Monday, June 27, 2011

GYPSY'S DIARY: અનામી સબ-એડીટર

જીપ્સીએ કામ શરૂ કર્યું તે સમયે બ્રિટનમાં ફેસ્ટીવલ અૉફ ઇન્ડીયા શરૂ થયો. શરૂઆતની એસાઇનમેન્ટ હતી ઇંડીયા હાઉસમાં થતી પ્રેસ કૉન્ફરન્સમાં હાજરી આપી, ફેસ્ટીવલના વિવિધ પ્રદર્શનો જોવાનું તથા તેના રિપોર્ટસ્ લખવાનો!
અમારૂં સાપ્તાહિક મુખ્યત્વે સમાચાર પત્ર હોવાથી ભારત તથા બ્રિટનના સમાચાર, ખાસ કરીને ‘એશિયન’ પ્રજાને લગતા સમાચાર છાપવામાં આવતા. બ્રિટનમાં એશિયન એટલે ભારતીય ઉપખંડમાંથી આવેલા લોકો. આના માટે તે સમયે ‘વાયર સર્વિસ’ ભારતીય ભાષાઓમાં નહોતી તેથી છાપવા યોગ્ય સમાચારોનું ગુજરાતી ભાષાંતર કરી, તેનું પ્રૂફ રીડીંગ કરી ડેડલાઇન સાચવવાની. આ કામ સબ-એડીટર (અંગ્રેજીમાં Subby!)નું. મારી મનોકામના મૌલિક લેખનની હતી તે જોઇ તંત્રીશ્રીએ ‘સબી’નું કામ ઉપરાંત લેખન કરવાની રજા આપી. શરત એક માત્ર હતી: અહીં Byline આપવાનો રિવાજ નથી. સાહિત્યના ક્ષેત્રમાં બેનામી કહો કે અનામી, લંડનમાં પ્રસિદ્ધ થયેલો મારો પહેલો લેખ સંક્ષીપ્તમાં(થોડાક સુધારા સાથે) અહીં રજુ કરૂં છું.

શૃંગાર

શૃંગાર અને લાલિત્યની કલ્પના પ્રજાપિતા બ્રહ્માને આવી ત્યારે તેને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે સ્ત્રીનું સર્જન કર્યું. તેમાં પૂર્ણતા લાવવા તેમણે નટરાજ શિવને વિનંતિ કરી. તેમની પ્રેરણાથી આ નવસર્જનમાં ઉમેરાયું એક નવું તત્વ: નૃત્ય! સ્ત્રીની અંગભંગિમા અને હંસ જેવી ચાલમાં નટરાજે આપેલી કળાએ સ્ત્રીને એક વિશીષ્ઠ સૌંદર્ય બક્ષ્યું. હવે બાકી રહ્યું હતું શૃંગારમાં અભિવૃદ્ધિ કરનારા સાધનોનું સર્જન - એટલે વેશભૂષા, આભૂષણ, પોશાક તથા સૌંદર્યના પ્રસાધનો. બ્રહ્માએ તે કેવી રીતે વિકસાવવા તેની કલ્પના તેમણે માનવની બુદ્ધિમતા પર છોડી.
અરૂણાચલમાં શૃંગારનું મુખ્ય સાધન અંગવસ્ત્ર માનવામાં આવ્યું. આની પાછળ એક દંતકથા છે. તેમાંના પાત્રોનાં નામ 'અરૂણાચલી' જ રાખ્યા છે!
બ્રહ્મશક્તિ દેવી ‘માતાઇ’એ તેમની સૌંદર્યશાલિની કન્યા હમ્બ્રુમઇ (હેમ-ભ્રૂ-મયી?)ને સુંદર વસ્ત્ર વણવાની કળા શીખવી. ત્યાંના નિસર્ગરમ્ય વનમાં રમતાં કૂદતાં તેણે વૃક્ષ પલ્લવ જોયા, નદીના વલય, પ્રવાહ નિરખ્યાં અને તેના આકારોને તેણે પોતે નિર્મેલા વસ્ત્રોમાં વણી લીધા. હમ્બ્રુમયીની કલા, તેનાં રૂપ જોઇ અનેક યુવાનો તેની સાથે લગ્ન કરવા આતુર હતા. જંગલમાં રહેતી રાક્ષસીને અસૂયા થઇ. તેને લાગ્યું કે હમ્બ્રુમયીના સૌંદર્યનું રહસ્ય તેણે રચેલા વસ્ત્રોની સુંદરતામાં છે. તેણે શાહુડી (porcupine)નું રૂપ ધર્યું અને હમ્બ્રુમયીએ રચેલા વસ્ત્રો ચોરવા ગઇ. તે મોટા ખડક પાછળ સંતાઇ, તેને સરકાવીને શાળની નજીક ગઇ. તેમાં સુંદર કાપડ વણાતું જોયું અને અધીરતાથી તે ખેંચ્યું. કમભાગ્યે ખડક ખસ્યો અને તેના ધક્કાથી હમ્બ્રુમયી તથા તેની શાળ ખીણમાં પડી અને ખડક તેના શિર પર. દેવકન્યા મૃત્યુ પામી. તેની શાળના અનેક ટુકડા થયા અને આખા અરૂણાચલમાં વેરાઇ ગયા. હમ્બ્રુમયીએ વણેલા વસ્ત્રોમાંની આકૃતિના રંગબેરંગી પતંગિયા થયા અને દેશભરમાં ઉડ્યા.
અરૂણાચલની કન્યાઓએ શાળના ટુકડા વીણ્યા. ચમત્કાર થયો, અને આ ટુકડા નાનકડી શાળમાં બદલાઇ ગયા. દેવીની કૃપાથી અરૂણાચલની નાગકન્યાઓને કાપડ વણવાની કળા પ્રાપ્ત થઇ. આજે (એટલે વીસમી સદીની આખરમાં લખાયેલા લેખના સમયે) પણ અરૂણાચલની યુવતિઓ નાનકડી શાળમાં પોતાના પોશાક વણે છે. જેને હાથવણાટ આવડે નહિ તેને કોઇ પરણે નહિ! કહેવાય છે કે ત્યાંના મોકોકચુંગ અને ઝૂએનોબૂટોની આસપાસના વનમાં ઉડતા પતંગિયાઓની પાંખો પર હમ્બ્રુમયીની ડિઝાઇન જોવા મળશે! અરૂણાચલમાં હાથવણાટના કામળા પર ત્યાંના પ્રત્યેક કબિલાએ પોતાની વિશીષ્ઠતા દર્શાવતા રંગ અને ડિઝાઇન જાળવી રાખ્યા છે, જેમ સ્કૉટલેન્ડની કૅમ્બેલ, મૅકગ્રેગર જેવી clans તથા સ્ટુઅર્ટ રાજઘરાણા પોતપોતાના ‘ટાર્ટાન’ અભિમાનથી પહેરે છે.
“શૃંગાર”ના શિર્ષક હેઠળ ભારતીય વસ્ત્ર પરંપરાનું પ્રદર્શન “અૅર ઇન્ડીયા”ના સૌજન્યથી યોજવામાં આવ્યું છે. જરૂર જોવા જશો!

5 comments:

  1. પુરાતન કાલની કોક સત્યઘટના પરથી આવી વાર્તાઓ બનાવવાનું બધે જ જોવા મળે છે. આવી સરસ માહીતિ આપવા માટે ખૂબ આભાર.

    ReplyDelete
  2. અરૂણાચલ વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ આવી. કદાચ, વણાટકામને પ્રસિધ્ધી અપાવવા માટે આવી કથા પ્રચલિત થઈ હશે એમ લાગે છે. ઘણી અજાણી વાતો જાણવા મળી.

    ReplyDelete
  3. પુરાતન સમયની વાર્તાઓ અને તેની કપોળકલ્પીતતા અંગે બહુ ઉહાપોહ થતો હોય છે. કેટલાકો એને હંબગ ગણીને વખોડતા હોય છે.

