Friday, July 30, 2021

૧૯૬૮ - જીવનનો નવો પડાવ

ભારતીય સેના છોડવાની ક્ષણ વસમી હતી. કેટકેટલા પ્રસંગોની છબિઓ જિપ્સીના સ્મૃતિ પટલ પર એક વિડિયોના Fast Rewindની જેમ વહી ગઇ. કેટલીક મીઠી તો કેટલીક મોળી. જિપ્સી તેના અંગત જીવનની વાત કરવાનો પ્રયત્ન કરશે તો એક દળદાર પણ અતિ નિરસ એવા ગ્રંથનું નિર્માણ થશે. તેથી તેનો પ્રયત્ન તો ઠીક, વિચાર પણ નહીં થાય! જો કે એક વાત સાચી કે તેને જન્મ આપનાર તથા મૃત્યુના મુખ સુધી પહોંચવા છતાં અનેક વાર જીવનદાન દેનાર અચળ પથદર્શક ધ્રુવ તારા સમાન મહાન આત્મા ‘બાઇ’ - જિપ્સીનાં માતા - વિશે વચ્ચે વચ્ચે વાત કરશે. કેવળ ચોથી ચોપડી સુધી ભણેલાં પણ આત્મવિકાસ અત્યંત ઉચ્ચ કક્ષાનો એવાં બાઇ નમ્રતા અને કરૂણાનો અવતાર હતાં. તેમના જીવનકાળ દરમિયાન તેમની મહત્તા કોઇએ ન જાણી. જ્યારે તેમણે લખેલી ‘મારી જીવનકથા’  બોપલના સ્વાતિ પ્રકાશને “બાઇ”ના શિર્ષકથી પ્રસિદ્ધ કરી કે તરત જ તે ગુજરાતી સાહિત્યમાં અનન્ય સ્થાન પામી. 

સ્વ. ભોળાભાઇ પટેલ, સ્વ. વિનોદ ભટ્ટ જેવા મહાન વિવેચકોએ તેને બિરદાવી, અને મુંબઇના ‘જન્મભૂમિ-પ્રવાસી’ તેને તે વર્ષના ‘દરેક પરિવારે વસાવવા જેવા દસ પુસ્તકો’માં સ્થાન આપ્યું. અત્યારે તો આ પુસ્તક અપ્રાપ્ય - out of print - છે. હાલ પૂરતું તો એટલું જ કહીશ કે મનુષ્યની રક્ષા કરવા પરમાત્મા એક guardian angel નિયુક્ત કરે છે. બાઇના રૂપમાં તેની પ્રતિતિ જિપ્સીને અનેક વાર થઇ જે આગળ જતાં વર્ણવવાનો પ્રયત્ન કરીશ. (બાઇના હસ્તાક્ષર અને તેમની છબિનો અહીં અણસાર આવશે).

***

૧૯૬૭માં ભારતીય સેનામાં જે એમર્જન્સી કમિશન્ડ ઑફિસર્સ સેવારત હતા તેમાથી મોટા ભાગના અફસરોનું demobilisation કરવાનું સરકારે નક્કી કર્યું. જીપ્સી જેવા ઘણા અફસરો, જે અન્ય સરકારી ખાતાં કે LIC, State Bank of India, Air India જેવા રાષ્ટ્રિય-કૃત સંસ્થાનોમાં lien (જુની નોકરીની સુરક્ષિતતા) જાળવીને સેનામાં જોડાયા હતા, તેમને release કરવામાં આવ્યા. જો કે આ માટે પણ પહેલાં જેવો Services Selection Boardનો વિધિ રાખવામાં આવ્યો હતો. જે અફસરોને પોતપોતાના ખાતાં કે સંસ્થાનોમાં પાછા જવાનો હુકમ થયો તેમના માટે આ ખાતાંઓએ સમાન કક્ષા અને પગારની Class One અફસરોમાં નિયુક્તિ કરી. કેવળ જીવન વિમા કૉર્પોરેશને આ વિશે નિર્ણય નહોતો લીધો. જિપ્સીને તો એટલી હદ સુધી જણાવવામાં આવ્યું કે તેને તેના જુના પદ પર હાજર થવું પડશે અને મિલિટરીમાં મળતો પગાર નહીં મળે. ૧૯૬૭માં તેને કૅપ્ટનના પદ પર હાલના દર પ્રમાણે મહિને આશરે Rs.75000નો પગાર મળતો હતો તેના બદલે  કેવળ Rs. 9000નો પગાર સ્વીકારવો પડશે એવું કહેવામાં આવ્યું. કોઇ પણ સ્વમાની વ્યક્તિ આ માનહાનિ સ્વીકારી ન શકે. 

તે સમયે BSF, CRPF અને Indo Tibetan Border Policeમાં સેનામાંથી છૂટા થનારા અફસરોમાંથી તેમની કંપની કમાંડરની નીમણૂંક માટે અરજીઓ મંગાવી હતી. જિપ્સીએ Border Security Force (BSF)માં અરજી કરી અને ઇન્ટરવ્યૂની રાહ જોવા લાગ્યો.

તે સમયે (૧૯૬૭માં) જિપ્સીની બદલી જમ્મુ શહેરની નજીક થઇ હતી. તે સમયે અચાનક બાઇની તબિયત કથળી ગઇ. તેમની પ્રકૃતિ શરદીના કોઠાની હતી. જમ્મુની કાતિલ ટાઢ તેમનાથી સહન ન થઇ અને તેઓ અત્યંત માંદા પડી ગયાં. આ માંદગી ભયંકર સ્વરૂપ લેશે તેનો અમને કોઇને ખ્યાલ નહોતો. અમે તેમને જમ્મુની મિલિટરી હૉસ્પિટલમાં દાખલ કર્યાં. તે સમયે જમ્મુની મિલિટરી હૉસ્પિટલમાં સાવ પ્રાથમિક કક્ષાની સુવિધાઓ હતી. અફસરોના પરિવાર માટે કેવળ એક જ બેડ ઉપલબ્ધ હતી. ત્યાંના ડૉક્ટર મેજર પરેરાએ પૂરી તપાસ અને લૅબ ટેસ્ટ કરાવ્યા. અંતે જે જાણવા મળ્યું તે અત્યંત આઘાતપૂર્ણ હતું.

બાઇને લુકેમિયા થયો હતો. તેની સારવાર કાં તો જાલંધર અથવા દિલ્હી થાય. અમે તેમને અમદાવાદ લઇ જવાનું નક્કી કર્યું. મારી બે મહિનાની રજા due થઇ હતી તે લઇ અમે અમદાવાદ ગયા અને બાઇને વાડીલાલ સારાભાઇ હૉસ્પિટલમાં દાખલ કર્યા. તેમની હાલત બગડતી જતી હતી અને અમે સૌ ચિંતામગ્ન હતા. તેવામાં મને દિલ્હીથી ભારત સરકારના ગૃહ ખાતાના Joint Selection Board તરફથી ઇન્ટરવ્યૂ માટેનો પત્ર મળ્યો. બાઇની તબિયત હવે સાવ કથળી ગઇ હતી અને મેં આ ઇન્ટરવ્યૂમાંથી બાકાત રહેવાનો નિર્ણય કર્યો. જે થવાનું હશે તે થશે એવું વિચાર્યું. ઇન્ટરવ્યૂને એક દિવસ બાકી રહ્યો હતો ત્યારે મારાં મોટાં ભાભીએ બાઇને આ વાત કરી. “નરેનને ઉંચી પાયરીની નોકરીનો ઇન્ટરવ્યૂ આવ્યો છે, પણ તમને છોડીને તે જવાની ના પાડે છે.” બપોરના બાર - એકનો સમય હતો. હું તે સમયે વૉર્ડની બહારના બાંકડા પર બેઠો હતો. બાએ મને બોલાવ્યો અને કહ્યું, “ભાઇ, આવું ન કર. તું ઇન્ટરવ્યૂ માટે જા. તું પાછો આવે ત્યાં સુધી મને કંઇ નહીં થાય. મારા આશિર્વાદ છે. તને આ નોકરી મળી જશે.”

ઇન્ટરવ્યૂ બીજા દિવસે સવારે ૧૧ વાગે હતો. હું કોઇ પણ હિસાબે દિલ્હી પહોંચી શકવાની સ્થિતિમાં નહોતો. ટ્રેનથી તે સમયના ગાળામાં અમદાવાદથી દિલ્હી મેઇલ કે દિલ્હી એક્સપ્રેસથી નવી દિલ્હી પહોંચવા ૨૪ કલાક લાગી જતા. હું વિચારમાં પડી ગયો. તેવામાં અનુરાધાના બનેવી કર્નલ મધુસુદન ત્યાં આવી પહોંચ્યા.

“તું ચિંતા ના કર. મારી જાણ પ્રમાણે મુંબઇ -અમદાવાદ-જયપુર- દિલ્હીનું વિમાન અમદાવાદથી રાતના સાત વાગે નીકળે છે. નવી દિલ્હીમાં મારી નાની બહેન રહે છે. આ લે તેનું સરનામું. એક રાતની વાત છે. આજની રાત તેને ત્યાં રહેજે અને કાલે ઇન્ટરવ્યૂ પતે એટલે પાછો આવી જા.”

મારા માટે આ ચમત્કાર જ હતો. સદ્ભાગ્યે મને વિમાનની રિટર્ન ટિકિટ મળી ગઇ. રાતે નવ વાગે હું દિલ્હી પહોંચ્યો, બીજા દિવસે ઇન્ટરવ્યૂ થયો. મારો યુદ્ધના સમયનો રિપોર્ટ જોવામાં આવ્યો અને કાબેલ વકીલની ઉલટ તપાસણી જેવા પ્રશ્નો પૂછાયા. છેલ્લો પ્રશ્ન BSFના કાબેલ, બહુમુખી પ્રતિભા ધરાવનાર ડાયરેક્ટર જનરલ રૂસ્તમજીએ પૂછ્યો.

