેસીયા નીચે કરવું સારૂં. શસ્ત્રક્રિયા પંજાબના પ્રખ્યાત સર્જન શ્રી. સ્વતંત્ર રાયે કરી અને મને આરામ થયો. પરંતુ અૉપરેશનના એક મહિના બાદ અમારા ડૉકટરે મને જે વાત કહી તે સાંભળી હું થરથરી ગયો.
અૉપરેશન શરૂ થયાની પાંચ મિનીટમાં મારા હૃદયના ધબકારા મંદ પડી ગયા હતા. તે જમાનામાં અમૃતસરમાં ઇલેક્ટ્રૉનીક મૉનીટર નહોતાં. અમારા યુનિટના ભલા મેડીકલ અૉફીસર પોતે ત્યાં હાજર રહ્યા હતા અને તેઓ મારા હૃદયનાં સ્પંદન મૉનીટર કરી રહ્યા હતા. તેમણે સર્જનને તરત સાબદા કર્યા. સ્વતંત્ર રાય બાહોશ ડૉક્ટર હતા. તેમણે આદેશ આપ્યો, “અૉક્સીજન તપાસો.”
એનેસ્થેટીસ્ટે સીલીંડરનું પ્રેશર તપાસ્યું તો સીલીંડર તદ્દન ખાલી હતી!
સદ્ભાગ્યે નજીકમાં જ સ્પૅર સીલીંડર હતી અને તાત્કાલિક કારવાઇ કરવામાં આવી. થોડી સેકંડનો વિલંબ થયો હોત તો હું કાયમ માટે ‘brain damaged - cabbage’ બની ગયો હોત! મિલીટરીમાં ગયો ત્યારે લોકો મને ‘બ્રેન ડૅમેજ્ડ' માનવા લાગ્યાા હતા. અૉપરેશનમાં જો ખરાબ પરિણામ આવ્યું હોત તો નાનકડું પરિવર્તન થયું હોત: માનવમાંથી શાકભાજી બનવાનું!
હૉસ્પીટલમાં હું સારવાર નીચે હતો ત્યારે મને મળવા અનુરાધા બસમાં હેડક્વાર્ટરના નાનકડા ગામમાંથી એક કલાકનો પ્રવાસ કરી અમૃતસર રોજ આવતી. એક દિવસ તેની સાથે આવેલા અમારા વૃદ્ધ અૉર્ડર્લી હુકમચંદ તેને મારી પાસે મૂકી નજીક આવેલી અમૃતસરની બીએસએફ બટાલિયનમાં કોઇકને મળવા ગયા હતા. ત્યાંથી તેઓ ખબર લઇ આવ્યા કે ચાર નંબરની ચોકીને જીતવાની જવાનોએ સાથે કરેલ કાર્યવાહી માટે જીપ્સીને President’s Police & Fire Services Medal for Gallantry એનાયત થયાનો સિગ્નલ આવ્યો હતો. મારા સાથી સબ-ઇનસ્પેક્ટર કરમચંદને રાષ્ટ્રપતિનો ચંદ્રક પહેલાં જ જાહેર થયો હતો. આમ ૧૯૭૧ના યુદ્ધમાં મારી 'ચાર્લી' કંપનીના સૈનિકોને એક સેના મેડલ, રાષ્ટ્રપતિના બહાદુરી માટેના બે ચંદ્રક અને બે પોલીસ મેડલ ફૉર ગૅલન્ટ્રી મેડલ મળ્યા. આવા બહાદુર સૈનિકોનું નેતૃત્વ કરવાનો પરમાત્માએ મને અવસર આપ્યો તે મારા જીવનના આનંદની પરમોચ્ચ ઘડી હતી. મને મળેલા અભિનંદનના પત્રોમાં ઠાકુર કરમચંદે ઉર્દુમાં લખેલ અંતર્દેશીય પત્રને હું સર્વશ્રેષ્ટ ગણું છું.

Friday, June 12, 2009

‘જરા યાદ કરો...’

દુશ્મનના ગોળીબારમાંથી બચીને મેજર તેજાના બંકર પાસે પહોંચ્યો. તેણે સ્મિત સાથે કહ્યું, “તુમ બડે તકદીરવાલે નીકલે! બાલ-બાલ બચ ગયે!” મને સંતોષ હતો કે અમારા ‘ખોવાયેલા’ જવાનોને જર્નેલ અને હું મળી શક્યા હતા, અને તેમના પર મૂકાયેલા desertion- ભાગી જવાના આક્ષેપને જુઠો સાબિત કરી શક્યા હતા. તેજાને મેં અમારી પ્લૅટૂનોની deploymentની પૂરી માહિતી આપી અને નકશામાં તેમના ગ્રીડ રેફરન્સ બતાવ્યા. હવે તેણે કંપનીના ફાયરીંગ પ્લાનમાં ફેરબદલી કરી અને અમારા સૈનિકોને તેમાં આવરી લીધા. ત્યાંથી નીકળી અમારી ડેલ્ટા કંપનીના હેડક્વાર્ટરમાં જઇ અમારા જવાનો માટે ચ્હા તથા બે વખતનું ભોજન બનાવડાવ્યું. કંપની હેડક્વાર્ટર્સનો અમારી બટાલિયન સાથે ટેલીફોન લાઇનનો સંપર્ક હતો તેથી અમારા સીઓને અમારા ‘અભિયાન’નો રીપોર્ટ આપ્યો. તાઉને પ્લૅટૂનોની લોકેશનની માહિતી આપી ત્યાં ભોજનની ગાડીઓ રવાના કરીને હું અમારા બટાલિયન હેડક્વાર્ટર તરફ જવા નીકળ્યો.
