Thursday, October 20, 2011

જિપ્સીનો વિસામો: ગુલોંમેં રંગ ભરે...


ગુલોંમેં રંગ ભરે...

“નવ વસંતની શીતળ લહેર રંગહિન પુષ્પોમાં રંગ ભરીને નીકળી પડે છે, તેમ તમે પણ અમારા વેરાન ઉદ્યાનમાં આવીને તેને પ્રફુલ્લીત કરો’, જેવા શબ્દોમાં ફૈઝ સાહેબે પોતાની ગઝલની શરૂઆત કરી, પૂરી કરી અને તેમાં કોઇએ ખરેખર રંગ પૂર્યા હોય તો તેને તરન્નૂમમાં રજુ કરી મેહદી હસન સાહેબે! વાહ એ ગઝલના રચયિતા અને વાહ તેના ગાયક!

૧૯૭૧માં પંજાબમાં બદલી થઇને જિપ્સી ગયો ત્યારે તેણે પહેલી વાર પાકિસ્તાનના લાહોર ટેલીવિઝન પર આ ગઝલની ‘ક્લિપ’ સાંભળી. સામાન્ય રીતે કોઇ અસાધારણ ચીજ સાંભળવા મળે તો મુખમાંથી શબ્દો નીકળે, “વાહ, ક્યા બાત હૈ!” તે દિવસે આ ગઝલ સાંભળીને કોઇ શબ્દ ન નીકળ્યા. આભો થઇને તે કેવળ જોતો જ રહ્યો, સાંભળતો જ રહ્યો. ગઝલ પૂરી થયા બાદ બીજું કોઇ ગીત કે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં તેણે મેસમાંનો ટેલીવીઝન off કર્યો. જેમ દાર્જીલીંગ ચ્હાનો પહેલો ઘૂંટડો લીધા બાદ કે દસ વર્ષ જુની શાર્ડોનેના ‘બૂકે’ની ખુશ્બૂ માણી તેનો પહેલો ‘સિપ્’ મમળાવ્યો હોય ત્યાર પછી બીજું કશું ચાખવાની ઇચ્છા ન થયા તેવી ભાવના થઇ આવી. થોડી વારે અમારા સી.ઓ. આવ્યા તેમને જિપ્સીએ આ ગઝલ અને તેના ગાયક વિશે પૂછ્યું.

‘અરે, આ તો મેહદી હસને ગાયેલી ગઝલ છે. ફૈઝ અહેમદ ફૈઝની આ ગઝલ તેમણે પાકિસ્તાનની ફિલ્મમાં ગાઇ હતી.”
જિપ્સી માટે શરમની વાત તો એ હતી કે તે પહેલાં તેણે મેહદી હસનનું નામ પણ નહોતું સાંભળ્યું! સૈનિકોને અબૂધ અને ‘અજ્જડ’ અમસ્તાં નથી કહ્યા!

ગઝલ હતી: ગુલોંમેં રંગ ભરે બાદ-એ નૌબહાર ચલે
ચલે ભી આઓ કી ગુલશન કા કારોબાર ચલે
*

આજની વાત શરૂ કરી મેહદી હસન સાહેબ માટે અને આવી ગયો ફૈઝ અહેમદ ‘ફૈઝ’ સાહેબ પર! બન્નેની એ જ તો ખુબી છે! રત્નને શોભાયમાન કરવા માટે કોઇ આભુષણ જોઇએ. જો રત્ન કોહિનૂર કે કુલીનાન જેવું હોય તો તેના માટે તો રાજમુકૂટ જ જોઇએ. ફૈઝની કલમ રત્નની ખાણ સમાન હતી. તેમાંથી નીકળેલ અણમોલ રતન ‘તુમસે પહેલીસી મુહબ્બત’ મૅડમ નૂરજહાંએ ગાઇ ત્યારે ફૈઝ સાહેબે આ ગઝલ નૂરજહાંને નજર કરી! ગઝલકાર અને ગાયીકા, બન્ને જનતા માટે નજરાણાં સમાન બની ગયા. એવી જ રીતે ફૈઝ સાહેબની ખાણમાંથી ઝળહળતા લાલ (Ruby) સમાન ‘ગુલોંમે રંગ ભરે..’ જેવું નીકળ્યું, અને મેહદી હસનના કંઠમાંથી જડાઇને બહાર પડ્યું, ગઝલ અને ગાયકીના સંસારમાં ખળભળાટ મચી ગયો! મેહદી હસન પ્રખ્યાત થઇ ગયા! ‘ગુલોંમેં રંગ ભરે’ સંગીતપ્રેમી જનતા અને જનમાનસમાં છવાઇ ગયું.

