Saturday, October 16, 2021

જરા યાદ કરો...

     માણસ એક વ્યવસાય સ્વિકારે અને તેમાં ઓતપ્રોત થઇ જાય છે ત્યારે તેના મનમાં કદી એવું નથી આવતું કે તે કોઇ “મહાન” (!) કામ કરી રહ્યો છે. તે જે કાંઇ કરે છે તે તેની દિનચર્યાનો ભાગ હોય છે. તેમાં તે આનંદ માણે છે. દિવસ વિત્યે જો તેને સારી નિંદર આવે તો તે સમજે છે કે તે દિવસનું કામ તેણે પ્રામાણિકતાથી કર્યું. તે દિવસની રોટી તેને સાર્થક થઇ. લડાઇમાં દુશ્મનોના ગોળીબાર અને બૉમ્બ વર્ષામાં આપણા જવાનો જે ભાવનાથી લડતા રહ્યા, તેમને મળેલી કેળવણીનો હિંમતથી પ્રયોગ કર્યો તથા યુદ્ધમાં પોતાની પ્લૅટુનને, કંપનીને, બટાલિયનને તથા દેશને વિજય અપાવ્યો, તેમાં તેમની નિષ્ઠા અને નમ્રતા વ્યક્ત થાય છે. સંતોખસિંહ, અજાયબસિંહ, મહેરસિંહ તથા પ્રભાકરન નાયરે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. અજીતસિંહ, ઠાકુર કરમચંદ, ચંદર મોહન, દર્શનસિંઘ જેવા વીર પુરુષોના સહવાસમાં તેમની ભાવના અને કર્તવ્યપરાયણતાનાં દર્શન થયા. તેમણે જીવન જીવી જાણ્યું અને સાથે સાથે દેશ પ્રેમ, શૌર્ય અને નમ્રતાનો પ્રકાશ અમારા જીવનમાં પાથરતા ગયા.

    અમારી બટાલિયનના સાત જવાનો શહીદ થયા. તેમના અંત્યસંસ્કાર વખતે અપાતી ‘શોક-શસ્ત્ર’ની સલામી, ત્યાર બાદ બ્યુગલ પર વાગતા  'લાસ્ટ પોસ્ટ'’ના કરૂણ સૂર, ત્યાર બાદ ઉગતા સૂર્યને ધ્વજારોહણ દ્વારા અપાતા આવકારના ‘reveille’ના બ્યુગલના સૂર - દિવંગતના આત્માના સ્વર્ગારોહણ દર્શવતા હોય તેના નાદમાં તેમને અગ્નિદાહ દેવાનું કામ પણ ઍડજુટન્ટની હેસિયતથી જિપ્સીને જ કરવું પડ્યું હતું. આવી હૃદયવિદારક પરિસ્થિતિમાંથી કોઇને ન જવું પડે એવી પ્રાર્થના હું હંમેશા કરું છું. જિપ્સીને મળેલું સૌથી મહત્વનું બહુમાન હતું તે યુદ્ધમાં અવસાન પામેલા અમારા યોદ્ધાઓના 'ધર્મ પુત્ર' તરીકે તેમના દાહસંસ્કાર કરવા માટે મળેલું કર્તવ્ય. આ એક અત્યંત ગંભિર પરેડ હોય છે. વીરગતિ પામેલ સૈનિકનો અગ્નિસંસ્કાર કરતાં પહેલાં  બ્યુગલના ના સૂર વગાડાય છે. (આ 'લાસ્ટ પોસ્ટ' પરંપરાગત સૂર છે, જે કૉમનવેલ્થની સઘળી સેનાઓમાં અપનાવાઇ છે.) ત્યાર બાદ સૈનિક ટુકડી આકાશમાં ગોળીઓ છોડે છે - જેને volley કહેવાય છે.  



બ્યુગલ સૈનિકની વિદાયગિરીમાં અને વૉલી જાણે સ્વર્ગમાં વાસ કરી રહેલા દેવોને જણાવવા કે અમારો વીર સૈનિક આપની પાસે આવી રહ્યો છે!  આ પરેડમાં આખી બટાલિયન તથા સ્વર્ગસ્થ સૈનિકના પરિવારજનો હાજર રહે છે. 