બટાલિયનની બધી કંપનીઓએ કરેલ અભૂતપૂર્વ કામગિરીનો સિટરેપ (સિચ્યુએશન રીપોર્ટ) જાલંધરના ફ્રન્ટિયર હેડક્વાર્ટરમાં તથા દિલ્લીના અમારા સર્વોચ્ચ હેડક્વાર્ટરમાં પહોંચી ગયો હતો. અમારી બટાલિયનને ૧૯૭૧ના વર્ષની સર્વશ્રેષ્ઠ બટાલિયનનો પુરસ્કાર મળ્યો. અમારી બટાલિયને એક વીર ચક્ર (સબઇન્સ્પેક્ટર અજીતસિંહ), એક સેના મેડલ (સબ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ), રાષ્ટ્રપતિના પોલીસ અૅન્ડ ફાયર સર્વિસીઝ મેડલ ફૉર ગૅલન્ટ્રીના છ (સબઇન્સ્પેક્ટર ઠાકુર કરમચંદ, ચંદરમોહન, લાન્સનાયક તુલસી રામ, લાન્સનાયક સુરજીતસિંહ, હવાલદાર હરબન્સ લાલ અને જીપ્સી) તથા ત્રણ પોલિસ મેડલ ફૉર ગૅલન્ટ્રી (સંતોખસિંહ, અજાયબસિંહ અને પ્રભાકરન નાયર) જીત્યા. ૧૯૭૧ના યુદ્ધમાં અમારી બટાલિયન સૌથી વધુ બહાદુરીના ચંદ્રક જીતનારી બીજા નંબર પર આવી.
માણસ એક વ્યવસાય સ્વીકારે અને તેમાં ઓતપ્રોત થઇ જાય છે ત્યારે તેના મનમાં કદી એવું નથી આવતું કે તે કોઇ “મહાન” (!) કામ કરી રહ્યો છે. તે જે કાંઇ કરે છે તે તેની દિનચર્યાનો ભાગ હોય છે. તેમાં તે આનંદ માણે છે. દિવસ વીત્યે જો તેને સારી નિંદર આવે તો તેણે સમજવું કે તેના હાથે તે દિવસનું કામ પ્રામાણિકતાપૂર્વક પૂરું થયું. તે દિવસની રોટી તેને સાર્થક થઇ. લડાઇમાં દુશ્મનોના ગોળીબાર અને બૉમ્બવર્ષામાં આપણા જવાનો જે ભાવનાથી લડતા રહ્યા, તેમને મળેલી કેળવણીનો હિંમતથી પ્રયોગ કર્યો તથા યુદ્ધમાં પોતાની પ્લૅટુનને, કંપનીને, બટાલિયનને તથા દેશને વિજય અપાવ્યો, તેમાં તેમની નિષ્ઠા અને નમ્રતા વ્યક્ત થાય છે. સંતોખસિંઘ, અજાયબસિંઘ, મહેરસિંઘ, પ્રભાકરન નાયર - તેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. અજીતસિંઘ, ઠાકુર કરમચંદ, ચંદર મોહન, દર્શનસિંઘ જેવા વીર પુરુષોના સહવાસમાં તેમની ભાવના અને કર્તવ્યપરાયણતાનાં દર્શન થયા. તેમણે જીવન જીવી જાણ્યું અને તેમની વીરતા તથા નમ્રતાનો પ્રકાશ અમારા જીવન પર ફેલાવતા ગયા.
૧૯૭૧-૭૨નો શિયાળો અમારા માટે અનેક દૃષ્ટીએ યાદગાર થયો. બહાદુરીના પ્રથમ ચંદ્રકો મૃત સૈનિકો માટે જાહેર થયા તેમાં મારી કંપનીના શહિદ થયેલા બે જવાનો હતા. પંજાબના ગવર્નરશ્રીના હાથે તેમની વિધવાઓને ચંદ્રક અાપવામાં આવનાર હતા. મને કામગિરી સોંપાઇ તેમને તેમનાં ગામથી જાલંધર લાવવાની. હું તેમને ગામ ગયો અને તેમના પરિવારને મળ્યો ત્યારે હૈયું વલોવાઇ ગયું. સંતોક સિંઘની વિધવા, તેના ઘરડાં મા-બાપ અને ભાઇ-બહેનોનું રુદન રોકાતું નહોતું. આખું ગામ મારી આસપાસ ભેગું થઇ ગયું. સંતોક સિંઘના વૃદ્ધ પિતાની પાસે હું બેઠો અને તેમને સંતોક સિંઘની બહાદુરીની વાત કરી. લડાઇમાં મૃત્યુ પામનાર દરેક સૈનિકને ગૅલન્ટ્રી અૅવોર્ડ મળતો નથી, અને જે હાલતમાં સંતોક સિંઘે પોતાના પ્રાણની અાહુતિ આપી તે સાંભળી તેના પરિવારે અને ગામના લોકોએ કહ્યું કે શહીદ સંતોક સિંઘે પરિવારને અને ગામને ઉંચી પ્રતિષ્ઠા અપાવી. તેનું બલિદાન સાર્થક થયું. આ વખતે મને ખાસ તો એ જોવા મળ્યું કે સૈનિકના પરિવારને આખા ગામનો ઉષ્માભર્યો સાથ હતો. આ પંજાબ છે. પંજાબની પરંપરા હતી સૈનિકોનાં પડખે રહેવાની.
