Monday, December 16, 2013

બ્રિટન - જ્યારે ભારતની સ્ત્રી શક્તી જાગે છે...


કર્મ, સંજોગ, ઇત્તેફાક આ શબ્દો આપણા જીવનમાં અભિન્ન રીતે ગુંથાયા છે. ક્યાં અને ક્યારે કોની સાથે મુલાકાત થશે, કેટલા સમય પુરતો તેમનો સંગાથ રહેશે, તે કોઇ જાણી શકતું નથી. કેટલીક વાર એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થતી હોય છે, ભલે તે ક્ષણીક કેમ ન હોય, અવિસ્મરણીય બની જતી હોય છે. તેમણે કહેલા વાક્યો, તેમણે કરેલ કામ જે આપણે દૂરથી જોયું હોય છતાં આપણાં હૃદયોમાં, સ્મૃતીમાં કાયમ માટે અંકાઇ જતા હોય છે. આવું જ કંઇ થતું હોય છે આપણે કશું’ક વાંચ્યું હોય તે બાબતમાં. પુસ્તક કે લેખકનું નામ સુદ્ધાં ઘણી વાર યાદ નથી રહેતું, પણ તેમણે લખેલા વાક્યો આપણા અંતરાકાશમાં તેજસ્વી તારાની જેમ હંમેશા ચમકતા રહે છે અને સ્વર બનીને ગુંજતા રહે છે

મહાન વિચારકો, ઋષી-સંતોએ જેને પોતાની કર્મ ભુમિ માની છે અને ત્યાં રહીને જનસેવા કરી છે, ત્યાં આપણે પગ મૂકીએ ત્યારે એક પ્રકારની દિવ્ય અનુભૂતિ થયા વગર રહેતી નથી. એક એવી વિચાર શક્તિ અને પ્રેરણા આપણા શરીર અને મનને આવરી લેતી હોય છે જેની અસર લાંબા સમય સુધી આપણો સાથ દેતી હોય છે. તીર્થયાત્રાના સ્થળોની મુલાકાત લેતી વખતે આવો અનુભવ સૌને આવી શકે છે.  અહીં ‘તીર્થ’ એટલે કેવળ ધાર્મીક સ્થળ નહી, પણ મહાપુરુષોનાં જન્મસ્થળ, તેમની કર્મભુમિ, જે સ્થળે તેમણે થોડો સમય પસાર કર્યો હોય ત્યાંની જમીન તથા આબોહવામાં એક પ્રકારની અદૃશ્ય જ્યોતિ હંમેશા પ્રકાશ પાથરતી રહે છે. આનો પ્રસાદ સૌને મળી શકે છે. ફક્ત તેને અનુભવી, તેને સ્વીકારવાની શક્તિ આપણામાં હોવી જોઇએ, એવું જાણકાર લોકો કહે છે.

લંડનની કેટલીક જાણીતી, અજ્ઞાત, શિક્ષીત, અશિક્ષીત બહેનોએ સ્ત્રીઓના મતાધિકાર માટે ચલાવેલી લડાઇ એક યજ્ઞ સમાન હતી. સમગ્ર દેશની બહેનોને તેમણે સ્ત્રી-શક્તિમાં વિશ્વાસ અને ગૌરવની ભાવના અાપી હતી. અહીં આપને નેવિલ શૂટ (Neville Shute)ની બીજા વિશ્વયુદ્ધના પ્રસંગો પર આધારીત નવલકથા ‘A Town Called Alice’ પર નિર્મીત ચિત્રપટ સોરીયલ યાદ આવશે. મલાયા (આજના મલેશિયા)માં યુદ્ધબંદી થયેલી અંગ્રેજ બહેનોમાં આત્મગૌરવની ખુમારી હતી તેને જાપાનીઝ અધિકારીઓએ અહંકાર સમજી તેમના પર અનેક અત્યાચાર ગુજાર્યા હતા. ગુલામોની જેમ મજુરી કરાવી તેમના ખમીરને ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં તેમણે હાર માન્યા વગર આ બહેનો શાંતીપૂર્વક તેનો સામનો કરતી રહી અને અંતે વિજયી થઇ હતી. Suffregettesની લડાયક ભાવના બ્રિટનમાં ગયેલી ભારતીય બહેનોમાં ક્યારે અને કેવી રીતે આવી એ વિચારવા લાયક વિષય હતો. 