ફૈઝ સાહેબે આ ગઝલ મેહદી હસનને નઝર કરી કે નહિ તે જિપ્સી જાણતો નથી. એ તો એટલું જ જાણે છે કે જ્યારે પણ આ ગઝલ રેડીયો કે ટીવી પર જોવાય કે સંભળાય, તેને મેહદી હસન સાહેબના નામે જ કરી દેવાય છે, એટલી સુંદર રીતે તેમણે ગાઇ. અને મેહદી હસનસાહેબ ગમે ત્યાં કાર્યક્રમ થાય, આ ગઝલ તેઓ જરૂર પેશ કરતા રહ્યા અને ફૈઝસાહેબને અદબપૂર્વક અર્પણ કરતા ગયા.

આમ જોવા જઇએ તો સંગીતની મહેફીલમાં મેહદી હસન, ફૈઝ સાહેબ અને મિર્ઝા ગાલિબની ત્રિમૂર્તી અભિન્ન સ્વરૂપે પ્રકટતી. શાયરની રૂહનો આશિર્વાદ ગાયક પર હોય તો તેમનો કલામ જીવંત થઇ ઉઠે. મેહદી હસન પર આ બે મહાન શાયરોની અસીમ કૃપા હતી, તેવી જ કૃપા મેહદી હસનની અન્ય શાયરો પર રહી. તેમનો અવાજ, તેમની ગાયકી, તેમની ગઝલના આત્માની પહેચાન એટલી ઊંડી હતી કે તેમના સ્વરમાં શાયર પોતે આવી જતા, અને મેહદી હસનના મુલાયમ અવાજમાંથી નીકળતી તાનની હલક અને તલફ્ફૂઝની નજાકત શ્રોતાઓનાં તન અને મન પર છવાઇ જતી.

મેહદી હસન જ્યારે ફૈઝ સાહેબનો કલામ ગાતાં, તેઓ શાયરનાં શબ્દોના માધુર્યને એવી રીતે પેશ કરતા કે તે જનતાના હૃદય પર છવાઇ જતું. આપ તો જાણો છો કે ફૈઝ સાહેબ ક્રાન્તિકારી હતા. તેમનો આત્મા સૈનિક શાસકોના બૂટની નાળ નીચે રગદોળાતી જનતાને જોઇ શાંત ન રહ્યો. પાકિસ્તાનનો અવામ એક વિશાળ પાંજરામાં બંદી હતો. જમીનદારો - વડેરાઓ - તથા ઉંચા હોદ્દા ધરાવતા મિલિટરીના અફસરોની ધાક નીચે ખેડૂતો ગુલામોની જેમ જીવી રહ્યા હતા. ન તેમને કોઇ રાહત મળતી હતી, ન ચાહત. ફૈઝ સાહેબના કલામ સત્તાધારીઓને રાસ ન આવ્યા અને તેમને લાંબા ગાળાના કારાવાસમાં મોકલ્યા. તેમણે દ્વિઅર્થી કલામ લખ્યા: જેમને સમજવું હતું તે સમજી ગયા. અવામ તેને સમજવા જેટલી ક્ષમતા કેળવે ત્યાં સુધી તેમનો કલામ તેમને હોઠે ચઢી જાય તેવી તેમને ખ્વાહેશ હતી. તેમની આ ખ્વાહેશને જનતા સુધી પહોંચાડવાનું કામ મેહદી હસને કર્યું. તેમનું ‘ગુલોમેં રંગ ભરે’ લોક હૈયે બેસી ગયું.

