Monday, December 29, 2014

રવીંદ્રસંગીત : સે દિન દુજને...

એકાંતની ઘડીમાં અંતરની ગુફામાંથી નીકળતા સૂરોનાં વલય આવીને હૃદયવીણાને સ્પર્શ કરી જાય અને તે નો ઝણકાર આખો દિવસ સંભળાતો રહે. એવું સૌના જીવનમાં બનતું હોય છે. આવા પ્રસંગની અનુભુતિ આપણે કદી ભુલી શક્યા છીએ? 
આ કેવી અનુભૂતિને શું કહેવું? 
તેને શું નામ આપવું? 

આવાં પ્રશ્નો મનમંા ઊઠે તે પહેલાં પેલો પ્રસંગ યાદ આવે છે…આપણે તેમને કદી’ક મળ્યા હતા. અરસ પરસ નજરો મળી હતી અને તેમની આંખોમાં સ્મિત જોયું હતું! ભ્રમ તો નથી ને થયો તે જોવા માટે ફરી એક વાર શરમાળ નજરે તેમની તરફ જોયું . આ વખતે આ અવર્ણનીય હાસ્યની છટા કેવળ તેમની આંખોમાં જ નહિ, તેમના ઓષ્ઠદ્વય પરથી સરકી જતી જોવા મળી હતી! હૃદયો મળ્યાં અને ઘડી બે ઘડી મિલાપ થયો ત્યાં તો વિદાયનો સમય આવી ગયો. જતાં જતાં તેમણે આપણી સામે જોયું. તેમની આંખોમાંથી એક કાવ્ય નિતરતું હતું. આપણી પાસે પણ આપણા હૃદયની ભાવના કહેવાનો સમય નથી રહ્યો, પણ તેમનાં નેત્રોમાંથી નીકળતી કવિતા ઊડીને આપણા હૃદયમાં જડાઈ ગઈ, અને તેમાંથી નીકળતા શબ્દ વારે વારે કહેતા હતા, ‘આપણાં હૃદયોને સ્નેહની જે દોરીએ બાંધ્યાં તે દિવસને ભુલશો ના! ના ભુલશો!

કવીવર રવીંદ્રનાથે તેમને થયેલી આ દિવ્ય અનુભુતિને ગીતમાં આલેખી અને તેને જે સૂર આપ્યા. અનેક દશક વિતી ગયા પણ ગીત રાત દિવસ લોકોનાં મનમાં હજી ઘૂમ્યા જ કરે છે! બંગાળ - અને ભારતના અન્ય પ્રદેશોમાંના  ગાયક-ગાયિકાઓએ આ ગીત ગાયું, પુરુષના સ્વરમાં, સ્ત્રીના સૂરમાં, દ્વંદ્વગીત તરીકે. ન તો ગાયકો કદી આ ગીત ગાતાં થાક્યાં, ન સાંભળનારા! આજે આપણે બે ગાયકોના સ્વરમાં આ ગીત સાંભળીશું. પહેલાં શ્રી. દેવવ્રત વિશ્વાસના સ્વરમાં. બન્ને ગાયકોએ દરેક કડીના અંતમાં આવતા શબ્દ ‘ભુલો ના…” એવી આર્જવતાપૂર્વક ગાયા છે, શ્રોતા તેમાં વહી જાય! ગીત છે :

સે દિન દુજોને અને ગાયક છે દેવવ્રત વિશ્વાસ

હવે સાંભળીશું શ્રીમતી જયતિ ચક્રવર્તીના અવાજમાં. બેઉ ગાયકોની ગીતના ભાવોની પ્રસ્તુતી (expression) સાંભળીને વિચાર થાય, શું પુરષ અને સ્ત્રીની સંવેદનામાં કોઈ ફેર હય છે? તેમની એકબીજા પ્રત્યેની લાગણીઓની ઉત્કટતામાં કશું અંતર હોય છે?

ખરી વાત તો એ છે કે ભાવનાઓ સૌના હૃદયમાં એક સરખી હોય છે. સ્ત્્રીઓ આ યાદોને તેમના હૃદયની વિશાળ તિજોરીમાં મહામૂલા આભુષણની જેમ સાચવી રાખે છે. કોઈ એકાંતની ક્ષણમાં આ સંદૂક ખોલી, તેમાંથી યાદોનું આભુષણ કાઢી હૃદય પર રાખી 'એ' પળો યાદ કરે છે. શંખમાંથી નીકળતા મહાસાગરના ઘૂઘવાટની જેમ આવું ગીત કદાચ તેમના કાનમાં ગૂંજે તે સાંભળી તેને પાછું પેલા છૂપા ખજાનામાં મૂકી દે છે.

અને પુરૂષ? એની ઢબ કદાચ જુદી હોઈ શકે છે. કોઈ તેની વાંસળીના સૂરમાં યાદોનું ગીત વહાવીને, કે અાવું કોઈ ગીત સાંભળીને તે યાદોને ફરી એકાદ બે ક્ષણ જીવી લે છે...


આ ગીતનો આનંદ લેવા માટે ગીતની સાથે તેના મૂળ બંગાળી શબ્દો જોઈશું - અને તેની સાથે એક અણઘડ વ્યક્તિ દ્વારા થયેલ તેનો ગુજરાતી ભાવાનુવાદ મૂક્યો છે. 

સે દિન દૂજોને દૂલેછિનૂ વને, ફૂલડોરે બાંધા ઝૂલના
સેઈ સ્મૃતિટૂકૂ કભૂ ખને ખને જેનો જાગે મને ભૂલોના, ભૂલો ના, ભૂલો ના, ભૂલોના…
સેદિન બાતાસે છિલ તુમિ જાન - આમારિ મનેર પ્રલાપ જડાનો,
આકાશે આકાશે આછિલ છડાનો તોમાર હાસિર તૂલના ।। ભુલો ના

જેતે જેતે પથે પૂર્ણિમારાતે ચાંદ ઊઠે છિલ ગગને
દેખા હયે છિલ, તોમાતે-આમાતે કિ જાનિ કિ મહાલગને - ચાંદ ઊઠે છિલ ગગને… 
એખન આમાર, બેલા નાહિ આર, બહિબ એકાકી બિરહેર ભાર-
બાંધિનૂ જે રાખી પરાને તોમાર સે રાખી ખૂલો ના, ખૂલો ના ।। ભૂલોના 

તે દિન આ બે જણાં, વનમાં શું ઝૂલ્યાં, ફૂલ-દોર બાંધેલા ઝૂલે
સ્મૃતિ તેની બેઊ મને ક્ષણે ક્ષણે જાગે, કદી ભૂલો ના!
તે દિન હવામાં હતો, તમે જાણો, અમારા મનનો પ્રલાપ એવો તે જડાયો,
આકાશે ફેલાયું, તમારૂં એ હાસ્ય, કેવું તે રેલાયું, તે તમે ભૂલો ના!

જતાં જતાં પથ પર, પૂનમની રાતે, ચાંદ ખિલ્યો કેવો ગગને! 
આપણાં મહા મિલનની ઘડી કેવી, કેવી રે મહિમ…ચાંદ કેવો ખિલ્યો ગગને!
હવે તો સમય રહ્યો ના બાકી, એકાકી વિરહનો ભાર
પ્રેમનાં બંધન, બાંધ્મા તમ સંગ, કદી ખોલો ના, ભુલો ના,








Wednesday, December 24, 2014

યાદોની પગદંડીની આસપાસ વિખરાયેલાં પુષ્પ…



પહાડોમાં ટ્રેકીંગ કરવા જઈએ ત્યારે લીલાંછમ આસમંતમાં ઉગી નીકળેલાં રંગબેરંગી ફૂલ જોઈ મન કેટલું પ્રસન્ન થતું હોય છે એ આપે અનુભવ્યું છે. જીવનના ચઢાણ પણ કંઈક એવા જ હોય છે. ચાલતાં ચાલતાં  તન કે મન થાકી જાય, ત્યારે આ પગદંડીની આસપાસ પડેલાં ગીતોનાં ફૂલ નિરખીયે ત્યારે  કાનમાં તેમનો સુમધુર ઝંકાર સંભળાય.  તેમાં એક એવો પમરાટ હોય છે, જેની સરખામણી આપણી ડાયરીમાં રાખેલાં પુષ્પોની પાંખડીઓ સાથે કરી શકાય.  પાનું ખોલતાં તેમાંથી સૌરભ નીકળે એવાં ગીતો જે આધુનિક જગતની ગતિમાં ખોવાઈ ગયા છે. પણ તેનું માધુર્ય એવું જ તાજું રહ્યું છે! આજે  સૌથી પહેલાં યાદ આવી સ્વ.ગીતા રૉયની. તેમનાં ઓછાં જાણીતા પણ અત્યંત મધુર ગીતોની વાત કરીએ તો યાદ આવે છે,



ફિલ્મ ‘અનુભવ’નું આ ગીત ગીતા રૉયે ગાયું અને અભિનય છે તનુજાનો.  આ ફિલ્મમાં તનુજાનો અભિનય એટલો તો સુંદર હતો, તે સમયના વિવેચકોએ આ ફિલ્મને ‘તનુભવ’ કહીને બીરદાવી હતી. આ જ ફિલ્મનું બીજું ગીત…


અને તેમના જીવનનાં છેલ્લાં ચઢાણમાં તેમણે આ ગીત ગાઈને તેમના હૃદયને અને તેમના ચાહકોનાં હૃદયોને વલોવી નાખ્યાં: 


***
મુકેશજીએ પહેલું ગીત ગાઈને સૌનું ધ્યાન ખેંચી લીધું. તે વખતે તેમણે સીધી સાયગલ સાહેબની ઢબથી ગાવાનો પ્રયત્ન કર્યો. કોણ જાણે કોણે તેમને કહ્યું કે ચિત્ર, કથા કે કલામાં નકલ કરતાં મૌલિકતાનું મૂલ્ય અનેકગણું હોય છે. તમે તમારા આનંદ માટે તમારા સ્વત્વને બહાર લાવે તેવું ગાશો તો બીજા કોઈને તે ગમશે કે નહિ, પણ તમે તેનો આનંદ જીવનભર લઈ શકશો! મારી અનભિજ્ઞ દૃષ્ટીમાં તેમણે ગાયેલાં બિન-ફિલ્મી કે ફિલ્મી ગીતોમાં જુદી ભાત પાડી ગયા તે ગીતો છે :

જીયેંગે મગર મુસ્કુરા ન સકેંગે/ કિ અબ ઝીંદગીમેં મુહબ્બત નહિ હૈ…’  અને

‘કિસે યાદ રખ્ખું, કિસે ભુલ જાઉં..’ જાણે આપણા ઘરમાં જામેલી મહેફીલમાં મુકેશજી આવીને ગાઈ રહ્યા છે!

***

ઓ.પી. નૈયર માટે કહેવાય છે કે તેમણે સંગીતબદ્ધ કરેલા પહેલા ગીત બાદ સંગીતના ક્ષેત્રમાંથી વિદાય લીધી હોત તો પણ તેઓ ચિરસ્મરણીય થયા હોત! આ ગીત રચવા માટે HMV કંપનીએ તેમને અૉફર આપી : રોકડા વીસ રુપિયા અથવા ‘વેચાય તો રૉયલ્ટી’. પહેલા ગીત માટે તેમણે ‘રોકડી’ કરી લીધી. ગાયકે રૉયલ્ટી પસંદ કરી અને તે જમાનામાં દોઢ લાખ  કમાયા. તે જમાનામાં સરકારી ક્લાર્કનો પગાર ૭૫ રૂપિયા હતો! ગીત હતું ‘પ્રિતમ આ ન મિલો/દુખિયા જીયા બુલાયે…’ અને ગાયક ચંદ્રુ આત્મા - જેમનું સૂરજ્ઞાન શૂન્યવત્ હતું પણ આત્માની જેમ અમર થઈ ગયા! શ્રેય તો અલબત્ નૈયર સાહેબને!

સદ્ભાગ્યે નૈયર સાહેબે ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને અનેક અણમોલ ગીતોનો વારસો છોડી ગયા.

આ ગીત યાદ છે? ‘ચૈનસે હમ કો કભી…’

આશાજીએ આ ગીત ગાઈને તો કમાલ કરી! ભારતીય સિને સંગીતનો Hall of Fame કદી બનાવવામાં આવે, તેમાં આ ગીત અચૂક આવે!

અાશાજીએ ગાયેલાં અદ્વિતિય ગીતોમાં યાદ આવે છે. એક વસમી વિદાયની યાદ આપતું બીજું ગીત:  જીવનની બંદીશાળામાં પૂરાયેલી બહેન શ્રાવણની અમિધારા જોઈને ગાય છે- પિતાજી, સાવન આવ્યો છે. આ વરસે તો ભાઈને મોકલી મને પિયર બોલાવો…'અબ કે બરસ ભીજ ભૈયા કો, બાબુલ" 

***

સ્મૃતિવનની વાત કરીએ તો પંકજદા’ની યાદ આવ્યા વગર ન રહે! યાદ છે આ ગીત?

