Tuesday, February 10, 2009

વ્યથા

બરેલીમાં કોર્સ પૂર જોશમાં ચાલતો હતો. મારી પ્રગતિ સારી હતી અને અમારા DS (ડાયરેક્ટીંગ સ્ટાફ) મારા કામ પર ઘણા ખુશ હતા. તેવામાં મને પ્રિયદર્શિની અને મારા common friend બૅપ્સી ઇલાવિયાનો પત્ર આવ્યો. તેમણે લખ્યું હતું કે દર્શિનીને હું પહેલી વાર મળ્યો તે પહેલાં તેમના જીવનમાં એક કરૂણ બનાવ બની ગયો હતો.

૧૯-૨૦ વર્ષની વયે દર્શિનીનાં વેવિશાળ તેમની જ્ઞાતિના એક યુવકની સાથે નક્કી થયા હતા. લગ્નનાં થોડા દિવસ પહેલાં આ યુવાન કારણ આપ્યા વગર બીજી સ્ત્રીને પરણી ગયો હતો. દર્શિનીનું સમગ્ર અસ્તિત્વ છિન્નભિન્ન થઇ ગયું હતું. કેમે કરીને તેઓ આ આઘાતમાંથી બહાર આવ્યા, આગળ અભ્યાસ કર્યો અને ગ્રૅજ્યુએટ થયા બાદ અમારી અૉફિસમાં કામે લાગ્યા હતા. તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમના જીવનમાં બીજો યુવાન આવશે, અને લગ્નની વાત કરશે. 'હૅવમોર'માં મારી તેમની સાથે થયેલી મુલાકાત બાદ તેઓ ફરી એક વાર ભાંગી પડ્યા હતા.

બૅપ્સીનો પત્ર વાંચી મારૂં હૃદય વિદીર્ણ થઇ ગયું. દર્શિનીની હાલત માટે હું પોતે જવાબદાર હતો તે વિચારથી મારૂં મન અત્યંત અસ્વસ્થ થયું. આખા ‘કોર્સ’ દરમિયાન તેમાંથી મને કળ ન વળી. શરૂઆતમાં હું યંગ અૉિફસર્સ કોર્સમાં પ્રથમ બે ‘સ્ટુડન્ટ અૉફિસર્સ”માં આવતો હતો. બૅપ્સીના પત્ર બાદ પાછળ પડતો ગયો અને અંતિમ ટર્મમાં સામાન્ય કક્ષા મેળવી શક્યો. મૈત્રી, અપેક્ષા, નિરાશા અને અજાણતાં મારાથી થયેલ મિત્રદ્રોહની ભાવનાના વમળમાં ડૂબવાથી નિપજેલી ઉદાસિનતાએ પરોક્ષ રીતે મારી કારકિર્દી પર પરદો પાડ્યો હતો. મારા ખાસ મિત્ર અને ‘હરીફ’ લેફ્ટનન્ટ મીર યાસુબ અલી પ્રથમ આવ્યા અને તેમને prize posting મળ્યું - આર્મી હેડક્વાર્ટર્સમાં! તેમની આખી સર્વિસમાં ફક્ત બે પોસ્ટીંગ ફીલ્ડ ફૉર્મેશનમાં સ્ટાફ અફસરનો ટેન્યોર કરી બાકીનો પૂરો સમય તેઓ દિલ્લીમાં રહ્યા અને બ્રિગેડીયરના હોદ્દા પર રીટાયર થયા!

જીપ્સી માટે શું આ પ્રેમગાથા હતી? પ્રેમભંગ હતો? તે વખતે મને લાગ્યું હતું કે અમારા સંબંધમાં પરિપક્વ મૈત્રીભાવ હતો. અહીં infatuationનો અંશ સુદ્ધાં નહોતી. પરસ્પર આદર અને સ્નેહની ભાવના હતી. સ્ત્રીઓ કહેશે, અહીં જ સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધ અંગેના સ્ત્રીઓના અને પુરુષોના દૃષ્ટીકોણમાં જમીન-આસમાનનો ફેર જણાઇ આવે છે. પુરુષ તેને સમજદારી અને મૈત્રી કહીને છૂટી પડશે, પરંતુ આવા સંબંધમાં સ્ત્રીના હૃદયને અને તેની ભાવનાના અંતરંગને જાણવા પુરુષ કદી સમર્થ નહિ બની શકે. હું પણ તે સમજી ન શક્યો. દર્શિનીને આહત કરવા માટે મારા હૃદયમાં દુ:ખની અને દોષની ભાવના લાંબા - ઘણા લાંબા સમય સુધી રહી.

આવી હાલતમાં મારી ટ્રેનિંગ પૂરી થઇ અને મારી બદલી ગ્વાલિયરના એક યુનિટમાં થઇ.

નવા યુનિટમાં ઘણી મહેનત કરી દુ:ખને ભુલવાનો પ્રયત્ન કર્યો. વારા પ્રમાણે મને બે મહિનાની રજા મળી. બાને મેં પત્ર લખીને જણાવ્યું કે કઇ ટ્રેનથી હું અમદાવાદ પહોંચું છું. હું કાળુપુર સ્ટેશન પર ઉતર્યો ત્યારે હંમેશની જેમ બા કે મારી બહેનો ન આવી. તેમના સ્થાને મારો પરમ મિત્ર અરૂણ આવ્યો હતો. અમે એકબીજાને પ્રેમથી ‘મોશાઇ’ કહીને બોલાવતા. તેને જોઇ મને આશ્ચર્ય થયું, કારણ કે તે અમદાવાદ બહારની મેડીકલ સ્કૂલના છેલ્લા વર્ષમાં હતો, અને તેને રજાઓ નહોતી. સ્ટેશનમાંથી બહાર નીકળતાં તેણે જે કહ્યું તે સાંભળી હું અવાક્ થઇ ગયો.

