Showing posts with label સલાહ કેન્દ્ર (૧). Show all posts
Showing posts with label સલાહ કેન્દ્ર (૧). Show all posts

Wednesday, July 6, 2011

સલાહ કેન્દ્ર (૩)

જીપ્સીના જૉબ ડિસ્ક્રીપ્શનમાં સંસ્થાના મૅનેજમેન્ટ સાથે મૅનેજમેન્ટ કમિટીને બંધારણ મુજબ કાર્ય કરવામાં સલાહ આપવાનું તથા તેમના facilitator તરીકે કામ કરવાનું હતું. બ્રિટનનો હવે તેને સારો એવો અનુભવ મળ્યો હતો. તેણે જોયું કે NGO સેક્ટરમાં કામ કરનારી કેટલીક સ્વયંસેવક સંસ્થાઓના મૅનેજર એટલા શક્તિશાળી થઇ ગયા હતા, તેમની મૅનેજમેન્ટ કમિટીઓ તેમના કહેવા પ્રમાણે જ ચાલે. અમારી સંસ્થામાં જીપ્સીએ પોતાનો ‘રોલ’ શરૂઆતથી જ સ્પષ્ટ કર્યો હતો અને નાણાંકીય બાબત, નવા કાર્યક્રમની યોજના વગેરે મૅનેજમેન્ટ કમિટી આગળ રજુ કરી, મંજુર કરાવી તેનો અમલ કરવાનું શરૂ કર્યું. આની અંતર્ગત દિવાળી માટે અમે સુંદર કાર્યક્રમ યોજ્યો. આખો દિવસ ચાલનારા કાર્યક્રમમાં અમે ભારતીય ઉપખંડ - ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા શ્રીલંકાના તથા વેસ્ટ ઇંડીઝના અગ્રણીઓને તેમની સંસ્કૃતી, સભ્યતા વિશે માહિતી આપવા ઉપરાંત તેમણે બ્રિટનના ઉત્કર્ષ માટે કરેલા યોગદાન વિશે વીસ-વીસ મિનીટના સેમિનાર અને પ્રેઝન્ટેશન કરવા નિમંત્રણ આપ્યું. તેમાં દેશ વિદેશના પરંપરાગત નૃત્યો, આયર્લન્ડના મૉરીસ ડાન્સર્સ આવ્યા. ખાસ વાત તો એ હતી કે ભારતની સંસ્કૃતિ તથા તેનો બ્રિટન પર પડેલ પ્રભાવ વિશે પ્રવચન આપવા અમે સ્કૂલ અૉફ એશીયન અૅન્ડ આફ્રીકન સ્ટડીઝના લેક્ચરર ડૉ. રૂપર્ટ સ્નેલને બોલાવ્યા. આનું ખાસ કારણ એ હતું કે આપણે આપણાં પોતાનાં બણગાં ફૂંકવાને બદલે તેમના જ પ્રતિનિધિ દ્વારા આપણા દેશના ઉત્સવની બાબતમાં objective ભાષણ અપાય તે વધુ સારૂં એવું લાગ્યું. ડૉ. સ્નેલ ભારતમાં દસ વર્ષ રહી વ્રજ ભાષા પર રિસર્ચ કરી આવ્યા હતા અને હિંદી અસ્ખલીત બોલી શકતા હતા. અંતે હતું આપણું પરંપરાગત ગુજરાતી થાળીનું ભોજન.
સમગ્ર કાર્યક્રમમાં અમે ધર્મ વિશેની ચર્ચાને સ્થાન આપ્યું નહોતું. આપણા માટે દિવાળી એક સાંસ્કૃતીક અને પારિવારીક ઉત્સવ હોય છે. તેમાં મોટાંઓને પગે પડવા જવાની પરંપરા હજી જળવાય છે તેનું અમે અહીં આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભાગ લેવા અમે અમારા બરોમાંના ભારત-પાકિસ્તાનના સિનિયર સિટીઝન્સ ઉપરાંત બ્રિટીશ, વેસ્ટ ઇન્ડીયન, આયરીશ સિનિયર સિટીઝન્સના સભ્યો, કાઉન્સીલના સભ્યો તથા સોશીયલ સર્વિસીઝના અધિકારીઓને આમંત્રણ આપ્યાં. આમાં એક રમુજી બનાવ બની ગયો!
