Saturday, July 27, 2013

બ્રિટનમાં વર્ણદ્વેષ


વાત વાતમાં મુખ્ય વાત કહેવાની રહી જ ગઇ! હા, બ્રિટનમાં પ્રવર્તતા વર્ણદ્વેષની!

સમાજ સેવા વિભાગની નાણાંકીય મદદથી સ્થપાયેલી ભારતથી આવેલા પરિવારોનાં સિનિયર નાગરિકોમાટે એક સંસ્થા સ્થપાઇ હતી. સંસ્થા દ્વારા યોજાયેલ નાનકડી ચર્ચા સભામાં વર્ણભેદ અને તેમાંથી ઉદ્ભવેલ વર્ણદ્વેષ અને તેનાં કારણો પર વક્તવ્ય થયા. એક ઉદાર મતવાદી અંગ્રેજ વક્તાના મત અનુસાર પૂર્વગ્રહ (prejudice)ને કારણે વર્ણભેદ નિપજે છે. જ્યારે પૂર્વગ્રહમાં સામર્થ્ય ભળે- પછી ભલે તે શાસન છુપા સમર્થનને કારણે હોય કે સામાજીક પરિબળોને કારણે, તેની નિષ્પત્તી વર્ણદ્વેષમાં થતી હોય છે. બ્રિટનમાં અને અન્ય યુરોપીય દેશોમાં આ મોટા પ્રમાણમાં જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ સમગ્ર યુરોપમાં યહુદીઓ તથા જિપ્સીઓ પ્રત્યે ઉગ્ર પ્રમાણમાં વર્ણદ્વેષ થતો હતો. ઇઝરાએલની સ્થાપના પછી યહુદીઓ પ્રત્યેનું આ પ્રત્યાઘાતી વલણ ઓછું થયું, પણ યુરોપમાં જિપ્સીઓની હાલત હજી પણ એટલી જ ખરાબ છે. તેમની વાત ફરી ક્યારે.

બ્રિટનની વાત કરીએ તો  જ્યાં સુધી અખંડ ભારત પર તેમનું રાજ્ય હતું, ભારતીયો પ્રત્યેની ભાવના રાજાઓને તેમની રૈયત પ્રત્યે હોય તેવી હતી: patronizing. પંજાબમાં દોડતા ટ્રકોની પાછળ મજાનાં વાક્યો લખાય છે તેમાંનું એક ‘પ્યારસે દેખો, મગર દૂર સે!” અહીં લાગુ પડશે. જ્યાં સુધી તમે દૂર છો, અમે પણ તમારી તરફ પ્રેમથી જોઇશું. પણ અમારા દેશમાં, અમારી નજીક ન આવશો!

જિપ્સીના વિષ્લેષણ પ્રમાણે બ્રિટનમાં પ્રવર્તતા વર્ણદ્વેષ પાછળનું કારણ ઐતિહાસીક છે અને તેમાં બ્રિટનના રાજ્યકર્તાઓની કુશાગ્રતા છુપાયેલી છે. બ્રિટન તથા ફ્રાન્સના વર્ગકલહ એક સમાન હતા. બન્ને દેશોમાં ruling class, bourgeoisie અને proletariatની સ્થિતિ એક સરખી હતી. રૈયત ભુખે મરતી હતી. ઇંગ્લંડમાં ભિખારીઓની સંખ્યા વધતી હતી અને ગામલોકો તેમને ગામ બહાર કાઢતા હતા. રોજ સાંજે ભિખારીઓનાં ટોળાં ભીખ માગવા ગામમાં આવતા અને લોકો તેમને કાઢી મૂકવા તૈયારી કરતા. અહીં એક જુની કવિતા યાદ આવે છે: “Hark! Hark! Dogs do bark/Beggars are coming to the town”. ત્યાર બાદ તો Poor Laws થયા - જવા દો. અહીં ઇતિહાસની પુનરાવૃત્તિ નહી કરીએ. મૂળ મુદ્દા પર આવીએ.

ફ્રાન્સમાં ક્રાંતિ થઇ. સમ્રાટ લુઇ, સામ્રાજ્ઞી મૅરી અૅન્ત્વાનેટ તથા તેમના ઉમરાવોનાં મસ્તક ગિલોટીન નીચે કાપી નાખ્યાં.  બ્રિટનમાં આમાંનું કશું થયું નહી. ઇંગ્લંડના રાજા (Kings)ની ઉન્નતિ શહેનશાહમાં (Emperor) થઇ. ઉમરાવોની સંખ્યામાં વધારો થતો ગયો. 

આનું મુખ્ય કારણ એ હતું કે અંગ્રેજ શાસકોએ તેમની પ્રજાને ઉંધા ચશ્માં પહેરાવ્યા હતા. જનતાની નજર પોતાની ગરીબીમાંથી હઠાવી તેમના બ્રિટીશ પ્રજાના સામ્રાજ્ય તરફ દોડાવી. તેમને ભ્રમનો કસુંબો પાયો કે તેઓ એવા જગત પર રાજ્ય કરે છે જ્યાં સૂર્ય કદી અસ્ત પામતો નથી. તેમના સામ્રાજ્યનું સૌથી વધુ પ્રકાશમાન રત્ન ભારત છે - The brightest star in the British Empire! આ હિરો એવો હતો જ્યાંના સેંકડો રાજાઓ અને મહારાજાઓ બ્રિટનના હાકેમ સામે કુર્નીસાત કરતા હતા. સૌ જાણતા હતા કે ભારત મણી-રત્નોની ખાણ છે. અહીંના રેશમ, તેજાના, કિનખાબની બ્રિટનમાં છોળ ઉડતી હતી. આવા ધનાઢ્ય દેશની માલિક બ્રિટીશ પ્રજા કેવી રીતે ગરીબ હોઇ શકે? જનતા આ ભ્રમમાં રાચતી હતી. તેમની પોતાની દયનીય સ્થિતિની પ્રજામાંથી કોઇએ દખલ લીધી નહી કેમ કે તેને કદી પ્રસિદ્ધી અપાઇ નહી. મોટાં શહેરોમાં Work Housesમાં ગોંધી તેમની પાસેથી અઢાર જેટલા કલાક કામ કરાવાતું હતું અને બદલામાં બ્રેડ અને સૂપ જેવો ખોરાક અને અલ્પાતિઅલ્પ મહેનતાણું અપાતું. દેવું ચૂકવી ન શકનાર વ્યક્તીની જેલમાં રવાનગી થતી. ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓમાં આનું તાદૃશ વર્ણન જોવા મળશે. 

લંડનના મિલબૅંક વિસ્તાર 'વર્કહાઉસ'નું ૧૯મી સદીનું ચિત્ર: સાચું જોઇએ તો તે એક જાતની જેલ હતી. અહીં પોલીસ કૉન્સ્ટેબલની હાજરી હંમેશા રહેતી. 
સરકારી જાહેરાતો, સામ્રાજ્યના દિવાસ્વપ્નોએ અંગ્રેજ પ્રજામાં એક પ્રકારની ગુરૂતાગ્રંથિ જન્મી હતી - ખાસ કરીને ભારતીય ઉપખંડની પ્રજા પ્રત્યે. અોગણીસમી સદીના અંતમાં આ જ્ન્મી તે તેમના અંતરમાંથી કદી જ  ગઇ નહી. બ્રિટનમાં ક્રિકેટ રમનારા, ત્યાંની વિશાળ જમીનો તથા country mansionsના માલિક અને લંડનના મેફૅર જેવા અમીર વિસ્તારમાં રહેનારા એવા મહારાજાઓ તથા શરૂઆતમાં ઉચ્ચ અભ્યાસ માટે જનારા ભારતીયો પ્રત્યે “આ પણ અમારા સમ્રાટ/સામ્રાજ્ઞી આગળ સલામી-ગુલામી કરનારી વફાદાર પ્રજા છે એવી ભાવનાથી જોનારા અંગ્રેજોના દેશમાં જ્યારે મોટી સંખ્યામાં ભારતીયો આવ્યા ત્યારે બધું માન ઓગળી ગયું. હવે આપણા લોકો ‘પૅકી’ થયા અને તેમને ઉતરતી કક્ષાના, બીજા વર્ગના નાગરિક (second class citizens) સમજ્યા. જ્યારે દેશના કાયદા પ્રમાણે નુતન ભારતીય ઉપખંડમાંથી આવેલા લોકોને સુવિધાઓ આપવી પડી, સમાજ સુરક્ષાના કાયદા (social security acts) અનુસાર તેમને આવાસ, નાણાંકીય મદદ વિગેરેમાં આપવાની ફરજ પડી ત્યારે તેમને શૂળ ઉપજી.  જોવા જઇએ તો આવી મદદ સરકાર આપણાં લોકોને કોઇ ઉપકાર તરીકે નહોતી આપતી. લોકોને તે મેળવવાનો હક હતો અને તે માટે લોકો કર તથા ‘નૅશનલ ઇન્સ્યોરન્સ’નું પ્રિમિયમ ભરતા હતા. પણ તે સમયે અંગ્રેજોની અલ્પ શિક્ષીત, ‘વર્કીંગ ક્લાસ’ આમ જનતામાં આની સામે જે નરમ વિરોધ હતો તેને વર્ણદ્વેષનું સ્વરૂપ આપી સામાન્ય રોગચાળાની જેમ ફેલાવવા માટે બ્રિટીશ નૅશનાલિસ્ટ પાર્ટી (BNP)એ મહત્વનો ભાગ ભજવ્યો. લંડનના ઇસ્ટ એન્ડમાં BNPના ‘ટેડી બૉય્ઝ’ ઢોર માર મારવા સુધી ઉતરી આવ્યા હતા. તેમણે ભારતીય ઉપખંડના લોકોની વિરૂદ્ધમાં લંડનના અંતરીયાળ વિસ્તારોમાં ઠેર ઠેર વર્ણદ્વેષી પોસ્ટર લગાવ્યા. એક પોસ્ટરમાં તેમણે ભયાનક ચહેરાવાળો, પાઘડી પહેરેલો અને દાઢીમૂછવાળો કદરૂપો માણસ ચિતર્યો, જે જનતા સામે આંગળી બતાવીને કહે છે, “I want your homes! I want your jobs!” 
***

વર્ણદ્વેષ બે રીતે પ્રકટ થાય છે: પ્રકટ અને પરોક્ષ. ઉપર વર્ણવ્યો તે અલબત પ્રકટ હતો. અપ્રકટ કે પરોક્ષ દ્વેષ મુખ્યત્વે બે સ્તર પર જોવા મળે છે. એક તો છે Institutionalized Racism - જ્યાં સરકાર (મધ્યસ્થ સરકાર/જીલ્લા સ્તરીય સ્થાનિક સરકાર - જેમકે કાઉન્ટી, શહેરની મ્યુનીસીપલ કાઉન્સીલ વિ.) કોઇ એક વિશેષ વર્ગ પ્રત્યે પરોક્ષ રીતે ભેદભાવ કરે. જો કે તેમની નીતિની જાહેરાતમાં મોટે મોટેથી નગારાં પીટશે કે ‘અહીં કોઇ પણ પ્રકારનો વર્ણભેદ કે વર્ણદ્વેષ સાંખી લેવામાં નહી આવે”! 
દાખલા તરીકે સરકારી નોકરી માટે કોઇ પણ ભારતીય ઉપખંડની વ્યક્તિ અરજી કરે તો તેમને મુલાકાત માટે અવશ્ય બોલાવવામાં આવશે, મીઠાશથી વાત થશે, પણ નોકરી નહી અપાય. બ્રિટનમાં કોઇ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો હોય અને તેને નોકરી ન અપાય તો તેને તેનું કારણ પૂછી શકાય અને જે તે સંસ્થાએ તેનો જવાબ પણ આપવો પડે. અહીં આવી વાતચીત સાંભળવા મળતી:
“તમારી પાસે જરૂરી અનુભવ નથી”
“મારા દેશમાં તમારી અંગ્રેજ પદ્ધતિની સરકારી નોકરીમાં વીસ વર્ષનો અનુભવ છે.”
‘પણ તે અહીં લાગુ ન પડે, કારણ તમારા દેશમાં સદીઓ જુની પદ્ધતિ હતી. અહીં આધુનિક પદ્ધતિઓ ચાલે છે. તમારી પાસે બ્રિટનમાં કામનો એક વર્ષનો પણ અનુભવ હોત તો અમે તમને જરૂર રાખી લેત, કારણ તમે બીજી બધી રીતે લાયક છો!”
“મને અહીં નોકરી જ ન મળે તો આ દેશનો અનુભવ ક્યાંથી લાવું?”
“માફ કરશો, આ catch 22ની સ્થિતી છે. આ દેશમાં કામ ન કરો તો અનુભવ ન મળે, અને અનુભવ ન હોય તો નોકરી ન મળે. વારૂ, ત્યારે, સાહેબજી! ગુડ લક. આવજો.”
તે અૉફિસમાં કામ કરનાર આપણા કોઇ ઓળખીતા હોય તો તે તમની પાસે તપાસ કરતાં જણાશે તે જગ્યા પર શાળામાંથી મૅટ્રીક (ત્યાંના  GEC Level)ની પરીક્ષા પાસ થયેલ અંગ્રેજ યુવક કે યુવતિને વિના અનુભવે પણ નોકરીએ રખાયા છે. 

બીજું કારણ અગાઉ બતાવ્યા પ્રમાણે ‘તમે over-qualified છો!’

