Monday, June 22, 2009

આખ્યાયિકાઓ (૩)

ઇન્સ્પેક્શન બાદ બટાલિયનના કમાન્ડન્ટનો ચાર્જ અરવિંદ વૈષ્ણવ પાસે આવ્યો. તેમના અૉપરેશન્સ અૉફિસર તરીકે મારે બૉર્ડર પર અવારનવાર જવું પડતું. ચોકીઓ પર જવા માટે પહેલાં ખાવડા જવું પડે. ત્યાંથી થોડા આગળ જઇએ તો ખારા પાણીની ખાડીને પાર કરતાં શરુ થાય ખારો પાટ અને 'રણ'. આ રણભુમિ પણ વિચીત્ર છે. થરના રણમાં ડુંગરા જેવા રેતીના ઢુવા અહીં ન મળે. અહીં તો માઇલો સુધી સપાટ જમીન છે. જે ભાગ સૂર્યની ગરમીથી તપીને કઠણ બન્યો છે, તે શિયાળા અને ઉનાળા દરમિયાન ક્રિકેટના મેદાન જેવો સખત લાગે. એક વરસાદ પડે કે માટીના ઘડા બનાવવાની માટી જેવો નરમ થઇ જાય. જ્યાં 'બેટ' છે તે જમીન ગામતળ જેવી હોય છે. કુલપતિ મુન્શીએ ‘ગુજરાતનો નાથ’માં અમર કરેલ કચ્છના રણનું વર્ણન, સજ્જન તથા તેની સાંઢણી ‘પદમડી વહુ’ને થયેલા રેતીના તોફાનના અનુભવનું વર્ણન અહીં પ્રત્યક્ષ થાય! ગુજરાતના ઇતિહાસનો સાક્ષાત્કાર થશે તેની અપેક્ષાથી મન ઉત્સુકતાથી તરબોળ થઇ ગયું હતું. મુન્શીજી તો કદી રણમાં નહોતા ગયા, પણ તેમણે સાંઢણીસ્વાર સજ્જનના અનુભવનું જે વર્ણન કર્યું હતું તે મેં અક્ષરશ: જાતે અનુભવ્યું અને કુલપતિ પ્રત્યે આદરથી મસ્તક નમી ગયું. રણ વિસ્તારમાં બદલી થઇ ત્યારે મુન્શીજીએ જે જે સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો તે જોઇને મન પ્રસન્ન થઇ ગયું. વિગો કોટ જોઇને હું આશ્ચર્યચકિત થઇ ગયો.
આ કોઇ સામાન્ય જગ્યા નહોતી. પ્રથમ દર્શનમાં જ ખ્યાલ આવી ગયો કે અહીં મહંમદ ગઝનીના જમાનાના કે તેથી પણ જુની - ૪૦૦૦ વર્ષ પુરાણી સિંધુ ખીણની સંસ્કૃિતના હરપ્પા - મોહન જો ડેરોના સમકાલિન નાનકડા ગામના અવશેષ હતા. આખી ચોકી રાતી ઇંટના ભુક્કા પર ખડી કરવામાં આવી હતી! સ્કૉટીશ ઇજનેરોએ હરપ્પાના અવશેષોની ઇંટોનો રેલ્વે લાઇન બાંધવામાં ઉપયોગ કર્યો હતો; સૈનિકોએ અજાણતાં રેતીની નીચે દબાયેલા આ ગામની ઇંટો પર ચોકી બાંધી હતી.
ભૌગોલિક દૃષ્ટીએ વિગો કોટ એક જમાનામાં બેટ હતો એ તો સત્ય હકીકત છે. મારા માનવા પ્રમાણે ત્યાં હરપ્પાનું સકમાલિન ગામ હતું. સિંધુ-સરસ્વતિ સંસ્કૃતી માં maritime નગર-રાજ્ય હતા. મહાનદીઓના સંગમમાં આવેલો વિગોકોટનો ટાપુ કદાચ તે સમયના વ્યાપારીઓની વખાર કે રહેઠાણ માટે વપરાતો હશે. સિંધુના શહેરો તથા ગામડાં અજાણ્યા કારણોને લઇ ખાલી થયા. કચ્છની વાત કરીએ તો સમયના વહેણમાં દરિયો પશ્ચિમ તરફ ખસતો ગયો તથા અનેક સદીઓના વંટોળીયામાં ઉડી આવેલી ધુળની નીચે આ ગામ પણ દટાઇ ગયું હતું. આંતરરાષ્ટ્રીય સીમાની નજીક આ જગ્યા વ્યુહાત્મક છે. અહીંથી માઇલો દૂર સુધી નિરીક્ષણ કરવા ઉપરાંત સીમા પારથી આવતા જતા અવૈધ માનવ સંચાર પર કાબુ કરી શકાય તેવું આ સ્થાન છે. છાડ બેટને પાકિસ્તાનને હવાલે કરવાના ભારત સરકારના નિર્ણય બાદ આ સ્થળનું મહત્વ એકદમ વધી ગયું હતું. આ પુરાતન સ્થાનની નીચે શું છે તેનો કોઇને ખ્યાલ નહોતો. પુરાતત્વવિદ્ અહીં સુધી પહોંચી શક્યા નહોતા. રણની સમતળ જમીનની વચ્ચે આવેલી આ ઉંચી જમીનમાં બંકર અને મોરચાઓ ખોદવા ઉપરાંત જવાનોને રહેવા માટે બૅરૅક પણ બાંધી શકાય તેવી આ જમીન હોવાથી ૧૯૪૮માં સેન્ટ્રલ રીઝર્વ પોલીસે અહીં ચોકી સ્થાપી હતી. ત્યાર પછી તેનો હવાલો ગુજરાતની એસ.આર.પી.પાસે ગયો અને ૧૯૬૫ બાદ બીએસએફને તેનો ‘કબજો’ મળ્યો.
