Monday, April 27, 2015

રેતીના કણમાં વસતું વિશ્વ



ગયા અંકમાં આપણે ફિલ્મોમાં રજુ થયેલા ભજન સાંભળ્યાં. જતાં જતાં ઉલ્લેખ થયો હતો સુફી ગીતો અને અભંગ - ઓવીનો. આજે તેનો સગડ લઈ ભક્તિગીતોની શ્રેણી પૂરી કરીશું. 

સુફી સંતોની પરંપરામાં ભક્તિના વિવિધ રૂપ જોવા મળે છે. તેમાં પણ પ્રેમલક્ષણા ભક્તિની છટા સ્પષ્ટ દેખાય છે. ક્યાંક ભક્ત અને પરમાત્મા વચ્ચે પ્રિયતમ/પ્રિયતમાનો સંબંધ છે તો ક્યાંક તેમને અહમ્ બ્રહ્માસ્મિનો સાક્ષાત્કાર અનલ હક્કમાં સાંપડ્યો. વાત એક જ છે - પરમાત્મા પ્રાપ્તિ. ભક્તિનાં બન્ને અંગોનું નિરૂપણ સુફી સંતોએ લોકભાષામાં કરી આ તત્વજ્ઞાન ઘર ઘરમાં પહોંચાડ્યું છે. સુફી પરંપરાનાં મૂળ પંજાબમાં ઊંડાં ઉતર્યાં હતાં અને પંજાબીમાં લખાયેલા ગીતો ઉત્તર ભારતમાં ઘણાં પ્રચલિત થયા. 

શીખ ધર્મનું તત્વજ્ઞાન અને સુફી પંથની વિચારધારા બે નદીઓનાં સંગમ સરખી છે. સંત બુલ્લેશાહની કાફીઓ  ભારત અને પાકિસ્તાનના ગાયકો કશા પણ ભેદ વગર ગાય છે. તેમના ગીતોમાં મંદિર, મસ્જીદ, વેદ, કુરાન મજીદ વચ્ચે કશો તફાવત નથી. આ વાત તેમણે એવી ભાવવાહી રીતે કહી કે મુસલમાન, હિંદુ કે શીખ ગાયકો અને તેમના શ્રોતાઓ ધર્મોનાં ભેદભાવ ભુલી તેમની રચનાઓનો આનંદ માણે છે. 

આજે સૌ પ્રથમ આપણે શીખ પંથના રોજ સ્મરાતા જપજી સાહેબની કડીઓ સાંભળીશું. જપજીની શરૂઆત થાય છે, “એક ઓમકાર, સતનામ, કર્તા પુરૂષ (અહીં પુરૂષ-પ્રકૃતિના સંદર્ભમાં વર્ણવાયેલ તત્વનો ઉલ્લેખ થયો છે), જે નિર્ભય, નિર્વૈર, નિરંકાર, અમર, અજન્મા, સ્વયંભૂ છે, એવા પરમાત્માનું નામ લઈ તેનું ધ્યાન ધરીએ છીએ. આ શાશ્વત સત્ય યુગોથી આજે, અહીં અને અત્યારે હાજર છે. ઓ નાનક, આ જ પરમ સત્ય છે.”

ગુરૂ નાનકદેવે રોજીંદા જપ માટે આ પરમ સત્ય સાદી સરળ ભાષામાં કહ્યું છે. શીખો માટે તે રોજીંદો જપ બની ગયું છે. શીખો તેનો ઉલ્લેખ હંમેશા માનવાચક ‘જપજી સાહેબ’ કરે છે. જપજીસાહેબની પૂરી સાખીઓ અહીં આપી નથી. તેનું સંક્ષીપ્ત રૂપ હર્ષદીપ કૌરે ગાયું છે. નાનક દેવે આખા ભારતનો પ્રવાસ કર્યો હતો અને મક્કા મદિનાની યાત્રા કરી આવ્યા હતા. આપને નવાઈ લાગશે કે મક્કા જવા માટે નાનકદેવની સમુદ્રયાત્રા કચ્છના લખપત બંદરેથી થઈ હતી. જપજી સાહેબની વંદનાનું સંક્ષીપ્ત સ્વરૂપ નીચે રજુ કર્યું છે. 



