Monday, December 29, 2014

રવીંદ્રસંગીત : સે દિન દુજને...

એકાંતની ઘડીમાં અંતરની ગુફામાંથી નીકળતા સૂરોનાં વલય આવીને હૃદયવીણાને સ્પર્શ કરી જાય અને તે નો ઝણકાર આખો દિવસ સંભળાતો રહે. એવું સૌના જીવનમાં બનતું હોય છે. આવા પ્રસંગની અનુભુતિ આપણે કદી ભુલી શક્યા છીએ? 
આ કેવી અનુભૂતિને શું કહેવું? 
તેને શું નામ આપવું? 

આવાં પ્રશ્નો મનમંા ઊઠે તે પહેલાં પેલો પ્રસંગ યાદ આવે છે…આપણે તેમને કદી’ક મળ્યા હતા. અરસ પરસ નજરો મળી હતી અને તેમની આંખોમાં સ્મિત જોયું હતું! ભ્રમ તો નથી ને થયો તે જોવા માટે ફરી એક વાર શરમાળ નજરે તેમની તરફ જોયું . આ વખતે આ અવર્ણનીય હાસ્યની છટા કેવળ તેમની આંખોમાં જ નહિ, તેમના ઓષ્ઠદ્વય પરથી સરકી જતી જોવા મળી હતી! હૃદયો મળ્યાં અને ઘડી બે ઘડી મિલાપ થયો ત્યાં તો વિદાયનો સમય આવી ગયો. જતાં જતાં તેમણે આપણી સામે જોયું. તેમની આંખોમાંથી એક કાવ્ય નિતરતું હતું. આપણી પાસે પણ આપણા હૃદયની ભાવના કહેવાનો સમય નથી રહ્યો, પણ તેમનાં નેત્રોમાંથી નીકળતી કવિતા ઊડીને આપણા હૃદયમાં જડાઈ ગઈ, અને તેમાંથી નીકળતા શબ્દ વારે વારે કહેતા હતા, ‘આપણાં હૃદયોને સ્નેહની જે દોરીએ બાંધ્યાં તે દિવસને ભુલશો ના! ના ભુલશો!

કવીવર રવીંદ્રનાથે તેમને થયેલી આ દિવ્ય અનુભુતિને ગીતમાં આલેખી અને તેને જે સૂર આપ્યા. અનેક દશક વિતી ગયા પણ ગીત રાત દિવસ લોકોનાં મનમાં હજી ઘૂમ્યા જ કરે છે! બંગાળ - અને ભારતના અન્ય પ્રદેશોમાંના  ગાયક-ગાયિકાઓએ આ ગીત ગાયું, પુરુષના સ્વરમાં, સ્ત્રીના સૂરમાં, દ્વંદ્વગીત તરીકે. ન તો ગાયકો કદી આ ગીત ગાતાં થાક્યાં, ન સાંભળનારા! આજે આપણે બે ગાયકોના સ્વરમાં આ ગીત સાંભળીશું. પહેલાં શ્રી. દેવવ્રત વિશ્વાસના સ્વરમાં. બન્ને ગાયકોએ દરેક કડીના અંતમાં આવતા શબ્દ ‘ભુલો ના…” એવી આર્જવતાપૂર્વક ગાયા છે, શ્રોતા તેમાં વહી જાય! ગીત છે :

સે દિન દુજોને અને ગાયક છે દેવવ્રત વિશ્વાસ

હવે સાંભળીશું શ્રીમતી જયતિ ચક્રવર્તીના અવાજમાં. બેઉ ગાયકોની ગીતના ભાવોની પ્રસ્તુતી (expression) સાંભળીને વિચાર થાય, શું પુરષ અને સ્ત્રીની સંવેદનામાં કોઈ ફેર હય છે? તેમની એકબીજા પ્રત્યેની લાગણીઓની ઉત્કટતામાં કશું અંતર હોય છે?

ખરી વાત તો એ છે કે ભાવનાઓ સૌના હૃદયમાં એક સરખી હોય છે. સ્ત્્રીઓ આ યાદોને તેમના હૃદયની વિશાળ તિજોરીમાં મહામૂલા આભુષણની જેમ સાચવી રાખે છે. કોઈ એકાંતની ક્ષણમાં આ સંદૂક ખોલી, તેમાંથી યાદોનું આભુષણ કાઢી હૃદય પર રાખી 'એ' પળો યાદ કરે છે. શંખમાંથી નીકળતા મહાસાગરના ઘૂઘવાટની જેમ આવું ગીત કદાચ તેમના કાનમાં ગૂંજે તે સાંભળી તેને પાછું પેલા છૂપા ખજાનામાં મૂકી દે છે.

અને પુરૂષ? એની ઢબ કદાચ જુદી હોઈ શકે છે. કોઈ તેની વાંસળીના સૂરમાં યાદોનું ગીત વહાવીને, કે અાવું કોઈ ગીત સાંભળીને તે યાદોને ફરી એકાદ બે ક્ષણ જીવી લે છે...


આ ગીતનો આનંદ લેવા માટે ગીતની સાથે તેના મૂળ બંગાળી શબ્દો જોઈશું - અને તેની સાથે એક અણઘડ વ્યક્તિ દ્વારા થયેલ તેનો ગુજરાતી ભાવાનુવાદ મૂક્યો છે. 

સે દિન દૂજોને દૂલેછિનૂ વને, ફૂલડોરે બાંધા ઝૂલના
સેઈ સ્મૃતિટૂકૂ કભૂ ખને ખને જેનો જાગે મને ભૂલોના, ભૂલો ના, ભૂલો ના, ભૂલોના…
સેદિન બાતાસે છિલ તુમિ જાન - આમારિ મનેર પ્રલાપ જડાનો,
આકાશે આકાશે આછિલ છડાનો તોમાર હાસિર તૂલના ।। ભુલો ના

જેતે જેતે પથે પૂર્ણિમારાતે ચાંદ ઊઠે છિલ ગગને
દેખા હયે છિલ, તોમાતે-આમાતે કિ જાનિ કિ મહાલગને - ચાંદ ઊઠે છિલ ગગને… 
એખન આમાર, બેલા નાહિ આર, બહિબ એકાકી બિરહેર ભાર-
બાંધિનૂ જે રાખી પરાને તોમાર સે રાખી ખૂલો ના, ખૂલો ના ।। ભૂલોના 

તે દિન આ બે જણાં, વનમાં શું ઝૂલ્યાં, ફૂલ-દોર બાંધેલા ઝૂલે
સ્મૃતિ તેની બેઊ મને ક્ષણે ક્ષણે જાગે, કદી ભૂલો ના!
તે દિન હવામાં હતો, તમે જાણો, અમારા મનનો પ્રલાપ એવો તે જડાયો,
આકાશે ફેલાયું, તમારૂં એ હાસ્ય, કેવું તે રેલાયું, તે તમે ભૂલો ના!

જતાં જતાં પથ પર, પૂનમની રાતે, ચાંદ ખિલ્યો કેવો ગગને! 
આપણાં મહા મિલનની ઘડી કેવી, કેવી રે મહિમ…ચાંદ કેવો ખિલ્યો ગગને!
હવે તો સમય રહ્યો ના બાકી, એકાકી વિરહનો ભાર
પ્રેમનાં બંધન, બાંધ્મા તમ સંગ, કદી ખોલો ના, ભુલો ના,








Wednesday, December 24, 2014

યાદોની પગદંડીની આસપાસ વિખરાયેલાં પુષ્પ…



પહાડોમાં ટ્રેકીંગ કરવા જઈએ ત્યારે લીલાંછમ આસમંતમાં ઉગી નીકળેલાં રંગબેરંગી ફૂલ જોઈ મન કેટલું પ્રસન્ન થતું હોય છે એ આપે અનુભવ્યું છે. જીવનના ચઢાણ પણ કંઈક એવા જ હોય છે. ચાલતાં ચાલતાં  તન કે મન થાકી જાય, ત્યારે આ પગદંડીની આસપાસ પડેલાં ગીતોનાં ફૂલ નિરખીયે ત્યારે  કાનમાં તેમનો સુમધુર ઝંકાર સંભળાય.  તેમાં એક એવો પમરાટ હોય છે, જેની સરખામણી આપણી ડાયરીમાં રાખેલાં પુષ્પોની પાંખડીઓ સાથે કરી શકાય.  પાનું ખોલતાં તેમાંથી સૌરભ નીકળે એવાં ગીતો જે આધુનિક જગતની ગતિમાં ખોવાઈ ગયા છે. પણ તેનું માધુર્ય એવું જ તાજું રહ્યું છે! આજે  સૌથી પહેલાં યાદ આવી સ્વ.ગીતા રૉયની. તેમનાં ઓછાં જાણીતા પણ અત્યંત મધુર ગીતોની વાત કરીએ તો યાદ આવે છે,



ફિલ્મ ‘અનુભવ’નું આ ગીત ગીતા રૉયે ગાયું અને અભિનય છે તનુજાનો.  આ ફિલ્મમાં તનુજાનો અભિનય એટલો તો સુંદર હતો, તે સમયના વિવેચકોએ આ ફિલ્મને ‘તનુભવ’ કહીને બીરદાવી હતી. આ જ ફિલ્મનું બીજું ગીત…


અને તેમના જીવનનાં છેલ્લાં ચઢાણમાં તેમણે આ ગીત ગાઈને તેમના હૃદયને અને તેમના ચાહકોનાં હૃદયોને વલોવી નાખ્યાં: 


***
મુકેશજીએ પહેલું ગીત ગાઈને સૌનું ધ્યાન ખેંચી લીધું. તે વખતે તેમણે સીધી સાયગલ સાહેબની ઢબથી ગાવાનો પ્રયત્ન કર્યો. કોણ જાણે કોણે તેમને કહ્યું કે ચિત્ર, કથા કે કલામાં નકલ કરતાં મૌલિકતાનું મૂલ્ય અનેકગણું હોય છે. તમે તમારા આનંદ માટે તમારા સ્વત્વને બહાર લાવે તેવું ગાશો તો બીજા કોઈને તે ગમશે કે નહિ, પણ તમે તેનો આનંદ જીવનભર લઈ શકશો! મારી અનભિજ્ઞ દૃષ્ટીમાં તેમણે ગાયેલાં બિન-ફિલ્મી કે ફિલ્મી ગીતોમાં જુદી ભાત પાડી ગયા તે ગીતો છે :

જીયેંગે મગર મુસ્કુરા ન સકેંગે/ કિ અબ ઝીંદગીમેં મુહબ્બત નહિ હૈ…’  અને

‘કિસે યાદ રખ્ખું, કિસે ભુલ જાઉં..’ જાણે આપણા ઘરમાં જામેલી મહેફીલમાં મુકેશજી આવીને ગાઈ રહ્યા છે!

***

ઓ.પી. નૈયર માટે કહેવાય છે કે તેમણે સંગીતબદ્ધ કરેલા પહેલા ગીત બાદ સંગીતના ક્ષેત્રમાંથી વિદાય લીધી હોત તો પણ તેઓ ચિરસ્મરણીય થયા હોત! આ ગીત રચવા માટે HMV કંપનીએ તેમને અૉફર આપી : રોકડા વીસ રુપિયા અથવા ‘વેચાય તો રૉયલ્ટી’. પહેલા ગીત માટે તેમણે ‘રોકડી’ કરી લીધી. ગાયકે રૉયલ્ટી પસંદ કરી અને તે જમાનામાં દોઢ લાખ  કમાયા. તે જમાનામાં સરકારી ક્લાર્કનો પગાર ૭૫ રૂપિયા હતો! ગીત હતું ‘પ્રિતમ આ ન મિલો/દુખિયા જીયા બુલાયે…’ અને ગાયક ચંદ્રુ આત્મા - જેમનું સૂરજ્ઞાન શૂન્યવત્ હતું પણ આત્માની જેમ અમર થઈ ગયા! શ્રેય તો અલબત્ નૈયર સાહેબને!

સદ્ભાગ્યે નૈયર સાહેબે ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને અનેક અણમોલ ગીતોનો વારસો છોડી ગયા.

આ ગીત યાદ છે? ‘ચૈનસે હમ કો કભી…’

આશાજીએ આ ગીત ગાઈને તો કમાલ કરી! ભારતીય સિને સંગીતનો Hall of Fame કદી બનાવવામાં આવે, તેમાં આ ગીત અચૂક આવે!

અાશાજીએ ગાયેલાં અદ્વિતિય ગીતોમાં યાદ આવે છે. એક વસમી વિદાયની યાદ આપતું બીજું ગીત:  જીવનની બંદીશાળામાં પૂરાયેલી બહેન શ્રાવણની અમિધારા જોઈને ગાય છે- પિતાજી, સાવન આવ્યો છે. આ વરસે તો ભાઈને મોકલી મને પિયર બોલાવો…'અબ કે બરસ ભીજ ભૈયા કો, બાબુલ" 

***

સ્મૃતિવનની વાત કરીએ તો પંકજદા’ની યાદ આવ્યા વગર ન રહે! યાદ છે આ ગીત?

આજનો અંક નાતાલના શુભ દિન માટે ખાસ છે. ક્રિસમસ કૅરલ હંમેશા ગવાય છે પણ તે પાશ્ચાત્ય સંગીતના ઢાળમાં. પરંપરાગત ભારતીય સંગીત, તે પણ કર્ણાટક પદ્ધતિમાં ગવાયેલું આ કૅરલ યાદ છે આપને? એ. આર. રહેમાન જેવા પ્રતિભાશાળી સંગીતકાર જ આવી અપ્રતિમ કૃતિ આપી શકે:


આજના અંકની આખરમાં એક મહાન ગાયકના કંઠે ગવાયેલ અદ્ભૂત ગીત રજુ કરીશ. આ ગીત પણ લગભગ ભુલાઈ ગયું છે. જો કે તેની તાજગી હજી પણ એવીને એવી જ રહી છે. સ્વ. સાયગલ સાહેબે ગાયેલું ચંડીદાસનું કિર્તન …






Tuesday, December 9, 2014

સંગીતની કેડીએ..


સમયના પેટાળનમાંથી એક ખજાનાનું ઢાંકણું નજરે પડે, અને તે ખોલતાં તેમાં સંતાઈ રહેલાં રત્નો નજર આવે તેમ કેટલાક ગીતો ઝળહળ્યા. કેટલાક અજાણ્યા અને કેટલાક જાણીતા કલાકારોનએ ઘડેલા આ ઘરેણાં આજે રજુ કરૂં છું.

પ્રથમ ગીત છે ભુલાઈ ગયેલા સંગીતકાર જમાલ સેનના સંગીતમાં લતાજીએ તેમની કારકિર્દીની શરૂઆતમાં ગાયેલું ગીત. સુંદર કાવ્યના લાલિત્ય પર સંગીતકારે ચઢાવેલ સૂરોનો ઓપ અને તેને સ્વરસુંદરીએ આપેલું મૂર્તસ્વરૂપ antique jewellery જેવું લાગશે:


આજે સ્વ. સી. રામચંદ્ર તો ભુલાઈ ગયા, પણ તેમની કલાના ચાહકો જાણે છે કે તેમણે સંગીતબદ્ધ કરેલ ગીતોએ લતાજીને પ્રસિદ્ધીના શિખર પર પહોંચાડ્યા હતા. જેમની પાલખીમાં તેઓ બેઠાં હતા તે ઉંચકનાર ભુલાઈ ગયા! વાચકોને યાદ હશે કે અનારકલી, પરછાઈયાઁ, જેવી ફિલ્મોનાં ગીતોએ ધૂમ મચાવી હતી. તેમણે સંગીતબદ્ધ કરેલ “અય મેરે વતન કે લોગો” સાંભળીને આજે આખો દેશ ભારતના સૈનિકોની સાથે ખડો થઈ જાય છે, પણ તેના રચયિતાન વિશે કોઈ જાણતું નથી. અહીં જે ગીત રજુ થયું છે તેની તો વાત જ નિરાળી છે. ફિેલમનું નામ પણ કોઈને યાદ નથી, પણ યાદ છે લતાજીના હૃદયમાંથી નીકળેલા સૂરોની ગૂંજ, શબ્દ અને સી. રામચંદ્રના હૈયાનો ધબકાર: 'તુમ ક્યા જાનો, તુમ્હારી યાદમેં...'

હવે જે ગીત રજુ થાય છે તે દેવોને દુર્લભ છે! આપણે સૌએ મદન મોહનજીએ સંગીતબદ્ધ કરેલા ગીતો માણ્યાં છે, પણ તેમણે પોતે ગાયેલું ગીત ભાગ્યે જ સાંભળ્યું હશે! અહીં રજુ થયેલ ગીત તેમના પોતાના જ સ્વરમાં છે - અને તેનું અનુસરણ લતાજીએ કર્યું છે. 'દસ્તક' ફિલ્મમાં પિતા તેની દીકરીને ગીત શીખવે છે, અને તે ગાય છે - જે સાચા જીવનમાં સ્વ. મદન મોહન અને લતાજીની બાબતમાં થયું હોય તેવું લાગે. આવો અનન્ય યોગ અનુભવીએ ત્યારે બસ એક શબ્દ નીકળે : વાહ!


“અય દીલે નાદાઁ” શબ્દોથી નવાજાયેલાં અનેક ગીતો છે, પણ ફિલ્મ ‘રઝિયા સુલ્તાન’નું ગીત લતાજીને કંઠે સાંભળીએ તો તેનું હાર્દ સમજાય!  સંગીત છે ખય્યામ સાહેબનું.


સ્વ. અનિલ બિશ્વાસને આજે ચાહકો હિંદી ફિલ્મોના ભિષ્મ પિતામહ ગણે છે. તેમણે રચેલા ગીતોમાં રસિકોને પાટણના પટોળા જેવું ગીત લાગ્યું હોય તો તે છે “તુમ્હારે બુલાને કો…” એનાં શબ્દો લતાજીએ એવા ઉલ્લાસથી રજુ કર્યા છે, બસ સાંભળતા જ રહીએ!


“ઉનકો યહ શિકાયત હૈ..” આ ગીતનો રસાસ્વાદ એક સંગીતકાર મિત્રે કરાવેલ.  દરેક કડીના અંતમાં લતાજી પાસે મદન મોહનજીએ “કુછ નહિ કહેતે..” જુદી જુદી ભાતમાં ગવડાવ્યું, અને દરેક પંક્તિ હૃદયમાં સોંસરવી ઉતરી જાય છે. એક વૃદ્ધાના અભિનયમાં મૅડમ નરગીસે આ ગીત જે રજુ કર્યું છે તે જોઈ મારા સમવયસ્ક શ્રોતાઓએ આંખના અશ્રુથી દાદ આપી હતી!


હવે પ્રસ્તુત થાય છે તે ગીત એટલા માટે વિશિષ્ઠ છે, તે ગાયું છે લતા દીદીએ, અને અભિનય છે નુતનજીનો. શાત્રીય સંગીતમાં ગવાયેલ ગીત માટે જેટલાં લતા દીદી વખણાયા, એટલા જ નુતન, કારણકે ગીતમાંની તાનનાં આવર્તનો નુતનજીએ એવી સૂક્ષ્મતાથી સમજીને રજુ કર્યા છે, આ ગીત શંકર જયકિશનનાાં ભાથાંમાંના અનેક દિવ્યાત્ર્ોમાંનાં એકહવે  જેવું અનન્ય લાગે! ફિલ્મ હતી ‘સીમા.


આ ગીત અમારા ખાસં વાચક માટે રજુ કરીશું. કોઈ ફિલ્મનું આ ગીત નથી! ગાયિકા છે શ્રીમતી જ્યુથિકા રૉય અને સંગીતકાર કમલ દાસગુપ્તા. એક વિરહીણીનું ગીત છે - મેરી વીણા રો રહી હૈ!


હવે ‘જિપ્સીનું એક પ્રિય ગીત રજુ કરવાની રજા લઈશ. વાંસળીના સૂરોનું અચાનક શબ્દોમાં પરિવર્તન થાય ત્યારે એક ચમત્કાર થયા જેવું લાગે. કોયલના લાંબા ટહૂકાર જેવા ગીતમાં મોરનો સ્વર જોડાય તેમ તેમાં વાંસળી ફરીથી જોડાય છે ત્યારે ગંગામાં યમુના ભળી હોય તેવા આ સંગમમાં શ્રોતા ડૂબકી લે અને બહાર નીકળે ત્યાં ગીત પૂરૂં થાય! આ અદ્ભૂત ગીત ગાયું છે ભારતીય ફિલ્મ જગતનાં પ્રથમ મલિકા-એ-તરન્નૂમ સુરૈયાએ. ફિ્લમ છે અફસર: 

અંતમાં રજુ કરીશું સિને સંગીતના સર્વ શ્રેષ્ઠ ગાયક - જેમની કોઈ મિસાલ નથી, અનેક ગાયકોએ તેમના અવાજની નકલ કરી ફિલ્મ સંગીતનું શિખર આંબ્યું!  જી હા, અહીં વાત છે સ્વ. કુંદન લાલ સાયગલની. તેમનું બિન-ફિલ્મી ગીત “કૌન બુઝાયે…” પ્રસ્તુત છે. આગળ જતાં સાયગલ સાહેબની biopic બની તેમાં આ ગીત બે ભાગમાં રજુ થયું. પહેલું ગાયું છે પદ્માદેવીએ અને ત્યાર બાદ સાયગલ સાહેબના youthful અવાજમાં:

આશા છે અાજનો અંક આપને ગમશે!