“તમારા પ્રિય લેખક કોણ છે?”

“મારા પ્રિય લેખક W. Somerset Maugham છે, સર.”

“તેમનું ક્યું પુસ્તક તમે વાંચ્યું છે?”

“આમ તો મેં તેમણે લખેલા સઘળા પુસ્તકો વાંચ્યા છે.”

“એમ કે? તો તેમની દીર્ઘ નવલિકા The Rainની નાયિકાનું નામ મને કહો.”

મેં જવાબ આપ્યો. “સર, તેમનું નામ મિસ સેડી થોમ્પસન છે.”

ઇન્ટરવ્યૂને અંતે મને BSFમાં કંપની કમાંડરની નીમણૂંકની ઑફર કરવામાં આવી, જે મેં સ્વીકારી.”

તે દિવસની સાંજની ફ્લાઇટથી હું પાછો ઘેર આવવા નીકળ્યો. રાતના આઠ વાગે હું અમદાવાદ પહોંચ્યો અને હું સીધો VS Hospitalમાં ગયો. બાઇ મારી રાહ જોઇને બેઠાં હતાં. મેં તેમને સારા સમાચાર આપ્યા. તેમના ચહેરા પરનું સ્મિત મને હજી યાદ છે.

ત્રીજા દિવસની પરોઢે બાઇ અમને સૌને મૂકી અનંતના પ્રવાસે નીકળી ગયાં. 

***

થોડા દિવસ બાદ જિપ્સીને બનાસકાંઠાના દાંતિવાડામાં આવેલી 2 BSF Battalionમાં હાજર થવાનો હુકમ મળ્યો. જુલાઇ ૧૫, ૧૯૬૮ના રોજ અનુરાધા, અમારી નવજાત પુત્રી કાશ્મિરા અને હું દાંતિવાડા પહોંચ્યા.

જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો

Thursday, July 29, 2021

1965 - 1968 : શાંતિ ?

  22 સપ્ટેમ્બર ૧૯૬૫. આ દિવસે કાશ્મિરનું બીજું યુદ્ધ સમાપ્ત થયું. નવાઇની વાત એ છે કે ૧૯૪૮માં શરૂ થયેલ કાશ્મિરનું પ્રથમ યુદ્ધ હજી સુધી -  આ 21મી સદીમાં પણ ચાલ્યા કરે છે અને હું વાત કરી રહ્યો છું કાશ્મિરના બીજા ુયુદ્ધની સમાપ્તિની! હકીકત એ છે કે આ બન્ને યુદ્ધોમાં સહેજ તફાવત છે : કાશ્મિરની પહેલી લડાઇ જે ૧૯૪૭-૪૮માં શરૂ થઇ, તે ઘોષિત યુદ્ધ - declared war - નહોતું. તે પરોક્ષ, એટલે અંગ્રેજીમાં જેને 'Proxy War' કહીએ તે હતું. .કાશ્મિરની બીજી લડાઇ  પાકિસ્તાને  યુદ્ધની ઘોષણા કર્યા વગર જ ભારતના છમ્બ - જૌડિયાં વિસ્તાર પર હુમલો કરીને શરૂ કરી હતી. અચાનક થયેલા આ હુમલામાં જનરલ અયૂબ ખાને પાકિસ્તાનની સેના તે ક્ષેત્રના સેનાપતિ મેજર જનરલ અખ્તર હુસેન મલિકને તેમના કમાંડ હેઠળ 'Chicken Neck' નામથી જાણીતા થયેલા કાશ્મિરના વિસ્તાર પર હુમલો કરી, કાશ્મિરને ભારતથી જોડનાર ધોરી નસ સમાન ચિનાબ નદીના પરના અખનૂર શહેર પર કબજો કરવાનો હુકમ કર્યો હતો. તેમનું લક્ષ્ય હતું ભારત - કાશ્મિરને જોડનારા ચિનાબ નદી પરનો આ પૂલ. તે સર કરવા જનરલ અખ્તર ખાન મલિક ભારતના છમ્બ - જૌડિયાઁ પર હુમલો કરીને ઠેઠ ચિનાબ નદીના સુધી પહોંચી ગયા હતા.  અખનૂરનો પૂલ તેમના હાથ વેંતમાં હતો. આ ક્ષણ એવી હતી કે ચિનાબના સામા કાંઠે ભારતની સેનામાં ભારે ખુવારી પહોંચી હતી અને આપણી સેનાને સમયસર કૂમક ન પહોંચે તો મેજર જનરલ મલિક ચિનાબ પાર કરી અખનૂરનો અકબંધ - ક્ષતિહિન પૂલ કબજે કરી શકે તેમ હતા. તેઓ આ તકનો લાભ લઇ નદી પાર કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં તેમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને હુકમ કર્યો કે તેઓ તેમની સેનાનો કમાંડ જનરલ યાહ્યા ખાનને સોંપી Corps HQમાં પાછા ફરે. મલિક આ હુકમ સાંભળી અવાક થઇ ગયા. તેમણે જનરલ અયૂબ ખાનને મોકલાવેલ વાયરલેસ સંદેશ, "Why change the Horse in midstream?" હજી સુધી પાકિસ્તાનના સૈનિક ઇતિહાસમાં અવિસ્મરણીય રીતે કોતરાયા છે. એક સતત વહેતા, વણ-રૂઝાયેલા ઘાની જેમ. અયૂબ ખાને આ સંદેશનો જવાબ ન આપ્યો અને કેવળ તેમને જણાવ્યું કે યાહ્યા ખાન ઇસ્લામાબાદથી રવાના થઇ ચૂક્યા છે અને જેવા તેઓ ત્યાં પહોંચે, તેમને સમગ્ર અભિયાન (operation) સમજાવી, તેનો ચાર્જ સોંપી દે.

    પ્રેસિડેન્ટ અયૂબ ખાને આ નિર્ણય બે કારણસર લીધો હતો. મુખ્ય કારણ એ હતું કે જનરલ અખ્તર હુસેન મલિક અહેમદીયા - કાદિયાની પંથના હતા. કટ્ટર સુન્ની પંથના રાજકર્તા અને પાકિસ્તાનની બહુમતી સુન્ની પ્રજા કાદિયાની મુસલમાનોને મુસ્લિમ ગણતી જ નથી. એટલી હદ સુધી કે જ્યારે ઝુલફિકાર અલી ભુટ્ટો વડા પ્રધાન થયા, તેમણે કાયદો પસાર કરી કાદિયાની - અહેમદીયા પંથને બિન મુસ્લિમ જાહેર કર્યા અને તેમને હજ પઢવાના અધિકારમાંથી પણ વંચિત કર્યા. જો ઉપર જણાવેલ સંજોગોમાં જનરલ મલિક અખનૂરના પૂલ પર હુમલો કરીને તેના પર કબજો કરે તો સમગ્ર કાશ્મિરને "આઝાદ" કરવાનું શ્રેય એક કાદિયાનીને મળે. પ્રેસિડેન્ટ અયૂબ ખાનને તે મંજુર નહોતું. બીજું કારણ : અયુબ ખાન તેમના લાડિલા ઉત્તરાધિકારી મેજર જનરલ યાહ્યા ખાનને કાશ્મિરના તારણહાર બનાવવા માગતા હતા. તેમના મનમાં તો ખાતરી હતી કે અખનૂર બ્રિજ તો લગભગ હાથમાં આવી ગયો છે તેથી જનરલ અખ્તર હુસેનને હઠાવી તેમના સ્થાને યાહ્યા ખાનને મોકલી, તેમના હસ્તે પાકિસ્તાનનો ઝંડો ત્યાં લહેરાવી શકાય તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી!

    જનરલ યાહ્યા ખાન મોરચા પર પહોંચે અને પૂરા અભિયાનનો 'ચાર્જ લે એટલામાં જે સમય વિત્યો, તે દરમિયાન ભારતીય સેનાની કૂમક અખનૂર પહોંચી ગઇ. વળી અસલ ઉત્તર અને ફિલ્લોરા-ચવિંડાના યુદ્ધમાં પાકિસ્તાને એટલી ટૅંક્સ ગુમાવી હતી કે અખનૂર પર કબજો કરીને ભારતના strategic અને vital ground પર પાકિસ્તાની  પહોંચે તો તેમની પાસે અતિ આવશ્યક ગણાય તેવું 'આર્મર' નહોતું. તેમ છતાં વિજયની આશામાં મત્ત બનેલા જનરલ યાહ્યાખાને ભારતીય રક્ષા પંક્તિ પર લગભગ ત્રીસ હજાર સૈનિક (બે ડિવિઝન) સાથે પ્રચંડ હુમલો કર્યો. તેમને ખબર નહોતી કે તેમની સામે સિંહ જેવા હૃદય અને અભિમન્યુ સમાન જુસ્સા સાથે લડનારી કેવળ ચાર હજાર ભારતીય સૈનિકોની એક બ્રિગેડને પરાજિત કરી શકાય નહીં. ભારતીય બ્રિગેડ પર અનેક વાર હુમલા કરવા છતાં યાહ્યા ખાનની સેના આપણા સૈનિકોને  અખનૂર વિસ્તારમાંથી હઠાવી શકી નહીં. Defensive Warની બહાદુરી ભરેલા આ યુદ઼્ધ ગાથાને પાકિસ્તાનની સેનાએ પણ બિરદાવી. (આ યુદ્ધ વિશે પાકિસ્તાનની સેનાના નિવૃત્ત અફસર મેજર હૂમાયૂઁ આગા અમિને વિસ્તારથી વર્ણન કર્યું છે.) 

    કાશ્મિર પર કબજો કરવાનું  અયૂભ ખાનનું સ્વપ્ન પૂરૂં ન થયું.