અજાયબ સિંઘને ઘેર ગયો ત્યાં પણ એવો જ અનુભવ થયો. બન્ને સિપાહીઓ યુવાન હતા. તેમની યુવાન વિધવાઓનું દુ:ખ જોયું જતું ન હતું. આવા શોક ભર્યા માહોલમાં પણ આ ખેડૂત પરિવારોની ખાનદાની શિષ્ટતા છતી થઇ. અમારા ડ્રાઇવર, સાથી જવાન અને મને કાંસાના થાળમાં મકાઇના ગરમ રોટલા અને શાકનું ભોજન પીરસવામાં આવ્યું હતું. એક ફૂટ લાંબો પિત્તળનો પ્યાલો ભરેલ લસ્સી અમારી સામે ધરવામાં આવી.
મોડી સાંજે અમે જાલંધર પહોંચ્યા. બહેનો તથા તેમની સાથે આવેલ વડીલોને તેમના ઉતારે પહોંચાડ્યા.
બીજા દિવસે યોજાયેલી ભવ્ય પરેડમાં પાંચસો સિપાહીઓ અને છ અફસરોના માર્ચ પાસ્ટમાં સલામી અને શહીદોને તથા તેમના પરિવારોને અંજલી અપાઇ. મારૂં સદ્ભાગ્ય હતું કે શહીદ સંતોક સિંઘ અને અજાયબ સિંઘની વીરાંગનાઓને ગવર્નરશ્રીના મંચ સુધી લઇ જવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી.
અમારી બટાલિયનના સાત જવાનો શહીદ થયા. તેમના અંત્યસંસ્કાર વખતે અપાતી ‘શોક-શસ્ત્ર’ની સલામી, ત્યાર બાદ બ્યુગલ પર વાગતા ‘લાસ્ટ પોસ્ટ’ના કરૂણ સૂર, ત્યાર બાદ ઉગતા સૂર્યને ધ્વજારોહણ દ્વારા અપાતા આવકારના ‘reveille’ના બ્યુગલના સૂર - દિવંગતના આત્માના સ્વર્ગારોહણ દર્શવતા હોય તેના નાદમાં તેમને અગ્નિદાહ દેવાનું કામ પણ અૅજુટન્ટની હેસિયતથી મારે જ કરવું પડ્યું હતું. આવી હૃદયવિદારક પરિસ્થિતિમાંથી કોઇને ન જવું પડે એવી પ્રાર્થના હું હંમેશા કરું છું.
જે શહિદોને શિફારસ કરવા છતાં બહાદુરીના ચંદ્રક ન મળ્યા, તેમની વિધવાઓને યુનિટ તરફથી સિલાઇ મશીન આપવાનું નક્કી થયું. મોટા ભાગની બહેનોએ તે લેવાની ના પાડી. “એક વીર સૈનિકની પત્નીને આવું દાન લેવું શોભે નહિ,” કહી તેમણે યુનિટમાં આવવાનો સુદ્ધાં ઇન્કાર કર્યો.
લડાઇમાં કેવળ સિપાહીઓ જ ભાગ નથી લેતા. અમારા હેડક્વાર્ટરના વહીવટી ખાતાના સુબેદાર, નાયબસુબેદાર અને હવાલદાર-ક્લાર્ક પણ પોતાના કર્તવ્યમાં રત હતા. લડાઇમાં બલિદાન આપનાર સૈનિકોના પરિવારોને વિના વિલંબે પેન્શન મળે તે માટે તેમણે રાત-દિવસ મહેનત કરી કાગળ તૈયાર કર્યા. બીજા દિવસે જવાબદાર ક્લાર્કને પરિવારોના ઘેર મોકલી કાગળમાં સહીઓ કરાવી, ફોટોગ્રાફ વિગેરે પડાવી કોરીઅર દ્વારા કાગળ ઉપરના હેડક્વાર્ટરમાં મોકલાવ્યા. અહીં કર્તવ્યપરાયણતાના ડગલે ને પગલે દર્શન થતા હતા. અમારા હેડક્લાર્ક સુબેદાર મોહિંદરસિંહની સજ્જનતા હંમેશા યાદ રહેશે.