નોકરીમાં તેમજ સરકારી આવાસની ફાળવણીમાં આવો પરોક્ષ ભેદભાવ થતો હતો.  સારા પ્રતિષ્ઠીત વિસ્તારમાં આવેલ સરકારી આવાસ અશ્વેત લોકોને કદી ન મળે. લંડનની જ વાત કરીએ તો ચૉકહિલ, સ્ટોનબ્રીજ, પેકમ (Peckham) જેવી કાઉન્સીલ એસ્ટેટ, જ્યાં  દરરોજ ખૂન, મારામારી, લૂંટ થતા હોય, ત્યાં આપણા લોકોને મકાન અપાતા. ઇલીંગ, હિલીંગ્ડન, રાયસ્લિપ જેવા વિસ્તારોમાં  આવેલ કાઉન્સીલના મકાનોમાં બિનગૌર લોકો ભાગ્યે જ જોવા મળતા.



આવતા અંકમાં બ્રિટનની વેલ્ફેર બેનિફીટ પદ્ધતિની વાત કરીશું.

Sunday, July 21, 2013

જિપ્સીની ડાયરી: બ્રિટનના ભારતીય: સામ સામા કાંઠા પરથી દેખાતી વ્યક્તિઓ

જિપ્સીની ડાયરી: બ્રિટનના ભારતીય: સામ સામા કાંઠા પરથી દેખાતી વ્યક્તિઓ

બ્રિટનના ભારતીય: સામ સામા કાંઠા પરથી દેખાતી વ્યક્તિઓ

ભારતથી બ્રિટન ગયેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યા બાદ તેમણે વ્યક્ત કરેલા વિચાર મુજબ  જિપ્સીને એવું લાગ્યું આધુનિક ભારતથી બ્રિટન ગયેલા લોકો એવું માનતા થયા હતા કે આફ્રિકામાં વસેલા આપણા લોકો એક ‘થીજી ગયેલા સમય’માં જીવી રહ્યા હતા. તેમના કહેવા પ્રમાણે આફ્રિકા ગયેલા ભારતીયો - ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રના લોકો વીસમી સદીની શરૂઆતમાં પૂર્વ આફ્રિકા ગયા હતા. જ્યારે તેઓ ત્યાં ગયા, ત્યારે તેમની સાથે તેમના સમયના જે આચાર, વિચાર, માન્યતા અને સંસ્કાર લઇને ગયા હતા તે તેમણે તેમની આવનારી બધી પેઢીઓમાં સિંચ્યા હતા. ઘણા ભારતીયો એવું માનતા થયા હતા કે પૂર્વ આફ્રિકન ભારતીયોની ઓગણીસમી કે વીસમી સદીની શરૂઆતની જે મૂલ્ય પદ્ધતિ (value system)માં તસુભર ફેર નહોતો પડ્યો. 

એક અન્ય વાત એવી પણ સાંભળવા મળી કે પૂર્વ આફ્રિકન દેશો ભારતની આઝાદી બાદ પણ અનેક વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી હેઠળ રહ્યા હતા. તેથી જુના જમાનાથી ત્યાં વસેલા આપણા લોકોની અંગ્રેજો પ્રત્યેની ભક્તી, તેમને આદર્શ ગણવાની માન્યતા જેવીને તેવી રહી હતી. આ દેશોમાં તે સમયના હાકેમ અંગ્રેજોએ શિક્ષણના ક્ષેત્રમાં કોઇ investment કર્યું નહી. પૂર્વ આફ્રિકાના ત્રણે દેશોમાં કોઇ વિશ્વવિદ્યાલય જ નહોતું. તેથી સામાન્ય વર્ગના ભારતીય યુવાનો-યુવતિઓને ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો નહી. મધ્યમ વર્ગના સુખવસ્તુ ભારતીય માતાપિતા તેમનાં બાળકોને ભણવા ભારત મોકલતા અને ધનાઢ્ય પરિવારો ઇંગ્લંડ. સૌનો આખરી ઉદ્દેશ તો ‘માતૃભુમી’ - ઇંગ્લંડ જવાનો હતો. ભારતને તેમણે નામ પૂરતું ‘વતન’ સમજ્યું, પણ આખરી વિસામા તરીકે ગણ્યો હોય તો ફક્ત એક દેશ: ઇંગ્લંડ. 

આ હતી ભારતથી બ્રિટન ગયેલા લોકોની પૂર્વ આફ્રિકાના ભારતીયો પ્રત્યેની માન્યતા! આના પૂરાવા રૂપે તેમણે એવી દલીલ પેશ કરી કે જ્યારે ઇદી અમીને યુગાન્ડાથી ભારતીયોને બહાર કાઢ્યા ત્યારે લગભગ સોએ સો ટકા ભારતીયો લોકોએ બ્રિટન જવાનું પસંદ કર્યું. ઘણા લોકો કૅનેડા, સ્વીડન, નૉર્વે જેવા દેશોમાં ગયા. મૂળ વતન, ભારત જવા કોઇ તૈયાર થયું નહી. કદાચ આના કારણે લોકોમાં આ માન્યતા વસી ગઇ હશે.

સામ્યવાદી સમાજશાસ્ત્રીઓના દૃષ્ટીકોણથી જોઇએ તો એક જુદું ચિત્ર ઉપસી આવશે. તેમના વિષ્લેષણ પ્રમાણે કોઇ પણ દેશનો શાસક વર્ગ પોતાના હાથમાં સત્તા રાખી પ્રજાનું શોષણ કરતો રહે છે. તેમની સાથે સામેલ હોય છે સરકારની શોષક નીતિનું સમર્થન કરનારા ઉચ્ચ વર્ગના પણ જનતાથી અળગા રહેનારા ઉમરાવ. શાસકોથી ઉતરતી કક્ષા એટલે તેમની નીચે કામ કરનાર મધ્યમ વર્ગ. તેમનું કામ જનતા પાસેથી કર ઉઘરાવવાનું, પ્રજા પર કાયદાનું અનુશાસન (ન્યાય ખાતું, પોલીસ તથા મિલીટરી) અને જનતા સાથે સીધા સમ્પર્કમાં રહી સરકારી વહીવટ કરવો. 