આજનો અંક નાતાલના શુભ દિન માટે ખાસ છે. ક્રિસમસ કૅરલ હંમેશા ગવાય છે પણ તે પાશ્ચાત્ય સંગીતના ઢાળમાં. પરંપરાગત ભારતીય સંગીત, તે પણ કર્ણાટક પદ્ધતિમાં ગવાયેલું આ કૅરલ યાદ છે આપને? એ. આર. રહેમાન જેવા પ્રતિભાશાળી સંગીતકાર જ આવી અપ્રતિમ કૃતિ આપી શકે:


આજના અંકની આખરમાં એક મહાન ગાયકના કંઠે ગવાયેલ અદ્ભૂત ગીત રજુ કરીશ. આ ગીત પણ લગભગ ભુલાઈ ગયું છે. જો કે તેની તાજગી હજી પણ એવીને એવી જ રહી છે. સ્વ. સાયગલ સાહેબે ગાયેલું ચંડીદાસનું કિર્તન …






Tuesday, December 9, 2014

સંગીતની કેડીએ..


સમયના પેટાળનમાંથી એક ખજાનાનું ઢાંકણું નજરે પડે, અને તે ખોલતાં તેમાં સંતાઈ રહેલાં રત્નો નજર આવે તેમ કેટલાક ગીતો ઝળહળ્યા. કેટલાક અજાણ્યા અને કેટલાક જાણીતા કલાકારોનએ ઘડેલા આ ઘરેણાં આજે રજુ કરૂં છું.

પ્રથમ ગીત છે ભુલાઈ ગયેલા સંગીતકાર જમાલ સેનના સંગીતમાં લતાજીએ તેમની કારકિર્દીની શરૂઆતમાં ગાયેલું ગીત. સુંદર કાવ્યના લાલિત્ય પર સંગીતકારે ચઢાવેલ સૂરોનો ઓપ અને તેને સ્વરસુંદરીએ આપેલું મૂર્તસ્વરૂપ antique jewellery જેવું લાગશે:


આજે સ્વ. સી. રામચંદ્ર તો ભુલાઈ ગયા, પણ તેમની કલાના ચાહકો જાણે છે કે તેમણે સંગીતબદ્ધ કરેલ ગીતોએ લતાજીને પ્રસિદ્ધીના શિખર પર પહોંચાડ્યા હતા. જેમની પાલખીમાં તેઓ બેઠાં હતા તે ઉંચકનાર ભુલાઈ ગયા! વાચકોને યાદ હશે કે અનારકલી, પરછાઈયાઁ, જેવી ફિલ્મોનાં ગીતોએ ધૂમ મચાવી હતી. તેમણે સંગીતબદ્ધ કરેલ “અય મેરે વતન કે લોગો” સાંભળીને આજે આખો દેશ ભારતના સૈનિકોની સાથે ખડો થઈ જાય છે, પણ તેના રચયિતાન વિશે કોઈ જાણતું નથી. અહીં જે ગીત રજુ થયું છે તેની તો વાત જ નિરાળી છે. ફિેલમનું નામ પણ કોઈને યાદ નથી, પણ યાદ છે લતાજીના હૃદયમાંથી નીકળેલા સૂરોની ગૂંજ, શબ્દ અને સી. રામચંદ્રના હૈયાનો ધબકાર: 'તુમ ક્યા જાનો, તુમ્હારી યાદમેં...'

હવે જે ગીત રજુ થાય છે તે દેવોને દુર્લભ છે! આપણે સૌએ મદન મોહનજીએ સંગીતબદ્ધ કરેલા ગીતો માણ્યાં છે, પણ તેમણે પોતે ગાયેલું ગીત ભાગ્યે જ સાંભળ્યું હશે! અહીં રજુ થયેલ ગીત તેમના પોતાના જ સ્વરમાં છે - અને તેનું અનુસરણ લતાજીએ કર્યું છે. 'દસ્તક' ફિલ્મમાં પિતા તેની દીકરીને ગીત શીખવે છે, અને તે ગાય છે - જે સાચા જીવનમાં સ્વ. મદન મોહન અને લતાજીની બાબતમાં થયું હોય તેવું લાગે. આવો અનન્ય યોગ અનુભવીએ ત્યારે બસ એક શબ્દ નીકળે : વાહ!


“અય દીલે નાદાઁ” શબ્દોથી નવાજાયેલાં અનેક ગીતો છે, પણ ફિલ્મ ‘રઝિયા સુલ્તાન’નું ગીત લતાજીને કંઠે સાંભળીએ તો તેનું હાર્દ સમજાય!  સંગીત છે ખય્યામ સાહેબનું.


સ્વ. અનિલ બિશ્વાસને આજે ચાહકો હિંદી ફિલ્મોના ભિષ્મ પિતામહ ગણે છે. તેમણે રચેલા ગીતોમાં રસિકોને પાટણના પટોળા જેવું ગીત લાગ્યું હોય તો તે છે “તુમ્હારે બુલાને કો…” એનાં શબ્દો લતાજીએ એવા ઉલ્લાસથી રજુ કર્યા છે, બસ સાંભળતા જ રહીએ!


“ઉનકો યહ શિકાયત હૈ..” આ ગીતનો રસાસ્વાદ એક સંગીતકાર મિત્રે કરાવેલ.  દરેક કડીના અંતમાં લતાજી પાસે મદન મોહનજીએ “કુછ નહિ કહેતે..” જુદી જુદી ભાતમાં ગવડાવ્યું, અને દરેક પંક્તિ હૃદયમાં સોંસરવી ઉતરી જાય છે. એક વૃદ્ધાના અભિનયમાં મૅડમ નરગીસે આ ગીત જે રજુ કર્યું છે તે જોઈ મારા સમવયસ્ક શ્રોતાઓએ આંખના અશ્રુથી દાદ આપી હતી!


હવે પ્રસ્તુત થાય છે તે ગીત એટલા માટે વિશિષ્ઠ છે, તે ગાયું છે લતા દીદીએ, અને અભિનય છે નુતનજીનો. શાત્રીય સંગીતમાં ગવાયેલ ગીત માટે જેટલાં લતા દીદી વખણાયા, એટલા જ નુતન, કારણકે ગીતમાંની તાનનાં આવર્તનો નુતનજીએ એવી સૂક્ષ્મતાથી સમજીને રજુ કર્યા છે, આ ગીત શંકર જયકિશનનાાં ભાથાંમાંના અનેક દિવ્યાત્ર્ોમાંનાં એકહવે  જેવું અનન્ય લાગે! ફિલ્મ હતી ‘સીમા.


આ ગીત અમારા ખાસં વાચક માટે રજુ કરીશું. કોઈ ફિલ્મનું આ ગીત નથી! ગાયિકા છે શ્રીમતી જ્યુથિકા રૉય અને સંગીતકાર કમલ દાસગુપ્તા. એક વિરહીણીનું ગીત છે - મેરી વીણા રો રહી હૈ!


હવે ‘જિપ્સીનું એક પ્રિય ગીત રજુ કરવાની રજા લઈશ. વાંસળીના સૂરોનું અચાનક શબ્દોમાં પરિવર્તન થાય ત્યારે એક ચમત્કાર થયા જેવું લાગે. કોયલના લાંબા ટહૂકાર જેવા ગીતમાં મોરનો સ્વર જોડાય તેમ તેમાં વાંસળી ફરીથી જોડાય છે ત્યારે ગંગામાં યમુના ભળી હોય તેવા આ સંગમમાં શ્રોતા ડૂબકી લે અને બહાર નીકળે ત્યાં ગીત પૂરૂં થાય! આ અદ્ભૂત ગીત ગાયું છે ભારતીય ફિલ્મ જગતનાં પ્રથમ મલિકા-એ-તરન્નૂમ સુરૈયાએ. ફિ્લમ છે અફસર: 

અંતમાં રજુ કરીશું સિને સંગીતના સર્વ શ્રેષ્ઠ ગાયક - જેમની કોઈ મિસાલ નથી, અનેક ગાયકોએ તેમના અવાજની નકલ કરી ફિલ્મ સંગીતનું શિખર આંબ્યું!  જી હા, અહીં વાત છે સ્વ. કુંદન લાલ સાયગલની. તેમનું બિન-ફિલ્મી ગીત “કૌન બુઝાયે…” પ્રસ્તુત છે. આગળ જતાં સાયગલ સાહેબની biopic બની તેમાં આ ગીત બે ભાગમાં રજુ થયું. પહેલું ગાયું છે પદ્માદેવીએ અને ત્યાર બાદ સાયગલ સાહેબના youthful અવાજમાં:

આશા છે અાજનો અંક આપને ગમશે!





Friday, November 28, 2014

સંબંધોનો સેતુ - ઉપસંહારમાં એક નવું પરિમાણ

સંબંધોના સેતુ વિશેના બ્લૉગમાં આપે લખેલ એક વ્યક્તિના અન્ય વ્યક્તિ સાથેના પારસ્પરિક સંબંધોની શ્રુંખલા ખુબજ ઉત્તમ રહી.તેના વાચન દરમ્યાન મારા મનમાં અનેક વિચારો આવ્યા. હું એક એન્જીનીયર હોવાના નાતે ગણિત ના આધારને એક નક્કર પાસા તરીકે 
લખવા પ્રેરિત થયો. આપે આપેલ દિશામાં સરળતા એ આવી કે મને આપના દ્વારા તૈયાર કરેલ આકૃતિઓ પરથી એક ગણિતિક માળખું (મેથેમેટીકલ મોડેલ) તૈયાર મળી ગયું. 
 
મારો એક નમ્ર પ્રયાસ કરીને મેં ફક્ત તેમાં પારસ્પરિક સંબંધોને અંકોને આધાર આપીને એક વધુ પરિમાણ ઉમેર્યું.  મોડેલનો 
વિવેચનાત્મક (critically)ભ્યાસ કરીને તે ઉપર આપના સૂચનો, ટીકા ટીપ્પણી કરીને જરૂરથી જણાવશો.  આ મોડેલ માં 
પરિણામાત્મક આંક નો કોઠો કેવળ મારા સીમિત અનુભવના આધારે બનાવેલ છે તો તેમાં આપના દ્વારા જરૂરથી સૂચનો કરવા વિનંતી છે
 
 ઉત્તમ આદર સહ,
આપનો 
નિરંજન કોરડે

આમ ઉપરના કોઠાના નંબર ૪ માં વર્ણવેલ ચરણ આવા એક થી અનેક દાખલા ગણી શકાય.

આ મોડેલની ખાસિયત એ છે કે કેન્દ્રમાાં રહેલ વર્તુળમાં આસપાસની બધીજ વ્યક્તિઓના મૂકેલા ગૂણના સરવાળા/ બાદબાકી કરીને છેલ્લો મળેલ આંક કેન્દ્રમાાં રહેલ વર્તુળમાં મળેલ ગુણ પરથી વ્યક્તિ પોતે પોતાનું સાંસારિક મૂલ્ય કાઢી શકે છે અને પોતાના સ્વભાવને સહેલાઈથી જાણી શકે.  અને જો આ સકારાત્મક હોય તો સારૂં, પણ નકારાત્મક પરિણામ તે વ્યક્તિને હકારાત્મક દિશામાં જવા જરૂર પ્રેરણા આપશે.

ગુણાંકની સીમા ા
આંકલન
૧૦ થી ૯
સવોત્તમ
૮થી ૭
સારા
૬થી ૫
સરેરાશ
૪થી ૩
સરેરાશ થી નીચે
૨થી ૧
સરેરાશ થી ઘણાં નીચે
(શન્ૂ ય)
ઔપચારિક
-2 થી -1
ઔપચારરક કરતાં નીચે
-4 થી -3
સારા નહિ
-6 થી -5
ઘૃણાયુક્ત
-8 થી -7
વ ધ ુ પ ડ ત ા ઘૃણાયુક્ત
-૯ થઈ -૧૦
સામે પક્ષે નુકસાન કરવા સુધીની  
ભાવના વાળા






Friday, November 21, 2014

સંબંધોનો સેતુ : ઉપસંહાર

આજનો અંક આપણા અંતરંગના ગ્રહ મંડળમાંના સદસ્યો સાથેના અસ્થિર સંબંધોની બાબતમાં છેલ્લો અને અગત્યનો છે.

સંબંધોના બાંધકામ વિશે અત્યાર સુધી આપણે જે વાત કરી, તેના પાયામાં આપણે પોતે બનાવેલું આપણું ગ્રહ મંડળ છે. અવકાશી સૂર્ય મંડળના ગ્રહો ગુરુત્વાકર્ષણના કારણે એક બીજા સાથેનું સમતોલન, અંતર અને કળા જાળવી રહ્યા છે. આત્મલક્ષી માણસની જેમ ગ્રહો પોતાની ધરી પર ફરે છે અને ગુરૂત્વાકર્ષણને કારણે સૌ તેમના સૂર્ય ફરતું પરિભ્રમણ કરતા રહે છે.  અહીં વિચાર કરવાની વાત એ છે કે સૂર્ય અને તેના ગ્રહો ભૌતિક phenomena છે. ગુરુત્વાકર્ષણ એક શક્તિ છે, energy છે. ગ્રહો તેમના સૂર્યની આસપાસ અને ઉપ ગ્રહ તેના ગ્રહની આસપાસ ફર્યા પછી કરોડો વર્ષોના અંતે એક Black Holeમાં વિલીન થઈ જાય છે.

