Thursday, May 25, 2017

“ધેર આાર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી”


૧૯૬૩ની વાત છે. ચીન સામે કારમી હાર અનુભવ્યા બાદ અમદાવાદના અમે કેટલાક મિત્રોએ નક્કી કર્યું કે દેશની સાચી સેવા કરવી હોય તો આપણે મિલિટરીમાં જોડાઈ મોરચા પર લડવા જવું. અમદાવાદના કૅમ્પ વિસ્તારમાં આવેલી મિલિટરીની ભરતી કચેરીમાં અમે તપાસ કરી, જરૂરી ફૉર્મ મેળવ્યા અને જતાં પહેલાં ત્યાંના શીખ રિક્રુટિંગ અૉફિસરને પૂછ્યું, “ભારતીય સેનામાં ગુજરાત રેજિમેન્ટ છે? હોય તો અમારે તેમાં ભરતી થવું છે.”

“ધેર આર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી,” કૅપ્ટન સાહેબ હસીને બોલ્યા. તેમના હાસ્યમાં રમૂજ કરતાં તિરસ્કારની ઝાંય વધુ દેખાતી હતી. 

જિપ્સી ભલે સૌરાષ્ટ્રના ‘Backwoods'માંથી આવ્યો હોય, પણ થોડો ઘણો અભ્યાસ હતો તેથી ચહેરા પર બનાવટી નિર્દોષતા આણી તેણે કૅપ્ટનસાહેબને પૂછ્યું, “સાહેબ, જનરલ મહારાજ રાજેન્દ્રસિંહજી ક્યાંના હતા?”

“જનરલ રાજિંદરસીંઘ? અમારા ભૂતપૂર્વ આર્મી ચીફ વિશે પૂછો છો? અરે, એ તો પંજાબ અથવા રાજસ્થાનના જ હોય. તમે શા માટે પૂછો છો?”

અમે જવાબમાં સ્મિત આપ્યું અને ત્યાંથી નીકળી ગયા. રિક્રુટિંગ અૉફિસર વિમાસણમાં દાઢી પર હાથ ફેરવતા રહ્યા.

***


આ પ્રસંગ લખવાનો એક માત્ર ઉદ્દેશ એ છે કે કેવળ મિલિટરીમાં જ નહિ, આખા દેશમાં - આપણા ગુજરાતમાં સુદ્ધાં એક સ્ટિરિઓટાઈપ થયેલી માન્યતા છે કે ગુજરાતીઓ કેવળ વ્યાપારમાં પાવરધા છે. ભારતમાં  સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાત છે અને તે આપણી વ્યાપારી અને વ્યાવહારિક કુનેહને લીધે છે. આ પ્રતિષ્ઠા પાછળ આપણી સૈનિક પરંપરા ઢંકાઈ ગઈ છે. ગુજરાતના સૈનિકો તથા સેનાપતિઓએ હંમેશા પોતાની ભારતીયતા જાહેર કરી. તેમના અંગત જીવનની, તેમના ઉછેર, સંસ્કાર તથા તેમની પ્રાદેશિક પાર્શ્વભૂમિ વિશે બહુ ઓછા ભારતીયો જાણતા થયા. તેમાં સૌથી વધુ પ્રખ્યાત પણ ગુજરાતી હોવાની પહેચાન ન ધરાવતા સેનાપતિ હતા જનરલ મહારાજશ્રી રાજેન્દ્રસિંહજી. 

***
જનરલ રાજેન્દ્રસિંહજીનો જન્મ જામનગરના રાજપરિવારમાં સન ૧૮૯૯ની ૧૫મી જુને સડોદર ગામે થયો હતો. તેમના પિતરાઈ નવાનગરના જામસાહેબ રણજીતસિંહ - જેઓ પ્રિન્સ રણજીના નામે ક્રિકેટમાં વિશ્વવિખ્યાત થયા હતા, તેમણે રાજેન્દ્રસિંહજીની રાજકુમાર કૉલેજમાં થયેલી સ્પર્ધામાં બૅટિંગનું કૌશલ્ય જોઈ તેમને ઇંગ્લૅન્ડની ખાનગી શાળા માલ્વર્ન કૉલેજમાં ભણવા મોકલ્યા. તેમની ઇચ્છા રાજેન્દ્રસિંહજી પણ તેમની જેમ ઇંગ્લૅન્ડની રાષ્ટ્રિય ટીમમાં સ્થાન મેળવે.

