Sunday, February 27, 2011

NEW POST- Parikrama; PATNA BIHAR.

આ પહેલાં કિશોર કદી લાંબા પ્રવાસ પર ગયો ન હતો. મા અને બાબુજી સાથે તે અકબરપુર - રામ પ્રતાપ દાદાજીના ગામે જતો, તે કેવળ બે કલાકનો પ્રવાસ થતો. તે પણ માની પડખે બેસી, ઝોકાં ખાતાં ખાતાં તેના ખોળામાં માથું મૂકી સુઇ જવામાં પતી જતો. જીવનમાં પહેલી વાર તે લાંબા પાંચ કલાકના પ્રવાસે જઇ રહ્યો હતો. આજે તેની સાથે મા-બાબુજી નહોતાં, પણ પાછલા અકથ્ય વેદનામય દિવસોમાં તેને હૂંફ આપનારી બુઆ તેની સાથે હતી. બસમાં અજાણતાં કેમ ન હોય, માની જેમ જ બુઆએ તેને તેના ડાબા પડખામાં બેસાડ્યો હતો.
કંડક્ટરે બે વાર ઘંટડી વગાડી અને બસ ચાલવા લાગી. કિશોર બારીમાંથી બહાર જોઇ રહ્યો હતો. રસ્તાના કિનારે પીડબ્લ્યુડીએ વાવેલાં ઝાડવાં વેગથી વહી રહ્યા હતા. તે વિચારચક્રમાં પડી ગયો. સ્વપ્ન અને સત્ય વચ્ચેનું અંતર જાણવા જેટલી તેની ઉમર નહોતી, પણ ત્યારે થોડા દિવસ પર પરોઢિયે થયેલ પ્રસંગ તેની સ્મૃતીમાંથી હઠતો નહોતો.
મા-બાબુજીની અંત્યવિધિ પછીના ત્રીજા દિવસે સવારે લગભગ ત્રણ કે ચાર વાગે તે પથારીમાંથી સફાળો જાગીને બેઠો થયો. બુઆ તેની બાજુએ સૂતી હતી, પણ જાગતી જ હતી. તે પણ બેઠી થઇ અને પૂછ્યું, “શું થયું, બેટા? કોઇ સપનું જોયું?”
“ના બુઆ! સપનું નહોતું. અબ્બી હાલ મા અને બાબુજી મારી પાસે આવ્યા હતા. તેમણે ચળકતા સફેદ કપડાં પહેર્યા હતા. તેમના ચહેરા પર ચંદ્રની રોશની હતી. તેમણે હસીને મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ‘સંભાળીને રહેજે, દિકરા. ખુબ ભણજે. તારી બુઆને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખજે’ અને ધીમે ધીમે સામે પેલા દીવા પાસે ગયા અને ત્યાંથી ક્યાંક જતા રહ્યા,” કહેતાં તે રડી પડ્યો. રૂપે તેને નજીક લીધો, તેનાં આંસુ પાલવ વડે લૂછ્યા અને તેને ખોળામાં સૂવાડ્યો.
વિષ્ણુપુરમાં તેના ત્રણ દિવસ ઝડપથી વિતી ગયા હતા. મિત્રોને માંડ આવજો કહી શક્યો હતો. માસ્ટરજીનો પ્રિય વિદ્યાર્થી હતો. કેમ ન હોય? હંમેશા વર્ગમાં પહેલા નંબરે પાસ થતો હતો તે. હવે તેમને ફરી કદી મળી શકીશ? વિચારમાં ને વિચારમાં તેની આંખ મળી અને તે અભાવિત રીતે રૂપના ખોળામાં માથું મૂકી સૂઇ ગયો.
બિહાર શરીફ બસ સ્ટેશન પર આંચકા સાથે બસ ઉભી રહી ત્યારે ઉંઘમાં ને ઉંઘમાં જ તે બબડ્યો, “મા, હજી ઘર કેટલું આઘું છે?”
*********
િબહારમાં રસ્તાઓની હાલત તે સમયે જેટલી દયાજનક હતી એટલી જ ખરાબ હાલત બસ સેવાની હતી. સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં બસોની અછત હોવાને કારણે બસમાં બમણા-ત્રણ ગણા પૅસેન્જ્રરો પ્રવાસ કરવા માગતા. કેટલીક ખાનગી બસો ચાલતી, પણ તે નામની જ બસ હતી. ખટારામાં લાકડાની પાટલીઓ હોય અને તેના પર પ્લાસ્ટીકની પાતળી ગાદીઓ રિવેટથી ફિટ કરેલી હોય. સીટ કરતાં પૅસેન્જર વધુ હોવાથી ડ્રાઇવર બસને તેના નિયત સ્થાને ઉભી ન રાખતાં સ્ટૉપથી વીસ-પચીસ મીટર દૂર ઉભી રાખે. પૅસેન્જરો એટલા જ ચાલાક તેથી તેઓ પણ ત્યાં ઉભા રહેવા લાગ્યા. ત્યારથી ડ્રાઇવર ભીડ ક્યાં છે તે જોઇ બસ સ્ટૉપ પહેલાં કે તેથી આગળ બસ રોકવા લાગતા. કોણ કહે છે બિહારનાં ગામડાંના લોકો પછાત હોય છે? તેમણે બસ સ્ટૉપની નજીક અને આગળ સીમેન્ટના મસ મોટા - અને અલબત્ ગેરકાયદે - સ્પીડ બ્રેકર બનાવવાની શરૂઆત કરી. આ જાણે એક પૅટર્ન જ થઇ ગયો. ડ્રાઇવરને ફરજિયાત બસ ધીમી કરવી પડતી અને તેની લાગમાં બેઠેલા કે ઉભેલા પ્રવાસીઓ ઝપાટાબંધ બસમાં ચઢી જતા. અંદર જગ્યા ન હોય તો બસના છાપરા પર.
બિહાર શરીફમાં પ્રવાસીઓનો ધસારો થયો. બસ ખીચોખીચ ભરાઇ ગઇ પ્રવાસીઓની ધમાલ અને કંડક્ટરની બૂમાબૂમમાં કિશોર જાગી ગયો. બહાર એક પ્રવાસી કિશોરની બારી પર ભારે ગામઠી જોડાવાળો પગ મૂકી છાપરાની રેલીંગ પકડવાનો પ્રયત્ન કરતો હતો. તેનો પગ કિશોરના હાથની એટલી નજીક આવ્યો, રૂપે તેને ધમકાવ્યો. “અરે ભૈયા, જરા તો ખ્યાલ કરો! જુઓ, તમે મારા દિકરાનો હાથ છુંદી નાખ્યો!”
પ્રવાસી ઝંખવાણૌ પડી ગયો. “માફ કરજો, બહેન. હું પાછળ જઉં છું” કહી ત્યાંથી નીકળી ગયો.
ફોઇના કાળજીભર્યા શબ્દોથી કિશોરના મનમાં સુરક્ષીતતાની અને સ્નેહની સુંદર ભાવના જન્મ પામી.
સુષુપ્ત, સ્વપ્ન અને જાગૃત, એવી ત્રણે અવસ્થામાં આવન-જાવન કરતા િકશોરને સંાજના સમયે તેની બુઆએ કહ્યું, “કિશોર, બેટા ઉઠ. આપણે પટના પહોંચી ગયા છીએ. બસ હવે ઘર સાવ નજીક છે.” ધીમે ધીમે તેઓ બસમાંથી ઉતર્યા. રૂપે એક મજુરને બોલાવ્યો. મજુરી નક્કી કરી સામાન ઉતારાવ્યો. સૌને નજીકના ટેમ્પો સ્ટૅન્ડ સુધી લઇ ગઇ. ફરી એક વાર નયી કૉલોની સુધીનું ભાડું નક્કી કરવામાં થોડી રકઝક કર્યા બાદ સામાન ટેમ્પોમાં મૂકાવ્યો અને ફરીથી એક પ્રવાસ શરૂ થયો.
‘નયી કૉલોની’ નામથી ભલે પ્રતિષ્ઠીત લાગે, પણ અસલમાં તેની શરૂઆત ઝુંપડપટ્ટીથી થઇ હતી.
વર્ષો પહેલાં ડચ કંપની બાટા શૂ ફૅક્ટરીને પટના નજીક આરા રોડ પર ફૅક્ટરી નાખવાનું લાઇસન્સ મળ્યું, ગંગા નદીના કિનારાની નજીકના પચીસે’ક એકરમાં તેમણે ફૅક્ટરી બાંધવાની શરૂઆત કરી. કામ માટે આખા બિહારમાંથી મજુરો, બાંધકામ કરનાર કારીગરો, સુથાર વિગેરે મોટી સંખ્યામાં આવ્યા. ફૅક્ટરીથી થોડે દૂર ખુલ્લી સરકારી જમીનમાં તેમણે ઝૂંપડા બાંધ્યા અને રહેવાનું શરૂ કર્યું. ફૅક્ટરી બંધાયા બાદ તેમાં કામ કરવા માટે કૂશળ-અકૂશળ કામદારોની ભરતી થઇ. તેમણે પણ આ ઝુંપડાની નજીક કાચા-પાકા મકાન બાંધવાની શરૂઆત કરી અને તરત સ્થાનિક ભુ-માફીયા આવી ગયા. તેમના મસ્તાન - આપણી ભાષામાં ગુંડા - લાઠી અને ગંડાસા - એટલે ધારીયા લઇને ત્યાંના રહેવાસીઓ પાસેતી પ્રોટેક્શન મની લેવાની શરૂઆત કરી. ધીમે ધીમે નયી કૉલોની માફીયાઓની વોટ-બૅંક થઇ ગઇ. રાજકારણીઓએ વચન આપ્યાં કે તેઓ ચૂંટાઇ આવશે તો આ બસ્તી અધિકૃત કરવામાં આવશે. ધીમે ધીમે તેને ગ્રામપંચાયતનો દરજ્જો અપાયો અને નામ પડી ગયું “નયી કૉલોની”. ઝુંપડા અધિકૃત રીતે મંજુર થયા, પણ સફાઇ, સુએજ, કચરાનો નિકાલ વિગેરેની કોઇ વ્યવસ્થા ન થઇ. કૉલોનીના જુજ વિસ્તારમાં ગટર કનેક્શન અપાયા, પણ મોટા ભાગે કોઇ વ્યવસ્થા નહોતી થઇ. પરિણામે અહીં ધારાવી, કોલાબા વિગેરે જગ્યાઓમાં આવેલા સ્લમ વિસ્તારમાં એક પ્રકારની આછી દુર્ગંધ આવે છે, તેવી બદબૂ નયી કૉલોનીની વિશીષ્ઠ પહેચાન બની ગઇ.
કિશોર જ્યારે તેના નવા ઘેર પહોંચ્યો, તેના આગમનને દુર્ગંધની આ ‘પહેચાને’ આવકાર આપ્યો.

Saturday, February 26, 2011

પરિક્રમા - બિહાર ભાગ ૨: પ્રસ્થાન

૧૦.
રૂપનો તાર મળતાં જ રામ અભિલાષ અકબરપુર પહોંચી ગયો. બાટા કંપનીની કામદાર નીતિ સારી હતી તેથી તેને પાંચ દિવસની કૉમ્પેશનેટ લીવ મળી. રૂપે કિશોરની જવાબદારી લીધી તેથી તેને થોડી ચિંતા જરૂર થઇ: તેમના ખુદના ત્રણ બાળકો હતા અને દર મહિને પગારમાંથી માબાપને પણ પૈસા મોકલવા પડતા હતા. તેમ છતાં તેને પત્નિના નિર્ણય પર અભિમાન ઉપજ્યું. આવું પગલું એકલી રૂપ જ લઇ શકે, જેને પોતાના પરિવાર વિશે ગૌરવની તથા નિષ્ઠાની ભાવના હતી. રામ અભિલાષ તેના લગ્નજીવનમાં ખુશ હતો. એક તો તેની પત્નિ ખુબસુરત હતી, ગૃહકાર્યમાં નિષ્ણાત અને તેના માતાપિતાની અત્યંત ઇજ્જત કરતી હતી. ન કદી તેણે કદી કોઇ કરજ થવા દીધું હતું, ન તેણે પરિવારને કોઇ ચીજની ઉણપ ભાસવા દીધી. રામેશ્વરે અણીના વખતે મદદ ન કરી હોત તો તેના લગ્ન રૂપવતી સાથે થયા ન હોત, અને તેના વગરની જીંદગીની કલ્પનાથી જ તે કાંપી ઉઠ્યો હતો. વળી રામેશ્વરે ક્યાં ફળની આશા રાખીને પોતાનું કર્તવ્ય નીભાવ્યું હતું?
રામ અભિલાષે અકબરપુર પહોંચતાં વેંત કામ સંભાળી લીધું. તેણે પંડિતજીને બોલાવી એક દિવસમાં બધાં ધાર્મિક કાર્ય પૂરા કરાવ્યા. યોગ્ય દક્ષીણા મળે તો રાહુ-કેતુ-શનિ-મંગળ જેવા ગ્રહોને કાબુમાં રાખી શકનાર પુરોહિતજી માટે કશું અશક્ય નથી હોતું. પુત્રે કરવી જોઇતી ક્રિયા ગોર જાતે સદ્ગતના ‘ધર્મપુત્ર‘ તરીકે અધિષ્ઠીત કરીને પૂરા કરી શકે છે. ગામના પટવારી પાસે જઇને તેણે રામપ્રતાપના ઘર-બગીચાના સાત-બારના ઉતારામાં રૂપનું નામ કરાવ્યું. રજા પૂરી થઇ અને તે પટના જવા નીકળ્યો ત્યારે રૂપે તેને બાપુજીનો જુનો ઇસ્કોતરો લઇ જવાનું કહ્યું. તેમાં બાપુજીનાં જુના કાગળ-પત્ર, જમીનની માલિકીના દસ્તાવેજ, મિલીટરીની સર્વિસબુક, મેડલ તથા અગત્યનાં કાગળ હતા. જતાં પહેલાં તેણે પત્નિને ચારસો રૂપિયા આપ્યા. તેણે કંપનીમાંથી લોન લીધી હતી. રૂપને બે ઘર સમેટવાના હતા. વિષ્ણુપુરમાં કોના કેટલા પૈસા આપવાના હશે તેનો કોઇને ખ્યાલ નહોતો, રામ અભિલાષે તેની અંદાજી જોગવાઇ કરી હતી.
પતિ પટના ગયા પછી રૂપે ઘરનો બિનજરૂરી સામાન તથા જુની વસ્તુઓ ગરીબોને દાનમાં આપી અને ઘર બંધ કર્યું. ઘરની એક ચાવી માધોને આપી.
“માધોકાકા, બાબુજીનું ઘર હવે તમારે સંભાળવાનું છે. તેમનો બાગ તમે જ ઉભો કર્યો છે. તેમાંથી જે ઉપજે, તમારૂં જ છે. ના ન પાડશો. બનશે તો અમે કોઇ વાર તમને મળવા આવીશું.” માધો અને મિસરીના દુ:ખનો પાર નહોતો. મિસરીએ તેની ‘રૂબ્બતી’ને છાતી સરસી ચાંપી અને રજા આપી. “દિકરી, ટેમ મળે તો ચિઠી પતર લખી તારી ખુશહાલી જણાવતી રહેજે. અમે તો અભણ માણસ છીએ, પણ પંડિતજી પાસેથી ચિઠી વંચાવી લઇશું. અમને ભુલતી નહિ.”
આખું ગામ તેને મૂકવા બસ સ્ટૉપ પર ગયું. ભારે હૃદયે રૂપ બાળકોને લઇ ભાઇને ગામ વિષ્ણુપુર જવા નીકળી.
*********