સમય વહેતો જાય છે. રણ મોરચે પ્રાણની આહૂતિ આપનાર સિપાહીની શહાદતને કોઇ યાદ કરે છે કે નહિ, ‘ઝંડા દિવસ’ના સમયે શાળાનાં બાળકો સિવાય દાનપેટીમાં કોઇ બે-ચાર સિક્કા નાખે છે કે નહિ તે જોવા શહિદો આ જગતમાં નથી. તેમના પરિવારોને ભુલાઇ જવાની ટેવ પડી ગઇ છે. ભારતનું મસ્તક ઉન્નત રાખનાર સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીના બીજી અૉક્ટોબરના દિવસે આવતા જન્મ દિવસને કોઇ યાદ કરતું નથી, ત્યાં એક અનામી સૈનિકની કોણ પરવા કરે? પરંતુ અમે સૈનિકો અને અમારા પરિવારો એક વાત જરૂર શીખ્યા છીએ: પાછળ ન જોતાં આગળ વધતા રહેવું. Move on! આવું ન કરવાથી દુ:ખ અને શોકની ગર્તામાંથી કદી બહાર નીકળી જ ન શકાય. આમ છતાં જેમની સાથે અમે ટ્રેનિંગ કરી, રણભુમિમાં સાથોસાથ દુશ્મનની ગોળીઓનો સામનો કર્યો, રાવિના બરફ જેવા ઠંડા પાણીમાં રાતના અંધારામાં ઉતરી અજાણ્યા ભવિતવ્ય અને મૃત્યુની સંભાવનાથી સભર એવા ધુમસમાં જેમની સાથે પ્રવેશ કર્યો, તેવા સાથીઓને અને તેમની સાથેના રોમાંચકારી વાતાવરણને કેવી રીતે ભુલી શકાય? એકલતાની પળોમાં જીપ્સી કોઇક વાર ભુતકાળમાં લપસી પડે છે. તે જઇ પહોંચે છે સરકંડાના જંગલમાં અને કઠુઆના પુલ પર. રાતના અંધારામાં તેને રાઇફલ કે LMGના ઘોડા ચડાવી તેને પડકારતા ‘હૉલ્ટ, હુકમ દાર’ના કડાકા યાદ આવે છે. બાળકના હાથમાંથી મિઠાઇનું પડીકું ઝડપી લેવા તીરની જેમ ઉતરતી સમળીની જેમ આવતા સેબર જેટ અને સ્ટારફાઇટર તથા તેમની મશીનગનના મારના ભણકારા સંભળાય છે. અર્ધી રાતે વગડામાં જાણે ડાકણ ચિચિયારી કરતી હોય તેવા અમારા બંકર પર આવતા દુશ્મનની તોપના ગોળાના તીણા અવાજ યાદ આવે છે. ડર તો તે વખતે પણ નહોતો લાગ્યો. અત્યારે તો નજર સામે દેખાતા યુવાન અફસરની છબી જોઇ રમુજ ઉપજે છે. કેવો ભોટ, આદર્શવાદી પાગલ હતો એ જીપ્સી! ન તો તેને પોતાની સુરક્ષાનું ભાન હતું કે નહોતી તેને પોતાના પરિવારની ચિંતા. ફીકર હતી કેવળ તેના હુકમને આધિન એવા જવાનોની, જેમણે પોતાના પ્રાણની જવાબદારી તેના ખભા પર સોંપી હતી.
Tatto Media
Tatto Media

Thursday, June 11, 2009

1971 - "ખોવાયેલા" સૈનિકોની શોધમાં...(૩)

અનિશ્ચિત ભાવિ તરફ પગલું ભરતાં પહેલાં મેં પાછળ નજર કરી તો જણાયું કે જર્નેલસિંઘ ધીરે ધીરે જીપ આગળ લાવી રહ્યો હતો. મારી પાસે તેણે જીપ રોકી. હું તેમાં બેઠો અને અમે હળવી ગતિથી આગળ વધવા લાગ્યા. હું દૂરનો ભુ-ભાગ (distance), ૧૦૦થી ૨૦૦ મીટર પર આવેલ મધ્ય ભાગ (middle distance) અને નજીકની ભુમિ (foreground)નું નિરીક્ષણ કરી ‘નો મૅન્સ લૅન્ડ’તરફ વધતો હતો. હેડક્વાર્ટરથી ઊતાવળે નીકળ્યો હોવાથી મેં દુરબીન નહોતું લીધું. મારી પાસે ફક્ત ૯ મિલીમીટર કૅલીબરની અૉટોમેટીક પિસ્ટલ હતી અને જર્નેલ પાસે સ્ટેનગન. અચાનક દૂર ધુસ્સી બંધ પર મને થોડી હિલચાલ જોવા મળી. ધારી ધારીને જોતાં આશરે ૨૦૦ મીટરના અંતર પર ખાખી યુનિફૉર્મ અને સ્ટીલ હેલ્મેટ પહેરેલો જવાન ‘કૅમુફ્લાજ’ કરેલી ખાઇમાંથી ડોકું બહાર કાઢી અમારી તરફ જોતો હોય તેવું લાગ્યું.
હું વિમાસણમાં પડી ગયો. તે વખતે પાકિસ્તાનની સેના અને બીએસએફ, બન્નેના યુનિફૉર્મ ખાખી રંગનાં હતા. મારી નજરે પડેલ જવાન અમારો હતો કે પાકિસ્તાનનો, તે કહેવું મુશ્કેલ હતું. કોણ જાણે કેમ, તે સમયે અમને અમારી સલામતીની કોઇ ચિંતા નહોતી. એક અલગારી ફકીરની વૃત્તિ આપોઆપ આવી ગઇ હતી. મેં જર્નેલસિંઘને કહ્યું, “જર્નેલ, જીપનું એત્થે રોકીં. અગ્ગે મૈં ઇકલ્લા હી પૈદલ જાવાંગા.” (જીપ અહીં રોક. આગળ હું એકલો ચાલીને જઇશ.)
જર્નેલ હિંમતવાન સરદાર હતો. તેણે કહ્યું, “સર જી, તુંસી ફિકર ના કરો. મૈં સિક્ખદા પુત્તર હાં, તુહાડે સાથ હી રહેણાં. અપાં જીપ વિચ હી અગ્ગે જાવાંગે.” (તમે ચિંતા કરશો મા. હું સિખનો દીકરો છું, તમારી સાથે જ રહીશ. આપણે જીપમાં બેસીને જ આગળ જઇશું.)
અમે જેમ જેમ આગળ વધતા ગયા, મારા મનમાં આશા પ્રગટવા લાગી. મારો અંતરાત્મા મને કહેવા લાગ્યો, ‘આગળ વધ. તને કોઇ આંચ નહિ આવે. આ તારા જ જવાનો છે.’
આતમનો કોલ સાચો નીવડ્યો.