અરૂણ મારાથી ત્રણ-ચાર વર્ષ નાનો હતો. હાઇસ્કુલમાં હતો ત્યારથી તેના પિતા તેને ડૉક્ટર બનાવવા માગતા હતા. જ્યારે તે એસએસસીમાં હતો તે સમયે બા અને બહેનોને હું ભાવનગરથી અમદાવાદ લઇ અાવ્યો હતો. સૂ અને દીદી બન્ને એસએસસીમાં હતા અને હું તે વખતે નોકરીની સાથે બી.કૉમ.ની છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારી કરતો હતો. અરૂણના પિતાજીનું ઘર મોટું હતું. તેમાં જુદો સ્ટડી રૂમ હોવાથી ત્યાં અમે ભાઇ-બહેનો અને મારો ‘વિદ્યાર્થી’ અરૂણ સાથે વાંચવા બેસતા. પરીક્ષાઓ પતી ગઇ, બધા પાસ થયા. તે દરમિયાન કે ત્યાર પછી અરૂણ અને સૂ વચ્ચે કોણ જાણે ક્યારે આકર્ષણ નિર્માણ થયું અને તેનું પ્રેમમાં રુપાંતર થયું મને ખબર નહોતી પડી. આમ જોવા જઇએ તો અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા રહેણાકના વિસ્તારોમાં આવું કંઇ થાય તો તેની વાત દાવાનળની જેમ ફેલાઇ જતી હોય છે. આ બન્ને એટલા ચાલાક નીકળ્યા કે તેમના પ્રેમ સંબંધની જાણ કોઇને વર્ષો સુધી પડવા દીધી નહિ. હું મિલીટરી ટ્રેનીંગમાં ગયો, અફસર થઇને આવ્યો - અને ગયો તોય મને તેની જાણ થઇ નહિ. ભોટ તે ભોટ જ રહ્યો.

અરૂણ-સૂના પ્રેમ-પ્રકરણની વાત વર્ષો બાદ - એટલે હું રજા પર આવ્યો તેના થોડા દિવસ પહેલાં બહાર આવી. અમારા મહોલ્લામાં હાહાકાર મચી ગયો.

અરૂણના પિતાજી શહેરના પ્રખ્યાત ડૉક્ટર હતા. જેટલા તેઓ પોતાના વ્યવસાયમાં બાહોશ હતા, તેનાથી વધુ તેઓ પરગજુ સજ્જન હતા. અમારા વિસ્તારના અનેક કુટુંબીજનોનો તેમણે વિનામૂલ્યે ઉપચાર કર્યો હતો. દૂર આવેલ તેમના દવાખાનાના ગરીબ દર્દીઓને પ્રસંગે દવા મફત આપતા અને વિઝીટની ફી પણ નહોતા લેતા. તેઓ ધનાઢ્ય હતા, જ્યારે મારો પરિવાર ભલે ઉચ્ચ કૂળ અને પરંપરાનો હોય, પણ તે સમયે અમારી નાણાંકિય સ્થિતિ સાવ નાજુક હતી. અરૂણાના મમી અત્યંત સુસ્વભાવી, માયાળુ મહિલા હતા, પણ તેમને લાગ્યું કે મેં જાણી જોઇને અરૂણને સૂની નજીક લાવવાનું કાવત્રું કર્યું હતું જેથી સૂ મોટા ઘરમાં દાયજો આપ્યા વગર મોટી વહુ બને. તેમને થયું કે તેમનો વિશ્વાસ જીતી, મેં વિશ્વાસઘાત કર્યો હતો. આ હતું તેમની નારાજીનું કારણ. આમાં તેમનો જરા પણ દોષ નહોતો. તેમના સ્થાને અન્ય કોઇ મહિલા હોત તો તેણે આવું જ ધાર્યું હોત.

તેમની નારાજી જોઇ અમારા ઘનીષ્ટ સંબંધીઓ - અરે, રવિ’દા જેવા મારા ભાઇ પણ અમારી સામે પડી ગયા હતા. મારી ગેરહાજરીમાં અમારાં સગાંઓના મારા પરિવાર સાથેના સંબંધો લગભગ મૃત:પ્રાય થઇ ગયા. બાનું સમાજમાં ઘણું ઊંચું સ્થાન હતું, પણ હવે તેમની અવહેલના થવા લાગી. હું મિલીટરીમાં ડ્યુટી બજાવી રહ્યો હતો તેથી ઘરમાં અને મહોલ્લામાં પ્રવર્તતી પરિસ્થિતિનો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. હું વ્યથિત ન થઉં તે માટે બાએ મને કદી પત્રમાં આની જાણ નહોતી કરી. ઘેર પહોંચતાં વેંત આ વિષમ પરિસ્થિતિની ઝાળ મને ભસ્મ ન કરે તે માટે અરૂણમોશાઇ મને સ્ટેશન પર ચેતવવા આવ્યો હતો.

મોશાઇની વાત સાંભળી હું હેબતાઇ ગયો. ક્ષણભર શું કરવું તેનો વિચાર પણ ન કરી શક્યો. અંતે રિક્ષા કરી ઘેર ગયો.

1 comment:

  1. Really a complex situation in Life & VYATHA is the right word...then what happened ?
    Dr, Chandravadan Mistry
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete