Monday, February 21, 2011

પરિક્રમા:બિહાર

૫.

બિહાર - ૧૯૯૮

રામેશ્વર પ્રસાદ સિન્હા નાલંદા બ્લૉક અૉફિસમાં કારકુન હતા. રોજ સવારે પોતાના ગામ વિષ્ણુપુરથી આઠ કિલોમીટર દૂર અૉફિસમાં સાયકલ પર જતા. આજે તૈયાર થતા હતા ત્યાં ખડકી બહારથી અવાજ આવ્યો, “રામબાબુ ઘરમાં છે? અમે માધો, અકબરપુરથી આવ્યા છીએ.”

અકબરપુર રામેશ્વરના વૃદ્ધ અને વિધુર કાકા રિટાયર્ડ સુબેદાર રામ પ્રતાપનું ગામ. માધો તેમનો જુનો ખેડૂત હતો. તેને અચાનક આવેલ જોઇ રામેશ્વરને ચિંતા થઇ.

“આવ, માધો અંદર આવ. પ્રતાપકાકાની તબિયત તો સારી છે ને?”

“ના રામબાબુ. સમાચાર સારા નથી. સુબેદાર સા’બ ગઇકાલે બપોરના....” કહેતાં કહેતાં માધો ભાંગી પડ્યો.

રામેશ્વર માધોને ફળીયામાં લઇ આવ્યા. તે જમીન પર બેસવા જતો હતો પણ રામેશ્વરે તેને રોકીને મુંઢા પર બેસાડ્યો.

“ગઇ કાલ સવારથી તેમની તબિયત નરમ હતી. હું અને મિસરી - મારી બૈરી, તેમની સેવા કરવા તેમની પાસે બેઠા હતા. મેં તેમને પૂછ્યું પણ ખરૂં કે હું તમને તેડી આવું કે કેમ, તો તેમણે ના પાડી.” વાત કરતાં કરતાં માધોની આંખ ભરાઇ આવી.

રામેશ્વરની પણ આંખો ભરાઇ આવી. “કાકાને બહુ તકલીફ તો નહોતી થઇને?”

“ના, છેલ્લી ઘડીએ થોડો શ્વાસ ભારે થયો....”

એટલામાં રામેશ્વરની પત્નિ રાધા પિત્તળના પ્યાલામાં માધો માટે ચા લઇ આવી. માધોએ અંગુછાને પ્યાલા ફરતો વિંટી ચાનો મોટો ઘૂંટડો લીધો.

“શું કરીએ, ભૈયાજી? અમે પાડોશીઓ તથા પંડિતજીને બોલાવ્યા તો તેમણે કહ્યું, સૂર્યાસ્ત પહેલાં સંસ્કાર થવા જોઇએ. અાપને બોલાવવાનો સમય નહોતો. માસ્ટરજી, સરપંચ, ગામના મહાજન - બધા આવ્યા હતા. અમે તો નીચા વરણના લોક એટલે એમણે અમને દૂર રાખ્યા. તેમણે પંડિતજીને પૂળો મૂકવાનું કહ્યું. અમે પરોઢિયે બસ સ્ટૉપ ગયા અને પહેલી બસ પકડીને અહીં આવ્યા.”

“બડી મહેરબાની, માધો. તેં સારૂં કર્યું સીધો અહીં આવ્યો.”

“રામબાબુ, અમે હવે આપની રજા લઇશું. અમારે પટના જઇને રૂબ્બતીને સમાચાર આપવાની છે.” રૂપવતી સુબેદાર સાહેબની એકમાત્ર દીકરી હતી.

“માધો, રૂપને હું તારથી ખબર કરી દઇશ. તું પટના પહોંચે તે પહેલાં તેને તાર મળી જશે, તેથી તું અકબરપુર પાછો જા અને ઘર ઠીક ઠાક કરી રાખ. હું, રાધાજી અને કિશોર સાંજ સુધીમાં પહોંચી જઇશું.” કિશોર રામેશ્વરનો આઠ વર્ષનો પુત્ર હતો.