ભારતવર્ષના ઇતિહાસમાં તેમજ આધુનિક કાળમાં એકલ-માતાઓએ (single parent mothers) આજના સમય, પુરુષપ્રધાન સમાજ તથા સંજોગો સામે લડીને પોતાનાં બાળકોને સ્વમાનભર્યું જીવન જીવવાની શક્તી આપતી રહી છે. અન્યાયી અને જુલમ ગુજારતી વિદેશી સત્તાઓને યુદ્ધનો પડકાર આપ્યો છે, જે કાંઇ બહારથી આવેલી વાત નથી. આ તો તેમના અંતરમાં રહેલી જન્મજાત દુર્ગાની શક્તિનો સાક્ષાત્કાર છે. બ્લૉગરના એક અનુવાદિત પુસ્તક "બાઇ"માં આ વાત જરૂર જોવા મળશે.

લંડનમાં સોશિયલ સ્ટડીઝમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરતી વખતે અમૃત વિલ્સન, યાસ્મીન અલીભાઇ જેવી લેખિકાઓ તથા જયાબહેન દેસાઇએ સમગ્ર બ્રિટનમાં દેશવ્યાપી હડતાલ ચલાવી હતી તેનો અભ્યાસ કરતી વેળાએ લેખકના મનમાં બે વાતો ધ્યાનમાં આવી:

એક તો સ્વમાન, આત્મગૌરવ અને સંઘર્ષની શક્તિ પરમાત્માએ ભારતીય સ્ત્રીઓમાં ભરપૂર પ્રમાણમાં બક્ષી છે. પ્રગટ કે અપ્રગટ રીતે પ્રજ્વલિત રહેલી આ શક્તિને ભારતના પુરુષ-પ્રધાન દેશમાં સ્ત્રીઓને આર્થીક રીતે પુરુષ પર આધાર રાખતી કરી દેવામાં આવી છે. બીજી વાત: સદીઓથી આ થતું આવ્યું હોવા છતાં ભુમિગત સરસ્વતિની જેમ આત્મનિર્ભરતાનો પ્રવાહ આપણી મહિલાઓમાં સતત જીવંત રહ્યો છે. બ્રિટનની સોશિયલ સિક્યોરિટી પદ્ધતિ તથા ત્યાંની ઉદારમતવાદી (liberal) વિચારસરણીએ એકલજીવી બહેનોને સ્વમાન તથા આર્થિક સ્વાતંત્ર્યનું શસ્ત્ર આપીને તેમને સમાજમાં વિશિષ્ટ સ્થાન આપ્યું, જેનું મહત્વ આપણી બહેનોએ જાણ્યું. આ જાણે એક catalyst થયું અને તે દ્વારા બહેનોને પોતાની આંતરીક શક્તિને મૂર્ત સ્વરૂપ આપવા મળ્યું. 

આજના અંકમાં આપને બ્રિટનમાં એક સમયમાં વિશ્વવિખ્યાત બનેલા અને હાલ સમયના પડદા પાછળ રહેલી એક મંદ જ્યોતિ સમાન જ્વલંત એવા સ્વ. જયાબહેન દેસાઇનો પરિચય આપીશું. આ લેખ અમદાવાદથી પ્રસિદ્ધ થતા ‘સાર્થક જલસો’ના દિવાળી અંકમાં પ્રસિદ્ધ થયો હતો. તેનું સંક્ષિપ્ત સંસ્કરણ ‘સાર્થક જલસો’ના સંપાદક મંડળના સૌજન્યથી અહીં આપ્યું છે. 
***

