Friday, August 5, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: અૅડોપ્શન અૅન્ડ ફોસ્ટરીંગ વિભાગ

જીપ્સીને સેન્ટ્રલ લંડનની એક કાઉન્સીલના આ વિભાગમાં ઇન્ટર્નશીપ મળી.
બ્રિટનમાં ભારતની જેમ ‘અનાથાશ્રમ’ નથી. તરછોડાયેલા નવજાત શિશુ તથા એવા બાળકો જે શારીરિક કે માનસિક હિંસાનો ભોગ બન્યા હોય તેમને કાઉન્સીલ પોતાની સંભાળ નીચે લે એવો કાયદો છે. આ ઉપરાંત એવા બાળકો જેઓ માતાપિતાના નિયંત્રણ બહાર હોય અને સ્વચ્છંદી વર્તન કરવા લાગી જાય છે તેમને તેમના માતાપિતાની વિનંતિ પરથી કાઉન્સીલ પોતાના આશ્રય નીચે લે છે. આવા બાળકો માટે કાઉન્સીલ દ્વારા ચલાવવામાં આવતા 'ચિલ્ડ્રન્સ હોમ' હોય છે. જો કે બાળકોને પરિવારનું પ્રેમાળ વાતાવરણ તથા તેમાંના બાળકોનો સહવાસ મળે તે માટે કાઉન્સીલની સંભાળ હેઠળ આવતા બાળકો માટે Fostering એટલે કે કાઉન્સીલે નીમેલા પરિવારમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે નિયુક્ત કરેલા પરિવારોને દર અઠવાડીયે સારી એવી રકમ આપવામાં આવે છે. અહીં સોશિયલ વર્કરનું કામ બે સ્તર પર હોય છે. એક તો જેમણે ‘ફૉસ્ટરીંગ’ માટે અરજી કરી હોય તેમની પોલીસ તપાસ, ડૉક્ટરી તપાસણી, તેમણે આપેલા રેફરન્સીઝ પ્રમાણે તેમની મુલાકાત લઇ તેમણે કહેલી વાતની તસદીક કરવી. આ તપાસ ચાલતી હોય ત્યારે અરજદારના ઘરની મુલાકાત લઇ ત્યાં રાખવામાં આવનાર બાળક માટે સ્વતંત્ર બેડરૂમ, અભ્યાસ કરવા માટેની વ્ય્વસ્થા, ઘરથી શાળાનું અંતર વગેરે જેવી અનેક વાતો - જે આપણે અાપણા પોતાના બાળક માટે કરીએ તેવી વ્યવસ્થા પૂરી પાડવાની ક્ષમતા અરજદારમાં છે કે નહિ તેની પૂરી તપાસ કરવામાં આવે. તે ઉપરાંત અરજદારના સિલસીલાવાર ઇન્ટરવ્યૂ લઇ તેમની કાબેલિયત પરખવામાં આવે છે. આ થયું ફૉસ્ટરીંગનું કામ.
તે પ્રમાણે કોઇ યુગલ બાળકને દત્તક લેવા માગે તેમની પણ ઉપર પ્રમાણે અને વધુ ઘનીષ્ઠ તપાસ કરવામાં આવે છે. હવે આવા પરિવારોની અરજીઓ ખાસ નિયુકત કરેલી પૅનલ સમક્ષ રજુ કરવામાં આવે છે. સોશિયલ વર્કર અૅડોપ્શન પૅનલની આગળ પોતાનો રિપોર્ટ આપે અને પૅનલે પૂછેલા સવાલોના જવાબ આપે. અહીં અરજી કરનાર પરિવારે કયા વર્ણના, કયા લિંગના તથા કેટલી ઉમરના બાળકને દત્તક લેવાની અરજી કરી છે તે જોતાં કાઉન્સીલની વ્યવસ્થા હેઠળ આવેલા બાળકોનું અરજદારો સાથે ‘મૅચીંગ’ કરવામાં આવે છે. જ્યારે યોગ્ય બાળક મળે ત્યાર બાદ ફરી પૅનલ પાસે રજુઆત, દત્તક લેનાર પરિવારનો ઇન્ટરવ્યૂ અને અંતે કાનુની કાર્યવાહી પૂરી કરાય.
એક વાર બાળક દત્તક તરીકે આપવામાં આવે, તેના જન્મદાતા માબાપને જણાવાતું નથી કે તેમના બાળકને કોણે દત્તક લીધું અને તે ક્યાં રહે છે. બાળક અઢાર વર્ષનું થાય અને તે તેના જન્મદાતાને મળવા માગે તો તેણે કાઉન્સીલમાં અરજી કરી તેના જન્મનો દાખલો મેળવી, તેના માતાપિતા સાથે મેળાપ કરાવવા વિનંતિ કરવી પડે. આવી પરિસ્થિતિમાં સૌ પ્રથમ તેને કાઉન્સેલીંગ આપવામાં આવે છે, કારણ કે જો તેના માબાપ તેની અપેક્ષા મુજબ ન નીકળે તો તેને ઘેરો આઘાત લાગી શકે છે અને તેનાં વિપરીત પરિણામ આવી શકે છે.
જીપ્સીના સદ્ભાગ્યે તેની પ્રૅક્ટીસ ટીચર તેની ટીમની જુની સહકારી બહેન તૃપ્તિ દવે હતી! તેણે ગ્લાસગો યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કની ડીગ્રી લીધી હતી. હસમુખી, હોંશિયાર અને મળતાવડા સ્વભાવને કારણે તૃપ્તી ટીમમાં જેટલી લોકપ્રિય હતી તેના કરતાં વધુ તે તેની professionalism તથા સ્પષ્ટ વક્તવ્યને કારણે ટીમમાં સૌની માનીતી થઇ હતી.
તૃપ્તીની ટીમમાં જીપ્સીની ઇન્ટર્નશીપ ત્રણ સ્તર પર યોજાઇ. એક તો નિયમીત સુપરવિઝન, જેમાં અઠવાડીયામાં એક કલાક સંપૂર્ણપણે કેસવર્કની તથા વિષયના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં, બીજા સ્તરમાં કેવળ અૅડોપ્શન તથા ત્રીજામાં ફૉસ્ટરીંગ હતું.
પહેલી મીટીંગમાં ચર્ચા હતી દત્તક ગયેલા બાળકને ક્યારે કહેવું જોઇએ કે તેને દત્તક લેવામાં આવ્યો હતો. જીપ્સી ભારતની પરંપરામાં જન્મ્યો તથા ઉછર્યો હતો. સામાન્ય રીતે ખોળે લેવાયેલા બાળકને આપણે ત્યાં કદી નહોતું કહેવાતું કે તે દત્તક લેવાયેલ બાળક છે. જીપ્સીના નજીકના પરિવારમાં આવો બનાવ બન્યો હતો, તૃપ્તિએ સરળ પ્રશ્ન કર્યો: કોઇ પરિવારમાં બાળક દત્તક લેવાય ત્યારે તેમના વિશ્વમાં સૌને તેની જાણ હોય છે સિવાય કે બાળકને. શું આ નૈતીક રીતે યોગ્ય કહેવાય? જેના વિશે સૌ જાણતા હોય તો તે જાણવાનો બાળકને અધિકાર નથી?

