Monday, January 11, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૬

ગણેશ બાવડીના કાંઠે બેઠેલા વિશ્વાસને જોઈ ચંદ્રાવતીના કાળજામાં ધ્રાસકો પડ્યો. તેનાં પગલાં થીજી ગયાં. કાંઠા પરથી ઉતરી વિશ્વાસ મોટા ઠાઠથી તેની પાસે આવ્યો અને બોલ્યો, “આવો, આપની જ રાહ જોઈ રહ્યા હતા અમે.”

“તમે અહિંયાં…?” થોથવાતી જીભે ચંદ્રાવતી બોલી.

“કેમ, અમારે ગનેશજીના દર્શન માટે આવવું ન જોઈએ? આવો, પધારો. શા માટે ગભરાવ છો? અમે કાંઈ વાઘ - સિંહ નથી કે આપને ખાઈ જઈએ.”

“હું અહિંયા આવવાની છું તેની તમને ખબર હતી?”

“અમે અમારા જાસુસ આપના બંગલાની ચારે બાજુ ગોઠવી રાખ્યા છે,” મશ્કરીભર્યા હાસ્ય સાથે વિશ્વાસ બોલ્યો. “દરરોજ ટેકરીની પ્રદક્ષિના કરીને અમે ચાલ્યા જતા હોઈએ છીએ, પન આપના દર્શન નથી થતાં. એક - બે વાર દૂરથી આપનાં દિદાર થયાં, પન આપનાં મા સાહેબ આપની સાથે હતા, તેથી અમે શું કરીએ?”

ચંદ્રાવતીએ ત્રાંસી આંખે વિશ્વાસ તરફ જોયું.

“આપની સાથે એકાંતમાં વાત કરવાનો અમે મોકો શોધતા હતા. આજે એકલા મળ્યા એટલે થયું દેવ પ્રસન્ન થયા. હવે દેવી પ્રસન્ન થાય એટલે થયું!”

“ઈશ્શ..” 

“એમાં ઈશ્શ જેવું શું છે? બંગલાની વાડ પાછળ સંતાઈને ખાલી એકબીજા સામે કેટલા દિવસ જોતાં રહીશું? અમને થયું, મનમાં જે કાંઈ છે તેની એક વાર ચોખવટ થઈ જવી જોઈએ,” કહી વિશ્વાસે ચંદ્રાવતીનો પ્રસ્વેદથી ભીંજાયેલો હાથ પોતાના હાથમાં લઈ તેની સામે પ્રેમથી જોવા લાગ્યો.

“જુઓ, કાંઈક બોલો તો ખરાં? આમ થરથર કેમ કાંપો છો?”

વિશ્વાસની નજરને ટાળી ચંદ્રાવતીએ હળવેથી પોતાનો હાથ છોડાવ્યો અને પાલવથી લૂછવા લાગી. વિશ્વાસ દિંગમૂઢ થઈને તેની સામે જોતો રહ્યો.

“અમે ચાલ્યા,” કહી વિશ્વાસે પીઠ ફેરવી.

“રિસાઈ ગયા?” વ્યાકુળ થઈને ચંદ્રાવતીએ પૂછ્યું.

“આપ મોઢા પર તાળું મારીને બેસવાના હો તો…”

“પણ હવે તો બોલું છું ને?”

“હા. પન હવે કહો જોઉં કે અમારા પ્રત્યે આપના મનમાં ચોક્કસ કેવી ભાવના છે? અમે તો અમારું કાળજું કાઢીને આપના ચરનોમાં ધરી દીધું છે.”

ચંદ્રાવતીએ પાલવ વડે કપાળ પરનો પસીનો લૂછ્યો.

“આક્કા સાબ (મોટાં રાજકુમારી)નાં લગ્ન વખતે અમે આપને બે - ત્રણ વાર જોયાં હતાં ત્યારથી જ અમે આપના વિશે નક્કી નાખ્યું હતું. જો કે આક્કા સાબનાં લગ્ન વખતે આપ ઘનાં મોટાં દેખાતા હતાં.”

“એવું તો કાંઈ થતું હશે?”