રૂપ વિષ્ણુપુર પહોંચી તે પહેલાં જ રામેશ્વર-રાધાનાં સમાચાર ત્યાં પહોંચી ગયા હતા. બસ સ્ટૉપથી ગામ સુધી જવાના કાચા રસ્તા પર તે ચાર બાળકોને સાથે ચાલવા લાગી, ત્યારથી જ ગામના લોકો તેને મળવા આવવા લાગ્યા. બે ત્રણ યુવાનોએ તેનો સામાન ઉપાડી લીધો અને ઘર સુધી પહોંચાડી. ગ્રામવાસીઓ રામેશ્વરના ઋણી હતા. તેમની કચેરીમાં ખેડૂતોને હંમેશા કામ પડતું. તેમનાં તગાવી, ગ્રાન્ટ તથા સરકારી લોનનાં ફૉર્મ ભરી આપવાથી માંડી બડાબાબુ અને બ્લૉક ડેવેલપમેન્ટ અૉફીસર સાહેબ સુધી પહોંચાડવા સુધીનાં કામ તેમણે કરી આપ્યા હતા.
લોકો ઘેર ગયા બાદ રામેશ્વરના ઘરધણી અને તેમનાં પત્નિ રૂપ અને બાળકો માટે ભોજન લઇ આવ્યા. રાધા આ ઘરમાં છ-સાત વર્ષ રહી હતી તેથી તેમની સાથે ઘર જેવો સંબંધ હતો. ભોજન બાદ તેણે ઘરધણીને પૂછ્યું, “ગુપ્તા કાકા, ભૈયાજી તો ગયા. કિશોરને હું મારી સાથે લઇ જઉં છું. ઘરભાડાનો હિસાબ...”
“આ તું શું બોલે છે, રૂબ્બતી? તારા ભૈયાજી કદી કોઇનું ઉધાર નહોતા રાખતા. ઘરભાડું પણ અગાઉથી આપેલું છે. હિસાબમાં મારે જ તને બાકી રહેલા દિવસોનું ભાડું પાછું આપવાનું છે,” કહી ખિસ્સામાંથી પાકીટ કાઢવા લાગ્યા. રૂપે તેમને રોક્યા.
બીજા દિવસે સવારના પહોરમાં જ બજારમાં ગઇ અને દુકાનદારોને પૂછ્યું કે ભાઇ પાસે તેમની કોઇ રકમ લેણી નીકળતી હતી. ‘ના. તમારા ભાઇ બધું રોકડેથી લેતા.’
તેના માટે એક મોટું કામ બાકી હતું અને તે ભૈયાજીની કચેરીમાં જઇ તેમના અવસાનના સમાચાર ‘અૉફિશીયલી’ આપવાના હતા. રામ અભિલાષે તેના પાંચ દિવસના વાસ્તવ્ય દરમિયાન ડેથ સર્ટિફિકેટ મેળવ્યું હતું. તે લઇ અગિયારની બસ પકડી રૂપ નાલંદા ગઇ. આત્મવિશ્વાસપૂર્વક તે બડાબાબુ પાસે ‘પેશ’ થઇ તથા સરકારી કામગિરી પતાવી. બડાબાબુ તેને બીડીઓ સાહેબ પાસે લઇ ગયા. તેમણે દિલસોજી દર્શાવી. રામબાબુના પેન્શનના કાગળ વહેલી તકે મોકલી આપશે, તથા તે ભરવામાં કોઇ મદદની જરૂર હોય તો તેમનો સીધો સમ્પર્ક સાધવા કહ્યું.
રૂપ માટે હવે અત્યંત વ્યથા-સભર કામ કરવાનું બાકી હતું. રાધાભાભીએ પ્રેમથી સજાવેલ ઘર બંધ કરવાનું.
આ વખતે તેણે ઘરને નવી દૃષ્ટીથી નિહાળ્યું. આંગણામાં તુલસીનો ક્યારો હતો અને કમ્પાઉન્ડની દિવાલની પાસે પુલની ક્યારીઓ. ચમેલીની વેલ દિવાલ પર પાંગરી હતી. મોગરાના અને ગુલબાક્ષીનાં ફૂલથી નાનકડો બગીચો ફાલ્યો હતો. કોણ જાણે રાધા ક્યાંથી ‘ફુલકસીયા‘ - ફ્લૉક્સ-ના બીજ લાવી હતી, તે પણ ઉગી નીકળી આવ્યા હતા. એક ખુણામાં જમરૂખડી હતી. મકાનની લાંબી પરસાળના એક ખુણામાં પાર્ટીશન બાનવી તેમાં રાધાએ રસોડું બનાવ્યું હતું. રસોડામાં અભરાઇઓ હતી અને તેના પર પિત્તળનાં વાસણ ચળકતા હતા. એક ખુણામાં નાનકડી કોયલાની સગડી તથા સુંદર લીંપેલો નાનકડો ચુલો હતો. એક રૅક પર સમાન આકારના અનાજના ડબા હતા. ચુલાની સામે બે આસનીયા હતા. ભૈયાજી અને કિશોર માટે.
પરસાળના બીજા હિસ્સામાં ભીંતને અઢેલીને પહોળી પાટલી હતી - દિવાન જેવી. કામ પરથી આવ્યા બાદ ભાઇ અહીં બેસતા. રાધા તેમના માટે ચ્હા બનાવીને લઇ આવતી અને બાજુમાં રાખેલા મુંઢાના સ્ટુલ પર બેસીને વાત કરતી.
અંદરના એક ઓરડામાં ‘બેડરૂમ’ હતી. બીજો ઓરડો પૂજા, કિશોરના અભ્યાસ માટે કે કોઇ બેસવા આવે તો બેઠક તરીકે વપરાતો. અહીં રોજ સાંજે રામેશ્વર જમ્યા બાદ કિશોર પાસેથી પુસ્તક વંચાવતા. કોઇ વાર તે પોતે તેને વાંચી સંભળાવતા અને તેણે પૂછેલા પ્રશ્નોનો સમજાવીને ઉત્તર આપતા. કિશોરના પ્રિય પુસ્તકો હતા મહાન વ્યક્તિઓના જીવનચરીત્ર અને પરિકથાઓ. પૂજાના ખુણામાં રામ પંચાયતનનું ફ્રેમ કરેલ ચિત્ર, શિવલિંગ અને તેમની સામે લાલ કપડામાં લપેટેલું રામાયણ. એક દિવાલ પર રામેશ્વરના માતાપિતાની છબી હતી. બીજી દિવાલ પર સ્વામી વિવેકાનંદ અને લોકનાયકની છબીઓ. દર શનિવારે તેઓ અહીં રામાયણ વાંચતા અને રાધા અને કિશોર તેમની સામે બેસીને સાંભળતા. કોઇ વાર ગુપ્તાજી અને તેમનાં પત્નિ પણ આવીને બેસતા. રૂપવતી તેમની સાથે રહેતી ત્યારે તે પણ આ કૌટમ્બીક સત્સંગમાં ભાગ લેતી તે તેને યાદ આવ્યું. રાધા સાથે તે ગીતો ગાતી, તેણે કરેલા હાસ્ય વિનોદને સાંભળી તે ખિલખીલાટ હસતી. રસોઇ કરતાં પણ તે અહીં જ, રાધા પાસે શીખી હતી. આજે તેના પર આ જ ઘરની વસ્તુઓ ખાલી કરવાનો વારો આવ્યો હતો.
એક આનંદમય, સુખી ઘરનાં આત્મા અને પ્રાણ એક સાથે ચાલ્યા ગયા હતા અને તેના ખાલી ખોખાનો નિકાલ કરવાની જવાબદારી તેના માથે આવી હતી.
ભારે મનથી રૂપે બધી વસ્તુઓ ગરીબોમાં વહેંચી. બેડરૂમમાં બે ટ્રંક હતી તે ખોલી. એકમાં રાધાનાં કપડાં તથા અખરોટના લાકડાનો નક્ષીકામ કરેલ નાનકડો ડબો હતો. તેમાં સોનાની કાનની બૂટી, ચૂની, પાતળી ચેન, ચાંદીની ચાર બંગડીઓ અને ચાંદીના પાયલ હતા. રૂપે રાધાની ગોટાનું કામ કરેલી સુંદર સાડી - કદાચ તેના લગ્નના પોષાક તરીકે તેના પતિએ આપી હતી, તે અને ઘરેણાંનો ડબો ટ્રંકમાં મૂક્યા. સાથે કિશોરનાં કપડાં. બીજી ટ્રંકમાં રામાયણ, પૂજાની વસ્તુઓ, છબીઓ તથા તેમના અગત્યના કાગળ ભર્યા. બાકીના કપડાં ગામમાં વહેંચ્યા.
સવારે અંતરમાં વેદના સાથે તેણે ભાઇ-ભાભીના ઘરને અંતિમ નમસ્કાર કર્યા.
ગામના લોકોને જાણ થઇ કે રૂપ કિશોરને લઇને કાયમ માટે જાય છે, તેઓ તેને મળવા આવ્યા. યુવાનોએ તેનો સામાન ઉંચકી લીધો અને બસ સ્ટૉપ પર તેની સાથે ચાલવા લાગ્યા. રૂપની આંખમાં વર્ષા ઋતુ બેઠી હતી. તેણે કિશોરનો હાથ પકડ્યો હતો. રાકેશ, સરિતા અને નીતા તેની પાછળ ચાલતા હતા.
બસ આવી. જુવાનોએ રૂપની બન્ને ટ્રંક બસની છત પર ચઢાવી. ગામ લોકોએ તેને છેલ્લી વારના જુહાર કહ્યા. તે ક્યાં પાછી વિષ્ણુપુર આવવાની હતી?
લોકો ગયા. વહેતા આંસુઓને સારવા રૂપવતીએ આંખો બંધ કરી. એક ક્ષણ તેને લાગ્યું, આ રાત હતી અને બંધ આંખે તે દુ:સ્વપ્ન જોઇ રહી હતી. “ભગવાન, આ ખરાબ સપનું મહેરબાની કરીને ખતમ કરો. હું આંખો ખોલું તો મારી સામે ભૈયાજી અને રાધા ભૌજાઇના હસમુખા ચહેરા મને દેખાય!”
એટલામાં આંચકા સાથે બસ સ્ટાર્ટ થઇ. કંડક્ટર બસની ટિકીટ આપવા આવ્યો.
“એક પૂરી ઔર તીન આધી ટિકટ ભૈયા, પટનાકે લિયે.”
“બહનજી આપકે તો ચાર બચ્ચે હૈં!” કંડક્ટરે બાળકો ગણ્યા અને કહ્યું
રૂપના જીવનમાં એક નવું પ્રસ્થાન શરૂ થયું હતું તેનો આ સાક્ષાત્કાર હતો.

Friday, February 25, 2011

પરિક્રમા - બિહાર : ભાગ ૨ "ઘુવડ બોલ્યું"

રાધાના પિતા બલદેવ સહાયને પ્રથમ પત્નિથી ત્રણ સંતાન હતાં: રામદુલારી, શ્યામલાલ અને જસોદા. પત્નિનું અવસાન થયું ત્યારે તેઓ ૪૭ વર્ષના હતા. બે વર્ષ વિધુરાવસ્થામાં ગાળ્યા અને સગાં તેમની પાછળ પડી ગયા: ‘બીજાં લગ્ન કરો. ઘરડે ઘડપણ બે વખતનો રોટલો રાંધીને ખવડાવે અને સેવા કરે એવી પત્નિ લઇ આવો. દહેજ લેવાની ના પાડશો તો કન્યા-પિતાઓની તમારા આંગણે લાઇન લાગી જશે.’ ન્યાતમાં કન્યાઓની કમી નહોતી. એટલે સુધી કે પુરુષ કરતાં સ્ત્રીઓનું પ્રમાણ દોઢગણું હતું તેથી સાચે જ તેમના ઘેર વધુ-પિતાઓની અવરજવર શરૂ થઇ ગઇ. આમ પણ ઉત્તર ભારતમાં કહેવત છે કે ઘોડો અને માણસ કદી વૃદ્ધ નથી થતા. પુરુષ માટે આ કહેવત તેની બોજ કે જવાબદારી ઉઠાવવાની ક્ષમતા કરતાં તેની પ્રજનન શક્તિને ઉદ્દેશી બનાવાઇ છે તે સ્પષ્ટ છે.
ચકાસણી કર્યા બાદ તેમણે શાંતીદેવીને પસંદ કર્યા. બિહારના તે સમયના હિસાબે ૨૨ વર્ષની શાંતી લગ્નની ઉમર પાર કરી ચૂકી હતી. લગ્ન ન થવાનું કારણ સાદું હતું: શાંતીદેવી શ્યામ વર્ણનાં હતા. તેમના પિતાને ડર હતો કે જો બલદેવબાબુ તેને પસંદ નહિ કરે તો તે આજીવન કુમારીકા રહી જશે. તેમણે વાંકડો આપવાની પણ તૈયારી બતાવી. બલદેવબાબુએ કન્યા જોઇ, તેનો કરીક્યુલમ વિટા સાંભળ્યો અને દાયજો લેવાનો ઇન્કાર કરીને લગ્ન માટે તૈયાર થયા. મંદિરમાં લગ્ન કરી તેમણે કન્યાપક્ષનો મોટો ખર્ચ સુદ્ધાં બચાવ્યો અને પત્નિને ઘેર લાવ્યા. નવવધુને ખબર હતી કે પતિને ‘બાળકો’ છે, પણ તેમાંના બે તેમનાથી મોટા છે તથા મોટી દિકરી પરિણીત અને બે બાળકોની માતા હતી તેની તેમને જાણ નહોતી.
ત્રણ વર્ષ બાદ રાધાનો જન્મ થયો.
કડક સ્વભાવના પિતા, માતા પર અબોલ, પણ નજરથી ક્રોધ વરસાવનારા ભાઇ બહેનો, અસિમીત કામના બોજ નીચે ડૂબેલી માતાને રાધાએ કદી પણ ભૃકુટિ ભંગ કરતાં પણ જોઇ નહોતી. તેમનાં હોઠનાં ખુણાં પરમાત્માએ એવી રીતે સર્જ્યા હતા, તેમાંથી હંમેશા સ્મિત પ્રગટતું. આંખોની રચના એવી હતી, તેમાંથી સ્નેહ જ વરસતો.
રાધા ત્રણ વર્ષની થઇ ત્યારથી તે માતા સાથે નદીએ કપડાં ધોવા જતી. કપડાં ધોતી વખતે, સૂકવતી વખતે શાંતીદેવી નાનકડી રાધાને તેમની સાથે કજરી ગાવા કહેતી. “હાયે રામા બરખાકી આયી બહાર/સજનવા બરસન લાગી ફૂહાર” કાલા કાલા શબ્દોમાં રાધા ગાતી ત્યારે શાંતાદેવીનો હર્ષ ગગનમાં ન સમાતો. જેમ જેમ તે મોટી થતી ગઇ, તેમને રાધાની બુદ્ધિમતાનો ખ્યાલ આવતો ગયો. તેમણે તેને કજરીની સાથે હોરી, બસંત ગાતાં શીખવ્યા. મોસાળ મધુબનીમાં હતું તેથી ત્યાં શીખેલી કાયેથી ચિત્રકલા રાધાને વારસામાં આપી.
શાંતીદેવીએ રાધાને કોઇ શીખામણ ન આપી કે ન આપ્યો કોઇ ઉપદેશ. તેમણે તો તેમની અશિક્ષીત મા પાસેથી જે સાંભળ્યું અને જીવનમાં ઉતાર્યું તે રાધાને કહ્યું હતું. કહેવાય છે કે આપણું આચરણ હજારો શબ્દોનાં ઉપદેશ કે દોષ જાહેર કરતા હોય છે. તેમણે રાધાને પોતાની તળપદી ભાષામાં કહ્યું હતું, “દિકરી, સુખ અને દુ:ખ માણસના નજરિયા પર આધાર રાખે છે.”
આ નવ શબ્દોમાં તેમનું જીવન સમાયું હતું. તેમાં કોઇ મહાન તત્વજ્ઞાન છે એવું તો નહિ કહેવાય. વાત સરળ છે. જે કાંઇ કરીએ તે ખુશીથી કરીએ તો મન આનંદથી ઉભરાય. કોઇ મુશ્કેલીઓ આવે તો તેને જીવનની ગ્રીષ્મ ઋતુ સમજી સ્વીકારવી. તેના પગબળણાનો અનુભવ લીધો હોય તો જીવનની તડકીમાં બળતા અન્ય લોકોની વ્યથા આપણે સમજી શકીશું. તેમના પ્રત્યે આપણા મનમાં સ્વાભાવિક કરૂણા જન્મે તો તેનો આનંદ જુદા જ પ્રકારનો હોય છે. ગરમીના દિવસોને લોકો વિપદા કહે તો એ તેમનો દૃષ્ટિબિંદુ હોય છે. તેમાંથી દુ:ખ જ ઉપજશે.
આ હતું શાંતીદેવીની વાતનું તારતમ્ય. આ હતો શાંતીદેવીના જીવનનો સાર.
રાધા અગિયાર વર્ષની થઇ અને માતાનું અવસાન થયું. બુદ્ધિમતિ હોવા છતાં તેને ખબર ન પડી કે માતા કામના બોજને લીધે, પતિની ઉપેક્ષાને કારણે, કે જૉન કીટ્સે તેમનાં Ode to a Nightingale’માં વર્ણવેલા alien corn - ભાતીગળ વાતાવરણમાં આવી પડેલ બુલબુલની જેમ ગાતાં ગાતાં જ તે અવકાશના અંતરાળમાં વિરમી ગયા. શાંતીદેવી ગયા. માતાએ સંસ્કારોનો વારસો આપ્યો. મોટાભાઇએ કામનો બોજ સોંપ્યો. પિતા ઘણા વૃદ્ધ થયા હતા અને નવપરિણીત પુત્ર શ્યામલાલ તરફથી તેમની ઉપેક્ષા અને અવહેલના શરૂ થઇ ગયા. તેને કશું કહેવાની તેમની હિંમત નહોતી. રાધાની શાળા બંધ પડી. માતા જે કરતી આવી હતી તે હવે તેના ભાગે આવ્યું. રસોઇ, કપડાં, વાસણ, સાફ સફાઇ, પિતાજીની સેવા - આ બધું તે ગીત ગાતાં ગાતાં કરતી. માતાની જેમ. આનંદપૂર્વક.
પિતા તેની સેવા જોઇને છાનાં આંસુ ગાળી લેતા. રાધાને તેમણે ઘણો સ્નેહ આપ્યો. “તું મારી મા છો, રાધા. તેણે મને જે લાડ પ્યારથી મને મોટો કર્યો, એવી જ રીતે તું મારૂં ધ્યાન રાખે છે. ભગવાન તારૂં ભલું કરે.”
“તમે પણ શું બાબુજી! આ તે કંઇ કહેવાની વાત છે? તમારી દિકરી જ છું ને!”
નસીબની વાત છે. બાપુજીના અવસાન સમયે શ્યામલાલ કામ પર ગયા હતા. ઘરમાં બીજું કોઇ નહોતું, તેથી ગંગાજળ રાધાને હાથે સ્વીકાર્યા.

