Tuesday, January 19, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૩

બપોર થઈ. 
હંમેશ મુજબ રામરતન ઘોડાગાડીમાં પહેલાં શેખરની નિશાળે જઈ તેને લઈ ગામની કન્યાશાળામાં જામુની અને મિથ્લાને લેવા ગયો. ત્યાંથી સૌને લઈ બંગલે આવ્યો હતો. ચોપડીઓ - દફતર વરંડામાં નાખી છોકરીઓએ બંગલામાં જ ધામા નાખ્યા હતા. હરિયાલી તીજ ત્રણ દિવસ પર આવી પહોંચી હતી. બન્ને બહેનોનાં શરીરમાં ઉત્સાહનું ભૂત ભરાયું હતું. જામુની રાધા અને મિથ્લા ગોપી બનવાની હતી. બન્ને બહેનોમાં લડાઈ ન થાય એટલા માટે દર વર્ષે મિથ્લાને પણ નવાં ઘાઘરા - ચોળી અપાય છે.
બેઉ છોકરીઓનાં નવા પોશાક માટે કાપડ બજારમાંથી રેશમી કાપડ આવી ગયું હતું.  હિંડોળાના કોરા દોરડાનો દડો વરંડાના ડાબા ખૂણામાં સિકત્તરની સૂવાની જગ્યાએ પડ્યો હતો. બહુ અગત્યના કામમાં પડ્યો હોય તેમ સિકત્તર આવતાં - જતાં હિંડોળાના પાટિયા પર રંધો મારતો હતો અને હથોડીથી ઠોકાઠોક કરી રહ્યો હતો. સત્વંતકાકી ઘરકામમાંથી સમય કાઢી મુરલીધરના મુકુટ પર મણી અને ચાંદલિયા મઢવાનું નકશીકામ કરી રહ્યાં હતાં. ઘરથી બંગલે અને બંગલેથી ઘેર એમ જામુની - મિથ્લાની દોડાદોડી ચાલુ હતી. ‘જીજી, છોટી કૈંચી દો….જીજી મોતી કમ પડ રહે હૈં…રેશમકા ડોર ચાહિયે…”ની ફરમાયેશ આખો દિવસ ચાલુ રહેતી હતી.
બપોરે ડૉક્ટરસાહેબનું ભોજન પતી ગયા બાદ જાનકીબાઈ રાધા- ગોપીનાં ઘરેણાંનો પતરાંનો ડબો લઈ તેમાંની એક એક વસ્તુ સમી કરતાં હતાં. મોતીની તૂટેલી સેર, ઢીલું પડી ગયેલું પેન્ડલ, કુંડલના પેચ, બિંદીનાં મોતી, કમરપટ્ટા, કંકણ….
પાછળના આંગણામાં ઘઉં પર તેલ - પાણી લગાડીને સૂકવવા મૂક્યા હતા. આનો રવો બનશે. હરિયાલી તીજના દિવસે હિંડોળાનો કાર્યક્રમ પાર પડ્યા બાદ આજુબાજુનાં બાળગોપાળને મુરલીધરની પ્રસાદીમાં દહીં અને પેંડા ઉપરાંત ‘હલુઆ - પૂડી’ (શિરા - પૂરી)નું જમણ આપવાનું હોય છે! હિંડોળા પર બિરાજેલા મુરલીધરને નૈવેદ્યમાં તાજું માખણ ધરવામાં આવે છે.
અહીં માળીના દીકરા સાથે ગિલ્લીદંડો રમવામાં શેખર મશગૂલ હતો. બંગલામાં થતા વાર - તહેવારના સમારંભ, વ્રત, અપવાસ વિગેરેની તેના પર નહિવત્ અસર થતી.
“જય હો કિશન ભગવાનકી!” વરંડામાંથી શેખર તરફ આંખો મટકાવીને સિકત્તરે હાથ જોડ્યા અને મશ્કરીમાં પૂછ્યું, “તુમ્હારી રાધાજી કિત્તૈ? અબ દેખો દોઉ જનોંકી જોડી કૈસી પ્યારી લગેગી!”
“ચલ હટ! રાધાજીકી ઐસી કી તૈસી,” કહી શેખરે દંડો ઉગામ્યો અને બૂમ પાડી, “બા, જો ને, આ સિકત્તર મને છંછેડી રહ્યો છે.”
“બાલકદાસ! શું ચાલી રહ્યું છે? મારા દીકરાનો દિમાગ ખાવાનું છોડ, સમજ્યો?” જાનકીબાઈએ સિકત્તરને તતડાવ્યો.
“જી નહિ, બાઈજી, હું તો ભગવાનના નામનું રટણ કરી રહ્યો હતો,” કહી સિકત્તર હિંડોળાના પાટલા પર હથોડી ઠોકવા મંડી પડ્યો.
બડેબાબુજીએ બે દિવસ પહેલાં ટીપણું જોઈ, પાટી પર આંકડા માંડી ગણત્રી કરીને મુરલીધરની મૂર્તિની નવા હિંડોળા પર સ્થાપના કરવાનું મૂરત કાઢ્યું હતું. આજે બીલીવૃક્ષની પ્રદક્ષિણા કરવા આવેલાં સત્વંતકાકી પૂજા - અર્ચના પતાવી બંગલે ડોકિયું કરવા આવ્યાં હતાં. છોકરીઓનાં ઘાઘરા - ચોળી હજી વેતરાયાં નહોતાં. હજી હાલ જ ચંદ્રાવતીએ મુરલીધરના નીલા રેશમી અંગરખા પર મુહૂર્તના બખિયા મારવાની શરુઆત કરી હતી. સીલાઈ મશીનના પેડલ પાસે બેસીને જામુની અને મિથ્લા તાકીને ચંદ્રાવતી તરફ જોઈ રહ્યાં હતાં.
“જીજી, મેરા ઘાગરા પહેલે સીના. મૈં રાધા જો હું!” જામુની બોલી.
“ના જીજી, પહેલાં મારી ઘાઘરી સીવવાની છે! ગોપી કદી રાધાથી કમ દરજ્જો ધરાવતી હતી?” જામુનીની સામે જાણે શિંગડાં ભરાવતી હોય તેમ મિથ્લાએ કહ્યું.
“આમ શું કરવાને બાધો છો બેઉ જણીઓ? એક તો મારું ચિત્ત ઠેકાણે નથી અને ઉપરથી તમારો બન્નેનો ઝઘડો…”
“અરી ચંદર, ઈન ચૂડૈલોંકે કપડે કબ તૈયાર હોંગે? દોઉ જની મેરા કલેજા ખાતી હેંગી. પર સાલ તો કિત્તે જલ્દી બના ડાલે થે!”
ચંદ્રાવતી ચાંદલિયા તરફ જોતી, ગુમસુમ થઈને બેઠી હતી. 
“અરી, મૈં કા પૂછત હૂં તો'સે? આજકલ ચંદરકો કા ભૌ? ગુમ્મ - સુમ્મ રહે હૈ? પરીચ્છા પાસ કર લી, અચ્છે લમ્બર મિલે, કિસીસે હસૈ નાહિ, બોલૈ નાહિ, ઈ કા બાત?” સ્વગત બોલતાં સત્વંતકાકી રસોડા તરફ ગયાં. 
“શી ખબર? અમે પણ કેટકેટલી વાતોની ચિંતા કરીએ, કહો તો સત્વંતી?” ચંદ્રાવતી સાંભળે તે રીતે જાનકીબાઈએ ઊંચા સાદે જવાબ આપ્યો.
બાનો ચઢેલો અવાજ સાંભળી ચંદ્રાવતીએ રસોડાની ભિંત પર કાન લગાડ્યા.
“બડી બાઈજી, એક અરજી કરું તો  બૂરા જિન માનિયો. આપ ચંદરકે સાદી કી કાહે નાહિ સોચત? જુઆન મોડી! કિત્તે દિન રહ સકત માં - બાપ કે ઘર?”
“શ્રાવણ - ભાદરવો જવા દે. દિવાળી પહેલાં અથવા તેના તહેવાર ઉજવીને અમે મુંબઈ જઈશું. પણ આ લડાઈના સમયમાં જરા જેટલી ગડબડ થાય તો ચંદાના બાપુજી અમને મુંબઈ નહિ જવા દે.”
“બાઈજી, ગામના વકીલસાહેબનો ભાઈ ક્યાં બૂરો છે? આપની જ્ઞાતિનો છે. આપને ત્યાં હંમેશા આવતો - જતો હોય છે. તેની સાથે ચંદરનાં લગન કરાવી નાખો. દીકરી આપની નજર સામે તો રહેશે!” જાનકીબાઈના કાનમાં સત્વંતકાકી બોલ્યાં.
“દિનકર? તેને અમે અમારી દીકરી કેવી રીતે આપીએ? એ તો મૅટ્રિક પાસ છે અને ફક્ત તહેસીલકક્ષાની વકિલાત કરવાની પરીક્ષા પસાર કરી છે. સરકારી વકિલની પણ પરીક્ષા તે પાસ થઈ શક્યો નથી. અમે તો ચંદા માટે ઈજનેર, ડૉક્ટર, આઈસીએસ શોધી લઈશું.”
“હાય રામ! આઈ સી એસ વળી નવું સાંભળ્યું. તે શું હોય છે?”
“અંગ્રેજ સરકારનો તે સૌથી મોટો અફસર હોય છે. તેની પરીક્ષા પાસ કરવા વિલાયત જવું પડે છે.”
“વિલાયત સારંગપુરથી કેટલું દૂર છે?”
“ત્યાં જવા સાત સમુદ્ર પાર કરવા પડે છે.”
“તબ તો વિલાયત પાતાલ જા બસો!” સત્વંતકાકી હેરતથી ચિબૂક પર હાથ મૂકીને બોલ્યાં.
ચંદ્રાવતીનાં કાન હજી રસોડાની ભિંત પર ચોંટ્યા હતા.
“આઈસીએસ! અમારા માતુશ્રી તેમની લાડકી દીકરીનાં લગ્ન અંગ્રેજોના ગુલામ સાથે કરવા નીકળ્યાં છે! વાહ! અને દિનકરરાવ? એ તો ફક્ત અહીં બંગલા સુધી પુસ્તકો લાવી આપે છે, અને આપણે તે વાંચીએ છીએ - બસ એટલા પૂરતો સંબંધ. આગળ વાત ખતમ. બીજી તરફ વિશ્વાસ જુઓ! એ તો સીધો બાબા પાસે ગયો હતો. દિનકરરાવે પુસ્તકોમાં ચિઠ્ઠીઓ સરકાવવા સિવાય બીજું શું કર્યું? અને દૂરથી સાડી-પિન બતાવવા ઉપરાંત બીજું કંઈ કરવાની તેમનામાં હિંમત ક્યાં હતી? વિશ્વાસનો રૉફ, તેનો આત્મવિશ્વાસ, તેની મરદાનગી, સ્પષ્ટવક્તાપણું - અરે, તેનો તો અહંકાર સુદ્ધાં કોઈ પણ છોકરીને મોહી નાખે એવો…”
વિચારમાં ને વિચારમાં કૃષ્ણનું અંગરખું તૈયાર થવા આવ્યું હતું. ઘેર જતાં પહેલાં તેની રુમમાં આવીને સત્વંતકાકી બોલ્યાં. “અરી ચંદર બિટિયા, તનિક હસો, ખેલો, બાત બતિયાઓ! આજકલ તુમ્હારી હઁસી કિતૈ ખો ગઈ હેંગી? અત્યાર સુધી વાત વાતમાં ખડખડાટ હસતી રહેતી હતી. અરે અમારે તો તને ટોકવી પણ પડતી કે જુવાન મોડીને આટલું બધું હસવું ન શોભે! હવે તો સાવ વિલાયેલું મોઢું કરીને બેસી રહે છે!”
“મૈં ઠીક હૂઁ ચાચી,” રીલ પર સૂતર લપેટતાં ચંદ્રાવતી બોલી.
“અમારે ઘેર હવે તો આવતી - જતી નથી. તને શાનો ડર છે? આ શનિવારે અમારે ઘેર આવજે. તારી નજર ઉતારીશ,” કહી તેઓ બહાર ગયાં.
સત્વંતકાકીની વાત કરવાની ઢબથી ચંદ્રાવતી સહેજ ચોંકી. ‘સત્વંતકાકીને આ વાતની ખબર તો નહિ પડી હોય ને?’ આ વિચાર આવ્યો અને કૃષ્ણના અંગરખાને જરીની કિનારી લગાડતાં તેની આંગળીમાં સોયની અણી પેસી ગઈ. આંગળીની ટોચ પર લોહીનું ટીપું ઊપસી આવ્યું અને…આંખો ભીની થઈ ગઈ.
‘સત્વંતકાકીને જાણ થઈ ગઈ લાગે છે…પણ કેવી રીતે?’
જામુની અને મિથ્લા હજી ચંદ્રાવતીના પગ પાસે બેસીને તેની તરફ એક ટશે જોઈ રહી હતી.
‘કાલે વહેલી પરોઢમાં અહિંથી પ્રસ્થાન કરવાનું…જે બંગલામાં હાસ્યની છોળો વચ્ચે, આનંદમાં સોળ વર્ષ ગાળ્યાં એ જ બંગલાની કાયમ માટે રજા લેવાની…એક તરફ બાના ત્રાસમય સામ્રાજ્યમાંથી છૂટવા અધીર થયેલું મન અને બીજી તરફ એ જ બા અને બાબાને છોડી જવાના વિચારથી હૈયું કેટલું ભરાઈ આવે છે…’ આ વિચારોમાં તે જામુનીની ચોળી પર મશીનની ટીપ મારતાં ચંદ્રાવતીની આંખમાંથી બે આંસુ ટપકી પડ્યાં. ‘આ મશીનને આજે આખરી રામ રામ કરવાના… આ મશીન બાબાએ ખાસ મારા માટે મુંબઈથી મંગાવ્યું હતું અને ગામમાંથી માદરપાટનો તાકો ખરીદી આણ્યો હતો. કહેતા હતા, જે કાંઈ સીવવું હોય તે સીવજે દીકરા! જેવું આવડે તેવું. છોકરીની જાતને સીવણ - ભરતકામ આવડવું જોઈએ…
‘નવું નક્કોર મશીન મળ્યાના આનંદમાં મેં ઓશીકાનાં ગલેફ વાંકાંચૂંકા સીવ્યા હતા! શેખરના લેંઘાનો એક પગ લાંબો તો બીજો ટંૂકો અને બા માટે સીવેલાં પોલકાં ડગલા જેવા લાગતા હતા…આગળ જતાં જામુની - મિથ્લાના ફરાક…’
“જીજી, આપ રો રહીં હૈં?” મશીનના પૅડલ પર રહેલા ચંદ્રાવતીના પગ પર હાથ મૂકી જામુનીએ ચિંતાના સ્વરમાં પૂછ્યું.
“નહિ, તો! સિર દર્દ હૈ,” ચંદ્રાવતીએ જામુનીના અરીસા જેવી સ્વચ્છ આંખોમાં ડોકિયું કરતાં જવાબ આપ્યો.
‘મારી વહાલી જામુનીને છોડીને હું કેવી રીતે જઈ શકીશ? મિથ્લાને કેવી રીતે ત્યાગી જવાશે? હરિયાલી તીજ આ આવી પહોંચી તેવામાં ઘર છોડીને કેવી રીતે જવાય? આવતી કાલે નિશાળે જતી વખતે શેખર પૂછશે ‘તાઈ ક્યાં ગઈ’ તો બા તેને શો જવાબ આપશે? આજકાલ મારો ભાઈલો ગિલ્લી દંડાની રમતમાં કેટલો મગ્ન હોય છે. રમતમાં આટલું ધ્યાન હોવા છતાં પરીક્ષામાં હંમેશા પહેલો નંબર લાવે છે. તેથી જ તો પહેલાંની જેમ તેને લેસન કરવા માટે કોઈનાં વેણ સાંભળવા નથી પડતા…બા અને હું સામાન્ય વાત કરતાં હોઈએ તો પણ ઘણી વાર તે દોડીને આવે છે અને પૂછે છે ‘બા, તાઈ, તમે શાની વાત કરો છો?’ બા અને મારી વચ્ચે હંમેશા વાદવિવાદ ચાલતા હોય છે એની તેને હંમેશા ચિંતા રહે છે. આજ કાલ શેખરને બહાવરો થઈને બંગલામાં ભટકતો હોય છે. તેને મારા નાસી જવાનો અણસાર તો નહિ ને આવ્યો હોય?
‘ગયા ચાર દિવસની વાત જવા દો, પણ હંમેશા જમતી વખતે બાબાની સામે ઉભા રહીને તેમને કઈ વાનગી જોઈએ છે તેનું ધ્યાન તેમની વહાલી દીકરીએ રાખવું જોઈએ એવો આગ્રહ રાખનારા બાબાને મારું આમ નાસી જવું કેવું લાગશે? હૉસ્પિટલમાં હવે ઉન્નત શિરે તેઓ કેવી રીતે જઈ શકશે? અને બા…એની હાલતનો વિચાર કરતાં જ થરથરી જવાય છે… સત્વંતકાકી, બડેબાબુજી, દદ્દા, સિકત્તર, માળી, ગામનાં લોકો…’
જામુની - મિથ્લાનાં ચણિયા સીવાઈ ગયા હતા. તેમાંથી લટકતા ધાગા દાંત વડે તોડી ચંદ્રાવતી મશીન પાસેથી ઊભી થઈ ગઈ. કબાટ ઉપર રાખેલી નાની બૅગ કાઢી તેમાં તેણે રોજિંદી જરુરિયાતની થોડી’ક ચીજો મૂકી હળવેથી બૅગ બંધ કરી. બૅગને પલંગની નીચે સરકાવી તે મશીનની સામે પાછી બેસી ગઈ.
રાતના સાડા અગિયાર વાગ્યા હતા.
“અલી બસ કર હવે! કેટલી વાર સુધી સીવણકામ કરતી રહીશ? હવે સૂઈ જા. બાકીનું કામ કાલે કરજે,” ચંદ્રાવતીના કમરામાં ડોકિયું કરતાં જાનકીબાઈ બોલ્યાં.
“છોકરીએાનાં ચણિયા સીવાઈ ગયા છે. તેમાંના દોરા કાપ્યા એટલે પત્યું”
“કેટલા દિવસથી કાપડ આવીને પડ્યું’તું. આજ દિવસ સુધી કશું સીવ્યું - કર્યું નહિ અને હવે ઉતાવળ કરવા લાગી ગઈ છો. તરસ લાગી એટલે મંડી કૂવો ખોદવા!”
“શું કરું બા? સવાર ક્યારે ઉગે અને ક્યારે આ નવા કપડાં પહેરું એવું થઈ ગયું છે આ જામુની - મિથ્લાને. જોયું ને, કેવો જીવ ખાઈ ગઈ છે બેઉ જણી?”
“ચાલ, દીકરી, હું બેસું છું તને સથવારો દેવા.”
“બા, આખો દિવસ કામ કરીને તું થાકી ગઈ હઈશ. તું સૂઈ જા. હું આ પતાવું જ છું.”
“તું પણ સૂઈ જા, બેટા! પોતાની કેવી દશા બનાવી લીધી છે તેં!” ડૉક્ટરસાહેબના શયનકક્ષ તરફ જતાં જાનકીબાઈ તરફ જોઈ ચંદ્રાવતીએ ડૂસકું દબાવ્યું.
‘બધાં સગાવહાલાં - શાંતા ફોઈ, મોટાં કાકી, મામી - બધાં મળીને મારી બા ને ડંખ મારી મારીને કચડી નાખશે. દીકરી ઘરમાંથી ભાગી જાય એનો શો અર્થ? તેઓ તો કહેશે મા-બાપ આંખે પાટા બાંધીને બેઠા હતા કે શું?
‘ગયા આઠ દિવસમાં બાબા મારી સાથે એક અક્ષરે’ય નથી બોલ્યા. મારું નામ સુદ્ધાં તેમણે ઉચ્ચાર્યું નથી…બાબાના આ જાતના વલણ વિશે બાએ મને કેમ કદી કશું પૂછ્યું નહિ? એ તો બિચારી બાબાને ખુશ રાખવા કેટલી ખબરદારીપૂર્વક મહેનત કરી રહી છે! આ જાણે ઓછું હોય, સાવન - તીજની તૈયારી પણ તે કરી રહી છે…મારા નાસી જવાના આઘાતમાં બા માંદી પડી જશે. અમારી ત્રણ જણાની માંદગી વખતે અમારી સેવા - ચાકરી કરનારી બાની માંદગીમાં તેની ચાકરી કોણ કરશે?
‘પણ મારે આમ ઢીલા પડીને નહિ ચાલે. અૅન મોકા પર આવા વિચાર મગજમાં આવવા ન જોઈએ. આપણા ભવિષ્યનો વિચાર આપણે પોતે જ કરવો જોઈએ કે નહિ? હું જ આમ હિંમત ખોઈ બેસીશ તો વિશ્વાસને મારા સિવાય બીજું કોણ છે? મને કહેતો હતો, અમારું ઘર હવે આપને હવાલે છે. અમારું ઘર લાઈન પર લાવજો. અમારાં મા’સાહેબને સુખી કરજો…
જામુની - મિથ્લાનાં ચણિયાનાં દોરા કાપતાં કાપતાં ચંદ્રાવતી મનોમન સરદાર ખાસે સાહેબ પવારની હવેલીના દરેક ભવ્ય ઓરડામાં ફરી આવી. તેમના ગામમાં આવેલ ઘઉં - ચણાનાં ખેતરોમાં ચક્કર પણ મારી આવી!
રાતના સાડા ત્રણ વાગ્યા.
મશીન સામેની ખુરશી પર બેઠાં બેઠાં જ તેણે પેન અને નોટપેપર લઈ તેણે ચિઠ્ઠી લખી.
“પ્રિય બા અને બાબા,
તમને બધાંને છોડી જતાં મારા કાળજાનાં ટૂકડા થઈ રહ્યા છે, તેમ છતાં હું અહીંથી ચાલી જઉં છું. મારા જીવનનો આગળનો પ્રવાસ હવે મારે સ્વતંત્ર રીતે કરવો છે.
હું વિશ્વાસની સાથે જઉં છું. કાલે તમને આ ચિઠ્ઠી મળશે ત્યારે અમે અહીંથી બહુ દૂર ગયા હઈશું. જ્યાં હઈશું ત્યાંથી તાર કરીશું. મારી ચિંતા કે મારી શોધખોળ કરશો મા.

- ચંદા”
તેણે ચિઠ્ઠીને મશીનની સોયમાં ખોસી. દીકરી હજી સુધી કેમ ઊઠી નથી તે જોવા સવારે નવ - સાડા નવના સુમારે બા તેની રુમમાં દાખલ થતાં જ તેને આ ચિઠ્ઠી દેખાય તેવી રીતે ગોઠવી.
ખુરશી પરથી ઊઠી ચંદ્રાવતીએ મોઢું ધોયું અને ચહેરા પર પાઉડર - કંકુ લગાડવા માટે અરીસાવાળા કબાટની સામે ઉભી રહી. રાત્રે કબાટમાંથી ચૂપચાપ કાઢીને પથારીની નીચે રાખેલી લીંબોડી રંગની ચંદેરી સાડી પહેરી. અરીસામાં પોતાનું સ્વરુપ નિહાળતાં જ તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. ‘આજે મારાં લગ્ન છે. આજે તો મોટા મામા તરફથી અપાનારી અષ્ટપુત્રી સાડી પરિધાન કરવાની હોય!’
કબાટ પરના અરીસા પર ચહેરો ટેકવી, બન્ને હાથે કબાટને બાથમાં લેતી હોય તેમ તે થોડો વખત ત્યાં ઉભી રહી. કબાટથી થોડે દૂર રાખેલી ગણપતિની મૂર્તિને તેણે નમસ્કાર કર્યા અને બારીમાંથી બહાર ડોકિયું કર્યું. આકાશ ઘેરા નીલા રંગે રંગાયું હતું. આભમાં તારલાઓ ઝગમગતા હતા. હવામાં ઠંડી જામી હતી. ઝાડ - પાન છાનામાનાં થઈને સ્થિર બેઠા હતા. વૃક્ષોનો સર - સર કરતો અવાજ પણ સાવ થંભી ગયો હતો. ફિક્કી થયેલી ચંદ્રની કોર પશ્ચિમ તરફ ઝૂકી હતી. ચંદ્રાવતીના હૃદયનાં ધબકારા હવે ઢોલની જેમ જોર જોરથી ધબૂકી રહ્યા હતા. એક હાથમાં ચંપલની જોડી અને બીજા હાથમાં તૈયાર કરી રાખેલી નાની બૅગ લઈ તે બંગલાના પગથિયાં ઉતરવા લાગી.
સિકત્તર ગાઢ નિંદરમાં હતો. 
આ સિકત્તર…સાચે જ ઊંઘે છે કે પછી…?
ચંદ્રાવતી આગળ વધી. બીલીવૃક્ષના થડા પાસે ક્ષણભર થંભીને તેણે વૃક્ષને મનોમન નમસ્કાર કર્યા અને બગીચાના ખૂણામાં આવેલી બોગનવિલિયાની નીચે જઈને ઊભી રહી. વેલની જાળી પાછળથી બંગલાનું છેલ્લી વાર દર્શન કર્યું ત્યારે તેની છાતી પરનો પાલવ આંસુથી તરબોળ થઈ ગયો.
એટલામાં ક્યાંક મોટરકાર રોકાયાનો અસ્પષ્ટ અવાજ ચંદ્રાવતીને સંભળાયો. હળવે’કથી તે કમ્પાઉન્ડની દીવાલ તરફ આગળ વધી.

***

Monday, January 18, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૨

ચંદ્રાવતીને મળી આવ્યાને શીલાને બે દિવસ થયા હશે ત્યાં વિશ્વાસ દિઘે માસ્તરને ઘેર પહોંચી ગયો. રાણીસાહેબના કૃષ્ણમંદિરની ડિઝાઈન લેવાને બહાને તે સીધો મેડી પર ચઢી ગયો. દિઘે માસ્તર હજી ઘેર પહોંચ્યા નહોતા. તેને આવેલો જોઈ શીલા પોતાની રુમમાંથી નીકળી મેડીની પરસાળમાં ગઈ. વિશ્વાસ ગુસ્સામાં હતો.

“તમે મોકલાવેલ તમારી બેનપનીનો કાગળ અમને મળી ગયો.”

“મેં તે વાંચ્યો નથી. શું કહે છે તમારી ચંદા?”

“કાગળ વાંચીને તાંડવ નૃત્ય કરવાનું મન થયું,” વિશ્વાસના અવાજમાં નારાજી ટપકતી હતી. “ડૉક્ટરસાહેબની મંજુરી નથી.”

“હવે?”

“અહીંથી નાસી જઈને લગ્ન કર્યા વગર બીજો કોઈ માર્ગ બાકી રહ્યો છે? રાજપરિવારની સવારી ગુરુવારે ઓરછા જશે અને સોમવારે પાછી આવશે. તેથી આ વચ્ચેના સમયમાં અહીંથી છટકવું પડશે,” વિશ્વાસે તાપેલા અવાજમાં કહ્યું.

શીલા ભયગ્રસ્ત નજરે વિશ્વાસ તરફ જોતી જ રહી ગઈ. તેણે મંદ સ્વરે વિશ્વાસને પૂછ્યું, “આવું કરશો તો આ વયે ડૉક્ટરકાકા ક્યાં જશે?”

“ડૉક્ટરસાહેબ પોતાને શું સમજે છે? બહુ ઘમંડી આદમી છે. તે અમને જાનતા નથી. અમારી ઈચ્છા થાય તો અમે તેમને ક્યાં ના ક્યાં ઉડાવી દઈશું. એમની ખુરશીમાં ગોરો  ડૉક્ટર લાવીને બેસાડી દે’શું.”

“જુઓ વિશ્વાસ, આવી બેતૂકી વાત મારી સામે ના કરશો. હું તે સાંખી નહિ લઉં, સમજ્યા? ડૉક્ટરકાકા મારા મુરબ્બી છે.”

“તમારી બેનપનીને કહેજો શુક્રવારે પરોઢિયે સાડા ત્રન વાગે અહીંથી નીકળવાનું છે. દસ વાગ્યા સુધીમાં હોશંગાબાદ પહોંચીશું. અગિયાર વાગે ત્યાંના રામમંદિરમાં લગ્ન થશે. ગોર મહારાજનો ઈન્તજામ થઈ ગયો છે. ત્યાં જ ભોજન પતાવીને પાછી સફર શરુ થશે અને રવિવારે પરોઢિયે સીધા કોલ્હાપુર પહોંચીશું. શુક્રવારે વહેલી સવારે તેમને બગીચામાં ઊભા રહેવાનું કહેજો, સાથે કશું લેવાનું નથી.”

“હું પરમ દિવસે જ બંગલે જઈ આવી છું. આમ લગાતાર જવા લાગીશ તો જાનકીકાકીને કેવું લાગશે? મારી બા પણ બક બક કરશે.”