અમે દૂરથી જોયેલી ટ્રેન્ચની નજીક પહોંચ્યા પણ અમારા પર ગોળીઓ ન વછૂટી. આ અમારા જ જવાન હોવા જોઇએ! ખાઇ પાસે ગાડી રોકી અને તેમાંથી ત્રણ જવાન બહાર આવ્યા. તેમાંના સિખ લાન્સ નાયકે ‘સત શ્રીઅકાલ’ કહી મારું અભિવાદન કર્યું. તેમની ખબર પૂછવા આવ્યો હતો જાણી તેઓ ખુશ થઇ ગયા. જીપને એક ઝાડની નીચે રોકી આગળ આવેલી દરેક ખાઇ પાસે ગયો અને પ્રત્યેક જવાનને મળ્યો. દુશ્મન સાથે ગોળીબારના ‘સંપર્ક’માં રહેલી પહેલી ખાઇમાં લાઇટ મશીનગન સાથે બેઠા હતા હવાલદાર ચંદર મોહન, સબ ઇન્સ્પેક્ટર અજીતસિંહ અને તેમના બે સાથીઓ.
છેલ્લા ચોવિસ કલાકથી આગળ અને પાછળના બબ્બે નો-મૅન્સ લૅન્ડમાં અમારા પચાસ બહાદુર સૈનિકો કોઇ પણ જાતના ભારે હથિયાર (81 mm Mortar અને મીડીયમ મશીનગન)ના આધાર વગર દુશ્મનના ગોળીબારનો સામનો કરી રહ્યા હતા. આગળ દુશ્મન હતો, અને પાછળ - આપણી ઇન્ફન્ટ્રી માટે તેમની સામેનો વિસ્તાર - જ્યાં બીએસએફના સૈનિકો હતા, તે ‘નોમૅન્સ લૅન્ડ’હતો! આ ચોવિસ કલાકમાં અમારા જવાનોને ભોજન તો શું, ચ્હાનો કપ પણ નહોતો મળ્યો. અમારી બટાલિયન ભારતીય સેનાના ‘ઓપરેશનલ કન્ટ્રોલ’ નીચે હતી. આનો અર્થ એવો થાય છે કે જે ઇન્ફન્ટ્રી બટાલિયન સાથે અમારા સૈનિકો સંલગ્ન હોય તેમને પોતાના જ સૈનિકો સમજી તેમનું deployment, સંરક્ષણ, ભોજન અને નેતૃત્વ આપવાની જવાબદારી જે તે ઇન્ફન્ટ્રી બટાલિયનની થાય. મને દુ:ખ તો એ વાતનું થયું કે દેશ હિતની આગળ અંગત સ્પર્ધા, ક્ષુલ્લુક અર્થહિન ઇર્ષ્યા ગૌણ બને છે તેનો અહેસાસ કર્નલ ‘જુઠદેવા’ને કે તેમના અફસરોને નહોતો. કર્નલ ગુરચરનસિંઘે પણ આવી જ વૃત્તિ બતાવી હતી. અમારા બીએસએફના જવાનોની સામેના નો મૅન્સ લૅન્ડમાં તેમની સામે દુશ્મન હતો. તેમની પાછળ ઇન્ફન્ટ્રીની ટુકડી હતી, જેમને અમારા સૈનિકોની હાજરી કે અસ્તીત્વ વિશે કશી જાણ નહોતી! આ જાણે ઓછું હોય, અમારા સૈનિકો પાસે વાયરલેસ સેટ પણ નહોતો. યુદ્ધમાં શત્રુ સામે લડવા ખડા રહેલા સૈનિકો સાથે વાયરલેસ કે ફીલ્ડ ટેલીફોનથી સીધો સંપર્ક રાખવો અતિ મહત્વનું હોય છે. જો અમારા સૈનિકો વાયરલેસના સંપર્ક વગર તેમની પાછળ ‘પોઝીશન’માં બેઠેલી આપણી ઇન્ફન્ટ્રીનો સંપર્ક સાધવા પગપાળા જાત તો તેમનો ખાખી યુનિફૉર્મ જોઇને જ તેમનો આપણી જ સેનાએ કચ્ચરઘાણ કાઢી નાખ્યો હોત! દુશ્મનના તોપખાના કે મશીનગનના કોઇ પણ જાતના આધાર વગર અમારા જવાનો હિંમતપૂર્વક દુશ્મનની સામે બાથ ભીડી રહ્યા હતા.
હું બધા જવાનોને મળ્યો. તેમના હાલ-હવાલ પૂછ્યા. જવાનોને હિંમત આપી તેમની જરુરિયાતો નોંધી અને હેડક્વાર્ટર જવા જીપમાં બેઠો. નીકળતાં પહેલાં અજીતસિંહ તથા તેમની પ્લૅટૂને કબજે કરેલી પાકિસ્તાની સેનાની ત્રણ સેમી અૉટોમેટીક રાઇફલ, વાયરલેસ સેટ અને અન્ય સામાન મને આપ્યો. તેમાં એક રાઇફલ એવી હતી, જેના પર આપણા સૈનિકોની ગોળીઓ વાગવાથી તેની બ્રીચ ટૂટી ગઇ હતી અને સહેજ વાંકી થઇ ગઇ હતી.