“શું વાત કરૂં, ભૈયાજી? બપોરે મિસરીએ રાંધેલી કાંજી જમીને સુબેદાર સાહેબે આરામ કર્યો. ચાના સમયે હું તેમને પૂછવા ગયો ત્યારે તેમણે મને તેમની નજીક બેસવાનું કહ્યું. મને કહે, ‘માધો, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ. અમારો સમય આવી ગયો છે. રામબાબુ આવે તો તેને કહેજે કે અત્યાર સુધી તે અને રાધા રૂબ્બતીના મોટાભાઇ અને ભાભી હતા. અમારા ગયા બાદ તેમણે મારી રૂબ્બતીના વડીલ થઇને તેને સંભાળવાની છે.’ આટલું કહેતાં તો તેમનો શ્વાસ ચઢવા લાગ્યો. થોડી વારે મને કહ્યું, ‘રામને ખાસ કહેજે કે તેણે મારા માટે અને રૂબ્બતી માટે જે કર્યું તેનો ઉપકાર આવતા સાત જનમમાંય ઉતારી નહિ શકું.’ અમે ઉતરતી જાતના છીએ, તેમ છતાં તેમણે મારા હાથે પાણી પીધું અને આંખો મિંચી.”

પરસાળમાં બેઠેલી રાધા આંસુ રોકવાનો પ્રયત્ન કરી રહી હતી.

“ભૈયાજી, અમારો તો આધાર ગયો. અત્યાર સુધી સુબેદાર સાહેબની કૃપાથી અમે જીવતા હતા. દુકાળમાં અને રૂબ્બતીના લગનમાં સાહેબે જમીન વેચી ત્યાં સુધી અમે તેમની ખેતી કરી ગુજરાન કરતા હતા. ત્યાર પછી પણ સુબેદાર સાહેબે તેમના પેન્શનમાંથી અમને નિભાવ્યા. હવે તો...” તેણે ફરી એક વાર આંસુ લૂછ્યાં.

રાધા માધો માટે શિરામણ લઇ આવી.

“માધો, તું કશી ચિંતા કરીશ મા. પરમાત્મા બધાયનું ધ્યાન રાખે છે. તું ક્યાં અમારા માટે પારકો જણ છે? ભગવાન આપણને જે આપે છે તે આપણે સહુ વહેંચી લઇશું.”

“સુબેદાર સાહેબ અમસ્થું નહોતા કહેતા કે અમારા રામબાબુ આદર્શ પુત્ર છે.”

શિરામણ પતાવીને માધોએ રજા માગી, રામેશ્વરે તેને અકબરપુર જવાના બસ ભાડાના તથા વાટખર્ચીના પૈસા આપ્યા અને તેને બસ સ્ટૉપ મૂકવા ગયા.

રામેશ્વર બસ સ્ટૉપથી પાછા ફર્યા ત્યાં રાધાએ તેમના માટે નહાવાનું ગરમ પાણી તૈયાર રાખ્યું હતું. નાહીને તે કામ પર જવા નીકળ્યા.

ગામના કાચા રસ્તા પરથી સ્ટેટ હાઇવે પર પહોંચ્યા અને સાયકલનાં પૈડાંની સાથે તેમનું મન વિચારચક્રમાં પડી ગયું.

પ્રતાપકાકાને રામેશ્વર પ્રત્યે અત્યંત સ્નેહ હતો. જ્યારે જ્યારે બે મહિનાની રજા પર ઘેર આવતા ત્યારે તેમની મસ મોટી કાળી કિટ બૅગમાંથી તેના માટે પુસ્તકોનું પાર્સલ કાઢીને ભેટ આપતા. તે વખતે તે ઘણા નાના હતા, અને ત્યારથી જ તેમને વાચનનો શોખ લાગ્યો હતો. આગળ જતાં સ્વામી વિવેકાનંદના પ્રવચનોના પુસ્તક, લોકનાયકની વિચારસરણીથી પ્રભાવિત થઇને એક આદર્શવાદી યુવાનમાં તેમનું ઘડતર થયું હતું. સત્તર વર્ષના હતા અને હાઇસ્કુલમાં ઉત્તમ કક્ષા મેળવી હતી તેથી તેમને પટનાની કૉલેજમાં દાખલો મળ્યો હતો અને નાનકડી સ્કૉલરશીપ. તેમના પિતાજી દર મહિને મની અૉર્ડર મોકલતા. કમનસીબે કૉલેરાના રોગચાળામાં માતાપિતાનું અવસાન થયું. પ્રતાપકાકાની રેજીમેન્ટ તે વખતે રાંચીમાં હતી. તે રજા લઇને તરત જ ત્યાં પહોંચી ગયા, અને રામેશ્વરને ઘણો આધાર આપ્યો. રામેશ્વરને કૉલેજ છોડવાના વિચારમાંથી પરાવૃત કરી તેની જવાબદારી સ્વીકારી લીધી.