હું ચોકી પર ગયો ત્યારે ચોકીની ચારે તરફ તાંબાના સિક્કાના અવશેષ જેવી કાટ ચડેલી લીલા રંગની પથરી વેરાયેલી હતી. આજુબાજુ સફેદ કરચ વિખરાયેલી જોવા મળી. અમારા સૈનિકોના માનવા પ્રમાણે આ અનેક વર્ષ પહેલાં રણમાં મરેલા પ્રાણીઓનાં હાડકાંની કરચ હતી.
ચોકીમાં પ્રવેશ કરતાં ત્યાંના વાતાવરણમાં મને એક વિચિત્ર અનુભુતિ થઇ. જાણે અહીં એક અદૃશ્ય વસતિ હાજર હતી! મેં પુરાતત્વ-શાસ્ત્રનો અભ્યાસ કર્યો નહોતો, પરંતુ ઇતિહાસનો વિદ્યાર્થી હતો. મહંમદ ગઝનવીની સોમનાથ પરની ૧૭ ચઢાઇઓમાં રણના આ માર્ગનો તેણે સુદ્ધાં ઉપયોગ કર્યો હતો. ગમે તે હોય, પણ આ કોઇ અતિ પુરાણી જગ્યાના અવશેષ છે એમાં કોઇ શંકા નહોતી.
૧૯૬૮માં બનાસકાંઠામાં મારી પ્રથમ બદલી થઇ હતી ત્યારે કચ્છ વિસ્તારની બીએસએફ બટાલિયનના અફસરો સાથે અમારી મુલાકાત હંમેશા થયા કરતી. તેમાંના એક હતા પુષ્કર-રાજસ્થાનના મધુસુદન પુરોહિત. ૧૯૬૯માં થયેલી એક મુલાકાતમાં તેમણે મને જે વાત કહી હતી તે હું ભુલ્યો નહોતો. મધુભાઇ જ્યારે આ ચોકીના કંપની કમાન્ડર હતા ત્યારે તેમના પિતાજી તેમની સાથે અહીં કેટલોક વખત રોકાયા હતા. સિનિયર પુરોહિત અત્યંત ધાર્મિક પ્રકૃતિના સ્પિરીચ્યુઆિલસ્ટ હતા. તેમણે મધુભાઇને કહ્યું,"અહીં સદીઓ જુના અનેક આત્માઓનો નિવાસ છે. હું તેમને પ્રત્યક્ષ જોઇ શકું છું. તેમની મુક્તિ માટે તમારે કંઇક કરવું જોઇશે. બને તો અહીં એકાદ યજ્ઞ કરાવજો.”
આ વાતને હું ભુલ્યો નહોતો. કદાચ આ કારણે મને પેલી ‘વિચીત્ર’ અનુભુતિ થઇ આવી હતી.
હું વિગો કોટ ગયો ત્યારે ચોકીના કંપની કમાન્ડર રજા પર હતા. તેમનો ચાર્જ ભારદ્વાજ નામના સબ-ઇન્સ્પેક્ટર પાસે હતો. ભારદ્વાજ લખનૌ યુનિવર્સિટીના ઇતિહાસના વિષય સાથે સ્નાતક હતા. તેમની સાથે બે દિવસ રોકાયા બાદ હેડક્વાર્ટર ભુજ પાછા ફરતાં પહેલાં મેં તેમને આ ચોકી વિશેની મારી ધારણાની બાબતમાં વાત કરી અને ચોકીના એક ખુણામાં ખોદકામ કરવાની સૂચના આપી. ખોદકામમાંથી જે પુરાતન અવશેષ મળે તો મને ખબર કરવાનું જણાવ્યું.
બીજા દિવસની મધરાતના સમયે મને ભારદ્વાજનો ટેલીફોન આવ્યો.
“સર, કસમયે ફોન કરું છું તો માફ કરશો. આજ સાંજે અાપના હુકમ મુજબ ખોદકામ કરાવ્યું હતું, પણ થોડી વાર પહેલાં ચોકીમાં થોડી ગરબડ થઇ ગઇ, તેનો રિપોર્ટ આપું છું. ચિંતા કરવા જેવું નથી, કારણ કે હવે બધું થાળે પડી ગયું છે.”
મધરાત બાદ ચોકીમાં ‘ગરબડ’ થયાની વાત સાંભળી હું ચોંકી ગયો. ચોકીમાં કોઇ અકસ્માત અથવા સીમા પર કોઇ બનાવ થયા વગર આટલી રાત્રે ભારદ્વાજ ફોન ન કરે. ફોન પર તેમણે મને જે વિગત આપી તેને આ યુગમાં માની ન શકાય, પણ અહીં તો મને જે ‘રીપોર્ટ’ મળ્યો તેની ટૂંક નોંધ આપું છું.