રાજેન્દ્રસિંહજીનો શોખ જુદો જ હતો. બચપણથી તેમને ઘોડેસ્વારી તથા શિકારમાં રસ હતો. પોલોની રમતમાં તથા નિશાનબાજીમાં તેઓ પાવરધા હતા. તેમને ક્રિકેટને કારકિર્દી બનાવવા કરતાં સૈન્યમાં જોડાવાનું વધુ ગમ્યું. તેમની ઇચ્છા બ્રિટિશ સેનામાં અશ્વદળની સેંકડો વર્ષ જુની રેજીમેન્ટમાં અફસર થવાની હતી. આ માટે તેમણે Surrey કાઉન્ટીમાં આવેલ સુપ્રસિદ્ધ સૅન્ડહર્સ્ટની રૉયલ મિલિટરી અૅકેડેમીમાં સ્થાન મેળવ્યું. ૧૯૨૧માં કેવળ ૨૨ વર્ષની વયે શાહી જીવનશૈલી છોડી સૈનિકનું ખડતલ જીવન પસંદ કર્યું. તે જમાનામાં લશ્કરી તાલિમ મેળવવા સૅન્ડહર્સ્ટમાં ભાગ્યેજ કોઇ ભારતીય જતા. આનાં મુખ્ય કારણ જોવા જઇએ તો જણાશે કે શિયાળાની કારમી હિમપ્રપાત વાળી ઠંડીમાં  વેલ્સના કપરા સ્નોડનના પહાડ તથા યૉર્કશાયરની ભેજભરી bogs અને moors ના નામથી કુખ્યાત એવી ભેંકાર ધરતીમાં પ્રશિક્ષણ લેવું પડતું. સૂવા માટે બરછટ કામળા, વરસાદ અને બરફના તોફાનમાં સતત ૫૦-૬૦ માઈલની કૂચ કરી attack, defence જેવી લશ્કરી કવાયતોનું શિક્ષણ મેળવવા માટે કેવળ પડછંદ શરીર નહીં, પણ તેથી વધુ મજબૂત મનોબળ જોઈએ. આ તાલિમ કેટલી સખત હોય છે તેનો ખ્યાલ આપવા એટલું જણાવીશ કે બ્રિટનનાં રાણી એલિઝાબેથ (બીજા)નાં સૌથી નાના પુત્ર પ્રિન્સ એડવર્ડ સૅન્ડહર્સ્ટમાં અફસર થવા ગયા હતા અને ખડતલ મહેનત કરવા અસમર્થ હોવાથી ફક્ત બે મહિનામાં જ તેઓ મહેલમાં રહેવા પાછા ફર્યા!

બે વર્ષની આ સખત તાલિમ બાદ રાજેન્દ્રસિંહજી પ્રથમ કક્ષામાં ઉત્તિર્ણ થયા અને ભારતની બસો વર્ષની ઝળહળતી પરંપરા ધરાવતી રૉયલ સેકન્ડ લાન્સર્સ - જે ગાર્ડનર્સ હૉર્સ તરીકે પણ ઓળખાય છે, તેમાં સેકન્ડ લેફ્ટેનન્ટના હોદ્દા પર નિમણૂંક થઈ. તે સમયે આ રેજિમેન્ટ - જેના સ્વાર વંશપરંપરાથી દેશી સૈનિકો હતા, તેમાં રાજેન્દ્રસિંહજી એક માત્ર ભારતીય અફસર હતા. આવા ઐતિહાસીક રિસાલા તેમજ રાજપુતાના રાઈફલ્સ (જેમાં ગુજરાતી સૈનિકોની કંપનીઓ સેવારત છે), શીખ, મરાઠા લાઈટ ઇન્ફન્ટ્રી, મદ્રાસ અને ગુરખા રેજિમેન્ટમાં ફક્ત એવા અંગ્રેજ યુવાનોને અફસર થવા મોકલવામાં આવતા જેમના પરિવાર આવી રેજિમેન્ટ સાથે જુના કાળથી સંકળાયા હતા, અથવા તેમની પ્રશિક્ષણ દરમિયાનની કારકિર્દી અભૂતપૂર્વ હતી. આવી રેજિમેન્ટોએ મેળવેલી ગૌરવપૂર્ણ પરંપરા જાળવવા માટે તેમાં નિમણૂંક મેળવનાર અફસરોમાં આ વારસો ટકાવી રાખવાની લાયકાત હોય તેવા યુવાનોને પસંદ કરવામાં આવતા. હજી પણ ભારતીય સેનાના રિસાલાઓ - જેમકે સેકન્ડ લાન્સર્સ, સિંધ હૉર્સ, ફર્સ્ટ હૉર્સ (સ્કિનર્સ), પૂના હૉર્સ તથા ઉપર જણાવેલી ઇન્ફન્ટ્રીની ખાસ પલટનોમાં ત્રણ - ચાર પેઢીઓથી સેવા બજાવી ચૂકેલા પરિવારોમાંથી આવતા યુવાનોને ચકાસી અને પરખીને ભરતી કરવામાં આવે છે. તેમાં પણ ખાસ પસંદગી શીખ, જાટ, ગુજરાતના મોલેસલામ રાજપુત મુસ્લિમ જેવા રાજસ્થાનના કાયમખાની મુસ્લિમ અને રાજપુત યુવાનોમાંથી કરવામાં આવે છે, જેમના બાપ-દાદાઓએ આ રિસાલા કે પલ્ટનમાં સેવા બજાવી હોય.  