૧૯૭૦ના દાયકામાં બ્રિટન આર્થિક મંદીમાં સપડાયું હતું. બેકારી ચારે તરફ વર્તાઇ રહી હતી. એવામાં પૂર્વ આફ્રિકાથી મોટી સંખ્યામાં નિર્વાસીત થયેલા ભારતીય ઉગમના લોકો બ્રિટનમાં આવી પહોંચ્યા હતા. વર્ણદ્વેષની નિમ્નકક્ષાએ પહોંચેલા બ્રિટીશ સમાજમાં પૂર્વ આફ્રિકાથી ગયેલા નિર્વાસીતોની હાલત વર્ણવી શકાય તેમ નથી. સુખવસ્તુ પરિવારની બહેનોને લંડનની કારમી બેકારીમાં પતિ-સમોવડી બનવા નોકરી કરવાનો વારો આવ્યો. ગ્રૅજ્યુએટ થયેલી અને પૂર્વ આફ્રિકામાં અંગ્રેજ કંપનીઓમાં કામ કરી ચૂકેલી આપણી બહેનોને સરકારમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (જે તે સમયે અૅડમીન અાસીસ્ટન્ટ કહેવાતા)ની પણ નોકરી ન મળે. પચાસ-સો માણસને કામે રાખનાર કંપનીના મૅનેજર, જેમને આફ્રિકા છોડીને બ્રિટન જવું પડ્યું હતું તેમને unskilled મજુરોનું કામ કરવાની ફરજ પડી. મોટા ભાગની શિક્ષીત બહેનોને ફૅક્ટરીઓની અૅસેમ્બ્લી લાઇનમાં કામ કરવાનો વારો આવ્યો. ટાંઝાનિયાથી લંડન આવેલ ટાયર ફૅક્ટરીના મૅનેજર સૂર્યકાંત દેસાઇ તથા સુખવસ્તુ પરિવારનાં જન્મેલા તેમનાં પત્નિ જયાબેન પણ તેમાંથી બાકાત ન રહ્યા. સૌને ફૅક્ટરી, કપડાં સીવવાની sweatshops અને સુપરસ્ટોરની અભરાઇઓમાં માલ ભરવાનું કામ કરવું પડ્યું.

આવી એક ફૅક્ટરી હતી ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસીંગ લેબોરેટરીઝ. લંડનના વિલ્સડન વિસ્તારમાં આવેલી આ કંપનીનો એક પ્લાન્ટ ડૉલીસ હિલ ટ્યુબ સ્ટેશન પાસે આવેલા ચાર્ટર રોડ તથા નજીકના કોબોલ્ડ રોડ પર આવ્યો હતો. Mail Orderથી આવેલી કૅમેરાની ફિલ્મને ધોવાનું તથા તેની પ્રિન્ટ્સ બનાવી ટપાલથી ગ્રાહકોને પાછી મોકલવાનો તેમનો વ્યાપાર બ્રિટનના ફોટો પ્રિન્ટના ક્ષેત્રમાં સૌથી મોટો  ગણાતો. આખા દેશમાંથી દરરોજ હજારોની સંખ્યામાં તેમની પાસે ટપાલ દ્વારા િફલ્મ આવે અને કંપની તેને ડેવેલપ કરી, તેની પ્રિન્ટસ્ ગ્રાહકોને એક અઠવાડિયામાં પાછી મોકલે. કંપનીના માલિક રૂઢીચુસ્ત Conservative Partyના અગ્રગણ્ય  સભ્ય હતા. આ પક્ષ કામદાર સંઘોની સાવ વિરુદ્ધ હતો. પક્ષની નીતિને અમલમાં આણવા આ માલિકે તેમની કંપનીમાં હુકમ કરીને કર્મચારીઓને યુનિયનના સભ્ય થવા પર પ્રતિબંધ મૂક્યો. નિયમનું ઉલ્લંઘન કરનારને તરત જ નોકરી પરથી કાઢી મૂકવામાં આવે. કમરતોડ ગરીબી અને બેકારીને કારણે કોઇ કામદાર આ નિયમનો ભંગ કરવાની સ્થિતિમાં નહોતા.