અવકાશી ગ્રહમંડળની સાથે આપણે માનવીય સંબંધોનો વિચાર કરીએ, તો જણાશે કે આપણા ‘ગ્રહમંડળ’માં ‘ગુરુત્વાકર્ષણ’ ઉપરાંત ભાવના, વિચાર, સામાજીક પરિબળો, સંજોગ અને સ્વભાવ જેવી જલદ, અસ્થિર અને ભાખી ન શકાય તેવી અનેક વૃત્તિઓનો અસમાન પ્રવાહ પણ એક બીજા પર ઘેરી અસર કરતા હોય છે; એટલું જ નહિ, તેમાંથી ઉદ્ભવતી શક્તિઓનો સ્રોત અવિરત વહેતો રહે છે. 
બીજી વાત : માનવીય સંબંધોના ગ્રહ મંડળમાં બે વધારાનાં તત્વો આવે છે. એક તો જન્મથી બંધાયેલા - એક જ પરિવારનાં, માતા, પિતા, ભાઈ, બહેન, ફોઈ, માસી વિ. જેવા પારિવારીક તત્વ હોય છે. મહત્વનું બીજું તત્વ છે સંજોગોને કારણે આપણા મંડળમાં બહારથી આવેલા ગ્રહો - જેમકે પતિ / પત્ની અને તેમનાં સંબંધીઓ, મિત્રો, સહ કાર્યકર્તાઓ વિ. 

આમ આપણા ગ્રહ મંડળમાં આવેલા બધા ગ્રહોનો વિચાર કરીએ તો તેમાં પરસ્પર-વિરોધી કે પરસ્પર આધાર આપતી શક્તિઓ જોવા મળશે. સંબંધોના કેટલાક પ્રવાહ તથા તેમાંના કેટલાક ગ્રહોમાં અચાનક ઉત્પન્ન થયેલી શક્તિની વૃદ્ધિ એવી પ્રભાવશાળી હોય છે, તે આપણા આખા ગ્રહ મંડળમાં ઉથલ પાથલ મચાવતી હોય છે ; કોઈ વાર એવું પણ બને છે કે જે સભ્યો આપણા ગ્રહ મંડળમાં હતા, તે ક્યારના આપણું મંડળ છોડી બીજા ગ્રહ મંડળમાં જતા રહ્યા છે. આપણે તેનું અવલોકન કરીએ તો આશ્ચર્ય થાય કે તેમણે તેમનું પોતાનું એવું શક્તિશાળી ગ્રહમંડળ ઉભું કર્યું છે, જેમાં આપણો સમાવેશ નથી!  આપણે એકાકિ તારક - Lone Star - જેવા રહી ગયા છીએ એવું લાગે. હિંદી સિરિયલોમાં અને કેટલાક ગુજરાતી સામયીકોમાં આપણે ઘણા દાખલા જોયા છે કે લગ્ન પછી દીકરો તેના સાસરિયાના ગ્રહ મંડળમાં પૂરી રીતે સમાઈ જાય છે.

આવું થાય ત્યારે આપણે શું કરવું? 

આપણા સૂર્ય મંડળમાં એકાએક ઉત્પન્ન થયેલ આવા અસ્થિર સંબંધોમાંના ક્યા સંબંધોનું વિષ્લેષણ કરી તેમાં પુનરૂત્થાન કરવાનો પ્રયત્ન કરવો?

આ પ્રશ્નોના ઉત્તર માટે આપણે આ શ્રેણીની શરૂઆતના ઉદાહરણોમાં આપેલા ગ્રહ મંડળોમાંનું છેલ્લું ચિત્ર ફરી એક વાર જોઈશું. જે મિત્રોએ આ શ્રેણીમાં દર્શાવેલ પગલાં પ્રમાણે પોતાનાં ગ્રહ મંડળ બનાવ્યા હોય, તેમને પણ એકાદા સંબંધમાં આવું જ કંઈક જોવા મળ્યું હશે. આપણે શ્રી. ABCનો દાખલો જોઈએ. તેમના ગ્રહ મંડળમાંની એક વ્યક્તિ ‘ક્ષ’ સાથેના તેમના સંબંધની આ વાત છે. આ વ્યક્તિ - ‘ક્ષ’ - ABCના ગ્રહ મંડળમાં શરૂઆતથી હાજર છે તેનો અર્થ છે, એક કાળે ABCનો તેમની સાથે ગાઢ સંબંધ હતો. તેમના આ સંબંધમાં સત્ય હકીકત એવી હતી કે ‘ક્ષ’ ABCનાં સગા મોટાં બહેન હતાં. પિતાના અવસાન બાદ ABCનો પરિવાર સાવ સામાન્ય સ્થિતિમાં આવી ગયો હતો. અત્યંત ગરીબીમાં ઉછરેલા આ પરિવારનાં આ બહેન સૌંદર્યવાન હતાં. તેમની જ જ્ઞાતિના એક અતિ શ્રીમંત પરિવારના યુવકને તે ગમી ગયાં અને તેમણે તેની સાથે લગ્ન કર્યું. ગિરગામની ચાલીની એક ખોલીમાંથી બહેન જુહુમાં આવેલા પતિના વિશાળ બંગલામાં રહેવા ગયા. 

જગતમાં એવી ઘણી ઓછી વ્યક્તિઓ હશે જેમને એકાએક મળેલ યશ અને સમૃદ્ધિ આંજી શકતાં નથી. તેઓ તેમની નમ્રતા (humility) અને પોતાનાથી ઓછા નસીબદાર લોકો તરફ કરૂણાથી જોવાની ભાવના તેમની માનવતાને સદા જીવંત રાખે છે. શ્રી. ABCનાં બહેનમાં કમભાગ્યે તેનો સંપૂર્ણ અભાવ હતો. તેમની આખી વાત તો અહીં કહી શકાય તેમ નથી, પણ એટલું જરૂર કહીશું કે સમય જતાં ABCની એવી સ્થિતિ આવી કે તેમના ગ્રહ મંડળમાં આ બહેન કેવળ ‘ક્ષ’ બની ગયાં. સંબંધ તૂટક થઈ ગયો. શ્રી. ABC ભાવનાશાળી સજ્જન હતા. જન્મથી ઉત્પન્ન થયેલ સંબંધને ભુલી શક્યા નહિ. દર ભાઈબીજ તથા રક્ષા બંધન માટે બહેનને પોતાની હેસિયત મુજબ ભેટ મોકલતા રહ્યા, પણ બહેને આભારનો પત્ર તો શું, રાખડી પણ મોકલવાનું બંધ કર્યું હતું. આ બધાનું દ્યોતક તેમણે તેમના ગ્રહ મંડળમાં નીચે પ્રમાણે દોર્યું.

૧. ‘ક્ષ’ નામની વ્યક્તિ શરૂઆતથી તેમના ગ્રહ મંડળમાં છે;
૨. તેઓ જાણે છે કે તેમની સાથે સંબંધ ભગ્ન છે;
૩. ABC તરફથી સંબંધમાં રોકાણ છે ;
૪. ‘ક્ષ’ તરફથી તેમને જરા જેટલો પ્રતિભાવ નથી.

આવી હાલતમાં શ્રી. ABCએ શું કરવું જોઈએ?

શું તેમણે આ પુસ્તિકાના છેલ્લા મનોયત્નમાં બતાવેલ ‘અસ્થિર સંબંધોનું પુનરુત્થાન’ કરવા માટેનો પ્રત્યક્ષ પ્રયોગ કરવો જોઈએ?

ગમે તે હોય, તેમણે આ કાર્ય પુસ્તિકા પર કામ કર્યું અને છેલ્લે ઉપરના પ્રશ્ન પર આવીને રોકાઈ ગયા. “મારા બધા પ્રયત્નો એળે ગયા. મેં બહેન સાથે પ્રત્યક્ષ મળી વાત કરવાના અનેક પ્રયત્નો કર્યા. પણ તે મને મળવા કે ટેલીફોન પર વાત કરવા પણ તૈયાર નથી. મારે તો ફક્ત એટલું જ જાણવું હતું કે મારી એવી તે કઈ ભુલ થઈ હતી જે મને જણાવ્યા વગર તેમણે સંબંધ તોડી નાખ્યો? શું માજણ્યા ભાઈ કે બહેનને કદી માફ ન કરી શકાય?”

આવી પરિસ્થિતિ ઉભી થાય તો તેનો ઉકેલ આપણે જ શોધવો જોઈએ. અનુભવ એવો છે કે નીચે જણાવેલા એક અથવા બન્ને માર્ગ પર વિચાર કરવો જોઈએ..

૧. આપણે આપણા સાચા ગ્રહ મંડળને ઓળખી, જ્યાં સંબંધોનો પ્રવાહ એક સરખો, નિ:સ્વાર્થ અને પરસ્પર માન અને વિશ્વાસ પર આધારીત હોય તેમાં જ રોકાણ કરવું અને તેમાં આનંદ માનવો. આ માટે આપણે ભગ્ન સંબંધને છોડી આગળ વધવું જોઈએ. અંગ્રેજીમાં કહેવાય છે તેમ, “Move on”. 

આપણા જીવનમાં આવનારી વ્યક્તિઓ કોઈ ને કોઈ પ્રયોજનથી આવતી હોય છે. કેટલીક વ્યક્તિઓ એકાદા સંકટમાં આવી, આપણને મદદ કરીને અદૃશ્ય થતી હોય છે. તો કેટલી વ્યક્તિઓ એક ઋતુ પૂરતી, આપણા જીવનમાં ઉદાત્ત વિચાર, સંસ્કાર કે શિક્ષણ આપવા માટે આવતી હોય છે. તેમનું કામ પૂરૂં થતાં તેઓ કોઈ કારણ આપ્યા વગર એકાએક આપણને છોડીને જતી રહે છે. ફરી કોઈ વાર તેઓ મળે તો તેઓ કદાચ ઓળખાણ પણ નહિ આપે. આપણા ગ્રહ મંડળમાંની અાવી વ્યક્તિઓને કાયમ માટે વળગી શકાતું નથી. તેથી તેમને યાદ કરી તેમનો હૃદયપૂર્વક આભાર માની આપણે આગળ વધવું સારૂં. અંગ્રેજીમાં કહે છે તેમ, ‘Move on’. 

જીવનભર નિ:સ્વાર્થ અને સ્નેહભર્યો સંગાથ આપવા માટે તો બહુ ઓછી વ્યક્તિઓ આવતી હોય છે. આપણે તેમને ઓળખી, તેમનો આદર કરી તેમને આપણા ગ્રહમંડળમાં માનભર્યું સ્થાન આપી તેમના સંબંધનો આનંદ લાંબા સમય માટે લેવો. સ્નેહના રોકાણની પરસ્પર આપ લે, નિ:સ્વાર્થ સંબંધને મહામૂલું ગણી તેને નિભાવવાનો આ પહેલો સર્વશ્રેષ્ઠ માર્ગ છે.

૨. અહીં બતાવેલ બીજું કામ એક રીતે મુશ્કેલ છે, પણ અશક્ય નથી. જ્યારે આપણને ખ્યાલ આવે કે આપણા ગ્રહ મંડળમાંની કોઈ વ્યક્તિ સાથે થયેલ ભગ્ન-સંબંધના મૂળમાં આપણી પોતાની ભુલ છે, અને તે વ્યક્તિ આ વિશ્વમાં નથી, અથવા તે એટલી દૂર ગઈ છે કે તેમનો સંપર્ક સાધી શકાતો નથી. આવું બને ત્યારે સ્વાભાવિક છે કે આપણને બેહદ દુ:ખ થાય. જે વાત પર આ સ્થિતિ નિર્માણ થઈ હતી, તેનો અહેસાસ થયા બાદ તેની ક્ષમા માગવી હોય તો પણ માગી શકાય તેવી હાલત ન હોય તો માણસ આખી જીંદગી તેના દુ:ખમાં ગાળતા હોય છે. માનસશાસ્ત્રમાં આને pathological bereavement નામની ગંભીર માનસિક સ્થિતિ ગણવામાં આવે છે. આ હાલતમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણા પોતાના જ કવિ કલાપીએ બતાવ્યો છે: “હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે; પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”

પસ્તાવાના ઝરણામાં ડૂબકી મારીને આપણે ભલે પુણ્યશાળી ન થઈએ, પણ આપણે ખુદ આપણી જાતને માફ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જગતના વિચારકો કહેતા આવ્યા છે કે જે ભુલનું નિવારણ કરવું,  જેમના પ્રત્યે આ ભુલ થઈ છે તેમની ક્ષમાયાચના કરવાનું કામ અશક્ય હોય ત્યારે માણસે પોતાની જાતને માફ કરવાનો પ્રયત્ન જરૂર કરવો. પહેલાં કહ્યું તેમ આ કામ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. જે દિવસે આ કરી શકાય, મન અને હૃદય હળવા ફૂલ જેવા થઈ જશે.

