Friday, January 20, 2017

આસપાસ ચોપાસ : ફિક્કી દાળ, બળેલી રોટલી... અંતિમ ભાગ.

ફિક્કી દાળનો વિવાદ શરૂ થયો તે BSFના કૉન્સ્ટેબલ તેજ બહાદુર યાદવના વિડિયો પરથી. તેણે ફેસબુક પર મૂકેલ વિડિયો દેશ - પરદેશમાં લગભગ એક કરોડ વાર જોવાયો. છાપાંવાળાંઓએ એટલા જ શબ્દોમાં તેની ચર્ચા કરી. યાદવની દેખાદેખી ભારતીય સેનાના લાન્સ નાયક યજ્ઞપ્રતાપ સિંહે પણ ફરિયાદ કરી, જો કે તેની શિકાયત અફસરના સહાયક તરીકે સેવા બજાવવા વિશે કરી હતી. આપણે યાદવના વિડિયોની વાત કરીશું.

BSFના જવાનોની ફરજ ભારતીય સેનાના જવાનો કરતાં પણ અત્યંત સખત હોય છે. સૈન્યમાં દરેક બટાલિયનને સીમા પર (જેને અૉપરેશનલ એરિયા કહેવાય છે) બે વર્ષ માટે તહેનાત કરવામાં આવે છે. આમ તેમનો બે વર્ષનો અવધિ પૂરો થાય ત્યારે આખી બટાલિયનને Peace Stationમાં, એટલે શહેરોમાં આવેલા કેન્ટોનમેન્ટમાં બે વર્ષ માટે મૂકવામાં આવે છે. ત્યાં જવાનો માટે ફૅમિલી ક્વાર્ટર્સ હોય છે. તેમના રહેઠાણમાં પાણી, વિજળી, જરૂરી મરામત વિગેરે પૂરી પાડવા MES - મિલિટરી એન્જિનિયરીંગ સર્વિસ હોય છે.  મિલિટરીની જે બટાલિયને અતિ સખત વિસ્તારમાં સેવા બજાવી હોય તેને સારામાં સારા ‘પીસ સ્ટેશન’ પર મોકલવામાં આવે છે. તંગધારમાં અમારી બટાલિયનની જોડે જે ગુરખા બટાલિયન હતી, તેના બે વર્ષ પૂરાં થતાં તેમને પુનાના કેન્ટોનમેન્ટમાં મોકલવામાં આવી હતી. ત્યાં બે વર્ષ માટે તેઓ ફક્ત ટ્રેનિંગ અને કઠણ હાલતમાં સેવા બજાવ્યા બાદ થાક ખાવા માટે રોકાયા હતા. અમારી બટાલિયનને તંગધારમાં ત્રણ વર્ષ સેવા બજાવ્યા બાદ બાંગલાદેશની સરહદ પર મોકલવામાં આવી હતી. BSF માટે કદી ‘પીસ સ્ટેશન’ હોતું નથી. 

***
BSFની ચોકીઓમાં રોજિંદી ડ્યુટી નીચે પ્રમાણે હોય છે.

ચોકીમાંના મોટા ભાગના સૈનિકોને રોજ રાતે સીમા પર આવેલા બાઉન્ડરી પિલરના વિસ્તારમાં આતંકવાદીઓ અને દાણચોરોને રોકવા અને પકડવા નાકાબંધી માટે જવું પડે છે. કઈ જગ્યાએ નાકાબંધી કરવાની છે તેની જાણ છેલ્લી ઘડી સુધી તેમને આપવામાં આવતી નથી. 
કચ્છના રણમાં બાઉન્ડરી પિલર નજીક પેટ્રોલિંગ કરતી BSFની ટુકડી

