Monday, May 18, 2009

૧૯૭૧ - 'પ્રીએમ્પ્ટીવ સ્ટ્રાઇક'

અમારી બટાલીયનની મોટા ભાગની ચોકીઓ આંતરરાષ્ટ્રીય સરહદથી કેવળ ૧૦૦થી ૨૦૦ મીટર દૂર હતી. અમારૂં બટાલીયન હેડક્વાર્ટર દુશ્મનની તોપોની રેન્જમાં હતું. તેથી'ચીફ'ની મીટીંગ બાદ અમારા COએ હેડક્વાર્ટરમાં રહેનાર પરિવારોને પોતપોતાના વતનમાં જવાની વ્યવસ્થા કરી આપી. અનુરાધા અને બાળકો અમદાવાદ ગયા.
મારૂં કામ હવે મારા કમાંડંટે આપેલ સૂચનાઓ અમલમાં મૂકવાનું હતું. દરરોજ એક પછી એક કંપનીની મુલાકાત લઇ અૉટોમેટીક હથિયારો હુકમ પ્રમાણે ગોઠવાયા છે કે નહિ અને દરેક જવાન પોતાની જવાબદારીનો ફાયરીંગ વિસ્તાર (arc of fire) સમજ્યો છે તે જોવાનું કામ મને આપ્યું હતું.
આ વખતે અમારી કંપનીઓના હેડક્વાર્ટરમાં ઇંડીયન અૅર ફોર્સની સિગ્નલ ડીટૅચમેન્ટસ્ આવી ગઇ હતી. પાકિસ્તાન તરફથી આવી રહેલ પાકિસ્તાન અૅર ફોર્સનું જેટ દેખાય તો તેના ઉડ્ડયનની દિશા જોઇ તેની પંજાબમાં આવેલ નજીકના ભારતીય વાયુ સેનાના બેઝને અૅડવાન્સ વૉર્નિંગ આપવા માટે ફક્ત એક બટન દબાવવાની જરૂર પડે તેવા ઉપકરણ સાથે અૅરમેન અમારી અૉબ્ઝર્વેશન પોસ્ટ પર બેઠા હતા.
ડીસેમ્બર ૫, ૧૯૭૧ ના રોજ સાંજે પાંચ વાગે અમારા પંજાબ ફ્રન્ટીયરના ઇન્સ્પેક્ટર જનરલ શ્રી. અશ્વીની કુમાર બૉર્ડર પરની પરિસ્થિતિની અંગત માહિતી મેળવવા અમારી બટાલિયનની મુલાકાત પર આવી રહ્યા હતા. શ્રી. સિંઘે તેમને ફૉક્સટ્રોટ કંપનીમાં લાવવાનું નક્કી કર્યું. ત્યાં જમીન પર સૅન્ડ મોડેલ બનાવી તેમાં આપણી સેના ક્યાં અને કેવી રીતે ફરજ બજાવી રહી છે, તથા આપણી સામે અત્યાર સુધીની માહિતી પ્રમાણે પાકિસ્તાની સેનાની સંભાવિત ટુકડીઓ કેવી રીતે તૈયાર બેઠી છે તેનું ‘બ્રીફીંગ’ કરવાનું છે. મેં તેની પૂરી તૈયારી કરી અને ૪થી ડીસેમ્બરની સાંજે પાંચ વાગે તેના રીહર્સલ માટે શ્રી. સિંઘને બોલાવ્યા.
મેં મારૂં ‘બ્રીફીંગ’ પૂરૂં કર્યું ન કર્યું, અમારી અૉબ્ઝર્વેશન પોસ્ટની છતથી કેવળ પંદરથી વીસ ફીટની ઉંચાઇ પરથી પાકિસ્તાનના ત્રણ જેટ ફાઇટર્સને ઉડીને અમૃતસરના રાજાસાંસી અૅરપોર્ટ તરફ જતા જોયા. પાકિસ્તાન અૅરફોર્સના વિમાનોના આકાર, 'સિલૂએટ' કેવા હોય છે, અને તે જોઇ ક્યા વિમાનો આપણા પ્રદેશમાં આવે છે તે ઓળખવાની અમને ટ્રેનીંગ આપવામાં આવી હતી. આપણા અૅરમેન સાબદા હતા. તેમણે વિમાનો જોઇ મને પૂછ્યું, “સર, આ પાકિસ્તાની જેટ હતા ને?” મેં ‘હા’ કહેતાં જ તેમણે 'અૅરસ્ટ્રાઇક વૉર્નીંગ'નું બટન દબાવી અમૃતસર, અંબાલા અને પઠાણકોટના અૅર બેઝને જાણ કરી. દુશ્મનનાં વિમાન આપણાં અૅર બેઝીસ પર પહોંચે ત્યાં સુધીમાં આપણા વિમાનો રન વે પર ‘સ્ક્રૅમ્બલ’ કરી દોડી રહ્યા હતા. થોડી જ વારમાં આ વિમાનોને પાછા પાકિસ્તાન તરફ ઉડતાં જોયા અને તેમનો પીછો કરી રહ્યા હતા આપણા સુખોઇ-૭ SU-7 -વિમાનો. (સુ-૭નું ચિત્ર જોવા 'સુખોઇ -૭ પર ક્લીક કરશો.)

પાકિસ્તાન તરફથી થયેલો આ બૉમ્બીંગ હુમલો (જેને preemptive strike કહેવાય છે) એ વાતનું દ્યોતક હતું કે તેમણે પશ્ચિમમાં મોરચો ખોલી દીધો હતો. પૂર્વ પાકિસ્તાનની સરહદ પર જમા થયેલી આપણી સેનાનો ઉદ્દેશ હવે છાનો નહોતો, પણ પાકિસ્તાનને ખાતરી હતી કે તેની ચીન તથા અમેરીકા સાથેની ગાઢ દોસ્તી અને તેમના સૈન્યના સામર્થ્યને જોતાં ભારત કદી પણ પાકિસ્તાન પર હુમલો નહિ કરી શકે. તેમના ડરથી આપણે પૂર્વ પાકિસ્તાન પર હુમલો કરવાનો વિચાર પણ ન કરીએ તેવા ખ્યાલથી પહેલાં તેમણે પૂરા પંજાબ પર, કાશ્મિરના આર.એસ. પુરા (રણબીરસિંઘ પુરા) અને રાજસ્થાનમાં હુમલો શરૂ કર્યો. આનું બીજું કારણ એ હતું કે તેમના મતે પશ્ચિમ ભારત પર હુમલો કરવાથી પૂર્વ પાકિસ્તાનની સીમા પર રહેલી આપણી સેનાને પાછી ખેંચી તેને પશ્ચિમ મોકલવી પડશે તેથી પૂર્વ પાકિસ્તાન પર તોળાતો ભય દૂર થઇ જશે.
સીઓ અને હું પાછા બટાલિયન હેડક્વાર્ટર ગયા. અમે બધી ચોકીઓને ખબર કરી કે યુદ્ધ શરૂ થયું છે અને તેમણે સાબદા રહેવું. તેમના પર ગમે ત્યારે હુમલો થઇ શકે છે.
રાતે દસ વાગે પાકિસ્તાની સેનાએ હુમલો શરૂ કર્યો. અમારા વાયરલેસ સેટ પર યુદ્ધના રીપોર્ટ રનીંગ કૉમેન્ટ્રીની જેમ આવી રહ્યા હતા. પહેલો હુમલો થયો એક સાથે અમારી પાંચ અગત્યની BOPs (બૉર્ડર આઉટપોસ્ટ) પર.
મારી જુની 'ચાર્લી' કંપનીની છ નંબરની ચોકીની જવાબદારી આર્મીના લેફ્ટેનન્ટ અને અમારા સબ ઇન્સ્પેક્ટર દર્શન સિંહ પાસે હતી. તેમના પર થયેલા પ્રથમ હુમલાનો તેમણે જડબે સલાક પ્રતિકાર કર્યો. પાકિસ્તાનીઓ પોતાના ૨૧ ઘાયલ અને મૃત્યુ પામેલા જવાનોને છોડી પાછા ફર્યા હતા. ત્યાર બાદ તેમણે ભારે તોપખાના (હેવી આર્ટીલરી)નું જબરજસ્ત બોમ્બાર્ડમેન્ટ કર્યુ અને ફરીથી હુમલો કર્યો. અમારો લાઇટ મશીનગનર ઘાયલ થઇ ઢળી પડ્યો ત્યારે દર્શનસિંહે અતુલનીય બહાદુરી બતાવી અને પોતે લાઇટ મશીનગન ચલાવતા રહ્યા. જ્યારે તેમનો દારુગોળો ખતમ થયો અને દુશ્મનના સૈનિકો ચોકી ફરતા બંધ પર ચઢવા લાગ્યા, બ્રિગેડ તરફથી તેમને ચોકી ખાલી કરવાનો હુકમ ગયો. આમ પણ નદી પારની ચોકીઓને indefensible સમજવામાં આવતી હતી. અમારૂં કામ હતું જ્યાં સુધી દુશ્મનને ખાળી શકાય, રોકવા અને તેમને બને એટલું નુકસાન પહોંચાડવું. અા કરવામાં અમારા અજાયબસિંઘ અને સંતોખ સિંઘ નામના જવાનો શહીદ થયા હતા અને સાત જવાનો તથા આર્મીના લેફ્ટેનન્ટ ઘવાયા હતા. બ્રિગેડના હુકમ પ્રમાણે જવાનો પોતાનાં મૃત સાથીઓને તથા ઘાયલ સૈનિકોને લઇ છુપા રસ્તેથી રાવિ નદીને પાર કરી સુરક્ષિત જગ્યા પર આવી ગયા. અમારી હોડી લાંગરવાનું સ્થાન દુશ્મનોએ હુમલો કરતાં પહેલાં કબજે કર્યું હતું.
