Monday, June 17, 2013

FATHERS' DAY

જિપ્સીની ડાયરીના સહયાત્રીઓને સાદર નમસ્કાર.

લગભગ બે વર્ષથી બંધ પડેલી જિપ્સીની યાત્રા ફરી શરૂ થાય છે. આ યાત્રામાં જોડાવા આપને ભલે પધાર્યા કહી ફરી આમંત્રણ આપું છું. યાત્રા શરૂ કરવા માટે આજનો દિવસ નક્કી કરવાનું કારણ મુખ્ય તો  Fathers’ Day જ છે. ઘણાં વર્ષો પહેલાં બાપુજી માટે અંજલિ લખી હતી. કમ્પ્યુટરના કયા ખૂણામાં એ સચવાઇને પડી હતી કોણ જાણે, પણ આજે તે હાથ લાગી. પુનર્યાત્રાની શરૂઆત તેનાથી કરીશ.

હું પાંચે’ક વર્ષનો હતો. મારા મોટાભાઇઓ બહાર ક્રિકેટ રમતા હતા. બાપુજી તે દિવસે ટપાલમાં આવેલી એક રેકર્ડ મગ્ન થઇને સાંભળતા હતા. તેમાં તેઓ એવા મશગુલ થયા હતા, તેમના ધ્યાનમાં ભંગ ન પડે તે માટે હું રૂમની બહાર ઉભો રહીને સાંભળતો રહ્યો. અચાનક તેમનું ધ્યાન મારી તરફ ગયું અને મને બોલાવ્યો.
“તને આ ગીત ગમ્યું?‘
મેં માથું હલાવી હા કહેતાં તેમણે કહ્યું, “આ ગીત સાયગલે ગાયું છે. સાંભળ,” કહી તેમણે એ ગીતની - ‘બાલમ આયે બસો મેરે મનમેં...’ બારીકીઓ સમજાવી. પછી દિલરૂબા પર વગાડી તેની સરગમ કહી અને કહ્યું, ‘આ ગીતનું ખરૂં સૌંદર્ય તેના અંતરામાં છે. સાયગલે આ ગીતની લયમાં જે પરિવર્તન આણ્યું છે તે અદ્ભૂત છે.” ગીત પંક્તિઓ હતી ‘સૂરતિયાં જાકી મતવારી, પતલી કમરિયા/ઉમરિયા બાલી/એક નયા સંસાર બસા હૈ કોયલ કૂકે બનમેં...

મારૂં વય એટલું નહોતું કે ગીતના મૂખડા કે અંતરા વિશે કશું જાણી શકું કે યાદ રાખી શકું. હું તો તેમણે વગાડેલ ગીતનો, તેમણે સમજાવેલ ગીત અને શબ્દોનો આનંદ લેતો રહ્યો. આવી જ રીતે  તેમણે મને પંકજ મલ્લિકનાં અને કાનનબાલાનાં ગીતોનાં માધુર્યનો આસ્વાદ કરાવ્યો. આગળ જતાં તેમના સંગ્રહમાંની લૉંગ પ્લે રેકર્ડઝ - ઇનાયતખાંસાહેબની સિતાર, કેસરબાઇ કેરકર, ગૌહરજાન, હિરાબાઇ બરોડેકર અને ખાંસાહેબ અબ્દુલ કરીમખાન અને ફૈયાાઝખાં સાહેબના કંઠ્યસંગીતનું રસપાન કરાવ્યું. 

 ૧૯૪૪ની સાલમાં જિપ્સી નવ વર્ષનો થયો અને બાપુજીનું અવસાન થયું. ન તો સંગીતનો અભ્યાસ થયો, ન મળ્યો તેમની છત્રછાયાનો લાભ.

પરિવારના સંજોગો એવા હતા કે મને અમારા કુટુમ્બના ઇતિહાસ વિશે કશું જ જાણવા ન મળ્યું. બાપુજી વિશે પણ જે જાણવા મળ્યું તે અમારા સંબંધીઓ પાસેથી અથવા તેમનાં સાથીદારો પાસેથી. તે પણ મારી વયના ૪૦મા વર્ષ પછી. 

