Monday, April 5, 2021

સમરાંગણની પૂર્વ ભૂમિકા (૧)

 


વિદ્યાર્થી જીવન દરમિયાન મોટા ભાગના ગુજરાતના કિશોર તથા યુવક વર્ગમાં સૈન્ય કારકિર્દી હોઈ શકે એવો વિચાર બહુતાંશે કોઈના મનને સ્પર્શ્યો નહોતો. તે સમયે પણ વ્યાવસાયીક ક્ષેત્રમાં કામ કરનાર સજ્જનો તેમના વ્યવસાયના ઉત્તરાધિકારી તેમનાં બાળકો બને એવો પ્રયત્ન કરતા. રીતે રેલ્વે કે સરકારી નોકરી કરનાર વડિલોનો પ્રયત્ન એવો રહેતાો કે તેમના બાળકો 'પેન્શનેબલ અને સુરક્ષિત' એવી સરકારી નોકરીમાં જાય. આથી બાળકોના ભણતરની દિશા નક્કી કરવાની આવે તો ડૉક્ટર - ઇન્જિનિયર પિતા તેમના બાળકોને તે રીતે તૈયાર કરતા. બાકીના વિદ્યાર્થીઓને તેમનાં માતા પિતા તેમની આર્થિક પરિસ્થિતિ મુજબ આર્ટ્સ, સાયન્સ કે કૉમર્સ streamમાં મોકલે. તેમાં પણ સમીકરણ હતા. આર્થિક સંકડામણ અનુભવતા પરિવારોના બાળક માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરૂં કરીને તરત નોકરી શોધે. સાધારણ આવકવાળા વાલીઓ તેમનાં બાળકોની રુચિ પ્રમાણે આર્ટસ્ કે સાયન્સ કૉલેજમાં મોકલતા, કારણ કે તે સમયે એસએસસી કરતાં ગ્રૅજ્યુએટ ઉમેદવારોને નોકરીમાં પ્રાથમિકતા અપાતી! અતિ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ મળતી તેથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા જતા. આ સામાન્ય પરિસ્થિતિ ૧૯૪૦ થી ૧૯૬૦ના દાયકામાં પ્રવર્તતી હતી. ખાનગી ક્ષેત્રમાં નોકરીની સુરક્ષિતતાની કોઈ ગૅરન્ટી નહીં તેથી ત્યાં જવાની કોઈની હિંમત ચાલતી નહીં. બૅંક અને વિમા કંપનીઓમાં લાગવગ અથવા અમાનત તરીકે મોટી રકમ મૂકવી પડતી તેથી સામાન્ય ઉમેદવારોનું ત્યાં જવાનું ગજું નહીં. 

મિલિટરીની વાત કરીએ તો અમારા બાળપણના દિવસોમાં મિલિટરી વિશે જનતાના મનમાં ડરની લાગણી એટલી હદ સુધી હતી કે હથિયાર સાથે તેમના આગમનની વાત થતાં લોકોમાં ભાગંભાગ થઈ જતી. ૧૯૪૪ થી ૪૭ના ગાળામાં દેશમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. ગુજરાતના શહેરોની વાત કરીએ તો ૧૪૪મી કલમ જાહેર થઈ હોવા છતાં શેરીના છેડે કે ચૌટામાં લોકો હુલ્લડ વિશે ફેલાતી અફવાઓ સાંભળવા ભેગા થઈ જતા. દૂરથી પોલીસના ખટારા આવતા દેખાય તો પણ લોકોમાં ખાસ કોઈ પ્રતિક્રિયા નહીં. ખટારામાંથી પોલીસ નીચે ઉતરવા લાગે ત્યારે લોકો નાસીને ઘરમાં પેસી જતા. બે-ચાર જણા પકડાય તો પોલીસ તેમને ધબેડી ને છોડી દે. દલીલબાજોને ધોલ મારવા ઉપરાંત પકડીને લઈ જવાતા. આથી વિપરીત, ‘માર્શલ લૉ જાહેર થયો છે અને મિલિટરી આવી છેએવા સમાચાર પ્રગટ થતાં શેરીઓ ખાલી થઈ જતી. લોકો ઘરમાં પેસી જતા. બારી બારણાં બંધ કરી સહુ ઘરમાં બેસી રહેતા. બહાર નીકળવાની કોઈ હિંમત કરે કેમ કે માર્શલ લૉમાંદેખો ત્યાં ઠાર કરોની ખુલ્લી સત્તા આપવામાં આવે અને મિલિટરીમૅનનું કામ હતું તેમને મળેલા હુકમનું શબ્દશ: પાલન.