*********
રાધાને કોકિલ કંઠ તેની મા પાસેથી મળ્યો હતો તેણે તે કેળવ્યો. લોક ગીતો, લગ્નગીતો તે એવી મીઠાશથી ગાતી કે ગામમાં કોઇ લગ્ન હોય તો લોકો તેને ખાસ બોલાવતા.
આવા જ એક લગ્નમાં રામેશ્વરે તેને જોઇ અને ગીત ગાતાં સાંભળી. લગ્ન તેમની કચેરીના સાથીનાં હતા અને વર પક્ષના હોવાથી તેમને માનપાનથી અગ્રસ્થાન મળ્યું હતું. તેમણે મિત્ર પાસે રાધા વિશે પૃચ્છા કરી. તે અપરિણીત છે સાંભળી તેમણે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો.
આદર્શવાદી યુવાન રામેશ્વરે શરતો મૂકી: કન્યાને ફક્ત પહરેલે કપડે વિદાય આપવાની રહેશે અને કન્યાના લગ્નનો પોષાક પણ વર આપશે. લગ્નમાં વરપક્ષ તરફથી ફક્ત પાંચ માણસ હશે: રામેશ્વર, તેમના કાકા રામ પ્રતાપ, બહેન રૂપવતી, લગ્નસંબંધમાં મદદરૂપ થનાર તેમના મિત્ર અને મિત્ર પત્નિ, આર્યસમાજી પ્રથા પ્રમાણે લગ્ન તથા લગ્નભોજન નહિ યોજાય.
શ્યામલાલ તરત રાજી થયા. એક ભણેલા, સરકારી નોકર સાથે બહેનનાં લગ્ન થયા તેના આનંદ કરતાં સસ્તામાં કામ પતી ગયું અને બલા ટળી એની ખુશી વધુ હતી.
બિદાઇ વખતે પાડોશનાં ડોશીમાએ રાધાને કહ્યું, “ દિકરી, હવે તારા દુ:ખના દહાડા ગયા!”
રાધાએ હસીને જવાબ આપ્યો, “ઇમ્રતી માસી, મને ક્યારે દુ:ખ હતું? મારા મસ્તક પર માબાપનો હાથ હતો. મોટાભાઇનું હેત હતું. કદી રાતે ભુખી સુતી નહોતી. તન પર હંમેશા કપડાં હતાં, ઉપર છત હતી. હું તો હંમેશા સુખી હતી. પહેલાં પિયરમાં અને હવે દેવતા સમાન પતિના ઘેર.”
પંચમહાતત્વના બનેલા રાધાના શરીરમાં એવું કયું દિવ્ય તત્વ પરમાત્માએ ભેળવ્યું હતુ જેથી તે આવી અનન્ય-રૂપા સ્ત્રી બની હતી? આ વિચારથી રૂપની આંખમાં ઝળઝળીયાં આવી ગયા.
રાધા અને રૂપની વાત કહેનારે રાતના અંધકારમાં ઘુવડને પૂછ્યું: આ બે સ્ત્રીઓમાં અનન્યા કોણ છે? મારી વાતનો જવાબ આપીશ?
આ વખતે ઘુવડે એમ ન કહ્યું, “કદી નહિ, કદી નહિ.” તેણે મારી સામે અપલક નજરે જોયું, અને જોતું ગયું, જ્યાં સુધી મારા હૃદયે જ મને જવાબ આપ્યો ત્યાં સુધી.
“વિશ્વની દરેક સ્ત્રી પોતપોતાની રીતે અનન્ય છે.”

Thursday, February 24, 2011

પરિક્રમા - બિહાર : ભાગ ૨- અનન્યા!

૮.

રૂપવતીએ હવે કમર કસી. તેણે પરિસ્થિતિ પર કબજો લેવાની શરૂઆત કરી. તેણે માસ્ટરજીને બોલાવ્યા અને પતિને ટેલીગ્રામ કરવાની વિનંતી કરી. તેના પોતાના પરિવારમાં કોઇ નજીકના સગાં નહોતા. સુમિત્રા ફોઇ ત્રીસ વર્ષ પહેલાં દુષ્કાળ વખતે પતિ સાથે દેશ છોડીને ગઇ હતી તે પાછી આવી નહોતી. તે ક્યાં હતી તે કોઇ જાણતું નહોતું. રાધાને સાવકા ભાઇ બહેનો હતા. રાધાના લગ્ન બાદ તેમણે તેની સાથે કોઇ સંબંધ રાખ્યો નહોતો. તેમને ડર હતો કે તેમના પિતાના બિસ્માર મકાનમાં તે ક્યાંક ભાગ ન માગે! રાધાના ભાઇ શ્યામલાલની પુત્રીના લગ્નમાં તે રાધા સાથે ગઇ હતી, તેથી તેનું સરનામું તે જાણતી હતી. તેણે શ્યામલાલને પત્ર લખ્યો. બહેનોએ તો તેના પત્રની દખલ ન લીધી, પણ દસે’ક દિવસ બાદ શ્યામલાલ આવ્યા.
શ્યામલાલે રૂપવતીના આંગણામાં પ્રવેશતાં જ પોક મૂકી. “આ શો ગજબ કર્યો ભગવાન! મારી વહાલી બહેના રાધા! કેટલું વહાલ હતું તેને મારા પર અને ભગવાને અમારા આવો અન્યાય કર્યો! હે ભગવાન!” કહી તે જમીન પર બેસી ગયા, અને અશ્રુહિન આંખોને ખિસ્સા રૂમાલ વડે લૂછવા લાગ્યા. “મેં મારી બહેન પર મારી દીકરીની જેમ વહાલ કર્યું હતું, પણ ભગવાનને તે મંજુર નહોતું.....”
રૂપવતી તથા તેની પાસે બેઠેલી સ્ત્રીઓને તેની દાંભીકતા દેખાઇ આવી. કોઇ કશું બોલ્યું નહિ. એક મિનીટમાં તો તે સ્વસ્થ થઇ ગયા.
ભોજનનો સમય હતો. રૂપે તેમને ખાવાનું પીરસ્યું. જમીને મોટો ઓડકાર આપ્યા બાદ તેઓ ઉભા થયા.
“રૂપવતી, સારૂં કર્યું તેં અમને સમાચાર આપ્યા, નહિ તો અમને ખબર પણ ન પડી હોત. ચાલ, હવે મારે જવું જોઇએ. મારા ઘણાં કામ બાકી પડ્યા છે. સંભાળીને રહેજે. અને કોઇ કામકાજ હોય તો મને જણાવજે,” કહી બારણા તરફ પગલું ભર્યું. કિશોર તરફ તો તેમણે જોયું સુદ્ધાં નહિ. ‘આ બલા ક્યાંક મારા માથા પર ન આવી પડે!’
રાધા કશું બોલી નહિ, પણ મિસરી ચૂપ ન રહી. “અરે મામા શ્યામલાલ! તારો મતલબ શું છે? કહે છે મારે જવું જોઇએ! જરા તો શરમ કર! તારી વહાલી બહેનાનો દિકરો, તારો ભાણો કિશોર તારી જવાબદારી છે, અને તું બેશરમ થઇને તેને મૂકીને જાય છે? તેના માથા પર હાથ મૂકવા જેટલી પણ તારામાં શરાફત બાકી નથી રહી? વાહ મામા, વાહ!”
“અરે, હું તો કહેવાનું ભુલી ગયો! જો, રૂપવતી, આજકાલના મોંઘવારીના જમાનામાં એક વધારે પેટ પાળવાની મારી ત્રેવડ નથી. ખરૂં તો તેના બાપે - માફ કરજે - જીજાજીએ કશીક તો જોગવાઇ કરવી જોઇતી હતી ને? તેમણે તો કશું ન કર્યું, પણ મેં તો તપાસ કરી. અહીં આવતાં પહેલાં હું પટના રોકાયો હતો. ત્યાં એક સારૂં અનાથાશ્રમ છે. આપણે તેમને કશું દાન દેવાની જરૂર નથી. રૂપવતી, તું કહેતી હોય તો કિશોરને મારા ખર્ચે ત્યાં મૂકી આવું. કંઇ નહિ તો તેને બે વખતની રોટી, કપડા-લત્તા અને થોડું ઘણું શિક્ષણ મળી રહેશે. તું પટના રહે છે તો વારે-તહેવારે .....”
“મહેરબાની કરીને ચૂપ રહેશો, ભાઇસા’બ?” અત્યાર સુધી શાંત રહેલી રૂપ ઉભી થઇ ગઇ. તેનો ગૌર ચહેરો ક્રોધથી તપેલા તાંબા જેવો થઇ ગયો. તેનું શરીર કાંપતું હતું. પોલાદને પણ કાપી નાખે તેવા હિમ-શીત સ્વરે તેણે કહ્યું, “કિશોર મારો દિકરો છે. એને હું અનાથાશ્રમ તો દૂર, આપની પાસે પણ ન મોકલું, સમજ્યા? આવી નિમ્ન કક્ષાની વાત કરવી હતી તો અહીં આપને આવવાની કોઇ જરૂર નહોતી. અહીં આવવા માટે ધન્યવાદ. આવજો. રામ રામ.”
શ્યામલાલ આગળ કોઇ પ્રલાપ કરે તે પહેલાં વૃદ્ધ મિસરી બોલી, “શ્યામલાલ, હવે રસ્તે પડ, નહિ તો... તારી બસ નીકળી જશે.”
કોઇ અદૃશ્ય હાથે તેને લપડાક મારી હોય તેમ શ્યામલાલ ઝંખવાણો થઇ ગયો. તેણે બોલવાનો પ્રયત્ન કરી જોયો, પણ શબ્દો ન નીકળ્યા. સંતપ્ત રૂપવતીએ કેવળ હાથ જોડીને નમસ્કાર કર્યા. શ્યામલાલ તો રૂપવતીની દયા કે ઘૃણાને પણ લાયક નહોતો.
હોઠ ફફડાવી, માથું હલાવી શ્યામલાલ ચાલવા લાગ્યો. શરમના માર્યા તેણે પાછળ જોવાની હિંમત ન કરી.
રૂપ બારણા સુધી પણ ન ગઇ. કિશોરને અંકમાં લઇ તેના મસ્તક પર સ્નેહાળ હાથ ફેરવતાં રાધાનો વિચાર કરવા લાગી. વૃદ્ધ પિતા, ભાઇ અને બહેનોની સેવામાં જીવન ન્યોચ્છાવર કરનાર સુચરિતા રાધાને સાવકો કેમ ન હોય, પણ આવો ભાઇ હતો?
તેને પિતાએ રાધાના કષ્ટમય જીવન વિશે કહેલી વાતો યાદ આવી. રાધાએ તો તેની વહાલસોયી માતાની સુખદ છાયાની, તેના સાન્નિધ્યના આનંદની જ વાતો કહી હતી. મુશ્કેલીમાં પણ કોઇ આનંદથી જીવી શકે છે? કોઇની વાત તો અલગ હોઇ શકે, પણ આ તો રાધા હતી.
અનન્યા!

પરિક્રમા - બિહાર : ભાગ ૨ (ક્રમશ:)



ભાઇ ભાભીની રાહ જોઇ જોઇને રૂપવતીએ બાળકોને જમાડ્યા અને તેમના આવ્યા પછી સાથે જમીશ, એવા ઇરાદાથી તે પરસાળમાં બેસી રહી. મિસરી તેની પાસે બેઠી હતી અને બાળકો પછીતમાં આવેલી તેમના ઘરની નાનકડી અર્ધા એકરની વાડીમાં રમતા હતા.
“મિસરીકાકી, બિહાર શરીફથી અહીં બસ કેટલા વાગે આવે છે?”
“રૂબ્બતી, ટેમ તો થઇ ગયો છે. રામબાબુ અને બહુજી આવતા જ હશે.”
વાતને એકાદ કલાક થયો હશે ત્યાં દૂરથી જાણે ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવ્યો. દસેક મિનીટ બાદ ફરી ‘ફટાકડા’ ફૂટ્યા. મિસરી એકદમ ઉભી થઇ ગઇ અને રૂપનો હાથ પકડી બોલી, “અંદર ચાલ. જમીનદારના મુસ્ટંડા કો’કની જાન લેવા ગોળીબાર કરી રહ્યા છે.”
અંદર જઇ તેણે તથા રૂપે બાળકોને ઘરમાં બોલાવ્યા અને બારી-બારણાં બંધ કરી નાખ્યા. રૂપનો જીવ હવે અદ્ધર થયો. તેણે રામનામ જપવાનું શરૂ કર્યું અને બારણાની તિરાડમાંથી જોવા લાગી કે ભાઇ ભાભીના આવવાના કોઇ અણસાર દેખાય છે કે કેમ. અહીં મિસરી તેને પરાણે બેસાડવાનો પ્રયત્ન કરતી હતી. યુગ જેવા લાગતા સમય પછી તેણે ફરી એક વાર બહાર જોયું તો કેટલાક લોકો તેના ઘર તરફ આવી રહ્યા હતા. રૂપના હૃદયમાં ફાળ પડી. તેણે બારણું ખોલ્યું અને બહાર દોડી. તે કાંઇ બોલે તે પહેલાં બાંકે દુકાનદાર બોલ્યો, “ગજબ હુઇ ગવા, રુબ્બતી. તોહાર ભૈયા-ભાભી અબ નાહિ રહીલ..”
રૂપના ધીરજની પરાકાષ્ઠા આવી હતી. તે રડી પડી. “મારા ભૈયાજી-ભાભી તો ઠીક છે ને? ક્યાં છે? શું થયું છે તેમને?” કહીને જે દિશામાંથી લોકો આવ્યા હતા ત્યાં દોડવા લાગી. બહાર નીકળેલી સ્ત્રીઓએ તેને રોકી, અને....
આગળ જે થતું ગયું તે વર્ણવવાની મારી શક્તિ નથી.
લોકોએ તેને આગળ જવા દીધી નહિ. જે હાલતમાં તેનાં ભાઇ ભાભીનાં મૃત શરીર પડ્યા હતા તે જોઇને કોઇનું પણ હૃદય છિન્ન-વિચ્છીન્ન થઇ જાય. વળી જ્યાં સુધી પોલિસ ‘લાશ’ની ઇંક્વેસ્ટ ન ભરે ત્યાં સુધી “ગુનાના સ્થળ” પર જવાની કોઇને રજા નહોતી.
ગામના મુખીએ શબની સાચવણી કરવા ગ્રામ રક્ષક દળના બે-ત્રણ જવાન અને કેટલાક લોકોને ત્યાં મૂક્યા.
બીજા દિવસે સવારે નજીકના થાણામાંથી બિહાર મિલીટરી પોલિસ અને સર્કલમાંથી પોલિસ સબ-ઇન્સપેક્ટર આવ્યા. સરકારી કામગિરી કરી, શરીરને સફેદ કપડાથી ઢાંક્યા. તેમની ઓળખ કરવા માટે રૂપવતીને તે સ્થળ પર લઇ ગયા ત્યારે તે સાવ ભાંગી પડી.
હજી જેને ૨૯ વર્ષ પણ નહોતાં થયા એવી હસમુખી, નમણી યુવતિ પર તો દુ:ખનો પહાડ તુટી પડ્યો. પંદર દિવસમાં તેનું આખું પિયર તહેસ-નહેસ થઇ ગયું હતું.
સ્નેહાળ માતા પિતાએ તેને જન્મ આપ્યો હતો. રાધા તથા રામેશ્વરે તેના સર્વાંગીણ - વૈચારીક, સીધી સાદી દેહાતી આધ્યાત્મિકતાનું તથા સાંસારીક વિકાસનું ઘડતર કર્યું હતું. તે દસ કે બાર વર્ષની હતી ત્યારે રામભૈયાનાં લગ્ન થયા હતા અને ત્યારથી તે તેમની સાથે રહીને ઉછરી હતી. પિતાને વર્ષમાં જ્યારે રજા મળતી ત્યારે તેઓ આવતા પણ બાકીના સમયમાં તેને અભ્યાસ, રામાયણનું વાચન અને ગૃહિણીનાં કર્તવ્યની કેળવણી તો ભાઇ ભાભી પાસેથી જ મળી હતી, જે તેનો ભાવનાત્મક આધાર હતા. પિતા રિટાયર થઇને આવ્યા ત્યારે તે તેમની સાથે રહેવા ઘેર ગઇ હતી. આજે તે સાવ ભાંગી પડી. આજે ભાઇ-ભાભી સાથે વિતાવેલા સમયની એક એક ઘડી તેની અંતર્દૃષ્ટિ સામે સ્પષ્ટ રીતે ઉભરીને આવતી હતી. વેદનાની લાગણીના પૂરમાં તણાઇને ડૂબી જતાં વારે વારે બેભાન થઇ જતી હતી.
આપણો સમાજ પણ અજબ છે. આમ તો પાડોશીઓમાં ઘણી વાર એકબીજાની કુથલી, ઇર્ષ્યા ચાલતી હોય, પણ તેમાંના કોઇ એક પાડોશી પર કોઇ આફત આવી પડે તો તેની માવજતમાં રાતોના ઉજાગરા કરી તેમની સારવાર કરવામાં બાકીના પાડોશીઓ પાછી પાની કરતા નથી. કોઇના ઘરમાં મૃત્યુ થાય તો શોકાતુર પરિવારને આશ્વાસન આપવા, તેમનાં બાળકોને તથા પરિવારના અન્ય સભ્યો માટે જમવાનું લઇ જવાનું વિના કહે કરતા હોય છે. રૂપને આવો જ આધાર મળ્યો. તે બેભાન થતી ત્યારે સ્ત્રીઓ તેને ડુંગળી છુંદીને સુંઘાડતી હતી, પાણી છાંટીને તેને હોશમાં લાવતી હતી. મિસરી તેનાં બાળકોનું ધ્યાન રાખતી હતી.
શોકના સમુદ્રમાં ડુબેલી રૂપવતી શ્વાસ લેવા બહાર આવી ત્યારે તેનું ધ્યાન પોતાના બાળકો તરફ ગયું. રાકેશ, સરિતા અને નીતા મા તરફ જોઇને આંસુ સારતા હતા. તેમનાથી થોડે દૂર કિશોર સ્તબ્ધ, અવાક્ હાલતમાં મીણના પુતળાની જેમ બેઠો હતો. તેની આંખો જાણે સ્ફટીકની હોય તેમ અવકાશમાં સ્થિર થઇને તાકી રહી હતી. શું થઇ રહ્યું છે તે તેની સમજ બહાર હતું. તેના શરીરમાં જીવનનાં કોઇ ચિહ્ન હોય તો તે હતા તેનો ધીમો શ્વાસોચ્છ્વાસ અને નયનનાં નીર.
રૂપવતીને પોતાનું બાળપણ યાદ આવ્યું. આઠ વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. તે સમયે તેને આધાર આપવા તેના પિતા હતા. કેટલી ધીરજથી તેમણે પુત્રીને સાંત્વન આપ્યું હતું! મૃત્યુ અંગેના તેના બાલીશ પ્રશ્નોના જવાબ આપ્યા હતા! પિતાજીનું અવસાન થયું ત્યારે પૂરા તેર દિવસ રાધા તેની મા બનીને સાંત્વન આપતી રહી હતી. આજે કિશોર પાસે કોણ છે?
આ વિચારની રૂપવતીના મન પર વિજળીના ઝબકારા જેવી અસર થઇ. દુ:ખના સાંકડા કોશેટામાં સંકડાઇને ગુંગળાતું તેનું મન અને શરીર એક અનેરા પ્રકાશમાં નહાઇ ઉઠ્યું, અને તેના વ્યક્તિત્વમાં આમુલાગ્ર પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઇ.
Metamorphosisની પ્રક્રિયામાં ઇયળ લાંબો સમય સુષુપ્ત રહે છે. જ્યારે પતંગિયાના અવતારમાં બદલાઇ, કોચલું ફોડીને તે બહાર નીકળે છે, બહારની સૃષ્ટી જુવે છે ત્યારે તે ક્ષણાર્ધમાં તેનામાં ઉડવાની શક્તિ આવે છે. આ છે તેનું સાચું મેટામૉર્ફૉસીસ, જે કેવળ તેની સુંદર પાંખો પૂરતું સીમિત નથી. તે સિમિત કોશેટામાંથી બહાર નિ:સીમ જગતમાં ઉડે છે, ફળ-ફૂલનાં સર્જનમાં સહાયભૂત થાય છે, જોનારાઓને આનંદ અર્પે છે. આ બધાના સારમાં સમાય છે તેનું નિસર્ગદત્ત પરિવર્તન.
રૂપવતીના નવા પરિવર્તન, પરિવેશમાં તેનું વિશ્વ બદલાઇ ગયું. તેનાં ક્ષારયુક્ત અશ્રુ સ્નેહના મીઠાં જલ-સાગરમાં પરિવર્તીત થયા. તેણે હાથ લાંબા કર્યા અને કિશોરને આર્દ્ર સ્વરે કહ્યું, “કિશોર, અહીંયા આવ બેટા, તારી બુઆ પાસે આવ, મારા દિકરા!” કિશોર ચાવી વાળા રમકડાની જેમ ઉઠ્યો અને ધીમે પગલે રૂપ પાસે ગયો.
રૂપે તેને છાતી સરસો ચાંપ્યો. ચાર નયનોમાંથી એવા આંસુ વહ્યા, તેનું કોઇ વર્ણન ન થઇ શકે. આ આલીંગનમાં એક અલૌકિક સંબંધની શરૂઆત થઇ હતી.

પરિક્રમા - બિહાર : ભાગ ૨;પરિશિષ્ટ

આજના અંકમાં આપણા વાચક વિદુષી પ્રજ્ઞાબહેન વ્યાસની કમેન્ટ શબ્દશ: રજુ કરી છે. તેમના સાહિત્યના ઉંડા અભ્યાસ તથા 'જીપ્સી' જેવા સાદા લેખકની કૃતિનો પરિચય કરાવતો પ્રતિભાવ આપ્યો છે તેમાં તેમની સહૃદયતા દેખાશે. આભાર, પ્રજ્ઞાબહેન.

'મુસીબત આવે છે તો કદાપિ એકલી નથી આવતી. કોઇ વાર પોતાની સાથે આફતનો ચક્રવાત લઇને આવે છે.

તેની નજીક જે કોઇ હોય તે બધાને ખેંચી જાય છે અને પાછળ તેણે કરેલી તબાહીની એંધાણી છોડી જાય છે.'

ત્યારે આ વાતનો મૂળ તંતુનો ખ્યાલ આવે

From Shakespeare's Hamlet...Claudius:
O, this is the poison of deep grief; it springs
All from her father's death. O Gertrude, Gertrude,
When sorrows come, they come not single spies
But in battalions. First, her father slain:
Next, your son gone; and he most violent author
Of his own just remove: the people muddied,
Thick and unwholesome in their thoughts and whispers,
For good Polonius' death; and we have done but greenly,
In hugger-mugger to inter him: poor Ophelia
Divided from herself and her fair judgment,
Without the which we are pictures, or mere beasts:
Last, and as much containing as all these,
Her brother is in secret come from France;
Feeds on his wonder, keeps himself in clouds,
And wants not buzzers to infect his ear
With pestilent speeches of his father's death;
Wherein necessity, of matter beggar's,
.

વાતની શરુઆત તો અમે અનુભવેલી વાતો જેવી જ ગામડાના વાતાવરણથી થઇ!

સરળ પાત્રોનું જે કામ હતું તે સરળતાથી થયું.

ત્યાં જ ...રાજકારણીઓ અને ‘બહુજન સમાજ’ અંગે સાધારણ ખ્યાલ હતો પણ...

"બે ખુનીઓ સામે રાધા હાથ લાંબા કરીને હલાવીને મનાઇ કરતી હતી. તેણે ચીસ પાડીને કહ્યું, “ના, ગોળી ન ચલાવશો. તેઓ સરકારી અફસર છે, ભગવાન...” વાક્ય પૂરૂં થાય તે પહેલાં બે ગોળીઓ છૂટી. એક ગાભાની ઢીંગલીને હવામાં ફંગોળવામાં આવે તેમ રાધા ઉછળીને ઢળી પડી."

Will nothing stick our person to arraign
In ear and ear. O my dear Gertrude, this,
Like to a murdering-piece, in many places
Gives me superfluous death


Tuesday, February 22, 2011

પરિક્રમા - બિહાર : ભાગ ૨


પંદર દિવસની રજા મંજુર કરાવી રામેશ્વર વિષ્ણુપુર પાછા આવ્યા રાધા અને તથા કિશોરને લઇ અકબરપુર જવા નીકળ્યા.
તે જમાનામાં બિહારનો વિકાસ મંદ હતો. બસ ગામમાં ન જતાં મુખ્ય સડક પર એવી જગ્યા પર રોકાતી જ્યાંથી આસપાસના બે-ત્રણ ગામને તેની સુવિધા મળે. અકબરપુરનું બસ સ્ટૉપ એટલે ગામના નામનું પાટીયું. ત્યાં એસટી તરફથી બીજું કોઇ બાંધકામ નહોતું. સડકથી પાંચ-દસ મીટર દૂર મોટું વડનું ઝાડ હતું. તેને અડીને મિશ્રાજી નામના સજ્જને એક મોટું શેડ બાંધ્યું હતું. આ હતી ગામની ‘હોટલ’. અહીં સવારથી સાંજ લોકો ચ્હા-નાસ્તા માટે આવતા. શેડમાં કેરોસીનના બે સ્ટવ હતા અને લાકડાના બે-ચાર ખખડધજ ટેબલ તથા તેની બન્ને બાજુએ બાંકડા. બારણા પાસે એક ઉંચા ટેબલ પર ગલ્લો હતો. ગલ્લા પર કાચની ત્રણ-ચાર બરણીઓ અને તેમાં બિસ્કીટના પૅકેટ અને ‘ચૂરા’ જેવો નાસ્તો. ખુલ્લા આંગણામાં પણ ચાર પાંચ બાંકડા હતા. બસના સમયે પૅસેન્જરો તથા અન્ય સમયે નવરા લોકો અહીં ગપાટા મારવા કે ચ્હા પીવા આવે. મેલાં ઘેલાં કપડાં પહેરેલો 'શેફ' ચ્હા - ભજીયા બનાવતો અને દસ-બાર વર્ષની વયના બે બાળકો ઘરાકોને ચ્હા-નાસ્તો પીરસતા હતા અને જરૂર પડે ત્યાં કપ-રકાબી અને વાસણ સાફ કરતા હતા.

રામેશ્વરબાબુને ગામના લોકો રૂબ્બતીના લગ્ન સમયથી જ સારી રીતે ઓળખતા. તેઓ બસમાંથી ઉતર્યા અને લોકોએ ખરખરો કર્યો. તેમનો આભાર માની સિન્હા પરિવાર સુબેદાર સાહેબના ઘર તરફ ગયો.

બસ સ્ટૉપથી ગામ તરફ જતા કાચા રસ્તાની ડાબી બાજુએ દૂર સો-એક જેટલા માટીના ઝુંપડા હતા. સમાજશાસ્ત્રીઓ જેમને દલીત કહે છે અને રાજકારણીઓ ‘બહુજન સમાજ’, તેઓ ત્યાં રહેતા હતા. સત્ય હકીકત એ હતી કે આ બધા પરિવારો જમીનદારોના વંશપરંપરાગત વેઠીયા હતા.

સડક પર આગળ વધતાં જમણી બાજુએ બે માળના ત્રણ-ચાર પાકા મકાનો હતા. તેમની ચારે બાજુએ ઉંચી દિવાલ અને દરવાજા પર બે-નાળી બંદૂક સાથેના મુછાળા ચોકીદારો. ત્યાંથી આગળ વધીએ તો ગામ. ગામની શરૂઆત થાય તે પહેલાં પાંચ ફીટ ઉંચા કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે નાનકડું મેદાન અને નિશાળ. નજીક માસ્ટરજીનું ક્વાર્ટર અને ત્યાર પછી ગામની શરૂઆત થાય. ગામ વચ્ચેથી જતા રસ્તાની બન્ને બાજુએ દુકાનો અને તેની પાછળ ગામવાસીઓના રહેઠાણ. ભારતના સર્વસામાન્ય ગામ જેવું આ ગામ હતું. ગામના છેવાડે એક કે બે ઓરડાના કેટલાક બેઠા ઘાટના મકાન હતા. તેમાં ગામના મંદિરના પુજારીજી, દુકાનદારો, ગામના મહાજન તથા સુબેદારસાહેબ રહેતા હતા. સુબેદાર સાહેબનું બે રૂમનું પાકું મકાન હતું. મકાનની પાછળ નાનકડો વાડો, અને વાડાને અડીને માધોની ઓરડી. માધો ત્યાં રહેતો તે પંડીતજીને ગમતું નહોતું, પણ રામ પ્રતાપને કારણે કશો વાંધો લઇ શક્યા નહોતા.

કાકાના મકાનમાં રામેશ્વર પહોંચ્યા અને માધોની પત્નિ મિસરીએ ખુણામાં ચેતવેલા દિવાની નજીક જઇને નમસ્કાર કર્યા. રાધા શોકથી વિહ્વળ થઇ ગઇ. તેણે પિતા સમાન કાકાજીની ખુબ સેવા કરી હતી. મહિનામાં એક વખત તે, પતિ રામેશ્વર અને કિશોર અહીં જરૂર આવતા. રાધા તેમના માટે ખારી પુરી અને સૂકા નાસ્તાનો ડબો લઇ આવતી. આજે તેને ખાલી હાથે આવવું પડ્યું હતું. બીજા દિવસે રૂપવતી, રામ અભિલાષ તથા તેમનાં બાળકો રાકેશ, સરિતા અને નીતા આવી પહોંચ્યા. રૂપનું હૈયાફાટ રૂદન કોઇથી જોયું જતું નહોતું. રાધા - રામેશ્વરે તેની માતા-પિતાનું સ્થાન લઇને તેને સંભાળી. તેમનું પોતાનું દુ:ખ વ્યક્ત કરવા તેમને ફક્ત આગલી રાત જ મળી હતી. રામ અભિલાષને કેવળ ચાર દિવસની રજા મળી હતી તેથી તેને પાછા જવું પડ્યું હતું. રામેશ્વરે બધી જવાબદારી ઉપાડી લીધી. રાધાએ નણંદ તથા બાળકોને સંભાળી લીધા. તે રૂપને પરાણે જમાડી તેને હૈયાધારણ આપતી રહી.

ત્યાર પછીની બધી વિધિઓ રામેશ્વરે પૂરી કરી. હવે છેલ્લી વિધિ બાકી હતી: અસ્થિ વિસર્જનની. આ કામ માટે ગયાતીર્થ જવાનું હતું. રાધા જાણતી હતી કે અત્યાર સુધી તેના પતિએ બધાં કાર્ય કરવામાં ખુદનો શોક અંતરમાં છુપાવ્યો હતો. તેમણે પોતાનાં દુ:ખ કદી જાહેરમાં આવવા દીધા નહોતા. હવે અંતિમ કાર્ય માટે તેમને એકલા મોકલવા રાધા તૈયાર નહોતી. પતિને ભાવનાત્મક આધારની જરૂર છે તે જાણીને તે રામેશ્વર સાથે ગયા જવા નીકળી. વહેલી સવારે બસ પકડવા રામેશ્વર અને રાધા નીકળ્યા ત્યારે રૂપવતીનાં અંતરનાં દુ:ખનો બંધ તૂટી ગયો. વર્ષોથી તે પિતાને પટના લઇ જવા મથતી હતી, પણ તેઓ ગયા ન હતા. અંતિમ પળે તેમની સેવા કરવાનો લહાવો ન મળ્યો તેનો વસવસો તે સવારે બહાર આવ્યો. તેને મહા મહેનતે શાંત કરી, પંડીતાઇનના આધારે તેને, તેનાં બાળકોને અને કિશોરને છોડી રાધા અને રામેશ્વર ગયા જવા નીકળ્યા.
* * * * * * * * *
ફલ્ગુ નદીમાં વિધિવિધાન તેમના પારિવારીક ગયાવળ બ્રાહ્મણે પૂરા કરાવ્યા ત્યાં સુધીમાં સાંજ પડી ગઇ. તેથી ગયામાં રાત રોકાઇ બીજા દિવસે તેઓ અકબરપુર પાછા જવા નીકળ્યા.

ચારે’ક કલાકના બસ પ્રવાસ બાદ તેઓ અકબરપુર પહોંચ્યા અને બસમાંથી ઉતરતાં વેંત તેઓ ચોંકી ગયા. બપોરના બે વાગ્યા હતા, ધંધાનો સમય હતો અને લોકોની ભીડ હોવી જોઇએ, ત્તેમ છતાં મિશ્રાજીની ‘હોટલ’ સાવ ખાલી, સુમસામ પડી હતી. બધા ઉતાવળે જ ત્યાંથી નાસી ગયા હોવા જોઇએ, કેમ કે મિશ્રાજીનો ગલ્લો એમ જ ખુલ્લો પડ્યો હતો. અંદર ટેબલ પર સ્ટવ ચાલુ હતા, પણ 'શેફ' કે વેટર્સનું ત્યાં નામોનિશાન નહોતું. બહારના બાંકડાઓની આજુબાજુ ફરતા કૂતરાં પણ ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા.

“રાધાજી, કોઇ ગંભીર વાત થઇ છે. આપણે જલદી ઘેર પહોંચવું જોઇશે,” કહી તેઓ કાચા રસ્તા પર થોડા કદમ ગયા હશે ત્યાં તેમણે દૂરથી બંદૂકના ધડાકા સાંભળ્યા. ઝડપથી ચાલીને બન્ને જણા શાળા માસ્તરના ઘર સુધી પહોંચ્યાં ત્યાં ફરીથી ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો. આ વખતે અવાજ નજીકથી આવ્યો.

“હાય રામ! આ તો બંદૂકનો અવાજ છે. માડી રે! છોકરાંઓ શું કરતા હશે? અને રૂબ્બતી?” રાધાએ ગભરાઇને કહ્યું.

“ચાલો આપણે માસ્ટરજીને ઘેર જઇએ. થોડો વખત ત્યાં રોકાઇને બધું શાંત પડી જતાં ઘેર જઇશું.”

રામેશ્વરે શિક્ષકના ઘરનું બારણું ખખડાવ્યું, અને મોટેથી બુમ પાડીને બારણું ખોલવાની વિનંતી કરી. સતત પાંચ મિનીટ બારણાની સાંકળ ખખડાવી, પણ કોઇએ દરવાજો ખોલ્યો નહિ. “કદાચ માસ્ટરજી શાળામાં હશે. ચાલો આપણે ત્યાં જઇએ.”

તેઓ ઝપાટાબંધ શાળા તરફ ગયા. કમ્પાઉન્ડની દિવાલની નજીક પહોંચ્યા ત્યાં તેમણે રાડ સાંભળી, “બચાવો! ભગવાનને ખાતર મને બચાવો!”

અવાજ સાવ નજીક, દિવાલની પાછળથી આવ્યો, તેથી રામેશ્વર થંભી ગયા. તેઓ પરગજુ માણસ હતા. કોઇની મુસીબતના સમયે ત્યાંથી ખસી જવું તેમની ફિતરત નહોતી. એટલામાં કમ્પાઉન્ડ પાછળથી એક યુવાન દોડતો આવ્યો અને રામેશ્વરના પગમાં પડ્યો. તેના ખભા પરથી લોહી વહેતું હતું. “સાહેબ, મને બચાવો!”

“ભાઇ, કોણ છો તમે? તમને કોઇ શા માટે મારી નાખવા માગે છે?”

“અમે સમાજવાદી કાર્યકર છીએ. મારા સાથીને જમીનદારના ગુંડાઓએ મારી નાખ્યો છે અને હવે મારી પાછળ પડ્યા છે.”

યુવાનો વેઠ કામદારોની ગુપ્ત સભા લેવા આવ્યા હતા. તેમણે ધારી હતી એટલી આ વાત ગુપ્ત રહી નહોતી. કોઇકે દગો કર્યો હતો.

એટલામાં ત્રણ મસ્તાન હાથમાં બીજા વિશ્વયુદ્ધના સમયની બોલ્ટ અૅક્શન રાઇફલ લઇ પેલા યુવાનના પગલે પગલે આવ્યા.

રામેશ્વરે હાક પાડીને કડક સ્વરે કહ્યું, “જુઓ, હું બિહાર સરકારનો મુલાઝીમ છું. આમ કાયદો હાથમાં લેવાનો તમને કોઇ અધિકાર નથી. તમે ખુન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને હું તેનો સાક્ષી છું. મહેરબાની કરી પાછા જાવ, નહિ તો મારે પોલિસમાં ફરિયાદ કરવી પડશે.”

એટલામાં તેમણે પાછળ રાધાની ચીસ સાંભળી. તેમણે પાછા વળીને જોયું તો પાછળથી આવતા બે ખુનીઓ સામે રાધા હાથ લાંબા કરીને હલાવીને મનાઇ કરતી હતી. તેણે ચીસ પાડીને કહ્યું, “ના, ગોળી ન ચલાવશો. તેઓ સરકારી અફસર છે, ભગવાન...” વાક્ય પૂરૂં થાય તે પહેલાં બે ગોળીઓ છૂટી. બબ્બે ગોળીઓના આઘાતથી એક ગાભાની ઢીંગલીને હવામાં ફંગોળવામાં આવે તેમ રાધા ઉછળીને ઢળી પડી.

પગ પાસે જ અચાનક વિજળી પડે અને માણસ ચોંકી જાય તેમ રામેશ્વર સ્તબ્ધ થઇ ગયા. તે કાંઇ બોલે તે પહેલાં હવે તેમના પર ગોળીઓ છૂટી. રામેશ્વર ઢગલો થઇને ઢળી પડ્યા. બંદુકધારીઓ જાણે કશું થયું નથી તેમ નજીક આવ્યા અને પેલા દલિત ક્રાન્તિકારીના લમણા પર રાઇફલ મૂકીને ગોળી છોડી. જાણે કશું થયું નથી તેમ તેઓ શાળાની પાછળ ગયા. ત્યાં એક જીપ ઉભી હતી. તેનું એન્જીન ચાલુ હતું. ખુનીઓ તેમાં આરામથી બેઠા અને જીપ હંકારી ગયા. તેમણે ખુન કર્યા હતા અને પાછળ તેને નજરે જોનાર બે સાક્ષીઓને જીવતા છોડી જવા તેઓ તૈયાર નહોતા.

મુસીબત આવે છે તો કદાપિ એકલી નથી આવતી. કોઇ વાર પોતાની સાથે આફતનો ચક્રવાત લઇને આવે છે. તેની નજીક જે કોઇ હોય તે બધાને ખેંચી જાય છે અને પાછળ તેણે કરેલી તબાહીની એંધાણી છોડી જાય છે.

Monday, February 21, 2011

પરિક્રમા:બિહાર

૫.

બિહાર - ૧૯૯૮

રામેશ્વર પ્રસાદ સિન્હા નાલંદા બ્લૉક અૉફિસમાં કારકુન હતા. રોજ સવારે પોતાના ગામ વિષ્ણુપુરથી આઠ કિલોમીટર દૂર અૉફિસમાં સાયકલ પર જતા. આજે તૈયાર થતા હતા ત્યાં ખડકી બહારથી અવાજ આવ્યો, “રામબાબુ ઘરમાં છે? અમે માધો, અકબરપુરથી આવ્યા છીએ.”

અકબરપુર રામેશ્વરના વૃદ્ધ અને વિધુર કાકા રિટાયર્ડ સુબેદાર રામ પ્રતાપનું ગામ. માધો તેમનો જુનો ખેડૂત હતો. તેને અચાનક આવેલ જોઇ રામેશ્વરને ચિંતા થઇ.

“આવ, માધો અંદર આવ. પ્રતાપકાકાની તબિયત તો સારી છે ને?”

“ના રામબાબુ. સમાચાર સારા નથી. સુબેદાર સા’બ ગઇકાલે બપોરના....” કહેતાં કહેતાં માધો ભાંગી પડ્યો.

રામેશ્વર માધોને ફળીયામાં લઇ આવ્યા. તે જમીન પર બેસવા જતો હતો પણ રામેશ્વરે તેને રોકીને મુંઢા પર બેસાડ્યો.

“ગઇ કાલ સવારથી તેમની તબિયત નરમ હતી. હું અને મિસરી - મારી બૈરી, તેમની સેવા કરવા તેમની પાસે બેઠા હતા. મેં તેમને પૂછ્યું પણ ખરૂં કે હું તમને તેડી આવું કે કેમ, તો તેમણે ના પાડી.” વાત કરતાં કરતાં માધોની આંખ ભરાઇ આવી.

રામેશ્વરની પણ આંખો ભરાઇ આવી. “કાકાને બહુ તકલીફ તો નહોતી થઇને?”

“ના, છેલ્લી ઘડીએ થોડો શ્વાસ ભારે થયો....”

એટલામાં રામેશ્વરની પત્નિ રાધા પિત્તળના પ્યાલામાં માધો માટે ચા લઇ આવી. માધોએ અંગુછાને પ્યાલા ફરતો વિંટી ચાનો મોટો ઘૂંટડો લીધો.

“શું કરીએ, ભૈયાજી? અમે પાડોશીઓ તથા પંડિતજીને બોલાવ્યા તો તેમણે કહ્યું, સૂર્યાસ્ત પહેલાં સંસ્કાર થવા જોઇએ. અાપને બોલાવવાનો સમય નહોતો. માસ્ટરજી, સરપંચ, ગામના મહાજન - બધા આવ્યા હતા. અમે તો નીચા વરણના લોક એટલે એમણે અમને દૂર રાખ્યા. તેમણે પંડિતજીને પૂળો મૂકવાનું કહ્યું. અમે પરોઢિયે બસ સ્ટૉપ ગયા અને પહેલી બસ પકડીને અહીં આવ્યા.”

“બડી મહેરબાની, માધો. તેં સારૂં કર્યું સીધો અહીં આવ્યો.”

“રામબાબુ, અમે હવે આપની રજા લઇશું. અમારે પટના જઇને રૂબ્બતીને સમાચાર આપવાની છે.” રૂપવતી સુબેદાર સાહેબની એકમાત્ર દીકરી હતી.

“માધો, રૂપને હું તારથી ખબર કરી દઇશ. તું પટના પહોંચે તે પહેલાં તેને તાર મળી જશે, તેથી તું અકબરપુર પાછો જા અને ઘર ઠીક ઠાક કરી રાખ. હું, રાધાજી અને કિશોર સાંજ સુધીમાં પહોંચી જઇશું.” કિશોર રામેશ્વરનો આઠ વર્ષનો પુત્ર હતો.

“શું વાત કરૂં, ભૈયાજી? બપોરે મિસરીએ રાંધેલી કાંજી જમીને સુબેદાર સાહેબે આરામ કર્યો. ચાના સમયે હું તેમને પૂછવા ગયો ત્યારે તેમણે મને તેમની નજીક બેસવાનું કહ્યું. મને કહે, ‘માધો, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ. અમારો સમય આવી ગયો છે. રામબાબુ આવે તો તેને કહેજે કે અત્યાર સુધી તે અને રાધા રૂબ્બતીના મોટાભાઇ અને ભાભી હતા. અમારા ગયા બાદ તેમણે મારી રૂબ્બતીના વડીલ થઇને તેને સંભાળવાની છે.’ આટલું કહેતાં તો તેમનો શ્વાસ ચઢવા લાગ્યો. થોડી વારે મને કહ્યું, ‘રામને ખાસ કહેજે કે તેણે મારા માટે અને રૂબ્બતી માટે જે કર્યું તેનો ઉપકાર આવતા સાત જનમમાંય ઉતારી નહિ શકું.’ અમે ઉતરતી જાતના છીએ, તેમ છતાં તેમણે મારા હાથે પાણી પીધું અને આંખો મિંચી.”

પરસાળમાં બેઠેલી રાધા આંસુ રોકવાનો પ્રયત્ન કરી રહી હતી.

“ભૈયાજી, અમારો તો આધાર ગયો. અત્યાર સુધી સુબેદાર સાહેબની કૃપાથી અમે જીવતા હતા. દુકાળમાં અને રૂબ્બતીના લગનમાં સાહેબે જમીન વેચી ત્યાં સુધી અમે તેમની ખેતી કરી ગુજરાન કરતા હતા. ત્યાર પછી પણ સુબેદાર સાહેબે તેમના પેન્શનમાંથી અમને નિભાવ્યા. હવે તો...” તેણે ફરી એક વાર આંસુ લૂછ્યાં.

રાધા માધો માટે શિરામણ લઇ આવી.

“માધો, તું કશી ચિંતા કરીશ મા. પરમાત્મા બધાયનું ધ્યાન રાખે છે. તું ક્યાં અમારા માટે પારકો જણ છે? ભગવાન આપણને જે આપે છે તે આપણે સહુ વહેંચી લઇશું.”

“સુબેદાર સાહેબ અમસ્થું નહોતા કહેતા કે અમારા રામબાબુ આદર્શ પુત્ર છે.”

શિરામણ પતાવીને માધોએ રજા માગી, રામેશ્વરે તેને અકબરપુર જવાના બસ ભાડાના તથા વાટખર્ચીના પૈસા આપ્યા અને તેને બસ સ્ટૉપ મૂકવા ગયા.

રામેશ્વર બસ સ્ટૉપથી પાછા ફર્યા ત્યાં રાધાએ તેમના માટે નહાવાનું ગરમ પાણી તૈયાર રાખ્યું હતું. નાહીને તે કામ પર જવા નીકળ્યા.

ગામના કાચા રસ્તા પરથી સ્ટેટ હાઇવે પર પહોંચ્યા અને સાયકલનાં પૈડાંની સાથે તેમનું મન વિચારચક્રમાં પડી ગયું.

પ્રતાપકાકાને રામેશ્વર પ્રત્યે અત્યંત સ્નેહ હતો. જ્યારે જ્યારે બે મહિનાની રજા પર ઘેર આવતા ત્યારે તેમની મસ મોટી કાળી કિટ બૅગમાંથી તેના માટે પુસ્તકોનું પાર્સલ કાઢીને ભેટ આપતા. તે વખતે તે ઘણા નાના હતા, અને ત્યારથી જ તેમને વાચનનો શોખ લાગ્યો હતો. આગળ જતાં સ્વામી વિવેકાનંદના પ્રવચનોના પુસ્તક, લોકનાયકની વિચારસરણીથી પ્રભાવિત થઇને એક આદર્શવાદી યુવાનમાં તેમનું ઘડતર થયું હતું. સત્તર વર્ષના હતા અને હાઇસ્કુલમાં ઉત્તમ કક્ષા મેળવી હતી તેથી તેમને પટનાની કૉલેજમાં દાખલો મળ્યો હતો અને નાનકડી સ્કૉલરશીપ. તેમના પિતાજી દર મહિને મની અૉર્ડર મોકલતા. કમનસીબે કૉલેરાના રોગચાળામાં માતાપિતાનું અવસાન થયું. પ્રતાપકાકાની રેજીમેન્ટ તે વખતે રાંચીમાં હતી. તે રજા લઇને તરત જ ત્યાં પહોંચી ગયા, અને રામેશ્વરને ઘણો આધાર આપ્યો. રામેશ્વરને કૉલેજ છોડવાના વિચારમાંથી પરાવૃત કરી તેની જવાબદારી સ્વીકારી લીધી.

રામેશ્વરે ઇન્ટર આર્ટસ્ બાદ અભ્યાસ મૂક્યો અને પબ્લિક સર્વિસ કમીશનની ક્લેરીકલ પરીક્ષા પાસ કરી. પ્રતાપકાકાનાં તેમના પર અનેક ઋણ હતા, તેમ છતાં કાકા માધોને કહી ગયા હતા કે તેમના પર રામેશ્વરે કરેલા ઉપકારનું કરજ તેઓ સાત જનમ સુધી નહિ ઉતારી શકે. તેમણે તો કેવળ એક પુત્રની અને ભાઇની વણલખી, વણકહી ફરજ નિભાવી હતી.

રૂપવતીના લગ્ન પટણા શહેરથી થોડે દૂર, ગંગા કિનારે આવેલ બાટા શૂ ફૅક્ટરીના પ્લાંટમાં વેરહાઉસમૅનનું કામ કરનાર યુવક રામ અભિલાષ સાથે નક્કી થયા હતા. લગ્નના એક અઠવાડીયા પહેલાં તેના બાપુએ મોટી રકમની માગણી કરી. રામ અભિલાષને ફૅક્ટરીની નજીક મકાન બંધાવવું હતું. પટનાની નજીક કૉલોની હોવાથી કિંમત વધુ હતી. પ્રતાપકાકાએ પોતાની જમીન વેચી, તો પણ પુરતા પૈસા ભેગા ન થઇ શક્યા. છોકરાના બાપે લગ્ન તોડવાની ધમકી આપી. ‘હા, તમારી દિકરી રૂપાળી છે, ગૃહિણીના બધા ગુણ છે, પણ આ મકાન તો અંતે તેના માટે જ તો થવાનું છે ને?’