ગુજરાત -  રાજસ્થાનના થારના રણ વિસ્તારમાં BSFની બે ચોકીઓ વચ્ચેનું અંતર પંદરથી વીસ કિલોમિટર હોય છે, જ્યારે પંજાબમાં પાંચથી છ કિલોમિટર. હથિયાર, રાતે અંધકારમાં જોઈ શકાય તેવા ઇન્ફ્રારેડ કિરણના ચશ્મા તથા અન્ય સામગ્રી લઈ સજ્જ થયેલા સૈનિકોને સૂર્યના અસ્ત થતા છેલ્લા કિરણના સમયે તેમને હેડક્વાર્ટર નક્કી કરેલા આંતરરાષ્ટ્રિય સીમા પર આવેલા સ્થળ પર જવાનો હુકમ આપવામાં આવે છે. આ સ્થળ પર ટૅક્્ટીકલ મોરચા બાંધી સૈનિકો આખી રાત ફરજ બજાવે. વહેલી સવારે આ સૈનિકો પાછા ફરે ત્યારે ચોકીની અંદર આખી રાત પહેરો ભરનાર સૈનિકો સીમા પર ‘પગ માર્ક’ (એટલે રાતના સમયે નાકા બંધી કરેલ જગ્યાઓ વચ્ચેના ખાલી ભાગમાંથી કોઈ આતંકવાદી, દાણચોર કે ઘૂસપેઠિયાઓએ આપણી સીમા પાર કરી હોય તો તેમનાં પગલાં તપાસવા અને) નિરિક્ષણ કરવા જતા હોય છે.

સીમા પર નાકાબંધી કરીને પાછા ફરેલ સૈનિકોને સવારની ચ્હા અને શિરામણ આપવામાં આવે છે. બે - ત્રણ કલાકના આરામના સમયમાં તેઓ નાહી-ધોઈ, તાજો યુનિફૉર્મ પહેરી પરેડ પર લાગી જતા હોય છે જેમાં હથિયાર સફાઈથી માંડી અન્ય  કવાયત,  સરહદ પર ફરીથી પેટ્રોલિંગ કરવા જાય કે ચોકીમાં બાંધવામાં આવેલ watch towerમાંથી ચારે તરફ નિરિક્ષણ કરે. સૈનિકો બપોરના ભોજન વારા ફરતી ઊંઘ પૂરી કરવાનો પ્રયત્ન કર્યા બાદ રાતની ડ્યુટી માટે તૈયારી કરે. સાંજ પડતાં ફરી નાકા બંધી, ગિસ્ત, પહેરો શરૂ થઈ જાય.

દરેક ચોકીમાં જવાનો માટે ભોજન રાંધવા એક રસોઈયો અને તેને મદદ કરવા બે જવાનોને ફરજ સોંપવામાં આવે છે. ત્રણ જણાની આ ‘ટીમ’ પરોઢિયે ચાર વાગ્યાથી કામ પર લાગી જાય. સૌ પ્રથમ ચોકીમાં આખી રાતનો ઉજાગરો કરી ચોકી કરનાર સૈનિકોને ચા, ત્યાર બાદ સીમા પરથી આવેલા સૈનિકો સમેત સઘળા સૈનિકો માટે શિરામણ રાંધવાનું. આ કામ પૂરું થતાં વાસણ ધોઈ તરત બપોરનું ભોજન રાંધવાની શરુઆત થઈ જાય. છેલ્લો સૈનિક બપોરનું ભોજન પતાવે ત્યાં બપોરની ચાનો સમય થાય અને રાતનું ભોજન રાંધવાની શરુઆત. આપે યાદવની ‘ક્લિપ’ જોઈ તેમાં રોટલી શેકનાર સિપાઈ પ્રશિક્ષિત રસોઈયો નથી, પણ રસોઈયાને મદદ કરનાર યોદ્ધા છે. જે રીતે તે રોટલી શેકે છે, તેના પરથી આપને ખ્યાલ આવ્યો હશે. જ્યારે રસોઈયો તેના હક્કની વાર્ષિક રજા પર જાય ત્યારે તેની અવેજીમાં કામ કરવા એક યોદ્ધાને મૂકવામાં આવે છે. સ્વાભાવિક છે કે ઘણી વાર બોર્ડર પર સેવા બજાવનાર સૈનિકો માટે તૈયાર થતું ભોજન રસોઈયાને બદલે સામાન્ય સૈનિક રાંધતા હોય છે. ઉપરની ક્લિપમાં જોયું હશે કે કિચનમાં રંધાયેલી દાળ રંગહિન, સ્વાદહિન દેખાતી હતી, પણ શાકના રંગ અને તેના પરના વઘાર પરથી ખ્યાલ આવ્યો હશે કે તે સૈનિકોથી બને એટલી આવડત અને કુશળતાથી બનાવી છે. 