રામેશ્વરે ઇન્ટર આર્ટસ્ બાદ અભ્યાસ મૂક્યો અને પબ્લિક સર્વિસ કમીશનની ક્લેરીકલ પરીક્ષા પાસ કરી. પ્રતાપકાકાનાં તેમના પર અનેક ઋણ હતા, તેમ છતાં કાકા માધોને કહી ગયા હતા કે તેમના પર રામેશ્વરે કરેલા ઉપકારનું કરજ તેઓ સાત જનમ સુધી નહિ ઉતારી શકે. તેમણે તો કેવળ એક પુત્રની અને ભાઇની વણલખી, વણકહી ફરજ નિભાવી હતી.

રૂપવતીના લગ્ન પટણા શહેરથી થોડે દૂર, ગંગા કિનારે આવેલ બાટા શૂ ફૅક્ટરીના પ્લાંટમાં વેરહાઉસમૅનનું કામ કરનાર યુવક રામ અભિલાષ સાથે નક્કી થયા હતા. લગ્નના એક અઠવાડીયા પહેલાં તેના બાપુએ મોટી રકમની માગણી કરી. રામ અભિલાષને ફૅક્ટરીની નજીક મકાન બંધાવવું હતું. પટનાની નજીક કૉલોની હોવાથી કિંમત વધુ હતી. પ્રતાપકાકાએ પોતાની જમીન વેચી, તો પણ પુરતા પૈસા ભેગા ન થઇ શક્યા. છોકરાના બાપે લગ્ન તોડવાની ધમકી આપી. ‘હા, તમારી દિકરી રૂપાળી છે, ગૃહિણીના બધા ગુણ છે, પણ આ મકાન તો અંતે તેના માટે જ તો થવાનું છે ને?’

પ્રતાપકાકાએ આખરે તેમનું નાનકડું મકાન અને તેની પાછળના અર્ધા એકરનો વાડો વેચવાનું નક્કી કર્યું. રામેશ્વરને ખબર પડતાં તે નારાજ થયો અને મકાન વેચવાની મનાઇ કરી. તે ગામના મહાજન પાસે ગયો અને જોઇતી રકમ ઉપાડી. સરકારી નોકર હોવા ઉપરાંત રામેશ્વરની આબરૂ એટલી ઉંચી હતી, સાહુકારે તેમની પાસેથી કોઇ જામીનખત લીધા વગર પૈસા આપ્યા. જો કે વ્યાજનો દર દોઢ ગણો લીધો તે વાત જુદી. રામેશ્વરે આ વાત ખાનગી રાખી, પણ ગામમાં કોઇ વાત છાની રહે ખરી? વળી છેલ્લા પાંચ વર્ષથી તે કરજના હફ્તા ભરતા હતા તે પ્રતાપકાકા ક્યાં નહોતા જાણતા?

રામેશ્વર તથા રાધાએ તેમને અનેક વાર વિનંતી અને આજીજી કરી હતી કે તેઓ તેમની સાથે રહેવા વિષ્ણુપુર આવે. પણ કોઇ પર બોજ બનવા ન માગનાર, સ્વાવલંબી ફૌજી અફસરે હંમેશા ના પાડી. ‘હું આવીશ, જરૂર આવીશ. પણ અત્યારે મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો એકલતાનો આનંદ લેવા દે ને, દિકરા!’ કહી વાત ટાળતા હતા.

અંતિમ સમયે તેમની પાસે હાજર રહી ન શક્યા તેનો રંજ રામેશ્વર તથા રાધાને ગળાડૂબ શોકમાં ઉતારતો ગયો. વિચારમાં ને વિચારમાં જ તે કચેરીમાં પહોંચી ગયા.