જીપ્સીને તેના ભારતના મિત્રની વાત યાદ આવી.
નિર્મલેન્દુ સેન તેનો ખાસ મિત્ર હતો. તેની પાસેથી તે બંગાળી લખતાં વાંચતા શીખ્યો હતો. એટલું જ નહિ, કૂચબિહારમાં રહેતા નિર્મલના વયોવૃદ્ધ પિતા તેને પ્રેમાળ પત્રો લખી નિર્મલનું ધ્યાન રાખવા કહેતા. કાકાબાબુ - નિર્મલના પિતાએ તેને રજાઓ ગાળવા કૂચબિહાર બોલાવ્યો હતો. સમય જતાં નિર્મલની બદલી માલદા થઇ. એક મહિના બાદ કાકાબાબુનો પત્ર અને આમંત્રણ પત્રિકા આવી: નિર્મલનાં લગ્ન છે. જરૂર આવજે. જીપ્સીથી જવાયું નહિ. બે મહિના બાદ કાકાબાબુનો પત્ર આવ્યો: નરેન, કોઇ પણ હિસાબે તું નિર્મલને સમજાવ કે અમને છોડીને ન જાય. તેનો મોટો ભાઇ macrocephalic છે અને જીવનના અંતિમ સ્ટેજ પર છે. તેની ત્રણ નાની બહેનો ઇરા, મીરા અને કૃષ્ણાનાં ભણતર પૂરાં નથી થયા. તેનું ઘર છોડી જવાનું કારણ: નિર્મલ છ મહિનાનો હતો ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. નાનકડા બાળકનું ધ્યાન રાખવા કાકાબાબુએ તેમની સાળી સાથે લગ્ન કર્યા. ઇરા, મીરા અને ટુકૂ (કૃષ્ણા) તેમની દ્વિતીય પત્નિની દિકરીઓ.
નિર્મલને આ વાત કોઇએ કહી નહિ.
લગ્ન બાદ તેનાં સાસરીયાંએ નિર્મલને ચઢાવ્યો અને કહ્યું કે તેની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું વગેરે વગેરે. બસ, નિર્મલને ગુસ્સો આવ્યો: મારા જીવનની આટલી મહત્વની વાત મારાથી કેમ છુપાવવામાં આવી, અને સાસરીયાના ગામની નજીક આવેલ સિલીગુડી બ્રાંચમાં બદલી કરાવીને જતો રહ્યો. કાકાબાબુનું હૃદય ભગ્ન થઇ ગયું. હતાશામાં વધારો ત્યારે થયો કે નિર્મલે તેમને પૈસા મોકલવાનું બંધ કર્યું. ઇરાએ દસમા ધોરણમાં જ શાળા છોડી અને હૉસ્પીટલમાં ટ્રેઇની નર્સની નોકરી સ્વીકારી. તે અરસામાં જીપ્સી મિલિટરીમાં જોડાયો, સંપર્ક સમાપ્ત થયો, પણ સ્મૃતી રહી ગઇ. આ પ્રસંગ વિત્યાને પચીસ વર્ષ થઇ ગયા હતા, તેમ છતાં તૃપ્તી સાથે ચર્ચા કરતી વખતે આ વાત યાદ આવી. બાળક પાસેથી તેના જીવનની અતિ મહત્વની વાત છુપાવી રાખવાનો કરૂણ અંજામ આવે છે તેનું ભાન થયું. સમય બદલાયો છે. જીપ્સીએ આ વિષયનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેને મળેલી માહિતી અનુસાર ભારતના શિક્ષીત વર્ગમાં આ વિશે સારી એવી જાગૃતિ આવી છે અને દત્તક લેવાયેલ બાળક સમજણું થાય ત્યારે તેને સમજાવીને સત્ય હકીકત કહેવામાં આવે છે. તેણે તેના સંબંધીને મળીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેમણે તેમના ૧૯ વર્ષના પુત્રને કહેવું જોઇએ કે તેને દત્તક લેવામાં આવ્યો હતો. તેને સફળતા ન મળી.

