Thursday, October 27, 2011

જિપ્સીનો વિસામો: 'અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા'...

તારાશંકર બંદ્યોપાધ્યાયની નવલિકા પર સત્યજીત રાય 'જલસાઘર' નામનું (મૂળ નવલિકાના નામનું જ ચિત્રપટ) બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. આપ તો જાણો છો કે સત્યજીત રાય સંવેદનશીલ નિર્માતા-દિગ્દર્શક હતા. મૂળ લેખકે તેની કથામાં સર્જેલા પાત્રો રંગભુમિ પર જીવંત થઇ ઊઠે તે માટે તેઓ એવા કલાકારોને શોધી તેમના કસબનું એવું ચિત્રીકરણ કરતા, જાણે આ પાત્રો અાપણા સૌના જીવનમાં આવી ગયા હોય, અથવા આપણે તેમને નજીકથી ઓળખતા હોઇએ તેવું લાગે.

‘જલસાઘર’ના મુખ્ય પાત્ર જમીનદાર બિશમ્બર રાયે તેમના મહેલના સંગીતકક્ષ - જલસાઘરમાં જીવનનો છેલ્લો કાર્યક્રમ તેમાં હાજરી આપનારાઓના જીવનનો અવિસ્મરણીય બનાવ બની રહે તે માટે તેમણે તેમના જમાનાનાં ઉત્તમોત્તમ ગાયક-ગાયિકાઓને બોલાવ્યા. આજની વાત ‘જલસાઘર’ની નથી: મૂળ કથાના મૂખ્ય પાત્રને જીવંત કરવા તેમણે રાયમોશાયની ભુમિકામાં બંગાળની રંગભુમિના સર્વશ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા છબી બિશ્વાસને ઉતાર્યા. તેમના જીવનની છેલ્લી ઠુમરી 'ભર ભર આયી મોરી અંખીયા'ને યાદગાર બનાવવી હતી તે માટે તેમણે કોને પસંદ કર્યા હશે? એવી કલાકૃતિ જે શ્રોતાઓના જીવનમાં યાદગાર બની જાય?

અલબત્, મલિકા-એ-ગઝલ બેગમ અખ્તર સિવાય બીજું કોણ હોય? અને બેગસસાહિબાએ તેમાં પ્રાણ સિંચીને ગાયું. અહીં જોઇશું ‘જલસાઘર’ની ભવ્યતા, ખાનદાની રસીક-રઇસ રાય મહાશય, જાજ્વલ્યમાન અને કલાની અમીરીના ખુમારથી દમકતી ગાયીકા તથા તેમને સાથ આપનારા વાદક કલાકારો! વાહ! શું એ જમાનો હતો! કેવા તો ગાયકો હતા અને કેવી તો એ ગાયકી હતી! આજના ભજનસમ્રાટો અને સેકન્ડહૅન્ડ ગીત-ગઝલ ગાનારા ટિનપાટીયા 'કલાકારો'(!)ને સાંભળી, TV પર જોઇ ખરા દર્દીઓ 'ते हि नो दिवसा गता:' કહી માથું હલાવે તે બનવા જોગ છે.

આ પહેલાં જિપ્સીએ રત્ન તથા તેને ઊઠાવ આપવા માટેના જરૂરી ગણાતા કિમતી ધાતુઓનાં ઘરેણાંની વાત કરી હતી-કોહિનૂર જેવા હિરાને રાજમુકૂટ જોઇએ-જેવી. પણ આ તો બેગમ અખ્તર હતા! તેમને ચંદ્રની જેમ કોઇના ઉછીના તેજની જરૂર નહોતી. તેઓ પોતે જ સ્વયં પ્રકાશિત હતા. તેમનું જીવન, તેમનો હસમુખો ચહેરો તથા ગાવાનો અંદાજ એવો મીઠો અને અવાજ એવો પ્રવાહી હતો, જાણે ભગવાનને અર્પણ કરવા માટે તેમના પરમ ભક્તે સુવર્ણના ઘડામાં પંચામૃત ન બનાવ્યું હોય! અને તેમને સાંભળનારાઓ માટે તો પરમાત્માએ ખુદ તેનો સ્વીકાર કરી નાદબ્રહ્મમાં રત થયેલા ભક્તોને આ પંચતત્વની પ્રસાદીનો આસ્વાદ કરાવ્યો હોય તેવું લાગે!

બેગમ અખ્તરના જીવન પર ઇન્ટરનેટ પર તથા પુસ્તક જગતમાં ગણી ન શકાય એટલા પાનાંઓ અને પુસ્તકો મળી આવશે. તેથી તેમાં એક વધારાનું પાનું ઉમેરવાની ધૃષ્ટતા ન કરતાં આપના શ્રવણ આનંદ માટે અહીં તેમના કેટલાક ચૂંટેલા નગીનાઓનો આપણે મળીને રસાસ્વાદ કરીશું.