4 comments:

  1. સમાચાર માધ્યમોમાં ભ્રષ્ટાચારના બનાવોની, કૌભાંડોની, ગેરકાયદેસર ધમધમતી પ્રવૃત્તિઓના સમાચારોની જાણે કે સિઝન ચાલી રહી છે ત્યારે આ લેખ અને તેમા સુબેદાર સાહેબની વાત ‘રામને ખાસ કહેજે કે તેણે મારા માટે અને રૂબ્બતી માટે જે કર્યું તેનો ઉપકાર આવતા સાત જનમમાંય ઉતારી નહિ શકું.’ અને" અમે ઉતરતી જાતના છીએ, તેમ છતાં તેમણે મારા હાથે પાણી પીધું અને આંખો મિંચી..” તેમણે તો કેવળ એક પુત્રની અને ભાઇની વણલખી, વણકહી ફરજ નિભાવી હતી" વાંચી કસક થઇ.તે હિ નો દિવસા ગતા ! હવે તો ॐ सहनाववतु ।सह मया पयतु ।सह प्रिये भुनक्तु ।उच्छिष्ठानि पात्राणि सह मया धावतु ।वस्त्राणि प्रक्षालयतु ।सांधँ कायँ कुर्वहे ।साधँ स्नेहं कुर्वहे ।साघँ गेहं रचयावहे ।
    આપણા ઘરમાં કે બહાર સમાજમાં આપણે જે વિવેક અને શિસ્તથી વર્તતાં હોઈએ છીએ એની કોઈ જોગવાઈ કાનૂનમાં હોતી નથી.અલિખિત કાયદાઓ જ આપણી નીતિમત્તાનું ધોરણ નક્કી કરે છે. કૌભાંડો મોટાભાગે કાયદાનો આશરો લઈને આચરવામાં આવતાં હોય છે. નાના અને નિર્બળ લોકોને ફસાવી દે છે, પરંતુ બળવાન અને ધનવાન સામે તે ઝૂકી જાય છે.લોકશાહી તંત્રમાં જથ્થાનું મહત્ત્વ છે નીતિમત્તાનું નહીં. વિનોબા ભૂદાનની પ્રવૃત્તિ કરતા હતા. ભૂમિદાન સ્વીકારતા હતા, પરંતુ કોઈ જમીન તેમણે પોતાના અંગત નામે કરી નાખી હોય એવું કોઈએ જાણ્યું છે ખરું?

    ''સમાંતર લાગતી રેખાઓ ક્યારેક એકબીજામાં અથવા અનંતમાં વિલીન થઇ શકે છે?"વાત પરથી વાત યાદ આવી...

    If you are talking about ordinary lines and ordinary geometry, then parallel lines do not meet. For example, the line x=1 and the line x=2 do not meet at any point, since the x coordinate of a point cannot be both 1 and 2 at the same time.

    In this context, there is no such thing as "infinity" and parallel lines do not meet.

    However, you can construct other forms of geometry, so-called non-Euclidean geometries. For example, you can take the usual points of the plane and attach to them an additional point called "infinity" and consider all lines to also include this additional point. In this context, there is a single "infinity" location where all lines meet. In a geometry like this, all lines intersect at infinity, in addition to any finite point where they might happen to meet.
    Or, you could attach not just one additional point, but a whole collection of additional points, one for each direction. Then you can consider two parallel lines to meet at the extra point corresponding to their common direction, whereas two non-parellel lines do not intersect at infinity but intersect only at the usual finite intersection point.હવે આગળની વાતની રાહ જોઇએ.પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
  2. આદરણીય શ્રીનરેન્દ્રભાઈસાહેબ,

    અત્યંત સરળ અને વાસ્તવવાદી કથાનક સાથેની આ ડાયરી સીધી દિલને સ્પર્શે છે.

    આપની આ લેખનયાત્રાના હમસફર બનવાનું મને ગૌરવ છે.

    માર્કંડ દવે.

    ReplyDelete
  3. @ પ્રજ્ઞા બહેન:

    આપના દરેક પ્રતિભાવમાં અાર્દ્રતા અને ઉંડાણ હોય છે તેનો હાર્દીક આભાર માનું છું.. આજનો પ્રતિભાવ બંગાળીના શબ્દ પ્રયોગમાં કહું તો ‘ચોમોત્કાર’ અને વાચકને speechless કરે તેવો છે. મારી પાસે તેને બિરદાવવા કે તેના પર પુસ્તી જોડવા શબ્દ નથી. કેવળ થોડા શબ્દોમાં - सह मया पयतु ।सह प्रिये भुनक्तु ।उच्छिष्ठानि पात्राणि सह मया धावतु ।वस्त्राणि प्रक्षालयतु ।सांधँ कायँ कुर्वहे ।साधँ स्नेहं कुर्वहे ।साघँ गेहं रचयावहे -માં આપે કેવળ દેશની જ નહિ, પણ દેશના મોટા ભાગના લોકોમાં પ્રવેશેલી વૃત્તીનું ચેધક દર્શન કરાવ્યું.

    બીજી મહત્વની વાત તો સમાંતર રેખા વિશેના મારા વિધાનના અનુસંધાનમાં આપે જે વાતો કહી તેના માટે પણ આપના perceptionનો આદર કરૂં છું. કોઇ લેખક પોતાનો લેખ પ્રસિદ્ધ કરતાં પહેલાં એક એક શબ્દ ઉંડો વિચાર કરીને લખે છે તે આપે જાણ્યું અને જે રીતે તેને મૂલાવ્યું તે આશ્ચર્યજનક છે. ઉદાહરણ: સમાંતર રેખા વિશેનો ‘જીપ્સી’નો ઉલ્લેખ. “સમાંતર લાગતી રેખા...” એટલે કે ઉપરછલ્લી રીતે સમાંતર લાગતી રેખાઓ માનવસંબંધના સંદર્ભમાં સમાંતર નથી હોતી. આનું વિશદ વિવરણ આગળ જતાં એટલે કથાના અંત તરફ આવવાનું છે, જેને આપે અત્યારે જ ઓળખ્યું અને non-Euclidian contextમાં સમાવી લીધુંે!

    આપની ગુણગ્રાહ્યતા અને પ્રતિભાવ માટે આભાર.

    @ માર્કન્ડભાઇ: આપ જેવા ગુણીજનના પ્રતિભાવ મારા માટે અમૂલ્ય આભુષણ છે અને તેનો હારદ્ીક સ્વીકાર કરૂં છું.

    ReplyDelete
  4. નરેન્દ્રભાઈ,

    આ વાર્તારૂપી પોસ્ટ મારા હ્ર્દયના ઉંડાણમાં ઉતરી ગઈ છે !

    આ વાર્તા એક કલ્પના હોય કે એક હકીકત હોય તેનૂ મહત્વ નથી, પણ આવી જ ઘટનાઓ જગતમાં ખરેખર

    બને છે, અને હજુ પણ બનતી રહે છે.

    આ વાર્તામાં "માનવતા"ના દર્શન થાય છે....પ્રતાપકાકાનો રામેશ્વર પ્રતેયનો પેમ, અને રામેશ્વરનો પ્રતાપકાકા માટેનો આદરભાવના દર્શન

    આપતી આ વાર્તા.

    પણ......

    એની અંદર છુપાયેલ છે "માધો"જે પ્રતાપકાકાની સેવા કરે છે.....એક "અછુત"તરીકે ઉલ્લેખ. અહી માનવ સ્વભાવના "નીચામાં નીચી"વ્રુત્તિના દર્શન થાય છે.જ્યારે

    પણ એક માનવી બીજા માનવીને માનવી દેહરૂપે અસ્વીકાર કરે ત્યારે એ એક "મહાપાપ" કરે છે ..અને, વર્ષોથી ચાલતી આ પ્રથાને એક નિયમ તરીકે ગણી, એવા

    માનવીને "સર્પ્સ" પણ ના કરે ત્યારે એ મોટુ પાપ કરે છે તે માટે "અજ્ઞાનતા" કારણે અજાણ રહે છે ..ભણતર કે જે જ્ઞાન છે તેની જરા પણ મુલ્ય નથી.એ ભલે

    પ્રભુને ભજતો હોય કે અન્યને સહાય કરતો હોય પણ પ્રભુ એનો સ્વીકાર કદી ના કરે

    પ્રતાપકાકાએ માધાને માનવ સમજ્યો હતો , અને પોતાનો ગણ્યો હતો..એમનો રામેશ્વર માટેનો પ્રેમ સાચો અને નિસ્વાર્થ હતો કારણ કે એમનામાં "માનવતા" ભરી હતી.

    આવી વાર્તા જગતમાં "પરિવર્તન" લાવે અને "માનવતા" સૌમાં ખીલે એવી આશા !

    >>>ચંદ્રવદન
    Narendrabhai...
    Enjoyed the Post...I liked the Comment of Pragnajuben...& her deep knowledge !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Inviting all to read the New Post on Chandrapukar.

    ReplyDelete