Tuesday, May 5, 2009

૧૯૬૯ - શાંતિ અને મનોમંથન - ભાગ ૨

ઇન્ટર્નલ સીક્યોરિટી - દેશની આંતરીક સુરક્ષામાં ફરજ બજાવવા વિશે અમને - સૈનિકોને - ખાસ પ્રશિક્ષણ આપવામાં આવતું. તેમાં મુખ્ય સિદ્ધાંતો છે: શાંતિ સ્થાપવા માટે ઓછામાં ઓછો બળ-પ્રયોગ કરવો (minimum use of force; કોઇ પણ કાર્યવાહી કરીએ તેમાં બદલો લેવાની ભાવના ન હોવી જોઇએ તથા હિંસા પર ઉતરી આવેલા લોકોની કોઇ જાત કે કોઇ ધર્મ નથી હોતો. તેઓ કેવળ હુલ્લડખોર ટોળાં -mobs- હોય છે. અહીં હું જાણીતા અને વરીષ્ઠ પત્રકાર શ્રી.એમ.જે. અકબરના પુસ્તક Riot After Riotમાંથી એક પૅરેગ્રાફ ઉતારીશ:
“Law and order have two enemies: the Full Truth and the Complete Lie. When people realise the truth, they start revolutions. When they are fed lies they begin meaningless riots. Lies are the staple of every communal disturbance. They are spread by people who have a stake in this violence, who have something to gain out of impoverished Hindus and Muslims fighting each other.” (કાયદો અને સમાજવ્યવસ્થાના બે શત્રુ છે: પૂર્ણ સત્ય અને હડહડતા જુઠાણાં. જ્યારે લોકો સમક્ષ સત્યનો પ્રકાશ થાય છે ત્યારે તેઓ ક્રાન્તિ સર્જે છે. જ્યારે તેમના મગજમાં જુઠાણાંઓ ઠસાવવામાં આવે છે ત્યારે તેઓ અર્થવિહીન હુલ્લડ શરૂ કરે છે. દરેક કોમી દંગલની આગમાં તેલ રેડવાનું કામ આ જુઠાણાં કરતા હોય છે, અને જેમને આ તોફાનોમાંથી પોતાનો સ્વાર્થ નીકળતો જણાય છે, જેમને ગરીબ હિંદુ અને મુસલમાનનોને એકબીજા સાથે લડાવવાથી અંગત લાભ મળતો હોય છે, તેઓ આ જુઠાણાં ફેલાવતા હોય છે.)
દેશના કાનુન મુજબ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપવા ગોળીબાર કરવાનો હુકમ આપવાનો અધિકાર મૅજીસ્ટ્રેટ, પોલીસ અૉફિસર કે સેનાના કમીશન્ડ અૉફિસર્સ પાસે છે. ૧૯૬૯માં BSFના અફસરો પાસે પોલિસ અધિકારીની કે ‘આર્મ્ડ ફોર્સીઝના કમીશન્ડ અૉફિસર’ની સત્તા નહોતી, તેથી અમારી ટુકડીઓ સાથે મૅજીસ્ટ્રેટની પણ ડ્યુટી લાગતી. એક વર્ષ બાદ ભારત સરકારે વટહુકમ બહાર પાડીને BSFના અફસરોને કમીશન્ડ અૉફિસર્સ બનાવ્યા, જેથી પરિસ્થિતિની ગંભીરતા જોઇ યોગ્ય પગલાં લેવાનો તેમને અધિકાર મળ્યો.