જર્નેલસિંઘે જીપ ચાલુ કરીને પાછી વાળી ત્યાં મારી જમણી બાજુએ સૂસવાટા સંભળાયા, અને કેટલીક ક્ષણો બાદ ચિરપરિચીત એવા વિજળીના કડાકા જેવી ગર્જના સાંભળી. મેં જમણી તરફ નજર કરી તો કરા પડતા હોય તેમ ગોળીઓ વછૂટીને અમારી જીપની આસપાસ પડવા લાગી. દુશ્મને મશીનગનનો મારો શરુ કર્યો હતો. FDL (ફોરવર્ડ ડીફેન્ડેડ લોકૅલિટી) સુધી જીપમાં જનાર સિનિયર અૉફિસર સિવાય બીજું કોઇ ન હોય, અને તેને ‘ઉડાવી દેવાનું’ શ્રેય લેવા દુશ્મન હંમેશા તત્પર હોય. અમારી જુની જીપનું સ્ટીયરીંગ ડાબી તરફ હતું. ડાબી બાજુએ ધુસ્સી બંધ હતો અને જમણી તરફ ખુલ્લી જમીન અને ખેતર. દુશ્મનનો ગોળીબાર સીધો મારી બાજુએ આવતો હતો. તેમની પાસે બ્રાઉનીંગ મશીનગન હતી, અને તેનો માર લગભગ ૧૦૦૦-એક મીટર સુધી અસરકારક હોય છે. આ અૉટોમેટીક હથિયાર મીનીટની ૩૦૦ થી ૪૦૦ ગોળીઓ છોડી શકે છે. હું જોઇ રહ્યો હતો કે દુશ્મનની કેટલીક ગોળીઓ મારી તરફના ટાયરથી દસે’ક સેન્ટીમીટર દૂર જમીન પર પડતી હતી અને કેટલીક જીપને સમાંતર સનનન કરતી જઇ રહી હતી. જમીન પર પડતી ગોળીઓને કારણે તેમાંથી ઉડતી ધુળ હું સ્પષ્ટ રીતે જોઇ શકતો હતો. કેટલીક ગોળીઓ તો સૂસવાટ કરતી મારા જમણા કાન પાસેથી પસાર થતી હતી. જર્નેલસિંઘ ઝપાટાબંધ જીપ ચલાવી રહ્યો હતો. અંતે ધુસ્સી બંધનો બેવડા કાટખુણા સમો ચોરસ U જેવોવળાંક આવ્યો, અને અમે ત્યાં વળી ગયા. વીસે’ક મિનીટ સુધી અમારા પર ચાલી રહેલા આ ગોળીબારમાંથી અમે બન્ને કેવી રીતે બચી ગયા તે કહેવું મારા માટે અશક્ય છે.
મનમાં સવાલ ઉઠ્યો, ‘અકસીર’ ગોળીબાર કરી શકે તેવી અમેરીકન બ્રાઉનીંગ મશીનગનમાંથી છુટેલી સેંકડો ગોળીઓ ઉપર લખાયેલું જર્નેલસિંઘનું અને મારું નામ કોણે ભૂંસી નાખ્યું હતું?
ખાખી વર્દીમાં ટ્રેન્ચમાં બેઠેલા સૈનિકોને જોઇ અમે આગળ વધ્યા હતા, પણ જો તેઓ દુશ્મનના સૈનિકો હોત તો?
આ સમગ્ર પ્રસંગમાં અમને બચાવનાર કોઇ અગમ શક્તિ હતી, જેની કૃપાને આધારે અમે બચી ગયા હતા?
બીજી તરફ, આ ધુસ્સી બંધ પર અમારા સૈનિકો કોઇ પણ જાતના આધાર વગર મોરચો સંભાળીને બેઠા હતા તેની દુશ્મનને ખબર નહોતી. પાછલી રાતે તેમણે અમારા સૈનિકો પર ‘કાઉન્ટર અૅટક’ કર્યો હોત તો અમારા સૈનિકોની બચવાની કોઇ શક્યતા હતી?
ફોજમાં એક કહેવત સામાન્ય છે: મારનેવાલેસે બચાનેવાલે કે હાથ જ્યાદા લંબે ઔર મજબૂત હોતે હૈં!
સંધ્યાદીપના સમયે કોઇક વાર આ પ્રસંગ યાદ આવે છે અને આ સવાલોનો જવાબ શોધવાનો પ્રયત્ન કરું છું.
હજી જવાબ નથી મળ્યો!

Tuesday, June 9, 2009

1971 - "ખોવાયેલા" સૈનિકોની શોધમાં...(૨)

અત્યાર સુધી જેની વાચ્યતા નહોતી થઇ તેની અહીં વાત કરીશ.
ભારતને સ્વતંત્રતા મળી ત્યારે પંડિત નહેરૂના સલાહકારો- ખાસ કરીને ઇન્ડીયન સિવિલ સર્વિસના અફસરોને ભય હતો કે પાડોશી દેશની જેમ આપણી સશસ્ત્ર સેના coup d’etat (દેશની રાજકીય સત્તા પર કબજો) કરવાનો કદાચ પ્રયત્ન કરે. તેમણે શ્રી. નહેરુને સલાહ આપી તે પ્રમાણે સૈન્યની ત્રણે પાંખ (ભુમિદળ, વાયુદળ અને નૌસેના)ના એકહત્થુ વડા - કમાંડર-ઇન-ચીફનો હોદ્દો રદ કરવામાં આવ્યો. સશસ્ત્ર સેનાના ત્રણે વિભાગના લગભગ water-tight compartments કરી તેમના વડા કમાન્ડરનું નિયંત્રણ સંરક્ષણ મંત્રીના હાથમાં મૂક્યું. હકીકતમાં IAS કક્ષાના ડીફેન્સ સેક્રેટરી સેનાપતિઓના પણ કમાન્ડર બન્યા, કારણ કે આર્મી 'ચીફ'નો હોદ્દો જૉઇન્ટ સેક્રેટરીની કક્ષાનો કર્યો! સૈનિકોનું આ હડહડતું અપમાન હતું.
