Wednesday, July 6, 2011

સલાહ કેન્દ્ર (૩)

જીપ્સીના જૉબ ડિસ્ક્રીપ્શનમાં સંસ્થાના મૅનેજમેન્ટ સાથે મૅનેજમેન્ટ કમિટીને બંધારણ મુજબ કાર્ય કરવામાં સલાહ આપવાનું તથા તેમના facilitator તરીકે કામ કરવાનું હતું. બ્રિટનનો હવે તેને સારો એવો અનુભવ મળ્યો હતો. તેણે જોયું કે NGO સેક્ટરમાં કામ કરનારી કેટલીક સ્વયંસેવક સંસ્થાઓના મૅનેજર એટલા શક્તિશાળી થઇ ગયા હતા, તેમની મૅનેજમેન્ટ કમિટીઓ તેમના કહેવા પ્રમાણે જ ચાલે. અમારી સંસ્થામાં જીપ્સીએ પોતાનો ‘રોલ’ શરૂઆતથી જ સ્પષ્ટ કર્યો હતો અને નાણાંકીય બાબત, નવા કાર્યક્રમની યોજના વગેરે મૅનેજમેન્ટ કમિટી આગળ રજુ કરી, મંજુર કરાવી તેનો અમલ કરવાનું શરૂ કર્યું. આની અંતર્ગત દિવાળી માટે અમે સુંદર કાર્યક્રમ યોજ્યો. આખો દિવસ ચાલનારા કાર્યક્રમમાં અમે ભારતીય ઉપખંડ - ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા શ્રીલંકાના તથા વેસ્ટ ઇંડીઝના અગ્રણીઓને તેમની સંસ્કૃતી, સભ્યતા વિશે માહિતી આપવા ઉપરાંત તેમણે બ્રિટનના ઉત્કર્ષ માટે કરેલા યોગદાન વિશે વીસ-વીસ મિનીટના સેમિનાર અને પ્રેઝન્ટેશન કરવા નિમંત્રણ આપ્યું. તેમાં દેશ વિદેશના પરંપરાગત નૃત્યો, આયર્લન્ડના મૉરીસ ડાન્સર્સ આવ્યા. ખાસ વાત તો એ હતી કે ભારતની સંસ્કૃતિ તથા તેનો બ્રિટન પર પડેલ પ્રભાવ વિશે પ્રવચન આપવા અમે સ્કૂલ અૉફ એશીયન અૅન્ડ આફ્રીકન સ્ટડીઝના લેક્ચરર ડૉ. રૂપર્ટ સ્નેલને બોલાવ્યા. આનું ખાસ કારણ એ હતું કે આપણે આપણાં પોતાનાં બણગાં ફૂંકવાને બદલે તેમના જ પ્રતિનિધિ દ્વારા આપણા દેશના ઉત્સવની બાબતમાં objective ભાષણ અપાય તે વધુ સારૂં એવું લાગ્યું. ડૉ. સ્નેલ ભારતમાં દસ વર્ષ રહી વ્રજ ભાષા પર રિસર્ચ કરી આવ્યા હતા અને હિંદી અસ્ખલીત બોલી શકતા હતા. અંતે હતું આપણું પરંપરાગત ગુજરાતી થાળીનું ભોજન.
સમગ્ર કાર્યક્રમમાં અમે ધર્મ વિશેની ચર્ચાને સ્થાન આપ્યું નહોતું. આપણા માટે દિવાળી એક સાંસ્કૃતીક અને પારિવારીક ઉત્સવ હોય છે. તેમાં મોટાંઓને પગે પડવા જવાની પરંપરા હજી જળવાય છે તેનું અમે અહીં આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભાગ લેવા અમે અમારા બરોમાંના ભારત-પાકિસ્તાનના સિનિયર સિટીઝન્સ ઉપરાંત બ્રિટીશ, વેસ્ટ ઇન્ડીયન, આયરીશ સિનિયર સિટીઝન્સના સભ્યો, કાઉન્સીલના સભ્યો તથા સોશીયલ સર્વિસીઝના અધિકારીઓને આમંત્રણ આપ્યાં. આમાં એક રમુજી બનાવ બની ગયો!