આ ઉપરાંત એ મહત્વનો વર્ગ છે વ્યાપારીઓ. દેશમાં ઉદ્યોગો ન હોવાને કારણે શાસકોના દેશમાં સસ્તો કાચો માલ - કપાસ, તમાકુ વિ. મોકલવો અને તેમનાં કારખાનાંઓમાં તૈયાર થયેલ ઉત્પાદીત માલ-સામાનની આયાત કરી તેને સામાન્ય જનતામાં વેચવો. આના માટે નાના વ્યાપારીઓ નાનાં નાનાં ગામમાં દુકાનો ખોલીને 'કાળા દેશીઓ'ને આયાત કરેલો માલ વેચવા તૈયાર હોય છે. આમ આ વ્યાપારી વર્ગને પણ સામ્યવાદીઓ શોષણકર્તા સમજતા હોય છે. કારણ દેશમાં વાહનવ્યવહારની અછતના કારણે finished product સહેલાઇથી મળતો નથી. આમ તેની ખરી કે કૃત્રીમ કમી હોવાને કારણે આ છૂટક માલ વેચનારા વેપારીઓ ગરીબ પ્રજાને મરજી મુજબની કિંમતે માલ વેચે, ભારે વ્યાજથી ઉધાર આપે અને ઓછી કિંમતે તેમનો કાચો માલ ખરીદી તેના પર ઉંચો નફો કમાવે. મધ્યમ વર્ગ તથા સરકારી નીતિનો ફાયદો ઉઠાવી સરકારને વફાદાર રહેનાર વેપારી વર્ગને સામ્યવાદીઓ 'Agents of the State' કહે છે. 

સમાજમાં છેલ્લે આવે છે શોષીત વર્ગ એટલે ખેત મજુરો અને કામદારો. સામ્યવાદી સમાજશાસ્ત્રીઓ આ ત્રણે વર્ગોને અનુક્રમે નામ આપ્યા છે Ruling Class, Bourgeoisie તથા Proletariat. 

આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને તેમના ‘ઉમરાવ’ - એટલે ઇટન કે હૅરો તથા અૉક્સફર્ડ/કેમ્બ્રીજમાં ભણી આવેલા શ્રીમંતોનાં નબીરાઓ શાસક વર્ગના. જેમના થકી તેઓ દેશમાં શાસન કરતા, કર ઉઘરાવતા અને કાયદાનું પાલન કરવા માટે પોલીસ તથા ન્યાય ખાતાનો ઉપયોગ કરતા તે અમલદારો હતા ‘મધ્યમ વર્ગ‘ના બુર્ઝવાઝી - bourgeoisie. આ સમગ્ર વર્ગ લગભગ ભારતીયોથી બનેલો હતો. તેમને મર્યાદીત સત્તા, અને સારું પગાર ધોરણ આપેલું હોવાથી તેમની વફાદારી બ્રિટીશ હાકેમો તરફ જ હતી. ૮૦-૯૦ ટકા જેટલા વ્યાપારીઓ ભારતીય હતા તેથી તેઓ પણ સરકારના અનુયાયી હતા. 

શોષીત વર્ગમાં હતા સામાન્ય આફ્રિકન નાગરિકો. વર્ણદ્વેષી અંગ્રેજો તો તેમને હીન ભાવથી જોતા. આપણા ભારતીયો તેમનાથી એક ડગલું આગળ ચાલતા.  અહીં જે કહ્યું છે તે જિપ્સીનું કહેવું નથી: તેના સમ્પર્કમાં આવેલા અનેક પૂર્વ આફ્રિકાથી આવેલા ભારતીયોએ આનું વિશદ વર્ણન કર્યું હતું. દાખલા તરીકે તેમના ઘરમાં કામ કરતા નોકરોને ઉદ્દેશી જે શબ્દ વપરાતો તે હતો “બૉયટાઓ”. ‘બૉય’ પણ નહી! 

પૂર્વ આફ્રિકાના ભારતીયોને ભારતના લોકો પ્રત્યે પૂર્વગ્રહ હોવાનું કારણ એક દિવસ અચાનક જાણવા મળ્યું. તેમની દૃષ્ટીએ ભારતના લોકોની નજર હંમેશા તેમના ધનાઢ્ય સગાંવહાલાંઓના ‘ખિસ્સા’ તરફ હોય છે. એક સજ્જને જણાવ્યું કે ૧૯૫૦-૬૦ દરમિયાન તેઓ જેટલી વાર ભારત ગયા, તેમનાં સગાં-સંબંધીઓએ તેમની પાસેથી એક યા બીજા બહાને પૈસા કઢાવવાનો પ્રયત્ન કર્યો હતો અને કાઢ્યા પણ હતા. તે જમાનામાં ‘ચેત મછંદર’ નામનું સામયીક પ્રસિદ્ધ થતું હતું. તેમાંનું એક કાર્ટૂન હજી યાદ છે. આફ્રિકાથી આવેલ એક યુગલ  સ્ટીમર પરથી ઉતરતું હતું ત્યારે તેમની પાસે ભારે ભારે બૅગ્સ હતી અને શરીર ઘરેણાંઓથી સજાયેલ હતા. જતી વખતે એક એક બૅગ અને ઉતરેલાં ચહેરા અને લગભગ ચિંથરેહાલ હાલતમાં પાછા જઇ રહ્યા હતા. તે સમયે ભારતમાં પરદેશથી માલ  મગાવવા પર પ્રતિબંધ હતો તેથી આફ્રિકાથી આવેલા પ્રવાસીઓનાં મોંઘા અને જાપાનની મિલોની સાડીઓ તથા પુરુષોનાં કપડાં સગાંઓએ માગી લીધા હતા. ‘તમે તો ત્યાં જઇને બીજા લઇ શકશો. અમને આવી ચીજો ક્યાં મળવાની હતી?’ 
મહેમાનો જતાં જતાં કહેતા હતા, ‘સગાંઓને મળવા આવ્યા હતા. આ વખતે છેલ્લી વાર!’


આની વિપરીત એક ભારતીય ભાઇની મુલાકાતમાં જે જાણવા મળ્યું તે પણ આશ્ચર્યજનક હતું, જેની વાત આગળ જતાં!

Saturday, July 13, 2013

બ્રિટનની નવી સમાજ વ્યવસ્થા: ૧૯૭૦-૮૦



ગયા અંકમાં આપણે બ્રિટનમાં પ્રવર્તતી સમાજવ્યવસ્થાની એક ઝલક જોઇ. જતાં જતાં ઉલ્લેખ થયો હતો Corner Shop અને Newsagentsની દુકાનોનો.ન્યુઝ એજન્ટનું બીજું નામ છે કન્ફેક્શનર અૅન્ડ ટોબેકોનીસ્ટ.