ઉપસંહાર:

આપણા જીવનમાં સંબંધો અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. ઘણી વાર આપણે આ બાબતમાં વિચાર તો કરતા રહીએ છીએ, પણ તે વિશે કશું કરવાનો કાં તો આપણી પાસે સમય નથી, અથવા આ એવી અતિ કિમતી નાજુક કાચની પુષ્પદાની છે, તેને હાથ ધરીએ તો હંમેશા ડર રહે છે કે તે ફૂટી તો નહિ જાય ને! આ દુનિયામાં બહુ ઓછા લોકો છે જે આ કામ હાથ ધરવા માંગે છે.
આપણે એવા કેટલાય લોકોને જાણીએ છીએ કે સંબંધોની સમસ્યાઓને લઈને તેઓ શાંત રહીને બધું સહન કર્યા કરે છે, પણ તેની બાબતે હિંમતપૂર્વક ભાગ્યેજ કશું કરતા હોય છે. 

સંબંધો બાંધવા કે તૂટતા સંબંધોને ફરી બાંધવા એ એક મઝાનો અનુભવ છે. આ કાર્યપુસ્તકમાં અત્યાર સુધી તમે કરેલ કામોનાં ફળદાયી પરિણામો મળશે એવી અમને આશા છે. અહીં તમે તમારા વિચારો અને દિશાની સ્પષ્ટતા તમે હિંમતપૂર્વક પ્રગટ કરી છે. સંબંધોને વધુ મજબૂત પાયા પર મૂકવાની ક્ષમતા તમે દર્શાવી છે. હવે જરૂર છે એક કાર્યયોજના ઘડી કાઢી તેનો અમલ કરવાની. 


તમારી મુસાફરી આનંદદાયક નીવડે એવી તમને શુભેચ્છાઓ....

Tuesday, November 18, 2014

અસ્થિર સંબંધોનું સુ-સંબંધોમાં પુનર્નિમાણ

આજે જે મહત્વના મુદ્દા પર કામ કરવાનું છે, તે ગયા અંકમાં આપેલા કોષ્ટકના પ્રશ્ન નંબર ૬ માં આપેલા જવાબને લગતું છે. 

આપણે માનીએ કે જે વ્યક્તિની સાથે મારો સંબંધ અસ્થિર છે અને તૂટવાની અણી પર છે, તેનાં કારણો આપણે ઉપરના કોષ્ટકમાં લખ્યા. એ પણ સ્પષ્ટ લખ્યું કે તેમણે આપણી કઈ કઈ અપેક્ષાઓ પૂરી કરી નથી. આ લખી લીધા બાદ આપણે ખુદને સવાલ કરવાો જોઈએ : શું આપણે કદી આ સંબંધીત વ્યક્તિને સ્પષ્ટ પણે પૂછ્યું હતું, “જુઓ બહેન (કે ભાઈ), અમે તમારી પાસેથી આ બાબતમાં આ પ્રકારની મદદની અપેક્ષા રાખી હતી, જે તમે પૂરી કરી નથી”? 
જો આપણે તેમને આ સવાલ પૂછ્યો જ ન હોય તો આપણે કેવી રીતે માની શકીએ કે તેઓ આપણી વણકહી અપેક્ષાઓ વિશે જાણતા હતા? એવું શક્ય નથી કે આપણી વણકહી અપેક્ષાઓનો તેમને જરા પણ ખ્યાલ નહોતો? 

આનો તો એક જ અર્થ થાય કે આપણે આ બાબતમાં તેમના પ્રત્યે ગેરસમજ કરી લીધી છે જેના પરિણામે આપણે જ તેમનાથી દૂર થતા રહ્યા છીએ. અહીં પ્રસ્તુતકર્તાને અંગ્રેજ લેખક W. Somerset Maughamના પુસ્તક “A Writer’s Notebook”માંની ઉક્તિ યાદ આવે છે. તેમણે લખ્યું, “જો કોઈ વ્યક્તિ આપણી અપેક્ષાઓમાં ઊણી ઉતરે તો તેમના પ્રત્યે ગુસ્સો કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણો અધિકાર તો એટલું જાણવા પૂરતો હોય છે કે કઈ અડચણ કે પરિસ્થિતિને કારણે તેઓ આપણી અપેક્ષા પૂરી કરી શક્યા નથી, અથવા આપેલું વચન તે પાળી શક્યા નથી."

આ વાતને જોતાં એ શક્ય છે કે આપણા આ 'કાચા પડી ગયેલા' સંબંધ વિશે કદાચ આપણે એક તરફી નિર્ણય કરી લીધો છે કે આ વ્યક્તિએ જાણી જોઈને આપણને આપેલું વચન, કે આપણી તેમની પાસેથી જે વાતની અપેક્ષા હતી તે પૂરી કરી નથી. તેથી આ સંબંધ નબળો છે એવી આપણે પોતે જ માની લીધેલી વાત છે; જ્યારે વાસ્તવિકતા સાવ જુદી હોઈ શકે છે.

આ પૃષ્ઠભુમિ પર આપણે આગળની એક્સરસાઈઝ કરીશું. ડાબી તરફના ખાનામાં આપણે લખીશું કે આપણે માની લીધેલો એવો કયો પ્રસંગ હતો જ્યારે આપણે આપણા આ આપ્તજન પાસેથી તેમની મદદની અપેક્ષા રાખી હતી અને આપણી માન્યતા પ્રમાણે તેમણે જાણી જોઈને તે પૂરી કરી નથી. આ કૉલમમાંના દરેક પ્રશ્નની ચોખવટ આપણે સંબંધિત વ્યક્તિ સાથે કરવાની છે, અને તે આપણે લખી લેવાની છે. ડાબી તરફમાંના કૉલમમાં એક ઉદાહરણ છે અને તેની સામે જમણા ખાનામાં તેનો જવાબ છે. આને જોઈ બાકીના મુદ્દા અને તેની ખરાઈ કરેલ જવાબ લખીશું તો જે ચિત્ર ઉભું થશે તે સમગ્ર પરિસ્થિતિને અરીસા જેવું સાફ કરી દેશે.



આ મનોયત્નના ડાબા ખાનાંઓમાં લખેલા મુદ્દાઓનું સંબંધીત વ્યક્તિ સાથે પ્રત્યક્ષ મુલાકાતમાં નિરાકરણ કરી લીધા બાદ ધ્યાનમાં લેવા જેવી બાબતો:

(૧) આપણે માની લીધેલાં કારણોની સાચી વાસ્તવિકતાને ઊંડાણથી તપાસવાની જરૂર છે. ઘણી બધી વખત આપણે જે માની લીધું હોય તે માત્ર આપણું પોતાનું દૃષ્ટિબિંદુ હોય છે. વળી, આપણે એવું પણ માનતા હોઈએ છીએ કે, મને જે લાગે છે તે જ હકીકત છે. 
આપણે હકીકતની ખરાઈ કરીએ નહિ અને કોઈ કાર્યની પાછળ રહેલા કારણને કે ચોક્કસ વિગતના સત્યને શોધી કાઢીએ નહિ ત્યાં સુધી આપણાથી સંબંધિત વ્યક્તિના આશયો બાબતે ખોટો નિર્ણય બાંધી બેસવાની સંભાવના ઘણી છે. ખોટા કે બિનચકાસણીવાળા વિચારોને
પરિણામે લેવાતા નિર્ણયો આપણા ઘણા સારા સંબંધોનો અંત લાવી શકેછે. આપણે જે સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાના ખરેખર કારણ તરીકે જે મુદ્દાઓ કે પ્રસંગો જોયાં હોય તે માત્ર આપણા ખોટા તર્કને કારણે પણ હોઈ શકે. તેથી સંબંધિત વ્યક્તિ સાથે ઉપરના Tableમાં લખેલી અાપણી અપૂરી રહેલી અપેક્ષાઓ વિશે 'ખરા' તથા માની લીધેલાં કારણો વિશે નિખાલસતાથી વાતચીત કરવી ઉચિત છે. 

(૨) આપણા ધ્યાનમાં એવા પણ મુદ્દાઓ આવશે જેમાં જણાશે કે સંબંધોમાં આપણા તરફથી ઉમેરવાનું કંઈક ખૂટેછે. આપણા તરફથી થયેલી આવી કમીની આપણે નિષ્ઠાપૂર્વક વાત કરવી જોઈએ અને જે તે વ્યક્તિની અપેક્ષાએ આપણે ક્યાં ઊણા ઊતર્યા છીએ, અને તે ઊણપ આપણે કઈ રીતે પૂરી કરવા માંગીએ છીએ, તેની પણ વાત કરવી જોઈએ. સાચાં કે માની લીધેલાં કારણોની સંબંધિત વ્યક્તિ સાથે નિખાલસ ચર્ચા અનિવાર્ય છે. તમે જે કોઈ માની લીધેલાં કે ખરાં કારણો નોંધ્યાં છે તે પ્રત્યેક કારણ બાબતે સ્પષ્ટતા થઈ જાય તો સંબંધ ફરીથી જોડાશે એટલું જ નહિ, ખુલ્લા મનથી કરેલી વાતોને કારણે તે વધુ ઘનીષ્ઠ થઈ શકે છે.

ઉપરની વાતોને ધ્યાનમાં લઈ નીચે જે કાર્યયોજના સૂચવાઈ છે તે કદાચ ઉપયોગી નીવડશે.

૧. પ્રસ્તુતકર્તાના આ બાબતના વિસ્તૃત અનુભવના આધારે કહી શકાય કે કેટલીક વાર આપણા સંબંધી પાસેથી આપણી અપેક્ષાને મળેલો પ્રતિભાવ નિર્દોષ હોઈ શકે છે, પરંતુ આપણે તેને કટાક્ષમય અથવા ઉપેક્ષા સમજીને તેમના પ્રત્યે આપણા મનમાં એક ગ્રંથિ ઉભી કરી લઈને સંબંધને તોડવા સુધી પહોંચી જઈએ છીએ. તેથી કોઈ પણ બાબતમાં આપણને ગમે કે ન ગમે તેવું અર્થઘટન કર્યા વગર તે બાબતમાં મુક્ત મનથી નિખાલસ ચર્ચા કરવાથી આવી ઘણી ગેરસમજો દૂર કરી શકાશે. પરિણામે અત્યાર સુધી તંગ જણાતા સંબંધોને મજબૂતી બક્ષશે.

આ બધું તો બરાબર છે ; પણ આપણા મનને હજુ એક સવાલ મૂંઝવી રહ્યો હશે. 

આ ચોખવટની શરૂઆત કોણે કરવી ?

આ સવાલ ઊભો થવાનું કારણ જ એ છે કે આ સંબંધમાં મોટા ભાગે અહમનો પ્રશ્ન સંડાવાયેલો છે. અહીં આપણે આપણને ખુદને પૂછવાનો ખરો પ્રશ્ન છે :  મારે માટે વધુ અગત્યનું શું છે ? અહમ કે સંબંધ ? 

સાચા સંબંધમાં અહમને કોઈ સ્થાન નથી. બધા જ સંબંધોના પાયામાં પરસ્પરનો વિશ્વાસ અને પ્રેમ હોય છે. સૌએ અનુભવ્યું જ હશે કે અહમ સંબંધોને તોડી નાંખે છે. પછી, આ અહમ પૈસાનો હોય, પદનો હોય,  સત્તાનો હોય કે ભૌતિક સમૃદ્ધિનો હોય. ભૌતિક સમૃદ્ધિના પાયા પર જેસંબંધો રચાયા હોય છે તે લાંબો સમય ટકતા નથી ; એ તો હંમેશા ક્ષણજીવી નીવડવાના.

તંગ, તેમજ દૂરના કે વણસેલા સંબંધોને હાથ ધરતી વખતે સંબંધોના પાયાને ચકાસવો અત્યંત જરૂરી બનશે. તેની ચકાસણી કરતી વખતે આપણે પૂરેપૂરા પ્રામાણિક રહેવું જોઈએ. એક વખત એ સ્પષ્ટ થઈ જાય કે સંબંધોના પાયામાં પ્રેમ અને વિશ્વાસ મુખ્ય છે તો બીજી કોઈ વાત આડે આવતી નથી. અહમ પણ નહિ.

તંગ સંબંધોની આ ચર્ચા અને તેના પરના ઊંડા વિચાર બાદ હવે આપણે શું કરવા માંગીએ છીએ તેની આપણે કાર્યયોજના ઘડવી પડશે. તે કરીશું ત્યારે આપણા પ્રયત્નના અંતે જણાશે કે આપણાં બાળપણના કે દૂરના ભૂતકાળના આપણે મન મહત્ત્વનાં લોકો હતા, તેમનો સંપર્ક આપણે કેટલાંક કારણોસર ગુમાવી દીધો છે. હવે આ સંબંધ અંગેનાં કારણો જો ઉપર જણાવેલ કક્ષામાં આવતાં હોય તો આપણે એ સંબંધો ફરી બાંધવા જોઈએ. જો તમને એમ લાગતું હોય કે તેમ કરવાથી આપણે વધુ સુખી થઈશું તો તે કામ આપણે અવશ્ય કરવું જ જોઈએ.

Sunday, November 16, 2014

ંઅસ્થિર સંબંધોનું બાંધકામ (૧)

અસ્થિર કે નબળા પડી ગયેલા સંબંધ.

અસ્થિર, નબળા પડી ગયેલા કે ઘણા પાતળા સંબંધો બાબતે કંઈ પણ કરવું સહેલું હોતું નથી. સૌથી પહેલાં ક્યા સંબંધો અસ્થિર છે તેની પ્રતિતિ થતાં ઘણો સમય લાગી જતો હોય છે. અને તેનો ખ્યાલ ત્યારે આવે કે આવી વ્યક્તિ સાથેના સંબંધમાં સાતત્યનો અભાવ દેખાય.

આનો સાદો દાખલો જોઈએ.

‘ક્ષ’ નામની વ્યક્તિ આમ તો આપણા તરફ હંમેશા ઉપેક્ષા કે દુર્લક્ષ્ય દર્શાવે છે. કોઈ વાર અચાનક તેમનો આપણા પ્રત્યેના પ્રેમમાં એવો ઉછાળ આવે, સ્નેહના પૂરમાં આપણને એવા વહાવી દે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. કેટલાક સમય બાદ તેઓ મળે ત્યારે તે જાણે અાપણને ઓળખતા પણ નથી તેવું વલણ દાખવે. આપણે તેમની સાથે વહાલથી વાત કરવા જઈએ તો એવી ઠંડકથી આપણી સામે જોશે અને એક પણ શબ્દ કહ્યા કે બોલ્યા સિવાય ત્યાંથી ચાલતી પકડશે!  તેમના આવા વલણની પાછળ કદાચ કોઈ ગંભીર કારણો હોઈ શકે છે. આનો ઊંડો વિચાર કરીશું તો કદાચ જણાશે કે:

(૧) વ્યક્તિગત અનુકૂળતા, મદદ કરવાની ક્ષમતા અથવા ખાનગી સંજોગોને કારણે આપણે અને આપણા આ સંબંધી એકબીજાની જરૂરિયાતો કે અપેક્ષાઓ એક કે એકથી વધુ વાર પૂરી કરી શક્યા નથી.

(૨) બન્ને સંબંધિત વ્યક્તિઓ (આપણે અને આપણા આ સંબંધીઓ) એકબીજાની અપેક્ષાઓ સમજ્યા ન હોય અને તે બાબતે
અરસપરસ વાત ન કરી હોય. એ પણ શક્ય છે કે બન્ને વચ્ચે આ બાબતમાં લાંબા વખતથી કોઈ અર્થપૂર્ણ વાતચીત જ ન થઈ હોય. આમ અપેક્ષાપૂર્તિના અભાવથી તેઓ આપણી ઉપેક્ષા કરવા લાગ્યા છે.

(૩) અહીં મોટોમાં મોટો પ્રશ્ન આવે છે તે અહમ્ નો. ઃણી વાર આપણે બન્ને એકબીજાની મુશ્કેલીઓ જાણી શક્યા હોઈએ, પણ ત્યાં અહંકાર જાગે છે : 'ફરીથી સંવાદ કે સંબંધ ફરી સ્થાપવા માટેની શરૂઆત મારે જ શા માટે કરવી જોઈએ? સામેની વ્યક્તિ કેમ નહિ? જો તે પહેલ કરે તો હું દોડીને જઈશ અને તેને ભેટી પડીશ. પણ હું સામે ચાલીને જઊં અને તે ફરીથી મારી ઉપેક્ષા કરે તો મારૂં અપમાન ન થાય?' આ વિચાર બન્ને પક્ષોના મનમાં હોઈ શકે છે. આવામાં પહેલ કરવી તે કોણે, અને શા માટે આ સવાલ આ સંબંધોની વચ્ચે મોટો અંતરાય ખડો કરી શકે છે.
***
આ પ્રશ્નના કેન્દ્રસ્થાને એક વાત ભુલવી ન જોઈએ. જ્યારે આપણે આપણા સંબંધોની સૂર્યમાળા બનાવી ત્યારે આપણે જે વ્યક્તિઓનો તેમાં સમાવેશ કર્યો તેનો અર્થ સાફ છે કે તેઓ આપણા માટે અગત્યનાં છે. જો તેમ ન હોત તો આપણે તેમને સંબંધોની રેખાકૃતિમાં સામેલ જ ન કર્યા હોત. હવે આ ઘડીએ આપણે તેમનાં નામ આ પ્રક્રિયામાંથી કાઢી ન શકીએ કારણ કે તેઓ મહત્ત્વના છે જ. સંબંધોના આ પૃથક્કરણમાંથી તેમને બાકાત કરીને આપણી જિંદગીના એક હિસ્સાથી આપણે ભાગી રહ્યા છીએ એવું થશે. આ તો આપણાં સુષુપ્ત વ્યક્તિત્વના કોઈ એક ભાગનો વિચ્છેદ કરવાના પ્રયાસ સમાન છે તેથી તેમને બાકાત રાખવાથી આખરે ઈજા તો આપણને જ પહોંચશે. આ કારણસર આપણે આપણા ગ્રહમંડળનું ચિત્ર બનાવ્યું, તેમાં કોઈ સુધારા કરવાના ન હોય તેનું મહત્વ અહીં સમજાશે!

પાતળા કે અસ્થિર સંબંધોને ફરી જોડવા સંબંધે જે કામ કરવું પડશે તે ઘણે અંશે દુ:ખમય હોય છે અને ઘણો સમય માંગી લે છે. જો આપણા ગ્રહ મંડળમાં એકથી વધુ વ્યક્તિઓ સાથે અસ્થિર સંબંધ હોય તો સૌની સાથે એકી વખતે કામ કરવું સલાહભર્યું નથી. એક વ્યક્તિના સંબંધ વિશે જે મનોયત્ન કરવાનું થાય ત્યારે તેના પર જ મન અને ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. એથી વ઼ધુ વ્યક્તિઓ પર આ મનોયત્ન કરવા જઈશું તો કોઈને પણ આપણે ન્યાય નહિ આપી શકીએ. લેખકના એક મુલાકાતીએ આ પ્રક્રિયાને Tight rope walking - તંગ દોરડા પર ચાલવાનો પરિશ્રમ કહ્યો હતો! 

આ કાર્ય ખુબ સંભાળીને અને સંવેદનશીલતાથી કરવાનું છે. આગળનાં પાનાં પર આ કામ કેવી રીતે કરી શકાય તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તે માટે નીચેની વાતો ફરી એક વાર જોઈ જઈશું:

(૧) સંબંધોની સૂર્યમાળા અને સંબંધોની રેખાકૃતિઓનો ફરી એકથી કાળજીપૂર્વક અભ્યાસ કરીશું.

(૨) જે સંબંધોમાં આપણે તૂટક તૂટક રેખાઓ દર્શાવી છે તે આપણા માટે મહત્ત્વનાં છે, તેથી આપણા ગ્રહ મંડળમાં તેમને સામેલ કર્યા છે.
(૩) હાલના બારીક અથવા તો તંગ સંબંધો અંગે કામ હાથ ધરતી વખતે જે તે સંબંધના પાયાની ચકાસણી કરીશું. આ સંબંધના મૂળમાં જતી વખતે શક્ય તેટલા તટસ્થ રહેવાનું છે!

નીચે આપેલા મનોયત્ન માટે જે પ્રશ્નાવલી આપી છે તેની કેટલીક ઝેરોક્સ કરી લેશો. જે જે સંબંધો કાચા પડી ગયા છે તેમના વિશે કામ કરવામાં આ કામ લાગશે. અહીં યાદ રાખીશું કે બધા પ્રશ્નોના જવાબ પૂરી તટસ્થતાથી આપવાના છે.





 નોંધ: ઉપર તમારી અપેક્ષાઓનું સ્પષ્ટ વર્ણન કરશો. જેટલી અપેક્ષાઓ યાદ આવતી હોય તે બધી લખીશું, જેથી કોઈ વાત બાકી ન રહી જાય.  જે વાતની ખરાઈ ન કરી હોય કે જે વિશે ખાતરી ન હોય તે પણ અહીં લખશો.

હવે પછી કરવાના કાર્ય માટે ઉપર આપેલા જવાબ ઘણાં અગત્યના છે. તેથી વિચારી, સમજીને લખીશું.


Monday, November 10, 2014

સંબંધોનું બાંધકામ : કાર્ય પુસ્તકનું બીજું પગલું - આપ્તજન

આજનું કામ ઘણું મહત્વનું છે. સૌથી પહેલાં જેમને આપણે ઘનીષ્ઠ આપ્તજન માન્યા છે, તેમના વિશે વિચારમંથન કરવાનું છે. તેથી આ મનોયત્નમાં આપેલ દરેક પ્રશ્નને કાળજીપૂર્વક વાંચી, સમજી અને તેના જવાબ ટિકાટિપ્પણ કે પૃથક્કરણ દર્શાવેલ જગ્યામાંજ આપણે લખીશું.

(૧) અહીં યાદ રાખવું ઘટશે કે આ આખી પ્રક્રિયામાં આપણે આપણી જાતને તપાસી રહ્યા છીએ. તેથી શક્ય તેટલી તટસ્થતા અને પ્રામાણિકતાથી પ્રશ્નોના જવાબ લખવાના છે. કારણ આ પ્રક્રિયા દ્વારા સંબંધોમાં ઊભી થતી સમસ્યાને આપણે ઓળખવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

(૨) પહેલાં આપણા જીવનની સૌથી મહત્ત્વની વ્યક્તિ વિશે સૌ પ્રથમ લખીશું.

(૩) તે જ પ્રમાણે આપણી મૂલ્યવાન આપ્તેષટોની યાદીમાં પ્રત્યેક મહત્ત્વની વ્યક્તિ વિશે લખતા જવાનું છે.

(૪) બે વ્યક્તિઓ વચ્ચેનું પૃથક્કરણ બહુ કાળજીપૂર્વક કરવું જોઈશે. જરૂર લાગેતો પ્રત્યેક વ્યક્તિ વિશે લખ્યા પછી થોડો વિરામ લેશો.

(૫) આખી પ્રક્રિયા શક્ય તેટલી તટસ્થતાથી પૂરી કરવી જરૂરી છે. કેટલાક મૂલ્યવાન સંબંધોમાં કોઈ રોકાણ કે વળતર સંદર્ભે અપરાધભાવ અનુભવાતો હોય અને તેમાં ઊતરી જવાની લાલચ થશે, પણ તેમ ન કરશો. નિરાશ થવાનો કે અફસોસ કરવાનો આ સમય નથી. અત્યારે તો આપણે સંબંધોને પુનર્જીવીત કરવાના ઉપાયો શોધવાની પ્રક્રિયા કરીએ છીએ. જો નિરાશાનો અંધકાર દેખાય તો તેની ચિંતા ન કરવી. કારણ કે અંધકારના અંતે આપણે પ્રકાશની પ્રાપ્તિ કરવાની છે, અને તે જરૂર કરી શકીશું!

(૬) આખી પ્રક્રિયા દરમિયાન આપણે સકારાત્મક ભાવના રાખવાની જરૂર છે. આ કાર્ય પુસ્તકમાં કામ કર્યા બાદ આપણા જીવનમાં કંઈક સારું થઈ રહ્યું છે તેવી લાગણી રાખીશું તો આપણા મન પરના તાણની માત્રા ઘટશે. આપણે આપણા આંતરીક interactionમાં સારા મુદ્દાઓ શોધી કાઢીને સંબંધોને નવી દિશા આપવાનો માર્ગ શોધી રહ્યાં છીએ.


હવે આપણે ખરૂં કામ શરૂ કરીએ. નીચે દર્શાવેલ પ્રશ્નાવલીને કાગળમાં લખી દરેક પ્રશ્નની સામે આપણે જવાબ લખવાના છે. ફરી એક વાર યાદ રાખીશું કે અહીં આપણે સંપૂર્ણપણે પ્રામાણિકતાથી, તટસ્થતાપૂર્વક જવાબ લખવાના છે. દરેક વ્યક્તિ માટે આપણે જુદા જુદા કાગળમાં આ જ કામ કરવાનું છે.
છે ને આ પ્રક્રિયા મન અને શરીરને થકવી દેનારી! આપણી સૌની મનસ્થિતિનો ખ્યાલ રાખી હવે પછીનો અંક બે-ત્રણ દિવસ પછી રજુ કરીશ.

Sunday, November 9, 2014

સંબંધોનું બાંધકામ - કાર્ય પુસ્તકનું પહેલું પગલું.


હવે પછીની રજુઆત એક કાર્ય પુસ્તક તરીકે થાય છે. તેમાં આપેલા મનોયત્ન કરવા માટે જે માર્ગદર્શન જોઈએ તે આપવામાં આવ્યું છે. ‘જિપ્સીની ડાયરી’ના વાચકો માટે તો આની રજુઆત એક topical interest તરીકે કરવામાં આવી છે. આ કાર્ય પુસ્તકનો ઊપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે તે માટે અહીં માર્ગદર્શીકા તથા આગળનાં પગલાં રજુ કરવામાં આવ્યા છે. જેમને આ કાર્ય પુસ્તકનો અખતરો કરવો છે, તેમના માટે માર્ગદર્શનમાં  ‘તમે’ શબ્દ વાપર્યો છે.
***


શ્રી. ABCની જેમ તમે અત્યાર સુધી તમારા ગ્રહ મંડળની આકૃતિના નીચે મુજબના  ત્રણ પાસાઓ પર - Three Dimensional  કામ કર્યું : 

૧. અહીં તમે તમારા સૂર્ય મંડળના નજીકનાં ગણાય તેવા સહુને ઓળખ્યા અને તેમની સાથે તમારી દૃષ્ટીએ તેમની સાથે કેવો સંબંધ (ઘનીષ્ઠ, પાતળો કે ભગ્ન) છે તે દર્શાવ્યું ;
૨. બીજા પાસામાં આ સંબંધોમાં તમે ભાવનાઓ અને પ્રૅક્ટીકલ (આર્થીક કે જરૂરતના સમયે હાજર રહીને પ્રત્યક્ષ એવું) કેટલું યોગદાન આપતા આવ્યા છો, તે બતાવ્યું ;
૩. ત્રીજા  પરિમાણમાં તમારા યોગદાનને જોતાં તમારી ભાવનાત્મક કે અન્ય જરૂરિયાતોના સમયે સંબંધીત વ્યક્તિએ કેવું અને કેટલું યોગદાન કે પ્રતિભાવ આપ્યો તે દોર્યું.  

ઉપરનું ચિત્ર બનાવતી વખતે તેમાં તમારી આંતરીક ભાવનાઓ અને માન્યતાઓ પ્રદર્શીત કરી જ હશે. હવે આ ત્રણે પાસાઓ દર્શાવતી કુંડળીનું જ્યારે તમે મૂલ્યાંકન કરશો ત્યારે કદાચ તમને લાગશે કે તેમાં એક પાસો ઘટે છે : આ ચોથો પાસો કે dimension છે - સમય.

મહત્ત્વનો આ પાસો સંબંધોના નકશાને મૂલવવામાં બહુ જરૂરી છે. તમે તો જાણો જ છો કે, આ ગ્રહ મંડળમાં આવરી લેવાયેલ વ્યક્તિઓનાં સંબંધો કેટલા જૂના અને લાંબા ગાળાના છે. તેમની સાથે તમારા પરસ્પરનાં રોકાણ અને વળતરની તમને જાણ છે. હવે આ સંબંધ આજે - એટલે જ્યારે તમે આ ગ્રહ મંડળનું ચિત્ર બનાવ્યું, તે સમયે ક્યા તબક્કે છે? અત્યારે તે કેવી હાલતમાં છે? 

હવે પછીનાં પગલાં પદ્ધતિસર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 

દબાણ જનક સંબંધો: તમારા જીવનની આ મહત્વની બાબત વિશે આ પહેલાં કદી ન થયા હોવ તેટલા વધુ આત્મ-વિવેચક બનીને સંબંધોના લેવાણ-દેવાણ વિશે વિચારશો તો સ્પષ્ટ રીતે જણાશે કે છેલ્લી આકૃતિમાં કયા સંબંધો તમારા પર દબાણ જનક (stressful) છે. આ દબાણ એટલા માટે ઉભું થયું છે કે ક્યા સંબંધમાં તમારૂં રોકાણ કહો કે યોગદાન, ઘણું મોટું અને તમે પ્રદર્શીત કરેલી લાગણીઓ ઘણી આત્મીયતાપૂર્વક કરેલી છે, પણ તેની સામે તમને પ્રાપ્ત થતો પ્રતિભાવ છિછરો કે અપૂરતો છે. આવા સંબંધો ચિંતા જન્માવે અને તેનું પરિવર્તન માનસિક દબાણમાં થાય તે સહજ છે.

જે સંબંધો અંગે આપણે વિચાર કરી રહ્યા છીએ તેમાં કેટલી સ્થિરતા છે, કેટલા ડામાડોળ કે તેમાં ભંગાણ થવાની શકયતા છે તે અત્યાર સુધી કરેલા કામ દ્વારા જોયું. 

આપણે હવે કાર્ય પુસ્તકની પહેલી એક્સરાઈઝ તરફ આગળ વધીએ.

આજે આપણા ગ્રહ મંડળના છેલ્લા ચિત્ર તરફ જોઈ, તેમાં આપણે ઉમેરેલ વ્યક્તિઓને બે જુથમાં વહેંચવાની છે. 

૧. પહેલા જુથમાં આપણા અંગત મિત્રો, કુટુંબનાં સભ્યો અને આપણી નજીક હોય તેવા લોકોનો સમાવેશ થશે. 

૨. બીજા જૂથમાં રેખાકૃતિમાં દર્શાવાયું છે તેમ આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાંના લોકો, સમાન વ્યાવસાયિક અનુભવવાળા અને બીજા પરિચિતો જેમના આપણે સતત સંપર્કમાં છીએ તેમનો સમાવેશ થશે. જીવનમાં જુદા જુદા તબક્કે જે લોકો (આપ્તજનો સિવાયની વ્યક્તિઓ)નો સંપર્ક થયો છે તેવા લોકોને અલગ જૂથમાં મૂકવા જોઈશે. આનું મુખ્ય કારણ એ છે કે કુટુંબનાં સભ્યો તથા મિત્રો સાથેના સંબંધો કરતાં જેમની સાથે આપણે કામ કરીએ છીએ, એ કાર્યક્ષેત્રના લોકો અલગ કક્ષાએ છે. બન્ને જૂથનાં મૂલ્યો પણ જુદાં છે. પહેલા જૂથની વ્યક્તિઓ સાથે આપણો ભાવનાત્મક સંબંધ છે, જ્યારે બીજા સાથે વ્યાવસાયિક છે, અને તે સંબંધ માત્ર કામકાજને કારણે છે. આમ બેઉ જૂથોની અલગ અલગ વહેંચણી કરવાથી આપણે ખોટી સરખામણી કરવામાંથી બચી શકીશું. ઉદાહરણ તરીકે મારા ભાઈ કે બહેન સાથેનો મારો સંબંધ અને રોજ જેની સાથે અૉફિસમાં લંચ લઉં છું  તે સહકાર્યકરનો સંબંધ જુદો છે તે સહજ સ્પષ્ટ થશે. પ્રત્યેક જૂથની અલગ ઓળખ હોય છે ; તમે જાણો છો કે બહારના આ જૂથની પ્રત્યેક વ્યક્તિને અલગ વાતાવરણ મળ્યું હોય છે. તેમના પર વાતાવરણનાં દબાવ અને તાણ જુદાં હોય છે, તેથી તેની તમારા સંબંધના માળખા પર અસર પડ્યા વગર રહેતી નથી. આવી સ્થિતિમાં કામની તાણની અસર ક્યારેક આપણા કુટુંબના સભ્ય પર આવી પડતી હોય છે. જે ગુસ્સો બૉસ પર ઠાલવી શકાયો નથી તેનો ભોગ ભાઈ, બહેન, પતિ કે પત્ની બની શકે છે. કારણ કે આવી વ્યક્તિઓ આપણી સામે કોઈક કારણે આવી ગયાં છે. તેથી જ પ્રત્યેક જૂથ સાથેના અલગ સંબંધનું મૂલ્ય સમજાશે. આ વિભાજન, આપણને પ્રશ્નોના મૂળને ઓળખવામાં મદદરૂપ બનશે અને સમજાશે કે આપણે કેમ કોઈ પર ગુસ્સો પ્રગટ કરી બેસીએ છીએ!

સંબંધોની રેખાકૃતિનો ભાગ- ૧ તૈયાર કરવાની રીત :

અહીં આપણે સંબંધોના માળખાનું આખરી રૂપ નીચે આપેલા દાખલા પ્રમાણે તૈયાર કરીશું. ‘કૌન અપના - કૌન પરાયા’ની જેમ. આ માળખામાંથી કયા લોકો પહેલા અને બીજા જૂથમાં આવવાના છે તે નક્કી કરી તેમનું લિસ્ટ બનાવીશું.  જરૂર પડે તેમનાં ખરાં નામ લખવાને બદલે સાંકેતિક નામ આપવા હોય તે નક્કી કરીશું.


ભાગ–૧ પૂરો કર્યા પછી બીજા ભાગ તરફ જઈશું. તેની રજુઆત આવતા અંકમાં કરીશું. તેની તૈયારી માટે ઉપરના માળખામાં જે જે વ્યક્તિઓનાં નામ કે સંજ્ઞા લખી છે, તેના માટે એક-એક કોરો કાગળ જોઈશે. 

આજે બસ આટલું જ! હવે પછી આ કામમાં સાતત્ય રહે તે માટે એક એક દિવસના અંતરે નવું મનોયત્ન કે ચિંતન કરવાના મુદ્દા રજુ કરીશું.

સાચવશો.


Wednesday, November 5, 2014

સંબંધોનું બાંધકામ : પ્રથમ તબક્કો (ગયા અંકથી શરૂ)

ગયા અંકમાં શ્રી. ABCના ગ્રહ મંડળના અભ્યાસનો પ્રથમ તબક્કો જોયા બાદ ઘણા પ્રતિભાવ અને અંગત સંદેશા મળ્યા. 

એક વાતમાં મિત્રોની સહમતિ હતી કે ઘણી વાર આપણે કેટલાક સંબંધોને Taken for granted માનીને ચાલતા  હોઈએ છીએ. જ્યારે તેને Eco-map જેવા સાધનમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ઉપસેલું ચિત્ર જોઈને આશ્ચર્ય થાય. ગયા અંકમાં આપણે ત્રણ વાતો જોઈ, તેમાં છેલ્લી વાત હતી શ્રી. ABCની નજરે તેમણે તેમનાં સંબંધોમાં કેટલું ‘રોકાણ’ કર્યું હતું. 

આજે તેના બીજા ભાગમાં શ્રી. ABCએ કરેલા વિશ્લેષણ પ્રમાણે તેમના સંબંધોમાંના રોકાણના જવાબમાં તેમના આપ્તજનોનો પ્રતિભાવ કે વળતું રોકાણ કેવું હતું તે જોઈશું. આ કામ તેમણે અત્યંત પ્રામાણીકતાથી, ખુબ સમય લઈ, તેમના આપ્તજનો સાથેના વ્યવહારના વિવિધ પાસા અને પ્રસંગોનો જાયજો લઈ આ છેલ્લો એકો મૅપ બનાવ્યો. નીચે તેમણે દોરેલો તેમના ગ્રહ મંડળનો છેલ્લો નકશો આપ્યો છે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે તેમણે એક વાર પહેલો, બીજો અને ત્રીજો નકશો બનાવ્યો, તેમાં તેમણે જરા જેટલો ફેરફાર ન કર્યો. આથી જે છેલ્લો નકશો બન્યો તેમની આગળની કાર્યવાહીની blueprint છે. સંબંધોનું બાંધકામ તે પ્રમાણે થશૈ. 





 અહીં છેલ્લા નકશાનું પૃથ:કરણ (analysis) કરીશું.

શ્રી. ABCના તેમનાં બા, બાપુજી અને પત્ની સાથેનાં સંબંધ મજબૂત છે. પહેલેથી મજબૂત અને પ્રેમાળ સંબંધો તેમણે ધાર્યા હતા, અને તે જાળવવા માટે તેમણે તન, મન અને ધનથી પ્રયત્ન કર્યા હતા, એવો જ પ્રતિભાવ અને સ્નેહ તેમને તેમના તરફથી મળતો રહ્યો છે.
ભાઈ નંબર ૧ સાથેનો સંબંધ તેમની દૃષ્ટીએ રાબેતા મુજબનો હતો અને તેમાં તેમનું પોતાનું રોકાણ એવું જ સર્વ સાધારણ બે ભાઈઓ વચ્ચે હોવું જોઈએ એવું હતું. જ્યારે આ સંબંધમાં ભાઈ તરફથી આવતા પ્રતિભાવનું તેમણે વસ્તુનીષ્ઠ (objective) અવલોકન કર્યું તો જણાયું કે ભાઈનો તેમના પ્રત્યેનો સંબંધ નહિવત્ છે,  અને તેઓ ચોંકી ગયા. તેમણે તેમના પોતાના આ સંબંધમાં કરેલા રોકાણ પરથી માની લીધું હતું કે આ સંબંધ રાબેતા મુજબનો - એટલે બે સગા ભાઈઓ વચ્ચે હોવો જોઈએ તેવો અનૌપચારીક છે.
હવે તેમણે તેમના ભાઈ નં. ૨ સાથેના સંબંધનો વિચાર કર્યો તો જણાયું કે તેમનું આ સંબંધમાં રોકાણ વધુ ઘનીષ્ઠ હતું. જો કે ભાઈનું રોકાણ સર્વ સામાન્ય હતું. મુખ્ય તો બેઉ વચ્ચેના સંબંધોના લેવાણ દેવાણમાં સમાનતા નહોતી,  તે જણાઈ આવ્યું. આનું પ્રત્યક્ષીકરણ થયું ત્યારે તેમને વિચાર આવ્યો કે જે વાતનો ખ્યાલ તેમને હમણાં આવ્યો તે ભાઈ નં. ૧ની નજરમાં ઘણા સમય પહેલાં આવ્યો હતો તે શક્ય છે. આમ શ્રી. ABCએ તેમના બન્ને ભઈઓમાં કરેલા રોકાણના ભેદભાવનો ખ્યાલ ભાઈ નં. ૧ની નજરમાં કદાચ ઘણો વહેલો આવી ગયો હતો. તેથી જ શું તેમણે શ્રી. ABC સાથેનો સંબંધ બરડ કર્યો હતો અને હવે તે સાવ તુટી જવાની અણી પર હતો?
મિત્ર નં. ૧ સાથે શ્રી. ABCના સંબંધ સારા, પરસ્પર માન અને સમાનતાની ભાવના પર બંધાયા છે. અહીં તેમને ચિંતાનું કશું કારણ નથી.
આવી જ રીતે બહેન નં. ૨ તેમના સંબંધની વાત છે. 
ગ્રહ મંડળના આ સંબંધમાં શ્રી. ABCને સૌથી વધુ ચિંતાનો વિષય જણાયો હોય તો તે બહેન નં. ૨ સાથેના સંબંધની વાત છે. અહીં તેમણે જોયેલી વાતો આ પ્રમાણે છે: 

