Saturday, October 22, 2011

જિપ્સીનો વિસામો: ગુલોંમેં રંગ ભરે (શેષ)

મેહદી હસન સાહેબનો પરિવાર રાજસ્થાની પરંપરાનો. તેમનો પરિવાર મૂળ રાજસ્થાનના લૂણા ગામનો રહેવાસી હતો અને ઘણી પેઢીઓથી તેમને રાજ્યાશ્રય મળ્યો હતો. ભારતીય શાસ્ત્રીય સંગીતના સાધક એવા આ પરિવારે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. દેશના ભાગલા થયા અને કઇ આશા આકાંક્ષા સાથે મેહદી હસનના વાલિદસાહેબ તથા તેમના અન્ય બુઝુર્ગોએ પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો, એ તો તેમને જ ખબર. પણ આ નિર્ણયને કારણે તેમને તથા તેમના પરિવારને શરૂઆતમાં ઘણી મુસીબતો ઉઠાવવી પડી. ખુદ મેહદી હસનને દહાડીયા તરીકે મજુરીથી માંડી સાઇકલ રિપૅરીંગનું કામ કરવા જેવી મહેનત કરવી પડી. રોજ વાલીદ સાહેબ પાસે રિયાઝ અને બાકીનો સમય પરિવાર માટે આજીવિકા કમાવવા બહાર જવું. આ મહેનતે તેમના સ્વભાવમાં કડવાશને બદલે નમ્રતા તથા લોકોની મુસીબત સમજવાની શક્તિ આવી. નિરભિમાન તેમના ચારિત્ર્યનું અંગ બની ગયું. જિપ્સીનું માનવું છે કે આ કારણે તેઓ અમીરથી વધુ અમીર અને ગરીબથી ગરીબ ચાહક પ્રત્યે સમાનત્વ બક્ષતા રહ્યા. આનું ઉદાહરણ અહીં જોઇએ.

ભારતીય સિને જગતના બીજી કક્ષાના એક પ્લેબૅક ગાયિકાએ કોણ જાણે કેવી રીતે મેહદી હસન સાહેબને કરારબદ્ધ કરી ભારત બોલાવ્યા અને મોટા શહેરોમાં કાર્યક્રમો યોજયા. ટિકીટના દર એવા રાખ્યા, જે સામાન્ય રસિકને ન પોષાય. અમદાવાદમાં તેમનો કાર્યક્રમ શાહીબાગના પોલિસ સ્ટેડીયમમાં રખાયો હતો. મેહદી હસન સાહેબની નજીક, તેમની સમક્ષ બેસી આનંદ માણનારા શ્રોતાઓ માટે તે સમયની માતબર ગણાતી રકમ ૧૦૦૦ રૂપિયાની ટિકીટ રાખી. તે વખતે સરકારી ક્લાર્કનો પગાર કેવળ ૧૦૦ રુપિયાનો હતો! નિમ્ન કક્ષાની, પોડીયમથી બસો ગજ દૂર સ્ટેડીયમના પગથિયા પર બેસી સાંભળનારાઓ માટે ટિકીટનો દર ૧૦૦ રૂપિયા - આમ આદમીની એક મહિનાની કમાઇ જેટલો રાખ્યો. તેમ છતાં ત્રણસો-એક ચાહકો ‘પગથિયાં’ની ટિકીટ લઇ કાર્યકમ સાંભળવા ગયા. હજાર રુપિયાની ટિકીટ વાળા કેવળ ૨૫-૩૦ લોકો હતા. કાર્યક્રમ શરૂ થયો. મેહદી હસન સાહેબે જોયું કે મોટા ભાગના શ્રોતાઓ દૂર હતા, તેમણે બધા ‘પ્રોટોકોલ’ છોડી જાહેર કર્યું, “દૂર બેસેલા મારા અઝીઝ હાઝરીન, આપ મારી નજીક આવીને બેસો. સંગીતના દરબારમાં કોઇ મોટું નથી, નાનું નથી.” અને બધા શ્રોતાઓને તેમના સાન્નિધ્યમાં બેસી તેમનું સંગીત માણવાનો મોકો મળ્યો. આવા હતા મેહદી હસન સાહેબ. જિપ્સી આ વાતનો સાક્ષી છે.