“બસ? ફક્ત ‘ઈશ્શ’ અને ‘એવું તો કાંઈ થતું હશે’ એ જ જવાબ છે આપનો? અમારા વિશે આપના મનમાં શું છે એ તો જાનવા દો અમને!”

ચંદ્રાવતીનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. તેણે પોતાની નજર સામેના ચંપાના ઝાડના થડ પર ટેકવી. વિશ્વાસે ચંદ્રાવતીના ખભા પર હાથ મૂક્યો. ચંદ્રાવતીએ તેનો હાથ એમ જ રહેવા દીધો અને કહ્યું, “ભગવાન સામે દીવો પ્રગટાવવો છે.”

“જરુર પ્રગટાવો. કાલે ફરીથી અમે આપની અહીં રાહ જોઈશું.”

“કાલે હું કેવી રીતે આવી શકું? હું તો ફક્ત મંગળવારે જ અહીં આવતી હોઉં છું, રોજ નહિ. આજે કોઈનો સથવારો નહોતો તેથી એકલાં આવવું પડ્યું. ઘેર ખબર પડશે તો ગજબ થઈ જશે.”

“તો પછી અમે આપના બંગલે આવીશું.”

“ના બાબા, ના! બંગલે નહિ!

“કેમ? બચપનમાં અમે અમારા પિતાજીની સાથે આપના બંગલે નહોતાં કે આવતા? હવે તો અમારે ખુલ્લંખુલ્લા આપના બંગલે આવવું પડશે. ડાક્ટરસાહેબ અમને હાંકી નહિ કાઢે એ નક્કી!”

“જુઓ, વાત વાતમાં મારી પૂજા બાજુએ રહી ગઈ,” વાવના પગથિયા પરથી ઊઠતાં ચંદ્રાવતી બોલી. 

તેણે ગણેશજી પર લાલ ફૂલ અને દર્ભ ચઢાવ્યાં અને હાથ જોડી ગણેશ સ્તોત્ર બોલવા લાગી. પ્રાર્થના પૂરી થતાં તેણે આંખો ખોલી. વિશ્વાસ વાવના કાંઠા પરથી તેની તરફ અપલક જોઈ રહ્યો હતો.
"ભગવાન પાસે શું માગયું?"

"બસ, બધું હેમ ખેમ પતી જાય તો વાવની પાળ પર મોદકનાં લાડુનો ઢગલો કરી દઈશ!"

વિશ્વાસે હેતથી ચંદ્રાવતીનો હાથ પોતાના હાથમાં ધરીને કહ્યું, “આપના હાથ કેટલા કલાત્મક છે! અને આંગળીઓ લાંબી અને પાતળી - કલાકારની. શું આપ ચિત્રકામ કરો છો?”

“હા, કોઈ કોઈ વાર કરું છું. મને કુદરતી દૃશ્યો ચિતરવા ગમે છે.”

“અમે આપને ઓરછા, શિવપુરીના જંગલમાં ચિત્રકામ કરવા લઈ જઈશું. ત્યાંના દૃશ્યો એટલાં અનુપમ, સુંદર હોય છે, અને ત્યાં લાકડાં લેવા નીકળતી ભીલ કન્યાઓ કતારબંધ થઈને ચાલતી હોય છે, તે આખું દૃશ્ય…” વિશ્વાસ કહેતાં કહેતાં રોકાઈ ગયો.

“કેમ રોકાઈ ગયા?”

“અમને એક પ્રસંગ યાદ આવી ગયો. રાવરાજાને લઈ અમે એક વાર શિવપુરીના જંગલમાં શિકાર પર ગયા હતા. સાંજનો સમય હતો અને ભીલ સ્ત્રીઓ જંગલમાંથી લાકડાંની ભારીઓ માથા પર મૂકીને આવતી હતી. ઊંચી, લાંબી કાયા  અને તડકાને કારણે તપાવેલા તાંબા જેવો તેમનો રંગ. આપને તો ખબર હશે કે આ વનવાસી સ્ત્રીઓ ફક્ત કમર પર જ વસ્ત્ર લપેટતી હોય છે, ઉપર કશું નહિ. તેમને જોઈ રાવરાજાએ અમને કહ્યું, ‘વિશ્વાસરાવ, આમાંની સૌથી સુંદર યુવતીને અમારી સેવામાં હાજર કરો. અમે આપને ભરપુર ઈનામ આપીશું.’ અમે તેમને તે જ વખતે પરખાવી દીધું. ‘સરકાર, આવું નીચ કામ અમારાથી નહિ થાય. આ પહેલાં પન અમે આપને સ્પષ્ટ રીતે કહ્યું હતું.”

