Tuesday, May 5, 2009

૧૯૬૯ - શાંતિ અને મનોમંથન - ભાગ ૧

અમદાવાદના દાવાનળમાં માનવ અને માનવતાનું મૃત્યુ થયું. મરણ પામેલા માણસનો કોઇ ધર્મ નથી હોતો. તે નથી પૂજા કરી શકતો કે પાંચમાંથી એક પણ નમાઝ નથી પઢી શકતો. મૃત્યુ બાદ તેને શહીદ કહો કે વીર, મરનારની તેના પર કોઇ અસર નથી થતી. અસર પડે છે તેના માતપિતા, પત્ની, બહેન, ભાઇ અને બાળકો પર. પરિવારની રોટી કમાવનારના મૃત્યુથી બાળકોનું શિક્ષણ તો દૂર, તેમનું બાળપણ જ ખૂંચવાઇ જાય છે. રસ્તા પર ભટકી પ્લાસ્ટીક, કાગળ તથા ભંગારની શોધમાં નીકળવાનું કે રસ્તા પરની ચ્હાની દુકાનોમાં વાસણ ધોવાનું કે સફાઇ કામ કરવાનું તેમના ભાગ્યમાં આવે છે. તે વખતે તેમના પિતાનો હુલ્લડમાં ભોગ ચઢાવનાર “નેતા”ઓને આવા પરિવારોની કોઇ ચિંતા નથી હોતી.
મારા મનમાં પ્રશ્ન ઉઠે છે, શું કોઇ ધર્મ એટલો નબળો અને અસહાય હોય છે કે અન્ય કોઇ વ્યક્તિઓ તરફથી તેના પર ખતરો ઉભો થઇ શકે? અને શું આ ખતરો અન્ય ધર્મના લોકોની કતલ કરવાથી ટળી શકે છે? અન્ય લોકોના ધર્મસ્થાનો જમીનદોસ્ત કરવાથી કે તેમના આરાધ્ય દેવોનું અપમાન કરવાથી તેમના ધર્મનો પ્રસાર થઇ શકશે? આવું હોત આવા અનેક અત્યાચારો થયા હોવા છતાં જગતમાં કેટલાક પુરાતન ધર્મ કેવી રીતે ટકી રહ્યા છે?
ધર્મનું રક્ષણ અને તેના “બચાવ” માટે હિંસાત્મક પગલાં લેવાનું કોઇ ધર્મપુસ્તકોમાં લખવામાં આવ્યું હોય તો આ યુગના ધર્મગુરૂઓએ વિચાર કરવો જોઇએ કે તે કઇ સદીમાં લખાયા હતા. વિચારવું જોઇએ કે તે સમયના આચારવિચાર, તે જમાનાનું શિક્ષણ કે તેનો અભાવ, વિવિધ સંસ્કૃતીઓ વિષયક જ્ઞાન-અજ્ઞાન, માન-અવમાન તથા તેમના વિચાર પ્રમાણે અપાયેલા ધર્માદેશ આધુનિક વિચારજગત સાથે સુસંગત છે કે નહિ. અને જો ન હોય તો તેમણે પોતાના અનુયાયીઓને માર્ગદર્શન આપવું જોઇએ કે દરેક માનવ માટે તેનો ધર્મ, તેની અકીકત અને માન્યતા અંગત અને પવિત્ર હોય છે. તેને હિન ગણી તેનું અપમાન કરવું યોગ્ય નથી. હજારો વર્ષ પહેલાં લખાયેલ ધર્મગ્રંથોમાં અશિક્ષીત, જંગલી તથા ઝનુની ગુનેગારોના વર્તનને સુધારવા માટે કદાચ કોઇ સજા ફરમાવવામાં આવી હોય તો તે આજની સુસંસ્કૃત કાયદા પદ્ધતિની અવેજીમાં અમલ કરવામાં આવે તો તેને શું કહેવું? જ્યાં એક દેશ-એક-કાયદો, સમાન-નાગરી-અધિકાર ન હોય ત્યાં સાચું લોકતંત્ર કદી સંભવી શકે? ગરીબી રેખા નીચે જીવતા લોકોને તેમની જાતિ, ધર્મ, લિંગનો ભેદભાવ કર્યા વગર એક સરખી આર્થિક મદદ કરવામાં ન આવે તો આપણા દેશમાં સમાનતા તથા વિકાસ કેવી રીતે ઉદ્ભવી શકે? આર્થિક મદદના આધારે જનતાને નાનાં નાનાં વાડાઓ -ghetto-માં ધકેલી, એક બીજાની સામે લડાવી પોતાનો અંગત રાજકીય લાભ લેવા માગતા રાજકારણીઓને પ્રજા શા માટે વારંવાર ચૂંટી પોતાનો અને દેશનો સર્વનાશ કરતી રહે છે તે મને કદી સમજાયું નથી. કોઇ એક ગ્રંથ, વિચારધારા કે વિચારકને અંતિમ અધિકારી (Final Authority) માની તેમણે સદીઓ પહેલાં આપેલા આદેશોનું આંધળું અનુસરણ કરવામાં આવે તો તેનું પરિણામ લાખો લોકોના સંહારમાં થાય. જે રીતે રશિયામાં જમીનના માલીકો (Kulak)નો કત્લેઆમ કરવામાં આવ્યો; દક્ષીણ અમેરીકામાં યુરોપીયનો દ્વારા અૅઝટેક તથા ઇન્કાઓની આખી જાતીનું નિકંદન કઢાયું; વૈચારીક સરમુખત્યારની વિચારધારાથી અલગ નુતન વિચાર પ્રદર્શીત કરનારા વિચારકો તેમજ તેમના અનુયાયીઓની કતલ થઇ- જેમ ટ્રૉટ્સ્કીની બાબતમાં સ્ટાલીને કર્યું; ભારતમાં નક્સલવાદીઓ દ્વારા, ઉત્તર કોરીયામાં માઓવાદીઓ તથા આફ્રિકામાં (કૉંગો અને દાર્ફરમાં) બની રહ્યું છે. લાખો ઇન્સાનોનો સંહાર થયો અને થઇ રહ્યો છે. લોકો શા માટે પોતાનો ધર્મ કે પોતાની વિચારધારા અન્યના ધર્મ કે તત્વચિંતન પર હિંસાનો આધાર લઇને ઠોકી બેસાડવા માગે છે તે મને કદી સમજાયું નથી. અહીં સામ્યવાદના “બાઇબલ” ગણાતા Das Kapital, અને વ્યક્તિઓમાં કાર્લ માર્ક્સ, હિટલર, લેનિન, સ્ટાલિન તરફ છે. કોઇ ધાર્મિક વ્યક્તિ કે કોઇ પણ ધર્મગ્રંથ તરફ અહીં કોઇ નિર્દેશ નથી.

website design quote

2 comments:

  1. Good commentary-Good observation-very true-Thought provoking conclusion-

    ReplyDelete
  2. અમદાવાદના દાવાનળમાં માનવ અને માનવતાનું મૃત્યુ થયું. મરણ પામેલા માણસનો કોઇ ધર્મ નથી હોતો. તે નથી પૂજા કરી શકતો કે પાંચમાંથી એક પણ નમાઝ નથી પઢી શકતો. મૃત્યુ બાદ તેને શહીદ કહો કે વીર, મરનારની તેના પર કોઇ અસર નથી થતી.
    -------------
    એકદમ સાચી વાત. તમારા વીચારો બહુ જ ગમ્યા.

    ReplyDelete