અંગ્રેજોના એક સિનિયર સિટીઝન્સ ગ્રુપનું સંચાલન એક બૅપ્ટીસ્ટ ચર્ચના પાદરી કરતા હતા. ‘દિવાળી સેલીબ્રેશન’ માટે પધારવાનું આમંત્રણ જોઇ તેઓ આખલો લાલ રંગ જોઇ ભડકે તેમ ધૂઆંપૂંઆ થઇ ગયા. “તમે લોકો દિવાળી દેવીની પૂજા કરવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે તેમાં અમે અને અમારા સભ્યો ભાગ ન લઇ શકે. અમે કેવળ પિતા, પુત્ર તથા પવિત્ર આત્મા (Father, the Son and Holy Ghost)માં માનીએ છીએ. તમારી મૂર્તિપૂજા અમારા માટે નિષિદ્ધ છે વ.વ.” અમે તેમની ભૂલ સુધારીને જણાવ્યું કે આ સાંસ્કૃતીક કાર્યક્રમ હતો, અને તેઓ તેમના વૃધ્ધ સભ્યોને તેમાંથી વંચિત રાખવા માગતા હોય તો તે તેમની મુનસફીની વાત હતી. અમને દુ:ખ થયું હોય તો એક વાતનું કે તેમના ત્રીસ સભ્યો સ્વાદીષ્ટ ભોજનનો લહાવો ન લઇ શક્યા.
કાર્યક્રમ પૂરો થયા બાદ જીપ્સીને મળવા સોશિયલ સર્વિસીઝનાં એક વરીષ્ઠ કાર્યકર શુચિ ભટ્ટ આવ્યા. જીપ્સીને ખાસ અભિનંદન આપીને જતાં જતાં તેઓ કહેતા ગયા કે તેમની અૉફિસમાં એશિયન સ્પેશીયાલિસ્ટની જગ્યા લાંબા સમયથી યોગ્ય ઉમેદવાર ન મળવાને કારણે ખાલી છે. જીપ્સીને તેમાં રસ હોય તો તેમને જણાવે!
એક દિવસ અમને ખરાબ સમાચાર મળ્યા. કાન્તિકાકા અમીન, જેમણે મારી નીમણૂંકમાં મોટો ભાગ ભજવ્યો હતો, તેમને સ્ટ્રોક આવ્યો. પૅરેલીસીસને કારણે તેમનાથી ઘર બહાર નીકળી શકાય તેવું નહોતું તેથી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.
હવે ખાલી પડેલી તેમની જગ્યા માટે બે જણાએ આવેદન પત્ર ભર્યા. તેમાંના એક તો અમારી સંસ્થાના જુના કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર રામજીભાઇ હતા અને બીજા શ્રી. દાડમીયા. (આ તેમનું સાચું નામ નથી, પણ જો કોઇ વાચકના સગામાં આ નામના કોઇ સભ્ય હોય તો તેમની પહેલેથી જ ક્ષમા માગી લઉં છું.) જેમ આર્કિમીડીસે કહ્યું હતું કે જો તેમને યોગ્ય લંબાઇની pulley મળે તો પૃથ્વીને પણ ઉંચકી શકે. દાડમીયાને આવી કોઇ પૂલીની જરૂર ન પડે. ભારતના સદ્ભાગ્યે તેમનો જન્મ ઝામ્બીયામાં થયો હતો અને ત્યાં જ જન્મારો કાઢ્યો હતો. ભારત તેમની કરામતમાંથી બચી ગયું!