બાપુજીને બચપણથી બે વાતોમાં રસ હતો. અંગ્રેજી સાહિત્ય અને ભારતીય સંગીત. બન્નેમાં તેઓ એટલા ઓતપ્રોત થઇ ગયા હતા કે તેમને અન્ય કોઇ વાતમાં રુચિ રહી નહોતી. મૅટ્રીક પાસ થયા બાદ તેઓ મુંબઇની વિલ્સન કૉલેજમાં ભણવા ગયા. પિતાજીના આગ્રહને કારણે તેમણે ઇન્ડીયન સિવિલ સર્વિસ (ICS)માં દાખલ થવા માટેની પરીક્ષા પાસ કરી. તે માટેનો અભ્યાસ કરવા ઇંગ્લંડ જવું પડે. બાપુજી ન ગયા. તેમણે વઢવાણ કૅમ્પ - હાલના સુરેન્દ્રનગરમાં આવેલ બ્રિટીશ પોલીટીકલ એજન્ટની કચેરીમાં નોકરી સ્વીકારી. તેમનું અંગ્રેજીનું જ્ઞાન જોઇ પોલીટીકલ એજન્ટે તેમને પોતાના કૉન્ફીડેન્શિયલ સેક્રેટરી બનાવ્યા. અંગત સમયમાં તેમણે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ ચાલુ રાખ્યો. દિલરૂબા વગાડવામાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું, ખ્યાતિ મેળવી અને ખાંસાહેબ ફૈયાઝખાં સાહેબ જેવા સંગીતકારો તેમના મિત્ર થયા. વઢવાણના ઠાકોરસાહેબે ખાંસાહેબ અબ્દુલકરીમખાન સાહેબનો ખાસ કાર્યક્રમ રાખ્યો.  જ્યારે તેમણે બાપુજીને જોયા, તેમણે આગ્રહ કર્યો કે દિલરૂબા પર તેમનો સાથ બાપુજી કરે! 

આ વાત મારા સૌથી મોટા ભાઇએ કહી. તેઓ કાર્યક્રમમાં હાજર હતા.

બાપુજીના એક ભાણાએ મને તેમના અંગ્રેજી સાહિત્યના શોખ વિશે વાત કરી.

“મામાનું અંગ્રેજી સાહિત્યનું જ્ઞાન ઘણું ઊંડું. મર્ચન્ટ અૉફ વેનીસની પોર્શીયાની કોર્ટમાંની અપીલ - “Quality of mercy is never strain’d. It falleth from Heaven...” શરૂથી અંત સુધી અને હૅમ્લેટનાં મોટા ભાગનાં સ્વગત એવી છટાથી બોલી સંભળાવતા, તે યાદ કરૂં છું ત્યારે શરીર પર ફરી રોમાંચ થઇ આવે છે!”

*

એક દિવસની સાંજ ઘણી વાર મારી નજર સમક્ષ વારે વારે રિવાઇન્ડ થતા વિડીયોની જેમ ઉભી રહે છે. હું નવ વર્ષનો હતો. બાપુજી બે દિવસથી બિમાર હતા. તે દિવસે સાંજે તેમને જરા ઠીક લાગતાં અમારા ક્વાર્ટરના બગીચામાં તેમણે આરામ ખુરશી મૂકાવી અને બેઠા. બાજુના સ્ટૂલ પર હું બેઠો હતો. બા રસોઇ કરતા હતા. બાપુજી મને કશુંક કહેવા જતા હતા ત્યાં અચાનક તેમનો ચહેરો ડાબી તરફ, વિચીત્ર રીતે ખેંચાયો. તેમની ડાબી આંખમાં લોહીની ટસર નીકળી અને એક ચીસ જેવો અવાજ તેમના મુખેથી નીકળ્યો. તેમની આંખો પણ અદ્ધર ચઢી ગઇ. ભાઇઓને અમદાવાદથી બોલાવ્યા. તેઓ સૌને અમદાવાદ લઇ ગયા. બાપુજીને વાડીલાલ સારાભાઇ હૉસ્પીટલમાં દાખલ કર્યા. આ તેમનો અંતિમ વિસામો થયો. 

વર્ષો વિતી ગયા. હું પોતે જીવનની સંધ્યાએ પહોંચી ગયો છું. બાપુજીને પૂરી રીતે ઓળખવાનો, તેમની કલા, તેમની બુદ્ધિમતા અને સુસંસ્કૃત માનસનો લાભ લેવાનો લહાવો મને ન મળ્યો તેનો અફસોસ રહી ગયો. તેમણે મારી સાથે  િવતાવેલા અલ્પજીવનમાં તેમણે મને જે વારસો આપ્યો તેની પ્રતિતિ મને ઘણી મોડી થવા લાગી. સંગીતનો અભ્યાસ તો ન થયો, પણ તેનો રસાસ્વાદ કેવી રીતે કરવો તે તેમણે મને શીખવ્યું. હજી પણ ક્યારે’ક પંકજ મલ્લીકનું ગીત “મદભરી, ઋતુ જવાન હૈ”, કાનનદેવીનું ‘તુમ મનમોહન, તુમ સખિયન સંગ હંસ-હંસ ખેલો ના’, હિરાબાઇ બરોડેકરનું તિલક કામોદ રાગમાં ગાયેલ ‘નીર ભરન કૈસે જાઉં, સખી રી’ હજી યાદ આવે છે. ગીતોનો અવાજ, સિતારનો રણકાર, તેમના દિલરૂબામાંથી વહેતા ભાવવાહી સૂર મારાં મન-કર્ણ સાંભળે છે, બાપુજીની યાદ આવે છે.