અહીં એક તથ્ય બહાર આવે છે કે જવાનોના ભોજન રાંધવા માટેની વ્યવસ્થામાં ઘણો સુધારો આણવાની જરૂર છે.

હવે જોઈશું BSFના જવાનોના રાશનની વ્યવસ્થા.

જ્યારે BSFને મિલિટરીના અૉપરેશનલ કન્ટ્રોલ નીચે મૂકવામાં આવે ત્યારે તેમને મિલિટરી તરફથી તેમના સ્કેલ પ્રમાણે રાશન આપવામાં આવે છે. અન્ય સ્થળોએ  - એટલે જમ્મુ-કાશ્મિર સિવાય અન્ય જગ્યાએ સેવા બજાવતી BSFની ૭૦થી ૮૦ ટકા બટાલિયનોમાં વ્યવસ્થા જુદી હોય છે. આ યુનિટોને સૈન્યનું રાશન આપવામાં આવતું નથી. જવાનોને દર મહિને ભોજન અેલાવન્સ અપાય છે, જેમાંથી રાશન ખરીદવાની જવાબદારી કંપની કમાંડરની હોય છે. આ કામ કરવા ચારથી પાંચ સભ્યોની મેસ કમિટી ચૂંટાય છે, જે જવાનોએ નક્કી કરેલા menu મુજબ બજારમાંથી મહિનાનું રાશન ખરીદીને લઈ આવે છે. આ રાશન જવાનોને મળતા ભોજન માટેના એલાવન્સમાંથી લેવાતું હોવાથી (જુના જમાનામાં) પોષક તત્વોને સ્ટાન્ડર્ડ ગણવા કરતાં સ્થાનિક બજારમાં મળતી મૂળભૂત વસ્તુઓ પર વધુ ધ્યાન આપવામાં આવતું. તેમાં આવી જાય દાળ, રોટી, શાકભાજી કઠોળ, ચ્હા, ખાંડ અને મસાલા. આમ દર મહિને ખરીદીને લાવવામાં આવતું રાશન દરેક ચોકીમાં મોકલવામાં આવે છે. ગુજરાત - રાજસ્થાનમાં હાલત સૌથી ખરાબ હોય છે. રણમાં આવેલી ચોકીઓમાં તાજાં શાકભાજી મોકલવા મુશ્કેલ છે કેમ કે નજીકથી નજીકનું બજારહાટવાળું ગામ ચોકીથી ૪૦ - ૫૦ કિલોમિટરના અંતરે હોય છે જ્યાં બજેટને કારણે અઠવાડિયામાં એક વાર પણ વાહન મોકલી શકાતું નથી. તાજા દૂધને બદલે મિલ્ક પાવડર કામ ચલાવવું પડે. આનું મુખ્ય કારણ એ છે કે BSFમાં મિલિટરી જેવું infrastructure કે supply chain હોતી નથી.


***

આપે જોયેલી ક્લિપમાં BSFના જવાને એક ગંભીર આરોપ કર્યો હતો કે મિલિટરીના કંટ્રોલ નીચે કામ કરી રહેલ બટાલિયનોમાં રાશન તો સરખી રીતે પહોંચી જાય છે, પણ “ઉપરી” અધિકારીઓ તે બારોબાર વેચી નાખતા હોવાથી તે મને તેમના હકનું રાશન મળતું નથી. અહીં ફક્ત એક વાત કહેવી યોગ્ય ગણાશે કે આક્ષેપ અને આરોપ જ્યાં સુધી પૂરવાર ન થાય ત્યાં સુધી તેના પર વિશ્વાસ ન કરાય. બીજી વાત : આજકાલ સૈન્યમાં ભરતી થનારા અદના સૈનિકો બારમી કે તેથી આગળનો અભ્યાસ કરી ચૂકેલા હોય છે. તેમનામાં પોતાના હક્ક વિશે એટલી જાગૃતિ આવી છે, તે અન્ય કોઈ નહિ તો રાશનની બાબતમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર સાંખી લેતા નથી. વળી અફસરો પોતે જાણતા હોય છે કે સૈનિકોનું મનોબળ જાળવી રાખવા માટે નીચે જણાવેલી ત્રણ બાબતો પર કોઈ જાતની બાંધછોડ કરી જ ન શકાય : ત્રણ વખતનું તેને મળતા રાશન મુજબનું ભોજન, દર મહિનાની પહેલી તારિખે પગાર અને જરૂરિયાત પ્રમાણે જવાનને તેના હક્કની વાર્ષિક રજા મળવા જ જોઈએ. આવું ન થાય તો સૈનિકોના મનોબળ પર પ્રતિકૂળ અસર પડતી હોય છે અને તેનાં પરિણામ ગંભીર સ્વરુપના હોઈ શકે છે. 

ભારતીય સેનામાં જુના સમયથી એક વાત કહેવાતી આવી છે : There are good officers and bad officers, but never a bad soldier. જવાનોના માનસમાં શિસ્ત અને જીવના જોખમે પણ ઉપરી અધિકારીના હુકમનું પાલન કરવાની વૃત્તિ હોય છે અને તે નિયમિત રીતે કેળવવામાં આવે છે. અંગ્રેજોના સમયના ભારતની સેનાના કમાંડર ઇન ચીફ ફિલ્ડ માર્શલ સર ફિલિપ ચૅટવૂડે ભારતીય સેનામાં અફસરોને કેળવણી આપવા માટે સ્થપાયેલી સૅન્ડહર્સ્ટ જેવી ઈન્ડિયન મિલિટરી અેકેડેમીને ધ્યેયસૂત્ર આપ્યું, જે હજી પણ ટ્રેનિંગ બાદ અફસર બનેલા કૅડેટ શપથ તરીકે સ્વીકારે છે:
The safety, honor and welfare of your country come first always and every time.

The honor, welfare and comfort of the men you command come next.

Your own ease, comfort and safety come last, always and every time.

આ mottoનાં મહત્ત્વ પર ભારત સરકારના ગૃહખાતા નીચે આવતા દળોમાં કેટલી હદ સુધી ભાર અપાય છે તે જાણવું અશક્ય છે. જો હોત તો BSFના જવાનની ફરિયાદ જગજાહેર ન થાત. 

આ લેખમાળામાં પહેલાં જણાવ્યા પ્રમાણે દેશની રક્ષા કરનાર જવાનો અને જુજ કિસ્સાઓમાં જુનિયર અફસરો પર થતા અન્યાય કે તેમના અધિકારોની અવગણના પાછળ human element જવાબદાર હોય છે.

મૅનેજમેન્ટ શાસ્ત્રના જાણકારો હંમેશા કહેતા આવ્યા છે કે કોઈ પણ સંસ્થામાં તેના ઉચ્ચ સ્તર પર લેવાતા નિર્ણયો તથા નીતિઓના પાલનમાાં First Line Managers અતિ મહત્વની કડી સમાન હોય છે. તેમના થકી Human Resource Managementની મૂળભૂત નીતિઓ અમલમાં મૂકાતી હોય છે. આનું પાલન થાય છે કે નહિ તે તપાસવા monitoringની વ્યવસ્થા કરવામાં આવે છે. 

