Wednesday, October 29, 2014

સંબંધોનો સેતુ (૩)



આજનું મનોયત્ન કરતાં પહેલાં ગયા બે અંકમાં જે વાતો કહી હતી તેના કેટલાક મુદ્દા ફરી તપાસીએ: 

આ કાર્ય પુસ્તકનો હેતુ આપણા સંબંધોની પુન: શોધખોળ કરવાનો છે. સૌ પ્રથમ આપણે આપણા જીવનમાં જે મહત્વની વ્યક્તિઓ છે, તેમને આપણાં અસંખ્ય પરિચીતોમાંથી અળગા પાડી તેમને આપણા હૃદયમાં ગૌરવ ભર્યા સ્થાનમાં મૂક્યા છે. તેથી જ તો આપણે તેમને આપણા ગ્રહ મંડળના નકશામાં મૂક્યા છે. આમ આપણા જીવનના મહત્વના સ્થાને રહેલા કેટલાક સગાં-સંબંધીઓ સાથેના આપણા સંબંધો એવા છે જે માટે તેમના પ્રત્યે આપણે ગૌરવ ધરાવીએ છીએ, અને અમુક એક કિસ્સાઓમાં આપણે તેમની સાથેના આપણા સંબંધો વિશે  થોડા ઘણા ચિંતીત છીએ. આમ આ એક જાત તપાસ છે, જેની  મદદ વડે આપણે આપણને આપણાં સંબંધો અંગેના કેટલાક મુંઝવતા પ્રશ્નોના જવાબો શોધી શકીશું.

આપણી યાત્રાના કેટલાક સહયાત્રીઓએ તેમના ઝળહળતા ગ્રહમંડળ વિશે પ્રતિભાવ મોકલ્યા ત્યારે એવું લાગ્યા વગર રહેતું નથી કે આવું અદ્ભૂત ગ્રહમંડળ આપણાં આપ્તજનોમાં જરૂર મળી આવશે. સાથે સાથે એ પણ શક્ય છે કે તેમાં કેટલાક એવા મિત્રો કે સ્નેહીઓ હોઈ શકે છે જેમની સાથેનાં સંબંધોમાં કોઈ અજાણ્યા કારણસર કચાશ આવી છે અથવા તેમાં તિરાડ પડી છે. આ કાર્ય પુસ્તકનો ઉદ્દેશ આવા સંબંધોના પાયાની તપાસ કરી, તેમને મજબૂત કરવામાં સહાયતા કરવાનો છે.

આપણાં સંબંધોના મૂલ્યાંકનમાં આપણે કરેલું પ્રથમ અને મહત્ત્વનું સોપાન તે આપણે તૈયાર કરેલું આપણું ગ્રહ મંડળ. આજનું કામ કરતાં પહેલાં વિચાર કરવો જરૂરી છે કે તેમાં કોઈ મહત્વની વ્યક્તિ બાકી તો નથી રહી ગઈ ને? જો અત્યાર સુધીમાં તેમનું નામ સુઝ્યું ન હોય તો તે આપણા માટે મહત્વના ન હોઈ શકે. અને હોય તો આ આપણા માટે છેલ્લો મોકો છે કે તેમનું નામ તેમાં નોંધી લઈએ.

આજે આપણે બનાવેલા આપણા સૂર્યમંડળમાં બે વાતોનો ઉમેરો કરવાનો છે. સૌથી પહેલાં કેન્દ્ર સ્થાને સૂર્ય - એટલે કે મારા વર્તુળથી દરેક વ્યક્તિના ગ્રહ સુધી નીચે પ્રમાણે રેખાઓ દોરવાની છે.  

ગાઢ સંબંધ દર્શાવવા માટે: ____________ (આ રેખા બને એટલી ઘેરી બનાવવી)

સારો સંબંધ પણ એટલો મજબૂત નહિ:   __________ (અહીંં પાતળી રેખા દોરવી.)
કાચો પડતો સંબંધ :                         - - - - - - - - - - (આ રીતે દોરશો)                          
તૂટેલો - કે તૂટવાની અણી પર આવેલો સંબંધ:   -  -  - -  // - - - - - આવી રીતે દર્શાવવાનો છે.

એક વાર ઉપર મુજબ રેખાઓ દોરાઈ જાય તો તેને બદલવી નહિ. આનું ખાસ કારણ એ છે કે મનમાંથી નીકળેલી પ્રથમ ભાવના સાચી હોય છે. કોઈ એક ખાસ વ્યક્તિના સંબંધ વિશે એક વાર લાઈન દોરાઈ ગયા બાદ તેના પર ફરીથી ઊંડો વિચાર કરવાથી હાલની પરિસ્થિતિને બદલે ભૂતકાળ દિવસોમાં તે સંબંધ કેવો હતો તેના આધારે તેમાં ફેરફાર કરવાની ઈચ્છા થશે ; અને તેવું કરવાથી અત્યારની સ્થિતિમાં તેની શી હાલત છે, અને તે બાબતમાં આપણે આગળ શું કરવાનું છે તેની કાર્યવાહી નક્કી નહિ કરી શકાય.. 

