Friday, February 5, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨૫

ડૉક્ટરસાહેબના અવસાન બાદ પરિવારને સારંગપુર છોડીને વર્ષો વિતી ગયા હતા. તેઓ હવે ઈંદોરમાં વસી ગયા હતા. 

ચંદ્રાવતી ડિલિવરી માટે પિયર આવી હતી. હિંચકા પર બેસી તે આતુરતાથી પતિના પત્રની રાહ જોઈ રહી હતી. દેવડીના દરવાજામાં પોસ્ટમેન બે પત્રો નાખી ગયો અને તે લેવા ચંદ્રાવતી દેવડી તરફ દોડી.

“અલી, જરા હળવેથી. આમ તોફાની બારકસની જેમ દોડે છે શાની?” ઉપરના માળેથી મોટાં કાકીએ ચંદ્રાવતીને દબડાવી. ચંદ્રાવતીએ તેમની સામે જોઈ સ્મિત કર્યું અને જમીન પર પડેલા પત્રો ધીમેથી ઉપાડ્યા.

આજે પણ પતિનો પત્ર નથી. વિલાયેલા ચહેરે  અંદરના ઓરડામાં આવીને ચંદ્રાવતી બોલી, “આ બે’ય પત્રો તારાં છે બા. તેમાં એક કંકોત્રી જણાય છે,” પૂજાની ઓરડીમાં બેઠેલાં જાનકીબાઈને તેણે પત્રો આપ્યાં.

“તું જ વાંચ. પણ મુંબઈથી કોઈ કાગળ?”

“ના રે ના! આજે પણ એમનો કાગળ નથી. પત્ર લખવાની તકલીફ કોણ લે? અહિંયા તમે ગમે એટલી રાહ જોઈને બેસો. એક દિવસ અચાનક આવીને ઉભા રહેશે. પોતાને દીકરો કે દીકરી થઈ છે તેનો તાર હાથમાં પડે એટલી વાર. પછી જો જે તું. તારી તો એવી દોડધામ શરુ થઈ જશે!”

“ભલે દોડધામ કરવી પડે, મારો એક નો એક જમાઈ છે, અને એ’ય તો મોટ્ટો હોદ્દેદાર! તેમની યોગ્ય સરભરા કરવી જોઈએ કે નહિ?”

“એ હોદ્દેદાર છે તેથી સરભરા કરવાની?”

“એવું થોડું છે? તને તો વાતનું વતેસર કરવાની ટેવ પડી છે,” પુત્રી તરફ વહાલભરી નજરે જોતાં જાનકીબાઈ બોલ્યાં. ત્યાં સુધીમાં ચંદ્રાવતી એક પત્ર વાંચી ચૂકી હતી.  

“બડે બાબુજીનો પત્ર છે. “

“શું કહે છે?”

“જામુની અને મિથ્લાનાં લગ્ન છે. તેમણે લગ્નમાં પધારવાની તને આગ્રહભરી વિનંતી કરી છે. આ રહી કંકોત્રી.”

“છોકરીઓને ક્યાં આપી?”

“બનારસ જિલ્લાના દુર્ગાપુરની નજીકના ગામડામાં સાસરિયું છે. એક જ ઘરમાં બે ભાઈઓને દીકરીઓ આપી. ખેતીવાડી છે એમની.”

“લગ્ન ક્યાં છે?”

“સારંગપુરમાં જ.”

“સારું થયું. જ્યાં વરાવી, ત્યાં ગઈ છોકરીઓ. માબાપના માથા પરનો ભાર ઓછો થયો,” જપ કરતાં કરતાં માળા ફેરવવાનું બંધ કરી તેમણે દીકરી તરફ જોયુું - જાણે તેનો અભિપ્રાય માગતાં હોય.

મા તરફ ધ્યાન નથી એવું દર્શાવતાં ચંદ્રાવતીએ ટેબલ પર થાળીઓ ગોઠવવાનું શરુ કર્યું.
બન્નેએ જમવાનું આટોપ્યું. જાનકીબાઈ પાછાં પૂજાની ઓરડીમાં ગયાં અને ‘દાસબોધ’ વાંચવાનું શરુ કર્યું અને ચંદ્રાવતી પાછી હીંચકા પર જઈને બેઠી.