ઝામ્બીયામાં તેમણે એવા તે શા કાર્ય કર્યા કે સરકારે તેમને ડીપોર્ટ કર્યા. અમારા દુર્ભાગ્યે તેઓ બ્રિટીશ પ્રોટેક્ટેડ પર્સન હોવાથી લંડન આવ્યા. સેક્રેટરીના પદ માટે રામજીભાઇ યોગ્ય હતા. વ્યવસાયે નિવૃત્ત શિક્ષક, પ્રામાણીક અને સમાજમાં ઉંચી શાખ. દાડમીયાએ ચૂંટણી પહેલાં ગુપ્ત મેનીફેસ્ટો બહાર પાડ્યો: મને ચૂંટશો તો દરરોજ નાસ્તામાં ગાંઠીયા જલેબી આપીશ. સભ્યોને લીલાલહેર કરાવીશ. તે સમયે અમારી ભગિની સંસ્થામાં કમ્યુનીટી વર્કરની જગ્યા ભરવાની હતી, ત્યાં લીલારામે તેમના મૅનેજરને વચન આપ્યું કે જો સીલેક્શન બોર્ડમાં તેમને લેવામાં આવે તો તે જગ્યા પર તેમનાં પત્નિની નીમણૂંક કરવામાં મદદ કરશે. બદલામાં ચૂંટણીમાં કોઇ પણ હિસાબે રામજીભાઇ ચૂંટાવા ન જોઇએ. આ સિદ્ધ કરવા માટે અમારે ત્યાંની ચૂંટણીમાં રીટર્નીંગ અૉફિસર તરીકે તેમને નીમવામાં આવશે. પેલાં બહેનને કામ મળ્યું અને બદલામાં રીટર્નીંગ અૉફિસરે દાડમીયાનું કામ કર્યું. રામજીભાઇના આવેદનપત્રમાં તેમણે ટેક્નીકલ ક્ષતિ બતાવી રદ કર્યું. જીપ્સીએ તે સામે વાંધો લીધો તો તેને કહેવામાં આવ્યું કે ચૂંટણીની બાબતમાં ગ્રુપના કર્મચારીને બોલવાનો અધિકાર નથી, કારણ કે આ કામ માટે “નિષ્પક્ષ” રીટર્નીંગ અૉફિસરની નીમણૂંક થઇ હતી. ચૂંટણી અંગે કોઇ પણ નિર્ણય લેવાનો તેમને એકલાને જ અધિકાર હતો! દાડમીયાજી ચૂંટાઇ આવ્યા. દરરોજ ગાંઠીયા જલેબી આપવાનું વચન તેમણે એક અઠવાડીયું પાળ્યું, કારણ કે અમને મળતી ગ્રાન્ટમાં તેની જોગવાઇ નહોતી! પણ ત્યારથી અમારી સંસ્થાની અવનતી શરૂ થઇ ગઇ. આની વાત આગળ જતાં કરીશું.
અમારૂં સલાહ કેન્દ્ર ધમધોકાર ચાલતું હતું. આમાંનો આજે એક જ પ્રસંગ જણાવીશ.
એક દિવસ જીપ્સીનું નામ પૂછતાં એક બહેન તેમના ચાર વર્ષના પુત્રને લઇ આવ્યા. નામ રઝીયા. તેમના એક સગાં અમારી પાસે સિટીઝનશીપનું ફૉર્મ ભરાવવા આવ્યા હતા, તેમણે તેમને અમારી ભલામણ કરી હતી.બ્રિટનમાં જન્મ અને શિક્ષણ તેથી કુદરતી રીતે અંગ્રેજી સરસ બોલતા હતા. તેઓ કાઉન્સીલના ફ્લૅટમાં રહેતા હતા જ્યાં તેમને, તેમના પતિ તથા નાનકડા બાળકને વર્ણદ્વેષી લોકો અત્યંત ત્રાસ આપતા હતા. અમે કાઉન્સીલ પાસે રજુઆત કરી તેમને બીજું મકાન ન અપાવી શકીએ? અમે તેમનો કેસ ઉપાડી લીધો. અનેક પ્રયત્નો બાદ તેમને બીજો ફ્લૅટ મળ્યો. તેઓ ત્યાં રહેવા ગયા બાદ શુક્રીયા કહેવા જીપ્સીને મળવા આવ્યા. આ વખતે તેમના પતિ પણ સાથે હતા. વાત કરતાં સાશ્ચર્ય આનંદ થયો: ભાઇ અમદાવાદના હતા! બસ, ઘણી વાતો કરી, જુની ઓળખાણો નીકળી. મારી અટક સાંભળી તેમણે પૂછ્યું, “અમદાવાદ સિવિલ કોર્ટના જજ શ્રી.મધુકર બળવંતની અટક તમને મળતી આવે છે, તે તમારા શું થાય?”