***

    ૧૯૬૫ની લડાઇમાં વિશ્વ સામે બે વાતો છતી થઇ. પ્રથમ : ૧૯૪૮ની જેમ ૧૯૬૫માં પણ હુમલો કરનાર દેશ પાકિસ્તાન હતો. બીજી વાત : આધુનિક-તમ શસ્ત્ર સામગ્રીથી સજ્જ પાકિસ્તાનની સેના સામે બીજા વિશ્વયુદ્ધના સમયના શસ્ત્ર-સામગ્રીથી લડી રહેલ ભારતીય સેના વિજયી એટલા માટે નિવડી કે આપણા સૈનિકોનું મનોબળ, તેમને મળેલ ટ્રેનિંગ અને તેમને નેતૃત્વ પૂરૂં પાડનાર અફસરોની સ્વાર્પણ, બલિદાન અને તેમના કમાંડ હેઠળના સૈનિકો પ્રત્યેની નિષ્ઠા અપ્રતિમ હતા. આનો અર્થ એ નથી કે પાકિસ્તાની સેના કંઇ ઓછી બહાદુર હતી. અંતિમ વિશ્લેષણમાં તો શ્રેષ્ઠતા તો એની જ ગણાય કે જેના શૌર્યમાં માનવતા અને વિજયમાં અહંકાર-વિહિનતા હોય. ભારતીય સેનાએ દરેક યુદ્ધમાં આ મૂલ્યો જાળવી રાખ્યા છે અને ઇતિહાસ તેનો સાક્ષી છે.

    યુદ્ધ પૂરૂં થતાં જિપ્સીના મનની વાત કરીએ તો તેના મનમાં એક સમાધાનની લાગણી હતી. જે ધ્યેય અને ધગશથી તે સેનામાં જોડાયો હતો, તે સિદ્ધ થયાનો સંતોષ હતો.

***

    શાંતિનો સમય : 

    ૧૯૬૫થી ૧૯૬૮ દરમિયાન જિપ્સીના અંગત જીવનમાં એક સુખદ અને એક દુ:ખદ એવા બે ચિરસ્મરણીય પ્રસંગો બની ગયા. પહેલો પ્રસંગ ૧૯૬૫માં જ તેના પરિવારમાં એક બાલિકાનો જન્મ થયો. ખાસ કરીને જિપ્સીનાં માતાનો આનંદ તો ગગન સુધી વ્યાપી ગયો! અલબત્ જિપ્સી અને તેનાં પત્નીની ખુશી તો અપરિમિત બની રહી. હજી સુધી!

    એક સામાન્ય સૈનિકને તેની ભાષામાં અલંકાર લાવવો શક્ય નથી. સાદી ભાષામાં કહીએ તો પૂર્ણિમા બાદ તેના જીવનમાં અમાસ આવી તે ૧૯૬૮ની સાલમાં. અમાસ પણ એવી અને એટલી લાંબી કે સમસ્ત અમાવાસ્યાની કદી પૂરી ન થનારી રાતમાં તારા પણ લુપ્ત થઇ ગયા હતા. પરોઢ થશે કે કેમ તે પણ શંકાસ્પદ હતું. તે વર્ષના મે માસમાં જિપ્સીનાં માતા અવસાન પામ્યાં. આ જાણે ઓછું હોય, તેનો ભારતીય સેનાનો સેવાકાળ પણ સમાપ્ત થયો હતો. 

    કહેવાય છે કે માણસે તેની અંગત વ્યથા એકલા પંડે જ ભોગવવી સારી; લોકો ભલે કહે કે આનંદ વહેંચવાથી બમણો થાય છે અને દુ:ખ વહેંચવાથી તે અર્ધું થાય છે. આ બધા વ્યર્થ, માણસના મનને ભોળવવાના શબ્દો છે. Cliché  કહો કે platitudes ; તેથી વધુ કંઇ હોતું નથી. આનો ખુલાસો કરવાની પણ જરૂર નથી કેમ કે તેની સત્યતા આપણે સૌએ અનુભવી છે. સૌ જાણે છે કે આજના કાળમાં કોઇને અન્ય વ્યક્તિઓના આનંદમાં કે દુ:ખમાં ભાગિદાર થવાનો સમય નથી. દરેક પોતપોતાની વ્યથા, ચિંતામાં એટલા અટવાયેલા હોય છે. તેથી આનંદ અને શોકની સ્થિતિ વ્યક્તિગત હોય છે, અને લોકો તેમને તેનું નિરાકરણ કરવા એકાંત અને સમય આપતા હોય છે. પશ્ચિમના દેશોમાં ઉદ્ભવેલી Individualismની વિચારસરણીએ આપણી જુની communalism (અહીં તેનો અર્થ જાતિવાદ કે ધાર્મિક જૂથબાજી નહીં, પણ community spiritની) ભાવનાનું સ્થાન લીધું છે, તેથી તેની અહીં ચર્ચા કે વર્ણન ન કરતાં આગળ વધીશું. 

    જિપ્સીની અંગત વાત કરીએ તો માતાજીના અવસાનથી તેના જીવનમાં જે શૂન્યતા જન્મી તે કાયમ માટે રહી

    માતાના અવસાનના ફક્ત બે માસ બાદ તેના જીવનમાં ત્રીજો ફેરફાર આવ્યો.

    જીવન વિમા કૉર્પોરેશનમાં પાછા જવાને બદલે તેણે ભારતીય સીમા સુરક્ષા દળ - બૉર્ડર સિક્યૉરિટી ફોર્સમાં કંપની કમાંડરની નીમણૂંકનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું. 

    આની પાછળ વિધીનાં કોઇ લખાણ હતાં કે કેમ, તે તેને તે વખતે ન સમજાયું.

***

   

Monday, July 26, 2021

ચવિંડાનું યુદ્ધ : વીરતા, વિવાદ અને વિશ્લેષણ (૨)

    ચવિંડાના યુદ્ધમાં ભારતીય સેનાની પરંપરાગત વીરતાની પરાકાષ્ઠા જોવા મળી. તેમાં ૧૦૦૦ સૈનિકોની સેનાનું નેતૃત્વ કરનાર કર્નલ તારાપોર, કર્નલ જેરથ અને મેજર અબ્દુલ રફી ખાન જેવા અફસરોથી માંડી બલબીરસિંહ બિષ્ટ જેવા અદના સિપાહીઓએ જ્વલંત ઉદાહરણ પુરા પાડ્યા છે. સિયાલકોટ ક્ષેત્રમાં ઉચ્ચ  પદના અફસરોએ અંગત રીતે આગળ વધીને નેતૃત્વ પૂરૂં પાડ્યું - જેમાં શહીદ થયા મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ નોલન, કર્નલ મનોહર, ગઢવાલ રેજિમેન્ટના કર્નલ જેરથ અને ઍક્ટિંગ કમાંઁડિંગ અફસર મેજર અબ્દુલ રફી ખાન, કર્નલ અદી તારાપોર તથા ઘણા જુનિયર કક્ષાના યુવાન લેફ્ટેનન્ટ્સ, કૅપ્ટન્સ અને મેજર. 

    આ બ્લૉગમાં દર્શાવાયેલ પ્રસંગો કેવળ અમારી 1 Armoured Divisionના અભિયાનના છે, જેમાં જિપ્સીએ શરૂઆતથી આખર સુધી ભાગ લીધો હતો. અન્ય ક્ષેત્રો - જેમ કે લાહોર ક્ષેત્ર - જ્યાં Colonel Desmonde Haydeની આગેવાની નીચે 3 Jat Battalion પાકિસ્તાનની અભેદ્ય ગણાતી ઇચ્છોગિલ કૅનાલ અને તેની બન્ને બાજુએ બાંધવામાં આવેલ સિમેન્ટ કૉન્ક્રિટના બંકર અને pill boxesમાં  બેસીને બ્રાઉનિંગ મશિનગનના મારાની અને તોપના બૉમ્બાર્ડમેન્ટની પરવા કર્યા વગર શત્રુને પરાસ્ત કરી, ઈચ્છોગિલ નહેર પાર કરી લાહોરના બર્કી નામના પરા સુધી પહોંચી ગયા હતા. તેઓ તેમની બ્રિગેડની એક અન્ય બટાલિયનને બાટાપુરનો પુલ પાર કરી તેમની કૂમકમાં આવી મળે તેની રાહ જોઇ રહ્યા હતા જેથી લાહોર સર કરી શકાય. જાટ સૈનિકો તૈયાર બેઠા હતા. 19 Maratha Light Infantryના સૈનિકો તેમના કર્નલ પરબની આગેવાની નીચે આગળ વધવાની તૈયારીમાં હતા અને...

    કમભાગ્યે તે સમયે ભારતીય સેનાના Chief of Army Staff ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉ નહોતા. ઇચ્છોગિલ કૅનાલ પરના બાટાપુરના પુલ પર કબજો કરવા આગળ વધી રહેલી 3 Jat બટાલિયનને પાછા વળવાનો તે સમયના ભારતીય સેનાના ચીફ જનરલ ચૌધરીએહુકમ કર્યો ! ફક્ત ભારતીય સેનાએ બાટાપુરનો પુલ પાર કર્યો છે તેનો એક સંદેશ મળતાં જ કર્નલ હેડ તથા તેમના જાટ સૈનિકો આગળ વધી લાહોર પર કબજો કરવા તૈયાર હતા. આગેકૂચના સિગ્નલને બદલે તેમને પાછા વળવાનો હુકમ મળ્યો. આખી જાટ બટાલિયનમાં નિરાશા છવાઇ ગઇ. 

    આ વાતમાં કોઇને અતિશયોક્તિ નથી. લાહોરનું રક્ષણ કરવા માટે આપણો સામનો કરવા ત્યાં હાજર રહેલી પાકિસ્તાનની 3 Baluch Regimentના સી.ઓ. લેફ્ટેનન્ટ કર્નલ તજમ્મુલ હુસેન મલિકના શબ્દો રજુ કર્યા છે પાકિસ્તાની મિલિટરી ઇતિહાસકાર મેજર આગા હુમાયૂં અમિને. તેમને આપેલા ઇન્ટરવ્યૂમાં મેજર જનરલના પદ પર નિવૃત્ત થયેલા તજમ્મુલ હુસેન મલિક કહે છે, "...Instead of pressing their attack to capture the bridges across the canal, they (Indians) decided to halt the advance....Till today, I call it a miracle. For, had the Indians succeeded in capturing the Batapur Bridge that morning, Lahore would have fallen by 11 o'clock that morning and General Chaudhury, the then C-in-C Indian Army would have celebrated their victory in Gymkhana Club over a peg of whiskey, as promised to his officers on the eve of the battle." (Academia magazineમાં પ્રકાશિત થયેલ મેજર જનરલ તજમ્મુલ હુસેન મલિકની સૈનિક કારકિર્દીને તેમના જ મુખે કથિત આત્મચરિત્ર. મેજર હુમાયૂઁ આગા અમિનનો મૂળ લેખ વાંચવો હોય તો જિપ્સીને જણાવશો. તે મોકલી શકશે.)

    આ જ રીતે સિયાલકોટ સેક્ટરમાં ચવિંડાના યુદ્ધ વિશે પાકિસ્તાનના ઇતિહાસકારો કહે છે, ભારતીય સેનાની હાર થઇ હતી. તેમનો દાવો છે કે ભારતીય સેનાની ચાર ડિવિઝન્સ - 1 Armoured Division, 14th Infantry Division, 6 Mountain Division અને 26 Infantry Division સાથે ચવિંડાના મોરચે  કરેલ હુમલાને અંતે પણ ચવિંડા પર ભારતીય સેનાને પાકિસ્તાને હરાવી હતી.  જિપ્સીના અભ્યાસ મુજબ ચવિંડાના યુદ્ધમાં બન્ને સેનાઓના સેંકડો સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી હતી. હજાર જેટલા સૈનિકો ઘાયલ થયા હતા. ટૅંક્સ તથા અન્ય સાધનસામગ્રીનું ભારે નુકસાન થયું હતું. ટૅંક્સની વાત કરીએ તો ફિલ્લોરા અને ચવિંડાની સંયુક્ત લડાઇમાં ભારતની સેનાએ પાકિસ્તાનની ૬૦થી વધુ ટૅંક્સ નષ્ટ કરી હતી, જેની સામે ભારતે ૧૧ ટૅંક્સ ગુમાવી હતી. એક અન્ય આશ્ચર્ય જનક વાત :  પાકિસ્તાનના અખબારોએ તેમની પ્રજાને હંમેશ મુજબ ખોટા પ્રચાર દ્વારા મિથ્યાભિમાનમાં દોરતી ગઇ. ચવિંડા - ફિલ્લોરાને તેઓ 'Graveyard of Indian Tanks' કહે છે. જ્યારે લોકોએ તે જોવાની ઇચ્છા પ્રગટ કરી, તેમને ત્યાં જવા પર પ્રતિબંધ મુક્યો : 'યુદ્ધ વિસ્તાર છે; ત્યાં માઇનફિલ્ડ છે ; હજી લડાઇનો ભય છે' કહી તે ટાળતા રહ્યા. અંતે તેમણે ભારતની પાંચ સેન્ચ્યુરિયન ટૅંક્સ પાકિસ્તાનના જુદા જુદા શહેરમાં પ્રદર્શન તરીકે મૂકી. ભારત માટે અતિ દુ:ખની વાત એ હતી કે કર્નલ તારાપોરની 'ખુશાબ' નામની 'કમાંડ ટૅંક'ને આપણે પાછી લાવી શક્યા નહીં અને પાકિસ્તાનની સેનાએ તેને અદ્વિતિય war trophy તરીકે જાહેરમાં સજાવી રાખી છે. તેઓ હજી જાહેરાત કર્યા કરે છે કે ૧૯૬૫માં તેમણે ભારત સામે વિજય પ્રાપ્ત કર્યો હતો ! તેનો પૂરાવો દર્શાવવા તેઓ કર્નલ તારાપોરની ટૅંકનું પ્રદર્શન કરતા રહ્યા છે.    

    ચવિંડાના યુદ્ધમાં હાર-જીતનો નિષ્કર્ષ નીકળ્યો નહીં. એક વાત સાચી કે ભારતીય સેના ચવિંડા પર કબજો કરી શક્યા નહીં. ભારતના સેંકડો સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી હતી. તેમની બૉમ્બવર્ષામાં ઘણી ટૅંક્સ ક્ષતિગ્રસ્ત થઇ હતી. આપણે પણ પાકિસ્તાનની 6 Armoured Divisionને પાંગળી કરી હતી. આ મોરચા પર ભારતની વાયુસેના આકાશમાં સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપી શકી નહીં અને પાકિસ્તાનના અંતરાળમાં રહેલી આર્ટિલરીની તોપને નષ્ટ કરી શક્યા નહીં. ચવિંડાના મોરચા પર આપણી સૌથી સૈનિક શક્તિને હાનિ પહોંચી હોય તો તે તેમની આર્ટિલરીને કારણે, નહીં કે ટૅંક કે ઇન્ફન્ટ્રીની કાર્યવાહીથી.  આ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેતાં ભારતના સેનાપતિઓએ પરિસ્થિતિ પર કાબુ કરવા અને આગળની યોજના કરવા માટે ચવિંડા પર ફરી હુમલો કરવાને બદલે ફિલ્લોરા - ચવિંડાની વચ્ચેના વિસ્તારમાં મોરચા બાંધવાનો નિર્ણય લીધો. 

    ભારતની સેનાના આ પગલાને પીછેહઠ ધારી, તેનો લાભ લેવા જનરલ અયૂબખાને તેમના સેનાધ્યક્ષને ભારતીય સેના પર હુમલો કરી તેમને (એટલે આપણી સેનાને) પાકિસ્તાનમાંથી હઠાવવા 'Operation Windup' નામથી  હુમલો કરવાનો આદેશ આપ્યો. Military Wikia લખે છે : "According to the Pakistani C in C (કમાંડર-ઇન-ચીફ) the operation was cancelled since ‘both sides had suffered heavy tank losses......would have been of no strategic importance....’ and above all ‘the decision...was politically motivated as by then the Government of Pakistan had made up their mind to accept cease fire and foreign sponsored proposals’. આ દર્શાવે છે કે તેઓ હિંમત હારી ચૂક્યા હતા અને લડવાની ઇચ્છા શક્તિ બચી નહોતી.

    આમ ગુમાવેલ વિસ્તાર અને પ્રતિષ્ઠાને લડીને પાછી મેળવવા કરતાં યુદ્ધ વિરામ કરવા માટે અમેરિકા, રશિયા તથા યુનાઇટેડ નેશન્સ તરફથી આવી રહેલા દબાણને માન આપી યુદ્ધને રોકવું સારૂં એવું સ્વીકારીને પાકિસ્તાનના સેનાધ્યક્ષે પરોક્ષરીતે હાર સ્વીકારી હતી,  અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે પાકિસ્તાનની સરકારે તેમની પ્રજામાં જાહેર કર્યું હતું કે ભારતની હાર થઇ છે. વાસ્તવિકતા એ હતી તે સમયે ભારતની સેનાના કબજામાં પાકિસ્તાનના સિયાલકોટ જીલ્લાનો ૨૦૦ ચોરસ માઇલનો વિસ્તાર હતો, જેમાં સઇદાંવાલી, મિયાંવાલી, મસ્તપુર, મહારાજકે, ફિલ્લોરા, ચરવાહ જેવા ઘણાં ગામ આવી ગયા હતા.

    ૨૨મી સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ જ્યારે શસ્ત્રસંધિ જાહેર થઇ તે સમયે જિપ્સી અને તેની પ્લૅટૂનનો પડાવ પાકિસ્તાનના સઇદાંવાલી ગામમાં હતો.

    શસ્ત્રસંધિ બાદ યુદ્ધમાં થયેલ અસંખ્ય માનવોની પ્રાણાહૂતિ જોઇને અદૃશ્ય રુધિરથી જખમી થયેલ આત્મા, ઘાયલ અને મૃત્યુ પામેલા સાથીઓના વિયોગના હૃદયમાં થયેલા ઘા ધોવા જિપ્સીને યુદ્ધભૂમિથી દૂર તેના કંપની હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યો. જ્યારે તે પહોંચ્યો, યુદ્ધનો પૂરો સમય હેડક્વાર્ટરમાં રહેલા અફસરો તેના અનુભવો સાંભળવા આતુર હતા. આ વાત તો ગૌણ હતી, પણ મારા માટે આઘાતપૂર્ણ વાત હતી કૅપ્ટન હરીશ શર્માના અવસાનની.

    યુદ્ધમાં લડી રહેલ બન્ને પક્ષની સેનાઓ એકબીજાની supply line ઉધ્વસ્ત કરવાનો પ્રયત્ન કરે. કૅપ્ટન હરીશનું કામ હતું અગ્રિમ વિસ્તારમાં લડી રહેલ બ્રિગેડ્સને તેમનું રાશન અને દારૂગોળો પહોંચાડવાનું. આ માટે તેઓ એક કામચલાઉ Supply Point સ્થાપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં પાકિસ્તાનના સેબર જેટ્સે તેમની પ્લૅટૂન પર હુમલો કર્યો. પહેલાં મશિનગનથી strafing અને ત્યાર બાદ નેપામ બૉમ્બ છોડ્યા. હરીશનો એક સૈનિક આગની લપેટમાં આવી ગયો હતો. તેને બચાવવા જતાં હરીશની નજીક બીજો બૉમ્બ પડ્યો અને પૂરા નેપામની જ્વાળામાં સપડાઇ ગયા. તેમનું ૮૦ ટકા શરીર દાઝી ગયું હતું. હુમલો પૂરો થતાં તેમને પહેલાં પઠાણકોટ અને ત્યાર બાદ જાલંધરના મિલિટરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું.