૧૯૬૫ની લડાઇ બાદ ભારત-પાકિસ્તાનની સરકારો વચ્ચે સંધિ થઇ, તેમાં કરાર થયો કે આંતરરાષ્ટ્રીય સીમા પર સશસ્ત્ર સેનાની જગ્યાએ ભારતની બીએસએફ અને પાકિસ્તાનના ‘રેન્જર્સ’ને ગોઠવવામાં આવે. આ નવીનતમ ઉભા કરાયેલા દળને ‘ફર્સ્ટ લાઇન ઓફ ડીફેન્સ’ અને સીમા-પ્રહરીનું કામ કરવાનું હોવાથી ગૃહખાતા નીચે ઉભા કરાયેલ બીએસએફને ભારતીય સેનાના સમકક્ષ હથિયાર, ટ્રેનિંગ વિગેરે અપાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. નહેરૂજીના અંગત સુરક્ષા અધિકારી અને IPS મધ્યપ્રદેશ કાડરના કાબેલ ગણાતા અફસર શ્રી. કે.એફ રુસ્તમજીની સક્ષમ નિગરાણી હેઠળ બીએસએફની રચના થતાં જ ભારતીય સેનામાં એક એવી અફવા ફેલાઇ ગઇ કે ભારતીય સેનાના હરીફ સૈન્ય તરીકે સરકારે બીએસએફની રચના કરી છે! ત્યારથી સેનાના અફસરોને બીએસએફના અફસરો અને જવાનો પ્રત્યે કોઇ પણ જાતના બૌદ્ધિક કે તાર્કિક આધાર વગર ઘૃણા અને અવિશ્વાસનો પ્રતિભાવ રૂઢ થયો હતો. હું ભારતીય સેનામાં ૧૯૬૮ સુધી કૅપ્ટનના પદ પર કમીશન્ડ અૉફિસર હતો તેથી આ અફવા મેં અને મારા જેવા અનેક અફસરોએ સાંભળી હતી. બીએસએફમાં ગયા બાદ 'જીપ્સી'ને આનો ઘણી વાર અનુભવ થયો અને તેની પરાકાષ્ઠા મને ૧૯૭૧ના યુદ્ધમાં જોવા મળી. આની પહેલી 'પ્રસાદી' મને કર્નલ ગુરચરણ પાસેથી મળી.
આ વૃત્તિને કારણે લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ પોપટલાલ જુઠદેવે મને કોઇ પણ જાતનો સપોર્ટ આપવાની મનાઇ કરી. વાયરલેસ પર તેમની તેજા સાથે થયેલી જે વાત થઇ તે મારી હાજરીમાં જ થઇ. તેજાએ મને કહ્યું, "You have heard my CO's orders! I am sorry I cannot help you."
આ વાર્તાલાપને કારણે મારા માટે નિર્ણય લેવું સહેલું થયું. નો મૅન્સ લૅન્ડનું નિરીક્ષણ કરવા જીપને પાછળ મૂકી હું ઇન્ફન્ટ્રીના આખરી મોરચા સુધી ચાલતો ગયો. તેમની સામે નિર્જન પડેલી યુદ્ધભુમિ હતી. સવારના લગભગ ૧૧ વાગ્યા હતા છતાં ત્યાં સોપો પડી ગયો હતો. ગઇ કાલે બપોરના સમયે ખેલાયેલ મૃત્યુના તાંડવની છાયા હજી પણ આખા વિસ્તારમાં કાળા વાદળાંની જેમ છવાઇ હતી. આપણા લોકશાયર ઝવેરચંદ મેઘાણીએ વર્ણવેલ “ભૂત રૂવે ભેંકાર” શું હોય છે તે મેં મારી નજર સામે જોયું. ‘નો મૅન્સ લૅન્ડ’ના કિનારાનું રક્ષણ કરી રહેલ તેમના સૈનિકોની ઇન્ફન્ટ્રીના પૉઇન્ટ સેક્શનની આખરી ટ્રેન્ચ સુધી લાઇટ ઇન્ફન્ટ્રીના પ્લૅટૂન કમાંડર સુબેદાર સાવન્ત મારી સાથે આવ્યા. મને મરાઠી આવડતું હતું તેથી તેમણે ‘સાહેબ, યા પુઢે શત્રુ આહે,” (અહીંથી આગળ દુશ્મન છે) કહી દુ:ખભર્યા ચહેરા સાથે સૅલ્યુટ કરી પોતાની ટ્રેન્ચમાં ગયા. તેમનો ચહેરો ઘણું બધું કહી ગયો.
જે માણસ જાણી જોઇને મૃત્યુના મુખમાં જઇ રહ્યો હોય તેને કંઇ કહેવા જેવું હોય ખરું? તેમને કદાચ હતાશા પણ હતી કે તેઓ મને મદદ કરવા અશક્તિમાન હતા.