બ્રિટનના સમાજમાં કેટલાક અવિભાજ્ય અંગ છે. નાનામાં નાનું ગામડું હશે ત્યાં તમને ચાર સંસ્થાઓ અચૂક જોવા મળશે: ગામની સૌથી મહત્વની સંસ્થા હોય છે Pub. આ Public Houseનું સંક્ષીપ્ત નામ છે. ગામમાં ઓછામાં ઓછું એક Pub તો હોય જ. Public House ચલાવનાર વ્યક્તિને landlord કહે છે. આ ‘મહાન’  વ્યક્તિ તેના દરેક ઘરાકને તથા તેના પરિવારને સારી રીતે જાણે. એટલું જ નહી, તે ક્યું પીણું લેશે તે પણ જાણે. તેથી ઘરાક આવે તો ખુદ પૂછશે, “The usual?”  ત્યાર બાદ લૅંડલૉર્ડ તેને મોટા પીપમાં જોડેલી નળી અને હૅન્ડ પમ્પ દ્વારા મોટા પાઇન્ટ કે અર્ધા પાઇન્ટના ગ્લાસમાં કાઢી આપશે અને પરિવારના ખબરઅંતર પૂછશે. અહીંનો વહેવાર રોકડેથી જ ચાલે. સામાન્ય રીતે પબ ચલાવનાર પતિ-પત્ની હોય છે અને ત્યાં પીરસાતું ભોજન ‘Pub food’ તરીકે ઓળખાય. રાંધનાર સામાન્ય રીતે લૅંડલૉર્ડનાં પત્ની! પબનાં નામ પણ વિચીત્ર: The Goose and the Fox, The Drunk Duck, Battle Axes, Colin Campbell, The Plough વગેરે. પબના મકાનની બહાર મોટું બોર્ડ હોય તેમાં તેના નામ પ્રમાણે ચિત્ર પણ હોય!


Pubમાં રોજ બપોરે તથા સાંજે લોકો જરૂર ભેગા થશે. મુખ્યત્વે બીયર - જેના જુદા જુદા પ્રકાર હોય છે: લાગર (Lager), બિટર (Bitter) અને ગિનીસ (Guinness) સામેલ હોય છે. લોકોનાં આ પ્રિય પીણાં. બ્રૅંડી, વિસ્કી, રમ જેવા ‘હાર્ડ ડ્રિંક્સ કોઇ ભાગ્યેજ પીશે. આ પબ ઇંગ્લીશ મધ્યમ વર્ગ અને કામદાર વર્ગનું સામાજીક મિલનસ્થાન ગણાય. અહીં લોકો dartsની રમત રમે અને તેની હરિફાઇ થાય. વીક એન્ડમાં કૅરીઓકી, સ્થાનિક કલાકારોના વાદ્યસમૂહ (Band)નો કાર્યક્રમ યોજાય.

અન્ય ‘સંસ્થા’ઓ છે સ્થાનિક ચર્ચ, ગ્રોસરી સ્ટોર, પોસ્ટ અૉફિસ અને હા, ન્યૂઝ એજન્ટ. નાનકડા ગામોમાં અને શહેરોનાં પરાંઓમાં ગ્રોસરી સ્ટોરના માલિક પોસ્ટ અૉફિસ ચલાવતા હોય છે. ન્યૂઝ એજન્ટની દુકાનમાં રાષ્ટ્રીય અને સ્થાનિક અખબારો, સામયીકો, તમાકુના ઉત્પાદનો (સિગરેટ, સિગાર વગેરે), ચૉકલેટ્સ અને વિવિધ પ્રકારની ઇંગ્લીશ મિઠાઇઓ, બસના પાસ વેચાય. સ્થાનિક દુકાનોના છેવાડે, ખુણામાં આવેલ દુકાનો તે કૉર્નર શૉપ્સ!  આ પણ ન્યુઝ એજન્ટ જેવી દુકાન હોય છે.


ઇસ્ટ આફ્રિકાથી આવેલા હજારો ભારતીયોએ બ્રિટનના શહેરો અને ગામડાંઓમાં આવેલી આ ન્યૂઝ એજન્ટ તથા કૉર્નર શૉપ્સ ખરીદી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં મોટા ભાગની દુકાનો પટેલ ભાઇ-બહેનોએ ખરીદી હોવાથી એક મોટો stereotype થઇ ગયો: ન્યુઝ એજન્ટ ભારતીય જ હોય અને તેની અટક પટેલ હોય! શાળામાં અાપણાં બાળકોને અંગ્રેજ બાળકો પૂછે, તારા બાપુજી ન્યુઝ એજન્ટ છે?  

આપણા લોકોએ આ વ્યવસાય શા માટે સ્વીકાર્યો તેની પાછળ પણ એક મોટું કારણ હતું.

વર્ણભેદ!

***

૧૯૭૦-૮૦ના દશકમાં બ્રિટનમાં મંદીનું મોજું ફેલાયું હતું. સરકારે તો જાહેર કર્યું હતું કે નોકરી, મકાનના અૅલોટમેન્ટ તથા શિક્ષણના ક્ષેત્રોમાં કોઇ પણ જાતનો વર્ણભેદ કરવો ગુનાને પાત્ર છે. આ માટે સરકારે કમીશન ફૉર રેશિયલ ઇક્વૉલીટી CREની સ્થાપના કરી. કોઇ પણ બિનગૌર વ્યક્તિને એવું લાગે કે તેના પ્રત્યે ઉપર જણાવેલી બાબતમાં ભેદભાવ થયો છે, તે સીધો CRE પાસે અરજી કરી ન્યાય માગી શકે. મંદીના કારણે નોકરીઓની અછત હતી. આપણા દેશમાં જેમ રોજગાર ખાતાની કચેરી હોય છે, તેવી આખા બ્રિટનમાં Job Centre નામની કચેરીઓ સ્થાપવામાં આવી હતી. રોજગાર વગરના લોકો અહીં જઇને જુએ કે ત્યાં રાખેલા  ‘જોઇએ છે’ના કાર્ડમાં ક્યાં ક્યાં ખાલી જગ્યાઓ છે. પોતાની કેળવણી અને અનુભવને અનુરૂપ  જે ખાલી જગ્યાની જાહેરાતનું કાર્ડ હોય તેનો રેફરેન્સ નંબર લઇ એમ્પ્લૉયમેન્ટ અૉફિસર પાસે જાય. તેઓ કમ્પ્યુટર પરથી વિગતો મેળવી જાહેરાતકર્તાને ફોન કરે અને ઇન્ટરવ્યૂની અૅપોઇન્ટમેન્ટ મેળવી આપે. 


આવી સવલત અને કાયદો હોવા છતાં આપણાં લોકોને નોકરી મળતી નહોતી. એમ્પ્લૉયમેન્ટ અૉફિસર જાહેરાતકર્તાને ફોન કરે અને તે અરજદારનું નામ સાંભળીને યા તો કહેશે, 'જગ્યા ભરાઇ ગઇ છે. તમને જણાવવામાં મોડું થયું છે તે માટે માફ કરશો.' અથવા અાપણને અૅપોઇન્ટમેન્ટ આપશે, અને ત્યાં ગયા પછી કહેશે, You are over-qualified! સરકારી નોકરી વાળા અફસર કહેશે, “Sorry, you do not have the relevant experience.”

આપણા લોકોને કાઉન્સીલ (એટલે મ્યુનીસીપાલિટી)ની માલિકીના મકાનની ફાળવણી બાબતમાં પણ એવાં બહાનાં અપાતા, કે અાપણને મકાન ન મળે. 