આજે આપની સમક્ષ અમે મેહદી હસને ગાયેલી ફૈઝ સાહેબની ગઝલ પેશ કરીએ છીએ. મેહદી હસન જ્યારે પણ ગાવા બેસે, તેમનો આગ્રહ રહેતો કે તેમના ચાહકો તેમની નજીક બેસે, અને તેઓ જે ગઝલ કે નજમ પેશ કરે, તેના મર્મને જાણી શાયરની રચનાને બિરદાવે. ઘણી વાર તેઓ પોતે ગીતની ખાસ પંક્તિ શરૂ કરતાં પહેલાં જે શે’ર ગાવાના હોય તેનો અર્થ, તેના ખાસ શબ્દનું ઊંડાણ સમજાવ્યા બાદ શે’ર અને ગઝલ પૂરી કરતા. તેથી હવે રજુ કરેલી ફૈઝસાહેબની ગઝલના શબ્દો તથા તેના અર્થની ગહેરાઇને અહીં ઉતાર્યા બાદ તેને અમે મેહદી હસન સાહેબનાં કંઠમાં સંભળાવીશુ.

અહીં જિપ્સીએ ‘અમે’ શબ્દબહુવચન એટલા માટે વાપર્યો છે કે તેનું ઉર્દુનું જ્ઞાન નહિવત્ છે. તેણે નેટ જગતના ઉર્દુ અને ફારસીના વિદ્વાન અસગરભાઇ વાસણવાળાની મદદ માગી. અસગરભાઇએ અહીં ગુજરાતીમાં ઉતારવામાં આવનાર ગઝલના એક એક શબ્દની શુદ્ધતા ચકાસી, તેનો અર્થ લખી મોકલ્યો છે, જે અહીં રજુ કરવામાં આવ્યો છે, જેથી આપ ગઝલની મધુરતા તથા તેના શબ્દમાધુર્યનો રસાસ્વાદ એક સાથે કરી શકશો. અસગરભાઇએ આપણા માટે જે જહેમત કરી છે તે માટે જિપ્સી તેમનો હાર્દીક આભાર માને છે, અને નીચે ગઝલ તથા તેનો અસગરભાઇએ લખી આપેલ સાર આપ્યો છે.

*

ગુલોં મે રંગ ભરે, બાદ-એ-નૌબહાર ચલે

ચલે ભી આઓ કિ ગુલશન કા કારોબાર ચલે

“નવ વસંતના પવનની મંદ લહેર આવીને પુષ્પોમાં રંગ પૂરે, અને રંગ બેરંગી ફૂલોથી સજાયેલ બાગ લોકોને આનંદ આપવાનું કામ કરે, તે માટે તો આપ પધારો! (જાણે નિસર્ગે આપની ગેરહાજરીને કારણે પોતાનું કર્તવ્ય કરવાનું છોડી દીધું છે!) “ શેરનો સામાન્ય અર્થ થાય છે: પ્રિયતમા, તમારી હાજરીથી ફૂલોમાં રંગ પૂરાય છે. તમે નથી તો કુદરતે તેનું કામ કરવાનું મૂકી દીધું છે!)

ક઼ફ઼સ ઉદાસ હૈ યારો સબા સે કુછ તો કહો

કહીં તો બહેરે ખુદા આજ ઝિક્રે યાર ચલે

"દોસ્તો, પિંજરામાં ગમગિની છવાઇ છે! મિત્રો, ખુદાને ખાતર પવનની લહેરને કંઇક તો કહો જેથી ક્યાંક તો પ્રિયતમા વિશે વાત થાય અને તે સાંભળે!” કફસ એટલે પાંજરૂં. કવિ કહે છે જે પિંજરામાં તે ફસાયા છે, તેનો આખો માહોલ ઉદાસ છે. એવી જગ્યાએથી શીતળ પવન આવે જે તેમના સમાચાર લાવે! (ફૈઝ સાહેબને ફૌજી હકૂમતે વર્ષો સુધી જેલમાં રાખ્યા હતા. અહીં જાણે તેઓ તેમના સાથી કેદીઓને કહી રહ્યા હોય તેવું લાગે!)