ભારદ્વાજે ખોદકામનું કામ હવાલદાર પાંડેની નિગરાણી નીચે ચાર જવાનોને સોંપ્યું હતું. ટુકડીને સૂચના આપવામાં આવી હતી કે તેમણે દોઢ મીટર પહોળો, બે મીટર લાંબો અને એટલો જ ઉંડો ટ્રેન્ચના આકારનો ખાડો ખોદવો. બે મીટરની ઉંડાઇ પર તેમને પ્રાણીના આકારનું માટીનું (terra cotta) રમકડું મળ્યું. હરપ્પાના અવશેષોની છબીઓને મળતું આ રમકડું હતું. સાથે થોડા માટીના વાસણના ટુકડા જેવી વસ્તુઓ પણ મળી. થોડું વધુ ખોદકામ કરતાં તેમને જર્જરીત થયેલા બે માનવ અસ્થિ-કંકાલના અવશેષ મળ્યા. પાંડેએ તરત કામ રોકાવ્યું અને ભારદ્વાજને ખબર કરી. ભારદ્વાજે ત્યાં જઇને આ કબર/ખાડો પૂરાવી દીધો.
ચોકીમાં જવાનો ડ્યુટીના સમય બાદ નિયત સ્થળે આરામ કરે. મધરાતે પાન્ડેની ટુકડીના જવાનોએ પગ પછડાવાનો અને કણસવાનો અવાજ સાંભળ્યો અને તેઓ સફાળા જાગી ગયા. ફાનસની વાટ ઉંચી કરતાં જણાયું કે પાન્ડે ફાટી આંખે છત તરફ તાકી રહ્યા હતા. તેમના ગળામાંથી અસ્ફૂટ અને ઘોઘરા અવાજે કણસવાનો અવાજ આવતો હતો. બન્ને હાથ પોતાના ગળા પાસે - જાણે તેમનું ગળું દબાવતા કોઇ અદૃશ્ય હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા હોય. બેહોશીમાં તેમના પગ જમીન પર પછાડતા હતા. આ જોઇ જવાનોએ ભારદ્વાજને બોલાવ્યા.
મિલીટરીના દરેક થાણામાં એક પ્રાર્થનાસ્થાન હોય છે. ત્યાં પૂજા કરવા માટે સાત્વિક પ્રકૃતિના એક જવાનની ડ્યુટી લગાવવામાં આવે છે. આ ચોકીમાં પણ એક જવાનને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ જવાન પાન્ડેની નજીક ગયો, અગરબત્તી સળગાવી અને પ્રાર્થના શરુ કરી. બીજા જવાનો પણ તેની સાથે જોડાયા. થોડી વારે પાન્ડે ભાનમાં આવ્યા. ગભરાટને કારણે તેમનું શરીર ધ્રુજતું હતું.
“શું વાત કરું, સાહેબ? વહેલી સવારની સેન્ટ્રી ડ્યુટી હતી તેથી જમીને વહેલો સૂઇ ગયો. ઘેરી નિંદરમાં હતો પણ અચાનક ઉંઘ ઉડી ગઇ. મારી પાસે બે સ્ત્રીઓ આવી - એક વૃદ્ધ અને એક યુવાન. યુવાન સ્ત્રી અત્યંત ગુસ્સામાં હતી. મારો ઉધડો લેતી હોય તેમ ઉંચા અવાજે બોલવા લાગી અને મને મારી છાતી પર ચઢી બેઠી. તે મારું ગળું દબાવતી ગઇ અને વિચીત્ર ભાષામાં કંઇક કહેતી હતી. તેની પાછળ વૃદ્ધા શાંતિથી ઉભી હતી. હું તો કંઇ પણ કરવા કે બોલવાની શક્તિ ખોઇ બેઠો હતો. પુજારી આવ્યો, તેણે ધુપસળી પેટાવી અને પ્રાર્થના કરી ત્યારે તેઓ અહીંથી ગઇ. સાહેબ, આ જગ્યામાં ‘રૂહ’નો (આત્માઓનો) વાસ છે. મહેરબાની કરી મને બીજી ચોકી પર મોકલી આપો.”
ત્રણેક દિવસે અમારૂં ટૅંકર વિગોકોટને પાણી દઇ પાછો ફર્યો ત્યારે તેમાં બેસી હવાલદાર પાંડે કબરમાંથી મળેલી વસ્તુઓ લઇ ભુજ આવ્યા. તેમનો ડર હજી સુધી તેમના ચહેરા પર દેખાતો હતો. તેમણે આણેલ માટીનું રમકડું બટાલિયનના ક્વાર્ટરમાસ્ટર (મિલીટરીના ભંડારના સ્ટોરકીપર અધિકારી)ને સોંપી વસ્તુઓ ભુજના મ્યુિઝયમમાં મોકલવાનો હુકમ કર્યો.
તે વખતે મને લાગ્યું ખોદકામ કરતી વખતે નીકળેલા હાડપીંજર જોઇ પાન્ડે કદાચ વિકલ થઇ ગયા હતા. તેમને થયેલો અનુભવ દુ:સ્વપ્ન સિવાય બીજું શું હોઇ શકે? પણ ચાર વર્ષ બાદ મને થયેલા અનુભવની વાત કરીશ તો આપને પણ કદાચ નવાઇ લાગશે.

