Thursday, May 21, 2009

૧૯૭૧: જવાબી હુમલાનો પ્રથમ પ્રયાસ

કર્નલ ગુરચરનનો હુકમ તદ્દન ગેરકાયદેસરનો, બિનવહેવારૂ તથા મિલીટરી સાયન્સના સિદ્ધાંતોની વિરુદ્ધનો હતો. કોઇ પણ લશ્કરી અભિયાનનો ઉદ્દેશ દુશ્મન પર વિજય પ્રાપ્ત કરવાનો હોય છે. તેના માટે ઉંચી કક્ષાના મૅનેજમેન્ટના પ્લાનીંગમાં કરાય છે તેવું S.W.O.T. Analysis (પરસ્પર Strengths, Weaknesses, Opportunities and Threats) જેવું Military Appreciation કરવું અનિવાર્ય હોય હોય છે. ત્યાર પછી યોજના તથા અભિયાનની શરૂઆત થાય. Quick Attack કરવા માટે પણ શીઘ્રતાપૂર્વક Appreciation કરીને આગળનાં પગલાં લેવા પડે. આનું ઉદાહરણ આવતા અંકમાં આપીશ.
ટૂંકમાં કહીએ તો military appreciationમાં નીચે દર્શાવેલ પગલાં લેવા અત્યંત આવશ્યક હોય છે.
૧. દુશ્મન વિશે માહિતી: તેની સંખ્યા, તેની પાસે ક્યા હથિયારો છે અને તે કઇ જગ્યાએ મૂકવામાં આવ્યા છે તે જાણવું. આ જાણવા માટે Recconaissance Patrol (‘રેકી’ પેટ્રોલ) મોકલવામાં આવે છે. ‘રેકી’ પેટ્રોલનું કામ છે કે છૂપાઇને દુશ્મનની નજીક જઇ તેમની ટુકડીઓ ક્યાં મોરચા લઇને બેઠી છે, અને તેમની પાસે ક્યા હથિયાર છે તે જાણવું. દુશ્મન પાસે જે જાતના હથિયાર હોય તે પરથી આપણે જાણી શકીએ કે ત્યાM દુશ્મનનું સેક્શન (દસે’ક જવાનોની ટુકડી) પ્લૅટૂન (ત્રણ સેક્શન્સ) અથવા કંપની (ત્રણ પ્લૅટૂન્સ) ‘ડીપ્લૉય’ થઇ છે. આના માટે કોઇ વાર દુશ્મનની નજીક જઇ તેમના પર ફાયરીંગ કરવું પડે, અને દુશ્મન કયા હથિયારથી ‘જવાબ’ આપે છે તે જોવું. જે જાતના હથિયાર દુશ્મન વાપરે, અને જ્યાંથી તે વાપરવામાં આવ્યા છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે દુશ્મનની ‘કિલ્લેબંધી’ ક્યાં અને કેવી છે તથા ત્યાં તેમની કેટલી સંખ્યા (પ્લૅટૂન/કંપની કે બટાલિયન) છે. આ માહિતીના આધારે નક્કી કરવામાં આવે છે કે દુશ્મન પર હુમલો કરવા માટે કેટલી સંખ્યામાં આપણા સૈનિકો જોઇએ, તેમના પર ક્યા શસ્ત્રો વાપરવા અને કઇ રણનીતિ અપનાવવી જોઇએ. આપને યાદ હશે કે અગાઉના અંકમાં જણાવ્યા પ્રમાણે અમારી ચોકી નંબર છ પર હુમલો કરતાં પહેલાં પાકિસ્તાનની સેનાએ 'રેકી પેટ્રોલ' મોકલી ચોકીની નૌકા લાંગરવાનું સ્થાન તથા આજુબાજુનો વિસ્તાર જોયો હતો.