“પછી?”

“શું થાય? રાવરાજા થોડા દિવસ અમારા પર નારાજ રહ્યા. કદાચ ડ્રાઈવરે આ વાત રાનીમાને કરી હશે તેથી અમને બોલાવીને શાબાશી આપી અને રાનીમાએ કહ્યું, ‘વિશ્વાસરાવ, આપ મોટાભાઈની હેસિયતથી રાવરાજાને આમ સાચવતા રહેશો. તેમનું ચારિત્ર્ય જાળવશો.’  અમે શું કહીએ? જ્યાં સુધી અમે તેમની નોકરીમાં છીએ, અમારું કામ ઈમાનદારીથી કરતાં રહીશું. અમે કોઈ ઈમાન વેચનારા માનસ નથી!”

સાંજ પડવા આવી હતી. ઠંડો પવન વહેવા લાગ્યો હતો. ચંદ્રાવતીના પગ તળેનું ઘાસ આકાશની દિશામાં ઊંચું નીચું થતું હતું. વાતાવરણમાં ચંપાની ઉગ્ર ખુશબૂ વાતાવરણમાં પસરાવા લાગી. અસ્ત થતા સૂર્યનાં કેસરી કિરણો તામ્ર આકાશમાંથી આસમંતના વૃક્ષ અને તેનાં પાંદડાઓની જાળીમાંથી ગણેશ બાવડીનાં સ્થિર જળ પર તરવા લાગ્યાં. 

“મારે હવે નીકળવું જોઈશે. વધુ મોડું થશે તો બા મને ખાઈ જશે. પ્લીઝ, મને જવા દો.”

“કાલે આવશો?”

“કાલે હું મારી બહેનપણીને ત્યાં અભ્યાસ કરવા જવાની છું.”

“કઈ બેનપની?”

“શીલા દિઘે.”

“હત્તેરે કી! ત્યાં અમે જરુર આવીશું. રાનીમાના નવા મંદિરની ડિઝાઈન બનાવડાવવા દિઘે માસ્તરના ઘેર અમે હંમેશા જતાં હોઈએ છીએ.”

વિશ્વાસની વાતોથી ચંદ્રાવતીનું મન તેના પ્રત્યેના આદર અને પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયું. પ્રફૂલ્લિત હૃદયે મનમાં જ ગીત ગણગણતાં તે ગણેશ ટેકરી ઉતરવા લાગી. ટેકરીની પાછળનાં કોતરમાં એક નાનકડા ઝાડ નીચે રાવરાજાની સફેદ મોટર ઊભી હતી. વિશ્વાસ હળવેથી ત્યાં જતો રહ્યો.