“તો પછી બેસો છાનામાનાં,” શીલા તરફ ક્રોધભર્યો કટાક્ષ કરી વિશ્વાસ બોલ્યો.

“આપણાથી આ કામ નહિ થાય,” શીલાએ નિશ્ચયપૂર્વક કહ્યું.

“તો રહ્યું. અમારું શું જાય છે?”

“કોનું ક્યાં જાય છે? મારું? તમે આપેલું લુચ્ચાઈભર્યું કામ મેં મારી બહેનપણી માટે કર્યું, તમારા માટે નહિ, સમજ્યા? આ વાત ધ્યાનમાં રાખજો,” શીલાએ ફટાક દઈને જવાબ આપ્યો.

થોડી વાર કોઈ કશું બોલ્યું નહિ. અંતે શીલાએ તેને કહ્યું, “તમારે ચંદાને જે કહેવું હોય તે ચિઠ્ઠીમાં લખો. હું કેમે કરી તેની પાસે મોકલી આપીશ,” કહી તેણે પોતાના કમરામાં જઈ કાગળ-પેન્સિલ આણ્યાં અને વિશ્વાસને આપ્યા.

વિશ્વાસે ઉતાવળે લખેલી ત્રણ લીટીની ચિઠ્ઠી શીલાએ પોતાની રુમમાં ગાદલા નીચે સંતાડી અને પાછી ગૅલેરીમાં આવી.

“હવે આખરી વાત,” હવે વિશ્વાસ આજીજીભર્યા સ્વરે બોલ્યો.

“હે ભગવાન! હવે શું બાકી રહ્યું છે?”

“શુક્રવારે સવારે જ તમે બંગલે પહોંચી જજો અને તમારી બેનપનીનાં માબાપને સાંત્વન આપજો. તેમને કહેજો, ચારેકોર તાર-ટપાલ મોકલવાની જરુર નથી.”

“વાહ! તમે તો મારા ગળામાં પણ ફાંસીનો ફંદો નાખવા માગો છો, એમ ને?”

“આવું કેમ કહો છો?”

“આવું કરીશ તો તેઓ મને એવું જ કહેશે, શીલા, ચંદા નાસી જવાની છે તેની તને ખબર હતી તો અમને કેમ ન જણાવ્યું? આનો હું શો જવાબ આપીશ?”

“તમે ફિકર કરશો મા. તમારા પર કોઈ તહોમત નહિ આવે. તમે સવારના નવ - દસના સુમારે તમારી બેનપનીને અમથાં જ મળવા જાવ છો તેમ પહોંચી જજો અને એવો સ્વાંગ કરજો કે તમને આ બાબતમાં કશી ખબર નથી. વાત ખતમ! આગળની વાત આગે. અમે હોશંગાબાદથી ડૉક્ટરસાહેબને તાર કરી દઈશું.”

શીલાએ કપાળ કૂટ્યું. વિશ્વાસ ધડધડાટ કરતો દાદરો ઉતરી ગયો.

“તું જાય છે,  વિશ્વાસ? માસ્તરસાહેબ આવતા જ હશે. ઘડી’ક ખમી જા,” શીલાની બાએ  રસોડામાંથી કહ્યું.

“અબ્બી હાલ પાછો આવું છું…નહિ તો માસ્તરસાહેબ સાથે નિશાળમાં જ વાત કરી લઈશ. એક અગત્યનું કામ યાદ આવી ગયું તેથી નીકળવું પડ્યું.,” કહી વિશ્વાસ ત્યાંથી રવાના થઈ ગયો.
***
ડૉક્ટરસાહેબ દવાખાને ગયા હતા. શેખર હજી નિશાળમાં હતો અને ચંદ્રાવતી બાથરુમમાં નહાવા ગઈ હતી. જાનકીબાઈ ઘરકામ પતાવીને પૂજાપાઠની તૈયારી કરી રહ્યાં હતાં, એટલામાં શીલાનાે નોકર પુસ્તકોની થપ્પી લઈ બંગલામાં પેઠો.
“બાઈજી…” વરંડો ઓળંગી, ભોજનકક્ષના દરવાજા પાસે ઉભા રહી તેણે સાદ પાડ્યો.
જાનકીબાઈનાં પૂજાપાઠ ચાલુ થયા હતા. “ક્યા હૈ?” તેમણે પૂજાઘરમાંથી પૂછ્યું.

“સીલાબાઈને કિતાબેં ભેજી હૈં,” નોકરે જવાબ આપ્યો.

“દીવાનખાનામાં ટેબલ પર મૂકી જા.”

નોકર પુસ્તકોની થપ્પી કાચના ટેબલ પર મૂકીને જતો રહ્યો.
ચંદ્રાવતી સ્નાન પતાવીને રોજની જેમ પૂજાઘરમાં દર્ભની જૂડીઓ બનાવવા ગઈ. 

“અરે ચંદા, શીલાએ તારા માટે પુસ્તકો મોકલ્યા છે.”

“પુસ્તકો?” ચંદ્રાવતીના હૃદયમાં વીજળીનો ઝટકો લાગ્યો. ‘બાએ પુસ્તકો ખોલ્યાં તો નહિ હોય ને?’ તેણે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી પૂછ્યું, “ક્યાં મૂક્યા છે?”

“પહેલાં આટલા દર્ભ ગણીને તેની જૂડીઓ બનાવી આપ, પછી જા ચોપડીઓ જોવા. આ શીલાના મગજમાં પણ કોણ જાણે ક્યાંથી પુસ્તકોની ઘેલછા જાગી ગઈ,” કહી જાનકીબાઈ પોથી વાંચવાનુંં અધવચ્ચે બંધ કરી બબડવા લાગ્યાં.

ચંદ્રાવતી લગભગ દોડતી જ હૉલ તરફ જવા લાગી.

“અરે, ચંદા, પહેલાં આ દર્ભ ગણવાનું કામ તો પૂરું કર! પછી જા ચોપડીઓ જોવા. એક વાર તારા હાથમાં ચોપડી આવ્યા પછી તને સમયનું ભાન નથી રહેતું.”

“આવું કેમ કરે છે, બા? આ જો, અાવી જ સમજ,” કહી ચંદ્રાવતી ત્યાંથી છટકી ગઈ. તેણે હૉલમાંથી પુસ્તકો ઉપાડ્યાં અને તેની રુમમાં ગઈ. તેણે પુસ્તકો ઊંધા - ચત્તા કર્યા અને તેમાંથી વિશ્વાસની ચિઠ્ઠી ટપ દઈને જમીન પર પડી. તેને ઉપાડી, તેમાંનો સંદેશ ઝડપથી વાંચી તે એક પુસ્તકમાં મૂકી પુસ્તક કબાટમાં મૂક્યું. તેને સાડીઓની નીચે ઢાંકી તે પૂજાઘરમાં પાછી ગઈ.

‘જોયું? તરત પાછી આવી ને? પાંચ જૂડીઓ બનાવવામાં કેટલો ટાઈમ લાગે?” કહી તેણે દર્ભનો થાળ લીધો અને બનાવટી ઉત્સાહથી  દર્ભ ગણવાની શરુઆત કરી. એકવીસ - એકવીસ દર્ભની પાંચ જૂડીઓ બનાવવાની હતી. દર્ભ ગણતાં ગણતાં તે ફરી પાછી વિચારમાં પડી ગઈ.

‘હરિયાલી તીજ બે - ત્રણ દિવસ પર આવી છે અને તેની જવાબદારી છોડી કેવી રીતે નાસી જઉં? હજી સુધી રાધા અને ગોપીઓનાં ચણિયા - ચોળીનું કાપડ પણ વેતરાયું નથી. આજ કાલ કોઈ કામમાં ચિત્ત નથી લાગતું અને રસોઈ પરથી બાની ટીકા - ટિપ્પણી સતત સાંભળવી પડે છે. બધું જ સ્વાદહીન - નીરસ લાગે છે….કૃષ્ણ ભગવાનનું અંગરખું કોણ જાણે ક્યારે સીવાશે અને તેના પર ચાંદલિયા ક્યારે જડાશે?…સત્તર…અઢાર…વીસ…બાવીસ.. અરે, મારે તો એકવીસ દર્ભ ગણવાના હતા અને પાછી ભૂલ થઈ ગઈ. ફરી ગણવું પડશે…”

“અલી, હવે પૂરું કર તારું કામ. ક્યાં ધ્યાન છે તારું? એક વાર પાંચ જૂડીઓ ભગવાનને ચઢાવી દઉં એટલે હું છૂટી,” જાનકીબાઈ બોલ્યાં.

“બા, દર્ભ સરખી રીતે ગણવા જોઈએ કે નહિ?”
કહેતાં તો કહ્યું, પણ તે પાછી વિચારના વમળમાં સપડાઈ ગઈ. ‘શુક્રવારની વહેલી પરોઢમાં ઘર છોડવાનું…સવારે દસ વાગે લગ્ન…જાણે નદીના તટ પર બેસીને ઉતાવળે કોઈનું શ્રાદ્ધ પતાવવાનું હોય તેમ…પછી કોઇ એક ગોરના હાથે માથા પર ચોખાનાં ચારે’ક દાણા નંખાવી લેવાના, જલદીથી મંગળસૂત્ર બંધાવી લેવાનું અને બે કોળિયા પેટમાં ધકેલીને તરત આગળનો પ્રવાસ શરુ…જાણે કોઈ દુશ્મન પાછળ પડ્યો હોય તેમ…
‘પંદર દિવસ પહેલાં મંજુલાના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. હાથી પર ચાંદીની અંબાડીમાં બેસીને તે સાસરિયે ગઈ હતી. સરકારી બૅન્ડ અને એસીટિલિનની રોશનીમાં તેનો વરઘોડો આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો. વરરાજાના ઉતારા પાસે હાથી ઉભો રહ્યો અને ટેકીને નાનકડી સીડી રાખવામાં આવી હતી; ઝળહળતો લીલા રંગનો સાળુ પહેરેલી, હિરા-મોતીના ઘરેણાંમાં સજેલી મંજુલા આ સીડી પરથી ગભરાતાં ઉતરી ત્યારે મરાઠા સેનાપતિના પરંપરાગત પોશાકમાં સજ્જ તેના સસરાજીએ તેનો હાથ ઝાલી હળવાશથી નીચે ઉતારી. અંબાડીમાંથી ઉતર્યા બાદ પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓએ તેની આરતી ઉતારી હતી!
‘મંજુલાના લગ્નમાં વિશ્વાસની સાથે મારો દૂરથી દૃષ્ટિ મેળાપ થતો હતો. તે મને એકાંતમાં મળવાનો પ્રયત્ન કરતો હતો અને હું બહેનપણીઓનાં ટોળામાં સંતાવાનો!

‘હાથમાં ગુલાબનાં ફૂલોનો થાળ લઈ અમે બે-ત્રણ બહેનપણીઓ મંજુલાની રુમ ભણી જઈ રહી હતી ત્યારે વિશ્વાસ ધડધડાટ કરીને દાદરો ઉતરી આવ્યો અને મારા કાનમાં ગણગણી ગયો, ‘આપણાં લગ્નમાં આવો ઠાઠ નહિ હોય એ ધ્યાનમાં રાખજો…’ અને મેં તેને અભિમાનપૂર્વક જવાબમાં ક્હયું હતું, ‘ચાલશે…'

એકવીસ, બાવીસ, ત્રેવીસ…’ ચંદ્રાવતી યંત્રવત્ દર્ભ ગણી રહી હતી…મંગળસૂત્રના પવિત્ર બંધનમાં અમે બંધાવાના છીએ! લગ્નમાં મહત્ત્વ શાનું હોય છે? મંગળસૂત્રનું? હાથી પરની ચાંદીની અંબાડીનું? કે પછી પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા થનારી આરતીનું?'

“અલી ચંદા, તારું દર્ભ ગણવાનું કામ પૂરું થયું કે નહિ? આ થાળ મને આપ જોઉં! રામ જાણે થાળમાં શું જોઈ રહી છે! અને શાનો વિચાર કરી રહી છો?”

“હું વળી શાનો વિચાર કરવાની હતી?” ચંદ્રાવતી બબડી અને થરથરતા હાથે દર્ભનો થાળ બા પાસે સરકાવ્યો.