મેહદી હસન જ્યારે મિકેનીકનું કામ કરતા હતા, ત્યારે તેમના કાકા કરાંચી છોડી લાહોરના ગયા અને સંગીત નિર્દેશક તરીકે નામ કમાવ્યું. તેમણે મેહદી હસનને ફિલ્મોમાં ગાવાનો મોકો આપ્યો. શરૂઆતની અસફળતા બાદ ‘ગુલોમેં રંગ ભરે’એ તેમને એકાએક મોટા ફલક પર લાવ્યા. બસ, ત્યાર પછી તેમણે પાછા વળીને જોયું નહિ. એક પછી એક ગઝલ, નઝમ, ગીત, લોક ગીત લોકોનાં હૃદયમાં વસી ગયા.

તેમણે ગાયેલી ગઝલોની શી વાત કરીએ! તેમણે ‘રંજીશ હી સહી’ ગાઇને ફરી એક વાર ઝંઝાવાત ઉભો કર્યો. તેની મિઠાશ, પ્રિયતમાને ફરી એક વાર પાછા આવવા માટે વિવિધ પ્રકારે કરેલી ઇલ્તજા ખરેખર માણવા જેવી છે. લગ્નોમાં, જન્મોત્સવમાં કે પછી કોઇ પણ પારિવારીક કે સાર્વજનીક કાર્યક્રમમાં જતા ગાયકોને લોકો આ ગઝલની ફરમાયેશ અને વારંવાર ઇર્શાદ આપવા લાગ્યા. એટલી હદ સુધી કે રૂણા લૈલા, અનુરાધા પૌડવાલ અને તલત અઝીઝ જેવા ગાયકો પોતાના કાર્યક્રમમાં ‘સ્ટાર આઇટમ’ તરીકે આ ગઝલ પેશ કરવા લાગ્યા!

આપે તેમની ‘રંજીશ હી સહી’ સાંભળી જ હશે. લંડનમાં થયેલ એક કાર્યક્રમમાં તેમણે આ ગઝલની નજાકત સમજાવીને ગઝલ પેશ કરી હતી તે ખરેખર આશ્ચર્યકારક હતી. અહીં આ ગઝલના શબ્દો, તેનો અર્થ અને ગઝલ રજુ કરીએ છીએ. અલબત્, આજે પણ આ કામમાં અસગરભાઇનો ફાળો જરૂર જોવા મળશે.

“રંજીશ હી સહી, દિલ કો દુખાને કે લિયે આ!
આ ફ઼િર સે મુઝે છોડ કે જાને કે લિયે આ!”

મારા પ્રત્યે તમને રંજ છે તેથી તમે મને છોડીને ચાલ્યા ગયા છો તે હું જાણું છું. તમારી રંજીશને હું તમારી ઇનાયત સમજીને તમને બોલાવું છું. જેથી તમે ફરી એક વાર છોડી જવા માટે મારી પાસે આવો!

પહેલે-સે મરાસીમ ના સહી ફિરભી કભી તો
રસ્મ-ઓ-રહે દુનિયા હિ નિભાને કે લિયે આ!

મરાસીમ એટલે સંબંધ. પહેલે-સે એટલે પહેલાં જેવા. આપણી વચ્ચે પહેલાં જેવા (પ્રેમાળ) સંબંધ ભલે ન હોય, પણ દુનિયાને તો આપણાં જુના સંબંધ યાદ છે. દુનિયાની રસમ એવી છે કે મિત્રો ફરી મળે. આ રસમ નિભાવવા માટે તો આવ!
 
કિસ કિસ કો બતાયેંગે જુદાઇકા સબબ હમ?
તુ મુઝ સે ખ઼ફા હૈ તો ઝમાને કે લિયે આ!

આ ઉપરના શે’રને સહેજ જુદી રીતે, પણ સહેજ સરળ ઉર્દુમાં પેશ કર્યો છે.

કુછ તો મેરી પિંદારે મોહબ્બત કા ભરમ રખ
તુ ભી તો કભી મુઝ કો મનાને લે લિયે આ!

પિંદાર એટલે માન/ ઇજ્જત. મતલબ છે, મારો તમારા પ્રત્યેનો પ્રણય ઉત્કટ છે એવો મને ભલે ભ્રમ હોય, તેમ છતાં મારા પ્રેમની કદર કરવા માટે તો તમે આવો!

એક ઉમ્ર સે હું લઝ્ઝત-એ-ગિર્યા સે ભી મેહરૂમ
અય રાહતે જાં, મુઝ કો રુલાને કે લિયે આ!

જીંદગીભર તમારી ઝંખના કરવા છતાં હું તમારા સંગની ખુશીથી હું વંચિત રહ્યો છું. હું જાણું છું કે તમે મારા પર ખુશ નથી, પણ મારા જીવને રાહત આપનાર આપના સંગનો લાભ આપીને જતા રહો તો મને રડવું તો જરૂર આવશે. આ રૂદન મને માન્ય છે તેથી મને ફરી રડાવવા માટે કેમ ન હોય, પણ આવશો જરૂર.

અબ તક દિલે ખ઼ૂશફ઼હેમ કો તુઝ઼ સે હે ઉમ્મીદેં
યે આખરી શમ્મેં ભી બુઝાને કે લિયે આ!

હજી સુધી તો મારૂં હૃદય તમારી વ્યર્થ આશા રાખીને દુ:ખીત રહ્યું છે
પણ મારી આશાના દિપકની જ્યોતને બુઝાવવા માટે તો આવો!)

હવે 'રંજીશ હી સહી’ મેહદી હસન સાહેબના સ્વરમાં સાંભળીએ:
*
મેહદી હસન સાહેબનું કલેવર ભલે પાકિસ્તાનમાં હોય, પણ તેમની રૂહ રાજસ્થાની હતી. કોઇ પણ કાર્યક્રમ પહેલાં પરિચયમાં તેઓ હંમેશા તેમના પરિવારના રાજસ્થાનમાંના સાડાત્રણસો વર્ષનો ઇતિહાસ જરૂર કહેતા. દેશના ભાગલા બાદ તેઓ મરૂભૂમિથી દૂર રહ્યા, પણ ‘કેસરીયા બાલમા, પધારો મ્હારે દેશ’ તો તેમના હૃદયની સિતારમાં હંમેશા બજતો રહ્યો. અને તેમણે ‘કેસરીયા’ ગાયો સુદ્ધાં. સાંભળો તેમનો અણીશુદ્ધ રાજસ્થાની માંડ!
+

શરૂઆતમાં પોતાની આવડત, પ્રતિભાની ઝલકથી લોકોમાં આશા જન્માવતા કલાકારો પૈસાની આંધળી દોટમાં તેમની પ્રતિભાને geniusમાં પરિવર્તીત નથી થવા દેતા. આનું કારણ હોય છે તેઓ અંગ્રેજીમાં કહેવાય છે તે પ્રમાણે તેઓ ‘Playing for the Gallery’ કરવા લાગે છે. આ જુનો શબ્દપ્રયોગ છે. જુના જમાનામાં “pit class’ના લોકો - જેમને કલાની જરા જેટલી પરખ ન હોય પણ તેમને titillate કરે તેવા ગીતો ગાઇ, તેમને ખુશ કરી ગૅલેરીમાંથી નાણાંનો વરસાદ થવા માટે ગાવા પાછળ આખી જીંદગી ગાળી પ્રતિભાનું બલિદાન આપતા હોય છે. આવા લોકો ઘોડદોડના મેદાનમાં કદી અવ્વલ સ્થાન ન પામનારા ‘Also ran‘ અશ્વની જેમ રહીને ભુલાઇ જાય છે. Playing for the Gallery કરનારા ગાયકોના અનેક ઉદાહરણ જોવા મળશે. એક વાર ઉત્તમ ગઝલ ગાયક કે અદ્વિતિય સંગીતકાર થવાની ક્ષમતા ધરાવનાર ગાયક તરીકે આશા જન્માવનાર કેવળ “ભજન સમ્રાટ‘ બનીને રહી જાય એવું પણ જોવામાં આવ્યું છે.