સાંજ અંધારાથી ઘેરાવા લાગી. ઝાડીઓમાંથી ટેકરીની નીચે આવેલાં ઘરોમાં દીવાબત્તીનો પ્રકાશ જાણે ઘડામાંથી ઢોળાતા પ્રવાહીની જેમ બહાર પડતો હતો. હનુમાનજીના મંદિરમાં થતી આરતીના ઘંટનો અવાજ ગણેશ ટેકરીના વચલા ઢાળ સુધી મંદ સ્વરે સંભળાતો હતો. બંગલાની લાલ ઈંટની કમ્પાઉન્ડની દીવાલ અને તેના પર જાણે ગરદન ઝૂકાવીને સૂતી હોય તેવી બોગનવિલિયાની વેલ દેખાવા લાગી. બગીચાના છેડે લીંબોળીના ભરચક ભારથી લચી પડેલ લીંબડીનું ઝાડ તેની આછી કટૂ પણ મધુમય સુગંધથી સભર ચમર વાતાવરણ પર ઢાળતી હોય તેવું લાગતું હતું. બંગલાની પાછળના નાનકડા બાગમાં આવેલા કોઠાંના વૃક્ષ પર બુલબુલની જોડી ફેરફૂદરડી કરતી હતી. જમરુખનાં પીળાશ પડતા સફેદ ફૂલ પર મધમાખીઓનું ઝૂંડ ઊતરી પડ્યું હતું. વૃક્ષો અને ઝાડીઓ તેની ઘટામાં ચમકતા આગિયાને કારણે સહેજ સજાગ બની ગયા જેવાં લાગતાં હતાં અને ઊંચે ઊડતા સફેદ બગલાંઓની કતાર જોઈને એવું લાગતું હતું જાણે ઘેરા નીલા આકાશે હીરાનો હાર પહેર્યો હતો!
સડકની પેલી પાર, આમલીના ઝાડ નીચે ગાય ભેંસના હવાડાની નજીક ઊભો સિકત્તર ગણેશ ટેકરી તરફ નજર તાકીને ઊભો હતો. તંદ્રામય સ્થિતિમાં જ ટેકરીનો આખરી ઢાળ ઊતરતી ચંદ્રાવતીને જોઈ તે ઝાડીની પાછળ સંતાઈ ગયો.

બંગલાની પાછળના ભાગમાં આવેલી કમ્પાઉન્ડની દીવાલમાંના ખોડીબારામાં ગોઠવેલ લોખંડના ગોળ ચકરડાના turnstileમાંથી નીકળી ચંદ્રાવતી બંગલાના ફળિયામાં આવી. કપાળ પર બાઝેલાં પરસેવાનાં બિંદુઓને પાલવથી લૂછી તેણે રસોડામાં પ્રવેશ કર્યો.
“અલી, કેટલું મોડું કર્યું, તેં? જામુની મિથ્લા અહિંયા ક્યારથી ધિંગાણું કરી રહી છે. સંધ્યાટાણું થઈ ગયું અને તું એકલી જ ગણેશ બાવડી જતી રહી?” જાનકીબાઈ એકદમ ચંદ્રાવતી પર ગુસ્સે થઈને બોલ્યાં.

“જામુની - મિથ્લાને મેં કેટલીયે બૂમો પાડીને બોલાવી, પણ એ ક્યાંય દેખાઈ નહિ. આજે ન ગઈ હોત તો મારા નિયમમાં ભંગ પડ્યો હોત કે નહિ?” કાકલૂદીના સ્વરમાં ચંદ્રાવતી બોલી.

“હવે પછી કદી પણ એકલાં ક્યાંયે જવાનું નથી, સમજી? પછી ભલે તારો નિયમ ભંગ થાય કે બાધા તૂટે. પેલા બિચારા દિનકરરાવ આવી ગયા. એક ઘંટાભર બેસી રહ્યા અને વાપસ ચાલ્યા ગયા. તેમણે હૉલ પરના ટેબલ પર ચોપડીઓની થપ્પી મૂકી છે.”

“પણ બા, મેં તેમને કહી રાખ્યું હતું કે મારી પરીક્ષાઓ પતે નહિ ત્યાં સુધી ચાેપડીઓ ના લાવશો.”

“મને શી ખબર? પણ દિનકરરાવના મનમાં કેવા વિચાર આવ્યા હશે એનો તો વિચાર કર? જુવાનજોધ છોકરી અૅન સાંજના એકલદોકલ બંગલાની બહાર જાય જ કેમ? આબરુ સાચવવા અમારે શું શું કરવું પડે છે તેનું તને ભાન છે? આવું કરતી રહીશ તો અમારી નાહક બદનામી થશે.”

વિલાયેલા ચહેરે ચંદ્રાવતી પોતાની રુમમાં ગઈ.


ભોજનનું ટેબલ ગોઠવતી વખતે તેના હાથમાં છૂટેલી કંપારી તેને એકલીને જ મહેસૂસ થઈ

No comments:

Post a Comment