૧૯૪૦માં સેકન્ડ લાન્સર્સમાં અશ્વોને સ્થાને ટૅંક્સ આવી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે મેજર રાજેન્દ્રસિંહજી  સેકન્ડ લાન્સર્સના સેકન્ડ-ઇન-કમાન્ડનો હોદ્દો મેળવી ચૂક્યા હતા. તેમની રેજિમેન્ટને 3rd Motorized Brigadeના અંગ તરીકે લિબિયાના મોરચે મોકલવામાં આવી. તે સમયે જર્મન સેનાના ફિલ્ડમાર્શલ રોમેલ પૂર જોશમાં હતા અને અજેય સેનાપતિ તરીકે પ્રખ્યાત થયા હતા. યુરોપમાં તેમની ટૅંક ડિવિઝનોએ ફ્રાન્સ પર કબજો મેળવ્યા બાદ રોમેલને લિબિયાના મોરચે મોકલવામાં આવ્યા. તેમનો ઉદ્દેશ ઉત્તર આફ્રિકામાં મોરચો બાંધી રહેલી મિત્રરાજ્યોની આઠમી સેના (Eighth Army) પર વિજય મેળવી સુએઝ કૅનાલ પર કબજો કરવાનો હતો. રોમેલના હુમલા સામે આઠમી સેનાની અગ્રિમ કોર, જેમાં લગભગ ૪૦,૦૦૦ સૈનિકો હતા ટકી શકી નહીં. સેનાપતિ જનરલ ગૅમ્બિયર-પેરીએ તેમના હેડક્વાર્ટર્સમાં રહેલા ૧૪૦૦ સૈનિકોને જર્મનોને શરણે જવાનો હુકમ કર્યો. 

3rd Motorized Brigadeને એવો હુકમ હતો કે જો રોમેલની સામે ટકી શકાય તેવું ન હોય તો તેમને શરણે જવા કરતાં તેમના સઘળા સૈનિકોએ આઠમી સેનાના હેડક્વાર્ટર્સમાં પહોંચી જવું અને ત્યાં જીવસટોસટનો મોરચો બાંધવો. જનરલ ગૅમ્બિયર-પેરીનો હુકમ મળ્યો તે સમયે રાજેન્દ્રસિંહજીની રેજીમેન્ટ પાસેની ૩૨માંની ચોવિસ ટૅંક્સ જર્મનોએ નષ્ટ કરી હતી અને રેજીમેન્ટની હેડક્વાર્ટર સ્ક્વોડ્રનમાં  રાજેન્દ્રસિંહજીના આધિપત્ય નીચે આઠ ટૅંક્સ બચી હતી. તેમણે જર્મનોનો ઘેરો તોડી તેમને શરુઆતમાં મળેલા હુકમ મુજબ હેડક્વાર્ટર પહોંચી જવાનું નક્કી કર્યું. તેમણે તેમના સૈનિકોને ઉર્દુમાં હુકમ આપ્યો કે હુમલો કરવાનો લલકાર ‘ચાર્જ’ મળતાં સૌએ તેમની ટૅંક પાછળ કૂચ કરવી અને સામે આવનાર દુશ્મન પર ટૅંકના છેલ્લા ગોળા અને રાઇફલની છેલ્લી ગોળી સુધી લડી લેવું પણ શરણે ન જવું. 

યુદ્ધ શરૂ થતાં પહેલાં રાજેન્દ્રસિંહજીએ કાબેલ સેનાની તરીકે તેમના સમગ્ર વિસ્તારનું જાતે નિરિક્ષણ (Reconnaissance) કર્યું હતું. સહારાના રણ વિસ્તારમાં ક્યા સ્થળો એવા હતા જ્યાં કામચલાઉ મોરચાબંધી કરી, રાતના સમયે કયા માર્ગેથી સેનાના મુખ્ય મથકે પહોંચવું તે તેઓ જાણતા હતા. રાજેન્દ્રસિંહજીની યોજનામાં તેમની સાથે સંપર્કમાં રહેલા તેમની બ્રિગેડના અૉસ્ટ્રેલિયન તથા અંગ્રેજ અફસરોએ તેમની ૩૦૦ સૈનિકોની ટુકડીઓ સાથે તેમના નેતૃત્વ નીચે લડી લેવા માટે હામી ભરી. 

રાજેન્દ્રસિંહજીએ આપેલા હુકમ પ્રમાણે સઘળા સૈનિકોએ તેમના વાહનો પર મશીનગનો ચઢાવી. ટૅંકના બ્રીચમાં તેમના સવારોએ વિસ્ફોટક ગોળા ભર્યા. અન્ય સૈનિકોએ તેમના વ્યક્તિગત હથિયારો સજ્જ કર્યા. “સ્ટાર્ટ એન્જિન્સ”નો હુકમ સાંભળી આ નાનકડી સેનાએ તેમના ટૅંક્સ સમેત સઘળા વાહનો ચાલુ કર્યા. “ચાર્જ”નો હુકમ સાંળતાં સૌએ રાજેન્દ્રસિંહજીની ટૅંક પાછળ પોતાના વાહનોને વ્યૂહાત્મકરીતે દોડાવ્યા. આ શું થઈ રહ્યું છે તેનું જર્મન અફસરોને ભાન થાય તે પહેલાં ગોળા વરસાવતી સેકન્ડ લાન્સર્સની ટૅંક્સ તથા અન્ય વાહનોએ ઘેરો તોડ્યો અને ધખધખતા રણમાં રવાના થયા. અનેક જર્મન સૈનિકો ખુવાર થયા. રોમેલની સેના તેમનો પીછો કરે તે પહેલાં રાજેન્દ્રસિંહજી તેમની ટુકડીઓ સાથે નક્કી કરેલા ગુપ્ત સ્થાન પર પહોંચી ગયા. બીજા દિવસે તેમની શોધમાં નીકળેલી દુશ્મનની ૬૦ સૈનિકોના જથ્થાને ambushમાં કેદ કરી, ૯ દિવસના પ્રવાસ બાદ તેઓ ઇજિપ્તમાં કેરો શહેરની નજીક આવેલા આઠમી સેનાના હેડક્વાર્ટરમાં પહોંચ્યા. ત્યાં સૌ માની બેઠા હતા કે રાજેન્દ્રસિંહજી પણ તેમના જનરલ સાથે કેદ થયા હતા, પણ અહીં જુદી જ હેરતભરી ઘટના થઈ હતી. આ ગુજરાતી અફસર પોતે કેદ થવાને બદલે  જર્મન સૈનિકોને કેદ કરી સાથે લઈ આવ્યા હતા! સરકારે તેમને તે જ ક્ષણે Distinguished Service Order નામનો બહાદુરીનો ચંદ્રક એનાયત કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં આ ચંદ્રક મેળવનાર તેઓ પહેલા ભારતીય અફસર હતા. થોડા દિવસ બાદ સેકન્ડ લાન્સર્સની પુનર્રચના કરવામાં આવી. તેમને નવી ટૅંક્સ તથા સાધન-સામગ્રી આપી રેજીમેન્ટની કમાન રાજેન્દ્રસિંહજીને આપવામાં આવી. રૉયલ સેકન્ડ લાન્સર્સના તેઓ પ્રથમ ભારતીય કમાંડીંગ અફસર - લેફ્ટેનન્ટ કર્નલ મહારાજ રાજેન્દ્રસિંહજી - થયા.