થોડી વારે કંઈક યાદ આવ્યું હોય તેમ તે ઊઠી અને ટેબલ પરનાં પત્રો ઉપાડી રસોડાના જાળીવાળા કબાટ પરના ચા ખાંડના ડબા પાછળ સંતાડ્યા,

બપોરના દોઢે’કના સુમારે શેખર મેડિકલ કૉલેજમાંથી આવ્યો. ચંદ્રાવતીએ ભાણું પીરસ્યું. શેખરે તેની હંમેશની ટેવ મુજબ ચૂપચાપ જમવાનું શરુ કર્યું.

ભોજન પતાવ્યા બાદ ચંદ્રાવતીએ ડબા પાછળનાં પત્રો કાઢ્યાં અને શેખર સામે ધર્યાં અને કહ્યું, “અરે, તને કહેવાનું રહી જ ગયું. મિથ્લા - જામુનીનાં લગ્નની આમંત્રણ પત્રિકા આવી છે. બડે બાબુજીનો બા ને પત્ર પણ આવ્યો છે. બહુ આગ્રહ કર્યો છે તેમણે, કહે છે, બધા લગ્નમાં જરુર આવજો.”

બડે બાબુજીનો પત્ર વાંચતાં શેખરનો ચહેરો સહેજ કરમાઈ ગયો હોય તેવો ચંદ્રાવતીને આભાસ થયો. મનોમન તે ગભરાઈ ગઈ. શેખરે પત્રની ગડી વાળી અને કંકોત્રી અને પત્ર પાછાં કવરમાં મૂકી તટસ્થ ભાવથી ચંદ્રાવતીના હાથમાં મૂક્યા.

“શેખર!” ભાઈ તરફ આંસુંભરી આંખે જોઈ ચંદ્રાવતી હળવેથી બોલી.

“હં…”

“તને દુ:ખ થશે, તું કદાચ જમીશ પણ નહિ એવું લાગ્યું તેથી જમ્યા પછી તને આ પત્રો આપ્યાં. બાબા ગયા અને બધ્ધું હતું ન હતું થઈ ગયું. નહિ તો કોઈ ને કોઈ માર્ગ નીકળી શક્યો હોત.”

“શાનો માર્ગ?”

“મારા કપ્પાળનો માર્ગ!” શેખર તરફ તીખો કટાક્ષ નાખતાં ચંદ્રાવતીએ કહ્યું.

“બાકી જામુનીને સારો, ભણેલો વર મળવો જોઈતો હતો, નહિ? ક્યાં એ બનારસ નજીકનું ગામડું… દદ્દાએ જામુનીનો સત્યાનાશ કર્યો.”

“આ તું શું બોલી રહ્યો છે, શેખર!”

“પણ જીજી, તું શા માટે આટલું બધું ખોટું લગાડી લે છે? છોડો, યાર! જે થયું તે ગંગાર્પણ. બીજું શું?” હસતાં હસતાં શેખર બોલ્યો; “અને સાંભળ, સાંજે ઘેર આવતાં મોડું થશે, એક દોસ્તને ત્યાં પાર્ટી છે,” સાઈકલ બહાર કાઢતાં આંગણામાંથી શેખરે બૂમ પાડી.

ચંદ્રાવતી માટે હવે કેવળ પોતાના ભાવનાશીલ હૃદયની દયા ખાવાનું બાકી રહ્યું હતું. હીંચકાની સાંકળ મજબૂત પકડી, હાથ પર મસ્તક ટેકવી તે લાંબા સમય સુધી આઘાતપૂર્ણ સ્થિતિમાં બેસી રહી. હીંચકો એની મેળે જ ઝુલી રહ્યો હતો.

“બહુ થયું હવે. પૂરા દિવસ થવા આવેલી ગર્ભવતિ સ્ત્રીએ ભર બપોરના વખતે આમ કપાળ પર હાથ મૂકીને બેસવાનું ન હોય. જા, જરા પલંગ પર આડી પડીને આરામ કર જોઉં!” દાસબોધ અધવચ્ચે મૂકી અંદરના ઓરડામાં આવીને જાનકીબાઈએ દીકરીને કહ્યું.