૨. દુશ્મન સુધી પહોંચવાના માર્ગોની માહિતી, કઇ જગ્યાએ તેમની સુરંગ (mines) લગાવવામાં આવી છે, દુશ્મનની સંરક્ષણ પંક્તિ સુધી છૂપાઇને પહોંચવા વૃક્ષ, ઝાડી વિ. જેવું cover છે કે નહિ, જેની આડમાં દુશ્મન સુધી પહોંચી શકાય.
૩. Surprise: દુશ્મનને જ્યારે તેના પર હુમલો થવાની શક્યતા સૌથી ઓછી લાગે ત્યારે હુમલો કરવો. આ કારણસર સંધ્યા સમયે, મધ્ય રાત્રીએ અથવા પરોઢિયે દુશ્મન પર હુમલો કરવામાં આવે છે. હુમલો કરનાર સેનાની સંખ્યા કેટલી છે તેની દુશ્મનને જાણ થવી ન જોઇએ. આ પણ ‘સરપ્રાઇઝ’નો ભાગ છે જેથી દુશ્મન તેમનો પ્રતિકાર કરવા અગાઉથી તૈયારી ન કરી શકે.
૪. હુમલો કરનાર સેનાની સંખ્યા સંરક્ષણ હરોળમાં બેઠેલ દુશ્મન કરતાં ત્રણ ગણી હોવી જોઇએ, કારણ હુમલો કરનાર સૈનિકો ખુલ્લી જગ્યામાંથી આવીને આક્રમણ કરતા હોય છે, જ્યારે સુરક્ષા પંક્તિમાં બેઠેલા જવાનોની ઉપર છત અને આજુબાજુની ધરતી પર રેતીના કોથળા, સિમેન્ટના બ્લૉક વિ.નું સંરક્ષણ હોય છે. હુમલો કરનાર સૈનિકો ખુલ્લી જગ્યામાંથી આવતા હોઇ સુરક્ષા ખાઇઓમાં બેઠેલા જવાનો તેમના પર અૉટોમેટીક હથિયારો (લાઇટ અને મિડિયમ મશીન ગન)નો વધુમાં વધુ ઘાતક રીતે ઉપયોગ કરી શકતા હોય છે. આમ હુમલો કરનાર સૈનિકોમાં૧૦%થી માંડી ૩૦-૪૦% જેટલી કૅઝ્યુઆલ્ટી (મૃત્યુ અથવા ઘાયલ) થતી હોય છે.
કર્નલ ગુરચરનસિંઘે ઉપરની કોઇ કારવાઇ ન કરી અને મને બીઓપી ‘કૅપ્ચર’ કરવાનો આદેશ આપ્યો! તેમનો ઉદ્દેશ સાફ હતો. અમે બીએસએફના જવાનો હતા તેથી તેમને અમારા જવાનોની કોઇ પરવા નહોતી. તેઓ પોતે ધુસ્સી બંધ પર સુરક્ષીત જગ્યાએ હતા, તથા પોતાના અંગત સંરક્ષણ માટે એક સુબેદાર અને ૮ જવાનની ટુકડી સાથે લાવ્યા હતા.(ગયા અંકમાં ધુસ્સી બંધનું ચિત્ર આપ્યું હતું. જેમને તે જોવાનો અવસર ન મળ્યો હોય તેમના માટે આજે ફરી વાર તેની છબી અહીં દર્શાવી છે.)