પ્રતાપકાકાએ આખરે તેમનું નાનકડું મકાન અને તેની પાછળના અર્ધા એકરનો વાડો વેચવાનું નક્કી કર્યું. રામેશ્વરને ખબર પડતાં તે નારાજ થયો અને મકાન વેચવાની મનાઇ કરી. તે ગામના મહાજન પાસે ગયો અને જોઇતી રકમ ઉપાડી. સરકારી નોકર હોવા ઉપરાંત રામેશ્વરની આબરૂ એટલી ઉંચી હતી, સાહુકારે તેમની પાસેથી કોઇ જામીનખત લીધા વગર પૈસા આપ્યા. જો કે વ્યાજનો દર દોઢ ગણો લીધો તે વાત જુદી. રામેશ્વરે આ વાત ખાનગી રાખી, પણ ગામમાં કોઇ વાત છાની રહે ખરી? વળી છેલ્લા પાંચ વર્ષથી તે કરજના હફ્તા ભરતા હતા તે પ્રતાપકાકા ક્યાં નહોતા જાણતા?

રામેશ્વર તથા રાધાએ તેમને અનેક વાર વિનંતી અને આજીજી કરી હતી કે તેઓ તેમની સાથે રહેવા વિષ્ણુપુર આવે. પણ કોઇ પર બોજ બનવા ન માગનાર, સ્વાવલંબી ફૌજી અફસરે હંમેશા ના પાડી. ‘હું આવીશ, જરૂર આવીશ. પણ અત્યારે મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો એકલતાનો આનંદ લેવા દે ને, દિકરા!’ કહી વાત ટાળતા હતા.

અંતિમ સમયે તેમની પાસે હાજર રહી ન શક્યા તેનો રંજ રામેશ્વર તથા રાધાને ગળાડૂબ શોકમાં ઉતારતો ગયો. વિચારમાં ને વિચારમાં જ તે કચેરીમાં પહોંચી ગયા.

Friday, February 18, 2011

પરિક્રમા: ન્યુ યૉર્કથી કૅલીફોર્નિયા.

૪.

ક્રિસ ન્યુ યૉર્ક આવતાંની સાથે જ કામમાં પડી ગયા. કોઇ પણ મહત્વનું કામ કરવાનું હોય તો તેમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટના સિદ્ધાંતનો અવલંબ કરતા. ક્વીન્સમાં કાર્ય ઉપાડતાં પહેલાં તેમણે critical path analysis કર્યું. કયા કયા કામ મહત્વના છે, જે પૂરા કર્યા વગર કામ આગળ વધી ન શકે, અને તેમાં વિલંબ થતાં આગળના બધા જ કામ ખોરંભાઇ જાય. વળી કેટલાક કાર્ય એવા હતા કે જેમાં મલ્ટી-ટાસ્કીંગ થઇ શકે તેનો અભ્યાસ કરી આખા કાર્યનું માળખું તૈયાર કર્યું. પ્રોજેક્ટ ટીમની નિયુક્તિ કરી. જે જુથ - કૅરીબીયન વસાહતીઓ - તેમનું લક્ષ્ય હતું તેમની સિદ્ધીઓ, તેમના વિકાસમાં અવરોધ બનતા મુદ્દાઓ કે નબળા પાસાઓ તથા તેમના માટે કઇ તકો ઉપલબ્ધ થઇ શકે છે તેનું વિશ્લેષણ કરી, તેમને સ્થાનિક પ્રજાના કન્ટ્રોલ ગ્રુપ સાથે સરખાવ્યા. વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને અંતે તેમના વાલીઓની. ક્રિસને કૅરીબીયન દેશોના કેટલાક ભાગમાં પ્રચલિત પત્વા (patois) બોલીનો મહાવરો હતો તેનો પણ ઉપયોગ કરી લોકો સાથે ઘનીષ્ઠ સંપર્ક કરી પોતાનું કામ પૂરૂં કર્યું. તેમણે કરેલા સૂચનો તથા તેને અમલમાં લાવવા માટે કરવો પડે તે ખર્ચના અનુમાન પણ કાઢી આપ્યા. શિક્ષણ ખાતાએ તે મંજુર કર્યા.

આ સમગ્ર કાર્યમાં તેમને એક વર્ષ લાગી ગયું, પણ તેના પરિણામ સુંદર આવ્યા. ત્યાર પછીના પાંચ વર્ષમાં ક્વીન્સની શાળાઓના હાઇસ્કૂલ ગ્રૅજ્યુએટ્સમાંથી ઘણા વિદ્યાર્થીઓ કોલમ્બીયા, પ્રિન્સ્ટન તથા હાર્વર્ડ જેવી પ્રતિષ્ઠીત કૉલેજોમાં દાખલા મેળવી શક્યા. તેમણે પોતે માયા તથા શૉન પર કોઇ જાતનું દબાણ લાવ્યા વગર તેમને તેમના પ્રિય વિષયોમાં વિકાસ સાધવાની પૂરી તક આપી.

માયાએ જ્યારે સારા ગુણ સાથે હાઇસ્કૂલનો ડિપ્લોમા મેળવી કોલમ્બિયા યુનિવર્સીટીમાં દાખલો મેળવ્યો ત્યારે તેઓ ખુશ થયા. શૉનને મેડીકલમાં જવાની ઇચ્છા હતી. ક્રિસને આશા હતી કે તે ઘરમાં રહી સ્થાનિક કૉલેજમાં દાખલ થશે. જ્યારે તેણે પિતાને જણાવ્યું કે તેણે ઉત્તર કૅલીફૉર્નિયામાં પૅલો અૅલ્ટોની મેડીકલ સ્કૂલમાં અૅડમિશન મેળવ્યું છે, તેમને ઘણી ખુશી ઉપજી. શૉનને સ્ટૅનફર્ડ યુનિવર્સીટીએ સ્વીકાર્યો તેમાં શૉનની પ્રતિભાનું બહુમાન થયું હતું. તેમના માટે આ ફખ્રની વાત હતી.

શૉન સાન હોસે જવા નીકળ્યો ત્યારે તેમના મનમાં એક પ્રકારનું ખાલીપણું ઉદ્ભવ્યું. કદાચ મનના ઊંડાણમાં એક ભાવના છુપાઇ હતી કે પુત્ર દૂર વેસ્ટ કોસ્ટ જઇને કાયમ માટે તેમનાથી દૂર થઇ જશે.

વર્ષો વિતી ગયા. શૉને સફળતાપૂર્વક અભ્યાસ પૂરો કર્યો અને અૉર્થોપીડીક્સમાં સ્પેશીયાલીઝમ મેળવી. કૉલેજકાળમાં તેનો પરિચય સ્વીડીશ-અમેરીકન યુવતિ સુઝન ગુનારસન સાથે થયો, સ્નેહ થયો અને પોસ્ટગ્રૅજ્યુએશન બાદ તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું.

સુઝને બૌદ્ધ ધર્મનો અંગિકાર કર્યો હતો. શૉન athiest અને માનવતાવાદી હતો. તે નિશ્ચયપૂર્વક માનતો હતો કે મનુષ્ય જન્મત: શુદ્ધ મનનો હોય છે, અને તેની પાસે બુદ્ધીમતા છે. માનવમાં મૂળભૂત રીતે સારાસારવિવેકબુદ્ધી હોય છે. સંજોગો તેને કઇ દિશામાં લઇ જાય, અને તેની અસર નીચે કેવી રીતે વર્તવું તે તેણે જ નક્કી કરવાનું હોય છે. તે જાણતો હોય છે કે તેનાં શા પરિણામ આવી શકે છે, અને તે તેણે ક્યારેક તો ભોગવવા જ પડે. આવી વ્યક્તિના સારા કે નરસા વર્તન સામે આપણે કેવો પ્રતિભાવ આપવો તેનો આધાર આપણા મૂલ્યો પર હોવો જોઇએ, નહિ કે કોઇ દૈવી શક્તિના ભયના કારણે કે પાપ પુણ્યના હિસાબે. માનવ તરીકે વ્યવહારમાં પ્રામાણીકતા જાળવી, માનજાતીના ભલા માટે કંઇ પણ કરવું પડે તે કરવામાં જરા પણ અચકાવું ન જોઇએ એવી તેની માન્યતા હતી. સૌજન્ય તો તેના માનસમાં ભારોભાર ભર્યું હતું. તે માનતો હતો કે જેમ તેને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનો અધિકાર છે, તેવો હક્ક કોઇ ધર્મ કે પંથ પર રાખવાનો અન્ય વ્યક્તિને છે. સુઝનની ભાવના પ્રત્યે શૉનને ઘણું માન હતું તેથી સુઝનનું મન તેના મન સાથે મળી ગયું હતું.

લગ્નની તૈયારી કર્યા બાદ મકાન લેવાની વાત નીકળી ત્યારે સુઝને જ શૉનને આગ્રહપૂર્વક કહ્યું કે લગ્ન બાદ ક્રિસ તથા ગ્રેસ તેમની સાથે રહેવા આવે. પરિણામે માતા-પિતા અને પુત્ર-પુત્રવધુનો બનેલો પરસાદ પરિવાર લગુના બીચ રહેવા આવ્યો હતો. સદ્ભાગ્યે તેમની આવક એટલી હતી કે તેઓ ગ્રૅની-ફ્લૅટ સાથેનું સમુદ્ર કિનારે ઘર લઇ શક્યા હતા અને ક્રિસ તથા ગ્રેસ પોતાનું સ્વાતંત્ર્ય જાળવીને પુત્ર-પુત્રવધુ સાથે રહેવા આવ્યા હતા.


* * * * * * * * *

Thursday, February 17, 2011

પરિક્રમા

૩.

ભોજન બાદ ક્રિસ ડૉ. પેરેઝને પોતાની લાયબ્રરીમાં લઇ ગયા અને પોતાનો પુસ્તક સંગ્રહ દેખાડ્યો. વાત નીકળી ક્રિસના અભિગમોની. પેરેઝને ખાસ રસ હતો શિક્ષણ ક્ષેત્રમાં જનતાના સક્રિય સહકારમાં. ક્વીન્સમાં ભારતીય તથા વેસ્ટ ઇન્ડીઝની ‘ઇસ્ટ ઇન્ડીયન’ પ્રજાનું પ્રમાણ સારૂં એવું હતું. તેમાંના ખાસ કરીને વેસ્ટ ઇન્ડીઝની પશ્ચાદ્ભૂના ઘણાં બાળકો શાળાના શરૂઆતના વર્ષોમાં સતત રીતે સારા પરિણામ મેળવતા હતા. ત્યાર બાદ તેમની સિદ્ધીઓમાં પીછેહઠ થતી ગઇ અને એવો સમય આવી લાગ્યો કે શાળામાં તેમની ગેરહાજરીનું પ્રમાણ વધતું ગયું અને સિનિયર વર્ષમાં પહોંચતા સુધીમાં તેમાંના ઘણા શાળા છોડવા લાગ્યા હતા. સ્કૂલ ડ્રૉપ-આઉટ્સની બાબતમાં શિક્ષણ ખાતું ચિંતીત હતું.

“સીરેક્યુઝના છેવટના વર્ષોમાં મને આનો અનુભવ આવ્યો હતો. ખાસ કરીને ભારતીય તથા વેસ્ટ ઇંડીઝના વસાહતીઓ તેમના બાળકો પર એલીમેન્ટરી સ્કૂલથીજ અત્યંત દબાણ લાવતા જોવામાં આવ્યા હતા. “અમે દેશ છોડીને અમેરિકા એટલા માટે આવ્યા છીએ કે તમારૂં ભવિષ્ય સુધરે!” એમ કહી પોતાની હાર્વર્ડ, યેલ કે પ્રિન્સ્ટન જેવા વિશ્વવિદ્યાલયોમાં જવાની તેમની અધુરી રહેલી મહત્વાકાંક્ષા બાળકો પાસેથી પૂરી કરાવવા તેઓ બાળકો પર વધારે પડતું દબાણ લાવતા હતા. આ દબાણ બાળક છ-સાત વર્ષનું થાય ત્યારથી લાવવામાં આવતું. બાળકને પરોઢિયે પાંચ વાગે જગાડી ગણિતના પાડા, કવિતા અને અન્ય વિષયો તેમના પિતા ભણાવવા લાગી જતા. આામ કરતી વખતે તેમને એક વાતનો ખ્યાલ નહોતો આવતો કે બાળકને શાળાના અભ્યાસક્રમ પ્રમાણે પણ કામ કરવું પડતું હતું. આમ બમણા દબાણમાં આવેલા બાળકમાં burn-out ઘણું વહેલું આવે. અભ્યાસનો આનંદ માણવાને બદલે તેમને તે જબરજસ્તી જેવું લાગતાં બાળકને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, જેમકે peer pressure, શિક્ષક તરફથી ઠપકો. આનું પરિણામ શું આવે એ તો આપ જાણો જ છો!”

“આનો ઉપાય?” પેરેઝે પૂછ્યું.

“શિક્ષણ ખાતાએ યોજેલા શાલેય કાર્યક્રમ, વિચારપૂર્વક બનાવેલા અભ્યાસક્રમનું મહત્વ તથા શાળાની શિક્ષણ પદ્ધતિને સમજી, તેમાં સહકાર આપવા વાલીઓને સઘન રીતે સાંકળી લેવાય તો આ કામ સરળ બને. તે ઉપરાંત બાળકો પર કોઇ પણ જાતનું દબાણ લાવવું નિરર્થક અને વિપરીત પરિણામ લાવનારું બને છે, તેની સમજ વાલીઓને આપવા માટે community outreach કાર્યક્રમની આવશ્યકતાની જરૂર છે. આઉટરીચનું મુખ્ય કારણ એ છે કે અમેરિકામાં સારૂં જીવનધોરણ જાળવવા પતિ અને પત્ની બન્નેને કામ કરવું પડતું હોય છે તેથી શાળામાં PTAના કાર્યક્રમમાં તેઓ ભાગ લઇ શકતા નથી. અહીં ટ્રિનીડૅડમાં પરિસ્થિતિ જુદી હોવા છતાં અમે આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો અને સફળતાપૂર્વક અમલમાં મૂક્યો હતો.”

“ડૉ. પરસાદ, સાચું કહું તો હું અહીં ખાસ ઉદ્દેશથી આવ્યો છું. ક્વીન્સમાં અમારા માટે આ સમસ્યા ગંભીર થઇ છે, અને તે માટે કૅરીબિયન બૅકગ્રાઉન્ડના યોગ્ય શિક્ષણશાસ્ત્રી અમારા કાર્યક્રમ માટે મળી શકે કે કેમ તેની તપાસ કરવા અમારી સિટી કાઉન્સીલ તરફથી હું કૅરીબિયનની મુલાકાતે આવ્યો છું. આપને અમારા અભિગમમાં રસ હોય તો અમે તે દિશામાં આગળ વધીએ. આપ આ કામ લેવા તૈયાર હો, તો ન્યુ યૉર્કની સિટી કાઉન્સીલના કૉર્પોરેટ લેવલમાં આપની નીમણૂંક કરવા અમે તૈયાર છીએ. ન્યુ યૉર્કના હિસાબે સુદ્ધાં અમે ઘણું ઉંચું પગાર ધોરણ તથા રિલોકેશન પૅકેજ આપીશું. આપ અમારી અૉફરનો વિચાર કરશો?” તેમણે પગાર તથા રિલોકેશનના જે આંકડા કહ્યા તે સાંભળીને કોઇના પણ ભવાં ઉંચા થાય!

“આપનો આભાર, ડૉ. પેરેઝ. પણ માફ કરશો, મારૂં કાર્યક્ષેત્ર છોડીને બીજા કોઇ સ્થળે જવાની મારી ઇચ્છા નથી. ફૉર્ડ ફાઉન્ડેશને જ્યારે મને ગ્રાન્ટ આપી ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારા વતન માટે જે કાંઇ કરવું પડે તે કરીશ. હજી મારે અહીં ઘણું કામ કરવાનું બાકી છે.”

“આપની રજા લેતાં પહેલાં હું આપને આ બાબતમાં ઉંડો વિચાર કરવાની વિનંતી કરૂં છું. આપે ટ્રિનીડૅડ માટે ઘણું કર્યું. હવે આપે આખા કૅરીબિયન ટાપુઓ અને ગયાના અને સુરીનામ જેવા દેશોમાંથી ન્યુ યૉર્કમાં સ્થાયી થયેલા નાગરિકો માટે વ્યાપક કાર્ય આપ સફળતાપૂર્વક કરી શકશો એવી મને ખાતરી છે. છેલ્લા દસ વર્ષમાં આપે જેમને કેળવેણી આપી છે તે શિક્ષકો અને સાથીઓ આપનું કામ ઉપાડી લેશે, પણ ન્યુ યૉર્કમાં આપના દેશવાસીઓને માર્ગદર્શકની તાતી જરૂર છે.

“મારી આપને વિનંતી છે કે આપ આપના પરિવાર તથા શિક્ષણ ખાતાના અધિકારીઓ સાથે જરૂર વિચાર વિમર્શ કરશો. મને આશા છે કે અાપ યોગ્ય નિર્ણય લેશો.”

