Thursday, March 20, 2014

નવ-પ્રસ્થાન: સ્વ. સત્યજીત રાયની અપ્રતિમ કૃતિ "કાંચનજંઘા"


રાય બહાદુર ઇન્દ્રનાથ ચૌધુરી દર વર્ષે હૉલિડે માટે દાર્જીલીંગ જાય છે. સૌંદર્યવતી પ્રકૃતિની સુવર્ણમય પર્વતરાજિનું દર્શન કેવળ તેમના માટે જ નહી, દાર્જીલીંગ જનાર દરેક પર્યટક માટે જીવનનો એક લહાવો હોય છે. આ વર્ષે પણ રાયચૌધુરી મહાશય સપરિવાર દાર્જીલીંગ પર આવ્યા છે. રોજ સવાર-બપોર બહાર ફરવા જાય છે, પણ કાંચનજંઘાના દર્શન હજી થયા નથી. છેલ્લા સત્તર દિવસની નિષ્ફળ પ્રતિક્ષાનો આજે અંત આવે એવી તેમની અભિલાષા છે કેમ કે આવતી કાલે પરોઢિયે કલકત્તા પાછા જવાનું છે. રેશમનાં ભાતભાતના વસ્ત્રો વારંવાર બદલી પોતાની ભવ્ય જાહોજલાલીતી અનુભુતિ કરાવતી જાજ્વલ્યમાન યુવતિની જેમ નિસર્ગ પોતાનાં આવરણ બદલે છે. ઘડીકમાં વાદળાંથી નભ છવાય તો બીજી ક્ષણે ભીનાં મલમલના મુલાયમ ઉપવસ્ત્રથી સમગ્ર સૃષ્ટિને આવરી લે તેવું ધુમ્મસ બે ગજ દૂર ઉભેલ માણસને ઓઝલ કરે છે. આવામાં કાંચનજંઘાના દર્શન કેવી રીતે થાય? ઇન્દ્રનાથ એક પણ ઘડી ચૂકવા માગતા નથી અને પત્નીને બોલાવી રહ્યા છે.
“અરે લાવણ્ય, તમે હજી તૈયાર નથી થયા?”
“હું તો તૈયાર છું. કાલે વહેલી સવારે પાછા જવાનું છે તેથી સુટકેસમાં કપડાં મૂકતી હતી.”
“ચાલો! આજે છેલ્લો દિવસ ફરી લઇએ. કાંચનજંઘા જોવાનો આજે આખરી મોકો છે. આમ પણ આજનો દિવસ મહત્વનો છે. આજે બૅનરજીએ મોનીને પ્રપોઝ કરવું જોઇએ! કેટલો સારો છોકરો છે!”
આ વખતની રજામાં ઇન્દ્રનાથની એક વધારાની ઇચ્છા છેઃ તેમની સૌથી નાની દિકરી મોનીષાની સગાઇ મિસ્ટર બૅનરજી સાથે થાય. ઇંગ્લંડમાં ભણી આવેલા, પાશ્ચાત્ય સભ્યતાના પ્રતિક  અને ૧૯૬૨ના સમયે બારસો રુપિયાનો 'માતબર' પગાર કમાતા બૅનરજી તેમની દૃષ્ટિએ મોનીષા માટે બધી રીતે યોગ્ય છે. સદ્ભાગ્યે બૅનરજી પણ દાર્જીલીંગ હવા ખાવા આવ્યા છે.
રાય બહાદુર પોતે પણ ‘સવાઇ અંગ્રેજ’ છે! સવારે ફરવા જાય ત્યારે સૂટ, ટાય પહેરી, એક હાથમાં વૉકીંગ સ્ટીક અને બીજામાં ચિરૂટ લઇને બહાર નીકળે. રસ્તામાં કોઇ અંગ્રેજ મળે તો ફક્ત તેમને ‘ગુડ આફ્ટરનૂન’થી અભિવાદન કરે, પછી તે આપે કે નહી, તેની ચિંતા નહી. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે. બાકી દેશી લોકોએ તો તેમનું અભિવાદન કરવું જોઇએ!  લાવણ્યને આની ક્યાં જાણ નથી? પણ આદર્શ પત્નીની જેમ તેઓ બધું શાંતીપૂર્વક સહન કરી લે છે. આજે કોણ જાણે કેમ, મોનીષાની વાત નીકળી ત્યારે બોલી પડ્યા, “આપણે મોનીની ઇચ્છા જાણવી જોઇએ કે નહી?”
“અરે, તેની શી જરૂર છે? એને તો ખબર છે કે આપણે તેને અનુરૂપ હોય તેવો જ છોકરો જોઇશું. જો બૅનરજી હા કહે તો ડિસેમ્બરમાં લગ્ન પતાવી દઇશું.”
“ડિસેમ્બરમાં? તો પછી તેની પરીક્ષાઓનું શું?”
“મોનીને લગ્નની ડિગ્રી મળ્યા બાદ કૉલેજની ડિગ્રીની શી જરૂર છે? બોલો તો?” કહી તેઓ કમરાની બહાર નીકળ્યા. તેવામાં મનીષા મા પાસે પહોંચે છે.
“બૅનરજીએ તારી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો?”
“ના, મા.  હજી વાત નથી કરી.”
‘સાંભળ દિકરી. પ્રેમ ન હોય ત્યાં લગ્ન કરીશ મા.” 
***
કમ્પાઉન્ડમાં ઉભા રહી  પતિ-પત્ની મોનીષાની રાહ જુએ છે. મોનિષા મોટી બહેનના કમરામાં ગઇ છે. બનેવી બેડમાં પડ્યા પડ્યા ચ્હાનો ઘૂંટડો લે છે. અણિમા ડ્રેસીંગ ટેબલ પાસે મેકઅપ કરે છે. સત્ય વાત તો એ છે કે થોડી ક્ષણ પહેલાં હોટેલના ચપરાસીએ ટ્રેમાં લાવી આપેલ ચિઠ્ઠી સંતાડીને તે પર્સમાં મૂકે છે.
“મોની, જરા મારી પાસે આવ તો!” જીજાજી મોનીષાને બોલાવે છે.
મોનીષાના બન્ને હાથ હાથમાં લઇ જીજાજીએ પૂછ્યું, “છોકરો પસંદ છે ને? તને પ્રપોઝ કર્યું?”
“ના.”
“સાંભળ, મોની. પ્રેમ વગર લગ્ન કરીશ મા.”
“તમે પણ શું, જીજાજી!” કહી લજાતી મોનીષા માતા-પિતા પાસે જાય છે.
***
દાર્જીલીંગમાં લોકોને એકઠા થવા માટેનું પ્રિય સ્થાન છે મૉલ: એક જમાનાનું બૅન્ડ સ્ટૅન્ડ. લોકો ત્યાં મૂકાયેલ બેન્ચ પર આવીને બેસી ગયા છે. ઇન્દ્રનાથ, લાવણ્ય અને મોનીષા ત્યાં આવીને બૅનરજીની રાહ જુએ છે.
બીજી તરફ અણિમા તેના પતિ અને પુત્રી ટૂકલુ સાથે બહાર આવે છે. છ-સાત વર્ષની ટૂકલુ ઘોડા પર બેસી ફરવા જાય છે. એક લેપચા સ્ત્રી ઘોડાની સાઇસ છે અને ઘોડાને દોરીને લઇ જાય છે. અણિમા પતિ સાથે નથી જતી. પતિ એકલા ફરવા નીકળી જાય છે.
***
આ વર્ષે કોલકોતાનો એક બેકાર યુવાન અશોક પોતાના વૃદ્ધ કાકામોશાયને લઇ દાર્જીલીંગ આવ્યા છે.  અચાનક દાર્જીલીંગની મુખ્ય સડક પરથી તેમને દૂર બેઠેલા ઇન્દ્રનાથના દર્શન થાય છે.
“ચાલ અશોક, તારી ઓળખાણ કરાવું. રાયચૌધુરી મહાશય પાંચ-પાંચ કંપનીઓના ચૅરમૅન છે. તને ક્યાંક તો ગોઠવી દેશે.”
“ના, કાકા. આવી વાત કરવા માટે આ સ્થાન કે સમય યોગ્ય નથી.”
કાકા વાત સાંભળતા નથી અને હાંફતાં હાંફતા અશોકને ખેંચી ઇન્દ્રનાથ પાસે પહોંચી જાય છે.
“તમે કોણ?" 
"મને ન ઓળખ્યો? ૧૯૫૧માં હું આપના પુત્રનો ખાનગી ટ્યુટર હતો…” અને અશોક તરફ જોઇને બોલ્યા, “અલ્યા અશોક, ચરણસ્પર્શ કર તો! 
અશોક ઇન્દ્રનાથની ચરણરજ લઇ તથા લાવણ્યને પગે લાગે છે. કાકાબાબુ ઇન્દ્રનાથ આગળ અશોક માટે નોકરીની વિનંતિ કરે છે.”
“કેટલું ભણ્યો છે?”
“જી, બે વર્ષ પહેલાં મેં બી.એ. કર્યું.”
“અત્યારે શું કરે છે? કેટલું કમાય છે?”
“બસ, ખાનગી ટ્યૂશન કરૂં છું. મહિને પચાસ રૂપિયા મળે છે.”
“જો, કોલકોતા આવીને મને મળજે. આવતાં પહેલાં એપૉઇન્ટમેન્ટ લેવાનું ભુલતો મા. કેટલા પગારની અપેક્ષા છે? બસો? ત્રણસો? અને—” 
એટલામાં તેમને બૅનરજી દેખાય છે. “ઓહ, મિસ્ટર બૅનરજી, ગુડ મૉર્નીંગ. કેમ છો? કહી અશોકના અસ્તીત્વને ભુલી તેઓ બૅનરજી પાસે જાય છે.
ઝંખવાણો અશોક બાજુએ જઇને ઉભો રહે છે. મોનીષાને પિતાનો વ્યવહાર ગમ્યો નથી. તે અશોક પાસે જઇ તેની સાથે સંભાષણ કરવાનો પ્રયત્ન કરે છે.
“આપે કઇ કૉલેજમાં  અભ્યાસ કર્યો?”
“બંગવાસી કૉલેજમાં."
“હું પ્રેસીડેન્સી કૉલેજમાં છુંં.” 
કલકત્તામાં પ્રેસીડેન્સી કૉલેજ Ivy League કક્ષાની, ઉચ્ચ વર્ગના શ્રીમંત યુવાન-યુવતિઓની કૉલેજ હતી. સામાન્ય લોકો બંગવાસી જેવી કૉલેજોમાં જતા.
“ઇંગ્લીશ લિટરેચર?” અશોકે પુછ્યું.
‘હા, પણ મને બંગાળી વાંચવાનો ઘણો શોખ છે. આપે બંગાળી સાહિત્ય સાથે બી.એ. કર્યું?”
‘ના, મારો મુખ્ય વિષય ઇતિહાસ હતો.”
આગળ કશી વાત થાય ત્યાં તો ઇન્દ્રનાથે મોનીષાને બોલાવીને તેને બૅનરજી સાથે જવા કહ્યું. ઝંખવાણી મોનીષા ક્ષમાયાચના કરી ત્યાંથી નીકળી જાય છે.
***
દૃશ્યો બદલાતા જાય છે. મોનીષા અને મિસ્ટર બૅનરજી ફરવા નીકળ્યા છે. બન્ને વચ્ચે વાતચીત થાય છે પણ હજી પ્રસ્તાવ મૂકાયો નથી. તેમની પાછળ પાછળ એક લેપચા જાતિનો આદિવાસી બાળક બક્ષીશની અપેક્ષાથી ફરે છે. બૅનરજી તે જાણે છે પણ તેની સાવ અવગણના કરે છે.
કોણ જાણે કેમ, પણ માતા તથા બનેવીની વાત પર ઊંડો વિચાર કરીને જાણે કોઇ નિર્ણય પર પહોંચી હોય તેમ મોનીષા તક મળતાં બૅનરજીથી છૂટી પડીને એકલતા શોધે છે.
***
અને અણિમા!
આખરે પતિ તેને પૂછી જ લે છે. “હા, મેં તારા પ્રિયકરની ચિઠ્ઠીઓ વાંચી. આઘાત લાગ્યો? આવું અસભ્ય કામ મારાથી થાય જ કેમ, એમ પૂછવું છે ને? આપણાં લગ્નને દસ વર્ષ થયા. મને પહેલેથી જ અંદેશો હતો કે તારાં લગ્ન તારી મરજી વિરૂદ્ધ થયા. દસ વર્ષ સુધી સહન કર્યું. રેસીંગ, જુગાર જેવી ખરાબ ટેવોમાં મેં મન લગાડવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે એવા નિર્ણય પર પહોંચ્યો છું કે તું છૂટાછેડા માગે તો તે આપવા તૈયાર છું. તારી મુક્તી માટે હું બધું કરીશ. તું મને પૂછીશ કે મેં છૂટાછેડા શા માટે ન માગ્યા? કારણ જાણવું છે?” દૂરથી ઘોડા પર બેસીને આવતી ટૂકલુ તરફ આંગળી ચિંધી તેમણે કહ્યું, “આ નાનકી મારૂં કારણ છે. તેને દુ:ખી ન કરી શકું. પણ હવે તેની પણ તૈયારી છે.”
અણિમા રડી પડે છે. “સાચું કહું? ‘એ’ના પર કૉલેજના સમયે પ્રેમ કર્યો. લગ્ન પછી પત્રવ્યવહાર ચાલતો રહ્યો, પણ આ ચિઠ્ઠીઓની આપ-લેની જાણે એક ટેવ પડી ગઇ છે. પ્રેમ કે સંસર્ગ નથી, આથી વધુ મેં તેને કશું આપ્યું નહી કે લીધું નહી. મહાન ભૂલ થઇ ગઇ, પણ હવે આપણે બન્ને મળીને ફરી સંસારમાં સ્નેહ જન્માવીએ તો કેવું!”
***
બીજી તરફ કાકાથી જુદો પડી અશોક એકલો ફરવા ગયો છે. રસ્તામાં તેને મળે છે બૅનરજી અને મોનીષા. મનીષા તેને બોલાવે છે અને તેઓ સાથે સાથે વાત કરતાં ચાલે છે, ત્યાં મોનીષાના મામા તેને જોઇ જાય છે! ભાણી તથા તેના ભાવિ પતિને એકલતા આપવા અશોકને તેઓ સાથે લઇ જાય છે. અંતે પોતાના પક્ષીની શોધમાં જગદીશબાબુ તેને એકલો મૂકી ચાલ્યા જાય છે. એકલો અશોક રસ્તે પડે છે, ત્યાં તેને મળે છે ઇન્દ્રનાથ!
“તો શું નોકરી જોઇએ છે મારી પાસે? આવજે, જરૂર આવજે પણ અૅપૉઇન્ટમેન્ટ લીધા વગર બંગલે ન આવતો.”
“મહાશય, માફ કરશો, પણ હું મારી મેળે, સ્વબળ પર નોકરી શોધવા માગું છું. આપને તકલીફ લેવાની કોઇ જરૂર નથી.” 
ઇન્દ્રનાથ માટે આ અકલ્પ્ય અનુભવ હતો. તેમને અપમાન લાગ્યું અને ગુસ્સાથી ત્યાંથી નીકળી ગયા. અશોક ખડખડાટ હસે છે.
તેનું હાસ્ય પૂરૂં થાય ત્યાં બૅનરજીથી છૂટી થઇને નીકળેલી મોનીષા ત્યાં આવી પહોંચે છે.
“શી વાત છે, અશોકબાબુ?”
અશોક તેને પૂરી વાત કહે છે. “આવી સુંદર જગ્યા, જ્યાં હવા મુક્ત છે, વાતાવરણ કોઇની મહેરબાનીનું મોહતાજ નથી એવા માહોલમાં હું કોઇની ગુલામી કેવી રીતે સ્વીકારી શકું?” એક બોજમુક્ત થયેલ વ્યક્તિની જેમ અશોકે કહ્યું. થોડાં ડગલાં ચાલ્યા હશે ત્યાં બૅનરજી મોનીષાને ખોળવા નીકળ્યા હતા અને તેને મળી ગયા.
અશોક ત્યાંથી ચાલવા લાગે છે. એકલતાનો મોકો જોઇ બૅનરજી મોનીષા પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. મોનીષા તેમની વાત સાંભળે છે અને જેની સૌને પ્રતિક્ષા હતી - તેવા તેમના પ્રસ્તાવનો સૌમ્યતાપૂર્વક ઇન્કાર કરે છે! બૅનરજી પણ સજ્જન છે. “જ્યારે આપને લાગે કે આપને સુરક્ષા તથા સુદૃઢ સંસાર મેળવવા હું યોગ્ય લાગું, તો જરૂર જણાવશો,” કહી ચાલવા લાગે છે. પેલો લેપચા છોકરો હજી તેમની પાછળ ચાલે છે. મોનીષા માટે લાવેલ ચૉકલેટનો બાર તેઓ પેલા બાળકને આપે છે: “તું જીત્યો!” કહે છે. 
ત્યાં તો ઇન્દ્રનાથ ત્યાં આવી પહોંચે છે. તે સમયે તેમની નજર સામે ચાર દૃશ્યો હતા:
- મોનીષાને એકલી ચાલી જતી જોઇ.
- તેની વિરુદ્ધ દિશામાં જઇ રહ્યા હતા મિસ્ટર બૅનરજી.
- તેમને ખબર હતી કે બૅનરજી મોનીષા માટે ચૉકલેટ લાવ્યા હતા, જે હવે પેલો ગરીબ કિશોર આનંદપૂર્વક માણી રહ્યો છે અને પોતાની ભાષામાં ગીત ગાય છે.
રાયચૌધુરી મહાશયના મગજમાં એકદમ પ્રકાશ પડે છે! મોનીષાએ લગ્નના પ્રસ્તાવને અમાન્ય કર્યો છે. 
બરાબર તે ક્ષણે ચોથું વિશાળ દૃશ્ય ધુમ્મસ ચિરીને બહાર આવી, સૂર્યના પ્રકાશમાં ઝળહળી રહ્યું હતું: તે હતાં કાંચનજંઘાના ગિરિશિખરો! જો કે સુવર્ણમય પર્વતરાજિ ઇન્દ્રનાથની નજર સામે હોવા છતાં તેઓ તેને જોઇ શકતા નથી, અને “મિસ્ટર બૅનરજી, મિસ્ટર બૅનરજી”નો પોકાર કરતા લગભગ દોડતા જાય છે.
***
બીજી તરફ મોનીષાને અશોક મળી જાય છે. “કોલકોતા ગયા પછી મને મળવા અમારે ઘેર આવશો ને?”
“આપના પિતાની અૅપૉઇન્ટમેન્ટ લેવી પડશે, તેનું શું?
“મારા મિત્રોને તેમની રજા લેવી પડતી નથી!”
***
આ કથા છે સ્વ. સત્યજીત રાયની કલાકૃતિની.  કાંચનજંઘા એક સત્ય છે, અને જ્યારે તે નજર સામે આવે છે, તે જોવાની કે સ્વીકારવાની બુદ્ધી કે ક્ષમતા મનુષ્યમાં હોતી નથી. શા માટે તે મિથ્યાની પાછળ દોડતો રહે છે તે કોણ જાણી શકે છે? આ વાત કેટલી સુંદર રીતે તેમણે રજુ કરી છે! અને પાત્રોની ભુમિકા પણ અદ્ભૂત. ઇન્દ્રનાથની ભુમિકા તે સમયના સર્વશ્રેષ્ઠ અભિનેતા છબી વિશ્વાસ, લાવણ્યની ભુમિકામાં કરૂણા રૉય અને જગદીશબાબુનો 'રોલ' કર્યો છે સાયગલના જમાનાના અભિનેતા પહાડી સાન્યાલે.
વર્ષો સુધી “કાંચનજંઘા”ની પ્રિન્ટ અપ્રાપ્ય હતી. ફિલ્મની નેગેટીવ ઉધઇથી ખવાઇ ગઇ હતી, પણ સત્યજીત રાયના ચાહકોએ એક કૉપી શોધી કાઢી અને You Tube પર ફરતી કરી છે. અહીં ક્લિક કરવાથી આપ આ અનુપમ ચિત્રપટનો રસાસ્વાદ કરી શકશો. ફિલ્મમાં અંગ્રેજી સબ-ટાઇટલ છે. જો કે અાજના બ્લૉગની રજુઆતમાં ચિત્રપટના સંવાદો રજુ કરવામાં સુલભતાને ખાતર સંપૂર્ણ છૂટ લીધી છે જે માટે સૌની ક્ષમાયાચના.  

તા.ક. 'જિપ્સી'ની યાત્રાના એક વરીષ્ઠ યાત્રી શ્રી. રજનીકુમારભાઇ પંડ્યાએ સ્વ. સત્યજીત રાયની મુલાકાત લીધી હતી, તે સમયની તેમની છબી તેમના સૌજન્યથી અહીં મૂકી છે.

Tuesday, February 25, 2014

નવું પ્રસ્થાન

લંડનના કિલ્બર્ન (Kilburn, London NW6) વિસ્તારમાં જિપ્સી કાર્યશીલ હતો ત્યારે તેને મળવા મૂળ ગુજરાતના અને બ્રિટનમાં નવા જ આવેલા લગભગ નેવું વર્ષની વયના વલીમોહમ્મદ મળવા આવ્યા. તેમનું કામ પૂરૂં થતાં તેમને આપણા શિષ્ટાચાર પ્રમાણે બારણા સુધી મૂકવા ગયો ત્યારે તેમણે કહ્યું, "તમે મારૂં કામ કરી આપ્યું તે માટે આભાર. હવે મારૂં એક અંગત કામ કરી શકશો?"
"બનશે તો જરૂર કરીશ."
"તમે જ્યારે પણ ઇન્ડીયા જાવ, મારા માટે પંડિત સુંદરલાલનું 'ભારતમાં અંગ્રેજી રાજ્ય' લાવી શકશો? પુસ્તકની કિંમત હું તમને અત્યારે જોઇએ તો આપું."
"ના, વલીકાકા. પૈસાની વાત તો પુસ્તક લાવ્યા પછી કરીશું."
બનવાજોગ વાત એવી થઇ કે ત્રણે'ક મહિના બાદ મારે ભારત જવાનું થયું. વલીકાકાનું પુસ્તક ક્યાંયે મળ્યું નહી. છેક છેલ્લા દિવસે અમદાવાદના ત્રણ દરવાજે આવેલ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેની દુકાને ગયો. તેના માલિક જૈમિનિભાઇ જાગુષ્ટે અમારા વડીલ સમાન હતા. તેમણે કહ્યું, "આ તો ઘણો મૂલ્યવાન ગ્રંથ છે અને હાલ ક્યાંય ઉપલબ્ધ નથી. અમારી પાસે કેટલીક નકલ બાકી છે તો તને એક સેટ આપી શકીશ." આ દળદાર ગ્રંથ બે ભાગમાં હતો. કૂલ એક હજારથી પણ વધુ પાનાં. જૈમિનીભાઇએ ક્હયું, 'તારા સામાનમાં જગ્યા ન હોય તો તને ટપાલ દ્વારા મોકલી શકીશ," અને તે સમયની પડતર કિંમતે આ સેટ લંડન મોકલી આપ્યો.
પુસ્તકો આવતાં જ જિપ્સી વલીકાકાને ઘેર ગયો તો જાણવા મળ્યું કે તેઓ લંડન છોડી લેસ્ટર ચાલ્યા ગયા હતા. બ્રિટનના હિસાબે નજીવી કિંમતે મળેલ આ પુસ્તક જિપ્સી પાસે પડી રહ્યું.
ત્રણ-ચાર મહિના બાદ તેને થયું, જોઇએ તો ખરા એવું તે શું છે પુસ્તકમાં જે પ્રકાશિત થતાં જ તે સમયની અંગ્રેજ સરકારે તેને જપ્ત કર્યું હતું?  જેમ જેમ પુસ્તક વાંચતો ગયો, તેમાં વલીકાકાનો દેશપ્રેમ દેખાતો ગયો: અંગ્રેજોએ ભારતની પ્રજા પર કરેલા સિતમ - અને ખાસ કરીને ૧૮૫૭ના સમયમાં જે અત્યાચાર કર્યા હતા તેનું તાદૃશ ચિત્ર આ પુસ્તકમાં પ્રદર્શિત થતું હતું.
૧૮૫૭ના નેતાઓનો ઇતિહાસ વાંચતી વેળા એક વ્યક્તિ તરફ જિપ્સી સૌથી વધુ ભક્તિભાવ ધરાવતો થયો. પટણાની નજીક આવેલ જગદીશપુર નામની નાનકડી રિયાસતના રાજા - જેઓ બાબુ કુંવરસિંહના નામે વધુ પ્રખ્યાત હતા, તેમનું જીવન ચરિત્ર અને અંગ્રેજો સામે કરેલ યુદ્ધો વિશે વાંચી આશ્ચર્યચકિત થઇ ગયો. ૮૦ વર્ષની વયના બાબુ કુંવરસિંહે  જે રીતે યુદ્ધો ખેલ્યા અને લૉર્ડ માર્ક કર (Lord Mark Kerr) જેવા ક્રાઇમીયન યુદ્ધના કાબેલ અંગ્રેજ સેનાપતિઓને કારમી હાર આપી તે વાંચી રોમાંચ અનુભવ્યો. છેલ્લે તો ગંગા નદી પાર કરતી વખતે તેમના હાથની કોણીએ અંગ્રેજ સિપાઇની ગોળી વાગી અને હાડકાંનો કચ્ચરઘાણ થયો. ત્યાંનો જખમ વકરીને ગૅંગ્રીન ન થાય એટલા માટે તેમણે પોતે જ પોતાની તલવારથી હાથ કાપીને ગંગામાં પધરાવી દીધો. બનવા કાળ એ જખમ પર ધનુર્વા થયો અને બાબુ કુંવરસિંહનું અવસાન થયું.
બાબુ કુંવરસિંહની શૌર્યગાથા વાંચી જિપ્સીનું મન ચકડોળે ચઢ્યું. ઇતિહાસના અનેક પ્રસંગો તથા એક સમયની સમૃદ્ધ બિહારની પ્રજાની આર્થિક અવનતિની વાતોનો અભ્યાસ કર્યા બાદ એક કથાનો તેના માનસમાં જન્મ થયો. તેમાં ઉમેરાઇ બિહારના ભોજપુર જિલ્લામાંથી ગયાના, ટ્રિનિડાડ જેવા દેશોમાં ગયેલા ગિરમિટિયાઓની સાહસકથાઓ. નવલકથાના રૂપમાં આ બધી વાતો અવતાર લે તે માટે વિસ્તૃત સંશોધન શરૂ કર્યું. બ્રિટીશ લાયબ્રરી, SOAS (સ્કુલ અૉફ ઓરિએન્ટલ અૅન્ડ આફ્રિકન સ્ટડીઝ)નાં પુસ્તકાલયો તથા અન્ય ગ્રંથોનો અભ્યાસ થયો અને કથા જન્મી: Full Circle. લગભગ અગિયાર વર્ષના અભ્યાસ અને લેખન-પુનર્લેખન અને પુન:-પુનર્લેખન  - ઓછામાં ઓછા ત્રીસ આખી કથા ફરી ફરી લખીને તૈયાર થયેલ મુસદ્દો આખરે ગયા અઠવાડિયે પ્રસિદ્ધ થયો. Amazon.comની શાખા CreateSpaceએ તેને પુસ્તકાકારે પ્રકાશિત કર્યું, અને Smashwords.com એ તેને eBookના સ્વરૂપે પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકનાં કેટલાક પ્રકરણો અહીં click કરવાથી વાંચી શકાશે.

આ નમ્ર રજુઆત પુસ્તક વેચવાના ઉદ્દેશથી નથી કરી. આપે તો તેનું ગુજરાતી સંસ્કરણ આ બ્લૉગમાં 'પરિક્રમા' શ્રેણીમાં વાંચ્યું જ છે. વાત કહેવા પાછળનો ઉદ્દેશ છે, કુલપતિ ક.મા. મુન્શી, સ્વ. ગુણવંતરાય આચાર્ય, સ્વામી આનંદ, લોકશાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી અને કાકાસાહેબ કાલેલકર જેવા મહાન લેખકોની સાહિત્યકૃતિઓનાં પંચામૃતનો આસ્વાદ કરી, જીવનમાં મેળવેલા અનુભવોને સાકાર સ્વરૂપ એક સામાન્ય સૈનિક પ્રયત્ન કરી શકે, તો આપ જેવા રસિક વાચકો તેનાથી એક પગલું આગળ જઇને મા ગુર્જરીની સાહિત્ય દ્વારા સેવા  કરી શકો છો એ જ કહેવાનું છે. ઓછામાં ઓછું, આપણા બાળકોમાં આપણી માતૃભાષા પ્રત્યે પ્રેમ જન્માવી શકીશું તો તે પણ એક મહાન કાર્ય થશે.
આતા અંકમાં મળીશું તે પહેલાં એક વાત કહીશ. પુસ્તકનું મુખપૃષ્ટ બિહારની ધરતીમાંથી જ ઉપજ્યું છે. મધુબનીની ચિત્રશૈલી વિશ્વવિખ્યાત છે, કારણ કે તે મુખ્યત્વે ત્યાંની મહિલાઓનું સર્જન છે. આ ચિત્રનું શિર્ષક Tree of Life છે. મધુબનીના નાનકડાં ગામ જિતવારપુરનાં શ્રીમતિ ઉર્મિલાદેવી પાસવાને દોરેલું આ ચિત્ર કથાને એટલું સુંદર રીતે આવરી લે છે, તે લેખક માટે આશ્ચર્યની વાત છે. આશા છે આપને પણ તે ગમશે!



Friday, February 7, 2014

બ્રિટન: ભારતીય મહિલાઓની સમસ્યાઓ



બ્રિટનના વાસ્તવ્ય દરમિયાન જિપ્સીને ભારતીય મહિલાઓમાં સ્ત્રી-શક્તિના દર્શન થયા, અને સોશિયોલોજીના અભ્યાસ દરમિયાન તેમની શક્તિના સ્રોતના ઉગમ તપાસવાની તક પણ મળી. આજે જોઇએ તેનું સંક્ષીપ્ત વિવરણ.

આમ જોવા જઇએ તો ભારતીય મહિલાઓમાં પરિવાર પ્રત્યેની પારંપરીક નિષ્ઠા તથા મૂલ્યોનું સિંચન હજારો વર્ષોથી થતું આવ્યું છે. તેમનામાં ધીરજનો અખૂટ ભંડાર છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં અને સુભાષીતોમાં બહેનો માટે "यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता" - જ્યાં સ્ત્રીઓનો આદર (પૂજા) થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, એવું અનેક વાર કહેવાયું છે. આની સાથે એક 'જ્ઞાની'એ એ પણ કહ્યું છે કે, “स्त्रीयश्चरित्रम् पुरूषस्य भाग्यम् देवो न जानाति कुतो मनुष्यम्”! સ્ત્રીઓનું ચારિત્ર્ય અને પુરૂષોનું ભાગ્ય કેવું હોય છે, એ તો દેવો પણ જાણી શક્યા નથી! આવું જ્યારે વાંચીએ ત્યારે એવું જરૂર લાગે કે જગતના પુરૂષપ્રધાન સમાજનું બળ સમાજના નિર્બળ અંગની પ્રતિકારશક્તિના અભાવમાંથી નિપજે છે! 

લેખકના અનુભવમાં એક વાત સ્પષ્ટ રીતે ઉભરી આવી છે કે કોઇ પણ મહિલાનો તેજોવધ કરવા માટે અન્ય કોઇ સાધન ન રહે ત્યારે પુરૂષ (અને કેટલીક વાર તો મહિલાઓ પણ) સ્ત્રીના ચારિત્ર્ય પર શંકા કે આરોપ કરીને પોતાનું વેર લઇ શકે છે. આપણા એક પાડોશી દેશમાં તો કાયદો છે કે કોઇ પરિણીત મહિલા બલાત્કારનો ભોગ બની હોય, અને તે પોલીસમાં ફરિયાદ કરે તો તેણે તેની ફરિયાદ સાચી છે તે માટે કોર્ટમાં ચાર પુરૂષો સાક્ષી તરીકે લાવવા પડે. જો આ મહિલા સાક્ષી ન લાવી શકે તો તેના પર જ વ્યભિચારનો આરોપ લગાવી જેલમાં પૂરવામાં આવે છે. આવી અનેક મહિલાઓ તે દેશની જેલોમાં સબડતી રહી છે અને આખા વિશ્વમાં તેની વિરૂદ્ધમાં પોકાર થતા રહ્યા હતા. અહીં જણાવેલી વાત તો એક extreme હાલત છે, પણ તે અહીં રજુ કરવાનું કારણ એક જ છે, કે ભારતીય ઉપખંડના કાયદાઓમાં કે કાયદાનો અમલ કરનાર રક્ષકોમાં હજી સુધી એવી કોઇ જોગવાઇ નથી કે મહિલાઓ સાચી સુરક્ષાનો અનુભવ કરી શકે. નારીઓની પૂજા અને આદર તો બાજુએ રહ્યા.

બ્રિટનમાં એક વાતનો અહેસાસ તો જરૂર થયો કે મહિલાઓની સુરક્ષા માટે સમાજસેવાના કાયદાઓ તથા અન્ય સામાજીક પરિબળોના સામર્થ્યને કારણે મહિલાઓમાં સુરક્ષાની ભાવના તથા કાયદા દ્વારા મળતા સંરક્ષણને કારણે મહિલાઓમાં સ્વાભિમાન તથા સ્વાવલંબનની ભાવના ઘણી પ્રબળ છે. શરૂઆતમાં બ્રિટનમાં આવેલા નવા વસાહતી ભારતીયોમાં આની માહિતીનો અભાવ હતો તેથી તે સમયે ભારતીય મહિલાઓ પર આપણા સમાજનું પરંપરાગત દબાણ ઘણું હતું. બીજી તરફ બ્રિટનનની મહિલાઓનાં વ્યક્તિસ્વાતંત્ર્ય, લગ્ન કરતાં પહેલાં પુરૂષ મિત્રને પૂરી રીતે જાણી, ઓળખી તે જીવનસાથી બનાવવા યોગ્ય છે કે નહી તેની ખાતરી કરવાની પ્રથાનો ઘણા ભારતીય યુવકોએ ગેરફાયદો લીધો. સોશિયલ સર્વીસીઝમાં કામ કરેલું હોવાને કારણે જિપ્સીને ઘણી અંગ્રેજ મહિલાઓએ વાત કરી હતી કે ભારતીય સંસ્કૃતિથી આકર્ષીત થઇને તેમણે આપણા ઘણા યુવાનો સાથે સંબંધ બાંધ્યો હતો. આપણા યુવાનોને પણ ગોરી ‘ગર્લફ્રેન્ડ’ રાખવી ગમતી, પણ જ્યારે લગ્નનો સવાલ આવતો ત્યારે તેમને હિંદી ફિલ્મોમાં વપરાતો શબ્દસમૂહ ‘સીધી-સાદી, ભોલી-ભાલી સંપૂર્ણ ભારતીય કન્યા’ જ જોઇએ! 

જિપ્સીના એક નજીકના મિત્રને તેમના પુત્ર માટે ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’ જેવી સર્વ ગુણ સમ્પન્ન વહુ જ જોઇતી હતી! તેમનાં પત્નીનો સ્વભાવ એવો હતો કે તેમને કોઇ કન્યા પસંદ જ આવતી નહોતી! તેમનો પુત્ર ૩૫ વર્ષનો થયો પણ લગ્ન નહોતાં થતા! જિપ્સીએ આ યુવાનને એક રમુજી વાત કહી: તેના જેવી પરિસ્થિતિ સહન કરતા યુવાનને કોઇકે એવી સલાહ આપી, 'તારાં માતુશ્રી જેવા રૂપ-ગુણ વાળી કન્યા પસંદ કર તો તેઓ તારાં લગ્ન તેની સાથે તરત કરાવી દેશે.' છોકરાએ જવાબ આપ્યો, “કાકા, મેં એ પણ કરી જોયું. બરાબર બા જેવી કન્યાનો સંબંધ આવ્યો હતો. બા તો તરત તૈયાર થઇ ગઇ, પણ મારા બાપુજીએ તેનો જોરદાર વિરોધ કર્યો.' અંતે આ યુવાને તેના માતા-પિતાને કહ્યા વગર તેને જે કન્યા પસંદ આવી, તેની સાથે લગ્ન કરી લીધા. તેના માતા-પિતાએ આ લગ્ન તોડવા અનેક પ્રયત્નો કરી જોયા. અંતે યુવાને કંટાળીને જુદો રહેવા ગયો. 

બીજી તરફ એવું પણ જોવામાં આવ્યું હતું કે પરદેશનો મોહ ધરાવતી ‘દેશી’ યુવતીઓ લગ્ન કરીને બ્રિટન આવતી, અને પતિના તેવર જોઇને ઘણી દુ:ખી થતી. દેશની આર્થીક હાલતને કારણે પતિ-પત્ની બન્નેને નોકરી તો કરવી પડે, પણ સ્ત્રીને સવારના વહેલાં ઉઠી સાસુ-સસરા માટે શિરામણ-બપોરનું ભોજન બનાવવું પડે, પતિ માટે સૅન્ડવિચીઝ પૅક કરી આપવી પડે. સાંજે કામ પરથી આવ્યા બાદ રાત્રીભોજનની તૈયારી, પીરસવું અને ઠામ-વાસણ કરીને સૂવા જવાનું. રાત્રે પતિ સેવા! 

આમાં પતિનો role કેવો હતો તેની કલ્પના કરવી નકામી છે, કારણ કે હકીકત કંઇક આવી હતી: 

પતિ ઘણી વાર કામેથી સીધા મિત્રો સાથે pubમાં જાય. ઘેર આવીને જમ્યા બાદ વાસણ વગેરે સાફ કરવામાં પત્નીને મદદ કરવાનું તેનું કામ નહી - ‘આ મરદ માણસનું કામ નથી!’ કહેનાર સાસુ-સસરા હાજર જ હોય. દર શનિવારે લૉન્ડ્રેટમાં કપડાં ધોવા બહેનો જાય જ્યારે પતિ તેના મિત્રો સાથે રીજન્સી ક્લબ જેવા ભારતીય પબમાં ફૂટબૉલની કે ક્રિકેટની મૅચ જોવા જાય. અઠવાડીક ગ્રૉસરી શૉપીંગ પણ બહુધા સ્ત્રીઓ જ કરે. બાળકો થોડા મોટા હોય તો તે મમીની સાથે જાય. અા કદાચ આપને stereotype જેવું લાગે, પણ તે મહદંશે સાચું હતું. આના બે ઉદાહરણ તો સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી અગાઉના અંકમાં (હેમંતી દાસ, શાહીન બેગમ) ઉતારવામાં આવ્યા હતા. કોઇ સ્ત્રી વિરોધ કરે તો ઝઘડો તો થાય જ, પણ પતિ મારકૂટ પર પણ ઉતરી આવે. જિપ્સી લંડનની એક કાઉન્સીલના સોશિયલ સર્વિસીઝમાં કામ કરતો હતો તે વિસ્તારમાં ભારતીય મહિલાઓ માટે બે આશ્રય સ્થાન હતા. દરેકમાં લગભગ દસ-દસ બહેનો રહેતી હતી.  પતિ તથા તેના પરિવાર દ્વારા કરવામાં આવતા દમન, માનસિક ત્રાસ અને મારકૂટથી નાસીને બહેનો ત્યાં આવીને રહે અને આગળની વ્યવસ્થા કરે. તેમને છૂટા છેડા લેવા હોય તો તે અંગે કાયદાની વિનામૂલ્ય સેવા આપતી સંસ્થાઓ આ કામમંા, કાઉન્સીલનું મકાન તથા સોશિયલ સિક્યોરિટીના પૈસા મેળવી આપવામાં મદદ કરે.  લંડનમાં આવા અનેક આશ્રયગૃહ છે. 

અમેરીકા આવ્યા બાદ જિપ્સીના આશ્ચર્યનો પારાવાર ન રહ્યો કે અહીંના યુવાનોમાં પણ ‘પતિવૃત્તિ’ લગભગ બ્રિટનના યુવાનો જેવી જ હતી. ફેર માત્ર એટલો હતો કે તેઓ સાંજે કે વીકએન્ડમાં પબમાં ન જાય, પણ પત્નીને ઘરકામમાં મદદ કરવાનું કામ તેમનું નહી. ડિશ વૉશરમાં પણ ઠામ-વાસણ કે તેમની પોતાની એંઠી પ્લેટ ડિશ વૉશરમાં ન મૂકે. વૉશીંગ મશીનમાં પોતાનાં કપડાં અને ગંદા અંડરવૅર પણ મૂકવાનું કામ પણ પુરૂષે કરવાનું ન હોય! કોઇ સમજદાર પતિ પત્નીને કામમાં મદદ કરવા જાય તો તેની સાથે રહેનારા તેના માતા પિતા વહુને ધમકાવે: ‘વર પાસેથી આવું કામ કરાવવા તારો જીવ કેમ ચાલે છે, હેં?” આ વાત કલ્પીત નથી. ખુદ જોયેલી વાત છે. વર્ષો પહેલાં સિલીકૉન વૅલીમાં ચાલતા ઇન્ટરનેટના એક forum માં અનેક શિક્ષીત બહેનો લગભગ આવા જ અનુભવો વર્ણવતી હતી.

બ્રિટનની વાત કરીએ તો જેમ જેમ સમય વિતતો ગયો. ભારતીય સમાજમાં રહેતી બહેનોને સમજાવા લાગ્યું કે ઘરમાં અસહ્ય એવી સ્થિતિ ઉભી થાય તો સ્ત્રીઓને ઘર છોડીને આશ્રયસ્થાનમાં રહેવા જવાની જરૂર નથી. મોટા ભાગની બહેનો નોકરી કરતી હોવાથી આર્થીક રીતે સ્વતંત્ર હતી, પણ પારિવારીક સૌખ્ય  અતિ મહત્વનું છૈ, અને તે માટે જ્યાં સુધી પતિને તેનું મહત્વ મહેસૂસ ન થાય ત્યાં સુધી તે શક્ય નથી તે જાણતી હતી. સ્ત્રીઓ પુરૂષ સમોવડી બની છે, પણ સ્ત્રી જેવી સહનશક્તિ, સામંજસ્ય અને સામુહીક જવાબદારી સ્વીકારવાનું કામ પુરૂષ ક્યારે કરશે? જ્યારે ધીરજનો અંત આવે, અને ઝઘડાનો પહેલો તણખો નિપજે ત્યારે પુરુષે જ પહેલ કરવાની જરૂર હોય છે. આ વાતનો અહેસાદ પુરુષોને કદી ન થયો. અંગ્રેજીમાં કહીએ તો 'Women were always taken for granted.'

બ્રિટનમાં આપણા સમાજમાં ઉત્પન્ન થયેલા આ પરિમાણની સોશિયલ સર્વીસીઝને જેવી જાણ થઇ, તેમણે વિનામૂલ્યે સેવા આપતા પ્રશિક્ષીત મૅરેજ કાઉન્સેલરની સેવાઓ ઉપલબ્ધ કરી આપી. શિક્ષીત ભારતીય ભાઇબહેનોને વિનામૂલ્યે કાઉન્સેલીંગનું પર્શિક્ષણ આપવાની શરૂઆત કરી. શરત એક હતી કે આવી રીતે કેળવાયેલા યુવાન-યુવતિઓ બે વર્ષ સુધી આંશીક રીતે વિનામૂલ્યે સેવા આપે. આ સેવાનો લાભ મેળવીને આપણા યુગલો આંતરીક કલહનું સુખદ સમાધાન કરવા લાગ્યા અને વિદેશમાં પણ ભારતીય લગ્નસંસ્થાના મૂલ્યો સ્થિર થતા ગયા.  

એક વાત પર જરૂર ભાર આપવો જોઇશે કે બ્રિટીશ સમાજમાં એકલ માતાને અનેક પ્રકારના સંરક્ષણ અને રાજ્ય દ્વારા અપાતા લાભમાં અગ્રેસરતા અપાય છે, એટલું જ નહી, તેમના તરફ માનની નજરે જોવાય છે. એકલ પંડે બાળકોને ઉછેરતી બહેનો ગૌરવભેર જીવન જીવી શકે છે. 

ભારતમાં એકલું જીવન જીવનાર કે એકલ પંડે બાળકો ઉછેરતી બહેનો આપણા પુરૂષ પ્રધાન સમાજ પાસેથી આવા વર્તનની આશા રાખી શકે? 

કહેવાય છે કે અઢારમી સદીમાં Rule of Thumbનું અર્થઘટન કરવામાં આવ્યું હતું કે સ્ત્રીઓ કોઇ ગંભીર ભુલ કરે તો તેમને શિક્ષા કરવામાં આવે, અને તે માટે તેમને જે લાકડીથી ફટકા મારવામાં આવે, તે એક અંગુઠાથી વધુ જાડી ન હોવી જોઇએ! બસો વર્ષ પહેલાંની Rule of Thumbની બ્રિટીશ માન્યતા અને આપણી બે હજાર વર્ષથી પણ જુની यत्र नार्यस्तु पूज्यन्तेની પરંપરા અને આજના આધુનિક આચરણમાં કેટલો ફેર આવ્યો છે તે ખરેખર આશ્ચર્યજનક છે. 

આજે Rule of Thumb વાળા બ્રિટનમાં કે પશ્ચીમના કોઇ દેશમાં ચાલતી બસમાં કે કારમાં બહેનો પર સામુહિક બલાત્કાર કે તેમનાં ખૂન, તેમના ચહેરા પર અૅસીડ ફેંકવાના કે તેમને જીવતી બાળી નાખવા જેવા હિચકારા બનાવ થતા નથી. અહીં તેમને કોઇએ સદીઓ જુનું વાક્ય - यत्र नार्यस्तु पूज्यन्ते શીખવ્યું નથી.  


આ બાબતમાં માત્ર એટલું જરૂર કહીશ કે આપણી સંસ્કૃતીને અનુરૂપ यत्र नार्यस्तु पूज्यन्ते-નું આચરણ ભારતમાં લાવવા આપણી શિક્ષણ પદ્ધતિ, ન્યાય અને પોલીસ તંત્ર સંગઠીત થઇને સામુહીક પ્રયત્ન કરે તે અત્યંત જરૂરી છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણા સભ્ય સમાજમાં રહેનાર દરેક નાગરિક આ દિશામાં પગલાં ભરે. શિક્ષકો બાલમંદિરથી માંડી હાઇસ્કૂલ અને કૉલેજ સુધી આ વાતની જુદા જુદા સ્તર પર ચર્ચા કરે અને વિદ્યાર્થીઓના ચારિત્ર્ય અને શિસ્તબદ્ધતા પર ભાર મૂકે. માનસશાસ્ત્રીઓ માને છે કે સંસ્કારો સદીઓથી મનુષ્યના માનસમાં વંશ પરંપરાગત રીતે ઉતરતા હોય છે. કેટલીક વાર સંજોગોનો તેના પર પડદો પડી શકે છે, પણ જો શિક્ષણ અને સક્રિય સામાજીક જાગરૂકતાનો સમાગમ થાય તો આ પ્રકારનું આવરણ દૂર થઇ શકે છે. નિર્ભયા જેવા બનાવો ફરી કદી ન થઇ શકે.

બ્રિટનના અનુભવોની શ્રેણી આજે અહીં પૂરી થાય છે. આવતા અંકથી જિપ્સીએ વાંચેલી, આનંદેલી અને અનુભવેલી લલિત કથાઓ અને ફિલ્મો આપની સાથે share કરશે. આપને પણ કોઇ વાત કહેવી હોય તો તે આપણા સાથીઓ સાથે વહેંચી લઇશું. 

Saturday, January 11, 2014

૨૦૧૪ના વર્ષમાં આપનું સ્વાગત!

આપણા સહ-પ્રવાસમાં આવેલા એક નવા સિમાચિહ્ન - ૨૦૧૪માં આપણે પ્રવેશ કરીએ તે પહેલાં આપ સૌનો આભાર માનીને આગળ વધીશ! આ પાંચ વર્ષનો પ્રવાસ આપના સાથ અને સહકાર, મૂલ્યવાન સૂચનો તથા પ્રતિભાવ વગર ચાલુ શક્યો ન હોત. 

નવા વર્ષના પ્રવાસમાં આપનું સ્વાગત અને સાથે સાથે અભિનંદન. અભિનંદન એટલા માટે કે 'જિપ્સીની ડાયરી' શરૂ થઇ ત્યારથી આપ સૌએ તેને સુંદર રીતે વધાવી અને ઉત્સાહદાયક પ્રતિભાવ આપ્યા. કેટલાક સહયાત્રીઓએ તો તેને પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા પ્રેરણા આપી. પરિણામે ૨૦૧૨માં ‘જિપ્સીની ડાયરી’ આપણા વરીષ્ઠ પ્રકાશક શ્રી. શિવજીભાઇ આશર પાસે મોકલી. તેમણે ગુર્જર ગ્રંથરત્નના શ્રી. મનુભાઇ પાસે મોકલ્યું અને પુસ્તક બહાર પડ્યું.

પુસ્તક પ્રકાશિત થતાં જ તેને સારો આવકાર મળ્યો. અમદાવાદના ‘ગુજરાત સમાચાર’ના કટાર લેખક શ્રી. ઉર્વીશ કોઠારીએ તેનું અવલોકન આઠ કૉલમના લેખમાં આપ્યું. ત્યાર બાદ ન્યુ યૉર્કથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાત ટાઇમ્સ’ના સંપાદક શ્રી. હસમુખભાઇ બારોટે તેનું અવલોકન લખ્યું. બન્ને અવલોકનોમાં પુસ્તકને સુંદર શબ્દોમાં વધાવી તે મારા સહયાત્રીઓ, આપને અર્પણ કરૂં છું. આપના પ્રતિભાવ વગર જિપ્સીનો સિગરામ એક માઇલ તો શું, એક તસુભર પણ ચાલી શક્યો ન હોત. પુસ્તકનું શ્રેય આપને જાય છે તે નમ્રતાપૂર્વક કહીશ.


જિપ્સીની ડાયરીના ૨૦૧૪ના પ્રથમ અંકમાં ઉપર જણાવેલા બન્ને અવલોકનો આપને જિપ્સી દ્વારા અપાતી હૃદયપૂર્વકની અંજલી સાથે રજુ થાય છે. આશા છે આપ મારૂં આભારદર્શન સ્વીકારશો.



ઘણા વાચકોએ પુસ્તક મેળવવા વિનંતી કરી હતી, પણ logistics તથા infrastructureની કમીને લીધે તે થોકબંધ મંગાવી વહેંચવું શક્ય બન્યું નહોતું. પુસ્તકને eBookમાં પ્રકાશિત કરવાનો પ્રયત્ન શરૂ છે અને તે ઉપલબ્ધ થતાં આપ સમક્ષ રજુ થશે.

Monday, December 16, 2013

બ્રિટન - જ્યારે ભારતની સ્ત્રી શક્તી જાગે છે...


કર્મ, સંજોગ, ઇત્તેફાક આ શબ્દો આપણા જીવનમાં અભિન્ન રીતે ગુંથાયા છે. ક્યાં અને ક્યારે કોની સાથે મુલાકાત થશે, કેટલા સમય પુરતો તેમનો સંગાથ રહેશે, તે કોઇ જાણી શકતું નથી. કેટલીક વાર એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થતી હોય છે, ભલે તે ક્ષણીક કેમ ન હોય, અવિસ્મરણીય બની જતી હોય છે. તેમણે કહેલા વાક્યો, તેમણે કરેલ કામ જે આપણે દૂરથી જોયું હોય છતાં આપણાં હૃદયોમાં, સ્મૃતીમાં કાયમ માટે અંકાઇ જતા હોય છે. આવું જ કંઇ થતું હોય છે આપણે કશું’ક વાંચ્યું હોય તે બાબતમાં. પુસ્તક કે લેખકનું નામ સુદ્ધાં ઘણી વાર યાદ નથી રહેતું, પણ તેમણે લખેલા વાક્યો આપણા અંતરાકાશમાં તેજસ્વી તારાની જેમ હંમેશા ચમકતા રહે છે અને સ્વર બનીને ગુંજતા રહે છે

મહાન વિચારકો, ઋષી-સંતોએ જેને પોતાની કર્મ ભુમિ માની છે અને ત્યાં રહીને જનસેવા કરી છે, ત્યાં આપણે પગ મૂકીએ ત્યારે એક પ્રકારની દિવ્ય અનુભૂતિ થયા વગર રહેતી નથી. એક એવી વિચાર શક્તિ અને પ્રેરણા આપણા શરીર અને મનને આવરી લેતી હોય છે જેની અસર લાંબા સમય સુધી આપણો સાથ દેતી હોય છે. તીર્થયાત્રાના સ્થળોની મુલાકાત લેતી વખતે આવો અનુભવ સૌને આવી શકે છે.  અહીં ‘તીર્થ’ એટલે કેવળ ધાર્મીક સ્થળ નહી, પણ મહાપુરુષોનાં જન્મસ્થળ, તેમની કર્મભુમિ, જે સ્થળે તેમણે થોડો સમય પસાર કર્યો હોય ત્યાંની જમીન તથા આબોહવામાં એક પ્રકારની અદૃશ્ય જ્યોતિ હંમેશા પ્રકાશ પાથરતી રહે છે. આનો પ્રસાદ સૌને મળી શકે છે. ફક્ત તેને અનુભવી, તેને સ્વીકારવાની શક્તિ આપણામાં હોવી જોઇએ, એવું જાણકાર લોકો કહે છે.

લંડનની કેટલીક જાણીતી, અજ્ઞાત, શિક્ષીત, અશિક્ષીત બહેનોએ સ્ત્રીઓના મતાધિકાર માટે ચલાવેલી લડાઇ એક યજ્ઞ સમાન હતી. સમગ્ર દેશની બહેનોને તેમણે સ્ત્રી-શક્તિમાં વિશ્વાસ અને ગૌરવની ભાવના અાપી હતી. અહીં આપને નેવિલ શૂટ (Neville Shute)ની બીજા વિશ્વયુદ્ધના પ્રસંગો પર આધારીત નવલકથા ‘A Town Called Alice’ પર નિર્મીત ચિત્રપટ સોરીયલ યાદ આવશે. મલાયા (આજના મલેશિયા)માં યુદ્ધબંદી થયેલી અંગ્રેજ બહેનોમાં આત્મગૌરવની ખુમારી હતી તેને જાપાનીઝ અધિકારીઓએ અહંકાર સમજી તેમના પર અનેક અત્યાચાર ગુજાર્યા હતા. ગુલામોની જેમ મજુરી કરાવી તેમના ખમીરને ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં તેમણે હાર માન્યા વગર આ બહેનો શાંતીપૂર્વક તેનો સામનો કરતી રહી અને અંતે વિજયી થઇ હતી. Suffregettesની લડાયક ભાવના બ્રિટનમાં ગયેલી ભારતીય બહેનોમાં ક્યારે અને કેવી રીતે આવી એ વિચારવા લાયક વિષય હતો. 

ભારતવર્ષના ઇતિહાસમાં તેમજ આધુનિક કાળમાં એકલ-માતાઓએ (single parent mothers) આજના સમય, પુરુષપ્રધાન સમાજ તથા સંજોગો સામે લડીને પોતાનાં બાળકોને સ્વમાનભર્યું જીવન જીવવાની શક્તી આપતી રહી છે. અન્યાયી અને જુલમ ગુજારતી વિદેશી સત્તાઓને યુદ્ધનો પડકાર આપ્યો છે, જે કાંઇ બહારથી આવેલી વાત નથી. આ તો તેમના અંતરમાં રહેલી જન્મજાત દુર્ગાની શક્તિનો સાક્ષાત્કાર છે. બ્લૉગરના એક અનુવાદિત પુસ્તક "બાઇ"માં આ વાત જરૂર જોવા મળશે.

લંડનમાં સોશિયલ સ્ટડીઝમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરતી વખતે અમૃત વિલ્સન, યાસ્મીન અલીભાઇ જેવી લેખિકાઓ તથા જયાબહેન દેસાઇએ સમગ્ર બ્રિટનમાં દેશવ્યાપી હડતાલ ચલાવી હતી તેનો અભ્યાસ કરતી વેળાએ લેખકના મનમાં બે વાતો ધ્યાનમાં આવી:

એક તો સ્વમાન, આત્મગૌરવ અને સંઘર્ષની શક્તિ પરમાત્માએ ભારતીય સ્ત્રીઓમાં ભરપૂર પ્રમાણમાં બક્ષી છે. પ્રગટ કે અપ્રગટ રીતે પ્રજ્વલિત રહેલી આ શક્તિને ભારતના પુરુષ-પ્રધાન દેશમાં સ્ત્રીઓને આર્થીક રીતે પુરુષ પર આધાર રાખતી કરી દેવામાં આવી છે. બીજી વાત: સદીઓથી આ થતું આવ્યું હોવા છતાં ભુમિગત સરસ્વતિની જેમ આત્મનિર્ભરતાનો પ્રવાહ આપણી મહિલાઓમાં સતત જીવંત રહ્યો છે. બ્રિટનની સોશિયલ સિક્યોરિટી પદ્ધતિ તથા ત્યાંની ઉદારમતવાદી (liberal) વિચારસરણીએ એકલજીવી બહેનોને સ્વમાન તથા આર્થિક સ્વાતંત્ર્યનું શસ્ત્ર આપીને તેમને સમાજમાં વિશિષ્ટ સ્થાન આપ્યું, જેનું મહત્વ આપણી બહેનોએ જાણ્યું. આ જાણે એક catalyst થયું અને તે દ્વારા બહેનોને પોતાની આંતરીક શક્તિને મૂર્ત સ્વરૂપ આપવા મળ્યું. 

આજના અંકમાં આપને બ્રિટનમાં એક સમયમાં વિશ્વવિખ્યાત બનેલા અને હાલ સમયના પડદા પાછળ રહેલી એક મંદ જ્યોતિ સમાન જ્વલંત એવા સ્વ. જયાબહેન દેસાઇનો પરિચય આપીશું. આ લેખ અમદાવાદથી પ્રસિદ્ધ થતા ‘સાર્થક જલસો’ના દિવાળી અંકમાં પ્રસિદ્ધ થયો હતો. તેનું સંક્ષિપ્ત સંસ્કરણ ‘સાર્થક જલસો’ના સંપાદક મંડળના સૌજન્યથી અહીં આપ્યું છે. 
***

૧૯૭૦ના દાયકામાં બ્રિટન આર્થિક મંદીમાં સપડાયું હતું. બેકારી ચારે તરફ વર્તાઇ રહી હતી. એવામાં પૂર્વ આફ્રિકાથી મોટી સંખ્યામાં નિર્વાસીત થયેલા ભારતીય ઉગમના લોકો બ્રિટનમાં આવી પહોંચ્યા હતા. વર્ણદ્વેષની નિમ્નકક્ષાએ પહોંચેલા બ્રિટીશ સમાજમાં પૂર્વ આફ્રિકાથી ગયેલા નિર્વાસીતોની હાલત વર્ણવી શકાય તેમ નથી. સુખવસ્તુ પરિવારની બહેનોને લંડનની કારમી બેકારીમાં પતિ-સમોવડી બનવા નોકરી કરવાનો વારો આવ્યો. ગ્રૅજ્યુએટ થયેલી અને પૂર્વ આફ્રિકામાં અંગ્રેજ કંપનીઓમાં કામ કરી ચૂકેલી આપણી બહેનોને સરકારમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (જે તે સમયે અૅડમીન અાસીસ્ટન્ટ કહેવાતા)ની પણ નોકરી ન મળે. પચાસ-સો માણસને કામે રાખનાર કંપનીના મૅનેજર, જેમને આફ્રિકા છોડીને બ્રિટન જવું પડ્યું હતું તેમને unskilled મજુરોનું કામ કરવાની ફરજ પડી. મોટા ભાગની શિક્ષીત બહેનોને ફૅક્ટરીઓની અૅસેમ્બ્લી લાઇનમાં કામ કરવાનો વારો આવ્યો. ટાંઝાનિયાથી લંડન આવેલ ટાયર ફૅક્ટરીના મૅનેજર સૂર્યકાંત દેસાઇ તથા સુખવસ્તુ પરિવારનાં જન્મેલા તેમનાં પત્નિ જયાબેન પણ તેમાંથી બાકાત ન રહ્યા. સૌને ફૅક્ટરી, કપડાં સીવવાની sweatshops અને સુપરસ્ટોરની અભરાઇઓમાં માલ ભરવાનું કામ કરવું પડ્યું.

આવી એક ફૅક્ટરી હતી ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસીંગ લેબોરેટરીઝ. લંડનના વિલ્સડન વિસ્તારમાં આવેલી આ કંપનીનો એક પ્લાન્ટ ડૉલીસ હિલ ટ્યુબ સ્ટેશન પાસે આવેલા ચાર્ટર રોડ તથા નજીકના કોબોલ્ડ રોડ પર આવ્યો હતો. Mail Orderથી આવેલી કૅમેરાની ફિલ્મને ધોવાનું તથા તેની પ્રિન્ટ્સ બનાવી ટપાલથી ગ્રાહકોને પાછી મોકલવાનો તેમનો વ્યાપાર બ્રિટનના ફોટો પ્રિન્ટના ક્ષેત્રમાં સૌથી મોટો  ગણાતો. આખા દેશમાંથી દરરોજ હજારોની સંખ્યામાં તેમની પાસે ટપાલ દ્વારા િફલ્મ આવે અને કંપની તેને ડેવેલપ કરી, તેની પ્રિન્ટસ્ ગ્રાહકોને એક અઠવાડિયામાં પાછી મોકલે. કંપનીના માલિક રૂઢીચુસ્ત Conservative Partyના અગ્રગણ્ય  સભ્ય હતા. આ પક્ષ કામદાર સંઘોની સાવ વિરુદ્ધ હતો. પક્ષની નીતિને અમલમાં આણવા આ માલિકે તેમની કંપનીમાં હુકમ કરીને કર્મચારીઓને યુનિયનના સભ્ય થવા પર પ્રતિબંધ મૂક્યો. નિયમનું ઉલ્લંઘન કરનારને તરત જ નોકરી પરથી કાઢી મૂકવામાં આવે. કમરતોડ ગરીબી અને બેકારીને કારણે કોઇ કામદાર આ નિયમનો ભંગ કરવાની સ્થિતિમાં નહોતા.

આપણા લોકોની ગરજ જોઇને ગ્રુનવિકે તેમને અઠવાડિયાના કેવળ ૨૮ પાઉન્ડનું વેતન આપવાનું શરૂ કર્યું. તે સમયે બ્રિટનમાં અઠવાડિયાના ૪૦ કલાક કામનો સરેરાશ દર ૭૨ પાઉન્ડ હતો. તે સમયે સ્ત્રીઓને અસમાન પગાર અપાતો હોવાથી તેમને લગભગ અઠવાડીયાના ૪૪ પાઉન્ડ અપાતા. આફ્રિકા તથા વેસ્ટ ઇન્ડીઝથી ગયેલા લોકો તો અસહ્ય બેકારીના સમયમાં કોઇ પણ કામ મળે, ગમે એટલો ઓછો પગાર મળે, કામ લઇ લેતા. ગ્રુનવિકમાં કામ કરનારા લગભગ ૪૦૦ કામદારોમાંથી લગભગ ૩૫૦ કામદાર ભારતીય મૂળના, ત્રીસે’ક વેસ્ટ ઇન્ડીઝના અને બાકીના હતા તે ગોરા સુપરવાઇઝર અને મૅનેજર. આપણા લોકોની “આજ્ઞાંકિત” વૃત્તિ, ચૂપચાપ જુલમ સહેવાની ટેવને જોઇ છેલ્લે છેલ્લે તો કંપનીએ બિન-એશિયન અરજદારોને કામે રાખવાનું બંધ કરી નાખ્યું.

૧૯૭૬ના વર્ષનો ઉનાળો બ્રિટનમાં સૌથી વધુ ઉષ્ણ હતો. કારખાનાંઓમાં અૅર કન્ડીશનીંગ અથવા પંખા હોવા જ જોઇએ એવા ઇન્વારયર્નમેન્ટ ખાતાના નિયમો હતા. જ્યાં સુધી તેની વ્યવસ્થા ન થાય, કર્મચારીઓ પાસેથી તેમને સોંપાયેલા કામના ક્વોટામાં યોગ્ય ઘટાડો કરવો એવો નિયમ હતો. ગ્રુનવિકમાં અૅર કન્ડીશનીંગ બંધ પડી ગયું હતું. કંપનીએ ખર્ચમાં બચત કરવા તેની અવેજીમાં પંખા મૂકવા - કે અૅર કન્ડીશનરને રિપૅર કરવા કોઇ પગલાં ન લીધા. આની અસર ઉત્પાદન પર થઇ, પણ કંપનીએ કામદારોના ક્વોટામાં કોઇ બાંધ છોડ ન કરી. ૨૦ અૉગસ્ટ ૧૯૭૬ના રોજ દેવશી ભુડિયા નામના કર્મચારીને ગોરા સુપરવાઇઝરે “તું કામમાં ઢીલાશ કરે છે,” કહી તેમનું અપમાન કરી તેમને કામ પરથી કાઢી નાખ્યા. આ અન્યાય અને અપમાનાસ્પદ  વર્તન જોઇ તેમના ત્રણ સાથીઓ મૅનેજરના અસભ્ય વર્તનના વિરોધમાં તેમની સાથે કામ છોડી બહાર નીકળી ગયા. 

કામ પૂરૂં કરવાનો સમય સાંજના પાંચનો હતો તેમ છતાં જયાબેન લગભગ સાત વાગે ઘેર જવા માટે કોટ પહેરવા ગયા, ત્યારે મૅનેજરે તેમની કેબીનમાં બોલાવ્યા. ખુરશી પરથી ઉભા થઇ ગુસ્સે થઇને બરાડ્યા, “અમારી રજા વગર તારૂં કામ પૂરૂં થયું એમ કેમ માની લીધું? તને પણ આ ફૅક્ટરીમાંથી બરતરફ કરવામાં આવે છે.”

ગુસ્સાથી તમતમતા, છ ફીટ ઉંચા,  અલમસ્ત શરીરવાળા મૅનેજર માલ્કમ અૉલ્ડનની સામે ઉભા રહી ૪ ફીટ દસ ઇંચની ઉંચાઇ વાળા ઢીંગલી જેવા જયાબહેને શાંત પણ મક્કમ સ્વરે કહ્યું, “મિસ્ટર મૅનેજર! તમે ચલાવો છો તે ફૅક્ટરી નથી, આ તો પશુ સંગ્રહાલય છે! તમને ખબર હશે કે પ્રાણીસંગ્રહાલયમાં અનેક જાતના જાનવર હોય છે. કેટલાક તમારી આંગળીના ઇશારે નાચતા વાંદરા હોય છે. અમે સિંહ છીએ! ગમે ત્યારે તમને ચાવી જઇશું,” કહી તેમણે પણ વૉક આઉટ કર્યો. જયાબેનની સાથે તેમનો પુત્ર સુનીલ પણ વૉકઆઉટ કરી ગયો.

જયાબેનના આ વાક્યો બ્રિટનના લગભગ દરેક અખબારમાં, રેડીયો પર અને ટેલીવિઝનના સમાચારોમાં અનેક વાર લખાયા, વંચાયા અને કહેવાયા! આજે પણ ઇન્ટરનેટ બ્રાઉઝર પર ‘જયાબેન દેસાઇ’ પર ક્લિક કરશો તો તેમની માહિતીમાં આ વાક્યો જરૂર જોવા મળશે! 

બીજા દિવસે આ છ જણા ફૅક્ટરીની બહાર પિકેટ લગાવીને ખડા થઇ ગયા. સૌથી આગળ હતા જયાબેન. 

બ્રિટનમાં એક તરફ વર્ણદ્વેષી લોકોની બહુમતિ પ્રવર્તતી હતી તો બીજી તરફ ત્યાંની પ્રજામાં સહિષ્ણુ વૃત્તિના ઉદારમતવાદી લોકોનો વર્ગ શાંત પણ સક્રિય છે. ઘણા સમયથી બ્રિટનમાં બિન સરકારી ક્ષેત્રમાં Citizens’ Advice Bureau જનતા માટે વિનામૂલ્ય સલાહકેન્દ્ર ચલાવે. વિલ્સડન હાઇ રોડ પર તેમની એક શાખા હતી તેમાં કામ કરનાર એક મહિલાએ જયાબેનને યુનિયનના સભ્ય થવાની સલાહ આપી. જયાબેન અને તેમના સાથીઓ કામદાર સંઘમાં જોડાયા અને કંપનીની બહાર પિકેટીંગ ચાલુ રાખ્યું. જોતજોતામાં ગ્રુનવિકમાં કામ કરનારી ૧૩૬ બહેનો આ હડતાલમાં જોડાઇ અને પિકેટીંગ કરવા લાગી. રોજ સવારે છ વાગે બહેનો આવે અને ફૅક્ટરીની સામે ખડી થઇ જાય. જયાબેન નજીકના લંડન અંડરગ્રાઉન્ડના ટ્યુબ સ્ટેશનોની બહાર ઉભા રહી પ્રવાસીઓને તેમની હડતાલ વિશે ચોપાનિયાં વહેંચવા લાગ્યા. રાષ્ટ્રીય કક્ષાના અખબારોને નવાઇ લાગી. એક શાંત, સહનશીલ સમાજની સ્ત્રીઓ તરીકે જેમની ખ્યાતિ હતી તેમને આમ અન્યાય સામે અવાજ ઉઠાવતી જોઇ દેશના અખબારોએ “Strikers in Saris”ને વધાવી લીધી. તેમની છબીઓ છપાવા લાગી. 


વિલ્સડનની નજીક જ આવેલી ક્રિકલવૂડની ટપાલખાતાની સૉર્ટીંગ અૉફીસ, જે પોસ્ટ અૉફીસ વર્કર્સ યુનિયનનું સભ્યપદ ધરાવતી હતી, તેના બધા અંગ્રેજ કર્મચારીઓએ તથા એક વેસ્ટ ઇન્ડીયન સભ્યે  જયાબેનનો પક્ષ લીધો. તેમણે જયાબેનની પિકેટ લાઇનને ઓળંગી ગ્રુનવિકની ટપાલની ડિલીવરી કરવાનો ઇન્કાર કર્યો. ગ્રુનવિકનો ધંધો mail orderનો હતો. સૉર્ટીંગ અૉફિસના કર્મચારીઓએ ગ્રુનવિકના હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની સહાનુભુતિમાં આગળ જતાં ગ્રુનવિકની ટપાલ - જેમાં કંપનીના ઘરાકના તૈયાર થયેલા ફોટોગ્રાફ્સ હતા, તે પૅકેટ્સ પણ લઇ જવાનો ઇન્કાર કર્યો. હવે તો ધંધામાં ખોટ આવવાની શરૂઆત થઇ. કામદારોને નજીવો પગાર આપીને ૩૦%થી વધુ નફો કમાવનાર કંપની આ કેવી રીતે સાંખી લે? 

હવે ગ્રુનવિકના હડતાલ પર ઉતરેલા સભ્યોએ તેમની હડતાળને રાષ્ટ્રવ્યાપી બનાવવા સંઘર્ષ સમિતી સ્થાપી. હવે તો આખા દેશના અન્ય યુનિયનોના સભ્યો ગ્રુનવિકની હડતાલને સમર્થન આપવા દૂર દૂરથી તેમના સભ્યોને ખાસ બસો ભરી ભરીને લાવવા લાગ્યા. જયાબેન  તેમની આવડે તેવી - પણ જોરદાર અંગ્રેજીમાં ભાષણ આપવા લાગ્યા. “અમારી લડત વધુ વેતન માટે નથી. અમારી માગણી કામદારોના સ્વમાન તથા આત્મગૌરવ માટેની છે,” તેઓ કહેતા.

જયાબેનની હડતાલ તોડવા કંપનીએ ભારે પગારે ગોરા કામદારોને બોલાવ્યા, પણ તેમને ડર લાગ્યો કે પિકેટીંગ કરનાર ‘સાડીધારી હડતાલીયા’ તેમને સ્ટેશન પર જ રોકે તો શું કરવું? ગ્રુનવિકે દરેક ‘નવા’ કામદારોના ઘેર બસ મોકલી. તેમને લઇ ચૅપ્ટર રોડ પર જ્યારે બસ પહોંચી, પિકેટીંગ કરનાર બહેનોએ “SCAB!”નાં પાટિયાં લઇ બસને ઘેરી લીધી. ‘સ્કૅબ’ એટલે હડતાલ પર ઉતરેલા કામદારોનો હક્ક છિનવી તેમનું કામ લઇ લેનાર હલકી કક્ષાના ગદ્દાર! એક પણ નવો કામદાર બસમાંથી નીચે ન ઉતરી શક્યો. બસ પાછી ગઇ. જયાબેનની આ સૌથી મોટી સિદ્ધી હતી, કારણ આ કામદારોને મદદ કરવા છ ફીટથી પણ લાંબા ખાસ પોલીસમેન તેમને ઘેરીને ફૅક્ટરીની અંદર લઇ જવા નીકળ્યા, પણ તે સફળ ન થયા.

અંતે કંપની સમાધાન માટે તૈયાર થઇ: એક શરત પર. કર્મચારીઓ યુનિયનમાં જોડાય નહી. આ શરત કામદારોના મૂળભૂત અધિકારની વિરુદ્ધનો માની સંઘર્ષ સમિતિએ સમાધાન નકાર્યું. ગ્રુનવિકની હડતાલ સમિતિ બ્રિટનની લવાદી સંસ્થા ACAS  પાસે ગઇ. તે સમયે મજુર પક્ષના શ્રી. જેમ્સ કૅલાહાનની સરકાર હતી. તેમણે લૉર્ડ સ્કાર્મનની અધ્યક્ષતા નીચે આ દેશવ્યાપી હડતાળનું સમાધાન કરવા કોર્ટ અૉફ ઇન્કવાયરી નીમી. તપાસ વખતે  જ્યારે ગ્રુનવિકના મૅનેજર જૉન અૉલ્ડનને લૉર્ડ સ્કાર્મને પૂછ્યું કે જયાબેન અને તેમની સાથી બહેનોએ શા માટે ’વૉક આઉટ’ કર્યો, તેઓ જવાબ ન આપી શક્યા. આખરે લૉર્ડ સ્કાર્મને ફરી એક વાર પૂછ્યું, અૉલ્ડને કહ્યું, “કોણ જાણે. પણ અચાનક તે (જયાબેન) ભડકી ઉઠ્યા અને બોલ્યા, “ I want my freedom.” તેમનું આ વાક્ય મારા અંતરમાં કોરાઇ ગયું છે.” 

***


જયાબેને શરૂ કરેલી હડતાલ, ગામે ગામ જઇને તેમણે ભરેલી સભાઓ તથા અખબારો સાથેની મુલાકાતોને પરિણામે યૉર્કશાયરના ખાણમજુરોના પ્રભાવશાળી નેતા આર્થર સ્કારગીલ આ સંઘર્ષમાં જોડાયા અને તેમના યુનિયનના હજારો સભ્યોને લઇ વિલ્સડન પહોંચ્યા. મેટ્રોપોલિટન લંડનના મૂખ્યાલયે નિમ-લશ્કરી સેનાની સ્થાપના કરી અને તેમના સશસ્ત્ર દળોને ગ્રુનવિકની ફૅક્ટરી સામે પિકેટીંગ કરતી બહેનોને રોકવા મોકલ્યા. તેઓ બહેનોનાં વાળ પકડી પોલીસવાન તરફ ઘસડી ગયા. દેશમાં હાહાકાર થયો, પણ કશું વળ્યું નહી. ન તો બહેનોએ પીછેહઠ કરી, ન કંપનીએ નમતું જોખ્યું.

જયાબેન તથા તેમની ‘Strikers in Saris’ ૬૯૦ દિવસ સુધી હડતાલ અને પિકેટીંગ કરતી રહી. રાજકીય પક્ષો દ્વારા ચલાવાતા મજુર મંડળોનો ઉદ્દેશ પોતાનું અસ્તીત્વ ટકાવીને રાજકીય ફાયદો ખાટવાનો હતો. બેઉ શક્યતાઓ નાબૂદ થતાં બ્રિટનના મજુર-મહામંડળ TUCએ જયાબેનનો સાથ છોડ્યો. લગભગ બે વર્ષ સુધી લાંબી લડત બાદ ગ્રુનવિકની હડતાલ પાછી ખેંચાઇ. 

આખી લડતમાં બે વાતો બહાર આવી. 

સ્ત્રી શક્તિ જ્યારે જાગે, તે દુર્ગાનો અવતાર બને છે. તે માટે ભારત દેશમાં જ તેણે અવતરવું જોઇએ એવો નિયમ નથી!

બીજી વાત: જ્યારે જનતાની સ્વપ્રેરિત લડતમાં રાજકારણી ચૌદશિયા જોડાય તો તેનો અંજામ કટુ જ નિવડે. સંઘર્ષમાં જીત થાય તો તેનો યશ આ રાજકીય પક્ષો લઇ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. લડતમાં કદાચ હાર થાય તો તે હાર લડત શરૂ કરનાર યોદ્ધાઓની છે એવું કહી હઠી જતા હોય છે. બન્ને બાજુએ ફાયદો આ પક્ષોને જ થતો હોય છે. જયાબેન દેસાઇની લડતમાં આવું જ થયું. બ્રિટનના વામપંથી અને કમ્યુનીસ્ટ રાજકારણીઓ આ સંગ્રામમાં જોડાયા. તેમણે મોટેથી શોર-શરાબો કર્યો જ્યારે તેમણે જોયું કે આખા દેશનું વલણ માર્ગરેટ થૅચરના નેતૃત્વ નીચે કૉન્ઝરવેટીવ પક્ષ તરફ છે, અને મજુર પક્ષ ખરાબ રીતે હારવાનો છે, તેઓ જયાબેનની લડતમાંથી હઠી ગયા. 

ગ્રુનવિકની લગભગ બે વર્ષની લડતમાં ટાઢ, તડકો, વરસાદ - કશાની પરવા કર્યા વગર જયાબેન દેસાઇ તથા તેમની સાથે લડતમાં ભાગ લેનારી ૪૦૦ જેટલી બહેનોએ સતત ભાગ લીધો. અંતે આ અનિર્ણીત લડત પાછી ખેંચાઇ. આ લડતમાં હાર જયાબેન કે તેમની સાથે લડાઇમાં જોડાયેલી બહેનોની નહોતી. તેમણે તો એક અપૂર્વ જીત હાંસલ કરી હતી. ભારતીય સ્ત્રી એટલે ગરીબડી ગાય, જ્યાં દોરાય ત્યાં જાય, ગમે તેવો સીતમ સહે, એવી બ્રિટનમાં પણ ફેલાયેલી છાપને તેમણે સદંતર દૂર કરી. એક પ્રબળ સત્તા સામે ભારતીય સ્ત્રીઓ પણ ટક્કર લઇ શકે છે તે સાબિત કર્યું. દેશભરમાં ભારતીય-બ્રિટીશ મહિલાઓની અભૂતપૂર્વ પહેચાન કરાવનાર વ્યક્તિના કાર્યને કોઇ હાર કેવી રીતે કહી શકે? અહીં જો કોઇની હાર થઇ હોય તો તે હતી એક વર્ણદ્વેષી સમાજ પદ્ધતિની. તેમની કહેવાતી  બ્રિટનના નિષ્પક્ષ ન્યાયતંત્રની પોકળતાની. 

જયાબેન દેસાઇનું અવસાન ૭૭ વર્ષની વયે ૨૩ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ થયું. સમગ્ર બ્રિટનમાંથી તેમને ભારોભાર અંજલિ અપાઇ. 

એક કટાર લેખિકા લિંડસી જર્મને લખ્યું, “On September 2, 1976 these workers, who became known as "the strikers in saris", were dismissed...A thousand workplaces across Britain embraced their cause. By July 11, 1977, 20,000 unionists marched on the (Grunwick) factory.”

બ્રિટનના અગ્રગણ્ય સમાજશાસ્ત્રના લેખિકા યાસ્મિન અલીભાઇ-બ્રાઉને પ્રસિદ્ધ અખબાર ધ ઇન્ડીપેન્ડન્ટમાં લખ્યું, “...Mrs Desai... was tiny, not quite 5ft tall and almost always in a sari and cardigan, carrying a plastic handbag and a coat that couldn't possibly have kept her warm. Her hair was tied in a plait or a bun and between her brows was her tikka, a dot worn by Hindu women. I interviewed her several times – she reminded me of my mum, short too, who wore saris with cardis. Both taught themselves functional English and then used the language, freely and imaginatively, like a rebellious artist does his colour palette.... Like other exiles, they had to do stuff they had never done before, adjust to life in a cold climate and the poverty faced by involuntary migrants. They had to toughen up.”

છેલ્લે જયાબેને તેમના મૅનેજરને કહેલ બીજું વાક્ય યાદ આવે છે: "A person like me, I am never scared of anybody." 


લેખક જ્યારે ૧૯૮૧માં લંડન કાયમી વસવાટ માટે ગયો ત્યારે તેનું કાર્યક્ષેત્ર આ જ વિલ્સડન વિસ્તારમાં હતું. ચૅપ્ટર રોડ અવાવરૂ થઇ ગયો હતો. ડૉલીસ હિલ ટ્યુબ સ્ટેશન વસૂકી ગયેલી ગરીબડી ગાય જેવું બેઠું છે અને સ્ટેશનના દરવાજામાં ચોપાનિયાં વહેંચતા જયાબેનની યાદને જાણે વાગોળતું હોય તેવું લાગે. કોબોલ્ડ રોડ ઉધઇથી ખવાઇ ગયો હોય તેવો લાગે છે. નથી તેમાં લંડનનું એક પરું હોવાનું નૂર કે નથી તેમાં કોઇ રોનક. આ રોનક તો જયાબેન દેસાઇ, તેમની સાથીદાર બહેનો અને ભાઇઓની રવાનગીની સાથે નષ્ટ થઇ ગઇ.

આ વર્ષનો આ છેલ્લો અંક છે. આપ સૌને નાતાલ, નવા વર્ષની શુભેચ્છા. નુતન વર્ષ આપ સૌને સુખદ, સબળ અને સમૃદ્ધ નિવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના. નવા વર્ષમાં ફરી મળીશું! 

Sunday, December 1, 2013

લંડનની સોશિયલ સર્વિસીઝના અનુભવો

ભારતીય ઉપખંડમાંથી આવેલા સિનિયર સિટીઝન્સની સંસ્થામાં લગભગ બે વર્ષ કાર્ય કર્યા બાદ જિપ્સીને લંડનના પછાત ગણાતા વિસ્તારમાં આવેલી કાઉન્સીલની સોશિયલ સર્વીસીઝ ડિપાર્ટમેન્ટની કચેરીમાં અંગ્રેજ અને ભારતીય ઉપખંડમાંથી આવેલા નાગરિકો સાથે કામ કરવાની તક મળી. તેના caseloadમાં અરધો-અરધ પાકિસ્તાનના મીરપુર જીલ્લામાંથી આવેલા લોકો હતા. ભારત કરતાં પૂર્વ આફ્રિકામાંથી આવેલા લોકોના કેસ વધુ પ્રમાણમાં હતા. અહીં તેને ઘણા રસપ્રદ અનુભવ આવ્યા. 

સોશિયલ સર્વિસીઝમાં જે Professional Qualification લઇને આવેલા ભાઇ બહેનોમાં વર્ણીય સમાનતા વિશે જે સહિષ્ણુતા જોવા મળી તે ખરે જ આશ્ચર્યકારક હતી. સોશિયલ વર્કર્સ, અૉક્યુપેશનલ થેરાપિસ્ટ જેવા કાર્યકરો આપણાં લોકોની સાંસ્કૃતીક બાબતો જાણવા ખાસ પ્રયત્ન કરતા. કોઇ પણ ક્લાયન્ટની મુલાકાત લેતાં પહેલાં આ બાબતમાં બને એટલી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા. 

પાછલા અંકમાં એક વાચકે બ્રિટનમાં વસતા ભારતીય ઉગમની વ્યક્તિઓ તથા પાકિસ્તાનથી ગયેલા નાગરિકો વચ્ચેના સંબંધો વિશે પૃચ્છા કરી હતી. આ અનુસંધાનમાં અહીં એક case study રજુ કરીશું. આ વાત ‘ડાયરી’ના ત્રણે’ક વર્ષ જુના અંકમાં રજુ કરી હતી તે વાચકોને કદાચ યાદ હશે, પણ નવા સાથીઓની જાણ તેની સંક્ષિપ્ત વિગત નીચે આપી છે. ક્લાયન્ટના નામ તથા સ્થાનમાં ફેરફાર કર્યા છે જેથી તેમની ગુપ્તતા જળવાઇ રહે. 

***


૧૯૮૫નું વર્ષ હતું. નોકરી પર હાજર થયો ત્યારે ટીમ ક્લાર્કે પેન્ડીંગ કેસ ફાઇલ્સનો ગઠ્ઠો ટેબલ પર મૂક્યો અને કહ્યું, “છ મહિનાથી આ કેસ-વર્કની ફાઇલો પડી રહી છે. આપણા આ ‘ક્લાયન્ટ્સ’ને અંગ્રેજી આવડતું નથી તેથી ડ્યુટી સોશિયલ વર્કર્સ તેમના માટે સરખી રીતે કામ કરી શક્યા નથી. તમને સમય મળે તે પ્રમાણે બધી જોઇ જજો.”

જિપ્સીએ એક એક કરીને કેસ ફાઇલ જોવાની શરૂઆત કરી. કામની પદ્ધતિ મુજબ પહેલા પાના પર ‘મિનીટ શીટ’ હતું તેમાં ક્લાયન્ટની મૂળભૂત માહિતી અને ત્યાં સુધીમાં તેમના માટે જે કામ કરવામાં આવ્યું હતું તેની ટૂંકી નોંધ હતી. જિપ્સી તેનો અભ્યાસ કરતો હતો તેવામાં તેનાં ટીમ લીડર તેની પાસે આવ્યા અને કહ્યું, “એક મિનીટ મારી અૉફિસમાં આવશો? " 

તેમની રૂમમાં ગયો ત્યારે બારણું બંધ કરી તેમણે પૂછ્યું, "તમને મિસ્ટર જીની ફાઇલ જોવાનો મોકો કદાચ નહી મળ્યો હોય, પણ તેમના ઘરમાં ફાયર અૅક્સીડન્ટ થયો છે. મિસેસ જીની હાલત ગંભીર છે એવું પોલીસે જણાવ્યું છે. ક્લાયન્ટને પૂરતું અંગ્રેજી નથી આવડતું. કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું તેનું મને દુ:ખ છે. તમે ત્યાં જઇને મિસ્ટર જીને બને એટલી મદદ કરશો. કોઇ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે એક અનુભવી સોશિયલ વર્કરને મોકલીશ.

જિપ્સીએ ઉતાવળે જ મિસ્ટર જીની ફાઇલ જોઇ. તેમની ટૂંકમાં વિગત આ પ્રમાણે હતી: ઉમર ૭૫; આખું નામ “ મિસ્ટર અહેમદજી”. પરિવારમાં પત્નિ અને ૧૬ વર્ષનો પુત્ર. ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઇલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’. 

મિસ્ટર જીના ઘેર જતાં જોયું તો તેમના ઘરની બહાર પોલીસની રોવર અને ફાયર બ્રિગેડનો બંબો હતો. પોલિસના એક સાર્જન્ટ અને એક કૉન્સ્ટેબલ બહાર ઉભા હતા. 

“મિસ્ટર જીના ઘરમાં આગ લાગી ત્યારે મિસેસ જી ઘરમાં એકલા હતાં. ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઇ તેમનાં પાડોશીએ ફાયર બ્રિગેડ બોલાવી. અમને આની તરત સૂચના મળી. અમને અફસોસ છે કે મિસેસ જીનું હૉસ્પીટલ પહોંચતા પહેલાં જ અવસાન થયું. મિસ્ટર જી મસ્જીદમાં હતા અને અમે તેમને હૉસ્પીટલ પહોંચાડ્યા છે. મુશ્કેલી એ છે કે તેઓ અમારી વાત સમજી શકતા નથી અને અમે તેમની વાત. તમે અમારી મદદ કરી શકશો? મિસ્ટર જીને હજી ખબર નથી કે તેમનાં પત્નિનું અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર પણ તમારે તેમને આપવાના છે. મને આશા છે કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી શકશો.” સાર્જન્ટે કહ્યું.

પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પીટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખુણામાં મિસ્ટર જી બેઠા હતા. અમને જોઇ તે ઉભા થયા. છ ફીટ ઉંચા, સફેદ દાઢી-મૂછ, માથા પર નમાઝ પઢતી વખતે પહેરાતી ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની લકીર સ્પષ્ટ દેખાતી હતી. જિપ્સીએ તેમને સલામ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને પરિચય આપ્યો કે તે વિસ્તારના ભારતીય ઉપખંડના નાગરિકોને સહાયતા આપવા માટે તેની નિયુક્તિ થઇ છે. તેમણે સલામનો પ્રત્યુત્તર આપી બનાવ વિશે સવાલ કર્યા ત્યારે જીપ્સી ચકરાઇ ગયો: તેઓ મીરપુરી ભાષામાં વાત કરતા હતા!  જો કે કાશ્મીરમાં નોકરી કરી હોવાથી જિપ્સી ગુજ્જર જાતિની ખાનાબદોશ ભરવાડ કોમના સમ્પર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે મુશ્કેલીથી કેમ ન હોય, પણ તેઓ વાત સમજી શકતા હતા.આમ સૌ પ્રથમ તો પોલિસની કારવાઇ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મિસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા - બધું જ વિલય પામ્યું. બચી ગયા હતા કેવળ બે માનવ. મિસ્ટર જી જિપ્સીના ખભા પર માથું મૂકી રડી પડ્યા અને સોશિયલ વર્કર તેમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. અંગ્રેજ પોલિસ સાર્જન્ટથી રહેવાયું નહિ. તેઓ જલદીથી જઇ પાણીનો ગ્લાસ લઇ આવ્યા. થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી તેમણે કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. માનો એ બહુ વહાલો દિકરો હતો.”

બ્રિટનમાં સ્ટીરીયોટાઇપ અત્યંત સામાન્ય હકીકત છે. ભારતીય ઉપખંડના લોકો પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતી માણસ પટેલ જ હોય! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ જ ધારે. મિસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પીટલના સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઇ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી મિસ્ટર અક્રમ મલીક આવી પહોંચ્યા. અક્રમ મલીકની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઇ તરત જણાઇ આવ્યું કે તેમને ભારતીય લોકો પ્રત્યે ખાસ પ્રેમ નથી. “તમે ઇન્ડીયનો અમારા માટે કશું કરી શકવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે.....”

જિપ્સીએ તેમની વાત ત્યાં જ કાપી અને કહ્યું, “જુઓ, હું આપણી એશીયન કોમ માટેનો સોશિયલ વર્કર છું. હું કાઉન્સીલની સોશિયલ સર્વીસીઝનો પ્રતિનિધિ છું, અને મિસ્ટર જી મારા માન્યવર બુઝર્ગ છે.  અત્યારે મિસ્ટર જીને રહેઠાણની જરૂર છે, અને તે પૂરી કરવા મારે કાઉન્સીલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત કરવા જવું પડશે. બાકી ફ્યુનરલ વિગેરેની વ્યવસ્થા કાલે કરીશ, કારણ કે પોસ્ટ મોર્ટમ કાલે થવાનું છે.” કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સીલની હોય છે તે હું જાણતો હતો. અહેમદજીનું ઘર આગને કારણે રહેવા લાયક રહ્યું નહોતું.

મિસ્ટર મલીક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઇ ગયા. જુઓ, અહેમદજીનો મોટો દીકરો વાજીદ તેમનાથી જુદો રહે છે. તે તેમને થોડા દિવસ માટે લઇ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલની વાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે. બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો."

સમાજ કલ્યાણ વિષયક કાયદાઓથી જિપ્સી જ્ઞાત હતો તેથી અહેમદજીનું કામ ઝડપથી પૂરૂં થયું. તેમને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. ડિપાર્ટમેન્ટ પાસે નાગરિકોની કટોકટી પરિસ્થિતિને પહોંચી વળવા ખાસ રકમ હતી તેમાંથી તેમના રાશન,ગૅસ, વિજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઇ ગઇ. ત્રણે’ક મહિનામાં કાઉન્સીલે તેમનો ફ્લૅટ રિપૅર કરી આપ્યો. સોશિયલ સર્વિસીઝ તરફથી તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો આપવામાં આવ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે જિપ્સીએ તેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. 

આ હતો જિપ્સીના પહેલા દિવસની ડ્યુટીનો પહેલો કેસ! 

મિસ્ટર જીની વાત અહીં પૂરી નથી થતી. 

એક દિવસ અૉફિસમાં તેઓ આવ્યા.

 “પટેલ સા’બ, સજ્જાદ અઢાર વર્ષનો થયો છે. તેણે હવે લગ્ન કરી લેવા જોઇએ એવું મારૂં માનવું છે. મીરપુરમાં મારા નાના ભાઇની દિકરી સાથે તેના લગ્નની વાત થઇ ગઇ છે. જો લગ્ન થઇ જાય તો આ ડોસાની સેવા થશે અને સાથે સાથે અમને સૌને ત્રણ વખતનું ભોજન પણ નિયમીત મળશે. એક મિત્ર તરીકે તમારો અભિપ્રાય માગું છું.”
“જુઓ ચાચા, સજ્જાદ મારો દિકરો હોય તો હું તેનાં લગ્ન આટલી નાની ઉમરમાં ન કરૂં. તેને સારી નોકરી મળે, સ્થિર-સ્થાવર થાય, પોતાની જવાબદારી સમજે ત્યારે તેના લગ્નનો વિચાર કરવો સારો.” સજ્જાદનો શાળાનો અભ્યાસ પૂરો થયો હતો અને તેના દૂરના સગાની દુકાનમાં જુજ પગારે નોકરી કરતો હતો.

અહેમદજી થોડા વિચારમાં પડી ગયા. અંતે મને ‘ખુદા હાફીઝ” કહી ઘેર ગયા. ત્યાર બાદ છ-સાત મહિના તેમની સાથે સમ્પર્ક ન રહ્યો.
એક દિવસ આઝાદ કાશ્મીર એસોસીએશનના મિસ્ટર મલીક જિપ્સીને મળવા આવ્યા. આ વખતે તેઓ અમારા વૉર્ડમાંથી કાઉન્સીલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
“તમે અમારી કોમ માટે સારૂં કામ કરો છો એવા મને રિપોર્ટ મળ્યા છે. તમારા ડીપાર્ટમેન્ટની સોશિયલ સર્વિસીઝ કમીટીનો હું મેમ્બર છું. ખેર. પેલા અહેમદજી તમને હજી મળે છે કે? તમને ખબર છે કે તેમની બીબી શાહિનબેગમે ખુદકુશી કરી હતી?”
આ વાતની મને તે સમયે જ જાણ થઇ હતી, પણ મેં તેમને જવાબ ન આપ્યો.
“શાહિન બેગમ બહુ ફેશનવાળી હતી. સિનેમા જોવાનું, શૉપીંગ, સારા પોશાક પહેરી, મેક-અપ કરી બહાર જવાનું તેને બહુ ગમતું....”
“મિસ્ટર મલીક, આ બાબતમાં મારાથી કશું કહી કે સાંભળી ન શકાય. આ નિયમ બહારની વાત છે, તેથી માફ કરશો.....”
“ઓ.કે. પણ અમારા કલ્ચર વિશે તમારે જાણવું જોઇએ એટલે આ વાત છેડી. અમારી કોમના ક્લાયન્ટ આવે અને અમારી રીતભાત જાણો તો આઝાદ કાશ્મીરના લોકોની ફૅમિલી ડાયનેમિક્સનો ખ્યાલ આવે.
“મિસ્ટર જી ઘણા ધાર્મિક વૃત્તિના હતા. દરરોજ પાંચ વારની નમાઝ પઢે. જીવનમાં સાદગી હોવી જોઇએ એવી માન્યતા હતી તેથી પત્નીની આવી ફૅશન-પરસ્તી તેમને ગમતી નહોતી. રોજ ઝઘડા થતા અંતે....” કહી મલીક સાહેબ ઘડીયાળ સામે જોઇ ઉભા થયા અને અગત્યની મીટીંગમાં જવાનું છે કહી ચાલ્યા ગયા.

આ વાતને ચાર-પાંચ મહિના થઇ ગયા. એક દિવસ ક્લાયન્ટને મળવા જિપ્સી બહાર નીકળતો હતો ત્યારે તેણે સજ્જાદને રીસેપ્શનમા જોયો. 
“સૉરી એપૉઇન્ટમેન્ટ વગર તમને મળવા આવ્યો છું. તમારા માટે ગિફ્ટ લાવ્યો છું, “ કહી તેણે ચૉકલેટનો ડબ્બો આપ્યો. “મારાં લગ્ન થઇ ગયા છે. એક તકલીફ છે. તમને કહું કે નહિ એવી ગડમથલમાં છું.”
ચૉકલેટનો ડબ્બો મેં અમારી રિસેપ્શનીસ્ટને આપ્યો. અમને મળતી આવી ગિફ્ટ અમે અમારી અૉફિસમાં કામ માટે આવતી બહેનોનાં બાળકોને અાપતા. જિપ્સી  સજ્જાદને ઇન્ટરવ્યૂ રૂમમાં લઇ ગયો.
“શાદી મુબારક, સજ્જાદ. કહે તો, શું વાત છે?”
“મારી પત્ની પરવીન હાઇસ્કૂલ-પાસ છે. તેની મોટી બહેન પણ અહીં જ લંડનમાં છે. તેની દેખાદેખી પરવીન પણ તેની ફૅશન વિગેરેની નકલ કરે છે. આધુનિક યુવતિ છે ને! મને તો તે ગમે છે, પણ ડૅડીને આ ગમતું નથી. એમને મારી મમી સાથે પણ આ જ પ્રૉબ્લેમ હતો. રોજ ઝઘડા થાય છે. શું કરવું તે મને સમજાતું નથી. તેઓ અત્યંત દુ:ખી છે.”
“તારા ડૅડી વારાફરતી તારા મોટા ભાઇ વાજીદ અને તારે ઘેર રહે તો કોઇ ફેર પડે ખરો?”
“વાજીદ મારો ભાઇ નથી. એ તો અમારા ગામના મુખીનો દિકરો છે. અહીં આવવા માટે ડૅડીએ મુખી પાસેથી કરજ લીધું હતું. બદલામાં તેણે શરત કરી હતી કે વાજીદને પોતાના મોટા દીકરા તરીકે નોંધાવી અહીં બોલાવી લેવો. અંતે થયું પણ એવું જ. નામ સિવાય અમારો તેની સાથે કોઇ સંબંધ નથી” 
૧૯૭૦ના દાયકામાં ખાસ કરીને પાકિસ્તાની પરિવારોમાં આવી અનેક બાબતો થઇ હતી. 
“સજ્જાદ, હું તારા ડૅડી સાથે આ બાબતમાં જરૂર વાત કરીશ. જોઇશું કોઇ હલ નીકળે છે કે કેમ..” સજ્જાદ વિલા મોઢે ત્યાંથી નીકળી તો ગયો, પણ આ બાબતમાં કશું થશે તેની તેને ખાતરી નહોતી થઇ. 
બીજા કે ત્રીજા બુધવારે અહેમદજી મળવા આવ્યા. મેં આ વિષયમાં વાત છેડી.
“ક્યા કરૂં પટેલ સા’બ? છોકરી બહુ હેરાન કરે છે. એના બનેવીનો અહીં ખાનગી ટૅક્સીનો બિઝનેસ છે. પરવીનની બહેન મોંઘી કાર ફેરવે છે અને લાહોરથી મંગાવેલા ડિઝાઇનર સલવાર-કમીઝ પહેરે છે. મારી ન્હૂ (વહુ)ને પણ એવા જ ઘરેણાં અને કપડાં, સિનેમા, રૂઝ-લિપસ્ટીક જોઇએ. સજ્જાદ સુપર માર્કેટમાં કૅશિયર છે. એના ટૂંકા પગારમાંથી પરવીનના શોખ કેવી રીતે પૂરા કરૂં? આ ક્લેશ મારાથી જોવાતો નથી. હું વતન પાછો જઉં છું. જીંદગીના છેલ્લા દિવસ મારા ગામ ટોપા મુર્તુઝામાં શાંતિથી ગુજારવાનો નિર્ણય કર્યો છે.”
ટોપા મુર્તુઝા!

***
મારા મગજમાં ‘બ્લીપ્’ થઇ. મારા અંતર્મનની પરતમાં સંગ્રહાયેલી એક યાદ અચાનક બહાર આવી ગઇ. વર્ષો પહેલાં કાશ્મીરમાં લાઇન અૉફ કન્ટ્રોલ પર બજાવેલી ડ્યુટીના દિવસ યાદ આવી ગયા. નજર સામે આવી પેલી રાત, જ્યાં સીમા પાર થતી શાદીની દાવતની રોશનાઇ જોઇ હતી, અને મીરપુરી ગીતોની રેકૉર્ડનાં આછા સૂર હવામાં તરીને અમારી ચોકી સુધી આવતાં સાંભળ્યા હતા. 
“ચચાજાન, તમારાં મર્હુમ બેગમ તાતા પાની ગામનાં તો નહોતાં?”
આશ્ચર્યની નજરે મારી તરફ જોઇ તેમણે મને પુછ્યું, “તમને કેવી રીતે ખબર પડી? શું સજ્જાદે તમને આ વાત કરી હતી? કે પછી મેં જ કો’ક દિવસે તમને કહ્યું હતું?”
ના, મિસ્ટર જી, આ વાત ન તો મને સજ્જાદે નહોતી કહી. વાત કહેનાર હતો મારી આઉટપોસ્ટ બડા ચિનારની નજીકના ગામનો મુખી ગુલામ હૈદર. લગભગ સત્તર-અઢાર વર્ષ પહેલાં. 
“સરહદ પારના તાતા પાની ગામના મુખીની દિકરીનાં લગન ટોપા મર્તુઝાના અહેમદ મલીક સાથે થયેલા લગ્નનો ભોજન સમારંભ હતો. મલીક સાહેબ લંડનમાં રહે છે અને....”

(નોંધ: જીપ્સીના જીવનની આ પ્રસંગકથા અગાઉ અખંડ આનંદમાં પ્રસિદ્ધ થઇ હતી. તેનું આ સંક્ષીપ્તીકરણ છે.) 

Saturday, October 26, 2013

બ્રિટન - ભારતીય અાગંતુક અને નોકરીની સમસ્યા: ૧૯૮૦-૯૦

પુખ્ત વયના લોકો જ્યારે ભારતથી પરદેશ કાયમી વસવાટ માટે જાય ત્યારે તેમની પરિસ્થિતિ વિચીત્ર હોય છે. દેશમાં તેમનો હોદ્દો, હોદ્દાનું માન તથા તેમના હાથ નીચે કામ કરનાર લોકોની સંખ્યા સારી એવી હોય છે. આવી હાલતમાં બ્રિટન જવું કે નહી તેવી દ્વિધા તેમના મનમાં થાય તે સ્વાભાવીક છે. બ્રિટનમાં પ્રવર્તતી વર્ણદ્વેષી પરિસ્થિતિ તથા ત્યાંની બેકારીને કારણે તેમને તેમના શિક્ષણ કે હોદ્દાને અનુરૂપ નોકરી મળવાની શક્યતા નહીવત્ હોવા છતાં તેમને દેશ છોડીને બ્રિટન જવાનો તેમનો નિર્ણય કેવળ પારિવારીક સૌખ્ય માટે હોવાથી તેમને જવું પડે તે સ્વાભાવિક છે. 

જિપ્સીને પોતાને તો આવી ઘણી વિટંબણાઓમાંથી પસાર થવું પડ્યું હતું, પણ તેને મળેલા એક સદ્ગૃહસ્થ - શ્રી. દવે (આ તેમનું સાચું નામ નથી)ની વાત સાંભળીને તેને પારાવાર દુ:ખ થયું.

શ્રી. દવે ભારતમાં બ્રિટનના ડેપ્યુટી હાઇકમીશ્નરની અૉફિસમાં આસીસ્ટન્ટ ઇમીગ્રેશન અૉફિસર હતા. તેમની પ્રામાણીકતા અને કર્તવ્યપરાયણતા માટે ઘણા જાણીતા હતા. મુંબઇની અૉફિસમાં મિસ્ટર XX જેવા અંગ્રેજ અફસર તો વર્ણદ્વેષી હતા, પણ તેમનાથી વધુ દ્વેષીલી રિસેપ્શનીસ્ટનું કામ કરનારી કેટલીક પારસી બહેનો હતી. અંગ્રેજો કરતાં વધુ તોછડી અને ઉદ્ધત એવી આ સ્ત્રીઓ પ્રત્યે આપણા લોકોમાં ઉહાપોહ હતો, પણ તેમના અંગ્રેજ સાહેબો ઘણા ખુશ હતા. તેમનું મોટા ભાગનું 'કામ' આ સ્ત્રીઓ જ કરી લેતી હતી. હાઇકમીશનના રિસેપ્શન હૉલમાં બેસેલા ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી કાયદેસર વસાહતીઓ વિઝાની અરજી કરવા જતા, અને તેમને પૂરતું અંગ્રેજીનું જ્ઞાન ન હોય તેવા ભાઇબહેનો ન તો તેમનો વિરોધ કરી શકતા, ન કોઇ ફરિયાદ. આવામાં આ મૃદુભાષી શ્રી. દવેનો સ્મિતપૂર્ણ ચહેરો જોઇ આપણા લોકોમાં એક ભાવના થતી કે કોઇ તો સજ્જન અહીં છે, જે તેમની સાથે માનપૂર્ણ વર્તન દાખવે છે. જિપ્સીની તેમની સાથેની પહેલી મુલાકાત મુંબઇમાં જ થઇ હતી. લગભગ ૨૫ વર્ષની ગૌરવપૂર્ણ સેવા બાદ અંગ્રેજ સરકારે તેમને પેન્શનની સાથે બ્રિટનનું નાગરિકત્વ આપ્યું અને શ્રી. દવે લંડનના એક પરામાં આવીને વસ્યા.

દવે સાહેબને લંડનમાં યોગ્ય નોકરી ન મળી. અંતે ત્યાંની એક મૂળ ગુજરાતના લોકો દ્વારા સ્થપાયેલી એક નૉન-ગવર્મેન્ટ સંસ્થાએ તેમના ઇમીગ્રેશનના અનુભવને ધ્યાનમાં લઇ સલાહકારની નોકરી આપી. પગાર અલ્પ જ હતો, પણ થોડું ઘણું પેન્શન હતું તેથી તેમનું કામ ચાલવા લાગ્યું.

એક દિવસ તેઓ જિપ્સીને અચાનક એક શૉપીંગ મૉલમાં મળ્યા. ખબરઅંતર પૂછતાં તેમની આંખમાં આંસુ આવ્યા. “ગમે તે થાય, અાપણા લોકોની નોકરી કદી કરશો મા. બ્રિટનનો વિઝા લઇને આવવા માગતા આપણા લોકોમાં હું જાણીતો માણસ હતો તેથી મારા અનુભવને કારણે મને ત્યાં નોકરી મળી ગઇ. થોડા દિવસ બાદ મારી સંસ્થાની મૅનેજમેન્ટ કમિટીના સભ્યોનું મારા પ્રત્યેનું વલણ બદલાઇ ગયું. તેઓ મારી સાથે તેમની દુકાનના નોકર તરીકે પિયૂન અને ગુમાસ્તાની જેમ અપમાનાસ્પદ વર્તણુંક કરવા લાગ્યા. તેમના કોઇ સગાં સલાહ માટે આવે તો તેમની તેમને મારી પાસે મોકલવાને બદલે મને હાક મારીને બોલાવે છે. એક વાર તો બૂમ પાડીને મને કહ્યું, “એ ય દવે, અહીંયા આવો. આ મારા સગા છે તેમને સલાહ આપો અને જોઇતા ફૉર્મ ભરી આપો!” મેં તેમને કહ્યું, 'ફૉર્મ મારી અૉફિસમાં છે અને તે ભરવા માટે જરૂરી સવાલ પૂછવા પડશે. ભાઇને મારી સાથે મોકલો તો બધું કામ થઇ જશે.”

“આ તમારી બ્રિટીશ હાઇકમીશનની અૉફિસ નથી, સમજ્યા? તમે  ફૉર્મ લઇ આવો અને અમારી સામે જ ભરો. તમને પગાર શાનો મળે છે? આ આવ્યા છે તે અમારા વેવાઇ છે, તમારા નોકર નથી! ચાલો જલદી જઇને ફૉર્મ લઇ આવો. અમારા મે’માન પાસે ટાઇમ નથી.' હું હેબતાઇ ગયો. આવું બે-ત્રણ વાર થયા બાદ મેં નોકરી છોડી દીધી. મુંબઇમાં અંગ્રેજોએ પણ કદી મારી સાથે આવી રીતે વાત કરી નહોતી."

આવી જ વાત ભારતથી બ્રિટન ગયેલ એક આદર્શવાદી વ્યક્તિએ કહી. 

લંડનના ગરીબ અને વંચિત વિસ્તારમાં રહેતા આપણા વડીલો માટે તેમના વિસ્તારની કાઉન્સીલે એક આપણા એક NGOને ગ્રાન્ટ આપીને એક ડે-સેન્ટર સ્થાપ્યું હતું. સિનિયર સિટીઝન્સ માટે સલાહકેન્દ્ર ચલાવવા ઉપરાંત તેમના માટે રોચક પ્રવૃત્તિઓ ચલાવવી, તેમને કાઉન્સીલ તથા સરકાર તરફથી મળતા લાભ પ્રાપ્ત કરાવી દેવા અને ખાસ તો સ્થાનિક લોકો સાથે સમન્વય સાધીને બ્રિટનની પ્રજાના મુખ્ય પ્રવાહમાં ભાગ લેવા પ્રેરવાના ઉદ્દેશથી કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસરની નીમણૂંક માટે પૂરતું અનુદાન આપ્યું.  ગાંધીજીની વિચારધારામાં માનનાર આ ગૃહસ્થને તેમાં નોકરી મળી. ભાઇનું માનવું હતું કે જાહેર સંસ્થાના હિસાબમાં પાઇ-પાઇનો હિસાબ અરીસા જેવો સ્વચ્છ હોવો જોઇએ. તેમને મૅનેજરની જગ્યા મળી હતી તેમ છતાં  સંસ્થાના તમામ વહિવટમાં મૅનેજમેન્ટ કમિટીને empower કરી લોકશાહી પ્રક્રિયાથી તેમના Facilitator કે Enablerનું કામ કરવાની તેમની ધગશ હતી.

સંસ્થાની મૅનેજમેન્ટ કમિટીના પ્રમુખ પણ આદર્શવાદી વડીલ હતા. તેમની સાથે ભાઇને કામ કરવામાં ઘણો આનંદ આવ્યો અને અનેક નવી પ્રવૃત્તિઓ શરૂ કરી. કમભાગ્યે છ મહિના બાદ પ્રમુખશ્રીનું અવસાન થયું અને તેમની જગ્યાએ જે ગુણવાન (!) આવ્યા તે જુની શેઠ-વાણોતરની વૃત્તિના હતા. પ્રમુખપદની ચૂંટણીમાં તેમનો manifesto સાવ સાદો હતો: હું ચૂંટાઇ આવીશ તો સભ્યોને દરરોજ ગાંઠિયા-જલેબી ખવડાવીશ! તેમની સામે એક પ્રતિષ્ઠીત શિક્ષક ઉભા હતા તેથી ગાંઠિયા-જલેબીનો ઢંઢેરો શ્રી. ગુણવાનને કામ લાગે તેવો નહોતો. એક કુશળ-કુટિલ રાજકારણીની જેમ તેમણે બીજી સંસ્થાના મૅનેજર સાથે ‘ગઠબંધન‘ કર્યું.  આ મૅનેજર સાહેબ તેમની પત્નિને તેમની જ સંસ્થામાં આસિસ્ટન્ટ મૅનેજરના પદ પર નીમવા માગતા હતા. “તમે સિલેક્શન કમિટીમાં પ્રમુખ તરીકે આવો અને અમારા મિસીસને અૅપોઇન્ટ કરો તો હું ખાતરીપૂર્વક તમને તમારી સંસ્થામાં પ્રમુખ બનાવીશ." એવું કહ્યું. અને થયું એવું જ. 

ચૂંટણીમાં આ મૅનેજર સાહેબને મૅનેજમેન્ટ કમિટીએ પ્રિસાઇડીંગ અૉફિસર તરીકે બોલાવ્યા. ચૂંટણીના દિવસે તેમણે શિક્ષકશ્રીની ઉમેદવારીને ગેરકાયદેસર ગણી તેમની અરજી રદબાતલ ઠરાવી. નિયમ અનુસાર સંસ્થાનો કોઇ કર્મચારી મૅનેજમેન્ટ કમિટી કે સંસ્થાના કોઇ પદ માટે ચૂંટણી લડી શકે નહી. શિક્ષક બે વર્ષ પહેલાં સંસ્થામાં પગારદાર તરીકે કામ કરી ચૂક્યા હતા, તેથી તેમની ઉમેદવારી કૅન્સલ કરવામાં આવી! કમ્યુનિટી ડેવેલમેન્ટ અૉફિસરે પ્રિસાઇડીંગ અૉફિસરના નિર્ણય સામે વાંધો લીધો અને સભામાં નિયમની સમજુતી આપી કે નોકરીમાં ચાલુ હોય તેવા કર્મચારીને ચૂંટણીમાં ઉભા રહેવા સામે પ્રતિબંધ હતો. ભૂતપૂર્વ કર્મચારી પર આવો કોઇ પ્રતિબંધ નથી. ગાંઠિયા-જલેબીના સમર્થકો ઉભા થઇ ગયા અને હોબાળો કર્યો. “કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર સંસ્થાના કર્મચારી હોવાથી તેમને સભામાં બોલવાનો અધિકાર નથી!” નરમ સ્વભાવના શિક્ષકશ્રી આવા હુમલાથી હેબતાઇ ગયા અને સભામાંથી બહાર નીકળી ગયા. પરિણામ જાણવું છે?

શિક્ષકશ્રીને એટલો આઘાત લાગ્યો કે ઘેર ગયા બાદ તેમના પર પક્ષાઘાતનો હુમલો થયો અને શરીરનો એક ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો. બે વર્ષ બાદ તેમનું અવસાન થયું.

સંસ્થામાં ગાંઠિયા-જલેબીની જ્યાફત શરૂ થઇ ગઇ. કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસરે આ ખર્ચ ગેરકાયદેસર કહી તેની સામે વિરોધ કર્યો ત્યારે નવા પ્રમુખશ્રીએ મૅનેજમેન્ટ કમિટીમાં ઠરાવ પાસ કરી આ ખર્ચ અધિકૃત બનાવ્યો. જોહુકમી વધી ગઇ. અંતે આપણા ભાઇ પણ નોકરી છોડી ચાલ્યા ગયા.

બે વર્ષ બાદ આ સંસ્થા બંધ પડી ગઇ, કારણ કે પ્રમુખશ્રીના વલણથી સભ્યો કંટાળી ગયા અને ત્યાં જવાનું બંધ કરી નાખ્યું. એક જમાનામાં જ્યાં દરરોજ ૪૦-૪૫ વડીલો ભેગા થતા હતા, ત્યાં પ્રમુખશ્રી, તેમનાં પત્નિ (જેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા) અને તેમના દૂરનાં સગા, જે ‘નવા’ અૉફિસર તરીકે નીમાયા હતા, એવા ત્રણ જણ સંસ્થામાં હાજર રહેવા લાગ્યા હતા. કાઉન્સીલે આ જોઇને સંસ્થાની ગ્રાન્ટ બંધ કરી નાખી.

ત્રીજી વાત હતી એક ભારતીય બૅંકના મૅનેજરની. તેમના એક ક્લાયન્ટનો મોટો વ્યવસાય હતો. મૅનેજરની કાબેલિયત જોઇ ‘ક્લાયન્ટે’ તેમને કહ્યું, ‘આ બૅંકની નોકરી છોડી અમારે ત્યાં આવો. આફ્રિકામાં અમે અમારા બાહોશ કર્મચારીને એકા’દ બે વર્ષ બાદ રૂપિયે એક આનીના ભાગીદાર બનાવતા, તેવી સુવિધા તમને પણ આપીશું.”

મૅનેજર સાહેબ પોતાની બૅંકની નોકરી છોડી વ્યાપારીની પેઢીમાં જોડાયા. ત્રણ વર્ષ  વિતી ગયા પછી તેમને ‘એક આની’ તો શું એક પૈસાનો પણ ભાગ ન મળ્યો. સદ્ભાગ્યે તેમને બીજી બૅંકમાં મૅનેજરના પદની અૉફર આવી અને તેઓ નોકરી છોડી ગયા.

આ હતી આપણા જ લોકોની આપણી પ્રજા પ્રત્યેની વૃત્તિ. તેમ છતાં તેઓ સમૃદ્ધ થતા જ ગયા. આનું કારણ પણ એ જ હતું - સ્થાનિક પ્રજાનું વર્ણદ્વેષી વલણ, જેના કારણે આપણા લોકોને નોકરી મળે નહી. ‘દેશી’ પેઢીમાં કામ કરવા જાય તો ત્યાં exploitation તો થાય, પણ બે વખતની રોટલી જેટલો ગુજારો મળે, તેમાં આમ જનતા સંતોષ માનતી. આ વાત જિપ્સીના બ્રિટનના વાસ્તવ્ય દરમિયાનની છે. 

સમય ગયો. આપણાં નવયુવાનો વર્ણભેદ સામે લડીને ઉચ્ચ શિક્ષણ મેળવવા લાગ્યા. પોતાની કાબેલિયત, કેળવણી અને ઉદ્યમથી અંગ્રેજ પેઢીઓમાં જ કામ મેળવતા થયા. ડાયરેક્ટરની જગ્યા સુધી તેઓ પહોંચી ગયા પછી ભલે તેમને મૅનેજીંગ ડાયરેક્ટરનું પદ ન મળે, પણ કાર્યકૂશળતાને કારણે પ્રતિષ્ઠા અને સન્માન મળતાં, વેતન અને અન્ય લાભ ઉત્કૃષ્ટ માત્રામાં મળતાં તે જુદાં.

જિપ્સીને એક ભારતીય સિવિલ સર્વન્ટ સાથે મુલાકાત થઇ. એક્ઝેક્યુટિવ અૉફિસરના પદ પર પહોંચેલા આ સજ્જનને નિવૃત્તિ પહેલાં તેમના અદ્વિતીય કાર્ય માટે સરકારે તેમને MBE - મેમ્બર અૉફ ધ બ્રિટીશ એમ્પાયરની પદવીથી સન્માનીત કર્યા હતા. તેમણે કહેલી વાત હંમેશ માટે યાદ રહી ગઇ.

“હું ભારતના એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું. અભ્યાસમાં અત્યંત હોંશિયાર એવી મારી શાખ હતી અને મારા પરવિારને મારા પર ઘણી આશા હતી, પણ ક્યાંય નોકરી મળતી નહોતી. આફ્રિકાના એક સુખવસ્તુ પરિવારે મને તેમની પુત્રી માટે પસંદ કર્યો અને આફ્રિકા લઇ ગયા. ત્યાંથી અમે લંડન આવ્યા. આમ ત્રણે દેશોના અનુભવ બાદ એટલું જ કહીશ કે ભારતમાં તને તારી લાયકાતને અનુરૂપ નોકરી કે પગાર ત્યાં સુધી નહી મળે જ્યાં સુધી તારી સરકાર દરબારમાં  વગ નથી. આફ્રિકામાં તો ભણેલા માણસોની અછત હતી તેથી અમારી લાયકાત કરતાં પણ વધુ પગારની નોકરીઓ મળી જતી. બ્રિટનની વાત જુદી છે. શરૂઆતમાં નોકરી મેળવવી મુશ્કેલ હોય છે, પણ એક વાર મળ્યા બાદ તારી લાયકાતને અનુરૂપ નોકરી અને પગાર મળતા જ રહેશે. અમુક સ્તર સુધી પદોન્નતિ પણ મળશે. પણ ભૂલે ચૂકે તું એક ભારતીય પેઢીમાં નોકરી કરીશ તો બસ, તને એવું લાગશે કે આના કરતાં દેશમાં રહ્યો હોત તો વધુ સુખી થાત!”


સ્વ. શ્રી. જોષીની વાતને જિપ્સી કદી ભુલી શક્યો નથી. તેમણે કહેલા (આફ્રિકા સિવાયના) બધા અનુભવોમાંથી તે પસાર થઇ આવ્યો. એક કાઉન્ટી કાઉન્સીલમાં સર્વિસ ડાયરેક્ટરના પદ સુધી તો પહોંચ્યો, પણ તેને તેની શાખાના મુખ્ય ડાયરેક્ટરનું પદ વર્ણભેદને કારણે ન મળ્યું. આ જગ્યા માટે તે બધી દૃષ્ટીએ અનુરૂપ હતો જેમ કે આ સ્થાન માટે મૂળભૂત જરૂરિયાત સોશિયલ વર્કની પદવીની જરૂર હતી. તે ન હોવા છતાં એક અંગ્રેજને તે સ્થાન અપાયું. જિપ્સી ઇંડસ્ટ્રીયલ ટ્રાઇબ્યુનલમાં ગયો, પણ સફળતા ન મળી. 

દેશ માટે બે લડાઇઓ લડી ચૂકેલા એક સૈનિકના મતે જીવન પણ એક યુદ્ધ જ છે. તેમાં હારજીત તો થતી જ રહે છે. હારવામાં કોઇ ખોટી વાત નથી. લજ્જા ત્યારે જ મહેસૂસ થાય જ્યારે માણસ વગર લડ્યે હાર માને. આપણા સમાજમાં આવી હજારો લાખો વ્યક્તિઓ છે જેમણે જીવનમાં સંજોગો સામે યુદ્ધો ખેલ્યા છે. કેટલાક જીત્યા છે અને કેટલાકમાં સફળતા મળી નથી. પણ વગર લડાઇએ યુદ્ધમાં હાર કબુલ કરનાર વ્યક્તિ ગુજરાતમાં ભાગ્યે જ મળી આવશે.