      મેજર સોહનલાલને જ્યારે મેં મારી પ્લૅટૂનની કાર્યવાહીનો રિપોર્ટ આપ્યો, તેમને ઘણું લાગી આવ્યું. મને સારૂં લાગે એવી ઘણી વાતો કહી, અને એક વાતનો અફસોસ જાહેર કર્યો. "તેં જે રીતે પ્લૅટૂનનું યુદ્ધમાં સંચાલન કર્યું, જવાનોના પ્રાણની રક્ષા કરી, અલબત્ આપણા પાંચ વાહનો નાશ પામ્યા, પણ તારી સમગ્ર કાર્યવાહીને માન્યતા અપાવે તેવો કોઇ ઍવોર્ડ મળવો જોઇએ. પણ શું કરૂં? તારા વિશે મને કોઇ માહિતી જ નહોતી મળતી. કંપનીના કો'કને તો માન મળવું જોઇએ તેથી મારી સાથે સૅમી હતો તેના માટે મેં ભલામણ કરી હતી. યુદ્ધ વિસ્તારમાં તે એક કૉન્વૉય લઇ ગયો હતો તેથી તેને Mentioned in Despatches - જે સેના મેડલની નીચેનો પુરસ્કાર ગણાય તે મળ્યો છે. હવે તો શસ્ત્રસંધિ થઇ ગઇ  અને ઍવોર્ડ માટેની આખરી તારિખ ગયા અઠવાડિયે જ પૂરી થઇ. Any way, તેં ઘણી સારી કામગિરી બજાવી અને કંપનીનું નામ ઉંચું રાખ્યું તે માટે મારા હૃદયપૂર્વકના અભિનંદન."

    હું ત્રણ દિવસ માટે હેડક્વાર્ટરમાં હતો તે દરમિયાન મારા CO કર્નલ રેજીનાલ્ડ ગૉન (જેઓ આયરિશ-ભારતીય હતા) ગોરખા રેજિમેન્ટના CO કર્નલ ગરેવાલને મળવા ગયા હતા - એ જાણવા માટે કે તેમની બટાલિયન સાથે સતત રહેલ જિપ્સી તથા તેની પ્લૅટૂનનું કામ કેવું રહ્યું હતું. તેમણે જે વાત કહી તેના પરિણામરૂપે તે વર્ષમાં CO તરફથી દરેક અફસર માટે લખાતા Annual Confidential Report (ACR) માં જિપ્સીને બટાલિયનમાં સર્વશ્રેષ્ઠ ACR મળ્યો હતો. સૈન્યમાં લખાતા ACRના શેરામાં બે શબ્દો અતિ મહત્વના ગણાય છે : courageous તથા dependable. જિપ્સી માટે આ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર હતો.

      

Saturday, July 24, 2021

ચવિંડાનું યુદ્ધ : વીરતા, વિવાદ અને વિશ્લેષણ

    ૧૯૬૫માં આપણી પશ્ચિમ સેનાનું લક્ષ્ય સિયાલકોટ-લાહોરના ધોરી માર્ગનેકાપવાનુંહતું. તે સિદ્ધ કરવા પાછળનો ઉદ્દેશ હતો કાશ્મિર પર હુમલો કરી રહેલ શત્રુ સેનાને પોતાનો દેશ બચાવવા ભારત પર હુમલો કરવાનું છોડી પાછા પંજાબ ક્ષેત્રમાં આવવાની ફરજ પડે. પાકિસ્તાને અત્યાર સુધી કરેલા ભારત પરના હુમલા, પરોક્ષ યુદ્ધ (proxy war) તથા ઘોંચ પરોણાનો જવાબ ભારત આપી શકે છે તેનો પાઠ શીખવવાની વાત પણ તેમાં સામેલ હતી. 

    દેશના ભાગલા થયા બાદના સમયથી સામરિક દૃષ્ટિએ ભારતની ભૂમિકા ઉદાસિનતાભરી - passive રહી હતી. આઝાદીની ચળવળના સમયથી આપણી માનસિકતા પર'અહિંસા'નું તત્વજ્ઞાન ભારપૂર્વક ઠસાવવામાં આવ્યું હતું. તે એટલી હદ સુધી કે આપણે આઝાદી પણ તકલી-પૂણી અને ચરખો ચલાવી ચલાવીને જ મેળવી હતી. આ વિશે ભારે ચર્ચા અને વિવાદ થઇ શકે છે, પણ અહીં નહીં. હાલ પૂરતું તો એક સામાન્ય સૈનિકની જે અનુભવકથા છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ. હા, તો કહેવાનું કે સેનાના ઘડતર અને તેને આધુનિક બનાવવા પાછળ સરકારની મનોવૃત્તિ નરમ અને ઔદાસિન્ય ગણી શકાય તેવી હતી. એક તો ભારતીય સંસ્કૃતિનો પરંપરાગત ઉદ્દેશ પરોપકાર અને નિ:સ્વાર્થ સહકારનો રહ્યો છે. તેથી જ ભારતે કદી પરાયી ભૂમી પર સામ્રાજ્ય ફેલાવવાનો પ્રયત્ન કર્યો નહીં. પરંતુ તેમ કરવા જતાં આપણે એ વિચાર ન કર્યો કે અન્ય રાષ્ટ્રો ભારતની સમૃદ્ધ ભૂમિ પર કબજો કરી આપણી પ્રાકૃતિક અને ઐહિક સમ્પદાનું શોષણ કરવાનો પ્રયત્ન કરશે અને તે માટે આક્રમણ કરી શકશે. આ કારણસર આપણે કદી આપણી સેનાને સંરક્ષણાત્મક વ્યૂહનીતિ માટે તૈયાર ન કરી. ભારત સ્વતંત્ર થયા બાદ તરત જ  - ૧૯૪૭-૪૮માં થયેલા આક્રમણની લપડાક બાદ પણ આપણે બીજો ગાલ જે આવે તેની સામે ધરવા લાગ્યા હતા. ૧૯૬૨ની ચીન સામેની લડાઇ આનું સ્પષ્ટ સ્વરૂપ છે. નવાઇની વાત તો એ નીકળી કે ૧૯૬૨ બાદ પણ આપણે...  

૧૯૬૫નું યુદ્ધ પાંચ મોરચા પર થયું હતું. સૌ પ્રથમ કચ્છ. અહીં પહેલ કરી હતી પાકિસ્તાને. તેમની ટૅંકોએ છાડ બેટ પર હુમલો કરી તેના પર કબજો કર્યો હતો. આ સીમાનું રક્ષણ કરવા ગુજરાત સરકારની પોલીસ ચોકીઓ હતી, અને તેનો પહેરો ભરવા આપણી SRP - સ્ટેટ રિઝર્વ પોલીસ હતી. હથિયારમાં લાઠીઓ અને થોડી હથિયારખાનામાં તાળા-ચાવીમાં બંધ કરાયેલી રાઇફલ. બીજી તરફ રાજસ્થાનમાં. અહીં પણ મુનાવાવ પર હુમલો કરનાર હતી તેમની સેના. ત્રીજો મોરચો પંજાબના ખેમકરણ વિસ્તારમાં. અહીં પણ તેમની (પાકિસ્તાનની) 1 Armoured Division દ્વારા હુમલો થયો હતો. ચોથો મોરચો, છમ્બ-જૌડિયાં - અખનૂર પર, જેના પર તેમણે જ હુમલો કર્યો હતો. પાંચમો મોરચો સિયાલકોટ ક્ષેત્રમાં - આપણી 1st Armoured Division દ્વારા, જેમાં આપણે પહેલ કરી હતી. આનું શ્રેય કોઇને આપવું હોય તો તે સૌ પ્રથમ આપણા વડા પ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીને, તથા તેમના હુકમને સફળતાના પંથે પહોંચાડનાર લેફ્ટેનન્ટ જનરલ હરબક્ષ સિંહને. તેમના વિશે વાત કરીશું ૧૯૬૫ના યુદ્ધના સર્વાંગીણ વિશ્લેષણમાં - આગળ જતાં. આ વાતો અગાઉના બ્લૉગમાં કે "જિપ્સીની ડાયરી" પુસ્તકમાં પણ કરવામાં આવી નહોતી. હાલ પૂરતું તો વર્ણન કરીશું ચવિંડાના યુદ્ધનું.

    પાકિસ્તાનની સેનાએ આપણી સેનાને રોકવા પ્રથમ ફિલ્લોરા અને ત્યાર બાદ ચવીંડામાં રક્ષાપંક્તિ બનાવી હતી. આપણે આક્રમણ કરી રહ્યા હતા. ગયા અંકમાં જોયું કે આર્મર્ડ બ્રિગેડના રિસાલા પુના હૉર્સ તથા હડસન્સ હૉર્સની સાથે લૉરીડ બ્રિગેડની અમારી ગોરખા અને જાટ બટાલિયને ફિલ્લોરાની રક્ષાપંક્તિ પર હુમલો કરીને જીત હાંસલ કરી હતી. આ બન્ને રેજિમેન્ટના ઘણા સૈનિકો મૃતક/ઘાયલ થયા હતા તેથી ચવીંડા પર હુમલો કરવા માટે આપણી આર્મર્ડ બ્રિગેડના 17 Poona Horse, તથા 4 Horse (Hodson's)ની સાથે અમારી લૉરીડ ઇન્ફન્ટ્રી બ્રિગેડની 8મી ગઢવાલ રાઇફલ્સને મોકલવામાં આવી. સાથે સાથે આપણી 6th માઉન્ટન ડિવિઝન તથા 14th ઇન્ફન્ટ્રી ડિવિઝન હતી. ભારતીય સેનાને મળેલી માહિતી મુજબ ચવીંડામાં આપણો સામનો કરવા પાકિસ્તાનની છઠી આર્મર્ડ ડિવીઝનના ચાર રિસાલા - 20th લાન્સર્સ, 25th કૅવેલ્રી તથા ૩૧ અને ૩૩મા ટૅંક ડીસ્ટ્રોયર યુનિટ્સ (TDUs) આવી પહોંચ્યા હતા. તેમને સાથ આપવા તેમની ૮મી ઇન્ફન્ટ્રી ડિવિઝન આવી પહોંચી હતી - જેમાં તેમના કૂલ ૧૫૦૦૦ જેટલા સૈનિકો હતા.