તૃપ્તીના ‘understudy’ તરીકે એક મહિનો વીત્યા બાદ જીપ્સીને અૅડોપ્શનનો એક સ્વતંત્ર કેસ આપવામાં આવ્યો. આ કેસ પણ તેના માટે યાદગાર હતો.

2 comments:

  1. તૃપ્તીના ‘understudy’ તરીકે એક મહિનો વીત્યા બાદ જીપ્સીને અૅડોપ્શનનો એક સ્વતંત્ર કેસ આપવામાં આવ્યો. આ કેસ પણ તેના માટે યાદગાર હતો. ...........
    Narendrabhai,
    Enjoyed the Post....
    Dr. Chandravadan Mistry
    www.chandrapukar.wordpress.com
    Avjo Chandrapukar Par !

    ReplyDelete
  2. બહુ જ મુશ્કેલ વાત.
    અમારા સગાંમાં આવો એક દત્તક લેવાનો કિસ્સો છે.

    સદભાગ્યે એ બાળક હવે યુવાન થઈ ગયો છે ; અને આવો કોઈ પ્રશ્ન એમને નડ્યો નથી.

    ચિત્રલેખામાં ધારાવાહિક આવતી, અનૌરસ બાળક અને દત્તક લેવાવાની વાત યાદ આવી ગઈ.

    ReplyDelete