આવી હાલતમાં લાચાર થાય તો તે ગુજરાતી શાનો! ગૌરવથી જીવનારી પ્રજાએ તેમાંથી પણ રસ્તો કાઢ્યો. તેમણે ન્યુઝ એજન્ટની દુકાન, ગ્રોસરી સ્ટોર, કૉર્નર શૉપ્સ ખરીદ કરી, self employed - સ્વ-નિર્ભર થયા. સરકારી આવાસ ન મળે તો મકાનો ખરીદી તેમાં રહેવાનું શરૂ કર્યું. તે સમયે ત્રણ બેડરૂમ, હૉલ, કિચન અને બાથરૂમનું સેમી ડીચૅચ્ડ કે ટૅરેસ્ડ હાઉસ ૫૦૦૦થી ૭૦૦૦ માં મળી જતા. આપણી શાખ પણ મજબૂત હોવાથી બૅંક અને બિલ્ડીંગ સોસાયટીઓએ કરજ આપવામાં પાછી પાની ન કરી, આમ સમગ્ર બ્રિટનમાં એક નવો સ્ટીરીઓટાઇપ ઉભો થયો. અત્યાર સુધી આફ્રિકામાં નોકર-ચાકરથી ભરેલા ઘરમાં આરામનું જીવન જીવનાર બહેનોને મોરગેજનાં હપ્તા ભરવા નોકરી કરવી પડી. બહેનોને તે સમયે ફૅક્ટરીઓમાં નોકરી મળી જતી તેથી ભણેલી અને ઉચ્ચ શિક્ષણ પામેલી બહેનોને પણ ત્યાં કામ કરવું પડ્યું. આ જ બહેનોને અૉફિસોમાં કરનારી યુવતિઓ ‘ફૅક્ટરીની માસીઓ’ કહેતી! આનાથી વધુ કરૂણ વક્રોક્તિ કઇ હોઇ શકે? ફૅક્ટરીમાં કામ કરનાર એક ગુજરાતી બહેન સ્વ. જયાબહેન દેસાઇએ એક શક્તિશાળી ઉદ્યોગ સામે વર્ણભેદ સામે લડત ઉપાડીને તેને દેવાળું ફૂંકવા પરજ પાડી હતી તે અૉફિસમાં કામ કરનારી મોટા ભાગની બહેનોને જાણ નહોતી, નથી તેમને જાણવાની કોશીશ કરી. જયાબહેનની વાત આવતા અંકમાં જરૂર કરીશું. અત્યારે તો પ્રવર્તતા stereotype, વર્ણદ્વેષ અને તેનો પ્રતિકાર કરી, નવા દેશમાં સફળ થવા માટે અાપણા લોકોએ દર્શાવેલ પોતાની આંતરીક શક્તિનું વર્ણન કરવાનો પ્રયત્ન કરીશું.

એશિયન એટલે ન્યુઝ એજન્ટ. તેમની દૃષ્ટીએ અાપણે બધા જ ઘણા શ્રીમંત હતા, કારણ કે મોટા ભાગના લોકોએ ઘર વેચાતું લીધું હતું. 

અહીં વાચકોના મનમાં કદાચ પ્રશ્ન ઉભો થાય: બ્રિટનમાં વર્ણભેદના મૂળ શા માટે ઉંડા થયા હતા? 

તેની પાછળ કોઇ ખાસ કારણો હતા?

બ્રિટનની પ્રજા, ખાસ કરીને મધ્યમ વર્ગનાં લોકોમાં એક પ્રકારની જાગૃતિ હતી, ઉદારમતનું વર્ચસ્વ તેમની વિચારસરણીમાં હતું, તેમ છતાં ત્યાં આવી પરિસ્થિતિ શા માટે અને કેવી રીતે ઉદ્ભવી? 


જિપ્સીને આ વિષયમાં અભ્યાસ કરવાની તક મળી અને તેની ચર્ચા તે આવતા અંકમાં કરશે. 

Monday, July 1, 2013

બ્રિટનની ભારતીય સમાજ વ્યવસ્થા

જે રીતે આફ્રિકાથી બ્રિટનમાં મોટા પ્રમાણમાં હિજરત ૧૯૭૧માં થઇ, પાકિસ્તાન અને ભારતથી બ્રિટનમાં જનારા લોકોની સંખ્યામાં વધારો ૧૯૫૦-૬૦ના દાયકાઓમાં શરૂ થયો અને ૧૯૬૦ના મધ્યમાં તે પરાકાષ્ઠાએ પહોંચ્યો. અહીં આનો સંક્ષેપ ઇતિહાસ જોઇશું જેથી બ્રિટનમાં પ્રવર્તી રહેલ ભારતીય ઉપખંડમાંથી બ્રિટન ગયેલા લોકોને એકબીજા વિશે તથા ત્યાંના આપણા પ્રત્યે પ્રવર્તતા ethnic stereotypeનો થોડો ખ્યાલ આવશે. 

૧૯૫૦ના દાયકામાં બ્રિટનમાં લગભગ Full Employmentની સ્થિતિ ઉદ્ભવી હતી. નવી ટેક્નોલૉજી પર આધારીત નવા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે સરકારે પહેલેથી ગીચ વસ્તીવાળા શહેરોથી દૂર પીટરબરો, મિલ્ટન કીન્સ, વેલીન ગાર્ડન સિટી જેવા નવા શહેરો વસાવ્યા. નવા મકાનો બાંધ્યા અને તે ખરીદવા માટે સવલતવાળા દર તથા ગ્રાન્ટ આપી. એટલું જ નહી, આ શહેરોની કાઉન્સીલોએ સસ્તા ભાડાનાં મકાનો બાંધ્યા. જેમને મકાન ખરીદવાની ત્રેવડ નહોતી, તેઓ અમેરીકન પદ્ધતિના આ બહુમાળી મકાનોમાં રહેવા ગયા. આમ સખત મજુરી માગી લે તેવા labor intensive કામ - જેમ કે ધાતુ ગાળવાના, ઢાળવાના કામ, અને યૉર્કશાયર - લૅંકેશાયરની કપડાંની મિલોમાં કામ કરનારા મજુરો મોટી સંખ્યામાં પોતાનાં કામ છોડી નવા ઉદ્યોગોમાં આકર્ષક પગાર પર કામ કરવા ગયા. તેમણે છોડેલી નોકરીઓમાં કામ કરવા મજુરોની ભારે તંગી ઉભી થઇ. તેમણે ખાલી કરેલા, ગીચ વિસ્તારમાં આવેલા મકાનો વણવપરાયેલ હાલતમાં પડી રહ્યા. તે સમયે બ્રિટનમાં આવી સ્થિતિ પ્રવર્તતી હતી.