    ૧૪મી સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ થયેલું ચવીંડાનું યુદ્ધ ભારત-પાકિસ્તાનના ઇતિહાસમાં વિશીષ્ઠ સ્થાન ધરાવે છે. ૧૯૬૫ના યુદ્ધની પરાકાષ્ટા સમાન લડાઇમાં બન્ને પક્ષે વીરતાની ઘણી વાતો બહાર આવી. તેમાં ભારતીય સેનાના સિયાલકોટ મોરચા પર આપણા અફસરો અને સૈનિકોએ દાખવેલા અપ્રતિમ શૌર્ય અને બલિદાનના પ્રસંગો ૧૯૬૫ની લડાઇના કાશ્મિર મોરચા પર અદ્વિતિય ગણાયા છે. 

    જુના જમાનામાં કોઇ સેના આક્રમણ કરે તો સૌ પ્રથમ તેના ઘોડેસ્વાર સૈનિકો ધસી જતા. તેમની પાછળ પાછળ દોડીને જતા પાયદળના સૈનિકો. આ ક્રમનું રૂપાંતર થયું તે ઘોડેસ્વાર રિસાલાના સ્થાને ટૅંક્સ આવી. જુના જમાનાની ઘોડેસ્વાર રેજિમેન્ટ્સને બીજા વિશ્વયુદ્ધમાં ટૅંક આપવામાં આવી, જો કે રેજિમેન્ટનાં નામ એ જ રહ્યા. 17th Poona Horse, Hodson's Horse (જે 4 Horseના નામે ઓળખાય છે), 2 Lancers (જે ગાર્ડનર્સ હૉર્સ કે સેકન્ડ રૉયલ લાન્સર્સના નામથી પણ જાણીતી છે, જેના સૌથી પહેલા ભારતીય કમાંડિંગ ઑફિસર જામનગરના મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી, DSO, હતા!). આ ત્રણે રિસાલાઓએ ચવિંડાના હુમલામાં ભાગ લીધો હતો.

    આ હુમલામાં સૌથી મોખરે હતી ગુજરાતી ભાષી કર્નલ અરદેશર (અદી) બરજોરજી તારાપોરની 17 Poona Horse. તેમને સાથ આપી રહી હતી 8 Garhwal Rifles- જેના કમાંડિંગ ઑફિસર હતા મરાઠી ભાષી યહુદી અફસર કર્નલ જેરી જેરાથ. મરાઠી ભાષી યહુદી કહેવાનું કારણ ઐતિહાસિક છે, જેમનો ઇતિહાસ પણ પારસીઓ જેવો જ રસપ્રદ છે જેના વિશે કોઇ વાર વાત કરીશું.

    ચવિંડામાં ભારે હિંસક લડાઇ થઇ. જેમ અશ્વોને નામ અપાય છે, તેમ કર્નલ તારાપોરની ટૅંકને પણ નામ હતું -'ખુશાબ'. ભારત-ઇરાન વચ્ચે ૭ ફેબ્રુઆરી ૧૮૫૭ના રોજ ખુશાબ નામના યુદ્ધક્ષેત્રમાં થયેલી લડાઇમાં આ રેજિમેન્ટે અતૂલ્ય વીરતા દર્શાવી હતી જેનું Battle Honour Khushab તેમને અપાયું હતું. તેની યાદગિરીમાં કર્નલ તારાપોરની ટૅંકને આ નામ અપાયું હતું. ચવિંડામાં 'ખુશાબ'ની અગ્રેસરતામાં પાકિસ્તાનની ૧૧ પૅટન ટૅંક્સનો પુના હૉર્સે સંહાર કર્યો. કર્નલ તારાપોર બુરી રીતે ઘાયલ થયા હતા, અને તેમને તેમના બ્રિગેડ કમાંડરે હુકમ કર્યો કે સેકન્ડ-ઇન-કમાંડને રેજિમેન્ટનો ચાર્જ સોંપી તેઓ સારવાર માટે પાછા ફરે. "મારા ઘણા સ્વાર જખમી થયા છે, જેમાંથી એક પણ સારવાર લેવા પાછળ જવા તૈયાર નથી. સૌ પોતપોતાના ઘા પર ઍન્ટિસેપ્ટિક ફિલ્ડ ડ્રેસિંગ લગાવીને આગેકૂચ કરવાની રજા માગી રહ્યા છે, હું તેમની સાથે જઇ રહ્યો છું," કહી કર્નલ તારાપોર મુખ્ય સેનાથી માઇલો આગળ બુટૂર ડોગરાં'દી નામના ગામમાં પહોંચી ગયા અને તેના પર હુમલો કરીને કબજો કર્યો. અત્યંત જખમી હાલતમાં હતા અને ટૅંકમાં બેસીને અકડાઇ ગયેલા કર્નલ 'ખુશાબ' બહાર નીકળ્યા. તેઓ પોતાના ઘા તપાસી રહ્યા હતા ત્યાં તેમના એક સૈનિકે તેમના માટે સફેદ મગમાં ચા બનાવીને આપી. 'આભાર' કહીને તેમણે એક ઘૂંટડો લીધો અને...  


કમભાગ્યે આ ગામમાં દુશ્મનનો FOO સંતાયો હતો. તેણે આ 'અમૂલ્ય' તકનો લાભ લીધો અને 'ખુશાબ' પર તેમની આર્ટિલરીના ગોળા વરસાવ્યા. કર્નલ તારાપોર ત્યાં જ ઢળી પડ્યા. કોણ જાણે તેમને પોતાના મૃત્યુની પૂર્વ સૂચના મળી હતી, એક દિવસ પહેલાં જ તેમણે તેમના સેકન્ડ-ઇન-કમાંડને કહ્યું હતું, "જો આ લડાઇમાં હું કામ આવી જઉઁ તો મારો અગ્નિસંસ્કાર કરાવજો. અમારા પરંપરાગત પારસી રિવાજ મુજબ નહીં."

   

લેફ્ટેનન્ટ કર્નલ તારાપોર

કર્નલ તારાપોરને ભારતીય સેનાના યુદ્ધમાં અપાતું પરમોચ્ચ શુરવીરતાનું પદક
 પરમ વીર ચક્ર મરણોપરાંત અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.

    યુદ્ધ ચાલતું હોય ત્યારે ટૅંક રેજિમેન્ટ તથા તેમના ઘટક - જેને સ્ક્વૉડ્રન કહેવામાં આવે છે, તેમની સાથે ઇન્ફન્ટ્રીની ટુકડીઓ જોડવામાં આવે છે. ટૅંક્સ દુશ્મનની હરોળને નષ્ટ કરી શકે, પણ જ્યાંથી દુશ્મનને હઠાવવામાં આવે છે, તે જમીન પર મોરચાબંધી કરી તેનું રક્ષણ કરવાની જવાબદારી ઇન્ફન્ટ્રીની હોય છે. આ ઉપરાંત રાતના સમયે ટૅંક્સ છુટી છવાઇ રાખી શકાતી નથી. તેના ઘણાં કારણ હોય છે, જેમાંનું મુખ્ય કારણ છે તેમની સુરક્ષા. એક ટૅંકમાં ત્રણ થી ચાર સૈનિકો હોય છે, જેમાં એક ટૅંક કમાંડર, એક ચાલક, એક તોપ ચલાવનાર અને એક તોપની ચૅમ્બરમાં ગોળો ચઢાવનાર સૈનિક. હોય છે. ત્રણ ટૅંકના સમૂહને 'Troop' કહેવાય છૈ અને તેના કમાંડર સેકન્ડ લેફ્ટેનન્ટ કે કૅપ્ટન હોય છે. બાકીની બે ટૅંક્સનો કમાંડ એક રિસાલદાર કે નાયબ રિસાલદાર અને એક સિનિયર દફેદાર પાસે હોય છે. આમ એક ટ્રુપમાં કેવળ બાર જેટલા સૈનિકો હોય છે. રાતના સમયે દુશ્મનની ટૅંક્સનો રિકૉઇલલેસ રાઇફલ કે stream grenadeથી ધ્વંસ કરવા માટે ખાસ ટુકડીઓ - જેને Tank Hunting Party કહેવામાં આવે છે, તેમના રક્ષણ માટે ઇન્ફન્ટ્રીની ટુકડીઓને  તહેનાત કરવામાં આવે છે. 17 Poona Horseની સાથે 8 ગઢવાલ રાઇફલ્સને સંલગ્ન કરવામાં આવી હતી. કર્નલ તારાપોરની સાથે તેમની તથા બાકીની સ્કવૉડ્રન સાથે ગઢવાલી સૈનિકોની ટુકડીઓ હતી. 