આપને તેનું વિસ્તૃત સ્વરૂપ અનુભવવું હોય તો નીચેનો વિડિયો જોવા વિનંતી. (આ આવૃત્તિ ૩૬ મિનીટની છે.)


***


સુફી પંથનાં મૂળ પંજાબ અને સિંધમાં ઊંડાં ઉતર્યાં હતાં.  મોટા ભાગનાં સુફી ગીતો પંજાબીમાં સાંભળવા મળે છે, અને તે ઘણાં પ્રચલિત થયા. તેમાં પણ બુલ્લેશાહ (અસલ નામ સૈયદ અબ્દુલ્લા શાહ કાદરી) અગ્રગણ્ય છે. તેમની સૌથી લોકપ્રિય કાફી છે "બુલ્લે કી જાણાં મૈં કોણ?" 

હું કોણ છું? હું શરીર છું, જેના પર ધર્મ, રાષ્ટ્રીયતા, પાપી કે પવિત્ર મહાપુરૂષનાં લેબલ લાગ્યાં છે? શું હું પાપીઓ વચ્ચે રહેલ પવિત્ર માણસ છું કે પવિત્ર વ્યક્તિઓ વચ્ચે રહેલો પાપી, ધર્મગુરૂ કે તેને અનુસરતા શિષ્ય, મોઝીઝ (મુસા) કે તેને તથા તેના અનુયાયીઓને મારી નાખવા માગતો ફૅરાઓહ છું? શું હું વેદ કે કુરાન જેવાં પવિત્ર પુસ્તકના લેબલથી સજાયેલ શરીર છું? ના, હું આમાંનો એકે'ય નથી. આવું હોય તો બુલ્લેશાહ, કહે, હું કોણ છું?

પ્રશ્નો પાછળ બુલ્લેશાહ એક તથ્ય કહે છે : મનુષ્યુનું અસલ સ્વરૂપ તો તેનો આત્મા છે, જેને કોઈ ધર્મ, ધાર્મિકતા, રાષ્ટ્રીયતા નથી. બસ આ આતમ તત્વને પિછાણ. આ પ્રશ્નો બુલ્લેશાહે તેમની કાફીમાં પૂછ્યાં છે. ગીત સરળ પંજાબીમાં છે, અને સમજાય તેવું છે. આ વિડિયોમાં અંગ્રેજી સબ-ટાઈટલ્સ છે, તેથી તેનો સંપૂર્ણ ભાવાર્થ અહીં આપ્યો નથી. ગાયક છે એક શીખ પૉપ ગાયક - રબ્બી શેરગીલ. રૉક સંગીતના વાદ્યો સાથે ગવાયેલા આ ગીતનાં શબ્દોની માર્મિકતા ગાયકે સરસ રીતે રજુ કરી છે. શરૂઆતના શબ્દો છે, “બુલ્લા તેં શું જાણ્યું કે તું કોણ છે?”  પછી જવાબમાં ગાય છે, “ના હું મસ્જીદ વચ્ચે ખડો મોમિન છું, નથી હું બિનઈસ્લામી વ્યક્તિની (કર્મકાંડની) રીત વચ્ચે છું કે નથી પવિત્ર માણસો વચ્ચે ઉભો પાપી; નથી હું વેદના ગ્રંથોમાં, કે નથી રહેતો હું ભાંગ અને દારૂબાજોની વચ્ચે રહેનાર માણસ…”

બુલ્લેશાહના ગીતમાં ગીતાનો સંદેશ સુંદર રીતે સમજાય છે. શરીરને આત્મા ન ગણો. આત્માને ઓળખશો તો ધર્મો વચ્ચેનાં ભેદભાવ આપોઆપ દૂર થઈ જશે. 