લોકભોગ્ય સંગીતની બાબતમાં પોતાની કલાનો ઉત્તમ દરજ્જો જાળવવામાં મેહદી હસન સાહેબનું ઉદાહરણ અનોખું છે. આપે ‘રાફતા રાફતા વોહ મેરી...’ સાંભળ્યું છે?

જિપ્સીને આશ્ચર્ય ત્યારે થયું કે પંજાબની સરહદે તેનાં જવાન આ ગઝલની પંક્તિઓ “પહલે જાઁ, ફિર જાન-એ-જાઁ...‘ આરામથી ગાતાં! આવી હતી તેમની આમ જનતામાં appeal! ગીતની શરૂઆત કરતાં જ લોકોમાં તાળીઓનો ગડગડાટ શરૂ થઇ જતો.

*
મેહદી સાહેબ ગંભીર માંદગીમાં કરાંચીમાં દિવસો ગાળે છે. ભારત સરકારે તેમને ખાસ આમંત્રણ આપ્યું: ‘પધારો મ્હારે દેશ..” અમે તમારી સારવારનો પૂરો ખર્ચ ઉપાડીશું.

આમાં મહત્તા ફક્ત બે વાતોની છે: મેહદી સાહેબની કલાની અને બીજી તેમની કલાની કદર કરનારાઓની. કલા કદી સીમાની મોહતાજ નથી. નથી મોહતાજ તે હકૂમતની. હકૂમત તો આવા કલાકારોની કાયમ માટે ચાલતી રહી છે - જનતાના હૃદય પર!

આજનો પ્રયાસ કેવળ એક મહાન કલાકારને અંજલિ અાપવાનો છે. મેહદી હસનસાહેબનો પરિચય કરવાની કોશિશ એટલે સૂર્યના પ્રકાશનું વર્ણન કરવા જેવું છે!

2 comments:

  1. મેહદી હસન સાહેબના સ્વભાવમાં કડવાશને બદલે નમ્રતા તથા લોકોની મુસીબત સમજવાની શક્તિ અંગે અનુભવ હતો પણ આજે તેમના જીવન વિષે વિગતે જાણી તેમની સંત જેવી મહાનતાનો ખ્યાલ આવ્યો.


    ઘણાએ ગાયેલી ગઝલ “રંજીશ હી સહી, દિલ કો દુખાને કે લિયે આ! માં તેમની બરોબરી કોઇની જણાતી નથી પણ આજે તેના ગુજરાતી અર્થ એવં ભાવ સાથે રજુ કરી તેથી ગઝલની ગહનતાનો ખ્યાલ આવ્યો અને માણતા વધુ આનંદ થયો.

    ધન્યવાદ અને હવે રજુ કરાતી રચનાઓ અર્થ અને રસાસ્વાદ સાથે મૂકવા વિનંતિ

    પ્રજ્ઞાજુ

    ReplyDelete
  2. Captain sahib ji,
    MEHDI HASSAN JI IS A LEGEND IN GHAZAL GAYEKI,IT IS V.SAD THAT jagjit LEFT US,and MEHDI SAHIB is bed ridden,ket us all pray for his health.
    you did a good job ,i really appreciate your hard work.
    i had the chance too.listening him live back in.1968,
    He is admitted in AGA KHAN HOSPITAL KARACHI.
    NAMASTE TO ALL READERS HERE.
    RAHIM CHUNDRIGAR KANSAS CITY.

    ReplyDelete