Thursday, February 26, 2009

યુદ્ધનાં એંધાણ - "અૉપરેશન નેપાલ"

બૉર્ડર પર તંગદીલી વધતી જતી હતી. પાકિસ્તાનના ઘૂસણખોરો કાશ્મીરમાં આતંક મચાવી રહ્યા હતા. સાચી વાત તો એ હતી કે પાકિસ્તાને તેના સૈન્યના અફસરોની આગેવાની હેઠળ ત્રાસવાદીઓને મિલીટરી ટ્રેનીંગ આપી મોટી સંખ્યામાં કાશ્મિરમાં ઘૂસાવ્યા હતા. આ યોજનાને તેમણે ‘અૉપરેશન જીબ્રૉલ્ટર’ નામ આપ્યું હતું. તેમને સોંપાયેલી કામગિરી કાશ્મીરમાં જઇ છંબ, અખનુર, બારામુલ્લા અને અન્ય ચાવીરૂપ વિસ્તારો પર કબજો કરી, અલગતાવાદી સ્થાનિક લોકોના મોરચાની મદદ વડે ભારતીય સેનાને પરાસ્ત કરી કાશ્મીર પર કબજો કરવાની હતી.

સરહદ પર પાકિસ્તાનના સૈનિકો મન ફાવે તેમ આપણા સૈનિકો અને ગ્રામવાસીઓ પર નિષ્કારણ ગોળીબાર કરતા હતા. આવા હજારોની સંખ્યામાં આવેલા હથિયારબંધ પાકિસ્તાની ઘુસણખોરોના હુમલા અને તેમણે કરેલી આપણા જવાનોની હત્યાને કારણે પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ચૂકી હતી કે અૉગસ્ટમાં આપણા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ રાષ્ટ્ર પ્રતિ સંદેશ આપ્યો. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી કે તેમણે જે રીતે તેમના નાગરિકોએ ભારતમાં પ્રવેશ કરીને આતંક ફેલાવીને ભારતની સામે યુદ્ધ જાહેર કર્યું છે, તેમ ભારત પણ યુદ્ધનો જવાબ યુદ્ધથી આપી શકે છે. આજે, ૪૪ વર્ષનો સમય થઇ ગયો હોવા છતાં રેડિયો પર સાંભળેલા શાસ્ત્રીજીના શબ્દો મારા કાનમાં હજી પણ ગુંજે છે: “ They have declared war on us. Let it be known that we can and will fight this war in their country at the time and place of our own choosing.” ભારત સ્વતંત્ર થયા બાદ તે દિવસે પ્રથમ વાર મને મારા વડા પ્રધાન પ્રત્યે અભિમાન અને ગૌરવની ભાવના થઇ. નહેરૂએ પોતાની અંગત પ્રતિષ્ઠા અને વિશ્વના શાંતિવાદી નેતા બનવા તેમણે ૧૯૪૮થી પાકિસ્તાનની અનેક થપ્પડો ખાધા બાદ ૧૯૬૨માં પોતાની વૈચારીક નિષ્ઠાના ભાઇ ચીનનો તમાચો ખાઇ દેશને શરમની ખાઇમાં ધકેલ્યો હતો. આવા અપમાનની આગમાં ભારતીય સેના હજી પણ તમતમતી હતી. દુશ્મનોની શરમવિહીન આડોડાઇને કારણે ભારતીય સેનાનો ક્ષોભ અને ક્રોધ ચરમ સીમા પર હતો. અમે ભારતની પ્રતિષ્ઠાને પાછી લાવવા તત્પર થઇ રહ્યા હતા. વડા પ્રધાનના વક્તવ્યથી અમારાં શિર ફરી એક વાર ઉન્નત થયા. આમાં અૉગસ્ટ વિતી ગયો.

સપ્ટેમ્બરની બીજી તારીખ હતી. રાત્રે મેસમાં જમીને સૅમીની સાથે હું મારા કૅરેવાન તરફ જતાં પહેલાં તેના ટ્રક પાસે રોકાયો. સાંજ ઘણી ખુશનુમા હતી તેથી હું તેની સાથે બેસી વાત કરતો હતો ત્યાં એક અણધારી વાત થઇ.

અમારા કૅમ્પની આસપાસ એક-બે કિલોમીટરના અંતર પર ત્રણ ગામ હતા. અચાનક આ ત્રણે ગામનાં લગભગ ૪૦-૫૦ કૂતરાં અમારા કૅમ્પના રમતગમતના મેદાનમાં કોણ જાણે કોઇ કુદરતી સંકેત થયો હોય તેમ ચારે બાજુથી આવ્યા, લગભગ એક કુંડાળું કર્યું અને સામુહિક રીતે રૂદન કરવા લાગ્યા.

મારી આંખ સામે મારૂં બચપણ ઉભું થયું. હું નવ વર્ષનો હતો. પિતાજી હિંમતનગરના મહારાજાના ‘મહેકમા ખાસ’માં અફસર હતા. સાંજનો સમય હતો. તેઓ હજી ઘેર નહોતા આવ્યા. અચાનક એક કુતરૂં અમારા ઘરની સામે આવીને પોક મૂકીને રડવા લાગ્યું. હું ગભરાઇ ગયો હતો. બાને તે વખતે પણ ઓછું સંભળાતું હતું, તેથી તેમની નજીક જઇ મેં બહાર શું થઇ રહ્યું હતું તે કહ્યું. બાએ તરત ભગવાન આગળ દીવો પેટવ્યો, પ્રાર્થના કરી અને મને કહ્યું, કૂતરાને હાંકી કાઢ. મેં તે પ્રમાણે કર્યું, પણ થોડી વારે તે પાછું આવ્યું. ફરી પાછું એ જ...
આઠ દિવસમાંજ બાબા’સાનું અવસાન થયું હતું. સૌરાષ્ટ્રમાં માન્યતા છે કે કૂતરાં યમરાજના સંદેશવાહક હોય છે અને પોતાના આગમનની સૂચના તેઓ કૂતરાના રૂદન દ્વારા કરતા હોય છે.

આજે આટલા બધા કૂતરાંઓનું રુદન સાંભળી મેં સૅમીને કહ્યું, “લડાઇ શરુ થાય છે. આ વખતે તો ભિષણ યુદ્ધ થવાનું છે. એંધાણ સારા નથી....”

વાત પૂરી કરૂં ત્યાં બટાલિયન હેડક્વાર્ટર્સમાંથી રનર (સંદેશવાહક) આવ્યો. આ વખતે તો તે ખરેખર દોડતો હતો.
“સર, સીઓ સાહેબે અબ્બી હાલ બધા અફસરોને યાદ કર્યા છે.”
સૅમી અને હું દોડતા જ હેડક્વાર્ટરમાં પહોંચ્યા.
કર્નલ રેજી ગૉને ટૂંકા પણ સાફ શબ્દોમાં હુકમ સંભળાવ્યો. “આપણી ડિવિઝન કાલે ઝીરો-ફાઇવ હંડ્રેડ કલાકે (પરોઢિયે પાંચ વાગે) અૅસેમ્બ્લી એરિયા તરફ કૂચ કરશે. આલ્ફા કંપનીના ‘troop carriers’ની સંખ્યા ઓછી હોવાથી તે ત્રણ તબક્કામાં લૉરીડ બ્રિગેડને અૅસેમ્બ્લી એરિયામાં લઇ જશે. બાકીની કંપનીઓ તેમના અૉપરેશનલ અૉર્ડર મુજબ deploy થઇ જશે. વિગતવાર હુકમ તમારા કંપની કમાંડર આપશે.”

મારી કંપનીમાં હવે ચાર અફસર રહ્યા હતા. છેત્રીની બદલી થઇ ગઇ હતી. 'આલ્ફા' કંપનીમાં મેજર લાલ, કૅપ્ટન ઇન્દ્રકુમાર, સૅમી અને હું હતા. નિયમ પ્રમાણે એક ઇન્ફન્ટ્રી બટાલિયનને ‘લીફ્ટ’ કરવા માટે ૩૦ ટ્રક જોઇએ. તેથી બ્રિગેડનું વહન કરવા માટે અમારી પાસે ૧૨૦ થ્રી-ટન ટ્રક હોવા જોઇએ તેને બદલે કેવળ ૭૫ ટ્રક્સ હતા. કંપની હેડક્વાર્ટરમાં ગયા બાદ મેજર લાલે હુકમ આપ્યો, “યુનિટમાં અફસરોની કમી હોવાને કારણે મારે બટાલિયન હેડક્વાર્ટરમાં રહેવું પડશે. ઇન્દ્રકુમારને ડેલ્ટા કંપનીમાં ડ્યુટી આપવામાં આવી છે, તેથી સૅમી કંપની હેડક્વાર્ટરમાં રહેશે.