અહીં મૂકેલ સુફી સંગીતના બીજા ગીતના ગાયકો છે અમૃતસર જીલ્લાના વડાલી ભાઈઓ - પૂરણચંદ અને પ્યારેલાલ વડાલી. ગીતનાં શબ્દો સુંદર, સરળ અને અગાઉ જણાવ્યા પ્રમાણે પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ દર્શાવે છે. પહેલી બે કડીઓ સમજવામાં સરળતા થાય તે માટે તેનું ભાષાંતર કર્યું છે.  ગીતની આગળની કડીઓ સમજાય તેવી છે તેથી લેખને લાંબો કર્યા વગર તે છે તેવી રીતે રજુ કરવામાં આવી છે.




રબ-બંદે દી જાત ઈક્કો
જ્યોઁ કપડેદી જાત હૈ રૂઁ
કપડે વિચ જ્યઁો રૂઁ હૈ લુકયા
યૂઁ બંદે વિચ તૂ
આપે બોલે આપ બુલાવે
આપ કરે હૂં હૂં

(ભગવાન -  ભક્તની જાત જ એક
જેમ કાપડની જાત છે રૂ
કપડામાં છે રૂ છુપાયું
ખુદ બોલે અને (અમારી પાસેથી) ખુદ બોલાવે છે
કર્તા - કરાવનાર પણ તું જ.
તું માને કે ન માને, પ્રિયતમ
અમે તો તને જ અમારા પરમાત્મા માન્યા!

***
મહારાષ્ટ્રમાં મધ્ય યુગની સંત પરંપરામાં રચાયેલા ભક્તિ ગીતોમાં અભંગ અને ઓવીઓ હજી પણ એટલી જ લોકપ્રિય છે. પંજાબી કાફી અને સાખીની જેમ આનું કારણ પણ તેની લોકભોગ્યતા છે. સંત જ્ઞાનદેવ (જેમને મહારાષ્ટ્રમાં જ્ઞાનબા માઉલી - જ્ઞાનની માતા કહેવામાં આવે છે)ની કથા સૌ જાણે છે. વેદ-ઉપનિષદનું જ્ઞાન પોથીમાંનાં રિંગણાં ન બની રહે તે માટે તેમણે ગીતાની રચના સરળ લોકભાષામાં ઓવી સ્વરૂપમાં કરી. ગયા ૮૦૦ વર્ષથી ચાલી આવતી પંઢરપુરની ‘વારી’ (પગપાળા યાત્રા) કરવા જનાર મહારાષ્ટ્રની ગ્રામ જનતા આજે પણ ‘જ્ઞાનબા માઉલી’ અને તુકારામ મહારાજના અભંગ ગાતાં ગાતાં ચાલતાં જાય છે. અહીં જ્ઞાનેશ્વર મહારાજની એક રચના રજુ કરી છે. ગાયિકા છે લતાદીદી.  વિડિયોમાં આની રજુઆત એવી સુંદર રીતે કરવામાં આવી છે, અભંગની સાથે તેની મૂળ મરાઠી પંક્તિઓ અને તેનું અંગ્રેજી ભાષાંતર આપવામાં આવ્યાં છે. આમ વાચક/શ્રોતા આ અભંગનું ગેય રૂપ, તેનાં શબ્દો અને ભાવાર્થ, ત્રણેનો એક સાથે આનંદ અનુભવી શકે.




સંત પરંપરામાં બીજા મહાત્મા હતા દેહૂના સંત તુકારામ, નામદેવ, જનાબાઈ વિ. થઈ ગયા. નામદેવનાં ભજનો તો શીખોના ગ્રંથ સાહેબમાં સ્થાન પામ્યાં છે.  અહીં સંત તુકારામે રચેલું એક અભંગ ભારતરત્ન ભીમસેન જોશીના સ્વરમાં રજુ કર્યું છે.  