આપણા લોકોની ગરજ જોઇને ગ્રુનવિકે તેમને અઠવાડિયાના કેવળ ૨૮ પાઉન્ડનું વેતન આપવાનું શરૂ કર્યું. તે સમયે બ્રિટનમાં અઠવાડિયાના ૪૦ કલાક કામનો સરેરાશ દર ૭૨ પાઉન્ડ હતો. તે સમયે સ્ત્રીઓને અસમાન પગાર અપાતો હોવાથી તેમને લગભગ અઠવાડીયાના ૪૪ પાઉન્ડ અપાતા. આફ્રિકા તથા વેસ્ટ ઇન્ડીઝથી ગયેલા લોકો તો અસહ્ય બેકારીના સમયમાં કોઇ પણ કામ મળે, ગમે એટલો ઓછો પગાર મળે, કામ લઇ લેતા. ગ્રુનવિકમાં કામ કરનારા લગભગ ૪૦૦ કામદારોમાંથી લગભગ ૩૫૦ કામદાર ભારતીય મૂળના, ત્રીસે’ક વેસ્ટ ઇન્ડીઝના અને બાકીના હતા તે ગોરા સુપરવાઇઝર અને મૅનેજર. આપણા લોકોની “આજ્ઞાંકિત” વૃત્તિ, ચૂપચાપ જુલમ સહેવાની ટેવને જોઇ છેલ્લે છેલ્લે તો કંપનીએ બિન-એશિયન અરજદારોને કામે રાખવાનું બંધ કરી નાખ્યું.

૧૯૭૬ના વર્ષનો ઉનાળો બ્રિટનમાં સૌથી વધુ ઉષ્ણ હતો. કારખાનાંઓમાં અૅર કન્ડીશનીંગ અથવા પંખા હોવા જ જોઇએ એવા ઇન્વારયર્નમેન્ટ ખાતાના નિયમો હતા. જ્યાં સુધી તેની વ્યવસ્થા ન થાય, કર્મચારીઓ પાસેથી તેમને સોંપાયેલા કામના ક્વોટામાં યોગ્ય ઘટાડો કરવો એવો નિયમ હતો. ગ્રુનવિકમાં અૅર કન્ડીશનીંગ બંધ પડી ગયું હતું. કંપનીએ ખર્ચમાં બચત કરવા તેની અવેજીમાં પંખા મૂકવા - કે અૅર કન્ડીશનરને રિપૅર કરવા કોઇ પગલાં ન લીધા. આની અસર ઉત્પાદન પર થઇ, પણ કંપનીએ કામદારોના ક્વોટામાં કોઇ બાંધ છોડ ન કરી. ૨૦ અૉગસ્ટ ૧૯૭૬ના રોજ દેવશી ભુડિયા નામના કર્મચારીને ગોરા સુપરવાઇઝરે “તું કામમાં ઢીલાશ કરે છે,” કહી તેમનું અપમાન કરી તેમને કામ પરથી કાઢી નાખ્યા. આ અન્યાય અને અપમાનાસ્પદ  વર્તન જોઇ તેમના ત્રણ સાથીઓ મૅનેજરના અસભ્ય વર્તનના વિરોધમાં તેમની સાથે કામ છોડી બહાર નીકળી ગયા. 

કામ પૂરૂં કરવાનો સમય સાંજના પાંચનો હતો તેમ છતાં જયાબેન લગભગ સાત વાગે ઘેર જવા માટે કોટ પહેરવા ગયા, ત્યારે મૅનેજરે તેમની કેબીનમાં બોલાવ્યા. ખુરશી પરથી ઉભા થઇ ગુસ્સે થઇને બરાડ્યા, “અમારી રજા વગર તારૂં કામ પૂરૂં થયું એમ કેમ માની લીધું? તને પણ આ ફૅક્ટરીમાંથી બરતરફ કરવામાં આવે છે.”

ગુસ્સાથી તમતમતા, છ ફીટ ઉંચા,  અલમસ્ત શરીરવાળા મૅનેજર માલ્કમ અૉલ્ડનની સામે ઉભા રહી ૪ ફીટ દસ ઇંચની ઉંચાઇ વાળા ઢીંગલી જેવા જયાબહેને શાંત પણ મક્કમ સ્વરે કહ્યું, “મિસ્ટર મૅનેજર! તમે ચલાવો છો તે ફૅક્ટરી નથી, આ તો પશુ સંગ્રહાલય છે! તમને ખબર હશે કે પ્રાણીસંગ્રહાલયમાં અનેક જાતના જાનવર હોય છે. કેટલાક તમારી આંગળીના ઇશારે નાચતા વાંદરા હોય છે. અમે સિંહ છીએ! ગમે ત્યારે તમને ચાવી જઇશું,” કહી તેમણે પણ વૉક આઉટ કર્યો. જયાબેનની સાથે તેમનો પુત્ર સુનીલ પણ વૉકઆઉટ કરી ગયો.