આઠ નંબરની ‘બુર્જ’ નામની ચોકીના કમાંડર હતા અૅક્ટીંગ સબ-ઇન્સપેક્ટર મહેરસિંહ. તેમની ચોકીમાં ૨૧ જવાનો હતા. આ ચોકી આંતરરાષ્ટ્રીય સીમાથી લગભગ ૫૦૦ મીટર દૂર હતી. અહીં રાવિ નદી પાકિસ્તાનમાં વહેતી હતી તેથી દુશ્મનની દૃષ્ટીએ બુર્જ તથા તેની બાજુમાં આવેલ ફતેહપુર અતિ મહત્વની ચોકીઓ હતી. પાકિસ્તાનની સેના સહેલાઇથી રાવિ પાર કરીને પોતાની જ હદમાં “firm base” બનાવી ભારત પર મોટા પાયા પર હુમલો કરી શકે તેવી સ્થિતિમાં હતું. બે દિવસ બાદ તેમની યોજના અમારી જાણમાં આવી. જો તે સફળ થઇ હોત તો.....
પાકિસ્તાનની ૪૩ બલુચ રેજીમેન્ટની બે કંપનીઓ (૨૦૦ જવાનો- છ અફસરો)એ બુર્જની ચોકી પર હુમલો કર્યો. આપણા જવાનો સાબદા હતા. ચાર કલાક ચાલેલા યુદ્ધમાં મહેરસિંહને છાતીમાં ગોળી વાગી. તેઓ બેભાન થયા ત્યાં સુધી તેમણે લડાઇનું સંચાલન કર્યું અને વાયરલેસ પર પળ પળનો અહેવાલ આપતા રહ્યા. અતિશય લોહી વહેવાથી સબ ઇન્સ્પેક્ટર મહેરસિંહ મૃત્યુ પામ્યા. એક બંકર પર સીધો બૉમ્બ પડવાથી તેમનો એક લાન્સ નાયક શહીદ થયો અને પાંચ જવાનો ઘવાયા. પાકિસ્તાની સેનાના ત્રીજા હુમલામાં જ્યારે BOPની સંખ્યા ૧૪ પર આવી ત્યારે તેમને ચોકી છોડવાનો આદેશ આપવામાં આવ્યો. મહેરસિંહને તેમના જવાનો બાબા કહીને બોલાવતા. બાબાના તથા શહિદ લાન્સ નાયકના પાર્થિવ દેહને લઇ જવાનોએ ચોકી છોડી. પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે સરકંડા(elephant grass)ના જંગલમાં છુપાઇ રહેલા સ્થાનિક રાયસિખ ખેડુતોએ બીજા દિવસે સવારથી બપોરના ૧૧-૧૨ વાગ્યા સુધી ૪૦-૪૫ સ્ટ્રેચર્સ પાકિસ્તાન લઇ જવાતી જોઇ. આ દર્શાવે છે કે મહેરસિંહ જેવા મક્કમ હૃદયના કમાંડરના નેતૃત્વ હેઠળ જવાનો કેટલી બહાદુરીથી લડ્યા હતા.
બુર્જ ચોકી પડી અને દુશ્મને ફતેહપુર ચોકી પર હુમલો કર્યો. ૧૫ જવાનોની સંખ્યા ધરાવતી આ ચોકી વધુ ટકી શકી નહિ અને તેને ખાલી કરવાનો હુકમ અપાયો. બન્ને ચોકીઓ -બુર્જ તથા ફતેહપુરના જવાનોએ તેમના કંપની હેડક્વાર્ટરમાં જઇ ત્યાં મોરચો બાંધીને બેઠેલા ઇન્ફન્ટ્રીના કંપની કમાંડર મેજર શેરસિંહ પાસે પહોંચ્યા. અહીં તેમને નવી ખાઇઓ ખોદી સંરક્ષણ પંક્તિ સ્થાપવાનું કહેવામાં આવ્યું.
આ હતા અમારી D (ડેલ્ટા) કંપનીના જવાનો.
search engine optimization companies

1 comment:

  1. You are not avoiding our weaknesses-Very truthful account.
    Very thrilling-
    I do remember all the details -I was always glued to TV-especially PBS-They have all the UN General Assembly's proceddings live broadcast-
    As far as I remember .India had a treaty with USSR-that prevented America or China to jump in to conflict--However America's 7th Fleet was in the Bay of Bangal-
    Personal note-My wife and daughter arrived at JFK Newyork airport on 6th Dec.71.

    ReplyDelete