ડૉ. મૅકડોનલ્ડે ક્રિસને આ અૉફર સ્વીકારવાની સલાહ આપી. તેમની દૃષ્ટીએ માયા અને શૉનના અભ્યાસ તથા કારકિર્દી માટે તેમનું ન્યુ યૉર્ક જવું ફાયદેમંદ રહેશે. ક્રિસે તેમની સલાહ માની અને બીજા દિવસે પરિવાર તથા શિક્ષણ ખાતાના વડા સાથે વાત કરી. શિક્ષણ ખાતાના ડિરેક્ટરે તો આગ્રહ કર્યો કે ન્યુ યૉર્ક જવાથી તેઓ દેશની કીર્તિ વધારશે. પરિવારે પણ તેમને સલાહ આપી કે સૌએ ન્યુ યૉર્ક જવું. ત્યાર બાદ તો કેવળ ફૉર્મેલિટી હતી. પપા રામનારાયણે કહ્યું કે તેઓ ઉનાળામાં તેમની મુલાકાત લેતા રહેશે, અને બાળકો ઉનાળાની રજાઓ કૅરીબિયનમાં ગાળવા આવે તો તેમને ગમશે.

ક્વીન્સ ડીસ્ટ્રીક્ટના શિક્ષણ ખાતા સાથેની ઔપચારીક મુલાકાત માટે ક્રિસ ન્યુ યૉર્ક ગયા અને જુન મહિનામાં કામ શરૂ કર્યું. મકાનની વ્યવસ્થા કરી અને પરિવારને બોલાવ્યો.

શૉન ન્યુ યૉર્ક જવાની વાતથી ખુબ રાજી થયો, પણ બે વાતો મૂકીને જવું પડશે તેનું તેને ભારે દુ:ખ હતું. એક તો ક્રિકેટ! તેની મહેચ્છા હતી ટ્રિનીડૅડ વતી ટેસ્ટ મૅચ રમવાની. બીજો અફસોસ હતો દાદી-ફોઇ, ગ્રૅની કમલાને છોડી જવાનો. તેમને શૉન પ્રત્યે ઘણું વહાલ હતું અને શૉન તેમનો ખાસ ચહેતો હતો.

જુલાઇ માસની એક ઢળતી બપોરે રામનારાયણ, ગ્રેસ, માયા અને શૉન જેએફકે પર ઉતર્યા. ક્રિસના પરિવારના જીવનનું નવું પ્રકરણ શરૂ થયું.

Wednesday, February 16, 2011

ક્વીન્સ રૉયલ કૉલેજ, પોર્ટ અૉફ સ્પેન

૨.
ક્રિસ પોર્ટ અૉફ સ્પેન પાછો ફર્યો ત્યારે સરકારે તેની ક્વીન્સ રૉયલ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રૉફેસરના પદ પર નીમણૂંક કરી. અત્યાર સુધી પરદેશથી આવેલા પ્રાધ્યાપકો હવે પોતપોતાના દેશમાં પાછા જઇ રહ્યા હતા. બે વર્ષમાં તો ક્રિસની પ્રગતિ અંગ્રેજી વિભાગના વડા અને પ્રાધ્યાપકના પદ પર થઇ. તેનું વેતન તથા અન્ય સવલતોને કારણે તે પિતાની મહેચ્છા પૂરી શક્યા, એટલું જ નહિ, નાના ભાઇ મહેશ પરસાદને લંડનના મિડલ ટેમ્પલમાં બૅરીસ્ટરનો અભ્યાસ કરવા મોકલી શક્યા.
‘તે હિ નો દિવસા ગતા:’ જેટલું સંસ્કૃત તો શું, ક્રિસને પોતાના પરિવારના સ્થાપક રામ પરસાદની મૂળ ભોજપુરી પણ આવડતી નહોતી, તેથી અંગ્રેજીના શબ્દો, “Those were the days!” અચાનક બહાર આવ્યા
“શું કહ્યું?” ગ્રેસે પૂછ્યું.
“પોર્ટ અૉફ સ્પેનના દિવસો સાંભર્યા!”
“હું પણ તેનો વિચાર કરતી હતી. મને ડૉ. મેકડૉનલ્ડની યાદ આવી. તેમને લીધે તો આજે શૉન અને હું જીવતા છીએ. ડૉ. મૅકએ મને જીવન જીવવાનું પ્રયોજન આપ્યું.”
વાત પણ સાચી હતી. ડૉ. મૅકડૉનલ્ડ એડીનબરોથી FRCS થઇને ગ્લાસ્ગો ઇનફર્મરીમાં જોડાયા હતા. આગળ જતાં તે ગાયનેકોલૉજી-અૉબ્સ્ટેસ્ટ્રીક્સના વડા થયા. તેમનો પરિવાર મિશનરી પરંપરાનો હતો અને તેમની ઇચ્છા એવા દેશમાં જઇ પોતાની સેવા આપવાની હતી જ્યાં તેઓ આધુનિક વૈદ્યકીય સેવાઓ વિકસાવી શકે. તેવામાં ટ્રિનીડૅડ-ટૉબેગોની સેન્ટ અૅન્સ હૉસ્પિટલ માટે UNICEF તથા WHOની પરિયોજના અંતર્ગત તેમને ત્યાંની સેવાઓ વિકસાવવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું, તેમણે સહર્ષ સ્વીકાર્યું હતું. તેમણે કાર્ય એટલી સફળતાપૂર્વક કર્યું કે વેસ્ટ ઇન્ડીઝના લોકો કઠીન સર્જરી માટે કરજ કાઢીને પણ પોતાના સ્વજનોને ફ્લૉરીડા મોકલતા હતા, તેને બદલે હવે સેન્ટ અૅન્સમાં મોકલવા લાગ્યા.
ગ્રેસ બીજી વાર સગર્ભા હતી ત્યારે તેને અકસ્માત નડ્યો. ડૉ. મૅકડૉનલ્ડે સતત ત્રણ કલાકની મહેનત બાદ ગ્રેસ તથા તેના પુત્રને બચાવ્યા હતા. ક્રિસે તેમનો ઉપકાર માનવા પુત્રનું નામ શૉન રાખ્યું - ડૉ. શૉન મૅકડોનલ્ડની યાદ કાયમ રાખવા. ડૉક્ટરે પ્રતિભાવ તરીકે શૉનના ‘ગૉડફાધર’ થવાનું સ્વીકાર્યું. ત્યારથી ડૉ. મૅકડૉનલ્ડ પરસાદ પરિવારના માનદ સભ્ય થયા. પંદર વીસ દિવસે તેઓ પોતાના માનસપુત્ર તથા ક્રિસને મળવા તેમને ઘેર જતા. શૉનને તેમની સૌથી વધુ કોઇ વાતો યાદ રહી હોય તો તેમની સાથે તેના પિતાના કોઇ વાર થતા વાર્તાલાપની.
એક દિવસ તેમની વસાહતવાદ વિરૂદ્ધ થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસ વિશે ચર્ચા થઇ. સ્કૉટલેન્ડના હાઇલૅન્ડર્સની તવારિખમાં જેકોબાઇટ બળવો, બૉની પ્રિન્સ ચાર્લીના હાઇલૅન્ડર સૈનિકોનો કુલોડનની લડાઇમાં ઇંગ્લંડના ‘રેડ કોટ્સ’ - લાલ જૅકેટનો યુનિફૉર્મ પહેરેલા અંગ્રેજ સૈનિકોએ કરેલ સંહાર તથા ૧૮૫૭માં કંપની સરકારના અભિયાનમાં બૅંગાલ નેટિવ આર્મીની અસંખ્ય ટુકડીઓની ફાયરીંગ સ્કવૉડ દ્વારા કરવામાં આવેલી હત્યાની વાત થઇ. બન્ને વચ્ચે કેટલું સામ્ય હતું તેની વાતમાં ક્રિસે પ્રશ્ન પૂછ્યો: કુલોડનમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારના લોકો દેશ છોડી ગયા હતા કે કેમ?
“હા, ઘણા લોકો તો બૉની પ્રિન્સ ચાર્લી સાથે ફ્રાન્સ ગયા અને કેટલાક યુરોપના અન્ય દેશોમાં ગયા હતા. મને ભારતના વિપ્લવી સૈનિકો માટે અફસોસ છે. તેમને ક્યાંય જવાનો માર્ગ જ નહોતો. મોટા ભાગના સૈનિકો તથા તેમને સાથ આપનાર હજારો લોકો માર્યા ગયા.”
વાત ત્યાં જ પૂરી થઇ, પણ શૉનને યાદ રહી ગઇ.
* * * * * * * * *

યોગ અને સંયોગ નિસર્ગની એવી યુતિ છે, જેને કોઇ ઓળખી કે જાણી શક્યુંનથી. જાણકારો એને ‘યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે’ હાજર હોવું, કર્મનો સિદ્ધાંત કે નિયતી કહે છે. આવો જ એક પ્રસંગ ક્રિસના જીવનમાં આવ્યો. તે સમયે તેના કોઇ દુરગામી પરિણામો આવી શકશે, તેનો એક પરમાણુ જેટલો પણ અંદેશો તેમને આવ્યો નહિ.
ક્વીન્સ રૉયલમાં નીમણૂંક થયા બાદ અંગ્રેજી વિભાગના વડા તરીકે ક્રિસે વિવિધ આયોજનો શરૂ કર્યા. તેમાંનો મુખ્ય અભિગમ હતો શહેરની શિક્ષણ સેવામાં જાહેર જનતાનો સંપૂર્ણ સહકાર તથા અંગ્રેજીમાં કહેવાય છે તેમ ‘Total Ownership.” હા, આમ તો સ્થાનિક સરકારની ચૂંટણીઓમાં ચૂંટાઇને આવતા સભ્યોમાંથી શિક્ષણ સમિતી નીમાતી હોય છે. ક્રિસે તેમને સલાહ આપવા અનૌપચારીક સમિતી સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો. સમાજસેવા, અર્થશાસ્ત્ર, ન્યાય વિ. ના નિષ્ણાતો તથા આગેવાનોને કૉલેજના અભ્યાસક્રમ, સંસ્થાકીય નીતિનિયમોમાં ભાગ લેવા સાંકળી લેવામાં આવે. શિક્ષણ સમિતીએ તેનો સ્વીકાર કર્યો. પરિણામે શિક્ષણનું સ્તર તો ઊંચું આવ્યું, એટલું જ નહિ, નાણાં ક્ષેત્રનો આગેવાનોએ આર્થિક રીતે પછાત પણ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખાસ શિષ્યવૃત્તિઓ માટે અનુદાન આપ્યા. ભણતરમાં પાછળ પડતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે mentoring વર્ગ શરૂ થયા. આનું અનુકરણ બીજા કૅરીબીયન દેશોમાં પણ શરૂ થયા. ક્રિસની ખ્યાતિ વધી.
જેમ જેમ અભ્યાસનું સ્તર ઉંચું થતું ગયું, ક્રિસે નવા અભિગમ શરૂ કર્યા, જેમાંનો એક હતો ‘શેક્સપીયરીયન સોસાયટી’ની સ્થાપના. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે શેક્સપીયરના નાટ્ય પ્રયોગો તથા ખાસ વ્યાખ્યાનો ગોઠવ્યા: અંગ્રેજ કવિઓ - વર્ડ્ઝવર્થ, એલિયટ, યેટ્સ ઉપરાંત અમેરીકન સાહિત્યકાર એડગર અૅલન પો, એમર્સન, હેમીંગ્વેના જન્મદિન નિમીત્તે ખાસ વક્તાઓને નિમંત્રણ આપી કાર્યક્રમ ઉજવવાનું શરૂ કર્યું. શહેરના જ નહિ, દેશના વિભીન્ન વિસ્તારોમાંથી અંગ્રેજી સાહિત્યના રસિકો આ કાર્યક્રમોમાં ભાગ લેવા આવી પહોંચતા
વૉલ્ટ વ્હીટમનના જન્મદિને તેમણે પોતે પ્રવચન આપ્યું. તે સાંજે એક ખાસ મહેમાને તેમાં હાજરી આપી: ડૉ.હેસુસ પેરેઝ. તેઓ ન્યુ યૉર્કથી રજા ગાળવા વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓની મુલાકાતે આવ્યા હતા, અને તે દિવસે તેઓ સંજોગવશાત્ પોર્ટ અૉફ સ્પેનમાં હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ વક્તા-શ્રોતાઓ ચ્હા માટે ભેગા થાય, પેરેઝ ક્રિસને મળ્યા અને પોતાનો પરિચય આપ્યો. તેઓ ન્યુ યૉર્કના ક્વીન્સ ડીસ્ટ્રીકટના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા.
“આપનું વ્યાખ્યાન મને ઘણું જ ગમ્યું. “O Captain, My Captain” અૅબ્રહમ લિંકનને સંબોધીને લખ્યું, અને આ કાવ્યમાં તેમણે દેશની વ્યથા વર્ણવી, તેનું આપે કરેલ વિશદ વિષ્લેષણ ઘણું વેધક હતું. હું આપને ખાનગીમાં મળવા માગું છું. અાપ કાલે મારી હોટેલમાં બપોરના ભોજન માટે આવી શકશો તો મને ઘણો આનંદ થશે.”
“હૉટેલનું ભોજન કરીને આપ કંટાળી ગયા હશો તેથી આપ અમારે ઘેર આવશો તો આપને અમારૂં ખાસ ભોજન - દાલપુરી તથા રોટી આસ્વાદવાનો મોકો મળશે. આપ કાલે સાંજે અમારે ઘેર આવો તો કેવું?”
“જરૂર.”
તે સાંજ ક્રિસ માટે ફરી એક વાર અવિસ્મરણીય બની ગઇ.