કભી તો સુબ્હ તેરે કુન્જે લબ સે હો આગ઼ાઝ઼

કભી તો શબ, સરે કાકુલ સે મુશ્કબાર ચલે

"કોઇક વાર તો તમારા હોઠના નાજુક ખૂણામાંથી (નીકળતા સ્મિતમાંથી) ઉષાનાં કિરણો નીકળે અને તમારા કાળા, વાંકડીયા કેશની લટમાંથી રાત્રી ખુશ્બૂદાર બની જાય!

બડ઼ા હૈ દર્દ કા રિશ્તા, યે દિલ ગ઼રીબ સહી

તુમ્હારે નામ પે આએંગે ગ઼મગુસાર ચલે

"દર્દની (હૃદય સાથેની) સગાઇ ઘણી ઊંડી છે. આ હૃદય ભલે દીન છે, તમારૂં નામ સાંભળીને મારી લાગણી કરનારાઓ ટોળેબંધ દોડી આવશે.

જો હમ પે ગુઝ઼રી સો ગુઝ઼રી, મગર શબે હિજરાં

હમારે અશ્ક, તેરી આક઼ેબત સંવાર ચલે

શાયર વિયોગની રાત પર કટાક્ષ કરે છે. અહીં ભાર અપાયો છે ‘શબે હિજરાં’ - “વિયોગની રાત્રી” પર. (વિયોગની રાત મા)મારા પર જે વિતી તે વિતી પણ રાતમાં રડેલા મારા આંસુઓ તથા એ વિયોગની રાત, તારો ભવ(આકેબત) સુધારી ગયા.

હુઝ઼ૂરે યાર હુઈ દફ઼તરે જૂનૂં કી તલબ

ગિરહ મે લેકે ગરેબાં કે તાર-તાર ચલે

"પ્રિયા-નામદાર”ના દરબારમાં મારી તેમના પ્રત્યેની ઘેલછાની ખાતા-વહી તલબ કરવામા આવી. જ્વાબ રુપે હું મારા (તેની પાછળ કરેલા ગાંડપણમાં પિંખી નાખેલા) ગિરેબાન (પહેરણ અથવા ઇજ્જતના) તાર-તાર થયેલા તાંતણાઓને બાંધી લઇ હાજર થયો.

મક઼ામ કોઈ ફૈઝ઼ રાહ મે જચા હી નહી

જો કૂ-એ-યાર સે નિકલે તો સૂ-એ-દાર ચલે

શે’રનો સાદો અર્થ છે, ‘જ્યારે મારે મારી પ્રિયતમાના ઘરની રાહ છોડવી પડી, હું સીધો ફાંસીના માંચડા તરફ ગયો. મારા માટે બીજો કોઇ વિકલ્પ નથી. વાસ્તવમાં ફૈઝસાહેબના આ શબ્દો પાકિસ્તાન માટે છે: આઝાદી યા મૌત!

હવે ગઝલ ‘ગુલોંમેં રંગ ભરે’ મેહદી હસન સાહેબના સ્વરમાં સાંભળીએ.

કહો તો, તાજ ખુબસુરત છે કે તેમાં જડાયેલું રત્ન? જિપ્સી માટે આ કઠણ પ્રશ્ન છે. અાપ કદાચ સંમત થશો કે બન્ને મૌલ્યવાન છે અને એકબીજામાં ભળી તે અણમોલ બની ગયા!

(વધુ આવતા અંકમાં

11 comments:

  1. Captain Sir,
    This Gazal I heard on radio. I liked very much.
    I do not know Urdu.
    so I asked my friend,Mr. Arun Kaul.
    He explained to me, which I have forgotten.
    But I remember the meaning of last stanza.word by word translation is
    (Shelters are eracted by the authority or the kind person on the way for the rest of travelers.)
    Poet Faiz says that No shelter was suitable to him on the travel[of life].( Due to neglected maintenance those shelter roofs may be leaky.)
    If left the one such leaky shelter with small drops,in rain, he encountered the other one with big drops.
    B.G.Jhaveri

    ReplyDelete
  2. @ Mr. BG Jhaveri: Thank you, sir, for your input. Faiz was a genius and conveyed deeper meaning to what appears to be expression of simple emotions. I appreciate your gesture of taking time not only to read this blog, but also for sending such a meaningful comment.