આ નાનકડા અભંગનો અર્થ ઘણો ગહન છે, અને ગ્રામ્ય લોકો તેને સમજી શકે તેવી લોકભાષામાં સંત તુકારામે રચ્યો.
આ સૃષ્ટિમાં માનવીનું શરીર એક અણૂ સમાન નાનકડો (थोकडा) છે, પણ તેમાં વસતો આત્મા આખા આકાશમાં વ્યાપે એવડો છે.
પંચ મહાભૂતથી બનેલા આ શરીરને કાળ ગળી ગયા પછી બાકી શું રહે છે? આ ભવના ભ્રમનો એક જ આકાર હોય છે!  
એક ત્રિપૂટી - કર્તા,  કાર્ય અને કારણ  અથવા જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય તે પણ વિરમી જાય છે અને રહી જાય છે આ ઘટ - શરીર. તેમાં જ્ઞાનનો દીપક પ્રગટે ત્યારે આત્માની વિશાળતાની 'આકાશ જેટલી' (आकाशा येवढा) અનુભુતિ થાય. તુકારામ કહે છે, આ અવસ્થામાં જીવ અને શિવના ઐક્યની સ્થિતિની અનુભુતિમાં તન્મય થવાય ત્યારે જીવનમાં એક જ ઉદ્દેશ બાકી રહી જાય છે : પરમાર્થ (પરોપકાર). 

અંતમાં જિપ્સીનું પ્રિય ભજન મૂકવાની રજા લઈશ. નરસિંહરાવ દિવેટિયાએ મૂળ અંગ્રેજી ભક્તિગીત "Lead kindly light / Among the encircling gloom"નું સુંદર અને ભાવવાહી રૂપાંતર કર્યું છે. ગાયક છે આશિત દેસાઈ. 










Friday, April 24, 2015

સુશ્રાવ્ય ભજન

આપણા સમાજમાં ભજનનું મહાત્મ્ય પૂરાતન કાળથી ચાલ્યું આવ્યું છે. ઋગ્વેદની ઋચાઓમાં નિસર્ગને પરમાત્માનું સ્વરૂપ માની તેનું શ્રેય તાલબદ્ધ સ્વરમાં ઉચ્ચારાતું આવ્યું. સમય જતાં સંગીત શાસ્ત્રનો વિકાસ થયો અને તેને પણ વેદોમાં સ્થાન અપાયું. સામવેદમાં સંગીતનો સમાવેશ થયો ત્યારથી જ કદાચ પરમાત્માની સ્તુતિ હંમેશા ગવાતી આવી છે. શીખોનાં દસમા ગુરૂ ગોવિંદસિંહ પરમ જ્ઞાની હતા. તેમણે અંતરજ્ઞાનથી જાણ્યું હતું કે કળિયુગમાં ગુરૂ પરંપરા જાળવવી હોય તો કોઈ વ્યક્તિને સમ્પ્રદાયનું ગુરૂપદ ન આપવું. તેવું કરવાથી તે વ્યક્તિપૂજામાં બદલાઈ જશે, અને પંથની ‘ગાદી’ તેમના લાયક કે અતિલાયક વંશજોની પરંપરાગત અંગત જાગિર બની જશે. તેમણે વ્યક્તિને બદલે ગ્રંથ સાહેબને ગુરૂપદ આપ્યું અને તેમાંનાં પદોને ‘ગુરબાની’ - ગુરૂઓની વાણી - કહી. તેમના નાંદેડ (મહારાષ્ટ્રમાં)ના વાસ્તવ્ય દરમિયાન તેમણે ગુરબાનીને સંગીતબદ્ધ કરી અને ગ્રંથસાહેબમાંનાં પદોને ‘શબદ’ કહી તેમને લોકોની વાણીમાં કાયમ કર્યા. આપ અમૃતસરના સુવર્ણ મંદિર (જેને શીખ ધર્મમાં ‘દરબાર સાહિબ’ કહેવામાં આવે છે)માં કે કોઈ ગુરૂદ્વારામાં જશો તો ત્યાં હાર્મોનિયમ, કરતાલ, ચિપિયા, તબલાંના સૂર-તાલમાં શબદ સાંભળવા મળશે!