તે મારા મોટા ભાઇ હતા.
“એમ? એ તો મારા વાલિદ સાહેબના ખાસ પરિચિત અને મિત્ર છે. મારા વાલિદ સાહેબ ગુજરાત બાર કાઉન્સીલના પ્રેસીડેન્ટ છે. તેઓ આવતા મહિને અહીં આવવાના છે. તમે દાવત પર જરૂર આવજો!”
તેઓ આવ્યા અને જીપ્સી તેમને મળવા ગયો. તે સમયે ગુજરાતમાં કોમી અશાંતિ ચાલતી હતી. ઘણાં લોકોને TADAમાં તથા સામુદાયીક દંગલમાં સહન કરવું પડ્યું હતું. વાત વાતમાં મેં તેમને પૂછ્યું, “વતનમાં આટલી તકલીફ ભોગવવી પડે છે, તો આપ બ્રિટન કાયમ માટે કેમ નથી આવતા? અહીં આપના પુત્ર છે, રઝીયા જેવી વહુ છે...”
“ક્યા બાત કરતે હો, ભાઇ? ભારત હમારા વતન હૈ, ઉસ મિટ્ટીમેં સદીયોંસે હમ લોગ પલે, આગે બઢે. ઐસી બાતેં તો હોતી રહેતી હૈ, વહ ભી કુછ સરફિરે misguided લોગોંકી વજહસે. નહિં ભાઇ, ઉન લોગોંકી વજહસે હમ હમારા વતન નહિં છોડ સકતે.”

જીપ્સીનું સલાહકેન્દ્ર (૨)

સલાહ કેન્દ્ર (૨)

અમારા સલાહ કેન્દ્રમાં એક ભાઇ આવ્યા. કપાળમાં ચાંદલો, માથા પર ગોલ્ફ કૅપ, વૂલન કોટ અને ગળામાં મફલર.
“મેં સપ્લીમેન્ટરી માટે ત્રણ વાર ક્લેમ કર્યો, પણ ત્રણે વાર સરકારે ના પાડી. હવે તમારી પાસે આશા લઇને આવ્યો છું.”
જીપ્સીએ કેસની વિગત અને પત્રવ્યવહાર માગ્યો. સરકારે ના પાડવાનું કારણ એક હતું: ભાઇ સ્વૉન્સી (વેલ્સ)થી આવ્યા હતા. ત્યાં પણ બેનીફીટ પર હતા. અહીં લંડન આવીને તેમણે મકાન વેચાતું લીધું હતું. આના માટે તેમની પાસે પૈસા ક્યાંથી આવ્યા તેની પૃચ્છા કરવામાં આવતાં તેઓ સંતોષકારક જવાબ નહોતા આપી શક્યા. અમે પણ તેમને એ જ કહ્યું. કાયદા પ્રમાણે કોઇની પાસે (તે સમયે) ૩૦૦૦ પાઉન્ડથી વધારે રકમ હોય તેમને બેનીફીટ ન મળે. ભાઇએ મકાન લેવા ડાઉન પેમેન્ટના ૧૫૦૦૦ પાઉન્ડ રોકડા આપ્યા હતા. આ ક્યાંથી આવ્યા એવી પૃચ્છા કરવામાં આવી હતી.
“આ પૈસા અમે અમારા સગાં વહાલાં અને મિત્રો પાસેથી ઉધાર લીધા હતા.”