"નરેન, હું તને મોટી જવાબદારી આપું છું. તું ૭૫ ટ્રક્સ લઇ બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં રિપોર્ટ કરીશ. ત્યાં ગયા બાદ તને જણાવવામાં આવશે કઇ બટાલિયનને ક્યા સ્થાને પહોંચાડવાની છે. બ્રિગેડ મેજર તને વિસ્તારથી અૉપરેશનલ હુકમ આપશે, અને તારે તે પ્રમાણે તેનું પાલન કરવાનું છે. બ્રિગેડને નિયત સ્થળે પહોંચાડવાનું કામ તારે એકલાએ કરવાનું છે. બ્રિગેડને બૉર્ડર પર પહોંચાડ્યા બાદ કંપનીમાં પાછા આવીને મને રિપોર્ટ આપવાનો છે. Carry on!”

મારે કોઇ પણ કામ પર જવાનું હોય - ભલે તે એક દિવસ માટેનું કેમ નહોય, હું મારી જીપમાં પીવાના પાણીની બે-ત્રણ બૉટલ્સ, નાસ્તાના - ખાસ કરીને અમારી કૅન્ટીનમાં મળતા ટીનમાં પૅક કરેલ દાલમોઠના ડબા, પનામા સિગરેટનું કાર્ટન (તે વખતે હું કોઇ વાર ધુમ્રપાન કરતો! છી!!!), એક ડઝન દિવાસળીના બાકસ અને ટેવ નહોતી તેમ છતાં રમની બે બૉટલ્સ રાખતો. રાતની ટાઢમાં ગરમાવો અને શરીરમાં શક્તિ જાળવી રાખવા આગલું ભોજન ક્યાં અને ક્યારે મળે, કોને ખબર? મારા અંગત સામાનની હંમેશા તૈયાર રહેતી બૅગને જીપમાં નાખી હું ૭૫ થ્રી-ટન ટ્રક્સ લઇને નીકળ્યો. જીપ ચલાવનાર મારો ડ્રાઇવર હતો બિહારના હાજીપુર જીલ્લાનો શીવ પ્રસાદ ગુપ્તા. ૪૩ વર્ષના વાયરા વાયા, પણ મને તેનું નામ હજી પણ યાદ છે!

લડાઇમાં એક અનુભવી મેજરનો હોદ્દો ધરાવતા કંપની કમાંડરે કરવાનું કામ જ્યુનિયર-મોસ્ટ અફસર સેકન્ડ લેફ્ટનન્ટ, એટલે હું બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં સવારે ચાર વાગે પહોંચ્યો ત્યારે બ્રિગેડ મેજર ચકિત થઇ ગયા. તેમણે કહ્યું, ‘તારા કંપની કમાંડરની જગ્યાએ તને મોકલ્યો છે? મને આશા છે કે તને જે જવાબદારી સોંપવામાં આવી છે તે તું હોંશિયારીપૂર્વક પાર પાડી શકીશ. ગુડ લક, યંગ મૅન.”

5 comments:

  1. ગઈકાલે ૭૦ ની વય ના એક સ્નેહી વિદુષી મારે ત્યાં આવ્યા.સવાર ના છાપા મા આવી રહેલી ચુંટણી ને અનૂલક્ષી ને રાહૂલ ગાન્ધી ની ખુશામત ના સમાચાર વાંચી અકળઈ ને બોલી ઊઠ્યા - " હે ઈશ્વર ક્યાં સુધી આ દેશ ને નહેરુ કુટૂંમ્બ નો ત્રાસ સહન કરવાનુ નશીબ મા લખાયેલુ છે ? "

    ReplyDelete
  2. ur story telling style is very good-This chapter is fantastic--I wish I can have next chapters today.This will be a nice book-

    ReplyDelete
  3. Your story & the time of the declaration of War by Pakistan.... interesting account...Enjoyed reading it !
    Dr. Chandravadan Mistry
    www. chandrapukar.wordpress.com

    ReplyDelete
  4. તમારા માટે માન વધી ગયું. આમ પણ મને સૈનીકો માટે પક્ષપાત છે જ. 8-9 ધોરણમાં કરેલી એન.સી.સી.ની ટ્રેઈનીંગ આગળ ના વધારવાનો અફસોસ આજે પણ છે.

    ReplyDelete
  5. ભારત સ્વતંત્ર થયા બાદ તે દિવસે પ્રથમ વાર મને મારા વડા પ્રધાન પ્રત્યે અભિમાન અને ગૌરવની ભાવના થઇ.

    -ઓહ પ્રભુ, દેશ માટે મરી ફિટવાની તમન્ના ધરાવતા આર્મીની નજરમાં આ દેશના રાજનેતાઓની કિંમત કેટલી છે તે આમાંથી મને દેખાયું.

    ReplyDelete