    ૧૬મી સપ્ટેમ્બર ૧૯૬૫. કર્નલ જેરથને પુના હૉર્સની બે સ્કવૉડ્રન સાથેે ચવિંડા પર વહેલી સવારે હુમલો કરવાનો હુકમ મળ્યો. કર્નલ જેરથ આ લક્ષ્યની નજીક પહોંચ્યા અને  હુમલો કરવાનો હુકમ આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં ડિવિઝન હેડક્વાર્ટરથી હુકમ મળ્યો કે ચવિંડા પર હુમલો કરવાને બદલે ચવિંડા અને પસરૂર શહેરને જોડતી ધોરી સડક પર આવેલા બુટુર ડોગરાં દી પર હુમલો કરવો અને આ ધોરી સડક પર કબજો કરવો. આમ કરવાથી લાહોર સુધીનો રસ્તો આપણી સેનાના હાથમાં આવે. બુટુર ડોગરાં દીમાં શત્રુની એક બ્રિગેડ - ત્રણ બટાલિયનો હતી અને ત્યાંની રક્ષા પંક્તિ મજબૂત હતી. વળી તેને વધુ શક્તિશાળી કરવા પાકિસ્તાનની 25 Cavalryની પૅટન ટૅંક્સની એક સ્ક્વૉડ્રન હતી. કર્નલ જેરથે હુમલો શરૂ કરતાં જ તેમના પર ભારે માત્રામાં તોપના ગોળા વરસાવા લાગ્યા. એક ગોળો સીધો તેમની નજીક પડ્યો અને તેમના બન્ને પગ કપાઇ ગયા. જમીન પર પડતાં પડતાં તેમણે તેમના જમણા ખભા પરનો રક્ત રંજિત Lanyard - કાઢી, હાથમાં રાખી જે ઉંચે ફરકાવ્યો અને બૂમ પાડીને કહ્યું, "યહ રસ્સીકી શાન કે લિયે કુરબાન હોને સે બઢ કર કોઇ ઔર બાત નહીં હોતી..."


 સેનાપતિ પોતે જ ઘાયલ થાય તેની ખબર સર્વત્ર ફેલાતી હોય છે. સૈનિકોને આઘાત લાગે પણ તેની બે પ્રકારની પ્રતિક્રિયા થઇ શકે છે. પહેલી અસર પાણીપતના બીજા અને ત્રીજા યુદ્ધમાં થઇ તેવી. પાણીપતના બીજા યુદ્ધમાં દિલ્હીના સમ્રાટ હેમુ વિક્રમાદિત્ય, જેઓ હાથી પર બેસી આક્રમણકારી જલાલ-ઉદ્દીન મોહમ્મદ અકબર સામે યુદ્ધનું મોખરા પર સંચાલન કરી રહ્યા હતા અને જીતના આરે હતા, ત્યારે અચાનક એક બાણ તેમની આંખમાં વાગ્યું અને તેઓ બેભાન થઇને ઢળી પડ્યા. તેમને પડેલા જોઇ તેમના સૈનિકોનું મનોબળ ભાંગી પડ્યું અને ભારતનો ઇતિહાસ બદલાઇ ગયો. તે જ રીતે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સેનાપતિ સદાશિવરાવ ભાઉ અને પેશ્વાના પુત્ર વિશ્વાસ રાવ ઘાયલ થઇને પડ્યા, અને મરાઠા સૈન્યનું મનોબળ ભાંગી પડ્યું હતું. 

    વર્ષો  વિત્યા. ભારતીય સેનાની વિચારધારા અને રણનીતિ બદલાઇ. મરણમુખે આવેલ સેનાપતિ પોતાના સૈનિકોને અંતિમ ક્ષણ સુધી લડી લેવા ઉત્સાહ વધારતા હોય છે. તેમનું સૈન્ય આહત સેનાપતિના બલિદાનનો બદલો લેવા ત્યારે જ અંતિમ પરિણામ સુધી લડી લેતા હોય છે. 

   

લેફ્ટેનન્ટ કર્નલ જેરથ

કર્નલ જેરથે જે 'રસ્સી'ની વાત કરીને ગઢવાલીઓનો ઉત્સાહ વધાર્યો તે હતું તેમના જમણા ખભા પર પહેરાતું Lanyard. ભારતીય સેનાના યુનિફૉર્મમાં લેન્યાર્ડ - રસ્સી -નું મહત્વ સૈનિકોને મળતા બહાદુરીના  ઇલ્કાબ જેટલું જ મહત્વનું હોય છે. સામાન્ય રીતે લેન્યાર્ડ ડાબા ખભા પર પહેરવામાં આવે છે. કેવળ કેટલીક જ રેજિમેન્ટ્સ, જેમની યુદ્ધમાં પરંપરા કેવળ અને કેવળ બહાદુરીની પરાકાષ્ઠાની રહી છે, જેને તેમના રાજકર્તા તેમની અંગત  'શાહી' - Royal - રેજિમેન્ટ' તરીકે જાહેર કરી હોય, તેમને જ આ લૅન્યાર્ડ જમણા ખભા પર પહેરવાનો અધિકાર આપવામાં આવે છે. જિપ્સીની માહિતી પ્રમાણે ભારતીય સેનાની ઇન્ફન્ટ્રીમાં આ બહુમાન કેવળ ત્રણ રેજિમેન્ટ્સને આપવામાં આવેલ છે, જેમાં ગઢવાલ રેજિમેન્ટ અગ્રસ્થાન પર છે. 

    દુશ્મનનો બૉમ્બ કર્નલ જેરથની એટલો નજીક પડ્યો હતો કે તેમના બન્ને પગ કપાઇને જુદા થઇ ગયા હતા. કેટલી યાતના થતી હશે તેની કલ્પના જ ન થઇ શકે, પણ  તેમણે પોતાનું લૅન્યાર્ડ ખેંચી કાઢ્યું, અને હાથમાં લઇ હાથ ઉંચો કર્યો અને આસપાસ રહેલા જવાનોને કહ્યું, "યહ રસ્સીકી શાનકી ખાતિર લડને જૈસી ગૌરવકી બાત ઔર કોઇ નહીં હો સકતી," અને ગઢવાલ રેજિમેન્ટનો યુદ્ધઘોષ કર્યો, "બોલો બદરી વિશાલ-લાલ કી જય"! અને બેભાન થઇ ગયા.

    બટાલિયને શત્રુ પર જબરજસ્ત આક્રમણ શરૂ કર્યું. બટાલિયનનો કમાંડ હવે કર્નલ જેરથના ઉપસેનાપતિ મેજર અબ્દુલ રફી ખાનના હાથમાં હતો. તેમની આગેવાની હેઠળ ગઢવાલી સૈનિકોએ તેમની સામે ફ્રન્ટિયર ફોર્સ તથા તેમની સહાયે ગયેલ ૧૦મી કૅવેલ્રીની ટૅંક્સ પર હુમલો શરૂ કર્યો. ટૅંકની ઉપરનું ચઢી, તેના cupolaનું ઢાંકણું (hatch) ખોલી, તેમાં ગ્રેનેડ નાખી અંદરના શત્રુ તથા ટૅંકના એન્જિનને નષ્ટ કર્યા. 

    હવે પાકિસ્તાની સેનાની એક મોટી સેના - Corpsનું તોપખાનું ત્યાં આવી પહોંચ્યું હતું. કૂલ લગભગ ૧૦૦થી વધુ હૉવિત્ઝર શ્રેણીની ૧૦૫ મિલિમિટરના નાળચાવાળી તોપ. તેમણે આખા ચવિંડાના મોરચા પર ગોળા વિંઝવાનું શરૂ કર્યું. બટાલિયનનો હુમલો કરવા આગળ વધી રહેલ મેજર અબ્દુલ રફી ખાન આ તોપના       

મેજર અબ્દુલ રફી ખાન, VrC
ગોળાના વરસાદમાં શહીદ થયા. તેમની સાથેના સિપાહી બલબીરસિંહ બિષ્ટથી  સહન ન થયું. તેણે રિકૉઇલલેસ રાઇફલ  ઉઠાવી તે ટૅંક પર રૉકેટ ચલાવીને તેને ઉડાવી. નજીકની એક ટૅંકે આ જોયું અને બલબીરસિંહ પર મશિનગનનો મારો કર્યો જેમાં તે શહીદ થયો. ગઢવાનું શૌર્ય ગજબનું હતું. તેમના કાનમાં તેમના કર્નલના શબ્દો ગુંજતા હતા. બુટુર ડોગરાં દીની લડાઇમાં ૪૮ ગઢવાલી સૈનિકોએ પરમોચ્ચ બલિદાન આપ્યું. ૧૯૬૫ની લડાઇમાં આ કેવળ એક જ ઉદાહરણ છે કે કેવળ એક બટાલિયનમાં ઘાયલ થયેલા સૈનિકો કરતાં બલિદાન આપનાર સૈનિકોની સંખ્યા વધુ હતી. બટાલિયનને Battle Honour Butur Dogran-di એનાયત કરવામાં આવ્યું. બટાલિયનનો ઉત્સાહ પણ કેવો! હાથોહાથની લડાઇમાં તેઓ દુશ્મનની હરોળની પાછળ પહોંચી ગયા હતા, જેના કારણે દુશ્મન પણ ચોંકી ગયા હતા. તેમ કરવામાં તેઓ આપણી મુખ્ય સેનાથી જુવ અળગા પડી ગયા હતા. તેમને પાછા વળવાનો આદેશ આપવામાં આવ્યો.

    યુદ્ધનો આ અંતિમ હિસ્સો ગણાયો. ચવિંડા પર કબજો ન થયો, પણ આપણી સેના સિયાલકોટથી કેવળ ૭ કિલોમિટર દૂર સુધી પહોંચી હતી અને તેની નજીકનું અલહર સ્ટેશન સર કર્યું હતું.

    પાકિસ્તાનના પ્રસિદ્ધી ખાતાએ આ યુદ્ધ વિશે સાવ જુદી વાત કહી છે. તેમણે જાહેર કરેલી વાતો  - જેમાંની મોટા ભાગની અતિશયોક્તિ ભરેલી છે. જે આગળ જતાં આપીશું. તેમ છતાં એટલું તો આપણે જરૂર સ્વીકારવું જોઇશે કે આપણી શક્તિશાળી 1 Armoured Divisionની આગેકૂચને ચવિંડામાં રોકી.

    

    અહીં એક વિડિયો રજુ કરીએ, જેમાં 17 Poona Horseની આ લડાઇ વિશે કેટલીક માહિતી મળશે.