***


વિશ્વયુદ્ધ પૂરૂં થયું. દેશ સ્વતંત્ર થયો. જ્યારે ભારતીય સેનાના કમાંડર-ઇન-ચીફ જનરલ સર રૉય બૂચર બ્રિટન જવા નીકળ્યા ત્યારે દેશમાં વિચિત્ર સ્થિતિ ઉભી થઈ હતી. ભારતીય સૈન્યના ઇતિહાસકાર વિંગ કમાંડર રવીંદ્ર પારસનીસના લખણ મુજબ નહેરૂને કરિઅપ્પા પ્રત્યે અણગમો હતો. તેમણે રાજેન્દ્રસિંહજીને બોલાવીને કહ્યું. “તમે ભારતના પ્રથમ C-in-C થાવ એવી મારી ઇચ્છા છે.”  એક ખાનદાન અફસરની જેમ તેમણે પં. નહેરૂના પ્રસ્તાવને નમ્રતાપૂર્વક નકાર્યો અને કહ્યું, “ભારતીય સેનાની પરંપરા મુજબ જનરલ કરિઅપ્પા મારા સિનિયર છે. મારાથી તેમના હક્કનું સ્થાન કદી ન લઈ શકાય.” 

જનરલ કરિઅપ્પા ભારતના C-in-C થયા. રાજેન્દ્રસિંહજી દક્ષિણ ભારતની સેના Southern Commandના સેનાપતિ થયા.
***

૧૯૪૭માં દેશમાં અત્યંત વિકટ પરિસ્થિતિ હતી. હૈદરાબાદના નિઝામને કૅનેડાની જેમ સ્વતંત્ર ‘ડોમિનિયન’ અથવા પાકિસ્તાન સાથે જોડાણ જોઈતું હતું. જુનાગઢના નવાબે પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું. કાશ્મિરમાં કબાઇલીઓએ આતંક મચાવ્યો હતો અને શ્રીનગર નજીક પહોંચી ગયા હતા.. હૈદરાબાદમાં કાસિમ રિઝવીની આગેવાની હેઠળ રઝાકારોની બે લાખની ફોજ ખડી થઈ હતી.  તેમણે ન કેવળ હૈદરાબાદમાં, પણ તેની સીમા પર આવેલા ભારતીય પ્રદેશોમાં દહેશત ફેલાવવા લૂંટફાટ, સ્ત્રીઓના અપહરણ અને ખૂનામરકી શરૂ કરી હતી. નહેરૂની આનાકાની લાંબો વખત ચાલે તો કાશ્મિર અને હૈદરાબાદ હાથમાંથી જાય તેવી વકી હતી. સરદાર પટેલે કાશ્મિરમાં સૈન્ય મોકલવા માટે જે આગેવાની લીધી હતી, જેનું અગાઉ પ્રસિદ્ધ થયેલ ‘સૅમ બહાદુર” નામના લેખમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તે વિશે આપણા દેશવાસીઓ જાણે છે. હૈદરાબાદ માટે સરદારે અસાધારણ કુનેહ દાખવી. દેશમાં Law and Order situation કથળે ત્યારે સ્થાનિક સરકાર મધ્યસ્થ સરકારને મદદ માટે વિનંતી કરે અને તે માટે સરકારે યોગ્ય બળ - મિલિટરી કે પોલિસ પૂરું પાડવું જોઈએ. સરદારે રાજેન્દ્રસિંહજીને ખાસ ટેલિફોન કરી ગુજરાતીમાં સૂચના આપી કે હૈદરાબાદ પર સૈનિક આક્રમણની તૈયારી કરવી. બીજી તરફ કાયદા-કાનૂનની વ્યવસ્થા પર કાબુ આણવા મુંબઈ સ્થિત સરકારને સૂચના આપી કે હૈદરાબાદની સીમા પર યોગ્ય બંદોબસ્ત કરવા કેન્દ્રીય સરકારની સહાયતા જોઈએ તેવું જાહેર કરે.