ગુજરાત - મહારાષ્ટ્રની વાત કરીએ તો બન્ને પાડોશીઓની સંત પરંપરામાં પ્રભાતિયાં, અભંગ, ભુપાળી અને કિર્તન સામેલ થયાં. સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ટહેલિયા મહારાજ શેરીઓમાં ફરી - ‘જાગો જાગો જન જુઓ ગઈ રાત વહી’, ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયા’ જેવાં પ્રભાતિયાં ગાતા. આપણી બહુરત્ના ભારતની ધરાએ બહારથી આવેલા ધર્મોને પણ પોતાના પાલવમાં સંભાળી તેમને હાલરડાંઓમાં સંગીતની ગળથૂથી પાઈ. અમીર ખુશરોએ આ પરંપરા સૂફી ગીતોમાં ઉતારી અને કવ્વાલીઓમાં સંગીતની નઝાકતની સાથે શબ્દોનાં ઉચ્ચારમાં એટલી જ શુદ્ધતા જાળવી. ભક્તિગીતોની પરંપરામાં ફિલ્મો પણ રંગાઈ અને તેમાં કોઈ ને કોઈ સ્થળે ભજન, કવ્વાલી અને સૂફી ગીતો આવવા લાગ્યા. કેટલીક ઓછા બજેટની ફિલ્મોમાં ગીતકારને આપવા માટે વધારાની રકમ ન હોવાથી કબીરસાહેબ, મીરાં, જ્ઞાનદેવ અને તુકારામનાં ભજન, અભંગનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો.

આજે આપણે કેટલાક ખાસ પસંદ કરેલાં ભજન સાંભળીશું. સૌ પ્રથમ છે ગણેશ વંદના ‘એકદન્તાય વક્રતુણ્ડાય ગૌરીતનયાય ધિમહી’ છે. સંસ્કૃતમાં રચાયેલી કૃતિ વહેલી સવારે સાંભળશો તો મનને એવો આહ્લાદદાયક શાંતીનો લેપ આપશે, જે આખો દિવસ પ્રસન્નતા ફેલાવશે!



ગણપતિને પહેલાં સમરીને હવે સાંભળીશું કૌમુદીબહેન મુન્શીએ ગાયેલું પ્રભાતિયું :




કબીર સાહેબનાં ભજનો રૂપકના સ્વરૂપમાં હોવા છતાં સામાન્ય લોકો સમજી શકે તેવી રીતે રચાયા છે. તેમાંનું એક છે ‘કૌન ઠગવા નગરિયા લૂટલ હો”. અહીં કબીર સાહેબે માનવ શરીરને નગરની ઉપમા આપી છે અને મૃત્યુ રૂપી ઠગ તેને લૂંટવા આવ્યો છે. શરીર અને આત્માને તેમણે નવોઢા પત્ની અને તેના પતિ સાથે સરખાવ્યા છે. બન્ને એકમેકના પ્રેમમાં એટલા ઓતપ્રોત છે. ચંદનના પલંગ પર શરીર - દુલહિન - પડી રહેલ છે જ્યારે તેનો પ્રાણનાથ તેને એકલી મૂકીને ચાલ્યો ગયો છે. આ ભજનના ત્રણ વર્ઝન છે: આશા ભોસલેજીએ ફિલ્મ ‘અનકહી’માં સંગીતકાર જયદેવની સૂરસજ્જામાં રચાયેલ, જે અહીં રજુ કર્યું છે. બીજાં શાસ્ત્રીય સંગીત પર આધારીત છે, જે અનુક્રમે પંડિત કુમાર ગંધર્વ અને શ્રીમતી ગિરીજા દેવીએ ગાયાં છે, જેની link આપી છે.

Asha Bhosle



Kumar Gandharva

Girija Devi

***

મીરાબાઈના જીવન પર ઘણી ફિલ્મો બની. તેમાં સાવ જુદી ભાત પાડે તેવી એક જ ફિલ્મ છે. દિગ્દર્શક ગુલઝારે તેને પૌરાણીક કથાનું સ્વરૂપ ન આપતાં એક આધારભૂત જીવનકથા તરીકે ઐતિહાસીક અંદાજમાં રજુ કરી ફિલ્મ 'મીરા'. કથા, પાત્રાલેખન, અભિનય, સંગીત અને  દર્શનીયતા એવી બધી દૃષ્ટિએ આ સમગ્ર ચિત્રપટ સર્વાંગ સુંદર છે. પંડિત રવિશંકરે મીરાનાં ભજનોને એવી જ અદ્વિતિય શૈલીમાં ઢાળ્યાં અને એવી જ ખુબીથી ગાયાં વાણી જયરામે! અંગ્રેજીમાં જેને soulful rendition કહેવાય તેવી રીતે વાણીજીએ બધાં જ ભજનો ગાયાં. હેમામાલિનીએ મીરાના પાત્રમાં પ્રાણ રેડ્યો. સમય મળે તો આ ફિલ્મ જોવાની આપને ખાસ ભલામણ છે. આજે અહીં આ ફિલ્મનાં બે ભજનો પ્રસ્તુત કર્યાં છે: 