મારા ગુરૂસમાન સંત, કર્નલ બક્ષીએ મને એક વાર પૂછ્યું, “વઢવાણ કૅમ્પમાં છૂપા રત્ન સમાન એક મહાન સંગીતકારને મળવાનું ભાગ્ય મને મળ્યું હતું. તેમની અટક તારી સાથે મળતી આવે છે. તારા સંબંધી હતા કે?”
હા, દાદુ. તેઓ મારા પિતાજી હતા. 
ટેલીફોન પર આ વાત કરતી વખતે મારી અંતર્દૃષ્ટિ સમક્ષ દૃશ્ય ઉભું થયું. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા પચાસે’ક વર્ષના વ્યક્તિ દિલરૂબા વગાડતા હતા. તેમની સામે પલાંઠી વાળીને સુરવાલ,ખમીસ અને જાકીટ પહેરલ એક ગભરૂ બાળક ધ્યાનપૂર્વક તેમને સાંભળી રહ્યો હતો.

આજે Fathers’ Day ના અનુષંગે પિતૃવંદનામાં ભેગા થયેલા સહુ મિત્રો સાથે સર્વ પિતાઓને નમસ્કાર કરૂં છું. આપણે અહીં બેઠા છીએ તેમ તેઓ બધાં ગોલોકમાં બેસી પ્રસન્ન મને આપણે આપેલી અંજલિ સ્વીકારતા હશે એવી શ્રદ્ધા છે.

સ્વ. બળવંતરાવ આનંદરાવ ફણસે

14 comments:

  1. After 2 years of missing the Gypsie's Diary, I am delighted to know your CONTINUED JOURNEY.
    I always enjoyed the Posts at your Blog.
    Your restarting of this Journey on a Post written on the FATHER's DAY is a wonderful way to RESTART your Journey.
    HAPPY FATHER's DAY !
    My BEST WISHES for the Future !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar as possible.
    I invite ALL to my Blog Chandrapukar !

    ReplyDelete
  2. 'જિપ્સીની ડાયરી' ફરી આવશે એવી આશા હતી જ...

    .. ધાર્યા કરતા મોડી આવી પ્ણ આવતા જ પિતૃ યાદ દ્વારા શ્રધ્ધાંજલી વાંચી આનંદ થયો. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા પચાસે’ક વર્ષના વ્યક્તિ દિલરૂબા વગાડતા હતા. તેમની સામે પલાંઠી વાળીને સુરવાલ,ખમીસ અને જાકીટ પહેરલ...કોઇના પણ પિતાના મૃત્યુ ની ઘટના કરુણ હોય છે

    ...પછી કરુણરસમા આનંદાનુભુતીને જ વીગલીતવેદ્ યાંતરઆનંદ પ્રજ્ઞાજુ

    ReplyDelete
  3. સદ્ભાગી પુત્ર ને સદ્ભાગી પિતા પણ....(કેવે કેવા સંગીતકારો સાથે સાથ આપવાનો લાભ મળ્યો !) એમના સંસકારો તો આ વાંચતાં જ અનુભવાય છે. એમનું ઘણું બધું તમે જાળવ્યું છે તે તો તમારાં લખાણોમાંથી સમજાય જ છે.....

    મારા પિતાજી પણ શાસ્ત્રીય (હવેલી સંગીત)ના જાણકાર હતા ! ને એ જ સંસ્કારોનું બળ વિઠ્ઠલદાસ બાપોદરાસાહેબ પાસેની તાલીમ સુધી મને ખેંચી ગયું હશે !

    સ્વાગતમ્ !

    ReplyDelete
  4. Mukund Desai 'MADAD'June 17, 2013 at 11:22 PM

    Thanks.After a lone time I hear you.

    ReplyDelete
  5. જીપ્સીની ડાયરીનું બે વરસના વિરામ પછી પુનરાગમન ફાધર્સ ડે ના દિવસે સ્વ .પિતાની યાદો

    તાજી કરી એમને આપેલ શ્રધાંજલિથી થયું એ ગમ્યું .

    આપનું હાર્દિક સ્વાગત છે .