આ વાતને સૈન્યના સંબંધમાં જોઈએ તો તેમાં કંપની કમાંડર ફર્સ્ટ લાઈન મૅનેજર હોય છે. જવાનોને પોષક અને સ્વાદિષ્ટ ભોજન મળે છે કે નહિ તે તપાસવાની કંપની કમાંડરની અંગત જવાબદારી હોય છે. આ કામ તેઓ જાતે અથવા તેમના તાબા હેઠળના અધિકારી (પ્લૅટુન કમાંડર) દ્વારા ચકાસતા હોય છે. જો આ અધિકારીઓ તેમની ફરજમાં ચૂકી જાય અને જવાનોમાં અસંતોષ ફેલાય તેનું નિવારણ કરવા અન્ય યંત્રણા હોય છે. બટાલિયનના સેકન્ડ-ઈન-કમાંડ (2IC)ને યુનિટના વેલફેર અૉફિસરની જવાબદારી સોંપાતી હોય છે અને તેમણે આ બાબતમાં થતી ફરિયાદ પર સીધો હસ્તક્ષેપ કરવો જોઈએ.  સિપાઈ તેજ બહાદુર યાદવની બાબતમાં આખી system જ બેદરકારીમાં ડૂબી હતી. કોઈએ તેમની જવાબદારી નિભાવી નહિ. આ વાત સરકારના ધ્યાનમાં આવતાં જ ગઈ કાલના જ - એટલે ૧૯ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ભારત સરકારના ગૃહખાતાએ યાદવની બટાલિયનના સીઓ (કમાંડીંગ અૉફિસર) અને 2ICની તાત્કાલિક બદલી ત્રિપૂરામાં કરી અને ઉચ્ચ કક્ષાની ઈન્ક્વાયરી શરૂ કરી છે. 

***

વિશ્વના સઘળા સૈન્યોમાં નિષ્ઠા અને પ્રામાણિકતા પર અફસરો તથા સૈનિકોના પાયાના શિક્ષણથી જ ભાર અપાય છે. તેમ છતાં સૈન્યમાં ભ્રષ્ટાચાર થવાની વાતો બહાર આવતી રહે છે.  ભારતીય સેનાની વાત કરીએ તો છાપાંઓમાં સુખના જમીન (Sukhna Land Scam), મુંબઈના આદર્શ ફ્લૅટ્સમાં ખુદ સેનાધ્યક્ષની સંડોવણી, શ્રીલંકામાં ભારતીય સેનાને મોકલવામાં આવી હતી ત્યારે તેમને પહોંંચાડવામાં આવનારી રસદની ખરીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હતો . આ બાબતોમાં થયેલી તપાસ અને કોર્ટ માર્શલમાં આ દુરાચાર માટેના જવાબદાર લેફ્ટેનન્ટ જનરલ અને મેજર જનરલનો હોદ્દો ધરાવનાર અફસરોને સખત સજા કરવામાં આવી હતી. હાલમાં જ અૉગસ્ટા  વેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટરના કૌભાંડમાં ભારતીય વાયુસેનાના અૅર ચીફ માર્શલ ત્યાગીની ધરપકડ કરવામાં આવી જે સૌ જાણે છે. 

નીચલા એટલે બટાલિયન લેવલ પર, જ્યાં કમાંડીંગ અફસરથી માંડી અદના સિપાઈઓને ખભા સાથે ખભો મેળવી દુશ્મન પર ધસી જવાનું હોય ત્યાં આવો ભ્રષ્ટાચાર શક્ય નથી. એક તો અધિકારીઓ પાસે નાણંાકિય સાધન કે મિલ્કતની જવાબદારી હોતાં નથી. જવાનોનું રાશન સીધું તેમના હેડક્વાર્ટરમાં પહોંચે તેથી તે બજારમાં વેચાય તે શક્ય નથી. જો એવું હોત તો ભારતીય સેનામાં અનેક વાર બળવો  થઈ ચૂક્યો હોત. આવો ભ્રષ્ટાચાર કદી થયો નથી. કારગિલ જેવા દુર્ગમ ક્ષેત્રમાં સૈનિકોએ તેમના અફસરો સાથે ધસી જઈ, પ્રાણની આહૂતિ આપી દુશ્મનને પરાસ્ત કર્યો તે આ વાતની સાક્ષી પૂરે છે કે ભારતીય સેનાના અફસરો તેમના જવાનોની સુખાકારી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી શકે છે. 