Sunday, February 13, 2011

૧.
કૅલીફૉર્નિયા : ૧૯૯૬
ક્રિશન - ક્રિસ પરસાદ અને તેમની પત્નિ ગ્રેસ ત્રિનિડૅડના પોર્ટ અૉફ સ્પેનમાં શરૂ થયેલા તેમના જીવનના લાંબા પ્રવાસના છેલ્લા તબક્કામાં કૅલિફોર્નિયા આવીને વસ્યા હતા.
રોજ વહેલી સવારે પ્રશાંત મહાસાગરના કિનારા પર અર્ધો-પોણો કલાક ફરી ઘેર જવાનું, પુત્ર-પુત્રવધુ સાથે સવારનો નાસ્તો કરી બાકીનો દિવસ આરામ, વાચન તથા લેખનમાં જતો. તેમનો પુત્ર શૉન દક્ષીણ કૅલીફૉર્નિયાના લગુના બીચમાં કન્સલ્ટન્ટ અૉર્થોપીડીક સર્જન અને તેની બાળરોગનિષ્ણાત અમેરીકન પત્નિ સુઝન તેમને આગ્રહપૂર્વક ન્યુયૉર્કના ક્વીન્સથી લગુના બીચ તેમની સાથે રહેવા લઇ આવ્યા હતા.
આજે ફરી આવ્યા બાદ બન્ને જણા સાગર કિનારે ત્યાંની સિટી કાઉન્સીલે મૂકેલી બેન્ચ પર બેઠા. સમુદ્રની લહેરોને જોતાં જોતાં પોતપોતાની વિચાર સૃષ્ટિમાં ખોવાઇ ગયા.
ક્રિસને યાદ આવ્યો તે દિવસ, જ્યારે ૧૭ વર્ષની વયે તે સિનિયર કૅમ્બ્રીજની પરીક્ષામાં સમગ્ર વેસ્ટ ઇન્ડીઝમાં ત્રીજા સ્થાને આવ્યો હતો. શરૂઆતથી જ તેને અંગ્રેજી સાહિત્ય પ્રત્યે રુચિ હતી અને છેલ્લા વર્ષો દરમિયાન તેમાં ઉચ્ચ અંક પ્રાપ્ત થતા જોઇ તેણે મહત્વાકાંક્ષા કેળવી: અૉક્સફર્ડ જઇ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરવો. ‘એ’ લેવલના સમકક્ષ પરિણામ આવ્યા અને છાપાંમાં પોતાનું નામ જોઇ તેને સ્વપ્ન સાકાર થતું લાગ્યું. પપા શિવનારાયણ રજા આપે, અને બ્રિટન જવા જેટલી જોગવાઇ કરી આપે તો બાકીનો ખર્ચ ત્યાં જઇને ઉભો કરી શકશે તેવો આત્મવિશ્વાસ હતો, વિદ્યાધર નાયપૉલની જેમ. કેવળ પપાની રજા મળવી જોઇએ.
સાંજે પપા આવ્યા અને ભોજન બાદ હંમેશા મુજબ ફૅમિલી રૂમમાં બધા બેઠા ત્યારે તેણે વાત કરી.
શિવનારાયણ વિચારમાં પડી ગયા. થોડી ક્ષણો શાંત રહયા બાદ તેમણે કહ્યું, “જો દિકરા, આમ તો આપણી સ્થિતિ ઠીક છે, સર્વ-સામાન્ય મધ્યમ વર્ગના લોકોની જેમ. આપણા માથે કોઇ કરજ નથી, પણ તને બ્રિટન મોકલવાની આપણી ત્રેવડ નથી. આપણું પોતાનું તો ઘરનું ઘરે’ય નથી, સાબીના લગ્ન માટે પણ તૈયારી કરવાની છે.” સાબી - સબીતા ક્રિસથી ચાર વર્ષ મોટી હતી.
“તારા પપા સાચું કહે છે,” ક્રિસનાં મમી બોલ્યા.
“મારો વિચાર છે કે તારે િસવિલ સર્વિસમાં જોડાવું જોઇએ. ત્યાં ડાયરેક્ટ એન્ટ્રી અૉફિસરની ભરતી થાય છે. આગળ જતાં તારા જેવા હોંશિયાર યુવાન માટે પ્રગતિની સારી તકો થશે. એક તો તું મોટો અફસર બનીશ અને ઘરમાં તારી મદદ થશે. આપણે આપણું પોતાનું મકાન પણ વહેલાં લઇ શકીશું.”
ક્રિસ થોડો નિરાશ થયો. તેને પોતાની મહેચ્છાનો દરવાજો બંધ થઇ ગયા જેવું લાગ્યું પણ તે નિરાશ થઇને બેસી રહે તેવો યુવાન નહોતો. વધુ અભ્યાસની ધગશ હતી તે િસવિલ સર્વિસમાં ગયા પછી પણ પૂરી કરી શકાય તેવું હતું.
ડાયરેક્ટ એન્ટ્રી અફસરની જરૂરી લાયકાતમાં ઉમરનો બાધ હતો. હજી તેને ૧૮ પૂરા થવામાં આઠે’ક મહિના બાકી હતા, અને પરીક્ષાની તારિખ હજી જાહેર થઇ નહોતી. ક્રિકેટની સીઝન ચાલુ હતી તેથી મોટા ભાગનો સમય મેદાનમાં અને બાકીનો પોર્ટ અૉફ સ્પેનની હાર્ટ સ્ટ્રીટમાં આવેલી નૅશનલ લાયબ્રેરીમાં ગાળવા લાગ્યો.
એક દિવસ રાષ્ટ્રીય અખબારમાં આવેલી જાહેરાત તરફ તેનું ધ્યાન ગયું. વેસ્ટ ઇંડીઝની કૉલેજોને સ્થાનિક પ્રજામાંથી જ ઉચ્ચ સ્તરના શિક્ષકો મળે તે માટે યુનેસ્કો તથા ફોર્ડ ફાઉન્ડેશને મળીને એક યોજના બનાવી હતી. પ્રત્યેક કૅરીબીયન રાષ્ટ્રમાંથી એક એક યુવાનને અમેરિકાની યુનિવર્સિટીમાં ગ્રૅજ્યુએટ તથા પોસ્ટ ગ્રૅજ્યુએટ ડીગ્રી કોર્સ માટે સ્કૉલરશીપ આપવાની તેમાં જાહેરાત હતી. પ્રાથમિક લાયકાત સિનિયર કૅમ્બ્રીજ પ્રથમ વર્ગમાં પાસ કરી હોવી જોઇએ. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને વતન પાછા આવ્યા બાદ તેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ દેશમાં શિક્ષક તરીકે સેવા આપવાનો કરાર કરવાનો રહેશે. અરજીની બંધ તારીખ બાદ બે મહિનામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ. ક્રિસે અરજીનું ફૉર્મ મંગાવીને મોકલી આપ્યું. પરીક્ષાઓ થઇ, પરિણામ જાહેર થયા અને સમગ્ર ટ્રીનિડૅડમાંથી તે પ્રથમ આવ્યો. હજી એક અવરોધ બાકી હતો: ઇન્ટરવ્યૂ. તે પણ પતી ગયો.
એક અઠવાડીયા બાદ તેને પત્ર મળ્યો કે સ્ટેટ યુનિવર્સિટી અૉફ ન્યુયૉર્ક - SUNY, સીરેક્યુઝમાં તેને ડીપાર્ટમેન્ટ અૉફ ઇંગ્લીશના અન્ડરગ્રૅજ્યુએટ કોર્સ માટે પસંદ કરવામાં આવ્યો છે. કોર્સ ફી માફ, યુનિવર્સિટી ડૉર્મમાં મફત આવાસ અને વધારામાં આવવા-જવાનું ભાડું. જો કે તેની સાથે શરતો પણ હતી: દર વર્ષે તેણે સેમેસ્ટર્સમાં સંતોષકારક હાજરી આપવાની રહેશે એટલું જ નહિ, સારૂં પરિણામ પણ મેળવવાનું રહેશે.
ક્રિસે તેની મમી તથા બહેન સાબીને પત્ર બતાવ્યો. સાબી તો ખુશ થઇ ગઇ. મમા પણ રાજી થયા, પણ પપા મંજુરી આપશે કે કેમ તે વિશે મમા સાશંક હતા.
સાંજે પપા શિવનારાયણ ઘેર આવ્યા ત્યારે સાબીએ જ તેમને, “ગુડ ન્યૂઝ” કહી આવકાર્યા. શિવનારાયણે ફરી એક વાર શંકા જાહેર કરવાનો પ્રયાસ કર્યો અને સાબીએ તરત તેમને રોક્યા.
“તમે પણ ખરા છો, પપા. શરૂઆતથી જ તમે નન્નો લગાડ્યો છે. પહેલાં અૉક્સફર્ડ અને હવે SUNY. આખા દેશના યુવાનોમાંથી મારો kid brother સીલેક્ટ થયો છે તે પરસાદ પરિવાર માટે ગૌરવની વાત છે.”
ક્રિસે પણ મક્કમતાપૂર્વક કહ્યું કે ત્યાંનો વધારાનો ખર્ચ તે પોતે કામ કરીને ઉપાડી લેશે. ઘેરથી તેને પૈસાની જરૂર નહિ પડે. અંતે શિવનારાયણ માની ગયા.
ત્યાર પછી તો ક્રિસે પાછા વળીને જોયું નહિ. તેણે ખુબ મહેનત કરી અને પ્રથમ કક્ષા જાળવી રાખી. સેમેસ્ટરમાં જોઇતી જરૂરી હાજરી પણ પૂરી કરી. ઉનાળાની રજાઓમાં તેણે પુસ્તકોની દુકાનોમાં, લાયબ્રેરીમાં, નાયાગરાની ક્રૂઝ બોટમાં તથા ન્યુ ઇંગ્લંડની માર્થા’ઝ વિન્યાર્ડની ફેરી બોટમાં - જ્યાં મળે ત્યાં નોકરી કરી પૈસા ભેગા કર્યા. પ્રથમ વર્ગમાં બૅકેલૉરીયેટની પદવી મેળવી તે સમયે સાબીનાં લગ્ન નીકળ્યા. ક્રિસ ઘેર ગયો અને પિતાને એક હજાર ડૉલર લગ્નના ખર્ચ માટે આપ્યા ત્યારે શિવનારાયણને તેના પ્રત્યે અભિમાનની લાગણી થઇ ત્યાર પછી સીરેક્યુઝમાં બીજા ચાર વર્ષ ગાળીને તે પાછો આવ્યો ત્યારે તેની પાસે અંગ્રેજી સાહિત્યની પોસ્ટ-ગ્રૅજ્યુએશન તથા D. Ed હતી.

Tuesday, February 8, 2011

પ્રિય સુહૃદ,

ઘણા દિવસે “જીપ્સીની ડાયરી”ના આંગણે પધારવા આપને આમંત્રણ આપું છું.

૧૯૮૫ની વાત છે. લંડનના કિલબર્ન વિસ્તારમાં આવેલી સોશિયલ સર્વિસીઝમાં કાર્યરત હતો ત્યારે જીપ્સીને મળવા મૂળ ભરૂચના અને વર્ષોથી દક્ષીણ આફ્રિકા રહી બ્રિટનમાં સ્થાયી થયેલા ૭૧ વર્ષની વયના શ્રી.વલી મોહમ્મદ આવ્યા. તેમની જરૂરિયાતોની વ્યવસ્થા કર્યા બાદ તેમને ‘બાય-બાય’ કરવા દરવાજા સુધી ગયો, ત્યારે તેમણે કહ્યું, ”મારૂં એક કામ કરી શકશો? આને સોશિયલ સર્વિસીઝ સાથે કોઇ લેવા દેવા નથી. છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી એક પુસ્તક ખોળું છું, ક્યાંય મળતું નથી. તમારી દેશમાં ઓળખાણ હોય તો મારા માટે તે મંગાવી આપશો? તેની જેટલી કિંમત થાય તે હું આપીશ.”

પુસ્તકનું નામ હતું “ભારતમાં અંગ્રેજી રાજ્ય.” હિંદીમાં મૂળ લેખક પંડિત સુંદરલાલજી અને ભાષાંતરકાર હતા શ્રી. ભાસ્કરરાવ વિદ્વાંસ. ગોંદીઆના ઊદ્યોગપતિ શ્રી. ચતુર્ભુજ જસાણીએ પોતાના ખર્ચે પુસ્તક છપાવી સન ૧૯૩૯માં ભાવનગરની ઘરશાળાના શ્રી. હરભાઇ ત્રિવેદી દ્વારા પ્રકાશન કરાવ્યું હતું.

નસીબ જોગે ત્રણ મહિના બાદ મારે ભારત જવાનું થયું. પાછા ફરવાના બે દિવસ પહેલાં વલીકાકાની ફરમાયેશ પૂરી કરવા અમદાવાદના મહાજન બૂક ડીપો, ગુર્જર ગ્રંથરત્ન, નવભારત પુસ્તક ભંડાર વિગેરે જેવા પ્રખ્યાત પુસ્તકવિક્રેતાઓ પાસે ગયો પણ તે ન મળ્યું. છેલ્લે ત્રણ દરવાજા પાસે આવેલ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેની દુકાનમાં ગયો અને જૈમિનીભાઇ જાગુષ્ટેને મળ્યો. તેમણે કહ્યું, “અરે, આ તો ઉચ્ચ કક્ષાનું અને લગભગ અપ્રાપ્ય પુસ્તક છે. તમે ઇતિહાસના સાચા પ્રેમી લાગો છો.” સાચા પ્રેમી હતા વલી કાકા! આ મૌલ્યવાન પુસ્તકની અનેકગણી કિંમત ન માગતાં જૈમિનીભાઇએ તે મને પડતર કિંમતમાં આપ્યું.

લંડન પાછો ફર્યો અને ૧૨૩૯ પાનાંમાં વહેંચાયેલા આ પુસ્તકના બેઉ ભાગ લઇ વલીકાકાને ઘેર ગયો તો જાણવા મળ્યું કે તેઓ લંડન છોડી લેસ્ટર ગયા હતા અને ફૉર્વર્ડીંગ અૅડ્રેસ નહોતા મૂકી ગયા.
બે-ચાર મહિના પુસ્તક એમ જ પડી રહ્યું. આમ તો અમારા ઇતિહાસના શિક્ષક સ્વ. ગૌરીશંકર ભવાનીશંકર ઓઝાના સૌજન્યથી હું જાણતો હતો કે પંડિત સુંદરલાલનું મૂળ હિંદી પુસ્તક ૧૯૨૯માં પ્રસિદ્ધ થતાં વેંત અંગ્રેજ સરકારે તેને જપ્ત કર્યું હતું. એક દિવસ મને તેની સ્મૃતી થઇ અને કુતૂહલવશ પૅકીંગમાંથી પુસ્તક કાઢ્યું અને વાંચવા લીધું, અને વાંચતો જ ગયો.

૧૮૫૭ના વિપ્લવ વિશેનાં પ્રકરણો વાંચતાં તેમાંના એક વીરપુરુષની મારા મન પર ઘેરી અસર થઇ: બિહારની નાનકડી રિયાસત જગદીશપુરના રાજા બાબુ કુંવરસિંહ. ૮૦ વર્ષની વયે તેમણે ખેલલાં યુદ્ધો, જેમાં તેમણે બ્રિટીશ સેનાના સેનાપતિઓ કૅપ્ટન ડન્બાર, લ ગ્રાન્ડ, લુગાર્ડ તથા ક્રાઇમિયન યુદ્ધના લડવૈયા સેનાપતિ લૉર્ડ માર્ક કર જેવા ખુંખાર સેનાપતિઓને હરાવ્યા. ખુદ અંગ્રેજ ઇતિહાસકારોએ કુંવરસિંહની બહાદુરી તથા તેમણે દાખવેલી અંગત આગેવાનીના વખાણ કર્યા. “૧૮૫૭ના બળવામાં કુંવરસિંહ જેવા દસે’ક સેનાપતિ હોત તો ભારતમાંથી અંગ્રેજોનું નામોનિશાન મટી ગયું હોત,” એવું એક અંગ્રેજ ઇતિહાસકારે લખ્યું.

આ લખવાનો ઉદ્દેશ એટલો જ કે બાબુ કુંવરસિંહનું જીવનચરિત્ર વાંચી એક નવલકથા લખવાની સ્ફૂરણા થઇ. ૧૯૯૦માં લખવાની શરૂઆત કરી અને ત્યાર બાદ કામ ખોરંભાઇ ગયું. નવલકથાના પ્રસંગો તથા મહત્વના પાત્રોની સત્યતા તથા તેમની આધારભૂત માહિતી લખવા માટે સંશોધનની જરૂર હતી. સાત આઠ વર્ષના સંશોધનમાં મને બ્રિટીશ લાયબ્રરીમાંથી ઘણું સાહિત્ય મળ્યું. અૉક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાંથી કેટલાક પુસ્તકો મંગાવ્યા. જમ્મુ-કાશ્મિરના ભૂતપૂર્વ રાજ્યપાલ તથા ભારતના નિવૃત્ત સેનાપતિ લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિન્હા PVSM, AVSM, VSM (Retired) એ પોતાના હસ્તાક્ષર સાથે તેમણે લખેલ બાબુ કુંવરસિંહના જીવન ચરિત્રની નકલ મોકલી. અંતે વલીકાકાએ શરૂ કરાવેલ પ્રવાસનો પહેલો પડાવ આવી ગયો. ગયા અઠવાડીયે અંગ્રેજીમાં લખેલ નવલકથા “Full Circle” પૂરી થઇ. શ્રી. હરનીશભાઇ તથા શ્રી ચિરાગભાઇ પટેલ જેવા મિત્રોના આગ્રહથી તેનું ગુજરાતી ભાષાંતર “જીપ્સીની ડાયરી”માં પ્રસિદ્ધ કરવા લીધું છે. આશા છે આપને તે ગમશે. આપનો પ્રતિભાવ જરૂર આપતા રહેશો.

નવલકથાની શરૂઆત ૧૯૯૭ના વર્ષમાં થાય છે. આજે પુસ્તકની પૂર્વકથા - Prologue - સાથે આજનો અંક સમાપ્ત કરૂં છું. હવે શરૂ થશે નવલકથા "પરિક્રમા".

પૂર્વકથા

વર્ષ: ૧૯૯૭. સ્થળ: બ્રિટીશ લાયબ્રરી, યુસ્ટન. લંડન.

“નૌનદીનો સંગ્રામ

કંપનીની સેનાએ અમરસિંહનો પીછો લીધો. (૧૮૫૮ની) ૧૯મી અૉક્ટોબરે નૌનદી નામના ગામમાં આ સેનાએ અમરસિંહને ઘેરી લીધો. અમરસિંહની સાથેકેવળ ચારસો માણસો હતા. આ ચારસોમાંથી ત્રણસો નૌનદીના સંગ્રામમાં જ કપાઇ મૂઆ. બાકીના સો જણાએ એક વાર કંપનીની સેનાને પાછી હઠાવી, એટલામાં અંગ્રેજોની મદદે વધારાની નવી સેના આવી પહોંચી. અમરસિંહના સો માણસોએ માથું હાથમાં લઇને યુદ્ધ કર્યું. આખરે અમરસિંહ તથા તેના બે સાથીઓ મેદાનમાંથી નાસી ગયા. બાકીના સત્તાણું જણા ત્યાં જ કપાઇ મૂઆ.....”
(“ભારતમાં અંગ્રેજી રાજ્ય” ભાગ ૨, પાનાં નં. ૧૧૦૬- પં. સુંદરલાલ)

અમરસિંહની સાથે ગયેલા તેમના બે સાથીઓ કોણ હતા?

દાદી-ફોઇએ જે બે અસવારોનું વર્ણન કર્યું હતું, તેમના વિશે તો પંડિત સુંદરલાલે નહોતું લખ્યું?

દાદીમા તો કદી ટ્રીનીડૅડની બહાર ગયા જ નહોતા, તો તેમને હજારો માઇલ દૂર આવેલ અને સવાસોથી વધુ વર્ષ અગાઉ થયેલા નૌનદીના યુદ્ધની જાણ કેવી રીતે થઇ?

તે વિચારમાં પડી ગયો: આનો જવાબ ક્યાં મળશે?