અંગ્રેજોના એક સિનિયર સિટીઝન્સ ગ્રુપનું સંચાલન એક બૅપ્ટીસ્ટ ચર્ચના પાદરી કરતા હતા. ‘દિવાળી સેલીબ્રેશન’ માટે પધારવાનું આમંત્રણ જોઇ તેઓ આખલો લાલ રંગ જોઇ ભડકે તેમ ધૂઆંપૂંઆ થઇ ગયા. “તમે લોકો દિવાળી દેવીની પૂજા કરવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે તેમાં અમે અને અમારા સભ્યો ભાગ ન લઇ શકે. અમે કેવળ પિતા, પુત્ર તથા પવિત્ર આત્મા (Father, the Son and Holy Ghost)માં માનીએ છીએ. તમારી મૂર્તિપૂજા અમારા માટે નિષિદ્ધ છે વ.વ.” અમે તેમની ભૂલ સુધારીને જણાવ્યું કે આ સાંસ્કૃતીક કાર્યક્રમ હતો, અને તેઓ તેમના વૃધ્ધ સભ્યોને તેમાંથી વંચિત રાખવા માગતા હોય તો તે તેમની મુનસફીની વાત હતી. અમને દુ:ખ થયું હોય તો એક વાતનું કે તેમના ત્રીસ સભ્યો સ્વાદીષ્ટ ભોજનનો લહાવો ન લઇ શક્યા.
કાર્યક્રમ પૂરો થયા બાદ જીપ્સીને મળવા સોશિયલ સર્વિસીઝનાં એક વરીષ્ઠ કાર્યકર શુચિ ભટ્ટ આવ્યા. જીપ્સીને ખાસ અભિનંદન આપીને જતાં જતાં તેઓ કહેતા ગયા કે તેમની અૉફિસમાં એશિયન સ્પેશીયાલિસ્ટની જગ્યા લાંબા સમયથી યોગ્ય ઉમેદવાર ન મળવાને કારણે ખાલી છે. જીપ્સીને તેમાં રસ હોય તો તેમને જણાવે!
એક દિવસ અમને ખરાબ સમાચાર મળ્યા. કાન્તિકાકા અમીન, જેમણે મારી નીમણૂંકમાં મોટો ભાગ ભજવ્યો હતો, તેમને સ્ટ્રોક આવ્યો. પૅરેલીસીસને કારણે તેમનાથી ઘર બહાર નીકળી શકાય તેવું નહોતું તેથી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.
હવે ખાલી પડેલી તેમની જગ્યા માટે બે જણાએ આવેદન પત્ર ભર્યા. તેમાંના એક તો અમારી સંસ્થાના જુના કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર રામજીભાઇ હતા અને બીજા શ્રી. દાડમીયા. (આ તેમનું સાચું નામ નથી, પણ જો કોઇ વાચકના સગામાં આ નામના કોઇ સભ્ય હોય તો તેમની પહેલેથી જ ક્ષમા માગી લઉં છું.) જેમ આર્કિમીડીસે કહ્યું હતું કે જો તેમને યોગ્ય લંબાઇની pulley મળે તો પૃથ્વીને પણ ઉંચકી શકે. દાડમીયાને આવી કોઇ પૂલીની જરૂર ન પડે. ભારતના સદ્ભાગ્યે તેમનો જન્મ ઝામ્બીયામાં થયો હતો અને ત્યાં જ જન્મારો કાઢ્યો હતો. ભારત તેમની કરામતમાંથી બચી ગયું!
ઝામ્બીયામાં તેમણે એવા તે શા કાર્ય કર્યા કે સરકારે તેમને ડીપોર્ટ કર્યા. અમારા દુર્ભાગ્યે તેઓ બ્રિટીશ પ્રોટેક્ટેડ પર્સન હોવાથી લંડન આવ્યા. સેક્રેટરીના પદ માટે રામજીભાઇ યોગ્ય હતા. વ્યવસાયે નિવૃત્ત શિક્ષક, પ્રામાણીક અને સમાજમાં ઉંચી શાખ. દાડમીયાએ ચૂંટણી પહેલાં ગુપ્ત મેનીફેસ્ટો બહાર પાડ્યો: મને ચૂંટશો તો દરરોજ નાસ્તામાં ગાંઠીયા જલેબી આપીશ. સભ્યોને લીલાલહેર કરાવીશ. તે સમયે અમારી ભગિની સંસ્થામાં કમ્યુનીટી વર્કરની જગ્યા ભરવાની હતી, ત્યાં લીલારામે તેમના મૅનેજરને વચન આપ્યું કે જો સીલેક્શન બોર્ડમાં તેમને લેવામાં આવે તો તે જગ્યા પર તેમનાં પત્નિની નીમણૂંક કરવામાં મદદ કરશે. બદલામાં ચૂંટણીમાં કોઇ પણ હિસાબે રામજીભાઇ ચૂંટાવા ન જોઇએ. આ સિદ્ધ કરવા માટે અમારે ત્યાંની ચૂંટણીમાં