    ReplyDelete
  3. જ્યારે પણ
    ગુલોંમેં રંગ ભરે બાદ-એ નૌબહાર ચલે
    ચલે ભી આઓ કી ગુલશન કા કારોબાર ચલે
    માણીએ ત્યારે ક સ ક...
    અને
    જો હમ પે ગુઝ઼રી સો ગુઝ઼રી, મગર શબે હિજરાં
    હમારે અશ્ક, તેરી આક઼ેબત સંવાર ચલે
    અ દ ભૂ ત
    ગઝલનાં શબ્દો અને તેના અર્થ સાથે માણવાની મઝા આવી.
    સાથે જ નીનુનો સ્વર મનમા ગુંજી ઊઠ્યો

    હજુ તો રાત બાકી છે સુરાહી વાપરી નાખી.
    જરા તીરછી નજરથી જોઈ લીધું નાથની સામે,
    બહુ દિવસોની વાતો ચંદ ઈશારામાં કહી નાખી.
    વિતાવ્યો આતશી દિનને શબે હિજરા પડી આગે,
    અરેરે વાસ્લની બે પળ શરમમાં વાપરી નાખી.
    વહાવી સુર્ખ મદિરા

    બીજા હપ્તાનો ઈં તે જા ર
    પ્રજ્ઞાજુ

    ReplyDelete
  4. @ પ્રજ્ઞા બહેન,
    આપની ઝર્રેનવાઝી તથા હૌસલા અફઝાઇ માટે શુકરગુઝાર છું. નીનુભાઇ મઝુમદારની વાત કરીને આપે યાદોની દુનિયાની ફરી એક વાર મુસાફરી કરાવી તે માટે ફરી એક વાર આભાર.

    ReplyDelete
  5. આદરણીય શ્રીકેપ્ટનસાહેબ,

    ખૂબ સુંદર રજૂઆત.

    હવે આટલા ઉંડાણથી પોતાના મનોભાવને વ્યક્ત કરનારા શાયર ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા છે..!! કદાચ એટલેજ કુદરતે શ્રીમહેંદી સાહેબના કંઠને આરામ આપ્યો હશે?

    શ્રીકેપ્ટનસાહેબ, એક વિનંતી છે,જો કૉમેન્ટ બોક્સ સેટીંગમાં વર્ડ વૅરીફિકેશનમાં `NO` કરી શકો તો, કૉમેન્ટમાં સમય બચે..!! આભાર.

    ReplyDelete
  6. જિપ્સીની ડાયરીમાં જિપ્સી પોતે અળગો રહે છે ને નરેન્દ્રભાઈ પાસે બધું લખાવે છે તેથી લખાણોમાં એક નવું જ પરિમાણ આવે છે ! જાણે કે જિપ્સીની લખેલી ડાયરી વાંચીને કેપ્ટન આ બધું પ્રગટ કરતા હોય...આ શૈલી મને બહુ જ જચી ગઈ છે ને આ બ્લોગનો આશક બનાવી દે છે.

    બીજી બાબત છે તે એમની નાજુક અનુભુતિઓને સફળતાપૂર્વક અભિવ્યક્ત કરી દેવાની શક્તિ. ટીવીને ઓફ કરી દીધાનાં કારણોને લીધે ભાવ તેમણે સરસ રીતે ઘુંટ્યો છે. કોઈને ત્યાં મજાની ચા કે સરબત પીધાં પછી હું ઘણી વાર મુખવાસની ના પડી દઉં છું...કારણ ? આ કેપ્ટને બતાવ્યાં તે જ !!

    એમણે ‘અમે’ શબ્દ અંગે ખુલાસો કર્યો તે પણ મનને ગમી જાય તે રીતે કર્યો છે. એમાં લખાણ/વિષયની બહાર નીકળીને જાણે વ્યવહાર કરાતો હોય તેવું હોવા છતાં મૂળ વાતને જરીકેય તકલીફ પડતી નથી. કેપ્ટનની વર્ણનશક્તિ ગજબની છે. લશ્કરના માણસની કઠોર શિસ્ત કરતાં સાવ ઊફરી ચાલતી આ શૈલી લખાણોને ભીંજવી દે છે...

    મને પણ એમનું ઝીણું કાંતવાની ટેવ અસર કરી ગઈ એટલે એક ઝીણકી વાત અહીં મૂકી દઉં ?

    “આ ગઝલ રેડીયો કે ટીવી પર જોવાય કે સંભળાય”
    આ વાક્યમાં ‘જોવાય કે સંભળાય’ ને બદલે ‘સંભળાય કે જોવાય’ એમ હોવું ઘટે કારણ કે એમણે રેડિયોને ટીવીની પહેલાં મૂક્યો છે...!!

    ખૂબ જ આભાર સાથે.....

    – જુગલકીશોર.

    ReplyDelete
  7. @ Markandbhai,
    Thank you for your comment. I appreciate it. I have made the change as suggested by you.

    ReplyDelete
  8. અરે, આ તો મેહદી હસને ગાયેલી ગઝલ છે. ફૈઝ અહેમદ ફૈઝની આ ગઝલ તેમણે પાકિસ્તાનની ફિલ્મમાં ગાઇ હતી.”
    જિપ્સી માટે શરમની વાત તો એ હતી કે તે પહેલાં તેણે મેહદી હસનનું નામ પણ નહોતું સાંભળ્યું! સૈનિકોને અબૂધ અને ‘અજ્જડ’ અમસ્તાં નથી કહ્યા!

    ગઝલ હતી: ગુલોંમેં રંગ ભરે બાદ-એ નૌબહાર ચલે
    ચલે ભી આઓ કી ગુલશન કા કારોબાર ચલે ......
    A Post introducing Mehdi Hasan & Poet Faiz
    Liked it !
    Nice info !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    See you all on Chandrapukar !

    ReplyDelete
  9. કૅપ્ટનભાઇ.
    પેલી વખત કમેન્ટ મેકલું છું. તમારી આ પોસટ વાંસી હૈયામાં અજબ લાગણી થૈ ગૈ. ઘણા વખત પેલાં www.bantwal.blogspot.comમાં 'ગુલોમેં રંગ ભરે'નું interpretation વાંસ્યું'તું. ફૈઝ સાહેબની political thinkingનું અવામ માટે લખાયેલું જુદું અને જાણકાર લોકા માટે અસલ અરથ અાંયાં જાણવા મઇલો તે તમારી જાણ માટે લખું ચું. (હજી ગુરાતી ટાઇપ કરવાનું ફાવતું નથી. માફી.)

    How I wish flowers take new colours!
    And the breeze brings fresh winds of change.
    I plead you, come to me now, my love,
    Maybe, if you come, my garden may bloom again.


    My caged body is cheerless today,
    Someone please fill hope in the morning breeze.
    For god's sake! don't let it not go empty,
    Let it carry with it the story of our friends.


    When will we wake into the morning,
    To the sweet sound from your lips,
    And when in the evening will we rest,
    Taking in the scent of your hair.

    Strong is the bond of pain,
    though we are weak and poor,
    When we hear your call,
    We, all your friends, will come together.

    We went through hell, but all right.
    Once this evening of separation is over,
    Our tears would have,
    Cleaned you for your next life.

    We welcomed them as friends,
    But later their greed for power ruled,
    They tied us down, and cut through us,
    They divided us, bits and pieces flew.

    O’ Faiz, in my exile, no place,
    Gave me any pleasure,
    After I left my circle of friends,
    I found solace only in gallows of death.


    bantwal.blogspotનીમેરબાની. ેમનું અૅડરેસ નતું તેથી તેમની રજામંદી લૈ સકાઇ નથી.

    લિ. નફીસ નાઇરોબીના સલામ.

    ReplyDelete
  10. BHAI JI.NAMASTE,
    P;Z VISIT THIS POSTING.
    I AM CERTIAN YOU WILL LIKE IT,PAK PROGRAMME ON MEHDI HASSAN.LATEST.

    http://www.youtube.com/watch?v=tjtytKNLaBs

    BHAI RAHIM
    KANSAS CITY.

    ReplyDelete
  11. સલામ, કેપ્ટન સાહેબ, જીપ્સીની ડાયરી થકી આપનાં કલામો વાંચીને ખુશી થઇ.

    ReplyDelete