જયાબેનના આ વાક્યો બ્રિટનના લગભગ દરેક અખબારમાં, રેડીયો પર અને ટેલીવિઝનના સમાચારોમાં અનેક વાર લખાયા, વંચાયા અને કહેવાયા! આજે પણ ઇન્ટરનેટ બ્રાઉઝર પર ‘જયાબેન દેસાઇ’ પર ક્લિક કરશો તો તેમની માહિતીમાં આ વાક્યો જરૂર જોવા મળશે! 

બીજા દિવસે આ છ જણા ફૅક્ટરીની બહાર પિકેટ લગાવીને ખડા થઇ ગયા. સૌથી આગળ હતા જયાબેન. 

બ્રિટનમાં એક તરફ વર્ણદ્વેષી લોકોની બહુમતિ પ્રવર્તતી હતી તો બીજી તરફ ત્યાંની પ્રજામાં સહિષ્ણુ વૃત્તિના ઉદારમતવાદી લોકોનો વર્ગ શાંત પણ સક્રિય છે. ઘણા સમયથી બ્રિટનમાં બિન સરકારી ક્ષેત્રમાં Citizens’ Advice Bureau જનતા માટે વિનામૂલ્ય સલાહકેન્દ્ર ચલાવે. વિલ્સડન હાઇ રોડ પર તેમની એક શાખા હતી તેમાં કામ કરનાર એક મહિલાએ જયાબેનને યુનિયનના સભ્ય થવાની સલાહ આપી. જયાબેન અને તેમના સાથીઓ કામદાર સંઘમાં જોડાયા અને કંપનીની બહાર પિકેટીંગ ચાલુ રાખ્યું. જોતજોતામાં ગ્રુનવિકમાં કામ કરનારી ૧૩૬ બહેનો આ હડતાલમાં જોડાઇ અને પિકેટીંગ કરવા લાગી. રોજ સવારે છ વાગે બહેનો આવે અને ફૅક્ટરીની સામે ખડી થઇ જાય. જયાબેન નજીકના લંડન અંડરગ્રાઉન્ડના ટ્યુબ સ્ટેશનોની બહાર ઉભા રહી પ્રવાસીઓને તેમની હડતાલ વિશે ચોપાનિયાં વહેંચવા લાગ્યા. રાષ્ટ્રીય કક્ષાના અખબારોને નવાઇ લાગી. એક શાંત, સહનશીલ સમાજની સ્ત્રીઓ તરીકે જેમની ખ્યાતિ હતી તેમને આમ અન્યાય સામે અવાજ ઉઠાવતી જોઇ દેશના અખબારોએ “Strikers in Saris”ને વધાવી લીધી. તેમની છબીઓ છપાવા લાગી. 


વિલ્સડનની નજીક જ આવેલી ક્રિકલવૂડની ટપાલખાતાની સૉર્ટીંગ અૉફીસ, જે પોસ્ટ અૉફીસ વર્કર્સ યુનિયનનું સભ્યપદ ધરાવતી હતી, તેના બધા અંગ્રેજ કર્મચારીઓએ તથા એક વેસ્ટ ઇન્ડીયન સભ્યે  જયાબેનનો પક્ષ લીધો. તેમણે જયાબેનની પિકેટ લાઇનને ઓળંગી ગ્રુનવિકની ટપાલની ડિલીવરી કરવાનો ઇન્કાર કર્યો. ગ્રુનવિકનો ધંધો mail orderનો હતો. સૉર્ટીંગ અૉફિસના કર્મચારીઓએ ગ્રુનવિકના હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની સહાનુભુતિમાં આગળ જતાં ગ્રુનવિકની ટપાલ - જેમાં કંપનીના ઘરાકના તૈયાર થયેલા ફોટોગ્રાફ્સ હતા, તે પૅકેટ્સ પણ લઇ જવાનો ઇન્કાર કર્યો. હવે તો ધંધામાં ખોટ આવવાની શરૂઆત થઇ. કામદારોને નજીવો પગાર આપીને ૩૦%થી વધુ નફો કમાવનાર કંપની આ કેવી રીતે સાંખી લે? 

હવે ગ્રુનવિકના હડતાલ પર ઉતરેલા સભ્યોએ તેમની હડતાળને રાષ્ટ્રવ્યાપી બનાવવા સંઘર્ષ સમિતી સ્થાપી. હવે તો આખા દેશના અન્ય યુનિયનોના સભ્યો ગ્રુનવિકની હડતાલને સમર્થન આપવા દૂર દૂરથી તેમના સભ્યોને ખાસ બસો ભરી ભરીને લાવવા લાગ્યા. જયાબેન  તેમની આવડે તેવી - પણ જોરદાર અંગ્રેજીમાં ભાષણ આપવા લાગ્યા. “અમારી લડત વધુ વેતન માટે નથી. અમારી માગણી કામદારોના સ્વમાન તથા આત્મગૌરવ માટેની છે,” તેઓ કહેતા.

જયાબેનની હડતાલ તોડવા કંપનીએ ભારે પગારે ગોરા કામદારોને બોલાવ્યા, પણ તેમને ડર લાગ્યો કે પિકેટીંગ કરનાર ‘સાડીધારી હડતાલીયા’ તેમને સ્ટેશન પર જ રોકે તો શું કરવું? ગ્રુનવિકે દરેક ‘નવા’ કામદારોના ઘેર બસ મોકલી. તેમને લઇ ચૅપ્ટર રોડ પર જ્યારે બસ પહોંચી, પિકેટીંગ કરનાર બહેનોએ “SCAB!”નાં પાટિયાં લઇ બસને ઘેરી લીધી. ‘સ્કૅબ’ એટલે હડતાલ પર ઉતરેલા કામદારોનો હક્ક છિનવી તેમનું કામ લઇ લેનાર હલકી કક્ષાના ગદ્દાર! એક પણ નવો કામદાર બસમાંથી નીચે ન ઉતરી શક્યો. બસ પાછી ગઇ. જયાબેનની આ સૌથી મોટી સિદ્ધી હતી, કારણ આ કામદારોને મદદ કરવા છ ફીટથી પણ લાંબા ખાસ પોલીસમેન તેમને ઘેરીને ફૅક્ટરીની અંદર લઇ જવા નીકળ્યા, પણ તે સફળ ન થયા.

અંતે કંપની સમાધાન માટે તૈયાર થઇ: એક શરત પર. કર્મચારીઓ યુનિયનમાં જોડાય નહી. આ શરત કામદારોના મૂળભૂત અધિકારની વિરુદ્ધનો માની સંઘર્ષ સમિતિએ સમાધાન નકાર્યું. ગ્રુનવિકની હડતાલ સમિતિ બ્રિટનની લવાદી સંસ્થા ACAS  પાસે ગઇ. તે સમયે મજુર પક્ષના શ્રી. જેમ્સ કૅલાહાનની સરકાર હતી. તેમણે લૉર્ડ સ્કાર્મનની અધ્યક્ષતા નીચે આ દેશવ્યાપી હડતાળનું સમાધાન કરવા કોર્ટ અૉફ ઇન્કવાયરી નીમી. તપાસ વખતે  જ્યારે ગ્રુનવિકના મૅનેજર જૉન અૉલ્ડનને લૉર્ડ સ્કાર્મને પૂછ્યું કે જયાબેન અને તેમની સાથી બહેનોએ શા માટે ’વૉક આઉટ’ કર્યો, તેઓ જવાબ ન આપી શક્યા. આખરે લૉર્ડ સ્કાર્મને ફરી એક વાર પૂછ્યું, અૉલ્ડને કહ્યું, “કોણ જાણે. પણ અચાનક તે (જયાબેન) ભડકી ઉઠ્યા અને બોલ્યા, “ I want my freedom.” તેમનું આ વાક્ય મારા અંતરમાં કોરાઇ ગયું છે.” 

***


જયાબેને શરૂ કરેલી હડતાલ, ગામે ગામ જઇને તેમણે ભરેલી સભાઓ તથા અખબારો સાથેની મુલાકાતોને પરિણામે યૉર્કશાયરના ખાણમજુરોના પ્રભાવશાળી નેતા આર્થર સ્કારગીલ આ સંઘર્ષમાં જોડાયા અને તેમના યુનિયનના હજારો સભ્યોને લઇ વિલ્સડન પહોંચ્યા. મેટ્રોપોલિટન લંડનના મૂખ્યાલયે નિમ-લશ્કરી સેનાની સ્થાપના કરી અને તેમના સશસ્ત્ર દળોને ગ્રુનવિકની ફૅક્ટરી સામે પિકેટીંગ કરતી બહેનોને રોકવા મોકલ્યા. તેઓ બહેનોનાં વાળ પકડી પોલીસવાન તરફ ઘસડી ગયા. દેશમાં હાહાકાર થયો, પણ કશું વળ્યું નહી. ન તો બહેનોએ પીછેહઠ કરી, ન કંપનીએ નમતું જોખ્યું.