આ બાબતમાં એક દાખલો જોઈશું.

લંડનના અમારા એક ક્લાયન્ટ માજીને એક ૪૫ વર્ષનો સફળ વેપારી દીકરો અને તેનાથી નાની ત્રણ દીકરીઓ હતી. ત્રણે પુત્રીઓ પરિણીત હતી, તેમને બાળકો હતા અને લંડનમાં જ રહેતા હતા. માજી ૭૦ વર્ષનાં હતા અને મ્યુનીસીપલ કાઉન્સિલના વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. એક ના એક પુત્ર સાથે ન રહેવાનું કારણ માજીને અને પુત્રવધુને એકબીજા સાથે ફાવતું નહોતું. બન્ને વચ્ચે હંમેશા લડાઈ થતી રહેતી. પુત્ર સાથે ઊંડાણથી વાત કરતાં જણાયું કે તેમનાં લગ્ન બાદ એક વર્ષ સંસાર મજેથી ચાલ્યો. ત્યાર પછી તેમના કહેવા પ્રમાણે બહેનોની ચઢવણીથી માતાનો પુત્રવધુ સાથે અણગમો વધતો ગયો. તેમની સાથે રહેતી સૌથી નાની બહેનનાં લગ્ન થઈ ગયા બાદ પુત્ર અને પુત્રવધુને લાગ્યું કે હવે બહેનો પતિગૃહે ગઈ છે તો તેમની ઉશ્કેરણી ઓછી થશે અને સાસુ-વહુ વચ્ચેનાં સંબંધમાં સુધારો થશે. તેવું થયું નહિ. આખો દિવસ બહેનો માતાને ટેલીફોન કરતી રહેતી અને અંતે વાતાવરણ એટલું બગડી ગયું કે સંબંધોમાં વિસ્ફોટ થયો. માતાને વૃધ્ધાશ્રમમાં મોકલ્યા અને બહેનો સાથેનો સંબંધ તદ્દન સમાપ્ત થયો. 

હવે અમારા કહેવાથી આ ભાઈએ સંબંધોના સેતુ પર કામ શરૂ કર્યું. ગ્રહ મંડળમાં તેમણે માતા, પત્ની, ત્રણે બહેનો, બનેવીઓ, મિત્રો  અને આ કાઉન્સેલરનું નામ પણ ઉમેર્યું! બીજા ચિત્રમાં માતા અને બહેનો સાથેના સંબંધોનું પહેલું ચિત્ર બનાવ્યા બાદ થોડી વારે ફરી વિચાર કરી તેમાં સુધારા કર્યા. વળી પાછો વિચાર કરી તેમાં ફરી સુધારા કર્યા. આમ ત્રણ ચાર વાર થયા પછી પણ તેઓ નક્કી કરી શક્યા નહિ કે બહેનો અને માતા સાથેનાં સંબંધ ઘેરી લાઈનથી કે પાતળી અથવા તૂટક લાઈનથી બતાવવા. 

ભાઈ જ્યારે સોળ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. લગ્ન પહેલાં માતા અને ભાઈબહેનો વચ્ચેના સંબંધો આદર્શ હતા. એક બીજા વગર જમવા પણ નહોતા બેસતા. ભાઈ બહેનો સાથે મળીને ગીતો ગાતાં, ઉજાણીએ જતા અને માતા પર વહાલનો વરસાદ વરસાવતા. સંબંધોનો સેતુ બનાવતી વખતે તેમને આ જુની વાતો યાદ આવતી હતી, જેની સાથે ચાલુ પરિસ્થિતિનો મેળ બેસતો નહોતો. શું કરવું તે સમજાતું નહોતું. જિપ્સીએ તેમને સલાહ આપી કે જુનાં સંબંધોનો વિચાર કરવાને બદલે હાલના સંબંધો દર્શાવતો નકશો બનાવાય તો જ તેમનાં સંબંધોનું બાંધકામ કરવા વિશે ઉપાય શોધી શકાય. ભૂતકાળના સંબંધોનો ઉપયોગ કદાચ સંબંધોના રિપેરીંગમાં કરી શકાય, પણ તે આગળની વાત હતી. જો કે તેમ કરતાં પહેલાં પરિવારના બધા સદસ્યોએ પોતપોતાનાં સંબંધોના સેતુ પર કામ કરવું જોઈશે, એવું પણ જણાવ્યું. 

આમ હાલની સ્થિતિને નકશામાં ઉતારવી અત્યંત જરૂરી હોય છે. તેમ કરવાથી આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવતાં પાત્રો અને તેમની સાથેનો સંબંધ હવે સ્પષ્ટપણે દૃશ્યમાન થશે. 

આ પ્રક્રિયા પૂર્ણ થતાં મારા એક મિત્રે તેમના સંબંધોનું માનચિત્ર તૈયાર કર્યું તે નીચે પ્રમાણે છે. 


અહીં થયેલ ચર્ચા મુજબ તમે બનાવેલા તમારા ગ્રહમંડળમાં સંબંધોની રેખાઓ બનાવશો.

તમારૂં આ કામ પૂરૂં થઈ ગયા પછી એક બ્રેક લેવો જરૂરી છે. આગલો પ્રયોગ ખુબ સમજી, વિચારીને કરવાનો છે.

***

બ્રેક કે બાદ....

સંબંધોના નકશાનો પહેલો ભાગ તો તમે પૂર્ણ કરી લીધો. હવે એ જ નકશા પર આગળનું કામ કરવાનું છે. 

આ મનોયત્નમાં આપણે વિચારપૂર્વક નક્કી કરવાનું છે કે આપણા સૂર્ય મંડળના ગ્રહ સાથેના સંબંધમાં આપણા તરફથી કેટલો ફાળો આપવામાં આવ્યો છે. આ ફાળો આર્થિક, ભાવનાત્મક કે પ્રત્યક્ષ મહેનત દ્વારા આપ્યો છે તેનું સંયુક્ત ભાવ પ્રદર્શન સૂર્ય તરફથી એક તીરનું નિશાન બનાવી જે તે તારક સાથે જોડવાનું છે. જો તમને લાગતું હોય કે તમારો ફાળો સો ટકા હકારાત્મક છે, તો આ તીરની રેખા જાડી કરશો. કોઈ વ્યક્તિ પ્રત્યે સંબંધ સારો હોય, પણ એટલો ઘનિષ્ઠ નથી તેમના માટે રેખા પાતળી કરવી. જ્યાં સંબંધ નબળો હોય તેમના માટે તીરની રેખા તૂટક બનાવવી. 

કોઈ એક સંજોગોમાં એવું પણ બની શકે છે કે આપણે જેમની સાથે કાચો અથવા ભગ્ન થયેલો સંબંધ જોઈએ, તેમાં પણ આપણું પોતાનું યોગદાન મોટા પ્રમાણમાં હોય એવું આપણને લાગે. આવા સંજોગોમાં તો આપણે આપણા રોકાણનો જ વિચાર કરી આ રેખાને જાડી કરવી ઘટે. આનું કારણ આગળના મનોયત્નમાં દેખાશે.

આ કામ અત્યંત કઠણ છે. તે કરવા માટે ઊંડો વિચાર કરવો જોઈશે. આપણા જીવનના લાંબા અરસાનો હિસાબ કાઢી આપણે દરેક સંબંધમાં સિંચેલ આપણા દરેક પ્રકારના ફાળાનો વિચાર કરી આપણા આ સગાં કે સંબંધીમાં કરેલ રોકાણનું આ તીર દ્યોતક છે. ઘણી વાર તો એક બેઠકમાં આ માનચિત્ર તૈયાર થઈ શકે તેવું ન હોય તો બે કે ત્રણ વ્યક્તિઓમાં કરેલ આપણા રોકાણનાં તીર નોંધી બાકીના બીજા દિવસે કરવા. એક વાર તીર નોંધાઈ ગયા પછી તેમાં ફેરફાર કરવા નહિ. પહેલી વાર જે મનમાં ભાવ ઉપસી આવે છે તે બહુધા આંતરીક અને પ્રામાણીક હોય છે. 

આ કામ પૂરૂં થતાં આપણું સૂર્ય મંડળ કંઈક આવું દેખાશે.




આજે બસ આટલું જ. હવે પછીનું મનોયત્ન આવતા અઠવાડિયામાં કરીશું. 

Sunday, October 26, 2014

એકો-મૅપ : આપણું પોતાનું ગ્રહમંડળ

આજના મનોયત્નની શરૂઆત ‘ecomap’થી કરીશું. 
‘એકો મૅપ’ એક વ્યક્તિના સંબંધોના જન્માક્ષર જેવો નકશો છે. ૧૯૭૫માં હાર્ટમન નામના સમાજશાસ્ત્રીએ તેનું નિયોજન કર્યું જેના આધારે સમાજસેવક અને કાઉન્સેલર તેમની મદદ લેનાર વ્યક્તિની સામાજીક અને ભાવનાત્મક સ્થિતિનું પ્રાથમિક મૂલ્યાંકન કરી શકતા હતા. આ નકશો આપણા પોતાનાં આપ્તજન તથા આત્મીય સાથેના આપણાં સંબંધો દર્શાવતો હોવાથી આપણા સિવાય તેનું વાસ્તવીક ચિત્રણ અન્ય કોઈ કરી શકે નહિ. આપણે પોતે કરવાના આ મનોયત્નને અન્ય કોઈને બતાવવાનું નથી તેથી તેને પ્રામાણીકતાપૂર્વક બનાવવું અત્યંત જરૂરી છે.  લેખન કાર્ય પુસ્તક (Work Book)ના આગળના બધા કાર્યક્રમ એકો મૅપ પર આધાર રાખતા હોઈ તેને ખૂબ વિચારપૂર્વક બનાવવું જોઈશે.
એક રીતે જોવા જઈએ તો દરેક માણસનું વિશ્વ આકાશગંગાની જેવું હોય છે. આકાશગંગામાં અગણિત તારા છે. સૂર્ય સમાન આ તારકોને ગ્રહ અને ઉપગ્રહ હોય છે. પ્રત્યેક ગ્રહમંડળ તેના સૂર્યની ચોમેર ફરતું રહે છે તેમ છતાં આકાશગંગાથી વિખૂટું નથી. તેવી જ રીતે દરેક વ્યક્તિ એક સૂર્ય જેવો છે અને તેનું ગ્રહમંડળ એટલે તેનાં આપ્તજન અને મિત્ર મંડળ. ખુબીની વાત એ છે કે જેને આપણે આપણા ગ્રહ માનીએ છીએ, તેમની દૃષ્ટિએ તેઓ પોતે તેમનાં સૂર્ય છે, જેમની આસપાસ તેમનાં સગાં સંબંધીઓ પરિભ્રમણ કરતા જણાય છે. મારો ભાઈ પણ તેની દૃષ્ટીએ એક સુરજ છે, જેનો એક ગ્રહ હું પણ હોઈ શકું છું! આજે કેવળ આપણી અને આપણા ગ્રહમંડળના સભ્યો સાથેની વાત છે તેથી તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરીશું.

સૌથી પહેલાં એક કોરા કાગળ ના મધ્યમાં એક નાનકડું વર્તુળ બનાવશો. આ તમે છો, તેથી તેની અંદર લખશો : ‘હું’. આ અહંભાવ દર્શાવવા માટે નથી. ફક્ત સંબંધોનું માનચિત્ર બનાવવા માટેનું સાધન છે.

હવે આ વર્તુળને કેન્દ્રસ્થાને રાખી તેની આજુબાજુ તમે જેમને તમારા આપ્ત, ઘનીષ્ઠ, આત્મીય માનો છો એટલા ચક્ર બનાવશો. દરેક ચક્રની અંદર સંબંધીત વ્યક્તિનું નામ લખશો. તમારે જેમનાં નામ ન લખવા હોય તેમને કોઈ ‘અ’, ‘બ’ ‘ક’ જેવી સંજ્ઞા આપશો. જે વ્યક્તિને તમે અત્યંત નજીકનાં ગણો છો, તેમના નામનું વર્તુળ તમારી નજીક, અને દૂર છે, તેમને દૂર ચિતરશો. આમ કરવાથી એકો મૅપનું પહેલું ચિત્ર લગભગ આવું થશે :



ઉપરનું ચિત્ર એક દાખલા તરીકે આપ્યું છે. આ નકશામાં તમે જેમને અને જેટલી વ્યક્તિઓને તમારી નજીકના સમજતા હોવ તેમને તેમાં ઉમેરશો. હવે પછી આવનાર મનોયત્નોમાં તમે દોરેલા પહેલા એકો મૅપ પર જ કામ કરવાનું છે. તેથી એક વાર તમે જે 'ગ્રહ મંડળ' બનાવશો તેમાં આગળ જતાં કોઈ ફેરફાર કરવાનો નથી.  તેથી પ્રથમ નકશો વિચારી સમજીને જ કરશો!





                                                                  


  
                                   
             
           



                                                    




                                                                  


  
                                   
             
           



                                                    







Friday, October 24, 2014

સંબંધોનો સેતુ

ભૂમિકા 

આપણા જીવનમાં આવેલી વ્યક્તિઓનું મહત્વ આપણાં તેમની સાથેના સંબંધ પર આધાર રાખે છે. દરેક વ્યક્તિનું આપણા મનમાં વિશીષ્ઠ સ્થાન હોય છે, તેમના માટે વિશેષ ભાવના હોય છે. તેથી ક્યારેક એવું લાગે કે જેમને આપણે અતિ નિકટના સગાં - સંબંધીઓ માનીએ તેમના તરફથી લુખ્ખો કે અલિપ્તતાનો પ્રતિભાવ મળે ત્યારે દુ:ખ અને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. એવું લાગે, શા માટે તેમની સાથેનો સંબંધ પહેલાં જેવો રહ્યો નથી?

આપણે વિચારવા લાગીએ, અચાનક એવું તે શું થઈ ગયું જેના કારણે અમારા સંબંધો કાચા પડી ગયા? શું સંબંધ જાળવવાના મારા પ્રયાસ અપૂરતા હતા? કે પછી જેની સાથે હું સંબંધ બાંધવા અથાગ પ્રયત્ન કરૂં છું, તેને મારી કશી પડી નથી?

આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ગુંચવાઈ જવાને બદલે આવા સંબંધે અંગે સહેજ ધ્યાનપૂર્વક વિચારીએ તો જણાઈ આવશે કે આવી ચોક્કસ વ્યક્તિ સાથેના સંબંધની નિષ્ફળતાના મૂળમાં કદાચ આપણી તેમની પાસેથી જે અપેક્ષાઓ હતી તે પૂરી થઈ નથી. આનો બીજો પાસો એ પણ હોઈ શકે કે આપણા મિત્રો કે કુટુમ્બીજનોની અપેક્ષાએ આપણે ઊણાં ઊતર્યા હોઈએ.

આ તો થઈ ’કદાચ’ અને અનિશ્ચીતતાની વાત. જાણવા જેવી મુખ્ય વાત તો એ છે કે આપણાં સંબંધોમાં એકબીજા પ્રત્યે આપણે જે અપેક્ષાઓ સેવીએ છીએ, તે વિશે આપણે કે તેઓ વાકેફ છે ખરા? 

આની ચોખવટ ન થઈ હોય તો આવી હાલતમાં આપણે શું કરી શકીએ?
ઘણી વાર એવું બનતું હોય છે કે આવી હાલતમાં આપણે એકબીજા પ્રત્યે કાં તો મૌન સેવીએ છીએ, અથવા આ બાબતમાં એકબીજા સાથે વાત કરવાનું ટાળતા હોઈએ છીએ! મનમાં એવી છુપી ભાવના હોવાની શક્યતા છે કે આમ કરવાથી સામેની વ્યક્તિની લાગણીઓ ઘવાશે. 
તમારી સામે આવી સ્થિતિ આવી પડે તો તેનો ઉકેલ લાવવામાં આ work-book કદાચ ઉપયોગી નીવડશે. સંભવ છે કે તેમાં આપેલા મનોયત્નોનો ઉપયોગ કરવાથી તમે તમારી લાગણીઓને નિરપેક્ષ ભાવથી તપાસી શકશો. તમે જોઈ શકશો કે સંબંધીઓ પાસેથી તમે કરેલી અપેક્ષા વ્યાજબી હતી કે કેમ? અને એ પણ જાણી શકશો કે જે સંબંધને તમે ધારતા હતા એટલો તે દૃઢ કે મજબૂત હતો કે નહિ!

કહેવાય છે કે આપણી પાસે આખા જગત માટે સમય છે ; નથી તો કેવળ ખુદ આપણા માટે, કારણ કે આપણે સ્વાર્થી નથી! વિચારકો કહી ગયા છે કે સ્વ-વિકાસ અથવા આત્મનિરીક્ષણ માટે સમય કાઢવો જોઈએ. તેવું કરવાથી જીવનનાં ઘણાં તથ્યો નજર સામે આવી જશે. આ work-book માટે તમે તમારા માટે થોડો સમય કાઢશો તો તે જરૂર ફળદાયી નીવડશે અને તે તમારી માર્ગદર્શક મિત્ર બની શકશે એવી આશા છે. 

આ work-bookનો મુખ્ય હેતુ તમારા સંબંધોની પુન: શોધખોળ કરવામાં ઉપયોગી થવાનો છે. આ કામ ધારીએ તો સહેલું છે અને મુશ્કેલ પણ. મુશ્કેલ એટલા માટે કે આ work-book તમારી પાસેથી તમારી ભાવનાઓનું પ્રામાણિક અવલોકન કરી તેને એટલી જ સચ્ચાઈથી વ્યક્ત કરવાની આશા રાખે છે. આમ તે તમારા મનની આરસી છે. તેમાં ભરવાની વિગતો જેટલી સાક્ષીભાવથી ભરીને જોઈ જશો એટલી તે તમારી અાંતરિક શક્તિઓને જાગૃત કરવામાં અને સંબંધો વિષયક તમારા વિચારોને પારદર્શક બનાવવામાં મદદ કરશે. શક્ય છે કે તે તમારા સંબંધોને નવેસરથી બાંધવા માટે માર્ગદર્શન કરી શકે. આ એક ‘જાત તપાસ’નું સાધન છે, જેની મદદથી તમને મુંઝવતા ઘણા પ્રશ્નોના જવાબ તમને મળી આવશે. આત્મમંથનનું નવનીત અદ્ભૂત હોય છે.

અહીં એક અનિવાર્ય ચેતવણી આપવી જરૂરી છે :  જે વ્યક્તિઓ સાથે તમારો લાંબો પરિચય ન હોય અને માત્ર ઉપર ઉપરનો જ સંબંધ હોય તેમની સાથે તમારા સંબંધોને લગતા પ્રશ્નોની વાતો ચર્ચશો નહીં. 

ઘણી વાર એવું પણ બને છે કે આપણને આપણી વ્યથા અંગે વાત કરવાની તીવ્ર ઈચ્છા હોય અને યોગ્ય વ્યકતી આપણી નજીક ન હોય ત્યારે જે લોકો હાથવગા હોય તેમની સાથે વાત કરવાનું સહજપણે મન થઈ આવતું હોય છે. આની પાછળ આપણા મનમાં એક એવી ઊંડી આશા હોય કે તેમની સાથે આપણા અંગત સંબંધોની વાત કરવાથી આવા આગંતુક સાથે એક નવો સંબંધ બાંધી શકાશે.

સંબંધો કંઈ એક રાતમાં બંધાતા નથી એ આપણે સૌ જાણીએ છીએ. સંબંધોનું બાંધકામ નબળા પાયા પર તો ન જ થઈ શકે. સંબંધો ઊભા કરવામાં પ્રામાણિકતા અને પરસ્પરના વિશ્વાસના મોટા રોકાણની જરૂરિયાત હોય છે. ઓછેવત્તે અંશે અર્થપૂર્ણ સંબંધોનો પાયો નાંખવામાં સમાન કક્ષાની ભાવનાત્મકતા જરૂરી હોય છે. નામ માત્રના પરિચયોમાં આવી બાબતો સાંપડવી સહેલી હોતી નથી. તેથી ટૂંકાગાળાના પરિચીતોની વૈચારીક પરિપક્વતા કે તેનું ઊંડાણ ઓળખી શકાતા નથી. તેથી અલ્પ પરિચયની વ્યક્તિઓ પર કેટલો આધાર રાખવો તે વિચારવું જરૂરી બને છે.

આ work-bookમાં થોડાં મનોયત્ન છે. આ મનોયત્નો માટે તમારી પાસે થોડા દિવસોનો અવકાશ જોઈશે. જો તમારા હાલના વાતાવરણને છોડીને કોઈક શાંત કે સુંદર જગ્યાએ જવાની તમને તક મળે તો તેનો આ કામ માટે જરૂર ઊપયોગ થશે. આખી પ્રક્રિયાને અંતે, આ પ્રકલ્પમાં જોડાતાં પહેલાં તમે એકલવાયાપણું અનુભવતા હતા તેવું નહિ લાગે.

આગળ જતાં જે work-book આવશે, તેમાં આપેલા મનોયત્નો સાદા અને સરળ છે. તેમાં દાખલાઓ સાથે ઉપયોગી અને માર્ગદર્શન  છે. આ પ્રક્રિયા પૂરી કરવા પેન કે પેન્સિલ અને થોડા કોરા કાગળો સિવાય બીજી કોઈ સામગ્રીની જરૂરીયાત રહેશે નહિ. આ કામ કરતી વખતે તમારો મોબાઈલ ફોન તમારી સાથે ન હોય તે ખાસ જરૂરી છે. આ મહત્વના કામમાં કોઈ જાતની ખલેલ પડવાથી વિચારધારા અને એકાગ્રતા ટૂટી જશે.

આપ હવે એક આનંદદાયક યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છો, તે માટે અને સંબંધોની પુનર્શોધ માટેના આપના પ્રયાસને અમારી દિલથી શુભેચ્છાઓ. 


આવતા અંકમાં આપણે પહેલું મનોયત્નને તપાસીશું અને સંબંધોનું રેખાચિત્ર તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું. 



Thursday, October 2, 2014


LATCHO DROM - શુભાસ્તે પંથાન:, મારા જિપ્સી ભાઈ બહેનો

લાચો ડ્રોમ

આજે એક મિત્રે યુ ટ્યુબ પર આવેલી જિપ્સીઓ વિશેની ફિલ્મની લિંક મોકલી. સિનેમાનું નામ છે ‘Latcho Drom’ અર્થ છે 'સુરક્ષીત માર્ગ'. ફ્રેન્ચ નિર્દેશક ટોની ગૅટલીફે કંડારેલી આ હૃદયસ્પર્શી ફિલ્મની રજુઆત આજના અંકમાં કરી છે. આખી ફિલ્મમાં સંવાદ નહિવત્ છે. જે છે તે આપણા જિપ્સીઓનાં ગીતો અને તેમનું સંગીત. તેમાં સમાયાં છે તેમણે ભોગવેલી હાલાકીની ગાથા. કોઈ કોઈ ઠેકાણે તેમનાં ગીતોમાં ફરિયાદ સાંભળવા મળશે.





ફિલ્મની શરૂઆત હા, રાજસ્થાનના થારના રણમાં થાય છે. જાકારો પામેલી આ પ્રજા ક્યાં ક્યાં નથી ભટકી! અહીં જોઈશું, ઈજીપ્તમાં ‘ગવાઝી’ જિપ્સીઓની રહેણાક ; તેમનાં ગીતો અને તેની પરંપરા જાળવવાનો તેમનાં બાળકોનો પ્રયત્ન ;  તુર્કીના પાટનગર ઈસ્તંબુલના રેસ્તોરાંત અને કૉફીગૃહોમાં ગીત-સંગીત વડે લોકોનું મનોરંજન કરીને કે ફૂલ વેચીને બે પૈસા કમાતી આ જનજાતિની વાત જોઈશું અને જોઈશું રોમાનીયાનો એક જિપ્સી બાળક તેના કબિલાના વૃદ્ધ ગાયકનું ગીત સાંભળે છે : ચાઉચેસ્કુ મરી ગયો અને હવે આપણે અને આપણો મુલક આઝાદ છે. તેઓ માને છે કે રોમાનીયા તેમની માતૃભુમિ છે. નથી માનતા રોમાનીયાના નાગરિકો અને ત્યાંના સત્તાધારીઓ!
ફિલ્મ જ્યારે હંગેરી પહોંચે છે, આપણે જોઈશું ત્યાંના એક સ્ટેશન પર એક શ્રીમંત સ્ત્રી અને તેનો સાત-આઠ વર્ષનો પુત્ર ટ્રેનની રાહ જોતાં એક બાંકડા પર બેઠા છે. અસહ્ય ઠંડી અને કોઈ વિટંબણામાં પડેલી આ સ્ત્રી ચિંતામગ્ન થઈ બેઠી છે. પાટાની પેલી પાર એક મોટા વૃક્ષ નીચે જિપ્સીઓનું જુથ સાંઠીકડા ભેગા કરી અગ્નિ પેટવે છે. માતાને દુ:ખી જોઈ બાળક પાટા ઓળંગી જિપ્સીના મુખી પાસે જાય છે તેને ત્રણ સિક્કા આપી માતા માટે સંગીત ગાવા કહે છે. મુખી હસે છે, અને બાળકના ખિસ્સામાં પૈસા પાછા મૂકી, તેની માતાની નજીક જઈ ગીતો ગયા છે. માતાના મુખ પર હાસ્ય પ્રગટે છે ત્યાં ટ્રેન આવી પહોંચે છે. જેને લેવા માટે આ જિપ્સીઓ આવ્યા છે, તે મહેમાન ટ્રેનમાંથી ઉતરે છે અને તેમને લઈ સૌ પોતાની છાવણીમાં જાય છે.
સ્લોવાકીયાનું દૃશ્ય એટલું જ હૃદયદ્રાવક છે. બોખલા મ્હોં વાળા ઘરડાં દાદીમા ગીત ગાય છે અને તેમની પૌત્રી સાંભળે છે. તેમને જવું છે તેમના 'મૂળ' વતન જર્મનીમાં. માજીના ગીતમાં એક શબ્દ વારે વારે આવે છે : 
અૉશ્વીત્ઝ (Auschwitz).
નાનકડી પૌત્રીને સમજાતું નથી દાદીમા કઈ દુ:ખ ભરી જગ્યા વિશે કહે છે. જ્યારે કૅમેરાનો ક્લોઝઅપ દાદીમાના હાથ પર આવે છે અને આપણી નજર સામે આવે છે હાથ પર છૂંદેલો એક નંબર, ત્યારે આપણે સમજીએ છીએ કે જર્મનોના કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં લાખો જિપ્સીઓને મારી નાખતાં પહેલાં તેમને ત્યાં ગોંધી, તેમના હાથ પર આ ગોઝારા કૅમ્પના કેદીના નંબરનું છુંદણું નાખવામાં આવ્યું હતું.  આ દાદીમા, તે સમયે પોતે બાલિકા હતાં તેમને મિત્ર રાજ્યોની સેનાએ બચાવ્યા હતા. 

આ નાનકડી ફિલ્મ જેમ જેમ આગળ વધે છે, માણસ વિચાર કર્યા વગર રહી નથી શકતો કે પશ્ચિમના સુધરેલા નાગરિકો, રાજકર્તાઓ, વિચારકો કેવી રીતે જિપ્સીઓ પ્રત્યે વાંશિક ભેદભાવ જ નહિ, ઘૃણાભર્યું વર્તન કરી શકે છે. જીર્ણ થયેલા મકાનોમાં શહેરનો કોઈ નાગરિક રહેતો નથી, બધાંને સરકારે આધુનિક આવાસ આપ્યા છે. કોઈ જાતની સુવિધા વગરના આ ખાલી મકાનોમાં જિપ્સીઓ રહે છે. શહેરની મ્યુનીસીપાલીટીના અધિકારીઓ જિપ્સીઓને આ બિસ્માર મકાનોમાંથી કાઢી મૂકે છે અને તેનાં બારી બારણાંને ઈંટથી ચણી નાખે છે. 'જિપ્સીઓ અહીં રહે તે અમને મંજુર નથી.' એક જિપ્સી બોલી ઉઠે છે, “આખી દુનિયા અમને ધિક્કારે છે અને અમારી પાછળ પડી છે. અમે શાપિત પ્રજા છીએ. અમને શાપ મળ્યો, જીવનભર રખડતા રહો. અમને જગત ચોર કહે છે, જ્યાં અમને જુએ છે, અમને ત્યાંથી ભગાડે છે. અમે તો કોઈની એક ખીલી પણ નથી ચોરી. અત્યાર અમે રક્તરંજિત ઈસુના ચરણે પડ્યા છીએ. શા માટે?”
અહીં એક શેરની પંક્તિ યાદ આવે છે : જહાં હાકિમ હો ઝાલિમ, ઉસ વતન કો ક્યા કરના? જિપ્સીઓના દેશ કે દિશાહિન પરિભ્રમણનું આ કારણ તો નહિ હોય?

જિપ્સીઓની મૂર્તિમંત કહાણી કહેતું આ ચિત્રપટ ડૉક્યુમેન્ટરી ફિલ્મ છે, પણ તેમાં કોઈ સૂત્રધાર નથી. પડદા પાછળથી કોઈ વર્ણન, કથન કે ચિંતન નથી થતું. તેમાં કોઈ અભિનેતા નથી. તેમાં ભાગ લેનારા પાત્રો બધા જ જીવંત જિપ્સીઓ છે. છબીકારે અને નિર્દેશકે તેમને જ તેમની વાત તેમની પોતાની રીતે કહેવાની તક આપી છે અને તેમણે તેમની વાત તેમનાં ગીત અને સંગીત દ્વારા કહી છે. અહીં નિર્દેશક, કૅમેરામૅન તથા તેમના સાથીઓ અદૃશ્ય સાક્ષી રહીને પ્રેક્ષક અને ચિત્રપટમાંના અસંખ્ય જિપ્સીઓ વચ્ચે મૂક સંવાદ કરાવે છે. પ્રેક્ષકો અને ચિત્રપટના પાત્રો વચ્ચે અંતરનાં જોડાણ કરાવે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે જિપ્સીઓ પ્રત્યે જગતને ઉપેક્ષા હોવા છતાં આ પ્રજામાં એક ઉલ્લાસ છે ; તેમનાં જીવન ગીત અને સંગીતથી સભર છે ; તેમનાં હાસ્ય,  તેમની સંસ્કૃતી સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તેમનાં પારિવારીક જીવનના આનંદે તેમના આત્માને એવા તો સમૃદ્ધ કર્યા છે, જગતની કોઈ હાલાકી, કોઈ સત્તા તેમનો આ આનંદ છિનવી શકી નથી. આ વણથંભી પરિક્રમા કરી રહેલ જાતિની કથા છે. આશા છે આપને તે ગમશે. 
***
અહીં વાચકોના મનમાં કદાચ પ્રશ્ન ઉઠશે: આ જિપ્સીઓ કોણ છે? આપણે તેમની સાથે શી લેવા દેવા? જો આપણી તેમની સાથે કોઈ લેણાદેણી ન હોત તો આ વાત કદાચ અહીં સ્થાન પામી ન હોત.   

જગતના સહુ સંશોધકો એક વાતે સહમત છે કે જિપ્સીઓનું મૂળ ભારતમાં છે. તેમના તારણ મુજબ જિપ્સીઓ ઉત્તર ભારતમાંથી લગભગ આઠસોથી પંદરસો વર્ષ પહેલાં બાલ્કન દેશોમાં ગયા અને ત્યાંથી યુરોપ પહોંચ્યા. નૃવંશ શાસ્ત્રીઓએ કરેલા DNAના નમૂનાઓના અભ્યાસ પરથી એવું જણાયું છે કે જિપ્સીઓનાં ક્રોમોસોમ રાજસ્થાન અને હરિયાણા-પંજાબના જાટ લોકોનાં છે. આ પરથી ઈતિહાસકારો માને છે કે આ પ્રજા મૂળ હરિયાણા તથા તેની આસપાસના રાજસ્થાન જેવા ઈલાકાની હતી અને ઉત્તર તરફ સ્થળાંતર કરીને જમીન માર્ગે યુરોપ પહોંચી. થાકેલા પરિવારોને જ્યાં વિસામો મળ્યો, રહેતા ગયા અને આમ આખા યુરોપમાં પ્રસર્યા. દેશ છુટ્યો, પણ ન છુટી તેમની નૃત્ય અને સંગીતની પરંપરા. અને મૂળ ભારતીય શબ્દોનો ઉપયોગ એવો જ રહ્યો છે! પોતાને ‘રોમ’ના વંશજ સમજે છે  તેથી રોમાની કહેવાય છે. રોમાની ભાષામાં અનેક શબ્દો હિંદીના છે. દશને યુરોપના બધા જિપ્સીઓ 'દસ' કહે છે. સદ્ગૃહસ્થ કે જમીનદારને તેઓ 'રાય' કહીને સંબોધૈ છે. ‘આગ’ને તેઓ ‘જાગ’ કહે છે. ચોરી કરનાર માટે તેમનો શબ્દ છે ‘ચોર’ અને સ્પેનમાં રહેનાર જિપ્સીઓ  તેમની જાતિને ‘માનુષ’ (Manush) તરીકે ઓળખાવે છે. યુરોપીય પહેરવેશમાં આ મૂળ ભારતીય પ્રજા છે. તેમનાં ચહેરા, શરીરનું ઘડતર પૂરૂં ભારતીય છે.

અહીં જિપ્સીઓ વિશે કેટલાક સંદર્ભ આપ્યા છે. કદાચ આપને તે રસપ્રદ લાગશે.