અમે તેની પૂરી વિગત માગી, કોણે કેટલા પૈસા આપ્યા, તેમનાં નામ તથા સરનામાં માગ્યા, જેથી અમે ડીપાર્ટમેન્ટને તેની વિગત આપી શકીએ. ભાઇ આ વિગત લાવ્યા અને અમે તેમના ક્લેમના સપોર્ટમાં પત્ર મોકલી આપ્યો.
ડીપાર્ટમેન્ટે ખુલાસો મંજુર કર્યો અને ફરીથી ક્લેમ કરવા માટેનાં ફૉર્મ મોકલી આપ્યા. અમે ફૉર્મ ભરવા લાગ્યા. જ્યારે પ્રશ્ન આવ્યો “તમારી પાસે કોઇ પણ જાતની બીજી આવક છે?” તેમણે પહેલાં ના કહી. તેમના જવાબમાં અચકાટ જોઇ જીપ્સીને લાગ્યું ભાઇ કશુંક છુપાવી રહ્યા છે. ભારપૂર્વક પ્રશ્ન પૂછવાથી તેમણે કહ્યું, “આમ તો કશી આવક નથી, પણ અમારા ઘરમાં અમારા ગામથી વિઝા પર આવેલા ચાર ભાઇઓ રહે છે, ઇ બધા દર અઠવાડીયે પચીસ-પચીસ પાઉન્ડ આપે છે. અમે રસીદ-બસીદ નથી આપતા. ગામના છે એટલે અમે બજારભાવ કરતાં સાવ ઓછા પૈસા લઇએ છીએ. એમને પણ ફાયદો અને અમને પણ. હવે જેની રસીદ ન આપીએ તેને આવક થોડી ગણાય?”
“માફ કરશો, પણ આ આવકને કારણે તમને બેનીફીટ ન મળી શકે.”
“તમતમારે ઇમાં ના લખી દ્યો. સરકારને કહી દ્યો અમને કશી આવક નથી.”
“અમારાથી આવા ખોટાં ફૉર્મ ન ભરાય,” કહી અમે તેમને ‘આવજો’ કહ્યું.
બીજા દિવસે આ ભાઇની સાથે તેમનાં દિકરી આવ્યા. વેલ્શ accentમાં ફાંકડું અંગ્રેજી બોલી અમને ધમકાવવા લાગ્યા.”તમે અમને મદદ કરવા બંધાયા છો કારણ કે તમને તમારા પગાર માટે ગ્રાન્ટ મળે છે, તે અમે આપેલા ટૅક્સમાંથી આવે છે. તમે ના પડશો તો અમે કાઉન્સીલમાં ફરિયાદ કરીશું અને તમારી ગ્રાન્ટ બંધ કરાવી દઇશું. તમે નોકરી વગરના થઇ જશો!”
“તમે કાઉન્સીલમાં ફરિયાદ કરી શકો છો. અમે ગેરકાયદેસર કામ ન કરી શકીએ.” હવે ભાઇ વચ્ચે પડ્યા. “અરે, ભાઇ રે’વા દ્યોને! તમારાથી ન થતું હોય તો કંઇ વાંધો નહિ. અમે બીજા ગ્રુપમાં જઇને ત્યાં કરાવી લઇશું. એમના વર્કર અમારા જેવા કેસ માટે સો-બસો પાઉન્ડ લઇને કામ પતાવતા હોય છે. તમે મફત કરો છો તેથી તમારી પાસે આવ્યા. અમને શી ખબર કે તમે રાજા હરીશ્ચંદ્રના અવતાર છો?” કહી તેઓ ચાલ્યા ગયા.
એક મહિના બાદ તેમણે જણાવેલા ગ્રુપમાં જન્માષ્ટમીનું ફંક્શન હતું. તેમના ‘વર્કર’ના આગ્રહથી અમે ત્યાં ગયા ત્યારે જોયું કે અમારા ex-client ભજનમાં જોર જોરથી મંજીરા વગાડતા હતા. ભોજન સમારંભમાં આગ્રહથી સૌને પીરસતા હતા. જીપ્સી પાસે આવ્યા ત્યારે હસીને કહ્યું, “તમે તો ના પાડી, પણ આ પર્વતેશભાઇએ ફૉર્મ ભરીને પાસ પણ કરાવી દીધું. બસો પાઉન્ડ ગયા, પણ છ મહિનાથી અમને અઠવાડીયાના સો પાઉન્ડ મળવા લાગી ગયા છે...”