કર્નલ સાથે મારો વાર્તાલાપ અમારા જવાનોની સામે થયો. હું મારી વાત પર અડગ રહી અૅટૅક કરવાનો ઇન્કાર કરૂં તો મારા જવાનો પર વિપરીત અસર પડે. તેમને લાગે કે તેમનો અફસર દુશ્મન સામે જવા ડરે છે. દિવસના ઉજાસમાં દુશ્મનની નજર સામે, તેની position જાણ્યા વગર મારા જવાનોને નદી પાર લઇ જઉં તો મારા જવાનોની જીંદગીને હું જોખમમાં મૂકું. વાત ચિંતાજનક હતી તેમ છતાં મેં નદી પાર જવાનો નિશ્ચય કર્યો.
શાંતીના સમયે આ ચોકીમાં હું ચાર વાર જઇ આવ્યો હતો. રાવી પાર અમારા પત્તનની જમણી બાજુએ સરકંડાનું જંગલ હતું. કેમે કરીને નદી પાર કરીએ તો દુશ્મનના ફાયરીંગ સામે અમને આ જંગલમાં cover મળે તેમ હતું.
ગઇ રાત્રીના હુમલામાંથી બચીને આવેલા જે જવાનોને હું મળવા આવ્યો હતો તેમાંથી સબ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ અને તેમની પ્લૅટૂનને મેં કંપની હેડક્વાર્ટરમાં જવાનો હુકમ આપ્યો. તેઓ આખી રાત દુશ્મન સામે લડી ચૂક્યા હતા અને તેમના જવાનોની ભારે ખુવારી થઇ હતી. બાકી રહેલા જવાનોને લઇ હું પાંચ નંબરની ચોકી પર ‘હુમલો કરી કબજે કરવા’ જવા રાવી નદીમાં સવારે લગભગ અગિયારના સુમારે ઉતર્યો. મારી સાથે બે સાર્જન્ટ્સ અને ૧૪ જવાન - એટલે બે ‘weak sections’ હતા (એક સેક્શનમાં દસે'ક જવાન હોય છે.). દુશ્મનના હાથમાં ગયેલી ચોકીમાં પાકિસ્તાની સેનાના કેટલા જવાન હતા, તેમની પાસે ક્યા હથિયાર હતા તેનો મને અંદાજ હતો: દર્શનસિંહની ચોકી પર પાકિસ્તાની સેનાની બે કંપનીઓ - ૨૦૦થી ૨૫૦ સૈનિકોએ હુમલો કર્યો હતો. તેમાંથી ઓછામાં ઓછા ૨૦૦ જેટલા સૈનિકો અને બે અફસરો તો ત્યાં હોય એવી શક્યતા હતી. તેમાંથી તેઓ એક પ્લૅટુનને પણ અમારો સામનો કરવા મોકલે તો..... આ જાણે ઓછું હોય, નદી પાર આવેલી અમારી બધી ચોકીઓની ચારે બાજુ ધુસ્સી બંધ જેવો ૧૫-૨૦ ફીટ ઉંચો માટીનો કોટ હતો, જેમાં ઇંટ અને મજબૂત ધાબાં જેવા છાપરાંના બંકર બાંધવામાં આવ્યા હતા. દુશ્મને ત્યાં કેવળ એક લાઇટ મશીન ગન સાથે એક સેક્શનની ડીટૅચમેન્ટ મૂકી હોય તો પણ અમારી ચટણી થઇ જાય તેમ હતું. દિવસના પ્રકાશમાં તેઓ આસાનીથી અમારો વીણી વીણીને ‘શિકાર’ કરી શકે તેવી સ્થિતિ હતી.
આવી વસ્તુસ્થીતિ હોવા છતાં કર્નલ ગુરચરનસિંઘે મને રાવી પાર જઇ ચોકી પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.

link to small business website design page
Sponsored by the small business web design web page.

3 comments:

  1. આવી વસ્તુસ્થીતિ હોવા છતાં કર્નલ ગુરચરનસિંઘે મને રાવી પાર જઇ ચોકી પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.........
    This is how your Post ends....I read the entire Post of 1971Jawabi Humlano Pratham Prayash & you had very nicely described the existing conditions & need for the military planning in any situation in a War ....& the Col. GurcharanSingh's order to cross the River & attack the enemy....I enjoyed the Post !
    Narendrabhai...my computer had crashed & I was away fom home...the Computer is just Restarted & this is my 1st visit to your Blog.....Keep writing !
    Chandrapukar !
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete
  2. American soldiers says
    "Ours is not reason why-
    ours is to do or die-"
    Your situation wasno better to do and die-
    Your Account could be made in Nice movie-Very breath taking- Keep writing-

    ReplyDelete
  3. વ્યુહરચનાના શાસ્ત્રની વાત ગમી.

    ReplyDelete