લંડનની વાત ખરેખર રસપ્રદ હતી. ત્યાંનો ઇસ્ટ એન્ડનો વિસ્તાર, જે હાલમાં ટાવર હૅમ્લેટ્સના નામથી ઓળખાય છે, સાવ ગંદી હાલતમાં હતો. પહેલા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં યહુદીઓ પર વાંશીક દ્વેષને કારણે સીતમ ગુજારવામાં આવતો હતો. તેનાથી ત્રાસીને યુરોપમાંથી ઘણા યહુદી પરિવારો બ્રિટનમાં નાસી આવ્યા હતા. મોટા ભાગના લોકો ઘણું ખરૂં લંડનના ઇસ્ટ એન્ડ વિસ્તારમાં વસી ગયા. લંડનનો હાલનો કમર્શિયલ રોડ તથા તેની આસપાસનાં બ્રિક લેન, લાઇમ હાઉસ, ઇસ્ટ હૅમ જેવા લત્તાઓમાં યહુદી લોકો રહેતા હતા. ત્યાં જ તેમણે પોતાની દુકાનો અને વ્યાપાર સ્થાપ્યાં. જેમ જેમ તેઓ સમૃદ્ધ થતા ગયા, તેઓ લંડનની ઉત્તર અને ઇશાન દિશામાં આવેલા સ્ટૅનમોર, એજવેર, બાર્નેટ જેવા પરાંઓમાં રહેવા ગયા. તેમણે ખાલી કરેલા વિસ્તારોમાં રહેવા માટે કોઇ તૈયાર નહોતું કારણ કે તેની ખ્યાતિ - કે કુખ્યાતિ વધુ જાણીતી હતી. 

આ વિસ્તારોમાં સૌ પ્રથમ રહેવા ગયા હોય તો પૂર્વ પાકિસ્તાનના લોકો. સિલેટ, ખુલ્ના જેવા શહેરોનાં તથા તેની આસપાસના લોકો ઇસ્ટ એન્ડમાં વસવા લાગ્યા. આપને અનુભવ હશે કે નવા દેશમાં ગયેલા લોકોને ક્યાંય સ્થિર સ્થાવર થવું હોય તો તેમના સમાજની વ્યક્તિ જે વિસ્તારમાં રહેતી હોય ત્યાં રહેવા જવાનું વધુ પસંદ કરે. તેથી જેમ અમેરીકાના ન્યુ જર્સી રાજ્યમાં એડીસન, જર્સી સિટી વિ. જેવા શહેરોમાં અને તે પણ અમુક વસ્તીઓમાં આપણા લોકો રહેવાનું વધુ પસંદ કરતા હોય છે, તેમ લંડનના ટાવર હૅમ્લેટ્સમાં બાંગ્લાદેશીઓની સૌથી વધુ વસ્તી છે - ખાસ કરીને બ્રિક લેન, સ્પીટલ્સફીલ્ડ જેવા વિસ્તારોમાં. ભારતીયો અને પાકિસ્તાનના લોકો લંડનના માઇલ એન્ડ, ઇલ્ફર્ડ, વેસ્ટ હૅમ, વૉલ્થમસ્ટો જેવા વિસ્તારોમાં વસી ગયા. ગુજરાતના લોકો લંડનના વેમ્બલી, હૅરો, નૉર્થોલ્ટ જેવા વિસ્તારોમાં અને પંજાબીઓ સાઉથૉલ, યેડીંગ અને તેની આસપાસના વિસ્તારોમાં વસ્યા.   

બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટનમાં નૅશનલ હેલ્થ સર્વિસમાં સૌ પ્રથમ પાકિસ્તાનમાંથી ડૉક્ટરો ગયા અને ત્યાર બાદ ભારતથી. દેશની આર્થિક હાલત એકદમ સુધરવા લાગી. નવા ઉદ્યોગો અને વ્યાપાર સ્થપાયા. અંગ્રેજ પરિવારો નવા શહેરોમાં રહેવા ગયા. સરકારે પ્રજાજનો માટે મકાન ખરીદ કરવા ખાસ સબ્સીડી આપવાનું શરૂ કર્યું (જેને First Time Buyers’ Grant કહેવામાં આવતી). ઇસ્ટ એન્ડની સાંકડી ગલીઓમાં રહેતા લોકો મોકળાશવાળી જગ્યાએ રહેવા ગયા. બ્રિટનના શહેરોની - ખાસ કરીને લંડનની બસો ચલાવવા માટે  ડ્રાઇવર - કંડક્ટરો પણ કામ છોડી સારા પગારની નોકરી કરવા નવા શહેરોમાં ગયા. આમ સખત મજુરીનાં અને ઉતરતી શ્રેણીનાં તથા પ્રમાણમાં ઓછું વેતન આપનારા કાપડની મિલો જેવા ઉદ્યોગોમાં મજુરોની તીવ્ર અછત ઉભી થઇ. આ અછત દૂર કરવા બ્રિટનની સરકારે ભારે સંખ્યામાં મજુરોની ભરતી કરવાનો નિર્ણય લીધો.  આમ જોવા જઇએ તો ભારતમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગ એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલો હતો કે યૉર્કશાયરની મિલો માટે જોઇએ એટલા મજુરોની ભારતમાંથી ભરતી થઇ શકી હોત. પણ બ્રિટનની સરકારે  ભરતી માટે પ્રાધાન્ય પાકિસ્તાનને આપ્યું. આનું કારણ ઐતિહાસીક અને રાજકીય હતું. 

લૉર્ડ માઉન્ટબૅટનના ADC સ્વ.શ્રી. નરેન્દ્રસિંહ સરીલાના પુસ્તક The Shadow of the Great Gameનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ થશે કે ભારત આઝાદ થયા બાદ બ્રિટનને સામ્યવાદી  રશિયાનો અફઘાનીસ્તાન તથા દક્ષીણ એશિયામાં તથો પ્રસાર રોકવો હતો. નહેરૂજીની રશિયા તરફી વૃત્તિ એટલી કૂણી હતી કે અમેરીકા તથા બિટનનું ભારત પ્રત્યેનું વલણ શંકાશીલ થયું. વળી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી વધુ ક્રાન્તિકારીઓ ભારતીયો હતા. આમ આપણા દેશ અને દેશવાસીઓની સરખામણીમાં બ્રિટનને વધુ pliant કહી શકાય તેવું Buffer દેશ અને દેશવાસીઓ જોઇતા હતા. આ મકસદ પૂરો કરવા તેમણે પાકિસ્તાનનો પાલવ ખેંચ્યો અને પાકિસ્તાન પોતાના આર્થીક અને લશ્કરી સ્વાર્થ સાધવા તેમના લશ્કરી જૂથમાં જોડાયું. તેમણે પોતાના દેશના લશ્કરી મથકો બ્રિટન અને અમેરીકા માટે ખોલી નાખ્યા. આપને કદાચ યાદ હશે કે અમેરીકાના U 2 વિમાનકાંડમાં જગજાહેર થયેલ વિમાન પાકિસ્તાનના પેશાવર અૅર બેઝથી રશિયા પર જાસુસી કરવા ઉડ્યું હતું.