***
અઢી વર્ષ પહેલાં ચંદ્રાવતી શેખરના લગ્નપ્રસંગે ઈંદોર ગઈ ત્યારે તેને મિથ્લાના મૃત્યુની ખબર જાનકીબાઈ પાસેથી મળી હતી. શેખરના સારંગપુરના મિત્રે પત્ર લખીને આ વાત જણાવી હતી. મિથ્લાને જબરજસ્ત ‘સીતલામાતા’ નીકળ્યાં હતાં. ત્યાંના ઠાકુર લોકોના રીતરિવાજ મુજબ શીતળાદેવીના પૂજાપાઠ કરવામાં, તેમની આરતી ઉતારવામાં અને લીમડાની ડાળીઓ વડે વિંઝણાં વિંઝવામાં તેમણે સમય વીતાવ્યો. શીતળાદેવીના ગીતો - ભજનો ગાવામાં તેમણે ધન્યતા અનુભવી અને તેમાં વીસ - બાવીસ વર્ષની મિથ્લાએ પ્રાણ ત્યાગ્યાં.

‘આઠ દિવસના મારા સારંગપુરના વાસ્તવ્યમાં મારે બડે બાબુજીને મળી આવવું જોઈએ. તેમની સાથે આપણો કેટલો ઘરોબો હતો! બાબાની પાછળ તેમના સગા ભાઈની જેમ સતત ખડે પગે ઊભા રહેતા હતા. એમની જુવાનજોધ દીકરી મૃત્યુ પામી તેનો આઘાત આ ઢળતી વયે તેમણે અને સત્વંતકાકીએ કેવી રીતે ઝીલ્યો હશે? આજે તો તેમના ઘેર જવું શક્ય નથી. સાંજે પાવરહાઉસ જોવા અને રાતે ડૉક્ટર મિશ્રાને ઘેર જમવા જવાનું પહેલેથી નક્કી કરવામાં આવ્યું છે!

શેખર પણ કેવો નીકળ્યો! દીકરાના મુંડન વખતે ગામ આખું ભેગું કર્યું. ચા-પાણી, ખાણી-પીણી, ગાવા - બજાવવાનું…કશામાં તેણે કમી નહોતી રાખી. નાઈને ચાંદીની કાતર આપી અને મુન્નાના વાળ એકઠા કરવા આવેલી આયાને નવાં સાડી - બ્લાઉઝ અાપ્યાં. સરસ! બહુ સુંદર! ઘણું સારું કર્યું કહેવાય. આટલું બધું કર્યું પણ સાદ પાડતાં સંભળાય એટલા અંતરે રહેતા બડે બાબુને આમંત્રણ આપવું શેખરને કેમ યોગ્ય ન લાગ્યું? જે થઈ ગયું તેને હૃદયની અમૂલ્ય અમાનત તરીકે કેટલો વખત સાચવવાની હોય? જો કે શેખરે તેને કદી અમાનત માની હતી? એણે તો સ્પષ્ટ કહ્યું હતું કે જે થયું તેને ગંગામૈયાને અર્પણ કરીને તે મોકળો થઈ ગયો હતો. જે થયું તેને હું એકલી સંભાળીને બેઠી છું…ભલે એ તને 'ગંગામૈયાને અર્પણ’ કરવા જેવું લાગ્યું હોય. પણ વિચાર કર, જો તેં ખરેખર આ નાજુક સંબંધ ગંગામૈયાને અર્પણ કર્યો હતો તો તટસ્થ ભાવથી બડે બાબુજીને નિમંત્રણ કેમ ન આપ્યું? ભુલ તો મારી પણ થઈ. મુંડનનો સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે જ મને આ યાદ આવવું જોઈતું હતું. તે ઘડીએ જ શેખર અને ઉમા પાસેથી મેં આ વાતનો ખુલાસો માગી લીધો હોત…હજી પણ સમય છે. બડે બાબુજીને આ અગત્યના પ્રસંગ પર શા માટે નિમંત્રણ ન મોકલ્યું તે હું શેખરને ખખડાવીને પૂછી લઈશ…

શેખરનું ઘર આવ્યું. ચાની કિટલી ટેબલ પર મૂકતાં ઉમાએ ચંદ્રાવતીને હૉલના બારણામાં જ પૂછ્યું, “જીજી, બ્રેકફાસ્ટમાં શું લેશો?”

***
ડૉ. મિશ્રાના ઘેર ભોજન પતાવીને આવ્યા બાદ ચંદ્રાવતીએ ઉમાને પૂછ્યું, “મુન્નાના મૂંડન સંસ્કારનું નિમંત્રણ સત્વંતકાકીને મોકલ્યું જ હશે, ખરું ને?”

“મોકલી તો આપ્યું હતું…હા, આપણે ત્યાં પાણી ભરનારા સૂરદાસના છોકરાના હાથે…” શેખરે અલીપ્ત ભાવે કહ્યું.

“તમે પોતે કેમ ન ગયા?” ઉમાએ પતિને પ્રશ્ન પૂછ્યો.

“મને ક્યાં ટાઈમ હતો?”

“તો મને કહેવું હતું ને! હું પોતે ગઈ હોત. વડીલોને આપણે જાતે જઈને નોતરું દેવું જોઈએ.”

શેખરે જવાબ ન આપ્યો, પણ ભાભીના કથનથી ચંદ્રાવતીનું મન શાંત થયું.

***

બીજા દિવસે સવારે ચ્હા પીતાં શેખર સામે જોઈ ચંદ્રાવતીએ કહ્યું, “કહું છું, બડે બાબુજીને ઘેર જઈ આવું.”

“હા, જરુર જઈ આવ. તેમને સારું લાગશે. હું એક વાર તેમને ત્યાં જઈ આવ્યો હતો. તેમની આંખનું અૉપરેશન થયું ત્યારે.”

શેખર હૉસ્પિટલમાં રાઉન્ડ લેવા ગામમાં ગયા બાદ ચંદ્રાવતી નાહી - ધોઈને બડે બાબુજીના ઘેર જવા નીકળી. બહાર સ્વચ્છ તડકો પડ્યો હતો. તેણે પર્સમાંથી ગૉગલ્સ કાઢીને પહેર્યાં. માથા પર નીલા આકાશનો ચંદરવો દમકતો હતો. પગદંડીની બન્ને બાજુ ઘાસ પર હવાની લહેરથી લીલી તરંગો ઊઠતી હતી. વચ્ચે જ પીળા અને જાંબલી રંગના જંગલી ફૂલો ડોકિયું કરી રહ્યા હતા. દવાખાનાના કૂવા પર ચાલતા કોશનો ‘કિચૂડ, કિચૂડ’ અવાજ  આવતો હતો. હનુમાનજીના મંદિરમાંથી ઘંટનો મંદ સ્વર અને મંદિરમાં બળતા તેલના દીવાના વાસની સાથે અગરબત્તીની સુગંધ એકત્ર થઈને એક વિશીષ્ટ ખુશબૂ વાતાવરણમાં પમરાઈ હતી.

લાંબો સમય ડેલીની સાંકળ ખખડાવ્યા બાદ સત્વંતકાકીના પગમાંની ઝાંઝરનો છમ્મ - છમ્મ અવાજ સંભળાયો અને બંધ દરવાજાની પાછળ સત્વંતકાકીની મંદ થયલી ચાલ ચંદ્રાવતીએ મહેસૂસ કરી.

સત્વંતકાકીએ હળવેથી બારણું ખોલ્યું અને પગથિયા પર ઊભી ચંદ્રાવતી સામે ઝીણી આંખો કરી તેને જોતાં રહ્યાં. ચંદ્રાવતી તેમને એક મજેની ભાવનાથી જોતી રહી. દસ વર્ષ પહેલાંની તૂરી - કડવી યાદો તેના મનની પાટી પરથી સાવ ભૂંસાઈ ગઈ હતી અને કાકીના ઘરના આંગણામાંના લિંબોડીના ઝાડ નીચે એકલી જ પાંચીકે રમતી મિથ્લા તેની આંખો સામે ઉભરવા લાગી.

કાકીના વાળ સાવ સફેદ થઈ ગયા હતા. બદામના આકારનાં તેમનાં સુંદર નયનોની રોશની હવે ઝાંખી પડી ગઈ હતી. હાથ પર કરચલીઓ પડી ગઈ હતી, તેમ છતાં તેમનો વૃદ્ધ ચહેરો તેમના સૌંદર્યનાં ચિહ્નો હજી સુધી સાચવી રહ્યો હતો. ધારદાર નાક અનેસૌંદર્ય રેખા-સમા તેમના હોઠ હજી તેવાં જ રહ્યા હતાં.

“પહિચાનત નાહી, ચાચી?”

“કઊન?” આંખોને વધુ ઝીણી કરી, ભમ્મર પર હથેળી રાખી સત્વંતકાકીએ પૂછ્યું.

“મૈં ચંદર.”

“અરી ચંદર બિટિયા! મૈં ડોકરી તાકતી હી રૈ ગૈ! મો કો લગો, ઈ કઉન મેમસાબ આન ઠાઢી ભઈ હમરે દુઆરે! આ જા બિટિયા, આ જા, ગલે લગ જા!”

ચંદ્રાવતી તેમને ભેટી પડી.

કો'ક સમયે સત્વંતકાકીના હાથે ગાયના છાણથી લીંપાતું જે ચકચકીત આંગણું હતું, તે હવે ઉબડ ખાબડ થઈ ગયું હતું. લાલ માટીની ભીંતમાં એક મોટું બાંકોરું પડી ગયું હતું. આંગણાના બે ખૂણાઓમાં કોઈ કાળે જામુની અને મિથ્લાનાં જુદાં જુદાં ઢિંગલી ઘર હતાં, અને જેમાં ચંદ્રાવતી રમકડાં ગોઠવી આપતી, તે જગ્યા હવે ખાલી પડી ગઈ હતી.

સત્વંતકાકી ચંદ્રાવતીનો હાથ પોતાના હાથમાં લઈ અંદરના લંબચોરસ ઓરડામાં લઈ ગયાં. અંદરની રુમમાં પલંગ પર સૂતેલા બડે બાબુજીને ચંદ્રાવતીના આગમનની ખબર અતિ ઉત્સાહથી આપવા લાગી ગયાં. આંખો પર પાટા બાંધેલા બડે બાબુજી લાકડીના ટેકે તેમના ઘરના મોટા લંબચોરસ ઓરડામાં આવ્યા. કાકીએ તમને આરામ ખુરશી પર બેસાડ્યા.

“નમસ્તે, બાબુજી,” ચંદ્રાવતી હાથ જોડીને બોલી.

“જીતી રહો! કહો બિટિયા, કૈસી હો?”

“અચ્છી હું. શેખરકે મુન્નાકે મૂંડનકે લિયે ચલી આઈ.”

“સેખર કહ રહા થા તુમ સાયદ આ જાઓગી. અચ્છા હુઆ તુમ આ ગઈ,” બડે બાબુજી મંદ સ્વરે બોલ્યા.

“અરી, હમે ભી મૂંડનકા બુલવ્વા ભેજા હતા. કિસકે હાથન ભેજા હતા, તૂ પૂછ લે બિટિયા! સુરદાસ પનિહારેકે મોડે કે હાથ. ઐસે બુલવ્વે પર કોઊ જા સકત હૈ, ભલા? મૈં બાટ જોહતી રૈ ગૈ - મૈંને કહા, સેખર ખુબ બુલવ્વા દેને આવૈગા. સેખરકો હમને બડા કિયા, ઈત્તૈ -ઊત્તૈ નંગા ઘૂમત્તા. અબ ઉ કો બચ્ચા આયા. બિટિયા, ઈન્હેં અકેલા છોડ કર ભી મૈં ડોકરી ચલી જાતી…ઢંગકા બુલવ્વા આતા તબ.” ચ્હા બનાવવાનું કામ અધવચ્ચે મૂકી સત્વંતકાકી ઓરડામાં આવી ઠસ્સાથી બોલ્યાં.