Thursday, July 22, 2021

ફિલ્લોરા

    ૧૯૩૯-૪૪માં થયેલા બીજા વિશ્વયુદ્ધ બાદ જગતના ઇતિહાસમાં સૌથી ભયંકર ટૅંક યુદ્ધ ફિલ્લોરામાં થયું હતું. અહીં ભિડાઇ હતી પાકિસ્તાનની 6 Armoured Division, જેમની પાસે હતા આધુનિક યંત્રણા અને હથિયારોથી સજ્જ થયેલ પૅટન તથા  ચૅફી ટૅંક  અને ઇન્ફન્ટ્રી પાસે જીપ પર ચઢાવેલ ભારે RCL (રિકૉઇલ-લેસ) ગન, જેના ખાસ પ્રકારના ગોળા આપણી ટૅંકને ભેદી શકે. તેમની સામે હતી ભારતની 1 Armoured Division જેમની પાસે સેન્ચ્યુરિયન તથા જુની શર્મન ટૅંક્સ હતી.

    ભારતીય સેના માટે ફિલ્લોરા પર કબજો કરવાનું કારણ એ હતું કે ત્યાંથી ઉત્તરમાં સિયાલકોટ તરફ અને પશ્ચિમમાં લાહોર પર કબજો કરી શકાય એવી પરિસ્થિતિ ઉભી કરવી. આ સ્થિતિને ટાળવા પાકિસ્તાનની સેના, જે અખનૂર પાસેના ચિનાબ નદી પરના પૂલ પર, અને ત્યાંથી જમ્મુની દક્ષિણનો ધોરી માર્ગ કબજે કરી કાશ્મિરને ભારતથી અલગ કરવાની યોજના કરી રહી હતી, તેને ત્યાંથી પાછા ફરી સિયાલકોટ-પસરૂર-લાહોરનું રક્ષણ કરવા માટે જવું પડે. જ્યારે આપણી સેનાએ રામગઢ થઇ ચરવાહ અને મહારાજકે વિસ્તાર પર કબજો કર્યો, તેમની સેનાને ઉપર જણાવેલ વિસ્તારમાંથી પાછા આવી ફિલ્લોરા તથા તેની ઉત્તરમાં આવેલ ચવિંડાના ચાર રસ્તા પર મોરચાબંધી કરવાની ફરજ પડી. 

   ફિલ્લોરા ગામ પાકિસ્તાનના સિયાલકોટ શહેરથી 25 કિલોમિટર દક્ષિણમાં આવેલ છે. તેના પર સંયુક્ત હુમલો કરવાની જવાબદારી  કર્નલ અરદેશર તારાપોરની 17 Horse (જે પુના હૉર્સના નામે પ્રખ્યાત છે) તથા 4 Horse - જે 'હડસન્સ હૉર્સ' ના નામે જાણીતી છે, તેમને તથા ઇન્ફન્ટ્રી (પાયદળ)માં અમારી 5/9 ગોરખા રાઇફલ્સ તથા 5મી જાટ બટાલિયનને સોંપવામાં આવી. 

    ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૫ની વહેલી સવારે પુના હૉર્સ અને હડસન્સ હૉર્સની તોતીંગ સેન્ચ્યુરીયન ટૅંક્સના ગડગડાટ ભર્યા અવાજમાં તેમની સાથે મારા વાહનોમાં સવાર થયેલા ગોરખાઓને લઇ અમે ધસી ગયા. સામે તૈયાર બેઠેલી તેમની ટૅંક્સ તથા ઇન્ફન્ટ્રીની રિકૉઇલલેસ ગનની ગોલંદાજી સામે એક તરફ ટૅંક યુદ્ધ શરૂ થયું, અને સાથે સાથે તેમની બલોચ, ફ્રન્ટિયર ફોર્સ તથા પંજાબ રેજિમેન્ટના લડવૈયાઓ સામે જયઘોષની ગર્જના થઇ : ગોરખા બટાલિયનની  “જય મહાકાલી - આયો ગોરખાલી” અને બીજી પાંખ પર જાટ રેજિમેન્ટનો યુદ્ધ નિનાદ  “જાટ બલવાન-જય ભગવાન”ના નારાથી રણ મેદાન ગાજી ઉઠ્યું. અમારાં વાહનોમાંથી ઉતરીને કતારબદ્ધ થયેલા ગોરખાઓ દુશ્મનની તોપની બૉમ્બવર્ષામાંથી આગળ વધી ખાઇઓમાં ઉભા રહીને કાતિલ લાઇટમશીન ગન તથા બ્રાઉનીંગ મીડિયમ મશીનગનથી ગોળીબાર કરી રહેલ શત્રુ પર ધસી ગયા. તેમના ગોળીબારમાં આપણા ઘણા યોદ્ધાઓ વીર થયા, ઘાયલ થયા, પણ અંતિમ લક્ષ્ય પરથી કોઇની નજર હઠી નહિ. ટૅંકોની તોપોની ધણધણાટી, તેના પાટા નીચેથી ઉડતી ધૂળ, કાળભૈરવના સેંકડો મુખમાંથી નીકળતા ક્રુર અને ખડખડાટ હાસ્યનો આભાસ કરાવતા હોય તેવા મશીનગનના ગોળીબારના અવિરત ધ્વનિમાં ઠેર ઠેરથી સામુહિક ગર્જના સંભળાતી હતી “આયો ગોરખાલી”! દુશ્મન પર ધસી જતા આપણા સૈનિકો ગોળી વાગતાં ધરા પર પડતા હતા, પણ ઘસડાતા જઇને દુશ્મનની ખાઇમાં હાથગોળા (ગ્રેનેડ) ફેંકવા આગળ વધતા હતા.

     દુશ્મન પર “ચાર્જ” કરતી વખતે (ધસી જવાના સમયે) જમીન પર પડતા સૈનિકને તે ઘડીએ ઉઠાવવા કોઇ રોકાય નહિ. તેમના સાથીઓનું કામ હોય છે કેવળ ખાઇ (ટ્રેન્ચ)માં બેસી અમારા પર રાઇફલ અને મશીનગનથી ગોળીઓનો મારો કરી રહેલ દુશ્મનને તેની ખાઇમાંજ ખતમ કરવાનું. 

     તેમની ટૅંકોની એક બ્રિગેડ (૧૨૦ જેટલી ટૅંક્સ) આપણો હુમલો નાકામ કરવા તથા પોતાના પાયદળના સૈનિકોનું રક્ષણ કરવા તૈયાર હતી. પૅટન ટૅંક આધુનિક શસ્ત્ર-સામગ્રીથી સજ્જ હોવા છતાં આપણી સેન્ચ્યુરિયન ટૅંક્સના યુવાન અફસરો તથા અનુભવી JCOsની ટ્રેનિંગ તથા નિશાનબાજી અચૂક હતી.  આ લડાઇમાં ટૅંકની સામે ટૅંક એક બીજા પર ગોળા વરસાવતી હતી. અંતે આપણા સૈનિકોનો આત્મવિશ્વાસ, હિંમત, અનુભવ અને પ્રશિક્ષણ વધુ પ્રભાવશાળી નિવડ્યો. આ ઘમસાણ યુદ્ધમાં ભારતની ૧૫૦ - ૨૦૦ વર્ષની જુની પરંપરાગત શૌર્યગાથા ધરાવતી 'પુના હૉર્સ' અને 'હડસન્સ હૉર્સ'ના સવારોએ આ લડાઇમાં પાકિસ્તાનની ૬૦ જેટલી ટૅંક્સ ધ્વસ્ત કરી. તેની સામે આપણે ૬ સેન્ચ્યુરિયન ટૅંક્સ ગુમાવી. હાથોહાથની લડાઇમાં ગોરખા તથા જાટ સૈનિકોએ તેમની સામેના પાયદળની સંગિન મોરચાબંધી પર ધસી ગયા. અમારી ગોરખા રેજિમેન્ટનો 'ચાર્જ' જોવા જેવો હતો. ગોરખા સૈનિકો ડાબા હાથમાં રાઇફલ અને જમણા હાથમાં ખુલ્લી ખુખરી વિંઝતા  "આયો ગોરખાલી"ની ત્રાડ પાડી તેમની ખાઇઓ પર ધસી ગયા. અમારી બાજુના flank (પડખા)માં રહેલા દુશ્મન પર રાઇફલ પર બૅયોનેટ ચઢાવીને ધસી રહ્યા હતા જાટ સૈનિકો. જોતજોતામાં પર્તિસ્પર્ધીને પરાજિત કરી અમે ફિલ્લોરા ગામની સીમમાં મોરચાબંધી કરી..

    વિશ્વની સૈનિક પરંપરામાં જે રણભૂમિ પર વિજય ગાથા લખનાર રેજિમેન્ટને માન-ચિહ્ન અપાય ચે - જેને Battle Honour કહેવામાં આવે છે. આ યુદ્ધમાં 5/9 GR (નવમી ગોરખા રેજિમેન્ટની પાંચમી બટાલિયન)ને તથા જાટ રેજિમેન્ટની પાંચમી બટાલિયનને 'Battle Honour Phillora' ના બહુમાનથી વિભૂષિત કરવામાં આવી.

    ત્યારથી દર વર્ષે ૧૧મી સપ્ટેમ્બરના રોજ પાંચમી જાટ અને 5/9 ગોરખા બટાલિયન Phillora Day ઉજવે છે. શહિદોને અંજલી આપે છે. તે દિવસે યોજાતા “બડા ખાના”માં અફસરો અને જવાનો એક સાથે ભોજન કરી તે દિવસનો ઉત્સવ ઉજવે છે.  

9th Gorkha Rifles - Wikipedia
5/9 ગોરખા રાઇફલ્સનો કૅપમાં લગાવવાનો બૅજ


    આવતા અંકમાં આ રણક્ષેત્રમાં ખેલાયેલ બીજા યુદ્ધની - ચવીંડાની લડાઇની વાત કરીશું.