Thursday, May 26, 2016

આસપાસ - ચોપાસ : જોડણી સ્વાતંત્ર્ય


અમને પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા ત્યારથી જોડણી પર ખાસ ભાર મૂકવામાં આવતો. ચોથા ધોરણમાં આવ્યા ત્યાં સુધીમાં 'દિન' અને 'દીન' વચ્ચેનો લખાણ અને ઉચ્ચારમાં થતો ફેર માસ્તર સાહેબ બરાબર ગોખાવતા : 'દીન'નો ઉચ્ચાર ''દીઈઈઈન" અને 'દિન'ને 'દિન્્' કહી બન્ને વચ્ચેનું અંતર સમજાવતા. 

વર્ષો વીત્યા. અનુસ્વાર, જોડણી, વ્યાકરણ  - સઘળી વાતો પર નવા પ્રયોગો થયા.  ગુજરાતી સાહિત્યમાં થયેલો આ ચમત્કાર એક નવી વિચાર-શાળાના  (જેને અંગ્રેજીમાં School of Thought કહેવાય છે) આયોજકોને આભારી છે. અંગ્રેજીમાં તેના પ્રમુખ ક્રાન્તિકારી જ્યૉર્જ બર્નર્ડ શૉ હતા. તેમણે તો જાહેર કર્યું હતું કે અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા ૨૬માંથી ઘટાડી પંદર કે વીસની કરશે તેને દસ હજાર પાઉન્ડનું ઈનામ આપવામાં આવશે.

ગુજરાતીમાં આવી 'શાળાઓ'ના અનેક સ્થાપકો છે, જેમાંના કેટલાક સાક્ષરો એવું માને છે કે માણસ ગમે તે રીતે લખે, ભલે તે ‘સાર્થ’, ‘ઉંઝા’ કે જોડી કાઢેલી જોડણી (અહીં શ્લેષ જાણી જોઈને કરવામાં આવ્યો છે)માં હોય, પણ જ્યાં સુધી વાચક તેને સમજી શકે છે, ત્યાં સુધી લેખનશુદ્ધિમાં માનનારાઓને કશું કહેવાનો અધિકાર નથી. આજ કાલ કેટલાક બ્લૉગમાં ચર્ચા ચાલી રહી છે તે ગુજરાતી વ્યાકરણની. અહીં ગુજરાતી વ્યાકરણની રચના આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે કરી કે ફૉર્બ્ઝ જેવા ગુજરાતી-પ્રેમી અંગ્રેજે કરી, અને શા માટે કરી તેની ચર્ચા નહિ કરીએ. હા, નિશાળમાં ભણતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને અપાતા ‘ડિક્ટેશન’ એટલે ‘શુદ્ધ લેખન’માં નીકળતી જોડણીની અશુદ્ધિઓ માટે ૧૦માંથી શૂન્ય માર્ક મળતા ત્યારે મારા આવા સાથીઓના મુખેથી ગુજરાતી વ્યાકરણ માટે નીકળતી અવાચ્ય ભાષા સાંભળી કાનમાંથી અદૃશ્ય આંસુ નીકળતા હોય તેવું લાગતું.

કેટલાક દિવસ અગાઉ મારા એક સન્માનનીય મિત્રના બ્લૉગમાં ગુજરાતી લેખનમાં અનુસ્વારના પ્રયોગ વિશે ચર્ચા ચાલી હતી. તેમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે નીચે લખેલા શબ્દો અને તેની અવેજીમાં કરવામાં આવેલી જોડણીમાં કોઈ અશુદ્ધિ લાગે છે?.

બંધન -  બન્ધન

કંગન - કન્ગન

કાંગ - કાન્ગ

અંજન - અન્જન

આંખ -આન્ખ


આ બધામાં એક નાની સરખી (વેદિયા વૃત્તિની) વાત એવી નીકળે છે કે જે શબ્દમાં વચલો અક્ષર કંઠ્ય ( એટલે ક, ખ, ગ, ઘ) હોય ત્યાં તેના આગલા અક્ષરના માથે અનુસ્વાર જાય ; નહિ કે વચલા - કંઠ્ય અક્ષર સાથે અર્ધ ‘ન્’ કે ‘’મ્’ ના સ્વરુપે. આપ સહુ જાણેા છે કે લેખિત શબ્દનો ઉચ્ચાર સાથે અભેદ્ય સંબંધ હોય છે. કોઈ જો 'કંગન'ને ‘કન્ગન’ લખે તો ઉચ્ચાર પણ ‘ક-ન્-ગન’ થાય,  જેમાં અર્ધ ન્ પર સહેજ વધુ ભાર આવે. બાકીના માટે વૈયાકરણિયોએ કશો ક્ષોભ કે ચિંતા વ્યક્ત કરી નથી.

અનુસ્વારની અને તેના ઉચ્ચારની વાત કરીએ તો હું ભાષાશાસ્ત્રીઓને એક શબ્દ ઉચ્ચારવાનો પડકાર આપું છું. પહેલી વાર જ્યારે આ શબ્દ મેં ટેલિવિઝનની સિરિયલ ‘તમન્ના’માં વાંચ્યો ત્યારે અનેક પ્રયત્નો કરવા છતાં હું તે ઉચ્ચારી ન શક્યો. બુલંદગંજની શાળાના મુખ્યાધ્યાપકનું નામ પાટિયા પર આમ ચિતર્યું હતું : પિતાબંર શર્મા. આપણે આ લખેલું બોલી સંભળાવવાનો પ્રયત્ન કરીએ! અા શબ્દમાં અનુસ્વાર ‘બ’ પર છે. જો કે બાદમાં દિગ્દર્શકની નજરે કોઈએ આ વાત બતાવી અને તેમણે પાટિયું બદલીને ‘પિતાંબર’ કર્યું હતું! આપણા વ્યાકરણ વિરોધી સાક્ષરોએ મને કહ્યું, “આ જ તો અમારી વાતની ખુબી છે! લખો ગમે તેવું પણ તમે પોતે સમજીને ઉચ્ચાર તો બરાબર જ કરવાના અને તેનો અર્થ પણ બરાબર સમજી જવાના! તો જોડણીની મગજમારીમાં શા માટે પડો છો?”

મારી જાણમાં આવા સાક્ષરો છે. એક સાક્ષરે લેખકને “જિપ્સીની ડાયરી’ને બદલે નવું શિર્ષક સૂચવ્યું : “વટેમાર્ગુનો રઝડપાટ”. તેમનું માનવું હતું કે અમે ભલે 'રઝડપાટ' કહીએ પણ સમજનારા તેને રઝળપાટ સમજી લેશે. આવા જ એક પ્રતિભાવમાં લખાયું, “આંખમાં ઝડઝડિયાં આવી ગયા.” ભુજમાં હતો ત્યારે એક રેસ્ટોરન્ટની બહાર પાટિયું હતું, “અહીં ઉકાડેલું દૂધ મલસે”. કોઈએ આ બાબતમાં માલિકને ટોક્યા ત્યારે તેમણે કહ્યું, 'ભાય, તમારે દૂધ પીવું હોય તો આંાયા બેસો. પંતુજીગિરી કરવી હોય ન્યાં હામેની સ્કૂલમાં જાવ. ત્યાં કોઈ માસ્તર ટકતા નથી. તમને હટ્્ દઈને કામે રાખી લેસે. ”

મારી નમ્રતાપૂર્વકની માન્યતા છે કે લખાણ, જોડણી અને ઉચ્ચાર એકમેક સાથે અતૂટ રીતે જોડાયેલા હોય છે. ફક્ત ‘સાક્ષરો’માં આ વિશે બે મત હોય છે. અહીં એક વાત જરૂર કહીશ કે લખાણ અને ઉચ્ચાર કોઈ વાર જીવન -મરણનો સવાલ થઈ શકે છે. ૧૯૫૧ની સાલમાં મેં એસ.એસ.સી.ની પરીક્ષા આપી ત્યારે ગુજરાતીના પેપરમાં નિબંધ માટે ત્રણ પર્યાય આપ્યા હતા. જેમાંનો એક હતો, ‘પાળિયાની આત્મકથા”. સુરત કેન્દ્રના મોટા ભાગના પરીક્ષાર્થીઓ, જેમણે આ વિષય પર નિબંધ લખ્યો, બધા નાપાસ થયા. કારણ સામાન્ય હતું. તેઓ ‘ળ’નો ઉચ્ચાર ‘ડ’ કરતા હતા અને તેમણે ભેંસના બચ્ચાની આત્મકથા લખી નાખી હતી. હવે આપણી માતૃભાષામાં જ નાપાસ થયા હોય ત્યાં જીવવું કે મરવું એક સરખું છે એવી માન્યતા લઈને એકાદ - બે જણા તાપી નદીના પુલ પર ગયા હતા. જો કે પોલિસનો જોરદાર પહેરો હોવાથી તેઓ બચી ગયા.

પરદેશમાં વસતા કેટલાક સાક્ષરો આવા જોડણી સ્વાતંત્ર્યને તો બિરદાવે જ છે, પણ વ્યાકરણના નિયમો લેખકને બંધનકારક ન હોવા જોઈએ એવો તેમનો પુણ્યપ્રકોપ સુદ્ધાં જોવા મળ્યો છે. તેમની નજરે વાત સીધી અને સરળ છે : “જ્યાં સુધી લખનારનો મતલબ વોંચનાર હમજી સકે ત્યાં તમારા જેવા વેદિયાઓની વાત ચાલી સકવાની નથી. તમારી વેવલાઈ અમોને મજુર નથી.” અહીં એક અનુસ્વાર ગુમ છે, પણ શમજવાવાળા શમજી જસે કે અહીં મંજુર - અથવા મન્જુર કહેવાયું છે.

વ્યાકરણ, લેખન અને ઉચ્ચારણમાં થતા ફેરફારથી ઘણા ગોટાળા થાય છે. આધુનિક ‘સાક્ષરો’ ‘શ’ અને ‘સ’ના ફેરમાં માનતા નથી. તેઓ હંમેશા ‘શકે છે’ ને બદલે ‘સકે છે’ લખે છે. ઉચ્ચાર કેવો કરતા હશે એ તો ભગવાન જાણે. પણ જુના જમાનામાં ચુનિલાલ મડિયાની એક શ્રેણી ગુજરાતના એક સામયિકમાં આવતી હતી તેમાંનો એક પ્રસંગ કહીશ.

એક બની બેઠેલા નેતા આમરણાંત ભુખ હડતાલ પર ઉતર્યા હતા. તેમની તબિયત થોડી નાદુરસ્ત થઈ ત્યારે તેમના ભક્તોએ તેમની સામે બેસીને ભજન ગાવાની શરૂઆત કરી. તેમાં કોરસમાં ગાનાર ભાઈઓ અને બહેનો મુખ્ય ગાયીકા બહેનનું શબ્દશ: અનુકરણ કરતા હતા. ભજનની પહેલી કડી સાંભળીને નેતાજી સફાળા બેઠા થયા અને આ ભજન બંધ કરાવ્યું કેમ કે બહેન અને તેમના સાથીઓ ગાતાં હતાં :

‘ઈશ્વર અલ્લા તેરો નામ, શબ કો શન્મતિ દે ભગવાન” - જેમાં ‘શબ’ પર વધુ ભાર અપાતો હતો, જ્યારે નેતાજી હજી જિવીત હતા.

વ્યાકરણ સાથે ઝઘડો કરનારા એક લેખક સાથે સહમતિ ધરાવતા એવા એક ભાઈએ તેમને પત્ર લખ્યો, જે અહીં ઉતાર્યો છે.

“માન્યવર સાક્ષરશ્રીને સાદર પ્રણામ.
ગઈ કાલ સુધી હું આપની વ્યાકરણ સંબંધી વાત સાથે સમ્મત હતો. પુરુષ હોવા છતાં ‘હું આવ્યો’, ‘હું આવી’ અથવા ‘હું આવ્યું’માં કશો ભેદ ન હોવો જોઈએ એવી મારી પાકી માન્યતા હતી. ગુજરાતીમાં વાત કરવાની થાય ત્યારે હું આવી છૂટ હંમેશા લેતો હતો. થાય તે કરી લો, એવા ઠાઠથી હું આવું બોલતો.
ગઈ કાલે ૪૫ ડિગ્રીના તડકામાં ચાલી ચાલીને હું થાકી ગયો હતો. ગળું સૂકાઈ ગયું હતું. બસના કે રિક્ષાનાં ઠેકાણાં નહોતાં. મેં દૂરથી એક મોટર આવતી જોઈ અને તેને અંગૂઠો બતાવ્યો - લિફ્ટ લેવા માટે. ગાડી ચલાવનાર સજ્જન હતા. તેમણે મોટર રોકી. મેં તેમને કહ્યું, “બહુ દૂરથી હું આવી છું. હું સાવ થાકી ગયું છું. મને લિફ્ટ આપશો?”

પેલા ‘સજ્જન’ ખુશ થઈ ગયા. તેમણે મને હસીને કહ્યું, “હું બી તારા LGBT સમાજનો છું. તું થાકી, પણ મારી અૅર કન્ડિશન્ડ મોટરમાં તું ફ્રેશ થઈ જઈશ. આવ, બેસ, પણ પહેલાં હું તને hug કરી લઉં. મારી પાસે આવ,” કહી તેમણે હાથ લંબાવ્યો, અને હું ત્યાંથી ભાગી - I mean, ભાગ્યો. વ્યાકરણની છૂટ લેવા જતાં આવું કંઈ થશે એવો મને ખ્યાલ પણ નહોતો. ત્યારથી મેં પ્રણ લીધો કે ગમે તે થાય, પણ બોલવામાં તો વ્યાકરણના નિયમોનું પૂર્ણ પાલન કરીશ. આપ પણ આ વાતનો વિચાર કરશો, અને !@#$ નંબરની મોટર દેખાય તો કાં તો તેમાં બેસતા નહિ, અને બેસવું જ પડે તો આપના વિશે પુલ્લિંગનો ઊપયોગ કરવાનું ભુલતા નહિ. લિખીતન, આપનો ભૂતપૂર્વ ચેલો.”

આપ જોડણી સ્વાતંત્ર્ય માનો છો? જરૂર, માનવું જ જોઈએ, હું પણ માનું છું કે સાર્થ કે ઉંઝા બેમાંથી કોઈ પણ પદ્ધતિ વાપરવાનો મને અધિકાર છે. કોઈ વાર બન્નેનું મિશ્રણ થાય તો પણ ચાલી જાય. ફક્ત વ્યાકરણની બાબતમાં ઉપર જણાવેલા ‘ભૂતપૂર્વ ચેલા’નો દાખલો ધ્યાનમાં રાખી હું હંમેશા સચેત રહું છું.



Sunday, May 15, 2016

આસપાસ - ચોપાસ : દવા-દારૂ અને દર્દી


સૌ પહેલાં વૈદ્યકીય તજ્જ્ઞોની વાત.

ત્રણ દરવાજા ટિટોરિયલમાં (પૂરું નામ વિ. એસ. ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલ, ત્રણ દરવાજા, અમદાવાદ)માં અમને આઠમા ધોરણથી સંસ્કૃત શીખવવામાં આવતું. અમે આઠમા ધોરણમાં આવ્યા ત્યારે ધાંગધ્રાથી શાસ્ત્રી સાહેબ અમારી શાળામાં નવા સંસ્કૃત શિક્ષક તરીકે નીમાઈને આવ્યા. અત્યંત ભલા,  સજ્જન અને સુસંસ્કૃત. છેલ્લો શબ્દ તેમના સંસ્કૃતના જ્ઞાન માટે જ નહિ, પણ તેમની શિષ્ટતા અને સૌજન્યને કારણે વાપર્યો છે.  મૅથ્સના અને બીજા એક-બે સાહેબો અમને ‘એય!’ સિવાય બીજું સંબોધન કરતા નહિ તેથી શાસ્ત્રી સાહેબે તેમના પહેલા દિવસે અમને સૌને “ભાયું ને બેનું” કહીને સંબોધ્યા ત્યારે અમે સૌ ચકિત અને ખુશ થઈ ગયા હતા. શાસ્ત્રી સાહેબે સંસ્કૃતના પહેલા પિરિયડમાં અમને સુભાષિત શીખવવાની શરુઆત કરી તેમાંનો એક મારી યાદદાસ્તમાં કાયમ માટે પાક્કો જામી ગયો. શ્લોક હતો :

“વૈદ્યરાજ નમસ્તુભ્યમ્ 
યમરાજ સહોદર
યમસ્તુ હરતિ પ્રાણાન્્ 
વૈદ્ય: પ્રાણાન્ ધનાનિ ચ”

અર્થાત્, વૈદરાજ, તમને અમારા નમસ્કાર. તમે તો યમરાજના ભાઈ છો. (ફેર માત્ર એટલો કે) યમ તો કેવળ લોકોના પ્રાણ હરે છે, પણ તમે તો લોકોનાં પ્રાણ તથા ધન બન્ને હરી (એટલે લૂંટી) લ્યો છો. 

આજકાલ બ્રિટન. યુરોપિયન યુનિયન અને કૅનેડા સિવાયના લગભગ બધા દેશોમાં  - ખાસ કરીને ભારતમાં યમરાજના સહોદરો શું કરે છે એ સૌ જાણવા લાગ્યા છે. બ્રિટન જેવા દેશોમાં નૅશનલ હેલ્થ સર્વિસ છે તેથી ત્યાંના ડૉક્ટરો અને હૉસ્પિટલોને સારવાર આપવા માટે દર્દીઓ પાસેથી એક પણ પૈસો લેવાનો હક નથી, તેથી તેમને આ લેખમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. હવે ધર્મરાજના આ મહાન ભાઈઓના વ્યવસાયની  વાત કરીએ તો તેમાં ભારતથી પણ ચડિયાતો કોઈ દેશ હોય તો તે અમેરિકા છે. (આ વાત લખી ત્યાં ભારતના ડૉક્ટરો અને હૉસ્પિટલો મારા પર ગુસ્સે થઈ ગયા. આ બાબતમાં અમે સૌથી અગ્રેસર છીએ અને અમારૂં સ્થાન કોઈને -  અમેરિકાને પણ આપવા તૈયાર નથી. આ માટે હું ભારતમાં વસતા સઘળા વ્યાવસાયિકોન માફી માગું છું).

***
સૌ પ્રથમ વાત કરીશું દવાની.

દવાનો મારો પહેલો અનુભવ સુરેન્દ્રનગરનો. આગળ કંઈ કહું તે પહેલાં એક આડવાત જણાવીશ. નાનાં બાળકો પાસેથી કોઈ દોડધામનું કામ કરાવવું હોય તો મોટાંઓ હંમેશા એક શસ્ત્રનો ઉપયોગ કરતા : ‘નરેન બહુ હોશિયાર અને ડાહ્યો છોકરો છે. મોટાંઓએ કીધેલા કામની કોઈ દિ ના નથી પાડતો!’ કહી કાં તો કોઈ ઓવારણાં લેશે, પીઠ થાબડશે અથવા તેના માથા પરથી હાથ ફેરવશે. આટલી વાતથી બકો ખુશખુશાલ. 

એક દિવસે જમના માસીએ આવી જ રીતે અમારા વખાણ કર્યા. અમે ફૂલીને ફાળકો થઈ ગયા ત્યારે તેમણે કહ્્યું “જા ને, દીકરા, ધોડતો જા અને પારેખની દુકાનેથી બાયો કેમિકની દવા નંબર બાર લઈ આવ. વસંતભાઈને કે’જે જમનામાસીએ દવા મંગાવી છે.” પારેખની દુકાન એટલે અમારા ગામનો એક માત્ર મેડિકલ સ્ટોર.

હું દોડતો ગયો અને એક માઈલ દૂર આવેલ પારેખ મેડિકલ સ્ટોર પાસેથી દવા લઈ આવ્યો. જમના માસીએ આંખ પર બેંતાળા મૂકી દવાનું લેબલ જોયું અને બોલ્યાં “હાય, હાય! આ તો દવા નંબર બે છે!! વસંતભાઈએ આવી તે કેવી ભુલ કરી? જા ને ભૈલા, આ દવા પાછી આપ અને તેને બદલે બાર નંબરની દવા લઈ આવ, મારા વા’લા દીકરા!”

 અમે તો ફરીથી દોડતા પહોંચી ગયા વસંતભાઈ પાસે. તેમને વાત કરી તો તેમણે હસીને કહ્યું, ‘વાંધો નહિ,” કહી તેમણે મારી પાસેથી બાટલી લીધી, અને તેના લેબલમાં બેની આગળ એકડો ઉમેરીને કહ્યું, ‘જો, આ થઈ ગઈ બાર નંબરની દવા,” અને મને પાછો મોકલ્યો. વાત નાનકડી હતી પણ બરાબર યાદ રહી ગઈ. મેં ઘેર જઈને મારા મોટા ભાઈ - મધુભાઈને પૂછ્યું, “લેબલ પર નંબર બદલવાથી અંદરની દવા બદલાય?” 

મધુભાઈનો હું ભક્ત હતો. તેમણે કહેલી વાત એન્સાઈક્લોપિડઇયા બ્રિટાનિકામાંથી આવી હોય તેવી સીધી અને અર્જુનના બાણ જેવી સચોટ. તેમનું જ્ઞાન પણ વિશાળ. અમસ્થાં જ તે લૉ કૉલેજના પ્રોફેસર નહોતા થયા. તેમણે મારી વાત સાંભળીને કહ્યું,  “હા, નરેન, દવા બાયોકેમિકની કે હોમિયોપથીની હોય તો પેશન્ટ પર આવો જાદુ થઈ શકે છે!”

આ વાતનો હોમિયોપથીવાળા તીવ્ર વિરોધ કરશે અને કહેશે, અમારી દવાઓમાં એટમીક એનર્જીનો સિદ્ધાંત વપરાય છે. એક બાટલીમાં દવાનો એક અણુ નાખ્યા બાદ તેના સો ભાગ કરવામાં આવે છે. આમ એક અણુના સો ભાગ કર્યા પછી તેનું વિભાજન - fission - બીજા સો ભાગમાં, અને ત્યાર પછી બીજા સો ભાગમાં, અને ત્યાર પછી…આમ એક દવાની શક્તિ લાખ મેગાટન જેવી થઈ જાય છે.” આ વિજ્ઞાન મને કદી પણ ન સમજાયું, અને વસંતભાઈ પારેખે કરેલા જાદુને જોયા પછી મેં કદી હોમિયપથી કે બાયોકેમિક દવાનો ઊપયોગ કરવાની હિંમત કરી નથી.

***

આપણે સૌએ પૈસા અને પાણીનો સંબંધ વર્ષોથી જાણ્યો છે. દા. ત. પાણીની જેમ પૈસા વાપર્યા વિ. આજના આધુનિક જમાનામાં પૈસા આપ્યા વગર પાણી નથી મળતું. બાટલીમાં નાખેલું પાણી વીસ રુપિયાની બૉટલ લેખે વેચીને પાણીમાંથી પૈસો પેદા કરવાનો ઊદ્યોગ હાલમાં શરૂ થયો, પણ ભારતના ડૉક્ટરોએ બાટલીમાં પાણી અને પેશન્ટ બન્નેને ઉતારવાની શોધ ૬૦ - ૭૦ વર્ષ પહેલાં કરી હતી.  કેમ તે હવે જોઈએ.

ભારતના નાના ગામમાં ડૉક્ટરની દુકાનને ‘દવાખાનું’ અને શહેરમાં ‘ડિસ્પેન્સરી’ કહેવામાં આવતી.  'ડિસ્પેન્સરી' એટલા માટે કે ત્યાં દર્દીના નિદાનની સાથે દવા અને દર્દીને પણ dispense કરવામાં આવતા. ડિસ્પેન્સરીના કામની વિગતો મને ત્યારે મળી જ્યારે મારા મિત્ર રમેશને તેના મામાની ડિસ્પેન્સરીમાં મદદ માટે બોલાવવામાં આવ્યો. મામાનો કમ્પાઉન્ડર રામજી ભગવાનજી નોકરી છોડીને જતો રહ્યો હતો. ક્યાં ગયો તે ત્રણ મહિના બાદ જાણવા મળ્યું. મામાને ત્યાં કમ્પાઉન્ડરી શીખ્યા બાદ તેણે ક્યાંકથી આર.એમ.પી. - એટલે રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિશનરનું સર્ટિફિકેટ મેળવી પોતાનું દવાખાનું ખોલ્યું હતું. હવે તેની જગ્યાએ બીજો રામજી ભગવાનજી મળે ત્યાં સુધી મામાશ્રીએ રમેશને બોલાવ્યો હતો. 

મામાએ રમેશને કામ શીખવવાનું શરુ કર્યું. કમ્પાઉન્ડરના ખોખા જેવા કાઉન્ટરના કબાટમાં પચાસે'ક જેટલી નાની મોટી બાટલીઓ રાખી હતી. દરેકની ઉપર એક એક લેબલ : એમોનિયમ ક્લોરાઈડ, સોડિયમ બાઈકાર્બોનેટ, સાઈટ્રિક અૅસિડ, કેઓલિન, એપ્સમ સૉલ્ટ, કોરાઈઝા મિક્સ્ચર, ક્વિનાઈન, વિગેરે ઉપરાંત અનેક પ્રકારની ટિકડીઓ ભરેલી બાટલીઓ હતી. તેમાંની એક બાટલી પર કોચિનિયલ લખ્યું હતું  - જે કેવળ અને કેવળ દવાને લાલ રંગ આપવાનું કામ કરે. ડૉક્્ટરસાહેબ કેટલીક દવાઓમાં એક મિનિમ એટલે એક ટીપું કોચિનિયલ લખે એટલે દવાનો રંગ સુંદર લાલ થાય. કાઉન્ટર પરની સૌથી મોટી ઘેરા નીલા રંગની બાટલી પર લેબલ હતું જેના પર મોટ્ટા અક્ષરે (દર્દીઓ વાંચી શકે એ રીતે)  AQ લખ્યું હતું.  ડૉક્ટરસાહેબ પ્રિસ્ક્રિપ્શન લખે તેમાં જુદા જુદા રાસાયણિક પદાર્થોની માત્રા - દા.ત. કોરાઈઝા ૫ાંચ મિનિમ - પાંચ ટિપાં અને અેમોનિયમ ક્લોરાઈડ ૩ mg લખે અને અંતે AQ અને QV લખી નીચે સહિ કરે.  છેલ્લી બે સંજ્ઞાઓનો અર્થ : AQ એટલે અૅક્વા - પાણી.  QVનો તે જમાનાનો અર્થ Quantity Volume, એટલે દવામાં એટલું પાણી નાખવું કે દવાની બાટલીમાં કૂલ છ અૌંસ ભરાય. (અહીં એક ખાનગી વાત કહીશ. અમેરિકામાં q.v. સભ્ય સમાજમાં વપરાતો શબ્દ નથી. ગુગલમાતાનો ચરણ સ્પર્શ કરશો તો તેનો પર્યાય નીકળશે - quick visit. તેનો અર્થ શિષ્ટ સમાજ માટે સમજવા યોગ્ય નથી.) ડિસ્પેન્સરીના સંદર્ભમાં ડૉક્ટર સાહેબ QV લખે એટલે દવાની બાટલીમાં અર્ધો ઔંસ દવા હોય  તો તેનું ક્વૉન્ટિટી વૉલ્યુમ છ ઔંસ કરવા તેમાં સાડા પાંચ ઔંસ અૅક્વા નાખવું. આમ અર્ધો ઔંસ દવા અને બાકીના પાણીનો દર પેશન્ટ દીઠ દસ રુપિયા થાય. બીજી બધી વાત જવા દો, પણ દવાની કિંમત પચીસ પૈસા થતી અને બાકીના પોણા દસ રુપિયા અૅક્વા પ્યોરાના -  એટલે પાણીના. આમ (આજકાલના ભાવે) પાણીના દરે અપાતી દવાના જોર પર ડૉક્ટરસાહેબની પ્રૅક્ટિસ ચાલતી.  

હવે સાંભળ્યું છે કે જમાનો બદલાઈ ગયો છે. આજકાલ ભારતના ડૉક્ટરો અમેરિકન પદ્ધતિ અપનાવવા લાગ્યા છે. કમ્પાઉન્ડરને બદલે રિસેપ્શનિસ્ટ રાખવા લાગ્યા છે. દવાના કબાટ હવે કોઈ નથી રાખતું. ડૉક્ટર હવે ફક્ત પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. કઈ દવા આપવી તે જે તે ફાર્માસ્યુટિકલ કંપનીની 'નીતિમત્તા' અને 'ધારાધોરણ' પર આધાર રાખે છે. દર્દીને કયા સ્પેશિયાલિસ્ટ પાસે મોકલવો તે અૅક્વા પ્યોરા નહિ, પણ કયા નિષ્ણાત સાથે પાણીનો (અંજળપાણી કે છાંટા-પાણીનો) સંબંધ છે તેના આધાર રહે છે એવું સાંભળવામાં આવ્યું છે.

અહીં એક disclaimer મૂકીશ. આ કેવળ સાંભળેલી વાતો છે. કોઈની -  ખાસ કરીને કોઈ ડૉક્ટરની નિયત પર શક અથવા આક્ષેપ નથી. મારી દૃષ્ટિએ ડૉક્ટરોએ હિપોક્રેટસની શપથ લીધા પછી તેનું પૂર્ણતયા પાલન કરે છે.

ભારતના ડૉક્ટરોને ઈંગ્લંડની પદ્ધતિ નથી ગમતી. તેઓ કેવળ અમેરિકન પદ્ધતિમાંથી ભારતની ધરતી માટે ઉપજાવેલી રસમનો ઉપયોગ કરે છે. સુજ્ઞો આ વિશે જાણે છે.

જિપ્સીએ મિલિટરીમાં નોકરી કરી હોવાથી ત્યાંની પદ્ધતિ - જે બંદૂક ચલાવવા જેટલી સીધી, સરળ અને અસરકારક હોય છે તેનું વર્ણન કરવાનો ક્યારેક પ્રયાસ કરશે. ઉલ્લેખ કર્યો જ છે તો એક વાત કહીશ કે તેમણે લખી આપેલી ચિઠ્ઠી સિનિયર અફસરોને બતાવવી પડે અને તેમાં લખેલી સંજ્ઞાઓ જોઈ 'દર્દી'ને આરામની રજા કે પરેશાનીની સજા આપવામાં આવે છે. એટલે જેની ચિઠ્ઠીમાં M લખેલો હોય તો તે દર્દીની આવી બની સમજવી, કારણ કે Mનો અર્થ થાય છે Malingerer એટલે માંદગીનો ઢોંગ કરનાર...

મારા બ્લૉગિંગના સદ્ગુરુની સલાહ (કે બ્લૉગમાં ૧૦૦૦ શબ્દથી વધુ હોય તો કોઈ વાંચશે નહિ, તે) ધ્યાનમાં રાખી આજની વાત અહીં પૂરી કરીશ. આજે દવા અને દર્દીની વાત થઈ. દારૂની વાત ક્યારેક કરીશું. નીચે એક નમૂનો બિહારના નાનકડા ગામડાની ડિસ્પેન્સરીનો આપ્યો છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ત્યાં જુના અને નવા રોગોનો ઈલાજ કરવામાં આવે છે. ત્યાં ઈબોલાના દર્દીઓ ગયા છે કે નહિ તે જાણવા મળ્યું નથી.


Thursday, May 12, 2016

આસપાસ - ચોપાસ : ભાણાભાઈની વીજળી



ભાણાભાઈ મારા મસિયાઈ ભાઈનું હુલામણું નામ. માસાજી તે સમયના કાઠિયાવાડની એક રિયાસતમાં પોલિસ અધિકારી હતા. પોલિસ ખાતું એટલે તેમની બદલી દર બે - ત્રણ વર્ષે થાય. આ વખતે તેમની બદલી ભાવનગર નજીકના એક ડુંગરાળ શહેરમાં થઈ હતી તેથી ઘણી વાર તો દર દસ - પંદર દિવસે અમે માસીના ઘેર પહોંચી જતા. ત્યાં જવાના બે ફાયદા હતા : એક તો માસાજીને સિનેમાના કૉમ્પ્લિમેન્ટરી પાસ મળતા તેથી નવી નવી ફિલ્મો જોવા મળતી, અને બીજું, માસીની મહેમાનગતિનો અનન્ય લાભ મળતો. ભાણાભાઈને બે શોખ - જે તેમની મહત્ત્વાકાંક્ષા બની ગયા હતા. એક તો તેમને પોતાનું સિનેમાઘર બનાવવું હતું અને તે માટે તેમણે નામ પણ નક્કી કરી રાખ્યું હતું. “શ્રવણ ટૉકિઝ”. બીજો શોખ હતો મોટરકારનો. ભાણાભાઈ ચૌદ વર્ષના હતા તેથી સિનેમાઘર બનાવવાનું મોકૂફ રાખવું પડ્યું હતું. જો કે મોટરકાર માટે માસાજી પાસે માગણી દરરોજ ચાલુ રહેતી.

તે સમયે અમારા મહારાજ સાહેબનું રાજ્ય સૌરાષ્ટ્ર નામના પાર્ટ ‘સી’ સ્ટેટ તરીકે ભારત સરકારમાં વિલિન થઈ ગયું હતું . જો કે તે વખતની અમારી લોકશાહી સરકારના ધાંધિયા અને (કેટલાક લોકો કહેતા તે પ્રમાણે મુખ્યપ્રધાન ઢેબરભાઈ સિવાયના) કેટલાક મંત્રીઓ અને સેક્રેટરિએટના અધિકારીઓની વૃત્તિને કારણે અમારા રાજ્યનું નામ ‘ચોરાટિયા સરકાર’ થઈ ગયું હતું : આ શબ્દપ્રયોગ હજી પણ ભ્રષ્ટ સરકારો માટે વપરાય છે. માસાજી પ્રામાણિક હતા, તેથી ભાણાભાઈની મોટરકારની માગણી પૂરી કરી શકે તેમ નહોતા. પણ ભાણાભાઈ તેમના એકના એક દીકરા અને હઠીલા. સદ્નસીબે નજીકના ગામના દરબાર પાસે જુની મોટર ગાડી હતી અને તેમને તે સસ્તામાં કાઢવી હતી.  માસાજીએ લોન લઈને આ મોટર વેચાતી લીધી. ભાણાભાઈની મહેચ્છા પૂરી થઈ! તેમણે અમને સંદેશો મોકલ્યો. “નવી મોટરમાં સહેલ કરવા આવી જાવ!” 

તે વખતે અમારા મામા (જે મારા કરતાં ફક્ત ત્રણ વરસ મોટા હતા), વિસનગરથી રજા પર આવ્યા હતા. અમે બન્ને જણા આ સમાચાર સાંભળીને સિહોર પહોંચી ગયા. ભાણાભાઈ અમને લેવા સ્ટેશન પર આવ્યા. મહારાજસાહેબના વખતની મોટર અને દરબાર તેમના દૂરના સગપણમાં હતા તેથી મોટરનું રજિસ્ટ્રેશન જુનું, એટલે “ભાવનગર સ્ટેટ ૩૫” હતું, જે નવા કાયદા પ્રમાણે રદ બાતલ કરવામાં આવ્યું હતું. નવા રજિસ્ટ્રેશનના કાગળ કરવા મોકલ્યા હતા, તેથી મોટરની નંબર પ્લેટ પર ‘અૉન ટેસ્ટ’નું પાટિયું લગાડ્યું હતું. ગામમાં અંગ્રેજી ભણતા બાળકોને આ બરાબર લાગ્યું નહિ તેથી તેઓ તેને ભાણાભાઈની 'નો ટૅક્સી’ કહેવા લાગ્યા. આ વાત ઊપહાસ કારક લગતાં ભાણાભાઈએ તેનું નામાભિધાન કર્યું : વીજળી.



 કાર તો  મજાની હતી -  ૧૯૩૫ કે ૩૬ના મોડલની કન્વર્ટિબલ બેબી અૉસ્ટિન. ‘બેબી’ એટલે સાવ કેડે લીધેલા બાળક જેવડી. તેની બમ્પર-ટૂ-બમ્પર લંબાઈ સાડા પાંચ ફીટની અને આગલા બે પૈડાં વચ્ચેનું અંતર માંડ ત્રણ કે ચાર ફીટનું. આજકાલની મિનિ કૂપરનો વિચાર કરો તો કદાચ ખ્યાલ આવે કે વીજળીનું કદ કેટલું હશે. વીજળીમાં ચાર જણા - આગળ ડ્રાઈવર અને કો-ડ્રાઈવર તથા પાછળ બે જણા સિયામીઝ ટ્વિન્સની જેમ એકબીજાને ચોંટીને બેસી શકે. 

આમ જોવા જઈએ તો આજકાલ ગુજરાતમાં ચાલતી ચાર બંગડીવાળી (ચાલીસ લાખની Audi) થી માંડી સસ્તામાં સસ્તી ટાટા નૅનો જેવી ગાડીઓમાં અને ભાણાભાઈની વીજળીમાં એક વાતનું સામ્ય હતું : બન્નેમાં હૉર્ન અને બ્રેક્સ મજબૂત, અને આપણા દેશમાં આ બે શસ્ત્રો થકી સલમાનખાન સિવાય ગમે તે માણસ, ગમે તે ગાડી ગમે તે રીતે ચલાવી શકે. જો કે ભાણાભાઈની વીજળીની બ્રેક્સ તેમની જ ભાષામાં થોડી ‘કાચી’ હતી. આનો ઊપાય દરબાર સાહેબના ડ્રાઈવરે બતાવ્યો હતો : “અૅક્સીલેટર પરથી પગ કાઢી, કલચ દબાવી,ઝડપથી ગાડીને ટૉપમાંથી સીધી ફર્સ્ટમાં લઈ જાશો તો ગાડી ધીમી પડી જાહે, નૈ'તો બંધ પડી જાહે.” ભાણાભાઈ ચૌદ વર્ષના હતા, તેથી તેમની ચપળતા અદ્ભૂત હતી. તેમણે આ કામ સહેલાઈથી સાધ્ય કરી લીધું હતું. 

ખેર, સ્ટેશન પરથી ફોજદાર સાહેબના ઉતારે જવાનો રસ્તો ઉંચાણવાળો હતો તેથી વીજળીની ગતિ પર કાબુ લાવવામાં વધુ તકલીફ ન પડી. વળી મોટરનું હૉર્ન જુના જમાનાનું. ડ્રાઈવરના દરવાજા પર લગાડેલા રબરના દડાને જોર જોરથી દબાવી છોડવાથી નીકળતો ‘ભોં-પૂ, ભોં-પૂ’ નો અવાજ એવો તેા પ્રખર હતો કે  તે સાંભળીને લોકો ખસી જતા. વીજળીને બીજું ઈલેક્ટ્રીક હૉર્ન હતું પણ તેનો અવાજ વરસાદમાં ભીંજાયેલી, ટાઢથી થરથરતી અને બીધેલી બિલાડીના અવાજને મળતો હતો, જે દૂરથી તો ઠીક, નજીકથી પણ કોઈ સાંભળી શકે તેવું નહોતું. તેથી પેલા ભોં-પૂં થી કામ ચલાવવું પડતું. 

બપોરના ભોજન બાદ ભાણાભાઈ કહે, ‘હાલો આપણે ખોડિયાર માતાના દર્શન કરવા જાંયેં.” અમે તૈયાર થઈ ગયા, હવે “ઊતારે’થી ધોરી સડક પર જવાનો રસ્તો ઢાળવાળો હતો તેથી મોટરની ગતિ એકદમ વધી જતી હતી. બજાર વચ્ચેથી નીકળતાંં એક પ્રૉબ્લેમ થયો.  

રસ્તાની વચ્ચોવચ એક ભેંસ ઉભી હતી.

 ભાણાભાઈએ દૂરથી સતત ભોં-પૂ વગાડવાની શરૂઆત કરી. લોકો વીજળીના સૂરીલા અવાજથી ટેવાયેલા હતા તેથી તેઓ તરત રસ્તા પરથી ખસી ગયા, પણ ભેંસ જરાય ગભરાયા વગર આરામથી ઉભી રહી. વીજળીની બ્રેક થોડી ઢિલી હતી, તેથી ભાણાભાઈએ ગિયર બદલાવીને ફર્સ્ટમાં નાખ્યો, પણ રસ્તો ઢોળાવવાળો હોવાથી વીજળીબાઈ એકદમ રોકાયાં નહિ. રસ્તાની બન્ને બાજુએ દુકાનો હતી અને ચારે બાજુ માણસો. ભાણાભાઈ  પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તેમણે ગાડી રોકવા ભેંસનો head on આધાર લીધો. ભેંસ પડી ગઈ. વીજળીનું એન્જિન બંધ પડી ગયું. લોકો અમારી ચારે બાજુએ ભેગા થઈ ગયા. એક જણાએ ભેંસના માલિકને ખબર કરી તો તે ત્યાં આવીને રડવા લાગ્યો. “અરે રે, મારી નવચંદરી ભેંશ્યને ફોજદારસાહેબના દીકરાએ મારી નાખી. ભારે નુકશાન થ્યું. મારા છોકરાંવનો રોટલો ઝૂંટાણો!” બજારમાં બૂમ પડી ગઈ. ‘ફોજદારસાહેબને ખબર કરો!’ ‘નુકસાનની ભરપાઈ કરાવો’ વિ. વિ.નો કોલાહલ શરુ થઈ ગયો. મામા અમારાથી મોટા તેથી તેઓ આગેવાની લઈને લોકોને સમજાવવા લાગ્યા. ‘ફોજદાર સાહેબ ડિસ્ટીકમાં ગયા છે. કાલે આવશે તંઈ તમને નુકસાન ભરપાઈ હું કરાવીશ.’ આ માથાકૂટમાં પંદર - વીસ મિનિટ થઈ હશે ત્યાં કોઈકે કહ્યું, ‘તમારા ટંટામાં ભેંસ મરી જાશે. જાવ જલદી ઢોર-ડાક્ટરને બોલાવો. વેટેરીનરી હૉસ્પિટલ સાવ નજીક હતી. ડૉક્ટર તો નહોતા પણ તેમનો કમ્પાઉન્ડર આવ્યો. ‘ક્યાં છે ભેંસ?’ પૂછતાં જણાયું કે ભેંસ રસ્તા પરથી ગૂમ થઈ હતી. લોકો વીજળીને બજારમાં મૂકી ભેંસને શોધવા ગયા. ભેંસનો માલિક હજી પણ ઠૂઠવો મૂકીને રસ્તાની વચ્ચે બેઠો હતો. મામા અને હું તેને સાંત્વન આપતા હતા ત્યાં તેનો દીકરો દોડતો આવ્યો. “બાપુ, ભેંસને ક્યાં રેઢી મેલી’તી? ઈ તો ક્યારૂંની ઘિરે આવી ગૈ સે. હૌ તમને ગોતે સે.” છોકરાની વાત સાચી છે કે ખોટી એ જોવા અમે સૌ ગામને છેવાડે આવેલા તેમના વાડામાં ગયા ત્યાં પેલી નવચંદરી આરામથી વાગોળતી બેઠી હતી. અમે નિરાંતનો શ્વાસ લીધો અને પાછા ગામમાં ગયા. સાંજ પડવાને વાર હતી તેથી અમે ખોડિયારના રસ્તે ગયા.

ગામ છોડીને ધોરી સડક પર પાંચેક માઈલ ગયા હશું. મને કુદરતી સૌંદર્યનો લહાવો લેવાનો શોખ તેથી આસપાસ નજર નાખતો હતો. અચાનક વીજળીએ ડચકું ખાધું. તે જમણી બાજુએ ઝૂકી ગઈ અને સડકના કિનારા તરફ જવા લાગી. ધાતુ સડક સાથે અથડાય  અને ‘ખર્ર્ર્ર…’નો કર્કશ અવાજ આવે તે સાંભળી અમે સૌ ચોંકી ગયા. મેં સડક પર જોયું તો વીજળીની આગળ એક પૈડું એકલું જ દોડતું હતું અને અમારી મોટર ફ્રૅક્ચર થયેલા પગની જેમ બેસી ગઈ અને રોકાઈ ગઈ. મેં કહ્્યું, "ભાણાભાઈ, વીજળીનું પૈડું એકલું આગળ કેમ ભાગે છે?"

“હત્તેરે કી!” ભાણાભાઈ બોલ્યા. પાછળ વળીને મારી નજીક બેઠેલા માસાજીના અૉર્ડર્લી્ને કહ્યું, “રણૂભા, તમે હવારે જ સ્ટેપની બદલી તંઈ પૈડાંની પિનું બરાબર ફિટ નો’તી કરી એવું લાગે છે.” 
મહેમાનોની સામે ઠપકો સાંભળી રણૂભા ભોંઠા પડી ગયા. કંઈ બોલ્યા વગર તેઓ ઠેકીને ઉતરી ગયા અને દોડીને ઝાંખરામાં ફસાયેલું વીજળીનું પૈડું કાઢીને લઈ આવ્યા.  સદ્ભાગ્યે વ્હીલની રિમ સાબૂત રહી હતી.  પોણો કલાક મથામણ કર્યા પછી વીજળીમાં પૈડું ફિટ કર્યું. અંધારું થતાં પહેલાં ઘરે પાછા જવું જોઈએ એવું મામાશ્રીનું ફરમાન સાંભળી ભાણાભાઈએ ગાડી પાછી વાળી અને અમે ઘેર ગયા.

મામા ઘણા સમય બાદ આવ્યા હતા તેથી માસીએ કંસાર બનાવ્યો હતો. અમે સૌએ બરાબર ભોજન ઝાપટ્યું અને આરામ કરવાનો વિચાર કરીએ ત્યાં ભાણાભાઈને યાદ આવ્યું કે ગામના એક થિયેટરમાં જેમિનીનું  ”ચંદ્રલેખા” ચિત્રપટ નવું જ આવ્યું હતું. તેમનો સિનેમાનો શોખ તો ખ્યાતનામ હતો. અમે પણ સાંભળ્યું હતું કે આ ફિલ્મમાં મદ્રાસના અભિનેતા રંજને વિલનનો ખુબ સુંદર અભિનય કર્યો હતો. અમે સૌ તૈયાર થઈ ગયા. મામા તથા મેં થિયેટર સુધી ચાલતા જવાની કરેલી વિનવણીઓની અવગણના કરી ભાણાભાઈએ વીજળી તૈયાર કરાવી. આ વખતે વીજળીએ સાથ આપ્યો. બરાબર દોડતી રહી અને અમને ‘સિનેમા’ના છેલ્લા શોમાં સમય પર લઈ ગઈ. 
(નોંધ: ફિલ્મ ખરેખર સુંદર હતી. આપને જોવી હોય તો નીચેની લિંક પર જોઈ શકશો)


ફિલ્મ પૂરી થયા બાદ અમે બહાર આવ્યા તો વીજળીની આસપાસ પાંચ - દસ યુવાનો ઉભા હતા. ‘બપોરે ભેંસને અડફટે લેનાર મોટર તે આ જ’, એવી વાતો કરતા હતા જે સાંભળી વીજળી રિસાઈ ગઈ. એન્જિન શરુ કરવા આગળનું હૅન્ડલ મારીએ તો નાના બાળકને ખાંસી આવે તેવો અવાજ કરી વીજળી શાંત થઈ જતી હતી. હૅન્ડલ મારી મારીને ભાણાભાઈના, મામાના અને મારા - એમ સૌના હાથ અને ખભા થાકી ગયા પણ વીજળી ટસની મસ ન થઈ.
“મામા, તમે અને નરેન વીજળીને પાછળથી ધક્કો મારો. ગાડી સ્પીડમાં આવે એટલે હું તેને ન્યૂટ્રલમાંથી સેકન્ડમાં નાખીશ તો તે ચાલુ થઈ જશે. ત્યારે તમે બન્ને આરામથી અંદર આવી જાજો.”

અમે ધક્કો મારવાનું શરૂ કર્યું. બસો ગજ ધક્કો માર્યા બાદ ઢાળ આવ્યો. ઝડપ વધતાં ભાણાભાઈએ ગાડી સેકન્ડ  ગિયરમાં નાખી અને વીજળીમાં જીવ આવ્યો. વીજળીનું હૂડ ઉતાર્યું હોવાથી અમે વીજળીની પાછળ દોડ્યા અને કૂદકો મારીને અંદર બેઠાં. બીજા સો’એક ગજ ચાલીને વીજળી પાછી રિસાઈ ગઈ. અમે ફરી ધક્કો મારવાનું શરુકર્યું. હવે ઢાળ ચઢવાનો હતો. ઉનાળો હતો તેથી અમે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. રાતના અંધારામાં નીચી મૂંડીએ અમે ધક્કો મારતા ગયા...મારતા ગયા. આમ અમે કોણ જાણે કેટલું ચાલ્યા અને દોડ્યા કર્યું. અમારો શ્વાસ હવે બ્રહ્મારંધ્ર સુધી પહોંચે ત્યાં અચાનક વીજળીના એન્જિનમાંથી મધુર સંગીત નીકળે તેવો ધ્વનિ સાંભળ્યો. અમે રોમાંચિત થઈ ગયા. બે - ત્રણ મિનિટ સુધી એન્જિન ચાલુ રહ્યું અને જેવા અમે મોટરમાં બેસવા ગયા, ભાણાભાઈએ ચાવી ફેરવી મોટરનું એન્જિન બંધ કર્યું.
અમારા પર જાણે વીજળી - એટલે આકાશવાળી વીજળી પડી. મેં ચોંકીને પૂછ્્યું, “કેમ, ભાણાભાઈ, શું થયું?”    
“આ જુઓ, આપડે તો ઘરે પોગી ગ્યા!”
વીજળીને ધક્કો મારી મારીને અમારો દમ નીકળી ગયો હતો. મામા અને હું અત્યંત થાકી ગયા હતા. ખાટલામાં પડતાં જ અમને ઊંઘ આવી ગઈ.
***
બીજા દિવસની સવાર. ભાણાભાઈની વાત : 

મેં નક્કી કર્યું હતું કે આજે તો મામાને અને નરેનને ખોડિયાર માતાના દર્શન કરાવવા લઈ જઈશ. હું તેમને જગાડવા ગયો તો તેઓ બન્ને તૈયાર બેઠા હતા. હું ખુશ થયો અને કંઈ કહું તે પહેલાં તેમણે તેમની સામાનની થેલીઓ ઉંચકીને કહ્યું, “ભાણાભાઈ, અમે ભાવનગર પાછા જઈએ છીએ. ઘોડાગાડી મગાવી દ્યો.”

Saturday, May 7, 2016

આસપાસ - ચોપાસ : કૂતરાની પૂંછડી


કહેવાય છે કે માણસનો સાચો દોસ્ત કૂતરો હોય છે. તેની વફાદારીની અનેક વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. પ્રાથમિક શાળામાં તો અમારે કવિતા પણ હતી - ‘કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયાં / ચાર કાળિયા ને બે ધોળિયા…'વિ. વિ. આમ કૂતરાં માનવોના મિત્ર અને ભલા સ્વભાવના હોય છે. આ વાત મેં બચપણથી સાંભળી હતી અને તે સાચી છે તે માનવા લાગ્યો હતો. 

જુના જમાનાની વાત છે. એક દિવસ મારા પરમ મિત્ર અમૃતભાઈ રાવળને લંગડાતા જોયા. દિલસોજી બતાવવા મેં તેમને થયેલી તકલીફ વિશે પૂછ્યું. “અરે, શું વાત કરૂં? કાલ રાતના સડક પરની વીજળી ગૂમ હતી. રસ્તામાં અંધારું હતું અને હું ગીત ગાતો ગાતો આવતો હતો ત્યાં કોણ જાણે ક્યાંથી એક કૂતરૂં આવ્યું અને મારા પગની પિંડી પર બટકું ભરીને જાણે કોઈ મહાન ફરજ પૂરી કરી હોય તેમ વીજળી વેગે ત્યાંથી ભાગી ગયું. અંધારામાં ઈ યે ખબર નો પડી કે ક્યા રંગ - રૂપનું આ પ્રાણી હતું. અત્યારે જો, તખ્તસિંહજી હૉસ્પિટલમાંથી ઈન્જેક્શન લઈને આવું છું. આવા ચૌદ ઈન્જેક્શન પેટમાં લેવા પડશે.”

રાવળ પરગજુ હતા. બીજા કોઈને તેમના જેવું દુ:ખ ભોગવવું ન પડે તેથી તેમના જાત અનુભવની સલાહ સૌને આપતા. ચૌદ ઇન્જેક્શનમાંથી બચવા માટે શું કરવું જોઈએ તેની તેમણે કહેલી વાતો બરાબર યાદ રહી ગયું. તેમની વાતોનો સાર આ પ્રમાણે છે : 

૧. કોઈ કૂતરું તમારી નજીક આવે તો ગભરાયા વિના આરામથી ચાલવું. જો તમે દોડશો તો તે જરૂર તમારી પાછળ પડશે અને કરડશે. 
૨. જો કોઈ કૂતરો તમને કરડે જ તો તેનો રંગ અને તેના શરીર પરના આઈન્ટિફિકેશન માર્ક્સ બરાબર નોંધી રાખવા. બને તો તેનું નામ જાણવાનો પ્રયત્ન કરવો, જેથી તમે તેને તેના નામથી બોલાવો તો તે તરત તમારી પાસે અવી જાય. તમને કરડી જનાર કૂતરાને શા માટે બોલાવવો તે મને ન સમજાયું.
૩. ઉપરની વાતો મહત્વની છે કેમ કે તમને કરડી ગયા બાદ આ કૂતરાને ચૌદ દિવસમાં હડકવા ન ઉપડે, કે તેનાં ચિહ્નો ન દેખાય તો તમારે ઈન્જેક્શન લેવાની જરૂર નથી. મહોલ્લામાં કે અન્ય કોઈ જગ્યાએ રખડતા અનેક કૂતરાઓમાં બરાબર ક્યો કૂતરો કરડી ગયો તેની તપાસ કરવા ઉપરની માહિતી રાખવામાં મદદ થશે. 
૪. હડકાયા કૂતરાની પૂંછડી સીધી થઈ જાય છે, તેથી તમને જે કૂતરું કરડી ગયું હોય તેનું નિરીક્ષણ (દૂરથી) કરતા રહેવું. ખાસ કરીને તેની પૂંછડીનું.
૫. ચૌદ દિવસમાં તમને પોતાને પાણીનો ડર ન લાગે તો સમજવું કે તમે સલામત છો. 

આટલી વાતો ધ્યાનમાં રાખશો તો તમને ઈન્જેક્શન લેવાની જરૂર નહિ પડે. 
સમય વીતતો ગયો અને મારા પર પણ ન વીતવાની વાત વીતી.

એક રવિવારે અમદાવાદથી થોડા માઈલ દૂર આવેલ ગામડામાં અમે ક્રિકેટ મૅચ રમવા ગયા હતા. મેદાન ગામની સીમમાં હતું. રમત શરુ થઈ. મારી ફિલ્ડિંગ એક ખેતરની વાડ નજીક હતી. બૅટ્સમૅને ફટકો માર્યો અને બૉલ વાડ પાસે ગયો. હું ત્યાં દોડતો ગયો અને નીચે નમીને બૉલ ઉંચક્યો ત્યાં વાડ પાછળથી બે ડાઘિયા કૂતરા દોડતા આવ્યા. બન્નેએ મળીને જાણે કારસો કર્યો હોય તેમ એક કૂતરૂં મારી સામે આવીને જોર જોરથી ભસવા લાગ્યું અને બીજાએ પાછળથી આવીને મને વિચીત્ર જગ્યાએ (એટલે પાછળ કમરની નીચે) બચકું ભર્યું. આવા કોલાહલમાં પણ મેં અમૃતભાઈની વાત યાદ રાખી. તે જમાનામાં સ્માર્ટ ફોન તો છોડો, સાદા ચક્કરડા ઘૂમાવવાના પણ ફોન (ડૉક્ટરો અને મોટી અૉફિસો સિવાય બીજે ક્યાંય) આવ્યા નહોતા, તેથી પેલા ગુનેગાર માનવમિત્રનો ફોટો લઈ શક્યો નહિ. કેવળ નજરથી તેના આઇડેન્ટિફકેશન માર્કસ્ નોંધવા ગયો ત્યાં બીજો કૂતરો ભસતો ભસતો નજીક આવ્યો. મારે પાછા વળી ‘હડે - હડે’ કરવું પડ્યું અને બૉલવાળો હાથ ઉગામ્યો ત્યારે એ નાસી ગયો. આ ધમાચકડીમાં મારા પર ‘પ્રેમ’ વરસાવનાર પેલો મિત્ર ગુમ થઈ ગયો ; જો કે મને યાદ રહી ગઈ તે બે વાતો હતી : તેનો રંગ કાબરચિતરો હતો, અને પૂંછડી કાળા રંગની હતી. બીજી વાત -  મારી પાટલૂનની ‘સીટ’ પર પડેલા તેના દાંતના પડેલા કેટલાક કાણાં. એ તો ઠીક,પણ બેસતી વખતે જે અસહ્ય દર્દ થયું તે હજી સુધી ભુલી શક્યો નથી. હવે ચૌદ ઈન્જેક્શનોથી બચવા માટેની કઈ વાતો અમલમાં લાવવી તેનો વિચાર કરવા લાગ્યો.

તે વખતે મને નવી નવી નોકરી મળી હતી. સવારે દસથી પાંચનો ટાઈમ તો જાળવવો પડે. તેથી સોમવારે સાંજની બસ પકડી દહેગામ ગયો અને પેલા ખેતરની પાસે જઈ બે - ત્રણ ચક્કર માર્યા, પણ પેલા ભાઈબંધ ક્યાંય ન દેખાયા. મને ચિંતા થઈ. આસપાસ પૂછપરછ કરવામાં અમદાવાદ જનારી છેલ્લી બસ નીકળી ગઈ. એક નિસાસો નાખી હું અમદાવાદ ભણી ચાલવા લાગ્યો. બે’એક માઈલ ચાલ્યો હઈશ ત્યાં પાછળથી એક ભારવાહક રિક્ષા આવી. મેં હાથ ઉંચો કરતાં તેમણે રિક્ષા રોકી અને “પાછળ બેહી જાવ,” કહી રિક્ષા દોડાવી. ભારવાહક રિક્ષાઓમાં પાછળની જગ્યામાં ગાદી હોતી નથી તેથી બેસનારને સહેજ તકલીફ થાય તો…

મારા પિત્રાઈ ભાઈ ડૉક્ટર હતા. તેમણે કહ્યું, “નરેન. રોજ તપાસ કરવા જવાને બદલે રવિવારે જા અને તપાસ કર. બીજા રવિવાર સુધીમાં તો તને ખાતરી થઈ જશે, પણ મારી સલાહ છે તું ઈન્જેક્શન લેવાનું શરૂ કર.”

પહેલા રવિવારે ‘નો રિઝલ્ટ’. બીજા રવિવારની ‘સફર’ - વાચક અાને ગુજરાતી અને અંગ્રેજી, બન્ને અર્થમાં લઈ શકે છે - તેમાં અંગ્રેજીમાં કહે છે તેમ ‘ગુડ ન્યૂઝ અૅન્ડ બૅડ ન્યૂઝ’ મળ્યા. સારા સમાચાર એટલે દૂરથી કેટલાક શ્વાનનો ભસવાનો અવાજ સાંભળી હૃદયનો હર્ષ આકાશ સુધી પહોંચ્યો. હું ‘હાશ’ કરૂં ત્યાં ત્રણ મિલનસાર કૂતરા આવ્યા અને પૂંછડી હલાવવા લાગ્્યા. તેમને જોઈ 'બૅડ ન્યૂઝ'ની હતાશા વ્યાપી ગઈ. ત્રણે કૂતરાં કાળા રંગના હતા, જ્્યારે મને કરડનાર કૂતરો કાબરચિતરો હતો! એક કલાક સુધી તેને શોધવા ત્યાં આસપાસ ફરતો રહ્યો. મારી હિલચાલ જોઈને કેટલાક લોકોને મારા પર અનુકંપા આવી અને પૂછ્યું, “કોને ગોતો છો?” 

હું તેમને કેવી રીતે કહું કે હું કાળી પૂંછડીવાળા કાબરચિતરાને શોધું છું? હવે મારૂં ગળું સૂકાવા લાગ્યું હતું. કૂતરાં મારી પાછળ ન પડે તે માટે હળવે હળવે ચાલીને બસ સ્ટૉપ સુધી પહોંચ્યો. ત્યાં માટલાંવાળાં એક બહેન હતા તેમની પાસે જઈને પાણી માગ્યું. અત્યંત તરસ લાગી હતી તેથી પાણી જોઈને ડર લાગે છે કે કેમ તેનો વિચાર ન કરતાં બે ગ્લાસ પાણી ગટગટાવી ગયો. તેવામાં બસ આવી અને હું પાછો ઘેર પહોંચી ગયો. 

બીજા દિવસે વહેલી સવારે એલિસબ્રિજની વિ.એસ. હૉસ્પિટલમાં પહોંચી ગયો. જ્યારે કમ્પાઉન્ડર ઈન્જેક્શન આપવા આવ્યા ત્યારે તેમના હાથમાંની સિરિન્જમાંની સોય જોઈ બેભાન થઈ ગયો. બરફની દુકાનમાં બરફ તોડવા માટે જે સોયો વપરાતો, બરાબર તે માપ અને આકારની આ સોય હતી. હું કંઈ કહું તે પહેલાં મારા પેટમાં, ડૂંટીની જમણી બાજુએ  ઝડપથી સોય ખૂંપી ગઈ. મારા મોઢેથી સિસકારાને બદલે હાયકારો નીકળી ગયો. પેલા સજ્જને કહ્યું, ‘બે - ચાર ઈન્જેક્શન પછી તમને ટેવ પડી જશે.’ પ્રશ્ન હતો, બીજા બે - ચાર ઈન્જેક્શન જીવી શકીશ?

હું જીવી ગયો. પહેલા છ ઈન્જેક્શન બાદ ડૂંટીની બન્ને બાજુએ ત્રણ ત્રણ ઢિમણાં થયા હતા. તમે ભલે તેને ઢિમણાં કહો, પણ હું જ્યારે ત્યાં હાથ લગાડતો તો તે માઉન્ટ આબુ જેવા ડુંગરા હોય તેવું લાગતું. ત્યાર પછીના આઠ સોયા આ ઢિમણાં પર જ ઠોકાયા. આમ મારી ચૌદ ઈન્જેક્શનની ગાથા પૂરી થઈ, પણ વાત થોડી બાકી છે.



છેલ્લું ઈન્જેક્શન લીધાને ત્રણેક મહિના થયા હશે. અમારી ટીમ ‘રિટર્ન મૅચ’ માટે દહેગામ ગઈ. હું રમતો નહોતો પણ જિજ્ઞાસાને ખાતર પેલી ઐતિહાસિક જગ્યા - પેલા ખેતરની વાડ પાસે ગયો ત્યાં પૂંછડી પટપટાવતું એક માનવમિત્ર આવ્યું. તેનો રંગ કાબરચિતરો હતો. તેની પૂંછડી કાળી હતી અને તે વાંકી હતી. મને જોઈને તેણે એક આંખ બંધ કરી અને હસતો હોય તેવો આભાસ થયો.

Tuesday, May 3, 2016

આસપાસ - ચોપાસ : બે વાર્તાઓ

૧. હાઈડ્રોફોબિઆ


જન્માક્ષર બનાવનારા પંડિતજીએ કહ્યું કે દીકરાે  યશ અઢાર વર્ષનો થાય ત્યાં સુધી જળની ઘાત છે સાંભળી કર્નલ કેવલ કૃષ્ણ ચિંતામગ્ન થયા હતા. અઢાર વર્ષ સુધી તેમણે દીકરાને બાથ ટબમાં પણ એકલો જવા ન દીધો. યશની અઢારમી વર્ષગાંઠના દિવસે તેમણે પલ્ટનના અફસરોને અને તેમના પરિવારોને ભવ્ય પાર્ટી આપી - તે પણ ક્લબના સ્વિમિંગ પુલ ફરતી. જળ સંકટ ટળી ગયું તેથી કર્નલે યશને પુલમાં ધૂબકો મારવાનો આદેશ આપ્યો. જન્મથી જ પાણીમાં જવા ડરતા યશે ઈન્કાર કર્યો. કર્નલ ગુસ્સે થયા. સૈનિકનો દીકરો પાણીમાં પડવા ઈન્્કાર કરે? તેઓ યશને  છ ફૂટ ઊંચા પાટિયા પર ખેંચી ગયા અને યશને પાણીમાં ધકેલ્યો. સૌએ તાળીઓ પાડી.

બે મિનિટ થઈ ગઈ પણ યશ બહાર ન આવ્યો. બે તરવૈયાઓએ પાણીમાં ડૂબકી મારી અને યશના અચેતન શરીરને બહાર લઈ આવ્યા. તાત્કાલિક સારવાર આપવા છતાં યશ હોશમાં ન આવ્યો. સૌ તેને લઈ હૉસ્પિટલમાં ગયા.

થોડી વારે  આઇસીયુમાંથી ડૉક્ટર બહાર આવ્યા. તેમણે કહ્યું, “આઈ એમ સૉરી. યશ ઈઝ નો મોર. યશનું અવસાન ડૂબી જવાથી નથી થયું. તે પાણીમાં પડે તે પહેલાં જ તેનું હૃદય બંધ પડી ગયું હતું. તેના ફેફસામાં કે પેટમાં પાણીનું એક ટીપું પણ નહોતું.”

થોડા દિવસ બાદ કર્નલ સાહેબ પર ખૂનનો કેસ ચાલ્યો. જજ સાહેબે સાક્ષીઓની જુબાની સાંભળીને ચૂકાદો આપ્યો. તેમને Grave and sudden provocation હેઠળ છોડવામાં આવ્યા, અને જોશી મહારાજની વિધવાને બે લાખ રુપિયા વળતર આપવાનો હુકમ કર્યો.


***

૨. નિર્વાણની પ્રાર્થના

દામિની બહેન પ્રાર્થના કરે તો તેમના પતિ માટે જ. પતિને નિર્વાણ પ્રાપ્ત થાય અને જન્મજન્માંતરના કર્મના બંધનોમાંથી છૂટે. પાકટ વયે પતિ અવસાન પામ્યા. દામિનીબહેનની પતિપરાયણતા જોઈ ધર્મરાજ પોતે ધરતી પર અાવ્યા અને તેમના મસ્તક પર હાથ રાખીને કહ્યું, “તથાસ્તુ!” જતાં જતાં તેમણે પૂછ્યું, “દીકરી, તારો પતિ દારૂડિયો હતો અને તેની મારઝૂડમાંથી તું પણ બચી નહોતી. તેમ છતાં તેં…”
દામિની બહેનના ચહેરા પર સ્મિત જોઈ ધર્મરાજ બોલ્યા, “સમજ્યો!”