*
લગભગ આ સમયે ઇમીગ્રેશનના કાયદામાં હળવાશ આવી. સરકારે નૅચરલાઇઝેશનની કાર્યવાહી સરળ કરી, પણ ફી વધારીને દોઢસો પાઉન્ડની કરી. આનાં ફૉર્મ સાદાં હતા, પણ સિટીઝનશીપનો મામલો હોવાથી લોકો સૉલીસીટર પાસે જવા લાગ્યા. ત્યાં તેમની ફી લગભગ અઢીસોથી ત્રણસો પાઉન્ડની હતી. અમે હોમ અૉફીસને પત્ર લખી સો જેટલા ફૉર્મ મંગાવ્યા અને સલાહકેન્દ્રની બહાર મોટું બોર્ડ લગાડ્યું: “અહીં સિટીઝનશીપનાં ફૉર્મ મફત ભરી આપવામાં આવે છે.” શરૂઆતમાં ચાર-પાંચ લોકો આવ્યા. અમે તેમનાં ફૉર્મ ભર્યા અને કહ્યું, સરકારી ફીનો ચેક કે પોસ્ટલ અૉર્ડર આ ફૉર્મ સાથે બીડી, પોસ્ટઅૉફીસમાં જઇ રેકોર્ડેડ ડીલીવરીથી મોકલજો.”
“ભાઇ તમને ચેક આપીએ તો તમે તે ન મોકલી આપો?”
અમારે પૈસાને હાથ લગાડવો નહોતો. અમે ના પાડી. બસ, ચાર દિવસમાં તો અમારે ત્યાં લાઇન લાગી ગઇ. અમે, એટલે કલ્પના પટેલ, ભારતીબેન દવે અને જીપ્સી રોજનાં પંદરથી વીસ ફૉર્મ ભરીએ. અમારા બરોની બહારના લોકો પણ આવવા લાગ્યા. અહીં પૈસા લેવામાં આવતા નથી, તેની જાહેરાત લોકોએ જ કરી! અમે હોમ અૉફિસ પાસેથી વધારે ફૉર્મ મંગાવતા ગયા, અને ભરતા ગયા. ત્રણ મહિનામાં અમે હજારે’ક જેટલાં ફૉર્મ ભરી આપ્યા!
જો કે અમારા સાથી કેન્દ્ર્ના પર્વતેશભાઇ તેમની ‘અંગત’ સર્વિસની સ્પેશલ ફીના દર ફૉર્મ દીઠ અઢીસો પાઉન્ડ લેતા. ત્રણ મહિનામાં તમને સિટીઝનશીપ મેળવી આપવાની ગૅરન્ટી આપતા એવી વાત આવી. દર શુક્રવારે તેઓ અંગત સર્વિસ હેઠળ વીસે’ક જેટલી અરજીઓ લઇ ક્રૉયડનમાં આવેલી હોમ અૉફિસમાં જઇ જાતે ફૉર્મ આપતા. આમ પણ કોઇ અંગત ન જાય તો’ય બેથી ત્રણ મહિનામાં સિટીઝનશીપનાં સર્ટીફીકેટ આવી જતા તેથી તેમની ‘સ્પેશલ સર્વિસ’ કેવળ નામની હતી.
અમારી પાસે એક ભાઇ આવ્યા. “તમે આ સેવા મફત આપો છો એવી જાણ હોત તો અમે પર્વતેશ પાસે ન ગયા હોત. તેમણે મને સ્પેશલ ફીની રસીદ આપી છે. અમે કાઉન્સીલમાં ફરિયાદ કરવા જઇએ છીએ. તમે અમને મદદ ન કરી શકો?”