જાણે ઓછું હોય, મિલિટરીના સૈનિકો ભલે ભારતીય હોય, પણ તેમના વિશે ગુજરાતમાં જાણકારી સાવ નહિવત્ હતી. સૈનિકોને શહેરની હદથી ઘણે દૂર, કૅન્ટોનમેન્ટમાં એવી જગ્યાએ રાખવામાં આવતા કે તેઓ ક્યાં અને કેવી રીતે રહે છે તેનો જનતાને જરા જેટલો ખ્યાલ નહીં. ભારતમાં મિલિટરી સામાન્ય જનતાથી અળગી રહી. સિવિલિયનો પ્રત્યે તેમનીબેરૂખીનું પ્રદર્શન શા માટે હતું સત્તાધીશો જાણે !

આઝાદી પહેલાંતાજના હથિયાબંધ દુશ્મન, ભલે તે દેશી કે વિદેશી હોય, તેમને નેસ્તનાબૂદ કરવા માટેનું સરકારનું સૌથી કારગર શસ્ત્ર હતુંબ્રિટિશ ઇંડિયન આર્મી.’ ખાસ કરીને જલિયાઁવાલા બાગના કત્લેઆમ પછી જનતાના મનમાં અંગ્રેજ અફસરો અને તેમની કમાન નીચેના ભારતીય સૈનિકોની છબિ અંકાઈ ગઈ હતી. 

અહીં ખાસ કહેવું જરૂરી છે કે ભારતીય સેનાએ પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં અતુલ્ય પરાક્રમ બતાવ્યું હતું. તેમ છતાં આપણા અફસરો અને જવાનોની વીરતા અને વિજયની વાતોને અંગ્રેજ સરકારે વિશેષ પ્રસિદ્ધી આપી નહોતી

આના ફક્ત બે જ દાખલા આપીશું.

૧. પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને તેના મિત્ર રાજ્યોની લડાઈ જર્મની, ઑસ્ટ્રિયા અને તુર્કસ્તાનના ઑટોમન સામ્રાજ્યની સંયુક્ત સેનાઓની વિરૂદ્ધમાં હતી.  હાલના ઇઝ્રાએલ, પૅલેસ્ટાઈન અને જોર્ડન તુર્કસ્તાનના ઑટોમન સામ્રાજ્યનો હિસ્સો હતા. રણ જેવા આ પ્રદેશમાં તુર્કસ્તાનની વિશાળ સેનાનો સામનો કરવા અંગ્રેજ સરકારે ભારતની દેશી રિયાસતોના રિસાલાઓની સંયુક્ત સેના - Imperial Lancers Brigade તૈયાર કરી સમુદ્રમાર્ગે ઈજિપ્ત મોકલી, અને ત્યાંથી નેગેવ (Negev)ના રૂક્ષ રણમાં. ની ઇમ્પિરિયલ લાન્સર્સમાં ભાવનગર અને ઇડરના રિસાલાઓએ અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. ભાવનગરના કર્નલ જોરાવરસિંહજી (જોરૂભા) અને તેમના સેકન્ડ-ઇન કમાંડ રિસાલદાર મહોબતસિંહજીએ 'ચાર્જ ઓફ ધી લાઇટ બ્રિગેડ'ની જેમ પોતાના તલવારધારી રિસાલા (Cavalry)થી હુમલો કર્યો અને ઑટોમન - તુર્કી સેનાના રિસાલાને પરાસ્ત કરી હાઈફા બંદર પર અને પૅલેસ્ટાઈનના અન્ય પ્રદેશો પર કબજો કર્યો હતો. આજે પણ ઇઝરાએલ Haifa Day' તરીકે જાણીતા ભારતીય અશ્વદળના વિજયને ઉજવે છે. ભાવનગર રિસાલાના આ બન્ને અફસરોને વીરતાના મેડલ અર્પણ થયા હતા. આમાંના રિસાલદાર મહોબતસિંહજીના પ્રપૌત્રી હાલ શિકાગોમાં રહે છે.

૨. આ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના રાજપરિવારના મેજર


રાજેન્દ્રસિંહજીએ તેમની 2 Lancer Regimentની ટુકડીનું નેતૃત્વ લઈ લિબિયાના રણમાં અજેય ગણાતા જર્મન સેનાપતિ ફિલ્ડ માર્શલ રોમેલની સેનાનો ઘેરો તોડી, જર્મન સૈનિકોને બંદી બનાવ્યા હતા. શૌર્યના આ કામ માટે તેમને Distinguished Service Order એનાયત થયો હતો. રાજેન્દ્રસિંહજી આગળ જતાં ફિલ્ડ માર્શલ કરીઆપ્પા બાદ ભારતીય સેનાના કમાંડર-ઇન-ચીફ થયા. સુરતના વ્યાપારી પરિવારના તેજસ્વી યુવાન કૅપ્ટન નલીનકુમાર ધીરજલાલ નાણાવટીએ બીજા વિશ્વયુદ્ધમાં ઇટાલીના પહાડોમાં આવેલ જર્મન સેનાનો અભેદ્ય કિલ્લો મૉન્ટે કૅસિનો પર તેમના કમાન હેઠળની મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની ટુકડીને લઈ હુમલો કર્યો હતો. પોતે ઘાયલ થયા હોવા છતાં તેમણે અંગત નેતૃત્વ કરી હાથોહાથની લડાઈ બાદ અંગ્રેજ સેનાનો કત્લેઆમ કરતી જર્મન મશીનગન્સ પર હુમલો કરી જર્મન સેનાની આ કિલ્લેબંધી સર કરી હતી. 
કૅપ્ટન નાણાવટીના
 શૌર્યની કદર કરવા સરકારે તેમને  Military Cross અર્પણ કર્યો હતો. બ્રિટિશ સૈન્યના બહાદુરી માટેના સર્વોચ્ચ ગણાતા વિક્ટોરિઆ ક્રૉસ બાદ મિલિટરી ક્રૉસ ગણાય છે, કૅપ્ટન નાણાવટી આઝાદી બાદ આગળ જતાં કાશ્મિરમાં ૧૫૦૦૦ સૈનિકોના સેનાપતિ તરીકે મેજર જનરલના પદ પર પહોંચ્યા હતા. એક હૅલિકૉપ્ટર અકસ્માતમાં તેમનું અવસાન થયું.  

આ યોદ્ધાઓ વિશે ગુજરાતમાં બહુ ઓછા લોકો જાણે છે. મારી પોતાની વાત કરૂં તો જનરલ રાજેન્દ્રસિંહજી સિવાય ભારતની સેનામાં ગુજરાતીઓ હતા કે કેમ, તે પણ હું નહોતો જાણતો! 

આમ મિલિટરી પ્રત્યે અનેક  પ્રકારની ગેરસમજ, ભયની લાગણી અને નાખુશીની હોવા છતાં અમારા મનમાં આઝાદી બાદ મિલિટરી વિશેની છાપ સાવ બદલાઈ ગઈ. આ વિશે આવતા અંકમાં વાત કરીશું.








10 comments:

  1. બીરેન કોઠારીApril 5, 2021 at 4:00 AM

    બહુ રસપ્રદ વિગતો!

    ReplyDelete
  2. શૌર્યગાથાના આ ભડવીરો વિશે જાણી ગૌરવની લાગણી થઈ.
    વધુ જાણવાની ઈંતેજારી.

    ReplyDelete
  3. ખૂબ રસપ્રદ
    ૧૯૪૦ થી ૧૯૬૦ના દાયકામાં પ્રવર્તતી અમારી અનુભવેલી સ્થિતી ની યાદ તાજી કરી પણ અમારા કુટુંબ અને સ્નેહીઓમા મિલિટરી અંગે માન હતુ તેથી કોઇ જોડાતુ તો માનની નજરે જોતા. અમારા કાકાશ્રીની વાત માટે અમે 'માર્શલ લૉ' કહેતા!ફરી ભાવનગરના કર્નલ જોરાવરસિંહજી અને તેમના સેકન્ડ-ઇન કમાંડ રિસાલદાર મહોબતસિંહજી ની વાતે ભણવામા આવતી કાવ્ય પંક્તીઓ
    Honour the Light Brigade,
    Noble six hundred! રાહ મિલિટરી વિશેની છાપ સાવ બદલાઈ...

    ReplyDelete
  4. આ બધી વાતની ખબર જ ન હતી. હવે જાણ્યું . એ વીરલાઓને મોડા મોડા પણ સલામ .

    ReplyDelete
  5. સારી જાણકારી મળી. સેનાને અલગ કૅન્ટોનમેન્ટમાં રાખવાનું કારણ એક જ હોઈ શકે કે એ દિવસોમાં અંગેજ સરકાર વિરુદ્ધ ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામની અસર સૈનિકો પર ન પડે.

    ReplyDelete
    Replies
    1. આપનું તારણ યોગ્ય છે. મિલિટરીને mainstream જનતાથી હંમેશા દૂર રાખવામાં આવતી હતી. આપની વાત પર વિચાર કરતાં મને એવું લાગે છે કે ૧૮૫૭ના વિપ્લવ બાદ અંગ્રેજ સરકારે આ પદ્ધતિ અપનાવી હતી.