જયાબેન તથા તેમની ‘Strikers in Saris’ ૬૯૦ દિવસ સુધી હડતાલ અને પિકેટીંગ કરતી રહી. રાજકીય પક્ષો દ્વારા ચલાવાતા મજુર મંડળોનો ઉદ્દેશ પોતાનું અસ્તીત્વ ટકાવીને રાજકીય ફાયદો ખાટવાનો હતો. બેઉ શક્યતાઓ નાબૂદ થતાં બ્રિટનના મજુર-મહામંડળ TUCએ જયાબેનનો સાથ છોડ્યો. લગભગ બે વર્ષ સુધી લાંબી લડત બાદ ગ્રુનવિકની હડતાલ પાછી ખેંચાઇ. 

આખી લડતમાં બે વાતો બહાર આવી. 

સ્ત્રી શક્તિ જ્યારે જાગે, તે દુર્ગાનો અવતાર બને છે. તે માટે ભારત દેશમાં જ તેણે અવતરવું જોઇએ એવો નિયમ નથી!

બીજી વાત: જ્યારે જનતાની સ્વપ્રેરિત લડતમાં રાજકારણી ચૌદશિયા જોડાય તો તેનો અંજામ કટુ જ નિવડે. સંઘર્ષમાં જીત થાય તો તેનો યશ આ રાજકીય પક્ષો લઇ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. લડતમાં કદાચ હાર થાય તો તે હાર લડત શરૂ કરનાર યોદ્ધાઓની છે એવું કહી હઠી જતા હોય છે. બન્ને બાજુએ ફાયદો આ પક્ષોને જ થતો હોય છે. જયાબેન દેસાઇની લડતમાં આવું જ થયું. બ્રિટનના વામપંથી અને કમ્યુનીસ્ટ રાજકારણીઓ આ સંગ્રામમાં જોડાયા. તેમણે મોટેથી શોર-શરાબો કર્યો જ્યારે તેમણે જોયું કે આખા દેશનું વલણ માર્ગરેટ થૅચરના નેતૃત્વ નીચે કૉન્ઝરવેટીવ પક્ષ તરફ છે, અને મજુર પક્ષ ખરાબ રીતે હારવાનો છે, તેઓ જયાબેનની લડતમાંથી હઠી ગયા. 

ગ્રુનવિકની લગભગ બે વર્ષની લડતમાં ટાઢ, તડકો, વરસાદ - કશાની પરવા કર્યા વગર જયાબેન દેસાઇ તથા તેમની સાથે લડતમાં ભાગ લેનારી ૪૦૦ જેટલી બહેનોએ સતત ભાગ લીધો. અંતે આ અનિર્ણીત લડત પાછી ખેંચાઇ. આ લડતમાં હાર જયાબેન કે તેમની સાથે લડાઇમાં જોડાયેલી બહેનોની નહોતી. તેમણે તો એક અપૂર્વ જીત હાંસલ કરી હતી. ભારતીય સ્ત્રી એટલે ગરીબડી ગાય, જ્યાં દોરાય ત્યાં જાય, ગમે તેવો સીતમ સહે, એવી બ્રિટનમાં પણ ફેલાયેલી છાપને તેમણે સદંતર દૂર કરી. એક પ્રબળ સત્તા સામે ભારતીય સ્ત્રીઓ પણ ટક્કર લઇ શકે છે તે સાબિત કર્યું. દેશભરમાં ભારતીય-બ્રિટીશ મહિલાઓની અભૂતપૂર્વ પહેચાન કરાવનાર વ્યક્તિના કાર્યને કોઇ હાર કેવી રીતે કહી શકે? અહીં જો કોઇની હાર થઇ હોય તો તે હતી એક વર્ણદ્વેષી સમાજ પદ્ધતિની. તેમની કહેવાતી  બ્રિટનના નિષ્પક્ષ ન્યાયતંત્રની પોકળતાની. 