રાજેન્દ્રસિંહજીએ ‘અૉપરેશન પોલો’ નામથી પ્રખ્યાત આક્રમણનો વ્યૂહ રચ્યો. હૈદરાબાદની પશ્ચિમમાંથી ભારતની 1 Armoured Divisionના કમાંડર મેજર જનરલ ચૌધરીને તથા દક્ષિણમાંથી મેજર જનરલ રૂદ્રની ૧૦મી ઇન્ફન્ટ્રી ડિવિઝનને હૈદરાબાદની સીમા તરફ કૂચ કરવા આદેશ આપ્યો. સરદાર પટેલે Aid to Civil Powerના ઓથા હેઠળ સેનાની મદદ માગતો હુકમ રાજેન્દ્રસિંહજીને મોકલ્યો. તેમણે ઘડેલ ‘અૉપરેશન પોલો’ની વ્યૂહરચના અને planning એવા તો અણિશુદ્ધ હતા કે પાંચ જ દિવસમાં યુદ્ધ પૂરું થયું.

નિઝામના અરબ સેનાપતિ જનરલ એલ અેદ્રૂસની સેના પણ ઉચ્ચ સ્તરની કેળવણી પામેલી હતી. પાંચ દિવસના - પણ અત્યંત ભયાનક અને ઘમસાણ યુદ્ધમાં ભારતના ૬૬ અફસર-સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી. ૯૭ સૈનિકો ઘાયલ થયા. આ સામે નિઝામના ૪૯૦ સિપાઇઓએ યુદ્ધમાં માર્યા ગયા અને ૧૨૨ જખમી થયા. નિઝામે શરણાગતિ માગી અને હૈદરાબાદ ભારતમાં વિલિન થયું. 

અૉપરેશન પોલોની સફળતા બાદ જનરલ રાજેન્દ્રસિંહજી (ડાબે) મેજર જનરલ ચૌધરી અને નિઝામ સાથે.
જનરલ કરિઅપ્પા રિટાયર થયા બાદ રાજેન્દ્રસિંહજી ભારતના બીજા C-in-C થયા. રાષ્ટ્રપતિએ જ્યારે Supreme Commander of Armed Forces હોદ્દો ધારણ કર્યો ત્યારે ભારતની સ્થળસેનાના પ્રથમ સેનાપતિના સ્થાન પર રાજેન્દ્રસિંહજીની નિમણૂંક થઈ.

જિપ્સીની આ વાત પેલા શીખ રિક્રુટિંગ અફસર સુધી પહોંચી શકી નથી! ભારતની પ્રજા હવે જાણવા લાગી છે કે હિંમત અને બહાદુરી કોઈ વ્યક્તિ કે પ્રદેશની જાગિર નથી રહી. વળી આ ગુણ કેવળ યુદ્ધક્ષેત્રમાં જ બતાવી શકાય એવું પણ નથી. દેશ માટે અપાતું બલિદાન - પછી તે કોઈ પણ પ્રકારનું કેમ ન હોય, તેનું મૂલ્ય જીવનના બલિદાન જેટલું જ મહત્વનું હોય છે. તેથી જ તો આજે મહારાણા પ્રતાપની સાથે સાથે જીવનભરની કમાઇનું દ્રવ્ય અર્પણ કરનાર શાહસોદાગર ભામાશાનું નામ એટલા જ ભક્તિભાવથી લેવાય છે. 

ગુજરાતની સૈનિક ગૌરવગાથા ઘણી પુરાણી છે. આપ કદીક વેરાવળથી સોમનાથના દર્શને જશો તો સોમનાથ પાટણના સિમાડા પર મહંમદ ગઝનવીના સૈનિકોની સેંકડો કબરો જોવા મળશે. કેટલીક કબર પર જિપ્સીએ ઘોડાની આકૃતિના tomb stone જોયા હતા. ત્યાંના ભોમિયાએ કહ્યું હતું કે આ પાળીયા ગઝનવીના માર્યા ગયેલા સેનાપતિઓના હતા. તેમની સામે યુદ્ધ કરનારા બીજા કોઈ નહિ, ગુજરાતી સૈનિકો હતા.

આવતા કેટલાક અંકોમાં ગુજરાતની સૈનિક પરંપરાની વાતો રજુ કરવાનો પ્રયત્ન કરીશું.


(નોંધ : અખંડ આનંદના માર્ચ ૨૦૦૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ જિપ્સીના લેખનું આ સંક્ષિપ્ત સ્વરુપ છે. અગિયાર જેટલા આધારભૂત ગ્રંથ તથા લેખના સંશોધન બાદ આ માહિતી આપી શકાઈ છે.)

No comments:

Post a Comment