બડે બાબુનો ચહેરો ત્રાસેલો જણાયો.

“અજી રહેન દો, ચાચી. ગલતી હો જાતી હૈ બચ્ચોં સે.”

“સો તો તૂને ઠીક કહી ચંદર, પર ફિર ભી…ઠહર મૈં ચાય બના કે લાતી હું.” સગડી પર ચાનું પાણી ઊકળવા લાગ્યું હશે તેની યાદ આવતાં સત્વંતકાકી રસોડામાં ગયાં.

“બડે બાબુજી, આપકી તબિયત કૈસી હૈ?” ચંદ્રાવતીએ પૂછ્યું. બડે બાબુજીએ ડોકું હલાવીને ‘ઠીક છે’ નો ઈશારો કર્યો અને પૂછ્યું, “બડીબાઈજીકી તબિયત કૈસી હૈ?” 

“ઠીક નહિ હૈ, બાબુજી. દો સાલ પહલે દીલકા દૌરા પડા. ઈંદૌરકે ડાક્ટરને ઈધર - ઉધર જાને સે મના કિયા હૈ.”

“બડે સાહબ અચાનક ચલ બસે, ઔર હમારા સહારા ટૂટ ગયા. ખૈર, ઈશ્વરકી ઈચ્છા. કહો, તુમ્હારે ઘરવાલે મજેમેં હૈં ના? સૂના હૈ તુમ્હેં બહુત અચ્છા ઘર મીલા.  ખૂબ પઢે લીખે અફસર આદમી હૈ!” બાબુજીએ અાદરથી પૂછ્યું.

“સબ ઠીક હૈ, બાબુજી, આપકી દૂઆ સે!”

“ચલો અચ્છા હી હુઆ. કાશ, તુમ્હારી ખુશિયાં દેખને બડે સાહબ જિવીત હોતે! પર હોની કો કોઈ ટાલ સકતા હૈ ભલા? અકેલે આઈ હો?”

“જી હાં. એક લડકા હૈ, નૌ સાલ કા. ઉસે ઉસકી દાદીમાંકે પાસ છોડ આઈ હું. આપ કૈસે હૈં?”

“હમારા ક્યા? અબ હમારે કિત્તે દિન બાકી બચે હૈં?”

“અભી તો બહુત સાલ બાકી હૈં. આપ બૂઢે થોડે હી લગતે હો?”

બડે બાબુજીએ કરુણ હાસ્ય કર્યું.

“દદ્દા કૈસે હૈં?” ચંદ્રાવતીએ અચકાતાં પૂછ્યું.

“ઠીક હી સમજો. અબ ભગત બને ઘૂમતે હૈં. આજકલ વે હરદ્વારમેં હૈં.”

“અરી ચંદર, તેરા ઘરવાલા કિત્તા કમા લેત હૈ?” રસોડામાંથી બૂમ પાડીને કાકીએ પૂછ્યું.

“પેટ પલ જાતા હૈ, ચાચી.”

“કા બાત કરત હો! બડી અફસરાઈન બની બૈઠી હો અઉર કહત હો પેટ પલ જાતા હૈ! છી છી છી!” ચંદ્રાવતી પ્રત્યે અત્યંત અભિમાનપૂર્વક જોઈ કાકી બોલ્યાં.
“તોહે સાસ સસુર હેંગે?”

“સસુર ગુજર ગયે. સાસ હૈં.”

“સબ એક સાથ રહત હો?”

“સાસ કભી મેરે પાસ, કભી દેવર કે પાસ રહેતી હૈં”

“ક્યા બંબઈમેં જનમદાત્રી ભી બાંટી જાતી હૈ?”

“ઐસા નહિ, ચાચી…”

“બંબઈકા મકાન કિત્તા બડા હૈ? તૂ તો બંગલેમેં પલી!”

“તીન કમરે હૈં.”

“હાય રામ! તીન કમરોંમેં કૈસા ગુજારા હોતા હૈ?”