જયાબેન દેસાઇનું અવસાન ૭૭ વર્ષની વયે ૨૩ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ થયું. સમગ્ર બ્રિટનમાંથી તેમને ભારોભાર અંજલિ અપાઇ. 

એક કટાર લેખિકા લિંડસી જર્મને લખ્યું, “On September 2, 1976 these workers, who became known as "the strikers in saris", were dismissed...A thousand workplaces across Britain embraced their cause. By July 11, 1977, 20,000 unionists marched on the (Grunwick) factory.”

બ્રિટનના અગ્રગણ્ય સમાજશાસ્ત્રના લેખિકા યાસ્મિન અલીભાઇ-બ્રાઉને પ્રસિદ્ધ અખબાર ધ ઇન્ડીપેન્ડન્ટમાં લખ્યું, “...Mrs Desai... was tiny, not quite 5ft tall and almost always in a sari and cardigan, carrying a plastic handbag and a coat that couldn't possibly have kept her warm. Her hair was tied in a plait or a bun and between her brows was her tikka, a dot worn by Hindu women. I interviewed her several times – she reminded me of my mum, short too, who wore saris with cardis. Both taught themselves functional English and then used the language, freely and imaginatively, like a rebellious artist does his colour palette.... Like other exiles, they had to do stuff they had never done before, adjust to life in a cold climate and the poverty faced by involuntary migrants. They had to toughen up.”

છેલ્લે જયાબેને તેમના મૅનેજરને કહેલ બીજું વાક્ય યાદ આવે છે: "A person like me, I am never scared of anybody." 


લેખક જ્યારે ૧૯૮૧માં લંડન કાયમી વસવાટ માટે ગયો ત્યારે તેનું કાર્યક્ષેત્ર આ જ વિલ્સડન વિસ્તારમાં હતું. ચૅપ્ટર રોડ અવાવરૂ થઇ ગયો હતો. ડૉલીસ હિલ ટ્યુબ સ્ટેશન વસૂકી ગયેલી ગરીબડી ગાય જેવું બેઠું છે અને સ્ટેશનના દરવાજામાં ચોપાનિયાં વહેંચતા જયાબેનની યાદને જાણે વાગોળતું હોય તેવું લાગે. કોબોલ્ડ રોડ ઉધઇથી ખવાઇ ગયો હોય તેવો લાગે છે. નથી તેમાં લંડનનું એક પરું હોવાનું નૂર કે નથી તેમાં કોઇ રોનક. આ રોનક તો જયાબેન દેસાઇ, તેમની સાથીદાર બહેનો અને ભાઇઓની રવાનગીની સાથે નષ્ટ થઇ ગઇ.

આ વર્ષનો આ છેલ્લો અંક છે. આપ સૌને નાતાલ, નવા વર્ષની શુભેચ્છા. નુતન વર્ષ આપ સૌને સુખદ, સબળ અને સમૃદ્ધ નિવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના. નવા વર્ષમાં ફરી મળીશું! 

4 comments:

  1. 'સાર્થક જલસો'માં વાંચ્યા પછી ફરી વાંચવાનું બન્યું. સાચે જ પ્રેરણાદાયી સત્ય ઘટનાત્મક યશોગાથા ! વંદન એ મહાનારીને અને અભિનંદન આપને પણ, સરસ અભિવ્યક્તિ બદલ.

    ReplyDelete
  2. 'સાર્થક જલસો'માં વાંચ્યા પછી ફરી વાંચવાનું બન્યું. સાચે જ પ્રેરણાદાયી સત્ય ઘટનાત્મક યશોગાથા ! વંદન એ મહાનારીને અને અભિનંદન આપને પણ, સરસ અભિવ્યક્તિ બદલ.

    ReplyDelete
  3. પ્રેરણાદાયી સત્ય ઘટનાત્મક અને સરસ અભિવ્યક્તિ બદલ. આભાર
    પ્રજ્ઞાજુ

    ReplyDelete
  4. @ મુ. શ્રી. વલીભાઇ તથા આદરણીય પ્રજ્ઞાજુ: આપના પ્રતિભાવ માટે આભાર.

    ReplyDelete