      Delete
  6. પના બ્લોગ ઉપર મેં કોમેન્ટ આપેલી છે પણ કેમ પબ્લિક થતી નથી તે મને ખબર ના પડી. ખેર, કારણ જાણતા હોય તો જણાવજો નહીતો મારો જવાબ એ આ mail ના જવાબરૂપે વાંચવા વિનંતી છે.


    'બાઈ, 'જિપ્સી ની ડાયરી', ' પરિક્રમા '  અને ' Full  Circle' એમ આપના કલમે લખાયેલ ચાર  સળંગ પુસ્તકો વાંચી ફરી ફરી વાંચી તોય હર સમયે નવું નવું જાણવા મળે છે જાણે દરેક વખતે દરિયામાં ડૂબકી મારીએ ત્યારે અમૂલ્ય મોતી મળે અને આનંદ થયા. 
    બાઈ, પુસ્તિકા તો મને મારા નાનપણ ની યાદો અપાવી જાય છે! કારણ બાઈ એ મારા  નાની હતા, તેમનો અતિ ઉદાર, પ્રેમાળ અને દયાળુ સ્વભાવ,  એ જ તેમની ઓળખાણ, તેઓ ગમે તેટલા કામમાં વ્યસ્ત હોય પણ નાનું બાળક પણ તેમના પાસે આવે તો એને તરત જ ડબ્બામાંથી કંઈ ને કંઈ ખાવાનું આપીને ખુશ કરી દેતા! અને તેમની પાસે આવેલું બાળક ખુશ ખુશ થઈ જાય. બાળક ગમે તેટલું તોફાન કરે તો પણ ક્યારે પણ વઢવું નહીં એવો તેમનો સ્વભાવ હતો. એટલે તો અમે નાના બાળકો માટે તેમનું ઘર એટલે અમારા માટે તોફાન કરવા નું મેદાન અમે બદલામાં સરસ ખાવાનું મળે! તેઓ મારા માથામાં હાથ ફેરવતા દિવસો યાદ આવે છે. 

    હવે વાત આવે છે જિપ્સીની ડાયરી, મારા પિતા આર્મી માં રહી ચૂક્યા હતા અને અમે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રહેતા હોવાથી આર્મી જીવન વિશે ઘણા વાકેફ હતા. મારા મામા એટલે કે જિપ્સી, ઉર્ફે નરેન્દ્ર ફણસે અમારા ઘરે અવારનવાર આવતા. એમની પાસે પણ તેમના આર્મી જીવનના અનુભવ પ્રત્યક્ષ સાંભળેલા આજે પણ સંભારણા રૂપે સાચવી રાખ્યા છે. જિપ્સીની ડાયરી પુસ્તક વાંચતી વખતે જાણે આજે પણ તેમની સાથે રૂબરૂ વાત કરતા હોઈએ તેમ લાગે છે.  જિપ્સી ફરી એકવાર આપના બ્લોગ પર વાંચીને જાણે અમારા માટે આપને ટેલીપથી થઈ હોય અને બ્લોગ પર મુકવાનો આપને વિચાર એમ જ કહી શકાય, અને રૂબરૂ મળવાનો અહેસાસ  આવી ગયા હોય. એમ નહીં તો બીજું શું? 

    'પરિક્રમા ' અને અંગ્રેજીમાં  Full Circle પુસ્તકની ની વાત કરીએ તો હર વાક્યમાં, હર પાને પાને જાણે પાત્રો એવી રીતે રજૂ કર્યા છે જાણે એ પાત્રો સાથે આપણે એ ઘટના સ્થળે રૂબરૂ હાજરી નો અહેસાસ કરાવે છે.. 

    આવા અમૂલ્ય પુસ્તકો વારંવાર વાંચવાનું મન કેમ ન થાય? નરેન્દ્ર ભાઈ, આપ આવા પુસ્તકો વધુ ને વધુ લખતા રહો તો અમને દર સમયે નવો-નવો ખજાનો લુટવા મળે.
    આપનો નિરંજન.

    ReplyDelete
  7. નિરંજનભાઇ
    આપની વિસ્તૃત ટિપ્પણી માટે હાર્દિક આભાર. આપે ઇમેલ દ્વારા જે સંદેશ મોકલ્યો તે મારા નામે કૉપી-પેસ્ટ કરીને ઉતાર્યો છે. આગળ જતાં આપને ટિપ્પણી મૂકવા કદાચ મુશ્કેલી નહીં નડે.

    ReplyDelete
    Replies
    1. ખુબ ખુબ આભાર નરેન્દ્રભાઇ.

      Delete
  8. its our great pleasure to read your writing again and again-pl keep it up- Salute

    ReplyDelete