રીટર્નીંગ અૉફિસર તરીકે તેમને નીમવામાં આવશે. પેલાં બહેનને કામ મળ્યું અને બદલામાં રીટર્નીંગ અૉફિસરે દાડમીયાનું કામ કર્યું. રામજીભાઇના આવેદનપત્રમાં તેમણે ટેક્નીકલ ક્ષતિ બતાવી રદ કર્યું. જીપ્સીએ તે સામે વાંધો લીધો તો તેને કહેવામાં આવ્યું કે ચૂંટણીની બાબતમાં ગ્રુપના કર્મચારીને બોલવાનો અધિકાર નથી, કારણ કે આ કામ માટે “નિષ્પક્ષ” રીટર્નીંગ અૉફિસરની નીમણૂંક થઇ હતી. ચૂંટણી અંગે કોઇ પણ નિર્ણય લેવાનો તેમને એકલાને જ અધિકાર હતો! દાડમીયાજી ચૂંટાઇ આવ્યા. દરરોજ ગાંઠીયા જલેબી આપવાનું વચન તેમણે એક અઠવાડીયું પાળ્યું, કારણ કે અમને મળતી ગ્રાન્ટમાં તેની જોગવાઇ નહોતી! પણ ત્યારથી અમારી સંસ્થાની અવનતી શરૂ થઇ ગઇ. આની વાત આગળ જતાં કરીશું.
અમારૂં સલાહ કેન્દ્ર ધમધોકાર ચાલતું હતું. આમાંનો આજે એક જ પ્રસંગ જણાવીશ.
એક દિવસ જીપ્સીનું નામ પૂછતાં એક બહેન તેમના ચાર વર્ષના પુત્રને લઇ આવ્યા. નામ રઝીયા. તેમના એક સગાં અમારી પાસે સિટીઝનશીપનું ફૉર્મ ભરાવવા આવ્યા હતા, તેમણે તેમને અમારી ભલામણ કરી હતી.બ્રિટનમાં જન્મ અને શિક્ષણ તેથી કુદરતી રીતે અંગ્રેજી સરસ બોલતા હતા. તેઓ કાઉન્સીલના ફ્લૅટમાં રહેતા હતા જ્યાં તેમને, તેમના પતિ તથા નાનકડા બાળકને વર્ણદ્વેષી લોકો અત્યંત ત્રાસ આપતા હતા. અમે કાઉન્સીલ પાસે રજુઆત કરી તેમને બીજું મકાન ન અપાવી શકીએ? અમે તેમનો કેસ ઉપાડી લીધો. અનેક પ્રયત્નો બાદ તેમને બીજો ફ્લૅટ મળ્યો. તેઓ ત્યાં રહેવા ગયા બાદ શુક્રીયા કહેવા જીપ્સીને મળવા આવ્યા. આ વખતે તેમના પતિ પણ સાથે હતા. વાત કરતાં સાશ્ચર્ય આનંદ થયો: ભાઇ અમદાવાદના હતા! બસ, ઘણી વાતો કરી, જુની ઓળખાણો નીકળી. મારી અટક સાંભળી તેમણે પૂછ્યું, “અમદાવાદ સિવિલ કોર્ટના જજ શ્રી.મધુકર બળવંતની અટક તમને મળતી આવે છે, તે તમારા શું થાય?”
તે મારા મોટા ભાઇ હતા.
“એમ? એ તો મારા વાલિદ સાહેબના ખાસ પરિચિત અને મિત્ર છે. મારા વાલિદ સાહેબ ગુજરાત બાર કાઉન્સીલના પ્રેસીડેન્ટ છે. તેઓ આવતા મહિને અહીં આવવાના છે. તમે દાવત પર જરૂર આવજો!”
તેઓ આવ્યા અને જીપ્સી તેમને મળવા ગયો. તે સમયે ગુજરાતમાં કોમી અશાંતિ ચાલતી હતી. ઘણાં લોકોને TADAમાં તથા સામુદાયીક દંગલમાં સહન કરવું પડ્યું હતું. વાત વાતમાં મેં તેમને પૂછ્યું, “વતનમાં આટલી તકલીફ ભોગવવી પડે છે, તો આપ બ્રિટન કાયમ માટે કેમ નથી આવતા? અહીં આપના પુત્ર છે, રઝીયા જેવી વહુ છે...”
“ક્યા બાત કરતે હો, ભાઇ? ભારત હમારા વતન હૈ, ઉસ મિટ્ટીમેં સદીયોંસે હમ લોગ પલે, આગે બઢે. ઐસી બાતેં તો હોતી રહેતી હૈ, વહ ભી કુછ સરફિરે misguided લોગોંકી વજહસે. નહિં ભાઇ, ઉન લોગોંકી વજહસે હમ હમારા વતન નહિં છોડ સકતે.”