“હો જાતા હૈ, જૈસા વૈસા.”

“સેખરકી બહુ પઢી લિખી હેંગી?”

“બી.એ. પાસ હૈ.”

“દહેજમેં કા મિલો?”

“પતા નહિ, ચાચી.”

“અરી તુ સેખરકી ઈકલૌતી બહિન, તોહે પતા નાહી?”

“કસમસે ચાચી!”

“અરી કસમ ઝોંક દે સમંદર મેં. બડી કસમ ખાને વાલી…હાં, અચ્છી યાદ આઈ! કહ દે, બિટિયા, સમંદર પે તોહે લતા મંગેસ મિલત?”

“મિલ જાતી હૈ, કભી કભી,” જવાબ આપતાં ચંદ્રાવતીએ હસવું દબાવ્યું તે બાબુજીના ધ્યાનમાં આવ્યું.

“અચ્છા ગા લેત હેંગી મોડી. રામબાજેમેં નીકલત ઉઇ કો ગાનો. અબકી મીલે તો કહિયો, જુગ જુગ જીયો,” કહી કબાટ તરફ અંગુલીનિર્દેશ કતીને કાકી બોલ્યાં. ફૂટેલા કાચના કબાટની ઉપર રેડિયો રાખવામાં આવ્યો હતો - સત્વંતકાકી કહેતા હતા તે - રામબાજા!

ચ્હાના લાંબા પિત્તળના પ્યાલાને મસોતા વતી પકડી સત્વંતકાકી રસોડાનો ઊંચો ઉમરો અત્યંત તકલીફથી ઓળંગીને ઓરડામાં આવ્યાં અને પ્યાલાને શેતરંજી પર મૂકી ધબ દઈને જમીન પર બેસી ગયાં.

પોતાના સાંધાના દુ:ખાવાની રામકહાણી સંભળાવતાં અચાનક યાદ આવ્યું હોય તેમ તે બોલ્યાં, “મેરી ડોકરી કી રૈન દે તુ. તુ તો બડી ખુસ દિખત. ચલો, ભગવાન સબૈકો ખુસ રાખૈ,” કહી તેમણે હવામાં હાથ જોડ્યાં.

ભીંત પરનો ચૂનો ઠેકઠેકાણેથી ખરી પડ્યો હતો. જામુની - મિથ્લાનાં દફતર ટાંગવાની ખીંટી પર બડે બાબુની મેલી બંડી લટકતી હતી.

“બાઈજીકી ભૌત યાદ આઉત હેંગી. મેરો તો એક ઘર ઈસવરને મીટા દૌ…” ઓઢણીનો પાલવ આંખે લગાડતાં કાકી બોલ્યાં.

“ચાચી જામુની કૈસી હૈ?”

“કઉન? મેરી રૂપમતી? બગલાની જેમ ગરદન ઉંચી કરી સત્વંતકાકીએ અભિમાનપૂર્વક પૂછ્યું. જામુનીનેા ઉલ્લેખ રૂપમતી ન કર્યો તે માટે ચંદ્રાવતીએ મનમાં જ જીભ કચડી.

“રૂપમતી કા ક્યા કહને! અરી બિટિયા, ઈકી તો તૂ પૂછ જીન! ઈ તો રાજાકી રાની બને બૈઠી હેંગી. પચાસ આદમિયનકા કુનબા! ઘર-બાર, ખેતી ખલિહાન, ગૈયાં, ભૈંસે - ભૌત ખુસ હેંગી મેરી રૂપ. ભરે ભંડારકી કૂંજી ઈ કે હાથન હોત!”  પોતાની ઝાંખી થયેલી આંખો ચંદ્રાવતીની આંખો સાથે ભીડાવતાં હોય તેમ તેની તરફ જોઈ કાકી બોલ્યાં.