જેમ જેમ હું ધુસ્સી બંધની નીચેના કાચા રસ્તા પર ચાલતો ગયો, મને દુશ્મનોએ ખોદેલા હારબંધ બંકરો દેખાવા લાગ્યા. આપણા જવાનોએ હાથોહાથની લડાઇમાં ભાગ લીધો હતો ત્યાં પાકિસ્તાની ફોજની બલુચ રેજીમેન્ટના ૫૦ જેટલા સૈનિકોનાં શબ હજી પણ ઠેર ઠેર પડ્યા હતા. કેટલાક તો ધુસ્સીમાં તેમણે બાંધેલા બંકરમાં જ મૃત્યુ પામ્યા હતા. હું પગપાળો જઇ રહ્યો હતો ત્યારે ખાઇઓમાં મૃત પાકિસ્તાની સૈનિકોને જોઇ અનેક વિચારો આવી ગયા. કેટલાકના હાથમાં રાઇફલ હતી તેના પરથી સ્પષ્ટ થતું હતું કે આપણી સેનાનો સામનો કરી રહેલ દુશ્મન ઓછો બહાદુર નહોતો. જ્યારે આપણે અખબારોમાં વાંચીએ કે ભારતીય સેનાએ વિજય પ્રાપ્ત કર્યો, લોકોને કદાચ ભ્રમ થઇ શકે છે કે આપણી સેનાએ હુમલો કરતાં જ દુશ્મન ઉભી પૂંછડીએ ભાગતા હોય છે. યુદ્ધભુમિમાં એવું નથી હોતું. અહીં તો જીવન મૃત્યુની બાજી હોય છે. આક્રમણકાર કે સંરક્ષણપંક્તિમાં બેઠેલ સૈનિક, બન્નેને પહેલ કરવા માટે ક્ષણના દસમા ભાગથી પણ ઓછો સમય મળે છે. જે સમયસર પહેલો ઘા કરે તે જીવી જાય છે, અને બીજા ઘાની તૈયારી કરે છે. બન્નેના જીવનનો આધાર એક ક્ષણના હજારમા ભાગની ત્વરા, સમયસૂચકતા અને પહેલ પર આધાર રાખે છે. હુમલો કરનાર અથવા હુમલાનો પ્રતિકાર કરનાર સૈનિક અસાવધાની, નિર્ણય લેવામાં ઢીલ અથવા ડરને કારણે જે કાંઇ કરે અથવા ન કરે, તેનું પરિણામ ઘાતક નીવડ્યા વગર રહેતું નથી.
આપણી સેનાની વાત કરીએ તો આપણા યુવાન અફસરો અને સૈનિકો એવી ગૌરવશાળી પરંપરામાં ઘડાયા છે કે તેમણે કદી પોતાની અંગત સલામતિ કે પોતાના જીવનની પરવા નથી કરી. દેશ માટે અને સેનાપતિને આધિન એવા સૈનિકોના સંરક્ષણ તથા હિત માટે લડનારા સેનાનાયકોની પ્રાચિન ઇતિહાસના કાળથી ઘડાયેલી આ પરંપરા સ્વાતંત્ર્ય બાદ પણ ચાલુ જ રહી છે. આની પ્રતિતિ ભારતને ૧૯૪૮, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ અને કાર્ગિલના યુદ્ધમાં સતત રીતે મળતી રહી છે. ઇન્ફન્ટ્રી કહો કે બીએસએફ, સૈનિકોનું ધર્મચિહ્ન એક જ છે - તેમનો યુનિફૉર્મ, અને તેમનો ધર્મ છે: last bullet- last man - છેલ્લી ગોળી, છેલ્લા સૈનિક સુધી લડતાં રહેવું.
અહીંની રણભુમિમાં દરેક પગલે મને આ જોવા મળ્યું. અા ભુમિ પર પરદેશની અને આપણા દેશની માતાઓ, બહેનો અને પત્નિઓનાં લાડકવાયા વીર ચિરનિદ્રામાં પોઢ્યા હતા. આપણા સૈનિકો પર ગોળીઓનો વરસાદ વરસ્યો હતો. લેફ્ટેનન્ટ ચિમાની ટૅંક્સ પર છોડવામાં આવેલ અનેક ટૅંક-ભેદક ગોળા (અૅન્ટી ટૅંક શૉટ્સ)ના ખાલી શેલ ઠેર ઠેર પડ્યા હતા. શહીદ થયેલા અમારા સૈનિકોનાં શબ ઇન્ફન્ટ્રી બટાલિયનના હેડક્વાર્ટરમાં મોકલવામાં આવ્યા હતા. ઘાયલ સૈનિકોને અમૃતસરની મિલીટરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બધું મારી નજર સામે હતું તથા મનના પરદા પર અંકાતું જતું હતું, પરંતુ ત્યારે આ વાતનો વિચાર કરવાનો સમય નહોતો. મને અમારા ૫૦થી વધુ સૈનિકોની ચિંતા હતી.

નોંધ: પાછલા અને આજના અંકમાં સૈન્ય અને બીએસએફના સંદર્ભમાં જે વાત લખી તે ૧૯૭૧ની - એટલે આજથી ૩૭થી વધુ વર્ષ પહેલાંની છે. તે સમયે બીએસએફ એક નવું જ “આર્મડ્ ફોર્સ અૉફ ધ નેશન” હતું અને લગભગ ૧૯૭૦ સુધી તેને ભારતીય સેના સાથે ‘સહિયારૂં’ કામ કરવાની તક મળી નહોતી. મિલીટરીના અફસરોને અમારી કાર્યપ્રણાલી, ‘ઇન્ટેગ્રીટી’ અને તેમની જેમ રાજકારણથી અલિપ્ત રહેવાની વૃત્તિ વિશે જાણ નહોતી તેથી અવિશ્વાસ અને શંકાની ભાવના કેટલાક સમય માટે રહી. જ્યારે અમે તેમના ‘અૉપરેશનલ કન્ટ્રોલ’ નીચે રહી યુદ્ધમાં અને કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં તેમની સાથે ઘનીષ્ઠતાપૂર્વક કામ કર્યું, જે રીતે દુશ્મનનો તેમની જેમ કુશળતાપૂર્વક સામનો કરી વિશ્વાસ સંપાદન કર્યો, ત્યારે આ અવિશ્વાસની ભાવના દૂર થઇ. અહીં વર્ણવેલા પ્રસંગો સંકુચીત વૃત્તિના અને પૂર્વગ્રહથી પીડાતા મિલીટરી અફસરો પૂરતા મર્યાદીત હતા.
Tatto Media
Tatto Media