અમે ના કહી. કારણ સાદું હતું. અમારા NGO ક્ષેત્રમાં આપણા લોકો માટે કામ કરનારી સંસ્થાઓ સાવ ઓછી હતી. તેમાં પણ જો આવી ફરિયાદ જાય તો આપણી આખી કોમ બદનામ થઇ જાય. અમે અમારા ક્ષેત્રના આગેવાન ગણાતા મુશ્તાકભાઇ દ્વારા ગિરીરાજભાઇને સમજાવ્યા. તેમણે ફરિયાદી ભાઇને તેમના પૈસા પાછા આપ્યા અને રસીદ પાછી લીધી. ત્યાર પછી તેમણે રસીદ આપવાનું બંધ કર્યું, પણ સ્પેશલ સર્વિસ ચાલુ જ રહી. સાથે ફી પણ.

બ્રિટન આવેલા આપણામાંના ઘણા લોકો અંગ્રેજોને ગાળો આપતા. ‘અમારા દેશને exploit કરીને તેમણે લૂંટ્યો છે. તેમની પાસેથી આ લૂંટ પાછી મેળવવી આપણૌ હક્ક છે.” પરંતુ આપણાં જ ભાઇબહેનોને લૂંટવાનો અધિકાર તેમને કોણે આપ્યો હતો તે અમને કદી ન સમજાયું.

બીજી વાત અમને ન સમજાઇ તે હતી માન અકરામની. જાહેર સેવાના ક્ષેત્રમાં અખબારોના સંપાદકોથી માંડી ગિરીરાજભાઇ જેવા અનેક લોકોને મહારાણી પાસેથી ઇલ્કાબ લેવાની સ્પર્ધા રહેતી. લોકો પાસેથી સહીઓ એકઠી કરી MBE કે OBE (મેમ્બર અૉફ ધ બ્રિટીશ એમ્પાયર કે અૉર્ડર અૉફ ધ બ્રિટીશ એમ્પાયર) તેમને મળવો જોઇએ તેવી વિનંતિઓ જવા લાગી. સાચી લોકસેવા કરનારા નવનીત ધોળકીયા કે સ્વરાજ પૉલને લૉર્ડની પદવી અપાય તો અમને ઓછામાં ઓછો MBE તો મળવો જોઇએ ને? અમે પણ અઠવાડીયામાં એક વાર સત્સંગ યોજીએ છીએ! અમારી કદર થવી જોઇએ!
એક વાત સાચી કે મહારાણી આ ઇલ્કાબ લોકોએ કરેલી જનસેવાની કદર કરવા માટે આપે છે. મારા પરિચિત શંકર જોષીએ તેમના ખાતામાં ૩૦ વર્ષની નોકરી દરમિયાન કરેલા મહત્વપૂર્ણ કામ (જેમાં તેમણે લાખો પાઉન્ડની કરચોરી પકડવામાં મદદ કરી હતી) તે માટે MBE મળ્યો હતો. જો કે અમારા NGO ક્ષેત્રમાં મોટા ભાગના લોકો તેને status symbol ગણી તેની પાછળ આંધળી દોટ મૂકવા લાગ્યા. તેમને એ પણ યાદ ન રહ્યું કે ભારત સ્વતંત્ર થયા બાદ બધી વસાહતો સ્વતંત્ર થઇ. બ્રિટન પાસે ‘એમ્પાયર’ ન રહ્યું. આ લોકો ક્યા બ્રિટીશ એમ્પાયરના મેમ્બર, અૉર્ડર કે કમાંડર અૉફ બ્રિટીશ એમ્પાયરના માન અકરામની ખ્વાહેશ રાખતા હતા?
જીપ્સી એ અજ્ઞાન સૈનિક છે. આવી બાબતો તેને સમજાતી નથી. રાજકારણ તેનું ક્ષેત્ર નથી તેથી આવા પ્રશ્ન તેણે ન પૂછવા સારા માની પોતાના કામમાં લાગી જાય છે!