Wednesday, December 24, 2014

યાદોની પગદંડીની આસપાસ વિખરાયેલાં પુષ્પ…



પહાડોમાં ટ્રેકીંગ કરવા જઈએ ત્યારે લીલાંછમ આસમંતમાં ઉગી નીકળેલાં રંગબેરંગી ફૂલ જોઈ મન કેટલું પ્રસન્ન થતું હોય છે એ આપે અનુભવ્યું છે. જીવનના ચઢાણ પણ કંઈક એવા જ હોય છે. ચાલતાં ચાલતાં  તન કે મન થાકી જાય, ત્યારે આ પગદંડીની આસપાસ પડેલાં ગીતોનાં ફૂલ નિરખીયે ત્યારે  કાનમાં તેમનો સુમધુર ઝંકાર સંભળાય.  તેમાં એક એવો પમરાટ હોય છે, જેની સરખામણી આપણી ડાયરીમાં રાખેલાં પુષ્પોની પાંખડીઓ સાથે કરી શકાય.  પાનું ખોલતાં તેમાંથી સૌરભ નીકળે એવાં ગીતો જે આધુનિક જગતની ગતિમાં ખોવાઈ ગયા છે. પણ તેનું માધુર્ય એવું જ તાજું રહ્યું છે! આજે  સૌથી પહેલાં યાદ આવી સ્વ.ગીતા રૉયની. તેમનાં ઓછાં જાણીતા પણ અત્યંત મધુર ગીતોની વાત કરીએ તો યાદ આવે છે,



ફિલ્મ ‘અનુભવ’નું આ ગીત ગીતા રૉયે ગાયું અને અભિનય છે તનુજાનો.  આ ફિલ્મમાં તનુજાનો અભિનય એટલો તો સુંદર હતો, તે સમયના વિવેચકોએ આ ફિલ્મને ‘તનુભવ’ કહીને બીરદાવી હતી. આ જ ફિલ્મનું બીજું ગીત…


અને તેમના જીવનનાં છેલ્લાં ચઢાણમાં તેમણે આ ગીત ગાઈને તેમના હૃદયને અને તેમના ચાહકોનાં હૃદયોને વલોવી નાખ્યાં: 


***
મુકેશજીએ પહેલું ગીત ગાઈને સૌનું ધ્યાન ખેંચી લીધું. તે વખતે તેમણે સીધી સાયગલ સાહેબની ઢબથી ગાવાનો પ્રયત્ન કર્યો. કોણ જાણે કોણે તેમને કહ્યું કે ચિત્ર, કથા કે કલામાં નકલ કરતાં મૌલિકતાનું મૂલ્ય અનેકગણું હોય છે. તમે તમારા આનંદ માટે તમારા સ્વત્વને બહાર લાવે તેવું ગાશો તો બીજા કોઈને તે ગમશે કે નહિ, પણ તમે તેનો આનંદ જીવનભર લઈ શકશો! મારી અનભિજ્ઞ દૃષ્ટીમાં તેમણે ગાયેલાં બિન-ફિલ્મી કે ફિલ્મી ગીતોમાં જુદી ભાત પાડી ગયા તે ગીતો છે :

જીયેંગે મગર મુસ્કુરા ન સકેંગે/ કિ અબ ઝીંદગીમેં મુહબ્બત નહિ હૈ…’  અને

‘કિસે યાદ રખ્ખું, કિસે ભુલ જાઉં..’ જાણે આપણા ઘરમાં જામેલી મહેફીલમાં મુકેશજી આવીને ગાઈ રહ્યા છે!

***

ઓ.પી. નૈયર માટે કહેવાય છે કે તેમણે સંગીતબદ્ધ કરેલા પહેલા ગીત બાદ સંગીતના ક્ષેત્રમાંથી વિદાય લીધી હોત તો પણ તેઓ ચિરસ્મરણીય થયા હોત! આ ગીત રચવા માટે HMV કંપનીએ તેમને અૉફર આપી : રોકડા વીસ રુપિયા અથવા ‘વેચાય તો રૉયલ્ટી’. પહેલા ગીત માટે તેમણે ‘રોકડી’ કરી લીધી. ગાયકે રૉયલ્ટી પસંદ કરી અને તે જમાનામાં દોઢ લાખ  કમાયા. તે જમાનામાં સરકારી ક્લાર્કનો પગાર ૭૫ રૂપિયા હતો! ગીત હતું ‘પ્રિતમ આ ન મિલો/દુખિયા જીયા બુલાયે…’ અને ગાયક ચંદ્રુ આત્મા - જેમનું સૂરજ્ઞાન શૂન્યવત્ હતું પણ આત્માની જેમ અમર થઈ ગયા! શ્રેય તો અલબત્ નૈયર સાહેબને!

સદ્ભાગ્યે નૈયર સાહેબે ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને અનેક અણમોલ ગીતોનો વારસો છોડી ગયા.

આ ગીત યાદ છે? ‘ચૈનસે હમ કો કભી…’

આશાજીએ આ ગીત ગાઈને તો કમાલ કરી! ભારતીય સિને સંગીતનો Hall of Fame કદી બનાવવામાં આવે, તેમાં આ ગીત અચૂક આવે!

અાશાજીએ ગાયેલાં અદ્વિતિય ગીતોમાં યાદ આવે છે. એક વસમી વિદાયની યાદ આપતું બીજું ગીત:  જીવનની બંદીશાળામાં પૂરાયેલી બહેન શ્રાવણની અમિધારા જોઈને ગાય છે- પિતાજી, સાવન આવ્યો છે. આ વરસે તો ભાઈને મોકલી મને પિયર બોલાવો…'અબ કે બરસ ભીજ ભૈયા કો, બાબુલ" 

***

સ્મૃતિવનની વાત કરીએ તો પંકજદા’ની યાદ આવ્યા વગર ન રહે! યાદ છે આ ગીત?

આજનો અંક નાતાલના શુભ દિન માટે ખાસ છે. ક્રિસમસ કૅરલ હંમેશા ગવાય છે પણ તે પાશ્ચાત્ય સંગીતના ઢાળમાં. પરંપરાગત ભારતીય સંગીત, તે પણ કર્ણાટક પદ્ધતિમાં ગવાયેલું આ કૅરલ યાદ છે આપને? એ. આર. રહેમાન જેવા પ્રતિભાશાળી સંગીતકાર જ આવી અપ્રતિમ કૃતિ આપી શકે:


આજના અંકની આખરમાં એક મહાન ગાયકના કંઠે ગવાયેલ અદ્ભૂત ગીત રજુ કરીશ. આ ગીત પણ લગભગ ભુલાઈ ગયું છે. જો કે તેની તાજગી હજી પણ એવીને એવી જ રહી છે. સ્વ. સાયગલ સાહેબે ગાયેલું ચંડીદાસનું કિર્તન …






6 comments:

  1. અાહા..ઉત્તમ ગીતોની પસંદગી. મેં આ લિન્ક પરથી ક્લિક કરીને સાંભળ્યાં તો નહીં, પણ એ વાંચતાં જ મનમાં ગુંજવા માંડ્યાં...બાકીનાં બધાં અતિ પ્રિય જ છે, પણ મુકેશનાં તમે મુકેલાં બે ગીતોમાં એમનો નાભિસ્વર સમાધિ લગાડી દે એવો છે.

    ReplyDelete
    Replies
    1. આભાર ઉર્વીશભાઈ. મુકેશનાં બન્ને ગીતોની આપની અનુભૂતિને એવા જ સુંદર શબ્દોમાં વ્યક્ત કરી!

      Delete
  2. Narenbhai,
    A wonderful post which takes you to the vintage days in the Memory Lane...Your selected songs are excellent.
    Listened to all !
    Enjoyed !
    Chandravadan
    www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar.
    Missed you for the Post on VANJARA
    I was in India/UK & back on 21st Dec
    Marry Christmas & Happy New Year !

    ReplyDelete
  3. 'યાદોની પગદંડી' પર વેરાયેલાં આ પુષ્પો જ્યારે પણ હાથમાં લઈને સુંઘીએ, ત્યારે દિલ બાગ બાગ થઇ જાય...કેટલાય સમય સુધી છોડથી વિખુટાં પડ્યાં છતાં પણ એવાં જ તાજાં રહેતાં આ 'પુષ્પો'ને અત્મીયતાથી યાદ કરાવી આપવા બદલ આભાર

    ReplyDelete
    Replies
    1. આપના પ્રતિભાવ માટે આભાર, અશોકભાઈ.

      Delete
  4. ભાઈશ્રી નરેનભાઇ,

    વાહરે તેરા ક્યાં કહેના??

    આંગળીને વેઢે ગણાય તેટલા રસબિંદુ મુકીને સાગરના માપ જેટલા અમૃતનું રસપાન કરાવી દીધુ. ભાઈ ભાઈ !!

    ReplyDelete