Sunday, January 17, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૧

બીજા દિવસે તડકો ઓસરતાં શીલા ચંદ્રાવતીના બંગલે આવી. ચ્હા - પાણી પતાવી બન્ને બહેનપણીઓ પાછલા આંગણામાં આવેલા તુલસીક્યારા ફરતી પત્થરની પાળ બેસીને વાતો કરતી હતી ત્યાં જાનકીબાઈ રસોડાના દરવાજામાંથી બહાર આવ્યાં અને વટાણાં રોપ પરથી શિંગો ઉતારવા લાગ્યાં.  તેમને આવેલા જોઈ શીલા અને ચંદ્રાવતીએ વાત બદલી અને શાળાની મજેદાર વાતોમાં મશગુલ થયાનો ઢોંગ કર્યો.
“શીલા, સાંજ થઈ છે. હવે જમીને જજે,” જાનકીબાઈએ કહ્યું.
“એ કંઈ કહેવાની વાત થઈ, કાકી? કેટલા’ય દિવસથી તમારા હાથની રસોઈ જમી નથી. હું તો  મારી બા ને કહીને જ નીકળી હતી કે હું બંગલે જમીને આવીશ!”
“બોલ, શું ખાવાની ઈચ્છા છે?”
“કહું? વટાણાંનો મસ્ત પુલાવ બનાવો, કાકી. સૂકા જીંગા નાખીને!”
“તો વેલ પરથી વટાણાની શિંગો ઉતારો અને બન્ને બહેનપણીઓ મળીને તેમાંથી વટાણા કાઢી આપો. ત્યાં સુધીમાં હું મસાલો તૈયાર કરું રાખું,” કહી ચંદ્રાવતીને પિત્તળની તપેલી સોંપી જાનકીબાઈ રસોડામાં ગયાં. 
“વિશ્વાસ મળ્યો’તો તને? બાબાએ તેને શું કહ્યું?” વટાણાની શિંગો ફોલતાં આજુબાજુ નજર કરી ચંદ્રાવતીએ પૂછ્યું.
“મળ્યો’તો એટલે તો તને કહેવા આવી છું. તારા બાબા આ રિશ્તા સાથે સંમત નથી.”
“કેમ?”
“તારી બા જીવ આપશે, એવું કહ્યું.”
“એમ તે કોઈ જીવ આપતું હશે? દરેક માણસને જાન પ્યારી હોય છે. કરશે ત્રાગાં થોડા દિવસ. ત્યાર પછી એની મેળે જ ઠેકાણે આવી જશે. મુંબઈમાં મારી દૂરની માસીની દીકરીએ એક પંજાબી છોકરા સાથે લગ્ન કર્યા, ત્યારે માસાજી ભરેલી બંદૂક લઈને ગૅલેરીમાં બેસી પહેરો કરતાં બેસી રહ્યા હતા. નીચે દીકરી અને તેનો પંજાબી વર દેખાતાં વેંત ગોળીએ દેવા! બીજી તરફ અમારાં સરુમાસી બ્લડ પ્રેશરની બિમારીથી પથારીવશ થઈને પડ્યાં હતાં. હવે જો, પેલા પંજાબી જમાઈનાં છોકરાંઓને નાના-નાની રમાડતાં બેઠાં છે!”
“સાચ્ચે?”
“નહિ તો શું! વિશ્વાસ અને બાબા વચ્ચે આગળ શી વાત થઈ?”
“ડૉક્ટરકાકા કહેતા હતા કે તારાં વિશ્વાસ સાથે લગ્ન થાય તો મહારાજસાહેબ તેમને  નોકરીએથી કાઢી મૂકશે. સાથે સાથે ખાસે સાહેબ - વિશ્વાસના બાપુજીની પણ જાગિરદારી અને ગરાસ ખાલસા કરી નાખશે. ચંદા, આવું થાય તો આ ઉમરે ડૉક્ટરકાકા ક્યાં જાય? અને તેમની વાત પણ સાચી છે. તેઓ કહેતા હતા, ‘હું રાજયોગી માણસ છું, આરામપ્રિય. મને મુંબઈ ન ફાવે. મારાં બાળકો, પત્ની - એમને બંગલામાં રહેવાની ટેવ છે…”
“બાપ રે! પછી શું થયું? વિશ્વાસે શું કહ્યુ?”
“એણે કહ્યું કે હવે તો તારે જ તારા બાબા સાથે સ્પષ્ટ વાત કરવી પડશે.”
“હેં? હું વળી બાબાને કેવી રીતે કહું? મને તો શરમ આવે.”
“અલી, તારે વિશ્વાસ સાથે લગન કરવા છે કે નહિ? આ નખરાં છોડ. તારે ચોખ્ખા શબ્દોમાં કાકા સાથે વાત કરવી પડશે. પણ… દવાખાનામાંથી ઘેર આવ્યા પછી તેમણે તારો ઉધડો લીધો હશે એવું વિશ્વાસને લાગ્યું હતું.”
“ના રે ના! બાબાએ તો મને મળેલા ફર્સ્ટ ડિવિઝનની સરાહના કરી હતી. શેખર પહેલા નંબરે પાસ થઈ છઠ્ઠીમાંથી સાતમીમાં ગયો તેનું ગૌરવ કર્યું અને અમને બન્નેને ઈનામમાં ઘણા બધા રુપિયા આપ્યા. જામુની - મિથ્લા કેમ છે, શાકભાજી અને કાચાં ટમેટાં ખાવ, વિગેરે વિગેરે જેવી પરચૂરણ વાતો કરી. એમણે તો બાનાં બે -ચાર વાળ સફેદ થયા છે તેથી તેને બુઢ્ઢી કહી તેની મજાક ઉડાવી હતી.”
“વિશ્વાસે ખાસ ભાર દઈને કહ્યું છે કે ડૉક્ટરકાકા સાથે તારે વાત કરવી જ પડશે. આ છેલ્લો ઊપાય છે.”
“બાબા એકલા પડે તો વાત કરું ને? તેઓ ઘરમાં હોય તો બા આખો વખત તેમની આગળ પાછળ ફરતી રહે છે.”  
“જે કરવાનું હોય તે જલદી કર. કાલે વિશ્વાસ મને મળવાનો છે, તારો જવાબ જાણવા. એણે તો કહેવડાવ્યું હતું કે તું ડૉક્ટરસાહેબ સાથે વાત કરીને તેમને સમજાવજે અને રોકડું પરખાવી દે જે. નહિ તો…”
“નહિ તો શું?”
“એણે એટલું જ કહ્યું કે સમજાવટથી કામ ન પતે તો તમે જે યોજના કરી છે તે તારે અમલમાં લાવવી પડશે. તમારી યોજના વિશે તેણે મને કશું કહ્યું નહિ.”
“સાચે તેણે અમારી ‘યોજના’ વિશે કહ્યું નહિ?”
“મને શા સારુ કહે? વિશ્વાસ સાથે લગન તારાં થવાના છે, મારાં નહિ.”
“સાંભળ, શીલા. આવતા શુક્રવારે પરોઢિયે અમે અહીંથી નાસી જવાનું નક્કી કર્યું છે. ઠેઠ કોલ્હાપુર. હવે જો, અહીં માથા પર તહેવાર આવી પડ્યા છે ને હું ભર્યાભાદર્યા ઘરમાંથી કેવી રીતે નાસી જઉં? એક તરફ વિશ્વાસ સાથે લગ્ન થવાની ખુશી છે અને બીજી તરફ મન ખિન્નતાથી ભરાયું છે. વિશ્વાસની ઉતાવળનું કારણ સમજી શકાય તેવું છે. તેના બાપુજીને પેલી અંજિરા પસંદ પડી ગઈ છે. આ હાલતમાં હું મોડું કરીશ તો અંજિરા વિશ્વાસના ગળામાં આવી પડશે અને તેનું જીવન ધૂળધાણી થઈ જશે. મારે બાબા સાથે વાત કરવી જ પડશે. ગુરુપૂર્ણિમા બે દિવસ પર આવી પડી છે. દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે મહેલમાં થતા કીર્તનમાં હાજરી આપવા બાને નિમંત્રણ આવતું હોય છે. તે દિવસે બાબા એકલા હશે ત્યારે તેમની સાથે વાત કરી લઈશ. ”
આ વાત થતી હતી ત્યાં રસોડામાંથી જાનકીબાઈએ સાદ પાડ્યો ; “અરે બાયું, શીંગો ફોલાઈ ગઈ કે નહિ? ગપાટાં મારવા બેસી ગયા પછી આજકાલની છોકરીઓને સમયનું ભાન ક્યાં રહે છે?”
“પતી ગયું, બા. જો, આખી તપેલી ભરાઈ ગઈ છે.”
****
ગુરુપૂર્ણિમાના દિવસે રાણીસાહેબે મહેલમાં કીર્તન ગોઠવ્યું હતું તેમાં ભાગ લેવા હંમેશની જેમ જાનકીબાઈને નિમંત્રણ આવ્યું હતું તેથી તે સવારના જ મહેલમાં ગયાં હતાં. બપોરે ડૉક્ટરસાહેબ જમવા ઘેર આવવાના હતા તેથી ચંદ્રાવતી ભોજનકક્ષમાં તેમની રાહ જોઈને બેઠી હતી. તેના મનમાં એક જ ઝંખના હતી : બા મહેલમાંથી પાછી આવે તે પહેલાં બાબા સાથે વાત કરવાની તક હાથમાંથી જવી ન જોઈએ. 
બાબા સાથે કેવી રીતે વાત કરવી તે વિચારથી ચંદ્રાવતીનું મન કાંપવા લાગ્યું. તેને થયું, એક યુવાન સાથે થયેલા પ્રેમ જેવા નાજુક અને મૃદુલ વિષયની વાત તો મા - દીકરી વચ્ચે થવી જોઈએ, તેથી બાબા સાથે તેની ચર્ચા કરવી યોગ્ય છે? ‘હા, બોલવાનું જ! ભારપૂર્વક બોલવાનું. આપણે કંઈ ચોરી કરી છે?’ તેનું મન પોકારી ઊઠ્યું.
લજ્જા, બેચેની, અનિશ્ચિતતા, કંપન, ઊભાં ઊભાં જ ઢગલો થઈ જવું અને પાછા ઊભાં થઈ જવું - આવી અનેક પરસ્પર-વિરોધી ભાવનાઓનાં આવર્તનમાં ચંદ્રાવતીનું મન આગલી સાંજથી જ ચકરાવે ચઢી ગયું હતું.
ડૉક્ટરસાહેબ હૉસ્પિટલથી આવ્યા અને હાથ - પગ ધોઈ ડાઈનિંગ-ટેબલની ખુરશીમાં આવીને બેઠા.
“આજે શાની પ્રસાદી છે?” ડૉક્ટરસાહેબે પૂછ્યું.
“આજે ગુરુપૂર્ણિમા છે. બાએ ગુરુચરિત્રનો સપ્તાહ રાખ્યો હતો. જુઓ, દત્તાત્રેયની છબિ પર અમે કેટલા હાર ચઢાવ્યા છે!”
“ચાલ, હું પણ ભગવાનને ફૂલ ચઢાવી લઉં.”
ડૉક્ટરસાહેબે પૂજાઘરમાં રાખેલ દત્તાત્રેયની મૂર્તિ પર ચંદનનો લેપ કર્યો, ફૂલ ચઢાવ્યા અને સાષ્ટાંગ દંડવત્ કરી પાછા આવ્યા.
“તારી બા ક્યાં છે?”
“મહેલમાં ગઈ છે. રાણીસાહેબ તરફથી બગ્ગી આવી આવી હતી. એણે તમને સવારે કહ્યું હતું ને?”
“અરે! એ તો સાવ ભૂલી ગયો!”
ડૉક્ટરસાહેબ જમવાનું શરુ કર્યું. તેમની નજીકની ખુરશી બન્ને હાથેથી પકડી ચંદ્રાવતી જમીનમાંથી ફૂટી નીકળેલા રોપાની જેમ ઊભી હતી. પિતાના તેજ:પૂંજ ચહેરા સામે જોતાં જ ચંદ્રાવતીના ધૈર્યનો ભાંગીને ભુક્કો થઈ ગયો.
“તમારી મુલાકાતો ક્યાં સુધી પહોંચી છે?” ડૉક્ટરસાહેબે ચંદ્રાવતીને સીધો પ્રશ્ન પૂછ્યો.
“શું…? ના…એવું કંઈ નથી, બાબા…”
“બંધ કરો આ બધું. બહુ થયા આ ચાળા.”
“બાબા, હું તમને વાત કરવાની જ હતી,” અચકાતા અવાજે ચંદ્રાવતી બોલી.
“તેં તો અમને ન કહ્યું, પણ વિશ્વાસે મને બધી વાત કરી છે. તારા કહેવાથી હવે શો ફરક પડવાનો છે?”
“સાચ્ચે, બાબા, મેં તમને છેતર્યા નથી.”
“તેં મને છેતરી છે કે નહિ એ વાત મહત્ત્વની નથી. તમારા લગ્નને હું મંજુરી આપી શકતો નથી તે મહત્ત્વનું છે. હવે તેનું કારણ સાંભળ. પહેલું અને સૌથી મહત્ત્વનું કારણ મારી નોકરી છે. તે જાય તો આપણે તબાહ થઈ જઈશું. બીજું, અને એટલા જ મહત્ત્વનું કારણ તારી બા છે. આ વાત સાંભળી તેને એવો ધ્રાસકો લાગશે કે તે માંદી પડી જશે. આ બધી બાબતોનો હું ઊંડો વિચાર કરી રહ્યો છું. બધી વાતોના સરવાળા - બાદબાકી છેલ્લા એક મહિનાથી મારા મનમાં સતત ચાલુ છે. તે પણ તારી બાને ખબર ન પડવા દેતાં, સમજી? હવે મળવા - ફરવાનું બંધ કરો.”
“હું…હું કેમ.. એને ક્યાં મળું છું…” થોથરાતા અવાજમાં ચંદ્રાવતી કહેવાનો પ્રયત્ન કરવા ગઈ.
“મળો છો! રોજ પરોઢિયે મળો છો. અને ક્યાં, તે કહું?” દીકરી તરફ સ્થિર નજરે જોતાં ડૉક્ટરસાહેબે તેને તતડાવી કાઢી.
ચંદ્રાવતીના પગ તળેથી જમીન કાંપવા લાગી. તેનું ગળું સુકાઈ ગયું.
“બોલ તો?”
“એક જ વાર ફરીથી મળી હતી. ગણેશબાવડી પર. સાંજે…મને તો કલ્પના પણ નહોતી…”
“એ..મ! જો ચંદા, આ બધું એકદમ બંધ થવું જ જોઈએ. સમજી?”
“પણ સરુમાસીની ઈંદુએ -” જમીન પર નજર ટીકાવી, અચકાતાં અચકાતાં ચંદ્રાવતી કહેવા ગઈ.
“એ બધું મુંબઈમાં. અહીં નહિ.”
“લોકો શું કહેશે તેની ચિંતા થાય છે?” ચંદ્રાવતીએ હિંમત એકઠી કરીને પૂછ્યું.
“મને ચિંતા છે મારી નોકરીની, મારા પરિવારની. લોકો, તારા કાકા, મામા - એમની ફિકર ત્યાર પછી.
ચંદ્રાવતીની આંખો ભરાઈ આવી.
“વિશ્વાસના બાપુજીની કીર્તિ ચારે કોર ગાજી રહી છે, તેની ખબર છે તને?” ડૉક્ટરસાહેબે સીધો સવાલ કર્યો.
“હેં!!”
“ગામડામાં ખુલ્લંખુલ્લા બે બાઈઓ ઘરમાં ઘાલી છે. વિશ્વાસનાં માસાહેબ - ગજરાબાઈ બિચારાં ગરીબડી ગાય જેવાં છે. તેમની આસપાસ ખાસે સાહેબે પોતાનાં સગાંવહાલાંઓની મજબૂત દીવાલ ખડી કરી નાખી છે. તેઓ કંઈ કહી કે કરી શકતા નથી અને  ઉધામો મચાવવા વિશ્વાસના પિતાજી છુટ્ટા! એમને જોઈએ બાઈ અને બાટલી. આવા માહોલમાં મારી દીકરી કેવી રીતે અપાય?” જમવાનું બંધ કરી ડૉક્ટરસાહેબ બોલ્યા.
“પણ વિશ્વાસ એવો નથી,” મન મજબૂત કરી ચંદ્રાવતી બોલી.
“આજે તે એવો નથી, પણ લોહી પોતાનાં ગુણધર્મ છોડતું નથી, ચંદા. મારી નોકરીનું રહેવા દે, પણ તારી બાનો જરા વિચાર કર. તારા ભવિષ્યનો વિચાર કર. તારા જેવી છોકરી વિશ્વાસની પત્ની થાય તો રાવરાજાની નજર તારા પર પડ્યા વગર રહેશે ખરી? કમ્પૅનિયન એટલે  હર કામનો નોકર. રાજાની સામે થૂંકદાની - પિકદાની ધરવાનું કામ કરનારો ચાકર. બહાર ભલે તેનો રુવાબ - રુતબો દેખાતો હોય.”
ખુરશીની પીઠ પકડીને પૂતળાની જેમ ઊભેલી ચંદ્રાવતીને ડૉક્ટરસાહેબ ઉદાસ નજરે જોઈ રહ્યા હતા. ચંદ્રાવતી ગરદન ઝુકાવીને થરથર કાંપતી હતી. તેની આંખોમાંથી ચોધાર અશ્રુ વહી રહ્યા હતા. ભોજન અર્ધું મૂકી ડૉક્ટરસાહેબ ઊઠીને શયનગૃહ તરફ ગયા. તેમણે દવાની બે ટિકડીઓ પાણીના ઘૂંટડા સાથે ગળી અને પલંગ પર આડા પડ્યા.
ડાઈનિંગ-ટેબલ જેમ તેમ સાફ કરી ચંદ્રાવતી તેની રુમમાં ગઈ અને મોકળા મને આંસુ સારતી રહી. ‘બાબાએ આજ દિવસ સુધી મને ફૂલની જેમ સાચવી અને આજે તેમણે પોતે જ મને પગ તળે છુંદી નાખી? પ્રેમનું પરિણામ આવું જ આવતું હોય તો તેમાં આગળ શી રીતે વધી શકાય? પ્રેમ જાત-પાતમાં માનતો નથી, આ સાદી વાત બાબાની સમજમાં કેમ આવતી નથી? ઘરમાં રખાત બેસાડવાનું ચલાવી લેવાય છે. બીજા લોકોની સ્ત્રીઓ અને દીકરીઓને ભગાડીને લઈ જવાનું ગંદુ કામ ચલાવી લેવાય છે, પણ કોઈ સાચા હૃદયથી પ્રેમ કરે તે માત્ર ચલાવી લેવામાં આવતું નથી. તેને ‘ચાળા’ કહેવાય છે! મને લાગતું હતું કે બાબા મને સમજી શકશે. કહેતા’તા, આ બધું બંધ થવું જ જોઈએ! 
‘શા માટે બંધ થવું જોઈએ? આ બંધ નહિ જ થાય. હૃદયમાંથી નીકળતા પ્રેમના ઝરણા પર બંધ બાંધવાથી તે કંઈ રોકાતું હશે? તમારા બંગલામાંથી હું ખુલ્લંખુલ્લા નીકળી જઈશ અને પવાર ખાનદાનની હવેલીમાં તેમની પુત્રવધૂ તરીકે ગૌરવથી પ્રવેશ કરીશ. ફરી કદી તમારા બંગલામાં પગ પણ નહિ મૂકું. મનાવવા આવશો, પગે પડશો તો પણ તમારી તરફ નહિ જોઉં. તમારો બંગલો તમને મુબારક!
‘પણ આ બધું મેં બાબાને ચોખ્ખું કેમ ન સંભળાવ્યું? હું કેમ અચકાઈ ગઈ? શા માટે હું ગભરાઈ ગઈ અને મૂંગીમંતર થઈને ઊભી રહી ગઈ?’
આ વિચારવમળમાં ચંદ્રાવતી બારી પાસે ઉભી રહીને મુક્ત મને આંસું સારતી રહી.
‘હમણાં ને હમણાં પહેરેલી સાડીએ વિશ્વાસ સાથે બંગલામાંથી નીકળી જાત, પણ તે અહીં નથી.’
વિચારોનાં વા-વંટોળમાં ચંદ્રાવતી ઊંડી ઊતરતી ગઈ. થોડી વારે બહાર નજર કરી તો
દૂર મહેલની અગાસી પરના હવામહેલની જાળીમાંથી વીજળીના દીવાઓનાં ઝુમ્મર ઝગઝગવા લાગ્યા હતા.
***