3 comments:

  1. તમારી વાતો બહુ રસપ્રદ છે.મઝા પડે છે.અત્યારે તો કાંઇ કોમેંટ કરવી નથી.નાનપણમાં ભૂતપ્રેત વિષે ઘણું વાંચ્યું છે.
    મંહમંદ ગઝની પર મેં પણ મુનશી જેટલું જ ઇંટ્રેસ્ટીંગ લખ્યું છે.જે અમેરિકા અને ઇંગ્લેંડના વાંચકોએ વધાવ્યું છે. જે આપના વાચકોને મોકલશો તો તેમને ગમશે.અને મને ગમશે :) હા એનું શિર્ષક છે-"ફ્રિક્વંટ રાઇડર"

    ReplyDelete
  2. ભુતની વાત વાંચવી કોને ન ગમે?

    જીવનની એક ઇચ્છા છે - ભુત જોવા મળી જાય તો મજા આવે. મારો રાજામુન્દ્રી, આ.પ. નો અનુભવ લખવા પ્રેરણા મળી.
    - સુરેશ જાની

    ReplyDelete
  3. Anoher interesting story in which different people will have different explanations of the incident.....The story of Spirits were linked to Jesus...Does a Soul wander after the Death ? Is there a Re-birth after the Death ? Let us not go there ! Thanks for the Post, Narendrabhai !
    Chandravadan ( Chandrapukar )

    ReplyDelete