    ૧૯૭૧-૭૨નો શિયાળો અમારા માટે અનેક દૃષ્ટીએ યાદગાર થયો. બહાદુરીના પ્રથમ ચંદ્રકો મૃત સૈનિકો માટે જાહેર થયા તેમાં મારી કંપનીના શહિદ થયેલા બે જવાનો હતા. પંજાબના ગવર્નરશ્રીના હાથે તેમની વિધવાઓને ચંદ્રક આપવામાં આવનાર હતા. મને સંતોખસિંહ તથા અજાયબસિંહના પરિવારજનોને તેમના ગામેથી જાલંધર લાવવાની કામગિરી સોંપાઇ. 

    જિપ્સી તેમને ગામ ગયો અને તેમના પરિવારને મળ્યો ત્યારે તેનું હૈયું વલોવાઇ ગયું. સંતોખ સિંહની વિધવા, તેના ઘરડાં મા-બાપ અને ભાઇ-બહેનોનું રુદન રોકાતું નહોતું. આખું ગામ અમારી આસપાસ ભેગું થઇ ગયું. સંતોખ સિંહના વૃદ્ધ પિતાની પાસે હું બેઠો અને તેમને તેમના સંતાનની બહાદુરીની વાત કરી. આંસુ લૂછતી વખતે પણ તેમનું મસ્તક ઉન્નત થયું. લડાઇમાં મૃત્યુ પામનાર દરેક સૈનિકને ગૅલન્ટ્રી ઍવોર્ડ મળતો નથી, અને જે હાલતમાં સંતોખ સિંહે પોતાના પ્રાણની આહૂતિ આપી તે સાંભળી તેના પરિવારે અને ગામના લોકોએ કહ્યું કે તેમના વીરલાએ પરિવારને અને ગામને ઉંચી પ્રતિષ્ઠા અપાવી હતી. તેનું બલિદાન સાર્થક થયું. આ વખતે મને ખાસ તો એ જોવા મળ્યું કે સૈનિકના પરિવારને આખા ગામનો ઉષ્માભર્યો સાથ હતો. આ પંજાબ છે. પંજાબની પરંપરા છે સૈનિકોના પડખે રહેવાની.

    અજાયબ સિંહને ઘેર ગયો ત્યાં પણ એવો જ અનુભવ થયો. બન્ને સિપાહીઓ યુવાન હતા. તેમની યુવાન વિધવાઓનું દુ:ખ જોયું જતું ન હતું. આવા શોક ભર્યા વાતાવરણમાં પણ આ ખેડૂત પરિવારોની ખાનદાની શિષ્ટતા છતી થઇ. અમારા ડ્રાઇવર, સાથી જવાન અને મને કાંસાના થાળમાં મકાઇના ગરમ રોટલા અને શાકનું ભોજન પીરસવામાં આવ્યું હતું. એક ફૂટ ઊંચો પિત્તળનો પ્યાલો ભરેલ લસ્સી અમારી સામે ધરવામાં આવ્યો. મોડી સાંજે અમે જાલંધર પહોંચ્યા. બહેનો તથા તેમની સાથે આવેલ વડીલોને તેમના ઉતારે પહોંચાડ્યા.

    બીજા દિવસે યોજાયેલી ભવ્ય પરેડમાં પાંચસો સિપાહીઓ અને છ અફસરોના માર્ચ પાસ્ટમાં સલામી અને વિરગતિ પામેલા સૈનિકો તથા તેમના પરિવારોને અંજલી અપાઇ. મારૂં સદ્ભાગ્ય હતું કે શહીદ સંતોખ સિંહ અને અજાયબ સિંહની વિરાંગનાઓને ગવર્નરશ્રીના મંચ સુધી લઇ જવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી.

જે શહિદોને શિફારસ કરવા છતાં બહાદુરીના ચંદ્રક ન મળ્યા, તેમની વિધવાઓને યુનિટ તરફથી સિલાઇ મશીન આપવાનું નક્કી થયું. મોટા ભાગની બહેનોએ તે લેવાની ના પાડી. “એક વીર સૈનિકની પત્નીને આવું દાન લેવું શોભે નહિ,” કહી તેમણે યુનિટમાં આવવાનો સુદ્ધાં ઇન્કાર કર્યો.

    લડાઇમાં કેવળ સિપાહીઓ જ ભાગ નથી લેતા. અમારા હેડક્વાર્ટરના વહીવટી ખાતાના સુબેદાર, નાયબસુબેદાર અને હવાલદાર-ક્લાર્ક પણ પોતાના કર્તવ્યમાં રત હતા. લડાઇમાં બલિદાન આપનાર સૈનિકોના પરિવારોને વિના વિલંબે પેન્શન મળે તે માટે તેમણે રાત-દિવસ મહેનત કરી કાગળ તૈયાર કર્યા. બીજા દિવસે જવાબદાર ક્લાર્કને પરિવારોના ઘેર મોકલી કાગળમાં સહીઓ કરાવી, ફોટોગ્રાફ વિગેરે પડાવી કોરીઅર દ્વારા કાગળ ઉપરના હેડક્વાર્ટરમાં મોકલાવ્યા. અહીં કર્તવ્યપરાયણતાના ડગલે ને પગલે દર્શન થતા હતા. અમારા હેડક્લાર્ક સુબેદાર મોહિંદરસિંહની સજ્જનતા હંમેશા યાદ રહેશે.

    સમય વહેતો જાય છે. રણ મોરચે પ્રાણની આહૂતિ આપનાર સિપાહીની શહાદતને કોઇ યાદ કરે છે કે નહિ, ‘ઝંડા દિવસ’ના સમયે શાળાનાં બાળકો સિવાય દાનપેટીમાં કોઇ બે-ચાર સિક્કા નાખે છે કે નહિ તે જોવા શહિદો આ જગતમાં નથી. તેમના પરિવારોને ભુલાઇ જવાની ટેવ પડી ગઇ છે. ભારતનું મસ્તક ઉન્નત રાખનાર સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીના બીજી ઑક્ટોબરના દિવસે આવતા જન્મ દિવસને કોઇ યાદ કરતું નથી, ત્યાં એક અનામી સૈનિકની કોણ પરવા કરે? પરંતુ અમે સૈનિકો અને અમારા પરિવારો એક વાત જરૂર શીખ્યા છીએ: પાછળ ન જોતાં આગળ વધતા રહેવું. Move on! આવું ન કરીએ તો દુ:ખ અને શોકની ગર્તામાંથી કદી બહાર નીકળી જ ન શકાય. આમ છતાં જેમની સાથે અમે ટ્રેનિંગ કરી, રણભૂમિમાં સાથોસાથ દુશ્મનની ગોળીઓનો સામનો કર્યો, રાવિના બરફ જેવા ઠંડા પાણીમાં રાતના અંધારામાં ઉતરી અજાણ્યા ભવિતવ્ય અને મૃત્યુની સંભાવનાથી સભર એવા ધુમસમાં જેમની સાથે પ્રવેશ કર્યો, તેવા સાથીઓને અને તેમની સાથેના રોમાંચકારી વાતાવરણને કેવી રીતે ભુલી શકાય? એકલતાની પળોમાં જીપ્સી કોઇક વાર ભુતકાળમાં લપસી પડે છે. તે જઇ પહોંચે છે સરકંડાના જંગલમાં અને કઠુઆના પુલ પર. રાતના અંધારામાં તેને રાઇફલ કે LMGના ઘોડા ચડાવી તેને પડકારતા ‘હૉલ્ટ, હુકમ દાર’ના કડાકા યાદ આવે છે. બાળકના હાથમાંથી મિઠાઇનું પડીકું ઝડપી લેવા તીરની જેમ ઉતરતી સમળીની જેમ આવતા સેબર જેટ અને સ્ટારફાઇટર તથા તેમની મશિનગનના મારના ભણકારા સંભળાય છે. અર્ધી રાતે વગડામાં જાણે ડાકણ ચિચિયારી કરતી હોય તેવા અમારા બંકર પર આવતા દુશ્મનની તોપના ગોળાના તીણા અવાજ યાદ આવે છે. ડર તો તે વખતે પણ નહોતો લાગ્યો. અત્યારે તો નજર સામે દેખાતા યુવાન અફસરની છબિ જોઇ રમુજ ઉપજે છે. કેવો ભોટ, આદર્શવાદી પાગલ હતો એ જીપ્સી! ન તો તેને પોતાની સુરક્ષાનું ભાન હતું કે નહોતી તેને પોતાના પરિવારની ચિંતા. ફિકર હતી તે કેવળ તેના હુકમને આધિન એવા જવાનોની, જેમણે પોતાના પ્રાણની જવાબદારી તેના ખભા પર સોંપી હતી.

(જિપ્સીની નોંધ: આ પોસ્ટ પહેલી વાર ૨૦૦૯માં પ્રકાશિત થઇ ત્યારે તેના સ્નેહી મિત્રોએ લખી મોકલાવેલ પ્રતિભાવ નીચે મૂક્યા છે.  

  1. Time and again,it has been underlined in this as well as other writings the treatment meted out to our fighting men is really pathetic both within and outside the army. They deserve better and we do not deserve them. How many sons and daughters of IAS or politicians have joined as foot soldiers or even officers? Very few.There is an impression that jobless poor will send their children to the army and the middle class people in search of a good career for their offspring will send them to become officers.The result is that both the civil service and the political wing of the government are indifferent to the plight of the armed personnel.
    2. As for the 1971 war, India had captured thousands of Paki soldiers (if I remember correctly, some 80,000 or so.) Why did the government not bargain with Islamabad that we would not release them until they vacate occupied Kashmir? Many feel the Paki government would have have given in.
    Tushar Bhatt

    Reply
  2. Once in NJ,I met a Pakistani-Colonel who was incharge of taking those Pak prisoners back.According to him-They were exactly 96500.His job was to detect Indian Spies in those incoming prisoners-
    He was on the Rajasthan Boarder from Pakistan-in 1971.
    Captain Saheb-You gave us lots of insight of the army and we learned a lot- Can not wait to get your bok-So we can enjoy your story in one Shot-No pun intended.

    Reply
  3. amazing write up! i am speechless reading @ shahid's families!

    Reply
  4. માણસ એક વ્યવસાય સ્વીકારે અને તેમાં ઓતપ્રોત થઇ જાય છે ત્યારે તેના મનમાં કદી એવું નથી આવતું કે તે કોઇ “મહાન” (!) કામ કરી રહ્યો છે. તે જે કાંઇ કરે છે તે તેની દિનચર્યાનો ભાગ હોય છે. તેમાં તે આનંદ માણે છે.
    --------------
    સાવ સાચી વાત

    આ પ્રકરણ બહુ સંવેદના જન્માવી ગયું. ક્રીકેટરોને મળતા બહુમાન સાથે આ શહીદો તરફ આપણી બેદરકારીની સરખામણી પણ.
    --------------
    પંજાબની પરંપરા... ગુજરાતમાં કદી પણ આવશે?

    - સુરેશ જાની


3 comments:

  1. રણ મોરચે પ્રાણની આહૂતિ આપનાર સિપાહીની શહાદતની વાતો સંવેદના જન્માવી ગયું
    'ભારતનું મસ્તક ઉન્નત રાખનાર સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીના બીજી ઑક્ટોબરના દિવસે આવતા જન્મ દિવસને કોઇ યાદ કરતું નથી, ત્યાં એક અનામી સૈનિકની કોણ પરવા કરે?'
    આ વાતનો થોડા વર્ષોથી સારો અનુભવ થાય છે ..ખૂબ આદરપૂર્વક તેઓને યાદ કરી સ્મરણાંજલી અપાય છે અને પ્રાર્થના થાય છે.
    આપના આ અનુભવોએ એક સુચન કરવાનુ મન થાય છે કે સાંપ્રતસમયે પરીસ્થીતી અંગે વિવરણ કરી સુચનો લખશોજી હાલમા Border Security Forceને વધુ સતા અપાતા કેમ વિરોધ થાય છે?

    ReplyDelete
  2. આપની આ ડાયરી દરેક દેશપ્રેમની ને વિચારવંત કરી મુકે તેવી છે. સિવાય મશીન સ્વીકારવા ની ના પાડવી તે એ બહેની મગરુરી અને જુસ્સો દેખાડે છે. આપણ સમાજ લાંગણી વિહીન અને દંભીલો છે. પણ જેના પર વિતી છે અને જેણે આ નજરે જોયું છે, અનુભવ્યું છે અને નસિબજોગે વાચક સમક્ષ રજુ કર્યું છે તેમને ખરાદિલ થી સલામ.
    - નીતિન વ્યાસ

    ReplyDelete
  3. અત્યંત હૃદયવિદારક વાસ્તવિકતા સામે આવી. એ વાંચવી જ કાઠી પડે છે, ત્યારે ખ્યાલ આવે છે કે આપ તો એવા અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા છો! આવા વીરોને તો નત નહીં, ઉન્નત મસ્તકે સલામ કરાય.

    ReplyDelete