મહેલમાંથી આવતી બગ્ગીનો અવાજ સાંભળી ચંદ્રાવતી ઝડપથી રસોડામાં ગઈ. ચોકડીમાં જઈ ચહેરા પર પાણીની છાલક મારી અને મોઢું સ્વચ્છ લૂછી ડાઈનિંગ-રુમમાં ગઈ. 
“રાણી સરકાર પૂછતાં હતાં કે દીકરીને કેમ ન લાવ્યા?” ઘરમાં પ્રવેશ કરતાં જાનકીબાઈ બોલ્યાં.
“પછી? તેં શું કહ્યું?” 
“મેં ક્હયું, અાજકાલની છોકરીઓને ભજન-કીર્તન થોડાં ગમતા હશે? આપણને બોલતાં પણ સંકોચ થાય એવાં એવાં ગીતો ગાવાનું તેમને કહો!” દીકરી તરફ જોઈને મજાકભર્યા સ્મિતથી કહ્યું. “અલી, પણ તારી આંખો કેમ લાલ થઈ છે?”

“મારું માથું દુ:ખી રહ્યું હતું. જમ્યા પછી પથારીમાં આડી પડી અને આંખ લાગી ગઈ. બગ્ગીનો અવાજ સાંભળીને જાગી ગઈ તેથી આંખ લાલ થઈ હશે.

Saturday, January 16, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૦

બીજા દિવસે સાંજના છ - સાડા છના સુમારે રાવરાજાની સફેદ મોટર હૉસ્પિટલની પોર્ચમાં ઊભી રહી. દવાખાનાના નોકરવર્ગમાં ખળભળાટ થઈ ગયો. આજુબાજુના લોકોનાં “જૈ રામજીકી” અને “અસ્સલામુ આલેયકૂમ” હસતે મોઢે સ્વીકારતો વિશ્વાસ ડૉક્ટરસાહેબની ચેમ્બર પાસે ગયો. અંદર ડૉક્ટરસાહેબ એક પેશન્ટ સાથે વાત કરી રહ્યા હતા. તેમની વાત પૂરી થતાં સુધી વિશ્વાસ બહાર ઊભો રહ્યો. દર્દી બહાર નીકળતાં તે અંદર ગયો અને ડૉક્ટરસાહેબને નમસ્કાર કર્યા. તેને અચાનક આવેલો જોઈ ડૉક્ટરસાહેબ નવાઈ પામ્યા. તેમણે ખડા થઈ વિશ્વાસને આવકાર આપ્યો.
“પધારો વિશ્વાસરાવ, બેસો. આ તરફ આવવાનું કેમ થયું? ખેરિયત છે ને? કોઈ નવાજુની?”
“બધું ઠીકઠાક છે,” ખુરશી પર બેસતાં વિશ્વાસે કહ્યું.
“રાવરાજાના પગે હવે કેમ છે?”
“હજી દુ:ખે છે.”
“અમે તેમને ઘોડેસ્વારી કરવાની અને ટેનિસ રમવાની મનાઈ કરી છે, પણ તેઓ સાંભળતા જ નથી.”
કેટલોક સમય આવી સામાન્ય વાતો ચાલતી રહી અને અંતે કોઈ વિષય ન રહેતાં થોડો સમય શાંતિ વ્યાપી રહી. થોડી વારે ડૉક્ટરસાહેબની આંખ સાથે આંખ મિલાવીને વિશ્વાસ બોલ્યો, “ડૉક્ટરસાહેબ, આજે આપની સાથે એક મહત્વની વાત કરવી છે. અમે આપની દીકરીનો હાથ માગવા આવ્યા છીએ.”
ડૉક્ટરસાહેબ ચોંકી ગયા. તેમણે કહ્યું, “એટલે? શું તમે મારી દીકરીનું માગું લઈને આવ્યા છો?”
“જી.”
“ચંદા આ વિશે જાણે છે?”
“એમની સલાહ મુજબ જ અમે આપની સાથે વાત કરવા આવ્યા છીએ,” વિશ્વાસ એક શ્વાસમાં બોલી ગયો.
કમરામાં ફરી એક વાર દીર્ઘ  શાંતિ ફેલાઈ ગઈ.
“તમારી માગણી હું પૂરી નહિ કરી શકું, વિશ્વાસરાવ,” ડૉક્ટરસાહેબે મક્કમ સ્વરે કહ્યું.
“કેમ?”
“ચંદાનાં બા આ સંબંધથી ખુશ નહિ થાય.”
“કેમ?”
“તેઓ જુની ઘરેડનાં છે અને જાતપાતમાં માને છે.”
“આપ તેમને સમજાવી શકશો.”
“મુશ્કેલ છે.”
“કેમ? અમારામાં કોઈ ખોટ કે ઊનપ છે?”
“વિશ્વાસરાવ, આમાં ખોટ કે ઊણપનો પ્રશ્ન નથી. આપનાં ખોરડાં ઘણાં ઊંચા છે. આપની જાયદાદ, હવેલીઓ, સાંતી-બંધ જમીનો -  ચંદાનાં બા બધું જાણે છે. આજે તમે રાવરાજાના કમ્પૅનિયન છો. કાલે એ.ડી.સી. થશો અને આગળ જતાં રાજ્યના દીવાન પણ થશો. તમે યુવાન છો અને અત્યંત હોનહાર છો. પરમાત્માએ તમને મર્દાનગી અને ખુબસુરતી બક્ષી છે. આ બધું હોવા છતાં ચંદાની બાને મનાવવાં મુશ્કેલ છે. દીકરીને પરજ્ઞાતિમાં કોઈ પણ સંજોગોમાં નહિ પરણવા દે. ત્રાગાં કરશે. કદાચ પોતાની જિંદગીનું ભલું - બૂરું પણ કરી બેસશે. હું તે નહિ સહી શકું. વર્ષો પહેલાં અમારી પૈતૃક હવેલીમાંથી હું અને ચંદાની બા પહેરેલે કપડે નીકળી પડ્યા હતા તે કેવળ તેમની હિંમત અને બળના સહારે. તેમના સિવાય મારું ઘર કદાપિ ટકી નહિ શકે.”
“અમે ચંદાનાં માસાહેબને મળીએ કે? અમે તેમને સમજાવીશું.”
“ના. હાલ તેમને આ વાતની ખબર પણ પડવી ન જોઈએ.”
“તો પછી રાનીમાને કહું તેમને બોલાવીને સમજાવવા?”
“રાણીસરકારને આ વાતની જાણ છે?”
“રાવરાજાએ તેમને આ વાતથી વાકેફ કર્યા છે.”
“જવાબમાં તેમણે શું કહ્યું?”
“સાંભળ્યું છે, તેમણે ફક્ત આછું સ્મિત કર્યું.”
“એ જ તો!”
“પન રાવરાજા અમને પૂરી રીતે મદદ કરવાના છે.”
“રાવરાજાને આ બાબતમાં શી ખબર પડે? તમે બડે સરકારનો વિચાર કર્યો?”
“એમનો આ વાત સાથે શો સંબંધ?”
“એમનો જ તો આમાં સંબંધ આવે છે! સરકારને તેમના ઉમરાવના પુત્રનાે મિશ્ર વિવાહ કદી પણ પસંદ નહિ પડે. મારી નોકરી જશે, એટલું જ નહિ, પણ સારંગપુરમાં રહેવાનું પણ અમને ભારે થઈ પડશે. આ પાકટ ઊમરમાં હું ક્યાં જઊં? મુંબઈમાં મારો નિભાવ ન થાય. તમારા પિતાજીને પણ આનો ભારે આઘાત લાગશે એ ભુલતા નહિ. બડે સરકાર નારાજ થાય તો તમારી જાગિર, ખેતર અને વાડીઓ - બધું ખાલસા કરશે. દેશી રજવાડામાં હમ કહે સો કાયદા એવું છે. તમારા પિતાજીને ઘેર ગાડાં ભરી ભરીને સગાવહાલાંઓ આવતા રહ્યા છે અને તેમણે તેમને સૌને આખી જિંદગી પોષ્યા છે. હવે ગામમાંના થોડાં ખેતર સિવાય ખાસેસાહેબ - તમારા પિતાજી પાસે શું બચ્યું છે?  આ બધું જતું રહે તો તેઓ કેવી રીતે તમારા સગાંઓને પોષી શકશે?”
“પન મોટા સરકારે પોતે…”
“બડે સરકારે તો અનેક ધંધા કર્યા ; અને હજી તે ચાલુ જ છે. રાજ્યમાં યુવાન છોકરીઓ ઘર બહાર નીકળી શકતી નહોતી. આખું રાજ્ય જાણે છે. પણ સરકારે પોતે લગ્ન તો જાતમાં જ કર્યા ને! છન્નું કૂળના રાજસી ખૂનમાં કહેવાતા 'ઉતરતા' લોહીની ભેળ સેળ ન થવી જોઈએ, એટલા માટે જ તો!”
“પન આ લગ્ન તો અમે અમારી અંગત જવાબદારી પર કરી રહ્યા છીએ. તેમાં આપને, અમારા પિતાજીને કે બડે સરકારને શી લેવા દેવા?
“વિશ્વાસરાવ, આ તો તમારી માન્યતા છે. અહીં, આ રિયાસતમાં પિતાનો માન મરતબો પણ સરકારના ચોપડે નોંધાતો હોય છે અને તેમની મરજીથી ચાલુ રહે છે અથવા ડૂબી જાય છે.”
“આપની રજા લઈશ.”
“તમને દુ:ખ પહોંચાડતાં મને ભારે દુ:ખ થાય છે. સંજોગો સામે આપણે ગરદન ઝુકાવવી જ પડે છે. આવજો.”
“સંજોગોથી ડરીએ તો તે વાઘ થઈને ભરખી જ જાય…” બબડતો વિશ્વાસ ડૉક્ટરસાહેબની ચેમ્બરમાંથી ધસમસતો બહાર નીકળી ગયો.

ડૉક્ટરસાહેબ લાંબા સમય સુધી આઘાતપૂર્ણ સ્થિતિમાં ખુરશી પર બેસી રહ્યા.

Friday, January 15, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૯

સાંજ થવા આવી હતી. આકાશમાં મેઘ ભરાઈ આવ્યા હતા. ડુંગરાઓ, વૃક્ષોની ટોચ અને ધરતી પરની હરિયાળી પર સૂર્યનાં ફિક્કા કેસરી રંગના તડકા પર વાદળાંઓની છાયા તરી રહી હતી. ચંદ્રાવતીનું મનોમંથન શરુ થઈ ગયું.
‘બાબા હા કહેશે કે ના? અને હું પણ કેવી ઘેલી થઈ ગઈ? પ્રથમ દૃષ્ટિએ વિશ્વાસના પ્રેમમાં પડી અને બે - ચાર મુલાકાતમાં જ તેની સાથે લગ્ન કરવા નીકળી પડી? મારે તેને ફરી કેટલીક વાર મળવું જોઈએ, એકબીજાને સરખી રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ. પણ સારંગપુરમાં આ કેવી રીતે શક્ય થાય? બંગલાનું પણ વાતાવરણ જુઓ! અહીંના બંધિયાર, ગુંગળામણ ભર્યા પર્યાવરણથી હું તો કંટાળી ગઈ છું. બાનો સતત ચોકી પહેરો અને તેના સખત બંધનોથી મારો જીવ ઊબી ગયો છે.
‘આમ અચાનક વિશ્વાસ સાથે ભાગી જઈશ તો તેનો ઝટકો બા જીરવી શકશે?
‘બાબા અને બાને મૂકીને દૂર ઈંગ્લંડમાં હું રહી શકીશ?
‘મૅટ્રિકની પરીક્ષાઓ પૂરી થતાં જ બા મને મુંબઈ લઈ જવાની હતી અને મૂરતિયાઓની કતાર ખડી કરવાનું મોહનમામાને કહ્યું હતું. પરીક્ષા પહેલાં જ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને મુંબઈમાં બૉમ્બ ફૂટ્યા. આ જાણે ઓછું હોય, ત્યાં હિંદુ - મુસલમાન વચ્ચે હુલ્લડ, આગ ચાંપવાના બનાવ અને ‘અંગ્રેજો, ભારત છોડો’ના હંગામા શરુ થઈ ગયા હતા તેથી આજનું મરણ કાલ પર ટળ્યું હતું. આમ જોવા જઈએ તો આ પરિસ્થિતિમાં ફાંસીની સજા રદ થઈ હતી. તેના સ્થાને કન્યા - પ્રદર્શનની સજા મારા પર ઠોકી બેસાડવામાં આવી અને તે ભોગવવાનું બાકી રહ્યું છે! લોકો આવશે, મને જોશે અને કન્યા પસંદ કે નાપસંદ, તેનો નિર્ણય લેવાશે.’
‘બે વર્ષ પહેલાં મોટા મામાની દીકરી સુશીના લગ્નમાં મામીનો દૂરનો સગો આવ્યો હતો. ઈંગ્લંડથી તાજો જ બૅરિસ્ટર કે એવી જ કોઈ પરીક્ષા પાસ કરીને આવ્યો હતો. દેખાવડો, રુવાબદાર અને ફટાફટ અંગ્રેજી બોલનારો આ યુવાન મામા પાસે ઉભો હતો. સિમંતપૂજન વખતે અમે બધી છોકરીઓ બની ઠનીને પૂજા માટે જતી હતી ત્યારે અમારા આ ગોરા ગોરા મામાએ તેમની મોટી ફાંદ પર પીતાંબરની ગાંઠ સંભાળતાં સંભાળતાં અમારી તરફ પ્રેમથી જોઈને બાને કહ્યું હતું કે સુશીનાં લગ્ન પતી જવા દો, પછી આ બધી છોકરીઓની લાઈન આપણા આ શાંતારામની સામે ખડી કરી દઈશ અને કહીશ, આમાંથી જે પસંદ પડે તેને લગ્ન કરીને લઈ જા!
‘અને મેં તો ફટ્ દઈને કહી નાખ્યું હતું કે હું નહિ ઊભી રહું…અને મામા..એવા તો ગુસ્સે થયા હતા! બોલ્યા, “કેમ, અલી ચંદા, તું પોતાને શું સમજે છે? ઝાંસીની રાણી? માબાપનાં  આટલાં બધાં લાડ કે છોકરાં નફ્ફટ થઈ જાય?” કહી બા તરફ અગ્નિભર્યા કટાક્ષથી જોઈ તેઓ જોરથી બરાડ્યા હતા. બા તો એવી ગભરાઈ ગઈ હતી કે કશું બોલી ન શકી, પણ મારી સામે જોઈ નજરથી જ મને દબડાવવા લાગી હતી!
‘પોતાનું પ્રદર્શન કરાવી લેવાના આવા અપમાનજનક સમારંભમાં એક તો હાજર થવાનું અને ઊપરથી મોટો દાયજો આપી લગ્ન કરાવવા કરતાં કુંવારા રહેવું શું ખોટું? આ વિચાર તો મને હવે સૂઝી રહ્યા છે. પસંદગી માટે મૂરતિયાઓ પાસે મોકલવા માટે નવ ગજના સાડલામાં, ઘરેણાંમાં મઢાયેલી સુશીનાં પાડવામાં આવેલા ફોટા જોઈ એવું થયું હતું કે આપણે સુશીની ઉમરનાં હોત તો આપણા પણ આવા જ ફોટા પડાવ્યા હોત અને ઠેકઠેકાણે મોકલવામાં આવ્યા હોત! તે વખતના આપણા વિચાર કેવા હતા અને અત્યારે કેવા છે! પુસ્તકો વાંચ્યા, નવી વિચારધારાઓની અસર થઈ અને મન કેવી રીતે બદલાતું ગયું તેનો ખ્યાલ પણ ન રહ્યો! મારી પોતાની વાત કરું તો હવે હું કદી મારું આ જાતનું પ્રદર્શન નહિ કરાવું. 
‘મોટામામાની લાડકી ભાણી તરીકે તેઓ હંમેશા કહેતા કે ચંદાના લગ્નમાં મોંઘું પટોળું અષ્ટપુત્રી (મામા તરફથી કન્યાને લગ્નમાં પહેરવા અપાતી કિમતી સાડી) તરીકે શુકનમાં આપીશ એવું પ્રેમથી વારંવાર કહેનારા મામાને વિશ્વાસ સાથેના થનારા મારાં લગ્નથી કેવું લાગશે? પરજાતિમાં અને તે પણ ભાગી જઈને?
‘લોકોને જે લાગવું હોય તે લાગે, પણ અમારો જીવનસાથી પસંદ કરવાનું સ્વાતંત્ર્ય અમને હોવું જોઈએ કે નહિ?
‘ઈંદોરના મોટા કાકા અને શાંતાફોઈ હાહાકાર કરશે એ જુદું. જો કે કાકા અને બાબા વચ્ચે બહુ બોલવા કરવાનો સંબંધ નથી, તેથી તેમની ચિંતા કરવા જેવું નથી.
‘પણ…વિશ્વાસ સાથે સંસાર કરવાનું કામ લાગે છે એટલું સહેલું હશે કે? અહીં સારંગપુરમાં તેનું પોતાનું હક્કનું ઘર છે, તે છોડી તેની માસીને ઘેર કોલ્હાપુરમાં જઈને રહેવું કેટલું યોગ્ય છે? અને હરિયાલી તીજ તો સાવ નજીક આવી છે…
‘વિશ્વાસના ઘરના રીતરિવાજ, એ લોકોનું વર્તન, એમની બોલવાની રીત, અમારો પોતાનો અપવાસ - વ્રત પાળવાનો શિરસ્તો, દર ગુરુવાર અને સોમવારના અપવાસ -  આ બધાનો મેળ એમના ઘરમાં કેવી રીતે પડશે? અને વિશ્વાસનો અહંકાર, તેનું જોહુકમીપણું,  પોતાના કૂળ વિશેનું અભિમાન -  આ બધી વાતોનું સમતોલન કેવી રીતે જળવાશે?
‘બ..ધ્ધું વ્યવસ્થિત રીતે જળવાઈ જશે! વિશ્વાસના સ્વભાવની તીવ્રતા મારા સહવાસથી એની મેળે જ મૃદુલ થઈ જશે! કંઈ નહિ તો પ્રયત્ન તો જરુર કરીશ. પ્રેમના મજબૂત પાયા પર ઊભો થતો આપણો સંસાર સુંદર, આકર્ષક અને એકબીજાના વ્યક્તિવિકાસને પોષક જ નીવડશે…
‘વિશ્વાસની વિચારસરણી થોડી સમતોલ હોત તો કામ સરળ થઈ જાત. તેનો સ્વભાવ આટલો ઉતાવળિયો નહોતો હોવો જોઈતો. અહંકાર પણ થોડો સમતોલ હોવો જોઈતો હતો. તેની ભાષા અને ઉચ્ચાર…
‘એના ઉચ્ચાર સુધારવા જતાં મારા જ ઉચ્ચાર ન બગડે તો સારું!’ 

વિચારોના આ વમળોમાં ફસાયેલી ચંદ્રાવતીની આંખો પર નિદ્રાનું ઘેન ચઢવા લાગ્યું. બડેબાબુજીના આંગણામાં ગવાતી તુલસીકૃત રામાયણની ચોપાઈઓનાં સૂર હવાની લહેર પર સવાર થઈને આવી તેના કમરામાં વેરાઈ રહ્યા હતા.

Wednesday, January 13, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૮


ચાર દિવસમાં જ મૅટ્રિકની પરીક્ષાઓ પતી ગઈ. શાળામાં વિદ્યાર્થિનીઓને ‘સેન્ડ અૉફ’ અપાયો. હેડમિસ્ટ્રેસ મિસ જોહરી તથા શાળાની અન્ય શિક્ષીકાઓએ તેમના ઘરમાં ટી પાર્ટી રાખી. આજે મંજુલા શિર્કેની હવેલીમાં બધી છોકરીઓને મિજબાનીનું નિમંત્રણ હતું. નોકર - ચાકર દોડાદોડી કરી રહ્યા હતા. હૉલમાંના મસ મોટા ટેબલ પર જાળીદાર ચાદર બિછાવવામાં આવી હતી અને તેના પર ચાંદીના થાળ - કટોરા ગોઠવવામાં આવ્યા હતા.
રસોડામાંથી હૉલમાં અને હૉલમાંથી રસોડામાં દોડ ધામ કરી રહેલા નોકરો પર મંજુલાનાં સાવકાં મા સાહેબ એક પછી એક હુકમ છોડ્યે જતા હતાં. લાલ મરચાંના તેલિયા વઘારથી તરબતર બે પ્રકારનાં મટન, પુલાવ,  પૅટિસ અને બે પ્રકારનાં મિષ્ટાન્ન પીરસવામાં આવ્યા હતા. 
જરીનો સાળુ અને ઘરેણાંથી લદાયેલાં મંજુલાના મા સાહેબ માથા પર પાલવ સરખો કરતાં હૉલમાં આવીને નરમ ગાદીની ખુરશી પર આવીને બેઠાં. બધી છોકરીઓએ ઊભા થઈને તેમને નમસ્તે કર્યા. 
“પેટ ભરીને જમજો, બાયું. આજે સાવ સાદું જમન બનાયું છે. અમારો ખાનસામો છુટ્ટી પર ગયો છે. એના દીકરાના લગન કાઢ્યાં છે એણે. બૌ તકલીફ થઈ અમને, નહિ તો સરદાર શિર્કેના ઘરનું જમન એટલે ચાર - છો જાતના મટન તો જોઈએ જ. આ પે’લાં અમે કેસર ઘોળીને પુલાવ બનાવતાં અને ઘોળ્યા પછી કેસરનો કૂચો કચરામાં ફેંકી દેતા. તમે પરભૂ લોકો માછલીમાં આમલી ઘોળીને નાખ્યા પછી કૂચો ફેંકી દ્યો સો ને? ઈમ,” કહી તેમણે ચંદ્રાવતી તરફ તુચ્છતાભર્યો કટાક્ષ કર્યો.
“પે’લાં ટાઢી રોટલિયું કૂતરાંઓને ખવડાવતાં. હવે મોંઘાઈ વધી ગઈ એટલે નોકરોને ખવડાવવી પડે સે.”
વિષયાંતર કરવા ચંદ્રાવતીએ કહ્યું, “મા સાહેબ, આપે કેટલી બધી વાનગીઓ બનાવડાવી છે! આ બધું કેવી રીતે ખતમ કરીશું?”
“આરામથી પેટ ભરીને જમજો. બધું પૂરું કરવાનું સે. ચંદા, અમે હાંભળ્યું સે કે ભનવામાં તમે બૌ હુશિયાર સો. મંજુલારાજે હંમેશા તમારી તારીફ કરતા હોય સે. પન હું કઉં સૂં, બાયુંની જાતને આટલી હુશિયારી શા કામની? હેં? આટલી બધી પઢાઈ કર્યા પછી પણ અંતે તો તે રસોઈમાં અને ચૂલો ફૂંકવામાં જ જાવાની, હાચૂં ને?”
ચંદ્રાવતીનો સંતાપ તેની આંખમાંથી તણખાની જેમ ઝરવા લાગ્યો. મંજુલાએ તેને શાંત રહેવા આંખોથી ઈશારો કર્યો. જમ્યા પછી તેના કમરામાં જઈ તેણે ચંદ્રાવતીના કાનમાં કહ્યું, “મા પર ગુસ્સો ના કરીશ, ચંદા. આજકાલ કોને શું કહેવું અને શું ન કહેવું એનું તેને ભાન નથી રહેતું. ગરીબ ઘરમાંથી આવી છે અને આખો જન્મારો તેણે તનતોડ મહેનત કરી છે. હું એક વર્ષની હતી ત્યારે મારી મા ગુજરી ગઈ અને પિતાજી તેમની સાથે લગ્ન કરી ઘેર લઈ આવ્યા. ત્યારથી તેમણે જ મને સંભાળી છે.”
“હશે. આવું તો ચાલ્યા જ કરે. આવી વાતો પર આપણે ધ્યાન ન આપવું જોઈએ. અને આપણું ભણતર બેકાર કેવી રીતે જાય? મિસ જોહરીનો જ દાખલો જુઓ ને!” 
મિસ જોહરીનો ઉલ્લેખ થતાં કેટલીક છોકરીઓ હસવા લાગી. 
“કેમ વળી? હું કાંઈ ગલત બોલી ગઈ?” ચંદ્રાવતીએ પૂછ્યું.
“અલી, તું આટલી હોંશિયાર અને હંમેશા પહેલો નંબર લાવનારી! તું વરી ગલત વાત કેવી રીતે કરીશ?”
“એટલેે?”
“તેં મિસ જોહરીનાં લફરાંની વાત નથી સાંભળી?”
“આવી વાતો પર મારો વિશ્વાસ નથી હોતો.”
ખડખડાટ હસીને અંજિરા બોલી, “વિશ્વાસ તો તારો જ! તે વળી બીજી કોઈને કેવી રીતે હોય?”
ફરી એક વાર છોકરીઓમાં હાસ્યની છોળ ઊડી.
“એટલે?” ડઘાઈ ગયેલી ચંદ્રાવતીએ સવાલ પૂછ્યો.
“એટલે…કેટલે...દીવો બળે એટલે, વાઘના પંજા ને કૂતરાનાં કાન, ચંદાના શુભ લગ્ન સા…વ…ધાન! - તે પણ વિશ્વાસ પવાર સાથે!” હસતાં હસતાં અંજિરા બોલી.
મંજુલા તટસ્થ રહીને બોલ્યા વગર બેસી રહી.
“પરીક્ષાના પહેલા દિવસે તે વરંડામાં ઉભો રહીને તાકી તાકીને તારી તરફ જોઈ રહ્યો હતો અને તું શરમાઈને લાલ લાલ થઈ ગઈ હતી. મ’કું, મારું ધ્યાન હતું, હોં કે!” અંજિરાએ ચંદ્રાવતીને ફરીથી છેડી. ચંદ્રાવતી ઊઠીને બીજા કમરામાં જતી રહી.
“મેં તો આવું કશું જોયું નહિ,” શીલાએ કહ્યું. “વિશ્વાસનું મૅટ્રિકનું સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે તેથી તે ડુપ્લિકેટ કઢાવવા પ્રિન્સીપલની અૉફિસમાં જતો હતો. આપણા તરફ નજર કરી એનો અર્થ…”
“તું બી ખરી છે, શીલા. ચંદા તારી જાતવાળી એટલે એની બાજુ તું નહિ તો બીજું કોણ લેશે?” અંજિરાએ કહ્યું.
થોડી વારે રમત ગમત શરુ થઈ. પત્તાં રમાયાં, ચા-પાણી થયાં અને ચંદ્રાવતીએ મંજુલાની રજા લીધી. શીલાને ઘોડાગાડીમાં બેસાડી ચંદ્રાવતી તેને તેના ઘેર છોડવા ગઈ. 
“આજની પાર્ટી શા માટે હતી, ખબર છે તને?” શીલાએ પૂછ્યું. “મંજુલાનાં લગ્ન નક્કી થયાં છે. તેનો વર સાવંતવાડીના રાજપરિવારમાંથી આવે છે. તેની અટક થોરાત છે અને મિલિટરીમાં અફસર છે.”
"તને કેવી રીતે ખબર પડી?"
"ભૈ, અમે ગામમાં રહીએ છીએ. અહિંયા તો પાંદડું હલે તો તેની પણ ખબર સૌને પડી જતી હોય છે."
વાતવાતમાં ઘોડાગાડી શીલાને ઘેર પહોંચી.
“અંદર આવ ને? આ બપોરના તડકામાં ઘેર જઈને શું કરીશ? ઉપર આરામથી પડ્યાં પડ્યાં વાતો કરીશું.” શીલાએ ચંદ્રાવતીને કહ્યું. ચંદ્રાવતી તેની સાથે ઉતરી અને શીલાના કમરામાં ગઈ.
“તે દિવસે પરીક્ષાના હૉલમાં ન આવવા માટે વિશ્વાસને સંદેશ આપવાનું કહ્યું હતું તે તું ભુલી ગઈ?” ચંદ્રાવતીએ પૂછ્યું.
“મેં તો તેને ભારપૂર્વક મના કરી હતી. તે આવી પહોંચે તેમાં હું શું કરું?”
થોડી વારે શીલાનાં બા દાદરો ચઢી છોકરીઓ માટે શરબતના ગ્લાસ લઈ આવ્યાં.
તેઓ નીચે જતાં જ શીલાએ કહ્યું, “વિશ્વાસ સાથે તારું લફરું શરુ થયું ત્યારથી વિશ્વાસ કંઈ ને કંઈ બહાનું કાઢી અમારે ઘેર આવતો હોય છે અને તારા માટે સંદેશો મૂકતો જાય છે. આજે પણ આવવાનો છે. નકરી માથાકૂટ ખડી કરી છે તમે બન્નેએ મળીને!” ચંદાને મીઠી ચૂંટી ખણી શિલા બોલી.
“બાપ રે, બાપ! આજે તે અહીં આવવાનો છે? હું તો ભૈ આ ચાલી…” ચંદા ઊભી થવા જાય ત્યાં નીચે બારણાંની સાંકળ ખખડાઈ. શીલા દોડતી દાદરો ઉતરી ગઈ. દરવાજો ખોલ્યો તો બારણાંની ચોખટમાં વિશ્વાસ ઉભો હતો.
“કોણ આવ્યું છે?” અંધારિયા રસોડામાંથી શીલાનાં બાએ પૂછ્યું.
“કાકી, એ તો હું છું, વિશ્વાસ. રાનીમાએ ખાસ મોકલ્યો છે. માસ્તરસાહેબે પૂજાઘરની ડિઝાઈન પૂરી કરી છે કે નહિ તે જોવા માટે.”
“તમે જરા ઉપર જઈને માસ્તરસાહેબના કમરામાં બેસો. તેઓ બહાર ગયા છે.આવતા જ હશે.”
વિશ્વાસ દાદરો ચઢી ઉપર ગયો. શીલાના કમરામાં ડોકિયું કરીને જોયું તો ચંદ્રાવતી બારીમાંથી લિમડાનાં ઝાડ તરફ એક ટસે જોઈ રહી હતી.
“આજે હવા કંઈ વધાર ગરમ થઈ હોય તેવું લાગે છે, કે…મ શીલાબેન? માનસ માનસને ઓળખતા બી નથી!” વિશ્વાસ મશ્કરીમાં બોલ્યો.
“હવા ગરમ છે કે ઠંડી એ તમે તમારું જોઈ લો. ત્યાં સુધીમાં હું તમારા માટે ચ્હા લઈ આવું છું. જે કંઈ કરવું છે તે ઝટપટ પતાવો. બાબા અર્ધા કલાકમાં પાછા આવવાના છે,” કહી શીલા નીચે ગઈ.
“એ, જી, કહું છું, અમે આવ્યા છીએ. જરા’ક ગરદન ઊંચી કરશો કે નહિ?” ચંદ્રાવતીની નજીક જઈ વિશ્વાસ બોલ્યો.
“પરીક્ષાના હૉલમાં કોઈ લાડવો દાટ્યો હતો તે ત્યાં પહોંચી ગયા?” વિશ્વાસ તરફ જોયા વગર જ ચંદ્રાવતી બોલી.
“અમારી ખુશી, અમે આવી ગયા. હૉલ કોઈની જાગિર થોડી છે?”
“બધી છોકરીઓને ખબર પડી ગઈ. છટ્, તમારે આવું નહોતું કરવું જોઈતું. પેલી અંજિરા તો કાંઈનું કાંઈ બબડતી હતી.”
“એ તો બબડે જ ને! તેનો બાપ અમારા પિતાજી પાસે ધક્કા ખાઈ રહ્યાે છે. કહે છે, અમારી અંજિરાનો પુત્રવધુ તરીકે સ્વીકાર કરો!”
“વાહ, ભાઈ વાહ! અંજિરાના પિતા એટલે ‘અંજિરાનો બાપ’ અને તમારા એટલે ‘અમારા પિતાજી’!”
“માગું લઈ આવનાર કન્યાના બાપને છોકરીનો બાપ જ કહેવાય…” 
“એમ કે?”
“ના, ના, એવું નથી! આપના પિતાજીની વાત જુદી. એમની દીકરીનો હાથ તો અમે ઘૂટન ટેકાવીને માગીશું. મરદ છીએ તેથી પાલવ નથી પહેરતાં અમે, પન જો તે પહેરવેશ હોત તો તે પન તેમનાં ચરનોમાં પાથરી દેવામાં અમને હરકત નથી. એ જવા દો. મંજુલાના ઘરનું જમન કેવું હતું?
“બહુ જ તીખું. જીભે બળતરા ઉપડે એટલું!”
“જોયો અમારો મરાઠા સરદારોનો જુસ્સો? થોડું ખમી જાવ. અમારા જુસ્સાની જાન તો આપને હવે પછી પડવાની છે.”
“અને આ ફાલતુ જુસ્સા પર લગામ નાખવા અમે કંઈ કરીએ તો?”
“અમારા ખાનદાનમાં મરદ કદી પન બાયુંના કાબૂમાં નથી રહેતા, સમજ્યા?”
“તો પછી આ સંબંધનો સવાલ જ ઉઠતો નથી.”
“રિસાઈ ગયાં?”
“એમાં રિસાવા જેવું શું છે? અમારી પાયરીનું અમને ભાન થઈ ગયું. સારું થયું.”
“ભૈ આપને તો વાત વાતમાં બહુ લાગી આવે છે. આમ કેમ ચાલશે? ચાલો, આંખો લૂછી લો. નાની નાની વાતમાં આપની આંખ આમ છલકાવા લાગે તે બરાબર નથી. જુઓ સમય બહુ થોડો છે. હવે મુદ્દાની વાત બોલવા દો. જે કાંઈ હોય તે આપડે જલ્દી કરવું પડશે, નહિ તો પેલી અંજિરા અમારા ગળામાં આવી પડશે. અમારા પિતાજીને તે પસંદ છે.”
“તમારા ઘરમાં આપણા વિશે કોઈને જાણ છે?”
“અમારા મા સા’બને અમે વાત કરી તો તેઓ ખુશ થઈ ગયાં.  તેમનું કહેવું છે, અમારી ખુશી તેમાં તેમની ખુશી. પન અમારી વાત સાંભળી પિતાજીની તબિયત એકદમ બગડી ગઈ. કહેવા લાગ્યા છન્નું કૂળનાં મરાઠા સરદારનો હોનહાર દીકરો પરભૂની છોકરી સાથે લગન કરી જ કેમ શકે? તેમનું બ્લડ પ્રેશર એકદમ વધી ગયું, અને છાતીમાં દુ:ખાવો શરુ થઈ ગયો.” 
લડાયક મરાઠા કોમમાં એક ભેદભાવ હોય છે. ઉચ્ચ વર્ણનાં  - એટલે સરદાર - દરબાર વર્ગના મરાઠાઓ પોતાને છન્નું કૂળના અને સામાન્ય મરાઠાઓને બાણું કૂળનાં કહે છે!
“ઓ મા!” વિશ્વાસની વાત સાંભળી ચંદ્રાવતી ચોંકી ગઈ.
“અરે, પિતાજીની આ હંમેશની વાત છે. એક તો ખાવા-પીવામાં પથ્ય પાળતા નથી અને બીજી બાજુ નાનાં નાનાં કારનથી તબિયત ખરાબ કરી લે છે. આ બધું જવા દો. અમને રાવરાજાએ એક તરકીબ બતાવી છે. એક સવારે આપ ઘર છોડવાની તૈયારી કરીને જ બગીચામાં આવજો. બંગલાથી થોડે દૂર મોટર ઊભી હશે. આપે કમ્પાઉન્ડની વાડ ઠેકીને બહાર આવવાનું છે. અમે જ આપનો હાથ પકડીને આપને બહાર ખેંચી લઈશું. છાને પગલે મોટર સુધી જઈશું અને ઠેઠ કોલ્હાપુર પહોંચી જઈશું, અમારાં માસી સાહેબને બંગલે. આ ક્યારે કરવું એનો વિચાર કરીશું.”
ચંદ્રાવતીનું હૈયું ધક -ધક કરવા લાગ્યું.
“આવું તે કાંઈ થતું હશે? મારા બાબાના કાન પર આ વાત જવી જ જોઈએ. તેઓ મારી ઈચ્છાની વિરુદ્ધ કદી નહિ જાય એવી મને ખાતરી છે,” તેણે વિશ્વાસને કહ્યું.
“અને તેઓ આપની વાત નકારી કાઢે તો?”
“એ બનવા જોગ નથી. તમારે બાબાને મળવું જોઈએ.”
“એ બધું જવા દો. આપ આવતા આઠ દિવસમાં અહીંથી નીકળવાની તૈયારી કરી રાખજો. અમે શીલાબેન દ્વારા બધી ખબર પહોંચાડીશું.”
“આઠ દિવસમાં આ કરવું શક્ય નથી. હરિયાલી તીજ સાત દિવસ પર આવી પહોંચી છે. અમારા બંગલે ઝૂલા-બંધનનો મોટો ઉત્સવ થતો હોય છે.”
“એ તો ખબર છે અમને.”
“હરિયાલી તીજ પતી જવા દો. પછી જે કરવાનું હોય તે કરીશું.”
“જુઓ, આવા ધર્મકાર્યોનો તો આપના ઘરમાં અંત નથી. આજે હરિયાલી તીજ, પછી જન્માષ્ટમી, રક્ષાબંધન, ગનપતિ, નવરાત્રી…જુઓ, આઠ દિવસમાં ભાગી છૂટવાની તૈયારી કરી લેજો. મહારાજા સાહેબની સવારી ઓરછા જવાની છે. સવારી રવાના થતાં જ અહીંથી નીકળી જઈશું. કોલ્હાપુરમાં માસી સાહેબને ત્યાં બે મહિના રહીશું. ત્યાંથી ચાન્સ મળતાં જ ઈંગ્લૅન્ડ જતાં રહીશું. બંગલામાંથી નીકળતી વખતે આપે સાથે કશું લેવાનું નથી. રાવરાજા બધો બંદોબસ્ત કરવાના છે. આપના માટે કપડાં-લત્તાં, મંગળસૂત્ર, બધું જ તૈયાર…”
એટલામાં દરવાજાની સાંકળ વાગી. માસ્તરસાહેબ આવી ગયા હતા. “અમે કહેલી વાત બરાબર યાદ રાખીને તૈયારી કરી લેજો,” કહી તે શીલાના કમરામાંથી નીકળી માસ્તરસાહેબની રુમમાં પહોંચી ગયો.
“આવો મા’સ્સાબ. અમે ક્યારના આપની રાહ જોઈ રહ્યા હતા. રાનીમાએ પૂજાઘરનું ડ્રૉઈંગ જોવા મગાવ્યું છે તે લેવા અમે આવ્યા છીએ.”


શીલાને 'આવજો' કહી ચંદ્રાવતી શૂન્યમનસ્ક દશામાં ઘોડાગાડીમાં બેઠી. રામરતને બંગલા ભણી ગાડી હાંકી મૂકી.

Tuesday, January 12, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૭



શીલાને ઘેર જવા માટે ચંદ્રાવતી તૈયાર થવા લાગી. અરીસાની સામે ઊભા રહી તેણે વાળ સમાર્યા અને પીઠ પર એક ચોટલો છોડી, પાવડર - કંકુ લગાડી સરસ મજાની સાડી પરિધાન કરી અને વિચાર કરવા લાગી. ‘ગયા એક મહિનાથી વિશ્વાસ સાથેનું આપણું રહસ્ય આજ સુધી શીલાથી છુપાવી રાખ્યું છે. વચ્ચે બે - ત્રણ વાર વાંચવા માટે બેઉ બહેનપણીઓ વચ્ચે મુલાકાત થઈ હતી ત્યારે હોઠે આવેલી વાત હૈયામાં તેણે છુપાવી રાખી હતી. હવે તો તેને બધું કહેવું જ પડશે. બધું પાકા પાયે નક્કી થઈ ગયું છે…’
અરીસામાં ફરી એક વાર પોતાનું પ્રતિબિંબ નિહાળી શરમાઈ ગઈ. તેણે ઝટપટ પુસ્તકો ઉપાડ્યા અને બહાર જઈ ઘોડાગાડીમાં બેસી ગઈ.

શીલાના ઘર પાસે ઘોડાગાડી ઊભી રહી. શીલાનાં બા ઓટલા પર બેસી ચોખા સાફ કરી રહ્યાં હતાં. બાજુમાં લાકડાના પાટિયા પર બેસી દિઘે માસ્તર કશું’ક ડ્રૉઈંગકામ કરતા હતા.
“આવ, આવ, ચંદા. શીલા ઉપર મેડીમાં એની રુમમાં વાંચવા બેઠી છે. તું આવવાની છો એવું તેણે અમને સવારે કહ્યું હતું,” શીલાની બા બોલ્યાં.

ચંદ્રાવતી ધીરેથી ઉપરના માળે જવા દાદરો ચઢવા લાગી. દાદરાની બાજુની દીવાલ પર  માસ્તરસાહેબે દોરેલા ચિત્રો ફ્રેમ કરીને લટકાવ્યાં હતા. ચંદ્રાવતીએ હળવા પગલે શીલાની રુમમાં પ્રવેશ કર્યો. વાંચતાં વાંચતાં ઝોકું ખાઈને સૂતેલી શીલા તેનાં પગલાં સાંભળી ઝબકીને જાગી ગઈ. ત્યાર પછી અર્ધો - પોણો કલાક ચોપડીઓ અને નોટબૂકોનાં ઢગલા વચ્ચે બન્નેનું વાચન થયું.

“તું બેસ. હું નીચે જઈને ચા બનાવી લાવું,” શીલાએ કહ્યું.
“અલી, બેસને જરા! નિરાંતે ચા બનાવજે. અત્યારે બેસીને ગપ્પાં મારીશું.”

“અરે હા! આજે સવારે તારા દિનકરરાવ મળ્યા હતા.”

“મારા દિનકરરાવ?”

“તારા જ તે વળી, બીજા કોના?

“ચલો, આગે બોલો!”

“નજીક ચૌધરીની વાવ નજીક શિંગ તોડવા ગઈ હતી ત્યારે તે સામેથી જતા હતા. મને જોઈ પાછા આવ્યા અને પૂછવા લાગ્યા, ‘પન્નાજીનો અભ્યાસ કેમ ચાલે છે? બે દિવસ પર તેમના બંગલે ગયો હતો, પણ તેમનો કોઈ પત્તો નહોતો’. અલી, ક્યાં ગઈ’તી તું?”

“તે દિવસે હું ગણેશ બાવડી દર્શન કરવા ગઈ હતી.”

“એટલે જ! મ’કું, બિચારાને તેમનાં પન્નાજીનાં દર્શન થયા લાગતા નથી તેથી જ આટલા બેચૈન હતા!” કહી શીલા હસવા લાગી.

“કોણ જાણે કેમ, પૂર્વ જન્મના ક્યા કર્મથી એક વાર શાળાના નાટકમાં મેં પન્ના દાઈનું કામ કર્યું કે ત્યારથી તેઓ મારી પાછળ ‘પન્નાજી, પન્નાજી’ કરતા ફરે છે. છી!”

“એમાં ‘છી’ કરવા જેવું શું છે? તારા પ્રત્યે તેમને ઘણું…માન છે. તારા પર તો..”

“અલી, છોડ હવે!”

“ચોપડીઓના સપ્લાયનાં તેમનાં રાઉન્ડ હજી ચાલુ જ છે કે?”

“પૂર જોશમાં.”

“મને કહે તો, તમે લોકોને ચોપડીઓમાં એવું તે શું મળે છે કે આખો દિવસ બસ વાંચ-વાંચ કર્યા કરો છો?”

“શું કહું તને? આધુનિક, પ્રગતિશીલ વિચારોથી અવગત થવા પુસ્તકો કેટલો અગત્યનો ભાગ ભજવે છે તે તને ખબર છે? ના.સિ. ફડકેની સંુંદર નાયિકાઓનાં ઉદાત્ત પ્રેમની કથાઓ, વિ.સ. ખાંડેકરની ધ્યેયવાદી નાયિકાઓની કથાઓ વાંચવા ઉપરાંત પેઢીઓથી અજ્ઞાનના અંધકારમાં ડૂબેલી સ્ત્રીઓને પ્રકાશનો અવાજ સંભળાવા લાગ્યો છે. દેશ પ્રેમ, સ્વાતંત્ર્ય - આ બધું પુસ્તકો દ્વારા જ તો જાણવા મળે છે. તું વિભાવરી શિરુરકર, ખાંડેકર જેવા લેખકોનાં પુસ્તકો વાંચી જો. ‘કળીઓનાં નિ:શ્વાસ’ એક વાર વાંચીશ તો તું પણ કહીશ…”
“આવી ચોપડીઓ મને કોણ લાવી આપે? તેમાં’ય તે વળી આપણને તો ભૈ વાંચવાનો કંટાળો આવતો હોય છે. તારે ત્યાં તો આમે’ય તે ઘણા સામયિક આવતા હશે.”

“અમારે ઘેર ફક્ત બે માસિક આવે છે -  ‘કેસરી’ અને ‘સ્ત્રી’. તેમાં પણ બા હવે ‘સ્ત્રી’ બંધ કરવાની છે. કહે છે, તેના મુખપૃષ્ઠ પર સ્ત્રી-પુરુષો એકબીજાની સાથે સાવ અડીને બેઠાં હોય તેવા ચિત્રો હોય છે. અંદરના પાનાંઓમાં કર્વેની સમાજ-સ્વાસ્થ્ય, ગર્ભ નિયંત્રણ અને કામ શાસ્ત્રની જાહેરાતો આવતી હોય છે. બા ને તો તે જરા પણ ગમતાં નથી. મેં તેનું લવાજમ બંધ કરવાની ના પાડી તો છેડાઈ ગઈ. સાચું કહું તો તો આ સામયિકમાં ઘણી રોચક અને માહિતીપૂર્ણ ચર્ચાઓ આવતી હોય છે.”

“કેવી ચર્ચા?”

“એમ કે કુલીન સ્ત્રીઓએ નૃત્ય શીખવું કે નહિ, તેમણે નોકરી કરવી કે નહિ, એટલું જ નહિ, પણ તેમાંની વાર્તાઓમાં મુંબઈના યુવાન - યુવતીઓ બહાર ફરવા જતા હોય છે તેનાં વર્ણન હોય છે. અમારા બા સાહેબને લાગે છે ‘સ્ત્રી’ના સંપાદકનો આશય યુવાન છોકરીઓને બગાડવાનો છે!”

“મને તો લાગતું હતું કે જાનકીકાકીને વાચનનો શોખ હશે.”

“બા અને વાચન?” કહી ચંદ્રાવતી  હસી પડી ; “અલી, બાનું વાચન એટલે શિવલીલામૃત, હરિવિજય અને ભક્તિવિજય પૂરતું જ.”

“વાહ રે બાઈ તારી વાત! તારી તો ભૈ લહેર છે! તને છે વાચનનો શોખ અને દિનકરરાવને હોંશ છે તારી હોંશ પૂરી પાડવાની.”

“શીલા, શું કહું તને? કોઈ કોઈ વાર તો તેઓ પુસ્તકમાં ચિઠ્ઠી મૂકતા હોય છે. કાગળના કકડા પર ‘ફ્લાવર અૉફ માય હાર્ટ’, ‘ગોલ્ડન ફિશ’ મસ મોટા અક્ષરે લખી પુસ્તકમાં મૂકતા હોય છે. એક વાર તો મેં તેમની નજર સામે આવી એક ચિઠ્ઠી ફાડી નાખી હતી. તેમ છતાં તેઓ મને એકલીને જોઈ નાજુક સ્વરમાં કહેતા હોય છે, ‘જાંબુડા રંગની સાડીમાં બાપુ તમે ઘણાં સુંદર દેખાવ છે’ અથવા ‘આજે તો શું વાળ ધોયા લાગે છે ને!’  ‘કાનમાં મોતીનાં કાપ અને ગળામાં સોનાની ચેઈન પહેરો છો ત્યારે તમે શાંતા આપ્ટે જેવા દેખાવ છો! એક વાર તો મારી સામે મખમલની ડબી ખોલી તેમાં રાખેલી માણેક જડિત સોનાની સાડી પિન બતાવી. કંઈ કહેવા જાય તે પહેલાં બા આવી પહોંચ્યા તેથી તેમણે તે ઝડપથી ખિસ્સામાં મૂકી દીધી. બોલ, હવે આને શું કહેવું?”

“આના કરતાં તો દિનકરરાવે તને સીધા ‘મારી સાથે લગ્ન કરીશ કે’ એવું પૂછવું જોઈએ.”

“આવું કંઈ પૂછે એ બીકથી તો જ્યારે તેઓ અમારે ઘેર આવે ત્યારે શેખરને મારી પાસે જ બેસાડી રાખું છું. વળી અમારા બેવકૂફ સિકત્તરને ક્યાંથી ખબર પડી જાય છે, તેઓ આવે એટલે અમારી બાજુમાં આવી ફર્નિચર સાફ કરવા લાગી જાય કે ચોપડીઓ ગોઠવવા કે ફૂલદાનીમાંનું પાણી બદલવા લાગી જતો હોય છે.”

“તો પછી તું દિનકરરાવને ખુલ્લમ્ ખુલ્લા ના કેમ કહી દેતી નથી?”

“શું કહું? માણસ સ્પષ્ટ વાત કરે તો તેનો સ્પષ્ટ જવાબ આપી શકાય. આવું કરું તો તેમના પરિવાર સાથેનો સંબંધ તૂટી જાય. આ હું કેવી રીતે કરી શકું? એક તો તે આપણી જ્ઞાતિના છે અને તેમના મોટા ભાઈ અને મારા બાબા કૉલેજના સમયથી એકબીજાનાં દોસ્ત છે. ક્લબમાં હંમેશા મળતા હોય છે, અને પ્રસંગોપાત અમે એકબીજાને ઘેર પણ જતાં હોઈએ છીએ. પણ દિનકરરાવને મરવા દે. આજે તને એક મહત્ત્વની વાત કહેવા માટે ખાસ આવી છું અને આપણે દિનકર-પુરાણ ખોલી બેઠાં. તું વિશ્વાસ પવારને ઓળખે છે? કેવો માણસ છે?”

“માણસ તરીકે સારો છે! નાકના ઠેકાણે નાક, કાનની જગ્યાએ કાન, ખભા પર મસ્તક, હાથ - પગ…”

“અલી મશ્કરી છોડ. તેનો સ્વભાવ…તેનામાં થોડો અભિમાનનો અંશ ખરો કે?”

“એ તો બધા મરાઠા ઉમરાવોમાં હોવાનો જ!”

“એમના ઘરની એકંદર સ્થિતિ?”

“આપણે તો બાબા, તે વિશે કંઈ જાણતા નથી. તેના ઘરમાં આપણાં વયની કોઈ છોકરી નથી નહિ તો થોડી ઘણી માહિતી મળી જાત. એની મોટી બહેનનાં લગ્ન થઈ ગયાં છે અને હાલ સાસરિયે છે. પણ તું આટલી કસી કસીને તપાસ શા સારુ કરે છે?”

ચંદ્રાવતીએ શીલાને અથ થી ઈતિ સુધીની બધી વાત કહી.
“સાંભળ, શીલા. ગઈ કાલે અચાનક અમે ગણેશ બાવડી પર મળ્યા. ગણેશજીના મુકુટ પર હાથ મૂકી અમે એકબીજાને લગ્નનાં આણ-વચન આપ્યાં. બધું પાકું થઈ ગયું છે. આ બધી વાત તને ક્યારે કહું એવું થઈ ગયું હતું.”

“તારા ઘરના લોકોને આ બધું કેમ કરીને પસંદ પડશે? એ લોકો મરાઠા સરદાર છે અને આપણે પ્રભૂ જ્ઞાતિનાં.”

“જાત - પાતનો વિચાર કરવાના દિવસ હવે ગયા, પણ ઘરના વિરોધનો સામનો કેવી રીતે કરવો એ મોટો સવાલ છે. બા તો એવો કોલાહલ કરશે ! તેના આકરા વિરોધનો મને ડર લાગે છે.”

“ચંદા, આ પ્રશ્ન તો તારે જ ઉકેલવો પડશે. જ્યાં મારો સવાલ છે, મારાથી બનતી બધી મદદ કરીશ. તે પણ મર્યાદિત હશે, મારા બાપુજી સુદ્ધાં કોઈ ખાસ સુધારક વિચારના નથી,” શીલાએ કહ્યું.

“મને તો ચાર બાજુએથી ગુંગળામણ થાય છે. મન તો બળવો કરવા તૈયાર છે, પણ…”

“તો પછી વિશ્વાસને સીધું કહી દે કે મારાથી આ નહિ બને. તોડી નાખ સંબંધ. એક ઘા ને બે કટકા. તારાથી ન બને તો હું વિશ્વાસને કહીશ. બોલ, કહું કે?”

“ના, માડી રે! એવું તે કંઈ કહેવાતું હશે? હવે હું પીછેહઠ કરીશ તો વિશ્વાસ કંઈકનું કંઈક કરી બેસશે. એ મારા વગર જીવી નહિ શકે. અમારો એકબીજા પરનો સ્નેહ ઉત્કટ છે. અમે તો ગણપતિના મુકુટ પર હાથ રાખીને એક બીજાને સોગંદ અને વચન આપ્યાં…”

“હવે જવા દે આવા સોગંદ અને વચન! તારી જગ્યાએ હું હોત તો આવી માથાકૂટમાં પડત જ નહિ.”

“અલી, પહેલેથી નક્કી કરીને કોઈ કોઈના પ્રેમમાં થોડું પડતું હશે? તું કોઈના પ્રેમમાં પડી નથી એટલે સહેલાઈથી બોલી ગઈ કે તોડી નાખ સંબંધ…”


“ચંદા, મારી બહેન, રિસાઈ ગઈ? મારાથી બનશે એટલી મદદ કરીશ એવું મેં કહ્યું ને? સાચ્ચે જ, મારાથી બનશે તે બધું કરીશ.”