    ઘણી વાર એવું કહેવાય છે કે આ વાર્તાઓ પરથી ખોટી પરંપરાઓ શરુ થાય છે. પરંતુ શૃંગારની આ વાર્તા જેવી વાર્તાઓ સુચવે છે કે તેમાં પરંપરાઓનો પડઘો હોય છે. વાર્તા પરથી (ખોટી)પરંપરા શરુ થતી હોય છે અથવા વહેમ અને અંધશ્રદ્ધાના પ્રતીકશી આ વાર્તાઓ હોય છે એવું કહેવામાં આવે છે તે બરાબર નથી.

    હકીકતમાં સારી પરંપરાઓમાં રહેલી અસાધારણતાને સુંદર પરીકલ્પનાઓમાં ફેરવવાનું કલાકર્મ લોકશક્તી કરે છે. કહેવતો, લોકકથાઓ, લોકગીતો આ બધાં સર્જનો રુપકો હોય છે, જે જેતે સમયની અસાધારણતાને ઉચ્ચ સાહિત્યીકતા બક્ષે છે.

    ReplyDelete
  4. @ જુગલકિશોરજી:

    આખ્યાયીકાઓ કે mythની બાબતમાં જોઝેફ કૅમ્પબેલે સરસ પુસ્તક લખ્યું છે. તેમની માન્યતા પ્રમાણે આખ્યાયીકાઓનું મૂળ ઐતિહાસીક પાત્રો તથા તેમની સાથે સંલગ્ન થયેલી વાતો હોય છે. સમય જતાં તેમાં કલ્પનાનાં પૂટ ચઢી તે દંતકથા અને ત્યાર બાદ એક પુરાણકથા બની જાય છે. 'શૃંગાર'ના પ્રદર્શન વખતે ત્યાં વાંચેલી આખ્યાયીકા પરથી વિચાર આવ્યો: કાપડ વણવાની વિદ્યાને કળામાં રૂપાંતરીત કરી તેની પ્રતિષ્ઠા વધારવા માટે દેવકન્યાને તેની સાથે સાંકળવાથી હાથવણાટને ઉચ્ચ સ્થાન મળ્યું. આની સરખામણીમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાં વણકરોની કળાને શું સ્થાન આપવામાં આવ્યું છે? અરૂણાચલમાં દરેક પરિવારની કન્યા માટે જે ગૌરવની વાત છે તેવું અાપણા કે અન્ય રાજ્યોમાં મળે તો?

    ReplyDelete
  5. અરે, આપણા વણકરોની તો શું વાત કરું ? ગાંધીએ આપેલા રેંટિયાને માળિયે ચડાવાયો, એટલું જ નહીં, સૂતર પછીની તરતની જ પ્રક્રિયા – હાથવણાટ –ની દશા શી છે જાણો છો ? આજે રેંટિયા પર કાંતેલું સૂતર વણવા માટે વણકરો રહ્યા નથી !! સૂતરની આંટીઓ કંતાય પણ તેને લેવા કોઈ તૈયાર નથી ! સારી સારી સંસ્થાઓમાં આ જ કારણસર હવે કાંતણ મરજિયાત થતું જાય છે !

    આવતે મહીને હું આ વાત લઈને જ એક જાણીતી સંસ્થામાં વણકરો માટેના ખાસ તાલીમવર્ગો શરૂ કરવા તથા સમાજના ઉચ્ચવર્ગના બેરોજગારોને આ કામે વળગાડવાની ભલામણ સાથે કેટલીક નક્કર યોજના આપવાનો પ્રયત્ન કરવાનો છું.

    ખાદી–ગ્રામોદ્યોગનાં પ્રદર્શનોમાં કેટલાક પ્રદેશોની ખાદી જોઈને મન ઠરે છે. ભલે કથાઓ ન રચાય પણ આ લોકોનો પરિચય સૌને થતો રહે તોય ગનીમત.

    સાભાર, – જુ.

    ReplyDelete