હાલના પાકિસ્તાનમાં રહેતી પ્રજાની અંગ્રેજો પ્રત્યેની વફાદારી ઐતિહાસીક હતી. બ્રિટીશ-ભારતીય સેનાનાં પંજાબી મુસ્લીમ તથા બલુચી સૈનિકો બ્રિટનને ૧૮૫૭થી માંડીને બન્ને વિશ્વયુદ્ધોમાં અટળ રીતે વફાદાર રહ્યા હતા. આથી ૧૯૫૦ના દાયકામાં તેમણે કામદારોની ભરતી માટે નિવૃત્ત થયેલા પાકિસ્તાની સૈનિકો તથા જે કોઇ પરિવારને બ્રિટીશ સેના સાથે પારિવારીક લેણાદેણી હોય તેમની વિશાળ પાયા પર બ્રિટનનાં યૉર્કશાયર અને લૅંકેશાયરમાં આવેલા કારખાનાંઓ અને મિલો માટે ભરતી શરૂ કરી. તેમને રાજકીય દૃષ્ટીએ આજ્ઞાંકિત, શિસ્તપાલન કરનારા અને વફાદાર પ્રજાજનોની જરૂર હતી. આમ જોવા જઇએ તો ભારતમાં બ્રિટીશ સરકારની સામે ક્રાન્તિકારી ચળવળ કરનારાઓમાં ભારતીયો પ્રમુખ સ્થાને હતા. શિક્ષણનો પ્રાદુર્ભાવ પણ ભારે હતો. ભારત સરકારની સમાજવાદી, રશિયા પર આસ્થા રાખનારી વૃત્તિઓને કારણે આપણા પ્રજાજનો પર થોડો અવિશ્વાસ હોય તે બનવાજોગ હતું. તેથી તેમણે મોટા પાયા પર ભરતીનું જે અભિયાન ચલાવ્યું તે પાકિસ્તાનના પંજાબ, કાશ્મીર અને પૂર્વ બલુચિસ્તાનમાં. વળી પાકિસ્તાન પણ બ્રિટીશ કૉમનવેલ્થનું સભ્ય હોવાથી તેમને કોઇને ઇમીગ્રેશન કે વિઝાના નિયંત્રણો નહોતાં. આજે પણ આ જીલ્લાઓમાં આવેલા બ્રૅડફર્ડ, બોલ્ટન, બ્લૅકબર્ન જેવા શહેરોમાં પાકિસ્તાની ઉગમનાં લોકો મોટી સંખ્યામાં મળી આવશે. આમ ૧૯૫૦ અને ૬૦ના બે દશકમાં પાકિસ્તાનમાંથી બ્રિટનમાં આવેલા લોકોની વિશાળ વસ્તીને કારણે ત્યાંના અંગ્રેજો માટે આપણા વર્ણનાં બધા જ લોકો પાકિસ્તાની હતા. “You all look so alike, it does not matter what you are,” કહેવાતું. ટૂંકમાં, તમે બધા અમારા માટે....  જવા દો.  વર્ણદ્વેષી લોકોએ  ભારતીય ઉપખંડમાંથી ગયેલા બધા લોકોને એક નામ આપ્યું.  જિપ્સીનું માનવું છે કે શરૂઆતથી જ પાકિસ્તાનના વસાહતીઓની બહુમતિ હોવાથી, અને ‘તમે ક્યા દેશના છો’ નો જવાબ મોટા ભાગે ‘પૅકિસ્તાન’ હોવાથી બધા એશિયનો માટે સ્ટિરીઓટાઇપ લાગી ગયું: ‘પૅકી.’ 

ભારતમાંથી કામદાર વર્ગ તથા ડૉક્ટર, એન્જીનીયર કે અૅકાઉન્ટન્ટ જેવા વ્યાવસાયિકો ૧૯૫૦ના અરસામાં બહુ ઓછા પ્રમાણમાં ગયા હતા. ૧૯૬૦ના દશકમાં બ્રિટને કૉમનવેલ્થમાંથી બ્રિટન જવા માગતા લોકો પર નિયંત્રણ મૂકવાનો નિર્ણય કર્યો, ત્યારે તેનો અમલ કરવાની તારીખ પહેલાં ભારે સંખ્યામાં ભારતીયો અને વેસ્ટ ઇન્ડીઝનાં નાગરિકો બ્રિટન ગયા. વ્યવસાયની દૃષ્ટીએ આપણા લોકોમાં અભેદ્ય વિભાગ પડી ગયા: પ્રથમ વર્ગમાં હતા ડૉક્ટર્સ, બૅરીસ્ટર્સ અને સૉલીસીટર્સ. બીજી શ્રેણીમાં અૅકાઉન્ટન્ટસ્ તથા સફેદ કૉલરના વ્યાવસાયીકો. ત્રીજી અને કનીષ્ઠ કક્ષા હતી ફૅક્ટરીમાં કામ કરનાર ભાઇ બહેનોની. આવી હતી બ્રિટનમાં આપણી સમાજ વ્યવસ્થા. આ એટલી રૂઢ થઇ હતી કે ફૅક્ટરીમાં કામ કરનારાઓને લોકો હીન ભાવે જોતા. આફ્રિકામાં મધ્ય વયીન સ્ત્રીઓને 'માસી' કહીને બોલાવતા. બ્રિટનમાં હિજરત કરીને આવેલી સ્ત્રીઓને પણ પુરુષ સમોવડી બનીને કામ કરવું પડતું. જિપ્સીએ અૉફિસમાં કામ કરી ઘેર જતી બહેનો વચ્ચે બસમાં થતી વાત જાતે સાંભળેલી છે: "પાંચ વાગ્યા પછીની બસ ના લેશો.  ઇસ્ટ લેનની ફૅક્ટરીમાં કામ કરતી માસીઓથી બસ ભરાઇ જશે અને આપણને embarrassing થઇ જવાય. આ માસીઓ એવી મોટે મોટેથી વાતો કરતી હોય છે, આપણને શરમ આવે. આ ધોળીયાઓ તેમની સામે ગુસ્સાથી ટગર ટગર જુએ, પણ તેમને કશાની પડી નથી હોતી!" ધોળીયા એટલે આપણે અંગ્રેજો માટે વાપરતા તે વર્ણદ્વેષી શબ્દ! આનો વિરોધી શબ્દ આફ્રિકન વંશના લોકો માટે વપરાતો.
૧૯૭૦ બાદ તેમાં એક નવો વર્ગ ઉભો થયો: ‘કૉર્નર શૉપ’ અથવા ‘ટૉબેકોનિસ્ટ અૅન્ડ ન્યૂઝ એજન્ટ’ નામની દુકાનોના માલિકો. આની મૉનોપોલી મુખ્યત્વે ઇસ્ટ આફ્રિકાથી આવેલા વસાહતીઓ પાસે હતી.