અમારા પ્રશિક્ષણ દરમિયાન તોફાન અને દંગલ પાછળની માનસિકતાનો બધા સૈનિકોએ ખાસ અભ્યાસ કર્યો. કોઇ ટોળું ભેગું થઇ જાય તેમાં ૮૦% પ્રેક્ષકો હોય છે. ૧૦થી ૧૫% તેમના આગેવાનો અને કેવળ પાંચ ટકા તેમને વિચારધારા કે ધાર્મિક આધાર પર પાનો ચડાવનારા જેમને Agent Provocateur કહેવામાં આવે છે, તેઓ હોય છે. લોકોને બહેકાવી આ લોકો છટકી અન્ય સ્થળે પહોંચી જાય છે અને ત્યાં પોતાનું કામ કરવા લાગી જાય છે. તે પ્રમાણે ટોળાનાં આગેવાનો પણ છુપાઇ જતા હોય છે. આથી ગોળીબારનો ભોગ બનનાર સામાન્ય જનતા - મુખ્યત્વે યુવાનો હોય છે, જેમને ઉશ્કેરવું agent provocateurs તથા કોમી આગેવાનો માટે સહેલું હોય છે. અપવાદરૂપ ગણાય તેવા કેટલાક જ તોફાન સ્વયંભૂ હોય છે - જેમ કે ફ્રાન્સમાં થયેલી ક્રાન્તિ, જે લોકોએ બાસ્તીલની જેલ પર હુમલો કરીને શરૂ કરી; ગુજરાતમાં મહાગુજરાતની સ્થાપના માટે ગુજરાતના નેતા મોરારજીભાઇની સામે આખો ગુજરાત ખડો થયો હતો અને તેમના “આમરણાંત” ઉપવાસની પણ પરવા ન કરી. (જીપ્સી તે વખતે અમદાવાદમાં મોરારજીભાઇની સભામાં હાજર હતો અને તેમના પર થયેલી પત્થરબાજી જોઇ હતી. તેના મતે આ mini revolution હતું.)
આવી ક્રાન્તિ સદીઓમાં કોઇક જ વાર થતી હોય છે. નિર્માલ્ય પ્રજામાં આવી ક્રાન્તિ શક્ય નથી હોતી. મહારાજાના દૈવી હક્ક (Divine Rights of the King) તથા ‘રાજકર્તા કદી ગલત કામ ન કરે’ (A King Can Do No Wrong) જેવા કથન કરનાર ઇંગ્લન્ડના રાજા ચાર્લસ્ પહેલાની સામે, ફ્રાન્સમાં થયેલ સોળમા લૂઇ અને રશિયામાં ઝાર વિરુદ્ધ થયેલ October Revolution જેવી ક્રાન્તિ ભારતમાં ફક્ત એક જ વાર થઇ હતી, જે સ્વ. જયપ્રકાશ નારાયણે ઇન્દીરા ગાંધીની એમર્જન્સી વિરૂદ્ધમાં કરી હતી. હવે તો પ્રજા એટલી નમાલી અને સ્વાર્થી થઇ છે કે તેમની સામે આર્થીક કે ક્ષણીક આનંદના દારૂ જેવા પ્રલોભનોના થોડા ટૂકડા ફેંકવામાં આવે તો પણ તે એવા રાજકારણીઓને ચૂંટતી આવી છે જેમના લોહીના દરેક કણમાં ભ્રષ્ટાચાર ભરેલો છે કે અદાલતે તેમને ખુનના ગુનેગાર ગણી સજા આપી છે.
આપણા દેશનું સદ્ભાગ્ય છે કે આપણી સશસ્ત્ર સેનાઓ રાજકારણથી દૂર રહી છે.

Sponsored by the search engine optimization services internet guide.

2 comments:

  1. How true! It indeed is sad that the innocents die and the perpetrators go scot free.

    ReplyDelete
  2. Law and order have two enemies: the Full Truth and the Complete Lie. When people realise the truth, they start revolutions. When they are fed lies they begin meaningless riots.
    -----------
    બહુ જ સાચી વાત. નવંનીર્માણ આંદોલન વખતનો જુવાળ યાદ આવી ગયો.
    પણ ભારતની પ્રજામાં આ જાગરુકતા ક્યારે આવશે?

    ReplyDelete