શેખર પર મૂક પ્રેમ કરનારી, અમારા પરિવારના બંગલાના ઉમરા પરનું ચોખાનું પાત્ર પગ વતી ઠેલી, વાજતે ગાજતે ગૃહપ્રવેશ કરવાનાં સ્વપ્ન જોનારી અને આ સ્વપ્નો માટે દદ્દાની ચાબૂકના ફટકા પોતાની પીઠ પર ઝીલનારી, ઘઉં અને મરચાં ભરડવાની શિક્ષા ભોગવનારી, ચૌદ -પંદર વર્ષની ગભરાયેલા સસલા જેવી જામુની! હવે તિજોરીની ચાવીઓનો જબરજસ્ત ઝૂડો કમરમાં ખોસી, પચાસ માણસોના સંયુક્ત પરિવારમાં એક ગૃહિણીની જેમ અહીંથી ત્યાં ફરતી જામુનીનું ચિત્ર ચંદ્રાવતીની નજર સામે તરવા લાગ્યું.

મિથ્લાના અવસાન માટે કાકીને સાંત્વનના બે શબ્દ બોલે તે પહેલાં કાકી બોલ્યાં, “મરનેવાલીને ઈસવરસે ભૌત કમ ઉમ્ર માંગી…કલેજે કો આગ લગત હેંગી, આ...ગ!”

“ઉસકી બાત છોડો ચાચી. હમેં ભી બહુત દુ:ખ હોતા હૈ. અબ રૂપમતીકી ઔર દેખો. ઉસકે બાલબચ્ચોમેં જી બહેલાઓ.”

“અરી કાહે કે બાલબચ્ચે? ચાર બાર કચ્ચી જની. અબકી બાર સાતવાં મહિના હેંગા.”

“યહાં આનેવાલી હોગી ના? ડિલિવરી કે લિયે?”

“પહલા બચ્ચા મૈકેમેં હી હોઊત. એક દો રોજમેં રૂપમતી આ જાવેગી. બેલકી માનતા માની થી સો સફલ ભઈ.”

જામુનીને બીલીવૃક્ષ ફળ્યાં. એણે કરેલી માનતા ફળી. બાને બીલીવૃક્ષની માનતા ફળી હતી તેમ.

“અરી ચંદર, ઈસ સહરકી કિત્તી બહુ-બેટિયાં પુત્રબતી ભઈ ઈ બેલમહારાજકી દુઆ સે, તૂ પૂછ જીન. બડી બાઈજી માનો દેઈજીકા ઔતાર. લગત હૈ, ઝટસે ઊડ જાઉં અઉર ઉનકે ચરન છૂ લૂં!”

“તો ઈંદોર ચલી જાના, ચાચી.”

“અબ કાહેકા આના જાના? અબ બડે ઘર જાના!”

“બડે ઘર જાને કો અભી બહુત સમય પડા હૈ.”

“તુ કિત્તે દિન ઠહરને વાલી હૈ? અબ ઈત્તી દૂર આઈ હૈ તો ઠહર જા મહિનાભર.”

“નહિ ચાચી, મેરા વાપસી કા ટિકટ રિઝર્વ હો ચૂકા હૈ. યહાં આ કર ચાર દિન હુએ. અબ અગલે તીન દિનમેં રૂપમતી આ ગઈ તો મિલ લેંગે. વૈસે શેખર ઔર ઉસકી બહુ ભી હમેં છોડને કો કહાં તૈયાર હૈં? પર ઘરકા ખ્યાલ ભી તો કરના પડતા હૈ, ચાચી.”

“અબ તૂને ઠીક કહા. ઔરત જાતકો ઘરકા ખ્યાલ ઈસ્વરસે ભી બઢ કર હોઊત. ચાહે તુમ કિત્તા ભી પઢ લીખ લો!”



ચંદ્રાવતી મનમાં જ હસી. સત્વંતકાકી અને બા! કેવા એક સરખા વિચાર છે બેઉ જણીનાં!
***
કાલ કે પરમ દિવસ સુધીમાં જામુની અહીં આવી જશે. દસ - બાર વર્ષમાં તૂટેલાં સ્નેહનાં બંધન પાછાં બંધાશે - ફરીથી તૂટી જવા માટે જ તો! તેમ છતાં જામુનીને મળવાની સંભાવનાનો આનંદ મનમાં જ માણતી ચંદ્રાવતી ઘર તરફ જવા નીકળી. 

No comments:

Post a Comment