3 comments:

  1. “ક્યા બાત કરતે હો, ભાઇ? ભારત હમારા વતન હૈ, ઉસ મિટ્ટીમેં સદીયોંસે હમ લોગ પલે, આગે બઢે. ઐસી બાતેં તો હોતી રહેતી હૈ, વહ ભી કુછ સરફિરે misguided લોગોંકી વજહસે. નહિં ભાઇ, ઉન લોગોંકી વજહસે હમ હમારા વતન નહિં છોડ સકતે.”

    એટલે જ ભારતીયતા હજી જીવંત છે.

    ReplyDelete
  2. શુક્રીયા કહેવા જીપ્સીને મળવા આવ્યા. આ વખતે તેમના પતિ પણ સાથે હતા. વાત કરતાં સાશ્ચર્ય આનંદ થયો: ભાઇ અમદાવાદના હતા! બસ, ઘણી વાતો કરી, જુની ઓળખાણો નીકળી. મારી અટક સાંભળી તેમણે પૂછ્યું, “અમદાવાદ સિવિલ કોર્ટના જજ શ્રી.મધુકર બળવંતની અટક તમને મળતી આવે છે, તે તમારા શું થાય?”
    તે મારા મોટા ભાઇ હતા.
    “એમ? એ તો મારા વાલિદ સાહેબના ખાસ પરિચિત અને મિત્ર છે. મારા વાલિદ સાહેબ ગુજરાત બાર કાઉન્સીલના પ્રેસીડેન્ટ છે. તેઓ આવતા મહિને અહીં આવવાના છે. તમે દાવત પર જરૂર આવજો!”
    તેઓ આવ્યા અને જીપ્સી તેમને મળવા ગયો. તે સમયે ગુજરાતમાં કોમી અશાંતિ ચાલતી હતી. ઘણાં લોકોને TADAમાં તથા સામુદાયીક દંગલમાં સહન કરવું પડ્યું હતું. વાત વાતમાં મેં તેમને પૂછ્યું, “વતનમાં આટલી તકલીફ ભોગવવી પડે છે, તો આપ બ્રિટન કાયમ માટે કેમ નથી આવતા? અહીં આપના પુત્ર છે, રઝીયા જેવી વહુ છે...”
    “ક્યા બાત કરતે હો, ભાઇ? ભારત હમારા વતન હૈ, ઉસ મિટ્ટીમેં સદીયોંસે હમ લોગ પલે, આગે બઢે. ઐસી બાતેં તો હોતી રહેતી હૈ, વહ ભી કુછ સરફિરે misguided લોગોંકી વજહસે. નહિં ભાઇ, ઉન લોગોંકી વજહસે હમ હમારા વતન નહિં છોડ સકતે.”
    The Meeting...then this reference..and what a "Love for the Motherland"
    I am so happy to read that & Salute the GreatOne !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    www.chandrapukar.wordpress.com
    Inviting ALL to my Blog !

    ReplyDelete
  3. રઝિયાબેન અને તેમના પતિ જેવા સાચા ભારતીય મુસ્લિમો એ દેશની શાન છે. એમને મારા નમસ્કાર.

    કમભાગ્યે, દાડમીયાઓનો દેશમાં દુકાળ નથી!

    ReplyDelete