Saturday, February 21, 2009

કૌન દેસ હૈ જાના?

િમલીટરી સ્પેશીયલ ટ્રેન સૈનિકોથી ખીચોખીચ ભરાયેલી હતી. અપરિણીત અફસરો એક બીજા સાથે મજાક કરી રહ્યા હતા. કેટલાક સિગરેટની ધુમ્રસેરનો આધાર લઇ પોતાની ભાવના, પોતાના વિચારોને તન અને મનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલામાં હરીશ શર્મા અને તેનાં પત્નિ અમારી પાસે આવ્યા અને અમને કોઇ વાતની ચિંતા ન કરવા કહ્યું. હરીશે કહ્યું કે તેના વૃદ્ધ માતા પિતા જોધપુરથી એક બે દિવસમાં ઝાંસી આવી પહોંચવાના હતા. અનુરાધાનું અને મિસેસ શર્માનું તેઓ દીકરીની જેમ ધ્યાન રાખશે તેથી મારે મારાં પત્નિની ચિંતા કરવાની નથી તેવું કહ્યું. એટલામાં ઇન્દ્રકુમાર પણ ત્યાં પહોંચ્યો અને જણાવ્યું કે એક અઠવાડીયામાં અફસરોની પત્નિઓને ઘેર જવા માટે ખાસ રીઝર્વેશન મળી જશે, અને અમારા ઓર્ડર્લીની સાથે અનુરાધાને ઠેઠ અમદાવાદ સુધી મોકલવામાં આવશે. એટલામાં પહેલી સીટી વાગી, અને ટ્રેન કમાંડરે સૌને ટ્રેનમાં ચઢવાનો હુકમ આપ્યો. હવે ગાર્ડે સિટી વગાડી. મિલીટરી સ્પેશીયલ માઇલો લાંબા પ્લૅટફોર્મને છોડી અજાણ્યા સ્થળે જવા નીકળી પડી.

ડબાના દરવાજામાં ઉભા રહી અનુરાધાનો ચહેરો લુપ્ત થાય ત્યાં સુધી હું હાથ હલાવી તેને વિદાય આપતો રહ્યો. ત્યાર બાદ લાંબા સમય સુધી હું ટ્રેનના બારણામાં ઉભો ઉંડા વિચારમાં ખોવાઇ ગયો. માણસ પૃથ્વી પર આવે તે પહેલાં તે શું અને કોણ હોય છે? ધરતી પર અવતરતાં પહેલાં પણ તે અવકાશમાં વિહરતો આત્મા હોય છે. સાંભળ્યું છે કે વ્યક્તિનો જન્મ થતાં પહેલાં તેના આત્મા પર કર્મ તથા સંબંધોના આવરણ ચઢી જતા હોય છે. નહિ તો અમુક જ પરિવારમાં તે શા માટે જન્મતો હોય છે? મનુષ્યના જન્મ પહેલાં તેના જીવાત્મામાં ઉમેરાય છે સ્નેહ સંબંધ, ઋણ સંબંધ, અપેક્ષા સંબંધ અને કમનસીબે જો અવતરેલો આત્મા સ્ત્રી તરીકે જન્મે તો તેના પર ચાર ગણા ભારનું આવરણ ચઢતું હોય છે. કન્યાની વાત કરીએ તો તેને હંમેશા એક વાતનો અહેસાસ કરાવાતો હોય છે કે તે પારકું ધન છે, દીકરી એટલે સાપના ભારા...... બાની જ વાત જુઓને! જન્મ્યા ત્યારથી તેમણે કેટકેટલા ભાર ઉઠાવ્યા હતા! પાંચ વર્ષની વયે પિતાનું અવસાન, ૧૮-૧૯ વર્ષનાં થયા ત્યારે માતાનું છત્ર ખોયું અને ૨૯મા વર્ષે વૈધવ્ય. ચાર સંતાનોને ઉછેરવાની જવાબદારી તેર વર્ષ સુધી એકલા પંડે ઉપાડી હતી. અને અનુરાધા? પરદેશમાં જન્મેલી આ યુવતિ દારેસલામમાં માતા-પિતા અને ભાઇબહેનોનો મોટો પરિવાર છોડીને એકલી ભારતમાં આવી હતી. હમણાં જ અમારા લગ્ન થયા હતા, અને હવે? હું તેને મિત્ર-પત્નિના આશ્રય પર છોડીને જઇ રહ્યો હતો. અમદાવાદ સુધીનો ચોવિસ કલાકનો પ્રવાસ તે એકલી કેવી રીતે કરી શકશે? ત્યાં ગયા પછી તે કેવી રીતે રહેશે તેનો વિચાર કરવાની મારામાં હિંમત નહોતી. અંતે ડબાનું બારણું બંધ કરી મારા સાથીઓ પાસે જઇ બેઠો.

ટ્રેન પુરપાટ ઝડપે જઇ રહી હતી. મારા એકલાના જ નહિ, બા, અનુરાધા, મારી બહેનો, બધાનાં જીવનની એક નવી યાત્રા શરૂ થઇ હતી. જીવનના રેલપથ પર એક ડબાના પ્રવાસીઓની જેમ ભલે સાથે પ્રવાસ કરતા લાગે, પણ પરમ સત્ય તો એ છે કે દરેક માણસ માટે જીવન પોતાની વ્યક્તિગત યાત્રા હોય છે. દરેકનો આખરી પડાવ જુદો હોય છે. ‘ઉતરવાના સ્ટેશન’ના વિચારમાં સહયાત્રીઓના સંગાથમાં રહીને પણ દરેક માણસ એકાકિ હોય છે. મારા પરિવારની વાત કરું તો અમારા પ્રવાસની મંઝીલ ક્યાં છે તેનો ન તો મને ખ્યાલ હતો, ન મારા પ્રિયજનોને.

અત્યારે તો હું એક અજાણ્યા પથ પર એકલો પ્રવાસ કરી રહ્યો હતો. મને મારા ગંતવ્યસ્થાનની સુદ્ધાં જાણ નહોતી. મને બાબા સા’-મારા પિતાજીના રૅકોર્ડ્ઝના સંગ્રહમાંનું પંકજ કુમાર મલ્લીકનું સાંભર્યું - કૌન દેસ હૈ જાના બાબુ, કૌન દેસ હૈ જાના?

... ખરે જ, આ જીવ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જઇ રહયો હતો?

2 comments:

  1. And the memory of the farewell at the train station....
    Dr. Chandravadan Mistry

    ReplyDelete
  2. એક સૈનીકના પરીવારને પણ સલામ. જીવન અને મૃત્યુ વીશે મારા વીચારો વાંચશો? -> http://rutmandal.info/parimiti/

    ReplyDelete