અમારા સૈનિક જગતમાં પ્રભાતનાં કિરણોની અને સુપ્રભાતને આગાહ કરવા બ્યુગ્લર reveille વગાડતો હોય છે. બ્યુગલના આહ્લાદક ધ્વનિમાં સૂરજ ઉગે તેમ કોલકાતાની સુવર્ણભુમિમાં બેગમ અખ્તરની પ્રતિભાનો સૂર્યોદય થયો. તેમની કારકિર્દીની શરૂઆતની ગાયકી જોઇએ તો તે ટાન્ઝાનાઇટ જેવા અણમોલ રત્નના સ્ફટિક જેવી લાગશે. જેમ જેમ તેમાં પાસા પડતા ગયા, અદ્ભૂત રોશનીનાં કિરણો પરિવર્તીત થવા લાગ્યા. ટાન્ઝાનાઇટ એટલા માટે કે તેના આછા નીલા પ્રકાશમાંથી જાણે આહ્લાદકતા ઉછળીને બહાર પડતી હોય તેવું લાગે. બીજા અલંકારમાં કહીએ તો જાણે પારિજાતની કળીઓ ખિલવા લાગે અને તેનું મંદ હાસ્ય - જેને ઉર્દૂ કવિઓ તબસ્સુમ કહે છે - તેમ નિખરતું જાય. બેગમ અખ્તરનો પારિજાત એટલો વિશાળ હતો, સવારના પહોરમાં તેનાં ફૂલ તથા તેની ખૂશબૂ આખા વિશ્વ પર વર્ષા કરવા લાગી!

સુંદર અને સુગંધી ફૂલનું સ્થાન ફૂલદાનીમાં નથી એ ફૂલ સિવાય બીજું કોઇ જાણતું હોય તો તેના ચાહકો. ખુલા ઉદ્યાનમાં તેની મહેક તથા તેની સુંદરતાનો લાભ લેવા લાખોની સંખ્યામાં જતા ચાહકો માટે બેગમ અખ્તરે પોતાની હવેલીની ફૂલદાની છોડી અને સૂરબહારનો સૌરભ પ્રસરાવવા બહાર નીકળ્યા. ત્યાર પછી જે થયું એ તો ઇતિહાસ છે!

આજે આપણે કેવળ બેગમ અખ્તરની કલાનો રસાસ્વાદ કરીશું.

તે સમયે બેગમ અખ્તરે કેવળ 'અખ્તરીબાઇ ફૈઝાબાદી'ના નામે સંગીત જગતમાં પ્રવેશ કર્યો. અને શરૂઅાતની પ્રસ્તુતી કંઇક આવી હતી:

આપે તેમની "અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા' તો સાંભળી જ હશે! જાણે શહેનાઇમાંથી શબ્દો બહાર પડતા હોય!

આપે શકીલ બદાયૂંનીએ રચેલી ગઝલ આપે સાંભળવી જ જોઇશે! ફરીદા ખાનુમ જેવી મહાન ગાયિકાએ સુદ્ધાં કહ્યું હતું કે બેગમ અખ્તરે આ ગઝલ એટલી ખુબસુરતીથી ગાઇ છે, વાહ! આફ્રિન! ગઝલ છે, 'મેરે હમ-સફર, મેરે હમ-નવા..' શબ્દો હૃદય સુધી પહોંચે, પણ બેગમ સાહિબાએ ગાઇને હૃદયના તાર એવા છેડ્યા, તેનો ઝંકાર હજી પણ અનુભવાય!

ગુજરાત માટે બેગમ સાહિબાની મુલાકાત આનંદ અને શોકના અગમ્ય સંગમ જેવી નીકળી. ગુજરાતની રંગભુમિનાં જાણીતા પુરસ્કર્તા નીલમબહેન ગામડીયાના આમંત્રણથી બેગમ અખ્તર અમદાવાદ આવ્યા હતા. આ મુલાકાત તેમનાં જીવનની ભૈરવી બની, અને...

એક દીપનું નિર્વાણ થયું અને યુગ વિતી ગયો. અલ્ વિદા બેગમ સાહિબા, આપની રૂહને ખુદા બક્ષે!

2 comments:

  1. અલ્ વિદા બેગમ સાહિબા, આપની રૂહને ખુદા બક્ષે!

    આમીન.

    ખૂબ સુંદર આલેખ.હવે ભાવગાયકી- મંચમનોરંજક ગાયકી થઈ છે તે બાબતે દુઃખમાં હું પણ સહભાગી છું,શ્રીકેપ્ટનસાહેબ.

    ReplyDelete
  2. અલ્ વિદા બેગમ સાહિબા
    તેઓ તો આપણા હ્રુદયમા જીવતા જ છે
    અમર સંગીતના સૂરો સાથે
    પ્રજ્હાજુ

    ReplyDelete