સંબંધોના ગ્રહ મંડળમાં કોણ કોણ છે, તેમાં બહેન નં. ૧નો સમાવેશ છે;
ગ્રહ મંડળમાંના દરેક તારક સાથે પ્રથમ દર્શનમાં જ શ્રી. ABCએ આ બહેન સાથેના સંબંધને બરડ લાગ્યો હતો અને તે પ્રમાણે તેમણે ટુટેલી રેખા વડે આ સંબંધ દર્શાવ્યો હતો. 
જ્યારે તેમણે આ સંબંધમાં તેમનું પોતાનું યોગદાન બતાવ્યું, તે પાતળી, પણ સકારાત્મક રેખાથી બતાવ્યું હતું. આમ કરવામાં તેમની પાસે નક્કર કારણો હોવા જોઈએ.
જ્યારે તેમણે શાંતિથી, ગંભીર વિચાર કરીને તેમના તાજેતરના અનુભવના આધારે આ બહેન તરફથી મળતા પ્રતિભાને જોઈ તેમને ખાતરી થઈ છે કે બહેન નં. ૧ તરફથી આ સંબંધ લગભગ પૂરો થયો છે, ભગ્ન થવાની અણી પર છે.   
છેલ્લે શ્રી. ABCના રહસ્યમય '?' સાથેના સંબંધની વાત. ગ્રહ મંડળના પહેલા નકશામાં તેમને સ્થાન આપવા છતાં બીજામાં આ સંબંધ ભગ્ન  થુયેલો દેખાયો. ત્રીજામાં શ્રી. ABC તરફથી પાતળું કેમ ન હોય રોકાણ છે, જ્યારે છેલ્લા નકશામાં '?' તરફથી કશો જ પ્રતિસાદ નથી. એક તરફી સંબંધમાં શ્રી. ABCએ ખાસ વિચાર કરવો જોઈશે અને આગળના કામનો નિર્ણય લેવો જોઈશે. કોઈ પણ સંબંધની વાત કરીએ તો તેમાં લાગણીનો અનુબંધ હોય જ, નહિ તો તેને સંબંધ ન કહી શકાય. તેથી આવા સંબંધમાં લાગણીઓનો દુર્વયય કરવાથી માણસને ખુદને નુકસાન પહોંચતું હોય છે.   

આમ સંબંધોના બાંધકામ માટે આપણે સૌએ આપણા પોતાના ગ્રહ મંડળના ચળકતા સિતારા અને અને લુપ્ત થતા તારકો અંગે કામ કરવાનું છે. ઉપર આપણી પાસે એક જીવંત લાગતા પણ કલ્પિત શ્રી. ABCના જીવનમાં ઉભી થેયલી સંબંધોની ઇમારત જોઈ.  એક વાત આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજમાં દરેક માણસનું સૃષ્ટીની આકાશગંગામાં તેનું આગવું ગ્રહ મંડળ છૈ. ઉપર આપેલા ઉદાહરણ સાથે તેનો જરા પણ મેળ ન બેસે તે સહજ સત્ય છે. જો કે દરેક ગ્રહ મંડળમાં રહેલા ગ્રહો વચ્ચે એક અદૃશ્ય ગુરુત્વાકર્ષણ રહેલું છે.  તેને ધ્યાનમાં લઈ સંબંધોનું બાંધકામ કેવી રીતે થઈ શકે?

આ પ્રશનનો ઉકેલ શોધવા આપણે આવતા અંકમાં પ્રયત્નકરીશું.

Saturday, November 1, 2014

સંબંધોનું બાંધકામ - પ્રથમ તબક્કો

આ શ્રેણીમાં અત્યાર સુધી ઉદાહરણ તરીકે બતાવાયેલા ગ્રહમંડળ એક અજ્ઞાત સજ્જન શ્રી. ABCએ કરેલા કામનાં છે. આજે આપણે તેમનાં ગ્રહ મંડળ પર કરેલા કામનું પૃથ:કરણ કરીશું. તેના પરથી ખ્યાલ આવશે કે તેમાંથી ક્યા નિષ્કર્ષ કાઢી શકાય છે. 

આજનું કામ એટલા માટે જરૂરી છે કે તેના આધારે આપણા પોતાના ગ્રહમંડળમાં જે આગળનું કામ કરવાનું છે તેનું મહત્વ ઓળખી શકાય અને તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીશું.

આકૃતિ ૧: આમાં આપણે શ્રી. ABCના ગ્રહ મંડળમાં આવી જનાર તેમના દરેક આપ્ત સ્વજન, મિત્ર તથા તેમના જીવનમાં જે જે વ્યક્તિઓ અગત્યની છે, તેમને તેમણે ઓળખ્યાં અને તેમને  તેમના સૌર મંડળમાં તેમનાં ઝળહળતા ગ્રહ, અને વેણીનાં ફૂલોમાં સમાવેશ કર્યો.

આકૃતિ ૨ : અહીંં આપણે જોયું કે શ્રી. ABCના તેમનાં બા, બાપુજી, પત્ની તથા ભાઈ નં. ૨ સાથે (તેમની દૃષ્ટિએ) અત્યંત ઘેરા સંબંધ છે. કેટલાક સંબંધ એટલા ઘેરા નહિ, પણ રાબેતા મુજબના છે, તે દર્શાવવા તેમણે આ ગ્રહોને પાતળી રેખાઓથી જોડ્યા. આમાં ભાઈ નં. ૧, બૉસ અને બહેન નં. ૨ આવી ગયા છે. ABCને તેમની બહેન નં. ૧ એક સાથેનો સંબંધ બરડ થઈ ગયેલો લાગ્યો, તેથી તેને ભગ્ન થયેલી રેખાથી જાહેર કર્યો. એ જ રીતે મિત્ર નં. ૨ વિશે પણ તેમની એવી જ માન્યતા છે. આપણને કુતૂહલ થાય તેવો તેમનો સંબંધ તેમણે એક વ્યક્તિ, જેને તેમણે સંજ્ઞા ‘?’ માં દર્શાવી છે, તેના વિશે છે. તેમની નજરમાં આ સંબંધ તૂટી ગયો છે. 

આકૃતિ ૩: આ ચિત્ર બનાવતાં પહેલાં તો બધું કામ વ્યવસ્થિત રીતે ચાલ્યું, પણ જ્યારે ગ્રહ મંડળમાં તેમણે આવરી લીધેલી વ્યક્તિઓ સાથેના સંબંધમાં તેમણે તેમની લાગણી, ધન અને પ્રત્યક્ષ મદદ - જેમકે તેમની માંદગીમા દોડી જઈને તેમના માટે દવા-દારૂ, ફળ ફળાદિ લાવવા અને અન્ય મદદ કરવામાં તેમણે કેટલો ફાળો આપ્યો, તે દર્શાવવા તથા આ સંબંધ જાળવવા માટે તેમણે કરેલા તેમના ‘રોકાણ’નું આ આકૃતિમાં દર્શન કરવાનું હતું, તેને કાગળમાં ઉતારતી વખતે તેમને ઊંડું આત્મમંથન કરવું પડ્યું. જ્યારે તેમણે આ બધી વાતો તેમના ગ્રહ મંડળમાં ઉતારી અને જે ચિત્ર ઉપસી આવ્યું, તે જોઈ ABCને પોતાને પણ નવાઈ લાગી.

અહીં આપણે આકૃતિ ૩ દોરાયા બાદ ઉભા થયેલ ચિત્રનું પૃથ:કરણ કરીશું.

૧. ઘેરી કાળી રેખાથી તેમણે દર્શાવેલા સંબંધોમાં તેમનાં બા, બાપુજી, ભાઈ નં. ૨ અને પત્ની આવી જાય છે. આ સંબંધો તેમના માટે અતિ મહત્વના છે, ઘેરા છે અને તેમાં તેમનું તન, મન અને ધનનું પૂરેપૂરૂં રોકાણ છે. ચિત્ર નં. ૨ તથા ૩માં તેમણે આ ઘેરી, કાળી રેખાઓ દોરીને દર્શાવ્યું છે.

૨. તેમની દૃષ્ટિએ 'રાબેતા મુજબના સંબંધો'માં તેમનાં બહેન નં. ૨, બૉસ તથા ભઈ નં. ૧ આવી જાય છે. અહીં તેમનું રોકાણ સામાન્ય એટલે મીઠું અને પ્રસંગોચિત છે. જેવા તેમનાં સંબંધ, એવું જ તેમનું તે જાળવા માટેનું રોકાણ છે.

૩.  આ સૌર મંડળમાં આપણા માટે રસપ્રદ અને ABC માટે જે સંબંધો ચિંતાજનક છે તે તેમણે આ રીતે દર્શાવ્યા છે:

a. બૉસ સાથે ABCના સંબંધ ‘રાબેતા મુજબ’ના છે, પણ તેને વધુ મજબૂત કરવા માટે તેમનું  ખુદનું રોકાણ ઘણું વધુ છે. આનું આત્મપરીક્ષણ કરવાથી તેમને જણાઈ આવશે કે આ માટે તેમણે શું શું કર્યું છે:  તેમને સોંપવામાં આવેલ કામને કુશળતાપૂર્વક અને સમયસર પૂરૂં કરીને?  વધારાનું કામ કરી આપવામાં તત્પરતા બતાવીને, કે પછી, પોતે કામમાં કાચા હોવાથી બૉસને અવાર નવાર ભેટ આપીને કે ખુશામત કરીને? આ બધાનો જાયજો લઈને તેમણે પોતાના રોકાણની ઘેરી કાળી લાઈન બનાવી છે.

b. મિત્ર નં. ૨: આ સંબંધ લગભગ તૂટી ગયો છે. તેને ટકાવવા તેમણે શું કર્યું છે, તેનો તેમણે પ્રામાણિકતાથી વિચાર કર્યો ત્યારે તેમને જણાયું કે તેમાં તેમનું કશું જ રોકાણ નથી. તે બતાવવા તેમણે તે પ્રમાણે સંબંધને ભગ્ન રેખા વડે અને રોકાણની રેખા સુદ્ધાં એવી જ રીતે દોરી આ સંબંધ તેમના તરફથી સમાપ્ત થયો છે તે દર્શાવ્યું છે. આપણા માટે પ્રશ્ન એ થાય છે, કે આ સંબંધમાં શરૂઆતથી જ આવી સ્થિતિ હતી તો તેમણે મિત્ર નં. ૨ ને તેમના ગ્રહ મંડળમાં સ્થાન શા માટે આપ્યું?

c. સૌથી ચિંતાજનક ચિત્ર ઉપસીને આવ્યું હોય તો ABCના બહેન નં. ૧ સાથેના સંબંધનું. તેમાં જોવાની બાબત એ છે કે ભાઈએ તો સંબંધ બરડ થયેલો બતાવ્યો છે, પણ તે બાંધવા માટે તેમણે કરેલું રોકાણ સકારાત્મક છે. આ તીર બનાવવા માટે તેમને મોટા આંતરિક પરીક્ષણમાંથી પસાર થવું પડ્યું હશે. અહીં તેમણે જરૂર વિચાર કર્યો હશે કે એવા કયા પ્રાત્યક્ષીક કાર્ય હતા જે દ્વારા તેમણે આ સંબંધ જાળવવા પ્રયત્ન કર્યો હતો, અને તેના પ્રત્યક્ષ દાખલા તેમને હજી યાદ છે.

d. આ જ પ્રમાણે ABCનાં રહસ્યમય સંબંધી ‘?’ની વાત આવે છે. શરૂઆતના ચિત્રમાં તેમણે આ સંબંધ સાવ ભગ્ન થઈ ગયો છે એવું બતાવ્યું છે. આનો અર્થ એવો થઈ શકે છે કે શ્રી. અબક આ સંબંધને અગત્યનો તો ગણે છે, તેમ છતાં તે ટૂટી ગયો છે. એટલું જ નહિ, તેને પુન:સ્થાપિત કે પુનર્જિવીત કરવા તેઓ કોઈ ને કોઈ પ્રકારે સ્થિરતાથી રોકાણ કરી રહ્યા છે. આ શું દર્શાવે છે?


આ બધી બાબતોનો જવાબ ABC હવે પછી જે મનોયત્ન કરશે તેમાંથી કદાચ નીકળી આવશે.

આવતા અંકમાં આપણે આગલું મનોયત્ન જોઈશું, અને શ્રી. અબકએ તે કેવી રીતે કર્યું તે પણ જોવા મળશે.