    આપના પૂજ્ય પિતાશ્રીને મારાં વંદન .


    ReplyDelete
  6. આપને તથા આપના સ્વ પિતાજી ને નમસ્કાર !
    આનંદ છે કે ઘણા સમય બાદ આપના બ્લોગ વાંચવા નો લ્હાવો મળશે।

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. આપને તથા આપના સ્વ પિતાજી ને નમસ્કાર !
    આનંદ છે કે ઘણા સમય બાદ આપના બ્લોગ વાંચવા નો લ્હાવો મળશે।

    ReplyDelete
  9. વિનોદભાઈના બ્લોગ પર આપનો પરિચય પામી અહી આવ્યો. પિતૃવંદનાના વાંચને, મારી પિતૃવંદનાને ઝંઝોડી. બ્લોગની વિગતવાર મુલાકાત તો હવે લેવાશે વિનોદભાઈ અને સુરેશભાઈ જેવા મિત્રો સાથે જ છે. ફરી મળશું.

    ReplyDelete
  10. તમે ભલે બાપુજીની આ વાત અહીં પહેલી વાર લખતા હો; પણ મેં એ અવશ્ય વાંચેલી છે.

    કદાચ અંગત ઈમેલ વ્યવહારમાં તમે એ ફાઈલ મોકલી હશે.' બાઈ' પુસ્તક સંબંધે અંગત ચર્ચા દરમિયાન તમે એ ફાઈલ મોકલી હતી; એમ યાદ આવે છે.

    આવી જ બીજી ફાઈલ 'સેમ માણેકશા' વિશે તમે મોકલેલી; જેના પરથી એમનો પરિચય આપી શકાયો.

    ReplyDelete
  11. નરેન્દ્રભાઈ,
    'જિપ્સીની ડાયરી'ના પુન: પ્રારંભ બદલ ધન્યવાદ.
    આપની જેમ કિશોર વયે પિતાની છત્રછાયા ગુમાવેલા એવા મને પણ આપનો આજનો લેખ મારા જીવનના ભૂતકાળ તરફ દોરી ગયો. સોળ વર્ષની વયે મારાથી નાની ત્રણ બહેનો અને બે ભાઈઓના વાલી બનવાના કારણે નાની વયે કૌટુંબિક જવાબદારીનું ભાન અને પરિપક્વતા પ્રાપ્ત થયાં જે આગળ જતાં જીવનના ભાથા સમાન ઉપકારક બની રહ્યાં.
    સ્નેહાધીન,
    વલીભાઈ

    ReplyDelete
  12. @ સુરેશભાઇ: આપની વાત બરાબર છે. આનો પૂરો લેખ ફક્ત આપને તથા એક બીજા મિત્રને વર્ષો પહેલાં મોકલ્યો હતો!

    @ વલીસાહેબ: એટલે જ તો સહઅનુભવીઓ વચ્ચે મૈત્રીસંબંધ અનાયાસ રીતે બંધાઇ જાય છે! આપના પ્રતિભાવ માટે ઘણો આભાર.

    ReplyDelete
  13. નરેન્દ્રભાઈ,
    જિપ્સીની ડાયરીના પૃષ્ઠો ધીરે ધીરે ફેરવી રહ્યો છું અને અંદર ઉતરતો જાઉં છું. આપના સ્વ. બાપુજીની વાત સાંભળીને મને મારા પપ્પાની યાદ આવી ગઈ. તમારા બાપુજીને બચપણથી બે વાતોમાં રસ હતો. અંગ્રેજી સાહિત્ય અને ભારતીય સંગીતનો. અહીં જરા જુદા રસ ધરાવતા સામાન્ય પપ્પા છે, પણ દરેક પુત્રના મનમાં પિતાની છબી તો એક અનોખા પિતાની જ હોય ને! પટેલ બચ્ચો

    ReplyDelete
    Replies
    1. Capt. Narendra (Gypsy)January 28, 2015 at 10:55 AM

      આ. કિશોરભાઈ,
      આપના પત્ર માટે ઘણો આભાર. પિતા કદી 'સામાન્ય' નથી હોતા - એ તો આપની નમ્રતા દર્શાવે છે. માતા વિશે અનેક કાવ્યો અને કથાઓ લખાઈ છે, અને તે યોગ્ય જ છે. પિતા પડદા પાછળ રહીને આપણને છત્ર, છાયા, પોષણ અને સંસ્કારસિંચન કરતા રહે છે, જે આપે જાણ્યું અને પ્રતિભાવ આપ્યો. આપના પિતાજીને મારા અંત:કરણપૂર્વક અને આદરપૂર્ણ નમસ્કાર.

      Delete