ચર્ચાના ઉપસંહારમાં કહી શકાય તેવા કેટલાક કટુ સત્ય છે.

ભારતમાં આપણી રાજ્ય અને શિક્ષણ પદ્ધતિમાં ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ફેલાયો છે કે તેના મારની કળમાંથી આપણો સમાજ હજી બહાર આવી શક્યો નથી. મારી દૃષ્ટિએ ગુજરાત રાજ્ય એક અપવાદ છે જ્યાં ભ્રષ્ટાચાર સામે લડવાની વૃત્તિ વધુ સજાગ છે. 

અન્ય પ્રદેશોમાં - ખાસ કરીને વરીષ્ઠ અધિકારી વર્ગમાં systemનો અનુચિત લાભ લેવાની વૃત્તિ વધી ગયા જેવું લાગે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરીષ્ઠ અને કનિષ્ઠ અફસરોની વાત કરીએ તો Pay Commission દ્વારા અપાતા પગાર વધારાની માત્રા સારી હોવા છતાં કરોડોની અસ્ક્યામતો હાંસલ કરવાની તેમની વૃત્તિ વધતી જ જાય છે. રોજ વાંચવામાં આવે છે કે દેશની પ્રથમ કક્ષાની સેવાઓના અફસરો પાસે કરોડોની દોલત હોવાને કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. સિવિલ ક્ષેત્રમાં આ વ્યાપક જણાતું હોય પણ સશસ્ત્ર દળોમાં અગાઉ જણાવેલા કેટલાક સ્તર સિવાય અન્ય હોદ્દાઓના અફસરોમાં આવા લાભ મેળવવાની શક્યતા હોતી નથી. બટાલિયનના અફસરોના સ્તર સુધી અન્ય પ્રકારનો અનાચાર જોવા મળે છે; જેમ કે અફસરોના તાબા હેઠળના યોદ્ધાઓનો અંગત નોકરની જેમ ઉપયોગ કરવો અને તેનો ઇન્કાર કરનાર સૈનિકોને સજા આપવી. આ બાબત પર જુદો લેખ લખી શકાય. આવી જ બીજી બાબત છે સરકારી ગાડીઓનો અંગત કામ માટે ઉપયોગ વિગેરે. આ બન્ને વિષયો પર ઘણી વિડિયો ક્લિપ આજકાલ ફેસબુક જેવા સોશિયલ માધ્યમોમાં વહેતી થઈ છે.

અંતે તો સઘળી વાત માણસની વૃત્તિ, તેને મળેલા સંસ્કાર અને મૂલ્યો પર આવીને અટકી જાય છે. 

આપણા એક વાચક શ્રી. પીયૂષભાઈના પ્રતિભાવ મુજબ સઘળી વાતોનું મૂળ Human Elementમાં થયેલા સડાને કારણે છે. આ ‘તત્ત્વ’માં યોગ્ય સંસ્કારો તથા માનવી મૂલ્યોનું સિંચન થાય તો તે કેવળ વ્યક્તિને જ નહિ, સમગ્ર રાષ્ટ્રને એક સ્તર પરથી બીજા સ્તર પર લઈ જાય છે.

***

સૈનિકોનો અંગત નોકરની જેમ ઉપયોગ કરવા વિશે એક વિનોદી વાત : 

ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા એક સૈનિકને અફસરના ‘સહાયક’ની ડ્યુટી મળી. અફસર પત્નીએ તેને રસોડામાં કામે લગાડ્યો. કૂકર પર દાળ ચઢાવી મૅડમે સહાયકને કહ્યું, “બે સીટી વાગે એટલે ગૅસ બંધ કરી નાખજે.”

“ઠીક છે, મેમસા’બ. પણ સીટી કોણ તમે વગાડશો કે સાહેબ?”

No comments:

Post a Comment