Wednesday, October 29, 2014

સંબંધોનો સેતુ (૩)



આજનું મનોયત્ન કરતાં પહેલાં ગયા બે અંકમાં જે વાતો કહી હતી તેના કેટલાક મુદ્દા ફરી તપાસીએ: 

આ કાર્ય પુસ્તકનો હેતુ આપણા સંબંધોની પુન: શોધખોળ કરવાનો છે. સૌ પ્રથમ આપણે આપણા જીવનમાં જે મહત્વની વ્યક્તિઓ છે, તેમને આપણાં અસંખ્ય પરિચીતોમાંથી અળગા પાડી તેમને આપણા હૃદયમાં ગૌરવ ભર્યા સ્થાનમાં મૂક્યા છે. તેથી જ તો આપણે તેમને આપણા ગ્રહ મંડળના નકશામાં મૂક્યા છે. આમ આપણા જીવનના મહત્વના સ્થાને રહેલા કેટલાક સગાં-સંબંધીઓ સાથેના આપણા સંબંધો એવા છે જે માટે તેમના પ્રત્યે આપણે ગૌરવ ધરાવીએ છીએ, અને અમુક એક કિસ્સાઓમાં આપણે તેમની સાથેના આપણા સંબંધો વિશે  થોડા ઘણા ચિંતીત છીએ. આમ આ એક જાત તપાસ છે, જેની  મદદ વડે આપણે આપણને આપણાં સંબંધો અંગેના કેટલાક મુંઝવતા પ્રશ્નોના જવાબો શોધી શકીશું.

આપણી યાત્રાના કેટલાક સહયાત્રીઓએ તેમના ઝળહળતા ગ્રહમંડળ વિશે પ્રતિભાવ મોકલ્યા ત્યારે એવું લાગ્યા વગર રહેતું નથી કે આવું અદ્ભૂત ગ્રહમંડળ આપણાં આપ્તજનોમાં જરૂર મળી આવશે. સાથે સાથે એ પણ શક્ય છે કે તેમાં કેટલાક એવા મિત્રો કે સ્નેહીઓ હોઈ શકે છે જેમની સાથેનાં સંબંધોમાં કોઈ અજાણ્યા કારણસર કચાશ આવી છે અથવા તેમાં તિરાડ પડી છે. આ કાર્ય પુસ્તકનો ઉદ્દેશ આવા સંબંધોના પાયાની તપાસ કરી, તેમને મજબૂત કરવામાં સહાયતા કરવાનો છે.

આપણાં સંબંધોના મૂલ્યાંકનમાં આપણે કરેલું પ્રથમ અને મહત્ત્વનું સોપાન તે આપણે તૈયાર કરેલું આપણું ગ્રહ મંડળ. આજનું કામ કરતાં પહેલાં વિચાર કરવો જરૂરી છે કે તેમાં કોઈ મહત્વની વ્યક્તિ બાકી તો નથી રહી ગઈ ને? જો અત્યાર સુધીમાં તેમનું નામ સુઝ્યું ન હોય તો તે આપણા માટે મહત્વના ન હોઈ શકે. અને હોય તો આ આપણા માટે છેલ્લો મોકો છે કે તેમનું નામ તેમાં નોંધી લઈએ.

આજે આપણે બનાવેલા આપણા સૂર્યમંડળમાં બે વાતોનો ઉમેરો કરવાનો છે. સૌથી પહેલાં કેન્દ્ર સ્થાને સૂર્ય - એટલે કે મારા વર્તુળથી દરેક વ્યક્તિના ગ્રહ સુધી નીચે પ્રમાણે રેખાઓ દોરવાની છે.  

ગાઢ સંબંધ દર્શાવવા માટે: ____________ (આ રેખા બને એટલી ઘેરી બનાવવી)

સારો સંબંધ પણ એટલો મજબૂત નહિ:   __________ (અહીંં પાતળી રેખા દોરવી.)
કાચો પડતો સંબંધ :                         - - - - - - - - - - (આ રીતે દોરશો)                          
તૂટેલો - કે તૂટવાની અણી પર આવેલો સંબંધ:   -  -  - -  // - - - - - આવી રીતે દર્શાવવાનો છે.

એક વાર ઉપર મુજબ રેખાઓ દોરાઈ જાય તો તેને બદલવી નહિ. આનું ખાસ કારણ એ છે કે મનમાંથી નીકળેલી પ્રથમ ભાવના સાચી હોય છે. કોઈ એક ખાસ વ્યક્તિના સંબંધ વિશે એક વાર લાઈન દોરાઈ ગયા બાદ તેના પર ફરીથી ઊંડો વિચાર કરવાથી હાલની પરિસ્થિતિને બદલે ભૂતકાળ દિવસોમાં તે સંબંધ કેવો હતો તેના આધારે તેમાં ફેરફાર કરવાની ઈચ્છા થશે ; અને તેવું કરવાથી અત્યારની સ્થિતિમાં તેની શી હાલત છે, અને તે બાબતમાં આપણે આગળ શું કરવાનું છે તેની કાર્યવાહી નક્કી નહિ કરી શકાય.. 

આ બાબતમાં એક દાખલો જોઈશું.

લંડનના અમારા એક ક્લાયન્ટ માજીને એક ૪૫ વર્ષનો સફળ વેપારી દીકરો અને તેનાથી નાની ત્રણ દીકરીઓ હતી. ત્રણે પુત્રીઓ પરિણીત હતી, તેમને બાળકો હતા અને લંડનમાં જ રહેતા હતા. માજી ૭૦ વર્ષનાં હતા અને મ્યુનીસીપલ કાઉન્સિલના વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. એક ના એક પુત્ર સાથે ન રહેવાનું કારણ માજીને અને પુત્રવધુને એકબીજા સાથે ફાવતું નહોતું. બન્ને વચ્ચે હંમેશા લડાઈ થતી રહેતી. પુત્ર સાથે ઊંડાણથી વાત કરતાં જણાયું કે તેમનાં લગ્ન બાદ એક વર્ષ સંસાર મજેથી ચાલ્યો. ત્યાર પછી તેમના કહેવા પ્રમાણે બહેનોની ચઢવણીથી માતાનો પુત્રવધુ સાથે અણગમો વધતો ગયો. તેમની સાથે રહેતી સૌથી નાની બહેનનાં લગ્ન થઈ ગયા બાદ પુત્ર અને પુત્રવધુને લાગ્યું કે હવે બહેનો પતિગૃહે ગઈ છે તો તેમની ઉશ્કેરણી ઓછી થશે અને સાસુ-વહુ વચ્ચેનાં સંબંધમાં સુધારો થશે. તેવું થયું નહિ. આખો દિવસ બહેનો માતાને ટેલીફોન કરતી રહેતી અને અંતે વાતાવરણ એટલું બગડી ગયું કે સંબંધોમાં વિસ્ફોટ થયો. માતાને વૃધ્ધાશ્રમમાં મોકલ્યા અને બહેનો સાથેનો સંબંધ તદ્દન સમાપ્ત થયો. 

હવે અમારા કહેવાથી આ ભાઈએ સંબંધોના સેતુ પર કામ શરૂ કર્યું. ગ્રહ મંડળમાં તેમણે માતા, પત્ની, ત્રણે બહેનો, બનેવીઓ, મિત્રો  અને આ કાઉન્સેલરનું નામ પણ ઉમેર્યું! બીજા ચિત્રમાં માતા અને બહેનો સાથેના સંબંધોનું પહેલું ચિત્ર બનાવ્યા બાદ થોડી વારે ફરી વિચાર કરી તેમાં સુધારા કર્યા. વળી પાછો વિચાર કરી તેમાં ફરી સુધારા કર્યા. આમ ત્રણ ચાર વાર થયા પછી પણ તેઓ નક્કી કરી શક્યા નહિ કે બહેનો અને માતા સાથેનાં સંબંધ ઘેરી લાઈનથી કે પાતળી અથવા તૂટક લાઈનથી બતાવવા. 

ભાઈ જ્યારે સોળ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. લગ્ન પહેલાં માતા અને ભાઈબહેનો વચ્ચેના સંબંધો આદર્શ હતા. એક બીજા વગર જમવા પણ નહોતા બેસતા. ભાઈ બહેનો સાથે મળીને ગીતો ગાતાં, ઉજાણીએ જતા અને માતા પર વહાલનો વરસાદ વરસાવતા. સંબંધોનો સેતુ બનાવતી વખતે તેમને આ જુની વાતો યાદ આવતી હતી, જેની સાથે ચાલુ પરિસ્થિતિનો મેળ બેસતો નહોતો. શું કરવું તે સમજાતું નહોતું. જિપ્સીએ તેમને સલાહ આપી કે જુનાં સંબંધોનો વિચાર કરવાને બદલે હાલના સંબંધો દર્શાવતો નકશો બનાવાય તો જ તેમનાં સંબંધોનું બાંધકામ કરવા વિશે ઉપાય શોધી શકાય. ભૂતકાળના સંબંધોનો ઉપયોગ કદાચ સંબંધોના રિપેરીંગમાં કરી શકાય, પણ તે આગળની વાત હતી. જો કે તેમ કરતાં પહેલાં પરિવારના બધા સદસ્યોએ પોતપોતાનાં સંબંધોના સેતુ પર કામ કરવું જોઈશે, એવું પણ જણાવ્યું. 

આમ હાલની સ્થિતિને નકશામાં ઉતારવી અત્યંત જરૂરી હોય છે. તેમ કરવાથી આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવતાં પાત્રો અને તેમની સાથેનો સંબંધ હવે સ્પષ્ટપણે દૃશ્યમાન થશે. 

આ પ્રક્રિયા પૂર્ણ થતાં મારા એક મિત્રે તેમના સંબંધોનું માનચિત્ર તૈયાર કર્યું તે નીચે પ્રમાણે છે. 


અહીં થયેલ ચર્ચા મુજબ તમે બનાવેલા તમારા ગ્રહમંડળમાં સંબંધોની રેખાઓ બનાવશો.

તમારૂં આ કામ પૂરૂં થઈ ગયા પછી એક બ્રેક લેવો જરૂરી છે. આગલો પ્રયોગ ખુબ સમજી, વિચારીને કરવાનો છે.

***

બ્રેક કે બાદ....

સંબંધોના નકશાનો પહેલો ભાગ તો તમે પૂર્ણ કરી લીધો. હવે એ જ નકશા પર આગળનું કામ કરવાનું છે. 

આ મનોયત્નમાં આપણે વિચારપૂર્વક નક્કી કરવાનું છે કે આપણા સૂર્ય મંડળના ગ્રહ સાથેના સંબંધમાં આપણા તરફથી કેટલો ફાળો આપવામાં આવ્યો છે. આ ફાળો આર્થિક, ભાવનાત્મક કે પ્રત્યક્ષ મહેનત દ્વારા આપ્યો છે તેનું સંયુક્ત ભાવ પ્રદર્શન સૂર્ય તરફથી એક તીરનું નિશાન બનાવી જે તે તારક સાથે જોડવાનું છે. જો તમને લાગતું હોય કે તમારો ફાળો સો ટકા હકારાત્મક છે, તો આ તીરની રેખા જાડી કરશો. કોઈ વ્યક્તિ પ્રત્યે સંબંધ સારો હોય, પણ એટલો ઘનિષ્ઠ નથી તેમના માટે રેખા પાતળી કરવી. જ્યાં સંબંધ નબળો હોય તેમના માટે તીરની રેખા તૂટક બનાવવી. 

કોઈ એક સંજોગોમાં એવું પણ બની શકે છે કે આપણે જેમની સાથે કાચો અથવા ભગ્ન થયેલો સંબંધ જોઈએ, તેમાં પણ આપણું પોતાનું યોગદાન મોટા પ્રમાણમાં હોય એવું આપણને લાગે. આવા સંજોગોમાં તો આપણે આપણા રોકાણનો જ વિચાર કરી આ રેખાને જાડી કરવી ઘટે. આનું કારણ આગળના મનોયત્નમાં દેખાશે.

આ કામ અત્યંત કઠણ છે. તે કરવા માટે ઊંડો વિચાર કરવો જોઈશે. આપણા જીવનના લાંબા અરસાનો હિસાબ કાઢી આપણે દરેક સંબંધમાં સિંચેલ આપણા દરેક પ્રકારના ફાળાનો વિચાર કરી આપણા આ સગાં કે સંબંધીમાં કરેલ રોકાણનું આ તીર દ્યોતક છે. ઘણી વાર તો એક બેઠકમાં આ માનચિત્ર તૈયાર થઈ શકે તેવું ન હોય તો બે કે ત્રણ વ્યક્તિઓમાં કરેલ આપણા રોકાણનાં તીર નોંધી બાકીના બીજા દિવસે કરવા. એક વાર તીર નોંધાઈ ગયા પછી તેમાં ફેરફાર કરવા નહિ. પહેલી વાર જે મનમાં ભાવ ઉપસી આવે છે તે બહુધા આંતરીક અને પ્રામાણીક હોય છે. 

આ કામ પૂરૂં થતાં આપણું સૂર્ય મંડળ કંઈક આવું દેખાશે.




આજે બસ આટલું જ. હવે પછીનું મનોયત્ન આવતા અઠવાડિયામાં કરીશું.