જો તુમ તોડો પિયા


આ ભજનનું એક version ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં સંધ્યાના અભિનયમાં લતાદીદીએ ગાયું છે. બન્ને ફિલ્મોમાં પ્રસંગ અને રજુઆત ભલે જુદી રીતે થઈ હોય, પણ મીરાનાં હૃદયનો અવાજ તેમાં જરૂર અનુભવાશે!

મીરાનું આવું જ એક ભજન લતાદીદીએ ફિલ્મ ‘તુફાન ઔર દિયા’માં ગાયું. આમાં નંદાનો અભિનય અને ગીતની રજુઆત, હૈયાનાં તાર હલાવી દે તેવાં છે.

પિયા તે કહાઁ - ‘તુફાન ઔર દિયા’


ઉપર એક આર્ટ ફિલ્મ ‘અનકહી’ની વાત કરી હતી. આ ફિલ્મમાં ભારતરત્ન પંડિત ભીમસેન જોશીએ એક ભજન ‘રઘુવર તુમકો મેરી લાજ’ સરળ, લોકભોગ્ય થાય તેવી રીતે ગાયું, જે અહીં રજુ કર્યું છે.



આજનો વિષય એટલો વિશાળ છે, એક અંકમાં તેને સમાપ્ત કરવું અશક્ય લાગ્યું. આવતા અંકમાં સુફી સંતોની કૃતિઓ, ગુરબાની અને મરાઠી અભંગ રજુ કરીશું. 

Thursday, April 2, 2015

સંગીત લહરી

સિને સંગીતમાં ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીતોનું માધુર્ય હંમેશા તાજું રહ્યું છે. આપણા સંગીતને ‘શાસ્ત્ર’ કહેવા પાછળ ઘણાં કારણો છે. તેમાં દરેક સૂરની વ્યુત્પત્તી (etymology)નું સંશોધન થયું છે ; કયો રાગ  કયા પ્રહર માટે ઉચિત, અસરકારક અને મંત્રમુગ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે, તેનો અભ્યાસ અને પ્રયોગ કર્યા બાદ તેની રજુઆત થવા માંડી. એવી જ રીતે આપણા વિવિધ પ્રદેશો તથા ઋતુને અનુરૂપ થાય તેવા રાગોની રચના થઈ અને તે લોકભોગ્ય થયા.

ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીત પર આધારીત અનેક ગીતો રચાયા. એવું નથી કે આવા બધા જ ગીતો લોકપ્રિય થયા. સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત - પ્યારેલાલના જીવન પર નસરીન મુન્ની કબીરના ‘મુવી મહલ’ના એક પ્રકરણમાં સ્વ. લક્ષ્મીકાંત કહે છે, "ફિલ્મમાં શાસ્ત્રીય રાગ પર આધારીત ગીતને મૂકવા માટે કેવળ સમયને અનુરૂપ હોય તેવા રાગનું composition કામ નથી આવતું. અહીં ફિલ્માતા પ્રસંગની ગંભીરતા કે હળવાશ, અને નાયક કે નાયિકાના મનોભાવને (moodને) વ્યક્ત કરવાનો પ્રયત્ન એટલો જ મહત્વનો હોય છે." ત્રીજી વાત તેમણે કહી તે હતી તેની ‘discability’! એટલે ગીત એટલું કર્ણ મધુર હોવું જોઈએ કે ગમે ત્યારે પણ તેની રેકૉર્ડ (કે સીડી) વાગે, તે સાંભળીને શ્રોતાને શ્રવણનો આનંદ આપી શકે. આ વાતમાં કેટલું તથ્ય છે તે જોવા અહીં તેમના બે ગીતો રજુ કર્યા છે. ૧૯૬૪માં નિર્માણ થયેલી ફિલ્મ ‘સતી સાવિત્રી’નું ગીત હજી પણ એટલું જ મધુર લાગે છે જેટલું તે સમયે હતું:

જીવન ડોર તુમ્હી સંગ બાંધી - લતાજી/લક્ષ્મીકાંત પ્યારેલાલ




લક્ષ્મીકાંત પ્યારેલાલના બીજા ગીતના શબ્દો - જે મારા માનવા પ્રમાણે ભરત વ્યાસજીએ રચ્યા - તેમાં પત્નીની પતિ પ્રત્યેની સમર્પણની ભાવના અને પતિની પત્ની પરત્વે માન, કૃતજ્ઞતા અને ગૌરવની ભાવના ઠેઠ સુધી છલકે છે. લતાદીદી અને મન્ના’દાએ આ ગીત એવી જ ભાવુકતાથી તેને ગાયું, આખું ગીત શ્રોતાને પતિ-પત્નીના સંબંધોની ઉદાત્તતા તરફ લઈ જાય છે. હાથ કંગનકો આરસી ક્યા? આપણે આ ગીત અનુભવીએ!






***
મુંબઈના ચિત્રપટ ઉદ્યોગમાં ઘણી સંગીતપ્રધાન ફિલ્મો બની. આપ તેમનાં નામ જાણો છો, તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. તેમાંની કેટલીક ચિરસ્મરણીય થઈ તો કેટલીક સમયના વંટોળિયામાં ખોવાઈ ગઈ. આવી ગુમ થવા આવેલી ફિલ્મોમાંના અદ્વિતીય ગણાય તેવા ગીત રજુ કરીશું.  એક નવજાત કુરૂપ બાળકને તેનાં માતાપિતા ત્યજી દે છે જેને એક સંગીતકાર ઉછેરે છે. પાલક પિતાના અવસાન બાદ સાવ એકાકિ જીવન જીવી રહેલ આ વ્યક્તિના હૃદયની વ્યથા મન્ના’દાએ એવી રીતે વ્યક્ત કરી છે, બસ, સાંભળતા રહીએ! 




આ  ફિલ્મના પાત્રે રફી સાહેબના અવાજમાં ગાયેલ ગીત એટલું જ સુંદર છે: 



સિને સૃષ્ટિમાં જેમના આગમનથી આગવો પ્રભાવ પડ્યો હોય તેવા એ સંગીતકાર હતા રોશન લાલ. તેમનું ૧૯૫૨ની સાલમાં સુરબદ્ધ કરેલું અને લતાદીદીએ ગયાેલું ગીત હજી પણ પ્રભાતના ઝાકળબિંદુ જેવું તાજું લાગે!




સી. રામચંદ્ર જેટલા મહાન સંગીતકાર હતા, એટલી જ તેમની ઉપેક્ષા થઈ. તેમના ગીતો અવિસ્મરણીય છે. જો કે કેટલાક ગીતો સમયના પડદાની પાછળ સંતાયા છે, પણ જ્યારે તે ડોકિયું કરી આપણી તરફ જુએ, હૃદયના તાર હલી ઉઠે! આ પહેલાં આપે તેમનું 'શિનશિનાકી બુબલાબૂ'નું ગીત 'હમ કિતના રોયે' સાંભળ્યું હતું. આવું જ એક હૃદયદ્વાવક ગીત છે ફિલ્મ ‘પરછાંઈ’નું, લતાદીદીના સ્વરમાં:



ફિલ્મ 'પરછાંઈ'ની વાત થાય ત્યાં સી. રામચંદ્રે  સંગીતબદ્ધ કરેલ તલત મહેમૂદની ગઝલ કેમ કરીને ભુલી શકાય? આજના અંકનું સમાપન તેમના ગીતથી કરીશું: